એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.
રશીદ મીર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિ

કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




દુહા – ઉદયન ઠક્કર

લાલ લસરકો માટીનો, પીળો પચરક તાપ
એમાં વરસે વાદળી, ઓચ્છવ આપોઆપ

સરવર ઝાંખું થાય ને કાંઠાઓ કજરાય
ખોબે ખોબે પી લિયો, સાંજ સુકાતી જાય

ક્યાં જન્મે, ક્યાં ઊછરે, કોકિલાનાં કુળ ?
શું પ્રતારણામાં હશે સર્વ કળાનાં મૂળ ?

કદી કદી રિસામણાં, કદી કદી મેળાપ
બચપણના બે ગોઠિયા, અજવાળું ને આપ

સાંજ ઢળે, આકાર સૌ નિરાકારમાં જાય
ગોકુલ સરખું ગામડું શ્યામલવરણું થાય

રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ !

જળ પર વહેતાં જોઈ લો, વનસ્પતિનાં મૂળ
મુંબઈકર ઠક્કર મ્હણે, ઈથેચ માઝે કુળ

સુખ ને દુ:ખનો પ્રાસ તો સરખેસરખો હોય
બે અક્ષરની બીચમાં, જો કે, થડકો હોય

– ઉદયન ઠક્કર

પ્રત્યેક ‘દુહો’ એક અલગ કહાની કહે છે….. નવતર પ્રયોગ…

Comments (11)

(આભાસી મૃત્યુનું ગીત) – રાવજી પટેલ (Translated by 1. Pradip Khandwala, 2. Dileep Jhaveri)

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

ગુજરાતી કવિતાના કર્ણફૂલ સમું આ લગ્નગીતના ઢાળમાં મૃત્યુને પોંખતું અમર ગીત આગળ લયસ્તરો પર મૂક્યું હતું અને ભાવકમિત્રોને એનો આસ્વાદ કરાવવાનું કામ આપ્યું હતું અને લગભગ ત્રણ ડઝન વાચકોએ આ ગીતનો પોતપોતાની રીતે આસ્વાદ કરાવ્યો હતો.

બીજા દિવસે સુરેશ દલાલ અને હરીન્દ્ર દવેના આસ્વાદ સાથે મારા વિચારોને સેળભેળ કરીને સવિસ્તાર સમજૂતી રજૂ કરી હતી.

આજે આ અમર કવિતાના બે અંગ્રેજી અનુવાદ આપ સહુ માટે રજૂ કરીએ છીએ:

Swan song

Vermilion suns have set in my eyes…
adorn my nuptial wagon brother, adjust the flame
O breaths on feet are restive, attired in lights !
Vermilion suns have set in my eyes…

Green stallions drowned in yellowed leaves
sank gay kingdoms, sank gay deeds
O I heard such neighing scent !
Vermilion suns have set in my eyes…

A shadow restrains me in the courtyard
holds me half by words, half by anklets
O I am wounded by a live tenderness !
Vermilion suns have set in my eyes…

– Ravji Patel
(Translated by Pradip Khandwala)

*

The Song of Illusive Death

Vermilion suns have set in my eyes
Deck my litter, brother, trim the wick
Oh, the breaths await draped in brilliance
Vermilion suns have set in my eyes

Verdant stallions have drowned in ochre leaves
Vast dominions drowned, drowned joyous deeds
Oh, I have heard the neighing scent
Vermilion suns have set in my eyes

By a shadow I am halted in the square
Held partly by an utterance, partly by anklet
A living tenderness nudges me
Vermilion suns have set in my eyes.

– Ravji Patel
(Translated by Dileep Jhaveri)

Comments (14)

એ જે અફવા હતી – રશીદ મીર

એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.

દૂર ઊડતો ગુબાર જોઉં છું,
કાફલો છે કે ના દિશા છે હવે.

તું હતી તો ખુદા હતો મારો,
ના ઈબાદત, ના આસ્થા છે હવે.

એક મારા જ પ્રાણ રૂંધાયા,
નહિ તો ચારે તરફ હવા છે હવે.

રંગ ગેરુઓ હોય કે લીલો,
જે પતાકા હતી, ધજા છે હવે.

સાતસો છ્યાસીથી શરૂ થઈને,
આ ગઝલ પોતે શ્રીસવા છે હવે.

‘મીર’ ઘરના ખૂણામાં બેઠો છું,
મારે આઠે પ્રહર મજા છે હવે.

– રશીદ મીર

બધા જ શેર સંતર્પક પણ ‘તું હતી તો ખુદા હતો મારો’વાળો શેર વાંચતા સાથે જ ચિત્તતંત્રને જાણે લકવો મારી ગયો. બે સાવ નાની નાની પંક્તિમાં પ્રેમની કેવી સરસ વ્યાખ્યા ! અને એકસાથે ઈબાદત અને આસ્થા- બંનેને સાંકળી લઈને કવિ પ્રેમની ધર્મનિરપેક્ષતા પણ ચાક્ષુષ કરી આપે છે.

Comments (9)

સમજી જા – સંજુ વાળા

તક નિરાળી મળી છે સમજી જા
રમ્ય ક્ષણ સાંપડી છે સમજી જા

વૃત્તિ તો વાંઝણી છે સમજી જા
પીડ એની જણી છે સમજી જા

સૌ ચળકતાં ચટા-પટા, ટપકાં
ક્ષણજીવી કાંચળી છે સમજી જા

સ્ફોટ શું એ તને ખબર ક્યાં છે ?
જાત દીવાસળી છે સમજી જા

શક્ય છે પળમાં થંભી જાય હવે
તર્ક તો વા-ઝડી છે સમજી જા

તારા નખ પર છે ડાઘ એના હજુ
લાગણી કોઈ ખણી છે સમજી જા

માત્ર મુઠ્ઠી જુવારના માલિક !
એની તો વાવણી છે સમજી જા.

– સંજુ વાળા

ભાવક પાસે ઉચ્ચ કક્ષાની સજ્જતાની વણકથી ‘ડિમાન્ડ’ કરતા સંજુ વાળા પાસેથી પ્રથમ પ્રયાસે ઉઘડી જાય એવી રચના મળે એ ફેબ્રુઆરીના ઓગણત્રીસમા દિવસ જેવી ઘટના છે. પણ આ સંજુ વાળાની રચના છે. સરળ અને સહજ લાગતા શેરમાં પણ ઊંડે ઊતરી શોધશો તો છીપમાંના મોતી જેવો ખજાનો જડશે એની ગેરંટી.

Comments (9)

ધોબી, કવિ અને વિજ્ઞાની – ઉમાશંકર જોશી

ટહેલતાં સાબરને કિનારે
વિજ્ઞાનશાસ્ત્રી, કવિ, -બે જઈ ચડ્યા
ધોબી કને, જે કપડાં પછાડતાં
મહાજનો કોણ ન એ લહી શક્યો.

કહે કવિ, ‘આ કપડાં ધુએ છે
ત્યાંથી ઊડંતા જળબિંદુશીકરે,
હૈયું કૂદે, ઇન્દ્રધનુષ ન્યાળી.
જન્મ્યો હતે જો શતવર્ષ પૂર્વે
તો પામતે હું પદ વર્ડ્‌ઝવર્થનું.’

વિજ્ઞાની ક‌્હે, ‘ન્યૂટનની પહેલાં
પાક્યો ન ધોબી પણ કોઈ એવો,
જે વાત સાદી સમજી શક્યો આ
કે તેજ પાણીકણ આરપાર
જતાં, જુદું થાય જ સાત રંગમાં?!’

