રમેશ, ભાગ જલદી ભાગ, કોરા કાગળમાં
સમયનું ઝેર ચડ્યું છે, ઉતારવું પડશે.
રમેશ પારેખ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ- રઇશ મનીઆર

છાતીમાં જેના આગ છે, એને હવા ન દે
રહેવા દે દર્દ દર્દને , ભળતી દવા ન દે

પાણી જે માંગે એને કશું પણ ભલે ન આપ
પાણી જે માંગે એને કદી ઝાંઝવા ન દે

ઇચ્છાની ધુમ્રસેરથી શ્વાસોની છે ગતિ
મરવા ન દે પ્રથમ, એ પછી જીવવા ન દે

કોશિશ ન કર કે ક્ષણક્ષણ ઉપર તારી હો અસર
તું પણ ક્ષણોને ખુદ પર અસર છોડવા ન દે

Comments (11)

મૂઢમતે -સુધીર પટેલ

ફિકર છોડી તું થઈ જા ફકીર, મૂઢમતે !
કોણ અહીં બદલી શક્યું લકીર, મૂઢમતે ?

છેક સુધી જાળવજે તું ખમીર, મૂઢમતે !
એ જ પછી આવીને પૂરશે ચીર, મૂઢમતે !

ઉછળતાં મોજાંઓ શમી જશે કાંઠા પર,
દરિયો જોયો ક્યારે પણ અધીર, મૂઢમતે ?

જારી કર હુકમનામું તું તારી જ ઉપર,
રાજા પણ તું ને તું જ છો વજીર, મૂઢમતે !

ભીતર તું ખુદને ખૂબ સજાવી લે ‘સુધીર’,
પ્હેરણ જેમ પડ્યું રહેશે શરીર, મૂઢમતે !

– સુધીર પટેલ

(સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા)

સાદ્યત સુંદર સુફિયાણી ગઝલ… અહીં મને રાજેશભાઈ વ્યાસનો અમર થવા સર્જાયેલો એક શેર યાદ આવે છેઃ તારું કશું ન હોય તો છોડીને આવ તું, તારું જ બધું હોય તો છોડી બતાવ તું.

Comments (3)

આશાસ્પદ કવયિત્રી સ્મિતા પારેખનું દેહાવસાન…

સાલસ સ્વભાવ અને ઋજુ હૃદયના આશાસ્પદ કવયિત્રી તથા વાર્તાકાર શ્રીમતિ સ્મિતા કિશોર પારેખનું આજે મળસ્કે યુવાન વયે અકાળ અવસાન થયું. ‘લયસ્તરો’ એમને હાર્દિક શબ્દાંજલિ પાઠવે છે.  એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.

IMG_4705
(જન્મ: ૩૦-૦૯-૧૯૫૨….    ….મૃત્યુ: ૧૯-૧૨-૨૦૧૧)

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

***

સાવ કોરો પત્ર તું એકાદ જો,
થૈ શકે તો મૌનનો અનુવાદ જો.

જ્યાં હવામાં સ્હેજ ભીનો સ્પર્શ છે,
ત્યાં તું આવે યાદ વરસો બાદ, જો.

નીંદ વેરણ ને ઉદાસી રાતભર,
તું ન આવે, આવતી લે યાદ, જો.

મેઘ એકે ના અહીં આકાશમાં,
આજ મારા આંસુનો વરસાદ જો.

દિલને એનાથી વધુ શું જોઈએ ?
કે તું આવે, એક દઈ દઉં સાદ, જો.

જિંદગીએ બસ, ઘણું આપ્યું મને,
આ પડાવે કોઈ ના ફરિયાદ જો.

માત્ર છળ છે જિંદગીમાં હર કદમ,
રેશમી આ સ્મિતમાં અવસાદ જો.

– સ્મિતા કિશોર પારેખ

Comments (34)

ગઝલ – કિસન સોસા

ન જાણે કેટલી ભીંતોને ભેદી બારણે આવ્યા,
પરંતુ આવી આવી આમ બસ સંભારણે આવ્યા.

કદી ક્યાં ઓઝલે ચૂપચાપ શબ્દોના ગણે આવ્યા !
તરન્નુમની સજેલી પાલખીએ રણઝણે આવ્યા.

ધૂળે ધરબાયેલો સિક્કો ઉજાગર થાય વરસાદે,
તમે એવું જ ઊજળું રૂપ લઈ આ શ્રાવણે આવ્યા.

હવે કેવો ઘડાશે ઘાટ, ઘડશે કોણ, ઘણ જાણે,
અર્થ કંઈ આગમાં થઈ રક્તવરણા એરણે આવ્યા.

પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયુ અર્થી ચઢી કોઈ ને કોઈ પારણે આવ્યા.

– કિસન સોસા

Comments (3)

મારી આસપાસ – ચિંતન શેલત

નખ છું, ઉઝરડા છે આ મારી આસપાસ,
રાતા અભરખા છે આ મારી આસપાસ.

પહોંચી ગયો છું ક્યારનો આ દેશમાં,
હું છું, અરીસા છે આ મારી આસપાસ.

ઘટનાનું હોવું માંગી લેશે શક્યતા,
બૂઠ્ઠા નિઃસાસા છે આ મારી આસપાસ.

હોવું બરફનું, કેટલું સદભાગ્ય છે,
દૃશ્યો થીજેલાં છે આ મારી આસપાસ.

ના એટલે હું નહીં કદી ઉંઘી શકું,
સ્વપ્નો સૂતેલાં છે આ મારી આસપાસ.

-ચિંતન શેલત

નખ, ઉઝરડા અને લોહીલુહાણ રાતા અભરખાથી શરૂ થતી ગઝલ, એક પછી એક ધારદાર શેરમાંથી પસાર થતી છેક સૂતેલા સ્વપ્નાની વચ્ચે ઊભેલી અનિદ્રા સુધી પહોંચે છે ત્યારે એક સૂનકાર પાછળ છોડતી જાય છે.

Comments (11)

અર્થ શો ? – મનોજ ખંડેરિયા

આ બધી તારી સ્મૃતિનો અર્થ શો ?
રિક્તતાની આ ગલીનો અર્થ શો ?

તું જ રસ્તો આમ લંબાવ્યા કરે,
તેં દીધાં ચરણો, ગતિનો અર્થ શો ?

રગરગે અંધાર વ્હેતો દેહમાં,
સ્પર્શની આ ચાંદનીનો અર્થ શો ?

છિદ્ર મારા પાત્રમાં છે કાયમી,
ત્યાં ઝૂકેલી વાદળીનો અર્થ શો ?

આ ઉદાસી આંખમાં અંજાઈ ગઈ,
દોસ્ત, સુરમાની સળીનો અર્થ શો ?

 

રામના બાણની જેમ સોંસરવી ઉતરી ગઈ આ ગઝલ…..

Comments (8)

પરમ સખા મૃત્યુ :૦૧: આજ મરી જાઉં તો – મકરંદ દવે

કદાચ આજ મરી જાઉં તો, કહો, શું બને ?
વિચારું છું: કદાચ ઓળખીય જાઉં મને.

વિલુપ્ત થાય અહીં ગાનતાન મૌન મહીં,
અને કદાચ કહીં એ જ ગાનતાન બને.

ગમ્યું છે ખૂબ કહીં જાઉં કોઈ કાન મહીં,
ગમે છે ખૂબ હસીને કહી રહું ગમને.

સહીશ આંસુ રુદન દોસ્ત બધા હું તારાં,
હસી પડે જો જરા વ્યર્થ ઊંચક્યા વજને.

મજાક બે’ક કરી લઉં થતું સ્મશાન મહીં,
વદું પરંતુ વિના પ્રાણ હું ક્યા વદને !

હરેક પળમાં જીવ્યો’તો એ ખૂબ પ્રાણ ભરી,
છતાંય ચાહતો હતો સદા ચિરંતનને.

ચાલો,આ વાત વધારી જવામાં માલ નથી,
તને ખબર છે બધી, મૌનમાં કહી છે તને.

 

મારા પ્રિય કવિની મારા પ્રિય વિષય ઉપરની ગઝલ ઘણા વખતથી અહી મૂકવાની ઈચ્છા હતી. ગમન ખૂબ ગમવું, સ્મશાને મજાક સૂઝ્વી……આ વાતો કવિનું કદ સૂચવે છે-વધુ લખવું વ્યર્થ છે !

મૃત્યુ એટલે અજ્ઞાતમાં ધકેલાવું.

જો મૃત્યુ પર વિશ્લેષણ કરવા બેસું તો ‘વરસોનાં વરસ લાગે….’ , તેથી વધુ ન લખતાં જે વિચારોએ મારા મ્રત્યુ વિશેના ખ્યાલને ઘડ્યો છે તે વિચારો જ આપની સમક્ષ રજૂ કરી દઉં છું-

‘ You would know the secret of death.

But how shall you find it unless you seek it in the heart of life ?

For life and death are one, even as the river and the sea are one.

For what is it to die but to stand naked in the wind and to melt into the Sun ?’

– Kahlil Gibran

‘अव्य्क्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत
अव्यक्त निधनान्येव तत्र का परिदेवना .’ – ભગવદ ગીતા -અધ્યાય ૨ -શ્લોક ૨૮.

‘ હે અર્જુન ! સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને માર્યા પછી પણ અપ્રગટ થઇ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો આવી સ્થિતિમાં શોક શાનો ? ‘

Comments (8)

…….અમને દોડાવ્યા – મનોજ ખંડેરિયા

ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા,ક્યાં પ્હોંચશું,એની ખબર ક્યાં છે,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કંઈપણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બંને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં –
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

Comments (8)

ગઝલ – અશરફ ડબાવાલા

થોડાં થોડાં દૂર તમને રાખવાનો કીમિયો,
હું કરું છું એમ તમને પામવાનો કીમિયો.

પાણી છું હું, પાત્રનો આકાર પણ હું લઈ શકું,
ને વળી ઘરમાં કરું ઘર પામવાનો કીમિયો.

શબ્દવિણ એ જે કહે એમાં સમર્પણ કર બધુ,
તું ન કર સંકેતને આલેખવાનો કીમિયો.

આ તું જે લખ લખ કરે છે એ તો બીજું કંઈ નથી,
છાનાંછપનાં દર્દને વિસ્તારવાનો કીમિયો.

અંતમાં ‘અશરફ’ ! મરણના રૂપમાં કરવો પડે,
શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો.

– અશરફ ડબાવાલા

દૂરી રાખવાથી જેમ વધુ પામી શકાય એમ શ્વાસના આભાસને ઓળંગવાનો કીમિયો શોધતા શોધતા કદાચ જીવન જીવવાનો કીમિયો જ મળી જાય, એમ પણ બને…

Comments (5)

મારા દેશમાં – એ. કે. ડોડિયા

કેટલો અંધાર મારા દેશમાં ?
સૂર્ય પણ લાચાર મારા દેશમાં

કાંધ પર લઈને ફરે છે માણસો
ભવ્યતાનો ભાર મારા દેશમાં

હાથમાં કોના મૂકું સૂરજમુખી ?
સૂર્ય અધ્યાહાર મારા દેશમાં

સુખ તેનું છીનવે છે અન્નકુટ
ભૂખ મૂંગી નાર મારા દેશમાં

મેં જ ઢાંક્યા નગ્ન સૌના વેશને
હું જ વસ્તી બહાર મારા દેશમાં

– એ. કે. ડોડિયા

‘ગુજરાતી દલિત કવિતા’ નામના સંપાદિત પુસ્તકમાંથી પસાર થતી વખતે અહેસાસ થયો કે જિંદગીનું આ એક પાસું કદી નજરે ચડ્યું જ નહીં. સામાજિક વિષમતા હજી પણ આટલી કારમી હદે પ્રવર્તતી હશે એ વિચારમાત્રથી અંદર-બહાર લખલખું પસાર થઈ જાય છે… પ્રસ્તુત ગઝલ આવી જ વરવી વાસ્તવિક્તાનો નગ્ન ચિતાર છે…

Comments (7)

ગઝલ – રમેશ પારેખ

ઘર બંધ છે ને હાથ પડ્યા છે હવાથી દૂર,
લાગે છે આ જગા છે બધીયે જગાથી દૂર.

પ્રસરી છે એક ખીણ સકળ દરમિયાનમાં,
એક પાંદડું પડ્યું છે અહીં ઝાડવાથી દૂર.

થીજી ગયાં છે માનસરોવર અવાજનાં,
ને પંખીઓ વસે છે હવે કલ્પનાથી દૂર.

આવે છે દૃશ્ય આંખમાં ઝાંખું કે આંધળું,
દૃશ્યો ને શું થયું કે રહે સામનાથી દૂર.

વળગ્યું છે સ્તબ્ધ તાળું ભીંસોભીંસ બારણે,
ચાલ્યું ગયું બધું જ હવે શક્યતાથી દૂર.

કોને ખબર, રમેશ…..કયા માર્ગ પર થઈ,
આ આપણે પહોંચ્યા અહીં આપણાથી દૂર……

– રમેશ પારેખ

ગઝલકારોનો રાફડો ફાટી નીકળ્યો છે અને થોકબંધ ગઝલોનો ફાલ ઊતરી રહ્યો છે. છંદની આવડત અને રદીફ-કાફિયાની ટેકનિક હસ્તગત થઈ ગઈ હોવાના કારણે ચારેતરફ બધા જ સામયિકો, ફેસબુક, ઓર્કૂટ પર ગઝલ જ ગઝલ નજરે ચડે છે… ગઝલોના આ ઘુઘવાટા મારતા મહેરામણ વચ્ચે આ છે સાચી દીવાદાંડી !

(ટાઇપ સૌજન્ય: રીના બદિયાની માણેક)

Comments (6)

ગઝલ – ભરત વિંઝુડા

એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે !

એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે !

હોય નહીં સાવ પાસે છતાં હોય તે
સાદ પાડો અને સાંભળે એ રીતે !

જાણે હમણાં જ કાંઠાઓ તૂટી જશે
જળ સમંદર મહીં ઊછળે એ રીતે !

હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે !

– ભરત વિંઝુડા

પાંચેપાંચ શેર આસ્વાદ્ય… સરવાળે ‘ખરી’ ગઝલ !

 

Comments (8)

આવે છે ક્યાંથી ? – શોભિત દેસાઈ

બધાં સામ્રાજ્ય તૂટ્યાં અલ્પતાથી,
તિમિર ડરતું રહે છે આગિયાથી.

લઈ આવ્યા ચમક તારાઓ ત્યાંથી,
મળ્યું છે આભને અંધારું જ્યાંથી.

સુગંધોના, તમે જે મોકલ્યા એ,
લઈ લીધા મેં સંદેશા હવાથી.

અલગ ઊભો રહી જોયા કરું છું,
બધા કયાં જાય છે ? આવે છે ક્યાંથી ?

જનારો ક્યારનો ચાલ્યો ગયો છે,
હવે શો ફાયદો ભેગા થવાથી !

– શોભિત દેસાઈ

પહેલો જ શેર બહુ મઝાનો છે. અલ્પનો પ્રભાવ અલ્પ જ હોય જરૂરી નથી. ઈતિહાસના પાના આ સત્યના ગવાહ છે. ને વળી, અલગ ઊભો રહી… તો એનાથી ચડે એવો શેર છે. સમ્યક થયા સિવાય સર્જક થવું અશક્ય છે.

Comments (10)

ગુપત, પ્રગટ – અમૃત ઘાયલ

તલ તિલક લટ તખત મુગટ શું છે !
જો નથી કૈં ગુપત, પ્રગટ શું છે !

હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે !

તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે – પટ શું છે !

લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે !

ડૂબવાની ન છૂટ તરવાની,
તો પછી સિંધુ શું છે તટ શું છે !

જૂઠને પણ હું સાચ સમજું છું,
મારી જાણે બલા કપટ શું છે !

વ્હેલા મોડું જવું જ છે તો રામ,
શી ઉતાવળ છે એવી ઝટ શું છે !

કોઈ પણ વેશ ભજવે છે માનવ
એ નથી જો મહાન નટ શું છે !

અંત વેળા ખબર પડી ‘ઘાયલ’
તત્ત્વત: દીપ શું છે ઘટ શું છે !

– અમૃત ઘાયલ

ઘાયલસાહેબની એક લાક્ષણિક ગઝલ….

Comments (7)

ભીનું છલ – મકરંદ દવે

મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !

કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર છે તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.

