સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
જલન માતરી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
February 12, 2010 at 1:41 AM by વિવેક · Filed under ગઝલ, વજેસિંહ પારગી
સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે,
છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે.
છૂટી ગયાં સગપણ પછી ઘરનો લગાવ શું ?
વણજાર છૂટી ને રહ્યો સૂનો પડાવ રે.
ના હાથ મારે બાગ, ના હૈયે વસંત છે,
તું ના હવે મારી કને ગજરો મગાવ રે.
હસવું પડે તો હસ અને રડવું પડે તો રડ,
કરવું પડે તે કર, નથી બીજો બચાવ રે.
મરજી જણાવી કોઈને હું શું કરું ભલા ?
મરજી મુજબ બનતો નથી એકે બનાવ રે.
– વજેસિંહ પારગી
વિષાદના કાળા રંગે રંગાયેલી ગઝલ… જીવનની વાસ્તવિક્તાને શબ્દો વડે કવિ જાણે વધુ નજીકથી અડે છે.
Permalink
February 11, 2010 at 11:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, રતિલાલ બી. સોલંકી
કાયમ હો કે વચગાળાનું,
વળગણ સૌને અજવાળાનું.
સંબંધોને અંકગણિત બસ,
માફક આવે સરવાળાનું.
લગભગ ચોરી એ જ કરે છે,
કામ કરે જે રખવાળાનું.
શત્રુની તાકાત નથી આ,
કાવતરું છે ઘરવાળાનું.
સોળ અહીં ને આંસુ ત્યાં છે,
કેવું બંધન વરમાળાનું !
ભર બપોરે ટાઢક-ટાઢક,
શમણું આવ્યું ગરમાળાનું.
– રતિલાલ બી. સોલંકી
કયા શે’ર વિશે લખવું એની મૂંઝવણ થઈ આવે એવા બળુકા એકેક શે’ર… સૌને અજવાળાનું જ વળગણ હોવાની કેવી સાચુકલી વાત !
Permalink
February 10, 2010 at 4:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, સુરેશ વિરાણી
ખુદની કિંમત જો તમે આંકી શકો,
શક્ય છે બ્રહ્માંડને માપી શકો.
કાળમીંઢા કાળજા કૂણા પડે !
સાવ સાચું સ્મિત જો આપી શકો.
આવનારી પેઢીઓ લણતી રહે,
સદવિચારો જો તમે વાવી શકો.
માછલીએ પૂછ્યું માછીમારને :
આખ્ખો દરિયો બાનમાં રાખી શકો ?
આ પવનની પાલખી તૈયાર છે,
પુષ્પતાને જો તમે પામી શકો.
– સુરેશ વિરાણી
પોતાની જાતની ‘સાચી કિંમત’ આપણે આંકી જ ક્યાં શકીએ છીએ? કાળમીંઢા કાળજાને કૂણા પાડી શકતા સાચા સ્મિતવાળી વાત પણ ખૂબ જ સ્પર્શી જાય છે…
Permalink
February 9, 2010 at 9:48 PM by ધવલ · Filed under ગઝલ, રઈશ મનીયાર
જો અડે જળ માટીને, નીપજે છે અડવાનો અવાજ,
તૃણ પણ ચક્ચૂર છે, સાંભળ ! લથડવાનો અવાજ.
પાંદડાં વર્ષાભીનાં, પાણી દદડવાનો અવાજ…
શાન્ત થઈ વર્ષા સુણે વરસાદ પડવાનો અવાજ.
વાદળોનું મૌન પાણીદાર છે, સાબિત થયું,
મૌનનો પણ હોય છે સાચા નીવડવાનો અવાજ.
આટલાં આંસુ અહીં આકાશનાં ઊમટી પડ્યાં,
કોણ જાણે તોય ના સંભળાયો રડવાનો અવાજ.
મેં ગણ્યો જેને વરસવાનો અવાજ, એ તો હતો-
જળશીકરનો જળશીકર સાથે ઝઘડવાનો અવાજ.
એ નથી વંટોળ, એ ઘરની દશાનો શોર છે,
બારીઓનો, બારણાંઓનો ખખડવાનો અવાજ.
એક સન્નાટો વસે મ્હારી ભીતર કોરોકટાક,
સાંભળે મોડે સુધી વરસાદ પડવાનો અવાજ.
– રઈશ મનીઆર
વરસાદમાં મન, અંતર અને આત્મા બધુ પલળે – અને પીગળે છે. અને એ ઓગળવાની ક્ષણની સાહેદીએ જ આવી ગઝલ રચાવી શક્ય છે. કલ્પનોની રેલમછેલથી શોભતી આ ગઝલ વરસાદના અવાજની સાથે કવિના romantic affair જેવી છે. હવે પછી જ્યારે જ્યારે વરસાદ પડવાનો અવાજ સાંભળો ત્યારે આ ગઝલ ન યાદ આવે તો પૈસા પાછા 🙂
Permalink
February 8, 2010 at 8:37 PM by ધવલ · Filed under કાયમ હજારી, ગઝલ
પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !
ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી
જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે ?
જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !
લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?
હોય આનાથી વધુ સંતાનનું બીજું પતન ?
ભરબજારે માતનાં વસ્ત્રો હરી ગૌરવ કરે !
માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને
મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે !
ના ખપે, એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે
નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે !
– ‘કાયમ’ હજારી
આકરા આક્રોશથી અવતરેલી આ ગઝલના સંદેશને મારે કેવી રીતે સમજાવવો ? જે સમય નથી સમજાવી શક્યો, એ સમજાવવાનું મારું શું ગજુ ?
Permalink
February 7, 2010 at 5:47 PM by તીર્થેશ · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
અમે માણસ વગરના ગામમાં બનશું મુખી પાછા
અમે માની લઈશું જાતને થોડા સુખી પાછા.
ફરી ગુલમહોર પીગળશે ને લાવારસ બની જાશે,
ભભૂકી ઉઠશે ઋતુઓના સૌ જવાળામુખી પાછા.
હલેસાંઓના આંસુથી નદીમાં પૂર નહિ આવે,
એ જાણી હોડીમાં બેઠેલા થઈ ચાલ્યા સુખી પાછા.
તમે આગળ વધી જઈને, અમે પાછા વળી જઈને,
બની શકીએ ના બંને પોતીકી રીતે સુખી પાછા ?
– મુકુલ ચોકસી.
માણસ સુખની શોધમાં ભટકે છે,છલનાઓને સત્ય સમજી વળગે છે. પણ તે માટે માણસને દોષ કેમ કરી દેવો ? સીમિત ઇન્દ્રિયો દ્વારા નિ:સીમ જ્ઞાનનો તાગ મેળવવો શક્ય છે શું ? સમાધાન કરીને જીવે તે વ્યવહારડાહ્યો અને જે સમાધાન ન કરી શકે અથવા તો જેનો માંહ્યલો સમાધાન કરતા ચિત્કારી ઉઠે તે સર્જક…..
Permalink
February 5, 2010 at 12:55 AM by વિવેક · Filed under ગઝલ, શબ્દપ્રીત
નામ તારું ટેરવે સંભળાય છે
ને હથેળી સ્પર્શથી છલકાય છે
ઝાડ, માળો, ડાળને છોડ્યા પછી
એ જ પંખી આભનું થઈ જાય છે
લાગણીની લોકશાહી જોઈ લે
પાનખરમાં પર્ણ સૌ મલકાય છે
જે નથી વાંચી શકાતું શબ્દમાં
એ જ તારી આંખમાં વંચાય છે
જે મને ઉદગાર થઈ ભેટયા હતા
એ હવે પ્રશ્નાર્થ થઈ પરખાય છે
– શબ્દપ્રીત
ટેરવાં સાંભળે અને હથેળી અમૂર્તને અનુભવે એ વાત કેવી મજાની છે અને કવિએ કેવી સરસ રીતે કરી છે ! સંબંધોના અલગ-અલગ સમીકરણોને તાગવા મથતી ખૂબસુરત ગઝલ…
Permalink
February 4, 2010 at 9:46 PM by ધવલ · Filed under ગઝલ, મૂકેશ જોષી
પ્રેમમાં કયાં જાણકારી જોઈએ,
બસ હૃદય વરચે કટારી જોઈએ.
શ્રીહરિ ને છોકરીમાં સામ્યતા,
બેઉ પણ માટે પૂજારી જોઈએ.
આપણા ઘરમાં જ હો ચાલે નહીં,
એમના ઘરમાંય બારી જોઈએ.
નાગ ને નાગણ હવે ઘરડાં થયાં,
દીકરા જેવો મદારી જોઈએ.
એ અગાસીમાં સૂતેલાં હોય તો
ચાંદ પર મારે પથારી જોઈએ.
– મૂકેશ જોશી
આજે મૂકેશ જોશીની એક રમતિયાળ ગઝલ માણો. પહેલો શેર તો આપણા બધાયનો માનીતો શેર છે. એ સિવાય આપણા ઘરમાં… શેર પણ મારો ગમતો શેર છે.
Permalink
February 3, 2010 at 1:15 AM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !
આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું…
આંખોં જરા પહોળી કરી – પાછા જુવે સામું –
વણઝારને હોતું હશે ક્યારેય ઠેકાણું ? !…
જીવન ગતિ છે – ચાલ તેની માપતા લોકો..
જાણે કરે ધંધો, હિસાબો ને લખે નામુ…
મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..
અટકળ અને પ્રશ્નાર્થ ને આશ્ચર્યની વચ્ચે –
વ્યાખ્યા કરી – “મારાપણું” હું કેમ સમજાવું ? ! ? !
– કવિ રાવલ
જીવન પરત્વે પારદર્શક કાચ જેવો સ્પષ્ટ અને સાફ અભિગમ ધરાવતા સીધી લીટી જેવા લોકો ક્યારેક સમાજ માટે એક કોયડો બની રહે છે. કવિની એક જ હથેળીની પાંચ આંગળી સમા આ ગઝલના પાંચેય શેરમાંથી આ જ વાત ટપકી રહી છે…
Permalink
February 1, 2010 at 9:35 PM by ધવલ · Filed under ગઝલ, નિરંજન યાજ્ઞિક
ક્યાંક હળવું ક્યાંક મળવું ક્યાંક ઝળહળવું હવે
ક્યાંક ભીની રેતીમાં પગલાંનું ટળવળવું હવે
ક્યારનાં ટાંપી રહ્યાં શબ્દોને માટે ટેરવાં
ક્યાંક લીલા તૃણનું પથ્થર જેમ પાંગરવું હવે…
દૂર ટીંબે સૂર્યના કિરણોનું ડોકાવું જરા
પ્હાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે…
એક બાજુ હાથની નિસ્તેજ આંખો તગતગે
એક બાજુ શબ્દનું બેફામ વિસ્તરવું હવે…
રોજ ઘરની ચાર ભીંતોને ઉદાસી ઘેરતી
રોજ અવસાદી સ્વરોનું ઉંબરે ઢળવું હવે…
– નિરંજન યાજ્ઞિક
અભાવના અનુભવની, ઘેરા રંગને ઘુંટતી ગઝલ.
Permalink
January 28, 2010 at 2:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
ખૂબ મથતો પણ ‘તને’ હું ઓળખું અડધું-અધૂરું
એ જ કારણથી રહ્યું છે આયખું અડધું-અધૂરું
શબ્દ અઢળક, શાહી પુષ્કળ ને સતત ચિંતન હૃદયમાં
‘તું’ વિશે જાણું ઘણુંયે પણ લખું અડધું-અધૂરું
આમ તારી હસ્ત-રેખા, પણ સદા ‘તારી’ તરફદાર
એથી મારા ભાગ્યને હું પારખું અડધું-અધૂરું
હું કદી ‘તારા’ સુધી પહોંચ્યો નથી, સાચું ! પરંતુ
છે સબબમાં કેડીઓનું માળખું અડધું-અધૂરું
‘તું’ વગરનું ગામ અડધું, સીમ અડધી, ઘર અધૂરું
રણ અધૂરું, ઝાંઝવાનું ઝૂમખું અડધું-અધૂરું
– હર્ષદ ચંદારાણા
કવિએ ખૂબ જ વેધક વાત કરી છે- આપણે આ ‘તું’ને અડધું-અધૂરું જ જાણીએ છીએ… કદી પૂરેપુરા જાણી શકતા જ નથી. પછી ભલેને એ ‘તું’ એટલે કે ઈશ્વર હોય, પ્રેમી હોય, પ્રેમ હોય કે પછી ખુદનો માંહ્યલો. ‘તું’ની છે…ક ભીતર લગી કદી પહોંચી શકતા જ નથી, અને એટલે બધુ તો અડધું-અધૂરું લાગે જ છે પણ જાત પણ અડધી-અધૂરી લાગે છે !
Permalink
January 27, 2010 at 8:23 PM by ઊર્મિ · Filed under ગઝલ, સુરેશ ઝવેરી 'બેફીકર'
ઈશ્વરના મેં વાઘા જોયા,
ત્યાં પણ દોરાધાગા જોયા.
પાર વગરનાં છટકાં જોયાં,
જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં.
દેખાવે તો એક જ લાગે,
એમાં દસદસ માથાં જોયાં!
સગપણને શું રોવું મારે,
વળગણમાં પણ વાંધા જોયા.
ભીનું જેવું સંકેલાયું,
ગંગાજળના ડાઘા જોયા!
વિધવા સામે કંકુ કાઢે,
અવતારી સૌ બાબા જોયા.
– સુરેશ ઝવેરી
દોરાધાગા ને ટીલાંટપકાંવાળા ઠેર ઠેર ફૂટી નીકળતા અને લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવનારા કહેવાતા ચમત્કારીક ‘અવતારી’ બાબાઓ ખરેખર તો પેલી દસ માથાળી રાવણવૃત્તિથી વિશેષ હોતા જ નથી… કાશ, આટલી વાત ‘શ્રદ્ધાળુ’ ભક્તો સમજી શકે ! ગંગાજળવાળો શે’ર તો ખૂબ જ સ્પર્શી ગયો…
Permalink
January 26, 2010 at 9:58 PM by ધવલ · Filed under ગઝલ, મનહર મોદી
ધારો કે હું ધારું છું
હું લીલું લલકારું છું
મારો સૂરજ સાદો છે
એને હું શણગારું છું
હોડીમાં હું બેઠો છું
દરિયાને હંકારું છું
ફાગણમાં ફૂટ્યું ફૂલડું
ચૈતરમાં વિસ્તારું છું
ભડકાજી, આવો ઘરમાં
હું સૌને સત્કારું છું
– મનહર મોદી
Happiness is not getting what you want, it is wanting what you get. આ ગઝલમાં એ ભાવને મઝાનો વણી લીધો છે. મન ચંગા તો… એવી સ્થિતિએ પહોંચીને કવિએ જીંદગીને સરળ કરી નાખી છે. અને એ મોટી વાતની જાહેરાત એ આ નાની બહેરની ગઝલથી કરે છે. સદા ‘લીલું’ લલકારવામાં, સાદાને શણગારવામાં, ‘હોડી’ને બદલે ‘દરિયા’ને હંકારવા (એટલે કે મનોસ્થિતિને પરિસ્થિતિ મુજબ બદલી નાખવામાં), આજના (ફાગણના) આનંદને કાલ (ચૈત્ર) સુધી વિસ્તારવામાં અને દરેક માણસને (ભડકા જેવા ને પણ) સત્કારવામાં – આ દરેકમાં એક નાનું સુખ છે. નાના નાના સુખને જોડવાથી જ એક સુંવાળી-હુંફાળી જીંદગી બને છે.
Permalink
January 24, 2010 at 2:22 PM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
સાદ સામે પારથી સંભળાય છે એનો મને,
કાચો ઘટ લઈને ઝુકાવું છું નદીના પૂરમાં.
વેદનાનો આમ સણકો ઊપડે ના અંગમાં,
કંઈ કમી લાગે મિલનમાં મારા,મારા ઝૂરમાં.
આંખ દરવાજે જ મંડાઈ રહી એ કારણે,
મેં હૃદય પ્રોયું હતું એના હૃદયના નૂરમાં.
એક તારા કેફને સમ પર નથી રાખી શક્યો,
જિંદગીના તાર નહિતર મેળવ્યા’તા સૂરમાં.
