પૃષ્ઠે પૃષ્ઠે મળશે તમને,
સ્નેહ નથી સાંકળિયા જેવો.
સાહિલ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for અછાંદસ
અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
May 25, 2008 at 11:47 PM by ધવલ · Filed under અછાંદસ, કમલેશ શાહ
તારી પાનીની ઠેસ વાગ્યા પછી
જેની પહેલી કૂંપળ ફૂટી હતી,
તે અશોકવૃક્ષને પાંદડે પાંદડે
મેં તારું નામ કોતરાયેલું જોયું.
તારા એ નામની બાજુમાં મેં
મારું નામ કોતરવાનો પ્રયત્ન કર્યો
અને એટલામાં તો
અશોક વૃક્ષ આકાશ થઈ ગયું.
મારી ભૂલ પર પસ્તાતો હું
ત્યાં જ સૂઈ ગયો.
હું જાગ્યો ત્યારે મારી ઉપર
બોધિવૃક્ષ
શ્વાસ લેતું હતું.
– કમલેશ શાહ
કોઈકે કહ્યું છે સંબંધનું analysis શક્ય નથી, એની માત્ર autopsy જ થઈ શકે. જે સંબંધને મૂલવવો પડે એ તો ક્યારનો ય મરી જ પરવાર્યો હોય છે. છતાં આ ‘સંબંધ’ નામના પતંગિયાના પડછાયાને પકડવાની રમત ચાલ્યા જ કરે છે. અહીં સંબંધવિચ્છેદ વધુ ‘સમજણ’માં પરિણામે છે એની વાત કરી છે. એક રીતે આ વાત તદ્દન ખરી લાગે છે પણ બીજી રીતે જુઓ તો… દિલ કે બહેલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ જેવી લાગે છે. વધુ તો તમે જાણો !
Permalink
May 23, 2008 at 1:24 AM by વિવેક · Filed under અછાંદસ, નગીન મોદી
મારો પહેલો પ્રેમ
વૃક્ષ
ને બીજો પ્રેમ
પુસ્તક
પણ કઠિનાઈ એવી કે
એક વૃક્ષ છેદાય ત્યારે
એક પુસ્તક પેદા થાય
ભલા, કોને ચહું
ને
કોને મૂકું.
-નગીન મોદી
સાવ નાનું અમથું આ અછાંદસ કદાચ એમાં વ્યક્ત થયેલા ઉદાત્ત ભાવના કારણે વાંચતાની સાથે જ સોંસરવું ઊતરી ગયું. સુરતના ડૉ. નગીન મોદી જાણીતા વિજ્ઞાન લેખક અને પર્યાવરણશાસ્ત્રી પણ ખરા. સરળ ભાષામાં એમણે બાળકો માટે જે વિજ્ઞાનકથાઓ, પ્રયોગ-પુસ્તિકાઓ અને પર્યાવરણને લગતી ઢગલાબંધ પુસ્તિકાઓ લખી છે એ માટે ગુજરાતી સાહિત્ય એમનું સદૈવ ઋણી રહેશે કેમકે કવિતા-નવલકથાઓ લખનારા તો હજારો મળી રહેશે.. એમના સેંકડો પુસ્તકોમાં પૃથ્વી અને પર્યાવરણ માટેનો એમનો પ્રેમ ઉનાળામાં મબલખ મહોરતા ગરમાળાની જેમ ઊડીને આંખે વળગે એવો છે. આ નાનકડું કાવ્ય એમના ‘તરુરાગ’ કાવ્યસંગ્રહમાંથી લીધું છે. આ આખા સંગ્રહમાં ફક્ત વૃક્ષ વિશેની કવિતાઓ જ છે…
(લયસ્તરોને તરુરાગ ભેટ આપવા બદલ નગીનકાકાનો આભાર… )
Permalink
May 19, 2008 at 8:01 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રકીર્ણ, ર.કૃ.જોશી
કાલે હું મારી સંપત્તિ જાહેર કરવાનો છું
ભાંગીતૂટી
ત્રણ
ખુરશી
ઘોબા પડેલા
ચારપાંચ
વાસણો
સનમાયકામાં
તડ પડેલું
ટેબલ
એક
બે ડિઝાઈનના
બે કપરકાબી
ન ચાલતું લાઈટર
લીક
થતો
ગેસ
ભેટ મળેલી બૉલપેન
ગયા
વર્ષની
ડાયરી અને આ કવિતા.
– ર.કૃ.જોશી ( અનુ. જયા મહેતા)
કવિ ‘સાંભળો રે સાંભળો’થી કવિતાની શરૂઆત કરે છે – ગામમાં દાંડિયો આવ્યો હોય એમ. કવિનો પૂરો અસબાબ થોડી જ લીટીમાં આવી જાય છે જેમાં જરીપૂરાણી ચંદ ચીજો સિવાય કાંઈ નથી… પહેલી નજરે આ કાવ્ય કવિની દરિદ્રતા પર કટાક્ષ લાગે પરંતુ કવિતાની ખરી ચોટ છેલ્લી લીટીમાં છે… જેમા કવિ પોતાની સંપત્તિમાં આ કવિતાને ઉમેરે છે. જે કવિને પોતાની ખરી જણસનો ખ્યાલ છે એ તો પોતાની જ અલગ દુનિયામાં રહે છે. એને માટે સંપત્તિની વ્યાખ્યા જ અલગ છે. લોકો દારિદ્ર સહન કરે છે અને છુપાવે છે જ્યારે કવિ એને ભરબજારે ‘સાંભળો રે સાંભળો’ કહીને સંભળાવે છે. એ કવિની આગવી ખુમારી છે. ફકીરીનો નશો જેણે કરેલો છે એને માટે દુનિયાના સમીકરણો તદ્દન અલગ હોય છે.
Permalink
May 6, 2008 at 10:49 PM by ધવલ · Filed under અછાંદસ, જગદીશ જોષી
સિગ્નલ પાસે
ટેક્સી ઊભી-ન-ઊભી ત્યાં તો
એક ભિખારણે હાથ લંબાવ્યો
અને બોલવા લાગી, બોલ્યે જ ગઈ…
“ભગવાન તમને સુખી રાખે, મારા રાજા !”
સુખ…
શબ્દને મેં હોઠ વચ્ચેની કડવાશથી ભીંસી દીધો
અને
ઝટપટ બારીનો કાચ ચડાવતાં ચડાવતાં
કેવળ એટલું જ બબડ્યો:
“ભગવાનની બહેરાશનો મને પણ છે આવો જ અનુભવ…”
– જગદીશ જોષી
Permalink
May 3, 2008 at 1:03 AM by ધવલ · Filed under અછાંદસ, જોસેફ હાંઝલિક, હરીન્દ્ર દવે
કુહાડી કે શબ્દથી
કરાયેલા ઘા જેવું મૌન.
ગળા પરની
છરી જેવું મૌન.
ખડક પરથી તળિયા સુધીની
ચીસ જેવું મૌન.
બંદૂકમાંથી નીકળતું
કે પડઘમમાંથી પડઘાતું મૌન.
મૃત્યુ પછી ઉચ્ચારાયેલા
પ્રથમ અક્ષર જેવું મૌન.
હવે મૌન
અને ત્યાં સુધી મૌન.