Comments (4)

દીવો કરજો – જ્યોતિ હિરાણી

આભથી આ પરબારું આવ્યું દીવો કરજો
લ્યો ગાઢું અંધારું આવ્યું દીવો કરજો

પીડા જેવું ઝાંખુ ધુમ્મસ ફેલાયું છે
આવ્યું તો અણધારું આવ્યું દીવો કરજો

ભીંતોને ભેટીને ઊભા છે પડછાયાઓ
કોણ અહીં નોંધારું આવ્યું દીવો કરજો

આખો’દી પગ વાળી બેઠું જે આંખોમાં
સૂરજ ડૂબ્યે બારું આવ્યું દીવો કરજો

શબ્દો ચગળીને ઊડતું આ મૌનનું પંખી
લ્યો પાછું ઘરબારું આવ્યું દીવો કરજો

– જ્યોતિ હિરાણી

આ પાંચમાંથી કયો શેર વધુ ગમી જાય એવો છે એ નક્કી કરવું દુષ્કર બની જાય એવી મજાની ગઝલ કવયિત્રી લઈ આવ્યા છે. દીવો કરીએ ત્યારે એનું અજવાળું સતત નવા રૂપ ધરતું આપણે અનુભવ્યું છે. એ જ રીતે ‘દીવો કરજો’ જેવી મજાની રદીફ પોતે જ અનેકાનેક અર્થચ્છાયાઓ ધરાવે છે… અને એ રદીફને સાંકળી લેતા બધા જ શેર ખૂબ સાચવીને ખોલવા જેવા થયા છે.. થોડી પણ ઉતાવળ આ ગઝલને અન્યાય કરી બેસે એમ છે…

Comments (12)

ગઝલ – હરદ્વાર ગોસ્વામી

દોસ્ત, સૌના આભનો આવી રીતે થાતો મરો,
સૌને સૌના સૂર્યનો કરવો પડે છે ખરખરો.

આવી છે જ્યાં પર્વતાઈ આ સમંદરમાં જરા,
ચૂપ થયા ઝરણા બધા, જાણે ઉભા છે પથ્થરો.

આપણે ક્યારેય પણ જેને મળ્યા ના હોય, ને-
આપણામાં રાત-દિન એના વિશે મુશાયરો.

જિંદગીભર આપની શાહી વિશે અક્ષર બનું,
સાવ કોરા કાગળે જીવી બતાવો સાક્ષરો.

એ પછી સૌ ધારણામાં તું હશે ‘હરદ્વાર’ પણ,
સૌ પ્રથમ હોવા વિશેની ધારણા પૂરી કરો.

– હરદ્વાર ગોસ્વામી

ભીતરમાં થતો મુશાયરો અને કોરા કાગળે જીવી બતાવતા સાક્ષરો… મસ્ત-મજાની ગઝલ !

Comments (5)

ખાલી ઠીબ – વારિજ લુહાર

મારું નસીબ છે હજી મારા નસીબમાં,
તેથી જ રોજ હોય છે તુયં પણ નજીકમાં.

ત્યારે કદાચ આવશે પંખી નવાં-નવાં,
જળનું હશે ન એક પણ ટીપુંય ઠીબમાં.

મારો અવાજ શોધશે મારા અવાજને,
દરિયોય હાથ લાગશે ક્યારેક છીપમાં.

પળનો હિસાબ છેવટે પળમાં જ માગશે,
કંઈ પણ પછી ન ચાલશે દાવા-દલીલમાં.

ઊડી ગયેલ પાંખનો ઉકેલ શોધતાં,
મળશે ખરેલ એક-બી પીંછાં જ ઠીબમાં.

– વારિજ લુહાર

છીપમાં દરિયો મળી આવે એવી ઊંડી ગઝલ…

(ઠીબ = મોટું પહોળું અને ઊંડું ઠીકરું)

Comments (9)

સંભવે – સંદીપ ભાટિયા

બે’કત્રણ જીવ્યાની ક્ષણમાં કેટલા વ્રણ સંભવે ?
આંખ સામે ભીંત જેવા કેટલા જણ સંભવે ?

હાથ તો ડૂંડા સમા થઈ જાય ઊંચા પણ પછી
બંધ મુઠ્ઠીને કણસલે કેટલા કણ સંભવે ?

પગરવોની શક્યતા ડમરી બની ઊડ્યા કરે
પાંપણોના પાદરે ભીનાશનું ધણ સંભવે.

– સંદીપ ભાટિયા

આ લઘુ-ગઝલમાં દરેક શેર નાની વાર્તા સમો થયો છે. પહેલા શેર પરથી તો કેટલી ય કથાઓ આંખો સામે તરવરી જાય છે.

Comments (9)

અમે – જયન્ત વસોયા

પળ ખુશીની ક્યાં નકારી છે અમે,
આંસુની ઇજ્જત વધારી છે અમે.

હું ફસાયો છું ભલે મઝધારમાં;
કૈંકની નૌકા ઉગારી છે અમે.

ફૂલ આપે, કંટકો આપે કદી;
હર અદા એની સ્વીકારી છે અમે.

ઉમ્રભર જો સાથ આપો તો કહું;
કેટલી વાતો વિચારી છે અમે.

જાણી બૂઝી એમને જીતાડવા;
બાજી ખુદની પણ સુધારી છે અમે.

શક્ય છે કોઠું કદી દેશે ગઝલ;
જિંદગીને બહુ મઠારી છે અમે.

-જયન્ત વસોયા

Comments (13)

દીવા સંકોર – રશીદ મીર

શમણાનાં કાંટાળા થોર
લીલો પણ ખરબચડો શોર.

છેક હજી છે ટાઢો પ્હોર,
જોયું જાશે ભરબપ્પોર.

અંધકારના તસતસતા,
લીસ્સા, ભીનાં, તીણાં ન્હોર

બેવડ થઈ છે ઝાકળમાં
તડકા ધાર નવી નક્કોર.

ખાંખાંખોળા શોધાશોધ,
સો મણ તેલે તિમિર ઘોર.

‘મીર’ સાંજ આવી પહોંચી,
યાદોના દીવા સંકોર.

– રશીદ મીર

નવીન કલ્પનોથી શોભતી ગઝલ. દિવાળીના દિવસે દીવા સંકોરવાની વાત ખાસ યાદ કરવી ગમે.

બધાને ‘લયસ્તરો’ ટીમ તરફથી દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ !

Comments (7)

અમે પણ – પ્રફુલ્લ નાણાવટી

સભામાં બરોબર ઊભા’તા અમે પણ,
તમારી લગોલગ ઊભા’તા અમે પણ.

નજરથી ઘણા દૂર નીકળી ગયા પણ,
નયનમાં છલોછલ ઊભા’તા અમે પણ.

ડુબાડી એ દેશે કે ઊગરી જવાશે,
તૂટક પર કટોકટ ઊભા’તા અમે પણ.

ગઝલમાં ગજબની હવે ભીડ જામી,
બધાની વચોવચ ઊભા’તા અમે પણ.

હવે ઊભવાની ત્યાં હિંમત નથી રહી,
ફકત ત્યાં મનોમન ઊભા’તા અમે પણ.

– પ્રફુલ્લ નાણાવટી

વાત નાની પણ મજાની ! જાતે ઊભા રહેવાની હિંમત ન થાય એવી જગ્યાએ પણ મનોમન ઊભા રહેવાનો સંતોષ કોણે નહીં લીધો હોય ?!

Comments (9)

ખખડવાની – ડૉ. મનોજ જોષી ‘મન’

ખખડવાની નથી જોતી હવે તો રાહ પણ ડેલી,
અને ફળિયુંય બેઠું છે બધી આશાઓ સંકેલી.

મીંચીને આંખ આ છજ્જુ હવે ચુપચાપ સૂતું છે,
લઈ પાંપણના ખૂણા પર ઘણીએ વાત ભીંજેલી.

હજુ ક્યારેક ઉંબરને સતાવે છે જૂના સ્પર્શો,
‘ઘણી ખમ્મા’ કહીને યાદ કરતો ઠેસ વાગેલી.

કદી પડઘાય છે વાતો અને ગૂંજે કદી કલરવ,
ગુમાવી કાનનો વિશ્વાસ ઊભી છે ભીંત થાકેલી.

ખૂણેખૂણો તપાસે છે આ ખાલી ઘરનો સન્નાટો,
દિવસ જ્યાં આજ સૂતો છે, હતી ત્યાં રાત જાગેલી.

