મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને
ભરત વિંઝુડા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 21, 2008 at 2:51 AM by વિવેક · Filed under ગઝલ, બેફામ
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતાં પણ વધારે તમને જોયા છે
ઋતુ એક જ હતી પણ રંગ નહોતો આપણો એક જ
મને સહરાએ જોયો છે, બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહિંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારું,
ખુલી આખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હું થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુંઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે.
-બરકત વિરાણી ‘બેફામ’
બેફામસાહેબની આ વિખ્યાત ગઝલની ફરમાઈશ ઘણા મિત્રો અવારનવાર કરતા રહ્યા છે. એટલે લયસ્તરોના સાગરમાં જેની ખોટ વર્તાતી હતી એવું મોતી આજે અહીં ઊમેરીએ છીએ…
ગુજરાતી સુગમ સંગીતની તાસીર સમૂચી બદલી નાંખવામાં આ ગઝલનો ઐતિહાસિક ભાગ ભજવ્યો છે. સામાન્ય માણસ સુધી પહોંચવામાં લગભગ વિફળ રહેલી ગઝલને મનહર ઉધાસે એમની સરળ અને લોકભોગ્ય ગાયકીના બળે ઘેર-ઘેર પહોંચાડી એમાં આ ગઝલનો સિંહફાળો છે. લોકપ્રિયતાનું જે શિખર આ ગઝલે જોયું છે એ न भूतो न भविष्यति જેવું છે…
Permalink
November 20, 2008 at 2:13 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.
ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ.
નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.
ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
મને આ જગાની મમત માત્ર એક જ.
નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.
-મનોજ ખંડેરિયા
મનોજ ખંડેરિયાની ગઝલોની એક નોંધપાત્ર વિશેષતા સરળ અને સહજ ભાસતા શેરોમાં રહેલું અર્થગંભીર ઊંડાણ છે. ‘પોતાની’ એક ક્ષણ પરત મળે તો કવિ બદલામાં જે માંગવામાં આવે એ આપવા તૈયાર છે. અહીં ‘મારી’ શબ્દ ખાસ ધ્યાન માંગી લે છે. વિતેલી ક્ષણ પાછી મેળવવાનું કામ જ આમ તો દુષ્કર છે પણ અહીં કવિની એક માત્ર શરત એ છે કે એ ક્ષણ પણ જો પરત મળે તો એ એમની જ પોતાની હોય. અને પોતાની ભીતર આવવા માટેનું આહ્વાન પણ કેવી સ-રસ રીતે કવિ આપે છે!
Permalink
November 18, 2008 at 10:03 PM by ધવલ · Filed under ગઝલ, નયન દેસાઈ
અરીસા વેચતા ગામે નયન દેસાઈ એસ.એસ.સી.
અને ભીંતો ઊભી સામે નયન દેસાઈ એસ.એસ.સી.
મળ્યો એક રોકડો ડૂમો ને પરચૂરણ કૈં ડૂસકાં,
અહીં બીજું તો શું પામે નયન દેસાઈ એસ.એસ.સી.?
પગોમાં પગરવો પહેર્યા ને આંખો પર નજર ઓઢી,
ફરે માણસ તીરથધામે નયન દેસાઈ એસ.એસ.સી.
વહે વિસ્તીર્ણ પટ જળથી તે ઝળઝળિયાં સુધી એનો,
નદીસરસો જીવે આમે નયન દેસાઈ એસ.એસ.સી.
રહે છે આમ તો તાપી તટી, સૂરતમાં એ કિન્તુ,
મળે શબ્દોના સરનામે નયન દેસાઈ એસ.એસ.સી.
– નયન દેસાઈ (એસ.એસ.સી.!)
માણસ પોતાની જાતને કઈ રીતે જુએ છે એનાથી એની જીવનદ્રષ્ટિનો અંદાજ આવે છે. પોતાની જાતને ઓળખ્યા સિવાય બીજું કાંઈ જાણવું શક્ય નથી. રમેશ પારેખે પોતાની જાતને સાંકળી લેતી અનેક ગઝલો લખી છે. (એમણે પોતાના સંગ્રહનું નામ પણ ‘છ અક્ષરનું નામ’ આપેલું!) ચંદ્રકાંત શેઠનું ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ પણ યાદ આવે છે. ગઝલ વાંચો તો એક ધરતી-સરસા માણસનું પ્રમાણિક ચિત્ર ઉપસી આવે છે.
Permalink
November 17, 2008 at 11:41 PM by ધવલ · Filed under ગઝલ, શ્યામ સાધુ
કમળ જેવું કશુંક વાવી દીધું છે,
નર્યા રણને છલકાવી દીધું છે.
પવન ને ફૂલનો સંબંધ શું છે ?
સ્મરણનું નામ બદલાવી દીધું છે.
નદી જેવો જ ચંચળ જીવ છે કિન્તુ,
તમે એક નામ ત્રોફાવી દીધું છે.
તમારી ખોટ સાલે છે તિમિરને,
અમે તો મૌનને બહેલાવી દીધું છે.
પ્રવાસી હું ય પળનો છું અહીં પણ,
સમયનું વ્હેણ થંભાવી દીધું છે.
– શ્યામ સાધુ
આખા રણને છલકાવી શકે એવી અમીરાત ધરાવતું કમળ એ સ્મરણ. પવન અને ફૂલનો સંબંધ – એટલે કે સુવાસ – એ સ્મરણ. નદી જેવા, સદા બદલાતા મન પર પણ એક નામનું અમીટ છૂંદણું રચી દે એ સ્મરણ. સૂની રાત્રે ખુદ એકલતાને ય બહેકાવી દે એ સ્મરણ. સમયના પ્રબળ વ્હેણને એક નાની શી પળમાં કેદ કરી રાખે એ સ્મરણ.
Permalink
November 13, 2008 at 1:32 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
વાત છે લોહી ઊડ્યું એ છાંટણાની.
ત્યાં ગણતરી શું કરું હું આંકડાની ?
બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
સાવ સુક્કા વૃક્ષ જેવું મોં કરીને,
પાંદડાંની વાત કે’ છે, પાંદડાંની ?
વૃદ્ધથી રડવું જ રોકી ના શકાયું,
વાત જ્યારે નીકળી આ બાંકડાની.
એક માણસ નામની ફૂટી છે શીશી,
ને ભરાણી છે સભાઓ ઢાંકણાંની.
– અનિલ ચાવડા
ઈશ્વર જેવા ઈશ્વરને ધમકાવીને એની ભૂલનો હિસાબ માંગતા કવિની આ ગઝલ સહેજે ગમી જાય એવી છે. એમાંય માણસ નામની શીશી ફૂટે અને ઢાંકણાંઓની સભા ભરાય એ વાત શીઘ્ર પ્રત્યાયનમાં જેટલો સહજતાથી સમજાઈ જાય છે એટલો જ માર્મિક પણ છે…
Permalink
November 12, 2008 at 8:49 PM by ધવલ · Filed under ગઝલ, હરિકૃષ્ણ પાઠક
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું;
અંદર કંઈ કંઈ થાય, બાંકડે બેઠો છું.
આમ જુઓ તો એના એ વર્ષોના પાટા
સીધા સીધા જાય, બાંકડે બેઠો છું.
કોઈ કોઈ ચહેરાની રેખા માંડ ઉકેલું-
નામ કેમ પુછાય ? બાંકડે બેઠો છું.
સાંધા-સિગ્નલ-ઝંડી-ફાટક-સીડી-બત્તી
-દુનિયા અજબ લહાય, બાંકડે બેઠો છું.
ઘટ આવે કે નૂર ચડે, નુકસાની લાગે;
એવું તો ભૈ થાય, બાંકડે બેઠો છું.
ખુદાબક્ષ છે, કોઈ છે ઈજ્જતવાળા;
બાકી શું કહેવાય ? બાંકડે બેઠો છું.
ગણવેશોની શિસ્ત મૂળમાં ઝાંવા ભરતી,
ભોંય સરકતી જાય, બાંકડે બેઠો છું.
ઝાઝું ન સમજાય, બાંકડે બેઠો છું;
ગાડી આવે-જાય, બાંકડે બેઠો છું.
– હરિકૃષ્ણ પાઠક
સ્ટેશન પરની ગતિવિધિને બાંકડેથી જોતા સ્ફૂરેલી, ઘટનાઓની વર્તુળાકાર ગતિને સમજવા મથતી ગઝલ.
(ઝાંવા = વલખાં, તરફડીયાં)
Permalink
November 8, 2008 at 1:25 AM by ધવલ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
અ-પૂર્વ, નવ્ય ને ઉજ્જળ અચલ મળે, ન મળે!
ગઝલનો આવો મનોહર મહલ મળે, ન મળે!
ફરીથી આટલી ઉમદા ગઝલ મળે, ન મળે!
ગઝલનું શોભિતું શતદલ કમલ મળે, ન મળે!
કરી તે કાયાપલટ ગુર્જરી ગઝલ કેરી;
ફરી એ ગઝલો, એ મુક્તક તરલ મળે, ન મળે!
પરંપરાઓને તોડી છતાં ગઝલ કાયમ;
ફરી ગઝલનો એ નવલો અમલ મળે, ન મળે!
લચી પડ્યા છે હવે ખેતરો ઘણાં કિન્તુ;
ઉતારી તેં જે ગઝલની ફસલ મળે, ન મળે!
નવી જ ભોંય તેં ભાંગી પુરાણા વિસ્તારે;
ફરીથી આવી કો સિદ્ધિ વિરલ મળે, ન મળે!
