ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને
-ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ખેતી – ચંદ્રવદન મહેતા

‘ઈલા ! કદી હોય સદા રજા જો,
મૂકું ન આ ખેતરની મજા તો;
જો સ્વર્ગથી આંહી સર્યું સુવર્ણ,
એથી થયાં શોભિત ઘાસ પર્ણ.

આવે મજેને કુમળે પ્રભાત,
વ્હેલાં જવું ખેતરમાંહી સાથ,
ને ન્યાળવા નિર્મળ દિવ્ય રંગ;
હૈયા મહીં માય નહિ ઉમંગ.

જો ખેતરો ડાંગર શેલડીના,
વેલા વીંટેલા ફૂલવેલડીના,
એમાં ઢળે આ મૃદુ તેજધાર,
શોભા અહીં ખેતરની અપાર.

હું તો કરું બ્હેન સદા ય ખેતી
કાને ધરું ના જરી લોકકે’તી,
વાવી લણું તો ધનધાન્ય સ્હેલ,
જો ને પછી થાઉં ધનો પટેલ.’

‘હો હો, તું જો થાય ક ની પટેલ,
તો એક રૂડી નકી માગું વ્હેલ;
ને શેલડી ડાંગર જો ઉગાડે,
તો હું ય વાવું વળી તે જ દા’ડે.

ને શેલડીનો રસ પીલી કાઢું,
ને હું જ પ્હેલાં મુજ કો’લુ માંડું;
ને ગોળ મીઠો જરીમાં બનાવું,
એ સાથ ધાણા ઘર વ્હેચડાવું.

બે છોડ હું ડાંગરના ઉગાડું,
ને એ લણી ભાત પછી ય ખાંડું,
ને રોજ વ્હેલા ઊગતે પ્રભાત,
તારે કપાળ વળી ચોડું ભાત.

ને સૂર્ય શાં ભાવિ ઊજાળનારાં
ઓવારણાં રોજ લઉં હું તારાં;
ને રોજ હું તો ઊજવું ઉજાણી,
એથી વધારે-નહિ ભાઈ જાણી.’

– ચંદ્રવદન મહેતા

ભાઈ-બહેનના સ્નેહને ચં.ચી.એ ઈલા કાવ્યો દ્વારા જેટલો ગાયો છે એટલો ગુજરાતીમાં બીજા કોઈએ ગાયો નથી. એમના ઈલા કાવ્યો  ગુજરાતી ભાષાનું અનેરું ઘરેણું છે. મુગ્ધ સ્વપ્નસૃષ્ટિ અને કોમળ ભાવવિહારથી આ ગીતો શોભી ઊઠે છે. ઈલા કાવ્યોની પ્રસ્તાવનામાં ચં.ચી. આ કાવ્યો પાછળનો પોતાનો હેતુ એટલા સરસ શબ્દોમાં રજૂ કર્યો છે કે એ અહીં ટાંકવાનો મોહ જતો કરી શકતો નથી.

હું કુબેરદેવ હોઉં તો ઠેકઠેકાણે ઇમારતો બાંધી એને ‘ઈલા’ નામ આપું; (અરે હું વિશ્વકર્મા હોઉં તો -કે બ્રહ્મા જ હોઉં તો- નવી સૃષ્ટિ રચી એને ‘ઈલા’ નામ નહિ આપું ?); હું શિખરિણી હોઉં તો એકાદ ભવ્ય અને સુંદર ગિરિશૃંગ શોધી, ત્યાં ચડી એને ‘ઈલાશિખર’ નામ આપું; હું કોઈ મોટો સાગરખેડુ હોઉં તો એકાદ ખડક શોધી વહાણોને સાવચેત રહેવા ત્યાં એક નાજુક પણ મજબૂત દીવાદાંડી બાંધી એને ‘ઈલા દીવી’ નામ આપું અથવા તો હું એક મહાન વૈજ્ઞાનિક થાઉં તો જગતજ્યોતિમાંથી એકાદ નવું રશ્મિ શોધી એને ‘ઈલાકિરણ’ નામ આપું કે ખગોળમાં નવો જ ‘ઈલાતારો’ શોધું.

પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે. એક સ્મારક. આ તો રંક પ્રયાસ, ભગિનીહેતના ભવ્ય કર્મકાંડના ઉપનિષદ-સાહિત્યમાંથી એકાદ નજીવા શ્લોકનો ઉચ્ચારમાત્ર,  ધ્વનિમાત્ર,  શબ્દમાત્ર…

આગળ પણ એક ઈલા કાવ્ય રજૂ કરેલું એ પણ જોશો. ઈલા કાવ્યો પહેલી વાત છેક 1933માં પ્રગટ થયેલા. તે વખતે આ ગીતો રમેશ પારેખના સોનલ કાવ્યો જેટલા જ કે કદાચ એનાથી ય વધુ લોકપ્રિય થયેલા. (મારે માટે આ કાવ્યો વધુ ખાસ છે કારણ કે મારા ફોઈનું નામ ઈલા એટલે આ બધા ઈલા કાવ્યો મારા પપ્પાને ખાસ વહાલાં. અને એથી આ બધા કાવ્યો ઘરમાં અવારનવાર ગવાતાં.)

Comments (3)

ચંદનહાર – ચીમનલાલ ભીખાભાઈ જોશી

સ્ત્રી : ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો એ હારનો નેડલો, તમથી નહીં બોલું હું.

પુરૂષ : મોંઘી તારી માગણી અને મોંઘા તારા મૂલ,
મોંઘી તારી પ્રીતડી, મેં કરતાં કીધી ભૂલ રે.
ઘુંઘટ ઝટ ખોલો ને…

સ્ત્રી : મોહન મેં તો માંગિયો, મોંઘો ચંદનહાર
લાવો હાર પિયુ, પછી તમે લૂટો જોબનિયાની બહાર રે…
ઘુંઘટ નહીં ખોલું હું…

પુરૂષ : રામે મૃગને મરિયો, કનક કંચુકી કાજ,
હું મારું કોઈ સોનીને, આ નથી નવાબી રાજ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…

સ્ત્રી : અલગારા અલબેલડા, કરગરતા શું કામ ?
હાર ન લાવો ત્યાં સુધી, તમે લેશો ન મારું નામ રે,
ઘુંઘટ નહીં ખોલું હું…

પુરૂષ : ચંદનહાર ચૌટે મળે, જો હોય ખિસ્સામાં દામ,
સોની નાજાભાઈ તો આજે ગયા છે ભાવનગર ગામ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…

સ્ત્રી : તું મદરાસી મોરલો ને હું સોરઠની ઢેલ,
પરણ્યા હોય તો પાળજે, નહિં તો પિયર વળાવી મેલ રે,
ઘુંઘટ નહીં ખોલું હું…

પુરૂષ : જૂનાગઢની સુંદરી ને પન્ના તારું નામ,
આ ભાંગવાડી ભેગી થઈ, તને જોવા આવ્યું મુંબઈ ગામ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…

સ્ત્રી : હાર ન જોઈએ હેમનો, ના જોઈએ રેશમચીર
ચંદનહાર લાવી દિયો, મારી સગી નણદલના વીર રે…
ઘુંઘટ નહીં ખોલું હું…

-ચીમનલાલ ભીખાભાઈ જોશી

ગુજરાતી ચલચિત્ર ‘અખંડ સૌભાગ્યવતી’માં થોડા ફેરફાર સાથે આવેલું આ ગીત આજે લોકગીતની હદે એટલું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે કે ચીમનલાલ જોશીએ આ કાવ્ય રચ્યું છે એમ ખબર પડે તો એક હળવો આંચકો અનુભવાય. નવપરિણીત સ્ત્રી-પુરૂષ વચ્ચેની મીઠી નોંક-જોંક, સ્ત્રીનો આભૂષણપ્રેમ અને પતિ પાસે યેન-કેન પ્રકારે ધાર્યું કરાવવાની વૃત્તિ આ ગીતમાં સુંદર રીતે આલેખાઈ છે. ક્યારેક અબોલા તો ક્યારેક જોબન લૂટવા દેવાની લાલચ, ક્યારેક અલબેલડો કહી પ્રશંસા કરવાનું ત્રાંગુ તો ક્યારેક મદ્રાસી કહી ઉતારી પાડીને પિયર ચાલ્યા જવાની ધમકી અને અંતે પતિને પ્રિયતમ કે વ્હાલા કહેવાને બદલે ‘સગી’ નણંદના ભાઈ કહીને કરાતો ઉપાલંભ આ ગીતમાં જાન પૂરી દે છે.

Comments (9)

પછી – માધવ રામાનુજ

દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન,
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

ખોળો વાળીને હજી રમતાં’તાં કાલ અહીં
સૈયરના દાવ નતા ઉતર્યા;
સૈયરના પકડીને હાથ ફર્યા ફેર-ફેર –
ફેર હજી એય ન’તા ઉતર્યા;
આમ પાનેતર પહેર્યું ને ઘૂંઘટમાં ડોકાયું
જોબનનું થનગનતું ગાન !
દાદાના આંગણામાં કોળેલા આંબાનું કૂણેરું તોડ્યું રે પાન.

આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં;
કુંવારા દિવસોએ ચૉરીમાં આવીને
ભૂલી જવાના વેણ માગ્યાં !
પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું
ચોરી ગયું રે કોઈ ભાન !
પરદેશી પંખીના ઊડ્યા મુકામ પછી માળામાં ફરક્યું વેરાન !

– માધવ રામાનુજ

ગુજરાતી ગીતોના ‘ટોપ ટેન’માં સહેજે સ્થાન પામે એટલું સરસ બન્યું છે આ ગીત. કન્યાવિદાયનો પ્રસંગ છે એટલે વિષાદની ઝાંય તો રહેવાની જ. ( સરખાવો – કન્યા-વિદાય ) પરંતુ અહીં કન્યામાંથી વિવાહિતા બનવાની વાતને વધારે અંગત દ્રષ્ટિકોણથી મૂકી છે. પછી હૈયામાં, કાજળમાં, સેંથામાં સંતાતું ચોરી ગયું રે કોઈ ભાન ! – કેટલી નાજુક પણ સચોટ પંક્તિ !

Comments (7)

કેરલ કન્યા – સિતાંશુ યશશ્ચન્દ્ર

છાતીએ છેડો ઢાંક્યો નથી એ પેલી કૈરાલી ચાલી ચાલી જો…
જળ જેવી લીલી લીલી ભોંય પર તરતી શ્યામળા તે રંગની મરાલી જો.

એને બિન્દાસ મ્હેક મ્હેક ફૂટ્યાં છે ચારેગમ ટેકરીનાં સ્તન,
લોચનમાં ડોકાતું એનું અમાસના તારલિયા આભ જેવું મન,
નક્ષત્રો બાંધી શકાય નહીં એનાં એની રોશની ઝલાય નહીં ઝાલી જો.

