મે ચાહી જિંદગીને, મોતનોયે દબદબો રાખીશ,
મને મૃત્યુ સમીપે લઈ જતી હર ક્ષણનો ૠણી છું.
– સંદીપ પુજારા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – નયન દેસાઈ

Mahesh Davadkar - painting
(…             …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત…          …)

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે –
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ

સુરતના નયન દેસાઈ લાંબા સમયના વિરામ પછી “દરિયાનો આકાર માછલી” નામે ઍબ્સ્ટ્રેક્ટ ગઝલોનો સુંદર સંગ્રહ લઈને આવ્યા છે. આ સંગ્રહની મુખ્ય વિશેષતા એ છે કે સુરતના જ કવિ, શિક્ષક અને ચિત્રકાર શ્રી મહેશ દાવડકરે દોરેલા ઍબ્સ્ટ્રેક્ટ ચિત્રો ઉપરથી આ ગઝલો રચવામાં આવી છે અને આ પ્રકારનો આપને ત્યાં કદાચ આ સૌપ્રથમ પ્રયોગ છે. 72 ચિત્રો અને એના ઉપરથી 72 ગઝલો. એક છાપભૂલના ત્રણ શેરના અપવાદને બાદ કરતાં બાકીની બધી જ ગઝલો ચીવટાઈપૂર્વક ચાર જ શેરની છે. અને મોટાભાગની ગઝલોમાં એક જ છંદનો પ્રયોગ પણ થયો છે. એક નયનભાઈનો જ શેર આ ગઝલ સાથે બોનસમાં મમળાવીએ:

રેખા છે, લય વળાંક છે, રંગો છે તે છતાં –
જોનારા ચિત્ર જોઈને રડમસ બની ગયા.

Comments (8)

ગઝલ – અનિલ ચાવડા

જો  કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં  નથી,
ને  સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ વધારે કૈં  નથી.

ઊંઘવું  કે  જાગવું   કે  બોલવું   કે   ચાલવું  કે  દોડવું  કે   હાંફવું;
આ બધામાં  એકદમ કારણ વગરનાં કારણો  છીએ  વધારે કૈં નથી.

તું પ્રવાહિતાની  જ્યારે વાત છેડે ને તરત હસવું જ આવી જાય છે,
મૂળમાં તો  હિમશીલાની જેમ થીજેલી  ક્ષણો  છીએ વધારે કૈં નથી.

શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી  ભરેલાં  ચામડીનાં  વાસણો  છીએ  વધારે  કૈં  નથી.

-અનિલ ચાવડા

ગઝલમાં રૂઢિગત થયેલા છંદના આવર્તનોથી આગળ વધીને કામ કરવું જેમ અનિલની એક ખાસિયત છે એમ એની બીજી ખૂબી અરૂઢ કલ્પનોના બખૂબી પ્રયોજનની છે. ક્યારે અને કઈ રીતે ઢોળાઈ જાય એની અજ્ઞાનતા પ્રગટ કર્યા પછી જ્યારે એ આપણી જાતને લોહી ભરેલા ચામડીના વાસણ તરીકે સંબોધે છે ત્યારે મુશાયરાની વાહ-વાહી લૂંટી લેવાની સો ટકાની ખાતરી એને પણ હોવાની જ. પણ અનિલના શેરની ખૂબી એ શીઘ્ર પ્રત્યાયનક્ષમતા પર ઊભીને અટકી જતી નથી. આનો આ જ શેર ફેર ઊભા રહીને વાંચો એટલે બે લીટી વચ્ચેના અવકાશમાં અર્થનું જે આકાશ ઊઘડતું દેખાશે એ પણ એટલું જ રંગસભર હોવાનું.

Comments (18)

કોઈ – સુધીર પટેલ

નથી રસ્તા સરળ કોઈ,
કરે દિશાય છળ કોઈ !

સલામત ક્યાં છે જળ કોઈ ?
ટીપે ટીપે વમળ કોઈ !

જડે ક્યાં એનું તળ કોઈ ?
મળે માણસ અકળ કોઈ.

નજર એ કેમ આવે પણ ?
નજર આગળ પડળ કોઈ !

ઝીલો એકાદ પણ ‘સુધીર’,
ગઝલની ખાસ પળ કોઈ.

-સુધીર પટેલ

ટૂંકી બહેરની આ ગઝલ ‘સરળ’ કાફિયાથી શરૂ થાય છે અને એવી જ સરળ છતાં છેતરામણી રીતે ગહન છે. સીધા રસ્તા કદી સીધા હોતા નથી. જ્યાં ઊભીને એમ થાય કે હાશ ! પત્યું ત્યાં જ નવી મુસીબતની શરૂઆત થતી હોય છે. રસ્તો સરળ મળે ત્યારે દિશાઓ છેતરવા ઊભી જ હોય છે. સીધું સાદું દેખાતું પાણીય સરળ-સહજ હોય એવું જરૂરી નથી. આ જીવનજળ છે, એના ટીપે-ટીપે વમળ ભર્યા હોઈ શકે.

(એમનો ત્રીજો ગઝલ સંગ્રહ ‘ઉકેલીને સ્વયંના સળ‘ લયસ્તરોને ભેટ આપવા બદલ શ્રી સુધીર પટેલનો આભાર. આ પહેલો કાવ્યસંગ્રહ કદાચ ગુજરાતી ભાષામાં હશે જેમાં કવિએ ઋણસ્વીકાર કરતી વખતે વિવિધ ગુજરાતી વેબ-સાઈટ્સ અને એમના સંચાલકોના નામ લખીને આભાર માન્યો છે !)

Comments (3)

છોડી દે – નીતિન વડગામા

એક બે ત્રણ ચાર છોડી દે,
ઊગતો અધંકાર છોડી દે.

તો જ નમણી નિરાંત નિરખશે,
તું તને બારોબાર છોડી દે.

આપમેળે જ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથો નકાર છોડી દે.

છેડછાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં,
શબ્દની સારવાર છોડી દે.

– નીતિન વડગામા

સહજની સ્તુતિ કરતી, સરળ, સ્વયંસ્પષ્ટ ગઝલ.

Comments (9)

વર્ષાકાવ્ય: ૬ :વરસાદમાં – આદિલ મન્સૂરી

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

– આદિલ મન્સૂરી

માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં – આપણને સહુને આપણા ભૌતિક્તાવાદી હોવાનો અહેસાસ કરાવી ભીતર, ઠે…ઠ ભીતર કારી ચોટ પહોંચાડે એવો આ શેર ! શહેરીકરણ, દોડધામની જિંદગી અને મકાનો-ગાડીઓથી છલોછલ વૈભવી જીવનને વેંઢારવાની અને નિભાવવાની જવાબદારીઓથી આપણે સહુ આજે એવા ભીંજાઈ ગયાં છીએ અને ભીંજાયેલા જ રહીએ છીએ કે વરસાદનું ભીંજાવું તો જાણે આપણા જીવનકોશમાંથી જ નીકળી ગયું છે… પણ આપણે સૌ ભૂલી બેઠાં છીએ કે લાખ કોશિશ કેમ ન કરીએ, છેવટે તો હવા જેવી હવા પણ પલળીને જ રહે છે ને !

Comments (14)

વર્ષાકાવ્ય: ૫ :વરસાદમાં – ઉદયન ઠક્કર

ભીંજાવામાં   નડતર   જેવું   લાગે   છે :
શરીર  સુદ્ધાં,  બખ્તર  જેવું   લાગે   છે.

મને   કાનમાં   કહ્યું   પુરાણી   છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”

મોસમની  હિલચાલ  જ  છે આશાવાદી :
સોળ   અચાનક   સત્તર  જેવું  લાગે છે.

ખુલ્લા   ડિલે   વૃદ્ધ  મકાનો  ઊભાં  છે,
અક્કેકું   ટીપું   શર   જેવું   લાગે   છે !

– ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કરની આ ગઝલ વરસાદી ગઝલોમાં શ્રેષ્ઠતમ ગણી શકાય. ચાર શેર અને ચારેય અદભુત. વરસાદમાં ભીંજાવાની ઈચ્છા જે તીવ્રતાથી આ ગઝલના પહેલા શેરમાં અનાયાસ ઊઘડી આવી છે એ न भूतो, न भविष्यति છે. કવિને વરસાદમાં ભીંજાવું તો છે પણ ઠેઠ અંદર સુધી. ભીંજાવાની શક્યતાનો વ્યાપ કવિ રોમ-રોમથી વધારી અંતરાત્મા સુધી લંબાવે છે એમાં આ શેરની ચમત્કૃતિ છે. રેઈનકોટ, છત્રી ભીંજાવાની આડે આવે એ તો સમજી શકાય પણ ખુદનું શરીર જ જો વ્યવધાન ભાસે તો? આકંઠ ચાહનાની આ ચરમસીમા છે, પછી ભલે તે વરસાદ માટે હોય, પ્રિયતમ માટે હોય કે ઈશ્વર માટે હોય.

વરસાદ ગમે તે સ્વરૂપે આવે એ ગંભીરતા, પાકટતા લાવે છે. ઊઘાડી નિર્વસન ધરતીને એ લીલું પાનેતર પહેરાવી અલ્લડ અવાવરૂ કન્યામાંથી ગૃહિણી બનાવે છે તો ફિક્કા પડતા જતા નદીના પોતને એ ફેર ગાઢું કરી આપે છે. વરસાદની ઋતુ આ રીતે ભારે આશાવાદી લાગે છે. ગઈકાલ સુધીની ઉચ્છંખૃલ ષોડશી આજે સત્તરમા વાને ઊભેલી ઠરેલ યુવતી ભાસે છે એ વરસાદનો જ જાદુ છે ને !

(શર=તીર)

Comments (11)

સવાર કરવામાં – અશોક ચાવડા ‘બેદિલ’

હતું જે એય ગયું ફેરફાર કરવામાં;
દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં.

હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
જરાક વાર કરી તેં સવાર કરવામાં.

નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
ખડક ઊભા જ રહ્યા છે વિચાર કરવામાં.

અરે ઓ પારધી ટહુકા ન ધ્યાનથી સાંભળ,
ધ્રૂજે છે હાથ હજી જો શિકાર કરવામાં.

ફરક પડે ન અરીસાને શી રીતે ‘બેદિલ’,
તૂટી ગયો છું હું ટુકડા હજાર કરવામાં.

-અશોક ચાવડા ‘બેદિલ’

અશોક ચાવડાની એક મજેદાર ગઝલ. ગઝલનો પહેલો જ શેર કોઈ છીપ ઉઘાડીએ અને મોતી નીકળે એવી સફળ નજાકતથી કેવો મસ્ત ખૂલે છે ! બીજો શેર પણ એ રીતે હાંસિલે-ગઝલ શેર થયો છે. કઈ સવારના અનુલક્ષમાં કવિ હકીકતનું અનુસંધાન આપે છે?

Comments (7)

આપણું સન્ધાન – અમિત વ્યાસ

તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે;
આપણું સન્ધાન ચપટી ધૂળ છે !

