વધી વધીને બસ, એક કાન કે ખભો દઈ દે,
વધુ તો હોય શું કરવાનું, બોલો, આપ્તજને?
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્મા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

કાગળ છું – ભગવતીકુમાર શર્મા

વાંચીને હવે તું શું કરશે ? ચૂંથાઈ. ગયેલો કાગળ છું;
વંચાયો હતો ક્યારેક; હવે વિસરાઈ ગયેલો કાગળ છું;

શંકા ન પડે તે માટે હું ચીરાઈ ગયેલો કાગળ છું;
છાતીમાં વસેલો છું તોયે ખોવાઈ ગયેલો કાગળ છું;

ઝાકળની સાથે સ્પર્ધામાં હર રાત ટપકતાં આંસુઓ;
ખુશ્બૂ તો ગઈ ઊડી; હું હવે ચેહરાઈ ગયેલો કાગળ છું;

આ રણની સફર એકલવાયા કરવાનું બહુ કપરું નીવડ્યું;
મૃગજળનો ભરોસો રાખીને ભીંજાઈ ગયેલો કાગળ છું;

અક્ષર તૂટ્યા, શબ્દો રૂઠ્યા, કાના-માતરથી વૈર પડ્યું;
ખૂણે ખૂણેથી ફાટીને વિખરાઈ ગયેલો કાગળ છું;

પારેવાની પાંખેય નહીં; પંખી કેરી ચાંચેય નહીં,
આંસુભીની આંખેય નહીં; ફેંકાઈ ગયેલો કાગળ છું.

કાસદ જેવો કાસદ પણ જો ખૂટલ નીવડે તો શું કરવું ?
ખોટે સરનામે પહોંચીને મૂંઝાઈ ગયેલો કાગળ છું

– ભગવતીકુમાર શર્મા

દરેક શેર એક કહાની છે જાણે…..

Comments (2)

થઈ ગયો છું હું – ભગવતીકુમાર શર્મા

હતો અટૂલો જે, હવે સમસ્ત થઈ ગયો છું હું;
ડૂબી ડૂબીને પશ્ચિમે અનસ્ત થઈ ગયો છું હું.

લખીને કાગળો ખૂટ્યા, કલમનું મુખ ન શ્યામ છે;
આ તૂટુંતુટું શ્વાસ; અસ્તવ્યસ્ત થઈ ગયો છું હું.

મનુષ્યનો પ્રતિનિધિ, પરંતુ સ્વાર્થ તો જુઓ :
અપેક્ષા પોષવા ખુદાપરસ્ત થઈ ગયો છું હું !

તને ય કોડિયું જલાવવાની તક મળી શકે;
છું સૂર્ય તો ય ભરબપોરે અસ્ત થઈ ગયો છું હું !

પતનનું આવું ભાગ્ય કોને સાંપડી શકે અહીં ?
ગગનથી બારે મેઘરૂપે ધ્વસ્ત થઈ ગયો છું હું !

– ભગવતીકુમાર શર્મા

પ્રત્યેક શેર પાણીદાર મોતી….

Comments (2)

મૃગજળની છાલકોથી…- ભગવતીકુમાર શર્મા

પંખી બની ઊડું છું હું રેતીના પટ ઉપર;
કલ્પું છું કે નદી છે : પ્રતિબિમ્બ જોઉં છું.

ઝરણું હો પગ તળે અને કંઠે તરસ ન હો;
એવી પરિસ્થિતિમાંયે ક્યારેક હોઉં છું.

બળબળતી આંખ કેરી જો છલના વધી પડે;
મૃગજળની છાલકોથી હું ચહેરાને ધોઉં છું.

ઝાકળ ને ઝાંઝવાંમાં તફાવત નથી હવે;
કોરી છે આંખો તોય અકારણ હું લ્હોઉં છું.

તારા વિરહમાં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એની મ્હેકની માળાઓ પ્રોઉં છું.

ટહુકાની પેલે પાર જે નિઃશ્વાસ ઓગળ્યો,
એમાં થીજી જઈને હું ચૂપચાપ રોઉં છું.

– ભગવતીકુમાર શર્મા

 

પ્રત્યેક શેર બળકટ….

Comments (4)

એવું કંઈ નથી…. – ભગવતીકુમાર શર્મા

તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી,
જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી.

ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો;
પડછાયો પણ દટાય નહીં, એવું કંઈ નથી.

મૃગજળમાં ઝૂકી ઝૂકીને પ્રતિબિંબ જોઉં છું;
આછી છબી કળાય નહીં, એવું કંઈ નથી.

છબીના કોટ-કિલ્લા રચાયા સડક ઉપ૨;
વાદળથી ઝરમરાય નહીં, એવું કંઈ નથી.

હાથે-પગે છે બેડીઓ, પાટો છે આંખ પર;
તેથી ગઝલ લખાય નહીં, એવું કંઈ નથી.

વીતી ગયેલી ક્ષણ અને છૂટેલું તીર છું;
પાછા વળી શકાય નહીં, એવું કંઈ નથી.

માણસ મરે ને સ્વપ્નાઓ જીવતાં રહે છતાં
કબરો કદી ચણાય નહીં, એવું કંઈ નથી.

– ભગવતીકુમાર શર્મા

અર્થગંભીર ગઝલ….

Comments (3)

ક્યાં ગયો ? – ભગવતીકુમાર શર્મા

ક્યાં ગયો ?

આંસુનાં ઝુમ્મરોનો એ શણગાર ક્યાં ગયો ?
ભરતો હતો હું ઊર્મિનો દરબાર; ક્યાં ગયો ?

આકાર ક્યાં ગયો ને નિરાકાર ક્યાં ગયો ?
માણસને નામે ઈશ્વરી અવતાર ક્યાં ગયો ?

મારા મરણની નોંધ તો એમાં નથી લખી ?
પડછાયો મારો આંચકી અખબાર ક્યાં ગયો ?

ધુમ્મસના રાજહંસનો કલરવ મેં સાંભળ્યો;
પૂછો નહીં કે છોડી હું ઘરબાર ક્યાં ગયો ?

બોલાશ છે, પરંતુ ઉછીનો છે; શું કરું ?
મારો હતો જે પોતીકો સૂનકા૨; ક્યાં ગયો ?

કરતો હતો એ વાત ધુમાડા વિશે સતત;
માણસ હતો એ પોતે ધુંઆધાર; ક્યાં ગયો ?

આ શૂન્યતાનો શાપ સહન શી રીતે કરું ?
તારાં સ્મરણનો જે હતો આધાર ક્યાં ગયો ?

– ભગવતીકુમાર શર્મા

Comments

આ ઘર, ઉંબર ને ફળિયામાં – ભગવતીકુમાર શર્મા

હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં ;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં ;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

આ માઢ,મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસ્ ;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

કંકુ ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં

સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કૉળી ઊઠે;
હું પાંદ-પાંદ વીખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

શ્વાસોના પાંખાળા અશ્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યાં ;
હું જડ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

ગઈકાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

– ભગવતીકુમાર શર્મા

સમગ્ર કવિકર્મ મજબૂત ! કવિના સ્વમુખે આ ગઝલનો પાઠ સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ ગઝલનો મત્લો મનમાં સ્ફૂર્યો એના ચાર-પાંચ વર્ષે તેઓએ આ ગઝલ પૂરી કરેલી ! તેઓને મત્લો એટલો ગમી ગયેલો કે તેઓ ઇચ્છતા હતા કે સમગ્ર ગઝલ બળૂકી બને…

સુરતના ખૂબ જ મજબૂત અને રંગભૂમિને સમર્પિત નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લ મત્લાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ એ જાતે આ જ નામથી એક કરુણરસનું એકાંકી લખ્યું હતું જે ઘણું સફળ થયું હતું…

Comments (3)

વરસાદ ક્યાં હતો ? – ભગવતીકુમાર શર્મા

જ્યારે મળ્યાં’તાં આપણે, વરસાદ ક્યાં હતો ?
તડકો હતો ને તેય પછી યાદ ક્યાં હતો ?

ફૂલો ભરી શક્યાં ન વસંતે મુશાયરો ;
સુરભિત હવામાં દાદનો ઉન્માદ ક્યાં હતો ?