– ભગવતીકુમાર શર્મા
આદિલસાહેબને ભગવતીકુમાર શર્માની અંજલી, આદિલસાહેબની સૌથી પ્રસિદ્ધ ગઝલના રદીફને કાયમ રાખીને લખેલી ગઝલ સ્વરૂપે.
Permalink
November 7, 2008 at 5:25 PM by ધવલ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ;)
સમય – રિક્તતાને ભરે છે, (પરંતુ.)
કોઈ એક છાયા, કોઈ એક છાયા,
દીવાલોને તોડી સરે છે, (પરંતુ.)
આ ઊંડાણ તારું, સમંદરનું મારું,
સપાટી થઈને તરે છે, (પરંતુ.)
તિમિર પ્યાલીઓમાં ઠરે રાત ઢળતાં,
કોઈ રોજ સૂરજ ધરે છે, (પરંતુ.)
નહીંતર કશો ભય નથી જીવવામાં,
કશુંક છે કે લોકો ડરે છે, (પરંતુ.)
બધી સરહદો ઓગળી જાય આખર,
ક્ષિતિજ માથું ઊંચું કરે છે, (પરંતુ.)
કશું શબ્દ અને અર્થની વચ્ચે હરપળ,
નથી જન્મતું ને મરે છે, (પરંતુ.)
– ‘આદિલ’ મન્સૂરી
આદિલ મન્સૂરી માટે આજે ‘હતા’ કહેવું પડે છે. એ અવાજ જે ગુજરાતી ગઝલની આધુનિક યુગમાં દોરી લાવ્યો એ હવે આપણી વચ્ચે નથી. એમની હસ્તી શબ્દરૂપે તો સતત આપણી વચ્ચે રહેશે જ. આજે એમની યાદમાં એમની જ આ ગઝલ. આદિલસાહેબની કૃતિઓમાંથી મારી સૌથી પ્રિય કૃતિ કોઈ ગઝલ નથી, એ છે આ અછાંદસ : કબૂલાત. એ પણ સાથે જોશો.
Permalink
November 3, 2008 at 12:29 AM by ધવલ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
તારી સુવાસ અંગ થકી ઓસરી નથી,
આશ્લેષથી તું જાણે કદીયે સરી નથી.
ફૂલોએ કેમ જાણી હશે આપણી કથા?
મેં તો ચમનમાં વાત કોઇને કરી નથી.
આ રસ્તે આવવાની ઉતાવળ કરો નહીં,
આંખો મેં આખે રસ્તે હજી પાથરી નથી.
શમણું છે એ કહો છો, તો માની લઇશ હું,
મેં તો હજી બે પાંપણો ભેગી કરી નથી.
એને કશું ન ક્હેશો ભલા, એનો વાંક ક્યાં?
એ લોકોએ કદીય મહોબ્બત કરી નથી.
– હરીન્દ્ર દવે
હરીન્દ્ર દવે કોમળતાના કવિ છે. એ જ્યારે પ્રેમ-ગઝલ લખે તો કેટલી ઋજુ બને એ જ જોવાનું રહે ! ‘એમનો વાંક ક્યાં / એ લોકોએ કદી મહોબ્બત કરી નથી’ એ ઈસુ ખ્રિસ્તના કે ગાંધીના મોઢે શોભે એવો ઉદ્દાત-મન શેર થયો છે. પણ મારો પ્રિય શેર એનાથી આગલો છે. પોતે હકીકત જાણતા હોવા છતા માત્ર પ્રિયજનના કહેવાથી એને સ્વપ્ન માની લેવાની તૈયારી એ નકરો પ્રેમ છે. કોઈની આંખમાં જોવાથી હકીકત અને શમણાં વચ્ચેની સરહદ ઓગળી જાય તેનાથી વધારે સાચી પ્રેમની વ્યાખ્યા કઈ હોઈ શકે ?
Permalink
November 1, 2008 at 12:30 AM by વિવેક · Filed under અલ્પેશ 'પાગલ', ગઝલ
લાખ કરું છું યત્નો તોયે સાંજ કશું ક્યાં બોલે છે ?
બંધ અમારા આંસુઓનો રોજ સિફતથી તોડે છે.
અણસમજુ માણસ છે, દિલનો કાચ તૂટે ને રોવે છે,
ને એક માણસ શાણો છે, શીશાથી પથ્થર ફોડે છે.
પંખી-પંખી, કલરવ-કલરવ, ચીસો-ચીસો બીજું શું ?
કાંઈ નથી, બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છે.
હું ચાહું છું આ દુનિયાને, એ પણ મુજને ચાહે છે,
સાવ જ ખોટું હું બોલું છું, એ પણ ખોટું બોલે છે.
‘પાગલ’ તો છે બીકણ-ફોસી ખુદ ખુદથી ડરનારો છે,
બુડ્ઢી ઈચ્છા ખાંસે છે તો સાવ અચાનક ચોંકે છે.
– અલ્પેશ ‘પાગલ’
આમ તો આખી ગઝલ ગમી જાય એવી છે પણ મત્લાનો શેર અને એનું ઊંડાણ ચૂકી ન જવાય એ ખાસ જોજો. સાંજ નિઃશબ્દ આવે છે અને નિઃશબ્દ જાય છે. પણ આથમતા ઉજાસનું રંગસભર એકાંત આપણી અંદરની વેદનાના બંધને રોજેરોજ તોડી દે છે. ઉદાસી અને સાંજનો ગહરો સંબંધ છે. માણસ દુઃખી હોય ત્યારે સૂર્યાસ્ત વધુ પોતીકો લાગે છે… બસ વૃક્ષ તૂટ્યું છે, બાકી સઘળું ઓ.કે. છેવાળો શેર પણ અદભુત ચોટ કરી જાય છે અને વ્યક્તિ તથા સમષ્ટિના પરસ્પર ચાહવાની વાતના ખોટાપણાવાળો શેર પણ એવો જ મજાનો થયો છે.
Permalink
October 31, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમાંગ જોશી
પાંપણે ઊભો રહી જોયા કરું,
સ્વપ્ન તો યે આંખમાં ખોયા કરું.
લઈ હવાનો હાથ બેઠો શહેરમાં,
મ્હેકની રેખા હજી શોધ્યા કરું.
ડાઘ મનના વસ્ત્ર પર દેખાય તો,
હું ગઝલ દ્વારા પછી ધોયા કરું.
ઊર્મિઓના વેશમાં મૂંગો છતાં,
સ્પર્શથી જાણે સતત બોલ્યા કરું.
ત્યાં તમે ‘જોશી’ રહેજો સાબદા,
જાત સાથે ખુદને જ્યાં તોલ્યા કરું.
– હેમાંગ જોશી
હવાનો હાથ લઈને મહેકની રેખા શોધતા કવિની નવ્યતર કલ્પનસભર આ ગઝલ ગમી ન જાય તો જ નવાઈ…
Permalink
October 27, 2008 at 10:07 PM by ધવલ · Filed under ગઝલ, મણિલાલ હ. પટેલ
લાગી આવે હાડોહાડ
ભાઇ કરે આંગણમાં વાડ
જીવન ખુદનો આપે અર્થ :
ગણ દિવસો ને વરસો કાઢ
જે બંધાવે એ પણ જાય
મૂકી સૂનાં મેડી માઢ.
ના છાંયો ના ફળની આશ,
‘ઊંચા લોકો’ એવા તાડ
ઝાડ નથી એ છે જીવતર
બેઠો છે એ ડાળ ન વાઢ
મતલબ બ્હેરાં સઘળાં લોક
ફોગટ તારી રાડારાડ
– મણિલાલ હ. પટેલ
રોજબરોજની ભાષામાં જીવનના કડવા સત્ય વણી લેતી ગઝલ. એક એક શેર જતા દિવસે રૂઢિપ્રયોગ તરીકે વપરાતો જોવા મળે તો નવાઈ નહીં એવો સરળ અને સચોટ થયો છે.
Permalink
October 26, 2008 at 2:56 AM by વિવેક · Filed under ગઝલ, વ્રજેશ મિસ્ત્રી
તપ્ત યાદોથી સભર સહવાસનું
આંખ સામે છે નગર આભાસનું
ભીતરે પોલાણ વાગ્યે જાય છે
આયખું હો સાવ જાણે વાંસનું
કલ્પના કર મન પછી કેવું હશે ?
સ્વપ્ન ઝાકળમાં પડ્યું છે ઘાસનું
આંખમાં કણ જેમ ખૂંચે છે હવે
ક્ષુબ્ધ કાંટાળાપણું આ શ્વાસનું
– વ્રજેશ જયંતિલાલ મિસ્ત્રી
ધોમધખતા તાપથી તપી ઊઠેલું રણ એટલે મૃગજળની વસંતઋતુ. જીવતરનું રણ જ્યારે ખેદ અને વિચ્છેદના તાપથી તપે છે ત્યારે આવા ઉષ્ણ સહવાસની તપ્ત યાદો દૃષ્ટિપટ પર આભાસનું આખું નગર સર્જી દે છે. આંખના ખૂણાંઓ આ ઝાંઝવાથી ભીનાં થતા રહે છે. જીવતર આખું પોલું હોય એમ વાગતું રહે છે અને ક્ષોભિત શ્વાસ કાંટાની જેમ આંખમાં ખૂંચતા રહે છે….
Permalink
October 25, 2008 at 2:13 AM by ઊર્મિ · Filed under કિશોર મોદી, ગઝલ, હસ્તપ્રત, હુરતી
(કિશોરભાઈની એક અક્ષુણ્ણ કૃતિ એમનાં હસ્તાક્ષરમાં પહેલવહેલીવાર લયસ્તરો માટે)
હીરા તળકામાં નખે કંઇ બોલતો,
હાવ વાખામાં નખે કંઇ બોલતો.
હરાદમાં બામણને હઉં બોલાવહે,
તોય ફરિયામાં નખે કંઇ બોલતો.
ભૂતભૂવાની વચે રે’વાનું છે,
ગામ ચોરામાં નખે કંઇ બોલતો.
અંઈ અટકળી ખાઈ ઓંચાઈ ગિયા,
જાત પળખામાં નખે કંઇ બોલતો.
છે જીવન કિસોર તરગાળા હમું,
એ ભવાળામાં નખે કંઇ બોલતો.
– કિશોર મોદી
(હુરતી શબ્દોનાં શુદ્ધ શબ્દો… : હીરા તળકામાં = છાયા તડકામાં; નખે = નહીં; હાવ = સાવ; વાખામાં = ભૂખમરાના સંકટમાં; હરાદ = શ્રાધ્ધ; બામણને = બ્રાહ્મણને; હઉં = સૌ; બોલાવહે = બોલાવશે; રે’વાનું = રહેવાનું; અંઈ = અહીં; અટકળી = હેડકી; ઓંચાઈ ગિયા = ધરાઈ ગયા; પળખામાં = પડખામાં; કિસોર = કિશોર; તરગાળા = ભવાયાની એક જાતિ; હમું = સમું; ભવાળામાં = ભવાડામાં, ભવાઈમાં)
*
વર્જિનિયામાં રે’તા ને અવે રિટાયર થેઈ ગેયલા કિશોરભાઈ ખાલી કવિતા ને ગઝલ જ નથી લખતા, પણ હાથે હાથે આપણા જેવાની જનમકુંડળી હો બનાવે છે હોં… અરે બાબા, ઉં એકદમ હાચ્ચું કઉં છું, એ તો જ્યોતિસી હો છે… ને પાછું હાંભળ્યું છે કે બો હારા બી છે. અઈંયા આગળ મૂકેલી એમની એક હુરતી કવિતા તો તમે વાંચલી જ અહે ને?!! અરે પેલી… એ વીહલા વાળી. કંઈ નીં, પેલ્લા નીં વાંચી ઓય તો અવે તો ચોક્કસ વાંચી લેજો હં કે… એકદમ જક્કાસ કવિતા છે હારી એ બી! આ હુરતી ગઝલમાં બી ‘નખે કંઇ બોલતો’ બોલી બોલીને કેટલું બધું આપળાને બોલી ગ્યા છે, નીં ?!!
-ઊર્મિ
Permalink
October 23, 2008 at 3:01 AM by વિવેક · Filed under અમિત વ્યાસ, ગઝલ
એક છે દોરો, બીજું તાવીજ છે;
આ બધી પીડા હવે શું ચીજ છે ?
એ અલગ છે, કે મને રસ ના પડે;
તું કરે છે વાત, તે સારી જ છે !
કઈ ક્ષણે પ્રગટી રહે, કોને ખબર ?
ગર્ભમાં આજે ઊછરતું બીજ છે !
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !
સાવ પથ્થર થઈ ગયેલા શ્હેરમાં;
એક તું સુણે ગઝલ, કાફી જ છે !
ફૂલની ખુશબૂમાં ખોવાઈ ન જા;
તો અહીંની કેડીઓ સીધી જ છે !
-અમિત વ્યાસ
આખી ગઝલમાં એકેય શેર લખ્યા જ ન હોત અને માત્ર ‘આ સભા તરબોળ છે આલાપમાં, રાગનો જાદુ હજી બાકી જ છે‘ – આ એક જ શેર લખ્યો હોત તોય આ ગઝલને સોમાંથી સો માર્ક્સ આપી શકાયા હોત. જીવનનું કોઈપણ પરિમાણ તમે નજર સામે મૂકો અને પછી આ શેર લલકારો, વાત સાચી જ લાગશે. આપણે સૌ આંગણાની શોભામાં જ પડી રહીએ છીએ, અંદરનું ઘર દીપાવવાનો તો વિચાર જ ક્યાં કરીએ છીએ. રસ્તાની પળોજણમાં જ અટવાઈ રહીએ છીએ, મંઝિલ સામે મીટ પણ માંડી શક્તા નથી…
Permalink
October 19, 2008 at 2:00 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.
પાણી લઈને હઠ, ઊભાં છે
ખેતર સૂકાં ભઠ ઊભાં છે.
કાચાં, લીલાં પાન ખરે છે,
ઠૂઠાં સાવ જરઠ ઊભાં છે.
કોઈ ફરકતું ચકલું ક્યાં છે ?
લોકો હકડેઠઠ ઊભા છે.
પ્રશ્ન હજી તો એક જ ઊકલ્યો,
ત્રણસો તે ચોસઠ ઊભા છે.
-હેમેન શાહ
ઈશ્વર અને ધર્મના નામે બિલાડીના ટોપની જેમ ફાટી નીકળતા ધર્મસ્થાનોને સીધેસીધી ભાષામાં ધૂતારા કહી રોકડું પરખાવી દેતો મત્લાનો શેર મને ખૂબ ગમે છે. પાણીનું હઠ લઈને ઊભા રહેવું અને ખેતરનું સૂક્કુંભઠ રહી જવું એ શેરમાં પણ દૃશ્યચિત્રની પેલે પારનું કલ્પન નજરે ચડે છે. આ પાણી લાગણીનું, પ્રેમનું હોઈ શકે. હઠ અહમની હોઈ શકે અને પરિણામે સૂકી રહી જતી જિંદગીનું ખેતર પણ કવિને અભિપ્રેત હોઈ શકે…
Permalink
October 17, 2008 at 1:59 AM by વિવેક · Filed under અમિત વ્યાસ, ગઝલ
તારા વિશે જે નીકળ્યાં ઊંડી તપાસમાં;
તેઓ બધા જ હોય છે કાયમ પ્રવાસમાં !
સાંઈ ! તમે જ કંઈક કહો તાંતણા વિશે;
લોકો તો ગૂંચવાઈ ગયા છે, કપાસમાં !
જ્યારે સ્વયમના તેજથી અંધાર ઓગળે;
ત્યારે ફરક રહે નહીં પૂનમ-અમાસમાં !
તારા વિરુદ્ધ કાન ભરે છે અનેકના;
એનોય હાથ હોય છે તારા વિકાસમાં !
ઝોલે ચડી છે રાજકુમારીની વારતા;
ગોખે થરકતા એક દીવાના ઉજાસમાં !
સેવી શકે, તો સંતની કોટિને પામશે;
જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં !
– અમિત વ્યાસ
ગઝલના બધા જ શેર સુંદર થયા છે પણ મને તો દાદીમાની રાજકુમારીની વારતા વધુ ગમી ગઈ. દાદા-દાદી ભલેને ઘરના એક ગોખલામાં મૂકાઈ ગયેલા દીવા જેવા થઈ ગયા હોય, ઉજાસ આપતા રહેવાનું ભૂલતા કે છોડતા નથી. ઉંમર ઝોલે ચડી હોય એમ ભલે ડગુમગુ થતી હોય પરંતુ પોત્ર-પૌત્રી માટે રાજકુમારીની વારતાઓનું અજવાળું પાથરવાનું છોડતી નથી. અને ગઝલનો આખરી શેર ઉચ્ચ કક્ષાનો મનનીય શેર બન્યો છે. શબ્દને વેડફવાને બદલે એની સાચી શક્તિ જો પામી શકાય તો જીવનનો સાચો અર્થ સરે. શબ્દનું સત પમાય તો સંત થવાય.
Permalink
October 16, 2008 at 4:49 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
ખુલ્લી હદથી વધારે જાત ન કર,
આંખ ભીની કર, અશ્રુપાત ન કર.
તું ભલે મારો પક્ષપાત ન કર,
પણ ગમે તેની સાથે વાત ન કર.
થોડા બીજાને માટે રહેવા દે,
સઘળા સત્વોથી મુજને જ્ઞાત ન કર.
બૂટ પહેરી નીકળતા પગ માટે,
આંગણે ફૂલની બિછાત ન કર.
જીતનારાઓને જ જીતી જો,
હારનારાઓને મહાત ન કર.
મારો ચહેરો બીજાનો ચહેરો હોય,
એવી રીતે તું દૃષ્ટિપાત ન કર.
કર, સવારો વિશે તું ચિંતા કર,
પણ એ ચિંતાઓ આખી રાત ન કર.
-મુકુલ ચોક્સી
મુકુલભાઈની એક ખુશનુમા ગઝલ જે કશી પણ પૂર્વભૂમિકાની મહોતાજ નથી… બધા જ શેર ગમી જાય એવા છે…
Permalink
October 13, 2008 at 11:42 PM by ધવલ · Filed under ગઝલ, મરીઝ
એ રીતે એ છવાઈ ગયાં છે ખયાલમાં;
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.
તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.
સારું છે એની સાથે કશી ગુફતગૂ નથી,
નહિતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.
કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.
લય પણ જરૂર હોય છે મારી ગતિની સાથ,
હું છું ધ્વનિ સમાન જમાનાની ચાલમાં.
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.
એ ‘ના’ કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.
– મરીઝ
પરંપરાગત વિષય પરની આ ગઝલમાં પણ મરીઝે યાદગાર શેર ઘડી દીધા છે. મરીઝ પ્રેમની સાઈકોલોજીને બખૂબી સમજે છે. એટલે જ લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં જેવો શેર રચી શકે છે. જો કે ગઝલનો સૌથી યાદગાર શેર છેલ્લો શેર છે. રોજબરોજની વાતમાં આ શેર ઘણી વાત વપરાયા કરે છે. શેર અનાયાસ જ કહેવતની જેમ વાતવાતમાં વપરાઈ જાય એનાથી વધારે કવિની કાબેલિયતનો પૂરાવો શું હોઈ શકે ?