હોય માનવતા જો તારું ગોત્ર તો;
આ જગત આખ્ખુંય તારું કુળ છે !

કોઈ પણ ઓળખ ન એની થઈ શકી;
સર્વ વ્યાપક છે અને સંકુલ છે !

અન્ય માટે છે એ કેવળ વસ્ત્ર પણ;
તું પહેરે એટલે પટકુળ છે !

ધીમે-ધીમે એ સ્વયં વિકસી જશે;
એટલાં ઊંડાં તો એનાં મૂળ છે !

સ્થાનનો મહિમા જ અંતે સાંપડ્યો;
કૈં નથી ને તોય ત્યાં ગોકુળ છે !

– અમિત વ્યાસ

Comments (16)

પસ્તાય છે…! – ભરત ભટ્ટ ‘પવન’

સૂર્ય   થઈને   એ   હવે   પસ્તાય  છે,
રાત  એના  ભાગ્યમાં   ક્યાં  થાય  છે !

ચાંદનું    કિસ્મત    જરા    જુદું   હશે,
ધોળે   દા’ડે   એ    કદી   દેખાય   છે.

એક   પણ   શ્રોતા   નથી  માટે   હવે,
ભીંત    સામે    વારતા    મંડાય   છે.

સ્વર્ગ પણ છે જોવાલાયક સ્થળ  છતાં,
જીવતેજીવ   કોઈ   ત્યાં  ક્યાં જાય છે ?

તાપણું    તો    છે   બહાનું    નામનું,
આમ   બાકી   ત્યાં   ઘણું   રંધાય  છે.

– ભરત ભટ્ટ ‘પવન’

વડોદરાના કવિ ભરત ભટ્ટ ‘પવન’ની આ ગઝલ વાંચતાવેંત ગમી જાય એવી છે. સાવ સીધા સાદા કલ્પનોને જે માવજતથી એમણે નવાજ્યા છે એ જ વાત કાબિલે-દાદ છે. પહેલાં શેરમાં આમ તો સહજપણે વાત સૂર્ય અને એના પ્રકાશની છે. સૂર્યના નસીબમાં રાતનો અંધકાર અને આરામ ક્યાં? પણ થોડું વિચારીએ તો આ જ વાત અવતારી પુરુષોને પણ સ્પર્શતી જણાય. ભીંતવાળા શેરમાં ક્યાંક મનુષ્યની આપકથનની લાલસા ઉજાગર થતી જણાય છે. ‘મારે કંઈક કહેવું છે’ની મથરાવટી લઈ ફરતા માણસો કંઈ નહીં તો ભીંતને ય વાત સંભળાવવા બેસી જશે. ભીંત કદાચ એવા મનુષ્યોનું પ્રતીક છે જે વાત સાંભળવાની લાયકાત અથવા સમજણ ધરાવતા નથી પણ વાત કહેનારને આજે શ્રોતાની લાયકાત કે સમજણશક્તિની ચકાસણીની ખેવના જ ક્યાં રહી છે? સ્વર્ગવાળૉ શે’ર કદાચ વધુ પડતો હલકો-ફુલકો થયો છે તો આખરી શે’ર વળી એટલો જ ધીર ગંભીર પણ થયો છે.

‘લયસ્તરો’ને એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘હથેળીમાં’ ભેટ આપવા બદલ શ્રી ભરતભાઈ ભટ્ટનો ખૂબ ખૂબ આભાર.

Comments (9)

ગઝલ – ગૌરાંગ ઠાકર

ટોચ માટે પ્રયાસ લાગે છે.
ખીણમાં
પણ ઉજાસ લાગે છે

આભ આખું ઉદાસ લાગે છે.
દોસ્ત
આજે અમાસ લાગે છે.

પર્ણ તાળી પવનને આપે છે.
ઝાડ
પર જાણે રાસ લાગે છે.

પ્હાડ ઝરણાંને ખોઈ બેઠો છે,
એને
ખળખળનો ભાસ લાગે છે.

પાનખરમાં વસંત જેવું કેમ?
કયાંક
તું આસપાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક
જણ કેમ ખાસ લાગે છે?

ફાંસ ફૂલોની અમને વાગી છે.
શ્વાસ
એથી સુવાસ લાગે છે.

-ગૌરાંગ ઠાકર

એક સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર એવા સ્વયંસ્પષ્ટ થયા છે કે કવિ અને ભાવકની વચ્ચે કોઈ વિવે(ચ)કની જરૂર જ ક્યાં જણાય છે ?  

 

Comments (15)

ગઝલ – ‘અમીન’ આઝાદ

લજ્જત મળે તો એવી કે આઠે પ્રહર મળે,
હર દર્દની છે માગણી, મારું જિગર મળે.

આંખોની જિદ કે અશ્રુ નિરાધાર થઈ જશે,
અશ્રુની જિદ કે તેમના પાલવમાં ઘર મળે.

મારી નજરને જોઈને દુનિયા ફરી ગઈ,
દુનિયા ફરી વળે જો તમારી નજર મળે.

ભટકી રહ્યો છું તેથી મહોબ્બતના રાહ પર,
પગથીઓ આવનારને આ પંથ પર મળે.

ઓછી નથી જીવનને કટુતા મળી છતાં,
હર ઝેર પચતું જાય છે જે પ્રેમ પર મળે.

અલ્લાહના કસમ કે એ રહેમત ગુનાહ છે,
રહેમત કદી ન લઉં જો ગુનાહો વગર મળે.

મંજિલ મળી જશે તો ન રહેશે કશું પછી,
મુજને સતત પ્રવાસ એ ઠોકર વગર મળે.

ઈચ્છાઓ કેટલી મને ઈચ્છા વગર મળી,
કોને કહ્યું ‘અમીન’ ન માંગ્યા વગર મળે.

-‘અમીન’ આઝાદ

પરંપરાના શાયર શ્રી અમીન આઝાદ (૧૯૧૩-૧૯૯૨)ની આ ગઝલ પરંપરાની ગઝલોનું એક સુંદર ઉદાહરણ છે. ગઝલ ઉર્દૂ મટીને ગુજરાતી થઈ રહી હતી એ કાળની આ ગઝલ. શબ્દોના પુનરાવર્તન વડે અનેરી અર્થચ્છાયાઓ નિપજાવવાની જે પ્રણાલી એ સમયે ખૂબ પ્રચલિત હતી અને મુશાયરાઓ ડોલાવતી હતી એ અહીં ભરપૂર જોવા મળે છે. જિદ-અશ્રુ-અશ્રુ-જિદ, નજર-દુનિયા-દુનિયા-નજર, રહેમત-ગુનાહ, ઈચ્છાઓ-ઈચ્છા આવા કેટલા બધા શેર અહીં ધારી ચોટ નિપજાવવામાં સફલ નીવડ્યા છે !

(કવિનું મૂળ નામ તાહેરભાઈ બદરુદ્દીન. કાવ્ય સંગ્રહ: ‘સબરસ’, ‘રાત ચાલી ગઈ’)

Comments (6)

ભીના સ્મરણનાં શુકન – જવાહર બક્ષી

ધાર્યા મુજબ સંબંધના સૂરજ ઊગ્યા નહીં
સ્વપ્નો હવે હું ભૂલી શકું નહિ તો ના નહીં

આખા દિવસની શુષ્ક ઉદાસી તૂટી નહીં
તારાં ભીના સ્મરણના શુકન પણ ફળ્યાં નહીં

નહિ તો જીવનમાં શું હતું નિષ્ક્રિયતા સિવાય
પણ બે ઘડી નિરાંતથી બેસી શક્યા નહીં

તસતસતા મૌનને મેં ગઝલમાં ભરી દીધું
ને એ કહે છે મને શબ્દો મળ્યા નહીં !

એને મળો ને જો કશું બોલી શકો ‘ફના’
એના વિષે કશુંય કહી બેસતા નહીં.

– જવાહર બક્ષી

કવિએ જાણે એક એક શેરને અર્થના અનેક પાશ ચડાવીને ગઝલ સવારીમાં બેસાડ્યા છે. ભીના સ્મરણના શુકનની કલ્પના જ અદભૂત છે. પણ સૌથી સરસ તો છેલ્લો શેર થયો છે. મિલનની અભિપ્સા, અકળામણ અને વિશદ કૃત્રિમતા, એકી સાથે બે લીટીમાં ચાબૂકના સળની માફક ઉપસી આવે છે.

Comments (7)

ગઝલ – ઉર્વીશ વસાવડા

Urvish Vasavada - Zankhana sahu kare chhe
(ખાસ લયસ્તરો માટે ઉર્વીશ વસાવડાના હસ્તાક્ષરમાં એમની અક્ષુણ્ણ કૃતિ)

*

ઝંખના સહુ કરે છે સરવરની
ક્યાં તમા કોઈને છે જળચરની.

રાઈ મુઠ્ઠી ન એક આપી શકે
વેદના એ જ તો છે ઘરઘરની.

ક્યાંક તોરણથી આંસુઓ ટપકે
એટલી ફળશ્રુતિ છે અવસરની.

દ્વાર મારું મને મળ્યું આખર
ઠોકરો ખાઈ લાખ દરદરની.

જાત તોડી ધનુષ્યને બદલે
એ કથા આપણા સ્વયંવરની.

-ઉર્વીશ વસાવડા

સરળતા અને હૃદયંગમતા ઉર્વીશ વસાવડાની ગઝલોની ખાસિયત છે. મનુષ્ય આજે જેટલો પરિણામલક્ષી બન્યો છે એ ટલો પહેલાં ક્યારેય નહોતો. આજે સૌને પરિણામમાં રસ છે, માર્ગમાં કોનો કેવો ભોગ લેવાય છે એની કોઈને તમા રહી નથી. સરોવર પર દૃષ્ટિ છે, જળચરની ચિંતા કોણ કરે છે?

ગઝલના બીજા શેરમાં ઉર્વીશભાઈ એમની ખાસિયત મુજબ પુરાકલ્પન લઈ આવે છે. સુજાતા નામની સ્ત્રી એના મૃત પુત્રને લઈને ગૌતમ બુદ્ધ પાસે આવી ભાંગી પડે છે એની આ વાત છે. પુત્ર વિના જીવવું અશક્ય છે કહીને તથાગત પાસે પોતાના પુત્રને પુનર્જીવિત કરવાની જિદ્દ પકડતી માને કેવી રીતે સમજાવવું કે મરી ગયેલ પાછાં નથી આવતાં?! અંતે તથાગત એના પુત્રને એક શરત પર જીવાડવાનું વચન આપે છે કે એક મુઠ્ઠી રાઈ એવા ઘરમાં જઈને લઈ આવ કે જે ઘરમાં કદી કોઈ અવસાન થયું જ ન હોય… પુત્રઘેલી સુજાતાને સાંજના છેડે સત્ય સમજાય છે કે મૃત્યુ એ જીવન સાથે જ ઘડાઈ ગયેલી અનિવાર્ય ઘટના છે…

છેલ્લા શેરમાં ફરીથી સ્વયંવરનું પૌરણિક કથાબીજ. પણ અહીં કવિ સાવ અલગ જ વાત કરે છે. અહીં ધનુષ્ય નથી તૂટતું, શરસંધાન કરનાર પોતે જ તૂટી જાય છે. કેમકે આ અર્જુન-દ્રૌપદી કે રામ-સીતાના સ્વયંવરની વાત નથી. આ વાત છે આજના યુગના ઘર-ઘરના રામાયણ-મહાભારતની. જીવન અને જીવવાની પળોજણો અંતે આપણને જ તોડી નાંખે છે અને આપણા મોટાભાગના દાંપત્યજીવન તૂટેલા ધનુષ્યને બદલે તૂટેલા મનુષ્ય જેવા ખોડંગાતા રહે છે એ જ આપણા સૌની આજની વ્યથાની કથા છે.