ચારેય ભીંતો શાંત હતી ને અલગ અલગ ;
બારી ને બારણાંઓમાં વિખવાદ ક્યાં હતો ?

જીવનના રસના ઘૂંટડા એમ જ ભર્યાં હતા ;
કડવો કે મીઠો એમાં કશો સ્વાદ ક્યાં હતો ?

પંખી પ્રસારી પાંખ સતત ઊડતાં રહ્યાં ;
ગુંબજ ગગનનો એટલો આઝાદ ક્યાં હતો ?

વધઘટ થતો રહ્યો છે એ સૂરજની સાથ સાથ,
પડછાયો મારો એવો અમર્યાદ ક્યાં હતો ?

– ભગવતીકુમાર શર્મા

વ્યથાસભર ઓબ્ઝર્વેશન્સ…..ત્રીજો શેર – ” ચારેય ભીંતો….” એક ઊંડી સ્તબ્ધતા છોડી જાય છે…

Comments (5)

પડ્યો નહીં – ભગવતીકુમાર શર્મા

આકાશ ઊઘડ્યું છતાં તડકો પડ્યો નહીં;
આંક્યો’તો હેલીએ છતાં નકશો પડ્યો નહીં.

થંભી સિસોટી, બૂમ ડૂબી, દર્શકો ગયાં;
નાટકનાં મંચ પર છતાં પરદો પડ્યો નહીં.

ફૂંકી ફૂંકીને ભૂંગળી આંસુ બની ગઈ;
ચૂલાના ધૂમ્રપુંજથી તણખો પડ્યો નહીં,

નાકામિયાબી ક્યાં હતી ? ઇચ્છા પરમ હતી,
મારા અવાજનો કશે પડઘો પડ્યો નહીં.

સંતોષનો પુરાવો બીજો શો મળી શકે ?
હિસ્સો મળ્યો જે શ્વાસનો ઓછો પડ્યો નહીં.

જોગાનુજોગ હોય છે, સંબંધ કંઈ નથી,
તૂટ્યું હૃદય ને નભથી સિતારો પડ્યો નહીં.

રાતે વહ્યાં જે આંસુ સવારે ઊડી ગયાં;
ઝાકળનો ફૂલ પર કોઈ છાંયો પડ્યો નહીં.

લંબાવી હાથ કોઈએ ઝીલી લીધો હશે;
ઊછળ્યો હતો તે ભોંય પર સિક્કો પડ્યો નહીં.

– ભગવતીકુમાર શર્મા

જોગાનુજોગ હોય છે, સંબંધ કંઈ નથી,……નકરું સત્ય…..

Comments (2)

(હરિવર ઊતરી આવ્યા નભથી) – ભગવતીકુમાર શર્મા

હરિવર ઊતરી આવ્યા નભથી ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

ફૂંક હરિએ હળવી મારી, ગાયબ બળબળ લૂ
શ્વાસ હરિના પ્રસર્યાં માટી સ્વયં બની ખુશબૂ

ખોંખારો હરિએ ખાધો ને વાદળ ગરજ્યાં ઘોર
સ્હેજ વાંસળી હોઠ અડાડી, ટહૂક્યાં મનભર મોર

ત્રિભુવનમોહન નેત્રપલક ને ઝળળ વીજ ચમકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

વાદળમાં ઘોળાયો હરિનો રંગ સભર ઘનશ્યામ
હરિ પગલે આ ગલી બની શ્રાવણનું ગોકુળગામ

પ્રેમ અમલ રસ હરિને હૈયે તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે નભને નેણથી વહેતાં આંસુ

મેઘધનુષમાં મોરપિચ્છના સર્વ રંગ સાકાર
જળ વરસ્યું ને થયો હરિનો સીધો સાક્ષાત્કાર

– ભગવતીકુમાર શર્મા

ચોમાસુ સુવાંગ ખીલ્યું છે એવામાં ભગવતીકુમારનો આ મેઘમલ્હાર યાદ ન આવે તો જ નવાઈ. હરિ અને હરિપ્રસાદી સમો મેઘ અને સચરાચર સૃષ્ટિની ત્રિવેણીની આસપાસ કવિએ ગીતની મજાની ગૂંથણી કરી છે. આકાશથી વરસાદ નથી વરસતો, જાણે સાક્ષાત્ ઈશ્વર મેઘમલ્હાર ગાતા ગાતા ઊતરી આવ્યા છે, પરિણામે વરસાદના છાંટાનો સ્પર્શ પોતે જ હરિનો સાક્ષાત્કાર બની રહે છે. ચોમાસુ વાયરા જાણે હરિએ મારેલી ફૂંક છે, જે બળબળતી લૂને દૂર ઊડાડી જાય છે. ભીની માટીની ગંધ જાણે હરિના શ્વાસ જ જોઈ લ્યો! આખું ગીત આ જ રીતે હળવે હળવેથી ખોલીને માણવા જેવું છે… ચોમાસાની નાનામાં નાની પ્રાકૃતિક બીનાને કવિએ કેવી બખૂબી ઈશ્વર સાથે સાંકળી લીધી છે એ ચમત્કાર પોતે કાવ્યવૃષ્ટિમાં સરાબોળ ભીંજાવા જેવો છે…

Comments (6)

ચર્ચા કર્યા વગર – ભગવતીકુમાર શર્મા

તું જે કહે કબૂલ છે ચર્ચા કર્યા વગર;
ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર,

ટિપ્પણ કર્યા વગર અને ટીકા કર્યા વગર;
જીવી શકું તો જીવવું હો-હા કર્યા વગર,

ઇચ્છા છે એટલી કે હું ઇચ્છા નહીં કરું;
શી રીતે રહી શકાય છે ઇચ્છા કર્યા વગર,

સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી;
ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર.

સરનામું મારું કોઈએ ચીંધ્યું નહીં મને;
મેં પણ ગલી વટાવી’તી પૃચ્છા કર્યા વગર.

એમાં તે શી મજા કે સમયસર તમે મળો?
મળવું ગમે જ કેમ પ્રતીક્ષા કર્યા વગર?

અધવચ્ચે શ્વાસ અટકે તો આશ્ચર્ય કંઈ નથી;
છોડ્યાં ઘણાં યે કામ મેં પૂરાં કર્યા વગર.

– ભગવતીકુમાર શર્મા

Comments (2)

નિર્વિકલ્પ – ભગવતીકુમાર શર્મા

ઘણા વિકલ્પ છે, છતાં નિતાન્ત નિર્વિકલ્પ છું;
અસંખ્ય અંક છે, પરંતુ આખરે હું શૂન્ય છું.

પ્રતીતિ કેમ હું કરું કે સત્ય છું, અસત્ય છું?
હું મેદનીનો અંશ છું કે એક ને અનન્ય છું?

મને ન શોધજો તમે કો ગ્રંથના મહાર્ણવે; [ મહાર્ણવ = મહાસાગર ]
હું કોઈના હૃદય વિશે વસેલું રમ્ય કાવ્ય છું.

મને ગણીને ક્ષીણ તો ય અવગણો નહીં તમે.
ભલે હું જળની મંદ ધાર કિન્તુ હું અજસ્ર છું. [ અજસ્ર = સતત ]

મને સદૈવ પ્રેરતી રહી છે શબ્દ-ખેવના;
પરંતુ મૂળમાંથી હું અવ્યક્ત છું, અજન્મ છું.

– ભગવતીકુમાર શર્મા

આખી ગઝલ ‘મને’ અને ‘હું’ -કેન્દ્રી છે. અસલમાં કવિ ‘હું’ ને શું જોવા ઈચ્છે છે તેની કથની છે. એમ કહી શકાય કે “મારી કલ્પનાનું ‘હું’ ” વિષય ઉપરના કવિના વિચારોની માળા છે…..ક્યાંક કવિને સ્પષ્ટતા નથી અને પ્રશ્ન છે, ક્યાંક સ્પષ્ટતા છે, ક્યાંક આકાંક્ષા છે…..

Comments (3)

છતાં ગામ આવ્યું નહીં – ભગવતીકુમાર શર્મા

જન્મ-ક્ષણથી હું ચાલ્યા કરું છું છતાં ગામ આવ્યું નહીં;
ડગ તો સાચા જ માર્ગે ભરું છું છતાં ગામ આવ્યું નહીં.