જાણે જોયો હોય નહિ તે રીતે તું ચાલી ગઈ,
હું ઉઘાડું હોઠ: ના,એ તો નથી દસ્તૂરમાં.
આ નફાની ક્યાં કસોટી છે કે હું ચિંતા કરું,
નામ દફતરમાં લખાયું મારું નામંજૂરમાં.
મેં ન બોલીને સ્વીકારી લીધી છે શૂળી હવે,
ફર્ક ક્યાં બોલીને ફાંસી પર ચડ્યા મન્સૂરમાં.
– હરીન્દ્ર દવે
બધા જ શેર એકમેકથી ચડે તેવા છે. મન્સૂર-અલ-હિલ્લાજ સૂફી મસ્તરામ હતો જેણે મશહૂર એલાન કરેલું – ‘અનલહક’ – અર્થાત ‘હું જ સત્ય છું‘. ઇસ્લામમાં તે વાક્ય –‘હું જ ઈશ્વર છું’– ને સમાનાર્થી ગણાય. આ ગુસ્તાખી બદલ તેને ક્રુરતાપૂર્વક ત્રાસ અપાયો છતાં તેણે પોતાનું વિધાન પાછું ન ખેંચ્યું. અંતે તેનો વધ કરાયો. આ અનુસંધાનમાં છેલ્લો શેર છે.
Permalink
January 21, 2010 at 3:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, રતિલાલ બી. સોલંકી
લાશ ખુદની ઉંચકીને ચાલનારા આપણે,
તે છતાં ખોટા ભરમમાં રાચનારા આપણે.
કોણ કોનું સુખ દેખી થાય છે રાજી અહીં,
રામને વનવાસ આપી કાઢનારા આપણે.
જો કલા-કારીગરીની થાય છે કેવી કદર !
જીવતે જીવ એક કડિયો ગાડનારા આપણે.
સંત જેવો એ હતો, શયતાન ક્યાંથી થઈ ગયો ?
હાથમાં ચાકુ-છરી પકડાવનારા આપણે.
ને પટાવી-ફોસલાવી ટોચ પર મૂકી દીધો,
સ્થિર થાશે એટલામાં પાડનારા આપણે.
પીઠબળ એનું હતું તો થઈ શક્યા પગભર તમે,
પીઠ પાછળ કારમો ઘા મારનારા આપણે.
– રતિલાલ બી. સોલંકી
‘આપણા’પણાંને છડેચોક નગ્ન કરતી ધારદાર ગઝલ… વાંચતાવેંત સોંસરવી ઉતરી ગઈ ! ‘આપણે’ વિશે આટલું જાણ્યા પછી આ ગઝલ વિશે આપણે કંઈ બોલવાનું રહે ખરું?
Permalink
January 19, 2010 at 9:30 PM by ધવલ · Filed under ગઝલ, ભરત વિંઝુડા
હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી.
તે વાતચીતમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી.
એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી.
આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી.
છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.
– ભરત વિઝુંડા
દેખીતી વાત અશક્તિની છે. અંદરની વાત આસક્તિની છે. નિરાકાર થવા છતા કવિને છુપાવામાં ફાંફા પડે છે ! અવ્યક્તનો અહેસાસ જ પોતાને વ્યાખ્યાયિત કરે છે એ કબુલ કરતા કવિ, આડકતરી રીતે પોતાને જ વ્યક્ત કરે છે એ વિરોધાભાસ પર વિચાર કરી જુઓ તો ગઝલ વધારે ખુલે છે.
Permalink
January 17, 2010 at 3:51 PM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
જ્યાં છે એ નક્કી વાત કે કોઈ અમર નથી,
અમૃત મળે તો શું કરું ? એમાં અસર નથી.
ખામી તમારા રૂપમાં દેખાય છે હવે,
પહેલાં હતી જે, એવી અમારી નજર નથી.
ગઈકાલે શું થયું ભલા એનું તો ભાન ક્યાં?
આજે શું થઇ રહ્યું છે મને કંઈ ખબર નથી!
પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું,
તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી.
આ છૂટવાની રીત કે મિત્રોએ કહી દીધું,
શું થઇ શકે કે જ્યાં તને તારી કદર નથી!
આવાગમન છે બંને જગતમાં સતત ‘મરીઝ’,
પૂરી જે થાય એવી જીવનની સફર નથી.
-મરીઝ
મક્તામાં નામ ન હોય તો પણ પહેલા શેર થી જ ખબર પડી જાય કે આ મરીઝ સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે. ‘પાગલપણું આ…’ શેર મને શિરમોર સમાન લાગ્યો – કોઈકે મજનુંને પૂછેલું, ‘તું આ નુક્કડ પર શું કરે છે ? અહી લૈલાનું ઘર નથી.’ મજનું કહે, ‘મને દરેક જગ્યાએ લૈલા સિવાય કશું જ નથી દેખાતું તેથી જે ઘર ઉપર મારી નજર પડે તે લૈલા નું ઘર બની જાય છે !’ બીજો શેર પણ સુંદર છે – જાણીતી વાત સરસ અંદાઝમાં કહેવાઈ છે.
Permalink
January 15, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હીરજી સિંચ
વાત મારી સાંભળી લેજે સખા !
જો પછી કરતો નહીં કોઈ ડખા !
જા રહેવા દે દવા લેવી નથી
દર્દ લાગે છે મને આ નવલખા !
એકલો વરસાદમાં ચાલ્યો, અને –
ત્યાં મને આ કોણ વીંઝે ચાબખા !
તેં ય પીધી છે સુરાહી પ્રેમની
તો મને પણ સ્વાદ થોડો-શો ચખા !
– હીરજી સિંચ
ઓછા શેરની અને નાની બહેરની સહજ અને સરળ ગઝલ… વરસાદની ભીની મોસમમાં ‘એકલા’ નીકળવું પડે ત્યારે વરસાદનું ઝીંકાતું પાણી પાણી નહીં, ચાબખાની જેમ વાગે છે એ વેદના કવિએ કેવી સરસ રીતે કરી છે ! શેરનો ઉપાડ ‘એકલો’ શબ્દથી થાય છે એમાં જ ખરી કવિતા સર્જાય છે…
Permalink
January 14, 2010 at 12:30 AM by ઊર્મિ · Filed under ગઝલ, મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
વિકસતા વ્હાલ જેવું વિશ્વમાં વ્હાણું નથી જોયું,
શરમની લાલી જેવું રંગનું લ્હાણું નથી જોયું.
પ્રિયાના નેન જેવું કોઈ ઠકરાણું નથી જોયું,
ઊભરતા આત્મ જેવું ઉચ્ચ નજરાણું નથી જોયું.
નથી સૌંદર્ય દેખાતું તો એ છે દોષ દૃષ્ટિનો,
તમે શું સ્નેહથી સૌંદર્ય સરજાણું નથી જોયું ?
મહકતાં ગુલ, ચહકતી બુલબુલો, બહેલી બહકતાં દિલ,
ઉષા લાવી છે એવું અન્યનું આણું નથી જોયું.
નથી જોયું જીવનમાં જોયા જેવું એમ માની લે,
યદિ તેં જીવ દેવા જોગ ઠેકાણું નથી જોયું.
રહે અદૃશ્ય પણ એની હવા યે પ્રાણ પૂરે છે,
વધારે આથી મીઠું કોઈ ઉપરાણું નથી જોયું.
ભલે ગાફિલ કહી સંગીતકારો સહુ કરે અળગો,
ગઝલ જેવું હૃદયના રંગનું ગાણું નથી જોયું.
-મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
(જન્મ: ૨૭-૭-૧૯૧૪ – મૃત્યુ: ૯-૪-૧૯૭૨)
વિકસતા વ્હાલ જેવું વ્હાણું, શરમની લાલી જેવા રંગનું લ્હાણું અને પ્રિયાના નેન જેવું ઠકરાણું — આ રૂપકો તો દિલને ખૂબ જ અડી ગયા… (સાચું કહું તો ગલગલિયા કરાવી ગયા ! 🙂 ) આપણને જીવાડવા માટે આપણામાં સતત પ્રાણ પૂરે છે અને તે છતાં હવા અદૃશ્ય રહે છે; બિલકુલ દેખાડો કર્યા વગર અદૃશ્ય રહીને અપાતું આના જેવું મીઠું ઉપરાણું જીવનમાં બીજું કંઈ હોઈ શકે ખરું ?
