ન પૂછ : કેમ સુગંધિત હૃદયની માટી છે ?
ભીની-ભીની ઘણી ઇચ્છાઓને ત્યાં દાટી છે.
ડેનિશ જરીવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – રાજેન્દ્ર શુક્લ

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ,
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સૌગાત અલગ છે !

– રાજેન્દ્ર શુક્લ

ઘા બહારના હોય તો ઢાલ કે કવચ કદાચ કામમાં પણ આવે પણ નજરે ન ચડે એવા અંદરના આઘાતથી તો શી રીતે બચી શકાય?

આજે કવિશ્રીનો જન્મદિવસ પણ છે એની આ ગઝલ પોસ્ટ કર્યા બદ ફેસબુક વડે જાણ થઈ. લયસ્તરો તરફથી કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (9)

નકશા – શેખાદમ આબુવાલા

અમે જોયાં જવાનીમાં ઘણા અરમાનના નકશા
સમન્દરમાં સમન્દર પર હતા તોફાનના નકશા

ન તો ભગવાનના નકશા ન તો શેતાનના નકશા
કે જીવનમાં હતા જે કંઈ ઈન્સાનના નકશા

ફક્ત હિંસાની તરકીબો જ બદલાશે ન કે હિંસા
ન બદલાયા ન બદલાશે કદી ઈન્સાનના નકશા

ગરીબીને હટાવીને નવા ધનવાન પેદા કર
ગરીબોની નજરમાં છે હજી ધનવાનના નકશા

હવે આતિથ્યના મૂલ્યોય બદલાઈ ગયાં જગમાં
જુઓ યજમાનના નકશા જુઓ મહેમાનના નકશા

અમે તો પ્રેમની બે ગાળ ખાઈ ખુશ છીએ આદમ
કે અમને તો નથી પરવડતા આ સન્માનના નકશા

હવે તો આદમ તમે યુરોપને ભૂલો તો સારું છે
અહીં તો છે હતા તેવા જ હિંદુસ્તાનના નકશા

– શેખાદમ આબુવાલા

આજે માણો શેખાદમની મારી એક ગમતી ગઝલ. જુવાનીની શેખાદમની વ્યાખ્યા જુઓ : જુવાની = સમન્દર પર (આવનારા) તોફાનના નકશા !

Comments (5)

ગઝલ – કૈલાસ પંડિત

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.

ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.

આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.

મારે સજાનું દુઃખ નથી, છે દુઃખ એ વાતનું,
વાતો થશે કે મારે કબૂલાત થઈ હશે.

લોકો કહે છે ભીંત છે બસ ભીંત છે ફકત,
‘કૈલાસ’ મારા ઘર વિષેની વાત થઈ હશે.

– કૈલાસ પંડિત

આ ગઝલ વાંચીને આદિલજીની ‘જ્યારે પ્રણયની જગમાં’ ગઝલ દિલોદિમાગમાં ગૂંજી ન ઉઠે તો જ નવાઈ…  🙂

Comments (4)

હે તથાગત! આવજો – ભરત યાજ્ઞિક

રિક્ત છે મારું કમંડળ, હે તથાગત! આવજો;
મારી પ્રજ્ઞાનું સ્થળાંતર, હે તથાગત! આવજો!

તમસ-આવૃત્ત સૌરમંડળ, હે તથાગત! આવજો;
પૂંજ વરસો દૂર પાંતર હે તથાગત! આવજો.

નેહ નીતર્યાં નેણનો તંતુ અમે પકડ્યો છતાં
વેંત પણ ઘટતું ન અંતર, હે તથાગત! આવજો.

ભૈરવીનો સૂર સાંભળવા મથું છું, ક્યાં હશે?
પટ ઉપર પાછા પટંતર, હે તથાગત! આવજો.

બસ બધાના શરણમાં જાવાનો ક્ર્મ પૂરો થયો,
માટીમાં મૂકોને મંતર, હે તથાગત! આવજો.

બૌધિસત્વો ક્યાં ગયાં? નેપથ્યમાં આપો પ્રવેશ,
મતની માંહે મતાંતર, હે તથાગત! આવજો.

હું નથી આનંદશો કે ભદ્ર થઈ જાઉં ભદંત,
વેશના બધાં રૂપાંતર, હે તથાગત! આવજો!

– ભરત યાજ્ઞિક

તમે તો ઉપદેશ આપીને જતા રહ્યાં. પણ અમારી મર્યાદાઓ બધી અકબંધ છે. મુક્તિનો રસ્તો તમે ચીંધ્યો પણ એના પર આગળ વધી શકાતું નથી… હે તથાગત! આવો અને મદદ કરો.

પટંતર (પટંતરો) = જુદાઈ, અલગપણું; ભદંત=સાધુ, ભગવાન;

Comments (5)

ઓશિયાળા થૈ ગયા – ‘ગની’ દહીંવાળા

તેજ-છાયાની રમત મતભેદ રમતા થૈ ગયા,
બારણે સૂરજ ઊભો ને ઘરમાં દીવા થૈ ગયા !

આ પરાધીન જીવવાની શી પ્રણાલી પાંગરી !
કેટલાં હૈયાં ઉછીના શ્વાસ લેતા થૈ ગયા !

કોઈએ જ્યાં ફેરવી લીધા નયન તો દુ:ખ થયું,
જોઈ લીધું તો જીવનભર ઓશિયાળા થૈ ગયા !

ભાન છે થોડું પીધાનું અને હવે તળિયું દીસે,
જામ શું ચોરીછૂપીથી ઘૂંટ ભરતા થૈ ગયા ?!

આપણે ખુદમાં ન જાણે ક્યારથી કીધો પ્રવેશ,
બંધ ઘરના દ્વાર શી રીતે ઊઘડતાં થૈ ગયાં ?

રાતની બેચેનીઓનું ચિત્ર આ ચાદરના સળ,
કેટલી સહેલાઈથી સાકાર પડખાં થૈ ગયાં !

કાંઈ નહોતું છતાં દેખાવ જેવું છે,’ગની’,
જિંદગીની ધૂળ સળગી ને ધૂમાડા થૈ ગયા.

– ‘ગની’ દહીંવાળા

Comments (3)

ગઝલ – મનોજ ખંડેરિયા

સ્મરણ વાંસળી જેમ વાગે અવિરત
સૂણે જે તે જન્મારો જાગે અવિરત

ન સમજે સકળ તીર્થ છે પગના તળિયે
અને તીર્થ જાવાને ભાગે અવિરત

અહીં સાવ ખાલી થનારાને અંતે
સભર થઈ ગયા એવું લાગે અવિરત

સતત ઊંઘના રોજ ફુરચા ઊડે છે
ભીતર કોઈ જામગરી દાગે અવિરત

અમે સમજી વ્હોરીને કરતાલ ઝાલી
ખબર છે હજી કોઈ તાગે અવિરત

રહે નિર્વસન શબ્દ એનો ઝળકતો
પહેરેલું જે નામ ત્યાગે અવિરત

– મનોજ ખંડેરિયા

મરણ ન આવે ત્યાં સુધી સ્મરણ આવતાં જ રહે છે. જે સ્મરણમાં ડૂબે છે તેની જન્મારા આખાની ઊંઘ ઊડી જાય છે.

Comments (7)

(મારી અંદર) -ચંદ્રેશ મકવાણા

શ્રધ્ધા શંકાનો સરવાળો મારી અંદર,
સદીઓથી છે આ ગોટાળો મારી અંદર.

એક જ સાથે ઉછરે યુગયુગાંતરોથી,
બાગ અને પંખીનો માળો મારી અંદર.

સમય અને સંજોગ પ્રમાણે દેખા દે છે,
લાલ પીળો ધોળો ને કાળો મારી અંદર.

લીન હોઉ મારામાં ને કોઇ કરે સળી તો,
તરત જ જન્મે અઢળક ગાળો મારી અંદર.

એક તરફ છે રણની રેતીના ઢૂવા ને,
બીજી તરફ છે સરવર પાળો મારી અંદર.

ક્યાંક પડ્યું છે ‘ઠારો ઠારો, કેવળ ઠારો’,
ક્યાંક છે કેવળ ‘બાળો બાળો’ મારી અંદર.

-ચંદ્રેશ મકવાણા

શ્રધ્ધા અને શંકાના સરવાળા-ગોટાળાવાળી વાત ખૂબ જ સ્પર્શી ગઈ… જો કે આખી ગઝલનો શિરમોર એવો આખરી શેર જરા વધુ ગમી ગયો.

Comments (8)

રહુગણ પ્રતિ ભરતની ઉક્તિ – રાજેન્દ્ર શુક્લ

કૈં નથી તો હું ક્યહીંથી ?
હું નથી તો છું ક્યહીંથી ?

આ બધું છે ને બધે છે,
એ વિના તો તું ક્યહીંથી ?

એ જ પંથી, પંથ પણ એ,
જાય ક્યાં, જાવું ક્યહીંથી ?

એક કેવળ અદ્વિતીયમ,
કોણ પૂછે, શું, ક્યહીંથી ?

ઓગળું આકાર વિણ આ,
ભિન્ન થઇ ભાસું ક્યહીંથી ?

– રાજેન્દ્ર શુક્લ

ઘણા વખતે તદ્દન નવા સંદર્ભમાં લખાયેલી ગઝલ માણવા મળી… રહુગણ – સિંધુ દેશના એક રાજાનું નામ. તેણે ભરત મુનિને પાલખી ઊંચકવાની ફરજ પાડી હતી. એક વખત તે મેનામાં બેસી કપિલાશ્રમ તરફ ઇક્ષુમતીને તીરે જતો હતો ત્યાં રસ્તામાં તેનો ભોઇ થાકી ગયો એટલે સેવકોએ રસ્તામાં પડેલા જડભરતને પકડી લાવી તેની પાસે મેનો ઉપાડાવ્યો. જડભરત મંદ ગતિએ ચાલતો હોવાથી મેનાની ગતિ મંદ પડી અને ઠેલા આવવા લાગ્યા. તેથી રાજાએ તેની મશ્કરી કરી અને ગુસ્સે થયો. આ ઉપરથી જડભરતે તેને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. તેથી રાજા નીચે ઊતરીને તેને પગે લાગ્યો.

પ્રત્યેક શેર ફિલસૂફીના એક-એક શાશ્વત પ્રશ્નને વાચા આપે છે- પહેલો શેર Descartes નું પ્રખ્યાત વિધાન -‘ I THINK , THEREFORE I AM ‘ -યાદ કરાવી દે છે. આ જ રીતે પ્રત્યેક શેર ગહન છે.

Comments (6)

અનહદ અપાર વરસે – નયના જાની

આ ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
એ તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
આ નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !

– નયના જાની

વરસવાની મોસમ છે એવામાં આ એક વરસાદી ગઝલ… પ્રિયતમ કંઈ શ્રાવણ-અષાઢ જોઈને થોડો વરસે છે? એ તો વરસે, અમસ્તો અમસ્તો વરસે ને વારંવાર વરસે.  એને હા પાડો તોય વરસે ને ના કહો તોય. અને કંઈ જ ન કહો તો તો ઘડી ઘડી વરસશે. પ્રેમનો વરસાદ જ કંઈ એવો છે કે છલકી ઊઠાય, છોળ થઈ ઊઠાય, અસ્તિત્વ ઘુઘવાટા મારી ઊઠે એ ખુમારીથી એ વરસે છે…

Comments (15)

ક્યાંથી લાવીએ ? – સંજુ વાળા

તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ ?
અથવા તો સહૃદયીના જેવી તાન ક્યાંથી લાવીએ ?

ભીતરથી આરંભાઈ ‘ને પહોંચાડે પાછાં ભીતરે,
અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ ?

પોતે જ આવીએ, ને પોતે આવકારીએ વળી-
હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ ?

સંવેદનાઓ સઘળી થઈ ગઈ છે ઠરીને ઠીકરું,
ત્સુનામી જેવું લોહીમાં તોફાન ક્યાંથી લાવીએ ?

ના, કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા,
એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ ?

ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી,
સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ ?

પરભાતિયાં તો આપણે પણ આજ લગ ગાયાં કર્યાં,
કિન્તુ એ નમણાં નામનું સંધાન ક્યાંથી લાવીએ ?

-સંજુ વાળા

Comments (11)

ન ઇચ્છે ! – રાજેન્દ્ર શુક્લ

એવોય કો’ક સૂરજ કે ઊગવા ન ઇચ્છે,
ના આથમે કદી, બહુ ઝળહળ થવા ન ઇચ્છે !

ઉંબર આ એક તડકો આવીને થિર થયો લો,
છાયા જરાય એની લંબાવવા ન ઇચ્છે !

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઇચ્છે !

ત્યાંનુંય તે નિમંત્રણ, ત્યાંયે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની ક્યાંયે જવા ન ઇચ્છે !

અભરે ભરાઈ એવી એકેક ક્ષણ મળી છે,
કોઈ વિશેષ એને છલકાવવા ન ઇચ્છે !

– રાજેન્દ્ર શુક્લ

સરળ લગતી ગઝલમાં અતળ ઊંડાણ ભર્યું છે…પ્રત્યેક શેર ચિંત્ય છે…

Comments (11)

એની તરસ-ચિનુ મોદી

એની તરસનો ક્યાં તને અંદાજ છે ?
એ ઝાંઝવા પાણી ગણી પી જાય છે !

મારો નથી એ એકલાનો એટલે,
મારા હૃદયમાં ક્યાં ખુદાનું સ્થાન છે ?

જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં ઉદાસી હોય છે;
લો, આપણા ઘરનો ઘણો વિસ્તાર છે.

તારા નગરમાં ચાર પગલાં પાડતાં
આ શ્વાસમાં તો પીળો પીળો થાક છે !

ઇર્શાદ, તારી નાવને હંકાર ના,
ચોથી દિશાનું ક્યાં તને કૈં ભાન છે ?

-ચિનુ મોદી

ત્રીજો અને ચોથો શેર બહુ ન ગમ્યા. બાકીના શેર અર્થગંભીર છે.

Comments (8)

તો જુઓ ! – ભગવતીકુમાર શર્મા

કેવી હઠે ચઢી છે આ શરણાઈ તો જુઓ !
ડૂસકાંની સાથે એની હરીફાઈ તો જુઓ !

આવ્યું-ગયું ન કોઈ તમારાં સ્મરણ સિવાય;
કેવી સભર બની છે આ તનહાઈ તો જુઓ !

અંધાર લીલોછમ અને ટહુકાના આગિયા
ઝળહળ સુગંધ વેરતી અમરાઈ તો જુઓ !

પડછાયાની તો કેવી કરે છે એ કાપકૂપ !
સૂરજની મારા પરની અદેખાઈ તો જુઓ !

બેમત પ્રવર્તે એને વિશે, હું તો છું જ છું !
ઈશ્વર ઉપરની મારી આ સરસાઈ તો જુઓ !

-ભગવતીકુમાર શર્મા

Comments (8)

કબર જેવું – કરસનદાસ લુહાર

સ્વત્વને હરપળ હણાતું જોઉં છું,
શ્વાસનું ખેતર લણાતું જોઉં છું.

જન્મનું ઝભલું હજુ પહેર્યું નથી,
ને કફન મારું વણાતું જોઉં છું.

ઘરતણો પાયો જ્યહીં ખોધ્યો હતો,
ત્યાં કબર જેવું ચણાતું જોઉં છું.

ઝંખનાની આ નદીના પૂરમાં,
લાશ જેવું શું તણાતું જોઉં છું.

સાવ બ્હેરી ઓડ થઈ ગઈ છે ત્વચા,
સ્પર્શવું તવ હણહણાતું જોઉં છું !