વદે કવિ, ‘ધોબીજનોય આ ને?’
રામા! -કહીને પછી બૂમ પાડી,
પૂછ્યું, ‘અલ્યા! કામઠું જે તણાય
છાંટા ઊડે તે મહી રંગ સાતનું,
તે ઉમંગે નીરખે કદી કે?’

ધોબી બિચારો થઈ મૂઢ, ફાંફા
મારે, નિહાળી જન આ મહાનને
વાતે વળેલા નિજ ક્ષુદ્ર સંગમાં.

વિજ્ઞાની બોલે, ‘તુજ પીઠ સૂર્યની
બાજુ ધરી ધો કપડાં, અને જો
છાંટા મહીં અદ્ભુત સાત રંગને.’

‘માબાપ! એવા કરું જો હું ચાળા,
ઘરે બિચારાં મરી જાય છોકરાં!’

કહે કવિ, ‘સુન્દરતા પિછાનવા
ઘડીક તો રંગલીલા નિહાળી લે!’

‘એ જોઉં તો આ ઢગ ધોઉં ક્યારે?’

મંડ્યો પછી એ કપડાં પછાડવા
ઘાલી ઊંધું, ને બચવા જ છાંટથી
વિજ્ઞાનશાસ્ત્રી ખસી મર્મમાં હસ્યા,
‘જો બાપડો ન્યૂટન વ્યર્થ જીવ્યો;
થૈ શોધ કે ના, – સરખું જ આને!’

હસે કવિ, ‘ના ઉર આનું નાચે,
જીવ્યું અરે ફોગટ વર્ડ્‌ઝવર્થનું!’

– ઉમાશંકર જોશી

કવિ ઉમાશંકર જોશી માટે કહેવાતું કે તેઓ હસે તો છાપામાં સમાચાર આવે ! તેઓ પાસેથી આવું નખશિખ વ્યંગ-કાવ્ય મળે એટલે ધન્ય ધન્ય !!!!!

Comments (3)

રજકણ સુધી – ‘આદિલ’ મન્સૂરી

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી.

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,
સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી.

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,
મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી.

કાંકરી પૃથ્વીની ખૂંચે છે પગે પગ ક્યારની,
આભની સીમાઓ પૂરી થાય છે ગોફણ સુધી.

કાળનું કરવું કે ત્યાં ‘આદિલ’ સમય થંભી ગયો,
જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

– આદિલ મન્સૂરી

Comments (2)

ગઝલ – નિનાદ અધ્યારુ

ફોનમાં ગુજરાતી વંચાતું નથી,
એને શું કહેવું એ સમજાતું નથી !

આપણે બીજાને બોલી નાખીએ,
આપણાથી એજ સંભળાતું નથી.

એમ ના પૂછો કે શું-શું થાય છે,
એમ તો પૂછો કે શું થાતું નથી ?

પથ્થરો બોલો તો ઠોકી મારીએ,
આપણાથી ફૂલ ફેંકાતું નથી !

જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !

ગામ આખા કાજ તાળી પાડીએ,
આપણું આણું જ પથરાતું નથી !

આપણું જે ખૂબ ગમતું નામ હો,
નામ કમબખ્ત એજ બોલાતું નથી.

આપણે રૂપિયા તો ખર્ચી નાખીએ,
આપણું હોવું જ ખર્ચાતું નથી !

રાખીએ અંતર, બધું એથી થતું,
સ્પર્શવાથી કાંઈ અભડાતું નથી.

થાય તો એ પણ કરી જોતે ‘નિનાદ’,
પણ ગઝલ સાથે તો પરણાતું નથી !

– નિનાદ અધ્યારુ

મત્લાના શેરને બાદ કરીએ તો શીરાની જેમ ગળે ઊતરી જાય એવી મનનીય રચના. જે આપણે બીજાને આસાનીથી સંભળાવી દેતા હોઈએ છીએ એ જ બીજાના મોંએ સાંભળવું દોહ્યલું થઈ પડે છે. આપણી પરીક્ષાપદ્ધતિ પર મર્મભેદી કટાક્ષ કરતો શેર, અને આખરી ત્રણ શેર ઓલ-ટાઇમ-ગ્રેટની હરોળમાં છાતી કાઢીને બેસી શકે એવા થયા છે.

Comments (17)

ગઝલ – કુલદીપ કારિયા

સંબંધોની ટ્રેન અચાનક પાટા પરથી ખડી ગઈ છે,
બે-ત્રણ સપનાં થયાં છે ઘાયલ, બેત્રણ ઇચ્છા મરી ગઈ છે.

સૂરજને મેં ટોપી માફક પહેરી લીધો છે માથા પર
મારા રૂપે સૌને જાણે દીવાદાંડી મળી ગઈ છે.

બહુ જ દાઝ્યુ છે મન એથી એના પર હું બરફ ઘસું છું
તારી વાચારૂપે પાછી ગરમ તપેલી અડી ગઈ છે.

શિખર સુધી તો પહોંચ્યું છે બસ, મારા હોવાનું એક ટીપુ
ઓગળતા ઓગળતા આખી જાત પગથિયે રહી ગઈ છે

એને પાણી પીવડાવો મા, સાવ સમૂળી ઉખેડી નાખો
ફરી નકામા ઘાસની માફક તરસ અમારી વધી ગઈ છે

– કુલદીપ કારિયા

અતિરેકના બોજાથી ગુજરાતી ગઝલની ડોક લચી પડી હોવાની પીડાના પાટિયાં ગામભરમાં મારતા રહેતા વિવેચકોને આવી ગઝલ શું વાંચવા નહીં મળતી હોય ? અનિલ, મિલિન્દ, નિનાદ જેવા જૂજ મૌલિક બાની અને અનૂઠી અભિવ્યક્તિ સાથે પોતીકા ચીલા ચાતરનાર ગઝલકારોની પાંખી યાદીમાં કુલદીપ કારિયાનું નામ ન મૂકો તો યાદી અધૂરી રહે. આપણી કવિતાએ આ પહેલાં જોયા ન હોય એવા કલ્પન, અક્ષુણ્ણ રજૂઆત અને સરવાળે સિદ્ધ થતો કાવ્યપદાર્થ આ ગઝલને નખશિખ આસ્વાદ્ય બનાવે છે.

Comments (8)

ગઝલ – દેવાંગ નાયક

પળેપળ અહર્નિશ આ રેતી ખરે છે,
ભલે કેદ રાખો, સમય તો સરે છે.

આ કોની પ્રતીક્ષા હશે બારણાંને?
એ ભીતરથી કાયમ ટહુકયા કરે છે !!

તમે કંઈક બનવા કરો ના મથામણ !!
હવા શ્વાસ બનવા કદી કરગરે છે ??

મને એ ઘડી ટાંકણી જેમ ભોંકાય,
કોઈ જ્યારે બાળકનું વિસ્મય હરે છે.

હું છોડી નથી શકતો પિંજર ધરાનું,
મને રોજ પંખી બે પાંખો ધરે છે !!

કોઈને ભરોસો નથી કોઈના પર,
હૃદય માંગ્યું એનું, તો કહે છે ઘરે છે !!

– દેવાંગ નાયક

વૉટ્સ-એપ પર દેવાંગ નાયકની રચનાઓ સાથે લાંબા સમયથી આછો-પાતળો પરિચય થતો રહ્યો છે પણ આ રચના વાંચતાવેંત અટકી જવાયું. રેતશીશીવાળો મત્લા જ કવિની શક્તિથી ભવકને પરિચિત કરી દે છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે પણ હવા શ્વાસ બનવા કદી કરગરતી નથીવાળો શેર અભિવ્યક્તિની તાજગી અને અર્થની ઊંડાઈને કારણે સવિશેષ સ્પર્શી જાય છે.

