શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર ! તું ભગવાનથી પણ ખાસ છે.
એ ખભો નહિ હોય તો નહિ ચાલશે,
એ ખભો ક્યાં છે ? એ મારો શ્વાસ છે.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 24, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિમલ પંડ્યા 'પાર્થ'
બે ઘડીની આ રમતને શું કરું?
શ્વાસ સાથેની મમતને શું કરું?
આખરે તો હારવાનું છે પછી,
મોત સામેની લડતને શું કરું?
આંખથી એ તો સરી જાશે કદી,
આંસુઓ કેરી બચતને શું કરું?
પાછું વાળી જોઉં તોયે વ્યર્થ છે,
હું ગયેલા એ વખતને શું કરું?
બેઉ પક્ષેથી એ નભવી જોઈએ!
પ્રેમની પહેલી શરતને શું કરું?
લાગણી આપો જરા તો ઠીક છે,
આ ઉપેક્ષાઓ સતતને શું કરું?
‘પાર્થ’ જેને શોધતાં થાકે ચરણ,
સ્વપ્નમાંના એ જગતને શું કરું?
– હિમલ પંડ્યા ‘પાર્થ
કેવી સ-રસ ગઝલ… એક-એક શેર પાણીદાર !
નાની ઉંમરે મૃત્યુને સન્મુખ આવી ઊભેલું જોનાર અને સદનસીબે જીવતદાન પામનાર આ યુવા કવિની ગઝલોમાં મૃત્યુનો સંસ્પર્શ સતત વર્તાતો જોવા મળે છે…
Permalink
June 23, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી

દુનિયાભરની અટકળ આવે,
જ્યારે કોરો કાગળ આવે.
ખેડો તદ્દન નવી સફર તો,
રસ્તો પાછળ પાછળ આવે.
પ્રેમ કર્યો પણ રડ્યા નથી જે,
થાય ઊભા ને આગળ આવે.
એક સ્મરણ મેં પાછું કાઢ્યું,
હું ઇચ્છું છું પુષ્કળ આવે.
થોડા ચ્હેરા એવા મોકલ,
સૌની આંખોમાં બળ આવે.
તું મારામાં કેમ ન આવે ?
જો પથ્થર પર કૂંપળ આવે.
– ભાવિન ગોપાણી
‘ઉંબરો’ વટાવો અને ‘ઓરડો’માં પ્રવેશો. ભાવિન ગોપાણી એમના બીજા ગઝલસંગ્રહ વડે એમના ગઝલઘરમાં આપણને આમંત્રે છે. સંગ્રહમાંથી એક સંઘેડાઉતાર રચના આપ સહુ માટે.
બીજા સંગ્રહ માટે કવિને લયસ્તરો તરફથી શુભકામનાઓ….
Permalink
June 18, 2016 at 2:28 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
યાદનાં પગલાં સતત,
છેતરે મન હર વખત.
છે નવું આરંભમાં,
અંતમાં એ પૂર્વવત્.
જાઉં ક્યાં ફરિયાદ લઈ ?
છે મને મારી અછત.
શ્વાસ પુષ્કળ કિંમતી,
પણ હવા આપી મફત.
એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.
કોણ આ વચ્ચે ઊભું ?
હું જ સત ને હું અસત.
– હર્ષ બ્રહ્મભટ્ટ
ટૂંકી બહેરમાં સરસ કામ.
Permalink
June 17, 2016 at 2:12 AM by વિવેક · Filed under ગઝલ, વેણીભાઈ પુરોહિત
જિંદગીની દડમજલ થોડી અધૂરી રાખવી,
ચાલવું સાબિત કદમ, થોડી સબૂરી રાખવી.
જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી.
જોઈ લેવું આપણે, જોનારને પણ છૂટ છે,
આંખને આકાશના જેવી જ ભૂરી રાખવી.
ભાનભૂલી વેદનાઓને વલૂરી નાખવી,
જ્વાલા ભલે ભડકી જતી, દિલમાં ઢબૂરી રાખવી.
જામમાં રેડાય તેને પી જવાનું હોય છે,
ઘૂંટડે ને ઘૂંટડે તાસીર તૂરી રાખવી.
કેફીઓના કાફલા વચ્ચે જ જીવી જાણવું,
થોડુંક રહેવું ઘેનમાં, થોડીક ઘૂરી રાખવી.
ઝંખનાઓ જાગતી બેઠી રહે છે રાતદિન,
જાગરણની એ સજાને ખુદને પૂરી રાખવી.
એમના દરબારમાં તો છે શિરસ્તો ઔર કંઈ,
ફૂંક સૂરીલી અને બંસી બસૂરી રાખવી.
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઇશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી
– વેણીભાઈ પુરોહિત
કબરમાંથી મડદાંને બેઠી કરી દે એવી ખુમારીવાળી ગઝલ. થોડી અદાઓ ફાંકડી અને બાજ-બુલબુલવાળા બે શેર તો કોલેજકાળમાં અમે જ્યાં ને ત્યાં ફટકારતા.
આ ગઝલ 2007માં ટહુકો ડૉટ કોમ પર વાંચી હતી ત્યારે હે પ્રતિભાવ મેં આપ્યો હતો એ આજે કવિમિત્ર નિનાદ અધ્યારુએ શોધી કાઢીને મને મોકલ્યો, જે અહીં ઉમેરવાની લાલચ જતી નથી કરી શકતો: “આ ગઝલના બે શેર જ મને ખબર હતા અને એ બંને મારા ઓલટાઈમ ફેવરીટ રહ્યા છે. મુક્તકની જેમ હું એ બે શેર સાથે જ લલકારતો રહું છું અને જ્યારે અંદરથી ઢીલાશ અનુભવું છું ત્યારે મોટેથી અંદર જ લલકારું છું અને પુનર્ચેતના પામું છું. વાત ઈશ્કની છે પણ ગઝલનો અંદાજ-એ-બયાઁ એટલો પ્રબળ છે કે મડદામાં જાન લાવી દે. પણ એ બીજો બીજો શેર ક્યાં ગયો?
જીવવું છે, ઝૂરવું છે, ઝૂઝવું છે, જાનેમન !
થોડી અદાઓ ફાંકડી, થોડી ફિતૂરી રાખવી
બાજ થઈને ઘૂમવું અંદાજની ઊંચાઈ પર,
ઈશ્ક ખાતર બુલબુલોની બેકસૂરી રાખવી.”
***
* ફિતૂરી – બળવાખોરી
* ઘૂરી = આવેશ, ઊભરો, જુસ્સો
Permalink
June 16, 2016 at 1:39 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
અમથી-અમથી ફાળ પડે છે,
વિચારું ત્યાં ડાળ પડે છે !
વિક્રમ જેવું જીવું કિન્તુ,
ખભ્ભે રોજ વેતાળ પડે છે !
આંખો સામે જોયા ના કર,
આંખો બહુ ખર્ચાળ પડે છે !
ત્યાં પણ ઘોડાપૂર જોયાં જ્યાં-
પાણી પહેલા પાળ પડે છે.
એણે ના પાડી તો શું છે ?
દિલના ક્યાં દુકાળ પડે છે !
ખોટું બોલો, સરઘસ કાઢે,
સાચું બોલો, ગાળ પડે છે !
પ્રેમ કરો તો જાણો સાહેબ,
દિલમાં કેવી જાળ પડે છે !
મૂઠ્ઠીભર સુખ માંડ છૂપાવું,
ત્યાં દુનિયાની લાળ પડે છે.