– કરસનદાસ લુહાર

દરેક જન્મ એ હકીકતમાં મરણની શરૂઆત જ હોય છે. મૃત્યુને કેન્દ્રસ્થાને રાખી લખાયેલી મુસલસલ ગઝલ… છેલ્લા શેરમાં સ્પર્શ, શ્રવણ અને દૃષ્ટિ આ ત્રણેય ઇન્દ્રિયના વ્યત્યયના કારણે શબ્દાતીત સંવેદન સર્જાય છે…

Comments (6)

છોડવા પડશે-મનોજ ખંડેરિયા

મથામણ અને તારણના સીમાડા છોડવા પડશે ;
સમજવા મનને સમજણના સીમાડા છોડવા પડશે.

અલગ દુનિયા નીરખવા ફ્રેમના નિર્જીવ ચોરસ બહાર,
પ્રતિબિંબોને દર્પણના સીમાડા છોડવા પડશે.

રમતમાં માત્ર પગલું મૂક્યું’તું આંકેલી રેખા બહાર,
ખબર નો’તી કે બચપણના સીમાડા છોડવા પડશે.

સમય લાગે છે એવું ક્યાં, સમયની પાર છે એ તો,
કે મળવા એને હર ક્ષણના સીમાડા છોડવા પડશે.

જીવનના કોચલાની બ્હાર નીકળવું છે – તો પ્હેલાં,
ત્વચાના તીવ્ર વળગણના સીમાડા છોડવા પડશે.

બગલમાં સત્યની લઈ પોટલી પાગલ ફર્યા કરતો,
સમજવા એને કારણના સીમાડા છોડવા પડશે.

નડે છે વાતની વાડો- બને છે અક્ષરો આડશ,
હવે કાગળ ને લેખણના સીમાડા છોડવા પડશે.

-મનોજ ખંડેરિયા

Comments (7)

અટકળ બની ગઈ જિંદગી ! – વેણીભાઈ પુરોહિત

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ…
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી !

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી !

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી !

વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી પડ્યો !
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી !

ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો –
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી !

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો !
આપ આવ્યા ? હાય ! દાવાનળ બની ગઈ જિંદગી !

– વેણીભા પુરોહિત

મત્લા વિનાની છતાં જાનદાર ગઝલ…  ગીતકવિ વેણીભાઈને માન્ય ગઝલકાર તરીકે પ્રસ્થાપિત કરી શકે એવી !

 

Comments (7)

દીવાને-ખાસ – હેમેન શાહ

જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,
કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.

ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,
ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.

બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,
ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.

પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,
હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.

તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,
સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટહાસ્ય લાવ્યો છું.

– હેમેન શાહ

અલગ ગઝલ લખવાનો પોતાની હઠ કવિ ગઝલ લખીને જ સમજાવે છે. જેના ખોળે માથું મૂક્યું તે ગઝલમાં તો વળી કઈ રીતે બાંધછોડ કરી શકાય ?

(પ્રાગડ=પ્રભાત)

Comments (7)

ગઝલ-મરીઝ

લાગણી જેમાં નથી,દર્દ નથી,પ્યાર નથી,
એવા દિલને કોઈ ઈચ્છાનો અધિકાર નથી.

કેવી દિલચશ્પ-મનોરમ્ય છે, જીવનની કથા,
ને નવાઈ છે કે એમાં જ કશો સાર નથી.

વેર ઈર્ષાથી કોઈ પર એ કદી વાત કરે,
કે કલમ એ જ છે બળવાન જે તલવાર નથી.

નાખુદા ખુશ છે કે કબજામાં રહે છે નૌકા,
એ ભૂલી જાય છે દરિયા પર અધિકાર નથી.

રસ નથી બાકી કોઈમાં કે હું સંબંધ બાંધુ,
આ ઉદાસીનતા મારી છે, અહંકાર નથી.

તમે મૃત્યુ બની આવો તો તજી દઉં એને,
મને દુનિયાથી કશો ખાસ સરોકાર નથી.

ભૂલી જાઓ તમે એને તો સારું છે ‘મરીઝ’,
બાકી બીજો કોઈ વિકલ્પ કે ઉપચાર નથી.

– મરીઝ

ત્રીજા શેરમાં કોઈક મુદ્રણ-ક્ષતિ હોઈ શકે. પુસ્તકમાં જેમ છે તેમ જ અહીં પ્રસ્તુત કર્યું છે.

Comments (8)

ખુદા મળે-શૂન્ય પાલનપુરી

હરદમ તને જ યાદ કરું, એ દશા મળે,
એવું દરદ ન આપ કે જેની દવા મળે.

સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં,
દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે.

ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી,
દેજો અમારી યાદ અગર નાખુદા મળે.

સૌથી પ્રથમ ગુનાની કરી જેણે કલ્પના,
સાચો અદલ તો એ જ કે એને સજા મળે.

કાઠું થયું હૃદય તો જીવનની મજા ગઈ,
એ પણ રહી ન આશ કે જખ્મો નવા મળે.

રાખો નિગાહ શૂન્યના પ્રત્યેક ધામ પર,
સંભવ છે ત્યાં જ કોઇપણ રૂપે ખુદા મળે.

– શૂન્ય પાલનપુરી

Comments (13)

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

અસત્ય કેવું અધિકૃત કરીને સ્થાપે છે
એ વાત વાતમાં તારો હવાલો આપે છે

બધું જે શુભ છે, એ સમજી લો દેન એની છે
અને અશુભ બધું મારા-તમારા પાપે છે

હવે તો તાજું ગઝલમાં કશુંક લઈ આવો
હજીય ઘરને જલાવીને કોઈ તાપે છે

કલમ, ને શાહી, ને ખડિયા ને કાગળો મારા
પરંતુ શબ્દ ‘સહજ’ એમના પ્રતાપે છે.

– વિવેક કાણે ‘સહજ’

ખાલી ચાર જ શેરની ગઝલ પણ ચારેચાર શેર જાણે મકાનના ચાર પાયા… એકેય હલાવી ન શકાય એવા નક્કર… આજે મોટા ભાગના ગઝલકારો (મારા સહિત) સારા શેરની વચ્ચે ફસાઈ ગયેલા એક-બે નબળા શેર કાઢી-કાપી શકતા નથી પણ વિવેક કાણેની આ ખાસિયત છે કે એ કશું નબળું ચલાવી લેતા નથી…

Comments (11)

ગઝલ – ડૉ. કેતન કારિયા

હવા સ્પર્શ જ્યારે કરે છે ત્વચાને,
ત્વચા જેટલું સુખ મળે છે હવાને !

સખત તાપ, વરસાદ, ઠંડક છતાં પણ,
ગગન ખુદ અડી ક્યાં શક્યું છે ધરાને !

ઘણા સાંભળીને મજા પણ કરે છે,
ન સસ્તી બનાવો તમારી વ્યથાને.

ભલે જિંદગીભર તરસતાં રહે પણ,
અહીં સૌ છલોછલ ભરે છે ઘડાને !

અપેક્ષા કરે લોક દુનિયા હું બદલું,
શરત એમ રાખે ન બદલું પ્રથાને !

બન્યો જ્યારથી હું પિતા દીકરીનો,
નથી ક્યાંય શોધ્યો પછી મેં ખુદાને.

– ડૉ. કેતન કારિયા

પાણીદાર ગઝલ…

Comments (18)

સૂની હવેલી છે – રમેશ પારેખ

હું જ્યાં વસું છું એ એવી સૂની હવેલી છે,
ભીંતોની જેમ હવા સ્તબ્ધ થઈ ઊભેલી છે.

શ્વેત કાગળનું સરોવર અવાક્ ઊભું છે,
બબડતી આંગળી કાંઠા ઉપર ઝૂકેલી છે.

કશું બચ્યું નથી ચારે દિશાના હોવામાં,
તમામ માર્ગને શેરી ગળી ગયેલી છે.

પ્રકાશ એટલે અંધારું માત્ર અંધારું,
આંખમાં દ્રશ્યની અફવા ઊડી રહેલી છે.

નનામો પત્ર લખું છું મને હું એવો કે-
‘તું પીવે છે તે નદીઓ તો ચીતરેલી છે.’

છે,પથ્થરોથી સખત છે આ શાહીનું ટીપું,
પીડાની મૂર્તિઓ કંડારવી ક્યાં સહેલી છે ?

