કર્યા સ્હેજ કવિતા સમજવાના યત્નો
દિવસ એટલા બસ મળ્યા જીવવાના
– સંજુ વાળા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિશ્વ-કવિતા

વિશ્વ-કવિતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગીતાંજલિ – પુષ્પ:૦૧: રવીન્દ્રનાથ ટાગોર (અનુ. વિવેક મનહર ટેલર)

કવિવર રવીન્દ્રનાથ ટાગોર (૦૭-૦૫-૧૮૬૧,૦૭-૦૮-૧૯૪૧)ના જન્મનું આ દોઢ શતાબ્દિ વર્ષ છે. એ નિમિત્તે એમના નોબલ પારિતોષિક વિજેતા ગીતાંજલિનો ભાવાનુવાદ લયસ્તરોના ભાવકો માટે…

tagore1

1

Thou hast made me endless, such is thy pleasure. This frail vessel thou emptiest again and again, and fillest it ever with fresh life.

This little flute of a reed thou hast carried over hills and dales, and hast breathed through it melodies eternally new.

At the immortal touch of thy hands my little heart loses its limits in joy and gives birth to utterance ineffable.

Thy infinite gifts come to me only on these very small hands of mine. Ages pass, and still thou pourest, and still there is room to fill.

– Ravindranath Tagore

 

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમૃત્ય  સ્પર્શે મારું નાનકડું હૃદય એની સીમાઓ આનંદમાં ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

-અનુ. વિવેક મનહર ટેલર

*

ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. એની ભેટ સ્વીકારવા માટે આપણા હાથ કેવા નાનકડા છે ! છતાં એની કૃપા વરસતી જ રહે છે અને આશ્ચર્ય તો એ વાતનું છે કે આવા નાનકડા વાસણમાં એ સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે સદૈવ જગ્યા રહે જ છે.. એ કદી પૂરાતી જ નથી.

Comments (19)

कोई अटका हुआ है पल शायद – ગુલઝાર (અનુ. વિવેક મનહર ટેલર)

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

दिल अगर है तो दर्द भी होगा
इसका कोई नहीं है हल शायद

राख़ को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

– गुलज़ार

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

આવે જો આ તરફ એ પગરવ તો,
ખીલવા વ્યગ્ર આ કમળ છે કદાચ.

દર્દ હોવાનું, દિલ જો હોય યદિ,
એનો ઉપચાર પણ અકળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

– અનુ. વિવેક મનહર ટેલર

SMS મારફતે આ ગઝલ મળી. મોકલનારે કવિ તરીકે સુરૈયાનું નામ લખ્યું હતું એટલે વધુ આશ્ચર્ય થયું અને ગઝલનો સાછંદ તરજૂમો પણ કરી નાંખ્યો.  પણ પછી વધુ ચોક્સાઈ માટે ગૂગલદેવતાની આરાધના કરી તો જાણ થઈ કે આ ગઝલ તો ગુલઝારની છે… હજી કોઈ મિત્રો પાસે પુસ્તકાકારે આ ગઝલની માલિકીનો વધુ સબળ પુરાવો હોય તો જણાવવા વિનંતી…

Comments (22)

હે, મિત્ર ! – અનામી – અનુ.જગદીશ જોષી

હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.

હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.

તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.

અંગત રીતે ઈશ્વરે મારા પર એટલી કૃપા અવશ્ય કરી છે કે હું કાવ્યને મારી પોતાની લાગણીઓની અભિવ્યક્તિ માની શકું તેવા ચંદ મિત્રો એણે મને આપ્યા છે…..

Comments (7)

— – સાનાઉલ હક – અનુ.નલિની માડગાંવકર

સાંજે તું આવશે તેથી
એક આખેઆખી સાંજને મેં
લાકડાના દાદરે ઊભી રાખી હતી.

રાતે તને સમય મળશે એ જાણીને
એક દિવસને ઉતાવળને બહાને
થોડીક વાતો કરી વિદાય કરી દીધો હતો.
પરોઢિયે તું પદ્મની શુભ્રતા બનશે એમ ધારીને
મેં રાતના બધા દીવાઓ
મારા હાથે જ ઓલવી નાખ્યા હતા.
અને બપોરે તું આરામથી મારી સંગિની થશે તેથી
ટેલિફોન, હોલા અને કાગડાને
મારી ચારેય હદમાં આવવાની મનાઈ કરી દીધી હતી.
અને આથમતી સાંજે તું આવશે એવા વિશ્વાસે
મેં દિવસની ઊંઘને રાતના અંધકારમાં
એક દિવસ માટે રજા આપી દીધી હતી.

– સાનાઉલ હક (અનુ.નલિની માડગાંવકર)

માનવીની મોટાભાગની conflicts અને miseries નું મૂળ- ‘આવતીકાલ’ માટે ‘આજ’ ને અવગણવી; અને ‘ગઈકાલ’ના હરખ-શોકમાં રચ્યાપચ્યા રહેવું.

Comments (5)

આવજે મિત્ર – સરજી એસિનિન

આવજે મિત્ર, ચાલો છૂટા પડીએ
ફરી ન મળીએ ત્યાં સુધી
મારા હ્રદયમાં તું વસ્યો છે;
દીર્ઘકાલથી નિયત થયેલી આ વિયોગની ઘડી
સામે પારના આપણાં પુનર્મિલનની
આગાહી આપે છે.
હવે વાત નહિ, હસ્તધૂનન નહિ
ફરી ન મળીએ ત્યાં સુધી.
શોક ના કરીશ,મિત્ર,ચહેરાને કાળો ના પડવા દે.
જીવનમાં મરવામાં કોઈ નવાઈ નથી
ને જીવવામાં પણ ક્યાં કશી વધારે નવાઈ છે !

– સરજી એસિનિન

[ નોંધ : લેનિનગ્રાદની એક હોટેલમાં આત્મહત્યા કરતાં પહેલાં લોહીથી લખાયેલું કાવ્ય]

અનેક ભાવસ્પંદનો પેદા કરે છે આ કાવ્ય. કવિનો આત્મા પોતાના શરીરને ઉદ્દેશીને સમગ્ર વાત કરે છે ? કે પછી કવિ કોઈ ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને આ સંદેશ છોડી જાય છે ?- …..જે કંઈ પણ હોય-કાવ્યમાં મૂળભૂત રીતે એક પરિપક્વતાનો-એક અમર આશાનો સૂર છે,અને છેલ્લા વાક્યમાં જે એક આઘાત છે તે ખરું કવિકર્મ છે-ખરો સંદેશ છે. why to live ? for what to live ?-આ પ્રશ્નો ઘણા exsistentialist વિચારકો દ્વારા ચર્ચાયા છે,પરંતુ અહીં જુદી વાત છે – જીવવામાં મરવા કરતાં ક્યાં કશી ખાસ વધારે નવાઈ છે ? – જીવન-મૃત્યુના દ્વન્દ્વને અતિક્રમીને વિચારવાની વાત છે. [ અહી ‘નવાઈ’ માટે મૂળ કયો રશિયન શબ્દ પ્રયોજાયો હશે અને તેનું શાબ્દિક ભાષાંતર નહિ પણ ભાવનાત્મક ભાષાંતર શું હશે તે જાણવું મહત્વનું છે.] વળી આ કોઈ ઠાલી શબ્દોની રમત નથી-આત્મહત્યા પૂર્વેનું લોહીથી લખાયેલું નિવેદન છે. એક તીવ્ર વિચારવમળ પ્રારંભી જતું કાવ્ય…..

Comments (5)

સ્વર્ગ – કિમ ચિ હા (અનુ. વિષ્ણુ પંડ્યા)

અન્નનો
એક કોળિયો
એ જ તો છે સ્વર્ગ !
સ્વર્ગમાં તમે
નથી જઈ શક્તા, સાવ એકલા.
એવું જ મુઠ્ઠી ધાનનું છે
તે વહેંચીને ખાવું પડે છે
એટલે તો તે છે સ્વર્ગ સમાન !

જેમ આકાશી તારા
પ્રકાશે છે એકમેકની સંગાથે
અનાજ પણ એમ દીપે છે
સાથે આરોગવાથી.

અનાજ છે સ્વર્ગ.
જ્યારે તે ગળામાંથી પાર થઈ
પહોંચે છે શરીરના કણ સુધી
સ્વર્ગ તમારા દેહમાં વસે છે.

હા, અનાજ છે સ્વર્ગ.

– કિમ ચિ હા (કોરિયા)
(અનુ. વિષ્ણુ પંડ્યા)

કોરિયાના આ કવિની જિંદગી આઝાદ હવામાં વીતી એના કરતાં વધારે જેલમાં વીતી છે. સરકાર સામે થવાના કારણે એને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી જે પછીથી લોક-વિદ્રોહને માન આપીને રદ કરી એમને આઝાદ કરવામાં આવ્યા. પણ જ્યારે એમણે સરકારના દમન અંગે વિધાન કર્યા ત્યારે એમને ફરીથી આજીવન કારાવાસમાં નાંખી દેવાયા. એમણે ‘આત્માનું જાહેરનામું’ કવિતા લખી એ પછી તો એમને એકાંતવાસમાં પણ ખદેડી દેવાયા… કોરિયામાં એ આગ અને શોણિતના કવિ તરીકે જાણીતા છે.

ભૂખમરા અને સત્તાવાદથી પીડાતા કોરિયન લોકો માટેની કવિની વેદના આ કાવ્યમાં ઉપસી આવી છે. અન્નનો કોળિયો જ ખરું સ્વર્ગ છે પણ એ સ્વર્ગ સહિયારું હોય તો જ… અન્ન બ્રહ્મ છે અને સહનૌભુનકતુની આપણી આદિ સંસ્કૃતિ સાથે પણ આ વાત કેવો મેળ ખાય છે !!

Comments (8)

(મારું હૃદય) – ડોરથી લાઇવસે (અનુ. શીરીન કુડચેડકર)

મારું હૃદય તાર પર તણાયું છે
તંગ, તંગ.
નાની અમથી લહેરખી
ભલે મંદમંદ
મૂકી શકે કંપ.
તારો કેવળ એક શબ્દ
ગમે તેટલો હળવો,
તેને નંદવી શકે…

– ડોરથી લાઇવસે
(અનુ. શીરીન કુડચેડકર)

કવિતા ખરેખર શું છે એની પ્રતીતિ આવી કવિતા વાંચીએ ત્યારે જ થઈ શકે. કેટલું નાનું અમથું કાવ્ય પણ કેટલું વિશાળ ફલક!! કેનેડિયન કવયિત્રી હૃદયને તાર પર તણાયું છે કહ્યા પછી જે રીતે તંગ તંગની પુનરુક્તિ કરે છે એમાં તંતુવાદ્યના તણાયેલા તાર ચાક્ષુષ પણ થાય છે અને એનો રણકાર સંભળાય પણ છે. કવિતાનો એક જ શબ્દ આ રીતે જે ઇન્દ્રિયવ્યત્યય કરી શકે છે એ જ કવિતાની ખરી તાકાત છે…

Comments (8)

સાથી – ડૉરથી લાઇવસે (અનુ. શારીન કુડચેકર)

ફક્ત એક વાર હું તારી સાથે સૂતી હતી,
કદી જાણ્યો નથી એવાં શયન અને પ્રેમ
માધુર્યથી ભર્યાભર્યાં, પાછળથી સહેજે કડવાશ વિનાનાં
મારે માટે તે પહેલો જ અનુભવ હતો અને આટલી સુંવાળપથી
કોઈ ફૂલની પાંદડીઓને ઉઘાડી શક્યું ન હોત, ફૂલ ખીલી શક્યું ન હોત
તારા હાથ મારા પર દ્રઢ હતા, નિર્ભય
હું પડી હતી ઘેરાયેલી શાંત આનંદમાં-
ત્યાં એકાએક મારામાં ફુવારો જાગ્યો.
મારા પ્રિય, વર્ષો વીત્યાં છે, આપણે પ્રૌઢ બન્યાં છીએ
ઝડપથી, પોતપોતાની રીતે પોતપોતાના પ્રયત્ને.
હું તેને જોઉં છું ત્યારે જોઉં છું એક વૃદ્ધ પુરુષ.
સ્વપ્નો વિનાનો, રોજીરોટી વિનાનો, ઓવરકોટ વિનાનો,
પણ એક જ સંઘર્ષમાં જકડાયેલાં આપણે આવ્યાં છીએ નિકટ ને નિકટ
આપણા દેહ હજી એકમેકના આલિંગનમાં હોત તેથી વિશેષ

– ડૉરથી લાઇવસે
(અનુ. શારીન કુડચેકર)

પ્રેમનું અંતિમ લક્ષ્ય ભલે દેહ હોઈ શકે પણ પ્રેમ હંમેશા દેહથી પર જ હોય છે. કેનેડાના કવયિત્રીની આ કવિતા પાશ્ચાત્ય નારીભાવનાઓ સુપેરે ઉજાગર કરે છે પણ આપણા દેશમાં પણ પ્રેમની સાચી વિભાવના કદાચ આ જ હોઈ શકે. આ કવિતાના હાર્દમાં ઉતરવા માટે ‘ફક્ત એક વાર’ અને ‘પહેલો જ અનુભવ’ આ બે શબ્દપ્રયોગ ચાવીરૂપ છે. ઘણીવાર આવા સંબંધ પસ્તાવા અને મનની કડવાશ વહોરે છે પણ જો પ્રેમ સાચો હોય તો જ વ્યક્તિ ફૂલની પાંદડીઓ સમ ઉઘડી-ખીલી શકે, નિર્ભય હોઈ શકે, ફુવારાની જેમ અસ્ખલિત ઉભરાઈ શકે અને કડવાશવિહિન માધુર્ય અનુભવી શકે…

કવિતાના (કદાચ સૉનેટના) બીજા ભાગમાં જે વર્તમાન છે એ ભૂતકાળના પ્રેમના ખરાપણાંનું સર્ટીફિકેટ છે. બંને પાત્ર પછીની પોતપોતાની જિંદગી પોતપોતાની રીતે ગુજારીને સાવ ખાલી થઈ ગયા છે પણ એકમેકની એટલા નજીક આવી શક્યા છે જેટલા કદાચ આલિંગનમાં રહ્યાં હોત તો ન આવી શકત…

Comments (6)

ઑફિસ મૈત્રી – ગેવિન એવર્ટ (અનુ. સુજાતા ગાંધી)

ઇલા પાગલપણે હરેશના પ્રેમમાં છે.
અને હરેશનો જીવ શીલામાં છે.
ચંદ્રકાંત બહુ જ થોડાંકને પ્રેમ કરે છે
અને થોડાંક તેને પ્રેમ કરે છે.
મેરી બેઠી બેઠી ટાઈપ કરે છે પ્રેમની નોંધ
રોમેન્ટિક પિયાનોવાદકની આંગળીઓની અદાથી.
ફીરોજ ઊંચે આકાશ તરફ જુએ છે,
જ્યાં ફાલ્ગુનીની દિવ્ય સુગંધ લહેરાય છે.
નીતાની આંખોમાં ગોળ ફરે છે વળ લેતાં સાપોલિયાં
અને મગરૂરીથી પોતે ધીમે ધીમે ચાલે છે.
દરેક જણ અણુએ-અણુમાં રોમાંચ અનુભવે છે
સુનીલની વાતોના ઇશારાઓથી
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે
પણ તે આપણને સૌને જીવંત રાખે છે.
પત્નીઓ અને કામની આ દુનિયામાં આ છે એક અદભુત
હવાફેર
અને તેનો અંત આવે છે સાડા પાંચે.