Comments (5)

એક નાના કાંકરે… – અનિલ ચાવડા

એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં,
પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?

આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”

એ કહે કે બહુ બટકણી ડાળ છે વિશ્વાસની,
ત્યાં જ બટક્યો હું ને એણે શું કહ્યું સંભળાય નૈં.

મજબૂરી – બજબૂરી જે કે તે બધુંયે સાચું પણ,
આ રીતે તો કોઈને ક્યારેય તરછોડાય નૈં.

લાગણી છે એટલે લપસાય પણ, છોલાય પણ;
લીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈં.

તારું લેવલ તો શિખર કરતાં ય ઊંચું છે અનિલ,
પણ રહે તું મધ્યમાં જ્યાં ટોચ નૈં તળિયાં ય નૈં.

– અનિલ ચાવડા

Comments (6)

શ્વાસ લેવા દે – મનોજ ખંડેરિયા

જીવનભર જળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
ઝીણી ઝાકળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

અહીં ચોમેર મારી પગલાં પગલાં લાખ પગલાં છે
વીતેલી પળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

કદી ચકમકના પથ્થર જેમ મારાથી હું અથડાયો
પછી ઝળહળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

ખૂલેલાં દ્વારનો અજવાસ પ્હેલી વાર સૂંઘ્યો મેં
ભીડી ભોગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે

સદા શબ્દોના અગ્નિસ્તંભને મેં બાથ ભીડી છે
સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે.

 

-મનોજ ખંડેરિયા

(સૌજન્ય – નેહલ  https://inmymindinmyheart.com )

Comments (2)

ઊઠે છે – સ્નેહી પરમાર

snehi parmar

તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
ઘી પણ સાચું હોય, તો ખુશબૂ ઊઠે છે.

બાકી સઘળે ઊઠે છે તે બજવાળું
અજવાળું તો એની ફરતે ઊઠે છે

ઊઠીને તેં શું ઉમેર્યું પૃથ્વીમાં ?
રોજ સવારે અમથું અમથું ઊઠે છે.

ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં !
ગજવાને ભાળીને ગજવું ઊઠે છે.

ત્યારે થાતું ‘બેસી રહેવું છે અહિયા’
જ્યારે કોઈ બાળક ભણતું ઊઠે છે.

– સ્નેહી પરમાર

બગસરાથી કવિમિત્ર સ્નેહી પરમાર એમનો બીજો ગઝલસંગ્રહ “યદા તદા ગઝલ” લઈ આવે છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત અને અઢળક મબલખ સ્નેહકામનાઓ…

Comments (8)

ગઝલ – પ્રમોદ અહિરે

શબદ તો કામ લાગે પ્રાસ માટે,
મને તો જોઈએ છે શ્વાસ માટે.

ફકત કાયામાં હું આવી શકું નહિ,
સકળ બ્રહ્માંડ દે આવાસ માટે.

રહું છું ઘરમાં ઘરથી પર રહીને,
તો શાને જાઉં વન વનવાસ માટે ?

તું પણ સંતોષ પામ્યો, એ તું જાણે,
લખું છું હું તો મારી પ્યાસ માટે.

હું પણ ગીતા છું તું વાંચી શકે તો,
હું પુસ્તક ના બનું વિશ્વાસ માટે.

– પ્રમોદ અહિરે

સુરતમાં ઘણા મજબૂત ગઝલકારો માત્ર એમની નિર્લેપતા અને કંઈક અંશે આળસના કારણે ગઝલપ્રેમીઓની નજરથી અછતા રહી ગયા છે. પ્રમોદ અહિરે એમાંના એક. એક-એક શેર હાથમાં લો. કવિએ કાફિયા કેવા ચપોચપ નિભાવ્યા છે એ જુઓ. કવિની ખુમારી જુઓ. બધા જ શેર લાંબા સમય સુધી તમારા મનોમસ્તિષ્ક પર કબજો કરી રાખે એવા બળવત્તર.

Comments (7)

ગઝલ – પારૂલ ખખ્ખર

ઉન્માદથી, અવસાદથી વાકેફ છું,
હું પ્રેમના સૌ સ્વાદથી વાકેફ છું.

ગમવા છતાં તું ‘વાહ’ ના બોલી શકે,
એવી અધૂરી દાદથી વાકેફ છું.

સાચુ કહું ? આ હાથ છૂટ્યો છે છતાં,
બન્ને તરફના સાદથી વાકેફ છું.

એવું નથી કે તું જ સોરાયા કરે,
હું પણ બધી ફરિયાદથી વાકેફ છું.

બહેરી નથી કંઈ એમ તો આ ચામડી,
છું, સ્પર્શના સંવાદથી વાકેફ છું.

ખાંગા થઈને અક્ષરો તૂટી પડે,
એવા ઘણા વરસાદથી વાકેફ છું.

– પારુલ ખખ્ખર

કોઈ એક શેર પર આંગળી મૂકવી દોહ્યલું થઈ પડે એવી ગઝલ. હાથમાંથી હાથ છૂટે, સંબંધ તૂટે એવા દોરાહા પર આવી ઊભીએ ત્યારે એકતરફ તૂટેલા કે તોડવા પડેલા સંબંધમાંની પોઝિટિવિટિ અને બીજી બાજુ ગળામાંના ઘંટીના પડમાંથી આઝાદીની હવા આહ્વાન આપી રહી હોય એ કશ્મકશને તાદૃશ કરતો શેર “સાચું કહું?”ના લહેકાસભર ઉઠાવથી તરત જ દિલને સ્પર્શી જાય છે.

Comments (10)

જીવી ગયું – મેગી અસનાની

ખોખલી સંભાળ પર જીવી ગયું,
આ હ્રદય પંપાળ પર જીવી ગયું.

હૂંફ ન આપી શક્યું મન દંભને,
શુષ્કતાના આળ પર જીવી ગયું.

પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,
એક પંખી ડાળ પર જીવી ગયું.

છે સહજ સંજોગ સઘળું શીખવે,
સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું.

તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,
માછલીની જાળ પર જીવી ગયું.

ચાતકે બસ પ્રેમની પામી નજર,
એટલે દુષ્કાળ પર જીવી ગયું…

– મેગી અસનાની

Comments (7)

જબ ભી ઘર સે બાહર જાઓ – નિદા ફાઝલી

જબ ભી ઘર સે બાહર જાઓ
તો કોશિશ કરો… જલદી લૌટ આઓ
જો કઈ દિન ઘર સે ગાયબ રહ કર
વાપસ આતા હૈ
વહ જિંદગીભર પછતાતા હૈ
ઘર…. અપની જગહ છોડકર ચલા જતા હૈ.

– નિદા ફાઝલી

બારીક ઈશારો છે……ઘરની જગ્યાએ સંબંધ, અનુશાસન, તક, તપસ્યા ઈત્યાદી મૂકી જુઓ…..

Comments (4)

ઘણાયે ભાર છે – હર્ષ બ્રહ્મભટ્ટ

જિંદગીમાં એટલે અંધાર છે,
ક્યાં હજી અજવાસની હકદાર છે ?

ઊંચકું છું એને હું અડ્ક્યા વિના,
મારી પર એવા ઘણાયે ભાર છે.

મૃત્યુ લગ વ્હેરે છતાં અડકે નહીં,
શ્વાસ પર એવી સમયની ધાર છે.

ફક્ત મૂર્તિને જ એની જાણ છે,
કે પૂજારી કેટલો ખૂંખાર છે.