ભૂરી ભૂરી ઝાંય ભરી ઢેલ એની ચાલમાં ને ઊડે છે આંખોમાં હંસ,
હોય જો નસીબ તો એ આગભરી નાગણ થઈ દઈ જાય અમરતના ડંસ,
ધારદાર ધારિયેથી ફોડી જોવો તો એનું નારિકેલ એકે નથી ખાલી જો.
છાતીએ છેડો ઢાંક્યો નથી એ પેલી કૈરાલી ચાલી ચાલી જો…

– સિતાંશુ યશશ્ચન્દ્ર

ગયા રવિવારે (11-03-2007)ના રોજ નર્મદ સાહિત્ય સભા દ્વારા શ્રી સિતાંશુભાઈને ‘નર્મદચંદ્રક’ એનાયત થયો ત્યારે લાગલગાટ દોઢ કલાક સુધી એમની વાણી સાંભળવા મળી.’ટેન્કટ…ટેન્કટ…’ કે ‘હો ચી મિહ્ ન’ જેવી કવિતાઓ સાથે પરંપરાગત ગુજરાતી કવિતાના કલેવરને પાયામાંથી હચમચાવી નાંખનાર સિતાંશુભાઈની અસ્ખલિત વાક્ધારા સાંભળવી એ પોતે જ એક લ્હાવો હતો. ‘બુકર પ્રાઈઝ’ તો હું ડાબા હાથે લખું તો પણ મેળવી શકું છું એવો જાહેર ‘હું’કાર એક તરફ એમના ગર્વીલા સ્વભાવ અંગે શંકિત કરતો હતો તો બીજી બાજુ ‘લખતે લખતે અનુભવો અને અનુભવતે અનુભવતે લખો’ની લાખેણી શીખ એમની મૃદુ સર્જક્તાનું શરસંધાન કરતી જણાતી હતી. સામા પ્રવાહે તરવાની છાતી ધરાવતા આ સર્જક પોતાની પરંપરાના પેંગડામાં પણ પગ નાંખીને પડી રહેતા નથી. એમની સરરિયલ કવિતાઓ પોતે એક આંદોલન છે. અહીં એક નાનકડા ગીતમાં કેરળકન્યાનું પ્રતીક લઈ આખા કેરળખંડના કાચા અને અક્ષુણ્ણ સૌંદર્યને એમણે સુંદર રીતે આરાધ્યું છે. (જન્મ: 18-08-1941, કાવ્યસંગ્રહો: ‘ઓડિસ્યૂસનું હલેસું’, ‘જટાયુ’, ‘મોએં-જો-દડો’ (ઑડિયો), ‘લડત’)

(મરાલી = હંસી)

Comments (3)

અંધજનનું ગીત – ભાનુપ્રસાદ પંડ્યા

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો, નાથ!
પણ કલરવની દુનિયા અમારી!
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી
ને તોય પગરવની દુનિયા અમારી!

કલબલતો થાય જ્યાં પ્હેલો તે પ્હોર,
બંધ પોપચામાં રંગોની ભાત,
લોચનની સરહદથીને છટકીને રણઝણતું
રૂપ લઇ રસળે શી રાત!
લ્હેકાએ લ્હેકાએ મ્હોરતા અવાજના
વૈભવની દુનિયા અમારી!

ફૂલોના રંગો રિસાઈ ગયા,
જાળવતી નાતો આ સામટી સુગંધ,
સમા સમાના દઈ સંદેશા લ્હેરખી
અડક્યાનો સાચવે સંબંધ !
ટેરવાંને તાજી કૈં ફૂટી તે નજરુંના
અનુભવની દુનિયા અમારી !

ભાનુપ્રસાદ પંડ્યા

જન્મ 24- એપ્રિલ 1932
કાવ્ય સંગ્રહો – અડોઅડ , ઓતપ્રોત, ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર

Comments (4)

પ્રભાત -કૃષ્ણ દવે

સુગંધ પૂછે ઝાકળ સાથે ઘડીક રમું હું બ્હાર ?
કળી કહે કે થોભ જરા હું ખોલી નાંખું દ્વાર.

પરોઢની પાંપણમાં સળવળ ફૂલગુલાબી પ્હાની,
હોઠે વ્હેતું પ્રભાતિયું ને હિંચકો નાખે નાની.

બધાં જ પુષ્પો મ્હેકી એને વ્હાલ કરે છે આમ,
આ તો સૂરજનો બાબો છે કિરણ એનું નામ.

તારાઓમાં પીંછી બોળી ચીતર્યું આખ્ખી રાત,
રંગબિરંગી પાંખો પ્હેરી નીકળી પડ્યું પ્રભાત.

કૃષ્ણ દવે

Comments (5)

દિન થાય અસ્ત – નિરંજન ભગત

દિન થાય અસ્ત
વિદાયની આ ક્ષણ મૌનગ્રસ્ત.

કરુણ નેત્ર નમે, ઢળતી રતિ;
મલિન કાંતિ મુખે ગળતી જતી,
શિથિલ છેવટે આ રવિની ગતિ,
છૂટી જતો અવ પ્રિયા થકી સ્પર્શ, હસ્ત.

કુસુમની કલિ ધૂલિ વિશે ખરી,
વિહગ મૂક, ગંભીર હવા સરી,
ક્ષિતિજ સૌ સૂનકાર થકી ભરી,
સંસાર આ તિમિતમાં તરતો સમસ્ત.

– નિરંજન ભગત

આ ગીત વિદાયની ક્ષણનું ચિત્ર માત્ર છે. ગીત ભલે મનને ઘડીભર ઉદાસ કરી દે એવું છે, છતાં એના છંદના જોરથી એ તમને ફરી ફરીને બોલાવે છે. ધ્રુવપંક્તિ એટલી સબળ છે કે મમળાવ્યા કરવાનું મન થાય છે. નિરંજન ભગતના આવા જ બીજા એક ગીતની ધ્રુવપંક્તિઓ પણ અહીં યાદ આવી જાય છે.

નહીં અશ્રુ, નહીં હાસ મુજ ઉર એવું ઉદાસ!
નહીં ત્રુપ્તિ, નહીં પ્યાસ, મુજ ઉર એવું ઉદાસ!

(આસ્વાદ: ધવલ)

* * *

સંસ્કૃત વૃત્તોમાં લખાયાં હોય એવાં ગુજરાતી ગીત બહુ જૂજ જોવા મળે છે. આ રચના એનું એક મજાનું ઉદાહરણ છે. કવિએ એકાધિક વૃત્ત સંયોજ્યા છે. પહેલી બે પંક્તિમાં કવિએ અનુક્રમે ખંડ ઉપેન્દ્રવજ્રા અને ઉપેન્દ્રવજ્રા છંદ પ્રયોજ્યો છે. ગીતના બંને મુખડા દ્રુતવિલંબિત છંદમાં છે. (છેવટેમાં ‘ટે’ અને ગંભીરમાં ‘ગં’ કવિએ લઘુ લીધા છે એ છૂટ/છંદદોષ ગણાય) તથા બંને પૂરકપંક્તિ વસંતતિલકા છંદમાં છે.
(વિવેક)

Comments (1)

બંદો અને રાણી – બાલમુકુંદ દવે

સીમને સીમાડે તને જોયો મારા બંદા !
પ્રીતચિનગારી પહેલી જોઈ જી જોઈ જી.

એકલ બપોરે તને જોઇ મારી રાણી !
અક્કલપડીકી મેં તો ખોઈ જી ખોઈ જી.

આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા !
હરખની મારી હું તો રોઈ જી રોઈ જી.

હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી !
હેતભીની આંખ મેં તો લોઈ જી લોઈ જી.

કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા !
નજરુંમાં નજર મેં પ્રોઈ જી પ્રોઈ જી.

વણબોલ્યા કોલ લીધા-દીધા મારી રાણી !
તાંતણે બંધાયાં ઉર દોઈ જી દોઈ જી.

આંબલાની મેર ઝૂક્યો તુંય મારા બંદા !
ફેર ફેર મોહી તને જોઈ જી જોઈ જી.

ઉરધબકાર એકતાર મારી રાણી !
ઊઠતા ઝંકાર એક સોઈ જી સોઈ જી.
……. સોઈ જી સોઈ જી.

-બાલમુકુન્દ દવે

પ્રેમના રાજ્યના રાજા અને રાણીનો વારાફરતી એક-એક કડીમાં થતો વાર્તાલાપ આ ગીતને વાંચતાવેંત જ કૈં એવો ઓપ આપે છે કે ફરીથી પ્રેમમાં પડવાની ઈચ્છા થઈ આવે. બંદા અને રાણીના સંબોધનો સાથે પુનરાવર્તિત થતા ધ્રુવખંડ- જોઈ, રોઈ, લોઈ, દોઈ વિ. અને પાછળ ‘જી’કારનો થડકો પ્રેમની અનુભૂતિના આવર્તનોને પ્રલંબ બનાવતા હોય એમ આપણી સંવેદનાને પ્ર-દીર્ઘ સ્પર્શ કરે છે. પ્રેમ આંધળો હોય છે… પહેલા મિલનમાં જ ભરબપ્પોરના સીમના એકાંતમાં અક્કલપડીકી ખોઈ પ્રીતની ચિનગારી ભડભડવા માંડે છે. અને શું ચુંબનની પરિભાષા – હોઠની ધ્રુજારી તારી પીધી! મૌનનો વાર્તાલાપ અને જજરુંની ગુફ્તગુ… નામ પાડ્યા વિના અપાતા વચનો અને એક થતા હૈયાના તાર… આંબાતળે જાણે કે સ્વર્ગ રચાઈ ગયું !

Comments (4)

આપણો ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !

ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !

પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !

– નિરંજન ભગત

આ ટૂંકા જીવનને પ્રિયજનના સંગમાં માણી લેવાની વાત નિરંજન ભગત બહુ ઉત્તમ રીતે કરે છે. દરેક સંબંધમાં ઉતરાવ ચડાવ તો આવે જ છે. એવા વખતે કવિ કહે છે – હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ ! ને છેલ્લે ગુજરાતી કવિતાની અવિસ્મરણીય પંક્તિઓમાંથી એક આવે છે – એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી ! આ ગીત હંમેશા મનને સંતોષ અને આનંદ આપી જાય છે.

Comments (5)

ત્સુનામીનું ગીત – રાજીવ ભટ્ટ ‘દક્ષરાજ’

એક કાચબાએ ધોળ્યું છે વખ
એવું કાગળમાં વાદળને લખ !

માછલીએ પાડી’તી ના તોય દરિયાએ
દખ્ખણમાં દાટ કેમ વાળ્યો?
આપણે તો હોય એક મોજાંના વલખાં
ત્યાં મોજાંનો હિમાલય ભાળ્યો !
જોયું ક્યાંય દરિયાનું દઃખ ?
એવું કાગળમાં વાદળને લખ.

સૂરજ તપે તો એને માફી અપાય
પણ ચાંદાને કેમ કરી આપવી ?
દરિયાના લોહિયાળ તાંડવની વાતને
સૃષ્ટિનાં કયે પાને છાપવી ?!
હવે કાંઠાના વધતા’ગ્યા નખ !!
એવું કાગળમાં વાદળને લખ !

તળાજા, ભાવનગરના રાજીવ ભટ્ટની આ કવિતાએ આંખો આગળ સુનામીના કહરને તાજો કરી દીધો. સૂરજનો તો સ્વભાવ છે કે તપે જ અને બાળે જ. એટલે એને તો કદાચ માફી પણ આપી દેવાય પણ ચાંદો બાળે તો? નદીનું રમણે ચડવું તો સૌ જાણે જ છે, પણ દરિયો તો મ્હેરામણો છે. એ તો નદીઓના પાણીથી માંડીને મનુષ્યોના તાપ, બધું જિરવીને પેટમાંના વડવાનલની ય બહાર જાણ થવા દેતો નથી. દરિયા જેવો દરિયો ઊઠીને સંહારે ચડે અને તેય કાંઠા પર, તો માફી કેમ કરી દેવી? આ વાત કોને જઈ કહેવી?

Comments (6)

કોમળ કોમળ… – માધવ રામાનુજ

હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ…
          સાથરે ફૂલડાં ઢાળજો રે અમે કોમળ કોમળ…

આયખાની આ કાંટ્યમાં રે અમે અડવાણે પગ, 
          રૂંવે રૂંવે કાંટા ઊગિયા રે અમને રૂંધ્યા રગેરગ;
ઊનાં તે પાણીડે ઝારજો રે અંગ કોમળ કોમળ, 
          ખેપનો થાક ઉતારજો રે અમે કોમળ કોમળ..

