બદલતી રહે છે દશા હર તબક્કે
અને હું તબક્કા વટાવી રહ્યો છું !
ડૉ. મહેશ રાવલ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
May 2, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત ઘોરડા
છૂટી પડી ગયેલી ક્ષણોમાં પડાવ રે,
હું પણ કોઈ ઉદાસ હવાઓમાં સાવ રે.
સુક્કો જ રેતપટ બહુ સુક્કો જ રેતપટ,
પથ્થર નીચે ભીનાશમાં ઊંડે અભાવ રે.
ભીતર કશું અજંપ અજાણ્યું કશું અબોલ,
ઊડી જતા વિહંગની છાયામાં રાવ રે.
નભની નીચે અફાટમાં અકબંધ જળ અખંડ,
કાળા ખડકથી દૂર નિકટ દૂર નાવ રે.
એકાંતમાં ઊમટતાં દિશાહીન વાદળાં,
કોને કહું, ગણાવું વિખૂટા બનાવ રે.
– હેમંત ધોરડા
ગીતનુમા ગઝલ રવાનુકારી શબ્દવિન્યાસના કારણે સાચે જ ભાવકને હિલ્લોળે ચડાવે છે…
Permalink
April 29, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.
કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.
કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.
મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.
હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.
મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.
જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.
સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.
બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.
Permalink
April 28, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અમર પાલનપુરી, ગઝલ
આંખોમાં છલકતો કૈફ હશે, હાથોમાં ભરેલા જામ હશે;
બોલાવ્યા અમે ના બોલીશું, પણ હોઠે તમારું નામ હશે.
મેં લાખ ગુનાઓ કીધાં છે, પણ સાવ નિખાલસ હૈયાથી;
હો નર્ક જ મારું ધામ ભલે, પણ સ્વર્ગમાં મારું નામ હશે.
હું તુજને કરી દઉં માફ ભલે, પણ લોક નહીં છોડે તુજને;
જે માર્ગમાં માર્યો તેં મુજને, એ માર્ગ પર મારું નામ હશે.
હો દિલમાં ભલે સો દર્દ ‘અમર’, હમદર્દી ખપે ના દુનિયાની;
મનગમતો દિલાસો મળશે તો, આરામ હશે આરામ હશે.
– અમર પાલનપુરી
મુશાયરાને કદાચ ડોલાવી શકનારી આ ગઝલના ગુણ-દોષ મુક્તમને ચર્ચવા સૌ રસિકોને આમંત્રણ છે……
Permalink
April 27, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અપૂર્વ કોઠારી, એન વિલ્કિન્સન, વિશ્વ-કવિતા
આવ મારી પાસે
સ્વેચ્છાપૂર્વક નીચે પડતી
વિશાળ સાગરમાં ખોવાઈ જવા
સરિતા જેમ નહીં..
પણ આવ મારી પાસે
જેમ કિનારે આવે છે ભરતી
ખાલી અખાતને છલકાવી દેવા
શ્વેત નીરવતાથી;
ધરતી અને સાગર કામક્રીડા કરતાં.
– એન વિલ્કિન્સન
(અનુ. અપૂર્વ કોઠારી)
પ્રણયની ઉત્કટતાની બળવત્તર અભિવ્યક્તિનું કાવ્ય… પ્રેમ સમર્પણ નહીં, છલોછલ છલકાઈ જવાનું નામ છે…
Permalink
April 26, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
છાતીમાં મારી સેંકડો ઇચ્છાની નાવ છે,
ને આંખ સામે ખાલી થયેલું તળાવ છે.
શબ્દોને કોઈ બાનમાં પકડી ગયું કે શું !
જાસો મળ્યા પછીનો નગરમાં તનાવ છે.
લોહી પૂર્યાની વાત સિફતથી ભૂલી જઈ,
સહુ ચિત્ર જોઇ બોલ્યા : ગજબનો ઉઠાવ છે.
આ કાચબાપણાનું હવે શું થશે કહો !
ઝડપી હવાની ચારે તરફ આવજાવ છે.
સાહેદી અંધકારની એમાં જરૂર ક્યાં ?
સૂરજની હાજરીમાં બનેલો બનાવ છે.
થઈ ધાડપાડુ ત્રાટકે ‘સાહિલ’ ભલે સમય –
ટહુકા ઉછેરવાનો અમારો સ્વભાવ છે.
– સાહિલ
વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ…
Permalink
April 25, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
આપ કરી લે ઓળખાણ
. એ સાચા શબદનાં પરમાણ
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી ?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
. સાચા શબદનાં પરમાણ
કોયલ ટહુકે આંબાડાળે,
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ –
. સાચા શબદનાં પરમાણ
ફૂલ ખીલે નિત નવ જ્યમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ –
. એ સાચા શબદનાં પરમાણ
– મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
સાચો શબ્દ બ્રહ્મ સમાન છે… એણે એની ઓળખાણ આપવાની ન હોય. એ સ્વયંસ્પષ્ટ જ હોય. સાકર પોતાના ગળપણના ગુણ નથી ગાતી, વીજળી હોય કે મૃત્યુ – બધા જાહેરખબર વગર જ કામ કરે છે. કોયલ કોઈ તાલિમ નથી લેતી કે નથી ગળું સાફ કરતી.. એ એની મસ્તીની જ માલકિન છે. જે રીતે ફૂલ સૌરભ પ્રસારે છે એ રીતે અંદરથી સ્વયંભૂ વાણી પ્રગટે ત્યારે સાચો શબ્દ, સાચી કવિતા હાથ ચડે છે…
Permalink
April 22, 2013 at 12:55 AM by તીર્થેશ · Filed under ગીત, વિનોદ જોશી
એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…
પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;
મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.
હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!
હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…
-વિનોદ જોશી
એક રળિયામણું ગીત…..
Permalink
April 21, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી
કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી
ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી
જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી
વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી
પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી
ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી
– મનોજ ખંડેરિયા
સૌજન્ય – ટહુકો.કોમ
આ ગઝલ ‘ટહુકો’ પર વાંચી અને એકદમ સોંસરવી અંદર ઉતરી ગઈ…..
Permalink
April 20, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સંજુ વાળા
રહીએ, જેમ તમે જી ! રાખો !
કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !
વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું દેવ
પૂછી બીડું પલક, ખીંટીએ ટાંગુ સઘળી ટેવ
ત્યાં જ ઉડીએ , જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !
મેં ક્યાં માંગ્યું ? સોને-રૂપે માંઝી દો મનસૂબા
ઝળઝળિયાં દો, તો પણ મારે રતન-છલોછલ કૂબા
ધૂળધફોયા ખોળે જરાંક, અમી નઝર તો નાખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !
– સંજુ વાળા
આ ગીત તો જુઓ… ગીત છે કે સૉનેટ? સૉનેટમાં જેમ કાવ્યાંતે ચોટ આવે એમ કવિએ અહીં છેલ્લી લીટીમાં કમાલ કારીગરી કરી છે. આખા ગીતમાં એમ જ લાગે કે અબોલા લઈ બેસનાર પ્રિયતમને મનાવવા નાયિકા અછોવાનાં કરી રહી છે.. વ્રત-પૂજા-આખડી, બધી જાતની ટેવ-કુટેવ બધું જ છોડી દેવા તૈયાર છે, એના જ આપેલા આકાશમાં માપસરનું ઊડવા તૈયાર છે… આંખમાં સહવાસના ઝળઝળિયા આપે તોય જેને સોના-રૂપાથી વિશેષ લાગે છે એ નાયિકા પત્ની છે અને પ્રિયતમ પતિ છે એ વાત તો સા…વ છેલ્લી કડીમાં ખાલી ખોળાને પૂરવા માટે પગલીનો પાડનાર માંગવાની વાત આવે છે ત્યારે છતી થાય છે… છે ને સૉનેટની મજા!!
Permalink
April 19, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયા મહેતા, માર્જોરી પાઈઝર, વિશ્વ-કવિતા
તમારા વક્ષ પર માથું મૂકીને સૂઈ જાઉં છું
અને તમારા હાથ મારી ફરતા વીંટળાયેલા ત્યારે
હું નાની થઈ જાઉં છું અને સુરક્ષિત
મારા પ્રિયતમ દ્વારા.
