ફક્ત એથી જ કોઈની મદદ માગી નથી શકતો,
શરમથી હાથ લંબાવું અને એ બેશરમ નીકળે !
બેફામ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

દે તાલ્લી – અનિલ જોશી

કે પાદરમાં ઝરમર વેરાય તને મળવું દે તાલ્લી
કે વાતમાં મોરલાના ટહુકાનું ભળવું દે તાલ્લી

કે ડાંગરના ખેતર ઢોળાય તારા ઘરમાં દે તાલ્લી
કે કેડીઓ સમેટાઈ ગઈ મુસાફરમાં દે તાલ્લી

કે ગીતમાં અધકચરી માણસતા વાગી દે તાલ્લી
કે પાનખર પાંદડાની જાળીએથી ભાગી દે તાલ્લી

કે આંખ હજી ઉઘડી નથી ને પડ્યાં ફોતરાં દે તાલ્લી
કે ગામને મેળે ખોવાઈ ગયા છોકરાં દે તાલ્લી

કે સમળીના ચકરાવા વિસ્તરતા ખોરડે દે તાલ્લી
કે ચાંદરણા પડતા ખડીંગ દઈ ઓરડે દે તાલ્લી

કે એક વાર અડકી ગઈ આંખ તારી મન્ને દે તાલ્લી
કે એક વાર અટકી ગઈ વાત કહી અન્ને દે તાલ્લી

કે ચોકમાં પીંછું ખર્યું ને લોક દોડ્યા દે તાલ્લી
કે લેણદાર એટલા વધ્યા કે ગામ છોડ્યા દે તાલ્લી

– અનિલ જોશી

તાલીઓની વચ્ચે કવિ એક આખી કથા ગૂંથી લીધી છે. ને કથાના દરેક મુકામે તાલી તો ખરી જ !

Comments (5)

તમે એ ડાળ છો….- ગની દહીંવાળા

તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે.

કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,
ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે.

દિવસ ને આવવું હો તો વસંતોમાં વસી આવે,
સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે !

ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે,
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે.

ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !

મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે.

‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.

– ગની દહીંવાળા

આ ગઝલ સાંભળવા માટે ક્લિક કરો: ટહુકો.કોમ

Comments (9)

જાય છે ? – રમેશ પારેખ

જે તરફ આપણી આસ્થા જાય છે,
આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ?

પક્ષી માફક હું ટહૂક્યો તો કેવું થયું !
એકમાં વૃક્ષ સો ખૂલતાં જાય છે !

જેમ મધ્યાહ્ન પેઠે તપે છે તરસ.
એમ પાણી યે ટૂંકાં થતાં જાય છે.

ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.

તારી કાયા જ મારી ઊગમણી દિશા,
મારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.

તેં જ પૂર્યો હતો ટીપડામાં તને,
માર્ગને તો જ્યાં જાવું’તું ત્યાં જાય છે.

– રમેશ પારેખ

Comments (12)

ગઝલ – ઉર્વીશ વસાવડા

બધુંય ધ્વસ્ત થશે એ પછીય બચવાનું
કયું એ તત્ત્વ હશે એ જ તો સમજવાનું

પડાવો એક બે એવાય સફરમાં આવે
ગમે કે ના ગમે બે-ચાર પળ અટકવાનું

ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું

બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું

તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું

– ઉર્વીશ વસાવડા

બધા જ શેર મનનીય… ઘટિકાયંત્ર અને આગિયાના પ્રતીકોનો કેવો સક્ષમ પ્રયોગ !

Comments (10)

પ્રેમ પછી પ્રેમ – ડેરેક વૉલ્કોટ (અનુ. વિવેક મનહર ટેલર)

સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે તમારી જાતને આવતી આવકારશો
તમારા પોતાના દરવાજે, તમારા પોતાના અરીસામાં,
અને બંને જણ સ્મિત કરશે પરસ્પરના આવકાર પર,

અને કહો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી આગંતુકને ચાહશો જે તમારી જ જાત હતો.
દારૂ પીરસો. રોટી આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, આગંતુકને જેણે તમને ચાહ્યો છે

તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો છે
બીજા માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી પ્રેમપત્રો ઉતારો,

ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીને ઉજવો.

-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
જીવનની દોડમાં ને અન્યોને ચાહવાની હોડમાં આપણે મોટાભાગે જાતને ચાહવાનું ભૂલી જતાં હોઈએ છીએ. અને જે જાતને નથી ચાહી શકતો એ અન્યને શી રીતે ચાહી શકે? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. એને આવકારો. એને ચાહો. અભરાઈ પરથી જૂની યાદો, જૂના સંબંધો ઉતારી દઈ, જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો અને તમારું પોતાનું હોવું ઉજવો…

વાઇન અને બ્રેડના સંદર્ભ ઇસુ ખ્રિસ્તને આ કવિતા સાથે સાંકળી કવિતાને આધ્યાત્મનો રંગ પણ આપે છે… દરવાજો, અરીસો અને પ્રેમને એ સંદર્ભમાં પણ જોઈ શકાય.

આ કાવ્ય અને ટિપ્પણી તૈયાર કર્યા પછી ધ્યાન ગયું કે આ કવિતાનો અનુવાદ તો ધવલે પણ લયસ્તરો પર મૂક્યો છે. આ સાથે જ ધવલનો અનુવાદ અને એની લાક્ષણિક ટિપ્પણીનો પણ લાભ લો: https://layastaro.com/?p=7076

*

Love after Love

The time will come
when, with elation,
you will greet yourself arriving
at your own door, in your own mirror,
and each will smile at the other’s welcome,

and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you

all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,

the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.

– Derek Walcott

Comments (10)

દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું – એમિલી ડિકિન્સન

દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું,
તું અને હું, આજ રાત્રે!
તું ભૂલી જજે એણે આપેલી ઉષ્મા,
હું ભૂલી જઈશ પ્રકાશ !

જ્યારે તું પરવારી લે, મહેરબાની કરી કહેજે મને,
ત્યારે હું મારા વિચારોને ધૂંધળા કરી દઈશ.
જલ્દી કર! રખેને તું પાછળ પડી જાય
ને હું એને યાદ કરી બેસું.

-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)

*
આજે વેલેન્ટાઇન ડે પર એક અનોખું પ્રેમકાવ્ય. કહે છે કે પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે.

અને મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.

Heart, we will forget him

Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.

When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!

– Emily Dickinson

Comments (19)

રૂપકો – સિલ્વિયા પ્લાથ

હું નવ અક્ષરનું એક ઉખાણું છું,
હાથી, ભારેખમ ઘર,
બે વેલ પર ઉપર તડબૂચ.
ઓહ લાલચટ્ટાક ફળ, હાથીદાંત, ઉમદા સાગ!
આથો ચડતો જાય છે લોટ ઉભરાતો જાય છે.
બટવામાં કડકડતી નોટો ઉમેરાતી જાય છે.
હું એક સાધન, એક રંગમંચ, એક ગાભણી ગાય.
ખાધા છે મેં ભારોભાર લીલા સફરજન,
ચડી ગઈ છું ગાડીમાં હવે ઉતરાય એમ નથી.

– સિલ્વિયા પ્લાથ
(અનુ. ધવલ શાહ)

સિલ્વિયા પ્લાથના અવસાનને ગઈકાલે પચાસ વર્ષ થયા. એમની કવિતાઓ એ જમનામા વંચાતી’તી એનાથી ક્યાંય વધારે આજે વંચાય છે. એમનું આખું જીવન ઉતાર ચડાવમાં ગયું. ડીપ્રેશન સાથેની જીવનભરની લડત છેવટે આત્મહત્યામાં પરિણામી. એમના જીવન વિશે વાત ફરી ક્યારેક કરીશું, આજે આ બહુ પ્રખ્યાત કવિતાની વાત કરીએ.