પ્હેર્યાં-ઓઢ્યાંના ઓરતા રે છોગે છેલ ઝુલાબી, 
          આંખમાં રાત્યું આંજતા રે અમે ઘેન ગુલાબી,
કેડિયે કોયલ ગૂંથજો રે અમે કોમળ કોમળ, 
          ફૂમતે મોર ગ્હેકાવજો રે અમે કોમળ કોમળ…

હાથ મૂકી મારે કાળજે રે પછી થોડુંક લળજો: 
          – ભવ ભવ આવાં આકરાં રે અમને જીવતર મળજો ! 
          – ભવ ભવ આવાં આકરાં રે અમને જોબન મળજો !

કેવા જીવ્યાના અભરખા રે હતા કોમળ કોમળ ! 
          ફૂલના પોઢણ સાથરા રે કેવા કોમળ કોમળ !

– માધવ રામાનુજ

આ ગીતમાં નાયિકા અજબ ખૂમારી, ગૌરવ અને નાજૂકાઈથી મરણપથારી પરથી પોતાના વિતેલા જીવનની વાત કરે છે. દુ:ખ અને અડચણથી ભરેલા જીવનના અંતે નાયિકાને રંજ કે અફસોસ નથી, એની વાત તો તદ્દન અલગ છે – એ કહે છે કે હું એટલી કોમળ છું કે મને હળવા હાથે ઉઠાવજો અને મને ફૂલ પર સુવાડજો. આખી જીંદગી કાંટાઓ પર વિતી છે એનો થાક ઊતારવા ઊના પાણીએ નવડાવજો (અહીં શબને નવડાવવાના રીવાજ તરફ ઈશારો છે.) આખરી સફરમાં નવા, ચમકતા વસ્ત્રો પહેરાવજો. પણ આખરે એ સૌથી મોટી વાત કરે છે – એની ઈચ્છા છે કે ભવ ભવ આવું જ જીવન મળે ! જીવન દુ:ખથી ભરપૂર હતું તો ય એને બદલવું નથી, એવા જીવનનો પણ મનને સંતોષ છે.

આખા ગીતમાં, વિતેલા જીવનની સખતાઈઓની સામે ‘કોમળ કોમળ’ પ્રયોગ અદભૂત રીતે વિષમ ભાવ ઊભો કરે છે. આ ગીતની સાથે થોડા દિવસ પર ટહુકા પર મૂકેલું ગીત માંડવાની જૂઈ પણ જોવા જેવું છે.

Comments (5)

બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી – સુરેશ દલાલ

ડોશી કહે સવાર પડી : ડોસો કહે હાજી.
ડોસો કહે રાત પડી : ડોશી કહે હાજી.
હાજી હાજી હાજી હાજી હાજી હાજી હાજી
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

બન્ને જણા વાતો કરે : કરે હોંશાતોંશી
મનથી રહ્યાં તાજાંમાજાં : શરીરની ખામોશી
ડોસો બ્હારથી થોંથા લાવે : ડોશી લાવે ભાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

ડોશીના દુ:ખે છે ઘૂંટણ : ડોસો ધીમે ચાલે.
એકમેકનો હાથ પકડી નાટકમાં જઈ મ્હાલે.
સિગારેટના ધુમાડાથી ડોશી જાયે દાઝી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી

બન્નેના રસ્તા જુદા : પણ બન્ને પાછા એક
એકમેક વિના ચાલે નહીં : લખ્યાં વિધિએ લેખ
વરસે તો વરસે એવાં : પણ ક્યારેક રહેતા ગાજી.
બન્ને કરતાં એકમેકને વારાફરતી રાજી.

– સુરેશ દલાલ

સુ.દ.ના આ ડોસા-ડોશી કાવ્યો મને ખૂબ ગમે છે. (એક પહેલા પણ રજૂ કરેલું) આ ગીતમાં કવિ સહજીકતાથી જ પ્રસન્ન વાર્ધક્યનું ચિત્ર દોરી આપે છે. એમાં ક્યારેક રહેતા ગાજી થી માંડીને શરીરની ખામોશી જેવી બધી વાતો પણ આવી જાય છે. ડોશીના ઘૂંટણ દુ:ખે તો ડોસો ધીમે ચાલે એ પણ પ્રેમની જ એક અભિવ્યક્તિ છે ને ! સમય સાથે અભિવ્યક્તિ ભલે બદલાય પણ પ્રેમ તો એજ રહે છે.

Comments (6)

કેડેથી નમેલી ડોશી -દલપતરામ કવિ

કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર,
કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી;

કહે ડોશી બાળપણું ખબર વિના મેં ખોયું,
જુવાનીમાં દીવાની તારા જેવી ગતિ રહી;

છવાઈ જરાની છાયા, કાયાના વિંખાયા બંધ,
ગાયા ન ગોવિંદરાયા, માયામાં મતિ રહી;

ઝૂકી ઝૂકી ડોકી વાંકી રાખી દલપતરામ,
જોતી હું ફરું છું જે જુવાની ક્યાં જતી રહી.

-દલપતરામ કવિ

દલપતરામની આ પ્રસિદ્ધ કવિતા વાચકમિત્રની ફરમાઈશ પર અહીં રજૂ કરીએ છીએ. લયસ્તરો ટીમ તરફથી આપ સર્વ વાચકમિત્રોને આ પોસ્ટ વડે ફરી એકવાર સંદેશો આપવા ઈચ્છીએ છીએ કે લયસ્તરો એ અમારો નહીં, આપનો પોતાનો જ બ્લૉગ છે અને આપ આપની ઈચ્છાઓને અહીં શબ્દાકારે મૂર્ત થતી જોઈ શકો એમાં નિમિત્ત બનીએ, બસ એ જ અમારું સૌભાગ્ય છે…

(જરા= ઘડપણ)

Comments

નેજવાંની છાંય તળે – હરિકૃષ્ણ પાઠક

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો,
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન,
કરચલીએ કરમાયાં કાયાનાં હીર
તો ય ફૂલ જેમ ખૂલ્યું છે મન.

આંગણામાં ઊગ્યો છે અવસરનો માંડવો
ને ફરફરતો તોરણનો ફાલ,
એવું લાગે ઘડી, ઊગી છે આજ ફરી
વીતેલી રંગભરી કાલ!

છોગાની શંકાએ માથે ફેરીને હાથ
ખોળે ખોવાયલું ગવન.
સમણાંને સાદ કરી , હુક્કો મંગાવ્યો જરી,
ઘૂંટ ભરી પીધું ગગન.

ઠમકાતી મંદ ચાલ ઘરમાં ને બારણે
ને છલકાતું એ જ નર્યું રૂપ.
કંકુનાં પગલામાં મ્હોરી ગૈ વાત
જેને રાખી’તી માંડ માંડ ચૂપ !

નેજવાંની છાંય તળે બેઠો બુઢાપો
એનું ઝાડ જેમ ઝૂલ્યું છે મન.

હરિકૃષ્ણ પાઠક

ઘરમાં આનંદ મંગળનો પ્રસંગ હોય અને વૃધ્ધ મન પણ પોતાના વીતેલા ઓરતા યાદ કરી હરખાતું હોય, તેવી ઘડીની અહીં બહુ નાજુકાઇથી કવિએ માવજત કરી છે. અહીં બુઢાપાના ખલીપાની નહીં પણ હુક્કાના કેફમાં તરબતર આશા અને આનંદના ગગનમાં ઝૂલતા; અને શરીરે વૃધ્ધ પણ અંતરથી યુવાન માનવની તરોતાજા, ખુશનુમા કેફિયત છે.

Comments

ભોળાં પ્રેમી – કલાપી

કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!

ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!

ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!”

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: “હા! પ્રેમી પહાડ પાણો છે!”

-કલાપી
(કલાપીનો કેકારવ, પૃ: ૬૭)

26 જાન્યુઆરી – 1874 લાઠી દરબાર કલાપીનો જન્મદિન. આ રાજવી અને પ્રેમી કવિ માત્ર 26 વર્ષની વયે રાજખટપટમાં અવસાન પામ્યો. પણ આટલી નાની વયમાં પણ તેણે ગુજરાતી સાહિત્યને અમૂલાં નજરાણાં ભેટ ધર્યા છે.

તેમના જીવન વિશે જાણવા અહીં ‘ક્લીક’ કરો .

ઉપરોક્ત કવિતા ટાઇપ કરી આ પ્રસંગે મોકલી આપવા માટે શ્રી જય ભટ્ટનો આભાર.

Comments

તુલસીનું પાંદડું – અનિલ જોશી

મેં  તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને  પીધું.

ઘાસભરી ખીણમાં પડતો વરસાદ
             ક્યાંક  છૂટાછવાયાં ઢોર ચરતાં,
ભુલકણી   આંખનો   ડોળો ફરે ને
               એમ  પાંદડામાં  ટીપાઓ ફરતાં.
મેં  તો  આબરૂના  કાંકરાથી  પાણીને કૂંડાળું દીધું.

પાણીનાં ટીપાંથી ઝગમગતા ઘાસમાં
                નભના  ગોવાળિયાઓ  ભમતા,
ઝૂલતા કદંબના ઝાડમાંથી મોઈ ને
           દાંડિયો  બનાવીને  રમતા.
મેં    તો    વેશ્યાના  હાથને  સીતાનું છૂંદણું દીધું,

મેં   તો   તુલસીનું  પાંદડું બીયરમાં નાખીને પીધું.

– અનિલ જોશી

આ ગુસ્તાખ ગીતને સમજાવવાની ગુસ્તાખી કોણ કરે… તમે તમારી રીતે સમજો એમા જ મઝા છે !

Comments (4)

ગીત – રાવજી પટેલ

તમે રે તિલક રાજા રામના,
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં !
‘કહો ને સાજણ દ:ખ કેવા સહ્યાં!’
તમે રે ઊંચેરા ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે,
તમારી મશે ના અમે સોહિયાં –

કેવાં કેવાં દ:ખ સાજણ તમે રે સહ્યાં ?
‘કહો ને સાજણ દ:ખ કેવાં સહ્યાં ?’
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતલ મૂંઝારા ઝીણી છીપના,
તમારી મશે ના અમે સોહિયાં –
કહો ને કહો ને દ:ખ કેવાં પડ્યાં ?

– રાવજી પટેલ

રાવજી પટેલના ગીતનો ભાવ ‘તું મહેલો કી શહેજાદી, મૈં ગલીયોં કા બંજારા’ ગીત જેવો છે. આપણા બંનેની પરિસ્થિતિ એટલી અલગ છે કે તારી સાથે હું કદી સારો લાગુ જ નહીં, એટલી વાતમાંથી કેટલા દુ:ખ ઊભા થયા એવી સીધી વાત છે. ગીતને કવિએ એટલા મધુરા શબ્દો અને કલ્પનોથી સજાવ્યું છે કે એક વારમાં જ મન પર પૂરો કબજો જમાવી દે છે.

Comments (2)

કોણ બોલે ને કોણ સાંભળે – મનોજ મુની

કોણ બોલે ને કોણ સાંભળે, કોઇને ક્યાં કોઇ સમજે રે!
બોલ વિનાના શબ્દ બિચારા, હોઠે બેસીને ફફડે રે! – કોણ બોલે ને….

પો’ ફાટે ને સૂરજ ઊગે, ઝાકળમાં થઇ લાલંલાલ,
ઝળહળતી આભાદેવી સારી, રાતની વેદના અપરંપાર,
આંખ રાતના કરી જાગરણ, આશ કિરણને શોધે રે!
પાંપણથી જ્યાં સ્વપ્ન રાત્રિના, ઓગળવા તરફડતા રે ! – કોણ બોલે ને….