મારા વક્ષ પર માથું મૂકીને તમે સૂઓ છો
અને મારા હાથ તમારી ફરતા વીંટળાયેલા, ત્યારે
હું મને બહુ સબળ અનુભવું છું, સુરક્ષા કરતી
મારા પ્રિયતમની.
– માર્જોરી પાઈઝર
(અનુ. જયા મહેતા)
વીજળીના ચમકારની જેમ શરૂ થયા પહેલાં જ પૂરી થઈ જતી આ કવિતા આપણા અંતઃકરણમાં કેવો પ્રેમલિસોટો છોડી જાય છે…
Permalink
April 18, 2013 at 12:30 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, સોનેટ
(પૃથ્વી)
સહસ્ત્ર શત ઘોડલાં અગમ પ્રાન્તથી નીકળ્યાં,
અફાટ જલધિ પરે અદમ પાણીપન્થાં ચડ્યાં;
હણે-હણહણે : વિતાન, જગ, દિગ્ગજો ધ્રૂજતાં,
ઊડે ધવલ ફેન શી વિખર કેશવાળી છટા !
ત્રિભંગ કરી ડોકના, સકળ શ્વાસ ભેગા કરી,
ઉછાળી નવ દેહ અશ્વ ધમતા પડી ઊપડી;
દિશા સકળમાં ભમી, ક્ષિતિજ-હાથ તાળી દઈ,
પડંત પડછંદ વિશ્વભર ડાબલા ઉચ્ચરી.
કરાલ થર ભેખડે, જગતકાંઠડે કારમા,
પછાડી મદમસ્ત ધીંક : શિર રક્તનાં વારણાં;
ધસી જગત ખૂંદશે ? અવનિ-આભ ભેગાં થશે ?
ધડોધડ પડી-ખરી ગગનગુંબજો તૂટશે?
ઉરેય ભરતી ચડે, અદમ અશ્વ કૂદી રહે !
દિશાવિજય કૂચનાં કદમ ગાજતાં ઊપડે !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
ગુજરાતીના સર્વશ્રેષ્ઠ સોનેટની પંગતમાં અગ્રિમ સ્થાને વિરાજતું આ સોનેટ શ્રીધરાણીની કાવ્યસૂઝ, છંદોલય અને ભાવોર્મિના કારણે ચિરસ્મરણીય બન્યું છે. વીસ વરસની ઊંમરે લખાયેલ આ સોનેટમાં કવિ દરિયાના મોજાંઓ હજારો થનગનતા ઘોડા અવનિ-આભ ભેગાં કરવા કૂચે ચડ્યા હોય એવું અદભુત શબ્દચિત્ર દોરી આપે છે. પહેલા ત્રણ ચટુષ્ટકમાં પ્રકૃતિની વાતો કર્યા પછી છેલ્લી બે કડીમાં સોનેટ સાવ જ અણધાર્યો વળાંક લઈ દેશભક્તિ અને સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજોને પછાડી આઝાદી હાંસિલ કરવાના પોતાના અરમાન પ્રગટ કરી ભાવકને સુખદ આંચકો આપવામાં સફળ રહે છે.
કવિ ઉમાશંકર જોશીએ આ સોનેટ વિશે કહ્યું છે કે ગુજરાતી ભાષા આટલી ઓજસ્વિતા સાથે ભાગ્યે જ કોઈ કવિતામાં પ્રયોજાઈ હશે…
Permalink
April 15, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે, રિલ્કે, વિશ્વ-કવિતા
બોલોને, શું કરશો હરિ
મારા વિના એકલા, જયારે જઈશ હું મરી ?
હું તમારો ઘટ બનું જો ચૂરેચૂરા,
હું તમારા પ્રાણની ઊડી જાઉં જો સુરા,
હું તમારે કસબી હાથ વણાતો જામો
જાઉં સરી તો હાથ તમારો થાય નકામો,
મારા વિના હાય, થશો ઘરબાર વિહોણા,
નેહથી તમને નોતરી કરશે કોણ પરોણા ?
હું તમારી ચાખડી, મારા વિણ ઉઘાડાં
થાક્યાંપાક્યાં ચરણ ઘૂમશે ટેકરા-ખાડા,
સરી પડશે અંગથી તમ વિરાટનો વાઘો
આપણો સંગ જ્યાં ઓગળી જશે આઘો આઘો,
મારા ગાલ પે હેતભરી જ્યાં નજરું ઠરી,
તમને પાછી મળશે ક્યાં એ હૂંફ ઓ હરિ ?
નજરું નમશે ક્યાય તમારી આ વસમી પળે
હિમશિલાની ગોદમાં જેવી સંધ્યા ઢળે,
જીવ આ મારો કાંઈ મૂંઝાતો ફરી ફરી,
શું કરશો હરિ ?
– રેઇનર મારિયા રિલ્કે – અનુ.-મકરંદ દવે
What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.
Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.
Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once –
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.
What will you do, God? I am afraid.
– Rainer Maria Rilke
મૂળ કાવ્યનો છંદમાં કાવ્યાત્મક અનુવાદ કરવા માટે કવિશ્રીએ ઘણી છૂટ લીધી છે ……મૂળ કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ વધુ સ્પષ્ટતાથી સમજાય છે … Bertrand Russel નું ઘણું જાણીતું વિધાન યાદ આવી જાય છે – ‘ God is a sweet,self-deceptive and romantic imagination of mankind. ‘
Permalink
April 14, 2013 at 2:16 AM by તીર્થેશ · Filed under અનિલ જોશી, ગીત
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
. કાંઇ એવું તો વન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
– અનિલ જોશી
Permalink
April 13, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, માર્કસ આર્જેન્ટેરિયસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌ માટે આ દીવો બન્યો છે સાક્ષી.
– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. વિવેક મનહર ટેલર)
*
ગઈ કાલે આપણે આ કવિતાનું એક ભાષાંતર માણ્યું જ્યાં એન્ટિગનીનો ઉલ્લેખ સમજણના પ્રદેશની જરા બહાર રહી ગયો હોય એમ લાગતું હતું. પ્રસ્તુત ભાષાંતરમાં વાત થોડી સ્પષ્ટ થતી લાગે છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીએ એકલા હાથે પોતાના ભાઈઓની દફનવિધિ માટે જે રીતે કમર કસી હતી એ એની તાકાતનો અહેસાસ કરાવે છે… અહીં રતિક્રીડામાં સ્ત્રી-પુરુષનું સર્જાતું મૂક સાયુજ્ય એની હાજરીની તાકાતનો અહેસાસ કરાવે છે…
*
Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.
– Marcus Argentarius
(Greece)
Permalink
April 12, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, માર્કસ આર્જેન્ટેરિયસ, રાજેશ વ્યાસ મિસ્કીન, વિશ્વ-કવિતા
એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.
મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.
આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.
– માર્કસ આર્જેન્ટેરિયસ
(અનુ. રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે. સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે પણ કવિ વિગતે કશી વાત ન કરીને આપણા રસભાવની કસોટી કરતાં હોય એમ આગળની વાર્તા ફાનસના ‘ઝાંખા’ પ્રકાશના હાથમાં છોડી દે છે…
થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની માતા જોકાસ્ટા સાથેના લગ્નથી જન્મેલ અનૌરસ પુત્રી એ એન્ટિગની. એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. મૃત્યુ પામેલા બે ભાઈઓને થીબ્સમાં જ દફન થવા મળે એ માટે એન્ટિગની લડી હતી. જો કે પ્રસ્તુત કવિતામાં એનો રેફરન્સ સમજવો મારા માટે દોહ્યલું થઈ પડ્યું છે…
Her perfect naked breast
upon my breast,
her lips between my lips,
I lay in perfect bliss
with lovely Antigone,
nothing caught between us.
I will not tell the rest
Only the lamp bore witness.
– Marcus Argentarius
(Greece)
Permalink
April 11, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, સુંદરજી બેટાઇ
(ખંડશિખરિણી)
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
પણ હૃદયમાં જે વ્રણ પડયા,
સહુ સકળ એની બળતરા,
વિના ચીસે,
વિના રીસે;
. બસ સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ રિપુ રિપુત્વે મચી રહે
છતાં મારે હૈયે કદીય પ્રતિશત્રુત્વ ફણગો
ફૂટીને ફેલાયે વિષતરુ – ન એવું કદિ બને;
. બસ સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
નથી મારું ત્રાગું;
મુજ જ જીવન છો ને, વિફલ આ
બને, તોયે કો’નાં ઉર-ઉપવનો ધ્વસ્ત કરવા,
અજાણે કે જાણે,
કદીય કો ટાણે; મુજ થકી કશુંયે નવ બને;
. બસ સહનનું એવું બલ દે.