કવિતા એક ઉખાણા તરીકે લખી છે. આખી વાત માત્ર રૂપકોની મદદથી કરી છે. એટલે કવિતાનું નામ પણ રૂપકો જ રાખ્યું છે. નામથી પણ કવિતાના વિષય વિશે કોઈ સંકેત મળતો નથી. એટલે પહેલી વાર આ કવિતા વાંચો અને કશી પિચ ન પડે તો ચિંતા ન કરતા 🙂

આખી કવિતા પ્રસૃતિ દરમ્યાન કવયિત્રીની અકળામણ વિશે છે. નવ અક્ષર એ પ્રસુતિના નવ મહિનાનું પ્રતિક છે. કવયિત્રીએ કવિતામાં રૂપકો પણ ગણીને નવ વાપર્યા છે. પહેલા કવયિત્રી પોતાની અવસ્થા માટે હાથી, ભારેખમ ઘર અને (રમૂજમાં) બે વેલ (જેવા પગ) ઉપર તડબૂચ (જેવું પેટ) રૂપકો વાપરે છે. પણ પછીની લીટીમાં ખરી અકળામણ આવે છે. પ્રસૃતિ પછી દુનિયાની નજરમાં સ્ત્રીની કિંમત ઘટતી જાય છે, અને એના પેટમાં રહેલા બાળકની કિંમત વધતી જાય છે. ક્યારેક તો સ્ત્રી કરતા બાળકને જ વધુ મહત્વ અપાતું જાય છે. કવયિત્રી એ વાતને અજબ બખૂબીથી કરે છે. એ તો (ફળને બદલે)  ફળની અંદરના લાલચટ્ટાક ભાગ, (હાથીને બદલે) હાથીદાંત અને (આખા  ઘરને બદલે એમાં વપરાયેલા) ઉમદા લાકડાના વખાણ કરે છે.

પ્રસૃતિ આગળ વધતી જાય છે. આથો આવતા લોટની જેમ એ ઉભરાતી જાય છે. કવયિત્રી પોતાની જાતને બટવા સાથે સરખાવે છે જેનું કામ માત્ર અંદરની નોટોને સાચવવા જેટલું જ રહ્યું છે. પોતાની જાત કવિને માત્ર (સંતાન પ્રાપ્તિના) એક સાધન, (કલાકારોને આધાર આપતા) રંગમંચ કે ગાભણી ગાય (કે જેના વછેરામાં જ લોકોને રસ છે) જેવી લાગે છે. આદમ-ઈવે એક સફરજન ખાધેલું. જ્યારે કવયિત્રીએ તો ભારોભાર સફરજન ખાધા છે. લાલ સફરજન પ્રેમનું પ્રતિક છે. કવિ એને ઉલટાવીને લીલા સફરજનની વાત કરી છે.  છેલ્લી લીટીમાં કવયિત્રીની અકળામણ ચરમસીમાએ પહોંચે છે. આ મારતી ગાડીમાંથી હવે ઊતરી પણ શકાય એમ નથી. એટલે કે પ્રસૃતિ પછી જીંદગી હંમેશાને માટે બદલાઈ જવાની છે.

માતૃત્વના એક જુદા જ પાસાની વાત અહીં છે. કવિતા તો સશક્ત છે જ. પણ આવા વિચારને પ્રમાણિક રીતે પ્રગટ કરવો એ પણ બહુ મોટી વાત છે. હવે ફરી એક વાર કવિતા વાંચી જુઓ.

Comments (10)

ભટકે છે – બરકત વીરાણી ‘બેફામ’

વીતેલ પ્રસંગો એ રીતે જીવનની કથાના ભટકે છે,
જાણે કે મારા પુસ્તકના ફાટેલાં પાનાં ભટકે છે .

રસ્તા જ જગતના છે એવા,સૌ મોટા-નાના ભટકે છે,
કોઈ ભટકે છે છતરાયા,તો કોઈ છાના ભટકે છે .

સૌ વિહ્વળ છે, સૌ ચંચળ છે,કેવળ સૌનાં નોખાં સ્થળ છે,
રણમાં દીવાના ભટકે છે,ઉપવનમાં દાના ભટકે છે .

એક હું છું કે નિત ભટકું છું એકેક સમયની પળ પાછળ,
એક તું છે કે તારી પાછળ કંઈ લાખ જમાના ભટકે છે .

આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .

– બરકત વીરાણી ‘બેફામ’

Comments (10)

નવી કિતાબ – મરીઝ

કહું છું સાકીને જયારે મને શરાબ તો દે,
કહે છે આગલો બાકી છે એ હિસાબ તો દે.

અનેક રાગ છે કંઠસ્થ- રજૂઆત નથી,
તૂટી ફૂટેલું ભલે હોય એક રબાબ તો દે.

મને તો કોરી રહી છે આ મારી એકલતા,
ભલે સરસ નહીં, સંગત કોઈ ખરાબ તો દે.

કુરાન,ગીતા,અવેસ્તા, હવે જવા દે વાત,
હવે નવી હો લખેલી કોઈ કિતાબ તો દે.

જરાક તારી આ દુનિયામાંથી ખોવાઈ શકું,
ભલે ન ઊંઘ મને આપ, થોડાં ખ્વાબ તો દે.

અનંત ઊંઘ છે, પથ્થરના મારથી શું થશે ?
જનાજો જાય છે મારો જો હો, ગુલાબ તો દે.

-મરીઝ

[ રબાબ = એક જાતનું તંતુ વાદ્ય; એક દોરીનું કે એક્તારવાળું વિશિષ્ટ વાદ્ય; સારંગી ]

ચોથા શેર ઉપર ખાસ ધ્યાન દોરવા માગું છું – શાયરે કદાચ પોતાની રીતે આ શેર કહ્યો હશે પરંતુ તેને વક્રોક્તિ મુજબ મૂલવતા એક રસપ્રદ અર્થ સામે આવે છે – માનવીને સત્યની ખોજ નથી , ખોજ છે નિતનવા stimulus ની . જે . કૃષ્ણમૂર્તિએ તેઓના સુદીર્ઘ જીવનના અંતભાગે એક પ્રશ્નનો ઉત્તર આ રીતે આપેલો –

પ્રશ્ન- તમે 65 વર્ષ વિશ્વ સાથે આપના દ્રષ્ટિકોણ share કર્યાં . આ તબક્કે તમે તમારા પ્રયાસને કઈ રીતે મૂલવો છો ? તમને કેટલી સફળતા મળી તમારી વાત લોકોની અંદર ઉતારવામાં ?

ઉત્તર- શૂન્ય . લોકોએ મને સાંભળ્યો, વારંવાર સાંભળ્યો, અને પછી તરત જ બધી વાતો ભૂલી ગયા . તેઓ માટે મારું મૂલ્ય એક entertainer થી વિશેષ કશું જ નથી . મારા પછી કોઈ બીજા પાસે જશે પોતાના entertainment માટે . તેના પછી કોઈ ત્રીજા પાસે…..

Comments (12)

તડકાનો ટુકડો – યોગેશ જોષી

સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું…

સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો
મારી રૂમમાં…

બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ…

– યોગેશ જોષી

અછાંદસ કવિતાઓનો ફાલ ફાટી નીકળ્યો છે. થોડુંઘણું ગુજરાતી આવડતું હોય એ બધા અછાંદસ કવિતાઓ ઢસડવા માંડે છે પણ અછાંદસ એટલે કે મુક્ત કાવ્ય કવિતાનો સહુથી વિકટ પ્રકાર છે. ઉત્તમ અછાંદસ એ ગણાય જેમાંથી તમે એક શબ્દની પણ બાદબાકી કરી ન શકો.

