જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.
મરીઝ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
March 25, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.
દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.
કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?
રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે
ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?
– હરીન્દ્ર દવે
મને બહુ લાંબા સમયથી એક પ્રશ્ન થયા કરતો હતો કે કૃષ્ણ વૃંદાવન છોડી મથુરા જાય છે ત્યાર પછી તેઓ કદી પાછા વૃંદાવન આવતા નથી કે નથી કદી રાધાને મળતા. આવું કેમ ?? આમ તો સમગ્ર કૃષ્ણાવતાર અને મહાભારત mythological literature છે,છતાં શું કોઈ ગ્રંથમાં આ અંગે કોઈ ઉલ્લેખ કે સ્પષ્ટતા છે ખરી ? મારી રીતે મેં થોડી શોધખોળ કરી,પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. મૂળ મહાભારત તેમજ ભાગવતમાં રાધાના પાત્રનો કોઈ ઉલ્લેખ જ નથી. વિદ્વાનોના મતાનુસાર રાધાનું પાત્ર આશરે પાંચમી સદીની આસપાસ પ્રથમવાર ભીંતચિત્રોમાં દેખાય છે. તે પહેલા તેનો કોઈ જ ઉલ્લેખ નથી. હકીકત જે પણ હોય તે, પરંતુ રાધા વગર કૃષ્ણની કલ્પના સુદ્ધા થાય ખરી !!!!
આ ગીતનું ખૂબ સુંદર સ્વરાંકન ટહુકો.કોમ પર ઉપલબ્ધ છે.
Permalink
March 24, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું
નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું
ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું
આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું
પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું
આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું
– મનોજ ખંડેરિયા
Permalink
March 23, 2013 at 1:15 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃત્સ ઋષિ, હરીન્દ્ર દવે
(અનુષ્ટુપ)
देवस्य पह्य काव्यम्
न ममार न जीर्यति ।
પરમાત્માનું આ કાવ્ય નીરખ : જે કદી મરતું નથી,
કદી જીર્ણ થતું નથી.
-કૃત્સ ઋષિ
(અથર્વવેદ, ૧૦,૮,૩૨)
(અનુ. હરીન્દ્ર દવે)
કવિ હરીન્દ્ર દવેના શબ્દોમાં:
અને આ કાવ્ય કોઈ પણ આધુનિક કાવ્ય જેટલું એબ્સર્ડ છે, સરરીઅલ છે અને વાસ્તવિક પણ છે, છતાં એ કાવ્ય છે કારણ કે એ હૃદયને સ્પર્શે છે.
વિસ્તરતું આકાશ આપણને એનો લય સંભળાવે છે; વહેતો પવન જાણે એના પ્રલંબિત લયની ઝાંખી આપે છે. ઊગતાં વૃક્ષો કે પ્રથમ વર્ષાની રાત પછીની સવારે માટીમાંથી કોળી ઊઠતાં તરણાં તેની લાગણીઓ છે. પરમાત્માનું કાવ્ય એટલે કે આ સકલ સંસારની લીલાનું કાવ્ય ન કદી મરે છે, ન કદી જીર્ણ થાય છે.
Permalink
March 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ.
નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જાઈશ.
સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસ મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જાઈશ.
પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે
કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જાઈશ.
– જવાહર બક્ષી
નકરી પૉઝિટિવિટીની ગઝલ… થાક લાગે, દિવસનું પડીકું વાળીને સૂઈ જવું પડે પણ સવારે આવતાં સોનેરી સ્વપ્નની આશા ઢળવાથી ફળવા સુધીની યાત્રા સહ્ય બનાવે છે. જીવનનું તથ્ય ભ્રમનિરસન કરી જીવવામાં રહેલું છે. હરણનાં શિંગડાંઓને તોડવાની વાતને તમે મૃગજળની પાર ઉતરવા સાથે અથવા સોનેરી મૃગના શિકાર સાથે પણ સાંકળી શકો. હરણનાં શિંગડાં કહે છે કે પોલાં હોય છે. ભ્રમના ચહેરા પણ એ જ રીતે પોલા નથી હોતા ?
“જઈશ”ની જગ્યાએ “જાઈશ” જેવો તળપદી અને પહોળો ઉચ્ચાર રદીફની ધનમૂલકતાને વધુ ઘૂંટીને ગઝલને વધુ ઉપકારક બનતો હોય એવું અનુભવાય છે.
Permalink
March 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, હીરા પાઠક
દયિત, તું નિર્દય !
પૂછું તને, મને આમ નોધાર,
મૂકીને જવામાં શો જડ્યો સાર ?
તું વદીશ ‘વિધિના એ લેખ’ !
હા ! વિધિના એ લેખ !
વજ્ર સજડ મારી જીવિત પે મેખ
ઊખડે ન કષ્ટ ક્લિષ્ટ રેખ
કાયકારાગાર તોડ્યે
છૂટે નવ છેક.
લહું આજ, પ્રિય !
વારંવાર ગ્લાનિરંગે,
લવ્યું નાહીં જે જે પૂર્વ તુજ સંગે
તુંજને વરીને હું ન વિરહને વરી ?
વિરહ, મારે પ્રેમનો પર્યાય.
– હીરાબહેન પાઠક
વાત વિરહની છે પણ સાવ સીધીસાદી નથી. કવિતામાંઉતરવું શરૂ કરીએ એટલે થોડીવારમાં જ સમજાઈ જાય કે અહીં પતિ પત્નીને કાયમ માટે છોડી પ્રભુસદનમાં જઈ વસ્યો છે જ્યાં બંનેનું મિલન પત્નીની કાયાનું કારાગાર તૂટે એ પછી જ હવે શક્ય છે.
કવિતાના પહેલા ત્રણ શબ્દ જ આ સંબંધ વિશેનું આખું મહાકાવ્ય લખી આપે છે… વહાલાના સંબોધન પછીનો તુંકારો અને તરત જ નિર્દયી હોવાનો ઉપાલંભ બંને વચ્ચેનો સ્નેહતંતુ તાદૃશ કરી દે છે. આ છે શબ્દની શક્તિ!
અકાળે પતિનું મૃત્યુ એ ભલે વિધિના લેખ કેમ ન હોય પણ ભાર્યાના જીવતર પર તો એ વજ્રની મેખ સમા જડાઈ ગયા છે. પતિની હયાતિમાં જે પ્રેમાલાપ શબ્દોમાં મૂકાવો જોઈતો હતો પણ મૂકી શકાયો નહીં, એ અણકથ શબ્દો પત્નીને હવે વિરહરૂપી પ્રેમ બનીને પીડે છે.
આ જ કવયિત્રીએ સ્વર્ગવાસી પતિને સંબોધીને લખેલા પુસ્તકમાંનું આ કાવ્ય -મિલનની સાથ- પણ જોઈ જવા જેવું છે.
(દયિત=પતિ, વહાલું; લહું= લખું; લવ્યું= કહ્યું )
Permalink
March 19, 2013 at 1:30 AM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
અનુભવ ગહરા ગહરા
નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!
ચલત ફિરત મેં અપની ગતમેં
ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
સુન સુન ગીત ગંભીરા!
ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!
– જયન્ત પાઠક
જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે.
Permalink
March 18, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, વિનોદ જોશી
મને ભૂલી તો જો,
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તું ય હજી આંજે અણસાર, અને મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
-વિનોદ જોષી
મીઠ્ઠું-મધુરું ગીત ……
Permalink
March 17, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે
દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઇ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી -જે ગમે તે ધાર, જેવી વાત છે
એક દિવસ શેરડીના ખેતરે જાણીતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઇશ, બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે
લીલીછમ વાડીએ જઇને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે ?
આજુબાજુ જોઇ પોતાને કહ્યું, રાખને દસ-બાર… જેવી વાત છે
વાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઇને છાયાથી ડરે ?
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે
દિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા ?
આંખમાં આંખો પરોવાઇ ગઈ, બે અને બે ચાર જેવી વાત છે
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાંના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે
– ઉદયન ઠક્કર
ગત રવિવારે કવિશ્રી ઉદયન ઠક્કરને રૂબરૂ મળવાનો-માણવાનો લ્હાવો મળ્યો. કવિ જે રીતે સામાન્ય વાતચીતમાં અત્યંત સહજતાથી અને પટુતાથી વ્યંગબાણ છોડતા હતા તે કળા અદભૂત હતી. હસાવતા હસાવતા વિચારતા કરી મૂકવાની તેમની ખાસિયત અવિસ્મરણીય હતી ! તેઓનું તેઓની આજુબાજુના વિશ્વનું અવલોકન માત્ર તલસ્પર્શી હતું એટલું જ નહિ પણ તેમાં કવિ-દ્રષ્ટિની આગવી સંવેદનશીલતા પણ હતી. પ્રસ્તુત ગઝલ તેઓની એ કળાનો જીવતો-જાગતો નમૂનો છે……
Permalink
March 16, 2013 at 2:58 AM by વિવેક · Filed under અમીન આઝાદ, ગઝલ
જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ.
તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો;
તમે જોયું અને એક જ ઇશારે રાત ચાલી ગઈ.
હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી સવારે રાત ચાલી ગઈ.
જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઇ સવારે રાત ચાલી ગઈ.
તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.
– અમીન આઝાદ
આ વર્ષ સુરતના ગઝલગુરુ અમીન આઝાદની જન્મશતાબ્દિનું વર્ષ છે. અમીન આઝાદ સાઇકલની દુકાન ચલાવતા હતા પણ કહેવાય છે કે આ દુકાને ટાયર ઓછા અને શાયર વધુ જોવા મળતા, પંક્ચર ઓછાં અને શેર વધુ રિપેર થતા. મરીઝ, ગનીચાચા, રતિલાલ અનિલ જેવા ધુરંધર શાયરોના એ ગુરુ. મેઘાણી-ઘાયલ જેવા પણ એમની દુકાને જવામાં ગર્વ અનુભવતા.
એમની આ ગઝલમાં રાતના ચાલી જવાની અર્થચ્છાયાઓ એ કેટલી બખૂબી ઉપસાવી શક્યા છે !
Permalink
March 15, 2013 at 2:12 AM by વિવેક · Filed under મિલિન્દ ગઢવી, વિલાનેલ
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b1) વ્હેણ સમજ ‘ને વહી જા સાથે
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
પંક્તિ1 (a3) શ્રદ્ધાને ખોતર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b2) તર્કોના નખ ઝેરીલા છે
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
પંક્તિ2 (a4) લૂના રસ્તે ફર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b3) મૃગજળ વચ્ચે જાત મૂકીને
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
પંક્તિ3 (a5) ચોરે તું ચીતર મા, મનિયા ! *
પ્રાસયુક્ત પંક્તિ (b4) ઘરની વાતો ઘરમાં શોભે
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
પંક્તિ4 (a6) દિવસે દીવો ધર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b5) સૂરજભાનો અહમ્ ઘવાશે
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
પંક્તિ5 (a7) મે’માનો નોતર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b6) બેસી એકલતાને તીરે
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
– મિલિન્દ ગઢવી
(* અંતરના ઊંડાણની વેધૂને કહેવાય,
ચોરે નૉ ચીતરાય ચિત્તની વાતું ‘શંકરા’
– શંકરદાનજી દેથા)
વિલાનેલ (Villanelle)એક એવો કાવ્યપ્રકાર છે જે 19મી સદીમાં ફ્રેન્ચ મોડૅલ્સમાંથી અંગ્રેજી ભાષા-કવિતામાં ઊતરી આવ્યો છે. આ શબ્દ ઇટાલિયન villanella પરથી આવ્યો છે જેનું મૂળ છે લૅટિન villanus (ગામઠી). વિલાનેલઓગણીસ લીટી લાંબું હોય છે, જેમાં પાંચ ત્રિપદી (a-b-a પ્રકારની)અને એક છેવટની ચતુષ્પદી(a-b-a-a પ્રકારની)નો સમાવેશ થાય છે.પ્રથમત્રિપદીની પહેલી અને ત્રીજી કડી ધ્રુવપંક્તિઓ હોય છે જે દરેક અનુગામી ત્રિપદીની ત્રીજી લીટી તરીકે એકાંતર પુનરુક્તિ પામે છે અને ચતુષ્પદીમાં દુપાઈ રૂપે અંતિમ બે પંક્તિ તરીકે સાથે આવે છે. તેની રચના બિન-રેખીય હોવાને કારણે, નૅરેટીવ ડેવલપમેન્ટ અટકાવે છે.વિલાનેલનુંકોઈ સ્થાપિત મીટર નથી. તેના આધુનિક સ્વરૂપનું સત્વ તેના પ્રાસ અને પુનરાવર્તનની વિશિષ્ટ પેટર્ન છે.
(મિલિન્દ ગઢવી)
Permalink
March 14, 2013 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે.
જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે ? ના આવે.
નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે.
તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.
આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.
– અનિલ ચાવડા
‘શયદા’ પુરસ્કાર અને ગુજરાત રાજ્ય યુવાગૌરવ પુરસ્કારના વિજેતા કવિ અનિલ ચાવડા એ આજની ગઝલનો બદલાતો અવાજ છે. આ અવાજ બળકટ પણ છે અને ભાષાની બરકત વધારે એવો પણ છે. અગાઉ એક સંગ્રહ અન્ય ચચ્ચાર મિત્રો સાથે ભાગીદારીમાં આપ્યા પછી કવિ લાં…બી પ્રતીક્ષા બાદ પોતાની ખુદની “સવાર લઈને” રજૂ થાય છે ત્યારે લયસ્તરોના અને મારા ખાસ લાડકા આ કવિનું એના ગઝલસંગ્રહ સાથે બાઅદબ સ્વાગત છે…
આ સાથે જ અનિલના બીજા બે પુસ્તકો – “શબ્દ સાથે મારો સંબંધ” (સંપાદન) અને “એક હતી વાર્તા” (વાર્તાસંગ્રહ) પણ પ્રગટ થયા છે. સર્જકને હાર્દિક અભિનંદન.
Permalink
March 10, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
આ ગતિથી દ્રષ્ટિના દીવાઓ ધૂંધળા થઇ ગયા;
હું સ્કૂટર, રસ્તો- અને ચહેરાઓ ઝાંખા થઇ ગયા.
લક્સની ફિલ્મી મહેંક, ગીઝર ને શાવર બાથ આ;
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઇ ગયા.
સિક્સ ચેનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં;
કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા.
બારીઓમાંથી સ્કાયસ્કેપર રોજ આવે ખરેખર;
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઇ ગયા.
વૃક્ષ છોડીને વસાવ્યા પંખીઓએ એરિયલ;
લીલાં લીલાં પાંદડા તરડાઇ પીળા થઇ ગયા.
આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ;
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઇ ગયાં?
અંજલિ અર્પું પ્રથમ સંવત્સરીએ હું મને;
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઇ ગયા !
– ભગવતીકુમાર શર્મા
ગુજરાતી ગઝલમાં અંગ્રેજી શબ્દોના પ્રયોગ સામે મને અંગત અણગમો છે. પરંતુ આ ગઝલે મારો એ અણગમો જાણે કે દૂર હઠાવી દીધો ….! શું બળકટ અભિવ્યક્તિ છે !
Permalink
March 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રાવજી પટેલ
બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;
અને આ કોસે તો બસ હદ કરી: આંખ મળતાં
ઉલેચ્યાં પાતાળો પુનરપિ, હવે તે ટપકતો
રહ્યો ભીંતે, બેઠું વિહગ જઈ ત્યાં, સીમ નીરખી
કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.
ચડ્યો ઝોકે એવો બળદ પણ, બીજો મુજ સમો
રહ્યો આ વાગોળી. લચકઈ પડ્યાં લોચન મહીં
પછી તો ડૂંડાઓ, હરખ નવ માયો હૃદયમાં.
ફરી આવું થોડું ચલ મન, જરી ખેતર વિષે.
જતાં રોડું વાગ્યું, ચરણ લથડ્યો, આંખ ફરકી,
અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો !
-રાવજી પટેલ
જો બારના બદલે ચૌદ પંક્તિઓ હોત તો આ ઊર્મિકાવ્ય ચોક્કસ જ સારા સૉનેટની પંક્તિમાં સ્થાન પામી શક્યું હોત. રાવજીની કવિતાઓમાં ગામડું જીવી ઊઠે છે. ખેતર વિચારે ચડી જાય એવા મજાના કલ્પનથી ઉઠાવ પામતું આ કાવ્ય ટપકતી આંખની જે ટપકી રહેલા કોસની વાત કરી આગળ આવનાર કરુણતાની એંધાણી આપતું અંતે અકાળે અવસાન પામેલા ભાઈની યાદ આવતાં જે રીતે ભાવકને વેદનાની ચરમસીમાએ લઈ જાય છે એ જોતાં શિખરિણી છંદ સાર્થક પ્રયોજાયો હોય એમ લાગે છે.
Permalink
March 8, 2013 at 12:35 AM by વિવેક · Filed under ન્હાનાલાલ દ. કવિ, પ્રાર્થના
મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા નુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હોયે કંઈ દિનની.
સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ! ક્યહારે ઊઘડશે ?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ ! ક્યહારે ઊતરશે ?
નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.