હું હવે એકાંત બમણું ભોગવું,
કોઈ અંદર છે ન કોઈ બ્હાર છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

ગઝલનો શેર ક્યારેક શ્લોકની કક્ષાએ જઈ ઊભે છે. મત્લાનો શેર જુઓ. કેવી ઊંચી વાત અને કેવા સરળ શબ્દોમાં ! જ્યાં સુધી જિંદગી પોતે અજવાળાની હકદાર નથી બનતી ત્યાં સુધી અંધારું કેમ કરી દૂર થાય ?

સરવાળે બધા જ શેર માર્મિક.

Comments (13)

ગઝલ – મેગી અસનાની

જાત સાથે વાતમાં વીતી ગઈ,
રાત ઝંઝાવાતમાં વીતી ગઈ.

પ્રેમ, પીડા, લાગણી કંઈ ના મળ્યું,
જિંદગી અર્થાતમાં વીતી ગઈ.

જે મળ્યા આઘાત દિવસે એ વિષે,
રાત પ્રત્યાઘાતમાં વીતી ગઈ.

ક્યાં હયાતીની કરી છે મેં કદર,
રોજની દરખાસ્તમાં વીતી ગઈ.

આજ એનું નામ આવ્યું હોઠ પર,
બે ઘડી નિરાંતમાં વીતી ગઈ.

– મેગી અસનાની

આપણે સહુ આજે એવા વર્ચ્યુઅલ વિશ્વના વાસી બની ગયાં છીએ જેમાં આપણી પાસે આપણા સ્માર્ટ ફોન સિવાય વિશેષ કશું નોંધપાત્ર બચ્યું નથી. પરિવારના પાંચ સભ્યો સાથે બેઠાં હોય કે પાંચ-સાત જિગરી દોસ્તોની મહેફિલ જામી હોય યા નિકટના સ્વજનના લગ્નમાં જાનૈયાઓને જોઈએ – એવા દૃશ્યોની હવે નવાઈ નથી જ્યાં બધા એકબીજા સાથે ગુફ્તેગૂના બદલે પોતપોતાના સ્માર્ટ ફોનમાં વ્યસ્ત હોય. આવામાં જાત સાથે વાત એ તો જાણે દીવાસ્વપ્ન થઈ ગયું. એટલે જ કવયિત્રી કહે છે કે જાત સાથે વાતમાં વીતે એ રાત ઝંઝાવાતમાં વીતે.

Comments (7)

બસ – કૃષ્ણ દવે

પંચાણુ ટકા સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પ્હેલા કહ્યું

યાદ છે તમને ?
રોડ ઉપર બાંધેલી છાપરીવાળા બસસ્ટેન્ડે બેઠા બેઠા તો તમે દસ વાર પૂછી લેતા “બસ ક્યારે આવશે ? બસ ક્યારે આવશે ? “ અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતા બારી પાસે અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને “આવજો, આવજો” થી ભરી મૂકતાં આખી સીમને.

યાદ છે તમને ?
બ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી ,નાનકડું દફ્તર લટકાવી તમે ઊભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતાં ,અને હું આવું એટલે કૂદી પડતાં મારી સીટ પર જાણે માનો ખોળો ખૂંદતા હોવ ને એ રીતે

યાદ છે તમને ?
હટાણું કરવા ગયેલા બાપુને લઈને,મોતિયો ઉતરાવવા ગયેલી માને લઈને, ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને, નિશાળે ભણવા ગયેલી દીકરીને લઈને, તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં .

મને સળગાવતા પ્હેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા જ હશે ,

પણ ! ! !

તમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જો જો ,
તમે ક્યારે’ય બસમાં બેઠાં છો ખરાં ?

– કૃષ્ણ દવે

કવિતા એ કળા છે અને કળાને હંમેશા સામાજીક નિસ્બત હોય જ એ જરૂરી નથી. પણ તોય ઇતિહાસ સાક્ષી છે કે સામાજીક નિસ્બત વધતે-ઓછે અંશે કવિતાને સમાંતર જ વહી છે. કવિતાની ટાઇમ-લાઇન તપાસીએ ત્યારે સમાજની સાચી નાડ પણ ઝલાતી હોય છે. કૃષ્ણ દવે અન્ય કવિઓની સરખામણીમાં એમની સામાજીક નિસ્બતના કારણે નોખા તરી આવે છે. કળાત્મક કવિતાઓની અડોઅડ એમના લખાણમાં સમાજ તરફની જવાબદારી ન ચૂકવાની ચિવટાઈ મેં સતત જોઈ છે. પ્રસ્તુત રચના વારે-તહેવારે હિંસક સ્વરૂપ ધારણ કરી બેસતા પાટીદારોના આંદોલનના ગાલ પર એક ચમચમતો તમાચો છે. આપણે માણસ ક્યારે બનીશું ? ક્યારેય બનીશું ખરા ?

Comments (13)

તું – જવાહર બક્ષી

વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે !

પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજુ અધુરપના ફીણ છે

તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા
ઈચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે

તું સામે જો તો આંખમાં સપનાઓ ચીતરું
બહુ તો હવામાં રંગના ધાબાં પડી જશે

હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો’તો તને યાદ છે ? – કહે

– જવાહર બક્ષી

અંતિમ શેરને બાદ કરતાં આખી ગઝલનો અંદાઝ-એ-બયાં જુઓ !!!!!!

Comments (11)

અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત – ઉદયન ઠક્કર

મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી,
.               ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
મારી છાતીમાં ટશરાતાં ઇચ્છાનાં પૂર,
.               પૂર કેટલી રાત્યુંની રાત ખાળું?

જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,
.               ને પૈણાનાં દાણ ચણું મીઠાં
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ
.               રીતસર હારબંધ ઊડતા દીઠા!

કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે

– ઉદયન ઠક્કર

મજા આવી ગઈ !! ગુજરાતી કવિઓ અમુક વિષયો પ્રમાણમાં ઓછા ખેડે છે, જેમકે લગ્નેતર સંબંધ. તેમાંય વળી સ્ત્રીપાત્ર-કેન્દ્રી લગ્નેતર સંબંધ ઉપર ગુજરાતી કાવ્ય મેં પહેલીવાર જ વાંચ્યું ! નાયિકાને પતિ વ્હાલો નથી એવું નથી, પરતું એક અન્ય ચહેરો પણ ચિત્તાકાશમાંથી કેમે હટતો નથી. તે સ્વગત બબડે છે – મને અધવચ્ચે ઉભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે. બંધન ગમતું નથી, મર્યાદા સમજાય છે પણ સહેવાતી નથી.

ઉન્નતભ્રૂ [ highbrow ] લોકોનું નાકનું ટેરવું ચડી જાય એવી બિન્ધાસ્ત રજૂઆત જવલ્લે જ જોવા મળે છે. મહદઅંશે લોકો હૃદયના નિખાલસ ભાવને નિરપેક્ષ રીતે observe કરવાને બદલે દંભના કવચમાં વધુ સલામતી અનુભવે છે. પ્રેમ કદી કોઈ બંધનમાં બંધાતો નથી તેમજ કોઈને બંધનમાં બાંધતો નથી એવી વાતો પાંચ માણસ વચ્ચે કરીને પોતાની છબી ચમકાવવી એ એક વાત છે અને જયારે પત્ની ખરેખર………………

Comments (9)

ગઝલ – નિનાદ અધ્યારુ

યાદ તમારી તાજી થઈ ગઈ,
સહરામાં વનરાજી થઈ ગઈ.

દિલ જાતે વેચાવા નીકળ્યું,
આંખોની હરરાજી થઈ ગઈ.

બોલો .. બોલો .. કંઈ તો બોલો
એવી શું નારાજી થઇ ગઈ ?