– જોસેફ હાંઝલિક ( અનુ. હરીન્દ્ર દવે )
મૌન કંઈ કેટલીય અલગ અલગ રીતે આપણા પર ખાબકે છે. કોઈ વાર ખૂણામાં ઘેરે છે. તો કોઈ વાર જાહેરમાં વ્હેરે છે. કોઈ વાર તો ગળા પર છરીની જેમ ગોઠવાઈ જાય છે. કવિ આવા કારમા મૌનથી વાત શરૂ કરે છે. પણ આગળ એ કવિતાને અલગ તરફ લઈ જાય છે. મૃત્યુ પછીના પ્રથમ અક્ષર જેવું એટલે કેવું ? મૃત્યુ પછીનો અક્ષર એટલે એવો સ્વર જે કોઈએ કદી સાંભળ્યો નથી ? કે પછી મૃત્યુ પછીનો ઉચ્ચાર એટલે નવજીવનની નિશાની ? જીવનભર દર્દ બનીને ઝળુબંતુ મૌન, મૃત્યુ પછી એક તૃપ્તિ બની જશે ?! … ને એ પછી રહેશે શું ? …. બસ, મૌન ! કવિતા એક ખાલીપાથી શરૂ થાય છે અને જાણે સંતોષનો ઓડકાર ખાઈને અટકે છે. અને મનને શાંતિનો, મૌનના ઔદાર્યનો, સંદેશ આપતી જાય છે.
કવિ ચેકોસ્લોવેકિયાથી છે. એમના વિષે વધુ માહિતી અહીં છે.
Permalink
April 29, 2008 at 8:20 PM by ધવલ · Filed under અછાંદસ, યશવંત ત્રિવેદી, હોર્સ્ટ બીનેક
આરોપ તો બધા પર હતો
પણ એમાંના એક જ જણે
પોતાના ગુનાની કબૂલાત કરી
બીજાઓએ મૌનના ધ્વનિને નષ્ટ કર્યો
તેમણે પોતાના બચાવ કર્યા
પણ તેમણે પોતાના શહેરોને બચાવ્યાં નહીં
ને ન રક્ષ્યું પંખીના શાંત ઉડ્ડયનને –
કારણકે ભયે છરીઓથી તેમને અંધ બનાવ્યા હતા
માત્ર એક જ માણસ નિર્દોષ હતો
જેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
– હોર્સ્ટ બીનેક (અનુ – યશવંત ત્રિવેદી)
Permalink
April 21, 2008 at 11:36 PM by ધવલ · Filed under અછાંદસ, શ્રીકાંત વર્મા
અશોક એકલો જ પાછો વળે છે
અને બધાંય
કલિંગ ક્યાં છે એમ પૂછી રહ્યાં છે.
બધાંય વિજેતાની અદાથી ચાલી રહ્યાં છે
અને
એકલો અશોક નતમસ્તક
કેવળ અશોકના કાનમાં કિકિયારી
અને બધાંય
હસીહસીને બેવડ વળી રહ્યાં છે.
કેવળ અશોકે શસ્ત્રો છોડી દીધાં છે.
કેવળ અશોક
લડી રહ્યો હતો.
-શ્રીકાંત વર્મા (અનુ. કુમુદ પટવા)
Permalink
April 14, 2008 at 11:30 PM by ઊર્મિ · Filed under અછાંદસ, આગા શાહિદ અલી, જ્યોત્સ્ના તન્ના, વિશ્વ-કવિતા
કાશ્મીરમાં જ્યાં વર્ષમાં
ચાર સ્પષ્ટ ઋતુ છે, મારી માએ
પોતાના બચપણની વાત કરી.
લખનૌના મેદાનમાં અને
એ જ ઋતુની
ચોમાસાની, જ્યારે કૃષ્ણની
વાંસળી સંભળાતી જમનાને કિનારે.
તે જૂની રેકર્ડ વગાડતી
બનારસની ઠૂમરી ગાયિકાઓની
સિદ્ધેસ્વરી અને રસૂલન. તેમના
અવાજમાં ઝંખના હતી, જ્યારે વાદળાં
ઘેરાય, ત્યારે ન દેખાતા તે
શ્યામલ દેવ માટે. જુદાઈ
તો વરસાદ આવતાં ન વેઠાય,
દરેક ઊર્મિગીત આ જ કહે છે.
જ્યારે બાળકો બહાર દોડે
ગલીકૂચીમાં, ભરઉનાળે
પ્રેમીઓ વચ્ચે સંદેશાની આપલે
હીર અને રાંઝા અને બીજા
દંતકથાનાં પાત્રો, પ્રેમ તેમનો નિષિદ્ધ
આખી રાત ધૂપ કરી
જવાબની રાહ જોતાં, મારી મા
હીરનો વિલાપ ગણગણતી
પણ મને કદી કહ્યું નહીં કે તેણે
ચમેલીની અગરબત્તી પેટાવી હતી કે નહીં
જે બળીને રાખની સળી થઈ જતી.
હું કલ્પના કરતો
દરેક એવી ગ્રીવાની
જે ભીની હવા પર ટેકા માટે લળે.
તેણે ફક્ત એટલું જ કહ્યું:
ચોમાસું કદી કાશ્મીરના
પહાડો પાર નથી કરતું.
– (કાશ્મીરી) આગા શાહિદ અલી
(અનુ. જ્યોત્સ્ના તન્ના)
Permalink
April 5, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
એક પંખીને કંઈક કહેવું હતું,
માનવીની પાસે આવતાં ખમચાતું હતું;
ઊડી ગયું દૂર, ટેકરી પર, ઊંચા વૃક્ષની ટગડાળે,
આગળપાછળ જોયા વિના, ભૂખ-થાક-વિરહ-ઓથાર નીચે
કંઈક બબડી નાંખ્યું એણે. સરતી સરિતાએ
સાંભળી લીધું, ‘હું એને પહોંચાડી દઈશ, રસ્તે
મળી જશે કદાચને !’ ગબડતી, મેદાનોમાં રસળતી,
લોથપોથ સમંદરમાં ઢબૂરાઈ ગઈ બુદબુદરવે કંઈક
કહેવા કરતી. ‘કાંઈ નહિ, દુનિયાના ચોગમ કિનારા પર
પહોંચાડીશ.’ કહેતોક સમુદ્ર ઊપડ્યો,
દિનરાત અનવરત ખડકો પર મસ્તક અફાળતાં
સંદેશાના મૂળાક્ષર પણ ભૂલી બેઠો.
એક પંખીને કંઈક કહેવું હતું…
-ઉમાશંકર જોષી
હાથ છોડીને સાઈકલ ચલાવવી હોય તો પહેલાં હેંડલ હાથમાં પકડીને જ શીખવું પડે. ઈંટ-રેતીથી મકાન બાંધતા આવડે તોજ અનિયમિત આકારના ઢેફા વાપરીને કળાકૃતિ બનાવવાનો વિચાર કરી શકાય. છાંદસ કાવ્ય સિદ્ધ ન કર્યું હોય એવા લોકો અછાંદસમાં સીધી ડૂબકી મારે તો ડૂબી જવાનો ગળાબૂડ ભય રહેલો છે. છંદ કે લયની હથોટી જેને હોય એ જ કવિ અછાંદસના ભયસ્થાનો પારખીને ચાલી શકે છે કેમકે અછાંદસ એ આખરે તો કવિનો પોતીકો છંદ છે. ઉમાશંકર જોષીનું આ અછાંદસ કાવ્ય અછાંદસ કવિતાના સ્વરૂપને સમજવામાં મદદરૂપ થઈ શકે છે.
કવિતાની પહેલી કડી છાંદસ છે (ગાલગાગા ગાલગાગા ગાલગા). અછાંદસ કવિતામાં કોઈપણ કડીનું છંદમાં હોવું જરૂરી નથી તો પછી કવિએ અહીં પહેલી કડીમાં છંદ કેમ સિદ્ધ કર્યો હશે? પંખીને કહેવાની વાતો તરન્નુમમાં જ આવે માટે?