પ્રેમમાં સૌ કોઈ પડતુ કિન્તુ,
સૌ પહેલા શરમાળ પડે છે !
‘નિનાદ’ મારી વ્હાલી જગ્યા :
એની જ્યાં પરસાળ પડે છે !
– નિનાદ અધ્યારુ
પાણીદાર ગઝલ… લગભગ બધા જ શેર સંતર્પક.
Permalink
June 14, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શ્યામ સાધુ
દુ:ખની દીવાલે મોર સમયના મૂંગા હતા;
લાગે છે એટલે જ આ આંસુ ઊનાં હતાં !
હોવાનો અર્થ આ રીતે અહીંયાં જટિલ છે,
છે દ્વાર ક્યાં ? છતાંય કહે છે : ખૂલાં હતાં !
પરબીડિયાની વચ્ચે ઉદાસી ઊગી હશે,
શબ્દો તો એના એ જ છે, અર્થો જુદા હતા.
કૃપા કરીને ખુશબો અલગ તારવો નહીં,
ફૂલોની વચ્ચે થાકીને રંગો સૂતા હતા !
દિવસો જ દોસ્ત જેમ અહીં આથમી ગયા,
સૂરજની જેમ નહીં તો અમે પણ ઊભા હતા !
– શ્યામ સાધુ
કોમળ શબ્દો….સુંદર ગૂંથણી….મનનીય અર્થ….
Permalink
June 11, 2016 at 2:22 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી

પાથરે છે યાદ, ચ્હેરા ચીતરીને
ઘરની ભીંતો પરથી ચૂનો પણ ખરીને.
કહી ગયો અંધાર આ શું કરગરીને ?
સૌ દીવા પાછા ફર્યા જાતે ઠરીને.
આપ જે માણી રહ્યા છો નાચ જેવું,
કોઈનું એ જીવવું છે થરથરીને.
વૃક્ષ જેવા વૃક્ષથી નારાજ થઈને,
રોડ પર આવી ગયાં ફૂલો ખરીને.
ઓળખું ક્યાંથી એ પડછાયાને મારા !
જે મળ્યો કાયમ મને ઊંધો ફરીને.
દૂરનું રણ જોઈને જો ખુશ થયા તો,
આંગણે આવી જશે એ વિસ્તરીને.
– ભાવિન ગોપાણી
ઉંબરા પર પગ મૂકતાં જ ઓરડો કેવો હશે એનો ક્યાસ આવી જાય છે એમ જ ભાવિન ગોપાણીના ‘ઉંબરો’ સંગ્રહમાંની આ ગઝલના ઉંબરે – પહેલા શેર આગળ ઊભતાં જ આખી ગઝલનો અંદાજ આવી જાય છે. ભીંત પરથી અનિયમિત આકારમાં ચૂનો ખરે અને એમાં કોઈનો ચહેરો યાદ બનીને પથરાતા હોય એ એક કલ્પન જ આખી ગઝલની રેખાકૃતિ ચીતરી આપે છે. આંધારાની વિનંતીને માન આપીને જાતે ઠરી જતા દીવા પણ દાદ માંગી લે છે. સમય સાથે ખરી જતાં ફૂલોની હકીકતને નારાજગી સાથે સાંકળી લેવાનું કમાલ ચિત્ર દોર્યા બાદ કવિ ખરી કમાલ તો ‘રોડ પર આવી જવું’ રુઢિપ્રયોગને બેવડા અર્થમાં જે રીતે પ્રયોજે છે એમાં કરે છે…
કવિના પ્રથમ ગઝલસંગ્રહ ‘ઉંબરો’નું લયસ્તરોના ઉંબરે સહૃદય સ્વાગત છે….
Permalink
June 10, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા

રંગ કાળો, પીળો થયો જ નહીં,
એના દિલમાં દીવો થયો જ નહીં !
બાકી રાખી દીધું વરસવાનું,
એણે ને હું ભીનો થયો જ નહીં !
એક પથ્થરને મેં તરાસ્યો બહુ,
પણ કદી એ હીરો થયો જ નહીં !
કાગડા હોય છે બધે કાળાં,
કંઈ અનુભવ બીજો થયો જ નહીં !
માત્ર મારા જ માપમાં છું હું,
સહેજ ઊંચો, નીચો થયો જ નહીં !
ક્યાંક આગળ હતો હું રસ્તા પર,
એથી એનો પીછો થયો જ નહીં !
સૂર્ય કિરણોની જેમ ચાલું છું,
કોઈ રસ્તો સીધો થયો જ નહીં !
– ભરત વિંઝુડા
લયસ્તરોના આંગણે કવિમિત્ર શ્રી ભરત વિંઝુડા એમનો સાતમો ગઝલ સંગ્રહ “તો અને તો જ” લઈને આવ્યા છે… કવિ અને સંગ્રહ – બંનેનું દબદબાભેર સ્વાગત… સંગ્રહમાંથી એક ગઝલ પ્રસ્તુત કરીએ…
Permalink
June 6, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
નયનના કોઈ ખૂણામાં પડ્યું છે ધાન આંસુનું,
અમે એમાં મૂક્યાં છે સ્વપ્ન કાચાં પાકવા માટે.
કર્યું છે એક ચપટીમાં જ તેં આખુંય જંગલ ખાક,
ન ગમતા એક એવા પાંદડાને કાઢવા માટે.
સરોવરમાં જઈને નાખ કે જઈને નદીમાં ફેંક,
ફક્ત ખાબોચિયાં છે આ બધાં તો ખારવા માટે.
કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.
– અનિલ ચાવડા
દરેક શેર એક કહાની છે….
Permalink
June 4, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, યામિની વ્યાસ
જાદુ શું કીધો ગરમાળે !
ટહુકા બેઠા ડાળે ડાળે.
ક્ષણ ક્ષણનું આ વસ્ત્ર સમયનું,
વણતું કોઈ કબીરની સાળે.
વીત્યાં વર્ષો જાણે ઝૂલે,
કરોળિયાના જાળે જાળે.
પાંદડીઓ ઝાકળ પીવાને
સૂરજના કિરણોને ગાળે.
બાળક રડતું ‘મા.. મા..’ બોલ્યું,
મેં જોયું હૈયાની ફાળે.
આવ ગઝલ, તારું સ્વાગત છે,
કોઈ તને મળવાનું ટાળે ?
– યામિની વ્યાસ
નખશિખ સંતર્પક રચના.
Permalink
June 3, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રાજુ રબારી
પંખીઓના રોજ મેળા થાય છે,
એટલે તો સાંજવેળા થાય છે.
એટલે વરસી પડે છે વાદળાં,
આભમાં પાણીય ભેળાં થાય છે.
સંતુલન કેવું હશે ઈશ્વર તણું,
સાપની સાથે જ શેળા થાય છે !
પારખાં ત્યારે જ મિત્રોના થશે,
કોઈની વેળા કવેળા થાય છે.
– રાજુ રબારી
વાતો તો એની એ જ છે પણ જે વાત ધ્યાન ખેંચે છે એ છે કવિનો નોખો અંદાજ-એ-બયાઁ. છેલ્લા શેરમાં કવિએ જે રીતે “વેળા કવેળા” શબ્દપ્રયોગ કર્યો છે એ સાચે જ કાબિલ-એ-દાદ છે…
Permalink
June 2, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ

એમ પીડાને હું હરાવું છું,
તું વધારે છે, હું વધાવું છું.
એ જ જખ્મો છે, એ જ નક્શો છે,
ભાત નોખી હું ક્યાં બતાવું છું ?