હાથ પકડ્યો એનો ત્યાં તો –
દુનિયા આખી કાજી થઈ ગઈ !

ઇચ્છા ધબ-ધબ નીચે ઊતરી,
આબુથી અંબાજી થઇ ગઈ !

ગીતોમાંથી ગઝલો ફૂટી,
લ્યો, સાળી જીજાજી થઈ ગઈ !

એણે એક જ પત્તુ ફેંક્યું,
મારી આખી બાજી થઈ ગઈ !

દીકરા માટે માગું આવ્યું,
મમ્મી રાજી-રાજી થઈ ગઈ.

આ તે કેવું શૂરાતન કે –
બીડી પણ શિવાજી થઈ ગઈ !

‘નિનાદ’ ગઝલો લખવી એ તો,
ઘર-ઘરની ધોરાજી થઈ ગઈ.

– નિનાદ અધ્યારુ

વાંચતાની સાથે જ આ ગઝલ એકદમ પ્યારી થઈ ગઈ. એક તો ટૂંકી બહેરમાં રવાની એવી મસ્ત, મજબૂત અને પ્રવાહી છે કે ગઝલ વાંચવી તો શક્ય જ નથી બનતી, ગણગણવી જ પડે ફરજિયાત. ગુજરાતી ગઝલમાં પહેલાં કદી જોવામાં ન આવ્યા હોય એવા અંબાજી, જીજાજી, શિવાજી, ધોરાજી જેવા અનૂઠા કાફિયામાં કવિએ એવી સહજ કળાકારીગરી કરી છે કે મજા મજા આવી જાય. શેરે-શેરે મૌલિકતા છલકાઈ રહી છે.

ત્રણેક શેર વિશે મેં કવિને એમનો અભિપ્રાય આપવા અનુરોધ કર્યો છે પણ મૂળભૂતપણે તો કવિતામાં અર્થ કરતાં અનુભૂતિ સવિશેષ મહત્ત્વની છે અને જ્યારે અનુભૂતિ અર્થને અતિક્રમી જાય ત્યારે ઉત્તમ કવિકર્મ થયું લેખાય.

Comments (20)

નીકળ્યા ! – અમૃત ‘ઘાયલ’

ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથ લઈ જાન નીકળ્યા.

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં !

એ રંગ જેને જીવ સમા જાળવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.

મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યાં.

કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.

હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’, એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.

– અમૃત ‘ઘાયલ’

ખરા સોના જેવી આ ગઝલ બે શબ્દોની મહોતાજ નથી. એ એટલી વિખ્યાત છે કે લયસ્તરો પર એ હશે જ એવા વિચારમાં કદી પૉસ્ટ જ ન કરી.

Comments (4)

તું આવીને અડ! – રાજેન્દ્ર શુક્લ

અડાબીડ ઊગ્યા આડેધડ
કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ,
અમને તો કંઈ ખબર પડે નંઈ
તું આવીને અડ…

લ્હેરે લ્હેરે અમે લ્હેરિયેં
મૂળ ને માટી ગરથ,
ચારે બાજુ આભ વેરિયેં,
ઉકલે ત્યારે અરથ,
તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ…

અમે આવડ્યું એવું ઊભા,
અડધા પડધા તડકે,
ઝીલેલું યે ઝલાય છે કયાં
અડધું પડધું અડકે,
તું જો વીજળી હોય તો આવી આખેઆખું પડ…

– રાજેન્દ્ર શુક્લ

કવિવર રા.શુ.નું એક અદભુત ગીત… જેમ જેમ ગણગણીએ તેમ તેમ વધુ ઉકલે…

(સૌજન્ય: ટહુકો.કોમ)

Comments (1)

બની જા! – શ્યામ સાધુ

અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!

એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!

મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા!

ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા!

આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા!

હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!

– શ્યામ સાધુ

તાજગીપૂર્ણ રચના….

Comments (3)

માનવીના હૈયાને – ઉમાશંકર જોશી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….

અધ બોલ્યા બોલડે
થોડે અબોલડે

પોચા શા હૈયાને પીંજવામાં વાર શી
માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને…..

સ્મિતની જ્યાં વીજળી
જરી શી ફરી વળી

એના એ હૈયાને રંજવામાં વાર શી
એવા તે હૈયાને નંદવામાં વાર શી

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી
માનવીના હૈયાને….

– ઉમાશંકર જોશી

classic ……..

Comments (4)

ગઝલ – ધ્વનિલ પારેખ

વૃક્ષો એ વાતે ગભરાયાં,
ખર ખર ખર ખરવાની કાયા.

હદથી વધુ આ ક્યાં ફેલાયા ?
માણસથી છૂટે ના માયા.

જે પડછાયા થઈને ફરતા
માણસ સઘળા ક્યાં સમજાયા ?

જે ભીંતો બોલે છે સાચું,
સઘળા ખીલા ત્યાં ઠોકાયા.

– ધ્વનિલ પારેખ

આખી ગઝલ મજાની પણ પહેલો અને છેલ્લો શેર શિરમોર.

Comments (5)

ખૂબસૂરત સાંવરા – દયારામ

એક ખૂબસૂરત ગબરુ ગુલઝાર સાંવરા !
તારીફ ક્યા કરું ઉસકી ? હે સબ ભાંત સે ભલા !

ઈસ નગર કી ડગર મેં મેરા ચિત્ત ચૂરા ચલા,
કહતી થી સબ આલમ યે હય નંદ કો લલા.

દેખી મુઝે નિધા કર તબસોં એ દુ:ખ ફેલા,
ચિતવન મેં કછૂ ટોના, કોઈ કછુ કલા.

અનંગ આગ લગી વે તન જાત હય જલા,
જીય જાયગા જરૂર સૈંયા ! સજન નહિ મિલા.

બૂઝતી જો મેં ઐસા, દર્દ બિરહ હય બલા,
તો મેં ઉસી પલક જાય પકરતી પલા.

મિલાઓ કોઈ મહેબૂબ ! દુસરી ન હય સલા,
દયા કે પ્રીતમ બિના મરુંગી મેં કાટકે ગલા.

– દયારામ

ઘણા ગુજરાતી કવિઓ વ્રજભાષામાં નોંધપાત્ર કામ કરી ગયા છે. દયારામ એમાંના એક. એમનું આ પદ ખૂબ જાણીતું છે. બધી રીત બધાથી નોખા સાંવરિયાની પ્રીતિ દયારામ ગોપીભાવે કરે છે. નંદના લાલાએ એક જ નજરમાં કવિના ચિત્ત પર ન જાણે શું જાદુ-ટોણો કર્યો છે કે હવે અંગ-અંગમાં જો સાજન નહીં મળે તો જીવ જાય એ હદે કામની આગ પ્રજ્વળે છે. કોઈ કવિને એના પ્રીતમ પ્રેમી સાથે હવે મેળવી આપો, નહિંતર ગળું કાપીને મરવું પડશે…

Comments (3)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

હાલ જ થયું છે અવતરણ, ઈશ્વરથી યુક્ત છું,
દુનિયા ધરો નહીં, હજી ધાવણથી તૃપ્ત છું.

સંતાપ ના તમા કોઈ, કંઈ પણ ફિકર નથી,
ધબકી રહ્યો છું તે છતાં હોવાથી મુક્ત છું.

ઓળખ ના પૂછશો મને, આપી નહિ શકીશ,
હું કોણ છું ખબર નથી, મારાથી ગુપ્ત છું.

ઉંમરનો તાગ તો ભલા મળવો કઠીન છે,
વરસોથી બાળ છું અને સદીઓથી પુખ્ત છું.