અહીં પંખીને કંઈક કહેવું છે પણ એ માણસ પાસે આવતાં ખમચાય છે એ બે જ વાક્યમાં કવિએ નગરજીવનના મનુષ્યની સંકીર્ણ અને અવિશ્વાસપાત્ર માનસિક્તા તરફ ઈંગિત કરી કવિતામાં પ્રવેશવાનો દરવાજો રચી દીધો છે. ત્રીજી કડીમાં પંખીના દૂ…ર ઊડી જવાની ક્રિયા સાથે પર્વતનો ઉલ્લેખ અંતર અને ઊંચાઈ – બંને સ્થાપિત કરે છે. ટેકરી પરનું ઊંચું વૃક્ષ અને પાછી એના પરની ટગડાળ-ઊંચી ડાળ એ ઊંચાઈનો વ્યાપ વધુ દીર્ઘ બનાવે છે. કવિતામાં જ્યાં છંદની ઉપસ્થિતિ ન હોય ત્યાં શબ્દ-ચિત્ર આલેખવામાં ક્યારેક બિનજરૂરી લંબાણ કવિતાની ગતિને વ્યવધાનરૂપ બનતું હોય છે. અહીં આ એક જ લીટી ઓછા શબ્દોથી મોટું ચિત્ર શી રીતે આલેખી શકાય એ સમજાવે છે.
થાકેલું-હારેલું પંખી શારીરિક વિટંબણાઓથી ગ્રસ્ત-ત્રસ્ત થઈ કહેવાની વાત અંતે બબડી નાંખે છે અને કવિ ત્યાં કવિતાનું પહેલું પૂર્ણવિરામ મૂકે છે પણ કવિતાની કડી ત્યાં બદલાતી નથી, આગળ ચાલે છે. કવિની વાત અને એમ પંખીની વાત હજી પૂરી નથી થઈ એનું ચાક્ષુષ અનુસંધાન સાધતું હોય એમ આગળનું વાક્ય પૂર્ણવિરામ સાથે જોડાઈને કવિતાની ગતિને અનવરત આગળ વધારે છે. કવિતાના આ નવા ખંડની શરૂઆત થાય છે નદીના સાંભળી જવાથી. પણ ફક્ત ‘સરતી સરિતા’ એમ બે જ શબ્દો વાપરીને કવિ પુનઃ કવિતાના શબ્દને ગતિનો બોધ અર્પે છે. અને કાવ્ય આગળ વધતું નથી, સરસર વહી નીકળે છે. નદી પણ ગબડતી, રસળતી થાકીને સમુદ્રમાં પરપોટાના અવાજોમાં કંઈક કહેવા મથતી ભળી જાય છે એ ઘટના પર કવિ બીજું પૂર્ણવિરામ મૂકે છે. અને અપેક્ષિતરીતે જ કવિતાનો આ ત્રીજો ખંડ પણ પૂર્ણવિરામ બાદ એ જ કડીમાં શરૂ થઈ કવિતાની ગતિ ચાલુ રાખે છે. સમુદ્ર પણ ખડકો પર અનવરત માથાં પછાડતાં-પછાડતાં કહેવાની વાત ભૂલી જાય છે ત્યારે કવિ પ્રથમ કડીની પુનરોક્તિ કરે છે પણ આ વખતે સાયાસ પંક્તિના અંતને અધૂરો છોડી દઈ ઘટનાક્રમનું પુનરાવર્તન ભાવકના ચિત્તમાં સતત થતું રહે એવી ગોઠવણ કરે છે…
મારી દૃષ્ટિએ અછાંદસ કાવ્યસ્વરૂપને પામવા મથતા સાચા તપસ્વી માટે આ કવિતા ઉદાહરણરૂપ છે.
(ચંદ્રકાંત ટોપીવાળા કૃત ‘અછાંદસ મીંમાસા’ના આધારે)
Permalink
April 4, 2008 at 2:07 AM by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
જ્યારે એ
મારા બાહુમાં પાછો આવશે
ત્યારે કોઈએ
કદીયે ન કરાવ્યો હોય
એવો અનુભવ કરાવીશ
જ્યાં ને ત્યાં
પ્રત્યેક સ્થળે
હું એનામાં ઓગળતી જઈશ
નવા ઘડાતા ઘડાની માટીમાં
જળની જેમ.
(અનામી)
-અનુવાદ: સુરેશ દલાલ
કેટલું સુંદર અને સચોટ પ્રેમકાવ્ય ! કોણે લખ્યું એની તો જાણ નથી પણ એનો અનુવાદ કરાવીને સુરેશભાઈએ પ્રેમીઓ પર જાણે ઉપકાર કર્યો છે.ચાક પર ગૂંદાતી માટીમાં નંખાતું પાણી પોતાનું અસ્તિત્વ ગુમાવીને માટીના કણ-કણને પલાળે છે ત્યારે એમાંથી ઘડાનું સર્જન થાય છે. જાત ન ઓગળે ત્યાં સુધી કોઈ પણ પ્રાપ્તિનો ચમત્કાર કદી શક્ય જ નથી…
Permalink
March 18, 2008 at 5:33 PM by ધવલ · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત શેઠ
ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
એના મનમાં ખાલી સમય સડે છે.
ચપટી નભ ને ચપટી માટી,
ચપટી વાયુ, ચપટી તેજ,
જરા મળ્યો જે ભેજ,
– બધુંયે વ્યર્થ વ્યર્થ બગડે છે.
દેશકાળને દર્પણ એના ડાઘ પાડે છે:
ચંદ્રકાંતનો ચ્હેરો ભૂંસી દઈએ;
એને વેરવિખેર કરીને આ ધરતીમાં ધરબી દઈએ.
ભારેખમ એ ખડક,
નથી એ ઊછળવાનો મોજાંથી;
વરસે વાદળ લાખ,
છતાં કોરીકર એની માટી !
વંટોળો ફૂંકાય,
છતાંય એનો સઢ ન હવા પકડતો !
લંગર પકડી એ તો લટક્યા કરતો !
શ્વાસ કરોડો ઢીંચી,
પડછાયા સેવ્યા છે એણે આંખો મીંચી.
ચંદ્રકાંતના મન પર લીલ ચઢી છે;
એક માછલી, વરસોથી, કો ગલમાં બદ્ધ પડી છે.
કેટકેટલી તરડ પડી છે, જ્યાં જ્યાં એનાં ચરણ પડ્યાં ત્યાં !
ચંદ્રકાંતથી હવા બગડશે,
જલમાં ઝેર પ્રસરશે.
એનાં જે ખંડેરો – એને ખતમ કરી દો વ્હેલાં પ્હેંલાં,
એને અહીંથી સાફ કરી દો વ્હેલાં પ્હેલાં :
એની આંખે સૂર્ય પડ્યા છે ખોટા,
અને ત્યારથી દિવસ પડ્યા છે ખોટા,
ખોટી રાત છે :
ચંદ્રકાંતને ઝટપટ હળથી ભાંગી ખેતર સપાટ કરીએ,
ચં દ્ર કાં ત ને ભાં ગી ક ણ ક ણ ખ લા સ ક રી એ …
– ચંદ્રકાંત શેઠ
કહે છે કે માણસે પોતાના સૌથી કઠોર વિવેચક બનવું જોઈએ. અહીં તો કવિ પોતાની કવિતાનું નહીં પણ પોતાની જાતનું જ વિવેચન કરવા બેઠા છે.