ગામ-ભાગોળના ઝાંખા દીવાના અણસાર વર્તાય છે;
આંખ પર નેજવું હું ધરું છું છતાં ગામ આવ્યું નહીં.

ચિરપરિચિત પડોશી, સ્વજન સર્વનાં નામ સંભારીને;
મોટે સાદેથી હું ઉચ્ચરું છું છતાં ગામ આવ્યું નહીં.

વાવ, કૂવા, સરોવર, નદી સર્વ સુક્કાં અને ખાલીખમ;
મારા પડઘાઓ એમાં ભરું છું છતાં ગામ આવ્યું નહીં.

ઘરના વાડામાં રોપ્યું’તું જે ઝાડવું એની લીલાશ ક્યાં?
પીંછાં શો હું ટપોટપ ખરું છું, છતાં ગામ આવ્યું નહીં.

હું વિખૂટો છું મારા વતન-ગામથી જન્મજન્માંતરે;
મૂળથી તૂટીને થરથરું છું છતાં ગામ આવ્યું નહીં.

– ભગવતીકુમાર શર્મા

સહેલું નથી. આદિ શંકરાચાર્યએ કહ્યું છે – ” કોટિ એ એકને બ્રહ્મજિજ્ઞાસા જાગૃત થાય. જેની જિજ્ઞાસા જાગે એવા કોટિ માંથી એક બ્રહ્મને પામે ”

ગામ આવવું સહેલું નથી.

Comments (1)

રહ્યો નહીં – ભગવતીકુમાર શર્મા

કર્યો’તો ઉમ્રભર એ ઇન્તજાર પણ રહ્યો નહીં;
તું આવશે કદીક એ વિચાર પણ રહ્યો નહીં.

પ્રતીક્ષા વાંઝણી તો વાંઝણી યે આથમી ગઈ;
ઝરૂખા ઉમ્બરાનો આવકાર પણ રહ્યો નહીં.

જુદા જ કો’ વિકલ્પને કિનારે આવી લાંગર્યો,
સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં.

અચેત સૂર્ય વ્યોમમાં છે સ્તબ્ધ મ્લાન ને સ્થગિત;
ચઢાવ ખોટકાયો ને ઉતાર પણ રહ્યો નહીં.

છુપાવી જેની આડશે શકું હું મારા અશ્રુઓ,
સદાના ભેરુ જેવો અંધકાર પણ રહ્યો નહીં.

– ભગવતીકુમાર શર્મા

સ્વીકાર જ્યાં હતો નહીં, નકાર પણ રહ્યો નહીં……… – અદ્દભૂત !!

ગાલિબ યાદ આવી જાય –

आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती

નકરી શૂન્યતા-સ્તબ્ધતા !!

Comments (5)

છોડવું નથી….– ભગવતીકુમાર શર્મા

આખું ભલે હો ગામ અભણ છોડવું નથી,
શબ્દો વહેંચવાનું વલણ છોડવું નથી.

રેતીનું ભીનું ભીનું કળણ છોડવું નથી,
મૃગજળના ડરથી મારે આ રણ છોડવું નથી.

છેલ્લી ઘડીનું મારે નથી છોડવું શરણ,
આવ્યું છે હોંશથી તો મરણ છોડવું નથી.

કોને ખબર કે ક્યારે ફરી સૂર્ય ઉગશે?
સંધ્યાનું છેલ્લું ઝાંખું કિરણ છોડવું નથી.

તૃષ્ણા, મિલન-વિરહની હવે ક્યાં કશી રહી?
હા, અંત લગ આ નામ શરણ છોડવું નથી.

– ભગવતીકુમાર શર્મા

Comments (2)

દીવો થયો નહીં – ભગવતીકુમાર શર્મા

ફેલાઈ ગઈ’તી રાત, પણ દીવો થયો નહીં,
મેં આદરી’તી વાત, પણ દીવો થયો નહીં.

નભ-માંડવેથી કોઈ સમેટી રહ્યું હતું,
તારાઓની બિછાત, પણ દીવો થયો નહીં.

વેળા થઈતી મંગળા દેવારતીની લ્યો !
મ્હોર્યું’તું પારિજાત, પણ દીવો થયો નહીં.

અજવાળું વાટ જોતું હતું ઘરની આડશે,
ધાર્યું કરી શકાત, પણ દીવો થયો નહીં.

મનમાં તો ભાવ, શબ્દ અને લયનો હણહણાટ,
નક્કી ગઝ્લ લખાત, પણ દીવો થયો નહીં.

–ભગવતીકુમાર શર્મા

ઈશ્વરે તો સઘળું દીધું, મારામાં પાત્રતા નો’તી…..

Comments (6)

રોકાઈ ગયો છું – ભગવતીકુમાર શર્મા

આવ્યો’તો જરા માટે ને રોકાઈ ગયો છું;
દુનિયા, તારા મેળામાં હું ખોવાઈ ગયો છું.

ફૂલોને હું અડકયો ને ઉઝરડાઈ ગયો છું;
કાંટાઓના સંગાથથી ટેવાઈ ગયો છું.

ભીની ભીની નજરે તમે મારા ભણી જોયું;
વરસાદ નથી તોય હું ભીંજાઈ ગયો છું.

શોધો ન મને કોઈ નદી-તટની સમીપે;
મૃગજળના અરીસામાં હું પકડાઈ ગયો છું.

અંધારખૂણા, થાંભલા, દીવાલ ને છપ્પો!
શૈશવને કહો, કયાંય હું સંતાઈ ગયો છું!

અપરાધ હો તો એ જ કે ખુશ્બૂ મેં ઉછાળી;
ચોરે ને ચૌટે, ગલીઓમાં ચર્ચાઈ ગયો છું!

-ભગવતીકુમાર શર્મા

પાંચમો શેર ગઝલમાં આગંતુક લાગે છે. બાકીના બધા મજબૂત છે.

Comments (1)

તમે પરમ કો તત્વ…– ભગવતીકુમાર શર્મા

તમે પરમ કો તત્વ
અને હું ઝાંખુંપાંખું તેજ;
તમે સૂર્ય,
હું પરોઢનો આથમતો છેલ્લો તારક,
તોય તમારું કિરણ હું પામું સહેજ..

– ભગવતીકુમાર શર્મા

કૃતજ્ઞતા……

Comments (1)

આ પા મેવાડ….. – ભગવતીકુમાર શર્મા

આ પા મેવાડ, અને ઓલી પા દ્વારિકા,
વચ્ચે સૂનકાર નામ મીરાં
રણકી રણકીને કરે ખાલીપો વેગળો,
હરિના તે નામના મંજિરા
બાજે રણકાર નામ મીરાં…

મહેલ્યુંમાં વૈભવના ચમ્મર ઢોળાઇ
ઉડે રણમાં તે રેતીની આગ
મીરાંના તંબુરના સૂરે સૂરેથી વહે
ગેરૂવા તે રંગનો વૈરાગ

ભગવું તે ઓઢણું ઓઢ્યું મીરાએ
કીધા જરકશી ચૂંદડીના લીરા
સાચો શણગાર નામ મીરાં…

રણને ત્યજીને એક નિસરે રે શગ
એને દરિયે સમાવાના કોડ
રાણાએ વિષનો પ્યાલો ભેજ્યો
એણે સમરી લીધા શ્રી રણછોડ
જળહળમાં ઝળહળનો એવો સમાસ
જાણે કુંદનની વીટીંમા હીરા
જીવતો ધબકાર નામ મીરાં…

– ભગવતીકુમાર શર્મા

 

ઘણા વખતે આ ગીત ફરી વાંચ્યું, મન તરબતર થઇ જાય કાયમ. પરંપરાગત વિષય તેમ જ બાંધણી પણ જૂનવાણી પરંતુ ગીતમાં એક અજબ ઊંડાણ છે…સમજાવવું અઘરું છે-અનુભવવું પડે…..

 

 

Comments (1)

જીવવું પડ્યું – ભગવતીકુમાર શર્મા.

ઇચ્છાનું રૂંધી રૂંધી ગળું જીવવું પડ્યું;
તેથી જ એમ લાગ્યું: ઘણું જીવવું પડ્યું!

કોઈ જ ક્યાં બહાનું હતું? જીવવું પડ્યું;
વળગ્યું’તું શ્વાસ જેવું કશું; જીવવું પડ્યું!