– મેહુલ પટેલ ‘ઈશ’

ચાર જ શેરની ગઝલ પણ પસાર થઈએ ત્યારે જે તૃપ્તિ અનુભવાય છે એ શબ્દાતીત છે. ઓરિજિનાલિટી જળવાઈ રહે અને ફેસબુકિયા વાહવાહીમાં ગુમરાહ ન થઈ જાય તો આ કવિ ગુજરાતી ગઝલની સબળ આવતી કાલ બનવા સક્ષમ છે…

Comments (10)

પ્રદક્ષિણા – મનીષા જોષી

જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું….
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હૂં મૂંગી, અવાક્ થઈ જાઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.

હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈ પણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

– મનીષા જોષી

ઈશ્વરની સંકલ્પનામાંથી મુક્ત થઈશું ત્યારે તો આપણી સાચી ખોજ શરૂ થશે…..

Comments (8)

શિલાલેખો – મનોજ ખંડેરિયા

સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા

સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા

નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા

સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા

ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા

-મનોજ ખંડેરિયા

Comments (4)

એક વૃદ્ધાની સાંજ – નલિન રાવળ

જાળી ઉપર ગૂંચવઈ ગયેલો સાંજનો તડકો નિહાળી
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.
ચ્હેરા ઉપર કરચલિયોની ભુલભુલવણી મહીં
આછો ફફરતો ભાવ એકાએક તે અટવઈ ગયો.
ભારમાં પ્હેલાં નમી પાંપણ ફરી ઊંચકઈ
હવામાં સ્થિર થૈ ના થૈ તહીં…

ધ્રૂજતી લથડી રહેલી આંખની કીકી
પૂછે :
‘એ કોણ છે ?
ને હોઠ પર અંગાર આ કોણે મૂક્યો ?
ને લોહી આ કોનું હસે છે ?’
જાળી ઉપર અંધાર ત્યાં ગૂંચવઈ ગયો.
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપ લેતાં કામમાં લાગી ગયાં.

– નલિન રાવળ

પહેલી નજરે અછાંદસ જણાતું આ કાવ્ય ‘ગાગાલગા’ના આવર્તનોને કારણે અનિયમિત લય જન્માવે છે જે એકાકી વૃદ્ધાના જીવનની સ્થિતિને બખૂબી ઉપસાવે છે. સાંજ આમેય વિષાદનું પ્રતીક છે. બારીની જાળીમાં ગૂંચવાઈ ગયેલો સાંજનો તડકો જીવનની સાંજે પહોંચી ચૂકેલી વૃદ્ધાના ચહેરા ઉપરની કરચલીઓ સાથે તાલ મેળવે છે. જીવનમાં હવે સમય અને સ્મૃતિ સિવાય કશું જ નથી. સમય પસાર કરવા ઊન ગૂંથતાં આંગળાં પણ ગતિ અને સ્થિતિની વચ્ચે આવ-જા કરે છે. સુબહ હોતી હૈ, શામ હોતી હૈ; જિંદગી યૂં તમામ હોતી હૈ…

Comments (3)

વિલીન ગત થાવ – હરિશ્ચન્દ્ર ભટ્ટ

વિલીન ગત થાવ, ભાવિ ! મુજ માર્ગ ખુલ્લો કરો,
હતું યદપિ શાપરૂપ ગત જેહ, ડૂબી ગયું.

અરે ! નિયતિ અંધ, નેત્ર તુજ ખોલ ને સ્હાય દે,
સુસ્પષ્ટ કર માર્ગ ભાવિ પથ જોઉં તે કાપવા.

રહસ્યમય ગૂઢ આછી સહુ રેખ વિતરો, અને
અદૃષ્ટ અવ દૃષ્ટ થાય શિખરોની ઝાંખી થવા.

પ્રભો-નિયતિ ! સાથ દે, કર મહીં તું સંકલ્પ લે,
હવે નિયતિ ! ભાવિ મારું, વિધિ મારું મારા મહીં.

– હરિશ્ચન્દ્ર ભટ્ટ

ગઈ ગુજરી ભૂલીને ઉજળા ભાવિ તરફ ડગ માંડવાની વાત કવિ પરંપરિત ઢબમાં રજૂ કરે છે. ઈશ્વર અને નિયતિનો સાથ માંગે છે પણ પોતાનું ભવિષ્ય અને પોતાનું ભાગ્ય તો આખરે પોતાના હાથમાં જ રાખવા માંગે છે.

Comments (5)

કચ્છનું પાણી – અમૃત ‘ઘાયલ’

ભાંભરું તોયે ભીંજવે ભાવે,
વણબોલાવ્યું દોડતું આવે
હોય ભલે ના આંખની ઓળખ,
તાણ કરીને જાય એ તાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

જાય હિલોળા હરખે લેતું,
હેતની તાળી હેતથી દેતું.
હેત હરખની અસલી વાતું,
અસલી વાતું જાય ન નાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

આગવી બોલી બોલતું જાયે,
પંખી જેમ કલ્લોલતું જાયે,
ગુંજતું જાયે ફૂલનું ગાણું,
વેરતું જાયે રંગની વાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !

– અમૃત ‘ઘાયલ’

કચ્છ એટલે મૂળે તો રણપ્રદેશ. પાણીની અછતનો પ્રદેશ. પણ જે ભૂમિમાં પાણી ઓછું છે ત્યાંના આદમી પાણીદાર છે. અજાણ્યાને પણ પોતીકો ગણતા કચ્છી માંડુની અસલી તાસીર કવિએ કલમના લસરકે દોરી આપી છે. આ ગીતની અડખે-પડખે આપને આ ગીત “કચ્છડો તો બારેમાસ” માણવું પણ ગમશે.

Comments (5)

હું – કરસનદાસ લુહાર

સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું !
અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું !

છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું;
મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું !

કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે-
ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું !

મને મારા મહીંથી પણ જે ભૂંસી નાખવા માટે-
મથ્યા છે એની આંખોમાં હજુયે ચીતર્યો છું હું !

સદાયે જાળવી રાખી છે મેં મારી લીલાશોને;
ગઈ ડાળી સુકાઈ તે છતાંય ક્યાં ખર્યો છું હું ?!

ગગન ઘેરાઈને વરસે ફરીથી શુભ્ર થઈ જાયે;
ડહોળાઈ રડ્યો પાછો, ફરીથી આછર્યો છું હું !

– કરસનદાસ લુહાર

ઘણા વખતે આટલી સરસ રચના જડી !!! પ્રત્યેક શેર જુઓ !!!

Comments (2)

એ સમજની બ્હાર છે – અનિલ ચાવડા

તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે.

ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા!
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે.

સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઈ, એ શમનની બ્હાર છે.

ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય?
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે.

પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે.

– અનિલ ચાવડા

ત્રીજો શેર વાંચતા એક જાણીતી ઉક્તિ યાદ આવી – Old sins cast long shadows…… આખી ગઝલ મનનીય અને મજબૂત છે

Comments (3)

દુષ્કાળ – અબ્દુલકરીમ શેખ

શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,
વરસ્યો’તો ધોધમાર, ફસલ એક કણ નથી !

પેલું કબૂતરુંય હવે તો ન આવતું,
સાચે જ આ ચબૂતરે રોવાય ચણ નથી !

રણ તો હવે ગલી ગલી મહીં ઘૂસી ગયું,
ગોરજ ઊડે છતાંય અહીં કોઈ ધણ નથી !

લાશોને ચાલતી લહું શહેરો મહીં કદી,
કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી !

આવીને કોઈ બેસતું વેરાનમાં એકલ,
હું જોઉં તેની સાથમાં વેરાન પણ નથી !