– ન્હાનાલાલ
સચરાચરમાં વ્યાપ્ત સર્વજ્ઞ પ્રભુના દર્શન આડે આવતા ચર્મચક્ષુ અને આળસ, મોહ-માયાના બંધથી અંધ આંખોની આરત કવિ શ્રી ન્હાનાલાલની પ્રાથનામાં તારસ્વરે રજૂ થઈ છે. આપણા સાહિત્યના અમૂલ્ય વારસામાંથી આ એક મોતી અજે આપ સહુ માટે…
(રક્ત=લીન, આસક્ત; ચરાચર= જડ અને ચેતન; ગમ=સૂઝ)
Permalink
March 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
એકધારી આવ-જા ગમતી નથી,
જિંદગીની આ અદા ગમતી નથી.
સ્હેજ તીખો, સ્હેજ તૂરો સ્વાદ દે,
માત્ર આ મીઠી મજા ગમતી નથી.
ભાવની ભીનાશ વરસાવો જરા,
સાવ સુક્કી સરભરા ગમતી નથી.
વિસ્મયોનું વન વઢાયું ત્યારથી –
એ પરીની વારતા ગમતી નથી.
પ્હાડ પીગળતા નથી થોડાઘણા,
પથ્થરો જેવી પ્રથા ગમતી નથી.
દાદ દેવા કોઈ પણ ડોલે નહીં !
શિસ્તમાં બેઠી સભા ગમતી નથી.
– નીતિન વડગામા
Permalink
March 4, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.
સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.
શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે
જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે
એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.
– ખલીલ ધનતેજવી
Permalink
March 3, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને
ક્યાંયે મળી ન કોઈ ડાળી.
ઊગતે પહોર એક આવ્યો કિલકાર
પેલા આથમણા આભને વીંધી,
અંધારી રાત મહીં આથડતાં વાટ એને
તારાએ તારાએ ચીંધી;
કોઇ કોઇ વાર મારે પિંજર પુકારે ને
હેરું તો દિયે હાથતાળી.
આંખો માંડું તો એક પીંછુ આઘે તરે
ને સાંભળવા બેસું તો સૂન,
કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
કેવી ધધકતી ધૂન!
ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
ટહુકાનો રંગ લઉં ભાળી.
– મકરન્દ દવે
ટહુકો એ પરમાત્મા રૂપી જ્યોત છે. કવિના હૈયે એક આત્મારૂપી જ્યોત ટમટમે છે. ઊગતો પ્હોર એટલે જન્મ. કવિનું હૈયું એક અજબ અજંપો અનુભવે છે…. એને ખૂબ અસ્પષ્ટ આછો અંદાજ છે કે જ્યોત ભલે બે ભાસતી હોય,પણ અગ્નિ એક જ છે. કવિની ઇન્દ્રિયો કવિને એ વિશ્વાનલનો અનુભવ કરાવવા અસમર્થ છે અને તેને પામવાની એક ધૂન સતત કવિહૈયે ધધકતી રહે છે…. આ શરીરનું પાંજરું તોડી ને આંતર્જ્યોત ઊર્ધ્વિત થશે તો જ વિશ્વાનલમાં લીન થઇ શકશે.
Permalink
March 2, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
વાત અસલ, કાગળમાં આવે
શબ્દો ત્યાં તો વચમાં આવે
એનાથી મોટો શો વૈભવ !
તડકો સીધો ઘરમાં આવે
ભીતર ભીનું સંકેલો ત્યાં
આંખોમાંથી પડમાં આવે
સાર બધા ગ્રંથોનો એક જ
પાથરીએ તે પગમાં આવે
તો માથે મૂકીને નાચું
ઘટ-ઘટમાં તે ઘટમાં આવે
પકડ્યો છે પડછાયો સાધુ !
અજવાળું શું બથમાં આવે.
– સ્નેહી પરમાર
સાધુ, આને કહેવાય અસલી ગઝલ… શબ્દનો આકાર જેવો આપવા જઈએ કે અસલી અનુભૂતિ બદલાઈ જાય છે. અનુભૂતિને હેમક્ષેમ રજૂ કરી શકે એવી ભાષા તો હજી શોધાવાની જ બાકી છે.કવિ જે કમાલ બે પંક્તિઓમાં કરી શકે છે એ કમાલ ઉપનિષદ-વેદોના આખેઆખા થોથાંય કરી શકતા નથી. પણ આ કવિ તો એથીય આગળ છે. બધાય ગ્રંથોનો સાર કવિ માત્ર એક જ લીટીમાં આપી દે છે: પાથરીએ તે પગમાં આવે. જે સમષ્ટિમાં છે એ તત્ત્વ દેહમાં આવે તો કવિ આર્કિમિડિઝની જેમ ઉલ્લાસ વ્યક્ત કરવા કટિબદ્ધ છે. અને અંતે પડછાયા પકડવાની વૃત્તિ હોય તો અજવાળું ક્યાંથી હાથમાં આવે? કેમકે પડછાયા અને પ્રકાશની વચ્ચે જે વસ્તુનો પડછાયો પડે છે એ તો ઊભી જ હોવાની…
Permalink
March 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ઊર્મિકાવ્ય, એમિલી ડિકિન્સન, વિશ્વ-કવિતા
હૃદય ભલા, બે ભેળાં થઈને
એને ભૂલીએ ખાસ.
તું એની આપેલી ઉષ્મા, હું એનો અજવાસ.
જ્યારે તારું કામ પતે ને
દેજે મુજને સાદ,
સંકોરીશ હું વિચાર દીપની શગ
જલ્દી કરજે
સ્હેજ જરા પણ તું પડશે જો પાછળ
તો બસ એ જ પળે
એ આવી જાશે યાદ.
-એમિલિ ડિકિન્સન
(ભાવાનુવાદ: ઉર્વીશ વસાવડા)
*
વેલેન્ટાઇન ડે પર એમિલિ ડિકિન્સનની આ કવિતા રજૂ કરી એનો સાછંદ પદ્યાનુવાદ મોકલાવી આપ્યો એ આજે આપ સહુ માટે…
Permalink
February 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
હું ખેડું, તું વાવ,
આપણા ખેતર સૌ લ્હેરાવ,
હું વેડું, તું લાવ,
આપણી દોસ્તીનો એ દાવ.
કર માખણ-શી માટી મારી,
તારે ચાક ચડાવ,
ઘડા-કુલડી-માટ-કોડિયાં
ખપનાં ઠામ ઘડાવ,
હું પાકું એમ પકાવ,
હું દીપ ધરું, દરશાવ !
ઊંડો ખોદું કૂપ, ઝરણથી
તારાં એ ઊભરાવ,
તળિયું તરતું થાય, તલાવે
જળ એવાં છલકાવ !
હું ખૂલું, તું આવે !
આપણો જલસે થાય જમાવ !
– ચંદ્રકાન્ત શેઠ
ઇશ્વર સાથેની દોસ્તીનું એક મધુરું ગીત.. તળિયાને તરતું કરાવવાની વાતમાં આ ભક્તિભાવ કવિતાના સ્તરે પહોંચે છે…
Permalink
February 25, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under હિન્દી કાવ્ય - ઓશો
“मैं रुका रहा
किसी बाँस की डाली की तरह
हवा के सामने झुका रहा
और आवाज सुनता रहा एक
कि नति ठीक है
मगर मना नहीं है तुम्हारे लिये गति
हमने तो तुमसे उन्नत होने के लिये कहा है
विरति की बात कहाँ कही है हमने
रत रहने के लिये कहा है हमने तो तुमसे
सुनने को सुनता रहा मै यह आवाज
मगर समझ लिया मैंने
कि यह एक सलाह है
अपनी एक राह है मेरी
रुकने की और झुकने की
किसी न किसी जगह
पूरी तरह चुकने की ।”
-ओशो – अथातो भक्ति जिज्ञासा – માંથી , કવિના નામ વિષે માહિતી નથી .
કોઈકે લિઓનાર્દો દ વિન્ચીને પૂછ્યું હતું – તમે નવોદિતોને વારસામાં શું આપવા ઇચ્છશો ? – તો તેઓનો જવાબ હતો – એક જ આગ્રહભરી વિનંતી – કદી તમારા મા-બાપ અને શિક્ષકોની સલાહ માનશો નહીં. પંડને જે દિશા સાચી લાગે તે દિશામાં નિર્ભયતાથી આગળ ધપજો ……
અંતિમ ચાર પંક્તિઓમાં આખી કવિતાનો અર્ક છે ….
Permalink
February 23, 2013 at 11:44 PM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
રૂપ રહેવા દે મ્યાન, આપી દઉં
ખંડણીમાં ગુમાન આપી દઉં
ભૂલથી પણ એ ભાવ પૂછે તો…
આખે આખી દુકાન આપી દઉં
મોસમે પૂછ્યું, આંખ મિચકારી
‘એક ચુંબન શ્રીમાન આપી દઉં?’
પાનખર આવે તો ભલે આવે
એને પણ માન-પાન આપી દઉં
કાં તો ભમરાને ગાન ના આપું
કાં તો કળીઓને કાન આપી દઉં
બોલ્યા પંડિત પતંગિયું જોઇ
‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં!’
– ઉદયન ઠક્કર
રમતિયાળ ગઝલ ……
Permalink
February 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગરબી, દયારામ
ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.
મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢ-તડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મહેર આણિ મનમાં, ઓ વ્રજનારી !
હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી,
સુખ-દુઃખ કાંઈ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી !
મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી !
ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધી,
દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી !
માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી ! ઓ વ્રજનારી !
– દયારામ
વ્રજની ગોપીઓ દયારામની એક ગરબીમાં કૃષ્ણ વાંસળીને પોતાના કરતાં વધુ વહાલ કરે છે એમ માનીને ‘વેરણ’ અને ‘શોક’ કહી બોલાવે છે એનો પ્રત્યુત્તર વાંસળી આ ગરબીમાં આપે છે. વાંસલી વ્રજનારીને કહે છે કે અમને નહક આળ ન દે. અમારા આગલા જન્મોના પુણ્ય છે. અમે વનમાં ટાઢ-તડકો-મેઘઝડીઓ ખુલ્લા ડિલે મનમાં સુખ-દુઃખ આણ્યા વિના ઝીલ્યાં છે. અંગે કાપા પડાવ્યા, સંઘાડે ચડ્યા અને પછી કાયામાં છીદ્રો પડાવ્યાં ત્યારે મુરારીએ મને હોઠવગી કીધી છે.
(ચાચર = ખુલ્લો ચોક)
Permalink
February 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under બંકિમ રાવલ, શેર, સંકલન
અમદાવાદથી વ્યવસાયે એન્જિનિઅર એવા બંકિમ રાવલ એમનો પ્રથમ સંગ્રહ “ઢળે જો સાંજ” લઈને આવે છે. માત્ર એકાવન કૃતિઓનો રસથાળ પીરસતો આ નાનકડો સંગ્રહ ૨૧ ગીત, ૨૨ ગઝલ અને બાકીના અછાંદસ-હાઇકુઓથી સજ્જ છે. માત્ર બાવીસ જ ગઝલમાં અલગ અલગ ૧૪ જેટલી બહેરનું છંદ-વૈવિધ્ય આપી શક્યા છે એ વાત સાનંદાશ્ચર્ય જન્માવે છે. ગીતોમાં ક્યાંક લય લથડે છે અને એકાદ અછાંદસ ગદ્યની પૃષ્ઠભૂ પરથી ઊંચે નથી ઊઠી શકતું એ જવા દઈએ તો સરવાળે સરસ કામ થયું છે.. ગઝલોમાં તો ઘણા બધા શેર આસ્વાદ્ય થયા છે.
ગઝલના કેટલાક શેર:
ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
એ અવિરત પૂર ધસમસ, અંકપટ્ટી આપણે;
નોંધ ચોક્ક્સ થઈ શકે પણ ખાળવું સહેલું નથી.
કશું છે ભીતર ? શક પડે છે હવે,
પડળમાં પડળમાં પડળ કેમ છે !
વૃક્ષ કેવળ થડ બનીને રહી જશે,
લાગણી અગવડ બનીને રહી જશે.
કોકનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કોકનું આવ્યાં છતાં આવ્યા વિના ચાલી જવું.
ચોપાસ એમ રહેવું જાણે કશે જ ના હો,
એ તું હશે કે મારી અટકળ હતી ? જવા દો.
શબ્દની છલનાનું ગૌરવ સાચવું,
ચુપ રહું, અફવાનું ગૌરવ સાચવું.
ખુદને તાળું દઈ ઘરેથી નીકળું,
ભીડમાં ભળવાનું ગૌરવ સાચવું
વૃક્ષની પાર પણ વિશ્વ હોઈ શકે,
પાનખરની બહાને ખરી જોઈએ.
જાણવાથી કંઈ ફરક પડતો નથી,
દુઃખ એ જાણી ગયાનું હોય છે.
બચપણમાં સંતાડેલું તે જડી ગયું તો કામ આવ્યું,
એક રમકડું સ્વયં થકી સંતાઈ જવાની આદતનું.
પથ્થરનું સ્વપ્ન વૃક્ષ,
લીલો-પીળો પ્રવાસ.
ફ્રેમ બની જા તું ફોરમની,
મારી જાત મઢાવી આપું.
ઉલા-સાની બે ડાળની વચ્ચે,
ચંદ્ર શાયરની વ્યંજના જાણે.
ચલો, ‘હોવું’ મળે છે ક્યાં ‘ન હોવા’ને પૂછી લેશું,
ઊડી છે વાત કે બન્ને વસે એક જ સ્થળે, સાધો.
ગીતોમાંય ક્યારેક અદભુત કલ્પન ડોકિયાં કરી જાય છે. બે ઉદાહરણ જોઈએ:
પહેલી લીટી એક અજંપો, બીજી લીટી ડૂમો,
તારું હોવું ‘ફ્રેન્ચ’ કવિતા, કેમ કરું તરજૂમો !
કૂવાની મિલકત પૂછો તો પડઘા ને અંધારું,
વૈભવ લેખે તાડ ગણાવે શૂન્યભવન મજિયારું…
-બંકિમ રાવલ
કવિશ્રીને શુભકામનાઓ…
Permalink
February 19, 2013 at 9:39 PM by ધવલ · Filed under અનિલ જોશી, ગીત
કે પાદરમાં ઝરમર વેરાય તને મળવું દે તાલ્લી
કે વાતમાં મોરલાના ટહુકાનું ભળવું દે તાલ્લી
કે ડાંગરના ખેતર ઢોળાય તારા ઘરમાં દે તાલ્લી
કે કેડીઓ સમેટાઈ ગઈ મુસાફરમાં દે તાલ્લી
કે ગીતમાં અધકચરી માણસતા વાગી દે તાલ્લી
કે પાનખર પાંદડાની જાળીએથી ભાગી દે તાલ્લી
કે આંખ હજી ઉઘડી નથી ને પડ્યાં ફોતરાં દે તાલ્લી
કે ગામને મેળે ખોવાઈ ગયા છોકરાં દે તાલ્લી
કે સમળીના ચકરાવા વિસ્તરતા ખોરડે દે તાલ્લી
કે ચાંદરણા પડતા ખડીંગ દઈ ઓરડે દે તાલ્લી
કે એક વાર અડકી ગઈ આંખ તારી મન્ને દે તાલ્લી
કે એક વાર અટકી ગઈ વાત કહી અન્ને દે તાલ્લી
કે ચોકમાં પીંછું ખર્યું ને લોક દોડ્યા દે તાલ્લી
કે લેણદાર એટલા વધ્યા કે ગામ છોડ્યા દે તાલ્લી
– અનિલ જોશી
તાલીઓની વચ્ચે કવિ એક આખી કથા ગૂંથી લીધી છે. ને કથાના દરેક મુકામે તાલી તો ખરી જ !
Permalink
February 18, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગની દહીંવાળા
તમે એ ડાળ છો જે ડાળ પર પહેલું સુમન લાગે,
હું એવું પુષ્પ છું : મહેંકી રહું જ્યાં જ્યાં પવન લાગે.
કહ્યું છે સાવ મોઘમ, યોગ્ય જો તમને સૂચન લાગે,
ઘડીભર ખોરડું મારું મને ચૌદે ભુવન લાગે.
દિવસ ને આવવું હો તો વસંતોમાં વસી આવે,
સૂરજને સૂંઘીએ તો રોજનું તાજું સુમન લાગે !
ઊભો છું લઈને હૈયા-પાત્ર, યાચું કંઈક એવું કે,
જગત નિજની કથા સમજે, મને મારું કવન લાગે.
ઘણું ભારણ છે જીવનમાં, છતાં એક બોજ એવો છે,
ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે !
મનોમન વ્યગ્ર થઈ મનને મનાવી તો જુએ કોઈ,
હૃદય આ લાડકું, રિસાયેલું કોઈ સ્વજન લાગે.
‘ગની’, સંઘરેલ તણખાને હૃદયથી વેગળો કરીએ,
કોઈ સદભાગી હૈયે આપણા દિલની જલન લાગે.
– ગની દહીંવાળા
આ ગઝલ સાંભળવા માટે ક્લિક કરો: ટહુકો.કોમ
Permalink
February 17, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
જે તરફ આપણી આસ્થા જાય છે,
આ ચરણ એથી કાં ઉલટાં જાય છે ?