(અનુ. સુજાતા ગાંધી)

આપણે બધા જ બે દુનિયામાં જીવીએ છીએ, એક આપણી આસપાસની અને બીજી આપણી અંદરની. આપણી આસપાસની દુનિયા બહુધા એકવિધ થઈને રહી જતી હોય છે. सुबह होती है, शाम होती है, जिन्दगी यूँ तमाम होती है | પણ આ એકવિધ થઈ જતી જિંદગીમાં આપણને આપણી ભીતરની કાલ્પનિક દુનિયા જ કદાચ સતત જીવંત રાખે છે. આ કાલ્પનિક વિશ્વ પ્રસ્તુત કાવ્ય મુજબ કામાવલંબિત પણ હોઈ શકે કે અન્ય કંઈ પણ હોઈ શકે પરંતુ એ આપણા શ્વાસમાં જિંદગી રેડતું રહે છે…

કવિના સ્વમુખે આ કાવ્યપઠન આપ અહીં માણી શકો છો.

***

Office Friendships

Eve is madly in love with Hugh
And Hugh is keen on Jim.
Charles is in love with very few
And few are in love with him.

Myra sits typing notes of love
With romantic pianist’s fingers.
Dick turns his eyes to the heavens above
Where Fran’s divine perfume lingers.

Nicky is rolling eyes and tits
And flaunting her wiggly walk
Everybody is thrilled to bits
By Clive’s suggestive talk.

Sex suppressed will go berserk,
But it keeps us all alive.
It’s a wonderful change from wives and work.
And it ends at half past five.

– Gavin Ewart

Comments (10)

હું પ્રથમ જાગી – માર્જોરી પાઈઝર (અનુ.- જયા મહેતા)

હું પ્રથમ જાગી
વિશાળ નદીને કાંઠે કાંઠે પરોઢનું અભિવાદન કરતી
હસતા ગધેડાઓની અસંખ્ય ચીસોથી.
હું ફરી જાગી
પર્વત પરથી સૂર્યે
મને ઉઠાડવાને બહાર નીકળીને
ગીચ છોડ તરફ જવા માટે,
ઊંચા શ્વેત વૃક્ષો તરફ જવા માટે,
માછલી ભરી હોડીઓ અને પુરાણા
કબરસ્તાન તરફ જવા માટે
સાદ કરતો સ્પર્શ મારી આંખને કર્યો ત્યારે.

કબર પાસેના લાંબા ઘાસ પર
ઝાકળ જ ઝાકળ પથરાયેલું હતું, ભીનું;
અને મારો કૂતરો પતંગિયાં ને મધમાખીઓનો પીછો કરતો
એમની પર છલાંગ્યો.
જૂની કબરના પથ્થર ઢળતા જાય છે,બેસતા જાય છે,
ટેકરીની જમીન નીચે-
જૂના હાડકાં જૂની ભૂમિ પર માટીમાં ભળતાં જાય છે,
નવી જમીન અને નવું જીવન નિર્માણ કરતાં કરતાં.

આવી શાંત ટેકરી પર
આવી સ્વસ્થ ઊંડી નદીને કાંઠે
હું સૂઈ શકું
મારો સમય આવે ત્યારે
અને કૂતરા પીછો કરતા હોય પતંગિયાં અને મધમાખીઓનો,
મારા નકામાં હાડકાં પર.

– માર્જોરી પાઈઝર (અનુ.- જયા મહેતા)

તત્ત્વમસિ !

Comments (9)

આવશે દિવસો કવિતાના – (રશિયન) મારિના ત્સ્વેતાયેવા (અનુ. વિષ્ણુ પંડ્યા)

આવશે એ દિવસો કવિતાના
જેને મેં સા-વ બચપણમાં લખેલી
હું કવિ-
એવો અહેસાસ તો ક્યાંથી હોય ?
આવશે એ દિવસો
રોકેટના અંગાર અને ફુવારાથી
પથરાતી ધાર સરખી કવિતાના.
તડકો અને આળસના નશામાં ઝૂમતા
મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
યૌવન અને મૃત્યુની
એ કવિતાઓ-
જેનું પઠન કદી થયું નથી
આવશે તેનાયે દિવસો !
દુકાનની ધૂળમાં જળવાયેલી
ખરીદવામાં અસંભવ, મોંઘીદાટ, શરાબની જેમ
દિવસો ઊગશે
મારી કવિતાના !

– મારિના ત્સ્વેતાયેવા (રશિયા)
(અનુ. વિષ્ણુ પંડ્યા)

હયાતીના ઓગણપચાસ ટૂંકા વર્ષોમાં કવિ તરીકે રશિયામાં સતત અવહેલના પામેલ રશિયન કવયિત્રીએ આત્મહત્યા કરી એ બાદ બોરિસ પાસ્તરનાક જેવા દિગ્ગજ કવિએ એમને ‘વીસમી સદીની શ્રેષ્ઠ રશિયન કવયિત્રી’ તરીકે ઓળખાવ્યા.

ઓળખ માટેનો સંઘર્ષ અને ઓળખ માટેની ખાતરી -બંને આ કવિતામાં એક સાથે ઊઘડે છે.

Comments (14)

જખ્મો – યેવતુશેન્કો (રશિયા)(અનુ- મહેશ દવે)

કેટલીયે વાર ભારે દર્દ સાથે હું ઘવાયો છું.
જાણે ઘૂંટણિયે પડી ચાલતો હોઉં એમ ઘસડાતો-ઘસડાતો
ઘેર ગયો છું.
માત્ર મેલી-ઘેલી ઝેરીલી જબાનથી જ ઘા નથી પડતા,
ફૂલની પાંદડીથી પણ કોઈને જખમ થઇ શકે છે.
મેં પોતે પણ સાવ જાણ્યે-અજાણ્યે,ઠંડે કલેજે
કેટલાંયને હાલતાં-ચાલતાં જખમી કર્યાં છે;
અને પછીથી કોઈક તેનાથી દુભાયું છે
જાણે ઉઘાડે પગે બરફ પર ચાલવું પડ્યું ન હોય !
હું આમ સહેલાઈથી છેડાઈ-છંછેડાઈ જાઉં છું,
અને મરણતોલ સરળતાથી કોઈકને જખમ કરી બેસું છું.
શા માટે મારી નિકટનાં પ્રિયજનોનાં
ખંડેર પર હું પગલાં માંડતો હોઈશ !

– યેવતુશેન્કો (રશિયા)
અનુ – મહેશ દવે

આ કાવ્ય પર નજર પડતાં જ એવી તીવ્ર લાગણી થઇ કે જાણે મને ઉદ્દેશીને જ આ કાવ્ય લખાયું છે !!!

Comments (11)

(ગીત) – લેનર્ડ કોહેન

એ એટલું સરસ ગાય છે
કે એના અવાજમાં કોઈ ઈચ્છા જ નથી.
એ એકલી ગાય છે,
આપણને બધાને કહેવા માટે
કે હજી આપણે આપણને મળ્યા નથી.

– લેનર્ડ કોહેન
(અનુ. સુરેશ દ્લાલ)

સ્ફટીકમય ગીત, નશ્વર ઈચ્છાઓથી ઉપર બીરાજતું ગીત, એકલતાથી સીંચેલુ ગીત : આટલું પવિત્ર ગીત તો અંતર આત્માની સામે ધરેલા અરીસા સમાન હોય છે.

Comments (16)

ઉમાશંકર વિશેષ :૦૮: આગ અને હિમ

Munshi
( કનૈયાલાલ મા. મુનશી સાથે ઉમાશંકર જોશી)

*

કોઈ કહે : દુનિયાનો થાશે પ્રલય આગ થકી.
કહે કોઈ : હિમથી.
મને કાંઈ જે સ્વાદ કામના તણો મળ્યો તે પરથી
સાચા લાગે આગ પક્ષના નકી.
પણ બે વાર પ્રલય દુનિયાનો થાવો હોય કદી,
તો મુજને થતું પરિચય દ્વેષનો મને એટલો છે
કે કહી શકું : લાવવા અંત
હિમ પણ છે પ્રતાપવંત
ને પૂરતું નીવડશે.

– રોબેર્ટ ફ્રોસ્ટ
(અનુ. ઉમાશંકર જોશી, ૨૭-૧૧-૧૯૭૧)

આસ્વાદ શ્રી ઉમાશંકરના શબ્દોમાં –

.                       ‘ફ્રોસ્ટે લખ્યું છે- ” કવિતા આહલાદમાં આરંભાય અને પૂર્ણાહુતિ પામે શાણપણમાં.” આ કૃતિ તે વિધાનની યથાર્થતાની સાબિતી છે. ફ્રોસ્ટની ભાષા બહુધા સાદી હોય છે. છંદ કે લય બહુ આગળ પડી આવતા નથી. પરંતુ કૃતિની સુરેખતા હમેશા જળવાઈ રહે છે. શબ્દોનો કરકસરપૂર્વકનો ઉપયોગ કલાને વધુ નિખારે છે.

.                     કાવ્ય દ્વન્દ્વના બંને છેડો કેટલા કાતિલ હોય છે તેની વાત કરે છે-ઉષ્ણ અને શીત,રાગ અને દ્વેષ. પૃથ્વીના ઈતિહાસમાં હિમપ્રલય,જળપ્રલય ની વાત છે પરંતુ આગથી થયેલ પ્રલય જાણમાં નથી. મહત્વ એ વાત નું છે કે દ્વન્દ્વનો કોઈપણ છેડો પ્રલય લાવવા સક્ષમ છે. આ ઉપરાંત પણ અર્થ છુપાયેલા છે જે ભાવકની શુદ્ધિબુદ્ધિ ઉપર છોડાયેલ છે.’

Comments (7)

ઉમાશંકર વિશેષ :૦૭: કવિની ઇચ્છા

Dhumketu
(ધૂમકેતુ અને ઉમાશંકર જોશી)

*

વર્તમાન જયારે મારા આ ધ્રૂજતા આયખા પર આગળા ભીડી દે,
અને ફાલ્ગુન માસ હરિયાળા ખુશહાલ પાંદડાં ફફડાવી રહે
નવા કાંતેલ રેશમ શી નાજુક-જાળિયાળી પાંખો શાં, ત્યારે
પડોશીઓ કહેશે વારુ કે
‘એ હતો માનવી, આવી વસ્તુઓ જોવાની અચૂક ટેવ હતી જેને’ ?
બને કે સાંજુકી વેળા,જેમ નીરવ પડે પલક આંખની
તેમ ઊતરી આવે ઝાકળ-ઘડીએ બાજ, છાયાઓ પાર,જંપવા જરી
ઉપલાણે પવન-અમળાયેલ કાંટ્ય પર; એ બધું જોઈ રહેલા ત્યારે
થશે કો માનવીને શું : ‘એને તો ખસૂસ આ દ્રશ્ય પરિચિત
હશે જ હશે’?
હું કોઈ ફૂદાં-ભરેલી ઉષ્માભરી શ્યામલતામાં વિચરું રાત્રિલોકની,
જયારે ઘાસ પર પથ કાપતો શેળો ફરુરર કરતો જાય સરકી,
કોઈ કહેય તે : ‘આવા નિર્દોષ પ્રાણીને ન ઈજા કશી થવા
પામે તે માટે તે મથ્યો,
પણ તે જૂજ જ કાંઈ કરી શખ્યો તેઓ કાજે;અને હવે તો તે ગત થયો.’
જો સૌ ઊભે મુજ દ્વારે,અંતે હું શમી ગયો – એ સમાચારે,
પૂર્ણનક્ષત્રમય નભ ન્યાળીને – જે શિયાળાને જ જોવા મળે.
મારો ચહેરો નીરખવાના નથી જે,મનમાં તેઓના ઊગશે શું
વિચાર આ કે
‘તે હતો એવો,જેને નજર હતીસ્તો આવીક રહસ્યમયતાઓ
માટે’ ?
મારી ચિર વિદાયની ઘંટા જયારે રણકી ઊઠે અંધકારે
અને વાયુલહર આડી ફરી એના તરંગપ્રવાહને કાપે ક્ષણ માટે,
થંભેલા સ્વર ફરી પાછા ઊભરે,થયો હો ઘંટરવ નવો જાણે ના !
કહેશે ત્યારે તેઓ શું : ‘નથી આ સુણતો એ,પણ આવું આવું
હમેશ ધ્યાનમાં આવતું એના’ ?