કવિશ્રીનાં કાવ્યસંગ્રહ ‘બંદગી’ (૧૯૭૩) માંથી સાભાર. આ કવિએ ‘સરોદ’નાં ઉપનામથી ભજનો અને ‘ગાફિલ’નાં તખલ્લુસથી ગઝલો લખી છે.
* લયસ્તરોનાં વાચકોને લયસ્તરો-ટીમ તરફથી ઉત્તરાયણની હાર્દિક શુભેચ્છાઓ… આગળ મૂકેલા પતંગ-કાવ્યો આજે ફરી અહીં માણો:
Permalink
January 12, 2010 at 11:53 PM by ધવલ · Filed under ગઝલ, હરીશ મીનાશ્રુ
(પુણ્ય સ્મરણ: મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’)
ઊઠતી બજારે હાટ, હવે કેટલો વખત?
વહેવારનો ઉચાટ, હવે કેટલો વખત?
*
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત.
પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.
ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.
રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત
છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત
પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,
આકાશ પણ અફાટ હવે કેટલો વખત
અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત.
પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત
– હરીશ મીનાશ્રુ
કવિની વિચારસૃષ્ટિના ઊંડાણનો પરિચય આ ગઝલમાં થાય છે. છેલ્લા પાંચે શેર એકમેકથી ચડે તેવા થયા છે. હવે એક આખો દિવસ આ બધા શેરને મમળાવવામાં જશે.આ ગઝલ મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ની એક પંક્તિ અને રદીફ-કાફિયા લઈને એમના પુણ્યસ્મરણ રૂપે લખાયેલી.
(ગફલતથી આ ગઝલ કવિ મકરંદ દવેની છે એવું આગળ મૂક્યું હતું. એ ભૂલ સુધારી લીધી છે. એપ્રિલ 2020)
Permalink
January 11, 2010 at 10:06 PM by ધવલ · Filed under ગઝલ, ગની દહીંવાળા
નયન અને નીંદરું વચ્ચે કશો તણાવ હશે,
મળી શક્યાં નહિ, પાંપણમાં અણબનાવ હશે.
દરદનો આટલો વ્યાપક તે શો પ્રભાવ હશે !
જરૂર આપણું અસ્તિત્વ, કોઈ ‘ઘાવ’ હશે.
બને તો શાંત પડી જાઓ દિલના ધબકારા !
તમે છો, ત્યાં સુધી કોઈને અભાવ હશે.
બિચારા પુષ્પની આ વૈખરી વિષે વિસ્મય !
છૂપો વસંતની વાણીમાં વેરભાવ હશે.
અમે તો વાતનો વાહક ગણીને ઉચ્ચર્યા’તા,
ન’તી ખબર કે પવન પણ બધિર સાવ હશે.
પણે રસે છે સિતારાને લાગણીના રસે,
કોઈ તો રોકો, કે એ આપણો સ્વભાવ હશે.
હસી પડે છે હવે તો ઉદાસીઓ ય ‘ગની’ ,
નવી નવાઈના જન્મેલ હાવભાવ હશે.
– ગની દહીંવાળા
ગનીચાચાની સુંવાળી ગઝલ. સૌથી સરસ શેર એ છેલ્લો શેર છે : નવી નવાઈની જન્મેલી ઉદાસીઓના હસી પડવાની વાત જ મઝાની છે !
Permalink
January 9, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીરજ મહેતા ડૉ.
ભલે તું બાદશાહી દે
ધરાની ધૂળને ભૂલું નહીં એવી ઊંચાઈ દે
હૃદયનું ખોરડું નાનું
બધા અક્ષર પરત લઈ નાથ મુજને ફક્ત ઢાઈ દે
થશે કર અબઘડી પાંખો
ખરેખર આપવી હો તો મને ચોપાસ ખાઈ દે
ધર્યો ચોખ્ખો જ ઉરકાગળ
ગઝલ આપી ન દે તો કૈં નહીં નાની રૂબાઈ દે
બધું ફાવી ગયું ‘નીરજ’
કવન રંગીન રાખીશું ભલે કાળી સિયાહી દે
– ડૉ. નીરજ મહેતા
શેરના ઉલા મિસરા (પહેલી કડી)માં લગાગાગાના બે આવર્તન અને સાની મિસરા (બીજી કડી)માં એનાથી બેવડા આવર્તનો લઈને ચાલતી આ ગઝલને શું કહીશું? દોઢવેલી ગઝલ? વિષમ છંદ ગઝલ?
ગઝલના બંધારણને જે નામ આપવું હોય એ આપીએ પણ મને તો કવિનો ખુમારીદાર મિજાજ ગમી ગયો. સમૃદ્ધિના શિખરે પણ છકી ન જવાની ચિવટાઈ સ્પર્શી ગઈ. નાના અમથા હૃદયમાં બીજું કશું ન માઈ શકે તો કંઈ નહીં, માત્ર પ્રેમના અઢી અક્ષર જ સમાઈ શકે તોય કવિ ખુશ છે. અને જિંદગી પાસેથી ભલે દુઃખ અને વેદનાની કાળી શાહી કેમ ન મળે, કવિ એના કાવ્યોને રંગીન ઓપ જ આપવા માંગે છે… સાહિરના લબ્ધપ્રતિષ્ઠ શેરથી સાવ વિપરીત પણ કદાચ વધુ ઉજળી વાત છે આ. (દુનિયાને તજુર્બાતોં હવાદિશ કી શક્લમેં, જો કુછ મુજે દિયા હૈ, વો લૌટા રહાહૂઁ મૈં)
Permalink
January 8, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલેરબાબુ
લઈ શોધ મારી જ્યારે જગત નીકળ્યું હશે,
તારી ગલીમાં મારું પગેરું મળ્યું હશે.
સંબંધનાં પતંગિયાં સાથે ઊડે નહીં,
કૈં કેટલાય જન્મનું સપનું ફળ્યું હશે.
તારી ને મારી દંતકથા સાંભળ્યા પછી,
માણસપણાનું ભાન અહીં ખળભળ્યું હશે.
પગલાં અહીં મૂકીને સર્યાં દૂર આપણે,
પગલાંની ફરતે લોક ત્યાં ટોળે વળ્યું હશે.
તારી જ ઓળખાણ હવે આપવી રહી,
મારા વિશે ઘણાંએ ઘણું સાંભળ્યું હશે.
ડૂબી ગયું છે આખું નગર રોશની મહીં,
તારા સ્મરણનું મીણ અહીં ઓગળ્યું હશે.
– દિલેરબાબુ
(જન્મ : ૧૪ -૦૬-૧૯૪૬, મૃત્યુ : ૦૪-૦૧-૨૦૧૦)
રવિવારે રાજેન્દ્ર શાહ જેવા દિગ્ગજ કવિના દેહાવસાનના ડુંગર પછીતે સોમવારે ભાવનગરના દિલેરબાબુના નિધનના સમાચાર લગભગ સાવ જ ઢંકાઈ ગયા. બી.એ.ના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ અને પોસ્ટ ખાતામાં નોકરી. ભાવનગરના ભાદ્રોડ (મહુવા) ખાતે શબ્દની મૂંગી આરાધના કરતા આ કવિ પ્રસિદ્ધિની પાછળ કદી દોડ્યા નહોતા. એમના સુંદર કવિકર્મની જો કે યોગ્ય નોંધ પણ કદી લેવાઈ નથી.
‘લયસ્તરો’ તરફથી શબ્દના આ મૌન આરાધકને એન નાની-શી શબ્દાંજલિ !
Permalink
January 5, 2010 at 10:14 PM by ધવલ · Filed under ગઝલ, રાઝ નવસારવી
આજે અહીં જુઓ છો જે પથ્થર નવા નવા,
કાલે બની જવાના એ ઈશ્વર નવા નવા.
તારા વિશેનો પ્રશ્ન અનાદિથી એક છે,
કિંતુ મળે છે હર યુગે ઉત્તર નવા નવા.
તો પણ ન જાણે કેમ સતત ખાલી હાથ છે ?
અલ્લાહ રોજ દે છે મુકદ્દર નવાં નવાં.