ખબર નથી શું લખાશે બચેલા હિસ્સામાં,
મેં કોરા કાગળે મારી સહી કરેલી છે.

-રમેશ પારેખ

Comments (8)

ગઝલ-ખલીલ ધનતેજવી

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,
થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,
ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,
પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

-ખલીલ ધનતેજવી

Comments (9)

તરસતો ગયો છું – ડૉ. મનોજ જોષી ‘મન’

તરસતો ગયો છું, કણસતો ગયો છું,
હું અંદરથી એમ જ વિકસતો ગયો છું.

સતત જાણી જોઈ લપસતો ગયો છું,
તમારા તરફ એમ ખસતો ગયો છું.

બધા કારણો શોધવામાં રહ્યા, બસ !
હું જ્યાં પણ ગયો ત્યાં અમસ્તો ગયો છું.

વિચારો બનીને તપ્યો, ઓગળ્યો હું,
પછી શબ્દ થઈને ઉપસતો ગયો છું.

હવે ભોગવીશું પરિણામ બંને,
તમે ગાંઠ વાળી, હું કસતો ગયો છું !

– ડૉ. મનોજ જોષી ‘મન’

Comments (24)

હું મારી આસપાસ – હરિકૃષ્ણ પાઠક

હું મારી આસપાસ દીવાલો ચણ્યા કરું ;
ને બારણાં ને બારીઓ પછી ગણ્યા કરું.

શબ્દો સકળ છે એક વ્યર્થ અર્થથી ભર્યા ;
એ જાણતો છતાંય વાતમાં વણ્યા કરું.

સ્વપ્નો નિહાળવાની ટેવ તો રહી નથી;
જાગું છું એમ વ્હેમથી ત્વચા ખણ્યા કરું.

આ રાત ને દિવસ બધુંય એક છે છતાં
પાડીને એના ભેદ કાળને ગણ્યા કરું.

આશાનાં ફૂલ કોક સવારે ખરી પડે,
તો રાત નો ઉજાગરો કદી લણ્યા કરું.

-હરિકૃષ્ણ પાઠક

Comments (6)

ગઝલ – પ્રણય જામનગરી

સમજી નહીં સમજાય એવી ચાલ હોય છે,
એ આપણા, આ મનને કદી ખ્યાલ હોય છે !

મૂંગા રહીને સાંભળે તેઓ સુખી રહે,
અહીં તો બધાના સ્કંધ પર વૈતાલ હોય છે.

માણી નથી શકતા કદી; એ સ્હેજ આજને,
ઘૂમરાતી જેના મન મહીં ગઈ કાલ હોય છે.

વેરાનમાંય વસ્તી એ ઊભી કરી શકે,
આ શબ્દ પણ સાચે અહીં કમાલ હોય છે.

સહેલાઈથી એ પણ નથી ઊકલી જતો અહીં,
ને સાવ નાનો આમ તો સવાલ હોય છે.

સહેલાઈથી ઓળંગવી મુશ્કેલ છે અહીં,
આ પંથમાં લાખો, ‘પ્રણય’ દીવાલ હોય છે.

– પ્રણય જામનગરી

બધા જ શેર પાણીદાર…

Comments (5)

ગઝલ – અરુણ દેશાણી

ફળિયું-ગલી-નિશાદ-થીજેલી પીળી પળો,
ઓછપ-હવેલી-દ્વાર-અભાવોની સાંકળો.

દિવસો-વિહંગ-નીલ ગગન પાંખ-ફડફડાટ,
દિવસો-દીવાલ-બિંબ-નર્યા ખાલી મૃગજળો.

પીંછા-અજંપો-સાંજ-પ્રતીક્ષા-અવાક્ લય,
ટહુકો-મરણ-હથેળી-રેખા સ્વપ્ન વાદળો.

રૂમાલનાં પતંગિયાં-વરસાદનાં સ્મરણ,
ફૂલોના પ્રેમપત્ર ઉપર બાઝે ઝાકળો.

રેતી-વમળ-વહાણ-કિનારાની… સ્તબ્ધતા,
લિખિતંગ અટકળોથી લખાયેલા કાગળો.

– અરુણ દેશાણી

ભાવનગરના કવિ અરુણ દેશાણીનું આજે દેહ-નિધન થયું. પણ કવિ કદી મરતો નથી. એ જે એક્ષર કાગળ પર પાડે છે એ એને અ-ક્ષર કરી મૂકે છે… શબ્દ-ગુચ્છોની વચ્ચે મૂકેલા ‘ડેશ’ વડે આખી ગઝલમાં એક નિઃસ્તબ્ધતાનો ભાવ ઘુંટાતો અનુભવાય છે. બે શબ્દોની વચ્ચેના આ ડેશ જાણે આપણા ખાલીપાનો આકાર ન હોય એમ ભોંકાય છે… આખી ગઝલ વાંચીએ ત્યારે મન ભારઝલ્લું બની રહે છે… બધા જ શેર આપણી શૂન્યતા અને અવાકતાને ચાબખા મારતા હોય એવું અનુભવાય છે…

લયસ્તરો ટીમ તરફથી કવિશ્રીને હાર્દિક શબ્દાજંલિ !

Comments (5)

ગઝલ – કુમાર જૈમિની શાસ્ત્રી

અશ્રુ એ પુરવાર કરતાં હોય છે,
આંખમાં સાચી સભરતા હોય છે.

કોઈના અનુરોધ પર નિર્ભર નથી,
પુષ્પ આપોઆપ ઝરતાં હોય છે.

છીછરું જળ હોય કે ઊંડો ધરો,
મત્સ્ય સાંગોપાંગ તરતાં હોય છે.

જે નથી ચાલી શક્યા મંઝિલ તરફ,
હસ્તરેખામાં વિચરતા હોય છે.

ઊર્ધ્વતા બસ હોય છે શિખરો સુધી,
સૌ પછી નીચે ઉતરતાં હોય છે.

–કુમાર જૈમિની શાસ્ત્રી

બધા જ શેર સરસ થયા છે પણ પુષ્પ અને હસ્તરેખાવાળા બે શેર ઊંડું મનન માંગી લે એવા મજાના થયા છે….

Comments (10)

આજકાલ – યોગેશ પંડ્યા

શૂન્યતા જ્યાં વિસ્તરે છે આજકાલ,
દર્દ-ગમ ડૂસકાં ભરે છે આજકાલ.

એક તારી યાદનું વળગણ રહ્યું,
જે થકી આ દિલ ઠરે છે આજકાલ ?

વાયરો ફૂંકાય છે Romanceનો,
કોણ કોનાં દિલ હરે છે આજકાલ ?

કો’કની મીઠી નજરનું લક્ષ્ય છો,
કો’ક તારા પર મરે છે આજકાલ !

ભીંતને પણ ન્હોર વાગ્યા ઉમ્રના,
પોપડા કેવા ખરે છે આજકાલ !

શક્ય હો તો સાચવી લે કોઈ સ્મરણ,
કોણ સહારા વિણ તરે છે આજકાલ ?

– યોગેશ પંડ્યા

Comments (6)

ગઝલ – મુકુલ ચોક્સી

વસંતતિલકામાં હસવાનું ને મુત્કારિબમાં રડવાનું,
હવે ફાવી ગયું સરિયામ છંદોલયમાં જીવવાનું.

આ બોગનવેલને દરરોજ હસવું આવે છે શાનું ?
હવે ક્યાં થાય છે સાથે ઊભા રહીને પલળવાનું ?

ભલે દુર્ભાગ્ય હોવાનું છતાં સદભાગ્ય કહેવાનું,
કે લકવાગ્રસ્ત હાલતમાં કોઈ ઝરણાને જોવાનું.

અચાનક આપણું મૃત્યુ તો કેવળ હોય છે બહાનું,
વીતેલી જિન્દગી સન્માનપૂર્વક યાદ કરવાનું.