Comments (14)

ગઝલને આંગણે – અહમદ ‘ગુલ’

શબ્દ પણ જડ છે ગઝલને આંગણે,
ક્યાંક ગડબડ છે ગઝલને આંગણે.

તીર તાકીને ઊભો છે પારધી,
પાંખ ફડફડ છે ગઝલને આંગણે.

ફૂલ કાંટાને જરા અળગા કરો,
એ અડોઅડ છે ગઝલને આંગણે.

એટલે તો આ ઝરણની થઈ નદી,
આંસુ દડદડ છે ગઝલને આંગણે.

કંઈ અમંગળ સમ થવાનું છે જરૂર,
આંખ ફડફડ છે ગઝલને આંગણે.

પીળું પીળું પીળું પીળું થઈ ગયું,
પાન ખડખડ છે ગઝલને આંગણે.

શબ્દના તંબુ બધાં સળગી જશે,
સૂર્ય ભડભડ છે ગઝલને આંગણે.

કોઈ સમજાવે મને ‘ગુલ’ આટલું,
કેમ ચડભડ છે ગઝલને આંગણે.

-અહમદ ‘ગુલ’

ગઝલના વિષય પર લખાયેલી એક વધુ ગઝલ… સંગીતમય કાફિયાના કારણે ગઝલનું આ આંગણું વધુ રળિયામણું બન્યું હોય એવું નથી લાગતું?

Comments (4)

ગમે ત્યારે – મકરંદ મુસળે

કશું કે’વાય ના આવી પડે એ પળ ગમે ત્યારે,
સુલભ વાતાવરણ છે ફૂટશે કૂંપળ ગમે ત્યારે.

અમે સચ્ચાઈને ક્યારેય પણ જીરવી નથી શક્તા,
બને તો રણ મહીં મૃગજળ બનીને મળ ગમે ત્યારે.

તમારી યાદની કેવી અસર છે જોઈ લો જાતે,
ધ્રુજી ઊઠશે અમારી પીઠના સળ ગમે ત્યારે.

ભલે હો એક ટીપુ પણ નજરઅંદાજ ના કરતાં,
સમંદરમાં ભળી એ બોલશે ખળ ખળ ગમે ત્યારે.

અમે તો દૂધનો પ્યાલો થઈને ક્યારના બેઠાં,
હવે તું આવ ને સાકર બનીને ભળ ગમે ત્યારે.

-મકરંદ મુસળે

લયસ્તરો પર આજની તારીખે સવા ચારસો જેટલા કવિઓની અગિયારસોથી વધુ કવિતાઓ ઉપલબ્ધ છે. અમારી સતત કોશિશ છતાં આપણી ભાષાના ઘણા દિગ્ગજ કવિઓ અહીં સમાવી શકાયા નથી. વડોદરાના કવિ મકરંદ મુસળે આવું જ એક નામ છે. લયસ્તરો પર ભલે આજની તારીખમાં આ એમની પ્રથમ કૃતિ હોય, ગુજરાતી કાવ્યરસિક મિત્રોમાં એમને કોઈ ઓળખતું ન હોય એવું જવલ્લે જ હશે. આજે માણીએ એમની એક મજેદાર ગઝલ… વળી મારે આજે એમની ઓળખાણ આપવી છે જરા અલગ રીતે. માત્ર નવ વર્ષની નૈસર્ગી મુસળેની એક ગઝલ આપણે અગાઉ અહીં વાંચી ચૂક્યા છીએ. મકરંદ મુસળે નૈસર્ગીના પિતા છે…

Comments (13)

સાધુ – અશોકપુરી ગોસ્વામી

જીવવું ઊંઘું જાગું સાધુ;
શું ભિક્ષામાં લાવું ? સાધુ.

ભૂખ હજી પણ ક્યાં ભાગે છે ?
સપનામાં જ્યમ ખાધું સાધુ.

ધ્યાન ધર્યું છે ખરી ભીડમાં
ના, નહીં ઘરથી ભાગુ સાધુ.

અડધો કોરો, અડધો ભીનો
કેમ મને હું લાગુ ? સાધુ.

ત્યાગ્યાનો અહંકાર આવશે,
ત્યાગું તો શું ત્યાગું ? સાધુ.

જેમ અચાનક નીકળી ગ્યો’તો;
એમ અચાનક આવું સાધુ.

– અશોકપુરી ગોસ્વામી

ગઝલ સાધુ (એટલે કે સજ્જન)ને સંબોધીને લખી છે. આસક્તિની સિમાને વળોટી જવા મથતા મનની મૂંઝવણ આ ગઝલમાં આવી છે. અને એ માધ્યમથી એ આપણને પોતાની સિમાઓથી વધારે અવગત કરી જાય છે.  ધ્યાન ધર્યું છે ખરી ભીડમાં / ના, નહીં ઘરથી ભાગું સાધુ અને ત્યાગ્યાનો અહંકાર આવશે /ત્યાગું તો શું ત્યાગું ? સાધુ – બન્ને શેર તરત દિલને અડકી જાય છે. 

Comments (8)

જીવવું શું કોઇ રડનારા વગર ? – મીનાક્ષી ચંદારાણા

જીવવું શું કોઇ રડનારા વગર?
શ્વાસ, માંડો ચાલવા મારા વગર.

મેઘ શાણા થઇ વરસશો મા હવે,
ઓણ ચોમાસું ભલું ગારા વગર.

ભ્રાંતિના ભ્રમરોય પરદેશી થયાં,
આંગણું સૂનું છે ભણકારા વગર.

કો’ સુનામી જેમ લો પથરાય છે,
દર્દ ઓવારા અને આરા વગર.

ગાંઠ-ગઠ્ઠા ભીતરે કંઇ અટપટા,
ને નથી ઉદ્ધાર પિંજારા વગર.

ચાંદની ખીલી રહી પૂરબહારમાં,
રાત સંતાણી છે અંધારા વગર.

કોક વીજ કે આગિયાની રાહમાં,
આયખું વીત્યું છે ઝબકારા વગર.

શબ્દ લુખ્ખા થઇ ગળે અટકે હવે,
ને ભજન સોતરાય એકતારા વગર.

આવવાનું જો બને તો આવજે,
કોઇ એંધાણી કે અણસારા વગર.

-મીનાક્ષી ચંદારાણા

ગુજરાતમાં કેટલા કવિ-દંપતિઓ હશે એ વિષય સંશોધન કરવા જેવો છે. ગઈકાલે આપણે અશ્વિન ચંદારાણાની ગઝલ વાંચી. આજે માણીએ એમના શ્રીમતિજીની ગઝલ. શ્વાસને પોતાના વિના જ ચાલી નીકળવાનું ફરમાન કરતા આ કવયિત્રી આરા-ઓવારા વિના ત્રાટકતા સુનામીને પણ શેરમાં બ-ખૂબી વણી લે છે. પારકી વીજળીની કે આગિયાના ઝબકારાની પ્રતીક્ષામાં રહેનાર પોતાનું તેજ જન્માવવામાં ભલે વિફળ રહી જતા હોય, મીનાક્ષીબેને અહીં કાવ્યત્વનો ઝબકારો મજાનો કર્યો છે…અને આ ઝબકારનું તેજ લાં…બું ચાલે એમ પણ છે…

Comments (16)

કો મળતું નથી – અશ્વિન ચંદારાણા

શૈશવે છુટી ગયું, એ ફેર કો મળતું નથી,
આપણે મળતા હતાં, એ પેર કો મળતું નથી.

હાથ ફરકાવે જતાં-વળતાં બધાં આ શહેરમાં,
બે ઘડી નિરાંતે આવી ઘેર કો મળતું નથી..

બાવળોની વારસાઈ ભોગવું છું પ્રેમથી,
આમ્રફળ ઉગવા સમું નાઘેર કો મળતું નથી.

ભોગળો ભીડી સબંધોના કમાડો બેસશે,
હાથ ફેલાવી સમાવે, શહેર કો મળતું નથી.

કોઈને કોઈ સગાઈ ગાંઠ વાળી બેસતી,
ગાંઠ છોડી ભૂલવાને વેર કો મળતું નથી.

પોતપોતાની પીડા વીંટી બધાં ફરતાં અહીં,
તારનારું કુળ એકોતેર કો મળતું નથી.

– અશ્વિન ચંદારાણા

વડોદરાના કવિ અશ્વિન ચંદારાણાને પહેલવહેલીવાર મહુવાના અસ્મિતાપર્વમાં મળવાનું થયું. ઘાસમાં આડા પડીને ચંદ્રની શીતળ ચાંદનીમાં એમની રચનાઓ સાંભળવાનું થયું. પહેલી મુલાકાતમાં પ્રેમ થઈ જાય એવા આ માણસની કાવ્યરચનાઓ પણ એવી જ રસાળ હોય છે. અભિવ્યક્તિની નવીનતા અને અગાઉ ન વપરાયા હોય એવા કાફિયા પ્રયોજવાની એમની હથોટી કાબિલે-દાદ છે. પેર-એકોતેર-નાઘેર જેવા કાફિયા ગુજરાતી ગઝલમાં કદાચ જ વપરાયા હશે…

નાઘેર શબ્દ કેટલા વરસે વાંચ્યો ! નાઘેર એટલે સૌરાષ્ટ્રમાં પ્રભાસપાટણની આજુબાજુનો ફળદ્રુપ વિસ્તાર. કવિ નાનાલાલની એક રચનામાં એનો આ રીતે ઉલ્લેખ છે:

લીલી નાઘેર છે ત્યહાં,
સુભગ ઢળકતી સાડીની કોર શી,
ને એ કોરે બુટ્ટીના કો
લીલમ સરીખડું છે ચોરવાડ.

Comments (14)

સરહદ થઈ – હેમેન શાહ

બોલ નહિ તું આટલો ગદગદ થઈ,
આ તને શોભે નહીં, કાસદ થઈ.

ભિન્નતા વધતી ગઈ એવી રીતે,
દૂધ-સાકર વચ્ચોવચ સરહદ થઈ.

પૃથ્વી પરના રંગ કાચા નીકળ્યા,
આખરે લીલાશ પણ રૂખસત થઈ.

