આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
રાજેન્દ્ર શુક્લ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિ

કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




આ તે કેવું સવાર ? – ચંદ્રકાન્ત શેઠ

આ તે કેવું સવાર, જેમાં અંધકાર તે જાગે ?!
આ તે કેવો ઉઘાડ, જેમાં બંધિયાર સૌ લાગે ?!

આટઆટલા રસ્તા તોયે
નથી જવાતું ઘેર;
કેટકેટલું રવડ્યા- રખડ્યા,
તોય ઠેરના ઠેર!
જોઉં જોઉં આ જળ જે મીઠું ખારે દરિયે ભાગે !
વહાલપનાં જે વેણ નીકળ્યાં વજ્જર થૈને વાગે !

કેવી કેવી આશાઓની
પૂરી’તી રંગોળી !
કોનાં પગલાં આડાં ઊતરી
એને રહ્યાં ડખોળી !
આ તે કેવાં મોતી, જેને મરજીવો નહીં માગે !
આ તે કેવી નજર, તેજના તળિયાને નહીં તાગે !

– ચંદ્રકાન્ત શેઠ

કવિ કોઈ જવાબ આપતા નથી પણ ઘેરા ભાવના વિષાદમાં તરબોળ કરી દે છે…

Comments (5)

મુગટ – રઈશ મનીઆર

ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુ:ખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.

– રઈશ મનીઆર

Comments (13)

મીણબત્તી – કૃષ્ણલાલ શ્રીધરાણી

ક્યા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.

ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠ કપાળ.

એણે નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.

– કૃષ્ણલાલ શ્રીધરાણી

‘લાઈટ’ જતી રહી હોય એ મોકાનો લાભ લઈને દીવાસળી મીણબત્તીને ચુંબન કરે – એ કલ્પના જ કેટલી રોમાંચક છે ! વળી, ચુંબન પછી – એક નિશ્વાસ (હવે બળવાનો વખત આવ્યો !)…એક શ્વાસ (હવે જ મીણબત્તીનું ખરું ‘જીવન’ આરંભાય છે !) … અને છેલ્લે ઉજાસ !

અમારા અમેરિકામાં તો આ મૂઈ લાઈટ પણ કદી જતી નથી, એનું શું કરવું ? 🙁

Comments (9)

ગઝલ – જાતુષ જોશી

ભલે આકાશ છલકાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા,
પળેપળ આજ મન થાતું, અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અટારી સપ્તરંગી આભમાં ઝળહળ ઝળહળ ઝળકે,
સતત ત્યાં કોણ ડોકાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

બધી રજકણ ચરણરજ છે, પવન પણ પત્ર કેવળ છે,
કિરણ થઈ કોણ ફેલાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

અચાનક એક પીંછું પાંપણે અડકી ગયું રાતે,
વિહગ શું ત્યાં જ સંતાતું? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

નિશા કાયમ ગગનના કુંભમાં નકરું તમસ રેડે,
તમસ ટપકીને ક્યાં જાતું ? અથાતો બ્રહ્મજિજ્ઞાસા.

– જાતુષ જોશી

મહાકવિ વેદ વ્યાસ રચિત બ્રહ્મસૂત્ર એ વેદાંતનો મુખ્ય ગ્રંથ છે. આ ગ્રંથના પહેલા અધ્યાયના પહેલા પદની પહેલી કડીમાં ‘અથાતો બ્રહ્મજિજ્ઞાસા’ કહેવાયું છે. અર્થાત્ હવે અહીંથી બ્રહ્મ વિષયક વિચારણાનો આરંભ થાય છે અથવા હું જે આ ગ્રંથ લખું છું તે બ્રહ્મવિદ્યાનો ગ્રંથ છે.

કવિ બ્રહ્મની તલાશ હાથમાં ગઝલ લઈને આદરે છે. માશુક-માશુકા અને સાકી-શરાબના સીમાડાઓ વળોટીને ગઝલ કેટલી આગળ વધી ગઈ છે !

Comments (10)

હાઈકુ – ચંદ્રેશ ઠાકોર

ઘાટ ઘડાયો
મારો, તારા હેતની
રૂ હથોડીએ.

– ચંદ્રેશ ઠાકોર

હાઈકુના સત્તર અક્ષર ભલભલા ચમરબંધના પાણી ઉતારી નાંખે છે. મિશિગનના ચંદ્રેશ ઠાકોરે એમના મિત્રની બોટમાં સરોવરની સફર કરાવતા કરાવતા આ હાઈકુ સંભળાવ્યું અને તરત જ મોબાઇલમાં સાચવી લેવું પડ્યું… ઘાટ તો હથોડીથી જ ઘડાય પણ અહીં જે ચમત્કૃતિ છે એ હેતની હથોડીથી ઘાટ ઘડાવાની છે અને  કાવ્ય ચરમસીમાએ પહોંચે છે એ હથોડીના રૂના હોવાની વાતથી… હેતની હથોડી તો રૂ જેવી જ હોય ને!!

Comments (8)

તરસ – સોનલ પરીખ

જળના વિચાર આજ ગમતા નથી
કે નથી ગમતી કોઈ વાદળની વાતો
રેતીની, તરસ્યુંની ઝાળઝાળ વાતોના
શબ્દો પર છાંટા બે છાંટો

ઝાંઝવા ને રણ વચ્ચે કયા ભવની પ્રીત્યું
કે એકમેક સાથે બેઉ જીવે
ચિરાતા હોઠની સૂકી ખારાશ પછી
ઝગમગતા મૃગજળથી સીવે
ફૂલોના, ખુશબોના, વૃક્ષોનાં નામે અહીં
થોરિયાનો છમ્મલીલો કાંટો
નદીયુંના જળ તો ગ્યાં બીજી પા
વળ્યો અહીં તળિયાની વેળુનો ફાંટો

દરિયા ને રેતીમાં ફર્ક ફક્ત એક,
એક ભીની તરસ છે એક સૂકી
નાવના કપાળે તો હલ્લેસાં શ્વાસોનાં
દરિયા કે રણમાં હો મૂકી
તૂટશે તો રેતથી કે ખારા પાણીથી
થશે છલકાતી તળિયાની ફાટો
લોહીના, સપનાના, આશના ખજાનાને
બળબળતા પવનોમાં દાટો.

– સોનલ પરીખ

ગણગણ્યા વિના વાંચી ન શકાય એવું રમતીલું ગીત અને વાંચતા-વાંચતા કંઠે શોષ પડે એટલે સાચી તરસની ઓળખાણ પણ મળી રહે…

Comments (4)

કક્કાજીની અ-કવિતા – ચંદ્રકાંત શેઠ

કક્કાજીને કાજે કવિતા નથી આ.
ને બહેરી બારાખડી માટેની બોલી નથી આ.
છંદની છ હજાર વર્ષ જૂની ચાલથી
ઓગણીસો ચુમ્મોતેરને કેમ ચલાવવો ?
ગદર્ભો તો હજુયે ગોવર્ધનરામના ગોદામમાંથી ગદ્ય લાવીને
ગાંધી રોડ પર ફરે છે પાઘડી ને ખેસ નાખીને,
પણ તેથી ટ્રાફિક જામ થવાના ઘેરા પ્રશ્નો સર્જાયા છે આજકાલ !
મીંચેલી આંખે
ઈસવી સન પૂર્વે જોયેલા એક સૂરજને યાદ કરી
આજના સૂર્યોદયે
કાપડની મિલના ભૂંગળાં
ગાયત્રીને બદલે વ્હીસલ સંભળાવે છે
તેથી બેચેન છે બાવન કુલ ભદ્રંભદ્રનાં.
તેઓ તો  ઈચ્છે છે :
આ ભાષાને ચોળીચણિયો ને પાટલીનો ઘેર સજીને
વટસાવિત્રીનું વ્રત કરતી
ને સુકાઈ ગયેલા વડની ચોફેર દિનરાત સૂતરના આંટા મારતી જોવાને !
પણ ભાષાને ભેટી ગયો કોક અલગારી !
કંઈક એવું ઘુસાડ્યું બખડજંતર એના દિમાગમાં,
કે
એક સવારે
ભાષા
શુદ્ધ બ્રાહ્મણિયા રસોઈ જમવાનો આગ્રહ છોડી
ચાલવા માંડી અમારી સાથે – અમારા રોજના જીવનના માર્ગે.
ભાષા હવે અમારી જેમ ખાય છે, પીએ છે ને હરેફરે છે.