– મુકુલ ચોક્સી

આદિલ સાહેબ લખી ગયા કે રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! પણ આજે આ ભીંત થોડી વધુ આગળ વિસ્તરી ગઈ છે…  વ્યવસાય, મકાનો અને ગાડીઓના કારણે મારા જેવા ઘણા બધાના નસીબમાંથી તો પલળવાનો એકડો જ નીકળી ગયો છે.  અને એમાંય સાથે પળળવાની વાત? જાવેદ અખ્તર સાહેબ યાદ આવે છે: तब हम दोनों वक्त चुरा कर मिलते थे, अब मिलते हैं जब भी फुरसत होती है | પછી બિચારી બોગનવેલ હસે નહીં તો શું કરે?

Comments (4)

રંગીન પરપોટા થયા – ગની દહીંવાળા

અટકી અટકી શ્વાસના કટકા થયા,
હેડકીના ઓરતા પૂરા  થયા.

ભ્રમ કશા રવનો થયો સૂનકારને,
સ્થિત સમયના કાન પણ સરવા થયા.

ચિત્તમાં ઓસાણ શું કંઈ ફરફર્યું,
ડાળે બેઠાં પંખીઓ ઉડતાં થયાં.

ઊંઘમાંથી બાળ ચમકે એ રીતે,
પોપચાં એકાંતના ઊંચા થયાં.

રોમે રોમે થઈ અચાનકતા ઊભી,
નાડીના ધબકારા પણ અથરા થયા.

ડૂબીને જે શ્વાસ લીધા’તા અમે,
એના આ રંગીન પરપોટા થયા.

આછું આછું ઓગળ્યા તો યે ‘ગની’,
ના ચણોઠીભાર પણ ઓછા થયા.

– ગની દહીંવાળા

મીણના ટાંકણાના માલીક ગનીચાચા જ મરણ વિશે આટલી કોમળ ગઝલ કંડારી શકે.

(ઓસાણ=સ્મરણ, અથરા=અધીરા)

Comments (10)

બે ભાગમાં – મનોજ ખંડેરિયા

શૂન્યતા વ્હેંચાઈ ગઈ બે ભાગમાં.
એક મારામાં અને એક આભમાં

દોસ્ત, ત્યાં પીંછાને બદલે હું જ છું
જે જગા ખાલી પડી છે પાંખમાં

કયાં ગયું છે વ્હાણ એ વિશ્વાસનું
જે મૂકયું’તું તરતું તારી આંખમાં

હસ્ત-રેખા એટલે રેતી કહો
વન ઊગ્યાં છે થોરનાં આ હાથમાં

આટલો અજવાસ કાં ભીતર ઊઠ્યો
શું લીધું તડકા સમું આ શ્વાસમાં

-મનોજ ખંડેરિયા

Comments (8)

વરસો પછી – અઝીઝ ટંકારવી

બારણે દસ્તક થયા વરસો પછી,
ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી.

એમને ભૂલા પડ્યા ના કહી શકો,
જે બધા પાછા ફર્યા વરસો પછી.

જેમને શોધ્યા કર્યા વરસો સુધી,
એ જ ઉંબર પર મળ્યાં વરસો પછી.

આમ તો પથ્થર હતાં ને તે છતાં,
મીણ થઈને પીગળ્યાં વરસો પછી.

બે’ક ખેતરવા જ તો છેટુ હતું,
તે છતાં આજે મળ્યાં વરસો પછી.

લે ‘અઝીઝ’ સુધરી ગયું તારું મરણ,
દુશ્મનો ટોળે વળ્યા વરસો પછી.

– અઝીઝ ટંકારવી

Comments (11)

આખરી વેળાનું – રાજેન્દ્ર શુક્લ

આખરી વેળાનું આ આખર પ્રસારું,
તારી ઇચ્છા છે તો લે આ કર પ્રસારું !

તું ન હો વાકેફ એવું તો નથી કંઈ,
તે છતાં તારી કને ભીતર પ્રસારું !

તું કહે તો લે સકળ સંકોચ છોડું,
તું કહે તે રીતે સચરાચર પ્રસારું !

તું તો આપે પણ બધું હું ક્યાં સમાવું ?
જર્જરિત ઝોળી સમો અક્ષર પ્રસારું !

તું કદી આવે તો આસન શું બિછાવું !
ઝાંખી ઝાંખી આંખનો આદર પ્રસારું !

હા, અપેક્ષા વિણ અહીં આવી ચડ્યો છું
એ ન હું કે દર-બ-દર ચાદર પ્રસારું !

એક વીતી ક્ષણ ફરી આપી શકે તું
હું ફરીથી એનો એ અવસર પ્રસારું !

ઓગળી અતિ આવરું છું આ પ્રસરવું,
શૂન્ય લગ જો એક ક્ષણનું ઘર પ્રસારું !

-રાજેન્દ્ર શુક્લ

એક મજાની ગઝલ… જેટલી વધુ મમળાવો એટલી જ વધુ મીઠી લાગશે…

Comments (6)

ના જોઈએ – ગુણવંત ઉપાધ્યાય

નામની આગળ અને પાછળ કશું ના જોઈએ,
એ બધું છે કેટલું પોકળ, કશું ના જોઈએ.

રોજ તકલાદી સમય વેંઢારવો કોને ગમે ?
તૂટવું એ કાચનું અંજળ, કશું ના જોઈએ.

જિન્દગી જુગાર મોટો, આપણું હોવું નહીં,
હારવાનું ત્યાં બને પળપળ, કશું ના જોઈએ.

અર્ધથી ઉપરાંત આંસુ ખોઈ તો બેઠા છીએ,
ખોઈ બેઠા શ્વાસ પણ ચંચળ, કશું ના જોઈએ.

એકલો બસ, એકલો ચાલ્યા કરું છું ક્યારનો,
આજ કહે છે તું કે પાછો વળ, કશું ના જોઈએ.

– ગુણવંત ઉપાધ્યાય

આમ તો બધા જ શેર મજાના અને સ્વયંસ્પષ્ટ છે પણ મને તકલાદી સમય વધુ ગમી ગયો. સમયના તકલાદીપણાને કવિએ કાચના અંજળ ગણાવીને કમાલ કરી છે. છેલો શેર પણ જેટલી વાર વાંચો, વધુ ને વધુ ખુલતો જણાય છે…

Comments (6)

ગઝલ – અરુણ દેશાણી

કોઈ તો એકાદ એવું સ્થળ હશે,
દૃષ્ટિ પહોંચે ત્યાં સુધી ઝળહળ હશે.

શું ખબર એ પંથ ક્યારે આવશે !
જળથી લથબથ જે સ્થળે મૃગજળ હશે.

જળ હશે, પથ્થર હશે, વાદળ હશે,
હોવું પણ હોવાનું કેવળ છળ હશે.

સૂર્યની છાયા ભલેને ના મળે !
લોહીમાં અજવાસની સાંકળ હશે.

સંચરો ભાથાં લઈને કર્મનાં,
એ જ તો બસ આપણાં અંજળ હશે.

-અરુણ દેશાણી

હોવાની વિધાયક શક્યતાઓને ઉજાગર કરતી ગઝલ…

Comments (4)

અસંખ્ય ઝાંઝવા – રમેશ પારેખ

અસંખ્ય ઝાંઝવા ઘરની હવામાં ભટકે છે,
પછીથી હાથની રેખા બનીને અટકે છે.

હવે આ વૃક્ષને કેવી રીતે હું વૃક્ષ કહું ?
વસંત ડાળીએ બેસે તો ડાળ બટકે છે !

ઉઘાડી આંખમાં છલકે અસંખ્ય શમણાંઓ,
ભીડેલી પાંપણો વીંધી તમામ છટકે છે.

મરણગતિએ મળી લઈએ એકબીજાને-
એક ઘરમાં બે ખંડની જુદાઈ ખટકે છે.

દીવાલ જેવી સલામત જગાઓ શોધીને,
જુઓ, બધાં જ છબીમાં નિરાંતે લટકે છે.