ચોખ્ખી વાત છે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ. કેમ ? … કારણ કે એનું અસ્તિત્વ વિનાકારણ છે. જે પંચમહાભૂતમાંથી એના દેહનું સર્જન થયું છે એમા એ પાંચેય તત્વોનો તદ્દન બગાડ થયો છે. કોઈ વાતે એ બદલાય એમ નથી. એનું મન એવું અવાવરુ થઈને પડ્યું છે કે એમાં લીલ ચડી છે. કાંટામાં પકડાયેલી માછલી જેવો એ ન તો છૂટે છે અને ન તો નાશ પામે છે. સૂર્ય જેવા સ્વયંપ્રકાશિત સત્યને પણ એ સમજી શકતો નથી અને એટલે એને માટે દિવસ-રાત વ્યર્થ ગયા સમાન છે. એટલે : ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ.
કવિ અહીં પોતાની વાત કરે છે. પણ આ બધી વાત આપણે પોતાના માટે – આપણી અંદર રહેલા અહમ માટે – પણ કરી શકીએ. પોતાની જાતથી આગળ વધીને જે જોઈ શકે છે એ જ વધુ ઊંચા સ્તર પર પહોંચી શકે છે. માર્ગારેટ ફોંટેને કરેલી આ વાત મને બહુ પસંદ છે, The one important thing I have learned over the years is the difference between taking one’s work seriously and taking one’s self seriously. The first is imperative and the second is disastrous !
(ગલ = માછલી પકડવાનો આંકડો)
Permalink
March 17, 2008 at 11:59 PM by ધવલ · Filed under અછાંદસ, ગુલામમહોમ્મદ શેખ
(નીલિમા, સમીરાને)
હાંફળાફાંફળા મુસાફરો
ગાડીમાં ગરકાવ થઈ જાય
તે પહેલા
ગાડી
કથ્થાઈ બારીઓ પર બદામી કોણીઓ ટેકવી ઊભેલી
દરેક વ્યક્તિના પેટમાંથી પસાર થઈ જાય છે.
ખાલી પાટા, બોગદું, પુલ,
વેઈટિંગ રૂમના બારણાનો ફરી ધ્રુજતો આગળિયો.
મારા શરીરની આજુબાજુ તરતી
બે મનુષ્યોના શરીરની ગંધ
ક્ષણવારમાં ઊડી ગઈ.
એની સાથે મારા શરીરની ગંધેય ઊડી.
(હંમેશ જનાર વ્યક્તિ જ જતી હોય
એવું નથી;
દરેક વિદાય વખતે
વળાવનાર વ્યક્તિનો કોઈ અંશ
ગાડી સાથે અચૂક ચાલી નીકળે છે.)
પાછો ફર્યો
ત્યારે કોરા પરબીડિયા જેવું ઘર
મને વીંટળાઈ વળ્યું.
– ગુલામમોહમ્મદ શેખ
કાવ્ય ‘સ્વજનને પત્ર’ તરીકે લખાયેલું છે – નીલિમા અને સમીરાને. સ્વજનથી છૂટા પડવાની ક્રિયા અનેક સ્તરે માણસને અંતરદર્શન કરવા પ્રેરે છે. કવિતા શરૂ સ્ટેશનના શબ્દચિત્રથી થાય છે. ગાડી સ્વજનને લઈ જતી હોય ત્યારે એક એક ચીજ કેટલી આકરી લાગે છે તે કવિએ પસંદ કરેલા શબ્દોમાં જોઈ શકાય છે. એ પછી આવે છે કાવ્યનો મુખ્ય-વિચાર. રખે તમે એ ચૂકી જાવ એટલા માટે કવિ એને કૌંસમાં મૂકીને સમજાવે પણ છે !
Permalink
March 14, 2008 at 1:15 AM by વિવેક · Filed under અછાંદસ, પ્રભુ પહાડપુરી, લઘુકાવ્ય
તે આથમી ગયો
પછી
અંધારું સોળે કળાએ ઊગ્યું.
-પ્રભુ પહાડપુરી
ઠાલાં શબ્દો ન વેડફે એ કવિ ઉત્તમ. શબ્દોની કરકસરના પહાડ પાછળ કવિતાનો જે સૂર્યોદય અહીં થયો છે એ ભાવકને કવિતા પૂરી થયા પછી આગળ ન વધવા મજબૂર કરી દે એવો ઝળાંહળાં છે. ગાંધીજીને આપવામાં આવેલી કેટલીક ઉત્તમ અંજલિઓમાંની એક આ ગણી શકાય એવું હું માનું છું.
Permalink
March 8, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, સુરેશ દલાલ
કોઈ વિસરાઈ ગયેલી ભાષાની હસ્તપ્રત જેવો હું :
તમે મને નહીં ઉકેલી શકો એમાં તમારો વાંક નથી.
હું તમારી આંખોને અભણ કહેતો નથી.
પણ આપણે એકમેકથી અજાણ રહેવા જ સર્જાયા છીએ.
જે લિપિ ઓળખાય નહીં એ આંખ માટે
એક પ્રકારની ડિઝાઈન છે :
આપણે એકમેકને નહીં ઓળખીએ એ
આખરે તો ડિઝાઈન ઑફ ડેસ્ટીની છે.
-સુરેશ દલાલ
આ નાનકડા અછાંદસને કવિએ કોઈ શીર્ષક આપ્યું નથી. પણ કવિતા વાંચતા જ સમજાય છે કે અહીં કવિતાના ઘરમાં પ્રવેશવા માટે શીર્ષક નામના દરવાજાની જરૂર છે જ નહીં કેમકે આખું મકાન જ દીવાલો, છત વિનાનું સાવ ખુલ્લું અ-સીમ છે. બે માણસો ક્યરેક આખી જિંદગી સાથે રહેવા છતાં પણ એકમેકને કદી ઓળખી શક્તાં નથી. એક માણસનો રસનો વિષય બીજા માટે સ-રસ બનતો નથી. આવાં કજોડાંઓ આપણે ત્યાં ચોરે ને ચુટે જોવા મળે છે. કવિ કેટલી સાહજિકતાથી આ કોયડો સમજાવી દે છે…! તમિલ, મલયાલમ, તેલુગુ, ઉર્દૂ કે અન્ય કોઈપણ અપરિચિત ભાષામાં લખેલું કોઈ લખાણ આપણે જોઈએ ત્યારે આપણી જાણકારીના અભાવે એ આપણા માટે એક ડિઝાઈનથી વધુ શું હોય છે ? આપણી આંખો અભણ નથી, પણ આપણી આંખો એ ભણી પણ નથી…
Permalink
March 1, 2008 at 12:47 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
આખી નૌકામાં
દરિયો છલકાવી
એને ડૂબાડી દઈશ
સાગરના પેટાળમાં
પણ
કવિતાની પંક્તિઓમાં
મહોરેલી મારી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…
-પન્ના નાયક
ગયા રવિવારે પન્ના નાયકની જ મૃત્યુ-વિષયક કવિતા માણી. આજે ફરીથી એમની જ અને એ જ વિષય પરની એક બીજી કવિતા જોઈએ. ચૌદ પંક્તિના આ મજાના કાવ્યને અછાંદસ સૉનેટ ન ગણી શકાય? કવિતાના અંતભાગમાં જે ચોટ આવે છે એ ખુદ મૃત્યુને વિચારતું કરી દે એવી છે… મરણ ખુદ વિચારે કે આ શરીરને મારીને શું મળશે? અંદરનો કવિ તો ક્યારનો અ-ક્ષર થઈ ગયો ! શબ્દનો મહિમા ક્યારેક આ રીતે પણ ગાઈ શકાતો હોય છે…
Permalink
February 27, 2008 at 10:58 PM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
હવે હું જીવનમાં બરોબર ગોઠવાઈ ગયો છું.
ડેલ કાર્નેગીએ સાચે જ સોનાની કૂંચી આપી દીધી છે.
આપોઆપ બધે ખૂલતાં જાય છે દ્વાર.