ન હું ઝાઝું માગું,
કરું વા ના ત્રાગું,
પણ કદાપિ એવું પણ બને:
હું જેવાની રાખે જન્મભૂમિનાં ખાતર બને,
દઉં તો દગ્ધી હું મુજ જીવન સંપૂર્ણ હૃદયે;
. હૃદય ગરવે મત્ત ન બને,
. મન નવ ચઢે તર્કચકવે;
. બસ મરણનું એવું બલ દે.
– સુંદરજી બેટાઈ
હૃદયમાં પડેલા સકળ ઘા અને પીડા ચીસ પાડ્યા વિના કે રીસ રાખ્યા વિના સહન કરી શકાય, શત્રુ ભલે એનો ધર્મ નિભાવે પણ પોતાના હૃદયમાં સામી દુશ્મનીનો ફણગો ફૂટી-ફાલીને વિષવૃક્ષ બની ન જાય એટલી સહનશક્તિ કવિ ઇચ્છે છે. પોતાનું જીવન ભલે નિષ્ફળ જાય પણ જાણ્યે-અજાણ્યે અવર કોઈની જીવન-વાટિકા પોતાનાથી નાશ ન પામે એ જ કવિ ઇચ્છે છે. અને અંતે જો જન્મભૂમિમાં ખાતર બનતું હોય તો કવિ પોતાની જાત પણ બાળી આપવા તૈયાર છે… આજે તો જો કે આપણી માંગણીઓ જ બદલાઈ ગઈ છે…
(ત્રાગું= હઠ; વ્રણ=ઘા; રિપુત્વ= શત્રુત્વ; વિષતરુ=ઝેરરૂપી વૃક્ષ; દગ્ધી=જલાવી, બાળી)
Permalink
April 8, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ
ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો
છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર
ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું
કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ
– જગદીશ જોષી
ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ કાવ્ય એક જબરદસ્ત ઘેરું વિષાદ-વિશ્વ નિષ્પન્ન કરે છે…. સૂની સાંજે આપણે કૂવા-કાંઠે ઊભા હોઈએ એ કલ્પન સાથે આ ગીત ખૂબ ધીમેથી વાંચી જુઓ….
Permalink
April 7, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મકરન્દ દવે
તમે જેને ચાહો છો એ કદી તમને ન ચાહે
તમે જેને કહો છો ચાલ, તે ના’વે તમારા એક રાહે
જિન્દગી સસ્તી નથી
ને એ મળી તમને અમસ્તીયે નથી
વેડફો શાને નિરર્થક આંસુ ને નિ:શ્વાસ ને આઘાત આહે !
તમે આગે ચલો !
આગ છોને અંતરે છૂપી જલો
પણ જિન્દગીમાં સ્મિત ભરીને બળ ધરી પંથે પળો.
આજ જે તમને ન ચાહે
છો ન આવે એક રાહે
એ જ જો દીવો હશે સાચો હ્રદે
તો આપ મેળે આવશે દોડી પથે.
ને જિન્દગીમાં જો નહીં તો-
ના હવે એ વેડફો નિ:શ્વાસ ને આઘાત આહે-
રાખજો વિશ્વાસ કે એ આવશે આખર નકી
ઉજ્જવળ તમારા આત્મની આરામગાહે .
-મકરંદ દવે
આ કાવ્ય વિષે ટિપ્પણ લખવા જેટલા સશક્ત શબ્દો મારી પાસે છે જ નહીં…….
Permalink
April 6, 2013 at 12:30 AM by વિવેક · Filed under અંજની ગીત, મિલિન્દ ગઢવી
એવામાં તો મોડાં મોડાં
અવસર લઈને આવ્યા ઘોડા
મેં કીધું કે, ‘લઈ લઉં થોડાં’, –
. એ બોલી, ‘ઊંહું !’
‘कत्थई आँखों में क्या छल है ?
पलकों पे जो भीगा कल है
आँसू है या गंगाजल है ?’ –
. वो बोली, ‘पानी!’
Relations went through recession
Time had come for alteration
When I stopped her at the station; –
. She said, ‘Destiny!’
– મિલિન્દ ગઢવી
મરાઠીમાંથી ઊતરી આવેલ અંજની-ગીત આપણે ત્યાં શરૂથી જ બહુ પ્રેમાદર પામ્યું નથી. કાન્ત, બ.ક.ઠા. જેવા કવિઓથી માંડીને ઘણાખરા કવિઓએ એના પર હાથ અજમાવ્યો પણ વાત બહુ આગળ વધી નહીં. મનોજ ખંડેરિયાએ તો આખેઆખો સંગ્રહ અંજની-ગીતોનો આપ્યો પણ તોય અંજનીથી સર્જકો ખાસ અંજાયા નહીં. મને લાગે છે કે અંજનીનું બારીક પોત આ માટે જવાબદાર છે. ૧૬ માત્રાનો એક એવી સાડાત્રણ પંક્તિનો બંધ, જે આમ જોવા જઈએ તો દોઢ પંક્તિ જેટલો જ છે… એટલે એક બંધમાં ગઝલના એક આખા શેર કરતાં પણ ઓછી જગ્યા મળતી હોઈ કદાચ આ પ્રકાર આપણે ત્યાં વધુ પ્રચલિત થઈ શક્યો નથી.
મિલિન્દ આવા સંજોગોમાં ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષાનું કોકટેલ કરીને એક અંજની લઈ આવે છે એ સુખદ નિશાની છે. કમાલની વાત એ છે કે મિલિન્દ અંજનીની આ સા…વ સાંકડી ગલીમાં ત્રણ ત્રણ ભાષાઓ બાથમાં ભરીને ખૂબ જ આસાનીથી ચાલી શક્યો છે. હા, જો કે એણે ત્રણેય બંધમાં અંત્યાનુપ્રાસ જાળવીને કામ કર્યું હોત તો વાત ઓર કમાલની થાત…
Permalink
April 5, 2013 at 2:52 AM by વિવેક · Filed under અછાંદસ, જયા મહેતા, વિશ્વ-કવિતા
આજની રાતે એકલી સૂતી છું ત્યારે
હું મારી આંસુની પથારી પર છું
ઊંડા સમુદ્ર પર
તરછોડાયેલી હોડીની જેમ.
-અનામી
(અનુ. જયા મહેતા)
જાપાનમાં વારાંગનાને ગેઈશા કહેવામાં આવે છે. માત્ર ચાર જ નાનકડી લીટીમાં એક વારાંગનાના આખા જીવનનું કેવું આબેહૂબ ચિત્ર! વારાંગનાની પાસે પોતાની જાત સાથે વાત કરી શકે એવું એકાંત ક્યાંથી હોય? એકાદ ભૂલીભટકી રાતે ગ્રાહક ન હોય એવી ક્ષણે એને મહેસૂસ થાય છે કે એ આંસુની પથારી પર સૂતી છે… વિશાળ ગહન સંસારમાં એનાથી વધુ તરછોડાયેલ બીજું કોણ હોઈ શકે?
Permalink
April 4, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
મારે બારણે એક ઝાડ સુકાઈ રહ્યું છે.
હું ચિત્રકાર નથી તેનો અફસોસ મને આટલો કદી ન હતો
નર્યું રેખાઓનું માળખું છે એ.
એને ચરણેથી એને જોઉં છું.
પીધું લીધું દીધું તે બધુંય જાણે ખંખેરીને ઊભું ન હો !
અટારીથી રાત્રિઓના આછા ઘેરા ઉજાસમાં ઝાંખી લઉં છું,
વ્યક્તિત્વની ભિન્નભિન્ન અદાઓ એની:
મૌન ગૌરવ, બરછટ શુષ્કતા, મમતા આ ધરતીની…
શાખા બાહુ વચ્ચે એણે છાતી સરસું ઝાલી રાખ્યું છે જાણે
મૃત્યુફળ.