સ્વપ્નો નિહાળવાની પ્રથા આથમી ગઈ,
આંખે ખટકતું રાખી કણું જીવવું પડ્યું.

એકાદ બે પળો જ મળી જીવવા સમી,
બાકી તો વ્યર્થ લાખ ગણું જીવવું પડ્યું.

પથ્થર ગણો કે ફૂલ, છતાં બોજ તો હતો,
કાંધે ઊપાડી ખુદનું મડું જીવવું પડ્યું.

અગ્નિ ચિતાનો એને વળી શું પ્રજાળશે?
આમે ય જીવવું’તું, બળ્યું! જીવવું પડ્યું!

– ભગવતીકુમાર શર્મા

 

આપણામાંથી મોટા ભાગના લોકો જીવન મળ્યું છે માટે જીવ્યે રાખે છે. શું કરવાનું છે, ક્યાં જવાનું છે એની ગતાગમ વિના જ લોકો શ્વાસની ગાડી હંકાર્યે રાખે છે. ઇચ્છાનું ગળું ટૂંપીને જ્યારે જીવવું પડે છે ત્યારે જીવન કેમે કરી પૂરું જ ન થતું અનુભવાય છે. સાર્થક પળો તો આંગળીના વેઢે ગણી શકાય એવી માંડ બે-ચાર જ હોય છે, બાકીની પળો તો પોતાની લાશ પોતાના ખભે વેંઢારવા જેવી કઠિન અને બોજલ જ હોય છે…

Comments (3)

જઈશ…..– ભગવતીકુમાર શર્મા

તમે પ્રસારી લીધો હાથ તો અપાઈ જઈશ,
વચન બનીશ તો નાછૂટકે પળાઈ જઈશ.

હરેક છત્રીમાં વાદળ શો અંધરાઈ જઈશ,
હરેક ચશ્માંને વીંધીને ઝરમરાઈ જઈશ.

આ છાંયડાના કસુંબાઓ ઘટઘટાવી લ્યો !
નગરનું વૃક્ષ છું, કોઈ પણ ક્ષણે વઢાઈ જઈશ.

નથી હું સૂર કે રૂંધી શકો તમે મુજને,
હું બૂમ છું ને કોઈ કંઠથી પડાઈ જઈશ.

હવે તો વેલને ફૂલોનો બોજ લાગે છે,
હું મારા શ્વાસની દીવાલથી દબાઈ જઈશ.

કોઈ તો સ્પર્શો ટકોરાના આગિયાથી મને,
કે જિર્ણ દ્વારની સાંકળ છું હું, કટાઈ જઈશ.

પછી ભૂંસાઈ જશે મારી સર્વ અંગતતા,
ગઝલરૂપે હું રચાયો છું તો ગવાઈ જઈશ.

– ભગવતીકુમાર શર્મા

Comments

બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં…

કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા;
એક મંજીરે સૂરજ ઝળહળ
બીજે અમિયલ ચન્દા.

શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા…

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.

હરિના જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં…
મારે રુદિયે બે મંજીરાં.

– ભગવતીકુમાર શર્મા
(૨૪-૦૮-૧૯૮૭)

કૃષ્ણભક્તિની ચરમસીમાનું ખૂબ જાણીતું અને સ્વરબદ્ધ થયેલું ગીત… વાત કૃષ્ણભક્તિની છે પણ ભક્તિની પરાકાષ્ઠા એ છે કે કવિ પોતાની અંદર કૃષ્ણના બે ‘ઓલ ટાઇમ ગ્રેટેસ્ટ’ ભક્તોના સહવાસનું સંગીત બજતું અનુભવે છે. કવિના આત્મામાં બે મંજીરાં છે, એક જૂનાગઢના નરસિંહ મહેતા અને બીજી મેવાડની મીરાંબાઈ… રાસ જોવામાં તલ્લીન નરસિંહને ક્યારે મશાલ આખી સળગીને ખતમ થઈ જાય છે અને પોતાનો જ હાથ મશાલના સ્થાને સળગવા માંડે છે એનુંય ભાન રહેતું નથી અને બીજા પક્ષે મીરાંબાઈ ઝેરનો પ્યાલો અમૃત ગણીને પી જાય છે અને સમૂચી અંતઃકરણશુદ્ધિ પામે છે… કૃષ્ણભક્તિમાં કવિ આ બેવડી સમાધિ પ્રાપ્ત કરે છે…

Comments (2)

શૈયા – ભગવતીકુમાર શર્મા

પ્હેલાં હતી નિકટતા મગફાડ જેવી;
આશ્લેષ બીચ નવ વાયુય શ્વાસ લેતો.
શૈયા તણા ઉભય રિક્ત રહંત છેડા;
મધ્યે અદ્વૈત અનુરાગથી બદ્ધ પૂર્ણ.

થોડી તિરાડ પડી કૂમળી પાનીઓથી;
બે છોડ બીચ મૃદુ ફૂલ ખીલ્યું સુનેરી;
વાયુલહેર વહી આવી તિરાડ વાટે;
નૈકટ્ય સ્નિગ્ધ શયનેય બળોતિયાથી.

પાની મૃદુ કઠણ થૈ પછી કાળસ્પર્શે;
ભાંખોડતી પગલી ઉંબર ગૈ વળોટી.
મધ્યે વસેલ અવકાશ ખસી ગયો ને
છેડા ફરી શયનના મળવા અધીર.

કિન્તુ પડાવ કરી ચોરપગે પ્રગાઢ
હાંફી રહ્યો સમય આપણી મધ્ય પીળો!

– ભગવતીકુમાર શર્મા

વચ્ચે હવા પણ પગપેસારો ન કરી શકે એવી મગફાડ જીવી ચસોચસ નિકટતામાં પથારીની વચ્ચે આલિઅંગનબદ્ધ રહેતા નવદંપતીની પથારીના બન્ને છેડાઓ કાયમ ખાલી જ રહેતા હતા. પણ બાળકનો પ્રવેશ થયો અને વચ્ચે એક તિરાડ પડી. બંને છોડ તોય સોનેરી ફૂલના ખીલવાથી ખુશ હતા. બાળક મોટું થઈને ઘરનો ઉંબરો વટાવી જઈ પોતાની દુનિયામાં સ્થિર થઈ ગયો. પથારીના બે અલગ થઈ ગયેલ છેડાઓને ફરી એક થવા માટે અવકાશ સાંપડ્યો પણ ચોરપગે આટલીવારમાં વૃદ્ધત્વ વચ્ચે ઘર કરી ગયું છે એ વાસ્તવિક્તા કવિ જે હળવાશથી રજૂ કરે છે એ અનુભૂતિને બળવત્તર બનાવે છે…

Comments (2)

માધવનું નામ… – ભગવતીકુમાર શર્મા

વીજળીના ચમકારે છાતીના છૂંદણામાં રાધાએ જોઈ લીધું માધવનું નામ…
બાથમાં સમાવી લેવા રાધાને રોમરોમ હેઠું ઝૂક્યું આ સ્હેજ આભ ઘનશ્યામ…

મોરલીમાં સાંભળ્યાનાં સ્ત્રોવર લહેરાય
જેમ અમરાઈ કોયલને ટહુકે;
સ્પર્શી સ્પર્શીને પવન પૂછે છે રાધાને,
‘તારી સુગંધ સ્હેજ લઉં કે?’
ઝૂક્યા કદંબની ડાળીએ ડાળીએ વાદળનાં ગીત મળ્યાં ટોળે અભિરામ…

કોરાં હતાં તે ફૂલી ફાળકો થયાં
ને ઝીણી ઝરમરમાં બાર મેઘ છાયા;
કોરી તે કેમ રહે રાધા કે કાળજડે
ગોવર્ધનધારી સમાયા.
ગોરી રાધાને અંગ અંધારી રાતડીએ છૂંદણાંમાં ઝૂમતું ગોકુળિયું ગામ…

– ભગવતીકુમાર શર્મા
(૧૨-૦૬-૧૯૭૦)

આવું અદભુત ગીત આજ સુધી લયસ્તરો કે ઇન્ટરનેટ પર ક્યાંય આવ્યું જ નહીં?!

Comments (3)

નામ સૂરત – ભગવતીકુમાર શર્મા

આમ તો છે એક ભીના ભીના સ્થળનું નામ સૂરત ;
આંખ છે તાપી નદી ને એના જળનું નામ સૂરત.