પક્ષી માફક હું ટહૂક્યો તો કેવું થયું !
એકમાં વૃક્ષ સો ખૂલતાં જાય છે !
જેમ મધ્યાહ્ન પેઠે તપે છે તરસ.
એમ પાણી યે ટૂંકાં થતાં જાય છે.
ડાળ રહેશે તો ફૂલો નવાં બેસશે :
એમ કહીને સ્વપ્ન તૂટતાં જાય છે.
તારી કાયા જ મારી ઊગમણી દિશા,
મારાં નેત્રો ય સૂરજ થતાં જાય છે.
તેં જ પૂર્યો હતો ટીપડામાં તને,
માર્ગને તો જ્યાં જાવું’તું ત્યાં જાય છે.
– રમેશ પારેખ
Permalink
February 16, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ગઝલ
બધુંય ધ્વસ્ત થશે એ પછીય બચવાનું
કયું એ તત્ત્વ હશે એ જ તો સમજવાનું
પડાવો એક બે એવાય સફરમાં આવે
ગમે કે ના ગમે બે-ચાર પળ અટકવાનું
ઘટિકાયંત્રની રેતી સમી જીવનગાથા
સમયના છિદ્રમાં અટકી પછી સરકવાનું
બધાના ભાગ્યમાં છે આગિયાપણું કેવળ
ન કૈં પ્રકાશ મળે એ રીતે ચળકવાનું
તૂટેલી ભીતના ભીડેલ દ્વાર જેવો હું
ખુલ્યાનો અર્થ નથી તે છતાં ખખડવાનું
– ઉર્વીશ વસાવડા
બધા જ શેર મનનીય… ઘટિકાયંત્ર અને આગિયાના પ્રતીકોનો કેવો સક્ષમ પ્રયોગ !
Permalink
February 15, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ડેરેક વોલ્કોટ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
સમય આવશે
જ્યારે, ઉત્તેજના સાથે,
તમે તમારી જાતને આવતી આવકારશો
તમારા પોતાના દરવાજે, તમારા પોતાના અરીસામાં,
અને બંને જણ સ્મિત કરશે પરસ્પરના આવકાર પર,
અને કહો, અહીં બેસો. આરોગો.
તમે ફરીથી આગંતુકને ચાહશો જે તમારી જ જાત હતો.
દારૂ પીરસો. રોટી આપો. પાછું આપો તમારું હૃદય
તમારા હૃદયને જ, આગંતુકને જેણે તમને ચાહ્યો છે
તમારું આખું જીવન, જેને તમે અવગણ્યો છે
બીજા માટે, જે તમને જાણે છે દિલથી.
અભરાઈ પરથી પ્રેમપત્રો ઉતારો,
ફોટોગ્રાફ્સ, વિહ્વળ નોંધો,
ઉતરડી નાંખો તમારું પોતાનું પ્રતિબિંબ અરીસામાંથી.
બેસો. તમારી જિંદગીને ઉજવો.
-ડેરેક વૉલ્કોટ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
જીવનની દોડમાં ને અન્યોને ચાહવાની હોડમાં આપણે મોટાભાગે જાતને ચાહવાનું ભૂલી જતાં હોઈએ છીએ. અને જે જાતને નથી ચાહી શકતો એ અન્યને શી રીતે ચાહી શકે? પણ ક્યારેક એવો સમય જરૂર આવે છે જ્યારે તમારી પોતાની જાત તમને આગંતુક બનીને તમારા ઘરના દરવાજે, તમારા અરીસામાં મળે છે. એને આવકારો. એને ચાહો. અભરાઈ પરથી જૂની યાદો, જૂના સંબંધો ઉતારી દઈ, જે આભાસી જિંદગી તમે જીવતા આવ્યા છો એને જીવનના અરીસામાંથી ઉતરડી નાંખો અને તમારું પોતાનું હોવું ઉજવો…
વાઇન અને બ્રેડના સંદર્ભ ઇસુ ખ્રિસ્તને આ કવિતા સાથે સાંકળી કવિતાને આધ્યાત્મનો રંગ પણ આપે છે… દરવાજો, અરીસો અને પ્રેમને એ સંદર્ભમાં પણ જોઈ શકાય.
આ કાવ્ય અને ટિપ્પણી તૈયાર કર્યા પછી ધ્યાન ગયું કે આ કવિતાનો અનુવાદ તો ધવલે પણ લયસ્તરો પર મૂક્યો છે. આ સાથે જ ધવલનો અનુવાદ અને એની લાક્ષણિક ટિપ્પણીનો પણ લાભ લો: https://layastaro.com/?p=7076
*
Love after Love
The time will come
when, with elation,
you will greet yourself arriving
at your own door, in your own mirror,
and each will smile at the other’s welcome,
and say, sit here. Eat.
You will love again the stranger who was your self.
Give wine. Give bread. Give back your heart
to itself, to the stranger who has loved you
all your life, whom you ignored
for another, who knows you by heart.
Take down the love letters from the bookshelf,
the photographs, the desperate notes,
peel your own image from the mirror.
Sit. Feast on your life.
– Derek Walcott
Permalink
February 14, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એમિલી ડિકિન્સન, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
દિલ ભલા, આપણે એને ભૂલી જઈશું,
તું અને હું, આજ રાત્રે!
તું ભૂલી જજે એણે આપેલી ઉષ્મા,
હું ભૂલી જઈશ પ્રકાશ !
જ્યારે તું પરવારી લે, મહેરબાની કરી કહેજે મને,
ત્યારે હું મારા વિચારોને ધૂંધળા કરી દઈશ.
જલ્દી કર! રખેને તું પાછળ પડી જાય
ને હું એને યાદ કરી બેસું.
-એમિલી ડિકિન્સન
(અનુ. વિવેક મનહર ટેલર)
*
આજે વેલેન્ટાઇન ડે પર એક અનોખું પ્રેમકાવ્ય. કહે છે કે પ્રેમની ખરી તાકાતનો અંદાજ વિરહમાં મળે છે, મિલનમાં નહીં. પ્રેમભગ્ન થયા પછી નાયિકા પોતાના હૃદય સાથે સંવાદ સાધે છે અને બેવફા પ્રેમીને ભૂલી જવાનું નક્કી કરે છે. પણ ભૂલવાની પ્રક્રિયા કેટલી તો વસમી છે કે નાયિકા પહેલી ચાર લીટીમાં જ ત્રણ-ત્રણ વાર ‘ભૂલી’ શબ્દ દોહરાવે છે.
અને મજા તો ત્યાં છે જ્યારે નાયિકા હૃદયને મીઠો ઉપાલંભ આપે છે કે એને ભૂલવામાં જલ્દી કરજે. નાહક તું ધીમું પડશે અને હું એને યાદ કરી બેસીશ. કેવી વિવશતા ! કેવી મજાની પ્રેમની દિવાનગી હશે, કે જ્યાં ‘મરીઝ’ જેવો સમજદાર પણ ગયો.
Heart, we will forget him
Heart, we will forget him,
You and I, tonight!
You must forget the warmth he gave,
I will forget the light.
When you have done pray tell me,
Then I, my thoughts, will dim.
Haste! ‘lest while you’re lagging
I may remember him!
– Emily Dickinson
Permalink
February 12, 2013 at 11:58 PM by ધવલ · Filed under અછાંદસ, ધવલ શાહ, સિલ્વિયા પ્લાથ
હું નવ અક્ષરનું એક ઉખાણું છું,
હાથી, ભારેખમ ઘર,
બે વેલ પર ઉપર તડબૂચ.
ઓહ લાલચટ્ટાક ફળ, હાથીદાંત, ઉમદા સાગ!
આથો ચડતો જાય છે લોટ ઉભરાતો જાય છે.
બટવામાં કડકડતી નોટો ઉમેરાતી જાય છે.
હું એક સાધન, એક રંગમંચ, એક ગાભણી ગાય.
ખાધા છે મેં ભારોભાર લીલા સફરજન,
ચડી ગઈ છું ગાડીમાં હવે ઉતરાય એમ નથી.
– સિલ્વિયા પ્લાથ
(અનુ. ધવલ શાહ)
સિલ્વિયા પ્લાથના અવસાનને ગઈકાલે પચાસ વર્ષ થયા. એમની કવિતાઓ એ જમનામા વંચાતી’તી એનાથી ક્યાંય વધારે આજે વંચાય છે. એમનું આખું જીવન ઉતાર ચડાવમાં ગયું. ડીપ્રેશન સાથેની જીવનભરની લડત છેવટે આત્મહત્યામાં પરિણામી. એમના જીવન વિશે વાત ફરી ક્યારેક કરીશું, આજે આ બહુ પ્રખ્યાત કવિતાની વાત કરીએ.
