સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.

અંકિત ત્રિવેદી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ફ્રાન્સિસ્કા – એઝરા પાઉન્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

રાત્રિના અંધકારમાંથી તું બહાર આવી
અને તારા હાથમાં ફૂલો હતાં,
હવે તું લોકોના ગૂંચવાડામાંથી બહાર આવશે,
તારા વિશેના અવાજોના કોલાહલમાંથી.

હું જેણે નિહાળી છે તને આદિમ ચીજો વચ્ચે
ગુસ્સે હતો જ્યારે એ લોકો તારું નામ બોલતા હતા
સામાન્ય જગ્યાઓ પર.
કાશ ! ઠંડાગાર મોજાં મારા માથા પર ફરી વળે,
અને આ દુનિયા મરેલાં પાંદડાની જેમ સૂકાઈ જાય,
અથવા ડૅન્ડિલિઅનની દાંડી પરથી ઊડતા બીજની જેમ ઊડી જાય,
જેથી હું તને ફરીથી મેળવી શકું,
એકલી.

– એઝરા પાઉન્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
એક પ્રિયતમા જેની સાથે એકાંતમાં સાવ અંગત ક્ષણો વિતાવી છે એ આજે હવે જીવનમાં નથી રહી. એની જાહેર જિંદગી પર પ્રશ્નો ઊઠી રહ્યા છે, આંગળી ચિંધાઈ રહી છે જે કવિને પસંદ નથી. રાત્રિનો અંધકાર એ બદનામીનો અંધકાર છે. લોકોને જ્યારે ચોરે ને ચૌટે પોતાની પ્રેયસીનું નામ બોલતાં કવિ સાંભળે છે ત્યારે ઈર્ષ્યા અને ગુસ્સો બંને જન્મે છે. મન થાય છે કે કાશ મગજ શાંત થઈ જાય એવી કોઈ ઘટના બને અથવા દુનિયા આખીનો નાશ થઈ જાય જેથી તારી અને મારી વચ્ચે કોઈ બચે જ નહીં અને પોતે પ્રેયસીને પુનઃ મેળવી શકે. છેલ્લી પંક્તિમાં જે ‘એકલી’ શબ્દ એકલો વપરાયો છે એ પ્રેમની પઝેસિવનેસ ઈંગિત કરે છે, જેની પ્રબળતા આપણને “તારા રૂપની પૂનમનો પાગલ એકલો” તરત યાદ કરાવી દે છે…

ફ્રાન્સિસ્કા શીર્ષક કવિએ કેમ વાપર્યું હશે એ એક કોયડો છે. એઝરા પાઉન્ડ ‘ઇમેજીઝમ’ના રસ્તે વળ્યા એ પૂર્વેનું આ કાવ્ય શું તેરમી સદીમાં થઈ ગયેલ ગીડોની પુત્રી ફ્રાન્સિસ્કા, જે પોતાના દિયરના પ્રેમમાં પડી હતી અને પતિના હાથે જેની દિયસ સાથે હત્યા થઈ હતી, જે મહાકવિ દાન્તેની ‘ડિવાઇન કોમેડી’માં પણ એક નાયિકા છે, એને સ્મરીને લખાયું હશે? કોઈ પ્રકાશ પાડી શકશે?

*
Francesca – Ezra Pound

You came in out of the night
And there were flowers in your hands,
Now you will come out of a confusion of people,
Out of a turmoil of speech about you.

I who have seen you amid the primal things
Was angry when they spoke your name
In ordinary places.
I would that the cool waves might flow over my mind,
And that the world should dry as a dead leaf,
Or as a dandelion seed-pod and be swept away,
So that I might find you again,
Alone.

Comments (3)

જળપરી અને દારૂડિયાઓની દંતકથા – પાબ્લો નેરુદા (અનુ. ઉદયન ઠક્કર)

પુરુષો બેઠા હતા
ત્યારે એ અંદર આવી, સાવ નિર્વસ્ત્ર
તેઓ ઢીંચતા હતા: તેમણે થૂંકવા માંડ્યું
એ નદીમાંથી તાજી જ નીકળી હતી, અબુધ-અણજાણ
એ માર્ગ ભૂલેલી જળપરી હતી
અપમાનો વહી ચાલ્યાં એની ચળકતી માંસપેશીઓ પરથી
બિભત્સ રસમાં ડૂબતાં ગયાં એનાં સોનેરી સ્તન
અશ્રુથી અજાણી હોઈ એણે અશ્રુ ન સાર્યાં
વસ્ત્રોથી અજાણી હોઈ એણે વસ્ત્રો નહોતાં પહેર્યાં
તેમણે ખરડી એને, બળેલા બૂચ અને બીડીનાં ઠૂંઠિયાંથી
તેઓ હસીહસીને લોટપોટ થઈ ગયા, પીઠાની ફરસ પર
એ બોલી નહિ કારણ કે એની પાસે વાચા નહોતી
એની આંખોનો રંગ, આઘેઆઘેના પ્રેમ જેવો
એના હસ્તની જોડ, શ્વેત પોખરાજમાંથી ઘડેલી
એના હોઠ ફરક્યા હળવે હળવે, પરવાળાના પ્રકાશમાં
એકાએક નીકળી ગઈ એ બારણાની બહાર
નદીમાં ઊતરતાંવેંત થઈ ગઈ નિર્મળ
વર્ષામાં ચળકતા સ્ફટિક સમી
અને પાછું જોયા વિના એણે તરવા માંડ્યું
તરવા માંડ્યું શૂન્ય તરફ, તરવા માંડ્યું મૃત્યુ તરફ

– પાબ્લો નેરુદા
(અંગ્રેજી પરથી અનુ. ઉદયન ઠક્કર)

કવિશ્રી ઉદયન ઠક્કરના જ શબ્દોમાં આસ્વાદ પણ માણીએ:

પીઠામાં પુરુષો બેઠા હતા ત્યારે એક જળપરી અંદર આવી, ‘સાવ નિર્વસ્ત્ર’- સત્ય ઢાંકપિછોડો ન કરે, એ તો ફરે ઉઘાડેછોગ. ‘તેઓ ઢીંચતા હતા’- ધ વર્લ્ડ ઇઝ નોટ ઇન ઇટ્સ સેન્સિસ, વિશ્વ વિવેકબુદ્ધિ ખોઈ બેઠું છે. ‘તેમણે થૂંકવા માંડ્યું’- મહામાનવ બનવું કપરું છે, પણ મહામાનવને ગાળ આપવી સહેલી છે. દારૂડિયો ઊલટી ન કરે તો બીજું કરેય શું? ‘નદીમાંથી તાજી જ નીકળી હતી’- નદીના તાજા જળ સાથે થૂંકનો વિરોધ ઊડીને આંખે વળગે તેવો છે. ‘માર્ગ ભૂલેલી’- ક્યાં જળપરી અને ક્યાં પીઠું? જળનો જીવ સ્થળ પર આવી ચડ્યો! માર્ગથી ચ્યુત કોણ થયું? જળપરી કે દારૂડિયાઓ? ‘અપમાનો’ ‘બિભત્સ રસ’- જળપરીનો દોષ એટલો જ કે એ સુંદર હતી.’વહી ચાલ્યાં’ ‘ડૂબતાં ગયાં’- પરી જળમાંથી આવી હોવાથી કવિ વહેવું-ડૂબવું ક્રિયાપદો પ્રયોજે છે. દારૂડિયાઓ સ્તન સુધી તો પહોંચ્યા પણ મન સુધી નહિ. ‘માંસપેશીઓના ચળકાટ’થી વધુ તેમને કશું ન દેખાયું કારણ કે તેમને આંખો હતી પણ દ્રષ્ટિ નહોતી.

‘તેમણે ખરડી એને’- પરીના સ્તર સુધી ન પહોંચાયું માટે તેમણે પરીને પોતાના સ્તરે પછાડી. સેડિઝમ- પરપીડનના આનંદથી શરાબીઓ ઝૂમી ઊઠ્યા. જળપરીએ પ્રતિકાર ન કર્યો, મૌન રહી. જળપરી લૌકિક નહિ પણ અલૌકિક હતી એ દર્શાવવા કવિ રહસ્યમય રીતે વર્ણન કરે છે. જળને તળિયે ખીલતા પરવાળાના પ્રકાશમાં એના હોઠ ફરક્યા, હળવે, હળવે.

‘એકાએક નીકળી ગઈ એ’- નીતર્યા નિર્મળ જીવને જગત ઝાઝું ન જાળવી શકે. જોન ઓફ આર્ક ઓગણીસમા વર્ષે ગઈ, ઈસુ ગયા ત્રીસ કે પાંત્રીસે. જળપરી શેનું પ્રતીક છે? નિર્દોષતાનું? પ્રકૃતિનું? સંસ્કૃ તિનું?

-ઉદયન ઠક્કર

Fable of the Mermaid and the Drunks

All those men were there inside,
when she came in completely naked.
They had been drinking: they began to spit.
Newly come from the river, she knew nothing.
She was a mermaid who had lost her way.
The insults flowed down her gleaming flesh.
Obscenities drowned her golden breasts.
Not knowing tears, she didn’t cry tears.
Not knowing clothes, she didn’t have clothes.
They blackened her with burnt corks and cigarette butts,
and rolled around laughing on the tavern floor.
She did not speak because she couldn’t speak.
Her eyes were the color of distant love,
her twin arms were made of white topaz.
Her lips moved, silently, in a coral light,
and suddenly she left by that door.
Entering the river she was cleaned,
shining like a white rock in the rain,
and without looking back she swam again
swam toward emptiness, swam toward death.

– Pablo Neruda

Comments (6)

મન – ચિનુ મોદી

માદરબખત મન, જો તારે હોત તન
અંગે અંગે કાપત તને, ઘાએ ઘાએ
મીઠું ભરત; અરે, ઉગાડત ગૂમડાં
અને પાકવા દઈ પરુ કરત, દદડતા
પરુ પર માખીઓનાં કટક ઉતારત
અને…
પણ, તું તો ઈશ્વર જેવું અદેહી છે,
છટકતો પવન છે. ચાલેલા ચરણનું
ચિહ્ન હોત તો શોધી કાઢત પગેરું
ને તોડી નાખત તારા પગ…
માંસમજ્જાની આ થપ્પીઓની ઓથે
તું ભરાઈ તો બેઠું છે, પણ, ક્ષણોનું
જ્યારે પૂરું થશે રણ, ત્યારે પરી જેવી
પાંખ તને ન ફૂટે, એવો આપીશ શાપ…

– ચિનુ મોદી

કવિતાની શરૂઆત જ ચોંકાવી દે એવી છે. મનને કવિ જે રીતે ગાળ આપીને સંબોધે છે એના પરથી જ ખ્યાલ આવી જાય છે કે આજે મનનું આવી બનવાનું. મન સાથે કવિને શું વાંધો પડ્યો છે, કેમ પડ્યો છે એ તો કવિતામાં અધ્યાહાર જ રહે છે પણ કેટલો વાંધો પડ્યો છે એ તો શબ્દે-શબ્દે ને પંક્તિએ પંક્તિએ ડોકાય છે.

કવિનું ચાલે અને જો મનને શરીર હોત તો કવિ એના પર પોતાની ખીજ શી રીતે કાઢત એનું અદભુત વર્ણન કર્યા પછી અચાનક ‘અને…’ કહીને અટકી જાય છે. ઈશ્વરની સાથે સરખાવીને મનની અદૃશ્યતા અને સર્વોપરિતા – એમ બંનેનો સ્વીકાર કર્યા પછી પણ કવિ હજી મનના ટાંટિયા તોડી નાંખવાની જ ફિરાકમાં છે. અંતે ક્ષણોનું રણ પૂરું થવાની વાત જીવનના અંતને નિર્દિષ્ટ કરે છે. કવિ મનને કદી મનફાવે ત્યાં ને તેમ ઊડી ન શકાય એવો શાપ અંતકાળે આપવાનું નિર્ધારે છે એમાં ગુસ્સો, ખીજ, ચીડ અને અંતે મનનું કંઈ જ બગાડી ન શકવાની નપુંસકતા છતી થાય છે. થાકેલો, હારેલો માણસ શાપ આપવા સિવાય બીજું કરી પણ શું શકે ?

Comments (8)

આજની રાત હું ઉદાસ છું – હરીન્દ્ર દવે

રાત્રિને કહો કે આજે
એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,
રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા
ફૂલની પાંખડી માફક એ સામો આવે,
વૃક્ષોને કહો કે એના પર્ણોમાં
એ કોઇ અજબની રાગિણી વગાડે.
હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય –

આજની રાત હું ઉદાસ છું
અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે

બ્રહમાંડમાં બજી રહેલું અલૌકિક સંગીત
મારા કાને ન અથડાય એવું કરો,
મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં
નેપૂર સાંભળવા છે;
મધદરિયે મોજાંને પહેરાવેલા વલય
મારે ઉતારી લેવા છે;
વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને
બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું
અને મારી ખોવાયેલી પ્રસન્નતા
મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે

મિલના ઊંચા ભૂંગળાને કોઇ ચંદનની
અગરબત્તીમાં પલટાવી દો,
સિમેંટ-કોંક્રિટનાં મકાનોને કોઇ સરુવનમાં
ફેરવી દો;
આંખની કીકીઓને કોઇ ચંદ્ર પર ચિટકાડી દો;
માણસોનાં ટોળાંને કોઇ સાગરની લહેરોમાં
લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને
મારે ખડખડાટ હસી લેવું છે.

– હરીન્દ્ર દવે

કવિ ઉદાસ છે, પણ એણે સૌને પુલકિત કરવા છે,ખડખડાટ હસવું છે….વિરોધાભાસથી વેદના વધુ ઘેરી બને છે. અતિશોયક્તિ અલંકાર કવિના ઉન્માદને ઉત્કૃષ્ટ રીતે રજૂ કરે છે.

Comments (2)

જેલીફિશ – મરિઆન મૂર (અનુ.: વિવેક મનહર ટેલર)

jelly-fish
(કાતિલ સૌંદર્ય….      …જેલીફિશ, શેડ એક્વેરિયમ, શિકાગો, 2011)

*

દૃશ્ય, અદૃશ્ય,
વધઘટ થતું કામણ,
એક સોનેરી પીળા રંગનો નીલમણિ
એનો નિવાસ; તમારો હાથ
નજીક પહોંચે છે, અને
એ ખુલે છે અને
એ બીડાય છે;
તમે ધાર્યું હતું
એને પકડવાનું,
અને એ સંકોચાઈ જાય છે;
તમે પડતો મૂકો છો
તમારો ઈરાદો –
એ ખુલે છે, અને એ
બીડાય છે અને તમે
એને પકડવા જાવ છો-
એની ફરતે વીંટળાયેલી
ભૂરાશ
ડહોળી થઈ જાય છે, અને
એ દૂર સરી જાય છે
તમારાથી.