કોઈ સુંવાળી ક્ષણ લપેટીને
લ્યો, હું ઘડપણ સહજ વિતાવું છું.
તું હશે સારથિ જગતનો પણ
મારા ઘરને તો હું ચલાવું છું…!
છો ને ઊંચક્યો કદી તેં ગોવર્ધન,
જાતને રોજ હું ઉઠાવું છું.
– સુનીલ શાહ
કવિની કમાલ સમજવા આખી ગઝલ કે આખા સંગ્રહમાંથી પસાર થવાની જરૂર જ નથી. ફક્ત મત્લાનો શેર જ જુઓ. પીડાની ઉપર વિજય મેળવવાની ચાવી એટલે જીવતાં શીખવાની કળા. સામું પાત્ર કે દુનિયા કે ઈશ્વર સાક્ષાત ભલેને પીડાને વધારતા હોય, પણ જે ઘડીએ આપણે એને વધાવી લેતાં શીખી જઈએ એ ઘડી પીડાને પરાસ્ત કરવાની ઘડી છે. પણ કવિની ખરી કમાલ તો અહીંથી જ આગળ વધે છે. ‘વધારે’ અને ‘વધાવું’ – બે શબ્દોમાં ફક્ત છેલ્લા એક જ અક્ષરને બદલી નાંખીને કવિ જે રીતે બે અલગ જ અર્થ સાવ સાંકડી જગ્યામાં ઊભા કરી શક્યા છે એમાં જ ખરી કવિતા અને કવિની કમાલ નજરે ચડે છે.
સુરતના કવિમિત્ર શ્રી સુનીલ શાહ પોતાના પ્રથમ ગઝલસંગ્રહ “પાંખોની દોસ્તી” લઈને લયસ્તરોના આંગણે આવ્યા છે ત્યારે એમનું સહૃદય સ્વાગત અને કોટિ કોટિ શુભકામનાઓ…
Permalink
May 28, 2016 at 12:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
મળ્યાં સામે અને આપી તમે મુસ્કાન આહાહા !
અધૂરા સ્વપ્નનો ઉતરી ગયો સામાન આહાહા !
તમે સામે જ બેઠાં, રાખ્યું મારું માન આહાહા,
હું શું બોલું ? મને લાગી ગયું છે ધ્યાન આહાહા !
તમોને જોઈ મારી આંખ મોભાદાર થઈ ગઈ છે,
તમે દેખાવ છો એવા તો જાજરમાન આહાહા !
તમોને ફૂલ આપું ? ફૂલને હું ફૂલ શું આપું ?
તમે બોલો અને મહેકી ઊઠે ઉદ્યાન આહાહા !
તમો સંગ આંખ લાગી ગઈ ને અમને પાંખ લાગી ગઈ,
ઘડીમાં સર થયાં આ કેટલા સોપાન આહાહા !
– કિરણસિંહ ચૌહાણ
આહાહા ! આહાહા ! બસ, આહાહા !!!
Permalink
May 23, 2016 at 1:52 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે બાકસના ખોખા
લચ્યા’તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપના છે સુક્કા મલોખા
તું તરસ્યાને આપે છે ચીતરેલા સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા
વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા
– મનોજ ખંડેરિયા
Permalink
May 19, 2016 at 1:40 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.
– સ્નેહી પરમાર
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. કવિ સ્નેહી પરમાર અહીં સભાની અને સભામાં બેસનારની લાયકાતની ગઝલ લઈ આવ્યા છે. આપણી ભાષામાં આવો વિષય કદાચ કોઈએ પહેલવહેલીવાર અને એ પણ નખશિખ ઔચિત્ય સાથે ખેડ્યો હશે. ગઝલ જેમ જેમ આગળ વધે છે એમ એમ શેર વધુને વધુ બળવત્તર બનતા જાય છે અને આખરી બે શેર તો જાણે સૉનેટની પરાકાષ્ઠા જેવા. વાહ કવિ !
Permalink
May 13, 2016 at 2:03 AM by વિવેક · Filed under ગઝલ, રશીદ મીર
એ જે અફવા હતી કથા છે હવે,
આવ, જોવા સમી દશા છે હવે.
દૂર ઊડતો ગુબાર જોઉં છું,
કાફલો છે કે ના દિશા છે હવે.
તું હતી તો ખુદા હતો મારો,
ના ઈબાદત, ના આસ્થા છે હવે.
એક મારા જ પ્રાણ રૂંધાયા,
નહિ તો ચારે તરફ હવા છે હવે.
રંગ ગેરુઓ હોય કે લીલો,
જે પતાકા હતી, ધજા છે હવે.
સાતસો છ્યાસીથી શરૂ થઈને,
આ ગઝલ પોતે શ્રીસવા છે હવે.
‘મીર’ ઘરના ખૂણામાં બેઠો છું,
મારે આઠે પ્રહર મજા છે હવે.
– રશીદ મીર
બધા જ શેર સંતર્પક પણ ‘તું હતી તો ખુદા હતો મારો’વાળો શેર વાંચતા સાથે જ ચિત્તતંત્રને જાણે લકવો મારી ગયો. બે સાવ નાની નાની પંક્તિમાં પ્રેમની કેવી સરસ વ્યાખ્યા ! અને એકસાથે ઈબાદત અને આસ્થા- બંનેને સાંકળી લઈને કવિ પ્રેમની ધર્મનિરપેક્ષતા પણ ચાક્ષુષ કરી આપે છે.
Permalink
May 12, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
તક નિરાળી મળી છે સમજી જા
રમ્ય ક્ષણ સાંપડી છે સમજી જા
વૃત્તિ તો વાંઝણી છે સમજી જા
પીડ એની જણી છે સમજી જા
સૌ ચળકતાં ચટા-પટા, ટપકાં
ક્ષણજીવી કાંચળી છે સમજી જા
સ્ફોટ શું એ તને ખબર ક્યાં છે ?
જાત દીવાસળી છે સમજી જા
શક્ય છે પળમાં થંભી જાય હવે
તર્ક તો વા-ઝડી છે સમજી જા
તારા નખ પર છે ડાઘ એના હજુ
લાગણી કોઈ ખણી છે સમજી જા
માત્ર મુઠ્ઠી જુવારના માલિક !
એની તો વાવણી છે સમજી જા.
– સંજુ વાળા
ભાવક પાસે ઉચ્ચ કક્ષાની સજ્જતાની વણકથી ‘ડિમાન્ડ’ કરતા સંજુ વાળા પાસેથી પ્રથમ પ્રયાસે ઉઘડી જાય એવી રચના મળે એ ફેબ્રુઆરીના ઓગણત્રીસમા દિવસ જેવી ઘટના છે. પણ આ સંજુ વાળાની રચના છે. સરળ અને સહજ લાગતા શેરમાં પણ ઊંડે ઊતરી શોધશો તો છીપમાંના મોતી જેવો ખજાનો જડશે એની ગેરંટી.
Permalink
May 8, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,
સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી.
વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,
બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.
બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,
સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી.
નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,
મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી.
કાંકરી પૃથ્વીની ખૂંચે છે પગે પગ ક્યારની,
આભની સીમાઓ પૂરી થાય છે ગોફણ સુધી.
કાળનું કરવું કે ત્યાં ‘આદિલ’ સમય થંભી ગયો,
જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.
– આદિલ મન્સૂરી
Permalink
May 7, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
ફોનમાં ગુજરાતી વંચાતું નથી,
એને શું કહેવું એ સમજાતું નથી !