Permalink
October 11, 2008 at 2:18 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ દાવડકર, હસ્તપ્રત

(ખાસ લયસ્તરો માટે મહેશ દાવડકરના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)
*
આંસુઓને રોકવામાં લોહીનું પાણી થયું,
ને ડૂમો પીગાળવામાં લોહીનું પાણી થયું.
આગ અંદરની આ પાણીથી કદી બૂઝાય નહિ,
આગ આ પ્રગટાવવામાં લોહીનું પાણી થયું.
કેમ આવ્યો ચિત્રનો ઉઠાવ એ તું જાણે છે?
દોસ્ત ! રંગો પૂરવામાં લોહીનું પાણી થયું.
આ ગઝલ વહેતી નદી છે હો તરસ તો આવજે,
આ નદી છલકાવવામાં લોહીનું પાણી થયું.
લે નસેનસમાં વહીને આજ તું એ જાણી લે,
કે ખરેખર જીવવામાં લોહીનું પાણી થયું.
-મહેશ દાવડકર
કેટલાક ગઝલકાર કૌવત કે કૌશલ્ય ન હોવા છતાં છાપરે ગાજીને પોકારતા રહે છે તો કેટલાક સંત ગઝલકાર એક ખૂણામાં પોતાની શબ્દની ધૂણી જગાવીને બેફિકર નિસ્પૃહ સાધનામાં રત રહે છે. મહેશ દાવડકર આ સંત કોટિના ગઝલકાર છે. સુરતમાં રહે છે. મજાના ચિત્રો દોરે છે. ઓછું લખે છે પણ આછું નથી લખતા. કોઈપણ જાતની પ્રસિદ્ધિની ખેવના વિના એ કળાને માત્ર કળાની રૂએ આરાધે છે અને પરિણામે એમની ગઝલમાં એક નકારી ન શકાય એવી ચુંબકીયતા જોવા મળે છે. જુઓ આ દાદુ ગઝલ… લોહીનું પાણી થયું જેવી રદીફને જે કુશળતાથી એમણે નિભાવી છે એ ખરેખર કાબિલે-દાદ છે…
Permalink
October 10, 2008 at 2:05 AM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
ख़ुद का ख़ुद से हो गया था सामना
और उसने फ़ोड डाला आईना |
मार कर सच को की उसने ख़ुदकुशी
फिर बचा बस खुद से ख़ुद का भागना |
गुफ्तगू होती रही चुपचाप बस
साथ तारों के हुआ था जागना |
छु रहा था कुछ हवाओं सा मुझे
नाम उसका क्या कहा था साजना ?
बस सितारों से भरा था आसमाँ
रातभर जायज्ञ था मेरा जागना |
-कु. कवि रावल
‘ફોર અ ચેઇન્જ’ આજે કુ. કવિ રાવલની એક હિન્દી ગઝલ…
Permalink
October 5, 2008 at 6:41 AM by ઊર્મિ · Filed under ગઝલ, ગની દહીંવાળા
કયારેક પગ મહીંથી આ રસ્તો વિદાય થાય.
તો થાકનો ય કંઇક નિરાંતે ઉપાય થાય.
હાલત અમારી જોઇને બીજા ય વ્યાકુળ થાય.
પર્વત ઢળી પડે અને સાગર ઊભા ય થાય.
અમને હસી જ કાઢજો એ છે અતિ ઉચિત,
ઠલવાય લાગણી, તો નીપજ વેદના ય થાય.
ખીલ્યું હો બાર માસી અજંપાનું ફૂલ જ્યાં,
ત્યાં મુંઝવણની વેલ તો વાવ્યા વિના ય થાય.
પાડી ઊઠ્યો છે જામનો ખાલીપો એવી ચીસ,
મદડાં તરસનાં જીવ લઇ દોડતાં ય થાય.
આદિથી એજ આગના સંચયથી લાલસા,
સૂરજ ન હોય તો અહીં તો દિનકર ઘણા ય થાય.
સંતાપિયા સ્વભાવને આઘાત શા ‘ગની’?
વેરણ તો એવા જીવની ઠંડી હવા ય થાય.
–ગની દહીંવાળા
(આમ તો ગનીચાચાની જન્મશતાબ્દી વર્ષની ઉજવણીની સાત કડી પૂરી થઈ ગઈ છે પણ કેટલાંક ઈન્દ્રધનુષને આઠમો રંગ પણ હોય છે. એટલે આજે આ આઠમો રંગ મારા -ઊર્મિ- તરફથી…)
આમ તો ગઝલનું શિર્ષક જ ગઝલમાં આવતાં અજંપાનો નિર્દેશ કરી દે છે, પરંતુ ગનીચાચાએ અહીં ગઝલનું શિર્ષક માત્ર અજંપો નથી આપ્યું પણ અજંપાનું ફૂલ આપ્યું છે ! એ જોઈને મને તો એવો વિચાર આવ્યો કે… ફૂલ તો એકદમ સુકોમળ હોય, તો શું આ અજંપો પણ ફૂલ જેવો જ કોમળ હશે? તો પછી એની હયાતી આપણને કરવત જેવી કેમ લાગતી હશે? કે કદાચ અજંપાના મટવાની ઘટનાની હળવાશને લીધે પાછળથી એ કોમળ લાગતી હોય એવુંયે બને…?! ખેર, હું તો હજીયે કોશીશ કરું છું આ ગઝલની ભીતર ઘૂસવાની… તમે જો છેક અંદર સુધી પહોંચી જાવ તો મને સાદ દઈને રસ્તો બતાવજો હોં ! 🙂 ત્રીજા શેરમાં વેદનાની નીપજ વિના લાગણી ક્યાંય ઠલવાઈ જ ન શકે એ વાત વધુ સ્પર્શી ગઈ…!
Permalink
October 4, 2008 at 2:02 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા

(ગનીચાચાની એક વિરલ તસ્વીર)
*
દુઃખ અમર હોય તો વાંક મારો નથી,
હદ વગર હોય તો વાંક મારો નથી;
ચુપ અધર હોય તો વાંક મારો નથી,
આંખ તર હોય તો વાંક મારો નથી.
થૈને સાગર રહે દૂર આરાથી તું,જોઈ
બિન્દુને વેગળું રાખે ધારાથી તું;
એથી આગળ વધી કહું તો મારાથી તું –
બેફિકર હોય તો વાંક મારો નથી.
એક આવાસ. જે હરઘડી શોકમય,
ઊર્મિ-અભિલાષ સેવી રહ્યા એમાં ભય,
હાય બરબાદ જે થૈ ગયું એ હૃદય,
તારું ઘર હોય તો વાંક મારો નથી.
હું તો પાગલ ગણાયો સદાનો, પ્રભુ !
પણ વિચારું છું એકાંતે છાનો, પ્રભુ !
હું મુસાફર અને આ જમાનો, પ્રભુ !
રાહબર હોય તો વાંક મારો નથી.
કોઈનું હું બૂરું ચાહું, મારું થજો !
મારા દિલની વ્યથા કોટિ દિલમાં હજો;
મેં જગતને વહેંચ્યું છે એ દર્દ જો
શ્રેયકર હોય તો વાંક મારો નથી.
એક તણખો ઝગે છે ‘ગની’ અંતરે,
લોક અવળો ભલે અર્થ એનો કરે,
કોઈની નેહ-તરબોળ મારા પરે
જો નજર હોય તો વાંક મારો નથી.
-ગની દહીંવાલા
ગનીચાચાની આ ગઝલની એક વિશેષતા નોંધી ? ગાલગાના આઠ આવર્તનોના મિસરાવાળી આ ગઝલના આંતર્પ્રાસ ધ્યાનાર્હ છે. સાયાસ બંને મિસરાના પ્રથમ ત્રણ ભાગના પ્રાસ મેળવ્યા હોવાથી આ ગઝલ નઝમનુમા ગઝલ બને છે અને માત્ર ત્રણ જ ચોપડીના અભ્યાસી હોવા છતાં ગઝલદેવી જેમને સાદ્યંત વરેલી હતી એવા ગનીચાચાની આ ગઝલમાં ક્યાંય શિથિલતા વર્તાતી નથી એ પણ નોંધનીય છે.
Permalink
October 3, 2008 at 2:06 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
– ગની દહીંવાલા
ગનીચાચાની હૃદયને, લાગણીવશ હૃદયને ધ્યાનમાં રાખીને લખાયેલી આ ગઝલ છંદના હિંડોળા લેતા આવર્તનોના કારણે જેટલી ગેય બની છે એનાથી વધુ ગુણવત્તાસભર પણ બની છે. દરેક શેર દાદનો હકદાર બન્યો છે… ગનીભાઈ વિશે ટૂંકમાં જાણવું હોય તો અહીં ક્લિક્ કરશો.
Permalink
October 1, 2008 at 8:38 PM by ધવલ · Filed under ગઝલ, ગની દહીંવાળા
ચાહું છું કોઈમાં વિશ્વાસ મૂકી દઉં આજે,
જિંદગી કોઈનો એ રીતે સહારો લઈ લે;
જે રીતે આવીને ઠલવાય હજારો મોજાં,
જેમ સાગરનો બધો ભાર કિનારો લઈ લે !
– ગની દહીંવાલા
Permalink
September 29, 2008 at 11:57 PM by ધવલ · Filed under ગઝલ, ગની દહીંવાળા
તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.
શરમનો કરી ડોળ સઘળું જુએ છે
કળી પાંદડીઓના પડદે રહીને,
ખરું જો કહી દઉં તો વાતાવરણ પર
તમારાં નયનની અસર થૈ ગઈ છે.