સાંજની લાલી મેઘધનુષમાં રંગ સૂરજના ગણતી રે!
સાત રંગ જોઇ હૈયું જાણે, કામળી રાતની ઓઢે રે !
જોતી રહી એ આભની આભા, રંગ મળ્યા ના માણ્યા રે !
આનંદો મન વનફૂલે જ્યાં ઉપવન કોઇ ન થાતા રે ! – કોણ બોલે ને….

શ્યામલ નભના તારા વીણજે, અઢળક વેર્યા સૌને કાજ,
ચાંદ સૂરજની વાટ ન જોજે, ઊગે આથમે વારંવાર.
દુઃખ અમાપ ને સુખ તો ઝીણાં, સત્ય કોઇ ક્યાં સમજે રે!
ચૂંટજે ઝીણા તારલીયા, તારી છાબે ના એ સમાશે રે! – કોણ બોલે ને….

મનોજ મુની

અહીં કવિને દિવસ નહીં પણ રાત્રિનું આકર્ષણ છે! સૂર્યપ્રકાશ અને મેઘધનુષનો નહીં પણ કાળી રાતનો મહિમા કવિ ગાય છે.સૂર્યકિરણથી ઝળહળ થતા ઝાકળબિંદુ તેમને પસંદ નથી. કારણકે, કદાચ કવિને જે ભાવની વાત કરવી છે; તે કોઇ સાંભળવા તૈયાર નથી;તેમનાં સ્વપ્નો માટે તો તેમને રાતનો મહોલ જ બરાબર લાગે છે. જીવનનાં અમાપ દુઃખ જેવા તારલા તેમને વધારે પસંદ છે!

સંતૂરના કર્ણપ્રિય રણકારની સાથે સોલી કાપડીયાના મધુર કંઠે ગવાતા આ ગીતનો મહિમા પણ અપરંપાર છે !

Comments (1)

કાંકરી ખૂંચે છે – હર્ષદ ત્રિવેદી

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ
અને મારામાં કાંકરી ખૂંચે છે !
પાંપણ ઢળે તો કહે અંધારું કેમ ?
અને મારામાં કાંકરી ખૂંચે છે !

એકાન્તે હોય તો ય એકલાં નહીં
ને છતાં મેળો કહેવાય એવું કાંઇ નહીં,
આવનારાં આવે ને જાનારાં જાય
તોય પડવા દેવાની કોઇ ખાઇ નહીં;

કોઇ બારણું અધૂકડું ખોલી ક્હે આવ
અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી બે કાંઠે છલકાતું આખું તળાવ
અને મારામાં કાંકરી ખૂંચે છે !

મળવાનું સ્હેલું પણ ભળવાનું અઘરું
ને ખોવાનું એ જ ખરો ખેલ !
ઠરવાનાં ઠેકાણાં હડસેલે દૂર
ક્યાંક મળવાનો એવો પણ છેલ !

કોઇ માંડે છે મધરાતે મીઠી રમત
અને મારામાં કાંકરી ખૂંચે છે !
પછી ખીણમાં ધકેલાતો આખો વખત
અને મારામાં કાંકરી ખૂંચે છે !

–   હર્ષદ ત્રિવેદી 

Comments (2)

હરિગીત – રવીન્દ્ર પારેખ

હરિ, ચલો કે.જી. માં –
નાનામોટાં ટાબરિયાં આવ્યાં પ્હેલી, બીજીમાં –

હરિ, માંડ ડોનેશન દઈને કર્યું તમારું પાકું,
એડમિશનમાં સ્કૂલો વાતેવાતે પાડે વાંકું,
અને તમે રડવા બેઠા છો અમથા નારાજીમાં ?

હરિ, તમારું નામ જૂનું છે, હરિનું કરીએ હેરી,
હવે તો ફેશન રૉ-હાઉસની, તમે શોધતા શેરી,
મેગી, બેગી ખાઈ લો થોડી, નથી કશું ભાજીમાં –

સ્કૂલબેગ કરતાં પણ ઓછું હરિ તમારું વેઈટ,
યુનિફોર્મની ટાઈ ન જડતાં હરિ તો પડતા લેઈટ,
પછી રડે એવું કે વર્ષા હો ચેરાપૂંજીમાં –

હરિ, કરો કન્વેન્ટ નહીં તો ઢોર ગણાશો ઢોર,
કે.જી., પી.જી. ના કરશો તો કહેવાશો કમજોર,
તમે ભણો ના તો લોકો ગણશે રેંજીપેંજીમાં –

હરિ, કહે કે કે.જી. કરીએ તો જ રહે કે અર્થ ?
અગાઉના નેતા કે મહેતા, કે.જી. નૈં તો વ્યર્થ ?
કે.જી. ના હો તો ય પલટતો મોહન, ગાંધીજીમાં.

-રવીન્દ્ર પારેખ

પહેલી નજરે રમત ભાસતા આ હરિગીતમાં રવીન્દ્રભાઈ સ્વભાવમુજબ કંઈ નવું અને તરત મનને અડે એવું લઈને આવ્યા છે. સ્કૂલોમાં ભણતરના નામે ફાલી નીકળેલા દૂષણોને ફક્ત દૂરથી અડી લઈને પણ એ મનને ભીનું અને હૃદયને બોજિલ કરી દે છે. ડોનેશન, મોડર્ન નામ, શેરી સંસ્કૃતિનો વિનાશ, ફાસ્ટ ફૂડ, સ્કૂલબેગનું વજન, યુનિફોર્મના જડતાભર્યા નિયમો, કન્વેન્ટનો આંધળૉ મોહ… શિક્ષણને નામે ફાટી નીકળેલી બદીઓને માત્ર ચલક-ચલાણી રમતા હોય એમ શબ્દોથી અછડતું અડીને રવીન્દ્રભાઈએ ગીતને વધુ ધારદાર કર્યું છે…

Comments (1)

કોણ રોકે? – સ્નેહરશ્મિ

આ પૂનમની ચમકે ચાંદની , એને કોણ રોકે?
કાંઇ સાગર છલક્યા જાય, એને કોણ રોકે?

આ આષાઢી વરસે મેહૂલો , એને કોણ રોકે?
કાંઇ પૃથિવી પુલકિત થાય, એને કોણ રોકે?

આ વસંતે ખીલતાં ફૂલડાં, એને કોણ રોકે?
કાંઇ ભમરા ગમ વિણ ગાય, એને કોણ રોકે?

આ આંબે મ્હોરતી મંજરી, એને કોણ રોકે?
કાંઇ કોકિલ ઘેલો થાય, એને કોણ રોકે?

આ અંગે યૌવન પાંગરે, એને કોણ રોકે?
કાંઇ ઉરમાં ઉર નહિ માય ! એને કોણ રોકે?

સ્નેહરશ્મિ

Comments (2)

શબ્દોત્સવ – ૪: ગીત: કસુંબીનો રંગ – ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ , મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo

બહેનીના કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo

દુનિયાના વીરોનાં લીલા બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo
વધુ આગળ વાંચો…

Comments (12)

શબ્દોત્સવ – ૪: ગીત: ફુલ વીણ સખે! – કલાપી

ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત, સખે!

અધુના કળી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે.
સુમહોજ્વલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;

ન વિલમ્બ ઘટે, કંઇ કાલ જતે,
રવિ એ પણ અસ્ત થવા ઢળશે,
નમતાં શિર સૌ કુસુમો કરશે,
પછી ગંધ પરાગ નહીં મળશે,
ફુલ વીણ સખે! ફુલ વીણ સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

નકી ઉત્તમ અગ્રિમ કાળ સખે!
ભર યૌવન આ હજુ રક્ત સખે!
ગતિ કાલની ચોક્કસ ન્હોય સખે!
ભરતી પછી ઓટ જ હોય સખે!
ફુલ વીણ, સખે! તક જાય, સખે!

ઢળતી થઇ તો ઢળતી જ થશે,
રજની મહીં ચંદ્ર ઉગે ને ઉગે;
હજુ દિવસ છે,ફુલડાં લઇ લે,
ફરી લે, રમી લે, હસી લે તું સખે!

મૃગલાં રમતાં,
તરુઓ લડતાં,
વિહગો ઉડતાં,
કલીએ કલીએ ભ્રમરો ભ્રમતા;
ઝરણું પ્રતિ હર્ષ ભર્યું કૂદતું,
ઉગતો રવિ જોઇ ન શું હસતું?
પછી કેમ વિમાસી રહ્યો તું સખે!
ફુલ વીણ, સખે! ફુલ વીણ, સખે!
હજુ તો ફુટતું જ પ્રભાત સખે!

કલાપી

Comments (2)

શબ્દોત્સવ – ૪: ગીત: અનુભૂતિ – જગદીશ જોષી

પાંદડી તે પી પીને કેટલું રે પીશે
                  કે મૂળિયાંને પડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
                  જળના વરસ્યાનો અફસોસ ?

એક પછી એક મોજાં આવે ને જાય
                  એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
                  રેશમનો સૂર વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઊજાગરાને
                  આઘાં પરોઢ આઠ કોશ !

નીંદરાતી આંખ મહીં ઊમટીને ઊભરાતું
                  જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
                  જંપ્યું તળાવ નહીં ડહોળું;
આખા આકાશને ઓઢીને  ઠરવાનો
                  જળને છે ઝીણો સંતોષ !

– જગદીશ જોષી

Comments (1)

હંકારી જા – સુંદરમ્

મારી બંસીમાં બોલ બે વગાડી તું જા,
મારી વીણાની વાણી જગાડી તું જા.

ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા,
કાનનાં કમાડ મારાં ઢંઢોળી જા,
પોઢેલી પાંપણના પડદા ઉપાડી જરા,
સોનેરી સોણલું બતાડી તું જા.  …મારીo

સૂની સરિતાને તીર પહેરી પીતાંબરી,
દિલનો દડૂલો રમાડી તું જા,
ભૂખી શબરીનાં બોર બેએક આરોગી,
જનમભૂખીને જમાડી તું જા. …મારીo

ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા,
સાગરની સેરે ઉતારી તું જા,
મનના માલિક તારી મોજના હલેસે
ફાવે ત્યાં એને હંકારી તું જા.  …મારીo

– સુંદરમ્

ભરૂચ જિલ્લાના મિયાંમાતર ગામના વતની અને 1945થી પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં સાધકનું જીવન ગાળનાર કવિશ્રી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુંદરમ્’ (જન્મ: 22-03-1908, મૃત્યુ:10-01-1991) ગાંધીકાલિન કવિઓમાંના એક અગ્રણી કવિ છે. દેશના સ્વાતંત્ર્ય યજ્ઞના અદના સેવક રહ્યા હોવાના નાતે એમની કવિતાઓમાં વિશાળ માનવપ્રેમની લાગણી, પીડિતો પ્રત્યે અનુકંપા, રાષ્ટ્ર-મુક્તિનો ઉલ્લાસ સ્વાભાવિક્તાથી નિરૂપાયેલા લાગે. એમના કાવ્યો રંગદર્શી માનસની કલ્પનાશીલતાથી અને ભોવોદ્રેકની ઉત્કટતાથી આપણને સ્પર્શી જાય છે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ એમની કવિતાના પ્રધાન વિષયો. કટાક્ષ-કાવ્યો, વાર્તાઓ, વિવેચન, નિબંધો, નાટકો, પ્રવાસકથા જેવા લખાણોમાં એમની બહુમુખી પ્રતિભા છલકાતી નજરે ચડે છે.

કાવ્ય સંગ્રહો: ‘કોયા ભગતની કડવી વાણી’, ‘કાવ્યમંગલા’, ‘વસુધા’, ‘યાત્રા’, ‘વરદા’, ‘મુદિતા’, ‘લોકલીલા’, ‘દક્ષિણા-1,2’ જેવા વીસેક કાવ્યસંગ્રહો.