હા, કોઈ માંદું પડે તો તરત જ પહોંચી જાઉં છું પાસે.
કોઈની વર્ષગાંઠ હોય ત્યારે ફૂલનો ગુચ્છો મોકલવનું ભૂલતો નથી.
અને સારેમાઠે પ્રસંગે તાર કરવાનું પણ ચૂકતો નથી.
ઓફિસમાં બધા હસતા ચહેરા નિર્દોષ જ હોય
એમ માનું એવો બાળક રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત હોય છે એ સત્ય
નસેનસમાં લોહીની જેમ વહી રહ્યું છે.
યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.
– વિપિન પરીખ
માણસ મોટો જાય છે એની સાથે મનથી ખોટો થતો જાય છે. જીવવાની રમતમાં જીતવા માટે માણસ ક્યારે અંચઈ કરતા શીખી જાય છે અને પછી, એ શીખની શેખી મારતો થઈ છે એનો ખ્યાલ એને પોતાને આવતો નથી. આને પરિપક્વતા કહો કે વ્યહવારિકતા. વાત તો એક જ છે. અને એ વાતને કવિએ અહીં બહુ ચોટદાર રીતે કરી છે. છેલ્લે કવિ ‘નનામી બાંધતા આવડી ગઈ છે’ એમ કહે છે તો લાગે છે કે એ પોતે પોતાની જાતને કકડે કકડે મરતી જોઈ રહ્યા છે અને એટલે પોતાની નનામીની તૈયારી કરી રહ્યા છે.
Permalink
February 24, 2008 at 3:00 AM by વિવેક · Filed under અછાંદસ, પન્ના નાયક
વાસંતી સવારે
પ્રફુલ્લિત ડેફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ બંધ કરી દે
એમ જ નીરવ પગલે આવે
મૃત્યુ
અને…
-પન્ના નાયક
પન્ના નાયકનું આ નાનકડું અછાંદસ કાવ્ય અનુભૂતિના તાર-તાર રણઝણાવી દે એવું બળુકું છે… તડકા જેટલી નીરવતાથી બીજું કોણ આવી શકે? અને મૃત્યુ જો એ નીરવતાથી મળે તો…. જ્યાં કવયિત્રી અટકી જાય છે ત્યાં જ આપણે પણ અટકી જઈએ… ( તડકાના નિઃશબ્દ આગમનને આવી જ વેધકતાથી શેરમાં સમાવી લેતી જયંત પાઠકની આ ગઝલ પણ આ સાથે ફરી એકવાર માણવા જેવી છે).
Permalink
February 23, 2008 at 1:50 AM by વિવેક · Filed under અછાંદસ, કિરણસિંહ ચૌહાણ
તારા વાળ સફેદ થાય તો
ભલે થાય
સફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો
હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી
ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે
એ
એના સમયે આવે.
– કિરણસિંહ ચૌહાણ
Permalink
February 20, 2008 at 9:04 PM by ધવલ · Filed under અછાંદસ, રમેશ પારેખ
(1)
ફૂલ –
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે !
(2)
ફૂલ કરશે કેટલો સ્વીકાર એનો
શી ખબર ?
જીવનો ખોબો અમે
અર્પણ કરીએ છીએ આઠે પ્રહર…
(3)
જે ખૂણે
ફૂલો વિનાનું પડ્યું હોય ફ્લાવરવાઝ
તે ખૂણો જ
ઘરનો સૌથી વધુ સુશોભિત હિસ્સો હોય છે !
(4)
ફૂલો તો છે
ગોદડી સાંધવા માટે
– સોયમાં દોરો પરોવવા મથતી
– ઝાંખુડી નજરવાળી
વૃદ્ધ મા જેવાં.
એને પરોવવો હોય છે
મનુષ્યમાં એક ધાગો
ને સાંધવી હોય છે
મનુષ્યની આંખોને
જે બોમ્બ ફૂટ્યા પછી ફાટી ને ફાટી રહી ગઈ છે
પરંતુ
વૃદ્ધ માની સોયમાં દોરો પરોવી આપે કોણ ?
– રમેશ પારેખ
ચાર જુદા જુદા ભાવ વાળા ‘ફૂલ’ વિષય પરના નાનાકડા, ફૂલ-શા કાવ્યનો સંપૂટ – એને તદ્દન ઉપયુક્ત નામ આપ્યું છે – ગજરો ! ત્રીજા કાવ્યમાં ફૂલ અને ફૂલદાની વિષે એક અલગ દૃષ્ટિકોણથી વાત કરી છે. બે દિવસ પર મૂકેલું ફૂલદાની કાવ્ય આ સંદર્ભમાં જોવા જેવું છે.
Permalink
February 19, 2008 at 12:20 AM by ધવલ · Filed under અછાંદસ, ગુલાબ દેઢિયા
રોજ રાત્રે છાને ખૂણે
ફૂલદાની રડે છે.
એને એ જ સમજાતું નથી કે
પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?
– ગુલાબ દેઢિયા
ફૂલદાની સામાન્યત: પ્રસન્નતાના પ્રતિક તરીકે વપરાય છે. હંમેશા ફૂલોથી ભરી ભરી રહેનારી ફૂલદાની સદા પ્રસન્ન જ હોય ને ! પણ કવિ અહીં એના મનની વાત ખંખોળી લાવીને એનું દર્દ છતું કરે છે. ફૂલોનું સૌંદર્ય જોનારાઓ એ વાત ભૂલી જાય છે કે આ તો આવરદા ગુમાવી બેઠેલા ફૂલો છે અને આ ફૂલદાની એમનો આખરી મૂકામ છે. ( સરખાવો : તાજા શાકભાજી )
Permalink
February 16, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અજ્ઞેય, શકુન્તલા મહેતા
ઋતુરાજ વસંત આવ્યો તો છે
પણ બહુ ધીમે દબાયેલા પગલે
આ શહેરમાં
આપણે તો તેનો પરિચય ગુમાવી દીધો છે
તેણે આપણને ચોંકાવ્યા પણ નહિ
પણ ઘાટના દુઃખી કઠોર ઢોળાવ પર
કેટલીક સૂકી નામહીન વેલ
જેમને તે ભૂલ્યો નહિ
બધી એકાએક એક જ લહેરમાં
હરીભરી ઝૂમી ઊઠી
સ્વયંવરા વધૂઓ શી !
વર તો નીરવ રહ્યો
વધૂઓની સખીઓ
ગાઈ ઊઠી.
-અજ્ઞેય
(અનુવાદ: શકુન્તલા મહેતા)
કવિતામાં પહેલા જ શબ્દમાં ‘રાજા’નું ચિત્ર દોરાય છે. રાજાનું આગમન તો કેવું ભપકાદાર હોય! પણ અહીં રાજા આવે છે ધીમા અને દબાયેલા પગલે. (અહીં પગલાંની ગતિ પણ ઓછી છે અને પગલાંમાં વજન પણ નથી, જે કવિતાની ઉદાસીના રંગને ઓર ઘેરો કરી દે છે!) કેમકે એ વસંત છે અને કમનસીબે શહેરમાં પ્રવેશી રહી છે. સિમેન્ટ-ડામરની સંસ્કૃતિએ એનો પરિચય ગુમાવી દીધો છે અને સામા પક્ષે વસંત પણ હવે એના આગમન સાથે આપણને હવે હળવો હરિત આંચકો આપતી નથી. કોઈ ઘાટના (કદાચ ત્યજી દેવાયેલા કેમકે દુઃખી વિશેષણ વપરાયું છે) કોઈ ઢોળાવ પર સ્વયંભૂ ઊગી આવેલી અનામી જંગલી વેલ જોકે વસંતથી હજી પરિચિત છે કેમકે ત્યાં હજી વસંતના આવણાંઓ હરિયાળા નાદમાં ગવાય છે. વસંત ચૂપ રહે છે પણ એનો પ્રભાવ કદી ચૂપ રહેતો નથી… (‘વસંત’ને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બન્ને તરીકે લઈ શકાય એ જાણકારી આજે જ થઈ…)
Permalink
February 8, 2008 at 12:55 AM by વિવેક · Filed under અછાંદસ, એષા દાદાવાળા
કોઈ માના પેટમાં,
બચ્ચું સળવળે
એમ જ
ડાળી પર પાંદડાઓ
હળવેકથી હાલે
ત્યારે
ઝાડને શું થતું હશે ?!!!
-એષા દાદાવાલા
એષા દાદાવાલા બળકટ ઊર્મિસભર અછાંદસ કાવ્યો માટે જાણીતી છે. અહીં માત્ર છ જ લીટીઓમાં લખાયેલી એક જ વાકયની આ કવિતા વાંચતાની સાથે જ શું મંત્રમુગ્ધ નથી કરી દેતી? આવું મજાનું લઘુકાવ્ય વાંચીએ ત્યારે ર.પા.નું કંઈક તો થાતું હશે અને પ્રિયકાંત મણિયારનું જળાશય યાદ આવ્યા વિના રહે ખરું?
Permalink
February 4, 2008 at 11:08 AM by ધવલ · Filed under અછાંદસ, શ્રીકાંત માહુલીકર
નગર એટલે
ખાલીખમ અવરજવરનો જ્વર,
આંધળીભીંત ભીંતોની ભૂલભૂલામણી,
લૂલી દીવાલોની ધક્કામુક્કી,
લંગડા રસ્તાઓની રઝળપાટ,
કોલાહલોની કિલ્લેબંધી,
લોહિયાળ લાલસાઓનું લાક્ષાગૃહ,
ખંડેરોની જાહોજલાલી,
રંગબેરંગી વાસનાઓનું એક્વેરિયમ,
મરેલા માણસોને વહી જતાં
જીવતાં વહાનોની જીવલેણ રેસ,
સંપૂર્ણ શૂન્યનો અસંપૂર્ણ સરવાળો,
બધાની બધામાંથી બાદબાકી,
બાબરા ભૂતની એકસરખી
યાંત્રિક ચડઊતર,
પડછાયાની ભૂતાવળ અને
ભૂતાવળના પડછાયા,
સમણાઓનું સ્મશાનગૃહ,
કો નિષ્ઠુર માછીમારે સંકેલી લીધેલી
તરફડતી દુર્ગંધ મારતી
માછલીઓથી ભરેલી જંગી જાળ,
કો અતૃપ્ત વેશ્યાએ
ઘરાકને ભાંડેલી ગંદી ગાળ.
– શ્રીકાંત માહુલીકર
Permalink
January 29, 2008 at 12:09 AM by ધવલ · Filed under અછાંદસ, થોભણ પરમાર
કેટલાક લોકો
મળવા આવે છે ત્યારે,
ઘરમાં અમને એકલા જોઈને
સ્વાભાવિક રીતે પૂછી લે છે.
‘તમારે કંઈ સંતાન નથી?’
પ્રશ્નની ચર્ચામાં
હવે અમે,
બહુ ઊંડા ઊતરતાં નથી.
ઘર પાછળના વાડામાં જઈને
તેમને –
વૃક્ષ અને કાલીઘેલી ભાષામાં ટહુકતાં
પંખીઓ બતાવીએ છીએ.
– થોભણ પરમાર
Permalink
January 20, 2008 at 11:24 PM by ધવલ · Filed under અછાંદસ, ક્રિસ્ટીન બર્કી-એબટ
સાંભળેલી વાત છે, લગભગ ન મનાય એવી
કે વર્ષો પહેલા આખા ને આખા ખેતરો
ખાલી શાકભાજી ઊગાડવા માટે જ વપરાતા.
ખરબચડા હાથ એક પછી એક તંદુરસ્ત છોડ પરથી
જતનથી જીવાતને ખેરવી નાખતા.
સવારમાં મઝાનું પાણી પીવડાવે,
બપ્પોર કૂણે તડકે શેકાવામાં જાય ને
સાંજ વિતે આગિયાઓ જોડે તાલ મિલાવવામાં.
આખો ઉનાળો જાય આવો – ભર્યોભયો.
પણ અમને બધાને તો યાદ છે માત્ર નર્સરી.
જ્યાં કતારબંધ ગોઠવેલા કૂંડાઓમાં ઠાંસી દીધેલા,
જાત સિવાય કોઈનું જતન ન પામેલા અમે,
મોસમ-કમોસમ પાઈપનું પાણી રોજ બે વાર પીતા રહેતા.
ખાતર અને જંતુનાશક ખાઈને
અમે ઝાંખા પ્રકાશ તરફ ઊગતા જતા.
એ બધુંય આ જગા કરતા તો સારું હતું.
હવે તો ટ્યુબલાઈટના પ્રકાશ-રંજીત,
ઠંડા, વિરક્ત વાતાવરણમાં
‘તાજા શાકભાજી’નો ઢગલો થઈને પડ્યા રહીએ છીએ અને
કૂંણા ભાઈઓને ખરીદારોની તીણી નજરથી
બચાવવાની કોશિશ કરીએ છીએ.
જૂની વાતોના નામે મનને રાજી કરે રાખો ભાઈ,
પણ કોને ખબર આમાનું કેટલું ખરું હશે ?
કદાચ આ બધી કલ્પનાઓ
અમારા વધતા જતા
પાગલપણાની નિશાની માત્ર છે
– આ કાળકોટડીમાં.
– ક્રિસ્ટીન બર્કી-એબટ
શાકભાજી ખરીદવા આપણે બધા વારંવાર જઈએ છીએ. અહીં અમેરિકામાં ‘સુપર-માર્કેટ’માં જઈએ કે ભારતમાં શાકમાર્કેટમાં જઈએ -પણ શાક લઈને પાછા આવીએ. પણ કવિ શાક ખરીદવા જાય તો કેવી અનુભૂતિ સાથે પાછો ફરે ? એ વાત આ કાવ્યમાં છે. માણસે કેટલીય વાતો આ દુનિયામાં અ-કુદરતી કરી દીધી છે, તેનો ખ્યાલ પણ આપણને આવતો નથી. આપણે જેને ‘તાજા’ ગણીએ છીએ એ શાકભાજી તો કદરૂપી, વાસ મારતી વાસ્તવિકતા જીવીને આવે છે એ વિચારવાનો આપણામાંથી કેટલા પાસે સમય છે ?
Permalink
January 16, 2008 at 12:00 AM by ધવલ · Filed under અછાંદસ, મણીન્દ્ર રાય
જાણે કે દૂરદૂરથી સંભળાતું હોય
એવું આહવાન.
જાણે કે પુસ્તકનાં પાનાં વચ્ચે ઝાંખીપાંખી સ્મૃતિના
ગુલાબની કરમાયેલી પાંખડી
આવી ઉદાસ અનુભૂતિ…
પ્રથમ પ્રેમની.
– મણીન્દ્ર રાય
(બંગાળીમાંથી અનુ. ઈશાની દવે)
Permalink
January 14, 2008 at 1:41 AM by ધવલ · Filed under અછાંદસ, પ્રવીણ જોશી
આદમી
પોતપોતાની શૈલીએ,
જિંદગી છુપાવવા એક બૂરખો રાખતા હોય છે,
– તેમ નાટક મારા જીવન પરનો બુરખો છે.