એવીય હશે વાત જે સમજાય ના કદી,
એવી અગમ્ય વાત છતાં એક પણ નથી.

ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,
શબ્દોના સૂર્યમાં હવે એકે કિરણ નથી !

– અબ્દુલકરીમ શેખ

‘દુષ્કાળ’ શીર્ષક વાંચતાવેંત આપણી નજર સામે વરસાદના લાં….બા અભાવે વેરાન વગડો થઈ ગયેલી જમીનો અને ભૂખે-તરસે ટળવળી ટળવળીને ઢગલો થઈ પથરાતી પશુ-પંખી-મનુષ્યોની લાશો આવી ઊભે. પણ આ કવિતા છે. કવિને અહીં અલગ પ્રકારના દુષ્કાળ જ અભિપ્રેત છે. કાવ્યસર્જનથી શરૂ કરીને, જીવતી લાશોથી ભરેલા આજના શહેર સુધી કવિ દુષ્કાળના જે નાનાવિધ ચિત્રો દોરી આપે છે એ ગુજરાતી ગઝલની એક અભૂતપૂર્વ સુખદ ઘટના છે.

Comments (7)

કીડીએ ખોંખારો ખાધો – અનિલ જોશી

ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને નથીને કાંઇ વાંધો?

માખીએ મધપૂડા છોડી દીધા ને હજી આંખ આડા કાન કરે સંત ?
લીમડા ઉપરથી ઊતરતી કીડીનો ગુંદરના ટીપાંમાં અંત?
ખરી જતાં પાંદડાંને ફરી પાછા ડાળીએ ગુંદરથી જાવ હવે સાંધો.
ક્રાઉં, ક્રાંઉં…

આંબાની ડાળીએ લીંબોળી ઝૂલતી ને લીમડાની ડાળીએ કેરી?
તરસી કીડીને માથે ગાગર ઢોળાય છતાં પંડિતની આંખ હજી બ્હેરી?
કીડીના પડછાયે જંગલ ઢંકાઈ ગયું જાવ હવે તડકાને બાંધો!

ક્રાઉં, ક્રાંઉં કાગડાથી ખીચોખીચ લીમડામાં કીડીએ ખોંખારો ખાધો,
તમને નથીને કાંઇ વાંધો?

– અનિલ જોશી

*

અત્યારે દેશ આખો સહિષ્ણુતા-અસહિષ્ણુતાની ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને ચારેકોર કાગડાઓએ ક્રાઉં ક્રાઉં મચાવ્યું છે એવામાં એકાદી કીડી ખોંખારો ખાવાની હિંમત કરે એની સમાંતરે સંત-પંડિતને juxtapose કરીને કવિતાને કવિએ અનોખી ધાર કાઢી આપી છે.

કવિતાનો મજાનો અંગ્રેજી અનુવાદ પણ અહીં પ્રસ્તુત છે:

*

An ant cleared its throat

An ant cleared its throat in a neem tree swarming with raucous crows
you do not, do you, object to this?

Abandoned have bees their hives – and the saint remains oblivious?
The ant descending from the neem tree – in a drop of gum drowns?
Now, go and stick with gum the falling leaves again to the branches.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?

Neem fruit hanging from mango branches and mangoes dangling from neem’s?
A pot of water thrown on a thirsty ant – and deaf the pundit’s eye still is?
The jungle’s shrouded in the ant’s shadow – go now, tie up the sun’s beams.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?

– English Translation by Pradip N Khandwalla
(અંગ્રેજી ભાષાંતર સૌજન્ય: પોએટ્રીઇન્ડિયા)

Comments (4)

મુઠ્ઠી ગુલાલ – પારૂલ ખખ્ખર

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.

મેં મને સાચવી ઘણાં વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું છું.

આપજે એક રંગમાં ઉત્તર,
સપ્તરંગી સવાલ આપું છું.

તું મને લયની પાર લઇ જાજે,
હું તને સૂર તાલ આપું છું.

હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.

– પારૂલ ખખ્ખર

એક મજાની રંગબિરંગી ગઝલ સાથે સહુ વાચકમિત્રોને ધૂળેટીની ગુલાબી ગુલાલી શુભકામનાઓ…

Comments (7)

લાલ પાલવ – ખલીલ ધનતેજવી

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.

આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.

ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?

પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

– ખલીલ ધનતેજવી

Comments (5)

લાવી છું – દેવિકા ધ્રુવ

સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાતનું આકાશ લાવી છું.

સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.

હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.

પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.

ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું…

– દેવિકા ધ્રુવ

ભાષા અને ભાવની શક્તિનો ભરપૂર અનુભવ કરાવતી આ ગઝલમાં અર્થગાંભીર્યની ગેરહાજરી સહેજે કઠતી નથી. આ ગઝલનું કલેવર જ નોખું છે….મૃદુતા અને મીઠાશથી છલોછલ….

Comments (8)

ઢળાયું નહીં – હર્ષ બ્રહ્મભટ્ટ

સળગતા રહ્યા પણ બળાયું નહીં,
કદી જ્યોત સમ ઝળહળાયું નહીં.

રહ્યો માત્ર મનથી જ મતલબ સદા,
કદી દેહમાં ઓગળાયું નહીં.

મળ્યા’તા કદી કોઈ રસ્તે મગર,
પછી કોઈ રસ્તે મળાયું નહીં.

હતું રાહ જોતું ઊભું એક ઘર,
હતું મન છતાંયે વળાયું નહીં.

ન ઊગ્યો, ન મધ્યાહ્ન મારો તપ્યો,
છતાં સાંજ પડતાં ઢળાયું નહીં

– હર્ષ બ્રહ્મભટ્ટ

સાદ્યંત સુંદર રચના… સરળ, સહજ પણ સબળ !

Comments

સાંવરિયા – વેણીભાઇ પુરોહિત

સાંવરિયા, કાહે હોત નઠોર ?
ઠાકુર, મૈં ઠુમરી હું તેરી
કજરી હૂં ચિતચોર…
સાંવરિયા, કાહે હોત નઠોર ?

સાવન કી બેચૈન બદરિયાં
બરસત ભોલીભાલી :
ગોકુલ કી મૈં કોરી ગ્વાલિન
ભીતર આંખ ભિગા લી :
કરજવા મોર : કરજવા તોર-
સાંવરિયા, કાહે હોત નઠોર ?

નંદકુંવર, મૈં જમુના ભઈ ના
ભઈ ના મધુરી બંસી :
દહી-મક્ખન કી મિઠાસ લે કર
કહાં છિપે યદુવંશી ?
ઇત ઉત ઢૂંઢત નૈન-ચકોર:
સાંવરિયા, કાહે હોત નઠોર ?

આપ હી દાવ લગા કર બેઠી,
જિયરા ભયા જુઆરી :
લગન અગન મેં લેત હિચકિયાં
ગિરધારી…! ગિરધારી…!
બિલખતી રતિયા : ભટકત ભોર
સાંવરિયા, કાહે હોત નઠોર ?

– વેણીભાઈ પુરોહિત

ગુજરાતી કવિ વ્રજભાષામાં ગીત લખે અને એ પણ આવું મધમીઠું ?! એલચીવાળું મીઠું પાન જેમ ધીમે ધીમે મમળાવીએ એમ વધુ સ્વાદ આપે એમ જ આ ગીત હળવી હલકથી વારંવાર ગાવાથી વધુ ને વધુ સ્વર્ગાનંદ આપશે એની ગેરંટી…

Comments (1)

ગઝલ – શ્યામ ઠાકોર

સોગન કાયમ જળના ખાતો,
જળથી તારે શું છે નાતો ?