જન્મથી, સદીઓથી મારાં અન્નજળનું નામ સૂરત;
મારા લોહીમાં ભળેલી એક પળનું નામ સૂરત.

આવ, ખેડી નાખ મારી છાતીનાં ડાંગરવનોને;
એક અણિયાળા છતાં મહેક્ન્ત હળનું નામ સૂરત.

વ્રજ વાહલું છે મને, વૈકુંઠમાં શું દોડી આવું?
રાધિકા શો હું ભ્રમર છું, મુજ કમળનું નામ સૂરત.

પાઘ રાતી, પાસ પુસ્તક, તર્જની લમણે ધરેલી ;
લાગણી નામે મુલકના ક્ષેત્રફળનું નામ સૂરત.

-ભગવતીકુમાર શર્મા

આજે ક્રિસમસના દિવસે આજેબાજુ આખું ન્યુયોર્ક ઝળહળ ચમકી રહ્યું છે. આ રંગો અને રોશની જોવાને દૂર દૂરથી લોકો અહીં ઉમટે છે. આ બધી ઝાક્ઝમાળની વચ્ચે અમારા જેવા બેવતન લોકોને પોતાનું શહેર યાદ આવે છે. સુરતમાં જન્મીને, સુરતમાં જ છેલ્લા શ્વાસ સુધી જીવવાના સદભાગી ભગવતીકુમાર શર્માનો સુરતના નામે આ લવ-લેટર છે. ભગવતીકુમાર સુરતને માશૂકાની જેમ કેવા લાડ લડાવે છે એ જુઓ. અમારા જેવા NRS (એટલે કે નોન-રેસિડન્ટ સુરતી) લોકો માટે તો આ નકરો નશો છે!

Comments (4)

શ્રીભગવતી-સ્મરણ: ૦૫ : મૃત્યુને પ્રણામ

(પૃથ્વી)

મને જ હતી જાણ ક્યાં મુજ પતાળ શા અંતરે
અગાધ, તટહીન કો’ જલધિ જેટલો પ્રેમ છે
નિતાન્ત ખડકાયલો, ગુપત જાહ્નવીના રૂપે
હતી ફકત તું જ તું સુભગ મધ્યબિંદુ સમી?!

સુદીર્ઘ સહજીવને સરજી દીધી’તી શુષ્કતા;
બધું નીરસ લાગતું સઘન સંનિધિ કારણે;
યથાસ્થિતિ હતી બહુ, ખૂટતી લાગતી હૂંફ યે;
હતી સફર ચાલતી અલગ રેલ-પાટા સમી.

કરાલ કર ત્રાટક્યો મરણનો અરે! તું પરે
અને બધુંય મૂળથી હચમચી ઊઠ્યું સામટું;
ગયું પડ ચિરાઈ ને ધસમસી રહી જાહ્નવી
અદમ્ય હૃદયોર્મિથી સકળ આર્દ્ર ને પ્રાંજલ!

પ્રણામ શત મૃત્યુ હે! ઋણસ્વીકાર તારો કરું;
મને પ્રબળ પ્રેમની પ્રતીતિ પ્રાપ્ત તારા થકી!

– ભગવતીકુમાર શર્મા

દીર્ઘદામ્પત્યજીવનના અંતે પત્ની જ્યારે જીવનસફરમાં અધવચ્ચે એકલા મૂકીને ચાલ્યા ગયા ત્યારે કવિએ દામ્પત્યજીવનની ખટમીઠી યાદો, મૃત્યુ અને મૃત્યુએ સર્જેલા શૂન્યાવકાશ વિશે સૉનેટ લખવા આદર્યા અને એક આખો સરસ મજાનો સૉનેટસંગ્રહ આપણને આપ્યો. આ સૉનેટ પણ એમાનું જ એક છે.

સાથે રહેતાં હોઈએ ત્યારે હૈયામાં બીજા પાત્ર માટે કેટલો પ્રેમ છે એનો ખ્યાલ જ આવતો નથી. ગંગા જે રીતે ગુપ્ત હતી એમ જ એ પ્રેમ આપણાથી ગુપ્ત રહે છે. લાંબા સહવાસના કારણે બધું શુષ્ક અને નીરસ લાગવા માંડે છે અને પરસ્પર માટેની હૂંફમાં પણ ઓટ આવી અનુભવાય છે. સાથે તોય અલગ એવી રેલવેના પાટાની જેમ સફર ચાલ્યા કરતી હોય એવામાં મૃત્યુનો ઘાતકી હાથ ત્રાટકે અને જોડી ખંડિત થાય એ ઘડીએ જ પેલી ગુપ્ત રહેલી ગંગા પૂરજોશથી પ્રગટ થાય છે અને પ્રિયજન માટે ભીતર અગાધ, તટહીન સાગર જેવો પ્રેમ હતો એ વાતનો અહેસાસ થાય છે. પોતાને આવો અહેસાસ કરાવવા માટે કવિ મૃત્યુને પ્રણામ કરે છે અને એનો ઋણસ્વીકાર કરે છે… સૉનેટને એક નવી જ ઊંચાઈ પ્રાપ્ત થાય છે.

Comments (5)

શ્રીભગવતી-સ્મરણ: ૦૪ : હરિ, સુપણે મત આવો!

હરિ, સુપણે મત આવો!
મોઢામોઢ મળો તો મળવું,
મિથ્યા મૃગજળમાંહ્ય પલળવું,
આ બદરાથીતે બદરા તક
ચાતકનો ચકરાવો…

પરોઢનું પણ સુપણું, એનો કબ લગ હો વિશ્વાસ?
મોહક હોય ભલે, ફોગટ છે ચીતરેલો મધુમાસ.

મુંને બ્રજ કી બાટ બતાવો…
હરિ, સુપણે મત આવો!…

સુપણામાં સો ભવનું સુખ ને સમ્મુખની એક ક્ષણ,
નવલખ તારા ભલે ગગનમાં, ચન્દ્રનું એક કિરણ.

કાં આવો, કાં તેડાવો!
હરિ, સુપણે મત આવો!…

– ભગવતીકુમાર શર્મા

ભગવતીકુમાર શર્માની કલમ ગદ્યથી લઈને પદ્ય સુધીના સાહિત્યના લગભગ તમામ પ્રકારોમાં એકસમાન ચાલી છે. પ્રસ્તુત હરિગીતમાં હરિને સપનાંમાં આવવાની ના કહીને જે રીતે એ સાક્ષાત્ ઈશ્વરને ભીડાવે છે એની મજા છે…

Comments

શ્રીભગવતી-સ્મરણ: ૦3 : પારિજાતનું ઝાડ…

હરિ તમે પારિજાતનું ઝાડ……
રહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડ….હરિ.

શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;
સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.

તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડ……હરિ.

ઓરસિયા પર બની સુખડ હું ઘસું કેસરી દાંડી;
ચંદન તિલક કરું તમને: મેં હોડ હોંશથી માંડી.

તમે મ્હેક થઈ કર્યો ટકોરો; ઊઘડ્યાં હૃદય-કમાડ.

હરિ તમે પારિજાતનું ઝાડ………..

-ભગવતીકુમાર શર્મા

અત્યારે કવિ કનૈયાને શણગારતા હશે……..સાક્ષાત….