મારું જીવન
તમારાથી જૂદું નથી,
પણ મારો બુરખો
તમારા બુરખા કરતાં જુદો છે.
હવે જો ઉઝરડા પડે તો
મારો બુરખો એ ઝીલી લે છે.
ગમા, અણગમા, સફળતા, નિષ્ફળતા
નિરાશા, આશા, અપેક્ષા
મંથન અને મૈથુન…
…બધું નાટકમાં ઓગળી ગયું છે.
જીવનનો બોજ નાટકના ઝિંદાદિલ
બુરખાએ ઉપાડી લીધો છે
અને હવે તો
બુરખો ખુદ ભૂલી ગયો છે
કે પોતે બુરખો છે
કે સાચે જ મારો ચહેરો?
– પ્રવીણ જોશી
ગુજરાતી રંગભૂમિ વિષે પહેલા પુરુષ એકવચનમાં બોલવાનો કોઈનો સૌથી વધુ હક બનતો હોય તો, ચં.ચી.ને બાદ કરતા, પ્રવીણ જોશીનો છે. નાટકમય જીવન જીવવવાનો અનુભવ અહીં એ કવિતામાં બાંધવાનો પ્રયત્ન કરે છે તો પહેલો શબ્દ એમને સુઝે છે એ છે ‘બુરખો’ ! જોવાની વાત એ છે કે હંમેશા નાટક સાથે ‘મુખવટો’ કે ‘મોહરું’ (એટલે કે Mask) શબ્દ સામાન્ય રીતે વપરાય છે (ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં). પણ કવિ એને બદલે ‘બુરખો’ શબ્દ પસંદ કરે છે – એ શબ્દ સાથે દેખીતી રીતે જ નકારાત્મક સંવેદના જોડાયેલી હોવા છતાંય !
મારું જીવન / તમારાથી જૂદું નથી, / પણ મારો બુરખો / તમારા બુરખા કરતાં જુદો છે – આ પંક્તિને આ કવિતાના સંદર્ભમાંથી કાઢી લો તો એ સ્વયં એક કાવ્ય બની શકે એટલી સશક્ત છે. સુરેશ દલાલના કહેવા મુજબ પ્રવીણ જોશી એ લખેલી આ એકમાત્ર કવિતા છે – એમણે કવિતાની કક્ષામાં આવે એવા ઘણા નાટક રચેલા એ અલગ વાત છે.
Permalink
January 12, 2008 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી, વિશ્વ-કવિતા, શાન મેઈ
વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.
-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી
શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.
(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)
Permalink
January 8, 2008 at 11:47 PM by ધવલ · Filed under અછાંદસ, કીર્તિકાંત પુરોહિત
પ્રથમ એપિસોડ:
દીકરો રડ્યો
મા ઊઠી
લીધો અંકે
છાતીએથી અમૃતકુંભ ફૂટ્યો.
દ્વિતીય એપિસોડ:
દીકરો ખુશ
મા ખુશખુશાલ
લીધાં ઓવારણાં
અક્ષત-કંકુનો કળશ ફૂટ્યો.
તૃતીય એપિસોડ:
મા કણસી
દીકરો ઊઠ્યો
ગંગાજળ પાન દીધાં
માટીનો ઘડો ફૂટ્યો.
ચતુર્થ એપિસોડ:
– તે પહેલા નિર્માતાએ
સિરિયલ સંકેલી લીધી.
– કીર્તિકાંત પુરોહિત
સિરિયલની વાત છે એટલે દરેક એપિસોડ કવિએ મેલોડ્રામાથી ભરેલો જ રાખ્યો છે. શબ્દોની ખૂબ કાળજીથી પસંદગી કરી છે અને એમાંથી ચોટ ઉપજાવી છે. અમૃતકુંભ અને અક્ષત-કંકુ કળશથી માટીના ઘડા સુધીની સફર કવિ ત્રણ ‘એપિસોડ’ અને ગણીને બાર લીટીમાં કરાવી દે છે.
આ ‘સિરિયલો’ના છિછરાંપણા પર કટાક્ષ છે ? કે પછી સંબંધોના ‘સિરિયલીકરણ’ પર ટીકા છે ? – એ તો તમે જાણો !
Permalink
January 7, 2008 at 5:06 AM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
ચલો, એક દિવસ આપણે એમ વરતીએ
જાણે લગ્નનો પહેલો દિવસ છે.
તું કહેશે તો એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.
હું તને કહીશ, ‘રસોઈ તો રોજની છે. એને બાજુએ મૂક.
આવ મારી પાસે બેસ.’
ભરબપોરે દરિયાકિનારે આપણે હાથમાં હાથ દઈ દોડીશું,
અથવા રેતીમાં ઊંચા ઊંચા મહેલ ઊભા કરીશું.
એ દિવસે તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.
તું આનાકાની નહીં કરે.
મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો નહીં રહું.
તને છોડીને ઘરની બહાર હું ક્યાં જઈશ ?
એક પણ પુસ્તકને હાથ નહીં લગાડું – સોગંદ ખાઉં છું.
રાત્રે બત્તીના પ્રકાશ માટે આપને ઝગડશું – તું ના કહેશે.
અંધકાર ગાઢ થતો જશે અને છતાં
તું મને સૂવા નહીં દે.
સવારે તારા હોઠને ભીના કરી હું તને જગાડીશ.
પણ અત્યારે તો
આપણે ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા…
જુદાં…
– વિપિન પરીખ
વિપિન પરીખ લગ્નની હકીકતને બહુ કાળજીથી વર્ણવી જાણે છે. પ્રેમ જ્યારે લગ્નની હકીકત સાથે ટકરાય છે ત્યારે કેવી ચીસ સાથે એના ચૂરેચૂરા થઈ જાય છે એની આ કવિતામાં વાત છે. આ કવિતા વાંચતા વાંચતા તરત ‘આવિષ્કાર’ ફીલ્મ યાદ આવી ગઈ. એમાં પણ આ જ રીતે ફ્લેશબેકના ઉપયોગથી એક પ્રેમલગ્નનાં તૂટવાની વાત હતી.
Permalink
January 6, 2008 at 11:34 PM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ભર્યા ભર્યા રસથાળમાં
કશુંક ખાટું ખારુંય હોય;
અઢળક સુધાપાનમાં
કંઈક તીખું-કડવુંય હોય;
રાજમહેલના રંગરાગમાં
વનવાસનો વેશ પણ હોય;
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ને પ્રેમની વાર્તાનો –
ખાધુંપીધું ને રાજ કીર્યું – એવો અન્ત નાય હોય.
– જયન્ત પાઠક
પ્રેમથી તરબતર જીંદગીની આશા તો આપણે બધા રાખીએ છીએ. પણ હકીકત તો એ છે કે જીવનમાં ખરા પ્રેમની થોડી ક્ષણો પણ મળે તો આપણી જાતને સદનસીબ માનવી ! કવિ આ કવિતામાં ‘આપણી વાર્તા તો પ્રેમની વાર્તા’ એ પંક્તિ જાણે પોતાની જાતને સમજાવવા માટે કહેતા હોય એમ બે વાર લખે છે. પ્રેમની વાત છે – એમાં કોઈ પણ જાતનો વણાંક આવે કે કોઈ પણ જાતનો અંત આવે – એ પ્રેમની વાર્તા પ્રેમની વાર્તા જ રહે છે. પ્રેમ એટલી મોટી ઘટના છે કે એમાં અ-પ્રેમ પણ બહુ પ્રેમથી સમાય જાય છે !
