શોધું છું પંચતંત્રનો એ કાચબો બધે;
જેને મળું છું, સસલું છે- આરંભે શૂરું છે.
- વિવેક મનહર ટેલર

ક્યાં ગયો ? – ભગવતીકુમાર શર્મા

ક્યાં ગયો ?

આંસુનાં ઝુમ્મરોનો એ શણગાર ક્યાં ગયો ?
ભરતો હતો હું ઊર્મિનો દરબાર; ક્યાં ગયો ?

આકાર ક્યાં ગયો ને નિરાકાર ક્યાં ગયો ?
માણસને નામે ઈશ્વરી અવતાર ક્યાં ગયો ?

મારા મરણની નોંધ તો એમાં નથી લખી ?
પડછાયો મારો આંચકી અખબાર ક્યાં ગયો ?

ધુમ્મસના રાજહંસનો કલરવ મેં સાંભળ્યો;
પૂછો નહીં કે છોડી હું ઘરબાર ક્યાં ગયો ?

બોલાશ છે, પરંતુ ઉછીનો છે; શું કરું ?
મારો હતો જે પોતીકો સૂનકા૨; ક્યાં ગયો ?

કરતો હતો એ વાત ધુમાડા વિશે સતત;
માણસ હતો એ પોતે ધુંઆધાર; ક્યાં ગયો ?

આ શૂન્યતાનો શાપ સહન શી રીતે કરું ?
તારાં સ્મરણનો જે હતો આધાર ક્યાં ગયો ?

– ભગવતીકુમાર શર્મા

Leave a Comment