બધી રાત લોહીનું પાણી કરીને
બિછાવી છે મોતીની સેજો ઉષાએ,
પધારો કે આજે ચમનની યુવાની
બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.
હરીફો ય મેદાન છોડી ગયા છે
નિહાળીને કીકી તમારાં નયનની,
મહેકંત કોમળ ગુલાબોની કાયા
ભ્રમર – ડંખથી બેફિકર થૈ ગઇ છે.
પરિમલની સાથે ગળે હાથ નાખી-
કરે છે અનિલ છેડતી કૂંપળોની,
ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,
પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.
ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન,
કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે,
તમે જો ન હો તો બધા કહી ઊઠે કે;
વિધાતાથી કોઇ કસર થૈ ગઇ છે.
‘ગની’, કલ્પનાનું જગત પણ છે કેવું,
કે આવી રહી છે મને મારી ઇર્ષ્યા !
ઘણી વાર આ જર્જરિત જગમાં રહીને,
ઘણી જન્નતોમાં સફર થૈ ગઇ છે.
– ગની દહીંવાલા
પ્રિયજનની હાજરીની કલ્પના માત્રથી ઉપવન કેવું જન્નત થઈ જાય છે – આટલા સાદા વિચાર તંતુથી લખાયેલી આ ગઝલ ગુજરાતી ગઝલનો એક યાદગાર મુકામ છે. ઉપવનમાં હાજર બધી જ ઉપમાઓ અને કલ્પનોને કવિએ અહીં આબાદ કામે લગાડ્યાં છે. આટલી બધી વાર વાંચ્યા-સાંભળ્યા પછી પણ આ ગઝલની તાજગી ઓછી થતી નથી એ કવિકર્મની સિદ્ધિ છે.
Permalink
September 28, 2008 at 7:17 PM by ધવલ · Filed under ગઝલ, ગની દહીંવાળા
વિપદના કંટકોને ધૈર્યથી પુષ્પો બનાવીને,
જીવનની ફૂલદાની એમ બેઠો છું સજાવીને.
તમારી આકૃતિ એને કહું કે પ્રકૃતિદર્શન ?
સકળ વાતાવરણ થંભી ગયું આંખોમાં આવીને.
તમે આવો જીવનમાં, કાં મને આદેશ આપી દો,
કે ચાલ્યો આવ અહીંયા, જિંદગીની હદ વટાવીને.
તમારી યાદમાં ફૂલોથી અદકું હાસ્ય વેર્યું છે,
નવી રીતે હસી લીધું અમે આંસુ વહાવીને.
સુખી કરવો હતો હૈયે વસેલા એક તિખારાને,
ભરી દીધી હ્રદયમાં આગ દુનિયાભરની લાવીને.
મહેકો એમના સાંનિધ્યમાં, હે શ્વાસ-ઉચ્છવાસો !
પવન ફોરમ બને છે પુષ્પની નજદીક આવીને.
બચાવી નાવ તોફાનો થકી, પણ એ નહીં જાણ્યું,
કે તોફાનો ઊગરવા ચ્હાય છે નૌકામાં આવીને.
ગ્રહી લીધાં ચરણ અહીંયાં ‘ગની’, વાસ્તવની ધરતીએ,
ઉષા-સંધ્યા કહે છે રોજ, બેસો આંહી આવીને.
-ગની દહીંવાલા
ગનીચાચાની આ ગઝલનો પહેલો શેર બહુ જાણીતો છે. આખી ગઝલ ગનીચાચાની આગવી શૈલીની ગવાહી પૂરે છે.
Permalink
September 18, 2008 at 3:12 AM by વિવેક · Filed under ઊર્મિ, ગઝલ
વ્હાલ અપાર ઉમટે સખા,
ટેરવા નિતરે સખા.
એમ યાદો ધસમસે,
જાહ્નવી ઉતરે સખા.
શ્વાસના ઉત્પાતમાં,
તું સતત મહેંકે સખા!
શબ્દ સૌ ઠાલા બની,
મૌન થઈ બહેકે સખા!
જિન્દગીનાં સારમાં,
તું જ તું વિચરે સખા!
ક્યાં લખું છું કાવ્ય કોઈ!
યાદ તવ નિતરે સખા…
-’ઊર્મિ’
ઊર્મિસાગર ડૉટ કોમથી ગુજરાતી વેબવિશ્વમાં પરિચિત અને લાડકી બનેલી ઊર્મિનો આજે જન્મદિવસ છે. એની જ એક ગઝલ આજે લયસ્તરો પર જન્મદિવસની એક નાનકડી ભેટ તરીકે. ગંગાનું અવતરણ થતું હોય એમ ધસમસતી યાદોના પ્રપાતમાં શબ્દોનું ખાલીખમ થઈ જવું સ્વાભાવિક છે અને જ્યારે શબ્દ સાવ ખાલી થઈ જાય છે ત્યારે વરસાદ વરસી ગયા પછીના આભ જેવું સ્વચ્છ મૌન બહેકી ઊઠે છે. આવી મદમસ્ત યાદો નિતરતી હોય ત્યારે કાગળ પર જે કંઈ શબ્દ-ચિત્ર દોરાતા હોય છે એ જ તો છે સાચી કવિતા…
વર્ષગાંઠ મુબારક હો, ઊર્મિ!
Permalink
September 15, 2008 at 11:41 PM by ધવલ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
સત છે અસત છે
સરતું જગત છે
કેવી લડત છે
હું છું જગત છે
દિલની લડત પર
સૌ એકમત છે
ગમ ને ખુશીનું
દિલ પાણીપત છે
તારાં નયનમાં
શી આવડત છે
શાયરનું સ્વપ્નું
શાયરની લત છે
દિલ પાળી શકશે
દિલની શરત છે
મંઝિલ બરાબર
રસ્તો ગલત છે
સર્જન વિસર્જન
જાણે રમત છે
– શેખાદમ આબુવાલા
ટૂંકી બહેરની ગઝલમાં શેખાદમ કેવી ખૂબીથી ઊંડી વાત કરે છે તે જુઓ. એક એક શેર મઝાના ચોટદાર થયા છે. અને લાઘવની એની પોતાની મઝા છે એ અલગ !
Permalink
September 13, 2008 at 12:30 AM by વિવેક · Filed under ઉષા ઉપાધ્યાય, ગઝલ
આકાશી આંબાને આવ્યો મૉર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તૉર અને છે જળબિલ્લોરી.
આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.
ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે-
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.
ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે !
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.
વરસાદે ભીંજાતાં – ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.
-ઉષા ઉપાધ્યાય
આ ગીતનુમા ગઝલનો લય એટલો પ્રબળ છે કે છત્રી વિના સાંબેલાધાર વરસાદમાં ભીંજાયાની અનુભૂતિ થયા વિના નહીં રહે. જળબિલ્લોરી જેવો નવો જ શબ્દ રદીફ તરીકે ‘કૉઈન’ કર્યા પછી કવયિત્રી એને પૂરી પ્રામાણિક્તાથી નિભાવી શક્યા છે અને એટલે જ આ ગઝલ આસ્વાદ્ય બની રહે છે. આકાશી આંબો, વાદળનાં પાનાં, ઠોઠ નિશાળિયા જેવા ફોરાં, આકાશના નટનું વીજળીની દોરી પર રમવું, નભની નાર અને ચોરપગલે ભીંજાવા આવતા તડકા જેવા કલ્પનો કવિએ એવા બખૂબી વણી લીધાં છે કે સહેજે થઈ આવે કે ચાલ, ન્હાવા જઈએ…
Permalink
September 12, 2008 at 12:51 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
આવ-જા અમથી બધાંની થાય છે,
શ્વાસ પણ એમ જ અહીં લેવાય છે.
વાત જુદી છે અધૂરા પાત્રની,
કોઈ દરિયો ક્યાં કદી છલકાય છે ?
જીવ પામર પામવા મથતો રહે,
એ પદારથ તો ય ક્યાં પકડાય છે ?
આંખમાંથી કેટલું ભૂંસવું પડે –
આંખ પંખીની પછી દેખાય છે.
સ્હેજ અજવાળું નથી થાતું અને,
કૈંક ડહાપણ દીવડા બુઝાય છે !
કોઈ પરપોટો નથી કાયમ અહીં,
આખરે એ સત્ય પણ સમજાય છે.
સાવ કોરા કાગળો વાંચ્યા પછી
અક્ષરોનો મર્મ કૈં પકડાય છે !
-નીતિન વડગામા
મહાભારતનો ગુરુ દ્રોણ દ્વારા કૌરવ-પાંડવોની કરાયેલી પંખીની આંખ વીંધવાની કસોટીનો સંદર્ભ લઈ નીતિન વડગામા કેવા મજાનાં અર્થવલયો સર્જે છે !
(આ મજાની ગઝલ મોકલવા બદલ રાહુલ શાહ, સુરતનો આભાર..!)
Permalink
September 11, 2008 at 1:27 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
એક મોજું એ રીતે અથડાય છે,
સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે.
આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી,
રાતનો ખાલી કલર બદલાય છે.
આમ કરતાં આમ કર્યું હોત તો ?
એ બધું વીત્યા પછી સમજાય છે.
તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ?
શ્વાસ જન્મે ને તરત બટકાય છે.
માત્ર હું દીવાસળી બોલું અને-
ચોતરફથી આગ લાગી જાય છે.
-અનિલ ચાવડા
જીવનમાં સોમાંથી નવ્વાણુંવાર આપણને વિચાર આવતો હોય છે કે અરેરેરે… આના બદલે આમ કર્યું હોત તો સારું થાત… આમ બોલાઈ ગયું એના બદલે કદાચ આમ બોલ્યો હોત તો સારું થાત… દોઢસો રૂપિયા નક્કામા કહી દીધા…સો કહ્યા હોત તો પણ એ આપી જ દેવાનો હતો…રાંડ્યા પછીનું ડહાપણ દરેકને સૂઝતું જ હોય છે. અનિલ કેવી સહજતાથી આટલી સર્વસામાન્ય વાતને અસામાન્ય કવિતાનું રૂપ આપી દે છે! વળી શ્વાસને પેન્સિલની બટકી જતી અણી સાથે સરખાવી કવિ બટકી ન શકે એવો ગંભીર વિચાર લઈને આવે છે. શ્વાસ તો જે ઘડીએ લઈએ એ જ ઘડીએ નાશ પામવા સર્જાયો છે. એ લેવાયો નથી કે પાછો મૂકવાનું કામ અનાયાસ થઈ જાય છે. આપણી જિંદગી પણ જે ક્ષણે શરૂ થાય છે એ જ ક્ષણે એનો અંત પણ નિશ્ચિત જ થઈ જાય છે. જીવનની આ ક્ષણભંગુરતાને શી રીતે શાશ્વત કરવી? કવિ કોઈ ઉકેલ લઈને નથી આવ્યા. કવિ માત્ર પ્રશ્ન લઈને આવ્યા છે અને એ પ્રસ્તુત પણ છે કેમકે આપણા વ્હાણો સ્વપ્નમાં જ ડૂબતા રહે છે. આપણી પાસે પ્રશ્ન પૂછવાનો અવકાશ પણ નથી. આપણા જીવનમાં ક્યારેય સવાર થતું જ નથી. માત્ર રાત્રિનો રંગ જ બદલાતો હોય છે જેને આપણે સવાર ગણીને જાતને છેતરતા રહીએ છીએ. પણ ખરું અજવાળું તો આપણે આપણા પેન્સિલપણાંને સમજીને અનહદ સાથે સૂર સાધીશું પછી જ થવાનું છે…
Permalink
September 10, 2008 at 10:47 PM by ધવલ · Filed under ગઝલ, સુરેશ દલાલ
પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી;
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી !
તેં જે નથી કહી એ બધી વાત યાદ છે;
તેં જે કહી એ વાતનું કોઈ સ્મરણ નથી !
પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર;
કહેતા હતા મને કે કોઈ આવરણ નથી !
હું છું તમારી પાસ : ઉપેક્ષાની રીત આ;
આંખો મીંચાઈ નહીં ને મીઠું જાગરણ નથી !
અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ;
દુનિયામાં માત્ર એકલાં રેતીનાં રણ નથી !
તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા;
શું કાળ પાસે એકે અખંડિત ક્ષણ નથી !
– સુરેશ દલાલ
આપણે કહેલી બધી વાતોને ભૂલીને ન કહેલી વાતોને પકડી રાખીએ છીએ.. એવુ કેમ ? કેમ મન જે અપ્રાપ્ય રહી ગયું એને જ પંપાળ્યા કરે છે ? કેમ દિલ બધા સહારાને ભૂલી જાય છે પણ દરેક ઘાવને ‘સમી સાંજ’ સુધી યાદ રાખે છે ?
Permalink
September 5, 2008 at 12:00 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ., હસ્તપ્રત

(મહેશ રાવલના હસ્તાક્ષરમાં એમની જ એક ગઝલ કેલિગ્રાફી સ્વરૂપે)
મજલ કાપીને બેઠો છું
મને માપીને બેઠો છું
ઉઘાડા દ્વાર જેવો થઈ
બધું આપીને બેઠો છું
હવે શું અર્થ દરિયાનો
તરસને પીને બેઠો છું
ન ફૂટી પાંખ એ સ્થાને
ગઝલ સ્થાપીને બેઠો છું
ઉલેચી શ્વાસનો દરિયો
ઉંમર સ્થાપીને બેઠો છું
પ્રતીક્ષા છે સમયની બસ
અહીં ટાંપીને બેઠો છું
-ડૉ. મહેશ રાવલ
ડૉ. મહેશ રાવલની ગઝલો અને એમના મદમત્ત કરી દે એવા અવાજ અને તરન્નુમના કામણથી મોટા ભાગના નેટીજન પરિચિત છે જ. એમની કેલિગ્રાફીનો એક મજાનો નમૂનો એમના વ્યક્તિત્વના વધુ એક આયામના પરિચય સ્વરૂપે આજે અહીં મૂકીએ છીએ. જોગાનુજોગ ગઈએકાલે જ એમની વર્ષગાંઠ પણ હતી એટલે લયસ્તરો તરફથી એમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…
પોતાની જાતને માપી લે એની જ સફર પૂરી થઈ ગણાય એવું અદભુત સત્ય ઉચ્ચારનાર આ કવિ પાસે કશું છાનું નથી. ઉઘાડા દ્વારથી વિશેષ ઉઘાડું શું હોઈ શકે? કવિ પાસે જે છે એ બધું જ આપી દઈને કવિ ઉઘાડા દ્વાર સમા બેઠા છે. અંદરના દ્વાર ઉઘડે ત્યારે જ બહારના અ-સીમ આકાશ સાથે તાદાત્મ્ય સધાય… ઉડવાનું કોને ન ગમે? પણ ઝંખનાને પાંખ જ ન ફૂટે તો? કવિને કોઈ અસુવિધા કે મુસીબતોનો કોઈ રંજ જ નથી. જ્યાં પાંખ ફૂટવી જોઈતી હતી ત્યાં એ ગઝલ સ્થાપીને બેઠા છે. હવે કહો, અમને ઉડતાં કોણ રોકશે?
Permalink
September 2, 2008 at 11:27 PM by ધવલ · Filed under ગઝલ, હરજીવન દાફડા
ઊભા હતા કોઈ અતલમાં હું અને મારી ગઝલ,
ઘૂંટાઈને આવ્યા ખરલમાં હું અને મારી ગઝલ.
ટૂંકાણમાં અંત:કરણની વાત કહેવાનું થયું,
બસ, ત્યારથી આવ્યા અમલમાં હું અને મારી ગઝલ.
પડતર પડેલા શબ્દોની ખેતી કરે કોઈ કલમ,
લહેરાઈએ ત્યારે ફસલમાં હું અને મારી ગઝલ.
શણગારવાની વિદ્વત્તા બાજુ ઉપર મૂકો જરા,
છીએ મનોહર દરઅસલમાં હું અને મારી ગઝલ.
કોઈ વિલક્ષણ પળ સમે પ્રગટી જવાની આશમાં,
શોધી રહ્યા વાહક સકલમાં હું અને મારી ગઝલ.
– હરજીવન દાફડા
અંત:કરણની વાત, અને એય ટૂંકાણમાં, કહેવાનું મન થયું ત્યારે રચાઈ તે ગઝલ .. કેવી સરસ વાત ! જ્યારે ગઝલ પ્રગટે છે ત્યારે જ કવિનો પણ જન્મ થાય છે – એ વિચારે ‘હું અને મારી ગઝલ’ વધુ અર્થસભર બને છે.
Permalink
August 30, 2008 at 2:10 AM by વિવેક · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના,
ઊંઘી શકાય ના અને જાગી શકાય ના.
એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને,
ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના.
આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું,
હું પાપ પણ કરું અને ભાગી શકાય ના.
એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે,
એને મળું અને ગળે લાગી શકાય ના.
-શેખાદમ આબુવાલા
ચાર શેરની આદમની આગવી શૈલીની મનહર ગઝલ… કવિ સ્વર્ગ માંગે છે પણ પાપ કરવાની છૂટ હોય એવું. અને પાપ કર્યા પછી ભાગી ન શકાય એ માંગવાની ફિતરત પણ એ ધરાવે છે. કરેલાનું ફળ વેઠવાની તૈયારી સાથે કરવા ન મળે તો જીવવું વ્યર્થ લાગે એવા કેટલાક ‘પાપ’ સ્વર્ગમાં પણ છોડવા તૈયાર ન હોય એવો કોઈ માણસ તમને રસ્તે મળે તો એના ઑટોગ્રાફ માંગી લેજો- એ શેખાદમ જ હોવાનો!
Permalink
August 29, 2008 at 1:41 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ

(… …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત… …)
હોવાનો બોજ આ રીતે ઊંચકી શકાય છે
સમજી શક્યા નથી અને સમજી શકાય છે
શમણાંઓ એનાં એ જ છે પાંપણની ધાર પર
ચાદર પથારી પરની તો બદલી શકાય છે
ચાદર બદલવા જાવ તો શમણાં ઉડી જશે
શમણાં વગર તો ક્યાં કદી ઊંઘી શકાય છે ?
આ એજ છે નદી કે જે વહેતી હતી કદી
આ ચિત્ર સાથે નોંધમાં વાંચી શકાય છે.
-નયન દેસાઈ
હોવાપણાંનો બોજ જીવનના આરંભથી મનુષ્યને સતાવતો આવ્યો છે. અસ્તિત્વને સમજી શકવાની મથામણ અને વ્યથા જીવનના દરેક સ્તરે નાનાવિધ આયામથી સતત પ્રકટ થતી રહી છે. આ પ્રશ્ન વિશે મહદ્ અંશે એટલું જ સમજી શકાય છે કે એ સમજી શકાતો નથી…
સમયની સાથે કેટલાક સંબંધો સૂકાઈ જાય છે અને રહી જાય છે જીવનના ચિત્ર પર ક્યારેક એના હોવાપણાં વિશેની નોંધ માત્ર…
Permalink
August 28, 2008 at 2:17 AM by વિવેક · Filed under ગઝલ, વિનોદ ગાંધી
આમ તો નાચીજ છે આખું જગત,
લોભવે એ ચીજ છે આખું જગત.