આ જુઓ… સાવ નાનકડું પણ કેવું બળકટ અછાંદસ ! એક શબ્દ પણ આમાંથી બાદ તો કરી જુઓ..! તડકો અહીં ઉજાસ અને ઉષ્મા – બંનેનું પ્રતીક છે. આપણા બધાનાં જીવનમાં આવું બનતું હોય છે. કોઈ સૂરજની જેમ પ્રવેશીને આપણા જીવતરના આખા આકાશને ઝળાંહળાં કરી મૂકે છે અને પછી ચાલ્યું જાય ત્યારે ? એના સ્મરણનું અજવાળું અને હૂંફ જ જીવતરના ઓરડામાં વ્યાપી ગયેલા અંધકારને દૂર કરવામાં કામ આવતા હોય છે !

Comments (15)

ગઝલ – મકરંદ દવે

કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને?
વિચારું છું, કદાચ ઓળખીય જાઉં મને.

વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.

ગમ્યું છે ખૂબ કહી જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.

સહીશ આંસુ રુદન દોસ્ત બધાં હું તારા
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.

મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું કયા વદને !

હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.

ચલો, આ વાત વધારી જવામાં માલ નથી
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.

– મકરંદ દવે

સાંઈ-કવિ મકરંદ પાસેથી રોમ-રોમ પુલકિત થઈ ઊઠે એવી ગઝલ મળે ત્યારે બે-ચાર છંદ-દોષ સામે આંખ-આડા કાન કરવા પડે… દરેક શેર બે ઘડી પાસે ઊભા રહી પંપાળવા પડે એવા…

Comments (8)

એક મધ્યરાત્રે – રાવજી પટેલ

અરે, આ ઓચિંતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે !
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં !
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં !
અને આ હૈયાની ઉષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા સ્હેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય; પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.
વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોના પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.

– રાવજી પટેલ

નાની વયે અવસાન પામેલા રાવજી પટેલની ટીબીની બિમારીના કારણે જન્મેલી કમજોરીને કવિતાનો ભાગ ન ગણીએ તો પણ એટલું સમજી શકાય છે કે પ્રણયાભિવ્યક્તિની ગેરહાજરી મોટાભાગના સંબંધોના કરમાવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ વધુ અગત્યનું એ છે કે શરમ ત્યજી શકાય તો સંબંધની આવી ઉષર જમીનમાં પણ પુષ્પ ખીલી શકે છે.

(પરસે= સ્પર્શે, ઉષર = ઉજ્જડ, દૂર્વાંકુર= કાળા ને કુમળા ઝીણા ઘાસનો ફણગો)

Comments (14)

એક ઊખાણું! – રાજેન્દ્ર શુક્લ

ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું!

હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું!

અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું!

શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું!

કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું!

રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું!

અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું!

– રાજેન્દ્ર શુક્લ

સાથે રહેવામાં – મ્હાલવામાં – છલકવામાં – વિલસવામાં જે રંગત છે એનું કોઈ ‘લોજિક’ નથી. એ તો છે કારણ કે એ છે. એમાં રંગ વગર રંગાવાનું છે, શ્વાસથી શ્વાસમાં ભળી જવાનું છે, છાસવારે બદલાતા જવાનું છે, એક બીજામાં સંતાય જવાનું છે, અને હદ ઉપરાંત ફટવાય જવાનું છે. બહારથી જુઓ તો લાગે કે આ ઉખાણું છે પણ એની અંદર ઉતરો તો આવા સંન્નિવાસથી વધારે સહજ, સરળ બીજું કશું નથી.

Comments (10)

ન થયા – રમેશ પારેખ

આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.

સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.

તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.

એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.

સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.

આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.

આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.

-રમેશ પારેખ

Comments (10)

ગઝલ – મરીઝ

મારું જીવન, જીવન નહીં, મારું મરણ, મરણ નહીં,
તારો અનંત કાળ છે, મારી તો એક ક્ષણ નહીં.

સ્પર્શ વિના મજા મળે એની મીઠાશ ઔર છે,
કુદરત તરફથી જે મળે તેવા જખમને ખણ નહીં.

તારી નજરની ભૂલથી તું તો ઠગાઈ જાય છે,
જોશે તો તારા લાખ જણ સમજે તો એક પણ નહીં.

મનદુઃખ તો થાય છે અહીં કિંતુ જરાક હદ રહે,
ઓળંગી જે શકે નહીં એવી દીવાલ ચણ નહીં.

પોતાનો એક પ્રવાહ હો, પોતાનું એક વહેણ હો,
જેમાં ન ખુદની હો ગતિ, મૃગજળ છે એ ઝરણ નહીં.

આ તો શરૂનું દર્દ છે મૃત્યુની ઝંખના ન કર,
હમણાં તો શ્રીગણેશ કર, હમણાંથી શ્રીચરણ નહીં.

સંત એ ક્યાં ગયા ‘મરીઝ’, ક્યાં એ ફકીર ગુમ થયા ?
ઢાંકણ બીજાનું રાખતા, પોતાનું આવરણ નહીં.

-મરીઝ

Comments (6)

ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?

ક્યાંય નથી સંભળાતો હંભારવ ગોકુળમાં આજે,
રોજ પ્રભાતે મધુવનમાં ફૂલ ખીલતાં પ્હેલાં લાજે !
તરડાતા કોયલ-ટહુકાને કોણ સાંધશે, ઉદ્ધવ ?
રાસ ફરી રમવાનું, કહેજો ઈજન પાઠવે માધવ !
ક્રંદન કરતી રાધા ભાળી થાય : શ્યામને શાપું !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !

થાય વલોણું ડૂમાતું’ને નથી ઊતરતું માખણ,
પરત કરો, ઉદ્ધવજી ! મારી સોળવેલી એ થાપણ !
નંદ-જશોદાનું મુખ જોવું, નથી અમારું ગજું,
સમ છે તમને, જોયું તેવું નખશીખ કરજો રજૂ !
કરું ન અળગો, માધવ આવ્યે, છાતી સરસો ચાંપુ !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?

– વીરુ પુરોહિત

કૃષ્ણ ગોકુળ છોડી ગયા એ પછીના વિરહમાં આપણે ત્યાં મોટાભાગની ભાષાઓમાં ઢગલાબંધ વિરહગીતો અને ઠપકાગીતો રચાયા છે. વીરુ પુરોહિતનું આ ગીત આ ખજાનામાં માત્ર ઉમેરો નથી કરતું, આગવી શોભા પણ બક્ષે છે. કૃષ્ણ વિના યમુનાકિનારાનું ગોકુળ નિર્જન ટાપુ જેવું કેમ લાગે છે એના લાખ કારણો આપવા ગોપી તૈયાર છે. રાધાનું ક્રંદન જોઈ એ કાન્હાને શાપ પણ આપવા તૈયાર છે.

Comments (8)

ગઝલ – મનોજ ખંડેરીયા

રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ

બરફ થૈ ને થીજી જાશુ સરળ સમજણ હતી કિંતુ
ભીના રહેવાના આનંદે નિતરવું યાદ આવ્યું નહિ

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહિ

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમજ
ખરે ટાણે હુકમપાનું ઉતરવું યાદ આવ્યું નહિ

કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ

– મનોજ ખંડેરીયા

સાદ્યંત સુંદર ગઝલ… અરેબિઅન નાઇટ્સની વાર્તા આ પહેલાં ગુજરાતી ગઝલમાં આટલી અદભુત રીતે ભાગ્યે જ કોઈ આલેખી શક્યું હશે… છંટકોર્યું જેવો શબ્દ પણ કેવી સહજતાથી ગઝલમાં ઊતરી આવ્યો છે !

આ ગઝલનો વિડિયો આપ અહીં માણી શક્શો.

પ્રસ્તુત ગઝલમાં બીજા નંબરનો શેર ચૂકી જવાયો હતો, જે જૂનાગઢથી કવિમિત્ર ઉર્વીશ વસાવડાએ મોકલાવી આપ્યો  છે. એ અહીં ઉમેરી દઉં છું… આભાર માનવો પડશે કે, ઉર્વીશભાઈ?