– ચંદ્રકાંત શેઠ

કવિતા વાંચીને ગરમ થવાની જરૂર નથી, નરમ થવાની જરૂર છે.

ભાષાએ સુંદર વસ્ત્રપરિધાન કરીને બેઠેલી સ્પર્શથી પર એવી સુંદરી નથી. એતો છોકરાને કેડ પર બાંધીને સતત કાર્યરત એવી પ્રસ્વેદવદન તેજસ્વી નારી છે.

ભાષા આપણી મા છે. અને માને ખૂણામાં બેસી રહેવાનું પાલવે નહીં.

ઘણા લોકોને એવો ભ્રમ માફક આવી ગયો છે કે લેખકો લખે એ જ ખરી ભાષા છે. ખરી ભાષા તો એ છે જે લોકોની જીભ પર જીવે છે. લેખકો (ને કવિઓ)ની કલમ તો માત્ર એ જીભનું સાચું અનુકરણ પણ કરી શકે તો કૃતાર્થ ગણાય.

ભાષાના પગલાં કુમકુમવરણા ન હોય, એ તો ધૂળિયા જ શોભે. એમાં જ એની સચ્ચાઈ છે. એમાં જ એનું ગૌરવ છે.

Comments (7)

સ્મૃતિ – લાભશંકર ઠાકર

કૂંડું જૂનું તુલસીનું પડ્યું આંગણામાં.
તેની પરે ઢળી ગયું જલ શું સુનેરી
આકાશથી જરીક, ને મધુસ્પર્શજન્ય
રોમાંચથી હલી ઊઠી અતિ શુષ્ક સાંઠી !
ને આવ્યું ક્યાંક થકી દૈયડ સાવ ધૃષ્ટ
બેઠું કૂંડા પર જરા ફફડાવી પાંખો
કૂંડા મહીં છલકાતા જલમાં ઝબોળી
ચંચૂ અને કરી જરા નિજ પુચ્છ ઊંચી
છેડી દીધી સહજ કંઠ તણી સતાર !
એ શ્વેત વસ્ત્ર મહીં શોભત પ્રૌઢ કાયા
રેડી રહી ચળકતો લઈ તામ્રલોટો
ઊંચા કરેલ કરથી જલ,ભાવભીનાં
નેત્રો ઢળ્યાં મધુર,ભાલ વિષે સુગૌર
સૌભાગ્યચંદ્ર ઝલકે,તરબોળ ભીનું
આખુંય દ્રશ્ય નીતરે તડકો
અચાનક
ઊડી ગયું ક્યહીંક દૈયડ દ્રશ્યને લૈ
પાંખો મહીં.
નજર વૃદ્ધ ફરી ફરી શી
છાપા વિષે ડૂબી જવા મથતી, સવારે.
– લાભશંકર ઠાકર

એક classical કાવ્ય !

Comments (4)

આજ તો મને સોળમું બેઠું – યોગેશ જોષી

આજ તો મને સોળમું બેઠું…
આભ આખુંયે ઊતરી હેઠું, હૈયે પેઠું !

હૈયે મારા દરિયા સાતે
ઊછળે રે લોલ;
મોજાં એનાં આઠમા આભે
પૂગે રે લોલ !
ચાંદો-સૂરજ હાથમાં મારા, કંઈ ના છેટું !
આજ તો મને સોળમું બેઠું…

આજ મારામાં ઘાસ જેવું કૈં
ફૂટતું રે લોલ;
કોણ મારામાં ફૂલ જેવું કૈં
ચૂંટતું રે લોલ !
મેઘ-ધનુ આ પણછ ખેંચી : હૈયે પેઠું !
આજ તો મને સોળમું બેઠું…

લોહીમાં સૂતા નાગ ફૂંફાડા
મારતા જાગે;
ધબકારાયે મેઘની માફક
આજ તો વાગે !
ક્યાં લગ સખી, ઊમટ્યાં વાદળ વેઠું ?
આજ તો મને સોળમું બેઠું…

– યોગેશ જોષી

ષોડષીના મનોભાવનું સાંગોપાંગ વર્ણન… આ કવિતા ગાઈએ (હા, ગાઈએ) તો રોમે રોમે પ્રકાશ થતો ન અનુભવાય !

Comments (10)

કાળ – ધીરેન્દ્ર મહેતા

ડૂબી રહી છે સાંજ
જોઈ રહ્યું છે સ્તબ્ધ એકાકી ગગન
પાસે હવા ઊભી રહી થઈ મૂઢ
થંભી ગયાં છે સાવ સરિતાજળ
નિષ્કમ્પ સઘળાં વૃક્ષની
સૂની બધીયે ડાળ પર
પર્ણો મહીં
છે ક્યાંય પંખીના ઝૂલ્યાનો સ્હેજ પણ
આભાસ ?
કાંઈ અહીં સહસા નહીં
હળવેક હળવે
હોલવાતાં જાય દૃશ્યો
કે દૃષ્ટિ આ તો થઈ રહી છે અંધ
ને કાળના ઝૂકી પડ્યા છે સ્કંધ.

– ધીરેન્દ્ર મહેતા

ઢળતી સાંજની કેવી સુંદર કલ્પના ! અજવાળામાંથી જેમ જેમ અંધારામાં સરી પડઈએ એમ-એમ આકારો મટતા જાય… બધું એક-બીજામાં ઓગળતું જાય… અંધારું બધું જ હોલવી નાંખે છે… આ કલ્પના ખાલી ઢળતી સાંજની જ છે કે પછી કાળ યાને મૃત્યુની ?!

Comments (8)

ચર્ચામાં રહ્યો -પ્રવિણ શાહ

રાતભર એની જ ચિંતામાં રહ્યો
ને દિવસભર એ જ ચર્ચામાં રહ્યો

આપવાની વાત આવી દિલ તને
એ પળે આ હાથ ખિસ્સામાં રહ્યો

કાફલા સૌ નીકળી આગળ ગયા
એકલો હું ક્યાંક રસ્તામાં રહ્યો

ટોચ પર જઇને ધજા પણ ફરફરે
ખાસ મોકો જોઇ પાયામાં રહ્યો.