આપણે બીજાને બોલી નાખીએ,
આપણાથી એજ સંભળાતું નથી.
એમ ના પૂછો કે શું-શું થાય છે,
એમ તો પૂછો કે શું થાતું નથી ?
પથ્થરો બોલો તો ઠોકી મારીએ,
આપણાથી ફૂલ ફેંકાતું નથી !
જિંદગીને કેમ જીવવી જોઈએ ?
એ પરીક્ષામાં તો પૂછાતું નથી !
ગામ આખા કાજ તાળી પાડીએ,
આપણું આણું જ પથરાતું નથી !
આપણું જે ખૂબ ગમતું નામ હો,
નામ કમબખ્ત એજ બોલાતું નથી.
આપણે રૂપિયા તો ખર્ચી નાખીએ,
આપણું હોવું જ ખર્ચાતું નથી !
રાખીએ અંતર, બધું એથી થતું,
સ્પર્શવાથી કાંઈ અભડાતું નથી.
થાય તો એ પણ કરી જોતે ‘નિનાદ’,
પણ ગઝલ સાથે તો પરણાતું નથી !
– નિનાદ અધ્યારુ
મત્લાના શેરને બાદ કરીએ તો શીરાની જેમ ગળે ઊતરી જાય એવી મનનીય રચના. જે આપણે બીજાને આસાનીથી સંભળાવી દેતા હોઈએ છીએ એ જ બીજાના મોંએ સાંભળવું દોહ્યલું થઈ પડે છે. આપણી પરીક્ષાપદ્ધતિ પર મર્મભેદી કટાક્ષ કરતો શેર, અને આખરી ત્રણ શેર ઓલ-ટાઇમ-ગ્રેટની હરોળમાં છાતી કાઢીને બેસી શકે એવા થયા છે.
Permalink
May 6, 2016 at 12:30 AM by વિવેક · Filed under કુલદીપ કારિયા 'સારસ', ગઝલ
સંબંધોની ટ્રેન અચાનક પાટા પરથી ખડી ગઈ છે,
બે-ત્રણ સપનાં થયાં છે ઘાયલ, બેત્રણ ઇચ્છા મરી ગઈ છે.
સૂરજને મેં ટોપી માફક પહેરી લીધો છે માથા પર
મારા રૂપે સૌને જાણે દીવાદાંડી મળી ગઈ છે.
બહુ જ દાઝ્યુ છે મન એથી એના પર હું બરફ ઘસું છું
તારી વાચારૂપે પાછી ગરમ તપેલી અડી ગઈ છે.
શિખર સુધી તો પહોંચ્યું છે બસ, મારા હોવાનું એક ટીપુ
ઓગળતા ઓગળતા આખી જાત પગથિયે રહી ગઈ છે
એને પાણી પીવડાવો મા, સાવ સમૂળી ઉખેડી નાખો
ફરી નકામા ઘાસની માફક તરસ અમારી વધી ગઈ છે
– કુલદીપ કારિયા
અતિરેકના બોજાથી ગુજરાતી ગઝલની ડોક લચી પડી હોવાની પીડાના પાટિયાં ગામભરમાં મારતા રહેતા વિવેચકોને આવી ગઝલ શું વાંચવા નહીં મળતી હોય ? અનિલ, મિલિન્દ, નિનાદ જેવા જૂજ મૌલિક બાની અને અનૂઠી અભિવ્યક્તિ સાથે પોતીકા ચીલા ચાતરનાર ગઝલકારોની પાંખી યાદીમાં કુલદીપ કારિયાનું નામ ન મૂકો તો યાદી અધૂરી રહે. આપણી કવિતાએ આ પહેલાં જોયા ન હોય એવા કલ્પન, અક્ષુણ્ણ રજૂઆત અને સરવાળે સિદ્ધ થતો કાવ્યપદાર્થ આ ગઝલને નખશિખ આસ્વાદ્ય બનાવે છે.
Permalink
May 5, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દેવાંગ નાયક
પળેપળ અહર્નિશ આ રેતી ખરે છે,
ભલે કેદ રાખો, સમય તો સરે છે.
આ કોની પ્રતીક્ષા હશે બારણાંને?
એ ભીતરથી કાયમ ટહુકયા કરે છે !!
તમે કંઈક બનવા કરો ના મથામણ !!
હવા શ્વાસ બનવા કદી કરગરે છે ??
મને એ ઘડી ટાંકણી જેમ ભોંકાય,
કોઈ જ્યારે બાળકનું વિસ્મય હરે છે.
હું છોડી નથી શકતો પિંજર ધરાનું,
મને રોજ પંખી બે પાંખો ધરે છે !!
કોઈને ભરોસો નથી કોઈના પર,
હૃદય માંગ્યું એનું, તો કહે છે ઘરે છે !!
– દેવાંગ નાયક
વૉટ્સ-એપ પર દેવાંગ નાયકની રચનાઓ સાથે લાંબા સમયથી આછો-પાતળો પરિચય થતો રહ્યો છે પણ આ રચના વાંચતાવેંત અટકી જવાયું. રેતશીશીવાળો મત્લા જ કવિની શક્તિથી ભવકને પરિચિત કરી દે છે. બધા જ શેર આસ્વાદ્ય થયા છે પણ હવા શ્વાસ બનવા કદી કરગરતી નથીવાળો શેર અભિવ્યક્તિની તાજગી અને અર્થની ઊંડાઈને કારણે સવિશેષ સ્પર્શી જાય છે.
Permalink
May 3, 2016 at 7:50 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
એક નાના કાંકરે આખી નદી ડ્હોળાય નૈં,
પણ શું એનાથી જરા અમથું વમળ પણ થાય નૈં?
આવું કહેતા કહેતા આખી જિંદગી જીવી ગયો,
“આ રીતે તો એક દાડો પણ હવે જીવાય નૈં.”
એ કહે કે બહુ બટકણી ડાળ છે વિશ્વાસની,
ત્યાં જ બટક્યો હું ને એણે શું કહ્યું સંભળાય નૈં.
મજબૂરી – બજબૂરી જે કે તે બધુંયે સાચું પણ,
આ રીતે તો કોઈને ક્યારેય તરછોડાય નૈં.
લાગણી છે એટલે લપસાય પણ, છોલાય પણ;
લીલવાળા માર્ગ પર ઝાઝો સમય દોડાય નૈં.
તારું લેવલ તો શિખર કરતાં ય ઊંચું છે અનિલ,
પણ રહે તું મધ્યમાં જ્યાં ટોચ નૈં તળિયાં ય નૈં.
– અનિલ ચાવડા
Permalink
May 1, 2016 at 6:51 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
જીવનભર જળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
ઝીણી ઝાકળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
અહીં ચોમેર મારી પગલાં પગલાં લાખ પગલાં છે
વીતેલી પળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
કદી ચકમકના પથ્થર જેમ મારાથી હું અથડાયો
પછી ઝળહળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
ખૂલેલાં દ્વારનો અજવાસ પ્હેલી વાર સૂંઘ્યો મેં
ભીડી ભોગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે
સદા શબ્દોના અગ્નિસ્તંભને મેં બાથ ભીડી છે
સતત કાગળમાં સળગ્યો છું ઘડીભર શ્વાસ લેવા દે.
-મનોજ ખંડેરિયા
(સૌજન્ય – નેહલ https://inmymindinmyheart.com )
Permalink
April 30, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર

તું સાચો છે કહેવા ખુદ તું ઊઠે છે !
ઘી પણ સાચું હોય, તો ખુશબૂ ઊઠે છે.