 

Comments (14)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે !
કાં પછી સમજણનો કાયમ હોય છે !

ટાઢ, તડકો, ઝાંઝવા ને થોરથી,
દબદબો તો રણનો કાયમ હોય છે !

કોરું મન, તરસ્યા નયન, વહેતો સમય..
પ્રશ્ન બસ આ ત્રણનો કાયમ હોય છે !

ચાસ ચહેરા પર સમય પાડે અને-
વાંક કાં દરપણનો કાયમ હોય છે ?

સાવ સાચી વાત કરવી હોય પણ,
ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે !

– લક્ષ્મી ડોબરિયા

કેટલીક ગઝલો વાંચીએ અને આખો દિવસ સુધરી ગયાનું અનુભવાય… એક genuine poetry હાથમાં આવે ત્યારે એક આખો ખજાનો જડી આવ્યાનું અનુભવાય… આ ગઝલ વાંચો.. ફરી ફરીને વાંચો.. અને જુઓ, કે તમારી અંદર શાતાની લહેરખી દોડે છે કે નહીં?!

 

Comments (22)

ના આવડે – હરીન્દ્ર દવે

તારે આંગણ ઉભરાયેલા મનખાના સમ
મને મેળામાં મળતાં ના આવડે,
વાંકાબોલા આ વેણ મેલ રે વ્હાલમ,
મને ઝીણું સાંભળતા ના આવડે .

ટોળામાં સાંતેલો સૂર થૈ વિખૂટો
કોઈ વીખરેલી લહેરખીને ગોતે,
પડદાની ઘૂઘરીમાં ભાત ક્યાં પડી છે
કદી મારી’તી ચાંચ જ્યાં ક્પોતે,
કાચી રે માટીનાં ઘડતર ને તોય અહીં
પળપળમાં ગળતાં ના આવડે .

મારે એકાન્ત મને વસવા દો, આછરે
લગાર અહીં ડહોળાયાં નીર,
સાગરમાં વરસીને વાદળ ઝાંખે છે
નેહતરસી આ ભોમને લગીર,
કાળી માટીમાં ફૂટ્યાં તરણાંની જેમ
મને કિરણોમાં બળતાં ના આવડે .

-હરીન્દ્ર દવે

બહુ જ હસીન અંદાઝમાં કવિએ જાણે પ્રેમિકાને હળવો ઉપાલંભ આપ્યો છે ! મનમેળ વિનાના મેળા કરતાં તો અલગારી જીવ ને એકાંત વ્હાલું….. ખૂબ નાજુકાઈથી પરંતુ સ્પષ્ટ રીતે પ્રેમી પોતાની પ્રાથમિકતા વ્યાખ્યાયિત કરી દે છે…..એક અંગ્રેજી કવિતા છે – crowded desert [ કવિનું નામ યાદ નથી ]- જેમાં આ જ ભાવ ને કેન્દ્રમાં રખાયો છે.

Comments (8)

ગઝલ – રઇશ મનીઆર

સાવ પરપોટા જેવો આ અવતાર છે
ને સમયની સપાટી અણીદાર છે

જિંદગી, જિંદગી ! આપણાં બે મહીં
કોણ છે અશ્વ ને કોણ અસવાર છે ?

ન્યાય-અન્યાય, સુખ-દુઃખ અને સત-અસત
જે રૂપે તું મળે, તારો સ્વીકાર છે

મારું હોવું નથી મંચથી કંઈ વિશેષ
આવતી ને જતી પળ અદાકાર છે

કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે
સુખનો આકાર છે, દુઃખ નિરાકાર છે

કૈંક કરપીણ ઘટનાઓ જીરવી લીધી
એમ જીરવી કે જાણે સમાચાર છે

એક સફેદી કફન જેવી જીવતરમાં છે
સાદગી એ જ છે, એ જ શણગાર છે

– રઇશ મનીઆર

Comments (15)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક નોકરાણી જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.

શેવાળિયા પથ્થર તળેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’… લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આપણી કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ માત્ર પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ ખૂબ વિશદ ચર્ચા જગાવી છે.

એક લગભગ ગુમનામ નોકરાણી જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય !

આ કવિતા વિશે વિષદ ચર્ચા આપ અહીં માણી શકો છો.

*

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

Comments (11)

ગઝલ – મિલિન્દ ગઢવી

રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા

આજેય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય
રે લોલ તારી યાદના ચિત્તોડમાં હાંફી ગયા

ક્યાં એકપણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે
રે લોલ મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા

છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા
રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા*

તું આવ ત્યારે અર્થનું આકાશ લેતી આવજે
રે લોલ શબ્દો કાગળોની સોડમાં હાંફી ગયા

ઊગ્યાં કરે છે જંગલોના જંગલો છાતી મહીં
રે લોલ જ્યાં એકવાર લીલાં છોડમાં હાંફી ગયા

– મિલિન્દ ગઢવી

માનવીની અતૃપ્ત એષણાઓમાંથી જનમતી પીડાની ગઝલ… રે લોલનો ઊઠાવ લઈ જે રીતે એ આગળ વધે છે અને બધા શેરમાં જે રીતે સળંગસૂત્રતા નજરે ચડે છે એ પરથી આને ગીત-ગઝલ પણ ગણી શકાય. આમ તો બધા જ શેર ઉત્તમ છે પણ મને ઘરફોડ જેવા અનૂઠા કાફિયાને કવિ જે રીતે કવિતાની કક્ષાએ લઈ ગયા એ આ ગઝલની ઉપલબ્ધિ લાગે છે. શ્વાસની એકધારી આવ-જા અંદર કશુંક શોધવાની મથામણ ન હોય જાણે ! અને ભીતરનો ખજાનો પામવા જાણે એ ચોરની જેમ ઘરફોડી ન કરતા હોય !

(* લિયૉ તોલ્સ્ટૉયની વાર્તા ‘How much land does a man need?’ પરથી)

Comments (8)

ગઝલ – બાપુભાઈ ગઢવી

કંઈ સ્થિરતાની લાગણી અસ્થિરતાનો વ્હેમ
પૂરપાટ નદી વચ્ચે તરાપામાં હેમખેમ

તારા સ્મરણની સીમમાં પાણી-શો ખળખળું
દૃષ્ટિનું નામ ધોરિયા આંખોનું નામ ડેમ

કરચોની જેમ વાગતી રૂંવે રૂંવે ક્ષણો
જાણે ફૂટી ગયો હો સમય કાચઘરની જેમ

જ્યાં-ત્યાં બધે હવાઓ મને વીંઝતી રહે
ચકરાય શ્વાસશ્વાસ કો’ ગોફણમાં હોય એમ

દિવસો તો ગણી કાઢીએ એક્કેક કરીને
આ પ્હોરપ્હોર ભાંગતી રાતોનું કરવું કેમ ?

– બાપુભાઈ ગઢવી

ફેસબુક પરથી આ ગઝલ જડી આવી. કવિમિત્ર મિલિન્દ ગઢવીએ આ ગઝલ રજૂ કરતી વખતે સાથે જે પ્રતિભાવ મૂક્યો હતો એ જ અહીં મૂકવાની લાલચ રોકી નથી શકતો: “હૃદયની આરપાર નીકળી જાય એવી વાતોમાં મને પહેલેથી જ ઓછો રસ પડ્યો છે. હૃદયમાં રોકાય જાય એવું મને ગમે. અને આ ગઝલ વર્ષોથી હૃદયમાં રોકાયેલી છે.” (ગ.મિ.)

Comments (13)

અને – હેમેન શાહ

ધોમધખતા ઉનાળામાં ઊભેલાં વૃક્ષો
એકાએક
બંદગી માટે ઊઠેલા હાથ બની જાય છે.
આકાશ કોઈની ઉદાસ આંખ તો નથી ને ?
તડકો ભીંસે છે.. ચોમેરથી.