– ડૉ. મનોજ જોષી ‘મન’

મનોજ જોષીની ગઝલોમાંથી પસાર થતી વખતે મને હંમેશા લાગ્યું છે કે આ કવિ હમરદીફ- હમકાફિયા ગઝલમાં કમાલનું કામ કરે છે. આ ગઝલ પર નજર નાંખી તો તરત જણાય કે કવિ કાફિયા પાસે નથી જતા, કાફિયા ખુદ કવિ પાસે આવે છે…

Comments (15)

दोनों जहान तेरी…. – ફૈઝ અહમદ ફૈઝ – હરીન્દ્ર દવે

બંને જગતને તારી મહોબ્બતમાં હારીને
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહરાત્રિ ગુઝારીને.

વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.

તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથીયે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.

એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.

 

दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

वीरां है मैकदा ख़ुमो-साग़र उदास हैं
तुम क्या गये कि रूठ गये दिन बहार के

इक फुर्सते-गुनाह मिली वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार के

दुनियां ने तेरी याद से बेगाना कर दिया
तुम से भी दिलफरेब हैं ग़म रोज़गार के

भूले से मुस्कुरा जो दिये थे वो आज फ़ैज़
मत पूछ वलवले दिले-नकर्दाकार के

 

બેગમ અખ્તરના કંઠે અદભૂત રીતે ગવાયેલી આ ગઝલ સાંભળીને nostalgia માં અનાયાસ જ સરી જવાય છે. ફૈઝ અહમદ ફૈઝનો સમગ્ર કાવ્યસંગ્રહ ‘ सारे सुखन हमारे ‘ હવે ઉપલબ્ધ છે.

Comments (11)

નિષ્ક્રમણ – રાજેન્દ્ર શુક્લ

rajendra
(ફોટો:જગન મહેતા)

આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,
શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છું હું.

માત્ર મૌન છે સરળ, ન શબ્દની અલંકૃતિ,
એ બધા ય એશમાંથી નીકળી ગયો છું હું.

સાન ભાન ઓગળી જે લેશ કૈં રહ્યું હતું,
લો, હવે એ લેશમાંથી નીકળી ગયો છું હું.

દૃષ્ટિ નિષ્પલક અને હો આંખ આ નિરંજના,
અંજનોની મેશમાંથી નીકળી ગયો છું હું.

વાદ્ય આ વિરાટતાલ વાજતું, ભલે બજે,
એ ઠમક, એ ઠેશમાંથી નીકળી ગયો છું હું.

– રાજેન્દ્ર શુક્લ

કવિશ્રીને જન્મદિવસની શુભકામનાઓ !

Comments (8)

(અધૂરી છે) ગઝલ – રઈશ મનીઆર

જે વ્યથાને અડકે નહીં, એ કલા અધૂરી છે
જે કલમથી ટપકે નહીં, એ વ્યથા અધૂરી છે

પાત્ર પણ વલણ કેવું આત્મઘાતી રાખે છે !
એય ના વિચાર્યું કે વારતા અધૂરી છે

ભક્ત રઝળે અંધારે ને ઝળાંહળાં ઇશ્વર
નીકળી ગયું મુખથી, ‘ દિવ્યતા અધૂરી છે ‘

સૌનું એ જ રડવું છે, જામ કેમ અધૂરો છે ?
સાવ સીધું કારણ છે પાત્રતા અધૂરી છે

બે જણા મળે દિલથી તોય એક મજલિસ છે*
એકલો છું હું આજે ને સભા અધૂરી છે

મૃત્યુ આવવા માંગે આંગણે અતિથિ થઈ
ને હજુ તો જીવનની સરભરા અધૂરી છે

ઠેરઠેર ડૂસકાં છે, ઠેરઠેર ડૂમા છે
ને ‘રઈશ’ જગતભરની સાંત્વના અધૂરી છે                 [ * સ્મરણ : મરીઝ ]

 

ગઈકાલે જ હજી જેનું વિમોચન થયું તે રઈશભાઈના નવાંનક્કોર ગરમ ભજીયા જેવા ગઝલસંગ્રહ – ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – માંથી લીધેલી એક ઉત્કૃષ્ટ રચના….પહેલો શેર અમર થવા સર્જાયો છે……

Comments (17)

ગઝલ – રઈશ મનીઆર

raeesh maniar title

તરવું કદી ન ફાવ્યું મને, તળ સુધી ગયો
અમૃતની ઝંખનામાં હળાહળ સુધી ગયો

હું દિવ્યતાની શોધમાં દેવળ સુધી ગયો
પ્રત્યેક બંધ દ્વારની સાંકળ સુધી ગયો

મંદિર કે મસ્જીદો સુધી અટકી ગયા સહુ
જિજ્ઞાસાવશ જરાક હું આગળ સુધી ગયો

મારી તરસના સાચા સ્વરૂપને પિછાણવા
હરિયાળી ભોમ છોડી મરૂસ્થળ સુધી ગયો

ભાલાનો તીરકામઠાંનો વારસો હતો
માણસ છતાંય એક દિવસ હળ સુધી ગયો

લોહીનો રંગ લાલ નહીં, કાળો હોય છે
એવી પ્રતીતિ થઈ અને કાગળ સુધી ગયો

આખા જીવનમાં દુઃખની મળી એક પળ ‘રઈશ’
એનો જ પ્રત્યાઘાત પળેપળ સુધી ગયો

 – રઈશ મનીઆર

આપણાં સૌના ચહીતા રઈશભાઈના ત્રીજા ગઝલસંગ્રહ- ‘ આમ લખવું કરાવે અલખની સફર ‘ – નું વિમોચન આજે રાત્રે થશે. નિખાલસ અને પ્રામાણિક વાણીથી તેમણે સદા ગઝલને શોભાવી છે. તેઓ કહે છે – ‘ મેં ગઝલને રચી, ગઝલે મને રચ્યો…’. ટીમ-‘લયસ્તરો’ તરફથી રઈશભાઈને અઢળક શુભેચ્છાઓ…..

પ્રસ્તુત ગઝલ તેઓના આ નવપ્રકાશિત સંગ્રહમાંથી લીધી છે. બીજો અને ત્રીજો શેર તેમની સર્જકતાનો વ્યાપ દર્શાવે છે.

Comments (17)

ચાલશે – સુનીલ શાહ

અટપટો રસ્તો હશે તો ચાલશે,
ભોમિયો સાચો હશે તો ચાલશે.

જે બતાવે, હોય કેવળ સત્ય તો,
આયનો નાનો હશે તો ચાલશે.

પર્ણ લીલું હોય કે પીળું, ફકત,
ડાળથી નાતો હશે તો ચાલશે.

સહેજપણ હો છાંયડાની શક્યતા,
માર્ગમાં તડકો હશે તો ચાલશે.

મેળવું જો જાત રાખીને અખંડ,
રોટલો અડધો હશે તો ચાલશે.

ખુદને મળવા શું વધારે જોઈએ..?
ઘરનો એક ખૂણો હશે તો ચાલશે.

આખું સરનામું ન આપો, કાંઈ નહિ,
વહાલનો નકશો હશે તો ચાલશે.

– સુનીલ શાહ

સ્વાભિમાનના ભોગે સોનાની લંકા મળે તોય નકામી… રોટલો ભલે અડધો જ હોય પણ જાત તોડ્યા વિનાનો હોવો જોઈએ એ મતલબનો હાંસિલે-ગઝલ ગણી શકાય એવો આ શેર ગૂંઠે બાંધી શકીએ તો ઘણું.

 

Comments (16)

ત્યારે આવજે – શોભિત દેસાઈ

શબ્દથી મન મોકળું થઈ જાય ત્યારે આવજે,
મૌન જયારે તારાથી સહેવાય ત્યારે આવજે.

હમણા તો તું વ્યસ્ત છે પ્રતિબિંબના શૃંગારમાં,
આઈનો જોઈ તને તરડાય ત્યારે આવજે.

તારી માફક સ્વસ્થ રહેવા હું કરીશ કોશિશ જરૂર,
પણ એ કોશિશમાં નયન છલકાય ત્યારે આવજે.

ફક્ત હમણાં કે અહીં પૂરતો નથી સંબંધ આ,
કાળ-સ્થળ તારાથી ઓળંગાય ત્યારે આવજે.

હું નહીં આવી શકું મારા અહમને છોડીને,
મારો ખાલીપો તને સમજાય ત્યારે આવજે.