Comments (2)

Heaven of Freedom – રવીન્દ્રનાથ ઠાકુર

જ્યાં રહે મન નિર્ભય અને
શિર ઉન્નત ને 
હો જ્ઞાન મુક્ત,

જ્યાં સંકુચિત મનોવૃત્તિથી
નથી જગત વિભાજિત
અને સત્યના ઊંડાણેથી
થતા શબ્દ ઉદ્ ભવિત,

જ્યાં સત્યની શોધ
સદા અવિરત, અસ્ખલિત,

જ્યાં તર્કનો શુધ્ધ નિર્ઝર
ન સુકાતો રૂઢિના રણે
અને સદા વિસ્તરતા વિચાર અને
કર્મના ગગને અનુસરે
મન તારા પગલે,

હે, નાથ!
જગવ મુજ દેશને
એ મુક્તિના સ્વર્ગે.

રવીન્દ્રનાથ ઠાકુર

ભાષાંતર – શૈલેશ પારેખ

Where the mind is without fear,
and the head is held high.

Where knowledge is free.

Where the world has not broken up
Into small fragments
by narrow domestic walls.

Where words come out
from the depth of truth.

Where tireless striving stretches
Its arms towards perfection.

Where the clear stream of reason
Hasn’t lost its way,
Into dreary, desert sand of dead habit.

Where the mind is led forward by Thee
Into ever-widening thought and action.

Into that heaven of freedom, O, father!
Let my country awake.

Ravindranath Tagore

ભારતને આઝાદ થયે સાઠ વર્ષ પુરા થશે.
આમાંની કેટલી આઝાદી દેશવાસીઓ પામ્યા?

Comments (1)

આવ સજનવા – દિલીપ રાવળ

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા.

ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે,
પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે,
રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

હૈયું રહેશે હાથ નહિ ને હાથ તમારે હાથે,
મળશું ભીના કૉલ આપશું વાદળ ઘેરી રાતે,
મસ્તીમાં ચકચૂર બનીશું જા, મોસમ મદમાતો લઈને, આવ સજનવા;
                               તું વરસાદી વાતો લઈને આવ સજનવા…

– દિલીપ રાવળ 

પાણીથી ભીંજાવું એ પ્રેમથી ભીંજાવાનું એક પગથિયું જ હોય એમ અહીં કવિએ વરસાદને ગાયો છે.  ચૈતર ટાઢો ડામ બનીને અંગ અંગને બાળે, / પરસેવે હું રેબઝેબ ને ગામ બધુંયે ભાળે, / રોમરોમમાં ગીત મૂકીશું તું અષાઢને ગાતો લઈને, આવ સજનવા; – પંક્તિઓ બહુ જ સરસ બની છે. ચૈત્રની ગરમીને ટાઢા ડામ જેવી કહીને બહુ સુંદર અસર ઉપજાવી છે. આ સાથે આગળ રજુ કરેલા પ્રેમ-ભીના ‘વરસાદી’ ગીતો પણ માણો – 1, 2 અને 3 .

Comments (8)

અથશ્રી હોવું – નયન દેસાઈ

અથશ્રી હોવું, બે હાથો જોડીને રોવું…

અભરે આંસુ, સભરે પીડા
તરફડવું ચિરકાળ, જીવજી
તન તડકો છે… મન પર્વત છે ને
શ્વાસો ખડકાળ, જીવજી
અથશ્રી હોવું : પડછાયાને પાણી ટોવું
બે હાથો જોડીને રોવું

ફૂલની પાંદડીઓમાં પેઠા ભમરા કૈં
ભમરાળ, જીવજી
ડંખ મ્હેંક ભરીને વાગ્યા
કંટક થૈ ગૈ ડાળ, જીવજી
અથશ્રી હોવું : દર્પણ થઈ ઝાકળને જોવું
બે હાથો જોડીને રોવું

સખ્ખળ ડખ્ખળ સંબંધોનાં
અણિયાળાં કૈં આળ, જીવજી
આ સૂરજને પાદર કાઢો
ઊગે છે બરફાળ, જીવજી
અથશ્રી હોવું : વહેતા જળને જળથી ધોવું
બે હાથો જોડીને રોવું

નયન દેસાઈ

કવિ નયન દેસાઈ જીવનની ભાતીગળ વાતોને કળાત્મક રીતે લાક્ષણિક શબ્દોમાં ઢાળીને કહેવાની હથોટી ધરાવે છે. આ પહેલી નજરે અસ્પષ્ટ ભાસતા ગીતમાં આપણા ‘હોવાપણા’ની વાત નયનભાઈ અભૂતપૂર્વ સહજતાથી લઈને આવ્યા છે. આપણું હોવું શું છે એ પ્રશ્નનો ઉત્તર તો એ ધ્રુવપંક્તિમાં જ આપી દે છે… બે હાથ જોડીને રોવું, એ જ છે આપણું હોવું…

માંહ્યમાં કંઈ ન હોય તો આંસુ અને માંહ્ય માલામાલ હોય તો પીડા, આજ છે આપણી દ્વિધા. અભરે કે સભરે, માણસો સદાકાળ તરફડતા જ રહેશે કારણકે તન-મન-શ્વાસ અને એ રીતે આ જીવનનો રસ્તો કંઈ આસાન નથી… એ તો તાપ સમો આકરો કે પર્વત સમો દોહ્યલો અને બાકી હોય ત્યાં દુર્ગમરીતે ખડકાળ છે. પડછાયાની પાછળ દોડવાથી નથી કશું હાંસિલ કે નથી કશું મળવાનું એને પાણી પાઈ પાઈને પોષવાથી…

જીવનને ફૂલની પાંદડી સમું નાજુક અને સુંવાળું ગણીએ તો એનો રસ ચૂસવા માટે કૈંક ભમરા ટાંપીને જ બેઠા છે એ ભૂલાવું ન જોઈએ. ફૂલના નસીબમાં માત્ર સુવાસ જ ક્યાં છે, ડાળ પરના કાંટા પણ તો છે… ઝાકળ પોતે ક્ષણાર્ધ માટેની વાસ્તવિક્તા છે, જે પ્રભાતના પહેલા કિરણ સાથે જ વિલોપાઈ જશે… અને દર્પણ એટલે આભાસ… આપણું હોવાપણું એટલે ઝાકળ સમી ક્ષણભંગુરતાને દર્પણના આભાસથી જોવાની અર્થહીન ચેષ્ટા….

આપણા સંબંધો પણ આપણા હોવાપણાની જેમ જ શિથિલ છે… એ ઢીલા પડી ગયા છે… પરસ્પર આળ ચઢાવવાની ઢીલાશથી વધુ ચુસ્તતા આપણે જવલ્લે જ કોઈ સંબંધોમાં અનુભવીએ છીએ કેમકે આપણા સંબંધોના સૂર્યમાં સ્નેહની ઉષ્મા નથી… એમાં છે ઔપચારિક્તાની બર્ફિલી ટાઢક. વહેતા પાણીને પાણીથી ધોવાથી શું વળે? આપણું હોવું પણ શું આવું જ અર્થહીન નથી?

Comments (4)

હરિ ગીત – રવીન્દ્ર પારેખ

હરિ, હાજરાહજૂર !
તોય મને શોધાવે એવું હો એ જગથી દૂર.

અડધી રાતે ડર લાગે તો કોને જઈને કૈયે,
હરિ, રહે હૈયે ને તો પણ કદી ન આવે શય્યે,
ક્યાંક ઝલક એની સાંપડતાં હું તો ગાંડીતૂર.

ટુકડે ટુકડે અંધારાં સીવીને કાઢું રાત,
ટીપે ટીપે વિરહ પરોવી માંડ કરું પરભાત,
છતે ધણીએ કોણ હશે મારા કરતાં મજબૂર ?

કોઈવાર તો એમ થાય કે બાથ ભીડું બ્રહ્માંડે,
પછી થાય, હૈયે છે તેને કોણ બ્હાર જઈ ભાંડે ?
એવું કરવા કરતાં હૈયું કરું ન ચકનાચૂર !

-રવીન્દ્ર પારેખ

અટક પારેખ હોય તો હરિગીત સરસ લખાય એવું તો નથી ને? રમેશ પારેખની જેમ રવીન્દ્ર પારેખના હરિગીતો પણ આપણી ભાષાનું સુંદર ઘરેણું બની રહ્યાં છે. હૈયામાં હોય એને બહાર જઈને વળી શું ભાંડવું એ વિલાપમાં હરિ માટેની અદમ્ય ઝંખના તીવ્રતાને સ્પર્શે છે…

Comments (3)

કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી – સોહનલાલ દ્વિવેદી

લહરોંસે ડરકર નૌકા પાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

નન્હીં ચીંટી જબ દાના લેકર ચલતી હૈ,
ચઢતી હૈ દીવારોં પર, સૌ બાર ફિસલતી હૈ.
મનકા વિશ્વાસ રગોંમેં સાહસ ભરતા હૈ.
ચઢકર ગીરના, ગીરકર ચઢના અખરતા હૈ.
આખિર ઉસકી મેહનત બેકાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

ડુબકીયાં સિન્ધુમેં ગોટખોર લગાતા હૈ.
જા જા કર ખાલી હાથ લૌટકર આતા હૈ.
મિલતી નહીં સહજ હી મોતી ગેહરે પાની મેં.
બઢતા દુગુના ઉત્સાહ ઇસી હૈરાનીમેં.
મુટ્ઠી ઉસકી ખાલી હર બાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

અસફલતા એક ચુનૌતી હૈ.
ઇસે સ્વીકાર કરો; ક્યા કમી રહ ગયી ?
દેખો ઔર સુધાર કરો જબ તક ના સફલ હો.
નીંદ ચૈન કી ત્યાગો તુમ.
સંઘર્ષકા મૈદાન છોડકર મત ભાગો તુમ.
કુછ કીયે બીના હી જય-જય-કાર નહીં હોતી.
કોશિશ કરને વાલોંકી હાર નહીં હોતી.

– સોહનલાલ દ્વિવેદી

થોડાક વખત પર આવેલી ફિલ્મ ‘ મૈંને ગાંધીકો નહીં મારા’ માં સતત પઠાતી રહેતી આ કવિતા છે. તેનો સંદેશો ફિલ્મના નાયકના આંતરિક સંઘર્ષ, તેની એક દુઃસહ્ય માનસિક બીમારી અને તેની દિકરીએ તેને માનસિક ગર્તામાંથી બહાર કાઢવા કરેલ અથાગ પ્રયત્નને સતત પુષ્ટિ આપતો રહે છે.

સારી કવિતા કથાવસ્તુને કેવું ઉજાગર કરી શકે છે તેનું આ બહુ જ સુંદર ઉદાહરણ છે.

Comments (5)

મારા રે હૈયાને તેનું પારખું – પ્રહલાદ પારેખ

ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટીર.
કઇ રે ઋતુના આભે વાયરા, કઇ મેં ઝાલી છે દિશ;
નહીં રે અંતર મારું જાણતું;

કેવાં રે વટાવ્યાં મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ;
કેમ રે વટાવી ઊભી માર્ગમાં, અંધારાની એ આડ:
નહીં રે અંતર મારું જાણતું;

વગડે ઊભી છે નાની ઝુંપડી, થર થર થાયે છે દીપ,
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં પ્રીત.
મારા રે હૈયાને તેનું પારખું.

પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.

ફરીને કુટિરદ્વારો વાસિયાં, રાખી દુનિયા બહાર,
પછી રે હૈયાં બેઉ ખોલિયાં, જેમાં દુનિયા હજાર,
મારા રે હૈયાને તેનું પારખું.