ત્યાં ટપ… ટપ…
આદિવાસી સ્ત્રીની પીઠ જેવો પથ્થર
હમણાં જ ભીનો થયો.
નદીનો વિષાદ ધોવાતો જાય છે
ધીમે ધીમે.

એક તાજું ફુટેલું તરણું
માથું ઊંચકે છે,
અને
નમી પડે છે આખું ચોમાસું.

– હેમેન શાહ

વર્ણનમાં કવિની બારીકી જુઓ. કવિ છેલ્લી ચાર લીટી ચોમાસું-વર્ષા-નવજીવન બધાને એક સાથે સાંકળી લે છે.

Comments (8)

ગઝલ – કૈલાસ પંડિત

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?

– કૈલાસ પંડિત

A timeless classic…..

Comments (13)

નડતર – જવાહર બક્ષી

જો   ચાલવા   ચાહીશ   તો   રસ્તો  થઈ  જશે,
પગલાં   જો   હું  ભરીશ  તો  નડતર હટી જશે.
નિષ્ફળ જશે આ રણ, મને તરસાવવામાં પણ,
રેતીની  પ્યાસ  આખરૅ  મૃગજળને  પી  જશે.

– જવાહર બક્ષી

Comments (5)

ગીત – મુકેશ જોષી

આપણે ઇચ્છા વિનાનાં વાદળાં
એક હડસેલો અને જાવું પડે જ્યાં પાધરા …. આપણે

ના દિશા વસવાટની કોઈ સ્થિતિ નક્કી નથી
જન્મ કે આ મોતની કોઈ તિથી નક્કી નથી
– ને વરાળોના લીધેલા શ્વાસ કેવા આકરા …
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

ક્યાંક અટકાવે પહાડો, ઝાડ કોઈ રાનમાં
ને દઝાડી જાય પેલી વીજ પોલા કાનમાં
આંખમાં દરિયો,છતાં નામ ખાલી વાદળાં
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

સૂર્યની ચાબૂક હરદમ સનસની વીંઝાય લો
આ વરસવાનું નથી, બસ આંખ છે ભીંજાય લો
એક આંધીની રમત વચ્ચે થતી જે જાતરા
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

-મુકેશ જોષી

Comments (6)

ગઝલ – પ્રમોદ અહિરે

એમાં સમાવું કેટલું ? – અનુભવની ખાણ છે;
કંઈ લઈ જવાશે ? – શબ્દનું નાજુક વહાણ છે.

એક દેહ, ચક્ર  સાત  અને  તત્ત્વ  પાંચ છે  –
એક્કેય  સાથે   તારે   કશી  ઓળખાણ  છે ?

પાંચેય  તત્ત્વ  લઈ  જશે, જે  એમનું છે  તે,
બાકી  બચી  જશે  જે, તે  મારી  પિછાણ છે.

‘હું’  ‘હું’  નહીં રહીશ, પછી  ‘હું’  રહીશ  ક્યાં ?
સમજો તો છે મજા ને ન સમજો તો તાણ છે.

પરપોટો જોતાં જોઈ મેં આખી મનુષ્યજાત –
ફૂટીને  જળ  થશે, છતાં  જળથી અજાણ છે.

અક્ષરથી ન પ્રગટ થયું ‘અક્ષર’ સ્વરૂપ અહીં,
અક્ષ્રરમાં   છેક   ઊંડે   લપાયું   લખાણ   છે.

– પ્રમોદ અહિરે

કવિની શબ્દયાત્રા સતત એના જીવનનું પ્રતિબિંબ ઝીલતી હોય છે. પ્રમોદ અહિરે ગઝલ વિશ્વમાં આવ્યા ત્યારે ‘પ્રિયે ! તું અહીંથી જવાની’ જેવા પ્રેમાસિક્ત નામાભિધાનવાળો સંગ્રહ લઈ આવ્યો… જીવનના એક નાજુક વળાંક પરથી કવિનો કાફલો જ્યારે દિશા બદલે છે ત્યારે આ જ યુવાકવિની વાતોમાં જીવનની ઉત્તમ ફિલસૂફી કેવી અનાયાસ આવી જાય છે !

કવિ જ્યારે પડખું બદલે ત્યારે આવી ઉત્તમ ગઝલો આપણને ભેટ મળે છે…

 

 

Comments (7)

નથી માગવી – જિજ્ઞા ત્રિવેદી

નથી માંગવી શ્વાસની આજ ભિક્ષા,
કરીશું અમે જિંદગીની પ્રતીક્ષા.

સમય સાથ આપે ન આપે ભલે ને,
દુઆ સાથ અમને મળી આજ દીક્ષા.

સમયના બહાને વફાની અમારી,
ભલે દોસ્તો પણ કરી લે પરીક્ષા !

બધાં દોષ દુર્ગુણ નજરમાં સમાવી,
અમે જાતની પણ કરી છે સમીક્ષા !

ગઝલના નશામાં કહી આ ગઝલ તો,
અમોને કરી આકરી કેમ શિક્ષા ?

– જિજ્ઞા ત્રિવેદી

Comments (7)

જલસા પડત – મધુસૂદન પટેલ ‘મધુ’

રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત,
સહેજ એમાં મહેંક જેવું હોત તો જલસા પડત.

તું મળી એ વાતનો આનંદ દિલમાં છે જ છે,
તેં જો કીધું હોત કે ‘તું ગોત’ તો જલસા પડત.

જન્મ, જીવન, ઘર, ગૃહસ્થી એ બધાંની જાણ છે,
હાથ લાગ્યો હોત મારો સ્રોત તો જલસા પડત.

દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે,
જાણ કીધી હોત ને ઓ મોત, તો જલસા પડત.

થાક લાગ્યો, ઊંઘ આવી, તો ‘મધુ’ ઊંઘી ગયો,
આ સહજતા છેકથી જો હોત તો જલસા પડત.

– મધુસૂદન પટેલ ‘મધુ’

જલસા પડત જેવી રમતિયાળ રદીફને કવિએ કેવી બખૂબી નિભાવી છે. આખી ગઝલમાંથી એક પણ શેર નબળો ગણીને બાજુએ મૂકી શકાય એવો નથી… વાહ કવિ! જલસા પડી ગયા…

Comments (14)

કોણ પુશ્તુ બોલે ? – ઉદયન ઠક્કર

બંસુરીનો     નાદ-મંજુલ     મૂકીને
શ્રેષ્ઠ બનવા, સ્થાન અનુકૂલ મૂકીને,
હરકોઈને   જાવું    પડતું   હોય   છે
આખરે    પોતાનું    ગોકુલ  મૂકીને.

બસ, ગઝલ બે કાંઠ છલકાતી રહી,
માણસો  ચાલ્યા  ગયા, પુલ મૂકીને.

જોખમી  સ્વપ્નો  તળે  ભીંજાઈ જો,
છત્રીનું   રોજિંદુ   વર્તુલ    મૂકીને !

આટલા   ટહુકા?  ને તે પણ શ્હેરમાં?
કોણ   ‘પુશ્તુ’   બોલે  કાબુલ મૂકીને?

ચકલીઓનું   વૃંદ   ચાલ્યું  સાંજના,
ચાંચમાં   તડકાના   તાંદુલ  મૂકીને.

– ઉદયન ઠક્કર

ગઝલ એક છે પણ કથાઓની વણઝાર છે.

પહેલા બે શેર(કે એક મુક્તક)માં કવિ જન્મભૂમિ મૂકીને કર્મભૂમિમાં જવાની કપરી જરૂરતને વણી લે છે. (અમારા જેવાઓ વળી એમાં ભારત છોડીને આવવાના દુ:ખનો દિલાસો પણ શોધી લે છે.)