મોકળાશ તો બહુ હતી હર શેરમાં
થૈ તખલ્લુસ છેક મક્તામાં રહ્યો

-પ્રવિણ શાહ

થોડા દિવસ પહેલા પ્રવિણભાઈની આ ગઝલ વાંચી, વાંચતાવેંત ગમી ગઈ અને આ અહીં આપ સૌને માટે મૂકી દીધી…  આખી ગઝલ ખૂબ જ સુંદર થઈ છે, પણ મને મક્તાનો શેર જરા વધુ ગમી ગયો.  ‘ગુર્જર કાવ્યધારા‘ બ્લોગ ચલાવતા પ્રવિણભાઈ અન્યોની ગઝલો પોસ્ટ કરતા કરતા હવે પોતે પણ ગઝલ લખતા થઈ ગયા છે… પ્રવિણભાઈને શુભેચ્છાઓ.

Comments (22)

વિચ્છેદ -સુરેશ દલાલ

જે વૃક્ષ તળે
આપણે એકમેકને મળતાં હતાં
એ વૃક્ષને
એક કઠિયારો કાપી ગયો.

-સુરેશ દલાલ

વેદનાને તો વહેંચી શકાય, પરંતુ વિચ્છેદને ?

Comments (9)

છળ મહીં હતો – શ્યામ સાધુ

પહોંચી ગયાનો અર્થ અહીં સ્થળ મહીં હતો,
ઝૂકી જરાક જોયું તો હું જળ મહીં હતો.

હું જાણું છું અહીં કે સમય છે અવાવરુ
‘ને આમ જુઓ તો વળી પળ મહીં હતો.

પહેરી શકાય એ રીતે પહેરું પ્રતીતિઓ,
કોને ખબર છે કેટલાં અંજળ મહીં હતો.

-વિસ્મય અને અભાવ બેઉં દોસ્ત છે,
સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.

છે ચેતના થકી જ ન હોવાની લાગણી,
લાગે છે : ખુલ્લી આંખ તણાં છળ મહીં હતો.

– શ્યામ સાધુ

આજે આ અર્થવિભાવનાના ‘રોલર-કોસ્ટર’ સમાન ગઝલ માણો. એકે એક શેર મનનીય થયા છે.

Comments (9)

અસલ ઝુરાપો આલો – – ઊજમશી પરમાર.

વળી,દાખડો શીદને કરવો પળ બે પળનો-ઠાલો,
આલો તો આલો રે અમને અસલ ઝુરાપો આલો;
દુનિયા આખીથી નોખી આ અજબ સમી રટ લાગી!

ચપટી ચપટી તલસાટે તો ફૂટે એક-બે ટશિયા,
ઘા વ્હેવા દ્યો ધોધમાર,નહીં ખપતા ટેભા-બખિયા;
તણખા સાટે ઝાળ અમે તો ચાહી કરીને માગી.

અધકચરા આ હદડા જીવને રોજ કરાવે ફાકા,
ધરવ પામવા કાજે ખપતા અજંપ આખેઆખા;
લખત કરી સાચકલી સમજણ,ભલે કહો વરણાગી.

– ઊજમશી પરમાર.

અભિવ્યક્તિ નું નાવીન્ય આ ખાસ્સા એવા ખેડાઈ ગયેલા આ વિષયને એક નવી જ તાજગી આપે છે.

Comments (2)

દેવું નહીં – જયન્ત પાઠક

કોઈને ના આપવું, લેવું નહીં,
મારે નામ દાન કે દેવું નહીં.

મૌન મારું – શાપ કહો વરદાન કહો,
એ પૂછે ના ત્યાં સુધી કહેવું નહીં.

છું સરોવર – બંધિયાર ભલે રહ્યો,
લુપ્ત થાવા રેતમાં વ્હેવું નહીં.

એવું તો ક્યાંથી બને આ લોકમાં,
ચાહવું ને દર્દને સ્હેવું નહીં !!

મૃત્યુથી યે આ અનુભવ આકરો,
જીવું, ને લાગે જીવ્યા જેવું નહીં.

– જયન્ત પાઠક

ઉત્તમ કહી શકાય એવા પાંચ શેર… ઊર્મિકાવ્યો, સૉનેટ અને ગીતનો કવિ ગઝલ ખેડે ત્યારે છંદ તરફ દુરાગ્રહી નજરે ન જોઈએ તો આવી શેરિયતભરી કવિતા જન્મે જે નખશીખ ગઝલકારોને પણ જવલ્લે જ હાંસલ હોય છે !

Comments (8)

લગ્ન ગીત – મનોહર ત્રિવેદી

ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું –
એનાં હરિયાળાં આ પગલાંની ભાત્યે તો આજ લગી રાખ્યું રળિયામણું

સીમમાંથી આવેલી કિરણોની પોટલીને
ખોલે હળવેથી મોંસૂઝણે
વ્હેલી સવાર કદી કલરવમાં ન્હાય :
કદી ઘરને ઘેર્યું’તું એનાં રૂસણે
દિવસો તો ઊગે ને ઝાંખા થૈ જાય : પડે ઝાંખું ના એક્કે સંભારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું

પંખી કહેતાં જ હોય આંખ સામે દીકરી
ને હોય એક તુલસીનો ક્યારો
પાદરની ગોધૂલિવેળા છે દીકરી
કે વ્હેતિયાણ સરિતા-કિનારો
દીવો ઝાલીને અહીં માડીના વેશમાં સૂનું ઝૂરે છે હવે બારણું
ઊડી ઊડી રે એક ચરકલડી ઊડી, એની પછવાડે ઊડ્યું આ આંગણું

-મનોહર ત્રિવેદી

વહાલસોયી દીકરી સાસરે જાય એટલે પિયરની તો જાણે કે બધી ખુશી જ ઊડી જાય… માત્ર સંભારણાં જ રહી જાય, બસ!

Comments (7)

મુક્તક – રમેશ પારેખ

ચીંધીને આંગળી તરસો હરણને દોડતું રાખે,
દિશાઓ રેતી રેતી થઈને રણને દોડતું રાખે;
બરફની કેડીએ નીકળે છે સૂરજ શોધવા જળને,
બીજું છે કોણ જે એના કિરણને દોડતું રાખે.

– રમેશ પારેખ

ર.પા.નું આ મુક્તક વાંચીને મને રઈશભાઈની ગઝલ યાદ આવી ગઈ… કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે.

Comments (5)

ઝેન કાવ્યો – અનુ. કિશોર શાહ

ખરેલું પાન
ડાળે પાછું ફર્યું ?
પતંગિયું

– અનામી

*

છિદ્રો વિનાની વાંસળી
વગાડવી ખૂબ મુશ્કેલ છે.

– અનામી

*

કશુંય ન હોવાપણાની ભાષાને
બટકાં ભરવાથી ચેતજો :
તમારા દાંત ભાંગી જશે.
એને આખેઆખી ગળી જાઓ…

– મિત્સુહિરો

આજે મારા ગમતા ત્રણ ઝેન-કાવ્યો. પહેલું આશ્ચર્યની અનુભતિનું કાવ્ય છે. બીજું અનુભવનો નિચોડ. છેલ્લું ચેતનાના રસ્તા પરની આવશ્યક શિખામણ.

Comments (5)

મીઠા લાગ્યા તે મને – પ્રભુલાલ દ્વિવેદી

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,
જોતી’તી વ્હાલાની વાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

પગલે પગલે એના ભણકારા વાગતા,
અંતરમાં અમથા ઉચાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં,
વેરણ હીંચોળાખાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

ઘેરાતી આંખડીને દીધાં સોગન મેં,
મટકું માર્યું તો તારી વાત રે : અલબેલા કાજે ઉજાગરો.

