તને છોડી જયારે બીજું કંઈ વિચારું!
ઘડી એવી ધારું તો કઈ રીતે ધારું?
અંજના ભાવસાર ‘અંજુ’

આ ઘર, ઉંબર ને ફળિયામાં – ભગવતીકુમાર શર્મા

હું ‘હું’ ક્યાં છું ? પડછાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં ;
હું જન્મોજન્મ પરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

તું રાત બની અંજાઈ જજે આ ગામનાં ભીનાં લોચનમાં ;
હું ઘેનભર્યું શમણાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

આ માઢ,મેડી ને હિંડોળો ફોરે છે તારા ઉચ્છવાસ્ ;
હું હિના વગરનો ફાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

કંકુ ખરખર, તોરણ સૂકાં, દીવાની ધોળી રાખ ઊડે;
હું અવસર એકલવાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં

સાન્નિધ્યનો તુલસીક્યારો થૈ તું આંગણમાં કૉળી ઊઠે;
હું પાંદ-પાંદ વીખરાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

શ્વાસોના પાંખાળા અશ્વો કંઈ વાંસવનો વીંધી ઊડ્યાં ;
હું જડ થઈને જકડાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

ગઈકાલના ઘૂઘરાઓ ઘમક્યા, સ્મરણોનાં ઠલવાયાં ગાડાં;
હું શીંગડીએ વીંધાયો છું આ ઘર, ઉંબર ને ફળિયામાં.

– ભગવતીકુમાર શર્મા

સમગ્ર કવિકર્મ મજબૂત ! કવિના સ્વમુખે આ ગઝલનો પાઠ સાંભળવાનો લ્હાવો મળ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે આ ગઝલનો મત્લો મનમાં સ્ફૂર્યો એના ચાર-પાંચ વર્ષે તેઓએ આ ગઝલ પૂરી કરેલી ! તેઓને મત્લો એટલો ગમી ગયેલો કે તેઓ ઇચ્છતા હતા કે સમગ્ર ગઝલ બળૂકી બને…

સુરતના ખૂબ જ મજબૂત અને રંગભૂમિને સમર્પિત નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લ મત્લાથી એટલા પ્રભાવિત થયા હતા કે તેઓ એ જાતે આ જ નામથી એક કરુણરસનું એકાંકી લખ્યું હતું જે ઘણું સફળ થયું હતું…

3 Comments »

  1. Vinod manek, Chatak said,

    March 9, 2022 @ 1:42 PM

    ખૂબજ જાણીતી અને મનગમતી ગઝલ..
    ભગવતીકુમાર ને માણ્યા છે…

  2. saryu parikh said,

    March 9, 2022 @ 8:04 PM

    વાહ્!

  3. જયેન્દ્ર ઠાકર said,

    March 10, 2022 @ 6:21 AM

    સરસ ગઝલ છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment