વર્ષો પુરાણા પત્રોના અર્થો મટી ગયા
કાગળ રહી ગયા અને અક્ષર રહી ગયા
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for શંકર વૈદ્ય

શંકર વૈદ્ય શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કબાટમાંનાં પુસ્તકો – શંકર વૈદ્ય (અનુ. અરુણા જાડેજા)

પુસ્તકો સપનામાં આવે અને પૂછે,
‘તેં અમને ઓળખ્યાં કે?’
વાત કરતાં કરતાં પુસ્તકો ઓગળે
અને અથાગ પાણી થઈને છલકાતાં પૂછે,
‘તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે ? તર્યો છે કે ?’
પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય
અને પૂછે,
‘અમારાં ફળો ક્યારેય ખાધાં છે કે ?
છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે ?’
પુસ્તકો ફરફરતો પવન થઈ જાય
અને પૂછે,
‘શ્વાસ સાથે ક્યારેય અમને હૈયામાં ભર્યાં છે કે ?’
પુસ્તકો આવું કશુંક પૂછતાં રહે
એક પછી એક
દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો
બેસી રહું ચૂપચાપ બસ એમની સામે જોતો.
ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે
અને કહે,
એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને
પુસ્તકો મૂંગાંમંતર થઈ જાય
ઝૂર્યે જાય
જાતને ઊધઈને હવાલે કરે એ –
આખરે આત્મહત્યા કરે
ઘરમાં ને ઘરમાં જ
બંધ કબાટના કારાગૃહમાં !

– શંકર વૈદ્ય (મરાઠી)
અનુ. અરુણા જાડેજા

ગઈકાલે પુસ્તકદિન ગયો. આ કવિતા તાજી જ વાંચી હોવાનો ભાસ હતો પણ બે-ત્રણ કલાકોની શોધ-ખોળ પછી પણ એ ન જડી તે ન જ જડી. પિન્કીની ‘વેબમહેફિલ‘ પર અચાનક અરુણા જાડેજાની પુસ્તકો વિશેની જ એક રચના વાંચી અને મનમાં ઝબકારો થયો. કબાટમાં હાથ નાંખ્યો અને ક્ષણાર્ધમાં કવિતા હાથમાં… આભાર, પિન્કી!

આજની આ કવિતા ધ્યાનથી વાંચીએ અને એકાદ પુસ્તકને કબાટના કારાગૃહમાંથી આઝાદ કરવાનો સંકલ્પ કરીએ તોય ઘણું…

Comments (14)