– ટોમસ હાર્ડી
(અનુ. ઉમાશંકર જોશી, તા ૨૭-૧૧-૧૯૭૧)

કવિશ્રી ઉમાશંકરે આ કાવ્યનો આસ્વાદ પણ કરાવ્યો છે જેનો ટૂંક સાર આ પ્રમાણે છે-
‘ એક પછી એક પાંચ ચિત્રો થકી કવિ પોતાના વિષે પોતાના દેહાવસાન બાદ શું શું કહેવાશે તેની કલ્પના રજૂ કરે છે….-કવિને ઓળખનારા તેની પાંચ લાક્ષણિકતાઓને વાગોળશે-

૧- વસંતવૈભવમાં કુદરતની સૂક્ષ્મ કારીગરી જોઈ શકનારી સૌન્દર્યદ્રષ્ટિ
૨- આતતાયી એવા બાજ પક્ષી માટે પણ તે કુદરતના ચક્રનું એક અભિન્ન અંગ છે તેવી વહાલભરી સમદ્રષ્ટિ.
૩- કરુણાવૃત્તિ
૪- આકાશ ભરી દેતા નક્ષત્રલોકથી ચિત્તમાં ઉદબુદ્ધ થતી રહસ્યદર્શિતા
૫- સૌંદર્ય તેમ જ જીવનની ધારાવાહિતામાં વચમાં ભંગ થાય અને અને નવીનતાનો ભાસ ઊપજે તેને લીધે એકસાથે નવીનતા અને એકસૂત્રતા – બંનેનો અનુભવ કરતી દ્રષ્ટિની અખિલાઈ.

અહી કવિનું સૂક્ષ્મ સૂચન એ છે કે કોઈપણ કવિમાં આ લાક્ષણિકતાઓ સામાન્ય હોય છે-અહી કવિ સાથે અસંમત થઇ શકાય પરંતુ કાવ્યવિષય વ્યક્તિગત નથી જ નથી. આખી કૃતિ ઉચ્ચ કક્ષાની સર્જકતાની પ્રતીતિ કરાવતા કલ્પનો અને ચિત્રણોથી માતબર છે પરંતુ ઉત્તમ ચિત્રણ અને મૌલિકતાની પરાકાષ્ઠા છેલ્લી કડીમાં નિષ્પન્ન થાય છે- ઘંટાનાદનો પ્રવાહ વાયુની લહેર આડી આવતા ક્ષણભર માટે કપાય છે – અને ક્ષણાર્ધમાં પાછો સંધાઈ જાય છે….ઘંટારવ ફરી સંભળાય છે -જાણે નવો જ ન થયો હોય ! ‘

Comments (5)

એક પગલાની પીછેહઠ – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જગદીશ જોષી)

રેતી,ધૂળ,ઢેફાં અને કાંકરા જ માત્ર
ફરી એક વાર પોતીકી સફરે નીકળ્યાં હતાં એમ નહીં,
પણ હંમેશ કાદવ ગળચતી,
સમતુલા ગુમાવી બેઠેલી, તોતિંગ ભેખડોએ
એકમેકના મૂંડા આછેરા અફાળ્યા
અને કંદરાઓમાં ગબડવા લાગી.
આખા ને આખા ભૂમિખંડો પોપડે પોપડે ઉતરડાઈ ગયા.
આ વૈશ્વિક કટોકટીમાં મારા મૂલ્યોની આધારશિલા
મને હચમચી ગઈ લાગી.
પણ પીછેહઠના એક જ પગલાથી
મેં મારી જાતને પડવાગબડવામાંથી ઉગારી લીધી.
છિન્નવિચ્છિન્ન થયેલું એક વિશ્વ
મારી આંખ સામેથી પસાર થઇ ગયું.
ત્યાર પછી વરસાદ ને વાવાઝોડું જંપ્યાં
અને મને કોરો કરવા માટે સૂરજ બહાર પડ્યો.

-રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ.- જગદીશ જોષી)

Exsistentialism (અસ્તિત્વવાદ) ની વાત છે…. કવિની ખાસિયત પ્રમાણે નાનાંનાનાં સૂચક શબ્દો ખૂબી થી પ્રયોજ્યાં છે (દા.ત. બીજી પંક્તિમાં ‘ફરી એક વાર….’). મૂલ્યો ખાતર કુરબાન થવું કે પછી એક પગલાની પીછેહઠથી મૂલ્યોના ભોગે જાતને બચાવવી અને એક નવી સવારની આશા અને પ્રતિક્ષામાં તોફાનને પસાર થઇ જવા દેવું-અત્યંત અંગત પ્રશ્ન છે અને ઉત્તર સરળ નથી. અસ્તિત્વ જ ન રહે તો મૂલ્યોનો શો અર્થ ? મૂલ્યો વગરના અસ્તિત્વનો શો અર્થ ?

***

One Step Backward Taken – Robert Frost

Not only sands and gravels
Were once more on their travels,
But gulping muddy gallons
Great boulders off their balance
Bumped heads together dully
And started down the gully.
Whole capes caked off in slices.
I felt my standpoint shaken
In the universal crisis.
But with one step backward taken
I saved myself from going.
A world torn loose went by me.
Then the rain stopped and the blowing,
And the sun came out to dry me.

Comments (5)

સ્વપ્નમાં – (રશિયન) આન્ના આખ્માતોવા (અનુ. સુરેશ દલાલ)

કાળી, કાયમની જુદાઈ
તારા જેટલી જ તારી સાથે હું સહન કરું છું.
તું રડે છે શા માટે ? એના કરતાં તો મને આપ તારો હાથ,
ફરી પાછું સ્વપ્નમાં આવવાનું વચન આપ.
તું અને હું છીએ ન ખસી શકીએ એવા વેદનાના પ્હાડ….
તું અને હું આ પૃથ્વી પર કદી નહીં મળીએ.
મધરાતે જો તું મોકલી શકે તો મોકલ
તારાઓ મારફત શુભેચ્છા.

-આન્ના આખ્માતોવા (રશિયન)
અનુ. સુરેશ દલાલ

કાળો રંગ અભાવનો રંગ છે. જુદાઈ એટલે જ આપણને કાળી લાગે છે. પહાડ ચસી શક્તા નથી એટલે પહાડની દૃઢતાથી જમાનાએ જેમને અલગ-અલગ જમીનમાં રોપી દીધા છે એવા પ્રેમીઓ પણ જાણે જ છે કે આ જન્મમાં હવે એમનું મિલન શક્ય નથી… તો વિરહની આ કારમી કાળી રાત્રિઓ પસાર કેમ કરવી?  બંનેની વેદના સમાન છે. બંનેનુઆ સ્વપ્ન પણ સમાન છે અને બંનેની જમીન ભલે અલગ હોય, આકાશ અને આકાશમાંના તારા પણ એકસમાન છે…

પ્રણયનું આવું ચરમસીમાદ્યોતક કાવ્ય આ પહેલાં વાંચ્યું હોવાનું સ્મરણ નથી…

Comments (8)

કબાટમાંનાં પુસ્તકો – શંકર વૈદ્ય (અનુ. અરુણા જાડેજા)

પુસ્તકો સપનામાં આવે અને પૂછે,
‘તેં અમને ઓળખ્યાં કે?’
વાત કરતાં કરતાં પુસ્તકો ઓગળે
અને અથાગ પાણી થઈને છલકાતાં પૂછે,
‘તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે ? તર્યો છે કે ?’
પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય
અને પૂછે,
‘અમારાં ફળો ક્યારેય ખાધાં છે કે ?
છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે ?’
પુસ્તકો ફરફરતો પવન થઈ જાય
અને પૂછે,
‘શ્વાસ સાથે ક્યારેય અમને હૈયામાં ભર્યાં છે કે ?’
પુસ્તકો આવું કશુંક પૂછતાં રહે
એક પછી એક
દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો
બેસી રહું ચૂપચાપ બસ એમની સામે જોતો.
ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે
અને કહે,
એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને
પુસ્તકો મૂંગાંમંતર થઈ જાય
ઝૂર્યે જાય
જાતને ઊધઈને હવાલે કરે એ –
આખરે આત્મહત્યા કરે
ઘરમાં ને ઘરમાં જ
બંધ કબાટના કારાગૃહમાં !

– શંકર વૈદ્ય (મરાઠી)
અનુ. અરુણા જાડેજા

ગઈકાલે પુસ્તકદિન ગયો. આ કવિતા તાજી જ વાંચી હોવાનો ભાસ હતો પણ બે-ત્રણ કલાકોની શોધ-ખોળ પછી પણ એ ન જડી તે ન જ જડી. પિન્કીની ‘વેબમહેફિલ‘ પર અચાનક અરુણા જાડેજાની પુસ્તકો વિશેની જ એક રચના વાંચી અને મનમાં ઝબકારો થયો. કબાટમાં હાથ નાંખ્યો અને ક્ષણાર્ધમાં કવિતા હાથમાં… આભાર, પિન્કી!

આજની આ કવિતા ધ્યાનથી વાંચીએ અને એકાદ પુસ્તકને કબાટના કારાગૃહમાંથી આઝાદ કરવાનો સંકલ્પ કરીએ તોય ઘણું…

Comments (14)

બે કાવ્યો – ડબલ્યુ એચ. ઑડેન (અનુ. હરીન્દ્ર દવે)

આજે બે કવિતાઓએ
પ્રગટ થવા યાચના કરી : મારે બંનેને ના પાડવી પડી.
દિલગીર છું પ્રિય, હવે નહીં !
દિલગીર છું વહાલી, હજી નહીં !

– ડબલ્યુ એચ. ઑડેન
(અનુ. હરીન્દ્ર દવે)

કવિતા લખવાની કળા હસ્તગત થાય એટલે બહુધા કવિઓ કવિતાની પાછળ પડી જાય છે. કેટલાક કવિ તો એવા પણ છે જે દિવસમાં ઓછામાં ઓછી એક કવિતા ન લખી નાંખે તો રાત્રે ઊંઘ ન આવે. પણ કવિતા શું માત્ર સ્વરૂપ, છંદ અને શબ્દોની ઠાલી રમત જ છે? ઑડેનની આ ચાર લીટીની કવિતા વાંચી એ દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે… આ જિંદગીમાં આ ચાર લીટી લોહીમાં ઉતારી શકું તોય ઘણું…

એકની જગ્યાએ બબ્બે કવિતાઓ કવિ પાસે આવે છે અને પાછું પ્રગટ થવા યાચના કરે છે. પણ કવિ જેનું નામ, બંનેને ના પાડે છે. કવિ જાણે છે કે ‘ખરી’ કવિતા કોને કહેવાય અને ‘ખરો’ કવિ એટલે શું. કવિતા અપ્રિય હોવાનો તો પ્રશ્ન જ નથી એટલે કવિ બંનેને પ્રિય અને વહાલી કહીને દિલગીરી પણ વ્યક્ત કરે છે. પણ સમર્થ કવિ જે રસ્તે ચાલી ચૂક્યો છે એનું પુનરાવર્તન કરતો નથી એટલે એ કહે છે, હવે નહીં… હવે એ પ્રકારની કવિતા નહીં. હવે કંઈક અલગ… કંઈક નવું… પણ અતિસમર્થ કવિ જે નવી કેડી કંડારવા માંગે છે એની પૂરી સમજ પૂરી ધીરજથી કાંક્ષે છે. એને મહાકાવ્યની પ્રતીક્ષા છે પણ એ સમજે છે કે સિંહણનું દૂધ પેખવા કનકપાત્ર જોઈએ એટલે એ ક્ષમતા હસ્તગત થાય એ પહેલાં આવી ચડેલી કવિતાને એ પ્રેમપૂર્વક કહી શકે છે, હજી નહીં… હજી વાર છે !

*

(જોગાનુજોગ આજે ‘લયસ્તરો પર આ ૧૮૦૦મી પૉસ્ટ છે !)