– રમેશ પારેખ

આ ગઝલના ત્રણ શેર પહેલા પણ ખબર હતા. આજે અચાનક આખી ગઝલ હાથ લાગી ગઈ. ર.પા.ના શબ્દચિત્રોની વાત જ અલગ છે. ઝાંઝવા એમના ગીત અને ગઝલ બન્નેમાં વારંવાર આવે છે. અહીં તો ઘરની હવામાં ભટકતા ઝાંઝવાની કલ્પના એક જ લસરકે અતૃપ્ત ઈચ્છાઓની આખી ભૂતાવળને તાદૃશ કરી દે છે. એ પછી એ અતુપ્ત ઈચ્છાઓનું ‘લેંડિગ’ કવિ હાથની રેખાનોના ‘રન વે’ પર કરાવે છે. અપ્રાપ્ય ભવિષ્યમાં કેદ સઘળી અતૃપ્ત ઈચ્છાઓ ! પાનખરનો ભાર ઝીલી જતું વૃક્ષ વસંતનો ભાર જીરવી શકતું નથી. દિવસે જે સપના કનડે છે એ બધા રાત્રે ઊંઘને સૂનકાર કરીને છટકી જાય છે. ત્રીજા શેરને ઊંચે લઈ જતો શબ્દ છે – મરણગતિ. આ મરણગતિ એટલે શું ? મરણગતિ એટલે મરણની જેમ, એટલે કે એકવાર મળીએ તો પછી કદી છૂટા ન પડે એવું મિલન. પણ આવા મિલન માટેના બીજા બધા શબ્દોને બદલે આ શબ્દ વાપરીને કવિ શેરને કાળીમેશ ધાર કાઢી આપે છે. ને છેલ્લા શેરમાં, નિરાંત જોઈતી હોય તો દીવાલ પરના ફોટામાં જ મળશે એવો ટાઢો ડામ હળવી ભાષામાં આપીને કવિ ગઝલ પૂરી કરે છે.

Comments (12)

ગઝલ – હરીન્દ્ર દવે

બેચેન છે વસંત ને લાચાર પાનખર,
ડાળીનો ફૂલ પરથી ભરોસો ઊઠી ગયો.

બેચાર જળનાં બુંદ સમાયાં વરાળ થૈ,
વાતાવરણમાં ભાર હવાનો વધી ગયો.

આગળ હતી વસંતની માદક હવા, છતાં,
હું પાનખરનાં દેશમાં પાછો ફરી ગયો.

આજે મિલનમાં કેવી ઉદાસી વધી ગઈ,
લ્યો, આપણો પ્રણય તો વિરહમાં રહી ગયો.

-હરીન્દ્ર દવે

Comments (9)

મારા વડે – ‘અગમ’ પાલનપુરી

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?

દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?

કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?

આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !

બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?

– ‘અગમ’ પાલનપુરી

અસ્તિત્વના પડળોને ખોલવાની મથામણ કરતી મજાની અર્થગંભીર ગઝલ… પણ અસ્તિત્વની શોધ એટલે સરવાળે તો ‘અગમ’ પ્રશ્નાર્થ જ ને !

Comments (4)

ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

પ્રપંચ-ખટપટ-રમત નિરંતર,
રમે-રમાડે જગત નિરંતર.

ઘણુંય વ્હાલું બધું છતાંયે,
કહો, ખરેખર ગમત નિરંતર ?

ઊભો રહ્યો તું, ગુન્હો જ તારો,
વહ્યા કરે છે વખત નિરંતર.

કદીક બાહર કદીક અંદર,
કદી ન અટકી લડત નિરંતર.

અમૂલ્ય જે કૈં અહીં જગતમાં,
તને મળ્યું છે મફત નિરંતર.

સતત ભક્તની થતી કસોટી,
સુખી રહ્યા બગભગત નિરંતર.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (8)

કવિ V/s કવયિત્રી : ગઝલ V/s ગઝલ

લયસ્તરો પર કોઈ કૃતિ પ્રકાશિત થઈ હોય અને એના અનુસંધાનમાં કોઈ અગત્યની સાહિત્યિક ઘટના બને અને કૃતિના સર્જક સંપાદકો પાસે દાદ માંગે ત્યારે પીછેહઠ કરવાના બદલે એ ઘટનાને યોગ્ય પ્રકાશમાં લાવવું એ લયસ્તરોની નૈતિક ફરજ બની રહે છે… લયસ્તરોના ચારેય સંપાદકમિત્રોએ પરસ્પર સવિસ્તૃત ચર્ચા કર્યા બાદ અમે આ ગઝલોનો જાહેર ઘટનાક્રમ અહીં મૂકીએ છીએ…

ન તારી ન મારી નથી કોઈની પણ,                  ન તારી, ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.               દશા સાવ સારી, નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,                              બધા જિન્દગીને ગળે લઈ ફરે છે,
દશા એકધારી નથી કોઈની પણ.                             અને એ ધુતારી, નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,                           અધૂરી ખુશીની યે ચૂકવી છે કિંમત,
ફૂલોની પથારી નથી કોઈની પણ.                           અમારે ઉધારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,                         કરોડો સૂરજથી ઉજાગર છે હૈયું,
અને એ ધુતારી નથી કોઈની પણ.                     અહીં એ ખુમારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,                            અહીં સ્વપ્ન તૂટે જ, તેથી જ રાતો
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.                        પ્રભુએ વધારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’                                    – દિવ્યા રાજેશ મોદી

આ બે ગઝલમાં હાઇ-લાઇટ કરેલા બે શેરની સમાનતા જોઈ?

ડૉ. મનોજ જોશીની આ ગઝલ લયસ્તરો પર (https://layastaro.com/?p=6842)13 જુલાઈ, 2011ના રોજ મૂકવામાં આવી હતી. એ અગાઉ આ ગઝલ શ્રી રશીદ મીર સંપાદિત ‘ધબક‘ સામયિકમાં ડિસેમ્બર, 2009માં પ્રકાશિત થઈ ચૂકી હતી.  દિવ્યા રાજેશ મોદીની આ ગઝલ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન સંપાદિત ‘ગઝલવિશ્વ‘માં ડિસેમ્બર, 2011ના અંકમાં પ્રકાશિત થઈ.  અને દિવ્યાની આ જ ગઝલ શ્રી પ્રવીણ શાહના બ્લૉગ ‘ગુર્જર કાવ્ય ધારા‘ (http://aasvad.wordpress.com/2012/05/30/d-310/) પર ત્રીસમી મે, 2012ના રોજ પુનઃપ્રકાશિત થઈ.

Comments (60)

વંચાતો નથી ! – દક્ષા બી. સંઘવી

ફૂલ ખરવું આમ તો ઘટના સહજ;
ડાળથી વિચ્છેદ, વંચાતો નથી !

પ્રેમ જેવા પ્રેમની બેઠી દશા;
શબ્દમાં છે કેદ; વંચાતો નથી !

નાવડીનું ડૂબવું નક્કી હવે;
એક નાનો છેદ; વંચાતો નથી !

આયનાની બા’ર-અંદર-બા’ર છું,
છે જરા શો ભેદ; વંચાતો નથી !

છોડવાથી એમ ક્યાં છૂટે કશું,
આંખમાં નિર્વેદ વંચાતો નથી !

– દક્ષા બી. સંઘવી

આમ તો આ ગઝલમાં મત્લા ગેરહાજર છે પણ બાકીના બધા જ શેર એટલા પાણીદાર થયા છે કે આ ગઝલ લયસ્તરોના વાચકો સાથે share કરવાની લાલચ રોકી શકતો નથી…

Comments (6)

ગઝલ – મોના નાયક ‘ઊર્મિ’

પ્રથમ ખૂલ્લી આંખે એ સપના ગણે છે,
પછી સ્વપ્નમાં આવી ચૂંટી ખણે છે.

આ માણસ અજાયબ ને અવળુ ભણે છે,
ફસલને નહીં, વાવણીને લણે છે.

નથી હોશ એને કે ગૂંગળાઈ જાશે…
એ બારી વિનાની ઈમારત ચણે છે.

વચન આપીને પણ ક્યાં આવે છે એ, સૈં !
છતાંયે સતત પગરવો રણઝણે છે.

વિના કારણે પહેલા વિખરાઈ જાશે,
પછી એ સમેટીને ખુદને વણે છે.

ગજબનું નગર છે, ગજબના છે માણસ,
જે અંતરનાં સગપણને વળગણ ગણે છે!

