ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
કલાપી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ

અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સૂરજ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

સૂરજ રમતો ભમતો ઊગ્યો.
ઊગ્યો એવો દરિયો થઈને તેજલ રંગે છલક્યો.
ને વનકન્યાના કેશકલાપે
આવળિયાનું ફૂલ થઈને મલક્યો.
ફૂલ ઉપરથી પવન બનીને છૂટ્યો
તે નવજાતક પંખીની ચાંચે
સૂર બનીને ફૂટ્યો.
વૃક્ષ તણી ડાળીએ બેસી
નીડ બનીને ઝૂલ્યો;
ઘુવડની આંખો શોધીને
અંધકારમાં પોતાનેય ભૂલ્યો !
કોણે એને ઊંચકી ત્યાંથી
કોક કવિની નિશ્ચલ આંખે મૂક્યો
કે નવપરિણીતના શયનાગારે
ચાંદરણું થઈ ઝૂક્યો !

– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

પહેલી નજરમાં અછાંદસ લાગતું આ છંદોબદ્ધ કાવ્ય કટાવ છંદના “ગાગાગાગા”ના આવર્તનોના કારણે પોતીકો લય અને રવાની ધરાવે છે. સૂરજનું પ્રતિક લઈને કવિ દિવસ અને રાત વચ્ચે, કુદરત અને પ્રણયકેલિ વચ્ચે એક મનોરમ્ય ચિત્ર દોરી આપે છે.

Comments (2)

તમે – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

તમે હાથમાં હાથ લીધો. મેં જોયું. મારા હાથમાં બેડી.
તમે હસ્યા. અવાજના ખીલા મારા શરીરમાં ખોડાઈ ગયા.
તમે માથે હાથ મૂક્યો. કાંટાળો તાજ રક્તથી રંગાઈ ગયો.
તમે જતાં જતાં કહેતા ગયા : તું ઈશુ નથી.

તમે હાથ મિલાવ્યો. મારા હાથમાં પારિજાત.
તમે હસ્યા. ધરતી પર વર્ષાનાં છાંટણાં, મારે અંગે રોમાંચ.
તમે માથે હાથ મૂક્યો. આંખ સામે અદભુત દૃશ્યો
ખૂલતાં ને ખૂલતાં ચાલ્યાં.
જતાં જતાં તમે કહેતા ગયા :
હું ઈશુ નથી.

– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

જીવનના બે અંતિમ. એક દુઃખથી છલોછલ અને એક ખુશીથી ઉભરાતો. માથે દુઃખ પડે ત્યારે આપણે આપણાથી વધુ દુઃખી આ સંસારમાં અવર કોઈ નથી એવું જ માની બેસીએ છીએ અને સામાને દુઃખનું કારણ. વળી ખુશ હોઈએ ત્યારે જેના કારણે જીવનમાં ખુશી આવી હોવાનું અનુભવીએ એ આપણને ભગવાન જેવો લાગે છે…

પણ સત્ય તો એ છે કે ન કોઈ વ્યક્તિ, ન કોઈ સંજોગ કે ન કોઈ બનાવ પણ આપણું મન પોતે જ આપણા દુઃખ-સુખનું ખરું કારણ છે…

Comments (3)

કવિતા – એન્તુનિન બાર્તૂશેક – અનુ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

કહો મને-
મને ખેંચીને તળિયે લઈ જતાં
નિદ્રાનાં અર્ધપારદર્શક પાણીથી
જેની રેતી તર થયેલી છે
એવા આ કિનારા પરના
આજના પ્રભાતની સાથે
ગઈકાલનું શું સામ્ય છે !
જ્યાંથી કૂદી શકાય અને શ્વસી શકાય
એવી સપાટી શોધતી
શબ્દોની માછલીઓ
પોતે ઉડવાને શક્તિમાન છે એવો ભ્રમ
ક્ષણાર્ધ માટે સેવીને
મારી પાસેથી મંથરતી તરતી સરકી જાય છે.
ત્વચાની સપાટી નીચે છે અંધકાર
યુગો ત્યાં કટાતા પડ્યા છે.
ઉપર તેજના રજતવરણાં ભીંગડાં-
અર્ધ કુમારી સુંદર, અને અર્ધ અશબ્દ મીન.

 

પ્રત્યેક પંક્તિ પાસે જરા અટકીને તેને સમજવા જેવી છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જુદા છે. કાવ્યસર્જનની પ્રક્રિયા અંગે વાત કરતા કરતા કવિ એક ગહન વાત છેડે છે…. – પ્રથમ પંક્તિ દર્શાવે છે કે કવિ જાણે કે એક કોયડો રજૂ કરે છે-કવિ પોતે જવાબ અંગે સ્પષ્ટ નથી. ‘પ્રભાત’ એટલે સભાનાવસ્થા. નિદ્રા એટલે પ્રભાત પહેલાંની અભાનાવસ્થા.