આમ ન્હોતો શ્વાસ લેવાનો સમય,
પૂતળું જ્યારે બન્યો, ફુરસદ થઈ.

એક પણ તૈયાર કેડી ના ગમી,
ત્યારથી યાત્રા શરૂ શાયદ થઈ.

– હેમેન શાહ

કાસદ એટલે સંદેશો લઈ જનાર. એણે તો માત્ર સંદેશો વાંચી બતાવવાનો હોય છે. એને વધુ પડતા ‘ઈમોશનલ’ થવાનું ના પોષાય. નાની વાત કેટલી સરસ રીતે કરી છે ! એ પછી એક વધુ મઝાનો શેર… દૂધ-સાકર વચ્ચોવચ સરહદ થઈ ! … સાથે રહીને અલગ પડવાનું થાય એના માટે આનાથી વધુ સારુ રૂપક ભાગ્યે જ જોવા મળશે. પણ સૌથી સરસ શેર છેલ્લો શેર થયો છે. માણસની ‘નવી કેડી’ શોધવાની ઈચ્છામાંથી જ દરેક શોધ-યાત્રાની શરૂઆત થતી હોય છે….  ઘણા વખતે હેમેન શાહની ગઝલ હાથમાં આવી એટલે ‘હેમેન શાહ’ કેટેગરીમાં જઈને જૂની પ્રિય ગઝલો પણ માણી લીધી ! એમાં લયસ્તરો પર બહુ શરૂઆતમાં મૂકેલી એમની જ બહુ નાજુક, મારી ખૂબ પ્રિય ગઝલ પણ જોવામાં આવી ગઈ… એ પણ સાથે માણશો.

Comments (6)

(શાપિત પાત્રોની ગઝલ) – હરેશ ‘તથાગત’

અહીં તો બધામાં સિસિફસ વસે છે,
જુદા શાપવત સૌ શિલા ઊંચકે છે !

નથી દૂત થાતું હવે કોઈ વાદળ,
અહીં યક્ષ, ત્યાં યક્ષિણી ટળવળે છે !

અહલ્યા બની ગઈ બધી લાગણીઓ,
કહો કોઈ રામ નજરે ચડે છે  ?

દ્વિધાગ્રસ્ત સહદેવ જેવો સમય આ –
જુએ છે બધું, કાંઈપણ ક્યાં કહે છે ?

– હરેશ ‘તથાગત’

પુરાણકથાઓના શાપિત પાત્રોની મદદથી આજની હકીકતોને મુલવતી ગઝલ. સિસિફસ = ગ્રીક કથાઓમાં આવતું રાજાનું પાત્ર. એને અનાદિકાળ સુધી પથ્થર ઊંચકીને પર્વત ચડ્યા કરવાનો શાપ હતો.

Comments (11)

ગઝલ – ચિરાગ ત્રિપાઠી

ફૂલની સાથે અણી તો જોઈએ
છે ગઝલ, એમાં ટણી તો જોઈએ

સ્વપ્ન છે, એક આંખમાં રહેતું હશે ?
એને જગ્યા બે ગણી તો જોઈએ

કો’ક આવીને ઈમારત બાંધશે
આપણે પાયો ચણી તો જોઈએ

હું ઈબાદત એટલે કરતો નથી
કોક એવી માંગણી તો જોઈએ

શક્ય છે કે દુઃખ પછી આવે જ નહિ
એક સુખને અવગણી તો જોઈએ

જેમ બાળક શબ્દ પહેલો મા ભણે
એમ ગુજરાતી ભણી તો જોઈએ

-ચિરાગ ત્રિપાઠી

કેરીના રસની જેમ સીધીસટ્ટ ગળે ઊતરી જાય એવી મજાની રસદાર ગઝલ… ઈશ્વરની ભક્તિ નહીં કરવાનું કારણ પણ કેટલું મજાનું છે ! અને મને તો ગુજરાતી ભણાવવાની આ રીત પણ ખૂબ અસરદાર લાગી…

Comments (15)

કાચનદીને પેલે કાંઠે – સંદીપ ભાટિયા

કાચનદીને  પેલે  કાંઠે  શબ્દ  ઉભો   અજવાળા  લઈને
થરથરતા  હિમયુગોને  છેડે  સપનાઓ  હુંફાળા  લઈને

કાચનદીને  પેલે  કાંઠે  કોઈ  આપણી   રાહ   જુએ  છે
ચાલ આંખમાં ભીનાશ લઈને
છાતીમાં ગરમાળા લઈને

કાચનદીને  પેલે   કાંઠે   નામ   ધૂંધળું   ચહેરા  ઝાંખા
આ  કાંઠે  ચૂપચાપ  ઉભો છું
શ્વાસોની જપમાળા લઈને

કાચનદીને  પેલે  કાંઠે  કોની  પહેલી  તરસ  પહોંચશે
જલપરીઓની રાણી  ઉભી  હાથોમાં  વરમાળા  લઈને

કાચનદીને  પેલે  કાંઠે  ગણિત  બધાંયે  સાવ નકામા
તરી ગયા એ શૂન્ય ઉંચકી ડૂબી ગયા સરવાળા લઈને

કાચનદીને  પેલે  કાંઠે   પાગલ   પંખી   માળો  બાંધે
ડાહ્યા  લોકો  ભેટ  આપવા  આવે   કૂંચીતાળા  લઈને

સંદીપ ભાટિયા
pencamerabrush@rediffmail.com

પેનકેમેરાબ્રશ જેવા ઈ-મેઈલ આઈડીથી પોતાનું ત્રેવડું વ્યક્તિત્વ છતું કરતા સંદીપ ભાટિયાને આપણે માણસના ધુમાડા કરનાર ગીતકાર તરીકે ઓળખીએ છીએ. અહીં એ કાચનદીની વાત લઈને આવ્યા છે. કાચનદી શબ્દ જ ગઝલમાં પ્રવાસ આદરતા પહેલાં આપણને અટકવાની ફરજ પાડે છે. કાચની બનેલી આ કઈ નદી છે એનો ખુલાસો કરવા જેટલા મુખર કવિ બનતા નથી. નદીની આ વિભાવના વાચકે પોતે જ સ્થાપિત કરવાની રહે છે.

છ શેરની આ ગઝલ આખી વાંચીએ ત્યારે આ કાચનદી એટલે આ વિશ્વ એવી વિભાવના સૌથી વધુ ઉજાગર બને છે. અને કાચ શબ્દ પ્રતીક બને છે વિશ્વની ભંગુરતાનું. કદાચ બરડતા અને જડતાનું પણ.

શબ્દ હંમેશા અજવાળાનું પ્રતીક ગણાયો છે. સાચો શબ્દ જ મૌનના અંધારામાં યુગોથી થીજી ગયેલા અસ્તિત્વને હૂંફાળા સપનાંની ઉષ્મા આપી અજવાળી-પીગાળી શકે છે. આ ક્ષણભંગુર નદીના પેલે કાંઠે કોઈ આપણી શાશ્વત પ્રતીક્ષામાં છે પણ એ પ્રતીક્ષા કોરી નથી, વાંઝણી નથી. ત્યાં આપણું કોરાપણું પણ કોઈ ખપનું નથી. એ પ્રતીક્ષાનો કાચ તોડવો-પીગળાવવો હોય તો આંખોમાં સંવેદનાની ભીનાશ અને છાતીમાં ગરમાળાની ઉષ્ણ શીતળતા હોવી અનિવાર્ય છે. ગરમાળો જ કેમ? કોઈ અન્ય વૃક્ષ કેમ નહીં? કવિ શું માત્ર કાફિયા મેળવવા માટે જ ગરમાળાનો પ્રયોગ કરે છે? કે કવિને છાતીમાં શ્વાસની આવન-જાવન, હૃદયના ધબકારા અને રુધિરના પરિભ્રમણની ગરમી પણ અહીં અભિપ્રેત છે? ગરમાળો જ એક એવું વૃક્ષ છે જેનું નામસ્મરણ માત્ર બળબળતા ઉનાળા અને આંખોને ટાઢક આપતા પીળચટ્ટા ફૂલોના સહૃદય વિરોધાભાસને તાદૃશ કરી શકે છે.

બટકણી આ કાચનદીની બાકીની વાતો ભાવકો પર છોડીએ?

Comments (24)

જિવાડી શકે નહીં – કિસન સોસા

આ ‘જીવતું શહેર’ જિવાડી શકે નહીં;
જિજીવિષાને ઘૂંટ પીવાડી શકે નહીં.

ખામોશી ઓઢી સૂતું ઠંડુંગાર ‘માર્ગ’માં;
એને કશો જ દાહ દઝાડી શકે નહીં.

જાહેરમાં સરાહતું, ખૂણે વખોડતું;
ચહેરેથી મુખવટા એ ઉખેડી શકે નહીં.

છે છીછરી તરસ, ક્ષુધા… સ્વપ્નો… છે સાંકડા;
ખુદને સમષ્ટિમાં એ જગાડી શકે નહીં.

વાળી લે લાગણીની નદી દૂર દૂરથી;
મિલાવો હાથ, હૈયે લગાડી શકે નહીં.

માણસનું ખોળિયું ઠઠાડી નીકળે ભલે,
માણસપણાનો શબ્દ ઉપાડી શકે નહીં.

– કિસન સોસા

કવિ મારા શહેરના – એટલે કે સુરતના રહેવાસી છે. એમના પોતાના શબ્દોમાં ‘આ ગઝલ એવા વરવા વાસ્તવના દૂઝતા જખ્મો વચ્ચે પ્રગટી છે. કકળતી… કાળઝાળ…’

Comments (1)

સમજી ગયાં હશે – નિનાદ અધ્યારુ

થોડે સુધી જઈને અટકી ગયાં હશે,
મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !

સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.

નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે.

એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
બાળકના હાથ એને અડકી ગયાં હશે !

‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
મિત્રો જ હાથ પકડીને લઈ ગયાં હશે !

-નિનાદ અધ્યારુ

Comments (12)

ગઝલ – કુતુબ આઝાદ

હકથી વધારે લેશ અમારે ન જોઈએ,
હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.

મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ,
તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.

હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.

સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

‘આઝાદ’ જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જિંદગી પરાયે સહારે ન જોઈએ.

-કુતુબ આઝાદ

આ ગઝલનો કયો શેર વધારે ગમી જાય એ નક્કી કરવાનું કઠિન થઈ પડે એમ છે. પણ અલ્લાહના અવાજનું સાચું મૂલ્ય અને મિનારાઓની- ધર્મસ્થાનોની નિરર્થક્તા સમજાવતો શેર મને એટલો ગમી ગયો કે હું દુબારા… દુબારા.. કહેતા થાકતો નથી.

Comments (15)

પાંખી પરિસ્થિતિ – ગની દહીંવાલા

સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું,
મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું.

અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું,
ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું.

કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું,
નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું.

ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી,
પડ્યો છું તો ય છાતી પર પડેલા માર જેવો છું.