– શોભિત દેસાઈ

પ્રેમીજનને આવવાનું આહ્વાન કરતી આ ગઝલ મને આજે જ ‘ચહેરાપોથી’ પર વાંચવા મળી… મને લાગ્યું કે જાણે મને પણ આપ સૌની સાથે એને અહીં વહેંચવાનું આહ્વાન મળ્યું ! 🙂

Comments (8)

મનજી – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

અથડાયા-કુટાયા મનજી,
રહ્યા તોય રઘવાયા મનજી.

સમજણ કાયમ હાથવગી પણ,
જ્યાં ને ત્યાં સલવાયા મનજી.

નહીં ઠામ ઠેકાણું તોયે,
પાંચ મહીં પુછાયા મનજી.

દુઃખમાં ડગલે પગલે સાથે,
સુખ જોઈ સંતાયા મનજી.

એ જ વાર કરતાતા તોયે,
લાગ્યું વ્હારે ધાયા મનજી.

રસ ભીતરથી બાહર મૂકી,
ભરમાયા-પસ્તાયા મનજી.

બોજ બધા કહેતા’તા મિસ્કીન
કુંભાર કરતાં ડાહ્યા મનજી.

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

મનજીને મોજ કરાવે એવી મઝાની ગઝલ.

(છેલ્લા શેરમાં (કાચા કાનના) કુંભાર, એનો દીકરા અને ગધેડાની વાર્તાનો સંદર્ભ છે.)

Comments (7)

ગાલિબ – અનુ.- હરીન્દ્ર દવે

જ્યાં સુધી કોઈ જખમનું મુખ ન પ્રગટાવી શકે,
છે વિકટ કે ત્યાં સુધી તુજ વાતનો રસ્તો ખૂલે.

આ જગત મજનુંના દીવાનાપણાની ધૂળ છે,
ક્યાં સુધી લયલાની લટના ખ્યાલમાં કોઈ રહે!

હો ઉદાસી, તો કૃપાનું પાત્ર છલકાતું નથી,
હા, કવચિત્ થઇ દર્દ, કોઈ દિલ મહીં વસ્તી કરે.

હું રહું છું એટલે સાથી, ન નિંદા કર હવે
છેવટે ઉલ્ઝન આ દિલની ક્યાંક જઈને તો ખૂલે.

દિલના જખમોથી ન ખૂલ્યો માર્ગ આદરનો કદી,
શું મળે, બદનામ મુજ ગરેબાંને કરે !

દિલના ટુકડાથી છે કંટકની નસો, ફૂલોની ડાળ,
ક્યાં સુધી, કહો બાગબાની કોઈ જંગલની કરે !

દ્રષ્ટિ નિષ્ફળ દ્રશ્યને ભડકાવનારી ચીજ છે ,
એ નથી તું કે કોઈ તારો તમાશો પણ કરે.

ઈંટ-પથ્થર લાલ મોતીની ઊઘડતી છીપ છે,
ખોટ ક્યાં, દીવાનગીથી ‘ગર કોઈ સોદો કરે !

ઉમ્ર ધીરજની કસોટીના વચનથી મુક્ત ક્યાં ?
ક્યાં હજી ફુરસદ કે તારી ઝંખના કોઈ કરે !

ખૂલવા ઝંખે એ પાગલપણથી પ્રગટે છે કુસુમ,
દર્દ આ એવું નથી, કે કોઈ પેદા ના કરે.

કામ આ દીવાનગીનું છે કે મસ્તક પીટવું
હાથ તૂટી જાય જો, કોઈ પછી તો શું કરે ?

કાવ્ય દીપકની શિખાનું રૂપ તો બહુ દૂર છે,
સૌ પ્રથમ તો, જે દ્રવી ઊઠે હૃદય, પેદા કરે !

 

जब तक दहान-ए-जख्म न पैदा करे कोई,
मुश्किल कि तुजसे राह-ए-सुखन वा करे कोई .-
આ ગઝલનો આ અંશત: અનુવાદ છે. ગાલિબના દીવાનમાં આ ગઝલ આશરે ૨૦૦ થી ૨૧૫ ના ક્રમની વચ્ચે આવે છે. ગાલિબનું નામ પડતાં જ અઘરી ગઝલના વિચારે ગાત્રો થીજી કેમ જાય છે તેનું આ ગઝલ એક ઉત્તમ ઉદાહરણ છે – આ તેની પ્રમાણમાં સરળ ગઝલ છે,વળી સિદ્ધહસ્ત કવિએ એનો પ્રમાણમાં સરળ અનુવાદ કર્યો છે,છતાં દરેક શેર તેમની સાથે કુસ્તી લડવી પડે તેવા છે…..!

એક ઉદાહરણ તરીકે પ્રથમ શેરનું ઊંડાણ જુઓ- જ્યાં સુધી કોઈ જખમનું મુખ પેદા નથી કરતું,ત્યાં સુધી તેને માટે તારી સાથે વાર્તાલાપ [ communication ] નો માર્ગ પ્રસ્થાપિત કરવો અત્યંત અઘરો છે…..અહીં दहान-ए-जख्म – ને ‘એક ન રૂઝાતા ઘા-નાસૂર ‘ ના અર્થમાં લેવાયું છે. શાયર કહે છે- પ્રિયે ! જ્યાં સુધી વ્યક્તિને તારી અતિતીવ્ર તમન્ના ન હોય,ત્યાં સુધી તારી સાથે વાર્તાલાપ અશક્ય છે. અહીં શાયરની કમાલ છે આ શબ્દોના ખૂબીભાર્યા ઉપયોગ માં – ખુલ્લા જખમના હોઠ [ કે જે જખમની આખી વાર્તાના પ્રતિક સમાન હોય છે- તબીબી વિજ્ઞાન પ્રમાણે પણ આ વાત સાચી છે- wound ની edges / margin ઉપરથી મોટાભાગનું નિદાન થઇ જતું હોય છે ] અને વાર્તાલાપ કરનાર હોઠ – આ બે વચ્ચેનું એક સુંદર parallelism ઈંગિત કરાયું છે.

.

Comments (14)

ઘર ક્યાં છે ? – મનહર મોદી

મકાનો, માણસો જોયાં, નગર ક્યાં છે ?
બધું હાજર છતાંયે એક ઘર ક્યાં છે ?

પહેરો હોય છે જ્યાં વૃક્ષની ફરતે,
ખૂલીને જીવવાની પણ કદર ક્યાં છે ?

નથી પાદર, નથી ગોચર, નથી વગડો,
ભર્યા અચરજ સમી નભની અસર ક્યાં છે ?

નથી મળતી નિખાલસ જિંદગી ક્યાંયે,
ભરોસો કેળવે એવી નજર ક્યાં છે ?

ઉઠાવી બોજ ચાલ્યો જાય છે એમ જ,
હશે ક્યાં માનવી જીવનસભર, ક્યાં છે ?

નથી એ બોલતો કે બોલવા દેતો,
સરસ સંવાદની એને ખબર ક્યાં છે ?

– મનહર મોદી

જીવનનો ખાલીપો, અભાવ એ બહુધા કવિતાઓનો  પ્રાણ બની રહે છે…

Comments (4)

રાખજો – હેમંત ધોરડા

કદી હોઠ પર રમાડજો કદી આંખમાંય લાવજો
હવે સ્પર્શનું સ્મરણ છું હું મને સાચવીને રાખજો

કદી સંગ સંગ આપણે નભે રંગ કંઈ પૂર્યા હતા
હવે સાંજ શ્વેત લાગશે હવે રાત શ્યામ ધારજો

કદી કોસથી ઢળ્યા હતા કિચૂડાટમાં ભળ્યા હતા
હવે નીક લાગશે નીરવ કે ન ડોલ વાંકી વાળજો

નહીં શંખમાં ન છીપમાં નહીં રેત પર ન કંકરે
હવે અનવરત પવન છું હું મને જળતરંગે જાણજો

હું લખાયલા ચરણમાં પણ હું ચરણ પછી ધવલમાં પણ
મને માણજો શબદમાં પણ મને મૌનમાં મલાવજો

– હેમંત ધોરડા

અશક્ય છે એને ભૂલી જવું જે સ્પર્શ, સાંજ, જળ, પવન, શબ્દ અને મૌનમાં સહજ ભળી ગયું હોય.