– મરિઆન મૂર
(અનુ.: વિવેક મનહર ટેલર)

કવિતાને ડુંગળી સાથે સરખાવી શકાય… એક પડ ઉખેડો ને બીજું નીકળે… બીજું ઉખેડો ને ત્રીજું… અને બધા પડ ઉખેડી નાંખો તો હાથમાં જે શૂન્ય આવે એ જ કદાચ કવિતાની સાચી ઉપલબ્ધિ… પડ પછી પડ ઉખેડવાની પ્રક્રિયા જ કદાચ કવિતાનું સાર્થક્ય છે…

જેમ જેલીફિશ દૂધની કોથળીની જેમ સતત આકાર બદલતી રહે છે એમ આ કવિતા પણ વધતા-ઘટતા કદના અનિયમિત વાક્યો, પ્રાસવિહીન, તાલવિહીન, છંદવિહીન છે. એમ કહી શકાય કે કવયિત્રીએ અહીં કવિતાના આકારની મદદથી જેલીફિશની મૂળભૂત પ્રકૃતિને ચિત્રાંકિત કરી છે. તમારા ઈરાદા પણ અહીં જેલીફિશ અને એ રીતે કાવ્યાકાર જેવા જ છે. તમે જેલીફિશને પકડવા આગળ વધો છો, પાછા વળો છો, વળી આગળ વધો છો…

તમે પકડવા જાવ અને એ સંકોચાય છે, તમે પાછા વળો છો અને એ ખુલે છે. તમે વળી પકડવા જાવ છો અને એ પાણીને ડહોળીને તમારી પહોંચની બહાર સરી જાય છે. જેલીફિશનું પ્રતીક લઈને કવયિત્રી હકીકતમાં કવિતા અને એ રીતે તમામ પ્રકારની કળાની જ વાત કરે છે. તમે સાયાસ એને સમજવાની કોશિશ કરશો, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવાની કે નિષ્કર્ષ પામવાની ચેષ્ટા જેમ જેમ કરશો, તેમ તેમ કવિતા અને કળાનું હાર્દ તમારી પહોંચની બહાર સરતું જશે. કળા હકીકતે તો માત્ર અનુભૂતિની વસ્તુ છે…

હવે જેલીફિશને ભૂલી જાવ, કવિતાને પણ ભૂલી જાવ અને સ્ત્રીનો સંદર્ભ મૂકી જુઓ… એ પણ આવી જ અકળ ને !!!

*

A Jellyfish

Visible, invisible,
A fluctuating charm,
An amber-colored amethyst
Inhabits it; your arm
Approaches, and
It opens and
It closes;
You have meant
To catch it,
And it shrivels;
You abandon
Your intent—
It opens, and it
Closes and you
Reach for it—
The blue
Surrounding it
Grows cloudy, and
It floats away
From you.

– Marianne Moore

 

Comments (3)

Suchness – Lao-tzu [ trans.- Dr D T Suzuki ]

The Tao is something vague and undefinable;
How undefinable ! How vague !
Yet in it there is a form.
How vague ! How undefinable !
Yet in it there is a thing.
How obscure ! How deep !
Yet in it there is a substance.
The substance is genuine
And in it sincerity.
From of old until now
Its name never departs,
Whereby it inspects all things.
How do I know all things in their suchness ?
It is because of this.

– Lao-tzu [ trans.- Dr D T Suzuki ]

આ કાવ્યનું ભાષાંતર કરવા જતાં એની ઓરિજિનાલિટી મરી જશે તેથી ભાષાંતર કરવાને બદલે [ અત્યંત અચકાટ સાથે ] તેનો ભાવાનુવાદ થોડીક કૉમેન્ટ્સ સાથે રજૂ કરું છું…..અચકાટનું કારણ એ કે હું ચોક્કસ નથી કે જે હું સમજ્યો છું તે સાચું છે અને વળી એને શબ્દોમાં મૂકવાનું પણ મારુ ગજું નથી. માત્ર એક પ્રયત્ન કરું છું –

વેસ્ટર્ન ફિલૉસોફી અને ઈસ્ટર્ન ફિલૉસોફીમાં મૂળભૂત તફાવત intellect નો છે. વૅસ્ટર્નમાં intellect સિવાય કંઈ જ નથી અને ઈસ્ટર્નમાં direct experience – immediacy of realization મહત્વનું છે. સરળ શબ્દોમાં ઈસ્ટર્ન ફિલૉસોફી intuition – અંત:સ્ફૂરણાકેન્દ્રી છે જયારે વૅસ્ટર્ન conceptualization-analysis-intellectual dissection ઉપર અવલંબિત છે.

તાઓ નું અત્યંત અશુદ્ધ ભાષાંતર Way / Path / Flow છે. તેનું શુદ્ધ ભાષાંતર શક્ય નથી. જીવનમાર્ગ કહી શકાય. તાઓ કહે છે કે જયારે તમારી અનુભૂતિને તમે શબ્દોમાં વર્ણિત કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તે છટકી જાય છે અને ઠાલાં શબ્દો રહી જાય છે. આપણે જયારે અદભૂત સૌંદર્ય અથવા અકલ્પનીય પ્રચંડ ભયની સન્મુખ થઈએ છીએ ત્યારે જે સંપૂર્ણ શબ્દહીન,વિચારહીન,તર્કહીન અવસ્થા અનુભવીએ છીએ તે સાચી અનુભૂતિ. જેવું આપણે તેનું વિશ્લેષણ કરવાનું શરુ કરીએ એટલે વિચારો – ‘મન’ – પ્રવેશે અને ‘મન’ સાથે તેના સંખ્યાહીન પૂર્વગ્રહો અને ધારણાઓ પ્રવેશે અને તે સાથે જ સત્ય નાસી છૂટે છે. આ વાતને કાવ્યાત્મક રીતે કાવ્યના પ્રથમ ચરણમાં [ પ્રથમ 9 લીટીમાં ] કહી છે. નિર્મળ શાંત સરોવરમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે ત્યારે ન તો ચંદ્રને ખબર છે કે તે પ્રતિબિંબિત થઇ રહ્યો છે કે ન તો સરોવરને ખબર છે કે પોતે કોઈને પ્રતિબિંબિત કરી રહ્યું છે. બંને માત્ર પોતપોતાના સ્વધર્મને અનુસરી રહ્યા છે અને તે પણ ‘સ્વધર્મ’ જેવા- કર્તુત્ત્વ ના- કોઈ ખ્યાલ વગર ! આ તાઓ છે. તાઓ ભલે અસ્પષ્ટ અને શબ્દ વડે અવર્ણનીય હોય, તે અનુભવી શકાય છે, ચોક્કસ અનુભવી શકાય છે, માત્ર શરત એટલી છે કે સરોવરના કિનારે સાક્ષીભાવે બેસવાનું છે અને ‘મન’ ને દેશનિકાલ કરવાનું છે.

કાવ્યના બીજા ચરણમાં [અંતિમ 5 લીટીમાં ] વિચારબીજ થોડું ગહન બને છે. સરળ ભાષામાં તેને રજૂ કરવું મારી તાકાત બહારનું કામ છે, પરંતુ વાત અત્યંત મહત્વની છે. અહીં ભાષાની [ communication ની ] મર્યાદાની વાત છે. Name એટલે મૂળ તત્વ. શુદ્ધ તત્વ. ઉદાહરણ તરીકે પ્રેમ. એવું મૂળ તત્વ કે જેનું નામ લેતા જ એક સમગ્ર વૈશ્વિક ભાવ – [ પ્લેટો ની ભાષામાં Ideal Form ] અભિપ્રેત થાય છે. એ મૂળ તત્વ અને તેનું નામ પડતા જ આપણી અંદર અનુભવાતી અનૂભૂતિ અવિભાજ્ય છે. આમ મૂળ તત્વો અનાદિકાળથી જડબેસલાક અને નિત્યસત્ય છે. જયારે આપણે, આપણી ભાષા [ કોઈપણ સ્વરૂપમાં – in any form of communication ] તે તત્વને વર્ણવવામાં અસમર્થ થઈ જાય છે ત્યારે મૂંઝવણો અને ગેરસમજોનો પર નથી રહેતો. આથી જ હું પ્રત્યેક વસ્તુ ને તેની ‘suchness’ [ તથતા – અર્થાત મૂળભૂત સ્વરૂપમાં ] માં કઈ રીતે જાણી શકું ? – ત્યારે કે જયારે પ્રચલિત ભાષામાંથી કોઈપણ મૂળ તત્વના સાચા નામને ઓળખીને તે દ્વારા તે મૂળતત્વની અનુભૂતિ કરી શકું ત્યારે. આ માટે ‘નેતિ નેતિ ‘ નો માર્ગ શ્રેષ્ઠ છે જેમાં વ્યક્તિ ભાષાના[expressions ના ] આવરણો દૂર કરતી કરતી અંતે મૂળ તત્વ સુધી પહોંચી શકે છે જ્યાં ‘શૂન્યતા’ છે….. Emptiness છે….. અર્થાત કોઈપણ ‘મન’ નો કલબલાટ નથી, વ્યાખ્યાઓ નથી,પૂર્વધારણાઓ નથી, માત્ર મૂળ તત્વ છે કે જે અસ્તિત્વથી ભિન્ન નથી. Direct experience છે.

હું મારી મર્યાદા માટે ખેદસહિત સભાન છું, ખૂબ જ અસ્પષ્ટ રીતે હું રજૂઆત કરી શક્યો છું. સૌના સૂચનોની રાહ જોઇશ……

Comments (3)

ન્યાય-દંડ – રવીન્દ્રનાથ ઠાકુર [ અનુ – નગીનદાસ પારેખ ]

તારો ન્યાયનો દંડ પ્રત્યેકના હાથમાં
તેં પોતે અર્પણ કરેલો છે.
પ્રત્યેકની ઉપર હે રાજાધિરાજ !,
તેં શાસનભાર નાખેલો છે.
એ તારા મોટા સન્માનને, એ તારા કઠણ કાર્યને,
તને નમસ્કાર કરીને વિનયપૂર્વક શિરોધાર્ય કરું;
તારા કાર્યમાં કદી કોઈથી ન ડરું.

હે રુદ્ર ! ક્ષમા જ્યાં ક્ષીણ દુર્બળતા ગણાય
ત્યાં હું તારા આદેશથી નિષ્ઠુર થઈ શકું.
તારા ઇશારાથી મારી જીભ પર સત્યવાકય
તીક્ષ્ણ ખડ્ગની પેઠે ઝળહળી ઊઠે.
તારા ન્યાયાસન ઉપર પોતાનું સ્થાન લઈને તારું માન રાખું.

અન્યાય જે કરે છે,
અને અન્યાય જે સહે છે,
તેને તારી ઘૃણા ઘાસની પેઠે બાળી નાખે છે.

– રવીન્દ્રનાથ ઠાકુર [ અનુ – નગીનદાસ પારેખ ]

ગુરુદેવ જાણે કે વાચકની પરીક્ષા લે છે ! સત અને અસતની લડાઈ માનવજાત જેટલી જૂની છે. ઘણીવાર અન્યાયનો ભોગ બનનાર વ્યક્તિ અથવા વ્યક્તિ-સમૂહ હિંમતભેર અન્યાયનો સામનો કરવાને બદલે એ કામ પ્રારબ્ધ ઉપર છોડી દે છે – ‘ આતતાયીને સજા ઉપરવાળો કરશે ‘ – એમ મન મનાવે છે. કાવ્યના પ્રથમ અર્ધમાં કવિ એ માનસિકતા સામે લાલબત્તી ધરે છે.

ક્ષમા કોણ આપી શકે ? – જયારે સત્યમાર્ગી એવી શક્તિશાળી પરિસ્થિતિમાં હોય કે જ્યાંથી એકીઝાટકે તે આતતાયીનો વધ કરી શકે તેમ હોય, ત્યારે જો એ આતતાયીને ક્ષમા આપવાનો નિર્ણય કરે તો તે સાચી ક્ષમા. બાકી ગૅસચૅમ્બરના ઊંબરે ઊભેલો લાચાર યહૂદી કહે કે -‘ હું હિટલરને ક્ષમા આપું છું ‘ – તો તે આત્મવંચનાથી વિશેષ કંઈ જ નથી. આથી જ સન્માર્ગીઓનું અનિવાર્ય કર્તવ્ય છે કે સંગઠિત થઈને આતતાયીનો વધ કરવો.

અંતિમ ચરણમાં સંદેશ તો સ્પષ્ટ છે કિન્તુ ઈશ્વરને ઘૃણાના કર્તા તરીકે આલેખ્યો છે. ઈશ્વરની પરિક્લ્પનામાં તેને સ્નેહ-ઘૃણાથી પર કલ્પવામાં આવે છે. આ ગુત્થી હું સુલઝાવી શકતો નથી.

Comments

થ્રી ઓડેસ્ટ વર્ડસ – વિસ્વાવા શિમ્બોર્સ્કા

હું જ્યારે ‘ભવિષ્ય’ શબ્દ બોલું છું,
ત્યારે એ જ ક્ષણે બોલાયા બાદ
એ ભૂતકાળ થઇ જાય છે.

હું જ્યારે ‘મૌન’ શબ્દ બોલું છું,
એ જ વખતે એ તૂટી જાય છે.

હું જ્યારે ‘નથિંગ’ શબ્દ બોલું છું,
ત્યારે હું કશુંક એવું બનાવી બેસું છું,
જે અનસ્તિત્વની પકડની બહાર છે.

– વિસ્વાવા શિમ્બોર્સ્કા [ પૉલૅન્ડની નૉબેલ વિજેતા કવયિત્રી ]

Three Oddest Words

When I pronounce the word Future,
the first syllable already belongs to the past.

When I pronounce the word Silence,
I destroy it.

When I pronounce the word Nothing,
I make something no nonbeing can hold.

– Wislawa Szymborska

 

 

જ્યાં શબ્દની\વિચારની સરહદ પૂરી થાય છે ત્યાંથી સત્યની શરૂઆત થાય છે.

Comments (4)

સજા – રીના (અનુ. વિવેક મનહર ટેલર)


તે
કંઈ પણ
થઈ શકતું હતું…
અવળા વહેણ પર
સંભાવનાઓનો પુલ
હવાના ખભા પર
કદાચ બનાવી પણ લઉં….!!!!!

પણ…
પણ હવે જવા દો ને…
કેટલાક અહેસાસોને
શબ્દોની સજા ન દેવી જોઈએ !!!!!

– રીના
(અનુ. વિવેક મનહર ટેલર)

કેટલીક કવિતાઓ ઠે..ઠ ભીતરથી નાભિ વલોવાઈને આવતી હોય છે. આ એમાંની એક છે. કોઈ જાતનો લવારો નહીં, એક પણ વધારાનો શબ્દ નહીં.