નદી છલકાઈ જાય, પૂરની નોબત આવે તો પુલને અસલામત ગણીને બંધ કરી દેવામાં આવે છે. જે નદી માટે સત્ય છે એ ગઝલ માટે પણ સત્ય છે ? સીમા ઓળંગી જાય તો ગઝલ પણ શું એટલી જ જોખમી થઈ જાય?  

જોખમી સ્વપ્નોમાં તરબતર થાય તો માણસ કદાચ ઊઘડી પણ જાય. પ્રાર્થના કરો કે એ છત્રી ઘરે જ ભૂલી જાય !

ગઝલનો સૌથી કોમળ પ્રયોગ હોય તો એ છે – ચાંચમાં તડકાના તાંદુલ. તાંદુલ શબ્દ આવે એટલે સુદામા અને એમની નાનકડી પોટલી યાદ આવ્યા વિના રહે ? આખા દિવસના વિરહ પછી બચ્ચાઓને મળવા પાછી જતી ચકલીઓ માટે આનાથી વધારે પ્રસન્ન-ચિત્ર દોરવું અશક્ય છે.

ને છેલ્લે વાત ગઝલના ટાઈટલ-શેરની. કાબુલીવાલાની અમરકથાની વાત છે. નાનકડી છોકરીની મીઠી વાતો કાબુલીવાલાને માતૃભાષા (અને પોતાની દીકરી) ય ભૂલાવી દેવા સક્ષમ હોય છે. (જો આ વાર્તા વાંચે ઘણો સમય થઈ ગયો હોય -અને રડવાની તૈયારી હોય- તો કાબુલીવાલા વાંચવા અહીં ક્લીક કરો.)

Comments (9)

નીકળ્યો’તો – મુકુલ ચોકસી

લોક એવું માનતા’તા કે એ મરવા નીકળ્યો’તો,
એક માણસ શૂન્યતા સાકાર કરવા નીકળ્યો’તો.

કારમી પ્રત્યેક વસ્તુ ચીસ કંઈ હોતી નથી,
હસતાં હસતાં તું શું એ પુરવાર કરવા નીકળ્યો’તો ?

વ્રુક્ષ હોવાનું મને ગૌરવ મળે એ હેતુસર શું ?
પાંદડાની જેમ મારો હાથ, ખરવા નીકળ્યો’તો ?

સ્હેજ સાયંકાળ વત્તા સ્હેજ પ્રાત:કાળ લઈને,
રાત બન્ને છેડેથી હું ટૂંકી કરવા નીકળ્યો’તો.

-મુકુલ ચોકસી

Comments (8)

શેર – રૂમી

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્ય[નો તડકો] એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !

-રૂમી

બે લીટીમાં એક ઉપનિષદ છે !!!

Comments (5)

સુખદ સ્વપ્ન – સ્વામી વિવેકાનંદ

(ખંડ હરિગીત)

જો કાંઈ પણ મંગલ- અમંગલ થાય,
ને હર્ષ પણ થૈ બેવડો
જો મુખપરે છવરાય,
અથવા શોકનો ઊછળે સમંદર
એક એ તો સ્વપ્ન – એ એ એક જાણે નાટ્ય !
હા, નાટ્ય ! – મહીં પ્રત્યેકને કરવો રહે જ્યાં પાઠ,
ને પ્રત્યેકના છે વેશ,
જેવી ભૂમિકા નિજની પ્રમાણે
હાસ્ય હો કે હો રુદન !
હોય તડકી-છાંયની આવાગમન !
ઓ સ્વપ્ન ! રે, સુખાળવા ઓ સ્વપ્ન !
દૂર કે સામીપ્યમાં પ્રસરાવી દે
તારું ધૂસર એ દૃશ્ય પટ,
તીવ્ર ધ્વનિઓને ધીમા કર,
રૂક્ષ ભાસે તેહને કર કોમળા,
તારા મહીં શું ના દીસે કોઈ ઇલમ ?
તવ સ્પર્શથી પથરાય
લીલીકુંજ તો વેરાનમાં,
ભેંકાર સૌ ગર્જન-મધુરતમ ગાનમાં !
આવી પડેલું મોત પણ
શી મિષ્ટતમ મુક્તિ બને !

– સ્વામી વિવેકાનંદ
(અનુવાદ – ? ભાનુપ્રસાદ પંડ્યા)

આજે બારમી જાન્યુઆરી સ્વામીજીની જન્મજયંતી એટલે સાર્ધ શતાબ્દિનો મંગલ દિન છે. સ્વામીજી આજે પણ એટલાજ contemporary છે. આ કવિતા એમણે ૧૭મી ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ પેરીસમાં લખી સિસ્ટર ક્રિસ્ટાઇનને મોકલાવ્યું હતું.

જીવનની તડકી-છાંયડી એ એક સ્વપ્ન કે નાટક માત્ર છે એમ કહી સ્વામીજી દરેકને પોતપોતાનો ‘રોલ’ ભજવી લેવા આહ્વાન કરે છે. અને જિંદગી નામના સ્વપ્ન પાસે જ એની રૂક્ષતા, ભેંકારતાનો ઇલાજ પણ માંગે છે. ઇશ્વરપ્રેમનો સ્પર્શ આ સ્વપ્નને મળે તો વેરાન પણ લીલુંછમ બને અને મૃત્યુ પણ મીઠી મુક્તિનો માર્ગ બને.

સ્વામીજીની એક બીજી મજાની રચના – વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – પણ આપ લયસ્તરો પર માણી શકો છો.

Comments (7)

ગઝલ – હરીશ ઠક્કર

સાવ સ્વાભાવિક, સહજ હોતી હશે,
શ્વાસના લયમાં તરજ હોતી હશે.

હોય તો હમણાં જ તત્ક્ષણ હોય એ,
અંતવેળાએ સમજ હોતી હશે ?

હું નથી પહોંચ્યો હજી મારા સુધી,
મારે તે કરવાની હજ હોતી હશે ?

સ્હેજ ભીની થાય તો ઊગે કશુંક
આંખને જળની ગરજ હોતી હશે.

સાવ સાદી ને સરળ તો વાત છે-
બીજથી જુદી ઉપજ હોતી હશે ?

– હરીશ ઠક્કર

ચુસ્ત કાફિયા સાથેની ચુસ્ત ગઝલ.. એકદમ પ્રવાહી ગઝલ…  પણ મને તો કવિશક્તિના સાચા દર્શન મત્લાના શેરમાં થયા. શ્વાસથી વધુ સાહજિક અને સ્વાભાવિક ઘટના આપણા જીવનમાં બીજી કઈ હોઈ શકે ? આ બાબતને કવિએ સહજ અને તરજ જેવા કાફિયાઓમાં કેવી અદભુત રીતે વણી લીધી છે !

 

Comments (13)

સાંભળ્યું ? – પરાજિત ડાભી, તમન્ના આઝમી

મેં તને જે પણ કહ્યું, તેં સાંભળ્યું ?
બાગને તેં રણ કહ્યું, મેં સાંભળ્યું.

પ્રેમનું કારણ કહ્યું, તેં સાંભળ્યું ?
છીછરું તારણ કહ્યું, મેં સાંભળ્યું.

આંખને દર્પણ કહ્યું, તેં સાંભળ્યું ?
આંસુઓનું ધણ કહ્યું, મેં સાંભળ્યું.

ઘાવ તારા ગણ કહ્યું, તેં સાંભળ્યું ?
ને ફરીથી ખણ કહ્યું, મેં સાંભળ્યું.

છે કશું સગપણ? કહ્યું, તેં સાંભળ્યું ?
ના, નથી ગળપણ કહ્યું, મેં સાંભળ્યું.