– ઉમાશંકર જોશી
હું ચિત્રકાર નથી એવી કેફિયત આપીને કવિ સૂકાતા વૃક્ષનું સર્વાંગસંપૂર્ણ ચિત્ર બખૂબી દોરી આપે છે. કવિ હરીન્દ્ર દવે આ કવિતા વિશે શું કહે છે એ જુઓ:
કવિ કયા વૃક્ષની વાત કરે છે અને કયા ફળની વાત કરે કરે ? આ સંસ્કૃતિની કથા છે ? આ મૂલ્યોની વાત છે ? આ જીવનની ઝંખવાતી જતી દીપ્તિની વ્યથા છે ?
– તમે એનો કોઈ પણ અર્થ કાઢી શકો, પણ છેલ્લા શબ્દ આગળ કંપી ગયા પછી પ્રથમ પંક્તિના ક્રિયાપદ ‘રહ્યું છે’ પર આશ્વાસનની નજર મંડાઈ રહી છે. કદાચ આ વિરક્ત સ્થિતિમાંથી કોઈક નવી વસંત આવશે અને એમાં કદાચ સુકાઈ રહ્યું છે એ વૃક્ષ મહોરી પણ ઊઠે – એના શાખા-બાહુઓ વિસ્તરી ઊઠે, એને ભીંસી રાખેલું મૃત્યુફળ સરી પણ પડે – પણ કદાચ જ…!
Permalink
April 1, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, સૈફ પાલનપુરી
નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?
જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?
વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?
આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?
જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?
લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?
-સૈફ પાલનપુરી
Permalink
March 31, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે
હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે
કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો દેવગણનું શું થશે
જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે
જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે
– ગની દહીંવાળા
Permalink
March 30, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એરિક ફ્રાઈડ, વિશ્વ-કવિતા, હરીન્દ્ર દવે
કુત્તો
જે મરણ પામે છે
અને જે જાણે છે
કે એ મરણ પામે છે
કુત્તાની માફક.
અને જે કહી શકે
કે એ જાણે છે
કે જે કુત્તાની માફક
મરે છે
એ માણસ છે.
-એરિક ફ્રાઇડ (જર્મની)
(અનુ. હરીન્દ્ર દવે)
आहारनिद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् । (આહાર, નિદ્રા, ભય, મિથુન આ બધું મનુષ્યો અને પ્રાણીઓમાં સરખું જ છે.) ફક્ત વિચારશક્તિ જ બંનેમાં ભેદ પાડે છે. પ્રાણી જાણે છે કે એ પ્રાણી તરીકે જ જન્મ્યા છે, એમ જ જીવે છે અને એમ જ મૃત્યુ પામે છે. પણ માણસ?
માણસ જન્મે તો છે માણસ સ્વરૂપે પણ માણસ થઈ રહેવું અને માણસની મોતે મરવું બહુ જ દોહ્યલું છે. રેટ-રેસમાં જીવતા આપણે બધા મહદાંશે કૂતરાની મોતે જ મરીએ છીએ…
Permalink
March 29, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
હવે આ હાથ રહે ના હેમ !
મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ !
. હવે આ હાથ રહે ના હેમ !
બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;
જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલો નેમ !
. હવે આ હાથ રહે ના હેમ !
ભરબપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં,
ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં;
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોયે નહીં વ્હેમ !
. હવે આ હાથ રહે ના હેમ !
કદી કોઈને કાજે નહીં મેં કટકોય એ કાપ્યું,
અન્યશું દેતા થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;
રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ ?
. હવે આ હાથ રહે ના હેમ !
– પ્રિયકાન્ત મણિયાર
સમયનું સોનું સમયની સાથે સતત વપરાતું જ રહે છે, અને આપણે મન ફાવે તેમ વાપરતા જ રહીએ છીએ. અડધો સમય જાતને શણગારવામાં ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. યોગ્ય માર્ગે ન વપરાતાં સોનું કથીર થઈ જાય છે એ પણ ધ્યાન રહેતું નથી. સમયના સોનાનો એકમાત્ર નિયમ યોગ્ય વ્યક્તિને આપવું એ જ છે.. જેમ આપો તેમ આ સોનું વધુ મૂલ્યવાન થતું છે.. પરાર્થે વપરાયેલો સમય જ જિંદગીનો સાચો સમય છે.
Permalink
March 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિનુ મઝુમદાર
એક ખૂણે મારો પ્રેમ ભર્યો છે,
એક ખૂણે અભિલાષા
એક ખૂણે ધિક્કાર ભર્યો છે,
એકમાં ઘોર નિરાશા
બાળપણાની શેરી લઈ પેલી
ભરી છે આખી ને આખી.
યૌવનના કંઈ બાગ બગીચા,
પ્રીતડીઓ વણચાખી.
ભર્યો છે હાસ્યને રુદન સાથે ઝોળો સુખદુઃખ તણો
મારી કોટડીમાં સામાન ઘણો.
પાર વિનાની ભૂલ પડી છે,
કોઈના કંઈ ઉપકારો
ઓસરતા ભૂતકાળની મૂર્તિ,
ભાવિના કૈંક ચિતારો
સર્જનનો ઈતિહાસ ભર્યો છે,
ભૂગોળ ખગોળ ભેળો
લેશ જગ્યા નહીં મુજ માટે,
ઉભરાયો છે વ્યર્થનો મેળો.
બંધ આ મારાં દ્વારની પાછળ વધ્યો કોટિ કોટિ ગણો
મારી કોટડીમાં સામાન ઘણો.
– નીનુ મઝુમદાર
જન્મ લઈએ ત્યારે આપણી કોટડી ખાલી હોય છે પણ આપણો બધો પરિશ્રમ આ કોટડીને ભરવાની દિશામાં જ થતો હોય છે. પ્રેમ, મોહ, માયા, મદ, ક્રોધ, કામ ઓછું પડતું હોય એમ સંબંધો, આશાઓ, દુઃખ-સુખ – શું શું નથી ભર્યે જતા આપણે? બે ઘડી પણ આપણને એ પ્રતીતિ થતી નથી કે “મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.”…
Permalink
March 25, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.
દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.
કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?
રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે
ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?
– હરીન્દ્ર દવે
મને બહુ લાંબા સમયથી એક પ્રશ્ન થયા કરતો હતો કે કૃષ્ણ વૃંદાવન છોડી મથુરા જાય છે ત્યાર પછી તેઓ કદી પાછા વૃંદાવન આવતા નથી કે નથી કદી રાધાને મળતા. આવું કેમ ?? આમ તો સમગ્ર કૃષ્ણાવતાર અને મહાભારત mythological literature છે,છતાં શું કોઈ ગ્રંથમાં આ અંગે કોઈ ઉલ્લેખ કે સ્પષ્ટતા છે ખરી ? મારી રીતે મેં થોડી શોધખોળ કરી,પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. મૂળ મહાભારત તેમજ ભાગવતમાં રાધાના પાત્રનો કોઈ ઉલ્લેખ જ નથી. વિદ્વાનોના મતાનુસાર રાધાનું પાત્ર આશરે પાંચમી સદીની આસપાસ પ્રથમવાર ભીંતચિત્રોમાં દેખાય છે. તે પહેલા તેનો કોઈ જ ઉલ્લેખ નથી. હકીકત જે પણ હોય તે, પરંતુ રાધા વગર કૃષ્ણની કલ્પના સુદ્ધા થાય ખરી !!!!
આ ગીતનું ખૂબ સુંદર સ્વરાંકન ટહુકો.કોમ પર ઉપલબ્ધ છે.
Permalink
March 24, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું
નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું
ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું
આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું
પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું
આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું
– મનોજ ખંડેરિયા
Permalink
March 23, 2013 at 1:15 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃત્સ ઋષિ, હરીન્દ્ર દવે
(અનુષ્ટુપ)
देवस्य पह्य काव्यम्
न ममार न जीर्यति ।
પરમાત્માનું આ કાવ્ય નીરખ : જે કદી મરતું નથી,
કદી જીર્ણ થતું નથી.
-કૃત્સ ઋષિ
(અથર્વવેદ, ૧૦,૮,૩૨)
(અનુ. હરીન્દ્ર દવે)
કવિ હરીન્દ્ર દવેના શબ્દોમાં:
અને આ કાવ્ય કોઈ પણ આધુનિક કાવ્ય જેટલું એબ્સર્ડ છે, સરરીઅલ છે અને વાસ્તવિક પણ છે, છતાં એ કાવ્ય છે કારણ કે એ હૃદયને સ્પર્શે છે.