એકાક્ષરી શબ્દોથી શરૂ થઈ કાવ્ય કદમાં અને ભાવમાં -બંને રીતે સપ્રમાણ વિસ્તરે છે. જીવનમાં ઘણા દોરાહા એવા આવે છે જેના પર પસાર થયા બાદ જ અહેસાસ થાય છે કે આ કે તે – કંઈ પણ શક્ય હતું. પણ road not taken તરફ – અવળા વહેણમાં ઉપરવાસ જવું કંઈ દર વખતે શક્ય નથી હોતું, પછી મનમાં ભલેને કંઈના કંઈ હવાઈ કિલ્લાઓ આપણે કેમ બાંધી ન લઈએ.

કવિતા આ એક જ બંધમાં પૂરી થઈ શકી હોત. પણ બીજો બંધ કવિતાને નવતર ઊંચાઈ બક્ષે છે. પણ કહીને અટક્યા પછી કવયિત્રી આગળ તો વધે છે પણ એટલું કહેવા જ કે કેટલાક અહેસાસ આઝાદ જ સારા… એ અહેસાસોને શબ્દોમાં કેદ કરવામાં અહેસાસ પોતે કદાચ મરી પરવારે છે…

*

ये
वो
कुछ भी….
हो सकता था…!!
उल्टे बहाव पे
इम्काँ का पूल
हवा के खँभों पर
अगर बना भी लूँ…..!!!!!

पर…
पर अब जाने भी दो…..
कुछ एहसासात को
लफ़्ज़ों की सज़ा नहीं देते !!!!!

रीना

Comments (11)

મારી કબર પાસે – મેરી એલિઝાબેથ ફ્રે (અનુ. વિવેક મનહર ટેલર)

મારી કબર પાસે ઊભા રહીને ડૂસકાં ન ભરીશ
હું ત્યાં નથી. હું ઊંઘી નથી ગઈ.
હું પવનો છું હજાર જે સુસવાય છે.
હું હીરાકણીઓ છું બરફ પર ચળકતી.
હું પક્વ દાણા પરનો સૂર્યપ્રકાશ છું.
હું પાનખરનો સૌમ્ય વરસાદ છું.
તમે જ્યારે જાગશો સવારની ચુપકીદીમાં,
શાંત પક્ષીઓના ઝુંડને વર્તુળાકાર ઉડાનમાં
ઉંચકનાર પરોઢપક્ષી છું હું.
હું રાતે ચમકનાર મૃદુ તારાઓ છું.
મારી કબર પાસે ઊભા રહીને રડીશ નહીં
હું ત્યાં નથી. હું મરી નથી.

– મેરી એલિઝાબેથ ફ્રે (૧૯૦૫-૨૦૦૪)
(અનુ. વિવેક મનહર ટેલર)

ખ્રિસ્તી અંતિમવિધિઓમાં કદાચ સહુથી વધારે વાર વાંચવામાં આવેલી આ કવિતાના સર્જક વિશે પણ એકમત નથી. એક પારિવારિક મિત્રને એની માતાના અવસાન પર દિલાસો આપવા માટે મેરી એલિઝાબેથ ફ્રેએ 1932માં આ કવિતા લખી હોવાનું માનવામાં આવે છે. આ કવિતાના એકાધિક સ્વરૂપો પણ ઉપલબ્ધ છે. કવયિત્રીની રચનાઓમાંથી આ એક જ કવિતા બચવા પામી છે. કદાચ કવયિત્રીએ લખેલી આ એકમાત્ર જ કવિતા પણ હોઈ શકે.

*

Do Not Stand At My Grave And Weep

Do not stand at my grave and weep
I am not there. I do not sleep.
I am a thousand winds that blow.
I am the diamond glints on snow.
I am the sunlight on ripened grain.
I am the gentle autumn rain.
When you awaken in the morning’s hush
I am the swift uplifting rush
Of quiet birds in circled flight.
I am the soft stars that shine at night.
Do not stand at my grave and cry;
I am not there. I did not die.

– Mary Elizabeth Frye

(Poem courtesy: Poonam Ganatra)

Comments (9)

(-) – લાભશંકર ઠાકર

ગાંધી બાપુને હું મારી ઊંઘમાં લઈ જાઉં છું દોરીને પેન્સિલથી.
એમના પગ દોરું ત્યાં તો ચાલવા માંડે.
‘બાપુ ઊભા રહો. હજી મને પૂરા દોરવા તો દો.’
બાપુ કહે : ‘ચાલતા ચાલતા દોર.’
બોલો ચાલતા ચાલતા કંઈ દોરી શકાય ? એ તો
અટકતા જ નથી મારી ઊંઘમાં.
હું પેન્સિલની અણી અડાડું ત્યાં તો આગળ ને આગળ.
અટકે તો પૂરેપૂરા દોરું ને !

– લાભશંકર ઠાકર

અંગ્રેજી કે અન્ય ભાષાઓની કવિતાઓના અનુવાદ તો આપણે અવારનવાર લયસ્તરો પર માણતા જ રહીએ છીએ. આજે જરા ઊલટું કામ કરીએ. આજે આપણી ભાષાની કવિતાનો અંગ્રેજી અનુવાદ માણીએ.

લા.ઠા.ની કવિતાઓ સહજમાં સમજાઈ જાય તો જ આશ્ચર્ય. સરળ લાગતી આ કવિતામાં ગાંધીબાપુની ગતિશીલતાનું જે ચિત્રણ કવિએ ઉપસાવ્યું છે એ કાબિલે-દાદ છે.

In my sleep I take Gandhi Bapu along, drawing him with a pencil.
The moment I draw his feet, they start walking.
‘Bapu, stop. Let me finish drawing you.’
Bapu says, ‘Draw as you walk.’
Tell me, is it possible for anyone to draw while walking ?
But he simply refuses to stop
Walking in my sleep.
The moment I touch him with the pencil point, he surges ahead.
How will I finish drawing him if he doesn’t stop ?

– Labhshankar Thakar
(English Translation : unknown) (source: Sameepe 36)

Comments (7)

પથ્થરો તળે – સિતાંશુ યશશ્ચન્દ્ર

શું હશે પથ્થરો તળે ? હીરા, શું હશે
પથ્થરો તળે ? પાણી. પાણી ? – હશે પથ્થરો તળે.
ક્યાં ? હશે પથ્થરો તળે.
હશે ?
શું હશે પથ્થરો તળે ? લાવા, હીરા હશે પથ્થરો તળે પાણી.
સિન્દૂરિયા લેપ કર્યા અને રેડ્યું તેલ. ના ? ઝરિયાના
પહેરાવ્યા અને ઘીનાં કમળ. તો ? ગર્ભાગારમાં સ્થાપ્યું
રૂઢિચુસ્ત લિંગ અને સતત ઠંડા પાણીની ધાર.
હવે ? શું થશે ? હશે હવે પથ્થરો તળે. હશે કે ? હશે હવે.
પથ્થરો ફંગોળ્યા છે ન સમજાતા આકાશમાં. તો ?
ક્યાંક ચાર પગ અને તીર. ક્યાંક સાત માણસો
અને સ્ત્રી. ક્યાંક પારધિ. ક્યાંક એકમેકને
તાકતાં પણ હરફ ના બોલતા ચન્દ્રનું અને
તારાનું હરણ. પોતપોતાના રાહુ અને પારધિના
ખ્યાલમાં ખોવાયેલાં.
ક્યાંક આ ક્યારેય સ્થિર ન રહી શકતા તોતિંગમાં ધ્રુવ.
જાઓ જાઓ.
ના સમજાતા આકાશમાં ના સમજાતા પથ્થરો
ફંગોળ્યા અણસમજુએ
ના સમજાતા પથ્થરોને નામ આપ્યાં ને પથ્થરો
પણ તેજ ને પથ્થરો પર જીવન ને પથ્થરો પર પાણી.
ખળખળખળ – શું હશે પથ્થરો તળે ? પથ્થરોમાં
શું હશે ? શું હશે પથ્થરો ?

– સિતાંશુ યશશ્ચન્દ્ર

કવિતાની શરૂઆતમાં પથ્થરોનો ઢગલો આપણી આંખ સામે આવે છે. આ પથ્થરોની નીચે શું હશે ? કંઈક હશે? હશે… પ્રશ્નાર્થચિહ્ન, અલ્પવિરામ અને પૂર્ણવિરામની મદદથી એક જ વાતને અલગ અલગ રંગોમાં આપણી સામે રજૂ કરે છે. પથ્થર પછી ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે અને આખરે વિશાળ બ્રહ્માંડનું. સપ્તર્ષિ, રોહિણી, મૃગશીર્ષ, પારધિ, ધ્રુવ – એમ અલગ અલગ તારામંડળના ટેકે કવિ ન સમજાતા આકાશની ન સમજાતી સૃષ્ટિમાં આપણને લઈ જઈને પાછાં પ્રશ્નોના પથ્થરો મારીને સાવ છુટ્ટા મૂકી દે છે.

પથ્થર, ઈશ્વર, આકાશ, તારામંડળ- આ બધાને ઉપરતળે કરીને નીચે ‘શું હશે?’નું કુતૂહલ, ‘હશે?’ ની અનિશ્ચિતતા અને ‘હશે હવે’ની નફિકરાઈ પ્રદર્શિત કરીને અંતે તો કવિ અસ્તિત્ત્વનો વણઉકલ્યો પ્રશ્ન જ તાગવા મથી રહ્યા હોય એમ લાગે છે.

Comments (5)

કબૂલાત – કુસુમાગ્રજ (અનુ.: સુરેશ દલાલ)

હું છું
શબ્દલંપટ –
શબ્દની વારાંગના
ઝરૂખામાં ઊભી રહીને
ઇશારા કરે છે મને,
કોઈ પણ દાહક રસાયણમાં
પીગળી જય છે મારો બધોયે પ્રતિકાર
અને હું જાઉં છું
તે બહિષ્કૃત દરવાજા તોડીને
સીધો અંદર
અર્થનો હિસાબ કર્યા વિના.

– કુસુમાગ્રજ
(અનુ.: સુરેશ દલાલ)

વારાંગનાને ત્યાં જનાર વિષયલંપટ વ્યક્તિ પણ સમાજના બંધનો અને તિરસ્કારથી અભિગત હોય છે. એટલે બહિષ્કૃત દરવાજાની પેલે પાર જતાં પહેલાં એ એકવાર વિચર તો કરવાનો જ. પણ બારીમાંથી વેશ્યા દ્વારા કરાતો ઇશારો સંકોચના રહ્યાસહ્યા દરવાજા તોડાવી નાંખે છે. સહજસામાજિક આ ચિત્રની સમાંતરે જ કવિ કવિની માનસિક્તાનું રેખાંકન કરે છે. શબ્દ કવિને હંમેશા લલચાવે છે. કવિતાનું આમંત્રણ ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ કરી દે છે. શબ્દ એના નવતર આકાર સાથે કવિની સામે આવી ઊભે છે ત્યારે કોઈ બંધન, મર્યાદા કવિને રોકી શકતી નથી. આ એ સંવનન છે જ્યાં અર્થનો હિસાબ જ શક્ય નથી. “અર્થ”ના બંને અર્થ અહીં ધ્યાનમાં લેવાના છે – ‘નાણું’ અને ‘મતલબ’. કેમકે કવિતામાં પણ અર્થ કરતાં અનુભૂતિનું જ મહત્ત્વ છે.

Comments (9)

What will you do, God, when I die? – Rainer Maria Rilke

What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.

Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.

Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once —
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.

What will you do, God? I am afraid.

— Rainer Maria Rilke

શું કરશે તું, પ્રભુ ! મારા મૃત્યુ બાદ ?
તારી સુરાહી સમાન હું જ્યારે ભાંગીને વેરાયેલો હોઈશ ?
મારારૂપી તારી મદિરા જ્યારે વાસી-બેસ્વાદ થઈ જશે ?
હું તારું રોજીંદુ પહેરણ છું,
મને ગુમાવતાં તું તારો અર્થ ગુમાવી બેસે છે.

મારા વગરનો બેઘર તું ગુમાવી બેસશે
મધુરું ઉમળકાભેર સ્વાગત
પગરખાં છું હું તારા, મારા વિના
કલાન્ત નગ્ન ચરણો તારા ભટકતા રહેશે.

ભવ્ય ડગલો ઉતરી જશે તારો,
કરુણાસભર દ્રષ્ટિપાત તારો કે જે મારા ગાલ પર
રમતો રહેતો, તે શોધતો ફરશે એ ઉષ્મા
જે તેને નિત્ય હું ધરતો-
તે દ્રષ્ટિપાત, સૂર્યાસ્તની અદભૂત રંગસભા બરખાસ્ત થતાં,
અફળાતો રહેશે કાળમીંઢ ખડકોના ઉષ્માહીન ખોળામાં.

શું કરીશ તું, પ્રભુ ? ચિંતિત છું હું…..

આ વાત મને બહુ જ ગમી. અત્યંત હિંમતપૂર્વક કવિએ ઈશ્વરના અસ્તિત્વ અંગે મૂળભૂત પ્રશ્ન ઊભો કર્યો છે. શું ઈશ્વર માનવમનના એક ભ્રામક સર્જનથી વિશેષ કંઈ જ નથી ? ઉત્તર દરેકનો પોતીકો હોઈ શકે. અંગત રીતે હું તો દ્રઢપણે માનું છું કે માનવ ઈશ્વરનું સંતાન નથી, ઈશ્વર માનવનું સંતાન છે.I think, therefore I am. – Rene Descartes

Comments (4)

તારે ખાતર – રાબિયા

‘ઓ મારા પ્રભુ,
જો હું તને નરકની બીકે ભજતી હોઉં
તો મને નરકમાં બાળી મૂકજે,
જો હું તને સ્વર્ગની આશાએ ભજતી હોઉં
તો મને એમાંથી બાકાત રાખજે,
પણ જો હું તારે ખાતર જ તને ભજતી હોઉં
તો
તારૂ અનંત સૌંદર્ય મારાથી છુપાવીશ નહીં.’

– રાબિયા [ આઠમી સદીની અરબસ્તાની સૂફી સંત ]

એક વાર મિર્ઝા ગાલિબએ શુક્રવારની નમાઝથી પાછા ફરતા બિરાદરોને જોઇને કટાક્ષ કરેલો – ‘ હો ચુકી અલ્લાહ સે સૌદેબાઝી !!! ‘

Comments (8)

ફરી પાછું વૃક્ષ – સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું હતું.
ઉતાવળે જમવા બેસવાનું ટેબલ અને ખુરશીઓ, હમણાંનાં સંબંધીઓને
અને ઉપરીઓને કાગળ લખવાનું મેજ, રોજ સાવ તાજા સમાચારો
સંભળાવતા રેડિયોને મૂકવાનું સ્ટૅન્ડ – કૈં કેટલાયે કામની વસ્તુઓ
બનાવી લીધી હતી
જૂના સમયના એ તપખીરિયા થડમાંથી.

કંઈ કોઈ ઝંઝાવાત નહોતો થયો. ના કોઈ વીજકડાકા.
યાદે નથી આવતું કેવું હતું એ વૃક્ષ, – વૃક્ષ?!
રમૂજ થાય ને માનીયે ના શકાય આજે તો મારાથી
કે આ ટેબલ, ખુરશીઓ, મેજ સ્ટૅન્ડ, બૂક શેલ્ફ, અભેરાઈઓ આ બધું
વળી જૂના સમયનું વૃક્ષ હતું! મારાથી તો આજે
કદાચ માનીયે ના શકાય ને હસવું આવે.
ક્યારેક જોકે થાક્યા આવી, બરાબર જમી, હિતેચ્છુની ભેટ રૂપે આવતા
જનકલ્યાણનો નવો અંક વાંચતાં વાંચતાં ક્યારેક, જોકે, જાણે કે
ભ્રમણા થાય
કે
આ બારણા કનેની ખુરશીના હાથામાંથી જાંબલી રંગનું ફૂલ ખીલ્યું,
કે આ ભાષણોની નોંધના કાગળોથી છવાયલા મેજના ખાનામાં
ખાટા સવાદનું મીઠું ફળ ઝૂલ્યું,
કે આ જનકલ્યાણ અને અખંડ આનંદની ફાઈલોવાળા શેલ્ફ પરથી
અચાનક એક રાતું પંખી ઊડ્યું ને લીલી કૂંપળ ફૂટી,
કે આ રોજ પહેરવાનાં કપડાં ગડી કરીને મૂકવા બનાવેલા ખાનામાં
અણધારી વસંતનો માદક સુગંધી રસ ઝર્યો.
ને પછી વળી જરા હસવું આવે, અને રમૂજ થાય, ને યાદ આવે
કે જૂના સમયના એ તપખીરિયા થડને
હવે તો ઠીક ઠીક વરસોથી વહેરી, છોલી, ઘાટઘૂટ આપી
ઘરમાં વાપરવાનું ફર્નિચર બનાવી લીધું છે.

– સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા

બારીક ઈશારો છે – બ્રહ્માંડમાં મૂળતત્વ એક જ છે તે શક્તિ [ energy ] અને દ્રશ્ય તમામ matter એનું જ સ્વરૂપ છે. જે આજે વૃક્ષ છે, તે કાલે ફર્નીચરનું લાકડું છે, તે જ કાલે બળતણનું લાકડું છે, તે જ અગ્નિ છે, તે જ શક્તિ છે, પ્રકાશ છે, કિરણ છે, ધુમ્રસેર છે……સમયાવકાશે તે એક સમગ્ર વર્તુળ ફરીને ફરી વૃક્ષ બને છે અને આ ચક્ર નિરંતર ચાલતું રહે છે. Nietzsche જેને ‘ eternal recurrence ‘ કહે છે તે આ વર્તુળ. જયારે આ વાત એકદમ દિલથી સમજાય, આત્મસાત થાય, માંહ્યલે વણાઈ જાય ત્યારે કોઈ attachments ટકતા નથી. Desire નું છદ્મસ્વરૂપ ત્યારે સમજાય છે. ચૂલાના અગ્નિમાં સૂર્ય અને સૂર્યમાં ચૂલાનો અગ્નિ દ્રષ્ટિગોચર થાય છે…..

Comments (2)

never be for or against – Sen-t’san

The Perfect Way is only difficult
for those who pick and choose;
Do not like, do not dislike;
all will then be clear.
Make a hairbreadth difference,
and Heaven and Earth are set apart;
If you want the truth to stand clear before you,
never be for or against.
The struggle between “for” and “against”
is the mind’s worst disease.

– Sen-t’san [ eighth century Chinese zen master ]

સરળ ઈંગ્લીશ છે તેથી અનુવાદ નથી કર્યો. આ કાવ્ય મૂકવાનું ખાસ પ્રયોજન એ કે ઝેનગુરુની વાત તો સાચી, પણ વ્યવહારનું શું !!?? રોજબરોજની જીંદગીમાં આ ફિલોસોફી કેટલીક applicable !!?? વ્યવહારમાં તો પ્રત્યેક ક્ષણે પક્ષ લેવો પડે છે ! કાયમ મારું અંગત મંતવ્ય લખ્યા કરું એના કરતા આ વખતે એવું કરીએ કે સૌ ભાવકો પોતપોતાના મંતવ્યો આપે તો કેવું ? સૌને હાર્દિક આમંત્રણ છે કે પોતપોતાના વિચારો પ્રગટ કરે…..

Comments (3)

જબ ભી ઘર સે બાહર જાઓ – નિદા ફાઝલી

જબ ભી ઘર સે બાહર જાઓ
તો કોશિશ કરો… જલદી લૌટ આઓ
જો કઈ દિન ઘર સે ગાયબ રહ કર
વાપસ આતા હૈ
વહ જિંદગીભર પછતાતા હૈ
ઘર…. અપની જગહ છોડકર ચલા જતા હૈ.

– નિદા ફાઝલી

બારીક ઈશારો છે……ઘરની જગ્યાએ સંબંધ, અનુશાસન, તક, તપસ્યા ઈત્યાદી મૂકી જુઓ…..

Comments (4)

બસ – કૃષ્ણ દવે

પંચાણુ ટકા સળગી ગયેલી બસે અંતિમ શ્વાસ લેતા પ્હેલા કહ્યું

યાદ છે તમને ?
રોડ ઉપર બાંધેલી છાપરીવાળા બસસ્ટેન્ડે બેઠા બેઠા તો તમે દસ વાર પૂછી લેતા “બસ ક્યારે આવશે ? બસ ક્યારે આવશે ? “ અને હું આવું ત્યારે હોંશે હોંશે ગોઠવાઈ જતા બારી પાસે અને નાની નાની હથેળીઓ બહાર કાઢીને “આવજો, આવજો” થી ભરી મૂકતાં આખી સીમને.

યાદ છે તમને ?
બ્લૂ ચડ્ડી અને સફેદ શર્ટ પહેરી ,નાનકડું દફ્તર લટકાવી તમે ઊભા રહેતા ગામના વડલા નીચે મારી રાહ જોતાં ,અને હું આવું એટલે કૂદી પડતાં મારી સીટ પર જાણે માનો ખોળો ખૂંદતા હોવ ને એ રીતે

યાદ છે તમને ?
હટાણું કરવા ગયેલા બાપુને લઈને,મોતિયો ઉતરાવવા ગયેલી માને લઈને, ભાણેજ સાથે પિયર રહેવા આવતી બહેનને લઈને, નિશાળે ભણવા ગયેલી દીકરીને લઈને, તમારી પેઢી દર પેઢીએ મૂકેલા વિશ્વાસને લઈને રોજ સાંજે હું જ તો પાછી આવતી હતી તમારા ગામમાં .

મને સળગાવતા પ્હેલા તમારા હાથ કંપી તો ઉઠ્યા જ હશે ,

પણ ! ! !

તમને માણસમાંથી ટોળું બનાવી નાખતા એ લોકોને એટલું તો પૂછી જો જો ,
તમે ક્યારે’ય બસમાં બેઠાં છો ખરાં ?

– કૃષ્ણ દવે

કવિતા એ કળા છે અને કળાને હંમેશા સામાજીક નિસ્બત હોય જ એ જરૂરી નથી. પણ તોય ઇતિહાસ સાક્ષી છે કે સામાજીક નિસ્બત વધતે-ઓછે અંશે કવિતાને સમાંતર જ વહી છે. કવિતાની ટાઇમ-લાઇન તપાસીએ ત્યારે સમાજની સાચી નાડ પણ ઝલાતી હોય છે. કૃષ્ણ દવે અન્ય કવિઓની સરખામણીમાં એમની સામાજીક નિસ્બતના કારણે નોખા તરી આવે છે. કળાત્મક કવિતાઓની અડોઅડ એમના લખાણમાં સમાજ તરફની જવાબદારી ન ચૂકવાની ચિવટાઈ મેં સતત જોઈ છે. પ્રસ્તુત રચના વારે-તહેવારે હિંસક સ્વરૂપ ધારણ કરી બેસતા પાટીદારોના આંદોલનના ગાલ પર એક ચમચમતો તમાચો છે. આપણે માણસ ક્યારે બનીશું ? ક્યારેય બનીશું ખરા ?

Comments (13)

પ્રદક્ષિણા – મનીષા જોષી

જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું….
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.
પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હૂં મૂંગી, અવાક્ થઈ જાઉં છું,
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતાં
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.

હું જીવ બચાવતી દોડું છું.
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.
મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું
હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.
મને કોઈ પણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

– મનીષા જોષી

ઈશ્વરની સંકલ્પનામાંથી મુક્ત થઈશું ત્યારે તો આપણી સાચી ખોજ શરૂ થશે…..

Comments (8)

ત્યારથી – વિપિન પરીખ

પીંજરામાં ગાતાં ગાતાં પંખીએ
એક દિવસ
આકાશને જોયું
અને ત્યારથી
એના દુઃખની શરૂઆત થઈ.

– વિપિન પરીખ

એકસાથે કેટલા બધા અર્થ !! Desire is the root cause of all misery ! [ Bertrand Russel once quipped – ‘ I do not desire life without desire ‘ ! ]

Comments (5)

યાચના – ચન્દ્રકાન્ત ધલ

ખાવાનું આપતી વખતે
પાંજરાના પોપટે મને કહ્યું:
‘તમે મને ખાવા-પીવાનું આપો છો
એ બરાબર છે
પણ
મારી પાંખો કાપી આપોને
મને એનો
બહુ
ભાર લાગે છે.’

– ચન્દ્રકાન્ત ધલ

એક જ લીટીની કવિતા પણ જાણે કોઈ આપણી છાતીમાં તીક્ષ્ણ કટારી હુલાવી ન દેતું હોય એવી ટીસ કાયમ માટે મૂકી જાય એવી.

Comments (4)

કંસારા બજાર – મનીષા જોષી

માંડવીની કંસારા બજારમાંથી પસાર થવાનું
મને ગમે છે.
‘ચિ. મનીષાના જન્મ પ્રસંગે’
આ શબ્દો મમ્મીએ
અહીંથી ખરીદેલા વાસણો પર કોતરાવ્યા હતા.
વર્ષો વીત્યાં.
મારા હાથ-પગની ચામડી બદલાતી રહી
અને એ વાસણો પણ, ઘરના સભ્યો જેવાં જ,
વપરાઈને ઘસાઈને
વધુ ને વધુ પોતાનાં બનતાં ગયાં
એ વાસણોની તિરાડને રેણ કરાવવા
હું અહીં કંસારા બજારમાં આવું છું ત્યારે
સાથે સાથે સંધાઈ જાય છે
મારાં છૂટાં છવાયાં વર્ષો પણ.
ગોબા પડેલા, ટીપાઈ રહેલાં વાસણોના અવાજ
કાનમાં ભરી લઈ, હું અહીંથી પાછી જઉં છું ત્યારે
ખૂબ સંતોષથી જઉં છું.
આ વાસણો જ્યાંથી લીધાં હતાં
એ દુકાન કઈ, એ દુકાનદાર કોણ
કાંઈ ખબર નથી, છતાં
આ બજારના ચિરકાલીન અવાજ વચ્ચેથી
હું ચૂપચાપ પસાર થતી હોઉં છું ત્યારે
સતત એમ લાગ્યા કરે છે કે
હું અને આ અવાજ ક્યારેય મરતા નથી.
નવાં નવાં દંપતી અહીં આવે છે.
મારા માટે નવું નામ પસંદ કરીને
વાસણો પર કોતરાવીને
મને તેમના ઘરે લઈ જાય છે.
હું જીવું છું વાસણોનું આયુષ્ય
અથવા તો, બેસી રહું છું.
માંડવીની કંસારા બજારમાં
જુદી જુદી વાસણોની દુકાનોનાં પગથિયાં પર.
ધરાઈ જઉં છું
બત્રીસ પકવાન ભરેલી થાળીથી,
મૂંઝાઈ જઉં છું
એક ખાલી વાટકીથી.
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં,
તાકે છે મારી સામે
તત્ત્વવિદની જેમ ત્યાં જ, અચાનક
કોઈ વાસણ ઘરમાં માંડણી પરથી પડે છે
ને તેનો અવાજ આખા ઘરમાં રણકી ઊઠે છે.
હું એવી અસ્વસ્થ થઈ જાઉં છું
જાણે કોઈ જીવ લેવા આવ્યું હોય.
વાસણો અને જીવન વચ્ચે
હાથવ્હેંત જેટલું છેટું,
ને વ્હેંત, કંસારા બજારની લાંબી સાંકડી ગલી જેવી
ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરી થાય
એ સમજાય તે પહેલાં
વ્હેંતના વેઢા
વખતની વખારમાં
કંઈક ગણતા થઈ જાય,
કંસારા બજારનો અવાજ
ક્યારેય સમૂળગો શાંત નથી થતો.
બજાર બંધ હોય ત્યારે
તાળા મારેલી દુકાનોની અંદર
નવાંનકોર વાસણો ચળકતાં હોય છે.
ને એ ચળકાટમાં બોલતા હોય છે
નવાં નવાં જીવન
થાળી વાટકા અને ગ્લાસથી સભર થઈ ઊઠતાં
ને એંઠાં રહેતાં જીવન
હું જીવ્યા કરું છું
ગઈ કાલથી
પરમ દિવસથી
તે ‘દિ થી.

– મનીષા જોષી

વાસણ-જીવન-વહેતા સમય સાથે વહેતી જીવનધારા……..  અદભૂત રૂપક સાથે અનેરું ભાવવિશ્વ સર્જ્યું છે કવયિત્રીએ  ! કોઇપણ સમજૂતી લખવાને બદલે માત્ર આખું કાવ્ય બે-ત્રણવાર ધીરેથી વાંચવાની વિનંતિ કરું છું-આપોઆપ દિલની અંદર એક મસ્ત સ્પંદન પેદા કરી દેશે આ કાવ્ય…..

Comments (6)

પાંચમી દીવાલ – રીના માણેક

બારણા પરના
દરેક ટકોરે
ધડકવા લાગે છે હૃદય
ભરડો લે છે
.                 કોઈ અજાણ્યો ભય
વધુ
.          ઘેરી થાય છે
.                    એકલતા…

થાય છે –
જાણે ક્યાંક
.           ચણાતી જાય છે
.                    ઈંટ પર ઈંટ…

ન કોઈ દરવાજો
ન ટકોરા
ને તોય
.            પ્રતીક્ષા –

કોઈ આવે
અને
તોડી નાખે
.            આ પાંચમી દીવાલ.

– રીના માણેક

કવિતાનો ઉઘાડ બારણા અને ટકોરાઓથી થાય છે. પણ દરેક ટકોરે ભય અને એકલતા ઘેરી વળે છે. પરિણામે એક એવી દીવાલ ચણાતી જાય છે જ્યાં કોઈ બારણાં નથી ને કોઈ ટકોરા પણ નથી, માત્ર પ્રતીક્ષા છે કે કોઈ ક્યાંકથી આવે અને આ એકલતા તોડી નાંખે. પણ જીવનમાં શું આ બનતું હોય છે ખરું?