કવિતા એક ઉખાણા તરીકે લખી છે. આખી વાત માત્ર રૂપકોની મદદથી કરી છે. એટલે કવિતાનું નામ પણ રૂપકો જ રાખ્યું છે. નામથી પણ કવિતાના વિષય વિશે કોઈ સંકેત મળતો નથી. એટલે પહેલી વાર આ કવિતા વાંચો અને કશી પિચ ન પડે તો ચિંતા ન કરતા 🙂
આખી કવિતા પ્રસૃતિ દરમ્યાન કવયિત્રીની અકળામણ વિશે છે. નવ અક્ષર એ પ્રસુતિના નવ મહિનાનું પ્રતિક છે. કવયિત્રીએ કવિતામાં રૂપકો પણ ગણીને નવ વાપર્યા છે. પહેલા કવયિત્રી પોતાની અવસ્થા માટે હાથી, ભારેખમ ઘર અને (રમૂજમાં) બે વેલ (જેવા પગ) ઉપર તડબૂચ (જેવું પેટ) રૂપકો વાપરે છે. પણ પછીની લીટીમાં ખરી અકળામણ આવે છે. પ્રસૃતિ પછી દુનિયાની નજરમાં સ્ત્રીની કિંમત ઘટતી જાય છે, અને એના પેટમાં રહેલા બાળકની કિંમત વધતી જાય છે. ક્યારેક તો સ્ત્રી કરતા બાળકને જ વધુ મહત્વ અપાતું જાય છે. કવયિત્રી એ વાતને અજબ બખૂબીથી કરે છે. એ તો (ફળને બદલે) ફળની અંદરના લાલચટ્ટાક ભાગ, (હાથીને બદલે) હાથીદાંત અને (આખા ઘરને બદલે એમાં વપરાયેલા) ઉમદા લાકડાના વખાણ કરે છે.
પ્રસૃતિ આગળ વધતી જાય છે. આથો આવતા લોટની જેમ એ ઉભરાતી જાય છે. કવયિત્રી પોતાની જાતને બટવા સાથે સરખાવે છે જેનું કામ માત્ર અંદરની નોટોને સાચવવા જેટલું જ રહ્યું છે. પોતાની જાત કવિને માત્ર (સંતાન પ્રાપ્તિના) એક સાધન, (કલાકારોને આધાર આપતા) રંગમંચ કે ગાભણી ગાય (કે જેના વછેરામાં જ લોકોને રસ છે) જેવી લાગે છે. આદમ-ઈવે એક સફરજન ખાધેલું. જ્યારે કવયિત્રીએ તો ભારોભાર સફરજન ખાધા છે. લાલ સફરજન પ્રેમનું પ્રતિક છે. કવિ એને ઉલટાવીને લીલા સફરજનની વાત કરી છે. છેલ્લી લીટીમાં કવયિત્રીની અકળામણ ચરમસીમાએ પહોંચે છે. આ મારતી ગાડીમાંથી હવે ઊતરી પણ શકાય એમ નથી. એટલે કે પ્રસૃતિ પછી જીંદગી હંમેશાને માટે બદલાઈ જવાની છે.
માતૃત્વના એક જુદા જ પાસાની વાત અહીં છે. કવિતા તો સશક્ત છે જ. પણ આવા વિચારને પ્રમાણિક રીતે પ્રગટ કરવો એ પણ બહુ મોટી વાત છે. હવે ફરી એક વાર કવિતા વાંચી જુઓ.
Permalink
February 11, 2013 at 12:00 PM by તીર્થેશ · Filed under ગઝલ, બેફામ
વીતેલ પ્રસંગો એ રીતે જીવનની કથાના ભટકે છે,
જાણે કે મારા પુસ્તકના ફાટેલાં પાનાં ભટકે છે .
રસ્તા જ જગતના છે એવા,સૌ મોટા-નાના ભટકે છે,
કોઈ ભટકે છે છતરાયા,તો કોઈ છાના ભટકે છે .
સૌ વિહ્વળ છે, સૌ ચંચળ છે,કેવળ સૌનાં નોખાં સ્થળ છે,
રણમાં દીવાના ભટકે છે,ઉપવનમાં દાના ભટકે છે .
એક હું છું કે નિત ભટકું છું એકેક સમયની પળ પાછળ,
એક તું છે કે તારી પાછળ કંઈ લાખ જમાના ભટકે છે .
આ દુનિયા છે, આ દુનિયામાં જીવવાનો મોહ નથી છૂટતો,
‘બેફામ’ અહીં તો મોત પછી પણ જીવ ઘણાના ભટકે છે .
– બરકત વીરાણી ‘બેફામ’
Permalink
February 10, 2013 at 10:56 PM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
કહું છું સાકીને જયારે મને શરાબ તો દે,
કહે છે આગલો બાકી છે એ હિસાબ તો દે.
અનેક રાગ છે કંઠસ્થ- રજૂઆત નથી,
તૂટી ફૂટેલું ભલે હોય એક રબાબ તો દે.
મને તો કોરી રહી છે આ મારી એકલતા,
ભલે સરસ નહીં, સંગત કોઈ ખરાબ તો દે.
કુરાન,ગીતા,અવેસ્તા, હવે જવા દે વાત,
હવે નવી હો લખેલી કોઈ કિતાબ તો દે.
જરાક તારી આ દુનિયામાંથી ખોવાઈ શકું,
ભલે ન ઊંઘ મને આપ, થોડાં ખ્વાબ તો દે.
અનંત ઊંઘ છે, પથ્થરના મારથી શું થશે ?
જનાજો જાય છે મારો જો હો, ગુલાબ તો દે.
-મરીઝ
[ રબાબ = એક જાતનું તંતુ વાદ્ય; એક દોરીનું કે એક્તારવાળું વિશિષ્ટ વાદ્ય; સારંગી ]
ચોથા શેર ઉપર ખાસ ધ્યાન દોરવા માગું છું – શાયરે કદાચ પોતાની રીતે આ શેર કહ્યો હશે પરંતુ તેને વક્રોક્તિ મુજબ મૂલવતા એક રસપ્રદ અર્થ સામે આવે છે – માનવીને સત્યની ખોજ નથી , ખોજ છે નિતનવા stimulus ની . જે . કૃષ્ણમૂર્તિએ તેઓના સુદીર્ઘ જીવનના અંતભાગે એક પ્રશ્નનો ઉત્તર આ રીતે આપેલો –
પ્રશ્ન- તમે 65 વર્ષ વિશ્વ સાથે આપના દ્રષ્ટિકોણ share કર્યાં . આ તબક્કે તમે તમારા પ્રયાસને કઈ રીતે મૂલવો છો ? તમને કેટલી સફળતા મળી તમારી વાત લોકોની અંદર ઉતારવામાં ?
ઉત્તર- શૂન્ય . લોકોએ મને સાંભળ્યો, વારંવાર સાંભળ્યો, અને પછી તરત જ બધી વાતો ભૂલી ગયા . તેઓ માટે મારું મૂલ્ય એક entertainer થી વિશેષ કશું જ નથી . મારા પછી કોઈ બીજા પાસે જશે પોતાના entertainment માટે . તેના પછી કોઈ ત્રીજા પાસે…..
Permalink
February 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, યોગેશ જોષી
સૂરજ
આથમી ગયો –
સમેટી લઈ
તડકો
અને બધુંય અજવાળું…
સવારે
બારીમાંથી આવેલા
તડકાનો ટુકડો
રહી ગયો
મારી રૂમમાં…
બસ,
હવે એ ઓઢીને
હું સૂઈ જઈશ…
– યોગેશ જોષી
અછાંદસ કવિતાઓનો ફાલ ફાટી નીકળ્યો છે. થોડુંઘણું ગુજરાતી આવડતું હોય એ બધા અછાંદસ કવિતાઓ ઢસડવા માંડે છે પણ અછાંદસ એટલે કે મુક્ત કાવ્ય કવિતાનો સહુથી વિકટ પ્રકાર છે. ઉત્તમ અછાંદસ એ ગણાય જેમાંથી તમે એક શબ્દની પણ બાદબાકી કરી ન શકો.
આ જુઓ… સાવ નાનકડું પણ કેવું બળકટ અછાંદસ ! એક શબ્દ પણ આમાંથી બાદ તો કરી જુઓ..! તડકો અહીં ઉજાસ અને ઉષ્મા – બંનેનું પ્રતીક છે. આપણા બધાનાં જીવનમાં આવું બનતું હોય છે. કોઈ સૂરજની જેમ પ્રવેશીને આપણા જીવતરના આખા આકાશને ઝળાંહળાં કરી મૂકે છે અને પછી ચાલ્યું જાય ત્યારે ? એના સ્મરણનું અજવાળું અને હૂંફ જ જીવતરના ઓરડામાં વ્યાપી ગયેલા અંધકારને દૂર કરવામાં કામ આવતા હોય છે !
Permalink
February 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મકરન્દ દવે
કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને?
વિચારું છું, કદાચ ઓળખીય જાઉં મને.
વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.
ગમ્યું છે ખૂબ કહી જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.
સહીશ આંસુ રુદન દોસ્ત બધાં હું તારા
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.
મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું કયા વદને !
હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.
ચલો, આ વાત વધારી જવામાં માલ નથી
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.
– મકરંદ દવે
સાંઈ-કવિ મકરંદ પાસેથી રોમ-રોમ પુલકિત થઈ ઊઠે એવી ગઝલ મળે ત્યારે બે-ચાર છંદ-દોષ સામે આંખ-આડા કાન કરવા પડે… દરેક શેર બે ઘડી પાસે ઊભા રહી પંપાળવા પડે એવા…
Permalink
February 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રાવજી પટેલ
અરે, આ ઓચિંતું, થઈ જ ગયું શું સ્હેજ પરસે !
પથારી ખીલી ગૈ, કુસુમ ટહુક્યાં કૈં રુધિરમાં !
ઝમે અંગુલિનાં શિખર લયમાં, ને નયનમાં
હજારો પૂર્ણિમા પ્રકટ થઈ ગૈ શી પલકમાં !
અને આ હૈયાની ઉષર ધરતીમાં પરિમલ્યા
નર્યા દૂર્વાંકુરો ફર ફર થતા સ્હેજ ચમક્યું
સૂતેલી પત્નીનું શરીર; ઝબક્યો હુંય; પરખી.
જરા મેં પંપાળી પ્રથમ. ઉર મારુંય છલક્યું.
વીતેલાં વર્ષોમાં કદીય પણ ચાહી નવ તને.
સ્તનોના પુષ્પોમાં શરમ છૂપવીને રડી પડ્યો.
– રાવજી પટેલ
નાની વયે અવસાન પામેલા રાવજી પટેલની ટીબીની બિમારીના કારણે જન્મેલી કમજોરીને કવિતાનો ભાગ ન ગણીએ તો પણ એટલું સમજી શકાય છે કે પ્રણયાભિવ્યક્તિની ગેરહાજરી મોટાભાગના સંબંધોના કરમાવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ વધુ અગત્યનું એ છે કે શરમ ત્યજી શકાય તો સંબંધની આવી ઉષર જમીનમાં પણ પુષ્પ ખીલી શકે છે.
(પરસે= સ્પર્શે, ઉષર = ઉજ્જડ, દૂર્વાંકુર= કાળા ને કુમળા ઝીણા ઘાસનો ફણગો)
Permalink
February 5, 2013 at 1:00 AM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું!
હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું!
અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું!
શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું!
કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું!
રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું!
અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું!
– રાજેન્દ્ર શુક્લ
સાથે રહેવામાં – મ્હાલવામાં – છલકવામાં – વિલસવામાં જે રંગત છે એનું કોઈ ‘લોજિક’ નથી. એ તો છે કારણ કે એ છે. એમાં રંગ વગર રંગાવાનું છે, શ્વાસથી શ્વાસમાં ભળી જવાનું છે, છાસવારે બદલાતા જવાનું છે, એક બીજામાં સંતાય જવાનું છે, અને હદ ઉપરાંત ફટવાય જવાનું છે. બહારથી જુઓ તો લાગે કે આ ઉખાણું છે પણ એની અંદર ઉતરો તો આવા સંન્નિવાસથી વધારે સહજ, સરળ બીજું કશું નથી.
Permalink
February 4, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.
સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગો ય અમારા ન થયા.
તાગવા જાવ તો – ખોદાઇ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થા ય ઉઝરડા ન થયા.
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ‘ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તો ય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
-રમેશ પારેખ
Permalink
February 3, 2013 at 1:04 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
મારું જીવન, જીવન નહીં, મારું મરણ, મરણ નહીં,
તારો અનંત કાળ છે, મારી તો એક ક્ષણ નહીં.
સ્પર્શ વિના મજા મળે એની મીઠાશ ઔર છે,
કુદરત તરફથી જે મળે તેવા જખમને ખણ નહીં.
તારી નજરની ભૂલથી તું તો ઠગાઈ જાય છે,
જોશે તો તારા લાખ જણ સમજે તો એક પણ નહીં.
મનદુઃખ તો થાય છે અહીં કિંતુ જરાક હદ રહે,
ઓળંગી જે શકે નહીં એવી દીવાલ ચણ નહીં.
પોતાનો એક પ્રવાહ હો, પોતાનું એક વહેણ હો,
જેમાં ન ખુદની હો ગતિ, મૃગજળ છે એ ઝરણ નહીં.
આ તો શરૂનું દર્દ છે મૃત્યુની ઝંખના ન કર,
હમણાં તો શ્રીગણેશ કર, હમણાંથી શ્રીચરણ નહીં.
સંત એ ક્યાં ગયા ‘મરીઝ’, ક્યાં એ ફકીર ગુમ થયા ?
ઢાંકણ બીજાનું રાખતા, પોતાનું આવરણ નહીં.
-મરીઝ
Permalink
February 2, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વીરુ પુરોહિત
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?
ક્યાંય નથી સંભળાતો હંભારવ ગોકુળમાં આજે,
રોજ પ્રભાતે મધુવનમાં ફૂલ ખીલતાં પ્હેલાં લાજે !
તરડાતા કોયલ-ટહુકાને કોણ સાંધશે, ઉદ્ધવ ?
રાસ ફરી રમવાનું, કહેજો ઈજન પાઠવે માધવ !
ક્રંદન કરતી રાધા ભાળી થાય : શ્યામને શાપું !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
થાય વલોણું ડૂમાતું’ને નથી ઊતરતું માખણ,
પરત કરો, ઉદ્ધવજી ! મારી સોળવેલી એ થાપણ !
નંદ-જશોદાનું મુખ જોવું, નથી અમારું ગજું,
સમ છે તમને, જોયું તેવું નખશીખ કરજો રજૂ !
કરું ન અળગો, માધવ આવ્યે, છાતી સરસો ચાંપુ !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?
– વીરુ પુરોહિત
કૃષ્ણ ગોકુળ છોડી ગયા એ પછીના વિરહમાં આપણે ત્યાં મોટાભાગની ભાષાઓમાં ઢગલાબંધ વિરહગીતો અને ઠપકાગીતો રચાયા છે. વીરુ પુરોહિતનું આ ગીત આ ખજાનામાં માત્ર ઉમેરો નથી કરતું, આગવી શોભા પણ બક્ષે છે. કૃષ્ણ વિના યમુનાકિનારાનું ગોકુળ નિર્જન ટાપુ જેવું કેમ લાગે છે એના લાખ કારણો આપવા ગોપી તૈયાર છે. રાધાનું ક્રંદન જોઈ એ કાન્હાને શાપ પણ આપવા તૈયાર છે.
Permalink
February 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ
બરફ થૈ ને થીજી જાશુ સરળ સમજણ હતી કિંતુ
ભીના રહેવાના આનંદે નિતરવું યાદ આવ્યું નહિ
અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહિ
હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમજ
ખરે ટાણે હુકમપાનું ઉતરવું યાદ આવ્યું નહિ
કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ
– મનોજ ખંડેરીયા
સાદ્યંત સુંદર ગઝલ… અરેબિઅન નાઇટ્સની વાર્તા આ પહેલાં ગુજરાતી ગઝલમાં આટલી અદભુત રીતે ભાગ્યે જ કોઈ આલેખી શક્યું હશે… છંટકોર્યું જેવો શબ્દ પણ કેવી સહજતાથી ગઝલમાં ઊતરી આવ્યો છે !
આ ગઝલનો વિડિયો આપ અહીં માણી શક્શો.
પ્રસ્તુત ગઝલમાં બીજા નંબરનો શેર ચૂકી જવાયો હતો, જે જૂનાગઢથી કવિમિત્ર ઉર્વીશ વસાવડાએ મોકલાવી આપ્યો છે. એ અહીં ઉમેરી દઉં છું… આભાર માનવો પડશે કે, ઉર્વીશભાઈ?
Permalink
January 31, 2013 at 2:08 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે !
કાં પછી સમજણનો કાયમ હોય છે !
ટાઢ, તડકો, ઝાંઝવા ને થોરથી,
દબદબો તો રણનો કાયમ હોય છે !
કોરું મન, તરસ્યા નયન, વહેતો સમય..
પ્રશ્ન બસ આ ત્રણનો કાયમ હોય છે !
ચાસ ચહેરા પર સમય પાડે અને-
વાંક કાં દરપણનો કાયમ હોય છે ?
સાવ સાચી વાત કરવી હોય પણ,
ડર સવાયા ‘પણ’નો કાયમ હોય છે !