વિસ્તરતું આકાશ આપણને એનો લય સંભળાવે છે; વહેતો પવન જાણે એના પ્રલંબિત લયની ઝાંખી આપે છે. ઊગતાં વૃક્ષો કે પ્રથમ વર્ષાની રાત પછીની સવારે માટીમાંથી કોળી ઊઠતાં તરણાં તેની લાગણીઓ છે. પરમાત્માનું કાવ્ય એટલે કે આ સકલ સંસારની લીલાનું કાવ્ય ન કદી મરે છે, ન કદી જીર્ણ થાય છે.
Permalink
March 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જાઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જાઈશ.
નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જાઈશ.
સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસ મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જાઈશ.
પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે
કોઈ વેળા હું સૂરજના ટકોરા સાંભળી જાઈશ.
– જવાહર બક્ષી
નકરી પૉઝિટિવિટીની ગઝલ… થાક લાગે, દિવસનું પડીકું વાળીને સૂઈ જવું પડે પણ સવારે આવતાં સોનેરી સ્વપ્નની આશા ઢળવાથી ફળવા સુધીની યાત્રા સહ્ય બનાવે છે. જીવનનું તથ્ય ભ્રમનિરસન કરી જીવવામાં રહેલું છે. હરણનાં શિંગડાંઓને તોડવાની વાતને તમે મૃગજળની પાર ઉતરવા સાથે અથવા સોનેરી મૃગના શિકાર સાથે પણ સાંકળી શકો. હરણનાં શિંગડાં કહે છે કે પોલાં હોય છે. ભ્રમના ચહેરા પણ એ જ રીતે પોલા નથી હોતા ?
“જઈશ”ની જગ્યાએ “જાઈશ” જેવો તળપદી અને પહોળો ઉચ્ચાર રદીફની ધનમૂલકતાને વધુ ઘૂંટીને ગઝલને વધુ ઉપકારક બનતો હોય એવું અનુભવાય છે.
Permalink
March 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, હીરા પાઠક
દયિત, તું નિર્દય !
પૂછું તને, મને આમ નોધાર,
મૂકીને જવામાં શો જડ્યો સાર ?
તું વદીશ ‘વિધિના એ લેખ’ !
હા ! વિધિના એ લેખ !
વજ્ર સજડ મારી જીવિત પે મેખ
ઊખડે ન કષ્ટ ક્લિષ્ટ રેખ
કાયકારાગાર તોડ્યે
છૂટે નવ છેક.
લહું આજ, પ્રિય !
વારંવાર ગ્લાનિરંગે,
લવ્યું નાહીં જે જે પૂર્વ તુજ સંગે
તુંજને વરીને હું ન વિરહને વરી ?
વિરહ, મારે પ્રેમનો પર્યાય.
– હીરાબહેન પાઠક
વાત વિરહની છે પણ સાવ સીધીસાદી નથી. કવિતામાંઉતરવું શરૂ કરીએ એટલે થોડીવારમાં જ સમજાઈ જાય કે અહીં પતિ પત્નીને કાયમ માટે છોડી પ્રભુસદનમાં જઈ વસ્યો છે જ્યાં બંનેનું મિલન પત્નીની કાયાનું કારાગાર તૂટે એ પછી જ હવે શક્ય છે.
કવિતાના પહેલા ત્રણ શબ્દ જ આ સંબંધ વિશેનું આખું મહાકાવ્ય લખી આપે છે… વહાલાના સંબોધન પછીનો તુંકારો અને તરત જ નિર્દયી હોવાનો ઉપાલંભ બંને વચ્ચેનો સ્નેહતંતુ તાદૃશ કરી દે છે. આ છે શબ્દની શક્તિ!
અકાળે પતિનું મૃત્યુ એ ભલે વિધિના લેખ કેમ ન હોય પણ ભાર્યાના જીવતર પર તો એ વજ્રની મેખ સમા જડાઈ ગયા છે. પતિની હયાતિમાં જે પ્રેમાલાપ શબ્દોમાં મૂકાવો જોઈતો હતો પણ મૂકી શકાયો નહીં, એ અણકથ શબ્દો પત્નીને હવે વિરહરૂપી પ્રેમ બનીને પીડે છે.
આ જ કવયિત્રીએ સ્વર્ગવાસી પતિને સંબોધીને લખેલા પુસ્તકમાંનું આ કાવ્ય -મિલનની સાથ- પણ જોઈ જવા જેવું છે.
(દયિત=પતિ, વહાલું; લહું= લખું; લવ્યું= કહ્યું )
Permalink
March 19, 2013 at 1:30 AM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
અનુભવ ગહરા ગહરા
નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!
ચલત ફિરત મેં અપની ગતમેં
ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
સુન સુન ગીત ગંભીરા!
ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!
– જયન્ત પાઠક
જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે.
Permalink
March 18, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, વિનોદ જોશી
મને ભૂલી તો જો,
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તું ય હજી આંજે અણસાર, અને મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
-વિનોદ જોષી
મીઠ્ઠું-મધુરું ગીત ……
Permalink
March 17, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
પ્રેમ છે આ, અહીં તો ચૂપ રહેનારના થાય બેડા પાર, જેવી વાત છે
હંસલી અને હંસ વચ્ચે ઝૂલતા કાચબાના ભાર જેવી વાત છે
દ્રાક્ષને પોતે લચી પડવું હતું, એટલામાં લોમડી ચાલી ગઇ
દ્રાક્ષ ખાટી નીકળી કે લોમડી -જે ગમે તે ધાર, જેવી વાત છે
એક દિવસ શેરડીના ખેતરે જાણીતા કવિ પેસી ગયા
ના, હું તો ગાઇશ, બોલ્યા, મેળવ્યો યોગ્ય પુરસ્કાર, જેવી વાત છે
લીલીછમ વાડીએ જઇને મેં પૂછ્યું, કુમળો એક અંતરાત્મા રાખું કે ?
આજુબાજુ જોઇ પોતાને કહ્યું, રાખને દસ-બાર… જેવી વાત છે
વાતે-વાતે ગર્જના શાને કરે ? સિંહ જેવો થઇને છાયાથી ડરે ?
કાં તો ચહેરો ઓળખી લે પંડનો, કાં તો કૂદકો માર, જેવી વાત છે
દિગ્દિગંતોનો ધણી દુષ્યંત ક્યાં? ક્યાં અબુધ આશ્રમનિવાસી કન્યકા ?
આંખમાં આંખો પરોવાઇ ગઈ, બે અને બે ચાર જેવી વાત છે
જો ગધેડો ઊંચકીને જાય છે, બાપ-બેટાનો તમાશો થાય છે
મત બધાંના લે તો બીજું થાય શું ? આપણી સરકાર જેવી વાત છે
– ઉદયન ઠક્કર
ગત રવિવારે કવિશ્રી ઉદયન ઠક્કરને રૂબરૂ મળવાનો-માણવાનો લ્હાવો મળ્યો. કવિ જે રીતે સામાન્ય વાતચીતમાં અત્યંત સહજતાથી અને પટુતાથી વ્યંગબાણ છોડતા હતા તે કળા અદભૂત હતી. હસાવતા હસાવતા વિચારતા કરી મૂકવાની તેમની ખાસિયત અવિસ્મરણીય હતી ! તેઓનું તેઓની આજુબાજુના વિશ્વનું અવલોકન માત્ર તલસ્પર્શી હતું એટલું જ નહિ પણ તેમાં કવિ-દ્રષ્ટિની આગવી સંવેદનશીલતા પણ હતી. પ્રસ્તુત ગઝલ તેઓની એ કળાનો જીવતો-જાગતો નમૂનો છે……
Permalink
March 16, 2013 at 2:58 AM by વિવેક · Filed under અમીન આઝાદ, ગઝલ
જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
ખબર પણ ના પડી અમને કે ક્યારે રાત ચાલી ગઈ.
તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધાર ફેલાયો;
તમે જોયું અને એક જ ઇશારે રાત ચાલી ગઈ.
હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો,
હજી સાંજે તો આવી’તી સવારે રાત ચાલી ગઈ.
જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઇ સવારે રાત ચાલી ગઈ.
તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.