 

Comments (4)

લા.ઠા. સાથે – ૦૬ (લઘરો) – લાભશંકર ઠાકર

ઓગળી ગયેલા
બરફ જેવા શબ્દોને
– આમ સરી જતા જોઈને
નિષ્પલક બનેલા
ભાઈ લઘરા !
જરા ઊંચું જો
આ હિમાલય પણ આવતી કાલે ઓગળી જવાનો છે.
અને સરી જવાનો છે સમુદ્ર તરફ.
છતાં એ પણ હશે.
તું પણ હશે
શબ્દો પણ હશે
શબ્દોની સ્મૃતિ પણ હશે,
હશે, ઓગળવાની ક્રિયા પણ હશે.
કેમ કે…
ભાઈ લઘરા ! ઊંઘી ગયો એટલી વારમાં ?

– લાભશંકર ઠાકર

ર.પા.ની સોનલ અને આસિમની લીલાની જેમ લા.ઠા.ની કવિતામાં અવારનવાર “લઘરો” દેખા દેતો રહે છે. એમના એક સંગ્રહનું તો નામ જ “લઘરો” છે. આ લઘરા વિશે કવિ પોતે કહે છે, “તીવ્ર તાદાત્મ્યથી આત્મસાત્ કરેલા પરંપરિત જીવન અને કવન-ના ‘નેગેશન’માંથી લઘરો જન્મ્યો છે. જીવન અને કવનના ‘આરણ-કારણ’ના ચિંતનમાં લઘરો અટવાય છે. લઘરાના નામ-કરણમાં જ ઉપહાસ, વિડંબના, હાસ્ય છે. આ હાસ્ય કોઈ સામાજિક, રાજકીય, નૈતિક ‘સેટાયર’ નથી. અહીં ‘અન્ય’નો ઉપહાસ નથી. અહીં ઉપહાસ છે ‘સ્વ’-નો. સેટાયર કહેવો હોય તો અહીં મેટાફિઝિકલ સેટાયર છે. અહીં હ્યુમર છે, પણ તે કરુણથી અભિન્ન, ઇનસેપરેબલ છે. તેથી આ હ્યુમર તે ‘બ્લેક’ હ્યુમર છે. મનુષ્યજીવન-ના નામે તથા આજ લગીના મનુષ્યના કવનના નામે જે કંઈ આત્મસાત્ થયેલી આત્મ-પ્રતીતીઓ છે તે લઘરવઘર છે, દોદળી છે, આભાસી છે. એને ધારણ કરનારો ‘લઘરો’ છે. લઘરો Abstraction છે. લઘરો વ્યક્તિવિશેષ નથી. લઘરો સ્થલ-કાલસાપેક્ષ નથી. લઘરો Clown છે. Metaphysical comicality of clownનાં રૂપોનો અહીં આવિષ્કાર છે”

Comments (4)

લા.ઠા. સાથે – ૦૫ – કાવ્યકંડુ

અને છતાં કાવ્યકંડુ
કાવ્યકંડુ ન હોત તો ચામડીનું ખરજવું
હોત એમ કોઈ મનોવૈજ્ઞાનિક સિદ્ધ કરે
અને કવિ કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ કરે
અને એને કોઈ પારિતોષિક આપે
તો આવો ભેદ-ભાવ શા માટે ?
હું કહું છું તો પછી ખરજવું કેમ સિદ્ધિ નહીં ? એની કેમ પ્રસિદ્ધિ નહીં ?
એનો કેમ પુરસ્કાર નહીં ?
કાવ્યનો પુરસ્કાર અને ખરજવાનો તિરસ્કાર ?
ક્રાન્તદૃષ્ટિ કપાઈ ગઈ છે મારા કાવ્યપુરુષની.
અને છતાં જોયું ને આ પત્રના શરીર પર ફરી વળી છે સાદ્યંત
કાવ્યખૂજલી ? આ વલૂરમાં કોઈ અનન્ય મીઠાશ આવે છે આ ક્ષણે.
સૂધબૂધ પણ વલુરાય છે ઘેનમાં. મારા શબ્દેશબ્દ પર બ્રહ્માની
આંગળીઓના વધેલા નખ એકધારા રમમાણ છે.

– લાભશંકર ઠાકર

‘નવનીત સમર્પણ’ના તે સમયના તંત્રી શ્રી ઘનશ્યામ દેસાઈને પત્ર લખતા લખતા જે કંઈ આ રચાયું એના વિશે કવિ પોતે જે કહે છે એ એમની કાવ્યપ્રક્રિયા સમજવામાં મદદરૂપ છે. લા.ઠા. કહે છે, “Verbal Gameનું મોટામાં મોટું સુખ એ એકલાં એકલાં રમી શકાય છે, તે છે. એટલે ક્યારેક ક્યારેક એનું ખેંચાણ તીવ્રતાથી પણ થાય છે. કાવ્યની રચના પ્રક્રિયાના સંદર્ભમાં મારો અનુભવ કંઈક આ પ્રમાણે છે. ‘મૂડ’ હોય તો હું ‘વર્બલ ગેઇમ’ રમું છું. શા માટે ? એવી ચૈતસિક રુચિ (એપ્ટિટ્યુડ) છે. થોડા શબ્દો કે પંક્તિથી રમત આરંભાય. આ રમત કેવી કેવી આકૃતિઓ ધારણ કરશે ? રમત પૂરી થશે કે અપૂર્ણ રહેશે ? કંઈ કશી જાણ નથી હોતી. રમત શરૂ થતાં શબ્દો, પંક્તિઓ, લય રમતનાં નિયમો રચાતાં જાય છે અને હું એ નિયમોને વશ થતો જાઉં છું.

“કાવ્યવૃત્તિ તો થવાની. એ કેવળ ખેલકૂદ છે કે કોઈ ગંભીર પ્રવૃત્તિ છે ? ગંભીર એટલે ઊંડી. ઊંડાણમાં શું છે ? કદાચ કંઈ નથી. કદાચ કંઈ છે. કંઈ છે તો એને પામવાથી શું? ન પામવાથી શું ? અને આમ વિચારવાથી તો કશુંક જામે છે તે જામવાથી પણ શું ? પ્રશ્નોની અસંખ્ય હારમાળા અને અંત (અલબત્ત જીવનના) સુધી કોઈ ઉત્તર ન મળવો એવી સળંગ પ્રક્રિયા જેવું આ કાવ્ય -”

(કંડુ = ખરજવું)

Comments (4)

લા.ઠા. સાથે – ૦૩ – કાવ્ય – લાભશંકર ઠાકર

આ બધું જે નિશ્ચિત દિશાને ચીંધે છે
એ અવિરત એકધારું આરપાર પોતાને જ વીંધે છે.
તો છોડી દે ને.
શું છોડી દઉં ? કાવ્ય છોડીને ફાવ્યમાં પડું ?
કશુંય છૂટતું નથી.
અંદર ને અંદર એકધારો અતિશય ગૂંગળાયા કરું છું.
.                                   પણ ઇંડું ફૂટતું નથી.
‘છૂટતું નથી’ – ના પ્રાસમાં ‘ફૂટતું નથી’ આવ્યું;
.                     ને ‘આવ્યું’ના પ્રાસમાં દાતણને વાવ્યું
આમ અગડં બગડં ઊછળવા છતાં યે
.                          આ ‘કાવ્ય કરવાનું’ છૂટતું નથી
કાં તો એ એવું પાત્ર છે મદ્યવું જે કદિ ખૂટતું નથી.
કાચનું છે, આમ ગબડી જાય છે હાથમાંથી, પણ ફૂટતું નથી.
કાં તો એ એવું ગાત્ર છે સમયનું વજનદાર જે કદી તૂટતું નથી.

– લાભશંકર ઠાકર

કવિના “ટોળાં અવાજ ઘોંઘાટ” સંગ્રહમાંના ‘ક્યારેક એવું બને છે કે જાણે કંઈ બનતું નથી’ શીર્ષકવાળા દીર્ઘકાવ્યનો અંતભાગ અહીં રજૂ કરું છું. આખું કાવ્ય કાવ્યસર્જનપ્રક્રિયા સાથે સંકળાયેલું છે.

લા.ઠા.ની કવિતામાં સીધો અર્થ શોધવા જઈએ તો ઊંધે મોંએ પટકાવાની પૂરેપૂરી ખાતરી છે. કવિ કોઈ ઇમેજમાં બંધાવા માંગતા નથી. કવિ તરીકે એમણે શરૂઆત કરી છંદોબદ્ધ કાવ્યોથી. પહેલા સંગ્રહ ‘વહી જતી પાછળ રમ્યઘોષા’નું નામ પણ છંદમાં. પણ તરત જ કવિ છંદના બંધન તોડી-ફોડીને આગળ વધી ગયા. અછાંદસમાં પણ કવિ સતત પોતાની રીત-ભાતને તોડતા-ફોડતા જ રહ્યા. એટલે જ લા.ઠા.ને માણવા હોય તો એમના શબ્દોની પેલેપાર જઈને એમને મળવું પડે. શબ્દો જે કહે છે એ તો સંભળવાનું જ છે પણ શબ્દોની ગોઠવણીમાં રહેલો ધ્વનિ ખાસ સાંભળવાનો છે. અને આ બંને જગ્યાએ લા.ઠા.ને મળી લો પછી આખી કૃતિમાંથી જે વ્યંજના સરવાળે ઊભી થાય છે એને પણ ધ્યાનમાં લેવાની. આમ, આ ત્રણેય સ્તરે ભાવક સાબદો હોય તો જ કાવ્યપદારથ સાંપડશે. ક્યારેક કશુંય હાથમાં નહીં આવે અને માત્ર એક અનુભૂતિ જ ભાવકની ભીતરે સર્જાય. આ નકરી નિર્વસ્ત્ર અનુભૂતિ પણ લા.ઠા.ની કવિતા જસ્તો.

Comments (4)

લા.ઠા. સાથે: 2 : અવાજ ને… – લાભશંકર ઠાકર

અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.
હે વિપ્લવખોર મિત્રો !
આપણી રઝળતી ખોપરીઓને
આપણે દાટી શકતા નથી
અને આપણી ભૂખરી ચિંતાઓને
આપણે સાંધી શકતા નથી.
તો
સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓને
તરતાં મૂકવા માટે
ક્યાં સુધી કાલાવાલા કરીશું
આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?
આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ
વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરું
પણ એય શું સાચું નથી
કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?
વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી
ખોબોક પાણી પી
ફરી કામે વળગતા
થાકી ગયેલા મિત્રો !
સાચે જ
અવાજને ખોદી શકાતો નથી
ને ઊંચકી શકાતું નથી મૌન.

– લાભશંકર ઠાકર

પરંપરાગત કવિતામા માણસની સિધ્ધિઓ અને શક્તિઓનું ગાન હોય છે. અહી એનાથી અલગ, માણસની અપૂર્ણતા અને સીમાઓના સ્વીકારનું ગાન છે. પોતાની ઈચ્છાઓ, ચિંતાઓ, સપનાઓ, ઇન્દ્રિયો – કશા પર આપણો કાબૂ નથી. કવિ પોતાના સાહિત્યકાર મિત્રોને યાદ કરાવે છે કે શબ્દ કે મૌન પર પણ આપણો કાબૂ નથી. આ આત્મવંચનાની નહી, આત્મદર્શનની કવિતા છે.

Comments

તળમાં ઊતર્યું તળાવ – રમણીક અગ્રાવત

તળાવ વચ્ચે ખોડાઈ તરસ, આજુબાજુ ઉજ્જડ,
વાવંટોળે ઊડે ભડકા, બાવળ ચોકી સજ્જડ.
દેરીએ વધેરી સૂનકાર પળેપળ,
ખાંખાંખોળા કરતી એકલવાયી પગદંડી પર,
રઝળે નકરી અદૃશ્ય ભૂતાવળ.
ડઘાઈ ગયેલા પીપળે બચ્યાં છે માંડ
ગણીને બે-ત્રણ પાંદ.
મૂળે બાઝ્યાં ઊધઈનાં વરવાં પોડાં
જાણે ચોંટ્યાં સૂકાં ખરજવાં.
કીડીઓનાં દળકટક કરે કૂચકદમ અરતેફરતે.
બૂઢાં ગામની છાતીમાં મૂંઝારા જેવું
ના હલે કે ના ચલે તળાવ.

– રમણીક અગ્રાવત

સ્વરૂપની દૃષ્ટિએ આમ તો આ કાવ્ય અછાંદસ છે પણ પહેલી બે પંક્તિ પ્રાસસહિત ગીતના ચાલમાં ચાલે છે એ જોતાં જ ઉમાશંકર જોશીનું ‘એક પંખીને કંઈક…’ કાવ્ય યાદ આવી જાય જેમાં પહેલી પંક્તિ છંદમાં લખીને કવિએ અછાંદસ કાવ્ય સિદ્ધ કર્યું છે.

સ્વરૂપને બાજુએ રાખીને કવિતા પર નજર માંડીએ તો તરત સમજાય છે કે કવિએ સાવ અનૂઠી રીતે દુષ્કાળગ્રસ્ત ઉનાળાનું વર્ણન કર્યું છે. તળાવની વચ્ચે પાણી નથી, તરસ છે અને બાવળની સજ્જડ ચોકી તો જાણે આપણી છાતી જ ભીંસતી હોય એવી અનુભવાય છે. અવ્વાવરુ પીપળાની ઉપર પાંદડા નથી બચ્યાં તો નીચે મૂળમાં પણ ઉધઈના પોડાં બાઝ્યાં છે. ગામમાં પણ કોઈ બચ્યું નથી એટલે કવિ ગામને બૂઢું કહે છે… સલામ, કવિ!

Comments (4)

આત્મવંચના – બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)

આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા
મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે
એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)

હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?

ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.

– બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)

આત્મવંચના……..માત્ર સ્ત્રીની જ આ હાલત હોય છે એવું નથી……લગ્ન એક એવું મકાન છે જેમાં માત્ર Entry જ છે, Exit છે જ નહીં. divorce એ Exit નથી. એ destruction છે. પ્રેમને લગ્ન સાથે કોઈ અનિવાર્ય સંબંધ નથી અને લગ્નને પ્રેમ સાથે પણ નથી.