લખે છે, ભૂંસે છે, ફરીથી લખે છે…
આ રીતે એ મનનાં તમસને હણે છે.

ઘડીભરમાં સ્થાપે, ઘડીમાં ઊથાપે,
સતત મારી ઊર્મિઓ સમરાંગણે છે.

– મોના નાયક ‘ઊર્મિ’

લયસ્તરોના સહસંપાદિકા મોના નાયક તથા એના જીવનસાથી ચેતનને સફળ દામ્પત્યજીવનના સોળ પગલાં પૂર્ણ કરવા બદલ લયસ્તરો તરફથી હાર્દિક અભિનંદન !

લગભગ બધા જ શેર સરસ થયા છે પણ મને મનનું તમસ હણવાની વાત અને પગરવના રણઝણવાની વાત વધુ ગમી ગઈ…

Comments (34)

હતી – લક્ષ્મી ડોબરિયા

એક ઝીણી ક્ષણ મને વાગી હતી !
મેં મુલાયમ વેદના માંગી હતી !

હાથતાળી આપશે નો’તી ખબર
મેં સમયની ચાલને તાગી હતી !

આંગળી મેં શબ્દની પકડી અને
રેશમી સંવેદના જાગી હતી !

મેં વિષાદી સાંજને ચાહી જરા
તો ઉદાસી રીસમાં ભાગી હતી !

લાલસા તેં હૂંફની રાખી અને
મેં અપેક્ષા સ્નેહની ત્યાગી હતી !

એટલે સપનાં ફરી આવ્યા નહીં
પાછલી આ રાત વૈરાગી હતી !

લાગણી થૈ ગઈ હરણ, ને એ પછી
પ્યાસ મૃગજળની મને લાગી હતી !

– લક્ષ્મી ડોબરિયા

એક મજાની ગઝલ, મારી જરાય નોંક-ઝોંક વિના !

Comments (8)

નથી જો લાગણી તો શું થયું? – હિમાંશુ ભટ્ટ

નથી જો લાગણી તો શું થયું ? વ્યવહાર રહેવા દો.
હૃદયના ખાલીપાનો કોક તો ઉપચાર રહેવા દો !

સદા વર્તુળમાં બેસીને તમે શોધો છો ખૂણાઓ,
કશું ખોયા કરો છો આપ વારંવાર, રહેવા દો.

બધાની શક્યતાઓમાં છૂપેલી અલ્પતાઓ છે,
હંમેશા માન્યતાઓથી તમે તકરાર રહેવા દો.

તમન્નાઓ જુઓ દેખાય છે ઝાલર બની આંખે,
અને સંભળાય છે બસ એક-બે ધબકાર, રહેવા દો.

નિખાલસ સ્મિત હોઠો પર ને આંખે હેતનું કાજળ,
તમારા એજ છે કામણ સખી, શણગાર રહેવા દો.

સફળતા જો ગગન ચૂમે ને રહેવું હો આ ધરતી પર,
જીગર પર કોકનો હરદમ તમે ઉપકાર રહેવા દો.

હિમાંશુ ભટ્ટ

હિમાંશુભાઈની કેટલીક ગમતી ગઝલોમાંની મારી એક પ્રિય ગઝલ.  બધા શેર ખૂબ જ ગહન અને સુંદર થયા છે… એક તરફ સખીનાં શણગારવાળા શેર પર આપોઆપ આફિન થઈ જવાય છે તો બીજી તરફ સફળતાથી છકી ન જવાય એ માટેની કવિની સલાહ પણ પરાણે ગમી જાય એવી છે.   લગભગ ચારેક વર્ષ પહેલા આ ગઝલ હિમાંશુભાઈએ એમના કાવ્યપઠન સાથે ગાગરમાં સાગરની બીજી વર્ષગાંઠની ઉજવણી વખતે મોકલાવી હતી… એ જરૂરથી સાંભળશો. (હવે બીજી નવી નક્કોર ગઝલો મોકલવાનો સમય થઈ ગયો છે, હિમાંશુભાઈ! 🙂 )  કવિનાં સ્વમુખે એમની જ ગઝલનું કાવ્યપઠન સાંભળવું, એ પણ એક ખૂબ જ મજાનો લ્હાવો છે.  આની સાથે મને એમની એક ગઝલનો અમર થવાને સર્જાયેલો મારો એક ખૂબ જ પ્રિય શેર યાદ આવે છે – ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.

Comments (10)

અડધો ઊંઘે… – મનહર મોદી

અડધો ઊંઘે અડધો જાગે;
એ માણસ મારામાં લાગે.

એક જ વિચારો કાયમ આવે,
એકાદોયે કાંટો વાગે.

આ પડછાયો તે પડછાયો,
અહીંથી ત્યાંથી ક્યાં ક્યાં ભાગે!

બાર બગાસાં મારી મૂડી,
ગણું નહીં તો કેવું લાગે?

આ ઘર તે ઘર ઘરમાંયે ઘર,
માણસ માણસ માણસ લાગે.

એક મીંડું અંદર બેઠું છે,
એ આખી દુનિયાને તાગે.

હું ક્યાં? હું ક્યાં? શબ્દ પૂછે છે,
અર્થો કહે છે: આગે આગે.

– મનહર મોદી

પોતાની જાતના તદ્દન બરછટ વર્ણનથી ગઝલની શરૂઆત થાય છે. જાગૃતિ અને નિદ્રાના મિશ્રણ તરીકે પોતાની ઓળખ કરાવીને પછી કવિ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે: એકાદ કાંટો વાગે તો મન હવે પુરું જાગી ઊઠે. પડછાયો તો બધે પડવાનો જ છે. એનાથી ભાગવાની કોઈ જરૂર (કે ફાયદો) નથી. બાર બગાસાં… જગતને સમજતા આવતા જતા આવતા કંટાળાની વાત છે કે પછી ‘બાર બગાસાં’ જેવો મનમોજી પ્રયોગ કરવાની લાલચ કવિ જતી નથી કરી શકતા? 🙂  એક તરફ ઘર ને માણસથી ઘેરાવાની વાત છે તો બીજા શેરમાં શૂન્યની શક્તિની વાત છે. અર્થ કવિને એમના શબ્દને ઊંચાને ઊંચા મુકામ સુધી લઈ જવા ઉશ્કેરે છે એ કલ્પના જ એકદમ મઝાની છે.

Comments (3)

વેદનાનાં વારિ – દિલીપ પરીખ

સ્નેહના સાગરમાં હું એથી જ ડામાડોળ છું,
તેં દીધેલી વેદનાનાં વારિથી તરબોળ છું !

આભને ધરતી જેના વિસ્તારને ઓછાં પડે,
હું પ્રચંડ એવા પ્રણયના વેગનો વંટોળ છું !

આમ મારો ચહેરો ફિક્કો ફિક્કો દેખાતો ભલે,
લાગણીની ક્ષણ મહીં નીરખો તો રાતોચોળ છું !

પ્રેમમાં તું તો સભર છે ઊર્મિની ઉષ્મા વડે,
શું કરું કે લાગણીમાં હું જ ટાઢોબોળ છું !

– દિલીપ પરીખ

સૌ ભાવકોને આ ગઝલના ગુણ-દોષની મુક્ત મને ચર્ચા કરવા આમંત્રણ છે.

છેલ્લા શેરનું આત્મનિરીક્ષણ ધ્યાન ખેંચે તેવું છે – પ્રેમ અનુભવવા માટેની એક અનિવાર્ય પૂર્વશરતની વાત છે. પહેલો શેર મને બહુ ન ગમ્યો-શબ્દોની રમત લાગી.

Comments (8)

આપના હાથમાંથી – ભરત ભટ્ટ ‘તરલ’

આપના હાથમાંથી વછૂટી ગયો છું,
હું અરીસો નથી તોય ફૂટી ગયો છું.

મેં ઉલેચ્યો મને રોજ મારી ભીતરથી,
ને હું મારી જ અંદરથી ખૂટી ગયો છું.

હું અડાબીડ છું, વાંસવનમાં ઉઝરડો,
ક્યાંક બટકી ગયો, ક્યાંક તૂટી ગયો છું.