– અમીન આઝાદ
આ વર્ષ સુરતના ગઝલગુરુ અમીન આઝાદની જન્મશતાબ્દિનું વર્ષ છે. અમીન આઝાદ સાઇકલની દુકાન ચલાવતા હતા પણ કહેવાય છે કે આ દુકાને ટાયર ઓછા અને શાયર વધુ જોવા મળતા, પંક્ચર ઓછાં અને શેર વધુ રિપેર થતા. મરીઝ, ગનીચાચા, રતિલાલ અનિલ જેવા ધુરંધર શાયરોના એ ગુરુ. મેઘાણી-ઘાયલ જેવા પણ એમની દુકાને જવામાં ગર્વ અનુભવતા.
એમની આ ગઝલમાં રાતના ચાલી જવાની અર્થચ્છાયાઓ એ કેટલી બખૂબી ઉપસાવી શક્યા છે !
Permalink
March 15, 2013 at 2:12 AM by વિવેક · Filed under મિલિન્દ ગઢવી, વિલાનેલ
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b1) વ્હેણ સમજ ‘ને વહી જા સાથે
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
પંક્તિ1 (a3) શ્રદ્ધાને ખોતર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b2) તર્કોના નખ ઝેરીલા છે
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
પંક્તિ2 (a4) લૂના રસ્તે ફર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b3) મૃગજળ વચ્ચે જાત મૂકીને
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
પંક્તિ3 (a5) ચોરે તું ચીતર મા, મનિયા ! *
પ્રાસયુક્ત પંક્તિ (b4) ઘરની વાતો ઘરમાં શોભે
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
પંક્તિ4 (a6) દિવસે દીવો ધર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b5) સૂરજભાનો અહમ્ ઘવાશે
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
પંક્તિ5 (a7) મે’માનો નોતર મા, મનિયા !
પ્રાસયુક્ત પંક્તિ (b6) બેસી એકલતાને તીરે
ધ્રુવપંક્તિ 1 (a1) આનાકાની કર મા, મનિયા !
ધ્રુવપંક્તિ 2 (a2) સામા પૂરે તર મા, મનિયા !
– મિલિન્દ ગઢવી
(* અંતરના ઊંડાણની વેધૂને કહેવાય,
ચોરે નૉ ચીતરાય ચિત્તની વાતું ‘શંકરા’
– શંકરદાનજી દેથા)
વિલાનેલ (Villanelle)એક એવો કાવ્યપ્રકાર છે જે 19મી સદીમાં ફ્રેન્ચ મોડૅલ્સમાંથી અંગ્રેજી ભાષા-કવિતામાં ઊતરી આવ્યો છે. આ શબ્દ ઇટાલિયન villanella પરથી આવ્યો છે જેનું મૂળ છે લૅટિન villanus (ગામઠી). વિલાનેલઓગણીસ લીટી લાંબું હોય છે, જેમાં પાંચ ત્રિપદી (a-b-a પ્રકારની)અને એક છેવટની ચતુષ્પદી(a-b-a-a પ્રકારની)નો સમાવેશ થાય છે.પ્રથમત્રિપદીની પહેલી અને ત્રીજી કડી ધ્રુવપંક્તિઓ હોય છે જે દરેક અનુગામી ત્રિપદીની ત્રીજી લીટી તરીકે એકાંતર પુનરુક્તિ પામે છે અને ચતુષ્પદીમાં દુપાઈ રૂપે અંતિમ બે પંક્તિ તરીકે સાથે આવે છે. તેની રચના બિન-રેખીય હોવાને કારણે, નૅરેટીવ ડેવલપમેન્ટ અટકાવે છે.વિલાનેલનુંકોઈ સ્થાપિત મીટર નથી. તેના આધુનિક સ્વરૂપનું સત્વ તેના પ્રાસ અને પુનરાવર્તનની વિશિષ્ટ પેટર્ન છે.
(મિલિન્દ ગઢવી)
Permalink
March 14, 2013 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ

હળવે હળવે મંદિરિયામાં હરજી આવે ? ના આવે;
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે.
જીર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે,
અને કહો છો ‘આવો સરજી’ સરજી આવે ? ના આવે.
નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપામાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે.
તારી તમામ હદ છોડીને આવકાર તેં દઈ દીધો,
છોડ હવે તું ચિંતા; એની મરજી, આવે ના આવે.
આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ,
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ? ના આવે.
– અનિલ ચાવડા
‘શયદા’ પુરસ્કાર અને ગુજરાત રાજ્ય યુવાગૌરવ પુરસ્કારના વિજેતા કવિ અનિલ ચાવડા એ આજની ગઝલનો બદલાતો અવાજ છે. આ અવાજ બળકટ પણ છે અને ભાષાની બરકત વધારે એવો પણ છે. અગાઉ એક સંગ્રહ અન્ય ચચ્ચાર મિત્રો સાથે ભાગીદારીમાં આપ્યા પછી કવિ લાં…બી પ્રતીક્ષા બાદ પોતાની ખુદની “સવાર લઈને” રજૂ થાય છે ત્યારે લયસ્તરોના અને મારા ખાસ લાડકા આ કવિનું એના ગઝલસંગ્રહ સાથે બાઅદબ સ્વાગત છે…
આ સાથે જ અનિલના બીજા બે પુસ્તકો – “શબ્દ સાથે મારો સંબંધ” (સંપાદન) અને “એક હતી વાર્તા” (વાર્તાસંગ્રહ) પણ પ્રગટ થયા છે. સર્જકને હાર્દિક અભિનંદન.
Permalink
March 10, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
આ ગતિથી દ્રષ્ટિના દીવાઓ ધૂંધળા થઇ ગયા;
હું સ્કૂટર, રસ્તો- અને ચહેરાઓ ઝાંખા થઇ ગયા.
લક્સની ફિલ્મી મહેંક, ગીઝર ને શાવર બાથ આ;
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઇ ગયા.
સિક્સ ચેનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં;
કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા.
બારીઓમાંથી સ્કાયસ્કેપર રોજ આવે ખરેખર;
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઇ ગયા.
વૃક્ષ છોડીને વસાવ્યા પંખીઓએ એરિયલ;
લીલાં લીલાં પાંદડા તરડાઇ પીળા થઇ ગયા.
આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ;
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઇ ગયાં?
અંજલિ અર્પું પ્રથમ સંવત્સરીએ હું મને;
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઇ ગયા !
– ભગવતીકુમાર શર્મા
ગુજરાતી ગઝલમાં અંગ્રેજી શબ્દોના પ્રયોગ સામે મને અંગત અણગમો છે. પરંતુ આ ગઝલે મારો એ અણગમો જાણે કે દૂર હઠાવી દીધો ….! શું બળકટ અભિવ્યક્તિ છે !
Permalink
March 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, રાવજી પટેલ
બપોરી વેળાનું હરિતવરણું ખેતર ચડ્યું
વિચારે એવું કે લસલસ થતો મોલ સઘળો;
અને આ કોસે તો બસ હદ કરી: આંખ મળતાં
ઉલેચ્યાં પાતાળો પુનરપિ, હવે તે ટપકતો
રહ્યો ભીંતે, બેઠું વિહગ જઈ ત્યાં, સીમ નીરખી
કરે છે ગીતોનું સ્મરણ. કરું હું કાન સરવા.
ચડ્યો ઝોકે એવો બળદ પણ, બીજો મુજ સમો
રહ્યો આ વાગોળી. લચકઈ પડ્યાં લોચન મહીં
પછી તો ડૂંડાઓ, હરખ નવ માયો હૃદયમાં.
ફરી આવું થોડું ચલ મન, જરી ખેતર વિષે.
જતાં રોડું વાગ્યું, ચરણ લથડ્યો, આંખ ફરકી,
અહીં આ ક્યારીમાં ખડખડ હસ્યો ભાઈ મુજનો !
-રાવજી પટેલ
જો બારના બદલે ચૌદ પંક્તિઓ હોત તો આ ઊર્મિકાવ્ય ચોક્કસ જ સારા સૉનેટની પંક્તિમાં સ્થાન પામી શક્યું હોત. રાવજીની કવિતાઓમાં ગામડું જીવી ઊઠે છે. ખેતર વિચારે ચડી જાય એવા મજાના કલ્પનથી ઉઠાવ પામતું આ કાવ્ય ટપકતી આંખની જે ટપકી રહેલા કોસની વાત કરી આગળ આવનાર કરુણતાની એંધાણી આપતું અંતે અકાળે અવસાન પામેલા ભાઈની યાદ આવતાં જે રીતે ભાવકને વેદનાની ચરમસીમાએ લઈ જાય છે એ જોતાં શિખરિણી છંદ સાર્થક પ્રયોજાયો હોય એમ લાગે છે.