તારા મિલનની શક્યતા જીવંત રાખવા,
પેદા કરું છું રોજ હું અવસર નવા નવા.
મૃત્યુને ‘રાઝ’ અંત જીવનનો નહીં ગણું,
બદલે છે એ તો જીવ કલેવર નવાં નવાં.
– ‘રાઝ’ નવસારવી
હજુ તો ગઈકાલે જ મૃત્યુને ‘ખોળિયું બદલવાનો ઉત્સવ’ ગણાવીને રાજેન્દ્ર શાહ ગયા. ને આજે આ ગઝલનો છેલ્લો શેર વાંચવામાં આવ્યો. આ બધી ફિલસૂફી પછી પણ જીવન(ની આસક્તિ) અને મૃત્ય(ના ડર) ના સમીકરણો ક્યાં બદલાય છે ? એ ખરેખર જો બદલાય તો તો પયગંબરી મળે.
Permalink
January 2, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બંકિમ રાવલ
પીછું અડાડવામાં વર્ષો વીતી ગયાં છે,
જંતર જગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
કિસ્મત હતું હથેળીમાં બંધ એ ખરું પણ,
ચપટી વગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
ગુંદર ન હોય એવી દેશી ટિકિટ માફક
આ મન લગાડવામાં વર્ષો વીતી ગયાં છે.
તું તો કરે રવાના ઝડપી ટપાલ દ્વારા,
અહીંયા ઉઘાડવામાં વર્ષો વીતી ગયાં છે.
સદીઓ વહી ગઈ છે જાણે પવનની માફક,
બે પળ ખૂટાડવામાં વર્ષો વીતી ગયાં છે.
-બંકિમ રાવલ
મનોજ ખંડેરિયાની વરસોના વરસ લાગે ગઝલની યાદ આવે એવી પરંતુ જરા નોખી જ ‘ફ્લેવર’ ધરાવતી આ ગઝલ.. મારી દૃષ્ટિએ જેમ જેમ ગઝલ આગળ વધે છે એમ એમ શેર વધુ બળકટ થતા જાય છે. ઇન્ટરનેટ અને ટેલિફોનના પરિણામે દૂધ પીતી થઈ રહેલી ટપાલસેવાને સાંકળીને જે બે શેર લખાયા છે એ તો અદભુત છે…
Permalink
December 29, 2009 at 11:14 PM by ધવલ · Filed under અશરફ ડબાવાલા, ગઝલ
માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યા શબદચોકમાં રે !
લાય લોહીમાં જગાવી અલખ નામની ને;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !
મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકે ને હરખ ઊડે છોળમાં રે !
પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !
રહે જાતરા અધૂરીને ને ફળતો જનમ;
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !
મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !
જેની નેજવાના ગઢ ઉપર દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !
– અશરફ ડબાવાલા
તળપદા શબ્દોનો પ્રયોગ છતાં પણ ગઝલ આધુનિક છે. ગઝલનો ઉપાડ જ બહુ મઝાનો છે. ને છેલ્લો શેર તો મારો પ્રિય છે : મન અને તન પર – રોમેરોમ પર – સવાર થઈ જાય એ જ (શબ્દની) ખરી લગની કહેવાય. સતત મનમાં રહેતી-રમતી વાત માટે ‘નેજવાના ગઢ પર દેરી બાંધી’ એવો મઝાનો પ્રયોગ તરત જ ગમી જાય છે.
Permalink
December 27, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
આ ક્ષણે શ્વાસ સમેટું તો જગત શું કહેશે ?
એક સુખદ ઊંઘમાં લેટું તો જગત શું કહેશે ?
જેની મનમાં જ ભરી રાખી’તી તડપન એને
આ નગરચોકમાં ભેટું તો જગત શું કહેશે ?
મારા અવશેષ તરીકે તો ફક્ત શબ્દો છે,
એને સ્મરણોથી લપેટું તો જગત શું કહેશે ?
એક મહોબ્બત છે જગતમાં, જે ટકી રહેવાની,
બાકીનું સર્વ ઉસેટું તો જગત શું કહેશે ?
જિંદગીમાંય જ્યાં અંતર હતું એ લોકોને,
મોતથી પણ પડે છેટું તો જગત શું કહેશે ?
– હરીન્દ્ર દવે
માનવીના મનનું કુંડાળું અને દુનિયાનું વર્તુળ કદી એકરસ થઈ શક્તા નથી. સામાજીક પ્રાણી હોવાની કિંમત માણસે ક્ષણે-ક્ષણે ચૂકવવી પડતી હોય છે. મનને કંઈ ઓર જ કરવું હોય પણ દુનિયા શું કહેશે એ પ્રશ્ન સતત મન-હૃદય પર રાશ બનીને જકડાયેલો રહે છે. પ્રણય અને મૃત્યુ હરીન્દ્ર દવેની કવિતાના પર્યાય સમા છે. મૃત્યુથી શરૂ થતી આ ગઝલ પણ પ્રણયની ત્રણ ગલીઓમાં ફરીને અંતે મૃત્યુ પર જ સ્થિર થાય છે.
Permalink
December 23, 2009 at 12:37 PM by ધવલ · Filed under ગઝલ, જવાહર બક્ષી
દશે દિશાઓ સ્વયમ્ આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.
કશેય પહોંચવાનો કયાં પ્રયાસ ચાલે છે?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.
કોઈનું આવવું, નહીં આવવું, જવું, ન જવું.
અમસ્તો આંખમાં ઉઘાડ- વાસ ચાલે છે.
દશે દિશામાં સતત એકસામટી જ સફર!
અને હું એ ય ન જાણું… કે શ્વાસ ચાલે છે.
અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે!
હું સા…વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.
– જવાહર બક્ષી
અવસ્થાન એટલે અચળતા કે સ્થિરતા. આપણી ‘સ્થિરતાનું સ્વરૂપ’ સમજાવવા મથતી આ ગઝલ metaphysical ભૂમિકા પર રચાયેલી છે.
આપણી અંદર અસંખ્ય અણુઓ પરમાણુઓ અક્લ્પ્ય ઝડપે સતત ગતિશીલ છે. વળી આપણે જે પૃથ્વી પર છીએ એ અને સૂર્યમંડળ, આકાશગંગા અને સમગ્ર બ્રહ્માંડ પણ અવિરત ગતિશીલ છે. આ બધી અંદરની અને બાહરની ગતિની વચ્ચે આપણે એક મૂરખની જેમ વિચારીએ છીએ કે, વાહ ! આપણે કેટલા ‘સ્થિર’ છીએ !
સ્થિરતા એક ભ્રમ છે. કવિ તો એથી આગળ જઈને પૂછે છે કે સ્થિરતા એ ય ગતિનું જ કોઈ સ્વરૂપ જ છે કે શું ? !!
ગતિ અને સ્થિતિ ની વચ્ચેની સિમા દેખાય છે એટલી સુદૃઢ નથી… દિશાઓનો સંકેત દેખાય છે એટલો અવિચલ નથી… ગંતવ્યનો આસાર એક ઘુમ્મસથી વધારે કાંઈ નથી. અનાદીકાળથી ચાલતી આ ગતિ-સ્થિતિની રમતમાં આપણે તો એક પ્યાદું જ છીએ. આપણું અસ્તિત્વ કશે પહોંચવાનો ‘ગણતરીપૂર્વકનો પ્રયાસ’ નથી… એ તો આંખનો ‘અમસ્તો ઉઘાડ-વાસ’ માત્ર છે.
Permalink
December 3, 2009 at 12:48 AM by વિવેક · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
હોઈએ ના એય દેખાવું પડે છે,
ખૂબ વારેઘડીએ સંતાવું પડે છે.
માત્ર એક જ પ્રેમ નહિ કારણ ઘણાં છે,
શું કહું કે કેમ શરમાવું પડે છે ?
કોણ સમજે એ દશા મજબૂર મનની,
હોય ના ઇચ્છા ને વ્હેંચાવું પડે છે.
કુંભ થૈ જાવુંય કૈં સ્હેલું નથી મન,
ખૂબ સુકાઈને ટિપાવું પડે છે.
ટેવવશ ઉકળી જવાનું રોજ મિસ્કીન,
ટેવવશ પાછા ઠરી જાવું પડે છે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
December 1, 2009 at 11:53 PM by ધવલ · Filed under ગઝલ, ઝાકીર ટંકારવી
લે હાથે કરતાલ ફકીરા;
સંતો સાથે ચાલ ફકીરા.
એની મેડીએ બેસીને,
થૈ જા માલંમાલ ફકીરા.
હુંયે માણસ તું યે માણસ
સૌનું લોહી લાલ ફકીરા.
બંને ખાલી હાથે જઈશું,
અંતે તો કંગાલ ફકીરા.
ડર ને ચિંતા ફેંક નદીમાં,
માલિક મોટી ઢાલ ફકીરા.
સરકી જાશે એક જ પળમાં
દુનિયાને ના ઝાલ ફકીરા.
દોલત તો દાસી છે તારી
ખિસ્સામાં ના ઘાલ ફકીરા.
સંન્યાસીનું તો એવું કે
સૂર અહીં ત્યાં તાલ ફકીરા.
રસ્તા તો આડા ને અવળા,
જૂની વાટે ચાલ ફકીરા.
– ઝાકીર ટંકારવી
કબીર-રંગે રંગાયેલી આ રચનામાં બહુ સરળ રીતે ઊંડી વાતો કરી છે. સંન્યાસીની ‘સૂર અહીં ત્યાં તાલ ફકીરા’ જેવી વ્યાખ્યા બીજે વળી ક્યાં જોવા મળવાની ? છેલ્લા શેરથી તો રોબર્ટ ફ્રોસ્ટની અમર રચના The Road Not Taken ની યાદ આવી ગઈ.
Permalink
November 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત

(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ અક્ષરોમાં ‘લયસ્તરો’ માટે)
*
આ તડકા મહીં એમ વર્તાય છાંયો,
કેચ્હેરા ઉપર એક ચ્હેરો છવાયો.
ને આંખો અમારી સજળ હોય તો યે,
ખુશીનો જ તખ્તો ફરી ગોઠવાયો.
અમારી સબરના પુરાવા ન માંગો,
ઇમારત છું એવી, નથી જેનો પાયો.
પહેલાં હલેસું, પછી નાવ ડૂબી,
શનૈ: શનૈ: કિનારો ફસાયો.
બહેતર એ છે કે શિકાયત ન કર તું,
ખફા થઈને જ્યારે સમય પણ રિસાયો.
-દિવ્યા મોદી
ભીની માટી જેવા હૈયા પર પગલાંની અમીટ છાપ છોડી જાય એ સાચી કવિતા. દિવ્યાની આ ગઝલ વાંચો અને અંદર કશુંક અમીટ પડતું ન અનુભવાય તો જ નવાઈ. તડકા વિના છાંયાનું વળી અસ્તિત્વ કેવું ? બંને સાથે જ સંભવી શકે એ ખરું પણ કદી એકમેકમાં ભળી શકે ખરા ? આપણા ચહેરા પર કેટકેટલા ચહેરા પડતા રહે છે ! પણ આપણે આપણી ઓળખ કદી ગુમાવીએ ખરા ?
શનૈ: શનૈ: જેવો સંસ્કૃત શબ્દપ્રયોગ રાજેન્દ્ર શુક્લ જેવી સાહજિક્તાથી કરીને ઉત્તમ શેર પણ આપવા બદલ કવયિત્રી શું અભિનંદનને પાત્ર નથી ?
Permalink
November 26, 2009 at 2:45 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.
મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.
તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.
કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !
ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.
ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.
– અનિલ ચાવડા
અરુઢ છંદ સાથે ઘરોબો કેળવી બેઠેલા મારા મનપસંદ કવિની એક વધુ ગઝલ… નદીમાં ડૂબી ગયેલા વહાણ અને વચ્ચેથી તૂટી ગયેલા દોરડાવાળી વાત ગમી જાય એવી છે.
Permalink
November 22, 2009 at 4:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!
જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે!
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!
જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં!
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!
મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે!
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું!
ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!
યુગો અગણિત ભલે વીતે મને એની નથી પરવા!
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!
મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ-
કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!
જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!
તને તો આવડે છે ઠંડી-ઠંડી આગ થઈ જાતાં!
– મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું?!!
-‘શેખાદમ’ આબુવાલા
પ્રણયરંગી ગઝલ… ખાસ કરીને ગાલનો તલ થવાવાળો અને લયબદ્ધ ચંચળતાવાળો શે’ર ખૂબ જ મજાનાં થયા છે! વળી, બુદ્ધિનું કહ્યું ન કરનારને તો આમેય દુનિયા પાગલ જ માને છે, ખરું ને મિત્રો ?! 🙂
Permalink
November 20, 2009 at 2:14 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
આખરે એની કૃપા તો થાય છે,
આપણાથી રાહ ક્યાં જોવાય છે ?
એ પધારે; દ્વાર પણ હરખાય છે,
ખુદ ઊઘડવાને અધીરા થાય છે !
કોણ બનવાકાળને ટાળી શકે ?
તે છતાં ક્યાં સ્હેજ સ્વીકારાય છે ?
માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી,
જળમાં વમળો અણદીઠાં સર્જાય છે !
‘સર્વનું કલ્યાણ કરજો, હે પ્રભુ’
વેણ એવાં એમ ક્યાં બોલાય છે !
– રાકેશ હાંસલિયા
વિધિનું લખાણ ટાળી શકાતું નથી એ છતાં આપણે ક્યાં એને સહેજે સ્વીકારી શકીએ છીએ ? અને છેવટે એની કૃપા વરસવાની જ છે એ જાણવા છતાં આપણે ધીરજ ક્યાં રાખી શકીએ છીએ?
Permalink
November 19, 2009 at 2:11 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા
સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવસ પડ્યો.
પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળનાં પંખીઓ,
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો.
વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાંનો પાક,
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.
માટીને મહેકવાની ગતાગમ નથી હજી,
વરસાદ આંગણા મહીં વરસોવરસ પડ્યો.
અંધાર આવું આવું કરે બારી બા’રથી,
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ-પડ્યો.
સૂરજના મનના મેલ નિશાએ છતા થયા,
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો.
કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’,
‘કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો.’
– ગની દહીંવાલા
સાત અલગ અલગ રંગોનું ઈન્દ્રધનુષ રચાયું હોય એવા સાત મજાના શેરોની આ ગઝલ. પરંપરાની આંગળી હાથમાં હોવા છતાં અહીં ઝાકળનાં પંખી, ઝાંઝવાનો પાક પીળા પ્રકાશનું હાંફવું જેવા કલ્પનોની તાજગી સરાબોળ કરી દે એવી છે. ફળ વધુ પડતું પાકી જાય તો રસ બેસ્વાદ બની જાય એ વાતનો ઉલ્લેખ મત્લાના શેરમાં સાવ અલગ જ રીતે કરે છે. વર્ષોથી ઊગતા-આથમતા સૂરજના પાકા ફળમાંથી એક ટીપાં જેવો બેસ્વાદ દિવસ ટપકી પડ્યો છે જે આપણને આગળના સહુ દિવસોની જેમ તૃપ્ત તો કરી શક્વાનો જ નથી ને તોય જાગવું, દોડવું તો પડશે જ ને?! सुबह होती है, शाम होती है, जिंदगी यूँ तमाम होती है ।
Permalink
November 16, 2009 at 3:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, હર્ષદ ત્રિવેદી
તું પણ કમાલ કર હવે તારા અવાજની,
હું સાંભળું છું તર્જ કો’ અણદીઠ સાજની.
હું ક્યારનો સૂંઘું છું હવામાં વધામણી,
રળિયામણી ઘડી મને લાગે છે આજની.
તું હોય પણ નહિ ને તોય વાજતી રહે,
પળ પળ રહી છે કામના એવી પખાજની.
મારો સ્વભાવ છે કે મને કંઈ અડે નહિ,
તનેય પણ પડી નથી રસ્મો-રિવાજની !
ત્યાં દૂર કોઈ પૂરવી છેડે છે ક્યારનું,
અહીંયાં ગઝલ રચાય છે તારા મિજાજની.