પરિચય શબ્દમાં પાંખી પરિસ્થિતિનો આપ્યો છે,
ને મોઢામોઢની હો વાત, તો લાચાર જેવો છું.

‘ગની’, તડકે મૂકી દીધા રૂડાં સંબંધના સ્વપ્નાં,
હવે હું પણ સળગતા સૂર્યના વ્યહવાર જેવો છું.

– ગની દહીંવાલા

આજે ગનીચાચાની ‘વિંન્ટેજ’ ગઝલ માણીએ  !

Comments (5)

શબ્દને અજવાળવાથી શું હવે ? – હર્ષ બ્રહ્મભટ્ટ

એક પળને પાળવાથી શું હવે ?
ને સમય પંપાળવાથી શું હવે ?

રક્તમાં પણ છે પ્રદૂષણ કેટલું ?
આ હવાને ગાળવાથી શું હવે ?

ક્યાં બચ્યું છે એક પણ જંગલ કશે ?
પાનખરને ટાળવાથી શું હવે ?

અર્થ એકે ક્યાં વસે છે ભીતરે ?
શબ્દને અજવાળવાથી શું હવે ?

ક્યાં બચ્યાં છે શ્હેર એકે જીવતાં ?
પૂર પાછાં ખાળવાથી શું હવે ?

-હર્ષ બ્રહ્મભટ્ટ

નિરાશાના ઘનઘોર અંધારાસભર આ ગઝલ ‘અંદર દીવાદાંડી’ના સંગ્રહકાર કવિ હર્ષ બ્રહ્મભટ્ટ લઈને આવ્યા છે. અંધારાનો નિયમ છે કે આંખ ચૂંચી કરીને જોવું પડે. અડાબીડ તમસના કાળા અંધકારને ઓઢીને ઊભેલી આ ગઝલને જરા આંખ ચૂંચી કરીને જોઈએ તો અંદર સાચે જ દીવાદાંડીનો પ્રકાશ પડતો દેખાશે. દરેક જણ પોતાનું આંગણું ચોખ્ખું રાખે તો આખું વિશ્વ ચોખ્ખું થઈ જશેની વિધાયક ભાવના કવિ કેવા નકારાત્મક શબ્દોથી ઊજાગર કરે છે ! આપણી ભીતર જ -આપણા લોહીમાં જ – એવા એવા દૂષણોનું પ્રદૂષણ ગોરંભાઈ બેઠું છે કે હવે બહારના પ્રદૂષણોને અટકાવવાની વાતો કરવી સર્વથા વ્યર્થ છે. અંદર અજવાળું ન થાય ત્યાં સુધી હવાને ગાળવાથી ફાયદો શો? ભીતરના અર્થ જ્યાં સુધી રળિયાત ન થાય ત્યાં સુધી ઠાલાં શબ્દોને અજવાળવાથી શું વળવાનું છે ? જંગલ એટલે ઊગી નીકળવાની આશા… આપણે ભીતર કે બહાર ક્યાંય કશું નવું કે લીલું ઊગી શકે એવી શક્યતાય ક્યાં બચવા દીધી જ છે કે હવે પાનખરને અટકાવવાની કામના કરવી?

યાદ રહે… કવિનું અંધારું એ સમાજનું અજવાળું છે. કવિની નિરાશા એ વિશ્વની આશાની આખરી કડી છે. કવિ જ્યાં તૂટી પડતો જણાય છે ત્યાં જ સમાજના ઘડતરની ને ચણતરની પહેલી ઈંટ મૂકાતી હોય છે. કવિ બળે છે તો પણ દુનિયાને અજવાળવા…

Comments (23)

કેમ ? – મુકુલ ચોકસી

તમે દીવાલને ભૂરાશ પડતા રંગે રંગી કેમ ?
હવે આકાશની તમને પડી લાગે છે તંગી, કેમ ?

તમારું કાળરાત્રિએ ખીચોખીચ એકલાં હોવું
ભરે એકાંતની જાહેરસભાઓ ખૂબ જંગી કેમ ?

અચાનક મારી સામે આમ આ બપોરને વખતે,
ક્ષિતિજના સૂર્ય જેવું તે હશે છે રક્તરંગી કેમ ?

બની’તી જે હકીકત, વારતારૂપે તો ગમતી’તી,
હવે મારી કથારૂપે એ લાગે છે ક્ઢંગી કેમ ?

– મુકુલ ચોકસી

એક એક પંક્તિએ અર્થછાયાઓમાં જે પરિવર્તન આવે છે એ જોવા જેવું છે. છેલ્લો શેર વાંચતા જો કહી ગયી ન મુઝસે વો જમાના કહ રહા હૈ, કે ફસાના બન ગયી હૈ મેરી બાત ચલતે ચલતે તરત જ યાદ આવે છે.

Comments (4)

આયનો ચૂમી રહ્યો છું ! – શૈલ પાલનપુરી

હું તને સમજી રહ્યો છું;
આયનો ચૂમી રહ્યો છું !

પ્રેમ પણ કેવી નિસરણી ?
તારલા તોડી રહ્યો છું !

કોણ કહે છે નગ્ન છું હું ?
રોશની પ્હેરી રહ્યો છું !

લાજ રાખું છું સૂરાની;
નિજ તરસને પી રહ્યો છું.

રાહ ખુદ દોડ્યા કરે છે,
રાહમાં બેસી રહ્યો છું.

શૂન્યનો છું ‘શૈલ’ ચેલો,
એકડો ઘૂંટી રહ્યો છું.

– શૈલ પાલનપુરી

પહેલો શેર ગઝલનો શિરમોર શેર (મારી દૃષ્ટિએ!) છે. સામાને સમજવાની પ્રક્રિયામાં મોટેભાગે માણસ પોતાનું જ પ્રતિબિંબ શોધતો હોય છે ! આગળ રજૂ કરેલી વિખ્યાત કવિતા દિલોજાનમાં આવી જ વાત હળવા અંદાજમાં રજૂ કરેલી છે.

Comments (7)

-ની – રમેશ પારેખ

ચોક, ગલીઓની નહીં; આખ્ખા નગરની
વાત કર, માણસમાં ઊછરતી કબરની.

સૂર્યના હોવા વિશે સંશય નથી પણ
છે સમસ્યા સાવ અણસમજુ નજરની

પથ્થરો સાથે ય વાતો શક્ય છે પણ
શોધ, ભાષ તું પ્રથમ શબ્દો વગરની

મારી આંખો પર પડ્યો પરદો થઈ હું
ને પકડ છૂટી ગઈ દૃશ્યો ઉપરની

‘ર’ની હાલત મેશ જેવી છે છતાં યે
વાત ના માને કોઈ સળગેલ ઘરની

-રમેશ પારેખ

આજે રમેશ પારેખને ગયાને (મૃ.તા. ૧૭-૦૫-૨૦૦૬) બે વર્ષ થયા. ‘લયસ્તરો’ તરફથી આ ચહિતા કવિને ફરી એકવાર ભાવભીની અંજલિ. ર.પા.ના મૃત્યુ સમયે લયસ્તરો પર લખેલ ‘છ અક્ષરનું નામ‘ ફરીથી જોઈ આ કવિને શ્રદ્ધાંજલિ આપીએ. એમના સપ્તરંગી કાવ્યોનો વૈભવ પણ અહીં શબ્દ-સપ્તક પર માણી શકાશે.

Comments (12)

ઉપાડિયે – મનોજ ખંડેરિયા

કરીએ ન વેઠ હોંશે જીવનભર ઉપાડિયે
આપ્યો છે તેં જો બોજ, બરોબર ઉપાડિયે

અટકાવી રાખ્યું પાંપણે આંસુને એ રીતે
આંખોથી જાણે આખું સરોવર ઉપાડિયે

રેખા વળોટવાની તો હોઈ શકે ન વાત
આ તો અમસ્તો પગ જરા અધ્ધર ઉપાડિયે

તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે

ઢગલો ફૂલોનો નીકળે જે જે વખત અમે
સૂતું છે કોણ જાણવા ચાદર ઉપાડિયે

ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી
એથી જ થોડો આપણે પથ્થર ઉપાડિયે ?

ભારે છે પ્હાડ જેટલો એ જાણીએ છીએ
પણ હળવાફૂલ થઈ જવા અક્ષર ઉપાડિયે

-મનોજ ખંડેરિયા

બોલચાલની ભાષા અને એય સાવ સરળતા અને સાહજિક્તાથી ગઝલમાં શી રીતે વણી શકાય એ જોવું હોય તો આ ગઝલ એક નોંધપાત્ર ઉદાહરણ બની શકે એમ છે. સાત શેરની આ ગઝલમાં એકે શેર એવો નથી જે સમજવો દોહ્યલો બને અને છતાં લાગણીની જે ઋજુતા અહીં પ્રકટ થઈ છે એ પણ અનવદ્ય સૌંદયવાહિની બની રહે છે. પુરાકલ્પનોનો પ્રયોગ ગઝલમાં લગીરેક મુખર થયા વિના કેવી રીતે કરી શકાય એ પણ માણવા જેવું છે. રેખા વળોટવાની વાત સાથે જ રામાયણની લક્ષ્મણ રેખા અને સીતા તાદૃશ થઈ જાય છે. કવિ મર્યાદા ન ઓળંગવાની ખાતરી આપે છે પણ પગ બાંધી રાખવા સાથે પણ સંમત નથી. ફૂલોનો ઢગલાવાળો શેર વાંચીએ એટલે કબીર નજર સમક્ષ આવી ઊભે. કબીરના મૃત્યુ પછી એમના અનુયાયીઓમાં થયેલો બાળવા કે દાટવાનો વિવાદ યાદ આવે. મૃતદેહ પરથી ચાદર હટાવી ત્યારે ત્યાં કબીરના શરીરની જગ્યાએ માત્ર ફૂલોનો ઢગલો પડ્યો હતો એ ઘટના કવિએ અહીં બખૂબી વણી લીધી છે. અને પાપ અને પથ્થરવાળી વાત વાંચતા જ ઈશુ ખ્રિસ્ત અને પાપી અબળાનો પ્રસંગ જીવંત થતો લાગે છે. જેણે જીવનમાં કોઈ પાપ ન કર્યું હોય તે આ પાપણ પર પહેલો પથ્થર ફેંકેની વાત કરતાવેંત ટોળું શરમિંદગીસભર વિખેરાઈ ગયું હતું. પણ કવિનું કવિકર્મ તો એથી પણ આગળ જવામાં છે. આખી જિંદગીમાં એકે પાપ કર્યું ન હોય એ કારણે થોડો જ કંઈ પથ્થર ઉપાડવાનો પરવાનો મળી જાય છે? એ નિમિત્તે પણ પાપની શરૂઆત શા માટે કરવી ?

Comments (18)

ગઝલ – ગિરીશ મકવાણા

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.

ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દ તારથી અર્થિંગ થઈ શકે.

સ્કૂટરની બેકસીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.

ઍનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેકનો સ્પેલિંગ થઈ શકે ?