બાકી સઘળે ઊઠે છે તે બજવાળું
અજવાળું તો એની ફરતે ઊઠે છે
ઊઠીને તેં શું ઉમેર્યું પૃથ્વીમાં ?
રોજ સવારે અમથું અમથું ઊઠે છે.
ક્યાં ઊઠે છે કોઈ તમારા આદરમાં !
ગજવાને ભાળીને ગજવું ઊઠે છે.
ત્યારે થાતું ‘બેસી રહેવું છે અહિયા’
જ્યારે કોઈ બાળક ભણતું ઊઠે છે.
– સ્નેહી પરમાર
બગસરાથી કવિમિત્ર સ્નેહી પરમાર એમનો બીજો ગઝલસંગ્રહ “યદા તદા ગઝલ” લઈ આવે છે. લયસ્તરોના આંગણે એમનું સહૃદય સ્વાગત અને અઢળક મબલખ સ્નેહકામનાઓ…
Permalink
April 29, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રમોદ અહિરે
શબદ તો કામ લાગે પ્રાસ માટે,
મને તો જોઈએ છે શ્વાસ માટે.
ફકત કાયામાં હું આવી શકું નહિ,
સકળ બ્રહ્માંડ દે આવાસ માટે.
રહું છું ઘરમાં ઘરથી પર રહીને,
તો શાને જાઉં વન વનવાસ માટે ?
તું પણ સંતોષ પામ્યો, એ તું જાણે,
લખું છું હું તો મારી પ્યાસ માટે.
હું પણ ગીતા છું તું વાંચી શકે તો,
હું પુસ્તક ના બનું વિશ્વાસ માટે.
– પ્રમોદ અહિરે
સુરતમાં ઘણા મજબૂત ગઝલકારો માત્ર એમની નિર્લેપતા અને કંઈક અંશે આળસના કારણે ગઝલપ્રેમીઓની નજરથી અછતા રહી ગયા છે. પ્રમોદ અહિરે એમાંના એક. એક-એક શેર હાથમાં લો. કવિએ કાફિયા કેવા ચપોચપ નિભાવ્યા છે એ જુઓ. કવિની ખુમારી જુઓ. બધા જ શેર લાંબા સમય સુધી તમારા મનોમસ્તિષ્ક પર કબજો કરી રાખે એવા બળવત્તર.
Permalink
April 28, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
ઉન્માદથી, અવસાદથી વાકેફ છું,
હું પ્રેમના સૌ સ્વાદથી વાકેફ છું.
ગમવા છતાં તું ‘વાહ’ ના બોલી શકે,
એવી અધૂરી દાદથી વાકેફ છું.
સાચુ કહું ? આ હાથ છૂટ્યો છે છતાં,
બન્ને તરફના સાદથી વાકેફ છું.
એવું નથી કે તું જ સોરાયા કરે,
હું પણ બધી ફરિયાદથી વાકેફ છું.
બહેરી નથી કંઈ એમ તો આ ચામડી,
છું, સ્પર્શના સંવાદથી વાકેફ છું.
ખાંગા થઈને અક્ષરો તૂટી પડે,
એવા ઘણા વરસાદથી વાકેફ છું.
– પારુલ ખખ્ખર
કોઈ એક શેર પર આંગળી મૂકવી દોહ્યલું થઈ પડે એવી ગઝલ. હાથમાંથી હાથ છૂટે, સંબંધ તૂટે એવા દોરાહા પર આવી ઊભીએ ત્યારે એકતરફ તૂટેલા કે તોડવા પડેલા સંબંધમાંની પોઝિટિવિટિ અને બીજી બાજુ ગળામાંના ઘંટીના પડમાંથી આઝાદીની હવા આહ્વાન આપી રહી હોય એ કશ્મકશને તાદૃશ કરતો શેર “સાચું કહું?”ના લહેકાસભર ઉઠાવથી તરત જ દિલને સ્પર્શી જાય છે.
Permalink
April 26, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મેગી અસનાની
ખોખલી સંભાળ પર જીવી ગયું,
આ હ્રદય પંપાળ પર જીવી ગયું.
હૂંફ ન આપી શક્યું મન દંભને,
શુષ્કતાના આળ પર જીવી ગયું.
પાંખ શેના કાજ છે ન્હોતી ખબર,
એક પંખી ડાળ પર જીવી ગયું.
છે સહજ સંજોગ સઘળું શીખવે,
સ્થિર મન પણ ઢાળ પર જીવી ગયું.
તરફડીને સૂર્યનું છેલ્લું કિરણ,
માછલીની જાળ પર જીવી ગયું.
ચાતકે બસ પ્રેમની પામી નજર,
એટલે દુષ્કાળ પર જીવી ગયું…
– મેગી અસનાની
Permalink
April 23, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
જિંદગીમાં એટલે અંધાર છે,
ક્યાં હજી અજવાસની હકદાર છે ?
ઊંચકું છું એને હું અડ્ક્યા વિના,
મારી પર એવા ઘણાયે ભાર છે.
મૃત્યુ લગ વ્હેરે છતાં અડકે નહીં,
શ્વાસ પર એવી સમયની ધાર છે.
ફક્ત મૂર્તિને જ એની જાણ છે,
કે પૂજારી કેટલો ખૂંખાર છે.
હું હવે એકાંત બમણું ભોગવું,
કોઈ અંદર છે ન કોઈ બ્હાર છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ
ગઝલનો શેર ક્યારેક શ્લોકની કક્ષાએ જઈ ઊભે છે. મત્લાનો શેર જુઓ. કેવી ઊંચી વાત અને કેવા સરળ શબ્દોમાં ! જ્યાં સુધી જિંદગી પોતે અજવાળાની હકદાર નથી બનતી ત્યાં સુધી અંધારું કેમ કરી દૂર થાય ?
સરવાળે બધા જ શેર માર્મિક.
Permalink
April 22, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેગી અસનાની
જાત સાથે વાતમાં વીતી ગઈ,
રાત ઝંઝાવાતમાં વીતી ગઈ.
પ્રેમ, પીડા, લાગણી કંઈ ના મળ્યું,
જિંદગી અર્થાતમાં વીતી ગઈ.
જે મળ્યા આઘાત દિવસે એ વિષે,
રાત પ્રત્યાઘાતમાં વીતી ગઈ.
ક્યાં હયાતીની કરી છે મેં કદર,
રોજની દરખાસ્તમાં વીતી ગઈ.
આજ એનું નામ આવ્યું હોઠ પર,
બે ઘડી નિરાંતમાં વીતી ગઈ.
– મેગી અસનાની
આપણે સહુ આજે એવા વર્ચ્યુઅલ વિશ્વના વાસી બની ગયાં છીએ જેમાં આપણી પાસે આપણા સ્માર્ટ ફોન સિવાય વિશેષ કશું નોંધપાત્ર બચ્યું નથી. પરિવારના પાંચ સભ્યો સાથે બેઠાં હોય કે પાંચ-સાત જિગરી દોસ્તોની મહેફિલ જામી હોય યા નિકટના સ્વજનના લગ્નમાં જાનૈયાઓને જોઈએ – એવા દૃશ્યોની હવે નવાઈ નથી જ્યાં બધા એકબીજા સાથે ગુફ્તેગૂના બદલે પોતપોતાના સ્માર્ટ ફોનમાં વ્યસ્ત હોય. આવામાં જાત સાથે વાત એ તો જાણે દીવાસ્વપ્ન થઈ ગયું. એટલે જ કવયિત્રી કહે છે કે જાત સાથે વાતમાં વીતે એ રાત ઝંઝાવાતમાં વીતે.