મેં મને આંતર્યો છે સખત ભીડ વચ્ચે,
ફક્ત મારાપણું સાવ લૂંટી ગયો છું.

જીવ ચાલ્યો ગયો છે મને પ્રશ્ન મૂકી,
કઈ જનમટીપમાંથી હું છૂટી ગયો છું.

– ભરત ભટ્ટ ‘તરલ’

Comments (6)

વરસાદ આવ્યો – કિસન સોસા

હું સમંદરમાં હતો ને ઝૂમતો વરસાદ આવ્યો,
પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો.

વાછટે ખૂણે ખૂણે શોધી વળ્યો અમને ધરા પર,
ને પછી દેમાર દરિયે ઢૂંઢતો વરસાદ આવ્યો.

છાતીથી ઊઠી વરાળો, આંખમાં ગોરંભ છાયો,
ડમરીની માફક ભીતરથી ઘૂમતો વરસાદ આવ્યો.

ઉમ્રની વેરાન દિશામાં ચઢી આવી ઘટાઓ,
સેંકડો ભમરાને ટોળે ગુંજતો વરસાદ આવ્યો.

આંખને ઓળખ રહી વરસાદની જન્માંતરોથી,
જ્યાં ગયો, મારું પગેરું સૂંઘતો વરસાદ આવ્યો.

– કિસન સોસા

પાણી પર વરસાદ વરસે એ કલ્પનને પાણીના હોઠોએ પાણી ચૂમતો વરસાદ આવ્યો તરીકે કવિ મૂર્ત કરે ત્યારે શબ્દની શક્તિ આગળ અને કવિની કલ્પના સામે શિશ નમાવવાનું મન થઈ જાય… બધા જ શેર મજાના થયા છે પણ છાતીમાંથી ઊઠતી વેદનાની વરાળ, આંખમાં ઘેરાતા વ્યથાના વાદળ અને આંસુના ઊભરી આવતા ઘોડાપૂરવાળો શેર કલ્પન નવું ન હોવા છતાં કવિની અભૂતપૂર્વ માવજતના કારણે ઠેઠ ભીતર સુધી સ્પર્શી જાય છે…

Comments (4)

આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અડોસરા ઝઝબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ

આજે લયનાં રાજવી કવિ શ્રી રમેશ પારેખની પુણ્યતિથિએ લયસ્તરો તરફથી એમની જ એક  ખૂબ જ લોકપ્રિય ગઝલ દ્વારા શ્રદ્ધાંજલિ…

સંગીત : ઉદય મઝુમદાર
સ્વર : ઉદય મઝુમદાર અને રેખા ત્રિવેદી
આલ્બમ : હસ્તાક્ષર

[audio:http://urmisaagar.com/saagar/audio/aa-manpaancham-na-Ramesh-Parekh.mp3]

આજે ર.પા.ના ગીતની પોસ્ટ મૂકતી વખતે ચકાસ્યું તો ખ્યાલ આવ્યો કે ર.પા. બ્રાંડની આ ગઝલ લયસ્તરોનાં ખજાનામાં હજી સુધી ઉમેરાઈ જ નહોતી…  ત્રણ વર્ષ પહેલા ટહુકો.કૉમ પર  આ ગઝલની પોસ્ટ પર વિવેકે આનો આસ્વાદ કોમેંટમાં એક વાચકનાં પ્રત્યુતરરૂપે કરાવેલો… આજે કોમેંટમાં વાચકોની ચર્ચા અને વિવેકનો એ આસ્વાદ વાંચવાની ફરી મજા આવી અને એને અહીં મૂકવાની લાલચ હું રોકી ના શકી.

વિવેક દ્વારા આસ્વાદ:

મેળો એટલે માનવસ્વભાવનો ‘મેગ્નિફાઈંગ વ્યુ’. મનુષ્ય જીવનના તમામ ભાતીગળ રંગો એક જ સ્થળે જ્યાં જોવા મળે એ મેળો. ર.પા. જ્યારે મેળા પર ગઝલ લખે ત્યારે સ્વાભાવિકરીતે જ એમાં મનુષ્યજીવનના તમામ નાનાવિધ રંગો પણ ઉપસવાના જ. અને આ તો પાછો ‘મનપાંચમ’નો મેળો. (નવા શબ્દો ‘કોઈન’ કરવા એ પણ શ્રેષ્ઠતમ કવિકર્મ જ સ્તો!)… આ ગઝલમાં ર.પા.એ મેળાની પૃષ્ઠ્ભૂમિ પર મનુષ્યજીવનના પચરંગીપણાને શબ્દોમાં આબાદ ઝીલ્યું છે. ( એ છે કવિની સ-ભાનતા!)

નકારાત્મક અને સકારાત્મક બંને રંગો આપણા જીવનમાં વારાફરતી ઉપસતા જ રહે છે. પણ કળામાં હંમેશા કાળો રંગ વધુ સ્થાન પામે છે. આપણે પણ સુખ ક્ષણિક અને દુઃખ ચિરંજીવી હોવાનું શું નથી અનુભવતા?

કોઈ સપનું લઈને આવ્યા છે તો કોઈ રાત લઈને… સપનું આમ તો રાતનો જ એક ભાગ નથી? પણ કવિ પોતાની રીતે ખૂબ સ્પષ્ટ છે. સપનું એટલે રગોનો મેળાવડો, આશા અને જિજિવિષા… જ્યારે રાતનો રંગ તો અંધારો, કાળો હોય છે…

બીજા શેરમાં કવિ અદભુત વાત લઈને આવે છે, એવી વાસ્તવિક્તા જે પચાવવી ઘણાને અઘરી થઈ પડે. ગૌતમ, મહંમદ, ગાંધી, ઈસુ, મહાવીર- કંઈ કેટલાય પયગંબરો આવ્યા અને ગયા. એમના મહાન-જીવનમૂલ્યોને સાચી રીતે સમજવાને બદલે એમના આદર્શોને આપણે આપણા વેપારનું સાધન બનાવી દીધું. દીવાલ પર કે શો-કેસમાં ચિત્રો, મૂર્તિઓ, પ્રાણીના માથાંઓ જેવા શૉ-પીસની લગોલગ જ ભગવાનની જાત-જાતની મૂર્તિઓ, ચિત્રો… ઈશ્વર આપણા માટે ભજવાનું સાધન ઓછું અને દેખાડવાનું વધારે છે. સત્ય આપણા માટે પ્રદર્શનનું વધારે અને અમલનું નહિવત્ મૂલ્ય ધરાવે છે… પયગંબરોના ઉપદેશને વેચી ખાનાર લોકોની ઔકાત કદાચ બે પૈસા આંકી એ પણ શું વધારે નથી?

ફુગ્ગો અને દોરો…. કવિ મેળામાં આગળ વધે છે પણ આ કયા ફુગ્ગા અને દોરાની વાત છે? આ આપણા આયખાની વાત છે કે આપણા તકલાદી વ્યક્તિત્વની? જીવનમાં માણસ કેટકેટલીવાર પોતે તૂટે છે અને અન્યોને તૂતતાં જુએ છે? ક્યારેક આ ફૂટવું ફુગ્ગા જેવું ધમાકાસભર હોય છે તો ક્યારેક દોરા જેવું સાવ શાંત… અને મેળાની ભીડની વચ્ચે પણ એકલા હોય એવા માણસો શું અહીં ઓછા છે? મારી દૃષ્ટિએ આ જીવનની બહુવિધતાનું સકારાત્મક ચિત્રણ છે…

આમ તો દરેક શેર આગળ વધારી શકાય… પણ મારે જે કહેવું છે તે એ કે એક જ કવિતામાં કોઈને નકારાત્મક રંગ વધુ ભાસે તો કોઈને સકારાત્મક પણ લાગી શકે… ગ્લાસ કોઈને અડધો ખાલી લાગે તો કોઈને અડધો ભરેલો… કવિતામાં મેળા જેવી જ અલગ-અલગ અર્થચ્છાયાઓ ઉપસે એજ તો કવિની કુશળતા છે ને !

Comments (12)