Permalink
March 8, 2013 at 12:35 AM by વિવેક · Filed under ન્હાનાલાલ દ. કવિ, પ્રાર્થના
મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિને જરી;
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોક-મોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં;
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા;
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે;
નાથ વાયુની પેઠે રે, સદા નુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા;
બ્રહ્મ બ્રહ્માંડ-અળગા રે, ઘડીયે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હોયે કંઈ દિનની.
સ્વામી સાગર સરિખા રે, નજરમાં ન માય કદી;
જીભ થાકીને વિરમે રે, ‘વિરાટ, વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે, પ્રભુ ! ક્યહારે ઊઘડશે ?
એવાં ઘોર અન્ધારાં રે, પ્રભુ ! ક્યહારે ઊતરશે ?
નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડ પડદા;
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી;
એક મટકું તો માંડો રે, હૃદયભરી નીરખો હરિ.
– ન્હાનાલાલ
સચરાચરમાં વ્યાપ્ત સર્વજ્ઞ પ્રભુના દર્શન આડે આવતા ચર્મચક્ષુ અને આળસ, મોહ-માયાના બંધથી અંધ આંખોની આરત કવિ શ્રી ન્હાનાલાલની પ્રાથનામાં તારસ્વરે રજૂ થઈ છે. આપણા સાહિત્યના અમૂલ્ય વારસામાંથી આ એક મોતી અજે આપ સહુ માટે…
(રક્ત=લીન, આસક્ત; ચરાચર= જડ અને ચેતન; ગમ=સૂઝ)
Permalink
March 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
એકધારી આવ-જા ગમતી નથી,
જિંદગીની આ અદા ગમતી નથી.
સ્હેજ તીખો, સ્હેજ તૂરો સ્વાદ દે,
માત્ર આ મીઠી મજા ગમતી નથી.
ભાવની ભીનાશ વરસાવો જરા,
સાવ સુક્કી સરભરા ગમતી નથી.
વિસ્મયોનું વન વઢાયું ત્યારથી –
એ પરીની વારતા ગમતી નથી.
પ્હાડ પીગળતા નથી થોડાઘણા,
પથ્થરો જેવી પ્રથા ગમતી નથી.
દાદ દેવા કોઈ પણ ડોલે નહીં !
શિસ્તમાં બેઠી સભા ગમતી નથી.
– નીતિન વડગામા
Permalink
March 4, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.
સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.
શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે
જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે
એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.
– ખલીલ ધનતેજવી
Permalink
March 3, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને
ક્યાંયે મળી ન કોઈ ડાળી.
ઊગતે પહોર એક આવ્યો કિલકાર
પેલા આથમણા આભને વીંધી,
અંધારી રાત મહીં આથડતાં વાટ એને
તારાએ તારાએ ચીંધી;
કોઇ કોઇ વાર મારે પિંજર પુકારે ને
હેરું તો દિયે હાથતાળી.
આંખો માંડું તો એક પીંછુ આઘે તરે
ને સાંભળવા બેસું તો સૂન,
કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
કેવી ધધકતી ધૂન!
ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
ટહુકાનો રંગ લઉં ભાળી.
– મકરન્દ દવે
ટહુકો એ પરમાત્મા રૂપી જ્યોત છે. કવિના હૈયે એક આત્મારૂપી જ્યોત ટમટમે છે. ઊગતો પ્હોર એટલે જન્મ. કવિનું હૈયું એક અજબ અજંપો અનુભવે છે…. એને ખૂબ અસ્પષ્ટ આછો અંદાજ છે કે જ્યોત ભલે બે ભાસતી હોય,પણ અગ્નિ એક જ છે. કવિની ઇન્દ્રિયો કવિને એ વિશ્વાનલનો અનુભવ કરાવવા અસમર્થ છે અને તેને પામવાની એક ધૂન સતત કવિહૈયે ધધકતી રહે છે…. આ શરીરનું પાંજરું તોડી ને આંતર્જ્યોત ઊર્ધ્વિત થશે તો જ વિશ્વાનલમાં લીન થઇ શકશે.
Permalink
March 2, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
વાત અસલ, કાગળમાં આવે
શબ્દો ત્યાં તો વચમાં આવે
એનાથી મોટો શો વૈભવ !
તડકો સીધો ઘરમાં આવે
ભીતર ભીનું સંકેલો ત્યાં
આંખોમાંથી પડમાં આવે
સાર બધા ગ્રંથોનો એક જ
પાથરીએ તે પગમાં આવે
તો માથે મૂકીને નાચું
ઘટ-ઘટમાં તે ઘટમાં આવે
પકડ્યો છે પડછાયો સાધુ !
અજવાળું શું બથમાં આવે.
– સ્નેહી પરમાર
સાધુ, આને કહેવાય અસલી ગઝલ… શબ્દનો આકાર જેવો આપવા જઈએ કે અસલી અનુભૂતિ બદલાઈ જાય છે. અનુભૂતિને હેમક્ષેમ રજૂ કરી શકે એવી ભાષા તો હજી શોધાવાની જ બાકી છે.કવિ જે કમાલ બે પંક્તિઓમાં કરી શકે છે એ કમાલ ઉપનિષદ-વેદોના આખેઆખા થોથાંય કરી શકતા નથી. પણ આ કવિ તો એથીય આગળ છે. બધાય ગ્રંથોનો સાર કવિ માત્ર એક જ લીટીમાં આપી દે છે: પાથરીએ તે પગમાં આવે. જે સમષ્ટિમાં છે એ તત્ત્વ દેહમાં આવે તો કવિ આર્કિમિડિઝની જેમ ઉલ્લાસ વ્યક્ત કરવા કટિબદ્ધ છે. અને અંતે પડછાયા પકડવાની વૃત્તિ હોય તો અજવાળું ક્યાંથી હાથમાં આવે? કેમકે પડછાયા અને પ્રકાશની વચ્ચે જે વસ્તુનો પડછાયો પડે છે એ તો ઊભી જ હોવાની…
Permalink
March 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉર્વીશ વસાવડા, ઊર્મિકાવ્ય, એમિલી ડિકિન્સન, વિશ્વ-કવિતા
હૃદય ભલા, બે ભેળાં થઈને
એને ભૂલીએ ખાસ.
તું એની આપેલી ઉષ્મા, હું એનો અજવાસ.
જ્યારે તારું કામ પતે ને
દેજે મુજને સાદ,
સંકોરીશ હું વિચાર દીપની શગ
જલ્દી કરજે
સ્હેજ જરા પણ તું પડશે જો પાછળ
તો બસ એ જ પળે
એ આવી જાશે યાદ.
-એમિલિ ડિકિન્સન
(ભાવાનુવાદ: ઉર્વીશ વસાવડા)
*
વેલેન્ટાઇન ડે પર એમિલિ ડિકિન્સનની આ કવિતા રજૂ કરી એનો સાછંદ પદ્યાનુવાદ મોકલાવી આપ્યો એ આજે આપ સહુ માટે…
Permalink
February 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
હું ખેડું, તું વાવ,
આપણા ખેતર સૌ લ્હેરાવ,
હું વેડું, તું લાવ,
આપણી દોસ્તીનો એ દાવ.
કર માખણ-શી માટી મારી,
તારે ચાક ચડાવ,
ઘડા-કુલડી-માટ-કોડિયાં
ખપનાં ઠામ ઘડાવ,
હું પાકું એમ પકાવ,
હું દીપ ધરું, દરશાવ !
ઊંડો ખોદું કૂપ, ઝરણથી
તારાં એ ઊભરાવ,
તળિયું તરતું થાય, તલાવે
જળ એવાં છલકાવ !
હું ખૂલું, તું આવે !
આપણો જલસે થાય જમાવ !