પ્રહલાદ પારેખ

જન્મ : 12 ઓક્ટોબર- 1912

Comments (1)

જો બીત ગયી સો બાત ગયી – હરિવંશરાય બચ્ચન

જીવનમેં એક સિતારા થા
માના વો બેહદ પ્યારા થા
વહ ડૂબ ગયા તો ડૂબ ગયા
અંબરકે આનંદકો દેખો
કિતને ઇસકે તારે ટૂટે
કિતને ઇસકે પ્યારે લૂટે
જો છૂટ ગયે ફિર કહાં મિલે
પર બોલો ટૂટે તારોં પર
કબ અંબર શોક મનાતા હૈ?
જો બીત ગયી સો બાત ગયી

જીવનમેં વહ થા એક કુસુમ
થે ઉસ પર નિત્ય નિછાવર તુમ
વહ સૂખ ગયા તો સૂખ ગયા
મધુવનકી છાતીકો દેખો
સૂખી કિતની ઇસકી કલિયાં
મુરઝાયી કિતની વલ્લરીયાં
જો મુરઝાયી વો ફિર કહાં ખીલી?
પર બોલો સૂખે ફૂલોં પર
કબ મધુવન શોર મચાતા હૈ?
જો બીત ગયી સો બાત ગયી

જીવન મેં મધુકા પ્યાલા થા
તુમને તન મન દે ડાલા થા
વહ ટૂટ ગયા તો ટૂટ ગયા
મદીરાલયકે આંગનકો દેખો
કિતને પ્યાલે હીલ જાતે હૈં
ગિર મિટ્ટીમેં મિલ જાતે હૈં
જો ગિરતે હૈં કબ ઊઠતે હૈં
પર બોલો ટૂટે પ્યાલોં પર
કબ મદીરાલય પછછાતા હૈ
જો બીત ગયી સો બાત ગયી

મૃદુ મિટ્ટીકે હૈં બને હૂએ
મધુ ઘૂટ ફૂટા હી કરતે હૈં
લઘુ જીવન લેકર આયે હૈં
પ્યાલે ટૂટ હી કરતે હૈં
ફિર ભી મદીરાલયકે અંદર
મધુકે ઘટ હૈં, મધુ પ્યાલે હૈં
જો માદકતા કે મારે હૈં
વે મધુ લૂટા હી કરતે હૈં
વો કચ્ચા પીને વાલા હૈ
જિસકી મમતા ઘટ પ્યાલોં પર
જો સચ્ચે મધુ સે જલા હુઆ
કબ રોતા હૈ, કબ ચિલ્લાતા હૈ
જો બીત ગયી સો બાત ગયી

 

– હરિવંશરાય બચ્ચન

બીગ-બી ના સ્વ. પિતાશ્રી હરિવંશરાય બચ્ચનની આ બહુ જ પ્રસિદ્ધ રચના છે.  પ્રથમ પત્ની શ્યામાના અવસાન બાદ તેઓ બહુ નીરાશાના ગર્તામાં સરી પડ્યા હતા. એક વર્ષ સુધી આ હતાશા તેમને ઘેરી વળી હતી. કો’ક પળે તેમને એ સત્યનું ભાન થયું કે તેમણે જીવન પસાર તો કરવું જ રહ્યું. તે વખતની તેમની આ નવાગંતુક જાગૃતિમાં આ રચના રચાઇ હતી.

જીવનનો નશો કાયમી રહે તે જરૂરી છે. કદાચ નશા(Passion) વગરનું જીવન તે જીવન  જ નથી. તે કયા પાત્રમાંથી આવે છે કે, પીનારનો પ્યાલો કેવો છે તે અગત્યનું નથી.

તેમનો ગયેલો નશો પાછો આવ્યા પછીની તેમની રચનાઓ બહુ જ અદ્ ભૂત અને વખણાયેલી છે.

Comments (3)

એક ટેકરી – કરસનદાસ લુહાર

આખા ડિલે ઊઠી આવ્યા
જળના ઝળહળ સૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

સાવ અચાનક ચોમાસાએ
કર્યો કાનમાં સાદ…
અને પછી તો ઝરમર ઝરમર
કંકુનો વરસાદ !
દસે દિશાઓ કેસૂડાંની
થઈ ગઈ રાતીચોળ
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

ભીનો મઘમઘ મૂંઝારો
ને પરપોટાતી ભીંત,
રૂંવેરૂંવે રણઝણ રણઝણ
મેઘધનુનાં ગીત
શ્વાસોચ્છ્વાસે છલ્લક
કુમકુમ કેસરિયાળી છૉળ,
એક ટેકરી પહેલુંવહેલું
નાહી માથાબોળ… !

– કરસનદાસ લુહાર

એક ટેકરી પર પડતા પહેલા વરસાદનું કવિએ અદભૂત માદક વર્ણન કર્યું છે. વર્ણન એવુ સુંદર છે કે જાણે કવિ પહેલા પ્રેમનું વર્ણન કરતા હોય એવું લાગે છે … તમે જાતે જ ટેકરીની જગાએ ‘છોકરી’, નાહીની જગાએ ‘ચાહી’ અને જળ/ચોમાસાની જગાએ ‘પ્રેમ’ મૂકીને ગીત વાંચી જુઓ !

Comments (4)

બબાલ – કૃષ્ણ દવે

એની રોજે રોજ હોય છે બબાલ.
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઊખડતી નથી કેમ છાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો સુરજની સામે થઇ ગ્યો,
ને પછી નોંધાવી એફ. આઇ.આર.
શું કહું સાહેબ ! આણે ઘાયલ કરી છે,
મારી કેટલી યે મીટ્ઠી સવાર.
ધારદાર કિરણોને દેખાડી દેખાડી,
લૂંટે છે મોંઘેરો માલ.
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી તો દોડતો ઇ હાઇકોર્ટ ગ્યેલો,
ને જઇને વકીલને ઇ ક્યે:
ચકલી ને ચકલો તો માળો બાંધે છે,
હવે તાત્કાલિક લાવી દ્યો સ્ટે.
બેસવા દીધું ને એમાં એવું માને છે,
જાણે બાપાની હોય ના દિવાલ?
એની રોજે રોજ હોય છે બબાલ.

એક’દી જુવાનજોધ ઝાડવાને કીધું,
કે માંડ્યા છે શેના આ ખેલ?
બાજુના ફળિયેથી ઊંચી થઇ આજકાલ,
જુએ છે કેમ ઓલી વેલ?
શેની ફૂટે છે આમ લીલીછમ કૂંપળ,
ને ઊઘડે છે ફૂલ કેમ લાલ?
એની રોજે રોજ હોય છે બબાલ

– કૃષ્ણ દવે

મારા પ્રિય કવિની કવિતા ફરી એક વાર અહીં રજુ કરુ છું. પ્રકૃતિનાં તત્વોના સુભગ દર્શનો તો અગણિત લખાયાં છે. પણ આ કવિની દ્રષ્ટિ કાંઇક જુદાજ મિજાજની છે.આ રીતે પણ આપણે આ સૌને જોઇ શકીએ!

પરોક્ષ રીતે કવિનો આક્રોશ છે કે, આપણે આધુનિકતામાં અને જીવનસંઘર્ષમાં પ્રકૃતિના તત્વોને જોવાની દૃષ્ટિ ખોઇ બેઠા છીયે. બધાની સાથે તકરાર કરવાની માણસની રીત પર પણ કવિનો આ વેધક કટાક્ષ દિલ પર અસર તો કરી જાય છે- અને તેય કેટલી બધી હળવાશથી ?

આ કવિને પૂરા માણવા હોય તો તેમની કૃતિ ‘વાંસલડી ડોટ કોમ’ વાંચશો.

Comments (4)

બંધાઇ ગયું – સુંદરમ્

( શાર્દૂલ વિક્રીડિત)

બેઠી બિસ્તર બાંધવા પ્રિય તણો,લૈ ત્યાં પ્રવાસે જવા,
બાંધ્યાં કોટ ખમીસ ધોતર ડબી અસ્ત્રો અને સાબુયે,
ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી જ સૌ છોડવા,
આવ્યો પ્રિતમ પૂછતો, ‘ક્યમ અરે! પાછું બધું છોડતી?’
બોલી : ‘ભૂલથી આ બધાંની ભળતું બંધાઇ હૈયું ગયું.’

– સુંદરમ્

 

Comments (3)

કામ કરે ઇ જીતે – નાથાલાલ દવે

કામ કરે ઇ જીતે રે માલમ !
કામ કરે ઇ જીતે.

આવડો મોટો મલક આપણો
બદલે બીજી કઇ રીતે રે. – કામ કરે ઇ જીતે

ખેતર ખેડીને કરો સીમ સોહામણી !
બાંધો રે નદીયુંના નીર ;
માગે છે દેશ આજ મહેનત મજિયારી,
હૈયાના માગે ખમીર. – કામ કરે ઇ જીતે

હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ,
વેળા અમોલી આ વીતે;
આજે બુલંદ સૂરે માનવીની મહેનતના
ગાઓ જય જયકાર પ્રીતે. – કામ કરે ઇ જીતે

– નાથાલાલ દવે

Comments (4)

મન ઉમંગ આજ ન માયો – નલિન રાવળ

મન ઉમંગ આજ ન માયો
કે
ઝરમર ઝરતો શ્રાવણ થઈ એ ધરતી મહીં સમાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
નીલ નભે જઈ ઈન્દ્રધનુ બની છાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
ફળફૂલના સાગર પર શો વસંત થઈ લહેરાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
પંખીગણના કલરવ મહીં ગવાયો.
                            મન ઉમંગ આજ ન માયો

કે
અપરિમેય લાવણ્યમયીના હિય મહીં
                             મધુર રાગ થઈ વાયો

– નલિન રાવળ

દુ:ખનું ગીત લખવા કરતાં આનંદનું ગીત લખવું અઘરું છે. આ ગીતના કલ્પનો બધા જાણીતા છે છતાંયે એના ઉપાડમાં જ એવું કશુંક છે કે તરત આકર્ષે છે. આનંદ જ્યારે ઊભરાય ત્યારે આખા વિશ્વને ગાતો કરી જાય છે એ ઘટનાનું મધુરું ચિત્ર કવિ દોરી આપે છે. ‘હિય’ શબ્દ ક્યાંય મળતો નથી, એ હૈયા કે હ્રદયનો અપભ્રંશ હોય એવું અનુમાન કરું છું.  

(અપરિમેય=જેનું માપ ન થઈ શકે એવું, હિય=?હ્રદય)

Comments (4)

મગદલ્લા બંદરની છોકરી… – નયન દેસાઈ

દરિયો નિહાળે તો મોજું થઈ જાય
ને રેતીને જુએ તો વાયુ જેમ વાય…
મગદલ્લા બંદરની છોકરી…
બોલે તો ઘૂઘવતા કાંઠાની જેમ
ચાલે તો ધરતી પર તરતી દેખાય…
મગદલ્લા બંદરની છોકરી…

નારિયેળી ઝૂંડનો પડછાયો ઓઢી
ગીત ગાય હઈસો ને હોફા
નામ એનું કાંઈ નહીં
મિલ્કતમાં મચ્છી ને ટોપલો ભરીને તરોફા….
બગલાની પાંખ જેવો પાથરી પવન
ઝાડ નીચે સૂઈ જાય ત્યારે દરિયો થઈ જાય…..
મગદલ્લા બંદરની છોકરી…

મગદલ્લા બંદરમાં ભરતી આવે ને
વ્હાણ આવે છે કંઈ કંઈ થી મોટાં
હારબંધ સરૂઓનાં વૃક્ષોની પાછળથી
સૂરજ પાડ્યા કરે છે ફોટા
ફોટામાં આપ ધારી ધારીને જુઓ તો
પરપોટા જેવું જે હસતું દેખાય…..
મગદલ્લા બંદરની છોકરી…

નયન દેસાઈ

Comments (3)

સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયક

તમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડ છે.
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

દિવસના કામમાં ખોવાઈ જાઉં : રાતનો તો જુદો મરોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

તમે રાતે રહો તો મારી સુંવાળી સુંવાળી સોડ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

પાસે આવીને તમે શોધી કાઢો : મારી સોડમાં તો રાત ને પરોઢ છે,
સાહ્યબો મારો ગુલાબનો છોડ છે.

