ખબર તો પડશે – જઈએ ચાલ સૌ પાસે જખમ લઈને;
ઊભા છે કોણ દુનિયામાં નમક લઈને, મલમ લઈને!
– બરકત વીરાણી ‘બેફામ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for એન્તુનિન બાર્તૂશેક

એન્તુનિન બાર્તૂશેક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કવિતા – એન્તુનિન બાર્તૂશેક – અનુ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

કહો મને-
મને ખેંચીને તળિયે લઈ જતાં
નિદ્રાનાં અર્ધપારદર્શક પાણીથી
જેની રેતી તર થયેલી છે
એવા આ કિનારા પરના
આજના પ્રભાતની સાથે
ગઈકાલનું શું સામ્ય છે !
જ્યાંથી કૂદી શકાય અને શ્વસી શકાય
એવી સપાટી શોધતી
શબ્દોની માછલીઓ
પોતે ઉડવાને શક્તિમાન છે એવો ભ્રમ
ક્ષણાર્ધ માટે સેવીને
મારી પાસેથી મંથરતી તરતી સરકી જાય છે.
ત્વચાની સપાટી નીચે છે અંધકાર
યુગો ત્યાં કટાતા પડ્યા છે.
ઉપર તેજના રજતવરણાં ભીંગડાં-
અર્ધ કુમારી સુંદર, અને અર્ધ અશબ્દ મીન.

 

પ્રત્યેક પંક્તિ પાસે જરા અટકીને તેને સમજવા જેવી છે, વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ જુદા છે. કાવ્યસર્જનની પ્રક્રિયા અંગે વાત કરતા કરતા કવિ એક ગહન વાત છેડે છે…. – પ્રથમ પંક્તિ દર્શાવે છે કે કવિ જાણે કે એક કોયડો રજૂ કરે છે-કવિ પોતે જવાબ અંગે સ્પષ્ટ નથી. ‘પ્રભાત’ એટલે સભાનાવસ્થા. નિદ્રા એટલે પ્રભાત પહેલાંની અભાનાવસ્થા.

‘….ગઈકાલનું શું સામ્ય છે ! ‘ -સુધીની પંક્તિઓનો ભાવાર્થ કંઈક આમ બેસે છે- અભાનાવસ્થામાં અજ્ઞાન અસ્તિત્વના તળિયા તરફ જાતને ખેંચે છે. નિદ્રાના અગાધ જળમાંથી કવિ કિનારે આવે છે અને ત્યારે પ્રભાત થાય છે. પરંતુ કિનારાની રેતી પણ એ જ પાણીથી તર થયેલી છે [ કે જે ઊંડું હતું ત્યારે અર્ધપારદર્શક હતું,પરંતુ પાણી એનું એ જ છે. ] અર્થાત, સભાનાવસ્થામાં પણ અભાનાવસ્થાના અંશ રહેલા છે.

‘જ્યાંથી કૂદી શકાય….’ થી શરુ થતી પંક્તિઓમાં કવિ કહે છે કે એક વ્યક્ત શબ્દની આસપાસ અસંખ્ય અવ્યક્ત શબ્દો વીંટળાયેલા હોય છે. છેલ્લી ચાર પંક્તિઓ અદભૂત છે- ત્વચાની સપાટી નીચેનો અંધકાર એટલે અર્ધચેતન અને અચેતન મનસ. ત્યાં અનેક યુગો કટાતા પડ્યા છે-અર્થાત આપણે અસંખ્ય યુગોના વારસાથી જબરદસ્ત conditioned પ્રાણીઓ છીએ,આપણે spontaneous નથી રહ્યા. આપણી reactions માં અનેક યુગોની અસર જોવા મળે છે. મત્સ્યકન્યાને અરધી જોવાથી ભ્રમ પેદા થાય છે-સત્યદર્શન થતું નથી. વ્યક્ત અને અવ્યક્ત બંનેને જયારે જાણીએ ત્યારે જ પૂર્ણ ચિત્રનો રસાસ્વાદ શક્ય બને.
‘અર્ધપારદર્શક’ , ‘ અર્ધ કુમારી સુંદર ‘ , ‘ અર્ધ અશબ્દ મીન ‘ ……. આ શબ્દોથી એક સુંદર સળંગ ધ્વનિ નિષ્પન્ન થાય છે જે સમગ્ર કાવ્યને એકસૂત્રે બાંધે છે.

Comments (3)