આજના તે જાગરણે આતમા જગાડિયો,
(જાણે) ઊભી હું ગંગાને ઘાટ રે : અલબેલા કાજે ઉજાગરો.

– પ્રભુલાલ દ્વિવેદી

ગુજરાતી રંગભૂમિનું યાદગાર ગીત. શબ્દોમાં લોકગીત જેટલી મીઠાશ અને સાદગી છે. સાંભળવું હોય તો માવજીભાઈની પરબે એનું વિંટેજ રેકોર્ડિંગ પણ તૈયાર છે.

Comments (10)

ન રહી – જવાહર બક્ષી

સભાનતાની ક્ષિતિજોમાં…. વેદના ન રહી
હવે તો વાત રહી ગઈ છે વારતા ન રહી

નિકટ થવાનું રહ્યું નહિ કે દૂરતા ન રહી
તને મળ્યા પછી તો કોઈ શક્યતા ન રહી

બધાની લાગણી છે ભીંતની તિરાડ સુધી
ઉઘાડું ઘર થયું તો કોઈ આવજા ન રહી

અજાણ્યો સ્પર્શ વિખૂટો પડી જીવી ન શક્યો
નગરથી દૂર જઈને હવા, હવા ન રહી

રહી રહીને વિખરાઈ ગઈ તમામ ક્ષણો
નિરાંત થઈ કે સમયની કોઈ સભા ન રહી

વિચારતો જ રહ્યો તારી વાતનો વિસ્તાર
હું મારું નામ લખું એટલી જગા ન રહી

– જવાહર બક્ષી

સરળ લાગતા એક-એક શેર છેતરામણા છે…ભારોભાર ઊંડાણ છે.

Comments (12)

ગઝલ – ભરત વિંઝુડા

પંખીઓના ટોળામાં ભળીએ હવે
કેમ ઓળખશે પછી પિંકી દવે !

એક પડછાયો પડ્યો ધરતી ઉપર
ને ચડી શકતો નથી તે ઝાડવે !

ને નદી આવીને ખળખળતી મળે
તોય દરિયો એની સામે ઘૂઘવે !

એક જણનું મૌન આખા ગામને
કોઈ અઘરા કાવ્ય માફક મૂંઝવે !

એક પલ્લામાં મૂક્યાં છે શ્રી ગણેશ
તારી વીંટી મૂકી સામા ત્રાજવે !

– ભરત વિંઝુડા

પડકારરૂપ કાફિયાના પોતે વણાયેલી એક મદમસ્ત હમરદીફ-હમકાફિયા ગઝલ ! ત્રાજવાંમાં તોલવાનું પ્રતીક આપણે ત્યાં જાણીતું છે. શિબિ રાજા એક હોલાને બાજથી બચાવવા માટે પોતાનું માંસ કાપી-કાપીને ત્રાજવે મૂકે છે… કૃષ્ણને તુલસીપત્રથી તોલવાની વાત પણ જાણીતી છે… ભરત વિંઝુડા પણ પ્રેમને ઈશ્વરથી ઊંચો સ્થાપિત કરે છે…

Comments (19)

ગઝલ – વિહંગ વ્યાસ

આંખનો શું અર્થ છે બીજો પ્રતીક્ષાથી વિશેષ,
છેવટે એવી સમજ પણ શું છે છલનાથી વિશેષ!

કોણ ત્યાં ખીલ્યું અટારીમાં સજી સોળે કળા,
ચિત્તમાં આવી છે ભરતી આજ દરિયાથી વિશેષ.

આમ તો ત્યારે જ સાવધ થઈ જવા જેવું હતું,
એમણે દીધું બધું જ્યારે અપેક્ષાથી વિશેષ.

ક્યાં ગયા સારા નઠારા આજ એ સઘળા પ્રસંગ,
કૈં નથી જે જોઉ છું તે એક અફવાથી વિશેષ.

એ હકીકત છે કે અમૃત થઇ ગયેલું ઝેરનું,
ને ઇલમમાં તો કશું નહોતુ ભરોસાથી વિશેષ.

-વિહંગ વ્યાસ

શીઘ્ર પ્રત્યાયનક્ષમતાવાળી મજાની ગઝલ…

Comments (22)

વ્યંગ-તઝમીન – નિર્મિશ ઠાકર

(મૂળ શે’ર)

કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો

– કૈલાસ પંડિત

કવિનું આત્મચિંતન

શબ્દ હવાડે તરવા લાગ્યો
અર્થ બચારો મરવા લાગ્યો
કાવ્ય છતાં હું કરવા લાગ્યો
કુંડાળામાં ફરવા લાગ્યો
હું ય ભમરડા જેવો નીકળ્યો

* * *

(મૂળ શે’ર)

હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો

– કૈલાસ પંડિત

ભયંકર કાવ્યપઠનની ક્ષણોમાં…

જીવતો એકેય શ્રોતા શોધતાં મળશે અહીં ?
આ કવિની થઈ કૃપા તો લાશ કૈં ઢળશે અહીં
“લાગ છે !”  કહી કૈં કવિઓ આવીને ભળશે અહીં
હાથ ખુલ્લા રાખવાથી કાંઈ ના વળશે અહીં
મૂઠ્ઠીઓ વાળો, ઉછાળો, મૂઠ્ઠીથી વાતો કરો

* * *

(મૂળ શે’ર)

મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

– કૈલાસ પંડિત

લેખક દ્વારા વિવેચકને માન (?)

ખાલી ગણે છે એ મને, જોકે ભર્યો છું હું
એનાં વમળથી હું ડરું ? સામો તર્યો છું હું
એ પાનખરના યત્નથી ક્યારે ખર્યો છું હું
મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું
નહિતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં

– નિર્મિશ ઠાકર

મૂળ શે’રની આગળ ત્રણ પંક્તિ ઉમેરીને એના અર્થમાં આબાદ ‘ઉમેરો’ કર્યો છે. બધા તઝમીનમાં કવિએ પોતાના ‘જાતભાઈઓ’ (એટલે કે કવિઓ)ની જ ફીરકી ઉતારી છે. પોતાના પર હસી શકવું એ સૌથી અઘરું હાસ્ય છે.

Comments (6)

અવસાનસંદેશ – નર્મદ

નવ કરશો કોઈ શોક રસિકડાં, નવ કરશો કોઈ શોક,
યથાશક્તિ રસપાન કરાવ્યું, સેવા કીધી બનતી. રસિકડાં…

પ્રેમી અંશને રુદન આવશે શઠ હરખાશે મનથી. રસિકડાં…
મર્મ ન સમજે બકે શંખ શઠ, વાંકું ભણે બહુ પણથી. રસિકડાં…

એક પીડમાં બીજી ચીડથી, જળશે જીવ અગનથી. રસિકડાં…
હતો દૂખિયો થયો સુખિયો, સમજો છૂટ્યો રણથી. રસિકડાં…

મુઓ હું તમે પણ વળી મરશો મુક્ત થશો જગતથી. રસિકડાં…
હરિકૃપાથી મમ લેખચિત્રથી, જીવતો છઉં હું દમથી. રસિકડાં…

વીર સત્ય ને રસિક ટેકીપણું, અરિ પણ ગાશે દિલથી. રસિકડાં…
જુદાઈ દુ:ખ તે નથી જ જવાનું, જાયે માત્ર મરણથી. રસિકડાં…