– પન્ના નાયક

રસકવિ રધુનાથ ભટ્ટની પ્રખ્યાત રચનાના મુખડાને લઈને પન્ના નાયકે આ ગીત રચ્યું છે. આ ગીતમાં રસકવિની રચનાઓમા છલકાતો શૃંગારભાવ અકબંધ છે. છેલ્લી ત્રણ પંક્તિઓ – રાતનો તો જુદો મરોડ છે… મારી સુંવાળી સુંવાળી સોડ છે… મારી સોડમાં તો રાત ને પરોઢ છે – માં વધુને વધુ ઉત્કટ થતી જતી પ્રણયઉત્કંઠાની સરસ અભિવ્યક્તિ થઈ છે.

Comments (2)

પૂજારી – કૃષ્ણલાલ શ્રીધરાણી

ઘંટનાં નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય;
ફૂલમાળ દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય;
ન નૈવેદ્ય તારું આ, પૂજારી પાછો જા !

મંદિરના આ ભવ્ય મહાલો, બંધન થાય મને;
ઓ રે પૂજારી! તોડ દિવાલો, પાષાણ કેમ ગમે?
ન પ્રેમનું ચિહ્ન આ ! પૂજારી પાછો જા !

એરણ સાથે અફાળે હથોડા, ઘંટ તણો ઘડનાર;
દિન કે રાત ન નિંદર લેતો, (ને) નૈવેદ્ય તું ધરનાર?
ખરી તો એની પૂજા, પૂજારી પાછો જા !

દ્વાર આ સાંકડાં કોણ પ્રવેશે? બ્ હાર ખડી જનતા;
સ્વાર્થ તણું આ મંદિર બાંધ્યું, પ્રેમ નહીં પણ પથરા;
ઓ તું જો ને જરા ! પૂજારી પાછો જા !

માળી કરે ફૂલ– મ્હેંકતી વાડી, ફૂલને તું અડ કાં ?
ફૂલ ધરે તું : સહવાં એને ટાઢ અને તડકા!
એ તે પાપ કે પૂજા? પૂજારી પાછો જા !

ઓ રે પૂજારી ! આ મંદિર કાજે, મજૂર વહે પથરા;
લોહીનું પાણે તો થાય એનું, ને નામ ખાટે નવરા !
અરે તું ના શરમા? પૂજારી પાછો જા !

ખેડૂતને અંગ માટી ભરાતી, અર્ઘ્ય ભર્યો નખમાં;
ધૂપ ધર્યો પરસેવો ઉતારી , ઘંટ બજે ઘણમાં;
પૂજારી સાચો આ ! પૂજારી પાછો જા !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

Comments (1)

અંદર તો એવું અજવાળું – માધવ રામાનુજ

અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….

– માધવ રામાનુજ

આ ગીતને શુભા જોશીના સૂરીલા કંઠે, અને શ્યામલ- સૌમિલના મધુર સ્વરાંકનમાં સાંભળતાં આપણને પણ આવો અનુભવ એક વાર કરી લેવાનું મન થઇ જાય છે.

આ ગીતમાં જે અનુભવની વાત કરી છે, તે અનુભવ થયેલા અગણિત વ્યક્તિઓએ પોતાનો આ અનુભવ બધાને પણ થાય તેવી ઇચ્છા રાખી છે.

કમભાગ્યે, તેમણે કહેલા માત્ર શબ્દોને જ પકડીને જગતના સર્વ ધર્મો અને સંપ્રદાયો રચાયા છે, અને લાખો લોકોનાં લોહી રેડાયાં છે, અને અગણિત માનવ વ્યથાઓએ જન્મ લીધો છે. અને હજુ પણ આ દારૂણ પ્રક્રિયા ચાલુ જ છે.

માટે જ્યારે કોઇ શબ્દ આપણે વાંચીએ કે સાંભળીએ ત્યારે જે ભાવ કે અનુભવનો તે પડઘો હોય છે, તે મૂળ તત્વ આપણા માનસ પટમાં ઝીલાય, અને આપણે તે ભાવ સાથે તાદાત્મ્ય અનુભવીએ, ત્યારે આપણી સંવેદનશીલતા બરાબર પાંગરી છે, તેમ કહી શકાય.  

 

 

Comments (7)

પત્થરનો ઇશ્વર – કૃષ્ણ દવે

મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બહાર ભભુક્યા કરતી,
આ જઠરોની જ્વાળા,
કોઇ ન ઠારે? કોઇ ન ઠારે?    

સોનાના હિંડોળા હો, કે હો મખમલના ગાદીતકિયા,
પત્થરની આંખોને તે કંઇ નીંદર આવે?
અરે જુઓ આ મખમલ જેવા બાળકને,
પાષાણ પથારીમાંયે કેવાં
જાતજાતનાં સપનાં આવે?
ભલે પછી એ દોડ્યે રાખે,
આખું જીવતર આ ખાંડાની ધારે ધારે.
એવે ટાણે પુષ્પોના નાજુક સથવારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

લજ્જા શેરી વચ્ચે આવી સ્વયં વસ્ત્રની ખોજ કરે છે,
ને વસ્ત્રોના હરનારા બેઠાબેઠા કેવી મોજ કરે છે.
અને કાળ પણ આ ઘટનાનું પુનરાવર્તન રોજ કરે છે.
એવે ટાણે લીલાંપીળાં, લાલગુલાબી,
વસ્ત્રોની જૂઠી ભરમારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

જ્યાં બાળક પહેલા સ્તનપાને, દૂધ નહીં પણ દુઃખ પીએ છે,
જ્યાં જીવન ડગલે ને પગલે,
મધમાખીશા ડંખ જીવે છે,
અને વલોવી ઇચ્છાઓને,
બાળી બાળી જાત સીવે છે.
એવે ટાણે પંચામૃતની મીઠી ધારે,
આ પત્થરનો ઇશ્વર શાના જલસા મારે?

– કૃષ્ણ દવે

આ કાવ્યમાં પત્થરની મૂર્તિને સ્વાર્થી લાલસાઓમાં ભજી ભજીને પત્થર જેવા થઇ ગયેલા- ઇશ્વરનો અંશ મનાતા – આપણા આત્માને સંબોધન છે. મગરની ચામડી જેવી થઇ ગયેલી આપણી સંવેદનશીલતા ઉપર કવિનો આ તીવ્ર આક્રોશ છે. આપણે ક્યારે આપણી અંદર રહેલા પત્થરના એ ઇશ્વરને તજીને આ રડતા ઇશ્વરને સાંભળીશું?

Comments (3)

એક પ્રશ્નગીત – રમેશ પારેખ

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
                        અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
                        અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
                         અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

– રમેશ પારેખ 

વિરહીણી નારીની મનોવ્યથાને પ્રશ્નોના રૂપમાં બહુ સુંદર રીતે કવિએ અહીં વ્યક્ત કરી છે. ઝાડ પર ચઢીને પ્રિયતમની રાહ જોતી નારીના હૈયામાં ઊઠેલી આગ, અને પરપોટા જેવા મનોરથોએ દરિયો તરવાની બકેલી હોડ, માળાનો ભેંકાર ખાલીપો અને ઊંચી ઘૉડી પર બેસતા ‘એ’ અસવાર ના આવ્યાના સતત ભણકારા –
આ બધામાંથી નિખરી આવતું શબ્દચિત્ર જ્યારે સુંદર કંઠે, ભાવમય લયમાં સાંભળવા મળે છે ત્યારે આપણે પણ આ વિરહ વ્યથાના સહભાગી થઇ જઇએ છીએ.

Comments (4)

એક સુંવાળી નદી – સુરેશ દલાલ

સદી સદીથી વહી રહી છે
                         એક સુંવાળી નદી
                         એક હૂંફાળી નદી.

નરસૈંયાનાં     વેણ    વ્હેણમાં      વહ્યા      કરે
મીરાંબાઈના    નેણ     ઝરમર       ઝર્યા    કરે
રસિકવલ્લભ   દયારામની   તરી રહી    ગરબી.

પ્રેમાનંદનાં  આખ્યાનો  ને અખાની  ધખતી  વાણી
દલપત-નર્મદ અર્વાચીનની ક્ષિતિજ ઉઘાડે શાણી
કાન્ત, કલાપી, ઠાકોરની તો  વાત નિરાળી, નરવી.

ન્હાનાલાલની   નૌકા   કેવી   લાડકોડથી     તરે
ધ્વનિ  અને  છંદોલયના   અહીં ટહુકાઓ તરવરે
ખડિંગ   દઈને  બરફના પંખી ઊડતાં  કદી કદી.

સિંજારવ  ને   પરિક્રમા   ને   બારીબહારનો પંથ
વિના   ભોમિકા   વસુધા કેરી યાત્રા  અહીં અનંત
લયને  રસ્તે  પ્રિયકાંત ને   મણિલાલ,   રાવજી.

ઓડિસ્યસનું   હલ્લેસું ને બૂમ કાગળમાં   કોરા
એક પલકમાં તૂટી ગયા અહીં તર્ક તણા કૈં દોરા
ફૂટપટ્ટીથી  મપાય   નહીં કદી દરિયાની ભરતી.

મેઘાણીના   યુગમેઘમાં ચમકે   વીજળી   સૂર
સ્વપ્નપ્રયાણે પશ્વિમ: કોડિયાં નહીં રવિથી દૂર
સતત, અચાનક, મૌન, આગમન, અટકળ કરો હજી.

– સુરેશ દલાલ

ગુજરાતી કવિતાના ઈતિહાસના સિમાચિહ્નોને સુરેશ દલાલ સરસ રીતે એક સુંવાળી, હુંફાળી નદી તરીકે અહીં રજૂ કર્યા છે. આ રચના પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંની છે એટલે ત્યાં સુધીની જ વાત એમાં છે. ગુજરાતી કવિતાના પાયા સમા કાવ્યસંગ્રહો અને રચનાઓ એમણે અહીં ઉલ્લેખ કર્યો છે તેમાંથી તમે કેટલી ઓળખી શકો છો ? જે સંદર્ભો તમે પકડી શકો એ નીચે કોમેંટમાં જણાવશો. શરૂઆત હું જ પહેલી કોમેંટથી કરું છું.  

Comments (3)

સાંજ – કિરીટ ગોસ્વામી

સાંજ પડી મનગમતી
મોરપિચ્છ-શી ઝંખાઓ કૈં ભીતર રમતી-ભમતી !

સાંજ પડે ને સાજન ! તમને ઝંખે આખું ઘર…
ઘરમાં તો બસ, હું, દર્પણ ને સપનાંઓ સુંદર…

વત્તા થોડી આશાઓની દીપમાળ ટમટમતી !
-સાંજ પડી મનગમતી ….

તમને ઓઢુ-પ્હેરું સાજન ! કોડ કરું કૈં એવા…
સાંજ પડે ને હરખે-હરખે લાગું ખુદમાં વ્હેવા…

પ્રેમ-કિરણ ફૂટે તે પળને કહીં દઉં – ના આથમતી !
સાંજ પડી મનગમતી ….

-કિરીટ ગોસ્વામી

Comments (7)

પળ બે પળ – કૃષ્ણ દવે

મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ,
ચાલને રમીએ પળ બે પળ.

હું રહેવાસી પત્થરનો, ને તારું સરનામું ઝાકળ,
ચાલને રમીએ પળ બે પળ.