ઑગાળી તારી યાદનો આઈસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.

-ગિરીશ મકવાણા

આજે એક ગુજલિશ ગઝલ. વાંચતાની સાથે મહોબ્બત થઈ જાય એવી. સહજ. સરળ. મુખર. સ્કૂટરની પાછળની સીટ પરથી ડોકાતા ખાલીપાને ફ્રંટ-ગ્લાસથી અનુભવવાનું કલ્પન અને હોવાપણાના હંસના સ્વીમિંગ કરવાની વાત સાવ નવી જ અનુભૂતિ જન્માવે છે.

Comments (9)

તને મળવા નહિ આવું – ખલીલ ધનતેજવી

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

– ખલીલ ધનતેજવી

એક જ કેન્દ્રવર્તી વિચાર અને એક જ સાદી વાત છ શેરમાં ફરી ફરી કરી છે. વાત ના પાડવાની છે એટલે જરા વધારે સમજાવી ને કરવી પડે ને ! 🙂 હા પાડવી સરળ છે. ના પાડવી અઘરી છે. પોતાની મર્યાદા સમજવી અને સમજાવવી અઘરી વાત છે. મરીઝે કહ્યું છે કે ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, ના કહો એમાં વ્યથા હોવી જોઈએ. એટલું ઘણું છે. માણસ કોઈના માટે બધુ કરી શકતો નથી. પોતાની શક્તિ અને ઈચ્છા સમજીને જે માણસ પોતાના સંબંધમાં લક્ષ્મણરેખા દોરે એ જ વઘારે તંદુરસ્ત સંબંધ બાંધી શકે. રોબર્ટ ફ્રોસ્ટે તો બહુ ઉત્તમ વાત એમની પોતાની રીતે કહી જ છે, Good fences make good neighbors.

Comments (17)

મોકલું – હનીફ સાહિલ

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું,
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું.

તારા વગર હયાતીના કાચાં અધૂરા સ્વપ્ન,
રૂંવે રૂંવે ડસે છે તે એહસાસ મોકલું.

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના,
ઉકલી શકે તો લોહીનો અજવાસ મોકલું.

– હનીફ સાહિલ

ત્રણ શેરમાં વિરહ-ખાલીપણાના ત્રણ વિશ્વ માપી લેતી ગઝલ. આ ગઝલ વાંચતા જ ભગવતીકુમારનો ઉત્તમ શેર તુજને ગમે તો મોકલું ખાલીપણાના ફૂલ / અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું (યાદદાસ્તને આધારે ટાંકેલો આ શેર, યાદ હોય તો સુધારશો.) તરત જ યાદ આવે. વિવેકે આગળ રજૂ કરેલી કબૂલ મને ગઝલ પણ સાથે જોશો.

Comments (9)

ગઝલ – આદિલ મન્સૂરી

કેમ   પડતું  નથી  બદન  હેઠું,
ક્યાં સુધી જીવવાનું દુ:ખ વેઠું.

દેહમાંથી માંડ બ્હાર આવ્યો ત્યાં,
અન્ય   બીજું  કોઈ  જઈ   પેઠું.

અગ્નિજ્વાળા શમી ગઈ અંતે,
કોણ  આ  રાખથી  થતું  બેઠું.

કોને મોઢું બતાવીએ આદિલ,
માટીનું   ઠીકરું   અને   એઠું.

– આદિલ મન્સૂરી

આ ગઝલ તદ્દન કાળીમેશ નિરાશામાંથી જન્મેલી છે. છેલ્લો શેર બહુ સરસ થયો છે… પોતાની જાતને માટીના ઠેકરા, અને એ પણ એઠા, સાથે સરખાવીને કવિએ સરસ ચોટ ઉપજાવી છે.

Comments (6)

ગઝલ – અલ્પેશ ‘પાગલ’

કૈં પણ નહીં બાકી રહે આગળ પછી,
તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી.

તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત,
આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી.

ના, ના, દવા પ્હેલાં દુવાઓ માંગ મા,
પ્હેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી.

આ એક પળ બાકી હતી આવી ગઈ,
શું શું ન જાણે આવશે આ પળ પછી.

જ્યાં હાસ્ય સાથે પ્રેમનો ટહુકો મળે,
ત્યાં ત્યાં વધેરી નાખ તું શ્રીફળ પછી.

એક શક્યતામાંથી જ ઘટનાઓ બને,
થૈ જાય છે વટવૃક્ષ આ કૂંપળ પછી.

આ જિંદગીની રેસમાં આવ્યો છે તો,
‘પાગલ’ ન રે’વું પાલવે પાછળ પછી.

-અલ્પેશ ‘પાગલ’

રાજકોટના યુવા કવિ અલ્પેશ ‘પાગલ’ શરીરે અપંગ છે. સોળ વર્ષની ઉંમરથી વ્હીલચેર સાથેની કેદ ભોગવે છે. પણ વ્હીલચેરમાં બેસીને જે ગઝલો લખે છે એમાં એમની વેદનાનું ઊંડાણ પણ તાદૃશ જરૂર થાય છે. મુલાયમ શબ્દો અને મખમલી પીડાઓ લઈને વ્હીલચેરનો નહીં, પણ ‘વીલ’ ચેરનો આ કવિ ઝડપભેર આગળ વધી રહ્યો છે. ‘લયસ્તરો’ તરફથી એમને હાર્દિક શુભકામનાઓ…

(ગઝલ સંગ્રહ: “ઈશ્કથી અશ્ક” – જિગર જોષી ‘પ્રેમ’ સાથે સંયુક્ત ગઝલ સંગ્રહ)

Comments (11)

ગઝલ – જિગર જોષી ‘પ્રેમ’

વાત જુદી છે તમોને હું ન સમજાયો હતો,
આટલી નફરત ન કર તારો જ પડછાયો હતો.

એક ખીલી ભીંતથી પડવા જ ટળવળતી હતી,
હુંય ફોટો-ફ્રેમ માફક ત્યાં જ ટીંગાયો હતો.

કોઈના માટે ઉતારો ના થયાનો  રંજ છે,
એક પણ ડાળી વગરના વૃક્ષનો છાંયો હતો.

આંસુનાં દરિયા બધા આવી ગયા ભરતી મહીં,
એટલે હું રણ મહીં આખોય ભીંજાયો હતો.

દર્દના બે નામ ‘પાગલ’ એક, બીજું ‘પ્રેમ’ છે,
ખુદ ખુદા આ નામમાં વરસોથી અટવાયો હતો.

સાંજ જેવી સાંજ પણ લાવે ઉદાસી આંખમાં,
‘પ્રેમ’ આવી કોઇ સંધ્યામાં જ સચવાયો હતો.

– જિગર જોષી ‘પ્રેમ’

રાજકોટના યુવા કવિમિત્ર જિગરે ગઝલની ગલીઓમાં ત્રણેક વર્ષથી જ રઝળપાટ કરવાનું આદર્યું છે પણ એમની ગઝલોમાંથી પસાર થઈએ ત્યારે સહસા જ લાગે છે કે આ રઝળપાટ સ-દિશ અને સ-હેતુક છે અને આ ગતિ મંઝિલ તરફની છે. ડાળી વગરના વૃક્ષના છાંયા હોવાનો રંજ જે હૈયામાં હોય છે એજ સૂક્કાભઠ્ઠ રણ વચ્ચે ભીંજાઈ શકે. દર્દનું બીજું નામ થઈને જીવતો આ કવિ હવે ઓન-લાઈન –શરૂઆત– પણ ઉપલબ્ધ છે. રાજકોટમાં નવોદિત સર્જકો માટે ચાલતી “રચના” સંસ્થામાં પણ એ મોખરાનો ભાગ ભજવે છે. ‘લયસ્તરો’ તરફથી જિગરને જિગરજાનપૂર્વક શુભેચ્છાઓ…  

(લયસ્તરોને એમનો પ્રથમ ગઝલ-ગ્રંથ ‘ઈશ્કથી અશ્ક’ ભેટ આપવા બદલ આભાર)

Comments (8)

ગઝલ – મરીઝ

સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,
આ દુનિયા  મને  એકીટશે  જોઈ  રહી છે.

આગળ તો જવા દે આ જીવનને પછી જોજે,
હમણાં  શું  જુએ  છે એ સુખી છે કે દુ:ખી છે.

સજદામાં  પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ   તરફ  મારી  કમર સહેજ ઝૂકી છે.

સૌ  પાકા  ગુનેગાર  સુખી  છે,  હું દુ:ખી છું,
શું  મારા   ગુનાહોમાં   કોઈ   ચૂક થઈ છે ?

અલ્લાહ   મને  આપ  ફકીરીની  એ  હાલત,
કે  કોઈ ન સમજે, આ સુખી છે કે દુ:ખી છે.

– મરીઝ

મરીઝની ગઝલને વળી સમજાવવી પડે ? સાદા શબ્દોમાં મરીઝ કેટલી બારીક વાત વણે છે એનું આ ઉદાહરણ છે. જાત તરફ કટાક્ષ કરતા કરતા મરીઝ બહુ ઊંચી વાત કહી દે છે. શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે?  મારો પ્રિય શેર છે.

(સજદા=પ્રાર્થના)

Comments (6)

ના કરે – ચિનુ મોદી

વાયુને હંફાવવા બળ ના કરે,
એ સુંગધી છે, કદી છળ ના કરે.

પુષ્પ પર ડાઘો પડે એ બીકથી,
જીવવાની જિદ્દ ઝાકળ ના કરે.

સ્વપ્નને સંકેલવાની બાબતે,
ઊંઘતો માણસ ઉતાવળ ના કરે.

ખૂબ ઘેરી ને ગહન છે લાગણી,
એ ઝરણની જેમ ખળખળ ના કરે.

ક્રોધ તો કરતો નથી ‘ઈર્શાદ’, પણ;
ના ગમે તો વાત આગળ ના કરે.

– ચિનુ મોદી

મારો સૌથી ગમતો શેર – ખૂબ ધેરી ને ગહન છે લાગણી,/ એ ઝરણની જેમ ખળખળ ના કરે ! અને છેલ્લો શેર પણ સરસ થયો છે. ગઝલમાં ગહન રૂપકોને બદલે રોજબરોજની ઘટનાઓનો પડઘો દેખાય એ સચ્ચાઈ અને તાજગીની પણ મઝા છે.

તા.ક. : આ ગઝલ પરથી પ્રેરણા લઈને પંચમ શુક્લે લખેલી ચિનુ મોદીને અંજલી આપતી રચના અહીં જુઓ.

Comments (8)

પાનખરમાં પર્ણ… – બિસ્મિલ મન્સૂરી

પાનખરમાં પર્ણ પીળાં થાય છે,
એક સપનું આંખમાં મુરઝાય છે.

અમથી અમથી રાતભર જાગ્યા કરું,
વાત વીતેલી યે ક્યાં ભૂલાય છે ?

હું તો હરદમ મૌન વાગોળ્યા કરું,
હોઠે કોનું નામ આવી જાય છે ?