મરણ પ્રેમીને ખચિત મોડું છે, દુ:ખ વધે જ રુદનથી. રસિકડાં…
જગતનીમ છે જનમ મરણનો દ્રઢ રહેજો હિંમતથી. રસિકડાં…

મને વિસારી રામ સમરજો, સુખી થશો એ લતથી. રસિકડાં…

– નર્મદ

દોઢસો વર્ષ પહેલાનો નર્મદ એના સમયથી સવાસો વર્ષ આગળ હતો. ગુજરાતી ભાષાના બધા પહેલા કામ (પહેલો કોશ, પહેલી આત્મકથા, પહેલું વ્યાકરણ) એણે ઝપાટાભેર પતાવી દીધેલા. એ જમાનાથી એટલો તો આગળ હતો કે પોતાના ગયા પછી જગતે એને કઈ રીતે સંભારવો (કે વિસરવો) એ પણ એણે જાતે જ લખી નાખેલું ! ‘વીર સત્ય અને રસિક ટેકીપણું’ તો નર્મદના આખા જીવનનું પાંચ શબ્દમાં અદભૂત વર્ણન છે.

Comments (8)

અમે – હરજીવન દાફડા

ન જાણ્યો દોડવાનો અર્થ, કેવળ દોડવા લાગ્યા,
ભટકતા કાફલા સાથે સ્વયંને જોડવા લાગ્યા.

ઘણા જન્મો પછી ભાડે મળ્યું’તું એક સારું ઘર,
અમે એમાંય ચારેકોર ખીલા ખોડવા લાગ્યા.

નિખાલસ એક ચેહરો કેટલુંય કરગર્યો તોયે,
અમે એના ઉપર રંગીન મહોરાં ચોડવા લાગ્યા.

છુપાવી ના શક્યા કોઈ રીતે વિક્લાંગ માનસને,
અકારણ આંખ સામેના અરીસા ફોડવા લાગ્યા.

– હરજીવન દાફડા

પહેલો શેર મારો પ્રિય છે. આખી ગઝલ હાથ લાગી એટલે તરત આ ગમતનો ગુલાલ !

Comments (19)

અ-ગતિ – રઘુવીર ચૌધરી

હું હજી મધદરિયે ગયો નથી.
મારો તો તટવાસી સ્વભાવ
કદીયે ઊંડો ઊતર્યો નથી,
અને તેથી
આખા દરિયાનો ભાર
મેં હજી ઝીલ્યો નથી.

તર્કનાં લંગર નાખીને
હજાર વાર ચીપકી રહ્યો છું
અ-ગતિને.
વિષાદને વચગાળો માનીને
સહેલાઈથી સુખી રહ્યો છું.

અનાગતને ભાવી કમાણી માની
કરજ વધારી આંનદનું
વિષાદના સાતત્યની આડે આવું છું
અને ગાવા લાગું છું ગીત
ગાગરમાં સાગરનું.

– રઘુવીર ચૌધરી

તટસ્થ આત્મનિરીક્ષણ !

Comments (9)

અપેક્ષિતતાની ગઝલ – ઘનશ્યામ ત્રિવેદી

શક્યતાઓ આટલી બસ એમ સરજાતી રહે,
હું જરા કોશિશ કરું ને તુંય સમજાતી રહે.

આંગણાનાં સોળ ચોમાસાં વળી પાવન બને,
મેઘલી મોસમ મહીં તું સ્હેજ શરમાતી રહે.

ઝરમરે આ ચાંદની કે તું ઝરે છે, શું ખબર ?
આગિયાની ટોળકીમાં અટકળો થાતી રહે.

વાયદાઓ સાવ પોકળ નીકળે એવું બને,
ભાવના- સંભાવનામાં જાત અટવાતી રહે.

ચાહના અંતિમ સમયની સાવ થોડી છે મને,
શૂન્યતામાં હું સરું ને તું ગઝલ ગાતી રહે.

– ઘનશ્યામ ત્રિવેદી

અપેક્ષાની બાદબાકી એ જ સાચો પ્રેમ…  અને એ જ ખરી ગઝલ !

(થોડા દિવસો પહેલાં ભાવનગરની શુશુવિહાર સંસ્થાની વાત કરી. એ સંસ્થાના નીરક્ષીર સંગ્રહમાંથી આ ગઝલ)

Comments (24)

મના – વેણીભાઈ પુરોહિત

રે નયણાં !
મત વરસો,મત વરસો :
રે નયણાં !
વરસીને શું કરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

આનંદી અશ્રુ નહિ ઝીલે
ગરજુ જગત અદેખું :
તો દર્દીલાં ખારાં જલનું
ક્યાંથી થાશે લેખું ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

મીઠાં જલની તરસી દુનિયા,
ખારાં છો ક્યાં ખરશો ?
દુનિયાદારીના દરિયામાં
અમથાં ડૂબી મારશો.
રે નયણાં ! મત વરસો,મત વરસો.

કોઈ નથી એ જલનું પ્યાસી,
ક્યાં જઈને કરગરશો ?
રે નયણાં ! મત વરસો,મત વરસો.

– વેણીભાઈ પુરોહિત

આ કવિના કાવ્યમાં હંમેશ એક અજબની મીઠાશ ભરી હોય છે. ‘તારી આંખનો અફીણી….’થી ગુજરાતીઓના હૈયે વસેલાં વેણીભાઈ સાદા શબ્દો પાસેથી જે અદભૂત કામ લે છે તે કળા ગુજરાતીમાં મરીઝ અને ગનીચાચા જેવા અમુક જ સિદ્ધહસ્ત શાયરો હસ્તગત કરી શક્યા છે.

*

( આ કવિતા વાંચીએ અને એમની જ ‘નયણાં’ કવિતા અને સુરેશ જોષીએ એ કવિતાનો કરાવેલો અદભુત રસાસ્વાદ યાદ ન આવે એવું બને ?)

Comments (12)

ક્યાં રહ્યાં છે માણસો – કૈલાસ પંડિત

વાતમાં ડૂબી ગયા છે માણસો,
કામમાં બહુ કામમાં છે માણસો.

એ મળે તો આમ, નહિ તો ના મળે,
ફોનના નંબર સમા છે માણસો.

એક જે કહેવાય એવા એક મા,
એટલા જોવા મળ્યા છે માણસો.

ફૂલ કાગળના થયા તો શું થયું,
માણસો યે ક્યાં રહ્યા છે માણસો.

ભીંત તો સારી હતી કહેવું પડ્યું,
ભીંતથી આગળ વધ્યા છે માણસો.

ઘર, ગલી, શેરી, જતા જોઈ રહી,
કોઈને લઈ નીકળ્યા છે માણસો.

– કૈલાસ પંડિત

ફોનના નંબર સમા માણસ- ની વાતમાં મને તો સાચે જ મજા આવી ગઈ.  ફોનની જેમ જ signal full હોય તો connection તરત મળી જાય, પણ ક્યારેક connection મળે તો યે કાં તો call-waiting પર ring જ વાગ્યા કરે અથવા તો answering machine પર ચાલી જાય અથવા તો પછી signal busy જ આવ્યા કરે… શું થાય, કામમાં બહુ કામમાં છે માણસો… 🙂

Comments (8)

મુક્તક – વેણીભાઈ પુરોહિત

ગફલતી છું આદમી હું, ગમ નથી એનો મને
હું જ મારૂં છું રુદન ને હું જ મુજ રણહાક છું !
આટલી કાપી મજલ ને આટલું સમજી શક્યો,
હું જ મારો છું વિસામો, હું જ મારો થાક છું !