Comments (16)

ગઝલ – પરવીન શાકિર (અનુ. હિતેન આનંદપરા )

કપાઈ જેલમાં જે જિંદગી બહુ કામની હતી
કરું હું શું કે જંજીરો તમારા નામની હતી

આ મારા ભાગ્યનો તારો જે મસ્તક ઉપર ઝળક્યો
ડૂબી જવાની ઘટના ચંદ્રની એ જ શામની હતી

બનાવીને હલેસાં હાથના સારું કર્યું છે મેં
તૂટેલી હોડી નહીંતર તો મને ક્યાં કામની હતી

એ વારતા કે બધ્ધી સોય જ્યાં નીકળીય પણ ન’તી
ફિકર સૌને એ કુંવરીના થનાર અંજામની હતી

હવા મારા આ પાલવને ઉડાવી ગૈ કઈ રીતે ?
કે આવી છેડવાની ટેવ મારા શ્યામની હતી

હજીયે આપણો બોજો ઉઠાવીને ફરી રહી
ઓ ધરતી મા! આ તારી ઉમ્ર તો આરામની હતી

 

જેને ફિરાક ગોરખપુરી ‘પાકિસ્તાનની મીરાં’ કહેતા, તેવી આ શાયરા બહુ ટૂંક સમય માટે પૃથ્વીની મહેમાન બની હતી. ભરયુવાનીમાં અલ્લાહના દરબારમાં જતાં પહેલાં તેણે વિશ્વ-ક્ક્ષાએ પોતાની શાયરીને પ્રસ્થાપિત કરી દીધી હતી. દૈહિક રીતે તે પોતે પોતાની શાયરીઓ જેટલી જ સુંદર હતી. આપણી IAS ને સમકક્ષ પાકિસ્તાનની civil service ની ડીગ્રી ધરાવતી પરવીન શાકિર collector કક્ષાનો હોદ્દો શોભાવતી હતી.

પ્રસ્તુત ગઝલ તેની શ્રેષ્ઠ ગઝલમાંની એક તો નથી જ નથી પરંતુ ભાવકોને આ મોટા ગજાની શાયરાની એક ઝલક મળે તે અર્થે રજૂ કરી છે. આમપણ કાવ્યનું ભાષાંતર દુષ્કર હોય છે અને વળી તે પણ છંદમાં તો અતિદુષ્કર. ગઝલનો મિજાજ ભાગ્યે જ સાચવતો હોય છે. પરવીનનો આ એક શેર જુઓ- તરત તેની શક્તિનો આપને અંદાજ આવી જશે-

आतिश-ए-जां से कफस आप ही जल जाना था
कुफ़्ल-ए-ज़िंदा ! तेरा मक्सूम पिघल जाना था
[ આ અસ્તિત્વના આખા કેદખાનાને તો જિંદગીની ગરમીથી પીગળવાનું જ હતું. હે કારાગાર ના તાળા ! પીગળી જવું તારું ભાગ્ય જ હતું……]

Comments (13)

ગઝલ – ભગવતીકુમાર શર્મા

સાધે   જો  કાયાકલ્પ  તો  ભમરો  કમળ  બને;
સૂર્યાસ્ત-સૂર્યોદયની   સફર  તો   સફળ   બને.

શોષાયેલાં    નવાણ    નયનમાં   ફૂટે   કદી;
ખાબોચિયુંયે    ત્યારે   સમન્દર   સકળ   બને.

થીજી  જવાનું   ભાગ્ય   બરફને   મળ્યું  છતાં
સૂરજ  ઊગી  શકે  તો  હિમાલય  સજળ  બને.

દૃષ્ટિના  ભેદ   પર   બધો  આધાર   છે  અહીં;
સ્થળ ત્યાં બને જ જળ અને જળ ત્યાં જ સ્થળ બને.

તૂટી   પડે   જો   વૃક્ષની    ટોચેથી   પાંદડું;
મારી    હયાતી   મૂલથી   આકળવિકળ   બને.

– ભગવતીકુમાર શર્મા

(નવાણ=કૂવો, વાવ, તળાવ વગેરે જળાશય)

Comments (6)

ગઝલ – એસ.એસ. રાહી

ઝૂલું છું જેમાં હું એ તારી ખાટ છે, માલિક
સમસ્ત વિશ્વ બનારસનો ઘાટ છે, માલિક

શિખર ઉપરના કળશ જેમ ઝગમગાવી દે
કે મારા મન પે જમાનાનો કાટ છે માલિક

નથી એ ખાલી થતી ભર ઉનાળે રાત તલક
કે પાણિયારે મથુરાની માટ છે, માલિક

હું તારો બંદો છું, એમાં જ ઓતપ્રોત રહું
આ તારું દ્વાર ઈબાદતની હાટ છે, માલિક

હું એમા લેટું તો ઉતરે છે થાક ‘રાહી’નો
હા, મારી પાસે સુમિરનની પાટ છે, માલિક

– એસ.એસ. રાહી

સૂફી વાણી-વિચારની સુવાસ વાળી ગઝલ. શબ્દોની મીઠાશ જ મન મોહી લેવા માટે પૂરતી છે.

Comments (9)

ભવ્ય ગઝલ ગુજરાતી – સંજુ વાળા

રૂપ – અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

બાળાશંકર, સાગર-શયદા, મરિઝ-ઘાયલ, આદિલ
મનોજ, મોદી, શ્યામ, સરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

તું ચંદા, તું સનમ, છાંદાસી તું ગીરનારી ગૂહા
સૂફીઓમાં તું સ્પંદન છૂપાં ભવ્ય ગઝલ ગુજરાતી

અર્થા, વ્યર્થા, સદ્ય સમર્થા, તું રમ્યા, તું રંભા
તું મારી ભાષામાં ભૂપા ભવ્ય ગઝલ ગુજરાતી

– સંજુ વાળા

ગઝલની આરાધના પણ ગઝલ દ્વારા જ 🙂

(અમિયલ કૂપા=અમૃતના પ્યાલા, અનૂપા=શ્રેષ્ઠ,અપૂર્વ, ભૂપા=રાજકુંવરી)

Comments (17)

કહે છે પાનખર – – રતિલાલ ‘અનિલ’

કહો, આલમ ઉપર હું કેટલો યે પ્યાર રાખું છું,
ઠગાયો છું ઘણી વેળા, છતાં ઇતબાર રાખું છું.

ચમનની છાપ હૈયા પર, નિહાળી કોતરી લઉં છું;
ભલે ને પાનખર આવે, નજર ગુલઝાર રાખું છું.

મને આ ક્ષુદ્રતા, આ વિશ્વની દેખાય છે શાને ?
ઘણું જોવા સમું તો સાવ દ્રષ્ટિબ્હાર રાખું છું !

વસંતે બેઉને સરખાં જ સદભાવે ઉછેર્યાં, પણ;
કહે છે પાનખર : ફૂલો નહીં, હું ખાર રાખું છું !

મને આ વિશ્વ કેરી જિંદગીનો પ્યાર પણ કેવો !
કે જન્નતના બધાં સુખચેન પેલે પાર રાખું છું!

મેહફિલનાં ઇજન કંઈ કેટલાં મેં પાછા વાળ્યાં છે,
‘અનિલ’ , સાચું કહું ? મ્હેફિલની સાથે પ્યાર રાખું છું !

 

ત્રીજા શેરથી ગઝલ ખીલે છે. ત્રીજો શેર પોતે એક દીવાદાંડી સમાન છે. વધુ મજબૂત મક્તાથી ગઝલ હજુ વધુ સબળ બની હોત…..

‘ જન્નતના સુખચેન ‘ વાત ઉપરથી એક આડવાત યાદ આવે છે- અમેરિકાની શોષણખોર અને બેધારી તલવાર જેવી કુટનીતિ નાં સીધા પરિણામે આજથી બરાબર દસ વર્ષો પહેલાં તેના ઉપર જે 11th Septmber નો અકલ્પનીય જઘન્ય હુમલો થયો હતો, તે હુમલાને અંજામ આપનાર મુખ્ય આત્મઘાતી ત્રાસવાદી ચુસ્ત શાકાહારી હતો, પૂર્ણરૂપે નિર્વ્યસની હતો અને ચુસ્ત બ્રહ્મચારી હતો…..અને તેની ડાયરીમાંના લખાણ મુજબ તેને દ્રઢ શ્રદ્ધા હતી કે તેની ‘શહીદી’ બાદ ઇનામ સ્વરૂપે જન્નતમાં તેના માટે ૭૦ અપ્સરાઓ અને ૭૦ મહેલ રાહ જોતા હશે…..!!!!!