Comments (23)

મનુષ્ય એક નદી છે – દિનેશ ડેકા ( અનુ. અનન્યા ધ્રુવ)

દરેક જગા દુઃખથી ભરેલી રાત છે
સાંજને સમયે
કંસના અત્યાચારથી દેવકીની દુઃખભરી રાત
નથી વીતતી નથી સવાર થતી

વેગપૂર્વક આવે છે
હૃદયની વચ્ચેથી અંધકાર

દેવકીની રાત નથી વીતતી નથી સવાર થતી

એવો જ આવે છે કોઈ સમય
માણસે સેવેલાં સપનાંને મસળીને
દાટી દે છે એની ઇચ્છા અને અભિલાષા

તો પણ મનુષ્ય એક નદી છે
દુઃખ અને યાતનાને સહીને પણ
એ નદી વહેતી રહે છે
ઉજ્જડ ખીણોમાં થઈને અનંતકાળ સુધી

મનુષ્ય એક નદી છે
એ લઈ આવે છે
દેવકીની દુઃખની રાતના બંધન કાપીને
નંદોત્સવના સમાચાર

– દિનેશ ડેકા (અસમિયા)
(અનુ. અનન્યા ધ્રુવ)

છે મનુષ્યજીવનની ઘટમાળ એવી, દુઃખ અધિક, સુખ અલ્પ થકી ભરેલી. આપણી ઇચ્છા, સપનાં અને અભિલાષા મૂલતઃ આપણને પૂરા સુખી થવા દેતા નથી. આ એક એવી કાળી રાત છે જે પસાર થવાનું નામ જ લેતી નથી જાણે કે કંસના કારાગારમાં દેવકી પર થતો અત્યાચાર ન હોય ! આ સાંજ સ્થિર જાણે કે સમયનો થીજી ગયેલો ચોસલો છે પણ મનુષ્યજીવન થીજી જતું નથી એ તો નદીની જેમ વહેતું રહે છે. ભલે આ નદી અનંતકાળ સુધી ઉજ્જડ અંધારી ખીણમાં કેમ ન વહ્ય કરતી હોય પણ એ વહ્યા કરે છે કારણ કે એને ખતરી છે કે આ નદીપારથી જ નંદોત્સવના, સુખના સમાચાર આવવાના છે…

Comments (8)

પ્રેમ – શેખ નુરુદ્દીન વલી

પ્રેમ
.            એ તો એક માત્ર પુત્રનું મરણ :
.            માતા કદી ચેનથી સૂએ ?

પ્રેમ
.            એ તો મધમાખી કેરા વિષડંખ :
.           લાગ્યા પછી ચેન કોઈ લહે ?

પ્રેમ
.          એ તો હૃદયે હુલાવેલી કટાર :
.          પછી એક નિસાસો ય રહે ?

– શેખ નુરુદ્દીન વલી

પ્રેમની વ્યાખ્યા કદાચ મનુષ્યજાતિ જેટલી જ જૂની છે છતાં પ્રેમ કદી પૂરેપૂરો પરખાયો નથી. કબીર જેવો જ્ઞાનપંથી કવિ પણ ઢાઈ આખર પ્રેમ કા, પઢે સો પંડિત હોય જેવો મત ધરાવે છે. તો મીરાબાઈ પણ લાગી કટારી પ્રેમની ગાયા વિના રહ્યા નથી. અહીં કાશ્મીરના સૂફી સંત કવિએ આપેલી ત્રણ વ્યાખ્યાઓ કદાચ પ્રેમની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યાઓમાંની એક છે.

એકનો એક પુત્ર મરી જાય ત્યારે એની માતા કેવી વેદના અનુભવે ? મધમાખીનું ટોળું તૂટી પડે અને રોમે-રોમે ડંખ દે ત્યારે કેવી દાહ થાય ? એક કટારી સીધી હૃદયમાં જ ઉતરી જાય ત્યારે એક નિઃસાસો વ્યક્ત કરવાનીય સુધ બચે ખરી ? આ અનુભૂતિઓનો સરવાળો… શું આ જ પ્રેમ છે ?

Comments (7)

ગોવાલણ – ઇન્દિરા સંત (અનુ. સુરેશ દલાલ)

મારે કેટલું બધું રડવું’તું
પણ… મારી પાંપણની ગાગર
યમુનામાં ભરાઈ જ નહીં ;
મારે કેટલું બધું હસવું’તું
પણ…
રાધાને વશ થયેલો કંકર
મારા ગળામાં જ દટાયો’તો
મારે કેટલું બધું બોલવું’તું,
પણ… પેલી દુષ્ટ મોરલીએ
સાત મુખોથી
મારા અવાજને શોષી લીધો’તો :
બન્ને પાંખ પસારીને
પંખીની ગતિથી
મારે આવેગથી ઊડવું’તું…
પણ… પગની સોનાની સાંકળીએ
મારા પડછાયાને
જોરથી બાંધી દીધો’તો :
તેથી જ…
તેથી જ સ્તો એની ક્રીડામાં
કંદુક થઈને
મેં યમુનાના ધરામાં ડૂબકી દીધી…
પણ.. હાય રે દૈવ !
ત્યાં પણ કાલિયાએ વેર વાળ્યું.

– ઇન્દિરા સંત (મરાઠી)
અનુ. સુરેશ દલાલ

રાધા-કૃષ્ણના પ્રેમના કાવ્યો તો હજ્જારો લખાયા છે. પણ એક સામાન્ય ગોવાલણના હૃદયને કેટલા કવિઓએ આલેખ્યું હશે?! એક ગોવાલણના હૃદયનો ભાવોદ્રેક અહીં સરળ શબ્દોમાં સબળ આલેખાયો છે. પ્રેમમાં તો કંઈ કેટલુંય રડવાનું, બોલવાનું ને વિહરવાનું હોય, પણ પ્રેમ એકતરફી હોય ત્યારે પ્રેમના સાધન જ વ્યવધાન બની રહેતાં હોય છે… પ્રેમની ઉત્કટતાને અક્ષરદેહ આપવા કવિ અંતે ગેડી-દડા અને કાળીનાગના પ્રતીકો બખૂબી પ્રયોજે છે. ચારેતરફ સંસાર નડતર બનીને પ્રણયાભિવ્યક્તિની આડે ઊભો હોય ત્યારે સહેજે મન થાય કે આના કરતાં દડો થઈ યમુનામાં ડૂબી જઈએ તો ક્હાનજી બધાંને છોડીને પાછળ આવશે પણ જુઓ તો કમનસીબી ! ત્યાંય કાળીનાગ કાનાને વહેંચી લેવા ઊભો જ છે !

Comments (7)

(તૈયાર છું) – રવીન્દ્રનાથ ટાગોર, અનુ.: શૈલેશ પારેખ

મને રજા મળી ગઈ છે.
મિત્રો, મને વિદાય આપો.
હું તમને સૌને વંદન કરીને વિદાય લઉં છું
મારા દરવાજાની ચાવી પાછી સોંપું છું
અને મારા ઘર પરના તમામ હક છોડી દઉં છું.
તમારીપાસે માત્ર અંતિમ પ્રેમભર્યા શબ્દો માગું છું.
આપણે ઘણો સમય એકબીજાના સાન્નિધ્યમાં રહ્યા
અને હું આપી શકું તેનાથી વધારે પામ્યો છું.
હવે પરોઢ થયું છે.
અને મારા અંધારા ખૂણાને અજવાળતો દીવો બુઝાઈ ગયો છે.
તેડું આવ્યું છે.
અને હું મારી મુસાફરી માટે તૈયાર છું.

– રવીન્દ્રનાથ ટાગોર
અનુ.: શૈલેશ પારેખ

ગઈકાલે ગાગરમાં સાગર સાઇટ પર રાજેન્દ્ર શાહના અંતિમ શબ્દો વાંચ્યા: “પણ આવતીકાલે હું હોઈશ તો ને ? આ તો ખોળિયું બદલવાનો ઉત્સવ છે. મારા અવસાન પછી કોઈ શોક મનાવશો નહિ. હું બિલકુલ સ્વસ્થતાથી જઈ રહ્યો છું.”

– આ વાંચીને ટાગોરની આ કવિતા યાદ આવી ગઈ. મૃત્યુ અફર છે એ જાણવા છતાં અને પ્રત્યેક શ્વાસ મૃત્યુ તરફની અનવરત ગતિ હોવાનું પૂર્ન જ્ઞાન હોવા છતાં દરેક મનુષ્ય પોતે કદી મરવાનો જ નથી એ જ રીતે જીવતો હોય છે અને મૃત્યુની એંધાણી મળે ત્યારે બહુધા સ્વસ્થ રહી શક્તો નથી. ઋષિકવિ જ મૃત્યુને આવકારી શકે. મરતી વખતે વિદાય લેવાની કવિની આ રીત ખરેખર તો જિંદગીનું ગૌરવગાન છે. ‘હવે પરોઢ થયું છે’ પંક્તિમાં આ કાવ્ય ખરો ઉજાસ પામે છે…

Comments (7)

ચહું – માસુહિતો (અનુ. મકરન્દ દવે)

પરમ દિવસે મેં તને જોયો,
અને કાલે, અને આજે,
અને એમ જ, જરા જો !
આવતી કાલે તને જોવા ચહું.

– માસુહિતો (આઠમી સદી) (જાપાન)
(અનુ. મકરન્દ દવે)

પ્રેમની વાર્તા આદિથી અનાદિ અને અનંત સુધી વિસ્તરે છે. પ્રેમના વાક્યમાં કદી પૂર્ણવિરામ સંભવી શકે નહીં. મેં તને પરમ દિવસે જોયો, કાલે પણ અને આજે પણ… પણ તોય આ દિલને સંતોષ થઈ શકે ખરો? ના… આ દિલ તો ફરી ફરીને એમ જ ચાહવાનું કે આવતીકાલે પણ તારે એ જ રીતે મળવું પડશે…

Comments (6)

અંતિમ યાત્રા – યિમિનેઝ (અનુ. સુરેશ દલાલ)

લ્યો, હું તો અહીંથી ચાલ્યો !
ને તોય હશે અહીં પંખી: રહેશે સૂર મધુરતમ મ્હાલ્યો !

લીલા રંગે લચી રહેલાં વૃક્ષ હશે અહીં મારે બાગ,
નીલ શાંત આ વ્યોમ, ઊજળી વાવ, સાંજ-સોહાગ,
હશે આમ ને આમ : ઘંટનો હશે રણકતો નાદ :
નાદ એ નહીં જાય રે ઝાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

મને ચ્હાતાં લોક મરણને અધીન થશે અહીં,
અને ગામ હર વરસે દહાડે નવીન થશે અહીં,
ફિક્કો મારો બાગ- ખૂણો ગમગીન હશે, ત્યહીં-
જીવને રહેશે ઘરનો વિજોગ સાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

અને એકલો જાઉં : વટાવી ઘરના ઉંબર-પ્હાડ,
નહીં રૂપાળી વાવ : નહીં રે લીલમલીલાં ઝાડ,
હશે નહીં રે નીલ, શાંત આ આભ ગૂઢ ને ગાઢ.
– તોય હશે અહીં
પંખીસૂરે ફાગણ ફૂલ્યોફાલ્યો !
લ્યો, હું તો અહીંથી ચાલ્યો !

– યિમિનેઝ
અનુ. સુરેશ દલાલ

સ્પૅનિશ કવિ યિમિનેઝની આ આખરી વિદાયનું ગીત મૃત્યુને હળવી હલકથી આલેખે છે. મૃત્યુ વિષયક કાવ્યમાં મૃત્યુનું મૃત્યુ થવાની સંભાવના સામાન્ય રીતે વધુ રહેલી હોય છે પણ કવિ એમાંથી બચી જઈને એક સુંદર સમતુલિત ભાવગીત આપે છે. આપણે હોઈએ છીએ ત્યારે આપણને સહુને સતત સૃષ્ટિની ધરી આપણે જ છીએ એવું જ ગુમાન રહેતું હોય છે, આપણા આવ્યા પહેલાં આ દુનિયા જેમ ચાલતી હતી, પછી પણ એમ જ ચાલવાની છે એ જાણતલ વાતથી જાણે બેખબર ન હોઈએ એમ !

આપણા ગયા પછી પણ પંખીઓ રહેશે, એમનાં મધુરતમ સૂરો અને આ મહાલયો. લીલાંછમ્મ વૃક્ષો, ભૂરું શાંત આકાશ, વાવ, સાંજનો સુહાગી ચાંલ્લા જેવો રાતો રંગ, ઘંટનો રણકાર- બધું જ યથાવત્ રહેવાનું છે. આપણા સગા પણ ક્યારેક તો મૃત્યુ પામશે જ અને નવા લોકો જનમતાં જ રહેશે… દર વરસે ગામ નવું બની જશે પણ મારા જીવનના બાગનો ખૂણો થોડો ગમગીન રહેશે, બસ ! અને એકલા જવાનું થશે ત્યારે કોઈ વાવ, લીલાં ઝાડ કે શાંત આકાશ સાથે હોવાના નથી. ઘરનો ઉંબરો પણ પઃઆડ જેવો ભાસશે પણ જવું તો પડશે અને આપણે જઈએ એનાથી કંઈ ફાગણ ફૂલવાફાલવાનું બંધ નહીં જ કરી દે… સૃષ્ટિનું ચક્ર એ જ લયમાં અવિરત ચાલતું રહેશે…

મૃત્યુની વાસ્તવિક્તાને યથાર્થ આલેખતું આ ગીત વારંવાર આસ્વાદવું ગમે એમ છે…

Comments (16)

જુદાઈ – શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ) (અનુ.:હિમાંશુ પટેલ)

જો તેઓ મારી કવિતામાંથી
ફૂલ લઈ લે
તો મારી એક ઋતુ મરી જાય.
જો તેઓ મારી પ્રિયતમા લઈ લે
તો બે મરી જાય
જો તેઓ પાંઉ લઈ લે
તો ત્રણ મરી જાય
જો તેઓ સ્વતંત્રતા લઈ લે
તો આખું વર્ષ મરી જાય
અને હું પોતે પણ મરી જાઉં.

