પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
વિવેક ટેલર

ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને – ભગવતીકુમાર શર્મા

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

હોઇશ કઈ દશામાં – મને પણ ખબર નથી
આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને

ભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથી
આંસુ બનાવી આંખથી તું સારજે મને

સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને

તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને

– ભગવતીકુમાર શર્મા

જો દેવદાસ positive thinking ધરાવતી વ્યક્તિ હોતે તો તેણે આ ગઝલ પારોને સંભળાવી હોતે……

4 Comments »

  1. JAFFER said,

    April 4, 2018 @ 5:14 AM

    તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
    શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને

  2. SARYU PARIKH said,

    April 4, 2018 @ 8:22 AM

    વાહ્!..વાહ્!
    સરયૂ પરીખ

  3. Nehal said,

    April 4, 2018 @ 11:01 AM

    વાહ, બહુજ સુંદર અભિવ્યક્તિ!

  4. Sandip Pujara said,

    April 5, 2018 @ 5:10 AM

    વાહ.. સરસ ગઝલ માણવાં મળી…… આનંદ આનંદ….​

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment