આંસુની અધિકૃત વિક્રેતા છે થોડી આંખ આ ?
ખાત્રીપૂર્વકનું ને જથ્થાબંધ ક્યાંથી રોઈએ !
મુકુલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for જટિલ

જટિલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પાછાં પધારો પણ – ‘જટિલ’ વ્યાસ

હવે નૌકા તો શું, આગળ નથી વધતા વિચારો પણ,
હતી મઝધાર તું મારી અને સામો કિનારો પણ.

હતા એવાય દિવસો, ઘા કરી જાતો ઈશારો પણ,
હવે ક્યાં ભાન છે, ભોંકાય છે લાખ્ખો કટારો પણ ?

કરું શું રાતની વાતો હવે તારા વિરહમાં હું ?
કે મારા દિલને અજવાળી નથી શકતી સવારો પણ.

હતાં ત્યારે તો રણની રેત પણ ગુલશન બની જાતી,
નથી ત્યારે આ ગુલશનમાં બળી ગઈ છે બહારો પણ.

હતી ત્યારે જીવનની હર ગલીમાં પણ હતી વસ્તી,
હવે લાગે છે ખાલીખમ જગતભરનાં બજારો પણ.

જીવન પ્યારું હતું તો રોમેરોમે દીપ જલતા’તા,
બળી મરવું છે ત્યારે કાં નથી જડતો તિખારો પણ ?

મિલન માટે તો મહેરામણ તરી જાતો ઘડીભરમાં,
હવે પામી નથી શકતો આ આંસુઓનો આરો પણ !

તમે જોયું હશે – કળીઓ મને ખેંચી જતી પાસે,
હવે જોતાં હશો – મોં ફેરવી લે છે મજારો પણ.

મને છોડ્યો તમે છો ને, તમારું દિલ તજી જાશે,
ભલેને લાખ પોકારો, નહીં પામો હુંકારો પણ.

મને આપ્યું તમે, એ તમને પણ મળશે તો શું થાશે ?
વિરહની શૂન્યતા – લાંબા જીવન સાથે પનારો પણ.

‘જટિલ’, મુજ ખાખમાં આજેય થોડી હૂંફ બાકી છે,
હજી એને છે આશા કે તમે પાછાં પધારો પણ.

– જટિલરાય કેશવલાલ વ્યાસ

લગભગ સો વર્ષ પહેલાં રાજકોટના કોટડા સાંગાણીમાં 11-5-1917ના રોજ જન્મેલા, બીએ ભણેલા અને પશ્ચિમ રેલવેમાં ઑડિટર તરીકે સેવા આપનાર આ કવિની ગઝલસ્વરૂપ વિશેની નિસ્બત અહીં સાફ નજરે ચડે છે. લગભગ પચાસ વર્ષ પહેલાં 1967ની સાલમાં ‘નવનીત’માં છપાયેલ આ ગઝલ છંદની ચોકસાઈ, કાફિયા-રદીફની ચુસ્તતા, વિચારોની સફાઈ અને વાંચતા જ યાદ રહી જાય એવી સાફબયાનીવાળા શેરોના કારણે ધ્યાનાર્હ બની રહે છે. વિયોગ અને વિષાદનો ગુણાકાર એ આ ગઝલનો સાચો સરવાળો છે.

Comments (6)

ન સળગ્યો – ‘જટિલ’

તમે ગાન છેડ્યાં, ન સમજ્યો બરાબર !
ઘણી પ્રીત વરસ્યાં, ન પલળ્યો બરાબર !

તુફાનો જગાવ્યાં બની ચંદ્ર આપે,
હતો છીછરો હું ન છલક્યો બરાબર !

ઘનશ્યામ !  તેં  ગર્જના  ખૂબ  કીધી,
બની મોરલો હું ન ગળક્યો બરાબર !

મિલાવ્યા કર્યા તાર, ઉસ્તાદ, તેં તો,
બસૂરો રહ્યો હું ન રણક્યો બરાબર !

અજાણ્યો અને અંધ જેવો ગણીને,
તમે હાથ આપ્યો ન પકડ્યો બરાબર !

છતાં આખરે તેં મિલન-રાત આપી,
ગઈ વ્યર્થ વીતી – ન મલક્યો બરાબર !

– ‘જટિલ’

પ્રભુ સાથે પ્રીત કરવાથી માંડીને છેક મિલન સુધીની કેટકેટલી તકો મળવા છતાંયે એને બરાબર ન પકડી શકવામાં કારણભૂત તો પોતાની અસમર્થતા જ છે, એ વાતનો કવિ અહીં ખુલ્લા દિલે સ્વીકાર કરે છે.

Comments (12)