Comments (7)

मधुशाला : ०९ : रामदास – रघुवीर सहाय

चौड़ी सड़क गली पतली थी
दिन का समय घनी बदली थी
रामदास उस दिन उदास था
अंत समय आ गया पास था
उसे बता यह दिया गया था उसकी हत्या होगी

धीरे धीरे चला अकेले
सोचा साथ किसी को ले ले
फिर रह गया, सड़क पर सब थे
सभी मौन थे सभी निहत्थे
सभी जानते थे यह उस दिन उसकी हत्या होगी

खड़ा हुआ वह बीच सड़क पर
दोनों हाथ पेट पर रख कर
सधे क़दम रख कर के आए
लोग सिमट कर आँख गड़ाए
लगे देखने उसको जिसकी तय था हत्या होगी

निकल गली से तब हत्यारा
आया उसने नाम पुकारा
हाथ तौल कर चाकू मारा
छूटा लोहू का फव्वारा
कहा नहीं था उसने आख़िर उसकी हत्या होगी

भीड़ ठेल कर लौट गया वह
मरा पड़ा है रामदास यह
देखो-देखो बार बार कह
लोग निडर उस जगह खड़े रह
लगे बुलाने उन्हें जिन्हें संशय था हत्या होगी

– रघुवीर सहाय

આ કાવ્ય BBC દ્વારા ઘોષિત સદીના શ્રેષ્ઠ 10 હિન્દી કાવ્યોમાં સ્થાન ધરાવે છે. તાજેતરમાં સલમાનખાન જે રીતે નિર્દોષ છૂટી ગયો છે અને સમગ્ર ન્યાયવ્યવસ્થાના તેમજ પોલિસતંત્રના ગાલે સણસણતો મારીને નફ્ફટાઈપૂર્વક હસી રહ્યો છે , તે પરિસ્થિતિને હૂબહૂ આલેખાઈ છે અહીં.

Comments (5)

मधुशाला : ०४ : वसीयत – अज्ञेय

मेरी छाती पर
हवाएँ लिख जाती हैं
महीन रेखाओं में
अपनी वसीयत
और फिर हवाओं के झोंके ही
वसीयतनामा उड़ा कर
कहीं और ले जाते हैं।

बहकी हवाओ! वसीयत करने से पहले
हलफ़ उठाना पड़ता है
कि वसीयत करने वाले के
होश-हवास दुरुस्त हैं :
और तुम्हें इस के लिए
गवाह कौन मिलेगा
मेरे ही सिवा?

क्या मेरी गवाही
तुम्हारी वसीयत से ज़्यादा टिकाऊ होगी?

– अज्ञेय

આ કવિતા વિશે બે શબ્દ લખવાનું મેં જેટલીવાર વિચાર્યું એટલીવાર હું પાછો પડ્યો. હવાની વસિયત શી હોઈ શકે ? એની આવન-જાવન અને છાતી શ્વાસોચ્છ્વાસના પ્રતિક છે કે કોઈ બીજો જ અર્થ કાઢી શકાય…વિ.વિ. જેમ જેમ વિચાર્યું, હું ગૂંચવાતો જ ગયો. પણ કવિતામાં કંઈક એવું ચુંબક હતું જે શબ્દોમાં વર્ણવવું અશક્ય લાગ્યું અને કાવ્યથી દૂર જવું પણ નામુમકિન.

Comments (5)

मधुशाला : ०३ : मकान की ऊपरी मंज़िल पर – गुलज़ार

मकान की ऊपरी मंज़िल पर अब कोई नहीं रहता

वो कमरे बंद हैं कबसे
जो 24 सीढियां जो उन तक पहुँचती थी, अब ऊपर नहीं जाती

मकान की ऊपरी मंज़िल पर अब कोई नहीं रहता
वहाँ कमरों में, इतना याद है मुझको
खिलौने एक पुरानी टोकरी में भर के रखे थे
बहुत से तो उठाने, फेंकने, रखने में चूरा हो गए

वहाँ एक बालकनी भी थी, जहां एक बेंत का झूला लटकता था.
मेरा एक दोस्त था, तोता, वो रोज़ आता था
उसको एक हरी मिर्ची खिलाता था

उसी के सामने एक छत थी, जहाँ पर
एक मोर बैठा आसमां पर रात भर
मीठे सितारे चुगता रहता था

मेरे बच्चों ने वो देखा नहीं,
वो नीचे की मंजिल पे रहते हैं
जहाँ पर पियानो रखा है, पुराने पारसी स्टाइल का
फ्रेज़र से ख़रीदा था, मगर कुछ बेसुरी आवाजें करता है
के उसकी रीड्स सारी हिल गयी हैं, सुरों के ऊपर दूसरे सुर चढ़ गए हैं

उसी मंज़िल पे एक पुश्तैनी बैठक थी
जहाँ पुरखों की तसवीरें लटकती थी
मैं सीधा करता रहता था, हवा फिर टेढा कर जाती

बहू को मूछों वाले सारे पुरखे क्लीशे [Cliche] लगते थे
मेरे बच्चों ने आखिर उनको कीलों से उतारा, पुराने न्यूज़ पेपर में
उन्हें महफूज़ कर के रख दिया था
मेरा भांजा ले जाता है फिल्मो में
कभी सेट पर लगाता है, किराया मिलता है उनसे

मेरी मंज़िल पे मेरे सामने
मेहमानखाना है, मेरे पोते कभी
अमरीका से आये तो रुकते हैं
अलग साइज़ में आते हैं वो जितनी बार आते
हैं, ख़ुदा जाने वही आते हैं या
हर बार कोई दूसरा आता है

वो एक कमरा जो पीछे की तरफ बंद
है, जहाँ बत्ती नहीं जलती, वहाँ एक
रोज़री रखी है, वो उससे महकता है,
वहां वो दाई रहती थी कि जिसने
तीनों बच्चों को बड़ा करने में
अपनी उम्र दे दी थी, मरी तो मैंने
दफनाया नहीं, महफूज़ करके रख दिया उसको.

और उसके बाद एक दो सीढिया हैं,
नीचे तहखाने में जाती हैं,
जहाँ ख़ामोशी रोशन है, सुकून
सोया हुआ है, बस इतनी सी पहलू में
जगह रख कर, के जब मैं सीढियों
से नीचे आऊँ तो उसी के पहलू
में बाज़ू पे सर रख कर सो जाऊँ

मकान की ऊपरी मंज़िल पर कोई नहीं रहता…

– गुलज़ार

કવિતામાં વાત છે જૂના મકાનની. મકાન કે જેનો વખત વહી ગયો છે. પણ એની સાથે મકાનમાલિકની પણ વાત છે. મકાન અને એના માલિક બન્નેની કથા એક બીજા સાથે ગૂંથાઈ ગયેલી છે. કવિ મકાનના એક પછી એક ભાગમાં તમને લઈ જાય છે અને પોતાના દિલનો એક પછી એક ખૂણો તમને બતાવતા જાય છે. નાજુક યાદગીરીઓ અને બદલાતા સમય સાથે ખોવાઈ ગયેલી લાગણીઓનું આ કવિતામાં બારીક નકશીકામ છે.

Comments (3)

અથાણું અને અંધકાર – મનીષા જોષી

મારા રસોડામાં ગોઠવાયેલી
જાતજાતનાં અથાણાંની બરણીઓ જોતાં
હું કંઈક વિચારે ચડી જઉં છું.
કાચી કેરીની ખટાશ, મુરબ્બાની મીઠાશ,
ગુંદાના ચીકણા ઠળિયા, કેરાની કડવાશ,
ચણા-મેથી-લસણની તીવ્ર ગંધ,
ખાંડેલું લાલ મરચું ને દળેલી પીળી રાઈ,
તમાલપત્ર ને ગોળ ને ઉપર સરસવનું તેલ.
અથાણું બરાબર મચ્યું છે,
અત્યારે, અડધી રાત્રે, આ ઘરમાં ફેલાયેલા અંધકારની જેમ જ.
મને ઊંઘ નથી આવતી
અને હું, એક પછી એક, જુદાં જુદાં અથાણાં
ચમચીમાં લઈને ચાખી રહી છું.
અગાશીએ કેરી સૂકવવા મૂકતી વેળા પગની પાનીએ લાગેલો તડકો
દઝાડી જાય છે મને, હજી અત્યારે,
અને પછી સાંજ પડ્યે
બહાર સૂકવેલી કેરી ઘરમાં લેતી વખતે
આકાશમાં ફેલાયેલી ઢળતા સૂરજની લાલાશ પણ
હું જોઈ શકું છું, અત્યારે, આ મધરાતે, મારી નિદ્રાહીન, ચોળાયેલી આંખોમાં.
આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ,
મારી પણ જીવાદોરી છે.
તેલમાં ગળાડૂબ અથાણાંમાં
અકબંધ સચવાઈ રહે છે, અંધારું,
અને આ તેલ-મસાલાથી ભરપૂર
ખાટો, મીઠો, તૂરો સ્વાદ
સાચવી લે છે, મને પણ, અનેક અડધી રાતોએ.

– મનીષા જોષી

પાક્કી ગુજરાતી કવિતા. જે લોકો અથાણાંના સાચા શોખીન છે એ લોકોની સ્વાદેન્દ્રિય તો આ કવિતા વાંચતાવેંત જ સળવળાટ કરવા માંડવાની. પણ અલગ અલગ અથાણાં, અથાણાં ભરવા-સૂકવવા અને સમેટવાની કાવ્યાત્મક રીતો પતે પછી “આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ, મારી પણ જીવાદોરી છે” – એમ કવયિત્રી કહે છે ત્યાંથી ખરી કવિતાની શરૂઆત થાય છે. અલગ અલગ સ્વાદનાં અથાણાં, તેલ, અંધકાર અને જીવન, જિજિવિષા, જીવાદોરી : કવિતાનો ગળચટ્ટો સ્વાદ વાંચ્યા પછી પણ લાંબો સમય જીભ પર રહી જાય એવો છે…

Comments (8)

(-) – લતા હિરાણી

પાનખરમાં પીળાં પાનને
લીલાં સપનાં જોવાની છૂટ છે
એની પીળી નસોમાં
સોનેરી તડકો સચવાયેલો છે
એની ચમકતી ત્વચામાં
કુમળી પાંદડીઓનો મીઠો સ્પર્શ
હજી ફોરી રહ્યો છે
ડાળીએથી હજી એ ખર્યું નથી
ઊંડે ઊંડે હજી એનામાં ભીનાશ વહ્યા કરે છે
એ પ્રતીક્ષા કરે છે
આકાશે ઊડતો કોઈ યક્ષ
કદાચ એને વસંતનું વરદાન દઈ દે….

– લતા હિરાણી

ખરતાં પાનની લીલી વાતો…

Comments (8)

કાચનો પ્યાલો – સિતાંશુ યશશ્ચંદ્ર

મારી પાસે દરેક ચીજ બે બે છે.
દરેક બારણું, દરેક દીવાલ, દરેક ચંદ્ર
દરેક મેદાન, દરેક શહેર કે પ્યાલો કે તારો.

એક પ્યાલો કાચનો, ને એ જ પાછો સ્ટીલનો.

કાચના તારાને
ખૂબ કાળજીથી જાળવી રાખું છું બને તેટલો વધારે સમય.
વર્ષો, પળો, સદીઓ કે પ્રહરો સુધી બચાવી લઉં છું
તૂટવામાંથી,
તોડી નાખે એવી પંખીઓની પાંખોની ઝાપટમાંથી.
હાથમાંથી છટકી ન જાય, કોઈની ઠેસ ના વાગે.
કોઈ બારીની પાળ પરથી પડી ના જાય કાચનો તારો
કે શહેર, એની સંભાળ પાછળ
ખરચી નાખું છું જિંદગી.

પછી
જ્યારે અણધારી રીતે સહસા
તૂટી જાય છે કાચનો પ્યાલો

ત્યારે
હળવે રહીને
મારા ખ્યાલમાં આવે છે, છલોછલ,
છલોછલ સ્ટીલની ચીજ.

– સિતાંશુ યશશ્ચંદ્ર

Vulnerability શબ્દ માટે કોઈ ગુજરાતી શબ્દ મળતો નથી. કાવ્યના કેન્દ્રસ્થાને Vulnerability છે. interpersonal relationship માં દાઝ્યા પછી, વારંવાર દાઝ્યા પછી વ્યક્તિ પોતાની ફરતે એક મજબૂત કિલ્લો ચણી લેતો હોય છે. આ પગલું લીધા પછી એ બાહ્ય આક્રમણથી તો કદાચ બચી પણ જાય , પરંતુ સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે તેની દુનિયા એ કિલ્લાના પરિઘ પૂરતી સીમિત પણ થઇ જાય !!! વિશ્વનું અદભૂત સૌન્દર્ય,સાનંદાશ્ચર્ય, વિસ્મય,પરિવર્તનજન્ય નાવીન્ય ઈત્યાદીથી સમૂળગો અળગો પણ થઇ જ જાય.

કાચની ચીજ એટલે કિલ્લેબંધી વગરનું મુક્ત કિંતુ vulnerable અસ્તિત્વ.

Comments (5)

No more moon in the water ! – Chiyono [ ઝેન સાધ્વી ]

In this way and that
I tried to save the old pail
Since the bamboo strip was weakening
And about to break
Until at last the bottom fell out.
No more water in the pail !
No more moon in the water !

– Chiyono [ ઝેન સાધ્વી ]

આ કાવ્યની ભૂમિકા એવી છે કે ઝેન સાધ્વી ચિયોનો વર્ષો સુધી તપસ્યા કરતી રહી પરંતુ આત્મસાક્ષાત્કાર [ satori ] દુર્લભ હતો. એક ચાંદની રાતે સાધ્વી એક જૂનો ઘડો વાંસ સાથે બાંધીને પાણી લઈને મઠ તરફ જતી હતી. વાંસ તૂટી ગયો…..ઘડો ફૂટી ગયો……તત્ક્ષણ ચિયોનો ને આત્મસાક્ષાત્કાર થઇ ગયો….. સાધ્વીએ આ કવિતા તે ક્ષણને વર્ણવતી લખી છે.

અહીં વાંસ એ મન અને અ-મન વચ્ચેનો અંતરાય – અર્થાત વિચારજન્ય બંધનો. પાણીમાં પ્રતિબિમ્બિત ચંદ્રનું પ્રતિબિંબ એ જેવું પાણી ઢોળાઈ જાય તેવું જ અદ્રશ્ય થઇ જાય છે, છલના ભાંગી જાય છે. વ્યક્તિની ઘણી જિંદગી આ છલનાનો તાગ પામવામાં જ વ્યતિત થઇ જાય છે. એક ચમત્કારિક ક્ષણે વાંસ તૂટે છે, પાણી ઢોળાઈ જાય છે અને છલના ભાંગી જાય છે.