અપરિચિત લાગણીની વારતા,
ચુપ રહો તો આંખમાં ડોકાય છે.

જે કદી યે શબ્દમાં આવે નહીં,
તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.

-બિસ્મિલ મન્સૂરી

Comments (2)

ગઝલ – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

ટૂંકી  ટચરક   વાત,   કબીરા,
લાંબી  પડશે  રાત,   કબીરા.

અવસર કેવળ એક જ દિ’નો,
વચ્ચે મહિના  સાત,  કબીરા.

ખુલ્લમખુલ્લી પીઠ  મળી છે,
મારે  તેની    લાત,  કબીરા.

કાપડ  છો  ને   કાણી  પૈનું,
પાડો મોંઘી   ભાત,  કબીરા.

જીવ  હજીએ  ઝભ્ભામાં  છે,
ફાટી ગઈ છે  જાત,  કબીરા.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

ગયા અઠવાડિયે હૂબહૂ આજ છંદ અને આજ રદીફ સાથે લખેલી કબીરા ગઝલ આપણે માણી. ગઝલની મજા જ એ છે કે એક જ છંદ અને એક જ રદીફ વાપરીને ઢગલાબંધ લોકો લખે તો પણ ભાતીગળ અર્થચ્છાયાઓ નીપજાવવામાં એ સફળ રહે છે. યુવાકવિ ચંદ્રેશની આ ગઝલ પણ પોતીકો અવાજ ધરાવે છે.

છંદની પસંદગી ઘણીવાર પ્રયત્નપૂર્વક કરાતી હોય છે તો ક્યારેક અનાયાસ પણ થઈ જતી હોય છે, પણ બંને પરિસ્થિતિમાં જો એ ગઝલને ઉપકારક નીવડે તો જ મજા છે. ‘ગાગાગાગા’ના બે આવર્તનવાળો ટૂંકી બહેરનો છંદ પોતાની એક અલગ જ મૌસિકી ધરાવે છે જે અહીં ગઝલના ઉપાડ અને નિર્વાહ – બંનેમાં મદદરૂપ થઈ પડે છે. પહેલો જ શેર જોઈએ. ટૂંકી વાતનું લાઘવ અહીં કવિને અભિપ્રેત છે. આપણે ‘ટૂંકુટચ’ બોલીએ ત્યારે એકદમ ટૂંકું હોવાની અભિવ્યક્તિ કરીએ છીએ. કવિ ‘ટચ’ના ટુકડાને અલગ પાડીને સાવ નવો જ ‘ટચરક’ શબ્દ પ્રયોજે છે. શબ્દકોશમાં જોયા વિના આ નવ્યતર શબ્દ આપણને સમજાઈ જાય છે એ કવિનું સફળ કવિકર્મ. વાત મત્ર ટૂંકી નથી, ટૂંકાને ય લાંબું કહેવડાવે એવી સાવ જ ટૂંકી ટચરક છે અને આ વાતના લાઘવનું વહન કરવા માટે ટૂંકી બહેરનો અને ગાગાગાગાના બે આવર્તનવાળો જે ગેય છંદ અહીં પ્રયોજાયો છે તે સાર્થક સાબિત થાય છે અને કવિની વાતને પુષ્ટિ આપતો હોય એમ મિસરો શરૂ થાય ત્યાં જ પૂરો થઈ જતાં ભાવકને વાતનું ટૂંકાપણું નિમિષમાત્રમાં સ્પર્શી જાય છે. પણ શેરમાં જે કવિતા છે એ બીજા મિસરામાં ઊઘડે છે. વાત તો સાવ ટૂંકામાંય ટૂંકી છે, પણ આપણે લાં…બી રાત પાડી દઈશું અને કદાચ તોય એનો અંત નહીં જ આવે… આપણા સ્વભાવની વિસંગતતા અહીં સુપેરે ખુલ્લી પડે છે.

ગઝલના બીજા શેર પણ આમ જ એક પછી એક ઊઘાડી જોવા જેવા થયા છે…

Comments (28)

યાદ કરું છું ગોકુળને – દિલીપ રાવળ

આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને,
છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને.

આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે,
એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને.

તન તેલ સુગંધી દ્રવ્યો ને રત્નોમાં જઈને અટવાયું,
મન માખણ મિસરી ખાવામાં કે યાદ કરું છું ગોકુળને.

આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે !
નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.

– દિલીપ રાવળ

Comments (13)

ગઝલ – આદિલ મન્સૂરી

દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો

ને મૌન દ્વારા વાત હું સમજાવી ના શક્યો
લેવો પડ્યો ન છૂટકે આધાર શબ્દનો

વાણીનું રણ સતત હજી ફેલાતું જાય છે
ઊંચકીને ક્યાં લગી હું ફરું ભાર શબ્દનો

થાકીને અંતે આંગળા થીજી ગયાં બધાં
બંધાયો ક્યાં છતાંય તે આકાર શબ્દનો

જ્યાં અર્થ અંધકારની ભીંતો ચણી રહ્યા
ત્યાં કેવી રીતે થઈ શકે વ્હેવાર શબ્દનો

-આદિલ મન્સૂરી

ગઈકાલે આપણે મનોજ ખંડેરિયાની આટલા જ શેરવાળી, આ જ છંદ, આ જ રદીફ અને બહુધા આવા જ કાફિયાવાળી એક શબ્દ-ગઝલ માણી. આજે વાંચીએ આદિલ મન્સૂરીના શબ્દને…

અવાજને જ્યારે અર્થ મળ્યો ત્યારે એ શબ્દ થયો પણ એજ શબ્દને જ્યારે દુન્યવી ‘અર્થ’નો-વિનિમયનો સ્પર્શ થયો ત્યારે એનું સૌંદર્ય મરી પરવાર્યું. પહેલી કડીમાં કવિ જ્યારે શબ્દના વિસ્તારના વધતા જવાની વાત કરે છે ત્યારે ક્ષણાર્ધભર માટે લાગે છે કે કવિ શબ્દનો મહિમા કરી રહ્યા છે પણ બીજી કડી કવિએ કરેલા ઉપાલંભને ખુલ્લો કરે છે. શબ્દની શક્તિથી અજાણ લોકો જ્યારે શબ્દને શસ્ત્ર બનાવી દુનિયાના મેદાનમાં ઊતરે છે ત્યારે કેવા દુષ્પરિણામ આવી શકે છે ! અને વાત શબ્દની હોય અને કવિ મૌનનો ઉલ્લેખ ન કરે એમ કેમ બને ? પણ આજે આપણો માંહ્યલો એટલો છીછરો બની ગયો છે કે કોઈ વાત માંડીને ન કહેવામાં આવે તો આપણને ટપ્પી પડતી નથી.
નાછૂટકે ત્યારે શબ્દનો આધાર લેવો પડે છે પણ એમાં કેટલી પીડા છે એ તો આ શેર વાંચતા જ અનુભવાય છે. અને આખરે કવિ ફરીથી શબ્દના વહેવારની વાત પર આવી જાણે કે એક વર્તુળ પૂરું કરે છે. આજનો શબ્દ અર્થના અંધારાઓમાં એ રીતે ગુમાઈ ગયો છે કે એનું પોતીકું ગૌરવ જ ગુમાવી બેઠો છે…

Comments (9)

અંધાર શબ્દનો – મનોજ ખંડેરિયા

ક્યાંથી હવાય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો

વર્ષોથી હૈયું ઝંખતું અજવાળું મૌનનું
ઘેરી વળ્યો છે આંખને અંધાર શબ્દનો

વન વન નગર ને શેરીઓ ઘર કે દીવાલ સૌ
લઈને ઊભાં છે પાંગળો આધાર શબ્દનો

ભેગા મળીને સાત સૂરજ તપશે જે ઘડી
પીગળી બરફની જ્યમ જશે આકાર શબ્દનો

આંજો નયનમાં સાંજનું ભગવું ગગન હવે
શોભે ન આજ આપણે શણગાર શબ્દનો

-મનોજ ખંડેરિયા

शब्द ब्रह्मને પામવાની કવિની મથામણ ઘણા સુંદર કાવ્યોમાં જનમતી આવી છે. ગયા અઠવાડિયે રઈશ મનીઆરની એક શબ્દ-ગઝલ માણી. આજે એવી જ એક ગઝલ મનોજ ખંડેરિયાની કલમે. પહેલા જ શેરથી કવિ શબ્દનો મહિમા પ્રસ્થાપિત કરી દે છે. પણ કવિને જે વાત વધુ અભિપ્રેત છે એ છે મૌનની તાકાત. ઉમાશંકર જોશીએ કહ્યું હતું, “છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો હોય છે.” શબ્દોના અંધારા કોલાહલમાં અટવાઈ ગયેલું હૈયું અંતે તો મૌનનો અજવાસ જ ઝંખે છે. છેલ્લો શેર પણ સુંદર સંદેશો લઈને અવ્યો છે. સાંજનું સૌંદર્ય માણવું હોય તો દૃષ્ટિ પરના બધા પડળ ઓગાળીને ખુદ સાંજને જ આંખમાં આંજવી ઘટે. કૃત્રિમ સાજ-શણગાર ત્યજી દીધા બાદ જ સાચું સૌંદર્ય પ્રમાણી-માણી શકાય. અને સાંજના ગગનને ‘ભગવો’ રંગ આપીને કવિ આ શેરની અર્થચ્છાયાનો વ્યાપ અ-સીમ કરી દે છે…

(આવતી કાલે માણીએ આજ છંદ, આજ વિષય, આજ રદીફ, આજ આધારવાળા કાફિયા અને સંખ્યાની દૃષ્ટિએ પણ આટલા જ શેર ધરાવતી આદિલ મન્સૂરીની એક ગઝલ)

Comments (6)

કબીરા – માવજી મહેશ્વરી

ખાંપણ સરખો ખેસ કબીરા
લોક કહે દરવેશ કબીરા

લીરેલીરા જીવતર ઓઢી
છોડી ચાલો દેશ કબીરા

હાથ અને રેખાઓ વચ્ચે
કરમે કાળામેંશ કબીરા

સાંઈ મારગ સાવ જ સીધો
શેની વાગી ઠેશ કબીરા

સીમ ભલેને આળસ મરડે
ભીંજાવું ના લેશ કબીરા

– માવજી મહેશ્વરી

આજે આ તદ્દન નોખી જ ગઝલ અચાનક વાંચવામાં આવી. કબીર પર ગઝલ એમણે કબીરને શોભે એવા શબ્દોનો ઉપયોગ કરીને લખી છે. પહેલો જ શેર જબરજસ્ત ચોટદાર થયો છે. ખાંપણ સરખો ખેસ કબીરા ! જેમના મૃત્યુ વિષે અનેક વાયકાઓ પ્રચલિત છે એવા કબીરના જીવન માટે કવિએ અદભૂત પ્રયોગ કર્યો છે. કબીરની ફકીરી, બેફીકરાઈ, સાદી વાણી અને નિરપેક્ષતાની વાત એક પછી એક શેરમાં આવે છે. ધીમે ધીમે મોર કળા કરતો હોય એમ કબીરના વ્યક્તિત્વમાં કવિ એક પછી એક શેરથી રંગ પૂરતા જાય છે. કવિએ કબીરના વિશાળ વ્યક્તિત્વને માત્ર દશ લીટીમાં પણ પૂરતો ન્યાય કર્યો છે. કોઈને કવિ વિષે વધારે માહિતી હોય તો જણાવશો.