Comments (3)

શ્રીભગવતી-સ્મરણ: ૦૨ : હું ચાલ્યો જઈશ…

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર : મારે શો ફરક પડશે?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

સ્મરણ એકેય રહેવા નહિ દઉં હું ઘરની ભીંતો પર;
છબીઓ સર્વ ફોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

મને ઘોડેસવારીનો અનુભવ તો નથી કિન્તુ,
સખત ચાબુક સબોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કથા પૂરી થવા આવી તો તેના અંતની સાથે,
તમારું નામ જોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

નદીકાંઠો, સ્વજનની હાજરી, સૂર્યાસ્તની વેળા,
ચિતામાં યાદ ખોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

– ભગવતીકુમાર શર્મા

લાંબા સમયથી નાદુરસ્ત તબિયતના શિકાર શ્રી ભગવતીકુમાર શર્માનો ક્ષરદેહ ગઈકાલે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો… એમની પ્રસ્તુત ગઝલના ત્રણ શેર લયસ્તરો સહિત ઇન્ટરનેટ પર સતત ફરતા જોવા મળી રહ્યા છે પણ આખી ગઝલ આજે અહીં પહેલીવાર રજૂ કરીએ છીએ…

કવિએ જાણે પોતાની વિદાય માટે જ લખી હોય એવી આ ગઝલ વાંચતાં આંખ ભીની થયાં વિના નહીં રહે…

Comments (2)

શ્રીભગવતી-સ્મરણ: ૦૧ : હવે પહેલો વરસાદ અને…

હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મઘમઘતો સાદ,
એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તે ય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહુકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

કોઈ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઈ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

સુરતના ગૌરવ સમાન કવિ હવે અનહદની યાત્રાએ નીકળી ગયા…..અજાણી દુનિયામાં શબ્દ-અજવાસ ફેલાવવા નીકળી ગયા….વરસાદ તો વરસતો જ રહેશે પણ હવે એક ચાતક ઘટી ગયું……

Comments (5)

પહોંચવું છે… – ભગવતીકુમાર શર્મા

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે.

કોઈ રીતે સમીપે પહોંચવું છે,
‘હું’ -’તું’ – ‘તે’ ના અભેદે પહોંચવું છે.

હતો, છું, ને હઈશ કેવળ નદીમાં,
કહ્યું કોણે કે કાંઠે પહોંચવું છે?

બધે રસ્તેથી હું પાછો વળ્યો છું,
ફક્ત એનાં જ દ્વારે પહોંચવું છે.

છે રણમાં સૂર્યની શિરમોર સત્તા,
આ નદી મૃગજળની, તીરે પહોંચવું છે.

કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ આભે પહોંચવું છે.

ઢળી છે સાંજ, ઈંધણ ભીનાં ભીનાં,
ઉતાવળ છે, ચિતાએ પહોંચવું છે.

– ભગવતીકુમાર શર્મા

Comments (1)

ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને – ભગવતીકુમાર શર્મા

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

હોઇશ કઈ દશામાં – મને પણ ખબર નથી
આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને

ભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથી
આંસુ બનાવી આંખથી તું સારજે મને

સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને

તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને

– ભગવતીકુમાર શર્મા

જો દેવદાસ positive thinking ધરાવતી વ્યક્તિ હોતે તો તેણે આ ગઝલ પારોને સંભળાવી હોતે……

Comments (4)

તું નીરખને ! – ભગવતીકુમાર શર્મા

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને !
પછી દસ દિશામાં પરમ તું નીરખને !

અગમ તું નીરખને ! નિગમ તું નીરખને !
દ્યુતિની ઝલક ચારેગમ તું નીરખને !

મળ્યો છે તને તે ધરમ તું નીરખને !
આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને !

હવે ક્ષણનું છેટું એ અપરાધ તારો;
આ લીલા અકળ એકદમ તું નીરખને !

છે પીડાના સણકા હજી કષ્ટપ્રદ, પણ
રુઝાઈ રહેલા જખમ તું નીરખને !

છે તરણાં સમા અન્યના દોષ કિન્તુ,
શિલા જેવું તારું અહમ તું નીરખને !

અટકશે કશું પણ ન તારા વિના યે;
ગતિનો સનાતન નિયમ તું નીરખને !

-ભગવતીકુમાર શર્મા

કવિશ્રીને ગુજરાત સાહિત્ય-રત્ન ગૌરવ એવોર્ડ તાજેતરમાં જ મળ્યો….

Comments (4)

ગઈ – ભગવતીકુમાર શર્મા

આશ્ચર્ય છે કે તારા વગર જિંદગી ગઇ
દરિયો મળી શક્યો ન તો રણમાં નદી ગઇ.

ભીની હતી જો આંખ તો જીવંત રહી ગઇ
રેતીમાં પડતાંવેંત મરી માછલી ગઈ.

શ્વાસો ખૂટી ગયા અને મીંચાયા બે નયન
પહેલાં પવન પડયો પછી રોશની ગઈ.

તો યે ટકી રહ્યો છું હું એકાકી વૃક્ષ શો
રસ્તો ગયો, એ ઘર ગયું, તારી ગલી ગઈ.

બાળકની જેમ ભીડમાં ભૂલી પડી જશે
છોડાવી મારી આંગળી ક્યાં લાગણી ગઈ?

લખતો રહ્યો છું કાવ્ય હું સંબોધીને તને
કિંતુ ગઝલની નીચેથી મારી સહી ગઈ !

આવ્યો છું કંઇ સદી પછી તારે આંગણે
ગાળી’તી ચાર ક્ષણ ને મને ઓળખી ગઈ ?

સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?

– ભગવતીકુમાર શર્મા

Comments (5)

યાદગાર મુક્તકો : ૦૯ : ખલીલ ધનતેજવી, ભગવતીકુમાર શર્મા, વિવેક મનહર ટેલર

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

જીવનમાં ‘Ego’ રાખીને જીવીશું તો પેલા આંધીના વૃક્ષની જેમ સાવ જળમૂળથી ઉખડી જઈશું… પણ જો તરણા જેવા હળવા બનીશું તો ગમે એટલા સંઘર્ષમય સમયમાંથી પણ સહજતાથી પસાર થઈ જઈને ભારવિહીન જીવનને ભરપૂર માણી શકીશું… જિઁદગી અંતે ભલે થાકી જાય પણ જીવવાનો થાક નહીં લાગે એ રીતે જીવાયેલું જીવન જ સાચા અર્થમાં સાર્થક કહેવાય… કવિતામાં ખુમારી ભારોભાર પિરસવી એ ખલીલભાઈની ખૂબી છે.

સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંધ છું

– ભગવતીકુમાર શર્મા

આ મુક્તક વાંચતાવેંત જ એક ઘોર નિરાશા ઘેરી વળે છે… જે આપણને અંદરથી અકળાવી જાય છે. જરાસંધની સાથે પોતાને સરખાવીને કવિ જણાવી દે છે કે પોતાના જીવનને વરદાન નહીં પરંતુ શાપરૂપ માને છે. જેમ જરાસંધના જીવનનો અંત એના શરીરનાં બે ટુકડા વચ્ચે રેતીનાં ઢગલો કરી શિવલીંગ બનાવવાથી થતો શ્રીકૃષ્ણને ભીમને બતાવેલો… એમ જ કવિ પણ ઈશ્વર પાસે જીવનથી છુટકારો માંગે છે.

હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે નેણ,
હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે વેણ;
તારો આ પ્રેમ સાંધે, સંબંધ એવી રીતે-
ટુકડો જડ્યો જડે ન, ક્યાંયે જડે ન રેણ.

-વિવેક મનહર ટેલર

ચિરવિરહ પછી વિરહની બધી ફરિયાદો અને સઘળી વેદનાઓને પળમાં ઓગાળી નાંખતું મધુરું મિલન.. એમ જ માણીશું!

Comments (1)

યાદગાર મુક્તકો : ૦૬ : બકુલેશ દેસાઈ, ભગવતીકુમાર શર્મા, શોભિત દેસાઈ, સંદીપ ભાટિયા

રેત છું પણ શીશીમાં ખરતો નથી,
શૂન્યતાને ‘હું’ વડે ભરતો નથી;
મારા પડછાયા કરે છે ઘાવ પણ
હું સમય છું એટલે મરતો નથી.

– ભગવતીકુમાર શર્મા

ખાલીપણાનું એટલે કે શૂન્યતાનું એટલે કે એકલતાનું એટલે કે ન-હોવાપણાનું આ મુક્તક છે.  રેતીનું એક જ કામ તે ખરવું – પણ તે એ કરતો નથી. એકલતાને પોતાની મનગમતી ચીજોથી આસાનીથી ભરી દઈ શકાય – પણ એ ભરતો નથી. પડછાયો તો માત્ર અનુસરવાનું જ કામ કરી શકે – પણ પડછાયાના ઘાથી એ પણ બચી શકતો નથી. ને સૌથી મોટો અફસોસ – આ બધી રિક્તતા વચ્ચે પણ એ મરતો નથી. મરણ તો બહુ સહેલો જવાબ છે, અને સાહેબ, અમારો દાખલો તો એનાથી બહુ વધારે અઘરો છે!