થોડી ઉઘડે મારી ઇચ્છા. થોડી ઉઘડે તારી પણ.
હું અહીંથી આકાશ મોકલું. તું પીંછાથી લખ સગપણ.
આજ અચાનક દૂર દૂરથી, આવીને ટહૂકે અંજળ.
ચાલને રમીએ પળ બે પળ.

રમતાં પહેલાં ચાલ તને હું, આપી દઉં થોડી સમજણ.
રમતાં રમતાં ભુલી જવાનું, દેશ વેશ સરનામું પણ.
બુંદબુંદમાં ભળી જવાનું. વહી જવાનું ખળ ખળ ખળ.
ચાલને રમીએ પળ બે પળ.

– કૃષ્ણ દવે

આ કાવ્યમાં ઇશ્વર સાથે સખા ભાવને બહુ જ સુંદર રીતે કવિએ વ્યક્ત કર્યો છે. બાળકને કોઇ ગુરુતા કે લઘુતા ગ્રંથી નથી હોતી. તેને પોતાની ચીજનું બહુ જ ગૌરવ હોય છે. પણ આ તો આધેડ વયના બાળકની કવિતા છે. કવિ સારી રીતે જાણે છે કે તે જેને પોતાનો ઢગલો કહે છે , તે તો રેતીનો- શુષ્ક છે. તેના સખા પાસે તો નાનો ખોબો જ છે – પણ છે પાણીનો- જીવનનો ! આકાશનો સંદર્ભ આપીને કવિ પોતાના ખાલીપણાને વ્યક્ત કરે છે અને પોતાના અમાપ ઓરતાને પણ દર્શાવે છે.
અને જુઓ તો ખરા .. મોટા ભા થઇને રમવાની શરતો પણ સાવ બાળકની જેમ પોતે જ નક્કી કરે છે.પણ તેમાં પણ ઇશ્વર સાથે એકાકાર થઇ જવાની ભાવના કેવી સરસ રીતે વ્યક્ત કરી છે?

Comments (8)

કવિતાને પરણતા કવિને – દીપક ત્રિવેદી

લ્યો કરો શબ્દનો વેધ….
ઉપાડો કલમ તીરની માફક રે !
ઉપાડો કલમ તીરની જેમ…
ઉડાડો જળની ઊભી છાલક રે!

આમ જુઓ તો કન્યા ઊભી
સરવરપાળે રોતી જી!
આંખોમાંથી શબ્દ નામનાં
પલ પલ મોતી ખોતી જી!
– લ્યો કરો…

ધરી ભુજાઓ છેક…
ઉઠાવો શબ્દ નામનો પાવક રે!
– લ્યો કરો…

સ્મરણ-શ્વાસના દરિયા વચ્ચે
છોરી તો ડગ માંડે હો!
છોરીને લઇ જાઓ પરણી
કૌવત જેના કાંડે હો!
– લ્યો કરો…

મરો-જીવો કાં કહો…
કવિતા એક રહી મન ભાવક રે!
– લ્યો કરો…

 – દીપક ત્રિવેદી

Comments (2)

દે વરદાન એટલું -ઉમાશંકર જોશી

સ્વતંત્રતા, દે વરદાન એટલું :
ન હીન સંકલ્પ હજો કદી મન;
હૈયું કદીયે ન હજો હતાશ;
ને ઊર્ધ્વજ્વાલે અમ સર્વ કર્મ
રહો સદા પ્રજ્વલી, ના અધોમુખ;
વાણી ન નિષ્કારણ હો કઠોર;
રૂંધાય દૃષ્ટિ નહિ મોહધુમ્મસે;
ને આંખમાંના અમી ના સૂકાય;
ન ભોમકા ગાય વસૂકી શી હો !
વાણિજ્યમાં વાસ વસંત લક્ષ્મી,
તે ના નિમંત્રે નિજ નાશ સ્વાર્થથી.

સ્ત્રીઓ વટાવે નિજ સ્ત્રીત્વ ના કદી,
બને યુવાનો ન અકાલ વૃદ્ધ,
વિલાય ના શૈશવનાં શુચિ સ્મિતો;
ધુરા વહે જે જનતાની અગ્રીણો,
તે પંગતે હો સહુથી ય છેલ્લા;
ને બ્રાહ્મણો- સૌમ્ય વિચારકો, તે
સત્તા તણા રે ન પુરોહિતો બને.

અને થઈને કવિ, માગું એટલું
ના તું અમારા કવિવૃંદને કદી
ઝૂલંત તારે કર પીંજરાના
બનાવજે પોપટ- ચાટુ બોલતા.
સ્વતંત્રતા, દે વરદાન આટલું.

-ઉમાશંકર જોશી  

ગાંધીયુગના આ મહાકવિએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કે પછી સ્વતંત્રતા પછીના ભારતનું આવું દર્શન કરેલું. સ્વાતંત્ર્યદિને આપણે આ દર્શનને યાદ કરીએ.

આજે જ્યારે આપણો દેશ હરણફાળે પ્રગતિ કરી રહ્યો છે અને વિશ્વસત્તા બનવા હોડ બકી રહ્યો છે ત્યારે આપણે વિચારવું પડે તેમ છે કે આ સ્વપ્નની દિશામાં આપણે કેટલા આગળ વધ્યા છીએ.
સાંપ્રત સમાજ અને રાજકારણ અને બધાજ ક્ષેત્રો આથી સાવ ઊંધી જ દિશામાં જતા હોય તેમ નથી લાગતું?

Comments (5)

આ તે શા તુજ હાલ, સુરત…. – કવિ નર્મદ

આ તે શા તુજ હાલ, સુરત સોનાની મૂરત,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત !
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.

સત્તર સત્તાવીસ, સનેમાં રેલ જણાઈ;
બીજી મોટી તેહ, જાણ છોત્તેરે ભાઈ.
એની સાથ વંટોળ, દશા બેઠી બહુ રાસી;
દૈવ કોપનું ચિહ્ન, સુરત તું થઈ નિરાસી.
સુડતાળો રે કાળ, સત્તર એકાણું;
સત્તાણુંમાં રેલ, બળ્યું મારું આ ગાણું.
સાઠો બીજો કાળ, ચારમાં સન અઢારે;
બારે મોટી આગ, એકવીસે પણ ભારે.
બાવીસમાં વળી રેલ, આગ મોટી સડતીસે;
એ જ વરસમાં રેલ, ખરાબી થઈ અતીસે.
દસેક બીજી આગ, ઉપરનીથી જો નાની;
તોપણ બહુ નુક્શાન, વાત જાયે નહીં માની.

વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે;
અસમાની આફત, તેથી આ રોળ બન્યો રે.
તાપી દક્ષિણ તટ, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય મેં તારી ચૂમી.

કવિ નર્મદાશંકર લાલશંકર

12 નવેમ્બર 1865ના રોજ નર્મદે લખેલ આ લબ્ધપ્રતિષ્ઠ કાવ્યનો એક અંશ લગભગ દોઢસો વર્ષ પછી પણ આજે એટલો જ પ્રસ્તુત લાગે છે. કાવ્ય પરથી એટલું તરત જ સમજી શકાય છે કે સુરત સતત કુદરતી આપત્તિઓના હાથે પીંખાતું જ આવ્યું છે. આવા નષ્ટ-ધ્વસ્ત થઈ ગયેલા સુરતના એક સુરક્ષિત ખૂણામાં બેસીને હું આ લખી રહ્યો છું ત્યારે થતાં આંગળીઓના કંપન ઈચ્છું છું કે આપને ન હચમચાવે. મહારાષ્ટ્રમાંથી પૂર્વસૂચના વગર અધધધ પાણી છોડાતા ઉકાઈ ડેમ છલકાઈ ગયો… સુરત માટે જો કે પૂર એ નવી વાત નથી. શાસકોની વ્યવહારદક્ષતાના પ્રતાપે દર વર્ષે ઉકાઈ બંધ છેક છલકાવાની અણીએ ન આવે ત્યાં સુધી પાણી છોડાતું નથી અને એ સમજ બહારની ફિલસૂફીના કારણે લગભગ દર વર્ષે સુરતમાં નાનું-મોટું પૂર આવે જ છે. બંધની સપાટી ભયજનક સ્તરની નજદીક પહોંચતી હોય ત્યાં સુધી શાહમૃગની પેઠે માથું નાસમજણની રેતમાં ખોસીને બેસી રહેતી સરકારને શું કહેવું? અને માણસ હોય તો એક ઠોકરમાંથી શીખી લે એવી આશા પણ રાખીએ…. આ તો સરકાર છે!!!

ઉકાઈ બંધ છેક છલકાવાની પરિસ્થિતિએ આવી ઊભો ત્યારે પૂનમની નજીક આવી ઊભેલો સાગર કેટલું પાણી સમાવી શકશે એનો કશો ય પૂર્વવિચાર કર્યા વિના આજદિન સુધી ન છોડાયેલી માત્રામાં પાણી છોડવામાં આવ્યું… ચોવીસ કલાકથીયે ઓછા સમયમાં આખું સુરત જળબંબાકાર થઈ ગયું. છેલ્લા બસો વર્ષની સૌથી મોટી રેલમાંથી સુરત અત્યારે પસાર થઈ રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી ઊતરી ગયાં છે. પણ આજે જ્યારે રાંદેર મિત્રોના ઘરે મદદ પહોંચાડવા હું નીકળ્યો ત્યારે રસ્તામાં લક્ઝરી બસો, ગાડીઓ, રીક્ષાઓના આડા પડેલા વિરૂપ આકારો જોઈ ધ્રુજી જવાયું. મરેલા જાનવર રસ્તાની વચ્ચોવચ્ચ પડ્યાં છે. લાઈટના તૂટેલા થાંભલા, ડૂબેલા ટ્રાંસફોર્મરો અને કાદવના એક-એક ફૂટ જેટલા થર- આ શહેરને તો પડી-પડીને ઊભા થવાની ટેવ છે પણ આ આખરે કોનું પાપ કોના માથે?

Comments (4)

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ – ભાગ્યેશ જહા

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ ઊંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની લે છે કોઈ નોંધ?
કોણ વીણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ વાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ……

ધારો કે ફૂલ કોઈ ચૂંટે ને સાચવે,
ને આપે ને સુંઘે તો સારું.
ધારો કે એક’દીની જિંદગીમાં મળવાનું,
થોડું રખાય તોય સારું.
પણ ઉપવનમાં ઝૂરવાની હોય જો સજા, તો મળવાના ખ્વાબોનું શું? – ઉંચકી સુગંધ……

– ભાગ્યેશ જહા

ભાગ્યેશ જહા ગુજરાત સરકારમાં સેક્રેટરી ના ઉચ્ચ પદે વિરાજવા છતાં અંતરથી કવિ છે. સરકારી વાતાવરણના રણમાં ખીલેલા ગુલાબ જેવા આ સંવેદનશીલ હૃદયની, કાંટા વચ્ચે ઝુરાતી વેદનાનું ગીત જ્યારે સોલી કાપડીયાના સુરીલા અવાજમાં સાંભળવાનું થાય છે ત્યારે એકલતા ની લાગણી ચિત્તને ઘેરી વળે છે.
મૂષક દોડમાં વ્યસ્ત આપણા જીવનમાં, જેને જોયા પણ ન હોય, કે જેમની છબી પણ ન નિહાળી હોય તેવા  સમસંવેદનશીલ મિત્રો હજારો માઇલ દૂર હોવા છતાં જ્યારે ‘નેટ’ ઉપર મળી જાય છે, ત્યારે આ ગીતની મીઠાશ અને તેમાંથી ટપકતી લાગણીની ભીનાશ આપણી આંખના  ખૂણાને ભીના કરી નાંખે છે.

 

Comments (10)