ચૌદ આની હોય છે ઢંકાયલું,
આભમાંની બીજ છે આખું જગત.
છોડવું ગમતું નથી હર કોઈને,
આ કયું તાવીજ છે આખું જગત ?
નામ લેતાં એક જણ ગિન્નાય છે,
એક જણની ખીજ છે આખું જગત.
ચોતરફ કાદવ રહે છે હરઘડી,
એટલે સરસિજ છે આખું જગત !
-વિનોદ ગાંધી
(સરસિજ=કમળ)
Permalink
August 26, 2008 at 11:24 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
જેવો તેવોય એક શાયર છું,
દોસ્ત, હું જ્યાં છું, ત્યાં બરાબર છું.
શબ્દ છું-ક્ષર નથી, હું અક્ષર છું,
યાને હું નિત્ય છું, નિરંતર છું.
હું સ્વયં ફૂલ છું, હું અત્તર છું,
જે કશું છું, હું દોસ્ત, અંદર છું.
સત્ય છું, શિવ છું, હું સુંદર છું,
પરથી પર યાને હું પરાત્પર છું.
હું હતો, છું, હજીય હોવાનો;
હું સનાતન છું, હું સદંતર છું.
બે ધડક પૂછ કોઈ પ્રશ્ન મને;
કોઈ પણ પ્રશ્નનો હું ઉત્તર છું.
હું છું સંદેશ ગેબનો સંદેશ;
પત્ર વાહક નથી, પયંબર છું.
ઉન્મત્ત આનંદનો છું હું સાગર;
દત્ત અવધૂત છું, દિગમ્બર છું.
ધૂર્જટીથી નથી કમ ‘ઘાયલ’,
રિન્દાના-સ્વાંગમાં હું શંકર છું.
– ‘ઘાયલ’
ખૂમારીનું બીજુ નામ એટલે ‘ઘાયલ’ … એ જ શાયર થી શંકર બધુ ય હોવાનો દાવો કરી શકે !
Permalink
August 23, 2008 at 12:30 AM by વિવેક · Filed under કરસનદાસ લુહાર, ગઝલ, વર્ષાકાવ્ય
એક ચોમાસું કે, તું તું-થી સભર;
એક ચોમાસું કે, હું મારા વગર.
એક ચોમાસું કે, ઉનાળાઉં હું;
એક ચોમાસું કે, તું છે તરબતર !
એક ચોમાસું કે, તું બસ પર્ણ-પર્ણ;
એક ચોમાસું કે, હું છું પાનખર.
એક ચોમાસું કે, તું અલકાપુરી,
એક ચોમાસે હું રામાદ્રિ ઉપર !
– કરસનદાસ લુહાર
કાલે એક ચોમાસું ગીત વાંચ્યું, આજે એક ચોમાસું ગઝલ… ટૂંકી બહરની અને ઓછા શેરની આ ગઝલમાં કવિ મનભરીને વરસ્યા છે. બે અંતિમ છેડાની સરખામણીઓમાં વિરહની વેદનાને ધાર મળે છે અને એ ધારને ઓર તીક્ષ્ણ બનાવે છે ચોમાસાંની મૂલભૂત મિલનની ઋતુમાં થતી વાત. અંતિમ શેરમાં અલકાપુરી અને રામાદ્રિની વાતમાં કવિ કાલિદાસના મેઘદૂતને પણ અછડતું સ્પર્શી લે છે…
Permalink
August 20, 2008 at 8:42 PM by ધવલ · Filed under ગઝલ, દિલીપ મોદી
મોરને છોડીને ટહુકા ક્યાં જશે ?
આ ધરાથી દૂર દરિયા ક્યાં જશે ?
શ્વાસના સામીપ્યમાં તો કૈંક છે.
શબ્દથી અકબંધ રેખા ક્યાં જશે ?
ક્ષુબ્ધ ઘટના ચોતરફથી ઘૂઘવે,
હાથમાં મેંદીની છાયા ક્યાં જશે ?
હું પરિચિત ભીંતમાં ડૂબી શકું,
ભાગ્યના ખંડેર પડઘા ક્યાં જશે ?
લ્યો, હકીકત ધૂળમાં છુપાઈ ગઈ,
પારદર્શક શ્વેત પગલાં ક્યાં જશે ?
– દિલીપ મોદી
અભાવની અભિવ્યક્તિ…. ત્રીજો અને ચોથો શેર વધુ સરસ થયા છે.
Permalink
August 19, 2008 at 5:33 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
મને હૃદય ન ચલાવે, ન મન ચલાવે છે
તમારી આંખનું નમણું ઇજન ચલાવે છે.
સ્વથી અલિપ્ત, ચરણહીન થઇને બેસું તો
ઉઠાવી પાંપણે મુજને સ્વજન ચલાવે છે.
સફળતા અંત છે, રસ્તાની વચ્ચે ક્યાંથી મળે
લગન જ્યાં મંદ પડે, ત્યાં શુકન ચલાવે છે.
દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.
એ બાહુઓના ભરોસે જગતનું ભાવિ છે
જે ગેમ બોય ઉપર ટોયગન ચલાવે છે.
ગતિ બધાંએ વખાણી, દિશા ન ખુદને ખબર
ખરેલા પર્ણને જાણે પવન ચલાવે છે.
ભવન આ મનનું , હજારો અસભ્ય લાલસાઓ
સભાપતિ કઇ રીતે સદન ચલાવે છે!
છું ધન્ય ધન્ય જ્વલનશીલ જાત પામીને,
કૃપા છે એની યુગોથી હવન ચલાવે છે.
જગત ચલાવવાની વાત પડતી મૂક તું મન!
મળ્યા છે શ્વાસ ગણેલા, જે તન ચલાવે છે.
રદીફ સ્થાને હું બેસું, તો કાફિયા ખેંચે
અરુઝ મારે છે ધક્કો, કવન ચલાવે છે.
‘રઇશ’ એ તને ક્યાંથી ઠરીને બેસવા દે?
ગ્રહો જે ઘૂમતા રાખી ગગન ચલાવે છે.
-રઈશ મનીઆર
આજે ઓગણીસમી ઓગસ્ટે કવિમિત્ર રઈશ મનીઆરને ‘લયસ્તરો’ તરફથી વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ અને એમની એક દીર્ઘ ગઝલ વાચકમિત્રો માટે….
Permalink
August 16, 2008 at 12:35 AM by વિવેક · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ., હસ્તપ્રત

(ખાસ લયસ્તરો માટે ડૉ. મહેશ રાવલના હસ્તાક્ષરમાં એક ગઝલ)
વખત જેમ ખુદને વિતાવી રહ્યો છું,
મને હું જ જાણે નિભાવી રહ્યો છું !
બદલતી રહે છે દશા હર તબક્કે
અને હું તબક્કા વટાવી રહ્યો છું !
ખબર છે નથી કંઈ ઉપજવાનું, તો પણ
ઉલટભેર સપનાંય વાવી રહ્યો છું.
કદી સાવ સીધા, કદી આડકતરા
કદી ભાર અંગત ઉઠાવી રહ્યો છું !
જતી હોય કે આવતી હર ક્ષણોને
સહજભાવે મસ્તક નમાવી રહ્યો છું.
નથી જે મળ્યું તે અને જે મળ્યું તે
મુકદ્દર ગણીને વધાવી રહ્યો છું !
પછી એ બધા ડાઘુઓ થઈ જવાનાં
સ્વજન જેને હું ઓળખાવી રહ્યો છું !
-ડૉ. મહેશ રાવલ
વખત જેમ ખુદને વિતાવવાની વાત કરતા ડૉ. મહેશ રાવલની આ ગઝલ એમના ખુદ્દારીસભર મિજાજની મુખર તસ્વીર છે. મનુષ્યની દશા સતત બદલાતી રહે છે અને આપણે ખાસ એ વિશે કરી પણ શક્તા નથી. બસ એક પછી એક તબક્કા પસાર કરીને જે મળે કે જે ન મળે એ બધાને મુકદ્દર ગણીને વધાવતા રહેવું પડે છે. ક્યારેક વાત સીધી હોય, ક્યારેક આડકતરી. ક્યારેક બોજ પોતાનો હોય ક્યારેક અવરનો- ઉઠાવતા રહેવું પડે છે, બસ…
Permalink
August 14, 2008 at 1:07 AM by વિવેક · Filed under ગઝલ, બી. કે. રાઠોડ 'બાબુ'
ખુશી કેટલી દુશ્મનોને મળે છે?
તમારી કથામાં મને સાંકળે છે.
કરું તો કરું વાત કેમે તમારી ?
હવા કાન દઈને બધું સાંભળે છે.
નથી સ્વપ્ન મારા થયા કે થવાના,
બધા જેમ એ પણ મજેથી છળે છે.
મને જોઈ વળતો તમારી ગલીમાં,
તમારા તરફ કાં નજર સૌ વળે છે?
બચાવી રહ્યો છે મને માત્ર ઈશ્વર,
નહીં તો સતત શીશ ખંજર તળે છે.
મને સાંત્વના દઈ હવે ના સતાવો,
વળે સ્હેજ ટાઢક તો જખ્મો કળે છે.