– વેણીભાઈ પુરોહિત

Comments (7)

ઝાંઝવાને રોજ પંપાળ્યા કરું – બકુલ રાવળ

વાદળાં અષાઢનાં ભાળ્યાં કરું
ઝાંઝવાને રોજ પંપાળ્યા કરું

સંકટો હું ઘર મહીં ઊભાં કરું
બારસાખે ગણપતિ સ્થાપ્યા કરું

ખોરડું તો સાવ ખાલી થઈ ગયું
પોપડાઓ દાનમાં આપ્યા કરું

હું દિગંબર થઈ ફરું મનમાં અને
વસ્ત્રથી તનને ફક્ત ઢાંક્યા કરું

બારણાને આગળા ભીડી દીધા
ઉંબર પર સાથિયા પાડ્યા કરું

ઝાડવાં ભાગોળના વાઢી દીધા
આંગણામાં લીમડા વાવ્યા કરું

આંકડા ઘડિયાળના મારાં ચરણ
કાળનો કાંટો બની વાગ્યા કરું

– બકુલ રાવલ

માણસનો સૌથી મોટો દુશ્મન એ પોતે જ હોય છે.

Comments (9)

કોણ છે ? – હનીફ સાહિલ

બંધ દરવાજાની ભીતર કોણ છે ?
હું જો બાહર છું તો અંદર કોણ છે ?

લાવ ચાખી જોઈએ ખારાશને
તું નદી છે તો સમંદર કોણ છે ?

કે સમયની રેત પર લિપિ લખી
આ પવન પૂછે નિરક્ષર કોણ છે ?

કોઈએ કંડારેલા પથ્થરને હું
રોજ પૂછું છું કે ઈશ્વર કોણ છે ?

કોણ વરસાવે છે પ્રશ્નોની ઝડી
ને રહે છે અનુત્તર, કોણ છે ?

– હનીફ સાહિલ

જવાબ ભલે ન એકેય આપતો. સવાલો મારા દિલને બેસુમાર દે.

Comments (13)

ગઝલ – ધ્વનિલ પારેખ

સોળે સજ્યા શણગાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ
આ શબ્દના આધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

કાયમ કિરણની કામના કરતા રહો, સારું નથી;
આજે સકલ અંધાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

વીંધી શકાતું હોય છે જ્યાં મત્સ્યને પળવારમાં,
ગાંડીવના ટંકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

વરસાદ વરસી જાય તો એ ભોંય ફાડી પ્રગટે પણ,
આ વીજના ચમકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

આકાશરૂપી મંચ પર નર્તન હવા કરતી રહે,
રણકાર પર, ઝણકાર પર તું હે ગઝલ, થઈ જા પ્રગટ.

– ધ્વનિલ પારેખ

કવિની ખુમારી છે… ગઝલ પાસે યાચના નહીં, માંગણી કરે છે બાકી સંવેદનાનો વરસાદ પડે તો તો ગઝલ પ્રગટ થવાની જ છે…

Comments (13)

ગઝલ – મધુમતી મહેતા

સંત કહે સહુ આવણજાવણ ભજ ગોપાલમ્
રામ ભજો કે બાળો રાવણ ભજ ગોપાલમ્

છાપ તિલક ના સમજ્યા કારણ ભજ ગોપાલમ્
લોટ જરીક ઝાઝું છે ચાળણ ભજ ગોપાલમ્

ડગલે પગલે ડાંટ ડરામણ ભજ ગોપાલમ્
સમજ અધૂરી શીખ સવા મણ ભજ ગોપાલમ્

કુબ્જા આંખે આંજે આંજણ ભજ ગોપાલમ્
અંધા ઉપર કરવા કામણ ભજ ગોપાલમ્

નાચ ન જાણે ટેઢું આંગણ ભજ ગોપાલમ્
કહેત કબીરા છોડ કુટામણ ભજ ગોપાલમ્

હાથ ન ધરીએ ઝોળી આપણ ભજ ગોપાલમ્
દાતો દરિયો મુઠ્ઠી માગણ ભજ ગોપાલમ્

ગદા, ચક્ર ક્યાં કરતા ધારણ ભજ ગોપાલમ્
ઊંધું ઘાલી ઊંઘે નારણ ભજ ગોપાલમ્

– મધુમતી મહેતા

અખાના છપ્પા યાદ આવી જાય એવી મજેદાર મત્લા ગઝલ…

Comments (15)

મુક્તક – પ્રફુલ્લા વોરા

ઝાકળ જેવું જીવે માણસ,
અજવાળાથી બીવે માણસ.
જીવતર આખું દોડી દોડી
ખાલીપાને પીવે માણસ.

– પ્રફુલ્લા વોરા

ભાવનગરની શિશુવિહાર સંસ્થા અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે. ત્રીસેક વર્ષોથી નિયમિત યોજાતી કવિઓની ‘બુધસભા’ અને દોઢેક દાયકાથી દર વર્ષે યોજાતું કવયિત્રીસંમેલન (આ ઘટના તો કદાચ એકમાત્ર હશે!) એમની નોંધપાત્ર પ્રવૃત્તિઓ છે. બુધસભાના કવિઓની રચનાઓનો વાર્ષિક સંગ્રહ ‘નીરક્ષીર’ અને કવયિત્રીસંમેલનની રચનાઓનો વાર્ષિક સંગ્રહ ‘જ્હાન્વી સ્મૃતિ’ના નામે દોઢ દાયકાથી પ્રગટ થાય છે… આ સંગ્રહમાંથી એક નાનકડું પુષ્પ…

Comments (13)

હાઈકુ – ધનસુખલાલ પારેખ

પનિહારીના
પગલે, ફાટફાટ
કૂવાનું પાણી.

– ધનસુખલાલ પારેખ

કોઈ મને પૂછે કે કોઈ અસીમ સૌંદર્યવતી સ્ત્રીનું અભૂતપૂર્વ વર્ણન કરવા માટે કેટલા લાંબા કાવ્યની જરૂર પડે તો હું કહું, માત્ર સત્તર અક્ષરની !!!

Comments (17)

હું પહેલો મળી જઈશ – જવાહર બક્ષી

ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જઈશ.

નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં,
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જઈશ.

સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જઈશ.

પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે,
કોઈ વેળા હું સૂરજનાં ટકોરા સાંભળી જઈશ.