– લક્ષ્મી ડોબરિયા
કેટલીક ગઝલો વાંચીએ અને આખો દિવસ સુધરી ગયાનું અનુભવાય… એક genuine poetry હાથમાં આવે ત્યારે એક આખો ખજાનો જડી આવ્યાનું અનુભવાય… આ ગઝલ વાંચો.. ફરી ફરીને વાંચો.. અને જુઓ, કે તમારી અંદર શાતાની લહેરખી દોડે છે કે નહીં?!
Permalink
January 28, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
તારે આંગણ ઉભરાયેલા મનખાના સમ
મને મેળામાં મળતાં ના આવડે,
વાંકાબોલા આ વેણ મેલ રે વ્હાલમ,
મને ઝીણું સાંભળતા ના આવડે .
ટોળામાં સાંતેલો સૂર થૈ વિખૂટો
કોઈ વીખરેલી લહેરખીને ગોતે,
પડદાની ઘૂઘરીમાં ભાત ક્યાં પડી છે
કદી મારી’તી ચાંચ જ્યાં ક્પોતે,
કાચી રે માટીનાં ઘડતર ને તોય અહીં
પળપળમાં ગળતાં ના આવડે .
મારે એકાન્ત મને વસવા દો, આછરે
લગાર અહીં ડહોળાયાં નીર,
સાગરમાં વરસીને વાદળ ઝાંખે છે
નેહતરસી આ ભોમને લગીર,
કાળી માટીમાં ફૂટ્યાં તરણાંની જેમ
મને કિરણોમાં બળતાં ના આવડે .
-હરીન્દ્ર દવે
બહુ જ હસીન અંદાઝમાં કવિએ જાણે પ્રેમિકાને હળવો ઉપાલંભ આપ્યો છે ! મનમેળ વિનાના મેળા કરતાં તો અલગારી જીવ ને એકાંત વ્હાલું….. ખૂબ નાજુકાઈથી પરંતુ સ્પષ્ટ રીતે પ્રેમી પોતાની પ્રાથમિકતા વ્યાખ્યાયિત કરી દે છે…..એક અંગ્રેજી કવિતા છે – crowded desert [ કવિનું નામ યાદ નથી ]- જેમાં આ જ ભાવ ને કેન્દ્રમાં રખાયો છે.
Permalink
January 27, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
સાવ પરપોટા જેવો આ અવતાર છે
ને સમયની સપાટી અણીદાર છે
જિંદગી, જિંદગી ! આપણાં બે મહીં
કોણ છે અશ્વ ને કોણ અસવાર છે ?
ન્યાય-અન્યાય, સુખ-દુઃખ અને સત-અસત
જે રૂપે તું મળે, તારો સ્વીકાર છે
મારું હોવું નથી મંચથી કંઈ વિશેષ
આવતી ને જતી પળ અદાકાર છે
કોતરાતાં ગયાં બેઉ એક ટાંકણે
સુખનો આકાર છે, દુઃખ નિરાકાર છે
કૈંક કરપીણ ઘટનાઓ જીરવી લીધી
એમ જીરવી કે જાણે સમાચાર છે
એક સફેદી કફન જેવી જીવતરમાં છે
સાદગી એ જ છે, એ જ શણગાર છે
– રઇશ મનીઆર
Permalink
January 26, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિલિયમ વર્ડ્સવર્થ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક નોકરાણી જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.
શેવાળિયા પથ્થર તળેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !
-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’… લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આપણી કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ માત્ર પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ ખૂબ વિશદ ચર્ચા જગાવી છે.
એક લગભગ ગુમનામ નોકરાણી જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય !
આ કવિતા વિશે વિષદ ચર્ચા આપ અહીં માણી શકો છો.
*
She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.
A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!
– William Wordsworth
Permalink
January 25, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા
આજેય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય
રે લોલ તારી યાદના ચિત્તોડમાં હાંફી ગયા
ક્યાં એકપણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે
રે લોલ મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા
છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા
રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા*
તું આવ ત્યારે અર્થનું આકાશ લેતી આવજે
રે લોલ શબ્દો કાગળોની સોડમાં હાંફી ગયા
ઊગ્યાં કરે છે જંગલોના જંગલો છાતી મહીં
રે લોલ જ્યાં એકવાર લીલાં છોડમાં હાંફી ગયા
– મિલિન્દ ગઢવી
માનવીની અતૃપ્ત એષણાઓમાંથી જનમતી પીડાની ગઝલ… રે લોલનો ઊઠાવ લઈ જે રીતે એ આગળ વધે છે અને બધા શેરમાં જે રીતે સળંગસૂત્રતા નજરે ચડે છે એ પરથી આને ગીત-ગઝલ પણ ગણી શકાય. આમ તો બધા જ શેર ઉત્તમ છે પણ મને ઘરફોડ જેવા અનૂઠા કાફિયાને કવિ જે રીતે કવિતાની કક્ષાએ લઈ ગયા એ આ ગઝલની ઉપલબ્ધિ લાગે છે. શ્વાસની એકધારી આવ-જા અંદર કશુંક શોધવાની મથામણ ન હોય જાણે ! અને ભીતરનો ખજાનો પામવા જાણે એ ચોરની જેમ ઘરફોડી ન કરતા હોય !
(* લિયૉ તોલ્સ્ટૉયની વાર્તા ‘How much land does a man need?’ પરથી)
Permalink
January 24, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બાપુભાઈ ગઢવી
કંઈ સ્થિરતાની લાગણી અસ્થિરતાનો વ્હેમ
પૂરપાટ નદી વચ્ચે તરાપામાં હેમખેમ
તારા સ્મરણની સીમમાં પાણી-શો ખળખળું
દૃષ્ટિનું નામ ધોરિયા આંખોનું નામ ડેમ
કરચોની જેમ વાગતી રૂંવે રૂંવે ક્ષણો
જાણે ફૂટી ગયો હો સમય કાચઘરની જેમ
જ્યાં-ત્યાં બધે હવાઓ મને વીંઝતી રહે
ચકરાય શ્વાસશ્વાસ કો’ ગોફણમાં હોય એમ
દિવસો તો ગણી કાઢીએ એક્કેક કરીને
આ પ્હોરપ્હોર ભાંગતી રાતોનું કરવું કેમ ?
– બાપુભાઈ ગઢવી
ફેસબુક પરથી આ ગઝલ જડી આવી. કવિમિત્ર મિલિન્દ ગઢવીએ આ ગઝલ રજૂ કરતી વખતે સાથે જે પ્રતિભાવ મૂક્યો હતો એ જ અહીં મૂકવાની લાલચ રોકી નથી શકતો: “હૃદયની આરપાર નીકળી જાય એવી વાતોમાં મને પહેલેથી જ ઓછો રસ પડ્યો છે. હૃદયમાં રોકાય જાય એવું મને ગમે. અને આ ગઝલ વર્ષોથી હૃદયમાં રોકાયેલી છે.” (ગ.મિ.)
Permalink
January 22, 2013 at 10:15 PM by ધવલ · Filed under અછાંદસ, હેમેન શાહ
ધોમધખતા ઉનાળામાં ઊભેલાં વૃક્ષો
એકાએક
બંદગી માટે ઊઠેલા હાથ બની જાય છે.
આકાશ કોઈની ઉદાસ આંખ તો નથી ને ?
તડકો ભીંસે છે.. ચોમેરથી.
ત્યાં ટપ… ટપ…
આદિવાસી સ્ત્રીની પીઠ જેવો પથ્થર
હમણાં જ ભીનો થયો.
નદીનો વિષાદ ધોવાતો જાય છે
ધીમે ધીમે.
એક તાજું ફુટેલું તરણું
માથું ઊંચકે છે,
અને
નમી પડે છે આખું ચોમાસું.
– હેમેન શાહ
વર્ણનમાં કવિની બારીકી જુઓ. કવિ છેલ્લી ચાર લીટી ચોમાસું-વર્ષા-નવજીવન બધાને એક સાથે સાંકળી લે છે.
Permalink
January 21, 2013 at 7:26 AM by તીર્થેશ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું
મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું
તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?
આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું
‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?
– કૈલાસ પંડિત
A timeless classic…..
Permalink
January 20, 2013 at 11:00 PM by ધવલ · Filed under જવાહર બક્ષી, મુક્તક
જો ચાલવા ચાહીશ તો રસ્તો થઈ જશે,
પગલાં જો હું ભરીશ તો નડતર હટી જશે.
નિષ્ફળ જશે આ રણ, મને તરસાવવામાં પણ,
રેતીની પ્યાસ આખરૅ મૃગજળને પી જશે.
– જવાહર બક્ષી
Permalink
Page 62 of 118« First«...616263...»Last »