Comments (11)

ગઝલ – ડૉ. રઈશ મનીઆર

raeesh maniar 
(એક તરોતાજા અક્ષુણ્ણ ગઝલ…   …રઈશ મનીઆરના સ્વહસ્તે ખાસ લયસ્તરોના વાચકો માટે)

આ અનુનય વિનય શું સતત શબ્દમાં
મારે કહેવું હતું કંઈ સખત શબ્દમાં

રે અછત ! તેં કર્યા દસ્તખત શબ્દમાં
મારે નામે થઈ એક છત શબ્દમાં 

જીવતાં જાગતાં આંખ મીંચી દીધી
ને પછી ઊઘડ્યું એક જગત શબ્દમાં

જાવ રમવું નથી કહી કલમ કર ગ્રહી
ને પછી માંડી કેવી રમત શબ્દમાં

આવે એક લખલખું, થાય એને લખું
વીજની કેમ લઉં હસ્તપ્રત શબ્દમાં

માથે સંકટ હતું, શબ્દ શંકર બન્યા
ઓગળ્યો વખ સરીખો વખત શબ્દમાં

આમ લખવું કરાવે અલખની સફર
શબ્દનો બંદો ફરતો પરત શબ્દમાં

-ડૉ. રઈશ મનીઆર 

“શબ્દ” કવિનું ઓજાર… પથ્થર પણ એ જ અને શિલ્પ પણ એ જ. જેમ માણસ જન્મ્યો ત્યારથી હોવાપણાંનો તાગ મેળવવા મથતો આવ્યો છે એજ રીતે કવિતાનો પહેલો શબ્દ લખાયો ત્યારથી કવિ શબ્દનો પાર પામવા સતત મથતો રહ્યો છે. રઈશભાઈની આ ગઝલ પણ આ મથામણની જ ઉપજ છે. આમ તો આખી ગઝલ તરફ વાંચતા જ પક્ષપાત થઈ જાય એમ છે પણ એમણે જે ઘડીએ આ ગઝલ સંભળાવી ત્યારથી મારું ધ્યાન તો આખરી શેર પર જ રહી રહીને જયા કરે છે…  

Comments (17)

ગઝલ – પ્રતિમા પંડ્યા

ત્રાજવું લઈ પ્રેમ કોઈ તોળશે નો’તી ખબર,
કાટલાં સંબંધના બદલી જશે નો’તી ખબર.

લો અમે ઓવારણાં તો લઈ લીધા હરખાઈને,
ટાચકાનું દુઃખ પણ કેવું હશે નો’તી ખબર.

ઘાટ ઘડતાં વેદના પથ્થર સહે નિશ્ચિતપણે,
કેટલી પીડા હથોડીને થશે નો’તી ખબર.

ધારણા એવી હતી કેડી નવી કંડારશું,
હાથની રેખા ચરણને રોકશે નો’તી ખબર.

પાંખ કાપીને વિહંગની પાંજરું ખુલ્લું મૂકે,
આભ જે ગમતું હતું, વેરી થશે નો’તી ખબર.

સાચવી’તી હારને મેં પ્રીતની ગાગર મહીં,
જીત મારી આંખથી છલકી જશે નો’તી ખબર.

-પ્રતિમા પંડ્યા

પ્રતિમા પંડ્યા ગઈકાલે આપણે જેમની ગઝલ અહીં માણી હતી એ સંજય પંડ્યાના અર્ધાંગિની છે પણ અહીં આપણે એ ઓળખાણ નહીં આપીએ. પુરુષ કરતાં સ્ત્રી વધુ લાગણીસભર અને ઋજુહૃદય હોય છે એ બાબતમાં કોઈને શંકા હોય તો આ ગઝલ પર નજર કરે. કવિની સંવેદનાનું પોત કેટલું મસૃણ હોય છે એ અહીં સમજી શકાય છે. ઓવારણાં લેવાની ક્રિયા સુખદ વધામણાં લેવાનો પ્રસંગ છે પણ કવિને જે સ્પર્શે છે એ ટાચકાંને થતું દુઃખ છે. આંગળીથી પણ આગળ વધીને કવયિત્રી ઠેઠ ટાચકાંની અનુભૂતિના મર્મમાં પહોંચે છે. અને શિલ્પ જન્માવતા પથ્થરોની પીડા વિશે તો આપણે ઘણું બધું કહી દઈએ છીએ પણ કવયિત્રીને જે વાત અભિપ્રેત છે એ છે હથોડીની પીડા. કેવી મુલાયમ વાત !

“નો’તી ખબર”નો રદીફ લઈ  આગળ વધતી આ ગઝલની સર્થક્તા તો એ વાતમાં છે કે દરેક શે’ર વાંચતી વખતે જ્યારે જ્યારે કવિ કહે છે કે ખબર નહોતી ત્યારે-ત્યારે આપણને અહેસાસ થયા વિના રહેતો નથી કે કવિને તો આ વાત ખબર જ છે.

Comments (12)

ગઝલ – સંજય પંડ્યા

નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકો,
હથેળીના વલણને સાચવીને હાથમાં મૂકો.

હશે ગાઢું અને બળકટ તળિયાની સમીપે પણ,
સપાટીના જ જળને છેતરીને હાથમાં મૂકો.

ડબોળો આંગળી એમાં નર્યું પોલાણ ભટકાશે,
વમળના અવતરણને તારવીને હાથમાં મૂકો.

ઢળેલી સાંજના મળશે સરોવર ચોસલાંસોતું,
નવાનક્કોર શિલ્પો કોતરીને હાથમાં મૂકો.

તમારી આંખના ખૂણે સજાવીને જે રાખ્યા છે,
એ કિસ્સા ગોઠવી, ભેગા કરીને હાથમાં મૂકો.

-સંજય પંડ્યા

સંજય પંડ્યાની એક ગઝલ આપણે અગાઉ માણી ચૂક્યા છીએ. આજે એક ગઝલ ઓર. પહેલા શેરનું ‘ડિસેક્શન’ કરીએ. હસ્તરેખા, હથેળી, હાથમાં મૂકવાની વાત આ એક-મેક સાથે તાણેવાણે વણાયેલા સંકેતો શું કહી રહ્યા છે? હસ્તરેખા એ ભવિષ્યકથનનો નિર્દેશ કરે છે પણ અહીં નદીની હસ્તરેખાઓની વાત છે.  ખળખળ વહેતી નદીના ડિલે મદમત્ત સમીરનું વહેણ જે સળ જન્માવે છે એમાં કવિને હસ્તરેખાના દર્શન થાય છે. આખું કલ્પન જ કેવો નવોન્મેષ જન્માવે તેવું છે !  નદીની આ અખૂટ સંપત્તિ કવિ વહી જવા દેવા માંગતા નથી. કવિ એને અને એ રીતે નદીનું આખું ભવિષ્ય ગણી-ગણીને હાથમાં મૂકવાનું કહે છે. બીજી પંક્તિમાં હસ્તરેખાના કલ્પનનો ઉજાસ ઓર ઊઘડે છે. હથેળીનું એક વલણ છે કે એ હસ્તરેખા આજન્મ સાચવી રાખે છે. નદીની હસ્તરેખાઓ ગણીને હાથમાં મૂકી દીધા બાદ હસ્તરેખાઓને કાયમી સાચવી રાખવાના વલણને પણ ‘સાચવી’ને હાથમાં મૂકવાની વાત કરીને કવિ નદીની સૌંદર્યસમૃદ્ધિ હસ્તગત કરવા કહે છે. ખેર, આ તો થયું મારું અર્થઘટન ! આ શે’રનો અર્થવિન્યાસ કોઈ ઓર પણ હોઈ શકે છે…

હાથમાં મૂકવાની આ ગઝલમાં કવિ પાંચેય શેરમાં જળના જ અલગ-અલગ આયામ બખૂબી ઉપસાવે છે. એમાંય ઢળતી સાંજે ચોસલાસોતા મળતા સરોવરના નવાનક્કોર શિલ્પ કોતરવાની વાત મને ખૂબ ગમી ગઈ…

Comments (9)

તે ગઝલ – ઘાયલ

ચોતરફ મૌન મૌનની વચ્ચે,
એક તલસાટ કાયમી તે ગઝલ.

તેજ રૂપે કદી તિમિર રૂપે,
મેધલી મીટથી ઝમી તે ગઝલ.

નિત સમય જેમ ઊગતી જ રહી,
અસ્તમાં પણ ન આથમી તે ગઝલ.

દૃષ્ટિ મળતાં જ પાંપણો મધ્યે,
ઊગે સંબંધ રેશમી તે ગઝલ.

જિન્દગાની કે જાંફિશાનીની,
હોય જે વાટ જોખમી તે  ગઝલ.

એમની એ જ છે કસોટી ખરી,
દિલને લાગે જે લાજમી એ ગઝલ.

માલમીને ય એ તો પાર કરે,
માલમીની ય માલમી તે ગઝલ.

લીટી એકાદ નીરખી ‘ઘાયલ’
હલબલી જાય આદમી તે ગઝલ.

– ઘાયલ

ઘાયલની ગઝલની વ્યાખ્યા કરતી ગઝલ. કલ્પનો એ યુગના છે એટલે થોડા અલગ લાગી આવે છે. સમય સાથે ગુજરાતી ગઝલ કેટલી બદલાઈ છે એનો ખ્યાલ આ ગઝલ વાંચતા આવે છે. પહેલો અને છેલ્લો શેરનો અવારનવાર જોવામાં આવે છે પણ આખી ગઝલ ઘણા વખતે જોવામાં આવી.

(માલમી=નાવિક, navigator)

Comments (9)

છું હું – મનહર મોદી

ખૂબ ઊંચે ચડી ગયો છું હું,
છેક નીચે પડી ગયો છું હું.

એક હાથે મને મેં તરછોડ્યો
અન્ય હાથે અડી ગયો છું હું.

મેં મને ખૂબ ખૂબ ઘૂંટ્યો છે
ને મને આવડી ગયો છું હું

થાય છે કે ફરીથી બંધાઉં
સામટો ગડગડી ગયો છું હું.

બંધ થઈ જાઉં આજ શબ્દ બની
એટલો ઊઘડી ગયો છું હું.

– મનહર મોદી

જાતને શોધવાની રમત બધી કલાઓની જનની છે. આ રમતમાં જે જીતી ગયા એ દુનિયા જીતી ગયા. કવિ પોતાની જાતને શોધવાની રમત આદરે તો આવી ગઝલ મળે.

Comments (5)