– જવાહર બક્ષી

માત્ર ચાર શેરોમાં કદાચ ચાર વેદો જેટલો સંદેશ કવિએ ઠાંસી ઠાંસીને ભર્યો છે.  પરોઢી સ્વપ્નની જેમ ફળવાની આશા લઈને થાકેલી પાંપણમાં ઢળવું એ ખરી જાગૃતિ.  બીજો શેર ખૂબ જ ગહન છે… હરીન્દ્રભાઈ દવેનાં શબ્દોમાં કહું તો; “ભ્રમની સૃષ્ટિમાં જીવવું – એટલે જ થાકની સૃષ્ટિમાં જીવવું.  આપણે ભ્રમનાં ચહેરાઓ વચ્ચે જીવીને થાકી જતાં હોઈએ છીએ.  જીવવાનો થાક ક્યારેય કોઈને લાગ્યો નથી, પણ જીવવાના અભિનયનો થાક લાગે છે. અને આપણે થોડી જ ક્ષણોમાં જીવીએ છીએ, બાકીને ક્ષણોમાં અભિનય જ કરીએ છીએ.  આ ભ્રમના ચહેરાઓની વચ્ચેથી નીકળવા માટે હરણનાં શિંગડાઓ તોડવા પડે છે.  હરણનો સંબંધ મૃગજળ જોડે છે તો સુવર્ણમૃગ જોડે પણ છે અને આ છલનાની સૃષ્ટિ શિંગડા જેવી નક્કર લાગે તો પણ એ શિંગડા વચ્ચેનાં પોલાણ જેવી પોકળ છે.”  અહીં તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? કહેતાં કવિ આપણને કહી દે છે કે એ સૌથી પહેલા મળશે, જો સમયથી પર રહીને એમને મળી શકાય તો.  સૂરજનાં ટકોરા સાંભળવાની વાત એટલે કે તમસો મા જયોતિર્ગમય…

Comments (8)

અંધારું – પુરુરાજ જોષી

અજવાળું
ઘોંધાટ કરે છે
અંધારું તો પવનલહરના સ્પર્શે
મંદ, મધુર સુરાવલિ છેડતું
વાયોલિન!

અંધારામાં
મઘમઘતી માટી
અંધારાથી
સંગોપિતા પૃથ્વી
પુનર્જન્મની કરે પ્રતિક્ષા…

અંધારું
જળની પાટી પર
પવને પાડ્યા અક્ષર
ભૂંસે,
ગૂંથે
શિશુઓની બીડેલ આંખમાં
સ્વપ્નો.
યુવકો માટે રચતું
વસંતોત્સવ અંધારું
ને વિરહદગ્ધ હ્રદયો માટે
પાથરતું
અનંત અંધ સુરંગ.

– પુરુરાજ જોષી

અંધારાનો એક બીજો રંગ !

Comments (12)

એકલો – નિરંજન ભગત

હું એકલો છું મુજ ગેહ માંહી,
આ દેહ માંહી!
મુજ બંધ દ્વાર,
ને બહાર
ઊભો ઘન અંધકાર
કહે, ‘મને તું હ્રદયે જ ધાર!’
ઊભો વળી ચંચલ ત્યાં પ્રકાશ
કહે, ‘મને લે નિજ બાહુપાશ!’
હલત ન હાથ,
ન દ્વાર ખોલ્યું;
ને હૈયું ત્યાં તો સહસા જ બોલ્યું:
‘ના, સ્નેહસંધિ
આવો રચીને ઉભયે જ, સાથ!
ને ત્યાં લગી રહ્યાં છો પ્રવેશબંધી

મુજ ગેહ માંહી!’
હું એકલો છું મુજ દેહ માંહી!

– નિરંજન ભગત

પ્રકાશ કે અંધકાર બન્નેમાંથી કોઈને પણ એકલા સ્વીકારવાની કવિની તૈયારી નથી. બન્ને સાથે મળીને આવે તો જ વાત બને. અને જુઓ, જે નિર્ણય મન કરી શક્યું નહીં, એ હ્રદય એક જ ક્ષણમાં કરી લે છે.

Comments (13)

થાકી જશે ત્યારે ? – રમેશ પારેખ

ઊભાં રહીને ક્ષિતિજોનાં ચરણ થાકી જશે ત્યારે ?
વિહગ થઈ ઘૂમતું વાતાવરણ થાકી જશે ત્યારે ?

કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે
પરંતુ શું થશે જળનું, ઝરણ થાકી જશે ત્યારે ?

તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં-ખોવાયાં
હરણ થઈને ફર્યાં કરતા સ્મરણ થાકી જશે ત્યારે ?

ઊંટો પડછાયે-પડછાયે મૂકી નીકળી ગયા,પાછળ
દિશા વચ્ચે ઘૂમરીઓ ખાતું રણ થાકી જશે ત્યારે ?

મને આપ્યા કરે બળતાં સતત જંગલ ઉદાસીનાં
પરંતુ હાંફતું પગનું સરણ થાકી જશે ત્યારે ?

હવે શ્રદ્ધા નથી રહી કોઈ સંભવમાં મને કોઈ
તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે ?

– રમેશ પારેખ

આમ તો મારી પાસે આમાંના એકપણ પ્રશ્નનો જવાબ નથી,પરંતુ છેલ્લો પ્રશ્ન રાતોની ઊંઘ હરામ કરી દે તેવો છે…..

Comments (22)

ગઝલ – આદિલ મન્સૂરી

નક્ષત્રો, ગ્રહો, ચાંદ, સિતારાઓ ફરે છે
દરવેશની તસ્બીહના મણકાઓ ફરે છે

હોડી તો અચળ સ્થિર ઊભી પાણીની વચ્ચે
નદીઓ ને સમુદ્રો ને કિનારાઓ ફરે છે

ચાખડીઓયે છોડી ગયા દશરથા કુંવર તો
દસ માથાં લઈ લંકાના રાજાઓ ફરે છે

યાત્રીના પગો માર્ગમાં ખોડાઈ ગયા ને
ચોમેર હવે એકલા રસ્તાઓ ફરે છે

હા, સ્પર્શ તો ફૂલોથીયે કોમળ હતો આદિલ
રગરગમાં પછી કેમ આ કાંટાઓ ફરે છે

– આદિલ મન્સૂરી

ત્યાગી શકે એ જ રાજા, બાકી દસ માથાંનો ગર્વ કદી રાજ કરી ન શકે…

Comments (6)

કેમ સમજાયો ! – હરજીવન દાફડા

કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.

જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે ?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.

સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ?

તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.

યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !

-હરજીવન દાફડા

હરજીવન દાફડાની આ ગઝલ અસ્મિતા પર્વ, મહુવા ખાતેના કવિસંમેલનના જીવંત પ્રસારણ સ્વરૂપે ટી.વી. પર સાંભળી હતી ત્યારે ખીલા ફરતા ચક્કર લગાવવાની વાતવાળો શેર કાગળ પર ટાંકવા મજબૂર થઈ ગયો હતો. ગઝલના પહેલા ત્રણ શેર પહેલી નજરે જ ગમી જાય એવા મજાના થયા છે પણ આખરી બે શેરમાં કવિ એના સાચા સ્વરૂપે પ્રગટ થાય છે. કુશળક્ષેમવાળો શેર વાંચતા જ ‘युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला और दुर्योधन को कोई सज्जन नहीं मिला’વાળો પાઠ યાદ આવી જાય છે. અને આખરી શેર જેટલો ધીમેથી ખુલે છે એટલો જ વધુ અર્થગહન બન્યો છે. આંખની આગળ એષણાના પડળ બાઝી ગયા હોય કે સંબંધના ‘અમે’ને ‘હું’ની બંધ ખડકી નડતી હોય યા મુક્તિનો માર્ગ મોહ-માયાએ ગોપિત કરી દીધો હોય ત્યારે જીવનમાં યાતના સિવાય શું બચે છે? અને આ બંધ બારીઓ એકવાર ખોલી નાંખો તો પછી….?

Comments (12)

તપ કરવાનું – ‘સ્નેહી’ પરમાર

સારું નરસું એવું શું ગજવે ભરવાનું ?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું !

તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !

પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.

દોરી છૂટે, દોરી ખૂટે ત્યાં લગ સાથી !
ઊંચે ઊડવાનું ને ઊંડે ફરફરવાનું.

એક જ પળ માટે સામેની બારી ખૂલે
એના માટે આખ્ખો દા’ડો તપ કરવાનું ?

– ‘સ્નેહી’ પરમાર

આ ગઝલ વાંચો અને એના પ્રેમમાં ન પડાય એવું બની શક્શે? કેટલાકે ડંકાની ચોટ પર તો કેટલાકે પોતાની જાતથીય છાનુંમાનું પણ તપ તો જરૂર કર્યું હશે…

Comments (18)

શિશિર – પ્રજારામ રાવળ

ખરખર ખરે
પાનખરપર્ણ
ઝરમર ઝરે.
શિશિરની શીત લહર જરી વાય,
વૃક્ષની કાય
જીર્ણ અતિ, પત્ર પત્ર થર્થરે !
પીત અતિ શુષ્ક
ખડખડે, રુક્ષ
વૃક્ષથી ખરે,
હવામાં તરે,
ધીમેથી ધરતી પર ઊતરે;
એક પછી એક
ઝરંત અનેક
પત્રનો તંત
વહંત અનંત.
ઊઘડે તરુવર કેરી કાય,
ચીવરે પીત ધરા ઢંકાય;
વૃક્ષ નિજ રૂપ ધરંતું નગ્ન,
પીત ચીવરમાં ધરતી મગ્ન:
બેઉ તપ તપે,
પંખી પંખીની સોડે લપે.

– પ્રજારામ રાવળ

આ કાનથી વાંચવાની કવિતા છે. નકરો સ્નિગ્ધ લય કાનથી મન સુધી કેવો જાદૂ કરે છે એ માણો. ( ચીવર=વસ્ત્ર )

Comments (10)

શબદસૃષ્ટિ અંતે – રાજેન્દ્ર શુક્લ

ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
સકળને સમૂળું સમેટી લઉં છું.

ન તો ઊંઘવું આ, ન તો જાગવું આ,
અહર્નિશ ઉજાગર ઉંઘેટી લઉં છું.

હું રેલાઉં, ફેલાઉં, વરસી પડું પણ-
બીજી ક્ષણ મને હું ઉશેટી લઉં છું.

ભલો ભાવ ભગવો, ભલો મેઘધનુષી!
લિપટતું જે આવે લપેટી લઉં છું.

શબદ ક્ષીરસાગર, શબદ શેષશય્યા,
શબદસૃષ્ટિ અંતે હું લેટી લઉં છું.

– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)

એક એવી અવસ્થા આવે છે કે જ્યાં બધું છોડી દેવું અને સર્વસ્વને ભેટી લેવું એક જ બની જાય છે. ત્યાં શાંત થઈ જવું કે છલકી જવું એક જ બની જાય છે. અને જાગૃતિ ને નિદ્રા છાના પગલે ભેગા થઈ જાય છે.

જે ભાવ કુદરતી રીતે સ્ફૂરે – એ ભગવો હોય કે રંગીન – એ જ ખરો ભાવ છે. એને ભારે ભાવથી ભેટી જ લેવું !

છેલ્લો શેર તો ભારે મઝાનો થયો છે. શબ્દ જ ક્ષીરસાગર છે, શબ્દ જ સૃષ્ટિ છે અને એના અંતે આધાર પણ તો શબ્દની શેષશય્યાનો જ છે ! આ બધા પ્રતિકોથી, માણસને છેક ઈશ્વર-સમાન અવસ્થા સુધી લઈ જવાનું શબ્દનું સામર્થ્ય કવિ અહીં છતું કરે છે.

Comments (12)

ગઝલ – રઈશ મનીઆર

ભિન્ન ભાષા, ને અલગ લિપિ મળી,
પણ યુગેયુગ એ જ ગમગીની મળી.

ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
શબ્દની, સારું થયું,ખીંટી મળી.

વિશ્વ આખું પોતીકું ગણનારને,
વેદના જયારે મળી,નિજી મળી.

સાંપડ્યું છે કોઈને તૈયાર ચિત્ર,
આપણું કિસ્મત કે બસ પીંછી મળી.

એક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત,
અંતે થોડી રેત ત્યાં ભીની મળી.

જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?

– રઈશ મનીઆર

Comments (25)

મને ક્ષમા કરજો – આદિ શંકરાચાર્ય

હે શિવ !
મારાં ત્રણ પાપ બદલ
મને ક્ષમા કરજો.
હું તીર્થયાત્રા માટે કાશી આવ્યો ત્યારે
ભૂલી ગયો કે તમે સર્વવ્યાપી છો !
હું સતત તમારો વિચાર કરું છું, કારણ કે
હું ભૂલી જાઉં છું કે તમે તો વિચારોથી પર છો !
હું તમને પ્રાર્થના કરું છું ત્યારે ભૂલી જાઉં છું
કે તમે તો શબ્દોથી પર છો !

-આદિ શંકરાચાર્ય

આપણને અસીમ ચાહતાં આવડતું નથી. આપણે બધાંને ટુકડાંઓમાં જ ચાહીએ છીએ. ઈશ્વરને પણ આપણે આપણી સગવડ પ્રમાણે વેતરી નાંખ્યો છે…

Comments (11)

ગઝલ – હેમેન શાહ

પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.

પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.

ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.

સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.

કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં.

સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.

મોંઘીને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.

– હેમેન શાહ

સામનમાં એકમાત્ર સાચો કક્કો જ હોય તો જીવન આપમેળે શું મોંઘેરું ને રંગીન નથી બની રહેતું?

Comments (16)

ગઝલ – આશા પુરોહિત

તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

– આશા પુરોહિત

કોઈનાં જવાથી એની સાથે સાથે બીજું શું શું ચાલ્યું જાય છે- એ વિષાદી ભાવને મત્લાથી લઈને મક્તા સુધી દરેક શેર વધુ ને વધુ ઘેરો બનાવે છે… કયા શેરને બેસ્ટ ગણવો એ સવાલનો જવાબ આપવોય અઘરો થઈ પડે એવી મજાની ગઝલ.

Comments (20)

ઘટમાં ઝાલર બાજે – ઊજમશી પરમાર

ઝીણી ઝીણી ઝાલર ઘટમાં બાજે ઘડી ઘડી,
દુનિયા આખી આજ અનોખા લયની મેડી ચડી.

પગલું મેલ્યે ધરતી ધબકે, ઉરના ઢોલ ધડૂકે,
અંધારેયે આંખ માંડતાં શત શત વીજ ઝબૂકે;
ધોમ ધખે ત્યાં અમી તણી આ વરસી ક્યાંથી ઝડી ?

વણદેખી કેડીનાં કામણ કિયે મુલક લઈ જાતાં,
ચડી હિંડોળે વળતાં વ્હાણાં પંચમ સૂરે ગાતાં,
સાવ અજાણી આંખેથી મધઝરતી ભાષા જડી !

– ઊજમશી પરમાર

એકવાર ઘટમાં ઝાલર વાગવા માંડે તો પછી દુનિયાનો લય પણ અનોખો જ લાગે… અને એકવાર ભીતરની દૃષ્ટિ બદલાઈ જાય, પછી તો સાવ અજાણી આંખોની ભાષા પણ મધઝરતી જ લાગે.

Comments (6)