નથી ‘બાબુ’ અમથી જ રાતી-ગુલાબી,
હૃદયની ગલીથી ગઝલ નીકળે છે…
– બી.કે.રાઠોડ ‘બાબુ’
સુરેન્દ્રનગરના ઓછાબોલા પણ જબરા પ્રેમાળ કવિ બી. કે. રાઠોડ ઓરિએંટલ ઇન્સ્યોરન્સ કંપની હસ્તક ગામ આખાના વીમાના પ્રીમિયમ જમા કરતા રહે છે પણ પોતે ગઝલની કંપનીનું પ્રીમિયમ નિયમિત અને દિલથી ભરે છે. સરળ બાનીની એમની ગઝલો વાંચીએ ત્યારે સહજ એમ થાય કે અરે, આતો મારી જ વાત ! આ પોતીકાપણાનો કાકુ પ્રગટાવવામાં એ ખાસ્સા સફળ થયા છે એની ખાતરી આ ગઝલ વાંચતાવેંત થાય એમ છે. પ્રણયની પીડાની વાત આ કવિ કેવી મધુરતાથી કહી શકે છે! – મને સાંત્વના દઈ હવે ના સતાવો… આ જખમ તો આમેય રહી રહીને કળતા જ રહે છે… એમની ગઝલ એમના હૃદયની ગલીઓમાંથી નીકળી છે અને એટલે જ લોહીભીની લાલ-ગુલાબી છે…
(જન્મ: ૦૬-૦૪-૧૯૬૫, ગઝલ સંગ્રહ: ‘અહીંથી ત્યાં સુધી…’)
Permalink
August 13, 2008 at 12:28 PM by ધવલ · Filed under ગઝલ, હરેશ 'તથાગત'
ખાલી કરી, પાછો ભરી, ખાલી કરું છું હું મને
બસ, સાવ અમથો કોઈ વેળા સાંભરું છું હું મને.
પાટો સખત બાંધી લઉં છું બેય આંખો પર પછી,
એવું બધું ભૂલી જઈ દર્પણ ધરું છું હું મને. !
ધમકી મને મોકલું છું હર પળે એકાદ-બે
ને હર પળે પગમાં પડીને કરગરું છું હું મને !
છૂટી જવાના યત્નમાંયે હું જ હોઉં છું સદા,
ને એય સાચું કે હંમેશા આંતરું છું હું મને !
ચ્હેરો તમસનો ઉપસે છે કોણ જાણે કેમ ત્યાં ?
પ્રત્યેક વેળા આમ જોકે ચીતરું છું હું મને !
– હરેશ ‘તથાગત’
જાતને વલોવવાની મથામણ ચિતરતી અંતર્મુખ ગઝલ.
(તમસ=અધંકાર)
Permalink
August 5, 2008 at 8:06 PM by ધવલ · Filed under ગઝલ, જવાહર બક્ષી
પ્રસંગો થાક ઊતારી જશે અવસ્થાનો
સંબંધ ફીણના ગોટા થઈને ઊડવાનો
લખાતું રહેશે વિરહની હવામાં તારું નામ
અને હું અક્ષરોમાં ગૂંચવાતો રહેવાનો
પવન ઉઠાવી જશે લાગણીના પડછાયા
ફરીથી આંખમાં તડકો ભરાઈ રહેવાનો
અરીસો ફોડશે તારા અભાવનો સૂરજ
હું કાચ કાચમાં કિરણ બનીને ઊગવાનો
સમયના ઠંડા ઝરણમાં વહીશ તું જ્યારે
તને હું સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો
– જવાહર બક્ષી
કવિની વાચાળ ઉદાસી આપણા માટે ગઝલ તરીકે ફળે છે. વિરહના ચિત્રો તો કવિતાઓમાં ભારોભાર જોવા મળે છે પણ એમ છતાં, આ ગઝલ નવા કલ્પનો અને સ્પંદનો જન્માવવામાં સફળ રહે છે. છેલ્લા શેરમાં ‘સ્થિર પ્રતિબિંબ થઈ વળગવાનો’ પ્રયોગ બહુ અસરકારક થયો છે.
Permalink
August 2, 2008 at 5:01 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર, હસ્તપ્રત

(ફરી એકવાર ખાસ ‘લયસ્તરો’ માટે ગૌરાંગ ઠાકરે પોતાના અક્ષરોમાં લખી આપેલ એક ગઝલ)
ચાલને માણસમાં થોડું વ્હાલ વાવી જોઈએ,
ને પછીથી વાડ થઈ વેલા ટકાવી જોઈએ.
બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.
કેવી રીતે જળ અહીં આંસુ બને તે જાણવા,
વ્હાલસોયી દીકરીને ઘરથી વળાવી જોઈએ.
કાખઘોડી લઈ અહીં ચાલે નહીં સંબંધ દોસ્ત,
એકબીજાનાં ખભે એને ચલાવી જોઈએ.
બહુ સરળતાથી જગત જીતી જવાતું હોય છે,
આપણી આ જાતને પહેલાં હરાવી જોઈએ.
-ગૌરાંગ ઠાકર
ઘરડાઘરો ખાલી કરાવવાનો અક્સીર કિમીયો શીખવાડતા ગૌરાંગ ઠાકરના આ શે’રને મુશાયરાના મુશાયરાઓ લૂંટી લેતો જોવાની પણ એક અલગ મજા છે પરંતુ મુશાયરા પૂરા થયા પછી રાતના એકાંતમાં આ શેરની ખરી ગહેરાઈ સમજાય ત્યારે ખબર પડે કે મૂળે તો આપણે આપણામાં કોઈને વ્હાલ જ ક્યાં વાવવા દીધું છે કદી ? વાડ વગરના વેલા જેવું જીવતા આપણને ઘરડા મા-બાપની એકલતાની વ્યથા સમજાઈ શકે એવું ક્યાં રહ્યું જ છે ? આપણે તો આખી જિંદગી સંબંધોને કાખઘોડી આપીને જ ચલાવ્યા છે. પોતાની જાતને હરાવીને એક-મેકમાં વિશ્વાસ મૂકી બે ડગલાં પણ સાથે ચાલ્યાં હોત તો આખું વિશ્વ ય જીતવું ક્યાં દોહ્યલું જ હતું ?!
Permalink
August 1, 2008 at 1:19 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
સામે જ હો છતાં યે જોઈ નથી શકાતું,
તૈયાર આંસુઓથી રોઈ નથી શકાતું.
ગંગા જ ખુદ શાપિત થઈને વહે છે આજે,
એક પાપ પણ કરેલું ધોઈ નથી શકાતું.
લોકો સદાય અવળું સમજ્યા કરે છે અહીંયાં,
કે હોઈએ ને એવું હોઈ નથી શકાતું.
મારાં જ આંસુઓમાં હું તરબતર છું એવો,
બીજાનું એક આંસુ લોઈ નથી શકાતું.
‘નિનાદ’ સાચવેલું સચવાઈને ક્યાં રહેતું ?
ફેંકી દીધેલ કૈં પણ ખોઈ નથી શકાતું.
-નિનાદ અધ્યારુ
ગઝલનો હાંસિલ-એ-ગઝલ શેર એના મક્તાનો શેર છે. કોઈ વસ્તુ કહો કે કે કોઈ સંબંધ- આપણે ભલેને સાચવી સાચવીને રાખવાની કોશિશ કેમ ન કરીએ, એ યથાવત્ સચવાઈ રહેવાની શક્યતા શૂન્યવત્ જ છે અને એ રીતે દરેક ફેંકી દીધેલી-ઉતરડી દીધેલી વસ્તુઓ પણ પૂરેપૂરી ક્યાં ફેંકી જ દેવાય છે? ચોકલેટની જેમ જેટલું વધારે ચગદોળો એટલો વધુ રસ ઝરે એવો મીઠો આ શેર છે…
Permalink
July 29, 2008 at 11:14 PM by ધવલ · Filed under ગઝલ, મનહર મોદી
આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું.
મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું.
બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું
દીવાનગીને આજ હવે શાણપણ થયું.
ઠોકર મળી ને કોઈ જ્યાં રસ્તે ઢળી પડ્યું,
મુજને ન જાણે તે ઘડી મારું સ્મરણ થયું.
પાંપણ બીડોને સોણલું આવે તો જાણજો,
છાયાની સાથ તેજનું એકીકરણ થયું.
ઊર્મિઓ એમાં પાય પખાડી રમી શકી,
અશ્રુનું એમ મારાં નયનમાં ઝરણ થયું.
– મનહર મોદી
મનહર મોદીની આ પ્રખ્યાત ગઝલ લાંબા વખતથી મનમાં હતી પણ આજે અચાનક હાથમાં આવી. ગયા વર્ષે ઊર્મિએ મનહર મોદીની એક ગઝલ મૂકેલી ત્યારે પ્રજ્ઞાબેને આ ગઝલ યાદ કરાવેલી તે આજે યાદ આવી ! ગઝલનો એક પછી એક શેર ચેતનાની ટશરની જેમ ખૂલે છે. એક રીતે જુઓ તો આ ગઝલમાં સ્થૂળથી સુક્ષ્મ ભાવના તરફની ગતિ જોઈ શકાય છે.
Permalink
July 27, 2008 at 10:38 PM by ધવલ · Filed under ગઝલ, મરીઝ
એક તારી કલ્પના જે જિગર બાળતી રહી,
એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.
એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તું કે સૌ કલા તને શણગારતી રહી.
એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે,
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી.
એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી.
એક તુ કે તારી આંખને જોતું રહ્યું જગત,
એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.
એક તું કે તારા હાથમાં દુનિયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.
એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.
– મરીઝ
એક મરીઝ જ પોતાની જાત પર વ્યંગ કરી શકે કે ‘એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું’ !
Permalink
Page 41 of 50« First«...404142...»Last »