Comments (12)

ગઝલ – સાહિલ

નામ એનું લેવાયું છે પાંચમાં
વિશ્વ આખું લઈ ઊડ્યા જે ચાંચમાં

ના કશુંયે આપવા જેવું હતું
એટલે તો સ્વપ્ન મૂક્યાં ટાંચમાં

સૂર્યના ઘરની તલાશી જો લીધી
માત્ર અંધારાં મળ્યાં છે જાંચમાં

સાવ ખાલીખમ ભલે રસ્તો રહ્યો
કેટલા ખતરા ઊભા છે ખાંચમાં

સાથમાં એકાદ-બે પગલાં ભર્યાં
આયખું વીતી ગયું રોમાંચમાં

જોઈને એની નિગાહોની તરસ
એક સપનું મેંય દીધું લાંચમાં

– સાહિલ

Comments (10)

कोई अटका हुआ है पल शायद – ગુલઝાર (અનુ. વિવેક મનહર ટેલર)

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

दिल अगर है तो दर्द भी होगा
इसका कोई नहीं है हल शायद

राख़ को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

– गुलज़ार

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

આવે જો આ તરફ એ પગરવ તો,
ખીલવા વ્યગ્ર આ કમળ છે કદાચ.

દર્દ હોવાનું, દિલ જો હોય યદિ,
એનો ઉપચાર પણ અકળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

– અનુ. વિવેક મનહર ટેલર

SMS મારફતે આ ગઝલ મળી. મોકલનારે કવિ તરીકે સુરૈયાનું નામ લખ્યું હતું એટલે વધુ આશ્ચર્ય થયું અને ગઝલનો સાછંદ તરજૂમો પણ કરી નાંખ્યો.  પણ પછી વધુ ચોક્સાઈ માટે ગૂગલદેવતાની આરાધના કરી તો જાણ થઈ કે આ ગઝલ તો ગુલઝારની છે… હજી કોઈ મિત્રો પાસે પુસ્તકાકારે આ ગઝલની માલિકીનો વધુ સબળ પુરાવો હોય તો જણાવવા વિનંતી…

Comments (22)

(ત્રિપદી હાઈકુ ગઝલ) – મનોજ ખંડેરિયા

ટપકે નેવાં
આજે તો અવકાશે
છલકે નેવાં

રાત પડે ને
સામે ઘેર જવાને
સરકે નેવાં

કોણ આવતું
આજ આંખની જેવાં
ફરકે નેવાં

અષાઢ-રાતે
કણું બનીને આંખે
ખટકે નેવાં

પાંખ-પાંખમાં
મૌન ધ્રૂજતું ભીનું
ધબકે નેવાં

– મનોજ ખંડેરિયા

અનન્ય કહી શકાય એવી આ રચનાને આપણે શું કહીશું?
હાઈકુ શ્રેણી? ગઝલ? કે પછી ત્રિપદી ?

અહીં ગઝલનો છંદ યથાર્થ પ્રયોજાયો છે, નેવાં રદીફ અને ટપકે-છલકે-સરકે-ફરકે-ખટકે-ધબકે જેવા કાફિયા પણ સફળતાપૂર્વક પ્રયોજાયા છે. શેરિયત જળવાય રહે છે પણ ઉલા મિસરા અને સાની મિસરા એમ ગઝલમાં બે પંક્તિઓ મળીને એક શેર બને એ રચના અહીં નજરે ચડતી નથી. અહીં ત્રિપદીની માફક ત્રણ પંક્તિઓની સંરચના નજરે ચડે છે પણ કવિતાનો ઘાટ વળી હાઈકુનો થયો છે.

આને ત્રિપદી હાઈકુ ગઝલ કહીશું? કે પછી રંગ-રૂપની પળોજણ છોડીને કવિતાને જ મનભર માણીશું?

Comments (8)

જાણભેદુ – વિવેક મનહર ટેલર

લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.

જાણકારી હોય તો એવું નથી કે શોધવી પડતી નથી સંજીવની પણ
યોજનાઓ જ્યાં ઊંધી થઈ જઈ શકે એ છાવણી કેવી તો કે’ કે જાણભેદુ.

યુગયુગોથી એક ઇચ્છા માટે પંચેન્દ્રિય લાક્ષાગૃહમાં બળતી રહી છે,
ને વળી ઇન્દ્રિય પાછી સૌ અણીથી તે પણી કેવી તો કે’ કે જાણભેદુ.

મારી ભીતર લાખ ઘટનાઓ ઘટે છે હરપળે પણ હું અજાણ્યો ને અજાણ્યો,
ને ઉપરથી આ બધી ઘટનાઓ જે છે મા જણી, કેવી તો કે’ કે જાણભેદુ.

શું તમે પણ સાવ આમ જ નીકળ્યા બાંયો ચઢાવી કાળક્રમ સાથે ઝઘડવા ?
એ ન ઇચ્છે તો કશું ના થાય, જાત જ એ તણી કેવી તો કે’ કે જાણભેદુ.

– વિવેક મનહર ટેલર
(૦૫/૧૧-૦૮-૨૦૧૧)

ગઈકાલે ફેસબુકના ગર્ભમાંથી જન્મેલી કિરણસિંહ ચૌહાણની જાણભેદુ ગઝલ આપણે માણી. આજે બેક-ટુ-બેક માણીએ મારી એક જાણભેદુ ગઝલ. એક જ શબ્દને લઈને જન્મેલી બે ગઝલ બે અલગ અલગ કવિની કલમે જન્મે ત્યારે કેવી અલગ તરી આવે છે ! હા, જો કે કિરણસિંહની કસાયેલી કલમ અને મારી કલમનો ફરક જો કે નજરે ચડી આવે છે…  આ સંદર્ભમાં એક બોનસ શેર પણ આપ સહુ માટે:

રદીફ, કાફિયા ને છંદ સહુને હાંસિલ છે,
કલમ કલમમાં પરંતુ કમાલ નોખા છે !

Comments (18)

જાણભેદુ – કિરણસિંહ ચૌહાણ

અહીં પાણી પોતે થયા વ્હાણભેદુ,
હશે એની સાથે કોઇ જાણભેદુ.

પછી સુખ તો શું… સુખના વાવડ ન આવે,
કે બેઠા હો જયાં કૈંક એંધાણભેદુ.

તને જોઇને હૈયે હળવાશ વ્યાપી,
કે તારું આ સાંનિધ્ય છે તાણભેદુ.

ગમે નમ્રતા અમને ઝરણાની યારો,
છે નાજુક ઘણું તોય છે પ્હાણભેદુ.

કરો હર દવા તોય પીડા વધે છે,
ઘણી લાગણી હોય છે પ્રાણભેદુ.

– કિરણસિંહ ચૌહાણ

ફેસબુક આમ તો એક બિમારીની કક્ષાએ પહોંચી શકે એ હદે આપણા લોહીમાં વકરી રહ્યું છે. પણ એ છતાં એના ફાયદા કે અસ્તિત્વને નકારી શકાય એમ નથી. આ ગઝલ જ જોઈ લ્યો ને! ફેસબુક પર કિરણસિંહ ચૌહાણના પુત્રના એક ફોટોગ્રાફ પર પ્રતિભાવોની હારમાળા ચાલી એમાં મેં જાણભેદુ શબ્દ વાપર્યો અને કવિશ્રી ઓવારી ગયા.. મને કહે સાંજ પહેલાં ‘જાણભેદુ” પર એક ગઝલ લખી મોકલાવું છું. મેં કહ્યું સ્વાગત… એક ગઝલ હું પણ લખી નાંખીશ… અને એમ ફેસબુકની ચર્ચાની આડ-પેદાશ સ્વરૂપે જન્મી બે ગઝલ…

આજે કિરણસિંહ ચૌહાણની કલમે એમની ‘જાણભેદુ’ ગઝલ માણીએ પણ આવતીકાલે આજ સ્થળે મારી ‘જાણભેદુ’ ગઝલ માણવાનું ચૂકશો નહીં…

Comments (15)

જોગી વરવા – કલાપી

હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ !
તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ !

જહાં જેને મરી મુર્દું કબરમાં મોકલી દેતી,
હમે એ કાનમાં જાદૂ હમારું ફૂંકનારાઓ !

જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ !
હમે તો ખાકની મૂઠી ભરી રાજી થનારાઓ !

જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઇશ્કનાં દર્દો બધાં એ વ્હોરનારાઓ !

હમે જાહેરખબરો સૌ જીગરની છે લખી નાંખી,
ન વાંચે કોઈ યા વાંચે : ન પરવા રાખનારાઓ !

ગરજ જો ઇશ્કબાજીની, હમોને પૂછતા આવો,
બધાં ખાલી ફિતૂરથી તો સદા એ નાસનારાઓ !