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરાપણું,
શાહીની હેલી બધે ને જાતથી જુદાપણું;
કાગદી હોડી ઉપર હોડી તરાવી શું કરું ?
હુંપણાના ભારથી ડૂબી જશે હોવાપણું.

-બકુલેશ દેસાઈ

ન લખી શકવાની અવસ્થા પર લખાયેલું બેનમૂન મુક્તક. અનુભૂતિનો વરસાદ પણ છતાં કવિ છે કોરા ને કોરા. શાહીની તો રીતસર હેલી છતાં કવિને પોતાનો અવાજ મળતો નથી. પોતાનો અહમ જ પોતાના અસ્તિત્વને ડૂબાડવા બેઠો હોય તો પછી સર્જનની હોડી તરાવવાનો ફાયદો પણ શું છે?

વિસ્મરણમાં છે ઝૂલવાનો સમય,
સર્વ યાદોને ભૂલવાનો સમય.
ખૂબસૂરત પ્રસવ મરણનો અને
હોવાની કેદ ખૂલવાનો સમય.

– શોભિત દેસાઈ

મૃત્યુ જેવા વિષય પર પતંગિયાની પાંખ જેવું નાજુક મુક્તક. મૃત્યુ એટલે ‘વિસ્મરણમાં ઝૂલવું’ અને ‘હોવાની કેદનું ખૂલવું’ – આનાથી વધારે સુંદર વ્યાખ્યા કઇ હોય શકે ?

શ્વસ અનંતોમાં
ઊડ પતંગોમાં
પોઢ ગઝલોમાં
ઊઠ અભંગોમાં

– સંદીપ ભાટિયા

અને છેલ્લે મારું અતિપ્રિય મુકતક. જીવનને સરળ કરી દેવાની અકસીર જડીબુટ્ટી. આંઠ શબ્દોમાં જાણે આખો પ્રસન્ન-ઉપનિષદ. આને સમજાવવાની ગુસ્તાખી કરું તો સમૂળગો પાપમાં જ પડું ને?

Comments (6)

પવન – ભગવતીકુમાર શર્મા

વાંસના વનમાં થઇ વાતો પવન,
કૃષ્ણ તણી ફૂંક થઇ ગાતો પવન.

તું મને સ્પર્શી ગઈ એવી રીતે,
ભ્રમ થયો એવો અરે ! આ તો પવન.

શ્વાસ તો તૂટી રહ્યાં છે ક્યારનાં,
ગ્રીષ્મ સાંજે ઠોકરો ખાતો પવન.

કોઇનાં છૂટી ગયાં છે પ્રાણ શું,
કેમ આ કંઇ વેળથી વાતો પવન.

– ભગવતીકુમાર શર્મા

Comments (2)

વાસન્તી વહાલ – ભગવતીકુમાર શર્મા

લુમ્બઝુમ્બ વાસન્તી વહાલ ગમે,
સુગન્ધની સલૂણી ટપાલ ગમે.

આજકાલ ગુલાલ ગુલાલ ગમે,
સવિશેષ તમારો ખયાલ ગમે.

ફૂલનો વિપુલ બહુ ફાલ ગમે,
વગડે છંટાતો રંગ લાલ ગમે.

કેસૂડાએ ક સુંબલ ક્રાન્તિ કરી,
ખાખરાનો મિજાજ જહાલ ગમે.

પતંગિયાં,ટહુકાઓ, વનરાજિ ,
વસંતનો પૂરો મુદ્દામાલ ગમે!

ફૂલની સવારી પાલખીએ ચઢી,
કેસૂડાની કેસરી મશાલ ગમે.

‘કોઈ અહીં આવ્યું -ગયું વરણાગી ?
પવનને પૂછવો સવાલ ગમે.

પર્ણે પર્ણે ભ્રમરનો ગુંજારવ ,
ઝાંઝરની ઝીણી બોલચાલ ગમે.

– ભગવતીકુમાર શર્મા

અખિલમ મધુરમ…..

Comments (2)

ખુશ્બુ સ્મરણની – ભગવતીકુમાર શર્મા

છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,
હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.

શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.

મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,
જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.

છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ,
મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.

દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ,
અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.

ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,
છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.

એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.

– ભગવતીકુમાર શર્મા

Comments (5)

ન સાંભળે – ભગવતીકુમાર શર્મા

પથ્થરના બનેલા છે આ રસ્તા, ન સાંભળે
લોહીલુહાણ ચરણોની પીડા ન સાંભળે

એને કહેવું શું કે જે અષાઢ – શ્રાવણમાં
કેસેટ સાંભળે ને ટહુકા ન સાંભળે

મળવા ધસેલી એક સરિતાના કાનમાં
દરિયો જે કરે વાત તે મોજાં ન સાંભળે !

વીણા વગાડવી છે પરંતુ સચેત છું
થોડાંક સાંભળે ને ટોળાં ન સાંભળે

ઘડિયાળ છે જીવંત, સમય તાલબધ્ધ છે
ભીંતોનો દોષ છે જે ટકોરા ન સાંભળે

એ છે અધીરતા કે ઉપેક્ષા ખબર નથી
આખી ગઝલ સુણે અને મક્તા ન સાંભળે.

– ભગવતીકુમાર શર્મા

બધા માત્ર બોલે જ છે……’સાંભળે’ છે જ કોણ !!??

Comments (6)

થાક્યો – ભગવતીકુમાર શર્મા

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો .

ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર,અનાહત તમાશાથી થાક્યો .

બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો .

ન છૂટી શકાતું, ન બંધાયેલો છું;
હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો .

સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો .

ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો .

મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો .

-ભગવતીકુમાર શર્મા

Comments (10)

વાંચીએ – ભગવતીકુમાર શર્મા

ચાલ, સાથે બેસી કાગળ વાંચીએ,
વીત્યાં વર્ષોની પળેપળ વાંચીએ.

છે બરડ કાગળ ને ઝાંખા અક્ષરો,
કાળજીથી ખોલીને સળ વાંચીએ.

પત્ર સૌ પીળા પડયા તો શું થયું?
તાજે તાજું છાંટી ઝાકળ વાંચીએ.

કેમ તું રહી રહીને અટકી જાય છે?
મન કરી કઠ્ઠણ ને આગળ વાંચીએ.

પત્રના શબ્દો ચહેરાઈ ઝાંખા થયા,
આંખથી લુછી લઈ જળ, વાંચીએ.

લ્યો, ટકી રહી છે હજી થોડી સુવાસ,
શ્વાસમાં ઘુંટીને પીમળ વાંચીએ.

માત્ર આ પત્રો સીલકમાં રહી ગયા,
કંઈ નથી આગળ તો પાછળ વાંચીએ.

– ભગવતીકુમાર શર્મા

Comments (8)

ભીડમાં – ભગવતીકુમાર શર્મા

દરિયાની ભીડમાં અને મોજાંની ભીડમાં;
મોતી મને મળ્યાં નહીં છીપલાંની ભીડમાં.

ઝીણો ઉજાસ ક્યાં છે ઝગારાની ભીડમાં ?
તમને ભૂલી ગયો છું હું ઈચ્છાની ભીડમાં.

પકડીને મારી આંગળી હું નીકળ્યો હતો;
ખોવાઈ ખુદ ગયો છું તમાશાની ભીડમાં.

શોધી રહ્યો છું શબ્દ અનાઘ્રાત પુષ્પ શો;
લાધ્યો નથી મને એ કુહાડાની ભીડમાં.

વૈશાખની બપોરે ઉઘાડાં ચરણ લઈ;
જોયા ન છાંયડાઓ મેં રસ્તાની ભીડમાં.

પહોંચી શક્યો ન વાવના તળિયા સુધી કદી;
અટવાઈ હું ગયો છું પગથિયાંની ભીડમાં.

મારી પ્રતીક્ષા ધૂંધળી પડશે નહીં કદી;
કેડી નહીં કળાય ઝરૂખાની ભીડમાં.

-ભગવતીકુમાર શર્મા

પહેલો અને છઠ્ઠો શેર એકસમાન જ નથી લાગતા ??

આખી ગઝલ સશક્ત છે. તમામ શેરમાં એક મધ્યવર્તી વિચાર પ્રવર્તે છે. તમામ distractions ને જ્યાં સુધી તિલાંજલિ નહીં અપાય ત્યાં સુધી મોતી મળવાનું નથી.