– પરાજિત ડાભી, તમન્ના આઝમી

બધી જ રીતે અનૂઠી ગઝલ. આમ ગણો તો મત્લા ગઝલ અને આમ ગણો તો રદીફ ખરેખર કઈ એ વિશે પ્રશ્ન જાગે. આને યુગ્મ (ડ્યુએટ) ગઝલ ગણી શકાય અને કવિ પણ પહેલી નજરે બે લાગે.

જો કે મારી જાણકારી મુજબ તમન્ના આઝમી એ પરાજિત ડાભીની ડામી ન શકાયેલ અપરાજિત ઇચ્છાઓનું જ બીજું નામ છે… 😉

Comments (18)

ઘર-બંદર – લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

અમારા સંબંધ માટે લોકોને કૌતુક છે.
લોકોનું કહેવું છે-તેઓ માને છે-કે સંબંધ સુંવાળો હશે.
હું પણ માનું છું સુંવાળો છે,
જોકે જાણવું મુશ્કેલ છે,ક્યારેય મેં એ રીતે
વિચાર્યું નથી.

કેન્ડલલાઈટમાં ડીનર
અને ફક્કડ શરાબથી
કામ ચાલે છે
પણ,
નાંગરવા વિશે, ને
મારાં મૂળિયાં ઊખડી ન જવા પામે એ વિશે
બેફિકર થવા
મારે ક્યારેક ક્યારેક
મથામણ તો કરવી જ પડે છે.

-લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

બહુ જ સૂક્ષ્મ ઈશારો છે…. ધ્યાનપૂર્વક બે-ત્રણ વાર વાંચતા તે સમજાય છે…. નાયિકા સ્વ ને છોડવા નથી માંગતી…. પણ તે તેનું conscious decision છે. આ નિર્ણયને વળગી રહેતા તે પ્રેમની મસ્તી માણી નથી શકતી. સ્વ ને છોડવાની કોશિશ કરવી પડે છે,સહજ રીતે તે છૂટતું નથી ….અર્થાત સંબંધ હજુ તે ઊંડાણ સુધી પહોચ્યા નથી . હજુ તે કેન્ડલ લાઈટ ડીનર અને ફક્કડ શરાબના સ્તર ઉપર જ છે.

Comments (4)

ચાલ, ફરીએ ! – નિરંજન ભગત

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હૃદયનુ વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !

-નિરંજન ભગત

કાવ્યની સુંદરતા તેની સરળતામાં છે. જેમ જેમ કવિનું કદ વધતું જાય તેમ તેમ તેની વાણીમાં લાઘવ અને સરળતા આવતી જાય…..

Comments (9)

ઠીક છે – આબિદ ભટ્ટ

કાલની જો કળ વળે તો ઠીક છે,
આજ સહેવા બળ મળે તો ઠીક છે.

ક્ષણ સુખદ, ભૂલી પડે, એને હણે,
એ સ્મરણની પળ ટળે તો ઠીક છે.

છે સમય અસ્તિત્વના સંઘર્ષનો,
કૈંક રસ્તો નીકળે તો ઠીક છે.

લોક જીવે સાવ બ્હેરા કાન લઈ,
ચીસ જો તું સાંભળે તો ઠીક છે.

રિક્તતા લઈ ઘેર જાવાનું ફરી,
સાંજ વ્હેલી ના ઢળે તો ઠીક છે.

‘હું’પણાના લાખ આંટા વાળેલા,
દોરડીના વળ બળે તો ઠીક છે !

– આબિદ ભટ્ટ

આજના ગઝલના અતિરેકના દોરમાં આવી સાદ્યંત સુંદર અને સંતર્પક ગઝલ મળે એ મોતી ઉપલબ્ધિ ગણાય. બીજા નંબરનો શેર થોડો ગૂંચવાડાભર્યો લાગ્યો પણ એ સિવાય એક-એક શેર પાણીદાર. ‘સિંદરી બળે પણ વળ ના મૂકે’ની કહેવતનો આધાર લઈ દોરડી નહીં પણ એના વળને બાળવાની વાતને જાત નહીં પણ ‘હું’પણા સાથે સાંકળે છે ત્યારે એક ઉત્તમ શેર આપણને મળે છે…

Comments (10)

વાંચે છે – અનિલ ચાવડા

શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.

રતુંબડા ટહુકાઓ પ્હેરી આવી બેઠાં પંખીઓ સૌ,
ટહુકાઓ ઇર્ષાદ કરે છે, કવિ કવિતા વાંચે છે.

એકેક પાંદડે જાણે કે હરિયાળીની મ્હેંદી મૂકી,
ડાળે ડાળે સ્મિત ઝરે છે, કવિ કવિતા વાંચે છે.

આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.

ભીતરથી ભીંજાવાની એ ટપાલ સહુને વ્હેંચે છે,
શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.

– અનિલ ચાવડા

કવિતા વિશે તો ઘણા કવિઓ કવિતા કરી ગયા, કરતા રહેશે પણ કવિ કવિતા વાંચતો હોય એ ધન્ય ઘડીએ ખુદ ઇશ્વર કાન લગાવી ઊભો રહે અને પંચત્ત્વ આતિથ્ય સ્વીકારતા હોય એવી કલ્પના તો અનિલ જેવો નસ નસમાં મૌલિકતા લઈ જન્મેલો કવિ જ કરી શકે. વાંચીએ, ગણગણાવીએ અને ભીતરથી ભીંજાઈએ…

Comments (19)

નથી રહ્યો – અનંત રાઠોડ

નથી રહ્યો હું વાડનો, મકાનનો નથી રહ્યો,
હું સાંકળે તો છું જ પણ કમાડનો નથી રહ્યો.

દીવો ઉઠાવી અંધકાર શોધવા ગયો હતો,
બસ આજ લ્હાયમાં હવે ઉજાશનો નથી રહ્યો.

તરસ મને ગળે લગાવી અંતમાં રડી પડી,
ખબર મળી જ્યાં તટ ઉપર, તળાવનો નથી રહ્યો.

દશે દિશાઓમાં હવે તલાશવો પડે મને,
હું કોઈ એક પંથ કે વળાંકનો નથી રહ્યો.

ચણ્યો હતો તેં કેટલા વિભાગમાં મને ‘પ્રણય’
અસર છે એની કે કોઈ પ્રકારનો નથી રહ્યો.

– અનંત રાઠોડ

આમ તો આખી ગઝલ સરસ પણ છેલ્લી બે શેર અનંત પ્રભાવ છોડી જાય એવા…

Comments (9)

– ભૂલ -જગદીશ જોષી

પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ :
પ્રેમથી કઠ્ઠણ થઈ ગયું છે જીવન જાણે ભૂલ !

અરસપરસની વાત : રાત તો દીવાલ પરનો રંગ,
દીવાલ પાછળ ઝૂરી રહે છે જીવ બનીને તંગ
કુરુક્ષેત્ર પર વાવી દીધું આખુંયે ગોકુળ :
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

હોઠે ભમતાં ગીતની પાછળ અવળાસવળા સૂર,
આગળ પાછળ પાગલ પગલાં : પ્રાણ વહે છે દૂર;
સરવર, તારા તળિયે જોને ધૂળ,ધૂળ ને ધૂળ !
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

-જગદીશ જોષી

પહેલી પંક્તિ જ સોંસરવી ઉતરી ગઈ….. એક અકથ્ય વેદનાનું કાવ્ય છે……વ્યક્તિ સ્વ-ભાવ ગુમાવી બેઠી છે કે પ્રકૃતિ ? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..