-હર્ષદ ત્રિવેદી
મજાની સરળભાષી ગઝલ… આમ તો પાંચેય શે’ર મજાનાં થયા પરંતુ મને સ્વભાવવાળો શે’ર ખાસ ગમી ગયો. રસ્મો-રિવાજની પડી ન હોય એવી બગાવતો તો ઘણીવાર જોવા મળી જાય છે, પરંતુ કંઈ ન અડવાવાળા સ્વભાવાવાળી સ્થિતપ્રજ્ઞ અવસ્થા હોવી એ ઘણું કઠીન છે અને જીવનમાં એ પ્રમાણે જીવતાં જૂજ લોકો જોવા જરૂર મળે છે.
Permalink
November 13, 2009 at 12:30 AM by વિવેક · Filed under આતિશ પાલનપુરી, ગઝલ
જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !
એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !
જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !
જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !
સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી
વાંચતાવેંત ગમી જાય એવી મજાની ગઝલ… રદીફ તરીકે ‘શું’નો રણકાર આખી ગઝલમાં એક મજાનો ધ્વનિ સર્જે છે અને કવિ આ ધ્વનિને રણકાવવામાં સફળ રહ્યા છે એ આપણું સદભાગ્ય…
Permalink
November 12, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ
વૃક્ષની આજે નીયત શાને તપાસો,
કે, તમે તડકે ધરી જોયો છે વાંસો ?
મેઘની આવી રહી છે લ્યો સવારી,
વીજરૂપે મોકલે છે આભ જાસો.
આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.
ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
રોજ એની બાજુ ફેંકું એક પાસો.
એકથી બીજા સુધી પહોંચી શક્યા નહિ,
દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?
છત જવાની રોજ બનતી હોય ઘટના,
પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?
-સુનીલ શાહ
કવિતા ક્યાંથી આવે છે? દૈવલોકમાંથી? કે પછી કોઈ ગેબી અગોચર મનોભૂમિમાંથી? કવિતા તો દોસ્તો, આપણી આસપાસથી જ આવતી હોય છે. આપણી પોતાની જિંદગીમાંથી જ. જે સૂર્ય, તડકા અને વૃક્ષને આપણે રોજ જોઈએ છીએ, ક્યારેક જેની નીચે છાંયડામાં બેસીને આરામ પણ કર્યો છે એ જ વૃક્ષ,તડકાને જોઈને કવિ ક્યારેક એવી વાત કરી બેસે કે આપણને કવિતા કેવી રીતે જન્મે છે એ વાતનું ગહન આશ્ચર્ય ઉપજે. સુનીલ શાહની આ ગઝલના બધા જ શેર સંતર્પક અને ધ્યાનાર્હ થયા છે પણ મારું મન તો મત્લાના શેર પર જ સમરકંદો-બુખારા ઓવારી બેઠા છે. ‘ જેણે કદી પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર મારે’ની ઈશુ-પંક્તિ ગઝલના પહેલાં શેરમાં કેવી પ્રવાહિતાથી ઉતરી આવી છે !
Permalink
November 11, 2009 at 1:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, ગની દહીંવાળા
સ્પર્શથી નાતો હૃદય પોતાની રીતે જોડશે,
ટેરવાં નવરાં ! પરસ્પર ટાચકા કંઈ ફોડશે.
આ પ્રવાહો તો પવનનો સાથ લૈ દોડી રહ્યા !
શક્યતા પોતે જ શું અવસરનાં તોરણ તોડશે ?
આંતરિક સંબંધના શબ્દો તો નહીં ચૂકે વિવેક,
વારતા બનતાં કદી વસ્તુ મલાજો તોડશે.
ભાનમાં આવ્યા પછીની મૂંઝવણ તે આનું નામ !
અધસુણ્યું પડઘાય છે કંઈ: “મારો પીછો છોડશે?”
પગની સાંકળ, વહેલ ઘુઘરિયાળી જાણે લગ્નની,
એ જ રીતે ડોલતી દીવાનગી પણ દોડશે.
પુષ્પને ખીલ્યાનાં દૈ દઈએ અભિનંદન, ‘ગની’,
આ કળી જોશે તો શું ? મોઢું જરી મચકોડશે !
-ગની દહીંવાળા
સ્પર્શની સાથે પોતાની રીતે હૃદય નાતો જોડી જ લે છે, કેવી સાચુકલી વાત ! ચોથો શે’રમાં તો જાણે (ઓછેવત્તે અંશે) આપણા બધાની અનુભૂતિ કંડારાઈ છે… લાગણી હોય કે લગન હોય, વસ્તુ હોય કે વ્યક્તિ હોય- પીછો આસાનીથી ક્યાં છૂટે છે !
Permalink
November 10, 2009 at 1:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, સુરેન ઠાકર 'મેહુલ'
કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.
જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.
પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.
એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.
લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.
આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.
એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ’તી સાચવેલી જિંદગી.
-સુરેન ઠાકર ‘મેહુલ’
ક્યારેક પહેલી જેવી તો ક્યારેક સહેલી જેવી લાગતી જિંદગીને કવિશ્રીએ ગઝલમાં બખૂબી ગોઠવી દીધી છે. એક્કે એક શે’ર કાબિલેદાદ થયા છે. એમાંની એક વાત તો મને ખૂબ જ જચી ગઈ- આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું…
Permalink
November 9, 2009 at 1:00 AM by ઊર્મિ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ
મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ
જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ
આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ
આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ
બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ
હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ
પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ
વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.
-આદિલ મન્સૂરી (રમેશ પારેખની યાદમાં… ૫ જૂન, ૨૦૦૬, ન્યુ જર્સી)
છઠ્ઠી નવેમ્બરે જનાબ આદિલસાહેબની પ્રથમ પુણ્યતિથિ હતી… ર.પા.ની યાદમાં એમણે લખેલી આ ગઝલ આજે એમને અને એમનાં છ અક્ષરોનાં નામને પણ એટલી જ લાગુ પડે છે! અધવચ્ચે અટકીને મક્તા લખી દઈ જીવનની ગઝલને પૂરી કરીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયેલા શ્રી આદિલભાઈને લયસ્તરો અને લયસ્તરોનાં વાંચકો તરફથી હૃદયપૂર્વકની સાદર શ્રદ્ધાંજલિ.
Permalink
October 30, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વેણીભાઈ પુરોહિત
એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.
એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી,
મેડીમાં દીપક જલતો’તો એ દીપક નહિ પણ પ્યાર હતો.
જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.
ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો ?
નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો તહેવાર હતો.
જ્યાં કોઈ વસી જ શકે નહિ, પણ જ્યાં અવરનવર સંગ્રામ થતા,
બે સરહદની વચ્ચેનો ટુકડો એવો આ અવતાર હતો.
આ દિલ પોતાને ડંખી ડંખી હાય રે ચટકા ભરતું’તું,
એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો !
માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતનીઅદબ, કુદરતનો કારોબાર હતો.
ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવન સ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.
ભરતીને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો,
મન ભીનું ભીનું જલતું’તું, એ આતશનો આધાર હતો.
– વેણીભાઈ પુરોહિત
વેણીભાઈની એક ઊર્મિશીલ રચના. બે સરહદની વચ્ચેનો ટુકડો અને ઊર્મિનું કબૂતરવાળા બે શેર નાનપણથી મારી જીભે ચડી ગયેલા એ કારણોસર આ ગઝલ તરફ એક ખાસ કહી શકાય એવો પક્ષપાત હું અનુભવું છું…
Permalink
October 28, 2009 at 8:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, રાહી ઓધારિયા
હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.
એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !
આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.
વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.
કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !
-રાહી ઓધારિયા
માણસ જ્યારે પ્રેમમાં દુ:ખી હોય ત્યારે એને લાગે છે કે એનું દુનિયામાં કોઈ જ નથી. પરંતુ પ્રેમનાં પરમાનંદમાં ડૂબેલા માણસને આખી દુનિયા જ પોતીકી લાગે છે… જેને પ્રેમ અને પ્રેમીનાં સંગનો જબરદસ્ત નશો ચડ્યો હોય, એને જો આખી દુનિયા ઉલટીપુલટી ન લાગે તો જ નવાઈ ! 🙂
Permalink
October 26, 2009 at 11:00 AM by ઊર્મિ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.
હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.
ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.