‘….ગઈકાલનું શું સામ્ય છે ! ‘ -સુધીની પંક્તિઓનો ભાવાર્થ કંઈક આમ બેસે છે- અભાનાવસ્થામાં અજ્ઞાન અસ્તિત્વના તળિયા તરફ જાતને ખેંચે છે. નિદ્રાના અગાધ જળમાંથી કવિ કિનારે આવે છે અને ત્યારે પ્રભાત થાય છે. પરંતુ કિનારાની રેતી પણ એ જ પાણીથી તર થયેલી છે [ કે જે ઊંડું હતું ત્યારે અર્ધપારદર્શક હતું,પરંતુ પાણી એનું એ જ છે. ] અર્થાત, સભાનાવસ્થામાં પણ અભાનાવસ્થાના અંશ રહેલા છે.

‘જ્યાંથી કૂદી શકાય….’ થી શરુ થતી પંક્તિઓમાં કવિ કહે છે કે એક વ્યક્ત શબ્દની આસપાસ અસંખ્ય અવ્યક્ત શબ્દો વીંટળાયેલા હોય છે. છેલ્લી ચાર પંક્તિઓ અદભૂત છે- ત્વચાની સપાટી નીચેનો અંધકાર એટલે અર્ધચેતન અને અચેતન મનસ. ત્યાં અનેક યુગો કટાતા પડ્યા છે-અર્થાત આપણે અસંખ્ય યુગોના વારસાથી જબરદસ્ત conditioned પ્રાણીઓ છીએ,આપણે spontaneous નથી રહ્યા. આપણી reactions માં અનેક યુગોની અસર જોવા મળે છે. મત્સ્યકન્યાને અરધી જોવાથી ભ્રમ પેદા થાય છે-સત્યદર્શન થતું નથી. વ્યક્ત અને અવ્યક્ત બંનેને જયારે જાણીએ ત્યારે જ પૂર્ણ ચિત્રનો રસાસ્વાદ શક્ય બને.
‘અર્ધપારદર્શક’ , ‘ અર્ધ કુમારી સુંદર ‘ , ‘ અર્ધ અશબ્દ મીન ‘ ……. આ શબ્દોથી એક સુંદર સળંગ ધ્વનિ નિષ્પન્ન થાય છે જે સમગ્ર કાવ્યને એકસૂત્રે બાંધે છે.

Comments (3)

ચાલો– અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ

ચાલો,
આષાઢનાં વાદળો તીડનાં ટોળાં બનીને
ધરતીને ચૂસી ખાય તે પહેલાં,

વિનામોતે મરેલાંની કબરો
હિમાલયનાં શિખરો બની જાય તે પહેલાં,

પ્રેમની વાતોથી
કવિતાના શબ્દોનો રંગ ફટકી જાય તે પહેલાં,

જાળ નાખીને
ચંચલ પાણીમાં સ્થિર ઊભેલો માછીમાર
ભગવાન બની જાય તે પહેલાં,

ચાલો,
ધરતીમાં ઢબૂરાયેલા બીજને
આપણે મૃત્યુની કથા કહેવાની છે.

અને –

અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ ( કવિ પરિચય )

આ થોડી સમજવામાં અઘરી કવિતા હું જેવી સમજ્યો છું તે સમજાવું –

જન્મથી મૃત્યુ સુધીની દરેક જીવિતની નિયતિને કવિએ અહીં અનેક રૂપકો દ્વારા અભિવ્યક્ત કરી છે. આષાઢ પછી આવતી લીલોતરી તો છે પણ તેની પાછળ આવતાં તીડનાં ટોળાં પણ છે. જીવતાં જ મરેલા હોય તેવા માનવો ય છે, અને દંભી સમાજમાં તે હિમાલય જેવા મોટા પણ બની જતા હોય છે. પ્રેમ તો છે પણ તે સાવ રંગ વિહીન, કવિતાના શબ્દોમાં ફટકી ગયેલો પણ છે. બહુ સ્થિર અને નિર્વિકારી દેખાતો શિકારી, બગભગતની જેમ આ જગમાં પૂજ્ય પણ બની જતો હોય છે.

નવા આવનાર જીવના બીજને આ કથા, જીવનની આ બિભીષણ વિડંબના કહીને કવિ આપણા અર્થો જાતે જ કાઢવા આપણને આહ્ વાન આપે છે .

– ‘અને’ કહીને ….

Comments (8)