– શેરકો બીકાસ (ઇરાકી કૂર્દીશ)
(અનુ.:હિમાંશુ પટેલ, અમેરિકા)

વિશ્વની અલગ-અલગ ભાષાઓમાં લખાતી કવિતા જે તે સંસ્કૃતિનો આયનો છે. ઇરાકી કવિની આ કવિતા વાંચીએ ત્યારે પહેલી નજરે છેતરામણી સરળ અને સહજ લાગે પણ છેલ્લી બે લીટી વાંચીએ ત્યારે સૉનેટ જેવી ચોટ અનુભવાય. કવિતામાંથી કુદરત અને સૌંદર્ય છિનવી લેવાય તો કદાચ કવિતાનો એક ભાગ મરી જાય પણ આખી કવિતા નહીં. પ્રેમ અને પ્રેમોક્તિ પણ કાઢી લેવાય તોપણ અડધી કવિતા તો જીવશે જ. ગરીબી, આજીવિકા કે મનુષ્યના અસ્તિત્વની વાતો પણ કાઢી લેવાય તોય કદાચ કવિતા સમૂચી મરી નહીં પરવારે. પણ જો અભિવ્યક્તિની સ્વતંત્રતા છિનવી લેવાય તો કવિ જાણે છે કે આ ‘જુદાઈ’ મરણતોલ છે… સ્વતંત્ર અભિવ્યક્તિ વિના કવિતા પણ શક્ય નથી અને કવિ પોતે પણ શક્ય નથી… કવિતા પૂરી થાય ત્યારે કવિતાનું શીર્ષક સાચા અર્થમાં સમજાય છે..

સાભાર સ્વીકાર:  અમેરિકા સ્થિત કવિ શ્રી હિમાંશુ પટેલના સંગ્રહો: ‘એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે’ (દુનિયાભરની ભાષાઓની કવિતાઓનો અનુવાદ), ‘કવિતા : જીવનચિત્રોનું અક્ષયપાત્ર’ (દીર્ઘ અને ટૂંકા કાવ્યો),’ બધા રંગોમાં વેદના ભરેલી છે’ (દીર્ઘકાવ્ય).

Comments (7)

આપણા ખીસાના પાકીટમાં (મરાઠી) – વર્જેશ સોલંકી (અનુ. અરુણા જાડેજા)

આપણા ખીસાના પાકીટમાં શું હોય
જેમ કે:
પૂરો થવા આવેલો રેલવેપાસ
કામનાં અને નકામાં વિઝિટિંગ કાર્ડસ. રેવન્યૂ સ્ટેમ્પ્સ
રબર બેન્ડ્સ
બેંકનો હપ્તો ભર્યાની રસીદ
સાંઈબાબાના કવરેજવાળું ચાલુ વર્ષનું નાનકડું કેલેંડર
કાલાતીત થયેલો પાંચ પૈસાનો સિક્કો
બસ ટિકિટ અને એની પાછળ ઉતાવળે લખી લીધેલો દોસ્તનો
ફોન નંબર અને ઇ-મેઈલ એડ્રેસ
બાએ આસ્થાથી રખાવડાવેલી ભભૂતીની પડીકી
લોકલની ગિરદીમાંય સૂઝી આવેલી કવિતાની કેટલીક ચબરખીઓ
કોલેજના જમાનાનો ડાચાં બેસી ગયેલો પોતાનો
પીળો પડી ગયેલો ફોટો
અને પાકીટના એક ખૂણામાં ચૂપચાપ પડી રહેલું
કુદરત સાથે ઉન્નીસ-બીસ કરતું વિતાવેલું સડકછાપ આયખું
નવા-કોરા શર્ટ પર પડેલા દાળના ડાઘ સરખું.

-વર્જેશ સોલંકી
અનુ. અરુણા જાડેજા

જન્મે ગુજરાતી પણ કર્મે મરાઠી એવા મુંબઈના વર્જેશ સોલંકી ખીસાના પાકીટનો અસબાબ કાઢતા જઈને જાણે જિંદગીનો જાયજો લઈ રહ્યા છે. જીવનના પાકીટમાં આપણે કામનો અને નકામો કેટકેટલો કચરો ભરી રાખીએ છીએ. પૂરી થવા આવેલી વસ્તુઓ પણ ફેંકાતી નથી. કામ લાગી શકે એ આશામાં સંઘરેલી વસ્તુઓ કદી કામમાં આવતી નથી પણ એનો મોહ છૂટતો નથી. ચલણમાંથી નીકળી ગઈ હોય એવી યાદ કે સંબંધ પણ ફેંકી દઈ શકાતા નથી. ભભૂતીની પડીકી જેવા વડીલોએ વારસામાં આપેલા રિવાજોથી પણ ક્યાં મુક્તિ મળી જ શકે છે? આપણા સગપણ બસ ટિકિટની પાછળ ઉતાવળથી લખી દેવા પડતા ફોન નંબર કે ઇ-મેઈલ આઈ.ડી. જેવા બની ગયા છે જે કદાચ લેનાર અને દેનાર બંનેને ખબર જ છે કે ‘એક્સેસ’ કરી શકાવાના નથી કેમકે જો કરી શકાવાના હોત તો ઉતાવળમાં ટિકિટ પાછળ લખાયા ન જ હોત. પણ લોકલની ગિરદી જેવી દુનિયાની વચ્ચેય આપણે ક્યારેક તો કવિતાની જેમ આપણી જાત સાથેનો સંપર્ક સાધી જ લેતા હોઈએ છીએ. ક્યારેક આપણું વ્યક્તિત્વ પીળું પડી જતું હોય છે અને આપણને અહેસાસ થાય છે કે આ ખી જિંદગી આપ અને આપણા સાથે ઓગણીસ-વીસના સમાધાન કરવામાં જ ચૂપચાપ એવી રીતે વીતી ગઈ જાણે એક નવાનક્કોર અને અક્ષુણ્ણ બુશશર્ટ પર પડી ગયેલ દાળનો ડાઘ ન હોય ! એ પૂરો સાફેય કરી શકાતો નથી અને શર્ટ પણ નવો ને કોરો નથી રહી શક્તો…

Comments (15)

સદૈવ – પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

તું મારી મોઢામોઢ ઊભી હોય છે
ત્યારે મને ઈર્ષ્યા થતી નથી.

ભલે ને તારી પાછળ કોઈ એકાદને લઈ આવ,
કે તારા કેશમાં સેંકડોને લઈને આવ,
કે તારાં સ્તન અને ચરણ વચ્ચે હજારોને લઈ આવ,
ડૂબેલાં માણસોથી ભરેલી
નદીની જેમ આવ
જે ક્રુદ્ધ સમુદ્રને જઈને મળે-
અનન્ત ફીણ, ગાંડોતૂર પવન.
હું તારી પ્રતીક્ષા કરું છું ત્યાં
બધાંને લઈ આવ :
તો ય આપણે તો સદા એકલાં જ હોઈશું,
માત્ર આપણે બે જ હોઈશું – તું અને હું,
જીવનનો પ્રારમ્ભ કરવાને,
આ ધરતી પર, એકલાં આપણે બે.

-પાબ્લો નેરૂદા (અનુ. સુરેશ જોષી)

પ્રિયપાત્ર સન્મુખ ઊભું હોય તો આખી દુનિયા જખ મારે છેની વાત કવિ પાબ્લો નેરૂદા કેવી સ-રસ રીતે ચિત્રીત કરે છે! પ્રિયતમા પોતાની સાથે કોઈ એક હરીફને લઈ આવે, સેંકડોને લઈ આવે, હજારોને લાવે કે અનંતને, એમ બિંદુથી શરૂ કરી કવિ સિંધુ સુધી અને વ્યક્તિથી સમષ્ટિ સુધી પહોંચે છે. પણ આ બધાથી પોતાને કોઈ ઈર્ષ્યા કે ખલેલ પહોંચવાની નથી એ એક બાબતમાં પ્રતીક્ષારત કવિ શરૂથી જ સ્વયંસ્પષ્ટ છે. પ્રેમની અલૌકિક તાકાત આખી દુનિયાને વચમાંથી ઓગાળી દે છે અને રહી જાય છે કેવળ તું અને હું થી બનતા આપણે બે!

કવિએ આયાસપૂર્વક કરેલા કવિતાના બે ભાગ પણ ધ્યાનાર્હ બની રહે છે. કવિતાની શરૂઆતમાં બે જ લીટીમાં એક ભાગ અને પછી તેર લીટીના બીજા ટુકડાની યોજના કવિના સ્વથી વિશ્વ સુધીના વિસ્તરણના ભાવજગતને ઉપકૃત  નિવડતા હોય એમ લાગે છે. પહેલી બે લીટીમાં પોતા સુધી સીમિત રહી જતા કવિ બીજા ભાગમાં ખંડની લંબાઈને અનુરૂપ સતત પોતાના પ્રેમને ચકાસનારી શક્યતાઓને પણ વિસ્તારતા રહે છે. કવિતાને લઘુત્તમ અને દીર્ઘત્તમ એમ બે ખંડમાં વહેંચી દેતી આ તરકીબ કવિતાને શું વધુ પ્રાણવંતી નથી બનાવતી?

Comments (17)

આમંત્રણ – ઓરિયાહ માઉન્ટન ડ્રીમર (અનુ. ઋષભ પરમાર)

તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી
મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ?
અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ.

તમારી ઉંમરમાં પણ મને રસ નથી.
પ્રેમ, સ્વપ્ન અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છો ને?

મારે જાણવું છે કે તમે પીડા સાથે સ્વસ્થ બેસી શકો છો?
એને છુપાવવા, ઘટાડવા કે મટાડવાના પ્રયત્નો વગર ?

મારે જાણવું છે, તમે વિશ્વાસઘાતનો આરોપ સહી શકો છો ?
પોતાના આત્માનો વિશ્વાસઘાત કર્યા વગર?

મારે જાણવું છે કે દિનબદિન આકર્ષણના આટાપાટા વચ્ચે તમે સૌંદર્યને જોઈ શકો છો?
એની હયાતીમાં તમારા જીવનનો સ્ત્રોત અનુભવી શકો છો?

તમે ક્યાં, શું અને કોની પાસે ભણ્યા એમાં મને રસ નથી.
મારે જાણવું છે કે બહાર બધું જ પડી ભાંગે ત્યારે અંદર કોણ તમને ટકાવી રાખે છે?

મારે જાણવું છે કે તમે જાત સાથે એકલા રહી શકો છો?
ખાલી ક્ષણોમાં તમારો સથવારો તમને ગમે છે?
-ઓરિયાહ માઉન્ટન ડ્રીમર
(અનુ. ઋષભ પરમાર)

કેનેડાના શિક્ષક અને લેખકની આ કવિતામાં કવિ શાનું આમંત્રણ આપણને આપે છે? પહેલી નજરે કવિના પ્રશ્નોના જવાબ આપવા માટેનું દેખાતું આ આમંત્રણ હકીકતે તો પોતાની જાતની ઉલટતપાસ કરવા માટેનું છે. કવિને તમારા સ્થૂળ વિશે જાણવામાં રસ નથી અને એ એ જાહેર પણ કરી જ દે છે. કવિને રસ છે તમારી અંદર ઉતરવામાં. તમારા સૂક્ષ્મને ઓળખવામાં અને તમને તમારા સૂક્ષ્મની ખરી પિછાન અપાવવામાં. પ્રશ્નોત્તરી જેમ જેમ આગળ વધતી જાય છે એમ એની સૂક્ષ્મતા અને અર્થગહનતા વધતી જાય છે અને આપણે આપણી ખરી ઓળખ ગુમાવી બેઠા હોવાનો આપણને થતો અહેસાસ બળવત્તર થતો રહે છે. છેલ્લો પ્રશ્ન તો આપણી રહીસહી વાચાને પણ હરી લે છે…

Comments (7)

તારા પગ – પાબ્લો નેરુદા

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ જોઉં છું.
મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.
હું જાણું છું કે તેઓ તને આધાર આપે છે
,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારા સ્તનાગ્રના બેવડા જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની પહોળી ફાડ સમું તારું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર
પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી ઉપર અને ચાલે છે
પવન પર અને પાણી પર
,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજી અનુવાદના આધારે ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

થોડા સમય પહેલાં ધવલે El Postino (The Postman) ફિલ્મની ડીવીડી મોકલી હતી. એ ફિલ્મ જોઈ ત્યારે પાબ્લો નેરુદાના વધુ પરિચયમાં આવ્યો. ચીલીના પારેલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ જન્મેલા પાબ્લો નેરુદા વીસમી સદીના સૌથી સશક્ત કવિઓમાંના એક છે. રાજકારણમાં શરૂથી અંત સુધી સક્રિય રહેનાર આ કવિની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. ગઈ સદીના કવિતાના મહાસાગર સમા આ કવિના કાવ્ય-સાગરમાં શંખ-છીપલાં, પરવાળાં, અદભુત વનસ્પતિઓ, સપ્તરંગી માછલીઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે અલૌકિકને લૌકિકતા બક્ષે છે… ઈ.સ. ૧૯૫૦માં એમને વિશ્વ શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૭૩માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો અને એ જ વર્ષે ૨૩-૦૯-૧૯૭૩ના રોજ એમનું નિધન થયું.

