મૂળ વરિયાવનાં પણ હવે સુરતના જ કિરણ ચૌહાણ ગુજરાતી કવિતાની આજ અને આવતી કાલ છે. વિવેચકોએ એકીઅવાજે એમને આવનારી પેઢીના પ્રતિનિધિ કવિ તરીકે વધાવી લીધા છેં. જીવનના અભાવમાંથી કવિપણાના સ્વભાવ સુધીની મજલ કાપનાર કિરણ માર્દવ કંઠ પણ ધરાવે છે. એમના વ્યક્તિત્વની સાલસતા અને ઋજુ મનની પ્રામાણિક્તા જ્યારે કવિ-સંમેલનમાં ગઝલ બનીને ગળામાંથી વહી નીકળે છે ત્યારે શ્રોતાઓએ મંત્રમુગ્ધ થયા વિના બીજું કશું કરવાનું રહેતું નથી. એમની ગઝલમાં છંદની ચીવટાઈ અને અર્થની ઊંડાઈ ભાષાની સરળતા સાથે સુપેરે સરી આવે છે. કિરણના થોડા શે’ર અહીં માણીએ…
(જન્મતારીખ: 07-10-1974, ગઝલસંગ્રહ: સ્મરણોત્સવ, હઝલસંગ્રહ: ફાંફાં ન માર)
ઘણીવાર આ પ્રશ્ન જાગે છે મનમાં,
ખરેખર જીવું છું કે જીવ્યા કરું છું ?
કેમ રિસાયા કરે છે તું ?
મારા પ્રત્યે પ્રેમ છે કે શું ?
રોજનીશી હું લખીને શું કરું ?
જો બધું નોંધાય તારા ચોપડે !
તો હવે તારેય લખવી છે ગઝલ ?!
સાહ્યબી વચ્ચે તડપતા આવડે ?
સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું ?
બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે.
આ મિલનનો અંત તો બસ, આપમેળે આવશે,
સાંજને તેડી જશે આ સૂર્ય રાબેતા મુજબ.
બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.
કહોને; કોઈ કોને ક્યાં સુધી ને કેટલું ચાહે ?
ભલા, ક્યારેક તો બદલાય ને વાતાવરણ મનમાં !
આયનાની એક મર્યાદા અહીં ખુલ્લી પડી,
એક પણ પ્રતિબિંબને એ સાચવી શકતો નથી.
જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા થાય છે.
થોડા ઝઘડા છે છતાં પરવા નથી,
આપણી વચ્ચે મહોબત ક્યાં નથી !
વિશ્વ ના પામી શક્યાનું દુઃખ ન કર,
એ મળી પણ જાત તો તું શું કરત ?
એટલો ઊંચે ગયો હું એટલો ઊંચે ગયો….
કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો.
પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?
વધુ આગળ વાંચો…