-કૈલાસ પંડિત
આપણનેય સાવ હળવા કરી દેતી સાવ હળવી ગઝલ… જો કે અંતમાં કવિ હળવાશથી ને હળવેકથી ઘણી ગંભીર વાત કરી જાય છે !
Permalink
October 25, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શાદ જામનગરી
કેમ વિહ્વળ છું પ્રતીક્ષા પણ નથી,
આમ જો પૂછો તો કંઈ કારણ નથી.
પારદર્શક કાચ જાણે કાયદો,
અવતરણ મધ્યેય કંઈ વિવરણ નથી.
ખૂબ ટીપાયો ઘડાયો ઘાટ પણ,
તાપ, એરણ કે હથોડા, ઘણ નથી.
સાત સાગર પણ ઊલેચાઈ ગયા,
ને હથેળી મધ્યબિંદુ પણ નથી.
ઘર મહીં આવ્યાં અને ચાલ્યાં ગયાં,
ને છતાં પગલાંનાં કંઈ લક્ષણ નથી.
ભાવભીનું છે અહીં સ્વાગત ઘણું,
બારણે બાંધ્યાં કોઈ તોરણ નથી.
આપને જોયા વિના મસ્તક નમે,
મન મનાવું એટલી સમજણ નથી.
ચાર નયનો કંઈક ક્ષણ-બે-ક્ષણ મળ્યાં,
પ્રેમ માટે ‘શાદ’ કંઈ ભાષણ નથી.
-‘શાદ’ જામનગરી
એક એવી ગઝલ જેને જેટલી વધુવાર ઘૂંટીએ, એ વધુ ને વધુ ગમતી જાય અને અર્થોના નાનાવિધ આકાશ ઉઘડતાં જાય…
Permalink
October 24, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાકિન કેશવાણી
રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો,
ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.
પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે,
તમારા આગમનની કંઈ ખબર ખોટીખરી આપો.
સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,
જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો.
વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.
હું કોઈની અદાવત ફેરવી નાખું મહોબ્બતમાં,
તમે ‘સાકિન’ને એવો પ્રેમનો પારસમણી આપો.
– ‘સાકિન’ કેશવાણી (મહમ્મદ હુસેન હબીબભાઈ કેશવાણી)
(૧૨-૦૩-૧૯૨૯ થી ૩૧-૦૩-૧૯૭૧)
ગઝલ સંગ્રહ: ‘આરોહણ’, ‘ચાંદનીના નીર’
આ ગઝલ વિશે વાત કરતી વખતે કવિ હરીન્દ્ર દવે કહે છે, ‘ વિષ્ણુ અને નારદ વચ્ચે સંવાદ થાય અને નારદ જો વિષ્ણુને પૂછે કે પ્રભુ! આ મૃટ્યુલોકના માનવીઓ તમારી પાસે ઘણું ઘણું માંગતા હોય છે પણ એમાં સૌથી સરસ માગણી કરતાં કોને આવડે છે? તો ભગવાને ઉત્તર આપ્યો હોત, દેવર્ષિ, માગણી કરતા તો બે જ માણસોને આવડે છે – કવિને અને પ્રેમીને. કવિ અને પ્રેમીજન જે માગણી કરે છે એ હંમેશા અદભુત હોય છે – કારણ કે તેઓ ભાગ્યે જ પોતાના માટે કંઈક માંગે છે. એમાં ‘હું’ કે ‘મને’ આવે ત્યારે પણ એ શબ્દો તમામ વાંચનારા માટે અને પ્રેમ કરનારાઓ માટે સાચા હોય છે.
યુવાન વયે અચાનક નિધન પામનાર આ કવિની આ ગઝલમાં કવિ અને પ્રેમી બંનેની માગણી એક જ બિંદુ પર આવીને કેન્દ્રિત થઈ છે. લગાતાર દર્શન નહીં, એક ઝલક આપો… આખો ચંદ્ર નહીં, માત્ર ચાંદની આપો… આખા વિશ્વના નફરતના લોઢાને કંચન બનાવી શકે એવો પારસમણી આપો…
Permalink
October 20, 2009 at 8:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, જિતુ પુરોહિત
અવસર ભીની ક્ષણ આપી દે,
ખોબો નહિ તો કણ આપી દે.
લીલેરા બે ઘૂંટ ભરી લઉ,
પછી ભલે તું રણ આપી દે.
કબીરને આપ્યું’તુ એવું,
એકાદું વળગણ આપી દે.
જીવતર થાય સફળ જેનાથી,
સમજણ તું બે-ત્રણ આપી દે.
ભલે હોય એ પળ બે પળનું,
સોનેરી સગપણ આપી દે.
-જિતુ પુરોહિત
અહીં આખી ગઝલમાં કવિની સીધેસીધી માંગવાની રીત (ખાસ કરીને મત્લાનો શેર) શ્રી સુન્દરમ્ ની પ્રભુ પાસે માંગવાની પેલી અનોખી રીતવાળા એક ખૂબ જ મજાનાં ગીતની ખાસ યાદ અપાવે છે…. એક કણ રે આપો, આખો મણ નહિ માંગુ; એક કણ રે આપો, ભંડાર મારાં એ રહ્યાં.
Permalink
October 19, 2009 at 8:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, રાજેશ મહેતા 'રાજ'
યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે?
એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે?
ભરચોમાસે બારી પાસે બેસી રહીને,
ચાર ભીંતોની વચ્ચે બળવું, ક્યાં સહેલું છે?
વરસો પહેલાં ગણગણતી એ ગીત, હવે તો-
તારા હોઠેથી સાંભળવું, ક્યાં સહેલું છે?
તેં દીધેલાં પત્રો મારી પાસે છે, પણ;
રોજે રોજ એ વાંચન કરવું, ક્યાં સહેલું છે?
કોઈ નદીની જેમ તું, અહીંથી ચાલી ગઈ છે,
કાંઠે બેસીને ટળવળવું, ક્યાં સહેલું છે?
આંખોમાં રંગ આવશે, તારી મહેંદી જેવો,
નસીબ સહુનું, સૌને ફળવું, ક્યાં સહેલું છે?
તારા ઘરના ફળિયે, લીલા તોરણ જોઈને,
અધ્ધવચ્ચેથી આગળ વધવું, ક્યાં સહેલું છે?
-રાજેશ મહેતા ‘રાજ’
કેવી મજાની અને સાચુકલી વાત!… સાવ સહજ ભાસતું આવું બધું ખરેખર ક્યાં સહેલું હોય છે!
લયસ્તરો પરથી સૌ વાચકમિત્રોને અમારા નૂતન વર્ષાભિનંદન…!
Permalink
October 11, 2009 at 12:47 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને
બે ય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ, પણ
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેરે, ડાળ પણ નિર્મમ થતી,
કોઈને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને
શેષ વધતો ટુકડો આકાશનો ક્યાંથી ગમે ?
– ચિનુ મોદી ‘ઈર્શાદ’
ખાલીપણા અને એકલતાના બોજની વ્યથાનો બોજ ઊઠાવીને ચાલતી આ ગઝલ વાંચતા અંદર કશું તડાક્ તૂટતું અનુભવાય છે. ઓળંગી ન શકાય એવા એકાંતની વાત કવિએ કેવી ઋજુતાથી કરી છે! આ એક એવી એકલતા છે જ્યાં ડાબે-જમણે ગમે ત્યાં વળો, એકાંત ને એકલતા સિવાય બીજું કંઈ જ નથી.
Permalink
October 9, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિમાંશુ ભટ્ટ
સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?
હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?
શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.
રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.
એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.
– હિમાંશુ ભટ્ટ
અમેરિકાના હિમાંશુ ભટ્ટની એક ગઝલ… ભૂલોને નજર અંદાજ કરવાવાળૉ શેર મને તો ખૂબ ગમી ગયો. સાચી વાત છે, આપણે સામાની ભૂલને એટલી મેગ્નિફાય કરીએ છીએ કે એની પછીતે રહેલો સારો માણસ કદી નજરે ચડતો જ નથી… સંબંધોની, ખાસ કરીને દામ્પત્યની શિથિલતાનું મુખ્ય કારણ આ જ છે ને? અને છેલ્લો શેર તો ખાસ વિચાર માંગી લે એવો થયો છે…
કવિ શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…
Permalink
Page 37 of 50« First«...363738...»Last »