Comments (5)

અકડુ ઈતિહાસ – હાવર્ડ ઓલ્ટમેન (અનુ. ધવલ શાહ)

ઈતિહાસ ગાદી પર બીરાજે છે
બારી બારણાં વિનાના ઓરડામાં.
સવારમાં એ બારણું શોધવા ખાંખાખોળા કરે છે,
ને બપોર વામકુક્ષિમાં કાઢે છે,
મધરાતના ટકોરે
આળસ મરડીને એ નિસાસો મૂકે છે.
એ સમયને જાળવે છે ને ભૂલી પણ જાય છે.
એ પોતાનુ મહત્વ જાણે છે ને ભૂલી પણ જાય છે.
કોઈ વાર એ ગાદીને પગથિયું સમજી બેસે છે
ને કોઈ વાર જાણે એને માટે ગાદી જેવું કંઈ છે નહીં.
છેવાડેથી એ તદ્દન અલગ જ દેખાય છે.
ગાંડપણમાં એ કોઈને ગાંઠે એમ નથી.
ઈતિહાસ ગાદી પર બીરાજે છે
આપણા બધાના ઘરથી બહુ ઉચે.

– હાવર્ડ ઓલ્ટમેન
(અનુ. ધવલ શાહ)

*

આ મજાની કવિતાનો અનુવાદ કરવા જતાં હું full moonવાળી લીટીમાં અટવાયો. એટલે મેં ધવલ નામની સંકટ સમયની સાંકળ ખેંચી. એણે એ એક લીટીના જવાબમાં આખી જ કવિતાનો અનુવાદ કરી મોકલ્યો. એનો અનુવાદ મારા અનુવાદ કરતાં એટલો સહજ હતો કે મેં મારા અનુવાદને રદિયો આપી દીધો.

શાળામાં હોઈએ ત્યારે ફરજિયાતપણે અને એ પછી મરજીયાતપણે પણ આપણે એક યા બીજા કારણોસર ઈતિહાસના સંસર્ગમાં રહેતાં હોઈએ છીએ. અહીં કવિએ ઈતિહાસનું Personification કરીને ઈતિહાસને એક અલગ જ આયામથી આપણી સમક્ષ રજૂ કર્યો છે.

*
Holding Posture

History sits on a chair
in a room without windows.
Mornings it searches for a door,
afternoons it naps.
At the stroke of midnight,
it stretches its body and sighs.
It keeps time and loses time,
knows its place and doesn’t know its place.
Sometimes it considers the chair a step,
sometimes it believes the chair is not there.
To corners it never looks the same.
Under a full moon it holds its own.
History sits on a chair
in a room above our houses.

– Howard Altmann

“This short poem was conceived in Lisbon, where the light never rests on its laurels. It was put to bed a few years later in New York City, where the light crowds out the stars.”
—Howard Altmann

Comments (8)

no-mind

From where did the Buddha come,
To where did the Buddha go?
If the Buddha is still around,
Where can be the Buddha found?      – Shun-tsung

From non-activity the Buddha came
To non-activity the Buddha disappeared.
Cosmic reality his spiritual body is,
In no-mind the Buddha will appear.      – Ju-man

Great mountains, rivers and seas,
Heaven and earth, sun and moon.
Who says there is no birth and death?
For even these meet their end soon.       -Shun-tsung

Birth is also before birth,
Death is also before death.
If you have attained no-mind,
Naturally there will be nothing left.        -Ju-man

આ એક ચીનના રાજા અને ઝેન મહાત્મા વચ્ચેનો સંવાદ છે. આશરે 1500 વર્ષ પહેલાનો આ સંવાદ ઝેનસાહિત્યમાં ખૂબ જાણીતો છે. પ્રથમ દ્રષ્ટિએ માત્ર contradictory statements હોય એવી છાપ ઊભી કરતો આ સંવાદ ઘણીબધી વાર વાંચ્યા પછી ઊઘડે છે.

સૌપ્રથમ ખૂબ જ ટૂંકમાં ઝેન બુધ્ધીઝ્મ વિષે થોડી મૂળભૂત વાત કરું તો તેમાં મૌન,અનુભૂતિ અને અનુભવ – આ જ મુખ્ય પદ્ધતિઓ છે જે દ્વારા ઝેન માસ્ટર પોતાની પ્રજ્ઞા શિષ્ય સુધી પહોંચાડે છે. કોઈ પ્રવચન અથવા તો વિશાળ ગ્રંથાભ્યાસ હોતો નથી. કોઈકવાર ગુરુ એક જ વાક્ય બોલે જેના ઉપર શિષ્ય આખી જિંદગી વિચાર કરે !!!!!! આવું કરવા પાછળનો હેતુ મુખ્યત્વે એ હોય છે કે સ્વ-અધ્યાય વિનાનું સર્વ વ્યર્થ છે.

પ્રથમ પ્રશ્ન સ્પષ્ટ છે – અહીં કોઈ શારીરિક આવાગમનની પૃચ્છા નથી. વાત બુદ્ધત્વની છે. ઉત્તરમાં વપરાયેલા ત્રણ શબ્દો મહત્વના છે – non-activity, cosmic reality અને no-mind. ત્રણે શબ્દની વિસ્તૃત સમજૂતી ખૂબ લાંબી થઇ જવાનો ડર છે, તેથી ટૂંકમાં – non-activity એટલે સંપૂર્ણપણે કર્તૃત્વભાવ વિનાનું-સંપૂર્ણ સહજ અસ્તિત્વ. cosmic reality એટલે અદ્વૈતની સહજ સ્વીકૃતિ. no-mind એટલે એ અવસ્થા જ્યાં વિચાર અને વિચારકનું દ્વૈત શમી જાય છે. [ આ અત્યંત જ સંક્ષિપ્ત ભાવાર્થ છે ].

બીજા પ્રશ્નનો ઉત્તર અદભૂત છે – પ્રત્યેક ક્ષણ નૂતન છે. ગ્રીક ફિલોસોફર હેરાકલિટસનું અમર સૂત્ર છે – ‘ one can never step into the same river twice.’ પ્રતિક્ષણ ધસમસતું વહેતું પાણી એ નદી છે. ક્ષણ વીતી ગઈ-પાણી વહી ગયું-નદી બદલાઈ ગઈ ! એ જ રીતે જીવન સતત – ક્ષણે ક્ષણે જન્મ લે છે અને ક્ષણે ક્ષણે મૃત્યુ પામે છે…. સાતત્યનો ભાસ ઊભું કરનાર તત્વ છે mind . જેવું mind ને અતિક્રમીને ‘no-mind’ અવસ્થામાં જીવન પ્રવેશે છે તેવું તરત જ જન્મ-મૃત્યુનું પરંપરાગત જ્ઞાન બાષ્પીભૂત થઇ જાય છે.

આ બધી વાતો લાગે તો રોચક, પરંતુ વ્યવહારનું શું !?? એ જ્ઞાન શું કામનું કે જે વ્યવહારમાં નેપથ્યમાં ધકેલાઈ જાય !! ભગવાન બુદ્ધે વ્યવહારઉપયોગી વાત સિવાય કોઈ વાત કદી કરી જ નથી. તેઓ એક માત્ર એવા મહાત્મા હતા જેઓએ કદીપણ ‘સ્વર્ગ’ અથવા ‘નર્ક’ શબ્દોનો ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહોતો. તેઓ કહેતા કે જિંદગી એ પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસ વચ્ચેનો ખેલ છે. ન તો એ પહેલા કશું હોય છે કે ન તો એ પછી. [ આથી જ હિંદુ ધર્મ અને બૌદ્ધ ધર્મ ભિન્ન ધર્મ છે ]. તેઓએ સતત જીવન અને તેની વિષમતાઓની જ વાત કરી છે. જીવનને સમજતા જેમ ઊંડાણમાં ઉતરતા જઈએ તેમ એક એવી અવસ્થા આવે છે-એવા પ્રશ્નો ઉદભવે છે કે જેનું સમાધાન ઉપરોક્ત કાવ્યમાં આલેખાયું છે.

Comments (6)

કાગળ – રમણીક સોમેશ્વર

કવિતાને મેં
કાગળથી
દૂર જ રાખી
આખરે
કાગળ એટલે તો
મારા ટેબલ ઉપર પડેલી
લંબચોરસ આકૃતિ
ભલે ને પછી
આખી થપ્પી હોય
પણ
અંતે તો એ
ચોક્કસ માપમાં
બંધાયેલો આકાર
અને
જ્યાં જ્યાં આકાર
ત્યાં ત્યાં વિકાર
મારેબચાવી લેવી હતી કવિતાને
બધી જ કુંઠાઓથી
પછી
રહી રહીને મને સમજાયું
કે
કાગળ તો ખરેખર હોય છે
કાગળની બહાર જ
કવિતાની જેમ.

– રમણીક સોમેશ્વર

રમણીક સોમેશ્વરની કાગળ વિશેની આ બીજી કૃતિ. કવિતા ખરેખર કાગળમાં હોય છે? કવિતાને કોઈ પણ પ્રકારનો આકાર આપીએ, અક્ષરોમાં બાંધી પછી એ ખરેખર કવિતા રહે છે ખરી? કે પછી સાચી કવિતા એટલે સર્જકના ભાવપિંડમાં જે અનુભૂતિ થાય છે એ જ ? પ્રસ્તુત રચના સ-રસ રીતે જવાબ આપે છે.

Comments (4)

તમે તો ધારી લીધું છે ને – ચંદ્રા

તમે તો ધારી લીધું છે ને કે હું
માત્ર ભીના રૂમાલ, લાલ ગુલાબ અને ઉઝરડા વિશે જ લખું છું
કાં તો ડિસ્પ્રિન વિશે લખીશ
ને બહુ બહુ તો તૂટ્યાં ચંપલ, વિત્યો સમય ને અધૂરાં કાવ્યો વિશે.
જોરથી વરસાદનો એક છાંટો પડવાથી
દરિયાઈ મોજામાં પડેલ ગોબામાં ડૂબેલા વિષયને
હું ના જ લખી શકું, કેમ!?
બે દિવસ પે’લા
દાદીમાએ ત્રોફાવેલ છૂંદણામાંથી મેં એક મોર ચોરી લીધો
ને એના ગળામાંથી ટહૂકો ખેંચી કાઢીને ફંગોળ્યો
તો હવામાં ‘યુ આર સો રોમેન્ટિક’ ના ક્રિસ્ટલ ક્લિઅર પડઘા ઊડવા
માંડ્યા
હજી ગઈ કાલે રાતે જ,
કિ-બૉર્ડ પર ફરી વળેલ અક્ષરો પાછા એકઠા થઈને
કાંઈક કાવતરું કરતા રંગે હાથ પકડાયા,
મને જોતાવેંત કહે, ‘રૂમાલ આપો તો રડવું છે’
આ તો ખાલી વાત થઈ,
બાકી આજે સવારે જ પાડોશીની સંસ્કાર ચૅનલમાંથી એક હકીકત
રવેશ પર આવી ચડી, ‘વ્યક્તિ જે ધારે તે કરી શકે’
ને આમેય તમે તો ધારી જ લીધું છે ને કે હું…..

– ચંદ્રા

ચંદ્રા તળાવિયા કોલેજમાં પ્રાધ્યાપિકા છે અને વિદેશી સાહિત્યના ઊંડા ભાવક પણ. એટલે અનુઆધુનિક કવિતા અને જૉન ડૉનની મેટાફિઝિકલ પોએટ્રીની પરિકલ્પનાઓ એમના શબ્દોમાં સતત વમળાતાં અનુભવાય તો નવાઈ નહીં.

“તમે તો ધારી લીધું છે ને” ~ આ પ્રથમોક્તિ પ્રસ્તુત રચનાનો દરવાજો છે. આ દરવાજો જરા માટે ચૂક્યા નથી કે કોઈ બીજા જ ઘરમાં તમે ઘૂસ્યા નથી. કવિતા આવી હોવી જોઈએ, કવિતા તેવી હોવી જોઈએ, કવિતામાં કાવ્યતત્ત્વ તો હોવું જ જોઈએ, કવિતાનો કોઈક અર્થ તો હોવો જ જોઈએ, કવિતા આમે કે તેમ – આવી એકેય પૂર્વધારણા મનમાં રાખી નથી કે તમે આ કવિતામાંથી “આઉટ” થયા નથી.

તમામ પ્રકારના, I repeat, તમામ પ્રકારના ‘માઇન્ડ સેટ’ બાજુએ મૂકીને જ તમે કવયિત્રી શું કહેવા માંગે છે એ સમજી શકશો. આ માણસ તો આમ જ કરી શકે અને આ માણસ તો તેમ જ – એવી ધારણાઓમાં આપણે આપણી આસપાસના દરેક વ્યક્તિને તો બાંધી જ દેતાં હોઈ છીએ પણ આપણે પોતે પણ આપણા પોતાના વિશે આવા જ વાડા રચી દેતાં હોઈએ છીએ.

કવયિત્રી બહુ સિફતપૂર્વક અલગ-અલગ સંદર્ભોથી ધારણાઓની વિશાળ દુનિયા તરફ ઇંગિત કરે છે અને એક બાહોશ કલાકારની જેમ સમાંતરે જ પોતાની ખૂબી પણ છતી કરતાં જાય છે. સરવાળે આસ્વાદ્ય રચના.

Comments (8)

(-) – યોગેશ જોષી

એક વડ નીચે
છાંયડાના ગાલીચા પર સૂતો હતો,
ત્યારે
કોઈ મધમાખી આવીને
ડંખી ગઈ મારી તર્જનીને.

શું આટઆટલાં વર્ષો પછીયે
મારી આંગળીઓમાં
મ્હેંકતો હશે તારો સ્પર્શ ?

– યોગેશ જોષી
(૧૭-૦૯-૧૯૭૮)

કેવું મજાનું પ્રણયકાવ્ય ! વાંચતાવેંત જ રોમાંચ થઈ આવે એવું.. અને કવિતા લખાયાની સાલ વાંચીએ એટલે સહેજે સમજાય કે તર્જની સુધી જ સીમિત રહ્યો હોય એવો પ્રણય સાડાત્રણ દાયકા પહેલાંનો જ હોઈ શકે…

Comments (8)

પાણી એક રોશની છે – કેદારનાથ સિંહ અનુ-સુશી દલાલ

પ્રતીક્ષા ન કરો
જે કહેવું હોય
એ કહી નાખો
કારણકે શક્ય છે
પછી કહેવાનો કોઈ અર્થ જ ન રહે.

વિચાર કરો
જ્યાં ઊભા છો ત્યાંથી જ વિચાર કરો
ભલે રાખથી જ શરૂ કરો
પણ વિચાર કરો.

એ જગાની તલાશ વ્યર્થ છે
જ્યાં પહોંચીને આ દુનિયા
એક અફીણના ડોડામાં બદલાઈ જાય છે.

નદી સૂઈ રહી છે
એને સૂવા દો
એના સૂવાથી
દુનિયાના હોવાનો અંદાજ મળી રહે છે

પૂછો
જેટલીવાર પૂછવું પડે એટલી વાર પૂછો
ભલે પૂછવામાં ગમે તેટલી તકલીફ પડે
પણ પૂછો
પૂછો કે ગાડી હજી કેટલી લેટ છે

પાણી એક રોશની છે
અંધારામાં આ જ એક વાત છે
જે તમે પૂરા વિશ્વાસથી
કહી શકો છો બીજાને.