Permalink
April 18, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે !
પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજુ અધુરપના ફીણ છે
તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા
ઈચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે
તું સામે જો તો આંખમાં સપનાઓ ચીતરું
બહુ તો હવામાં રંગના ધાબાં પડી જશે
હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો’તો તને યાદ છે ? – કહે
– જવાહર બક્ષી
અંતિમ શેરને બાદ કરતાં આખી ગઝલનો અંદાઝ-એ-બયાં જુઓ !!!!!!
Permalink
April 16, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
યાદ તમારી તાજી થઈ ગઈ,
સહરામાં વનરાજી થઈ ગઈ.
દિલ જાતે વેચાવા નીકળ્યું,
આંખોની હરરાજી થઈ ગઈ.
બોલો .. બોલો .. કંઈ તો બોલો
એવી શું નારાજી થઇ ગઈ ?
હાથ પકડ્યો એનો ત્યાં તો –
દુનિયા આખી કાજી થઈ ગઈ !
ઇચ્છા ધબ-ધબ નીચે ઊતરી,
આબુથી અંબાજી થઇ ગઈ !
ગીતોમાંથી ગઝલો ફૂટી,
લ્યો, સાળી જીજાજી થઈ ગઈ !
એણે એક જ પત્તુ ફેંક્યું,
મારી આખી બાજી થઈ ગઈ !
દીકરા માટે માગું આવ્યું,
મમ્મી રાજી-રાજી થઈ ગઈ.
આ તે કેવું શૂરાતન કે –
બીડી પણ શિવાજી થઈ ગઈ !
‘નિનાદ’ ગઝલો લખવી એ તો,
ઘર-ઘરની ધોરાજી થઈ ગઈ.
– નિનાદ અધ્યારુ
વાંચતાની સાથે જ આ ગઝલ એકદમ પ્યારી થઈ ગઈ. એક તો ટૂંકી બહેરમાં રવાની એવી મસ્ત, મજબૂત અને પ્રવાહી છે કે ગઝલ વાંચવી તો શક્ય જ નથી બનતી, ગણગણવી જ પડે ફરજિયાત. ગુજરાતી ગઝલમાં પહેલાં કદી જોવામાં ન આવ્યા હોય એવા અંબાજી, જીજાજી, શિવાજી, ધોરાજી જેવા અનૂઠા કાફિયામાં કવિએ એવી સહજ કળાકારીગરી કરી છે કે મજા મજા આવી જાય. શેરે-શેરે મૌલિકતા છલકાઈ રહી છે.
ત્રણેક શેર વિશે મેં કવિને એમનો અભિપ્રાય આપવા અનુરોધ કર્યો છે પણ મૂળભૂતપણે તો કવિતામાં અર્થ કરતાં અનુભૂતિ સવિશેષ મહત્ત્વની છે અને જ્યારે અનુભૂતિ અર્થને અતિક્રમી જાય ત્યારે ઉત્તમ કવિકર્મ થયું લેખાય.
Permalink
April 15, 2016 at 1:41 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.
સહેલાઈથી ન પ્રેમનાં અરમાન નીકળ્યા,
જો નીકળ્યા તો સાથ લઈ જાન નીકળ્યા.
તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં !
એ રંગ જેને જીવ સમા જાળવ્યા હતા,
એ રંગ એક રાતના મ્હેમાન નીકળ્યા.
મનમેળ કાજ આમ તો કીધા હતા કરાર,
કિન્તુ કરાર કલેશનાં મેદાન નીકળ્યાં.
કરતા હતા પહાડનો દાવો પલાશ પણ,
આવી જો પાનખર તો ખર્યાં પાન નીકળ્યાં.
હું મારા શ્વાસ જેમને સમજી રહ્યો હતો,
‘ઘાયલ’, એ શ્વાસ મોતનાં ફરમાન નીકળ્યાં.
– અમૃત ‘ઘાયલ’
ખરા સોના જેવી આ ગઝલ બે શબ્દોની મહોતાજ નથી. એ એટલી વિખ્યાત છે કે લયસ્તરો પર એ હશે જ એવા વિચારમાં કદી પૉસ્ટ જ ન કરી.
Permalink
April 13, 2016 at 2:46 AM by તીર્થેશ · Filed under ગઝલ, શ્યામ સાધુ
અવળ સવળ ઇચ્છાનો મલમલ તાર બની જા
ઘટી શકે એ ઘટનાનો શણગાર બની જા!
એકલદોકલ હોવાનો અસબાબ કાયમી,
આંખો મીંચી અંદરનો આધાર બની જા!
મેં ય કિરમજી રસ્તાનો ઇતિહાસ લખેલો,
શક્ય હોય તો તું ય ક્ષણોનો સાર બની જા!
ખરી ગયેલા તારા જેવું ભાગ્ય મળે તો,
રાત પૂનમની હોય ભલે અંધાર બની જા!
આખેઆખી શેરી એને યાદ કરે છે,
સમજ પડે તો ત્યાં જઈને અભિસાર બની જા!
હું મરજીવો, તું મરજીવો મોતી માટે,
છોડ સકલ બકવાસ, યાર તું યાર બની જા!
– શ્યામ સાધુ
તાજગીપૂર્ણ રચના….
Permalink
April 9, 2016 at 2:02 AM by વિવેક · Filed under ગઝલ, ધ્વનિલ પારેખ
વૃક્ષો એ વાતે ગભરાયાં,
ખર ખર ખર ખરવાની કાયા.
હદથી વધુ આ ક્યાં ફેલાયા ?
માણસથી છૂટે ના માયા.
જે પડછાયા થઈને ફરતા
માણસ સઘળા ક્યાં સમજાયા ?
જે ભીંતો બોલે છે સાચું,
સઘળા ખીલા ત્યાં ઠોકાયા.
– ધ્વનિલ પારેખ
આખી ગઝલ મજાની પણ પહેલો અને છેલ્લો શેર શિરમોર.
Permalink
April 7, 2016 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, મેહુલ પટેલ 'ઈશ'
હાલ જ થયું છે અવતરણ, ઈશ્વરથી યુક્ત છું,
દુનિયા ધરો નહીં, હજી ધાવણથી તૃપ્ત છું.
સંતાપ ના તમા કોઈ, કંઈ પણ ફિકર નથી,
ધબકી રહ્યો છું તે છતાં હોવાથી મુક્ત છું.
ઓળખ ના પૂછશો મને, આપી નહિ શકીશ,
હું કોણ છું ખબર નથી, મારાથી ગુપ્ત છું.
ઉંમરનો તાગ તો ભલા મળવો કઠીન છે,
વરસોથી બાળ છું અને સદીઓથી પુખ્ત છું.
– મેહુલ પટેલ ‘ઈશ’
ચાર જ શેરની ગઝલ પણ પસાર થઈએ ત્યારે જે તૃપ્તિ અનુભવાય છે એ શબ્દાતીત છે. ઓરિજિનાલિટી જળવાઈ રહે અને ફેસબુકિયા વાહવાહીમાં ગુમરાહ ન થઈ જાય તો આ કવિ ગુજરાતી ગઝલની સબળ આવતી કાલ બનવા સક્ષમ છે…
Permalink
April 3, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
સુંવાળા શ્વેત છળમાંથી અમે નીકળી નથી શકતા
બિડાયેલા કમળમાંથી અમે નીકળી નથી શકતા
સદીઓથી શિલાલેખોના અણઉકેલ્યા છીએ અર્થો
તૂટ્યા અક્ષરના તળમાંથી અમે નીકળી નથી શકતા
નદી સરવર કે દરિયો હો તો નીકળી પાર જઈએ પણ
સૂકી આંખોના જળમાંથી અમે નીકળી નથી શકતા
સમય સાથે કદમ ક્યારેય પણ મળશે નહિ મિત્રો
વીતેલી બે’ક પળમાંથી અમે નીકળી નથી શકતા
ઊભા તૈયાર થઈને રંગમંચે ક્યારના કિન્તુ
પડ્યા પડદાની સળમાંથી અમે નીકળી નથી શકતા
-મનોજ ખંડેરિયા
Permalink
March 30, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under કરસનદાસ લુહાર, ગઝલ
સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું !
અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું !
છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું;
મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું !
કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે-
ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું !
મને મારા મહીંથી પણ જે ભૂંસી નાખવા માટે-
મથ્યા છે એની આંખોમાં હજુયે ચીતર્યો છું હું !
સદાયે જાળવી રાખી છે મેં મારી લીલાશોને;
ગઈ ડાળી સુકાઈ તે છતાંય ક્યાં ખર્યો છું હું ?!
ગગન ઘેરાઈને વરસે ફરીથી શુભ્ર થઈ જાયે;
ડહોળાઈ રડ્યો પાછો, ફરીથી આછર્યો છું હું !
– કરસનદાસ લુહાર
ઘણા વખતે આટલી સરસ રચના જડી !!! પ્રત્યેક શેર જુઓ !!!
Permalink
March 29, 2016 at 8:40 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
તેજમાં પણ જે નથી ને જે તમસની બ્હાર છે,
કેમ સમજાવું તને કે એ સમજની બ્હાર છે.
ચાલ ચાલે એ પછી તું મ્હાત આપે ને ભલા!
તું રમતમાં છે જ નહિ, તું તો રમતની બ્હાર છે.
સેંકડો ખડકો નીચે ભૂતકાળ દાટી દો છતાં,
ફાટશે જ્વાળામુખી થઈ, એ શમનની બ્હાર છે.
ચાલવા કે દોડવાથી થોડું કંઈ પ્હોંચી શકાય?
છે ઘણા રસ્તા જ એવા જે ચરણની બ્હાર છે.
પી ગયો છું સાત દરિયાનેય નીચોવીને હું,
કૈક એવું લાવ જે મારી તરસની બ્હાર છે.
– અનિલ ચાવડા
ત્રીજો શેર વાંચતા એક જાણીતી ઉક્તિ યાદ આવી – Old sins cast long shadows…… આખી ગઝલ મનનીય અને મજબૂત છે
Permalink
March 26, 2016 at 1:00 AM by વિવેક · Filed under અબ્દુલકરીમ શેખ, ગઝલ
શબ્દો છે બેશુમાર, ગઝલ એક પણ નથી,
વરસ્યો’તો ધોધમાર, ફસલ એક કણ નથી !
પેલું કબૂતરુંય હવે તો ન આવતું,
સાચે જ આ ચબૂતરે રોવાય ચણ નથી !
રણ તો હવે ગલી ગલી મહીં ઘૂસી ગયું,
ગોરજ ઊડે છતાંય અહીં કોઈ ધણ નથી !
લાશોને ચાલતી લહું શહેરો મહીં કદી,
કબરોમાં શમે એ જ ફક્ત કંઈ મરણ નથી !
આવીને કોઈ બેસતું વેરાનમાં એકલ,
હું જોઉં તેની સાથમાં વેરાન પણ નથી !
એવીય હશે વાત જે સમજાય ના કદી,
એવી અગમ્ય વાત છતાં એક પણ નથી.
ટીપુંય આભથી હવે પડશે નહીં ‘કરીમ’,
શબ્દોના સૂર્યમાં હવે એકે કિરણ નથી !
– અબ્દુલકરીમ શેખ
‘દુષ્કાળ’ શીર્ષક વાંચતાવેંત આપણી નજર સામે વરસાદના લાં….બા અભાવે વેરાન વગડો થઈ ગયેલી જમીનો અને ભૂખે-તરસે ટળવળી ટળવળીને ઢગલો થઈ પથરાતી પશુ-પંખી-મનુષ્યોની લાશો આવી ઊભે. પણ આ કવિતા છે. કવિને અહીં અલગ પ્રકારના દુષ્કાળ જ અભિપ્રેત છે. કાવ્યસર્જનથી શરૂ કરીને, જીવતી લાશોથી ભરેલા આજના શહેર સુધી કવિ દુષ્કાળના જે નાનાવિધ ચિત્રો દોરી આપે છે એ ગુજરાતી ગઝલની એક અભૂતપૂર્વ સુખદ ઘટના છે.
Permalink
March 24, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.
મેં મને સાચવી ઘણાં વર્ષો,
પણ તને અબ્બીહાલ આપું છું.
આપજે એક રંગમાં ઉત્તર,
સપ્તરંગી સવાલ આપું છું.
તું મને લયની પાર લઇ જાજે,
હું તને સૂર તાલ આપું છું.
હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.
– પારૂલ ખખ્ખર
એક મજાની રંગબિરંગી ગઝલ સાથે સહુ વાચકમિત્રોને ધૂળેટીની ગુલાબી ગુલાલી શુભકામનાઓ…
Permalink
March 21, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.
હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.
એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.
આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !
જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.
ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?
પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !
હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
– ખલીલ ધનતેજવી
Permalink
March 20, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, દેવિકા ધ્રુવ
સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાતનું આકાશ લાવી છું.
સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.
હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.
પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.
ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.
મન છે, નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું…
– દેવિકા ધ્રુવ
ભાષા અને ભાવની શક્તિનો ભરપૂર અનુભવ કરાવતી આ ગઝલમાં અર્થગાંભીર્યની ગેરહાજરી સહેજે કઠતી નથી. આ ગઝલનું કલેવર જ નોખું છે….મૃદુતા અને મીઠાશથી છલોછલ….
Permalink
March 19, 2016 at 9:58 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
સળગતા રહ્યા પણ બળાયું નહીં,
કદી જ્યોત સમ ઝળહળાયું નહીં.
રહ્યો માત્ર મનથી જ મતલબ સદા,
કદી દેહમાં ઓગળાયું નહીં.
મળ્યા’તા કદી કોઈ રસ્તે મગર,
પછી કોઈ રસ્તે મળાયું નહીં.
હતું રાહ જોતું ઊભું એક ઘર,
હતું મન છતાંયે વળાયું નહીં.
ન ઊગ્યો, ન મધ્યાહ્ન મારો તપ્યો,
છતાં સાંજ પડતાં ઢળાયું નહીં
– હર્ષ બ્રહ્મભટ્ટ
સાદ્યંત સુંદર રચના… સરળ, સહજ પણ સબળ !
Permalink
March 17, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શ્યામ ઠાકોર
સોગન કાયમ જળના ખાતો,
જળથી તારે શું છે નાતો ?
પાષાણો છે એ શું બોલે ?
જળને પૂછો જળની વાતો.
જળને આ શું થઈ ગ્યું પાછું ?
કાં છે જળનો ચ્હેરો રાતો ?
જળને ડ્હોળી નાંખ્યું કોણે ?
કોણે મારી જળને લાતો ?
જળ તો ભોળું, જળ શું જાણે;
જળને માથે જળની ઘાતો.