Comments (6)

साये में धूप (कडी : ३)- दुष्यन्त कुमार

હિંદી સાહિત્યના ગઝલસમ્રાટ શ્રી દુષ્યન્ત કુમાર સાથે ‘લયસ્તરો’ના વાચકોનું તાદાત્મ્ય સાધતી આ ત્રીજી અને આખરી કડી છે. ફક્ત બાવન ગઝલોના આંગળીના વેઢે ગણી શકાય એટલા શેરોમાં એમણે જે કામ કર્યું છે એ કામ દીવાનના દીવાન ભરી નાંખનાર શાયરો પણ કદાચ નથી કરી શક્યા. દિલની પીડાથી વધુ એમણે ગરીબ-મજબૂર માણસના દર્દને પ્રાધાન્ય આપ્યું છે. એમની ગઝલો વાંચો અને આપણા જ દિલના કોઈક ખૂણામાં રહેલ સામાજિક અવ્યવસ્થા, અસહિષ્ણુતા અને અસમાનતા પરત્વેના વિરોધને વાચા મળતી જણાય છે. પોતાને શું કહેવું છે એ વાતથી આ શાયર બખૂબી વાકેફ છે. એ સાફ જણાવે છે કે, “मैं जिसे ओढ़ता-बिछाता हूँ, वो ग़ज़ल आपको सुनाता हूँ ।” આ ગઝલોમાં ભાષાનો આડંબર નથી, કડવી વાસ્તવિક્તાની દાહક સચ્ચાઈ છે અને એટલે જ આ ગઝલો આપણે વાંચીએ છીએ ત્યારે એ દુષ્યન્ત કુમારની ઓછી અને આપણી પોતાની વધારે લાગે છે… આજ કવિકર્મની સાર્થક્તા છે…!

(વાંચો કડી-૧ અને કડી-૨)

एक आदत सी बन गई है तू,
और आदत कभी नहीं जाती ।

दर्दे दिल वक्त को पैग़ाम भी पहुँचाएगा,
इस क़बूतर को ज़रा प्यार से पालो यारो ।
कैसे आकाश में सूराख नहीं हो सकता,
एक पत्थर तो तबीयत से उछालो यारो ।
(सूराख=छेद)

तुम कहीं पर झील हो, मैं एक नौका हूँ,
इस तरह की कल्पना मन में उभरती है ।

सिर्फ़ शायर देखता है क़हक़हों की असलियत,
हर किसी के पास तो एसी नज़र होगी नहीं ।

चट्टानों पर खडा़ हुआ तो छाप रह गई पाँवों की,
सोचो कितना बोझ उठाकर मैं इन राहों से गुज़रा ।

मैं ठिठक गया था लेकिन तेरे साथ-साथ था मैं,
तू अगर नदी हुई तो मैं तेरी सतह रहा हूँ ।

तेरे सर पे धूप आई तो दरख़्त बन गया मैं,
तेरी ज़िन्दगी में अकसर मैं कोई वजह रहा हूँ ।
(दरख्त=पेड़)

इस अहाते के अँधेरे में धुँआ-सा भर गया,
तुमने जलती लकडियाँ शायद बुझाकर फेंक दी ।
(अहाता=बाडा़)

एक बूढा़ आदमी है मुल्क में या यों कहो-
इस अँधेरी कोठरी में एक रौशनदान है ।

इस कदर पाबंदी-ए-मज़हब कि सदक़े आपके,
जब से आज़ादी मिली है मुल्क में रमज़ान है ।

कल नुमाइश में मिला वो चीथडे़ पहने हुए,
मैंने पूछा नाम तो बोला कि हिन्दुस्तान है ।

कोई निजात के सूरत नहीं रही, न सही,
मगर निजात की कोशिश तो एक मिसाल हुई ।
(निजात=आज़ादी)

समुद्र और उठा, और उठा, और उठा,
किसी के वास्ते ये चाँदनी बबाल हुई ।

फिसले जो इस जगह तो लुढ़कते चले गए,
हमको पता नहीं था कि इतना ढलान है ।

उनकी अपील है कि उन्हें हम मदद करें,
चाकू की पसलियों से गुज़ारिश तो देखिए ।

तू किसी रेल-सी गुज़रती है,
मैं किसी पुल-सा थरथराता हूँ ।

एक बाजू उखड़ गया जब से,
और ज़्यादा वज़न उठाता हूँ ।

मैं तुझे भूलने की कोशिश में,
आज कितने करीब पाता हूँ ।

अब किसी को भी नज़र आती नहीं कोई दरार,
घर की हर दीवार पर चिपके हैं इतने इश्तहार ।

इस सिरे से उस सिरे तक सब शरीके जुर्म हैं,
आदमी या तो ज़मानत पर रिहा है या फ़रार ।
(शरीके जुर्म=अपराध में सामिल)

तुम्हारे पाँवों के नीचे कोई ज़मीन नहीं,
कमाल ये है कि फिर भी तुम्हें यक़ीन नहीं ।

-दुष्यन्त कुमार

Comments (14)

મેદાનની ઋતુ – (કાશ્મીરી) આગા શાહિદ અલી (અનુ. જ્યોત્સ્ના તન્ના)

કાશ્મીરમાં જ્યાં વર્ષમાં
ચાર સ્પષ્ટ ઋતુ છે, મારી માએ
પોતાના બચપણની વાત કરી.
લખનૌના મેદાનમાં અને
એ જ ઋતુની
ચોમાસાની, જ્યારે કૃષ્ણની
વાંસળી સંભળાતી જમનાને કિનારે.
તે જૂની રેકર્ડ વગાડતી
બનારસની ઠૂમરી ગાયિકાઓની
સિદ્ધેસ્વરી અને રસૂલન. તેમના
અવાજમાં ઝંખના હતી, જ્યારે વાદળાં
ઘેરાય, ત્યારે ન દેખાતા તે
શ્યામલ દેવ માટે. જુદાઈ
તો વરસાદ આવતાં ન વેઠાય,
દરેક ઊર્મિગીત આ જ કહે છે.
જ્યારે બાળકો બહાર દોડે
ગલીકૂચીમાં, ભરઉનાળે
પ્રેમીઓ વચ્ચે સંદેશાની આપલે
હીર અને રાંઝા અને બીજા
દંતકથાનાં પાત્રો, પ્રેમ તેમનો નિષિદ્ધ
આખી રાત ધૂપ કરી
જવાબની રાહ જોતાં, મારી મા
હીરનો વિલાપ ગણગણતી
પણ મને કદી કહ્યું નહીં કે તેણે
ચમેલીની અગરબત્તી પેટાવી હતી કે નહીં
જે બળીને રાખની સળી થઈ જતી.
હું કલ્પના કરતો
દરેક એવી ગ્રીવાની
જે ભીની હવા પર ટેકા માટે લળે.
તેણે ફક્ત એટલું જ કહ્યું:
ચોમાસું કદી કાશ્મીરના
પહાડો પાર નથી કરતું.

– (કાશ્મીરી) આગા શાહિદ અલી
(અનુ. જ્યોત્સ્ના તન્ના)

Comments (3)

હરિયાળી વસંત (ચીની) શાન મેઈ, અનુ.: ઉમાશંકર જોશી

વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.

-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી

શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્‍તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.

(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)

Comments (5)

खुदा भी हो – સુધીર પટેલ


(‘લયસ્તરો’ માટે સુધીર પટેલે અમેરિકાથી મોકલાવેલી હસ્તલિખિત અક્ષુણ્ણ ગઝલ)

ना कभी इस कदर हवा भी हो,
यार मेरा कहीं जुदा भी हो !

मैंने होठो़ से ना कहा भी हो,
वो मगर दिल की सुनता भी हो !

उनकी ही खास ये अदा भी हो,
शोखी के साथ में हया भी हो !

लाल हुई हैं आँखे सुरज की,
रात को देर तक जगा भी हो !

मैं ही शायद निकल गया आगे,
वक़्त कुछ देर तक रुका भी हो !

जिन्दगीभर की है दुआ “सुधीर”,
आज हक में मेरे खुदा भी हो !

-सुधीर पटेल

અમેરિકાનિવાસી સુધીર પટેલ આમ તો ગુજરાતી ગઝલમાં પ્રતિષ્ઠિત નામ ધરાવે છે. પણ અહીં જોઈએ તો ખ્યાલ આવે કે હિંદી ગઝલમાં પણ તેઓ એજ હથોટી ધરાવે છે. મેં હોઠોથી કદાચ “ના” પણ પાડી હોય, પણ પ્રિયજને દિલની વાત કદાચ સાંભળી પણ લીધી હોય એવું બનેની અભિવ્યક્તિ પ્રેમના આશાવાદની જે તીવ્રતા સુધી ભાવકને ખેંચી જાય છે એ અદભુત છે.

Comments (4)

વિશ્વ-કવિતા:૧૪: દિલોજાન (બ્રિટન) – ડી. એચ. લૉરેન્સ (અનુ. જયા મહેતા)

તને મારા પ્રેમની પરવા નથી ? તે કડવાશથી બોલી.

મેં તેને અરીસો આપીને કહ્યું :
મહેરબાની કરીને આ પ્રશ્ન યોગ્ય વ્યક્તિને પૂછ!
મહેરબાની કરીને બધી વિનંતીઓ મુખ્ય કાર્યાલયને કર!
લાગણીઓ વિશેની મહત્વની બાબતોમાં
મહેરબાની કરીને સર્વોચ્ચ સત્તાને સીધું જ પૂછ! –
એટલે મેં તેને અરીસો આપ્યો.

અરીસો એણે મારા માથા પર જ તોડ્યો હોત,
પણ એની નજર અરીસામાં પોતાના પ્રતિબિંબ પર પડી
અને બે ક્ષણ માટે એ સંમોહિત થઈ ગઈ,
એટલામાં હું ભાગી છૂટ્યો.

– ડી. એચ. લૉરેન્સ
અનુ. જયા મહેતા

પ્રેમના છીછરાંપણા વિષે નાનું ને તીણું કાવ્ય. અંગ્રેજીમાં કાવ્યનું શીર્ષક ‘Intimates’ છે. જે કાવ્યના વ્યંગને વધુ વેધક બનાવે છે. અનુવાદ કરવામાં જયા મહેતાએ ‘દિલોજાન’ શબ્દ વાપરીને કમાલ કરી છે. મૂળ અંગ્રેજી કાવ્ય અહીં જુઓ.

Comments (3)

વિશ્વ-કવિતા:૧૩: જીવન અને સેક્સ (હિન્દી)- દેવીપ્રસાદ વર્મા (અનુ. – સુરેશ દલાલ)

તું નહીં શકુન્તલા
હું નહીં દુષ્યન્ત
તું નહીં કામિની
હું નહીં કંથ
સાધારણ નારી-નર
આપણે નહીં અનંત
રોજી અને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત.
(જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.

– દેવીપ્રસાદ વર્મા
અનુ. સુરેશ દલાલ

Comments (3)

વિશ્વ-કવિતા:૧૨: વણલખ્યો પત્ર (સ્વિડન) – હેલ્ગે ચેડેનબેર્ય (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

જો હું લખી શકત તમને
એક અત્યુત્તમ સંપૂર્ણ પત્ર,
તો
તેના શબ્દો ઝગારા મારત
તમારાં નયનોની જેમ જ,
તેમાંથી સુવાસ આવતી હોત
જેવી તમારા દેહમાંથી આવે છે.
તેમાંથી સ્વરો નીકળત
જેવા તમારા કંથમાંથી નીકળે છે.
તે હૂંફ આપત, જેવી તમારા હાથ આપે છે.

મારો પત્ર એવો હોત,
જાણે તમારા જ લોહીનાં બુંદનું લખાણ.
તમારી જ વાચાનો જાણે રણકતો પડઘો:
તેમાં સાંભળી શકાત એક એવા હૃદયનો ધબકારો
જેમાં પોતીકાપણું રહ્યું જ નથી,
અને એવો સ્નિગ્ધ પ્રેમ તેમાંથી નીતરત
જે સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલો છે.

તે પત્રના શબ્દો એવા તો હોત,
જાણે તે શબ્દ જ રહ્યા નથી,

એક અણ-કહી વાત, જેમાં
તમારા અંત:સ્થલનો સાત ડોકિયાં કરતો હોત.
આવો હોત, તે આદર્શ પત્ર.

જો હું લખી શકત તમને
એક ઉત્તમ સંપૂર્ણ પત્ર,
તો તમે પોતે જ મારો પત્ર હોત.

– હેલ્ગે ચેડેનબેર્ય (સ્વિડન), અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’

લખેલા પ્રેમપત્ર વિશે કે પ્રેમપત્રમાં કશુંક લખવા વિશેની ઊર્મિસભર વાતો તો ઘણી કવિતાઓમાં જોવા મળે છે. પરંતુ લાગણીથી લથબથ આ વણલખ્યા પત્રની કવિતા વાંચો તો જરૂર એમ થાય છે કે આ પત્ર જો ખરેખર પ્રિયજનને લખી શકાયો તો હોત તો એનું રૂપ કેવું હોત?! કાવ્યમાં કવિ જેમ જેમ આપણને અંતની નજીક લઈ જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ ભીંજાતા જઈએ છીએ… અને છેલ્લે કવિએ પ્રિયજનને જ પોતાનો પત્ર હોવાની કહેલી વાતથી તો તમે બિલકુલ કોરા રહી જ ના શકો… !

Comments (3)

વિશ્વ-કવિતા:૧૧: પ્રેમ અને પુસ્તક (પંજાબી) – સુતીંદરસિંહ નૂર (અનુ. સુજાતા ગાંધી)

પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.

કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.

કેટલાંક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાંક પુસ્તકોનાં
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતાં પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું.

– સુતીંદરસિંહ નૂર (પંજાબી), અનુ. સુજાતા ગાંધી

અહીં કવયિત્રીએ પુસ્તક અને પ્રેમની સરખામણી કેવી અદભૂત અને અનોખી રીતથી કરી છે! અમુક પુસ્તકોનાં મુખપૃષ્ઠથી ભીંજાવું તો અમુકને ઉથલાવીને ભીંજાયા વગર પાછું મૂકી દેવું… અમુકનાં પાનાઓમાં રંગ-બેરંગી નિશાની કરવી તો અમુક પર નિશાની કરતાં પણ ડરવું… અમુકને વાંચીને એના શબ્દેશબ્દમાં બસ ખોવાયા જ કરવું તો અમુકને બિલકુલ આત્મસાત કરી લેવું… વળી, અમુકને તો તકિયા નીચે મૂકીને નિરાંતે ઊંઘી જવું, એટલે પછી જ્યારે જાગો અને વાંચવાનું મન થાય તો એને વાંચવા માટે શોધવા ક્યાંય દૂર જવું જ ન પડે! અરે હા, બેશક… પ્રેમનું પણ કંઇક આ પુસ્તક જેવું જ છે હોં!!