– કેદારનાથ સિંહ અનુ-સુશી દલાલ

આ કાવ્યના ગુહ્યાર્થ બાબતે હું બહુ ચોક્કસ નથી છતાં મને જે સમજાયું છે તે કંઈક આ પ્રમાણે છે –

વિચારશૂન્યતા – ભયાનક જડતા – ઉપર વેધક કટાક્ષ છે અહીં. Bertrand Russel નું એક વાક્ય યાદ આવે છે – ‘ People would rather die then think. And they actually do ! ‘
‘સૂતી નદી’ એ દુનિયાની પ્રવાહહીનતા-જડતા નું પ્રતિક છે. પાણીને રોશની સાથે કોઈ સંબંધ નથી છતાં અંધારામાં – અર્થાત અગાધ અજ્ઞાનના અંધારે – રહેલા આપણે કેટલા વ્યર્થવિશ્વાસ સાથે બીજાને અભિપ્રાય આપી દઈએ છીએ !! અણજાણ મુલકે આંધળો અજાણ્યાને દોરે….!!

ભાવાર્થ બાબતે સૌ પોતપોતાના વિચારો મૂકશે તો આભારી થઈશ…..

Comments (2)

કાગળ – રમણીક સોમેશ્વર

કાગળ
હોય છે જ્યારે કોરો
ત્યારે જ હોય છે
ખરેખરો કાગળ
સૌથી વધુ ભર્યોભર્યો

તળ-અતળની
અનંત અજાયબીઓ
અકબંધ હોય છે
એની પાસે
અને
ખળભળતી હોય છે એનામાં
લેખણની શોધ પહેલાંની
ભાષા
ઘુંટાયા કરતો હોય છે
અવાજનો આકાર બંધાયા પહેલાંનો
ધ્વનિ
પૃથ્વીના જન્મ પહેલાંની
ગંધો લઈ ઘૂમરાતો હોય છે
વાયુ
એની ચામડી નીચે
સળવળતી હોય છે
સૃષ્ટિના બીજારોપણની કથાઓ
હું
અક્ષર પાડીને
એને ઉકેલવા મથું છું
ને
ફરીફરીને
મારી નજર ખોડાય છે
અક્ષરો વચ્ચેના
ખાલીપણા પર.

– રમણીક સોમેશ્વર

આવા મજાના કાવ્યનો આસ્વાદ કરાવવા અક્ષરો ન બગાડું, ને કાગળ કોરો જ રાખું એ જ ઉત્તમ.

Comments (8)

માન – મેલિસા સ્ટડાર્ડ (અનુ. વિવેક મનહર ટેલર)

કેમકે એનું શરીર ગુફા ભીતરનો શિયાળો છે
કેમકે કોઈકે ત્યાં આગ સળગાવી
અને હોલવવાનું ભૂલી ગયું છે
કેમકે નિદ્રાકાળ એક કિલ્લો છે
જે તેણી પોતાની ભીતર બાંધી રહી છે-
ખાઈ,
જાળીબંધ દરવાજા
અને ધુમ્મસભરી બાલ્દીઓથી
કેમકે જ્યારે તમે જતી કરો છો
લગામ
ઘોડાઓ
ગબડી પડે છે કરાડ પરથી અને
પતંગિયામાં પરિવર્તિત થાય છે
તળિયે પછડાતાં પહેલાં
કેમકે એમની ખરીઓ મધરાત્રિના લિસોટા છોડી જાય છે
આકાશમાં
કેમકે ઠાંસી ભરેલાં સસલાંઓ
રહસ્યો ગોપવી રાખવા માટે બહેતર છે
અટકાવી રાખતા હાથ કરતાં
કેમકે જ્યારે દુનિયા
એની ભીતર ઘુસાડી દેવાય છે
એ કેગલ બૉલની જેમ
એને ચુસ્ત પકડી રાખે છે
અને વિસ્મિત થાય છે
એ સંઘર્ષથી
જે એટલસે કરવો પડ્યો હતો
આવડી નાનકડી ચીજ
પીઠ પર ઊંચકવામાં

– મેલિસા સ્ટડાર્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

*

ગ્રીક પુરાકથાઓનો કથાનાયક એટલસ (શિરોધર) એક સજાના ભાગરૂપે માથા પર સ્વર્ગો ઊંચકે છે. પાછળથી કથા ખરડાઈ અને સ્વર્ગોનું સ્થાન પૃથ્વીએ લઈ લીધું. અહીં કવયિત્રી પણ એટલસને પૃથ્વી પીઠ-ખભે ઊંચકવામાં થયેલ તકલીફનો સંદર્ભ લઈ આવ્યા છે…

વાત એક યૌનપીડિતાની છે એ કવયિત્રીએ વાપરેલા સંદર્ભોથી સમજી શકાય છે. પણ મૂળ વાત સ્ત્રીની અંતર્ગત તાકાત અને પુરુષથી ચડિયાતાપણાની છે. રાતનો સમય એના માટે એક યુદ્ધ સમો છે. પણ પોતાના કિલ્લાને રક્ષવા એની લાચારી પાસે કેવળ ધુમ્મસ જ છે. લગામ છૂટી ગયેલા ઘોડાઓ કરાડ પરથી ખીણમાં નિરંકુશ પતન પામે છે એ વાત ભોગવવી પડતી પારાવાર તકલીફનું પ્રતીક છે પણ આ અશ્વો તળિયે પછડાતાં પહેલાં પતંગિયામાં પરિવર્તન પામે છે એ પોતાની આંતર્શક્તિમાં રહેલ વિશ્વાસ અને તકલીફોનું આધિભૌતિક રૂપાંતરણ સૂચવે છે – આપણે તળિયે પડીને ચકનાચુર નહીં થઈ જઈએ પણ પાંખ પામીને ઊડી જઈશું… तमसोमा ज्योतिर्गमय |

પૌરુષી અત્યાચારોનું વિશ્વ એની યોનિમાં ઘુસાડી દેવાયું હોવા છતાં એ જાણે કેગલ-બૉલ પગ વચ્ચે દબાવીને કસરત કરતી ન હોય એ સહજતાથી એ પોતાના વિશ્વને સાચવે છે. કવયિત્રી એની સામે એટલસના સંઘર્ષને juxtapose કરીને સ્ત્રીને- યૌનપીડિતાને માન આપે છે.

*
Respect

Because her body is winter inside a cave
because someone built
fire there and forgot to put it out
because bedtime is a castle
she’s building inside herself
with a moat
and portcullis
and buckets full of mist
because when you let go
the reins
horses
tumble over cliffs and turn
into moths before hitting bottom
because their hooves leave streaks of midnight
in the sky
because stuffed rabbits
are better at keeping secrets
than stopping hands
because when the world got
shoved up inside her
she held it tight like a kegel ball
and wondered
at the struggle Atlas had
carrying such a tiny thing
on his back

—Melissa Studdard

“This mighty, ethereal, unbreakable being appeared to me in a dream. She is part girl, part magic, making herself up in order to survive.”

—Melissa Studdard

Comments (12)

સ્વચ્છ આકાશ – મનીષા જોષી

કોઈક સુસ્ત સાંજે

આકાશમાં અચાનક દેખાઈ જતા

મેઘધનુષને જોઈને

સહેજ ચીડ ચડે છે.

શું હવે આ મેઘધનુષ પર

લપસણીની જેમ સરકવાનું ?

કે આ રંગોને ઓળખવાનો ઢોંગ કરવાનો ?

રંગ સાપેક્ષ કે નિરપેક્ષ,

એ વિચાર પણ હવે વ્યર્થ લાગે છે.

અત્યારે તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે

મારી બારીની બહાર મને દેખાય

એક કોરું, સ્વચ્છ, ખાલી આકાશ.

એટલું ખાલી એટલું સફેદ

કે મારી આંખો એમાં શોધી શકે

વર્ષો પહેલાં

મારી સાવ પાસેથી થઈને

ઊડી ગયેલા

એ સફેદ પક્ષીને.

.

-મનીષા જોષી

ખૂબીપૂર્વક રૂપક વાપર્યા છે અહીં. મેઘધનુષ્ય એટલે સફેદ પ્રકાશનું સંતાન. સફેદ પ્રકાશ શાશ્વત છે,મેઘધનુષ્ય ક્ષણજીવી છે.

આ ચાવી વાપરીને કાવ્યને વિવિધ રીતે માણી શકાય…..મેઘધનુષ્ય એટલે ક્ષણજીવી સંબંધો, સફેદ પ્રકાશ એટલે એક દિલનો સંબંધ. વળી કવિયત્રીની આંખો શોધે છે સફેદ આકાશમાં ઊડી ગયેલું સફેદ પક્ષી – અહીં એક વધુ ચમત્કૃતિ છે. કોઈક કારણોસર ભૂતકાળનો એક અતિસંવેદનશીલ સંબંધ કે જેમાં ક્યાંક કોઈક કારણોસર વાચા દગો આપી ગઈ હતી, હૈયાની વાત હોઠે આવી શકી નહોતી, અને એ અમૂલ્ય ક્ષણ હંમેશ માટે લુપ્ત થઇ ગઈ હતી – તે પાત્રને,તે ક્ષણને આ તરસી આંખો શોધ્યા કરે છે…..સતત…..

Comments (4)

(કોશિશ) – ડૉ. રાધિકા ટિક્કુ

સ્નેહવેલને
નવપલ્લવિત કરવા
જેવું હું
જળ ઉમેરું છું
ત્યાં જ
તારા
અપારદર્શક ચહેરા
ઉપર
બગાસું ઊગે છે.

– ડૉ. રાધિકા ટિક્કુ

સાવ એક જ લીટીની પણ સીધી જ મર્મભાગે ઘા કરે એવી ધારદાર કવિતા. ‘અપારદર્શક ચહેરા’ અને ‘બગાસું’માં જે સ્ત્રી-પુરુષના સંબંધની કડવી વાસ્તવિક્તા છે એ આ એક લીટીની વાતને કવિતાની કક્ષાએ લઈ જાય છે.

Comments (6)

मापदंड बदलो – दुष्यंत कुमार

मेरी प्रगति या अगति का
यह मापदंड बदलो तुम,
जुए के पत्ते-सा
मैं अभी अनिश्चित हूँ ।
मुझ पर हर ओर से चोटें पड़ रही हैं,
कोपलें उग रही हैं,
पत्तियाँ झड़ रही हैं,
मैं नया बनने के लिए खराद पर चढ़ रहा हूँ,
लड़ता हुआ
नई राह गढ़ता हुआ आगे बढ़ रहा हूँ ।

अगर इस लड़ाई में मेरी साँसें उखड़ गईं,
मेरे बाज़ू टूट गए,
मेरे चरणों में आँधियों के समूह ठहर गए,
मेरे अधरों पर तरंगाकुल संगीत जम गया,
या मेरे माथे पर शर्म की लकीरें खिंच गईं,
तो मुझे पराजित मत मानना,
समझना –
तब और भी बड़े पैमाने पर
मेरे हृदय में असंतोष उबल रहा होगा,
मेरी उम्मीदों के सैनिकों की पराजित पंक्तियाँ
एक बार और
शक्ति आजमाने को
धूल में खो जाने या कुछ हो जाने को
मचल रही होंगी ।
एक और अवसर की प्रतीक्षा में
मन की कंदीलें जल रही होंगी ।

ये जो फफोले तलुओं मे दीख रहे हैं
ये मुझको उकसाते हैं ।
पिंडलियों की उभरी हुई नसें
मुझ पर व्यंग्य करती हैं ।
मुँह पर पड़ी हुई यौवन की झुर्रियाँ
कसम देती हैं ।
कुछ हो अब, तय है –
मुझको आशंकाओं पर काबू पाना है,
पत्थरों के सीने में
प्रतिध्वनि जगाते हुए
परिचित उन राहों में एक बार
विजय-गीत गाते हुए जाना है –
जिनमें मैं हार चुका हूँ ।

मेरी प्रगति या अगति का
यह मापदंड बदलो तुम
मैं अभी अनिश्चित हूँ ।

– दुष्यंत कुमार

યુદ્ધ બાહ્ય રિપુ સામે હોય કે આંતરિક રિપુ સામે, સમર્થ સામે હોય કે કુટિલ સામે, સમોવડિયા સામે હોય કે વિરાટ બળ સામે – પરિણામનો આધાર ઇચ્છાશક્તિ [ will power ] ઉપર છે. આપણો ધર્મ છે પૂર્ણ સામર્થ્યસમેત લડવું…..ન તો જય કાયમી છે ન તો પરાજય, કાયમી છે પોઝિટિવ દ્રષ્ટિકોણ. કાયમી છે ‘ never say die ‘ સ્પિરિટ.

Comments (3)

આજકાલ – વેદ રાહી (ડોગરી) અનુ. નૂતન જાની

દિવસો એમ વીતી રહ્યા છે
જેમ
શત્રુના સિમાડા પાસેથી સૈન્ય.

શ્વાસ એમ લેવાઈ રહ્યા છે
જેમ
ઘાયલ થયેલા પંખીની ગભરાયેલી ચીસ.

પ્રેમ એમ થઈ રહ્યો છે
જેમ
સામર્થ્યથી વધુ, કોઈ મજૂર,
ઉપાડીને
લઈ જઈ રહ્યો છે ભાર.

– વેદ રાહી (ડોગરી)
અનુ. નૂતન જાની

આમ તો આજે પંદરમી ઓગસ્ટ. સ્વતંત્રતા દિન. એટલે વરસમાં બે દિવસ પૂરતી જાગી ઊઠતી દેશભક્તિ સાથે સુમેળ ખાય એવી કવિતા શોધવાની નેમ હતી પણ આ કવિતા આંખ તળેથી પસાર થઈ અને શ્વાસ થંભી ગયા. આજના દિવસે આથી વધુ યથાર્થ બીજી કઈ કવિતા હોઈ શકે? પોલાં દેશભક્તિના નારા લગાવવાના બદલે નાગી વાસ્તવિક્તાની જ વાત ન કરીએ?

Comments (1)

એક મજાનું ગીત હું જાણતો હતો – સ્ટિફન ક્રેન (અનુ. વિવેક મનહર ટેલર)

એકવાર, હું એક મજાનું ગીત જાણતો હતો,
-એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઝાંપો ખોલ્યો,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ ધૂળ સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

સાવ નાના અમથા કાવ્યમાં કવિ કવિતાને કેવી સરસ રીતે સમજાવે છે ! કવિ પાસે એક ખૂબ મજાનું ગીત છે પણ કવિએ એ મજાના વિચારોને અક્ષરોમાં કેદ કરી રાખવા ધાર્યું છે. જો કવિ એના વિચારોને એના મન, એના કાગળની કેદમાંથી મુક્ત કરે તો તે તરત જ દૂર ઊડી જશે… આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. પણ જરૂર છે એને મુક્ત કરવાની કેમકે વિચારોની આઝાદી જ સાચી કવિતા છે.

*
LXV [Once, I knew a fine song]

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

Comments (4)