પાષાણો છે એ શું બોલે ?
જળને પૂછો જળની વાતો.

જળને આ શું થઈ ગ્યું પાછું ?
કાં છે જળનો ચ્હેરો રાતો ?

જળને ડ્હોળી નાંખ્યું કોણે ?
કોણે મારી જળને લાતો ?

જળ તો ભોળું, જળ શું જાણે;
જળને માથે જળની ઘાતો.

– શ્યામ ઠાકોર

મજાની મુસલસલ ગઝલ. કલમ લઈને દોરેલું પાણીનું પાણીદાર ચિત્ર.

Comments (4)

તું કોણ છે? – રાજેન્દ્ર શુકલ

નિત તરંગિત થાઉં ને તું માં શમું તું કોણ છે?
સર્વ ક્ષણને જન્મ હું તુજને ગમું, તું કોણ છે?

પૂર્ણ રૂપે હું પ્રગટ થાઉં, પ્રકાશું પૂર્ણ થઇ,
તવ ક્ષિતિજ પર પૂર્ણ રૂપે આથમું, તું કોણ છે?

કોક વેળા અન્ય રૂપે અન્ય ગ્રહમાં તું શ્વસે,
હું મને તારા સ્મરણમાં નિર્ગમું, તું કોણ છે?

અનવરત આનંદિની ઓ તટ રહિત મંદાકિની,
રમ્યલીલા તું રમે તે હું રમું, તું કોણ છે?

કોણ છે તું વિશ્વરૂપા, તું અકળપથ ચારિણી,
તારી ઇચ્છાથી સતત ભમતો ભમું, તું કોણ છે?

– રાજેન્દ્ર શુકલ

आश्चर्यवत्पश्यति कश्चिदेन-
माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः श्रृणोति
श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्‌ ॥

કોઈ સિદ્ધ પુરુષ જ આ આત્માને આશ્ચર્યની નજરે જુએ છે અને તે જ પ્રકારે અન્ય કોઈ સિદ્ધ જ આત્મતત્વનું આશ્ચર્યની દ્રષ્ટિએ વર્ણન કરે છે, તેમજ કોઈ અધિકારી પુરુષ જ તેને આશ્ચર્ય તરીકે સાંભળે છે અને કોઈ કોઈ તો સાંભળીને પણ આત્મતત્વને નથી જાણી શકતા.

Comments (2)

સહિયર – હિતેન આનંદપરા

હૈયામાં એક મોર પાળ્યો છે મેં
એના ટહુકા સંભળાય તને સહિયર?
કોઈ ચહેરા પર નામ લખી ચાલ્યું ગયું
એને કેમ રે ભૂંસાય.. કહે સહિયર !

મારી વાતોનો લ્હેકો બદલાયો છે સૈ !
જોને શબ્દો નીકળે છે શરમાતા,
બધાં ઝાડ મને ચીડવે છે કેમ રે અલી
આમ લીલી થઈ ગઈ લાલ થાતાં?
વર્તનમાં, નર્તનમાં, ચાલમાં કે આંખમાં
કંઈ જુદું વર્તાય તને સહિયર?

પારેવાં વિસ્મયથી ચણતાં પૂછે
ચણમાં આટલી મીઠાશ ક્યાંથી આવી?
કાલ લગી સુક્કી આ ચામડી પર ઓચિંતી
લથબથ ભીનાશ ક્યાંથી આવી?
કહીએ તો ઘેલાં ના કહીએ તો મીંઢાં
ક્યાં લગ જિવાય કહે સહિયર?

-હિતેન આનંદપરા

મધમીઠું ઊર્મિકાવ્ય….

Comments (3)

સૂરજ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

સૂરજ રમતો ભમતો ઊગ્યો.
ઊગ્યો એવો દરિયો થઈને તેજલ રંગે છલક્યો.
ને વનકન્યાના કેશકલાપે
આવળિયાનું ફૂલ થઈને મલક્યો.
ફૂલ ઉપરથી પવન બનીને છૂટ્યો
તે નવજાતક પંખીની ચાંચે
સૂર બનીને ફૂટ્યો.
વૃક્ષ તણી ડાળીએ બેસી
નીડ બનીને ઝૂલ્યો;
ઘુવડની આંખો શોધીને
અંધકારમાં પોતાનેય ભૂલ્યો !
કોણે એને ઊંચકી ત્યાંથી
કોક કવિની નિશ્ચલ આંખે મૂક્યો
કે નવપરિણીતના શયનાગારે
ચાંદરણું થઈ ઝૂક્યો !

– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

પહેલી નજરમાં અછાંદસ લાગતું આ છંદોબદ્ધ કાવ્ય કટાવ છંદના “ગાગાગાગા”ના આવર્તનોના કારણે પોતીકો લય અને રવાની ધરાવે છે. સૂરજનું પ્રતિક લઈને કવિ દિવસ અને રાત વચ્ચે, કુદરત અને પ્રણયકેલિ વચ્ચે એક મનોરમ્ય ચિત્ર દોરી આપે છે.

Comments (2)

ગઝલ – ઉદયન ઠક્કર

ઢોલ નગારે લોકો ત્રૂઠા
જલતરંગના ભાયગ રૂઠાં

સંતુલન આબાદ સાચવ્યું
કાચાં કાવ્યો, પાકાં પૂઠાં!

આંગળીઓ, એનું એ લખશો ?
પકડાવું તમને અંગૂઠા ?

વનપ્રવેશ કરવો શી રીતે ?
પાંચ બાણ ને પાંચે બૂઠાં

મંદિરો ? કે બાળમંદિરો ?
ગજવે ઘંટ, ભણાવે ઉઠાં!

(ત્રૂઠા= સંતોષ પામ્યા)

-ઉદયન ઠક્કર

કવિ ભલે એમ કહેતા હોય કે પાંચ બાણ ને પાંચે બૂઠાં પણ અહીં પાંચ શેરમાંથી એક પણ શેર બૂઠો થયો નથી. કવિને જો કે વનપ્રવેશના સંદર્ભ સાથે પંચેન્દ્રિય અભિભૂત છે એ સમજી શકાય છે. ઘોંઘાટપ્રેમી જનતા જલતરંગ જેવા સંવેદનશીલ વાદ્યનો આનંદ ઊઠાવી શક્તી નથી એના સંદર્ભે પણ કવિ આપણી બુઠ્ઠી થતી જતી સંવેદના તરફ જ અંગૂલિનિર્દેશ કરી રહ્યા છે. વાહ કવિ !

Comments (3)

ચિંતાનો વિષય છે – હર્ષ બ્રહ્મભટ્ટ

harsh brahmabhatt

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.

“જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ?
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.

દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.

તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં,
છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.

જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે,
જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.

– હર્ષ બ્રહ્મભટ્ટ

પહેલાં ગુજરાત સરકારમાં અગત્યના હોદ્દા પર વરસો સેવા આપનાર અને હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યસ્ત કવિ હર્ષ બ્રહ્મભટ્ટ અત્યાર સુધીમાં આઠ ગુજરાતી અને પાંચ હિંદી-ઉર્દૂ કાવ્યસંગ્રહો આપી ચૂક્યા છે. ‘આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો’તો” સંગ્રહમાંથી આ એક ગઝલ આજે આપ સહુ માટે… પાંચ શેરની આ ગઝલ જાણે પાંચ આંગળીઓ વડે રચાતો એક પંજો છે… એકેય આંગળી કાઢી ન શકાય !!!

 

Comments (4)

કોણ માનશે? – ‘શૂન્ય’ પાલનપુરી

દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?

શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?

લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?

ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?

આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?

જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?

પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)