– શ્યામ ઠાકોર
મજાની મુસલસલ ગઝલ. કલમ લઈને દોરેલું પાણીનું પાણીદાર ચિત્ર.
Permalink
March 15, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
નિત તરંગિત થાઉં ને તું માં શમું તું કોણ છે?
સર્વ ક્ષણને જન્મ હું તુજને ગમું, તું કોણ છે?
પૂર્ણ રૂપે હું પ્રગટ થાઉં, પ્રકાશું પૂર્ણ થઇ,
તવ ક્ષિતિજ પર પૂર્ણ રૂપે આથમું, તું કોણ છે?
કોક વેળા અન્ય રૂપે અન્ય ગ્રહમાં તું શ્વસે,
હું મને તારા સ્મરણમાં નિર્ગમું, તું કોણ છે?
અનવરત આનંદિની ઓ તટ રહિત મંદાકિની,
રમ્યલીલા તું રમે તે હું રમું, તું કોણ છે?
કોણ છે તું વિશ્વરૂપા, તું અકળપથ ચારિણી,
તારી ઇચ્છાથી સતત ભમતો ભમું, તું કોણ છે?
– રાજેન્દ્ર શુકલ
आश्चर्यवत्पश्यति कश्चिदेन-
माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः श्रृणोति
श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् ॥
કોઈ સિદ્ધ પુરુષ જ આ આત્માને આશ્ચર્યની નજરે જુએ છે અને તે જ પ્રકારે અન્ય કોઈ સિદ્ધ જ આત્મતત્વનું આશ્ચર્યની દ્રષ્ટિએ વર્ણન કરે છે, તેમજ કોઈ અધિકારી પુરુષ જ તેને આશ્ચર્ય તરીકે સાંભળે છે અને કોઈ કોઈ તો સાંભળીને પણ આત્મતત્વને નથી જાણી શકતા.
Permalink
March 11, 2016 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
ઢોલ નગારે લોકો ત્રૂઠા
જલતરંગના ભાયગ રૂઠાં
સંતુલન આબાદ સાચવ્યું
કાચાં કાવ્યો, પાકાં પૂઠાં!
આંગળીઓ, એનું એ લખશો ?
પકડાવું તમને અંગૂઠા ?
વનપ્રવેશ કરવો શી રીતે ?
પાંચ બાણ ને પાંચે બૂઠાં
મંદિરો ? કે બાળમંદિરો ?
ગજવે ઘંટ, ભણાવે ઉઠાં!
(ત્રૂઠા= સંતોષ પામ્યા)
-ઉદયન ઠક્કર
કવિ ભલે એમ કહેતા હોય કે પાંચ બાણ ને પાંચે બૂઠાં પણ અહીં પાંચ શેરમાંથી એક પણ શેર બૂઠો થયો નથી. કવિને જો કે વનપ્રવેશના સંદર્ભ સાથે પંચેન્દ્રિય અભિભૂત છે એ સમજી શકાય છે. ઘોંઘાટપ્રેમી જનતા જલતરંગ જેવા સંવેદનશીલ વાદ્યનો આનંદ ઊઠાવી શક્તી નથી એના સંદર્ભે પણ કવિ આપણી બુઠ્ઠી થતી જતી સંવેદના તરફ જ અંગૂલિનિર્દેશ કરી રહ્યા છે. વાહ કવિ !
Permalink
March 10, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ

જો આંસુ ખૂટી જાય તો ચિંતાનો વિષય છે,
આ વાત ન સમજાય તો ચિંતાનો વિષય છે.
“જા, તારું ભલું થાય” કહી કેમ હસ્યા એ ?
સાચે જ ભલું થાય તો ચિંતાનો વિષય છે.
દેખાય નહીં ત્યાં સુધી ઈશ્વર છે સલામત,
ક્યારેક જો દેખાય તો ચિંતાનો વિષય છે.
તારાથી છલોછલ છું હું ઢોળાઈ ન જાઉં,
છાંટોય ઉમેરાય તો ચિંતાનો વિષય છે.
જો ગૂંચમાં સંબંધ પડે છે તો ટકે છે,
જો ગૂંચ ન સર્જાય તો ચિંતાનો વિષય છે.
– હર્ષ બ્રહ્મભટ્ટ
પહેલાં ગુજરાત સરકારમાં અગત્યના હોદ્દા પર વરસો સેવા આપનાર અને હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વ્યસ્ત કવિ હર્ષ બ્રહ્મભટ્ટ અત્યાર સુધીમાં આઠ ગુજરાતી અને પાંચ હિંદી-ઉર્દૂ કાવ્યસંગ્રહો આપી ચૂક્યા છે. ‘આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો’તો” સંગ્રહમાંથી આ એક ગઝલ આજે આપ સહુ માટે… પાંચ શેરની આ ગઝલ જાણે પાંચ આંગળીઓ વડે રચાતો એક પંજો છે… એકેય આંગળી કાઢી ન શકાય !!!
Permalink
March 7, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શૂન્ય પાલનપુરી
દુ:ખમાં જીવનની લા’ણ હતી, કોણ માનશે?
ધીરજ રતનની ખાણ હતી, કોણ માનશે?
શૈયા મળે છે શૂલની ફૂલોના પ્યારમાં!
ભોળા હ્રદયને જાણ હતી, કોણ માનશે?
લૂંટી ગઈ જે ચાર ઘડીના પ્રવાસમાં,
યુગ યુગની ઓળખાણ હતી, કોણ મનશે?
ઉપચારકો ગયા અને આરામ થઈ ગયો!
પીડા જ રામબાણ હતી, કોણ માનશે?
આપી ગઈ જે ધાર જમાનાની જીભને,
નિજ કર્મની સરાણ હતી, કોણ માનશે?
જ્યાં જ્યાં ફરુકતી હતી સૌન્દર્યની ધજા,
ત્યાં ત્યાં પ્રણયની આણ હતી, કોણ માનશે?
પાગલના મૌનથી જે કયામત ખડી થઈ,
ડાહ્યાની બુમરાણ હતી, કોણ માનશે?
– ‘શૂન્ય’ પાલનપુરી
Permalink
March 6, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,
એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.
અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,
સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.
તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.
એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.
એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.
– મરીઝ
બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો શેર……..અદભૂત !! સવિશેષ તો ચોથો…..real master !!!!
Permalink
March 5, 2016 at 1:51 AM by વિવેક · Filed under ગઝલ, પાર્થ પ્રજાપતિ
દર્દનો તેથી વધેલો ભાર છે,
આંસુઓ ડૂસકાંના વારસદાર છે.
બ્હાર ભૂખ્યાને જમાડો પ્રેમથી,
મંદિરોનો એ જ જીર્ણોદ્ધાર છે.
કાચ તૂટેલો મને જોઈ કહે,
એકસરખો આપણો આકાર છે !
વૃક્ષ શ્વાસોનું થયું છે વૃદ્ધ ને,
સૌ કુહાડી મારવા તૈયાર છે !
ડૂસકાઓને હવા આપે છે એ,
શ્વાસનો પણ કેવો અત્યાચાર છે !
નહિ તો ઈશ્વરનેય નીચે મોકલે,
સારું છે કે સૌ અહીં લાચાર છે !
ટોચ પર જાવાનું સપનું રહી જશે,
‘પાર્થ’ ક્યાં થોડોક પણ વગદાર છે ?
– પાર્થ પ્રજાપતિ
આખી ગઝલ સંઘેડા ઉતાર પણ ત્રીજો અને ચોથો શેર તો અદભુત !!!
Permalink
Page 20 of 50« First«...192021...»Last »