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં,
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ !

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે,
હમે આરામમાં કયાંયે સુખેથી ઊંઘનારાઓ !

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ એ ડરતા,
હમે જાણ્યું, હમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ !

જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ !

બની ઉસ્તાદ આવો તો થશો આંહીં તમે ચેલા,
મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ !

હમારાં આંસુથી આંસુ મિલાવો; આપશું ચાવી;
પછી ખંજર ભલે દેતાં; નહીં ગણકારનારાઓ !

[ મુરશિદ – ધર્મોપદેશક ]

 

કલાપી એટલે મારો first love….. એની ગઝલના બધાં જ શેર ભાગ્યે જ ગમે,પરંતુ જે બે-ચાર ગમી જાય તે પૈસા વસૂલ કરી દે. ‘હમે જોગી બધા વરવા ….’, ‘ ગમે તે બેહયાઈને દઈ ….’, ‘ જખમથી જે ડરી રહેતાં,….’ – જેવાં શેર તરુણાવસ્થાથી જ દિલમાં ઉતરીને આસન જમાવી બેઠા છે.

એક રમૂજી કિસ્સો છે- કોઈએ મહાત્મા ગાંધી આગળ કલાપીના વખાણ કર્યા. ગાંધીજીને પ્રણય-કાવ્યો પ્રત્યે પહેલેથી જ અણગમો. ગાંધીજી કહે- ‘ આવા રાજવીઓ હોય તો સ્વરાજ ક્યાંથી મળે ? ‘ આ વાતની ખબર કવિશ્રી ન્હાનાલાલને પડી. તેઓએ વળતો ફટકો માર્યો- ‘ આવા રાજવી વિનાનું સ્વરાજ શું કામનું ? ‘ …………

Comments (5)

ગઝલ – અમૃત ઘાયલ

કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીનાબજારે ઊભો છું,
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું.

પ્રત્યેક ગતિ પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર,
એના જ ઈશારે ચાલ્યો’તો એના જ ઈશારે ઊભો છું.

આ તારી ગલીથી ઊઠી જવું સાચે જ નથી મુશ્કિલ કિન્તુ,
તું સાંભળશે તો શુ કહેશે ! બસ એ જ વિચારે ઊભો છું.

આ દરિયાદિલી દરિયાની હવા આકંઠ પીવા કેરી ય મજા,
ચાલ્યા જ કરું છું તેમ છતાં લાગે છે કિનારે ઊભો છું.

સમજાતું નથી કે ક્યાંથી મને આ આવું લાગ્યું છે ઘેલું !
જાકારો મળ્યો’તો જ્યાં સાંજે ત્યાં આવી સવારે ઊભો છું.

સાચે જ જનાજા જેવી છે, એ દોસ્ત દશા મારીય હવે,
કાલે ય મજારે ઊભો’તો આજે ય મજારે ઊભો છું.

જોયા છે ઘણાને મેં ‘ઘાયલ’ આ ટોચેથી ફેંકાઈ જતાં,
એકાદ ઘડી આ તો એમ જ આવીને મિનારે ઊભો છું.

– અમૃત ઘાયલ

ગમે એટલી નવી ગઝલો  કેમ ન વાંચીએ, જૂની ગઝલ અને જૂની શરાબનો નશો કંઈ ઓર જ હોય છે !!

Comments (5)

ગઝલ – હેમંત પુણેકર

કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી
એક દર્શક વગર દૃશ્ય બનતું નથી

એટલે આંખની આંખમાં રહી ગઈ
ખારા જળની નદી, કોઈ લોતું નથી

એકબીજાના સહારે ટક્યા આપણે
હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી

રાખ શમણાની સાથે વહી જાય છે
અશ્રુ કારણ વગર ખારું હોતું નથી

એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
અહીંયા કારણ વગર કોઈ રોતું નથી

ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
જે બધે હોય છે, ક્યાંય હોતું નથી

– હેમંત પુણેકર

ધીમે રહીને ખુલતી ગઝલ…  એક એક શેર જરા હળવા હાથે ઉઘાડીએ, દોસ્તો…

Comments (14)

ગઝલ – અમિત વ્યાસ

કોણ ધીમા અવાજે બોલે છે ?
કોણ આ રાતને ડ્હોળે છે ?

એ તરફનો નથી પવન,તો પછી;
તું એ બારી શું કામ ખોલે છે !

ખળભળી જાય કેટલાં વિશ્વો;
ત્યારે તરણું જરાક કોળે છે !

એ રીતે ફરફરે છે, ડાળ ઉપર;
પર્ણ : જાણે હવાને તોળે છે !

કોઈ માથે ચડાવે છે જળને;
કોઈ પાણીમાં પગ ઝબોળે છે !

Comments (12)

રણ વિશે ગઝલ – રઈશ મનીઆર

P5166014
(લયસ્તરો   ટીમ   તરફથી   કવિ   શ્રી   રઈશ   મનીઆરને
આજે એમના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ)

*

રણ હવે ઘરથી શરૂ થઈ જાય છે,
રણ પછી ઘરમાં જ પૂરું થાય છે.

એક જગ્યાથી બીજે ઠલવાય છે…
રણ કદી ક્યાં કોઈથી સરજાય છે ?

રણ વિશેની આ સમજ બસ છે મને
રણ કદી ક્યાં કોઈને સમજાય છે ?

ને પુરાતન કાળના સૌ સાગરો
આખરે તો રણ બની સચવાય છે.

રણના નામે મુઠ્ઠીભર બસ રેત પણ…
રેત-શીશીમાં ગજબ ફૂંકાય છે.

ને તમે સાધો નિકટતા એ પછી
રણ સ્વયમ્ રણદ્વીપ પર લઈ જાય છે.

આ ‘રઈશ’માં રણ નથી, એવું નથી;
જો અગર રણ ક્યાંય છે, રણકાય છે !

– રઈશ મનીઆર

રણ વિશેની એક મજાની મુસલસલ ગઝલ આજે કવિના જન્મદિવસે માણીએ…

 

Comments (16)

લઇ આવ્યો – શોભિત દેસાઈ

જરા અંધારનાબૂદીના દસ્તાવેજ લઇ આવ્યો;
અરે! લો આગિયો સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.

‘તમે છો’ એવો ભ્રમ ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શકયાતામાં બસ હું થોડો ભેજ લઇ આવ્યો.

હતી મર્મર છતાં પર્ણો અનુભવતાં’તાં એકલતા,
પવન જઇ રાતરાણીથી મહેકની સેજ લઇ આવ્યો.

પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં હું એ જ લઇ આવ્યો.

– શોભિત દેસાઈ

રંગનું એક ટપકું મેઘધનુષ થઈ જાય અને પછી પ્રસરીને લોહીનો રંગ થઈ જાય … હોઠ એ રીતે આ ગઝલ ગણગણતા થઈ જાય  ઃ-)

Comments (2)

ગઝલ – અનિલ ચાવડા

દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં ?
આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં ?

ગમે એટલું મનગમતાને ચાહી લીધું ? તો પૂરતું છે,
કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં ?

જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું,
ઘટના-બટના, કિસ્સા-બિસ્સા, બનાવ-ફનાવ શું હેં ?

જેને આવી પાંખો એને ઊડવા દીધા પંખી માફક,
હદથી ઝાઝો કોઈના પ્રત્યે લગાવ-બગાવ શું હેં ?

પોતાના વિનાય અમે તો હે…ય ચેનથી જીવી લીધું,
ખાલીપા-બાલીપા કે આ અભાવ-બભાવ શું હેં ?

– અનિલ ચાવડા

અનિલની આ ગઝલ એના ભાષાકર્મના કારણે સવિશેષ સ્પર્શી જાય છે. રોજિંદી બોલચાલમાં આપણે જે લહેકાથી શબ્દોની દ્વિરુક્તિ શબ્દોને બહેકાવીને કરીએ છીએ એ શૈલીની આ ગઝલ વાંચતાવેંત ગમી જાય એવી છે…

અને હા, અનિલને ‘યુવા ગૌરવ પુરસ્કાર ૨૦૧૦’ પછી તેરમી ઓગસ્ટે મુંબઈ ખાતે INT તરફથી ‘શયદા પુરસ્કાર’ પણ એનાયત થનાર છે. ફરી ફરીને અભિનંદન, દોસ્ત!

Comments (25)