Comments (6)

વિશ્વ-કવિતા:૧૦: વનો છે શ્યામલ- (અંગ્રેજી-અમેરિકા) રોબર્ટ ફ્રૉસ્ટ, અનુ.: ઉમાશંકર જોશી

કોનાં આ વન, છે જ તો મારી જાણમાં,
છે જોકે ઘર તો ભલા એનું ગામમાં.
ન થંભતો આંહીં મને નિહાળશે
જોતો ભરાતાં વન આ હિમપાતમાં.

મારા નાના અશ્વને લાગતું હશે
વિચિત્ર રોકાણ આ, ન મકાન તો કશે.
વનો, થિજેલા વળી આ તળાવની
વચ્ચે તમિસ્રાભરી સાંજ શી લસે !

હલાવીને હય ઘંટડીઓ ધુરા તણી
જાણે પૂછે : નથી ને કંઈ ભૂલ આપની ?
સ્ફુરંત હળવા સપાટા હવાના
ને રેશમી હિમફર્ફર માત્રનો ધ્વનિ.

વનો છે શ્યામલ, ગહરાં, મજાનાં,
પરંતુ મારે છે વચન પાળવાનાં.
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના,
સૂતાં પ્હેલાં ગાઉ કૈં કાપવાના.

-રોબર્ટ ફ્રૉસ્ટ (અંગ્રેજી)
અનુ.: ઉમાશંકર જોશી

રોબર્ટ ફ્રૉસ્ટની મૂળ અંગ્રેજી ભાષાની આ અતિલોકપ્રિય કૃતિનો શ્રી ઉમાશંકરે સ-રસ સાછંદ અનુવાદ કર્યો છે. કાવ્યનાયક જંગલોમાંથી પસાર થાય છે ત્યારે હિમવર્ષાનું અદભુત સૌંદર્ય એને આકર્ષીને થોભવા પર મજબૂર કરે છે. વનોનો માલિક ઓળખીતો છે પણ દૂર ગામમાં હોવાથી એ આ સૌંદર્યપાનમાં ખલેલ પહોંચાડવાનો નથી. પણ થીજેલા તળાવ પાસે રાતના અંધારા ઊતરી રહ્યા હોય એવા વખતે કોઈ મકાન પણ ન હોય એવી જગ્યાએ અસવારને થોભેલો જોઈને ઘોડાને આશંકા જાગે છે કે કોઈ ભૂલ તો નથી થઈ ગઈ ને? અને એ જાણે ગળામાંની ઘુઘરી હલાવીને આ પ્રશ્ન કરે છે. હવાના હળવા સપાટા અને હિમફર્ફરમાં મગ્ન સવાર જાણે તંદ્રામાંથી જાગે છે અને એને પાળવાનાં વચનો યાદ આવી જાય છે. કર્તવ્યબદ્ધ એ પોતાના પંથે આગળ નીકળી પડે છે…

અહીં ચારે કડીઓમાં ફારસી રૂબાઈ જેવી પ્રાસ-રચના ઉપરાંત પહેલી, બીજી અને ત્રીજી કડીમાં અંત્યાનુપ્રાસ જાળવીને મહાકવિ દાન્તેની ત્રિપ્રાસસાંકળી (તર્ઝા રીમા)નો સુભગ સમન્વય પણ કર્યો છે અને શ્રી ઉમાશંકરે અનુવાદમાં પણ એ કરામત જાળવી રાખી છે.

કાવ્યસૌજન્ય: શ્રી જુગલકિશોર વ્યાસ

Comments (3)

વિશ્વ-કવિતા:૦૯: ગીત ગોવિંદ- (સંસ્કૃત) જયદેવ, અનુ.: રાજેન્દ્ર શાહ

ગુર્જરી રાગ-એક્તાલી તાલ,ગીત-૧૧)

રતિસુખને સંકેત-નિકેત ગયેલ મનોહર વેશ,
ન કર, નિતમ્બિનિ, ગમનવિલંબન અનુસર તે હૃદયેશ.
ધીર સમીરે યમુના તીરે અધીર કુંજવિહારી.
આલિંગન-રંજન કારણ, જો, કરત કામના તારી. ૧

વેણુ મહીં સ્વરને ઇંગિત તવ ગાય મનોરમ નામ,
રજ પવને જે વહે, લહે તે તવ પદની અભિરામ. ૨

પર્ણ ખરે કે પાંખ ફફડતાં તને આવતી ધારી,
શયન રચે, ને આતુર નયન રહે તવ પંથ નિહાળી. ૩

અરિ સમ કેલિ-સુચંચલ નેપુર મુખર અધીર ત્યજીને,
ચલ, સખી, અંધ તિમિરમય કુંજે નીલ નિચોલ સજીને. ૪

સઘન મેઘમાં બકમાલા સમ સોહે હરિ-ઉર હાર,
શ્યામ સંગ તું ગૌર વીજ શી રમ રતિએ સમુદાર. ૫

કટિ કાંચી પરહરતાં જઘન વસન સરકે એ રીતે,
કિસલય શયને કંજનયન રસિકેશ્વર રીઝવ પ્રીતે. ૬

હરિ અભિમાની, ને રજની આ જાય વહી, અવ શાણી,
સત્વર પૂર મનોરથ પ્રિયના; કહ્યું કર ઉમંગ આણી. ૭

પ્રમુદિત હૃદય અતીવ સદય રમણીય પુનિત વરણીય,
હરિચરણે વંદત જયદેવ ભણિત પદ આ કમનીય. ૮

-જયદેવ (સંસ્કૃત)
અનુ. રાજેન્દ્ર શાહ

૧. કવિ જયદેવના સુપ્રસિદ્ધ ‘ગીતગોવિંદમ્’નું આ ગીત પ્રણય અને સૌંદર્યનું અદભુત સાયુજ્ય સર્જે છે. સાંવરિયા પ્રિયતમને મળવા કામદેવને લોભાવે એવો મનોહર વેશ ધારી રતિસુખની ઈચ્છાથી અભિસારે નીકળેલી નિતમ્બિનિને કવિ હૃદયેચ્છાને અનુસરીને વાર ન લગાડવા કહે છે કારણ કે યમુનાતીરે શ્રી કૃષ્ણ એને આલિંગનબદ્ધ કરવા એની પ્રતીક્ષા કરી રહ્યા છે.

૨. એક તરફ પિયતમની વાંસળીના સૂરમાંથી તારા નામનો સંકેત તારી તરફ સરે છે તો બીજી તરફ તારા પગરવમાંથી વ્યક્ત થતા આનંદની ધૂળ લઈ પવન ક્હાન તરફ વહે છે.

૩. ખરતાં પાંદડાના મર્મરમાં કે પક્ષીની પાંખનો આછા ફફડાટમાં પણ તારો પગરવ સાંભળતા વિરહાતુર કૃષ્ણ શૈયા રચીને તારો જ રસ્તો નિહાળે છે. ઈંતજારની કેવી પરાકાષ્ઠા કે જ્યાં ઈશ્વર પણ બાકાત નથી રહેતા ! આ જ તો છે પ્રણયની તાકાત.

૪. ક્રીડા કરવા માટે ચંચળ અને વચાળ બની ગયેલા -તારા આગમનની અગાઉથી જ જાણ કરી દેતા- દુશ્મન સમા ઝાંઝરનો ત્યાગ કર અને રાત્રિની કાલિમાથી અંધ સમા બની ગયેલા આ વનકુંજમાં આકાશી શીલનો ઘુંઘટ સજીને તું ચાલ.

૫. ઘેરાયેલા મેઘમાં જેમ બગલાની માળા તેમ હરિના ઉરે હાર શોભી રહ્યો છે એજ રીતે શ્યામ કૃષ્ણના સંગમાં ગૌર વીજળી સમી તું ઉદાર થઈને રતિક્રીડામાં રમમાણ થઈ જા.

૬. કમરે ઘૂઘરિયાળો કંદોરો પહેરતી વેળાએ જાંઘ પરનું વસ્ત્ર સરકી જાય એવી ચેષ્ટા વડે કૂંપળોની શૈય્યા પર સૂતેલા કમળનયની રસિકેશ્વરને તું પ્રેમથી રીઝાવ.

૭. હરિ તો અભિમાની છે. એ પોતાના ઈંતજારને, પોતાના પ્રણયને કે પોતાની તડપને સામે ચાલીને વ્યક્ત નહીં જ કરે. એવી પ્રતીક્ષામાં રહેશે તો આ રાત વહી જશે. માટે ડાહી થઈને મારી વાત માન અને આનંદપૂર્વક સત્વરે પ્રિયના મનોરથ પૂર્ણ કર.

૮. આ કમનીય પદ કહીને કવિ જયદેવ જેનું હૃદય આનંદપ્રચુર છે અને અત્યંત દયામય છે એવા પરમ રમણીય પ્રભુને વંદન કરે છે.

Comments (7)

વિશ્વ-કવિતા:૦૮: દુ:ખ (હિન્દી) – સર્વેશ્વરદયાલ સક્સેના

દુ:ખ છે મારું
સફેદ ચાદર જેવું નિર્મલ
એને બિછાવીને સૂઈ રહું છું.

દુ:ખ છે મારું
સૂરજ જેવું પ્રખર
એની રોશનીમાં
તમામ ચહેરા જોઈ લઉં છું.

દુ:ખ છે મારું
હવા જેવું ગતિમાન
એના બાહુમાં
હું બધાને લપેટી લઉં છું.

દુ:ખ છે મારું
અગ્નિ જેવું સમર્થ
એની જ્વાળઓની સાથે
હું અનંતમાં પહોંચું છું.

– સર્વેશ્વરદયાલ સક્સેના
અનુ. સુરેશ દલાલ
આજે ‘દુ:ખ’ પરની અલગ જાતની કવિતાની વાત નીકળી છે તો આ કવિતા મૂકવાનો લોભ જતો કરી શકતો નથી. આ કવિતાને આગલી કવિતા સાથે સરખાવશો. માણસના વિકાસમાં દુ:ખ – અડચણ – મુસીબતો નું પણ આગવું મહત્વ છે. કવિઓને પ્રેમ પછી વધારેમાં વધારે કોઈ ચીજને ગાઈ છે તો એ છે દુ:ખ.

Comments (6)

વિશ્વ-કવિતા:૦૭: ભાગીદારી (ટર્કી) – ફૈયાઝ કયકન

મારે ઘણા દુ:ખ છે
હું મારા બધા દુ:ખને સારી રીતે જાણું છું
અને એ બધા પણ મને સારી રીતે ઓળખે છે
અમને એકબીજા સાથે સારું બને છે
એ મને કનડે તે મને જરાય ખૂંચતું નથી

કોઈ વાર પુસ્તક વાંચતા વાંચતા
માથું ઊંચું કરીને હું
એમને સલામ કરી લઉં છું.

કોઈ નવી મુસીબત આવી પડે તો
એ બધા એમનું માથું ઊંચું કરીને
મારી સામે જુએ છે અને શાંત થઈ જાય છે.

– ફૈયાઝ કયકન

દુ:ખ માણસને એટલો બધો લાંબો સમય સાથ આપે છે કે એ પોતાના અંગત માણસ જેવા જ થઈ જાય છે. કેટલીક વાર તો એ એટલા પોતિકા થઈ જાય છે કે નવી મુસીબતમાં એ ભાગીદારી કરાવે છે. દર્દકા હદસે ગુઝર જાના… જેવી જ વાત છે પણ બહુ અંગત દૃષ્ટિકોણથી કરી છે.

Comments (2)

વિશ્વ-કવિતા:૦૬: ત્રણ નિઃશ્વાસ (ઓડિયા) પ્રહરાજ નંદ, અનુ.:ભોળાભાઈ પટેલ

તારા પ્રથમ નિઃશ્વાસમાં
સહસ્ત્ર વસંતનો સ્પર્શ
અસંખ્ય પતંગિયાનું અરણ્ય
ઝરણાની વાયોલીનમાં ઝલકી જતી સ્વપ્નની રાગિણી
હું નિર્વાક્ !

તારા બીજા નિઃશ્વાસમાં
વૈશાખનો નિર્મમ પ્રશ્ન
વિદગ્ધ નીલિમાની વ્યાકુળતા
અશાન્ત પવનમાં વિપર્યસ્ત આંધીની મર્મર
અસ્તિત્વનો સમુદ્ર મારો જવલમાન !

તારા ત્રીજા નિઃશ્વાસમાં
કદંબરેણુની વર્ષા
વિસ્તારિત કેશકસ્તુરીની સૌરભ
અંધકારની કાળી શિલામાં ચંદ્રની અસમાપ્ત યંત્રણા
નિઃસંગ હું.