Comments (7)

હિન્દી કાવ્ય – [ ઓશો ]

जब तक यह शीशे का घर है
तब तक ही पत्थर का डर है

हर आँगन जलता जंगल है
दरवाजे सांपो का पहरा
ज़रती रोशनियों में अब भी
लगता कहीं अँधेरा ठहरा

जब तक यह बालू घर है
तब तक ही लहरों का डर है

हर खूँटी पर टंगा हुआ है
जख्म भरे मौसम का चेहरा
शोर सडक पर थम हुआ है
गलियों में सन्नाटा गहरा

जब तक यह काजल का घर है
तब तक ही दर्पण का डर है

हर क्षण धरती टूट रही है
जर्रा-जर्रा पिघल रहा है
चाँद-सूर्य को कोई अजगर
धीरे-धीरे निगल रहा है

जब तक यह बारूदी घर है
तब तक चिनगारी का डर है

[ આ કાવ્યના કવિ વિષે કોઈ માહિતી નથી . જો કોઈ ભાવકને હોય તો પ્રકાશ પાડવા વિનંતી . કાવ્ય ઓશો રજનીશના પુસ્તક “અથાતો ભક્તિ જીજ્ઞાસા” માંથી લીધું છે .]

સમગ્ર તકલીફ identification [ મોહ ] ની છે . કાવ્યનો મૂળ સૂર identification થી આપણને સાવચેત કરવાનો છે….

Comments (9)

ક્યારે સવાર થાશે? – કુલદીપ કારિયા

અટકાવ તું ભલેને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

અહિયાં તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઇ કહો, ખરેખર ક્યારે સવાર થાશે?

સમજાવ એમને તું, છેટા રહે નહીતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળું પસાર થાશે

કેવી જમીન છે આ? વાવો તો કંઈ ઊગે નૈ
વાવો નહિ તો ઊગશે, ઊગી અપાર થાશે

– કુલદીપ કારિયા

મજાની અર્થગંભીર ગઝલ…

Comments (9)

નથી – કિરીટ ગોસ્વામી

કોઈ વાતે માનવાનું તો નથી,
મન બીજાને ચાહવાનું તો નથી !

તોય લઉં છું રાહ જોવાની મજા :
કોઈ ઘરમાં આવવાનું તો નથી !

હું જ મારી આગમાં આખર બળીશ;
કોઈ તારું દાઝવાનું તો નથી !

સાવ કાચું લાગણીનું ફળ ખરે;
એ સમજથી પાકવાનું તો નથી !

ભાગ્ય મારું, બંધ પરબીડિયું ‘કિરીટ’,
કોઈ આવી વાંચવાનું તો નથી !

– કિરીટ ગોસ્વામી

સાંગોપાંગ આસ્વાદ્ય ગઝલ…

Comments (9)

સાગરતટે… – વાડીલાલ ડગલી

નીચે હલેસાંનો ખળભળાટ,
ઊંચે બે પાંખોનો ફફડાટ.
બેય તરે,
બેય કરે,
નીલ મૌનનો મલપતો ઝંકાર
પવનના ઢાળ પરે
બેય સરે
ક્ષિતિજના ક્ષુધાતુર અંતરપટે.

– વાડીલાલ ડગલી

શ્રી સુરેશ દલાલના શબ્દોમાં આ કાવ્ય:

આ કાવ્ય કવિની પ્રતિભાનો પરિચય એટલી હદે આપે છે કે આ કાવ્યના સંદર્ભમાં જ કવિ વાડીભાઈને પૂરેપૂરા પામી શકીએ.

હલેસાં અને પંખીને અડખેપડખે મૂકીને કવિએ પોતાની દૃષ્ટિના વ્યાપમાં ધરતી અને આકાશને સમાવી દીધાં છે. પંખી આકાશ-સમુદ્રની હોડી છે તો હોડી એ સમુદ્રનું પંખી છે. હલેસાં અને પાંખોના ખળખળાટ અને ફફડાટની વચ્ચે કવિને તો સંભળાય છે કેવળ મૌનનો ઝંકાર. પણ આ મૌનને પણ એનો રંગ છે. અને એટલે જ કવિ કહે છે: “નીલ મૌનનો મલપતો ઝંકાર”. અમૂર્ત પવનને કવિએ મૂર્ત કર્યો છે “પવનના ઢાળ પરે” કહીને.

Comments (4)

ગઝલ – ફૈઝ અહમદ ફૈઝ અનુ.- હરીન્દ્ર દવે

બંને જગતને તારી મહોબતમાં હારીને,
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહ રાત્રિ ગુજારીને.

વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.

તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથી યે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.

એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ,
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.

– ફૈઝ અહમદ ફૈઝ અનુ.- હરીન્દ્ર દવે

दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

वीराँ है मयकदः[1] ख़ुमो-सागर[2] उदास हैं
तुम क्या गये कि रूठ गए दिन बहार के

इक फ़ुर्सते-गुनाह मिली, वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार[3] के

दुनिया ने तेरी याद से बेगानः कर दिया
तुम से भी दिलफ़रेब[4] हैं ग़म रोज़गार के

भूले से मुस्कुरा तो दिये थे वो आज ’फ़ैज़’
मत पूछ वलवले दिले-नाकर्दःकार[5] के

शब्दार्थ:

↑ शराबघर
↑ सुराही और जाम
↑ ईश्वर, ख़ुदा
↑ दिल को धोखा देने वाले
↑ अनुभवहीन हृदय

Comments (7)

ગઝલ – હેમંત ધોરડા

એકધારો ધીમે ધીમે રૂમમાં પંખો ફરે,
બલ્બનો અજવાસ મૂંગો ભીંતથી ખરતો રહે.

ધૂંધળાતા ધૂમ્રસેરોમાં વિખેરાતા શબદ,
એક કાગળ કોરો કાળા મેજ પર કોરો રહે.

લાકડાની બારી,બારીનો જરા તૂટેલો કાચ,
એક ટુકડો ઝાંખા તડકાનો સ્મરણ જેવો પડે.

પરદા છેડા પરથી ફાટેલા જરા હલતા નથી,
એક અટકેલો સમય પણ ના હલે કે ના ચાલે.

છતથી ગળતાં પાણીનાં ધાબા પડે દીવાલોમાં,
અણકથી એક વાત પણ ગૂંગળાય ગૂંગળાય કરે.

-હેમંત ધોરડા

એક ઓરડામાં આખું ભાવવિશ્વ ખડું કરતી અનોખા અંદાઝની એક સશક્ત ગઝલ….

Comments (12)

‘શબ્દો છે શ્વાસ મારા’ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી 2011નું ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું પારિતોષિક

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી ‘પ્રથમ સર્જનાત્મક પુસ્તક’નું વર્ષ 2011 માટેનું પારિતોષિક વિવેકના પ્રથમ ગઝલસંગ્રહ ‘શબ્દો છે શ્વાસ મારા’ને મળ્યું છે. આજે સુરત ખાતે યોજાયેલા પરિષદના 27મા જ્ઞાનસત્રમાં પ્રમુખશ્રી વર્ષા અડાલજાના હસ્તે આ પારિતોષિક એનાયન થયું. લયસ્તરો માટે તો આ અનેરા આનંદ અને ગૌરવનો પ્રસંગ છે. લયસ્તરો પરિવાર તરફથી વિવેકને અભિનંદન અને એ હજુ આગળ વધુ ઉંચાઈ પર પહોંચે એવી શુભેચ્છા.

Comments (37)

ખસેડીને – હરીશ ધોબી

નડ્યાં’તા કંટકો જ્યાં ખૂબ એડીને
ફરી પાછી મેં પકડી એ જ કેડીને

બધીયે શાંત ઇચ્છાઓ કરી દીધી
સદા માટે મેં પાણી ઠંડુ રેડીને

નથી સંભાવના વરસાદની કોઈ
અને ખેતર મેં મૂકી દીધું ખેડીને

મથે છે કોણ જાણે સિદ્ધ શું કરવા
સતત એ રાગ એનો એ જ છેડીને

અચાનક આમ એ પ્હોંચી ગયા આગળ
મને આખ્ખોય બાજુ પર ખસેડીને

– હરીશ ધોબી

કાલોલ, પંચમહાલના કવિની એક શાનદાર ગઝલ આજે અમારા હસ્તક્ષેપ વિના માણીએ….

Comments (4)