Comments (6)

એ ક્ષણો ગઝલની છે – ભગવતીકુમાર શર્મા

બુદ્ધિની દલીલો પર લાગણીની સરસાઈ; એ ક્ષણો ગઝલની છે;
કંટકો કળી સમ્મુખ દાખવે સલુકાઇ; એ ક્ષણો ગઝલની છે.

ગુફતેગો ય કરવી છે, એ ય પાછી એકાંતે ને વળી પ્રિયા સાથે;
આ શરત પૂરી થાતાં વાગે જયારે શરણાઈ, એ ક્ષણો ગઝલની છે.

પુષ્પની તુરંગોમાં કેદ ખુશ્બૂને કરવી શક્ય એ બને ક્યાંથી ?
પ્રેમમાં મળે ઊર્મિ સાથે ભીની રુસ્વાઈ ; એ ક્ષણો ગઝલની છે.

વૈભવો વસંતોના પાનખરના પાલવમાં જાય છે ઢબૂરાઈ;
તે પછીયે ફરફરતી ફૂલની ફકીરાઈ, એ ક્ષણો ગઝલની છે.

સાવ ઝીણો અંતરપટ શિવ ને જીવની વચ્ચે, શક્ય એનું ઓગળવું;
માશૂકા-ખુદા વચ્ચે હોય ન અદેખાઈ, એ ક્ષણો ગઝલની છે.

– ભગવતીકુમાર શર્મા

‘ એ ક્ષણો ગઝલની છે ‘ – કવિના તાજેતરમાં જ પ્રકાશિત થયેલા ગઝલસંગ્રહની પ્રથમ રચના છે. આટલી જૈફ વયે પણ સર્જકતાને થાક લગીરે લાગ્યો નથી. આ સંગ્રહની ઘણી રચનાઓ સરસ છે. તેઓનો બીજો એક ગઝલસંગ્રહ આ વર્ષે પ્રકાશિત થનાર છે.

Comments (8)

પડી ગયો – ભગવતીકુમાર શર્મા

ચકલીએ ચાંચ મારીને ફોટો પડી ગયો,
દીવાલ પરથી આખો કબીલો પડી ગયો !

વરસાદમાંય આવીને તેઓ મળી ગયાં,
આંગણમાં થોડો સોનેરી તડકો પડી ગયો.

સંવાદ યાદ નહોતા ને મહોરાં જડ્યાં નહીં,
સારું થયું કે મંચ પર પરદો પડી ગયો.

એને તો ફૂટવાની હતી ટેવ તે છતાં,
અદ્ક્યું પીંછું ને કાચ પર ગોબો પડી ગયો.

લૂંટી ગયું’તું કોઈ ફક્ત લાગણી છતાં,
શ્વાસોના આખા શહેરમાં સોપો પડી ગયો !

ભારે પડી ગઈ બહુ સૂરજની દોસ્તી,
પડછાયો અંધકારમાં ખુલ્લો પડી ગયો.

જીવન સમા જીવનની કશી ના રહી વિસાત,
સોદો કર્યો જે મોતથી, મોંઘો પડી ગયો.

– ભગવતીકુમાર શર્મા

Comments (8)

વરસાદમાં – ભગવતીકુમાર શર્મા

યાદ આછી ફરફરે વરસાદમાં,
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.

બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.

કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.

મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.

મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !

પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.

આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે ખરખરે વરસાદમાં.

– ભગવતીકુમાર શર્મા

Comments (8)

થઇ ગયા – ભગવતીકુમાર શર્મા

આ ગતિથી દ્રષ્ટિના દીવાઓ ધૂંધળા થઇ ગયા;
હું સ્કૂટર, રસ્તો- અને ચહેરાઓ ઝાંખા થઇ ગયા.

લક્સની ફિલ્મી મહેંક, ગીઝર ને શાવર બાથ આ;
નવસો ને નવ્વાણું નદીકાંઠા પરાયા થઇ ગયા.

સિક્સ ચેનલ સ્ટીરિયોફોનિક અવાજો છે અહીં;
કે હદપાર પંખીઓના ટહુકા થઇ ગયા.

બારીઓમાંથી સ્કાયસ્કેપર રોજ આવે ખરેખર;
સૂર્યના સોનેરી અશ્વો સાવ ભૂરા થઇ ગયા.

વૃક્ષ છોડીને વસાવ્યા પંખીઓએ એરિયલ;
લીલાં લીલાં પાંદડા તરડાઇ પીળા થઇ ગયા.

આજ હું માણસ, પછી હું શખ્સ ને મરહૂમ પણ;
મારા પડછાયા પળેપળ કેમ ટૂંકા થઇ ગયાં?

અંજલિ અર્પું પ્રથમ સંવત્સરીએ હું મને;
કે મગર કાગળના દરિયામાં વિહરતા થઇ ગયા !

– ભગવતીકુમાર શર્મા

 

ગુજરાતી ગઝલમાં અંગ્રેજી શબ્દોના પ્રયોગ સામે મને અંગત અણગમો છે. પરંતુ આ ગઝલે મારો એ અણગમો જાણે કે દૂર હઠાવી દીધો ….! શું બળકટ અભિવ્યક્તિ છે !

Comments (5)

ગણવેશમાં નથી-ભગવતીકુમાર શર્મા

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી;
મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી.

કોઈ રાગમાં નથી કે કશા દ્વેષમાં નથી;
આ લોહી છે કે બર્ફ? – જે આવેશમાં નથી.

હું શબ્દમાં જીવું છું, ફક્ત શ્લેષમાં નથી;
જોકે હું અર્થના કોઈ આશ્લેષમાં નથી.

ભણકાતા મારા મુત્યુની ચિંતા નહીં કરો;
મૂળથી જ જીવવાની હું ઝુંબેશમાં નથી.

કિંચિત્ હતી, ક્યારેક છે ને શુન્ય પણ થશે;
મારી તરલ હયાતી જે હંમેશમાં નથી.

બે શબ્દ પ્રાર્થનાના કહી ચૂપ થઈ ગયો;
આર્જવમાં છે જે બળ, કદી આદેશમાં નથી.

-ભગવતીકુમાર શર્મા

Comments (11)

આવે છે – ભગવતીકુમાર શર્મા

એ બહુ છાનેમાને આવે છે;
મોત નાજુક બહાને આવે છે.

ક્યાં મને એકલાને આવે છે ?
સુખ અને દુઃખ બધાંને આવે છે.

કેમ ચાલ્યા ગયા જનારાઓ?
આવનારાઓ શાને આવે છે ?

ઓળખી લ્યો સમયના પગરવને;
એ જમાને જમાને આવે છે.

આમ તો આખી ડાયરી કોરી;
નામ તુજ પાને પાને આવે છે.

અશ્રુતોરણ ને સ્મિતની રંગોળી;
ઉત્સવો કેવા સ્થાને આવે છે !

બિમ્બ ચકલી જુએ છે પોતાનું;
પાંખ તો આયનાને આવે છે.

એના શ્વાસો બન્યા છે વેગીલા;
મહેક તારી હવાને આવે છે.

રણની શોભા મને જ આભારી :
ગર્વ આ ઝાંઝવાને આવે છે !

કૂંપળે કૂંપળે વસંત આવે;
પાનખર પાને પાને આવે છે.

– ભગવતીકુમાર શર્મા

 

Comments (11)

તો જુઓ ! – ભગવતીકુમાર શર્મા

કેવી હઠે ચઢી છે આ શરણાઈ તો જુઓ !
ડૂસકાંની સાથે એની હરીફાઈ તો જુઓ !

આવ્યું-ગયું ન કોઈ તમારાં સ્મરણ સિવાય;
કેવી સભર બની છે આ તનહાઈ તો જુઓ !

અંધાર લીલોછમ અને ટહુકાના આગિયા
ઝળહળ સુગંધ વેરતી અમરાઈ તો જુઓ !

પડછાયાની તો કેવી કરે છે એ કાપકૂપ !
સૂરજની મારા પરની અદેખાઈ તો જુઓ !

બેમત પ્રવર્તે એને વિશે, હું તો છું જ છું !
ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ !

-ભગવતીકુમાર શર્મા

Comments (8)