-પ્રહરાજ સત્યનારાયણ નંદ (ઓડિયા)
અનુ.: ભોળાભાઈ પટેલ

પ્રહરાજ નંદનું આ કાવ્ય વામનના ત્રણ પગલાંની યાદ અપાવે છે. વામન ભગવાને ત્રણ જ પગલાંમાં બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું હતું ત્યારે સમર્પણની જે ચરમસીમા અનુભવાય છે એવી જ પ્રેમની ઉત્કટતા પ્રેયસીના ત્રણ નિઃશ્વાસ સાથે અહીં અનુભવી શકાય છે. પ્રિયતમાનો નિઃશ્વાસ દિવસ અને રાત બંનેને-એમ આખા અસ્તિત્વને સ્પર્શે છે. એમાં હજારો વસંતનો સ્પર્શ અને અસંખ્ય પતંગિયાના ભાતીગળ રંગો ઉપરાંત રાતના સ્વપ્નોનું સંગીત એવી રીતે સરકી જાય છે કે કવિની વાચા હરાઈ જાય છે. બીજા નિઃશ્વાસમાં વૈશાખની નિર્મમ ગરમી, ભસ્મીભૂત થયેલી નીલિમાની વ્યાકુળતા અને પવન સુદ્ધામાં આંધી બની પ્રસરી ગયેલી અશાંતિ કવિના આખેઆખા અસ્તિત્વને બાળી નાંખે છે જાણે. ત્રીજા નિઃશ્વાસમાં અંધારાનો વ્યાપ કદી સમાપ્ત ન થનાર યંત્રણાની માફક કવિને સંગહીન -એકલો- કરી દે છે. ત્રણ નિઃશ્વાસમાં ક્રમશઃ વસંતના રંગો, વૈશાખનો તાપ અને કદી ખતમ ન થનાર અંધકાર સુધી ભાવકને ખેંચી લઈ જઈ કવિ વેદનાની કાલિમાથી એના હૃદયને સાંગોપાંગ ભરી દે છે…

Comments (3)

વિશ્વ-કવિતા:૦૫: – (ઈઝરાઈલ) યેહુદા અમિચાઈ અનુ.: ઇન્દ્રજીત મોગલ

બૉમ્બનો વ્યાસ ત્રીસ સેન્ટિમીટર હતો
અને એની વિનાશશક્તિના વર્તુલનો વ્યાસ સાત મીટર હતો.
અને એ મર્યાદાવર્તુલમાં પડ્યા હતા ચાર મરેલા અને અગિયાર ઘવાયેલા
અને એમની આજુબાજુ વેદના અને સમયના વધુ વિસ્તરેલા વર્તુલમાં
વેરવિખેર ઊભાં છે બે દવાખાનાં અને એક કબ્રસ્તાન.
પણ સો કરતાં વધુ કિલોમીટર દૂરની ભૂમિમાંથી
આવેલી સ્ત્રીને જ્યાં ભૂમિદાહ કર્યો તે બિન્દુ
વર્તુલને ખૂબ વિસ્તારી દે છે.
અને તેના મૃત્યુ પર આંસુ સારતા એકાકી માનવીનું બિન્દુ
દૂરના પ્રદેશના એક દૂરના ખૂણામાં
સમસ્ત વિશ્વને વર્તુલમાં સમાવી લે છે.
અને હું ચૂપ જ રહીશ અનાથ બાળકોનાં આંસુ વિશે
કે જે ઈશ્વરના સિંહાસન સુધી પહોંચે છે
અને ત્યાંથી એ વધુ વિસ્તરી
વર્તુલને અનંત અને ઈશ્વરવિહોણું બનાવે છે.

યેહુદા અમિચાઈ (ઈઝરાઈલ)
અનુ.: ઇન્દ્રજીત મોગલ

ક્યારેક શબ્દો કોઈ શક્તિશાળી બૉમ્બ કરતાં પણ વધુ પ્રબળતાથી આપણને હચમચાવી શકે છે એની પ્રતીતિ આ કાવ્ય વાંચતાવેંત જ થાય. થોડું પણ મનુષ્યત્વ આપણી અંદર જીવતું ન હોય તો જ આપણી રગોમાં દોડતું લોહી થીજી જતું ન અનુભવાય આ વાંચીને. કવિ સેન્ટિમીટરથી શરૂ કરીને અનંતતા અને મનુષ્યથી શરૂ કરીને ઈશ્વર સુધી ની વેદનાદાયી યાત્રા કરાવે છે. વિનાશનો વ્યાપ ગણવા બેસનાર કેટલા મૂર્ખ હોય છે! તબાહીની ગણતરી લાશો કે ઘાયલોના આંકડાથી પર હોય છે. કોઈપણ તબાહી સંકેત છે એ વાતનો કે ઈશ્વર ક્યાંય નથી…

યેહુદા અમિચાઈનો જન્મ 03-05-1924ના રોજ જર્મનીમાં અને મૃત્યુ 2-09-2000ના રોજ ઈઝરાઈલમાં. ઈઝરાઈલમાં વર્નાક્યુલર હિબ્રુ ભાષાને સ્થાપિત કરવામાં એમનો મોટો ફાળો હતો. બાઈબલની ક્લિષ્ટ ભાષાને બદલે ઈઝરાઈલની શેરીઓની ભાષાને કવિતામાં સ્થાન આપીને એમણે લોકભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો હતો.

Comments (4)

વિશ્વ-કવિતા:૦૪: સ્મરણ (કેનેડા)- ડોરથી લાઈવસે

તારું સ્મરણ છે જાણે હાથમોજું
ખાનામાં સંતાડેલું:
ફરી કાઢીને પહેરું છું
વર્ષો પહેલાં હતું એટલું જ ચપોચપ.

ડોરથી લાઈવસે

કહે છે કે સ્મરણના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. વિતેલી યાદોને ગમે તેટલી અળગી કરો પણ એ દિલમાં એવી વસી ગઈ હોય છે કે જ્યારે પાછી આવે ત્યારે એ મનને ભીનું કરી જ જાય છે !

Comments (6)

વિશ્વ-કવિતા:૦૩: હસ્તાંતર (મરાઠી) – દ.ભા. ધામણસ્કર

વિસર્જન માટે ગણપતિ લઈ જતાં
મને મૂર્તિનો ભાર લાગવા માંડ્યો ત્યારે
ઊછળતી યુવાનીભર્યા
મારા પુત્રે જ મને કહ્યું; “આપો મને”

મેં મૂર્તિ તરત દીકરાના હાથમાં મૂકી
બાજોઠ સહિત
દીકરાએ પણ મૂર્તિ હાથમાં લીધી બરાબર સંભાળીને, ને
હું એક દૈવી આનંદમાં અકલ્પિત
પરંપરા આગળ સરકાવ્યાના…

હું પાછો યુવાન યયાતિ જેવો,
મારો પુત્ર એકદમ વૃદ્ધ
પરંપરાના બોજાથી વાંકો વળી ગયેલો.

– દ.ભા. ધામણસ્કર

પરંપરા બેધારી તલવાર છે. પરંપરા તૂટે તો આપણે દુ:ખી થઈએ છીએ. પણ પરંપરાના બોજ હેઠળ નવસર્જન શક્ય નથી એ વાત ભૂલી જઈએ છીએ. અમને અમેરિકામાં રહેનારા માણસોને આ વાત ખૂબ લાગુ પડે છે. અહીં આવ્યા પછી ઘણા લોકો ‘અમેરિકન’ થઈ જાય છે એ વાત સાચી છે પણ મોટા ભાગના માણસો તો ભારતમાં હતા એનાથી પણ વધુ પરંપરાવાદી થઈ જાય છે. ભારત દેશ બદલાય છે પણ અમેરિકામાં આવીને વસેલા આ ભારતિય લોકો કદી બદલાતા નથી. બદલાતા સમય સામે અને સમાજના રીતરિવાજ સામે પીઠ કરીને પોતાનો એજ આલાપ સંભળાવ્યા કરે છે. ત્યારે તમને થાય કે પરંપરા કેવો બોજો બની જાય છે ! પરિવર્તન અને પરંપરાના સંતુલનમાં જ વિકાસની ચાવી છે. પછી એ વિકાસ માનસિક હોય, સામાજીક હોય કે પછી આર્થિક હોય.

Comments (3)

વિશ્વ-કવિતા:૦૨: ત્યારથી (અસમિયા) અનુપમા બસુમતારી, અનુ. નૂતન જાની

મારો પોષાક પથ્થરનો
મારાં ઘરેણાં પથ્થરનાં
મારા હોઠ – તે સુદ્ધાં પથ્થરના હતા;
હું કશું જ બોલી શક્તી નહોતી.

તે આવ્યા,
તેમણે મારી તરફ જોયું
મારાં જીર્ણ અંગેઅંગ નીરખ્યાં,
કાળજીપૂર્વક કોતર્યાં
મારાં સ્તન, મારા હોઠ ને આંસુ
પથ્થરના શરીરમાંથી કાઢીને
તેઓ મને
એક જુદા જ પથ્થરમાં ઘડતા ગયા.

એમના હાથમાં જાદુ હશે,
અથવા તો તે વેળા જ હશે
હૃદયના મિલનની-
એક દિવસ
મારું હૃદય ધડકવા લાગ્યું
અને મારા બાહુઓએ
એમને નજીક લીધા
ત્યારથી હું સ્ત્રી છું.

-અનુપમા બસુમતારી (આસામી)
અનુ. નૂતન જાની

સ્ત્રી હોવાના મનોભાવો જે સૂક્ષ્મતાથી આ કાવ્યમાં કંડારવામાં આવ્યા છે એ જવલ્લે જ કોઈ કાવ્યમાં જોવા મળશે. કવિતાની શરૂઆત જ કવયિત્રી એ પોષાક અને ઘરેણાંથી કરી છે એ પણ સૂચક છે. એ આવ્યા પણ એ કોણ એ કવયિત્રી સહેતુક અધ્યાહાર રાખે છે. એ કોણ? સર્જનહાર કે પ્રિયતમ? અને એ જ્યારે એને ઘડે છે ત્યારે કવયિત્રી વળી સહેતુક સ્તન, હોઠ અને આંસુ- આ ત્રણ શબ્દો વાપરે છે. આ જ સ્ત્રીનો સરવાળો છે અને કવિતાના શબ્દોની ખરી કમાલ પણ છે. પણ આ પથ્થરમાં હૃદય ધડકે તો પણ એ સ્ત્રી નથી બનતો. આ પથ્થર સ્ત્રી બને છે એના પ્રિયતમને બાહુઓમાં સમેટી લે ત્યારે…

Comments (8)

વિશ્વ-કવિતા:૦૧: મારી કવિતા – (ચેકોસ્લોવેકિયા) યારોસ્લાવ સાઈફર્ત, અનુ. વિષ્ણુ પંડ્યા

દુનિયામાં રચાતી
શતસહસ્ત્રો કવિતામાં
મેંય ઉમેરી છે મારી કવિતા.

જાણું છું-
તમરાંના અવાજ જેટલી યે સાથે નહીં હોય
ચન્દ્રની માટી પર દેખાતા ચિહ્નો
જેવો ચમત્કાર પણ ક્યાંથી વળી?
ના, એટલું અજવાળું પણ નહીં
ને છતાંય મને પ્રિય છે મારી ભાષા.

ભાષાનું એ અદકેરૂં રૂપ
જે ખામોશ હોઠ પર થરથરાટ સર્જે છે
રક્તિત આભાથી ન્હાતાં મેદાનો પરથી
ધી…ર સૂર્યાસ્તના ઉજ્જવળ પ્રકાશે
ચાલ્યે જતા યુવા પ્રણયીઓનાં
ચુમ્બનમાં તે પલટાઈ જશે.
ક્યારની આપણી સંગાથે છે કવિતા
પ્રેમની જેમ.
ભૂખની જેમ.
મહામારી આજે યુદ્ધ સરખી
મૂર્ખતાથી લજ્જિત થઈ અનેકવાર
પણ તેથી શું ?
મારે નથી કરવો ખુલાસો,
હું જાણું છું-
સુન્દર શબ્દોની ખોજ
અનેકગણી બહેતર છે, હત્યાઓથી.

-યારોસ્લાવ સાઈફર્ત (ચેકોસ્લોવેકિયા)
અનુ. વિષ્ણુ પંડ્યા

વિશ્વયુદ્ધોએ માણસને જેટલો તોડ્યો છે, શબ્દોએ એટલો જ જોડ્યો છે. બૉંબ, ગોળીઓ, તોપથી રેડાતા શોણિતની વચ્ચે હતાશા, ભય અને આતંકની પ્રેતછાયાઓ શ્વાસમાં લેતા મનુષ્ય માટે તમરાંના અવાજ જેવી ક્ષીણ અને ચંદ્રયાત્રા જેવા ચમત્કારવિહોણી કે ઘસાઈ-ઘસાઈને પોતાનો પ્રકાશ ગુમાવી ચૂકેલી ભાષા જ એક આશ્વાસન છે અને એટલે જ હજારો લાખો કવિતાઓ લખાઈ ચૂકી હોવા છતાં કવિ એમાં પોતાની કવિતા ઉમેરતા રહે છે. જે મેદાનો પર યુદ્ધમાં રેડાયેલા રક્તની લાલાશ છવાઈ છે ત્યાં જ થશે પ્રેમીજનોના ચુમ્બનોની લાલીનો સૂર્યોદય. પ્રેમ અને ભૂખ એ સૃષ્ટિના તીવ્રતમ સંવેદન છે. કવિ કવિતાના શબ્દને બંનેની જોડાજોડ મૂકે છે કારણ કે એ જાણે છે કે સુંદર શબ્દોની શોધ જ અંતે તો કોઈપણ હત્યાથી અનેકગણી બહેતર છે.

સાઈફર્ટ 1984માં સહિત્ય માટેનું નોબેલ-સમ્માન મેળવનાર પ્રથમ ચેક કવિ હતા. (જન્મ:23-09-1901, મૃત્યુ:10-01-1986)

Comments (3)