– ચંદ્રકાન્ત શેઠ
ઇશ્વર સાથેની દોસ્તીનું એક મધુરું ગીત.. તળિયાને તરતું કરાવવાની વાતમાં આ ભક્તિભાવ કવિતાના સ્તરે પહોંચે છે…
Permalink
February 25, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under હિન્દી કાવ્ય - ઓશો
“मैं रुका रहा
किसी बाँस की डाली की तरह
हवा के सामने झुका रहा
और आवाज सुनता रहा एक
कि नति ठीक है
मगर मना नहीं है तुम्हारे लिये गति
हमने तो तुमसे उन्नत होने के लिये कहा है
विरति की बात कहाँ कही है हमने
रत रहने के लिये कहा है हमने तो तुमसे
सुनने को सुनता रहा मै यह आवाज
मगर समझ लिया मैंने
कि यह एक सलाह है
अपनी एक राह है मेरी
रुकने की और झुकने की
किसी न किसी जगह
पूरी तरह चुकने की ।”
-ओशो – अथातो भक्ति जिज्ञासा – માંથી , કવિના નામ વિષે માહિતી નથી .
કોઈકે લિઓનાર્દો દ વિન્ચીને પૂછ્યું હતું – તમે નવોદિતોને વારસામાં શું આપવા ઇચ્છશો ? – તો તેઓનો જવાબ હતો – એક જ આગ્રહભરી વિનંતી – કદી તમારા મા-બાપ અને શિક્ષકોની સલાહ માનશો નહીં. પંડને જે દિશા સાચી લાગે તે દિશામાં નિર્ભયતાથી આગળ ધપજો ……
અંતિમ ચાર પંક્તિઓમાં આખી કવિતાનો અર્ક છે ….
Permalink
February 23, 2013 at 11:44 PM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
રૂપ રહેવા દે મ્યાન, આપી દઉં
ખંડણીમાં ગુમાન આપી દઉં
ભૂલથી પણ એ ભાવ પૂછે તો…
આખે આખી દુકાન આપી દઉં
મોસમે પૂછ્યું, આંખ મિચકારી
‘એક ચુંબન શ્રીમાન આપી દઉં?’
પાનખર આવે તો ભલે આવે
એને પણ માન-પાન આપી દઉં
કાં તો ભમરાને ગાન ના આપું
કાં તો કળીઓને કાન આપી દઉં
બોલ્યા પંડિત પતંગિયું જોઇ
‘ક્યારે પકડું, ને જ્ઞાન આપી દઉં!’
– ઉદયન ઠક્કર
રમતિયાળ ગઝલ ……
Permalink
February 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગરબી, દયારામ
ઓ વ્રજનારી ! શા માટે તું અમને આળ ચડાવે ?
પુણ્ય પૂરવ તણાં, તેથી પાતળિયો અમને લાડ લડાવે.
મેં પૂરણ તપ સાધ્યાં વનમાં, મેં ટાઢ-તડકા વેઠ્યાં તનમાં,
ત્યારે મોહને મહેર આણિ મનમાં, ઓ વ્રજનારી !
હું ચોમાસે ચાચર રહેતી, ઘણી મેઘઝડી શરીરે સહેતી,
સુખ-દુઃખ કાંઈ દિલમાં નવ લ્હેતી, ઓ વ્રજનારી !
મારે અંગ વાઢ વઢાવિયા, વળી તે સંઘાડે ચડાવિયા,
તે ઉપર છેદ પડાવિયા, ઓ વ્રજનારી !
ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કોમાં શિરોમણિ કીધી,
દેહ અર્પી અર્ધ અંગે દીધી, ઓ વ્રજનારી !
માટે દયાપ્રીતમને છું પ્યારી, નિત્ય મુખથી વગાડે મુરારિ,
મારા ભેદગુણ દીસે ભારી ! ઓ વ્રજનારી !
– દયારામ
વ્રજની ગોપીઓ દયારામની એક ગરબીમાં કૃષ્ણ વાંસળીને પોતાના કરતાં વધુ વહાલ કરે છે એમ માનીને ‘વેરણ’ અને ‘શોક’ કહી બોલાવે છે એનો પ્રત્યુત્તર વાંસળી આ ગરબીમાં આપે છે. વાંસલી વ્રજનારીને કહે છે કે અમને નહક આળ ન દે. અમારા આગલા જન્મોના પુણ્ય છે. અમે વનમાં ટાઢ-તડકો-મેઘઝડીઓ ખુલ્લા ડિલે મનમાં સુખ-દુઃખ આણ્યા વિના ઝીલ્યાં છે. અંગે કાપા પડાવ્યા, સંઘાડે ચડ્યા અને પછી કાયામાં છીદ્રો પડાવ્યાં ત્યારે મુરારીએ મને હોઠવગી કીધી છે.
(ચાચર = ખુલ્લો ચોક)
Permalink
February 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under બંકિમ રાવલ, શેર, સંકલન
અમદાવાદથી વ્યવસાયે એન્જિનિઅર એવા બંકિમ રાવલ એમનો પ્રથમ સંગ્રહ “ઢળે જો સાંજ” લઈને આવે છે. માત્ર એકાવન કૃતિઓનો રસથાળ પીરસતો આ નાનકડો સંગ્રહ ૨૧ ગીત, ૨૨ ગઝલ અને બાકીના અછાંદસ-હાઇકુઓથી સજ્જ છે. માત્ર બાવીસ જ ગઝલમાં અલગ અલગ ૧૪ જેટલી બહેરનું છંદ-વૈવિધ્ય આપી શક્યા છે એ વાત સાનંદાશ્ચર્ય જન્માવે છે. ગીતોમાં ક્યાંક લય લથડે છે અને એકાદ અછાંદસ ગદ્યની પૃષ્ઠભૂ પરથી ઊંચે નથી ઊઠી શકતું એ જવા દઈએ તો સરવાળે સરસ કામ થયું છે.. ગઝલોમાં તો ઘણા બધા શેર આસ્વાદ્ય થયા છે.
ગઝલના કેટલાક શેર:
ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
એ અવિરત પૂર ધસમસ, અંકપટ્ટી આપણે;
નોંધ ચોક્ક્સ થઈ શકે પણ ખાળવું સહેલું નથી.
કશું છે ભીતર ? શક પડે છે હવે,
પડળમાં પડળમાં પડળ કેમ છે !
વૃક્ષ કેવળ થડ બનીને રહી જશે,
લાગણી અગવડ બનીને રહી જશે.
કોકનું ચાલી જવું આ દ્વારથી હટતું નથી,
કોકનું આવ્યાં છતાં આવ્યા વિના ચાલી જવું.
ચોપાસ એમ રહેવું જાણે કશે જ ના હો,
એ તું હશે કે મારી અટકળ હતી ? જવા દો.
શબ્દની છલનાનું ગૌરવ સાચવું,
ચુપ રહું, અફવાનું ગૌરવ સાચવું.
ખુદને તાળું દઈ ઘરેથી નીકળું,
ભીડમાં ભળવાનું ગૌરવ સાચવું
વૃક્ષની પાર પણ વિશ્વ હોઈ શકે,
પાનખરની બહાને ખરી જોઈએ.
જાણવાથી કંઈ ફરક પડતો નથી,
દુઃખ એ જાણી ગયાનું હોય છે.
બચપણમાં સંતાડેલું તે જડી ગયું તો કામ આવ્યું,
એક રમકડું સ્વયં થકી સંતાઈ જવાની આદતનું.
પથ્થરનું સ્વપ્ન વૃક્ષ,
લીલો-પીળો પ્રવાસ.
ફ્રેમ બની જા તું ફોરમની,
મારી જાત મઢાવી આપું.
ઉલા-સાની બે ડાળની વચ્ચે,
ચંદ્ર શાયરની વ્યંજના જાણે.
ચલો, ‘હોવું’ મળે છે ક્યાં ‘ન હોવા’ને પૂછી લેશું,
ઊડી છે વાત કે બન્ને વસે એક જ સ્થળે, સાધો.
ગીતોમાંય ક્યારેક અદભુત કલ્પન ડોકિયાં કરી જાય છે. બે ઉદાહરણ જોઈએ:
પહેલી લીટી એક અજંપો, બીજી લીટી ડૂમો,
તારું હોવું ‘ફ્રેન્ચ’ કવિતા, કેમ કરું તરજૂમો !
કૂવાની મિલકત પૂછો તો પડઘા ને અંધારું,
વૈભવ લેખે તાડ ગણાવે શૂન્યભવન મજિયારું…
-બંકિમ રાવલ
કવિશ્રીને શુભકામનાઓ…
Permalink
Page 62 of 118« First«...616263...»Last »