( આડવાત : ‘પ્રેમની વાર્તા’ એટલે શું ? – પ્રેમથી શરૂ થયેલી વાર્તા ? પ્રેમથી ભરેલી વાર્તા ? પ્રેમ માટેની વાર્તા ? કે પછી પ્રેમ પામવા માટે બનાવેલી વાર્તા ? )
Permalink
January 2, 2008 at 1:14 AM by ધવલ · Filed under અછાંદસ, હસમુખ પાઠક
એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો !
આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે ? – મેં પૂછ્યું.
જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો !
તે કેવી રીતે ?
મારી સામે જોતો હોય એમ જો !
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.
માના શબ્દથી
ઠાકોરજી મા થયા.
– હસમુખ પાઠક
હસમુખ પાઠક બહુ માર્મિક કાવ્યો માટે જાણીતા છે. થોડામાં ઘણું કહી દેવાને એમને હથોટી છે. અહીં એમણે શ્રદ્ધાના વિષય પર બહુ નાજુક વાત કરી છે. મા પરની શ્રદ્ધાના ટેકે કવિ ઈશ્વર એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરે છે – એમાં ઈશ્વર એમને ખુદ મા સ્વરૂપે જ દેખાય છે !શ્રદ્ધા તો બહુ અંદરની વાત છે. એ શંકા અને સમજણથી પર છે. મન જેને માને એ જ તમારો ગુરુ. મન જેને નમે એ જ તમારો ઈશ્વર.
Permalink
January 1, 2008 at 1:06 AM by ધવલ · Filed under અછાંદસ, રાધેશ્યામ શર્મા
મિલ-વ્હિસલની શૂળમાં ભરાઈ પડેલો,
સાઈકલના પેન્ડલ લગાવતો
તીતીઘોડો એક.
– રાધેશ્યામ શર્મા
અનોખું જ નગરકાવ્ય. ત્રણ જ લીટીમાં નગરવ્યથાને કવિએ અદભૂત રીતે ચિતરી છે.
Permalink
December 31, 2007 at 7:06 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રીતિ સેનગુપ્તા
પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.
– પ્રીતિ સેનગુપ્તા
સાતે ખંડ ફરી વળ્યા પછી કોઈ આવી વાત લખે એ જરા આશ્ચર્ય તો થાય. પણ બીજી નજરે જુવો તો એમાં આશ્ચર્ય જેવું છે જ શું – મનનો ઉભરો ઠાલવવા માટે તો પોતીકો ખોળો જ જોઈએ ને !
Permalink
December 26, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, ચંદ્રેશ ઠાકોર
કાટમાળના ઢગલામાં
એક સાંકળની લોખંડી ગૂંચ ઉપર
બેઠું છે એક પતંગિયું,
સાવ નિશ્ચિંત.
પાંખ પ્રસારી, બંધ કરી, વળી પ્રસારી
ઊડી ગયું.
મૂછને વળ દેતું.
એ લોખંડ,
એ સાંકળ,
એ ગૂંચ,
એ પાંખ…
– ચંદ્રેશ ઠાકોર
લયસ્તરો માટે ખાસ આ કાવ્ય ડેટ્રોઈટથી ચંદ્રેશભાઈએ મોકલ્યું છે. કાવ્ય મને તો ગમી ગયું અને એ લયસ્તરો પર મૂકું એ પહેલા એક નવો વિચાર આવ્યો. દર વખતે હું મારા મનમાં આવે એવો આસ્વાદ કરાવું છું. એને બદલે કવિને પોતાને જ એ કામ સોંપીએ તો કેવું ? એ વિચાર ચંદ્રેશભાઈને મોકલ્યો. એમને પણ વિચાર ગમી ગયો અને એમણે તરત પોતાનો કવિતા લખવાનો હેતુ અને કવિતાની પોતાની અર્થછાયા એમના પોતાના જ શબ્દોમાં મોકલી આપી. તો આજે કવિના ખુદના જ શબ્દોમાં આસ્વાદ માણો.
સાંકેતિક, તો પણ રોજીંદી વાત છે. ચારેતરફ કાટમાળ પથરાયેલો છે – નૈતિક મૂલ્યોનો, લાભ લેવાની વૃતિનો, ભાંગી પડેલા સ્વપ્નોનો. એનાથી નીપજતી કઠોરતા, મુશ્કેલીઓ ને નિરાશાઓ માણસનો શ્વાસ એવો તો રૂંધે છે કે બહુધા માણસ હિંમત હારી જાય છે.
પણ, એમ માથે હાથ દઈને બેસવાથી આગેકદમ થોડી કરાય ?
એમાં એક પતંગિયું આવી બેસે છે – પતંગિયું પ્રતિક છે મુલાયમતાનું, સારાશનું, રંગીલાપણાનું અને નવદ્રષ્ટિનું. પતંગિયાને સાંકળમાં ન તો લોખંડ દેખાય છે ન તો બંધન દેખાય છે. પતંગિયાને તો, બસ, ઉડવું જ છે. જીવ નાનકડો છે પણ એનો પડકાર બુલંદ છે.
પાંખ એટલે માત્ર સ્વતંત્રતા નહીં. પાંખ એટલે તો બધી અંતરશક્તિનો પૂરેપુરો ઉપયોગ કરવાની તૈયારી : સ્વતંત્રતાનો આનંદનશો માણવા માટેની અનિવાર્યતા.
Permalink
December 24, 2007 at 12:58 AM by ધવલ · Filed under અછાંદસ, વિંદા કરંદીકર
જુવાનીમાં તેણે એક વાર દરિયામાં
પેશાબ કર્યો.
અને તેને લીધે
દરિયાની સપાટી કેટલી ઊંચી આવી
એ માપવામાં ખર્ચી નાખ્યું
પોતાનું બાકીનું આયુષ્ય.
– વિંદા કરંદીકર
(અનુ. જયા મહેતા)
Permalink
December 19, 2007 at 1:08 AM by ધવલ · Filed under અછાંદસ, રઘુવીર ચોધરી
તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.
વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.
તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.
તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.
– રઘુવીર ચૌધરી
(‘વહેતાં વૃક્ષ પવનમાં’)
અદભૂત અભિવ્યક્તિ ! એ સિવાય આ કાવ્ય વિશે કાંઈ કહેવાનું હોય ?
Permalink
December 10, 2007 at 9:38 PM by ધવલ · Filed under અછાંદસ, દેવીપ્રસાદ વર્મા, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
તું નહીં શકુન્તલા
હું નહીં દુષ્યન્ત
તું નહીં કામિની
હું નહીં કંથ
સાધારણ નારી-નર
આપણે નહીં અનંત
રોજી અને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત.
(જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.
– દેવીપ્રસાદ વર્મા
અનુ. સુરેશ દલાલ
Permalink
December 9, 2007 at 3:00 AM by ઊર્મિ · Filed under અછાંદસ, વત્સરાજ ભણોત 'ઉદયન', વિશ્વ-કવિતા, હેલ્ગે ચેડેનબેર્ય
જો હું લખી શકત તમને
એક અત્યુત્તમ સંપૂર્ણ પત્ર,
તો
તેના શબ્દો ઝગારા મારત
તમારાં નયનોની જેમ જ,
તેમાંથી સુવાસ આવતી હોત
જેવી તમારા દેહમાંથી આવે છે.
તેમાંથી સ્વરો નીકળત
જેવા તમારા કંથમાંથી નીકળે છે.
તે હૂંફ આપત, જેવી તમારા હાથ આપે છે.
મારો પત્ર એવો હોત,
જાણે તમારા જ લોહીનાં બુંદનું લખાણ.
તમારી જ વાચાનો જાણે રણકતો પડઘો:
તેમાં સાંભળી શકાત એક એવા હૃદયનો ધબકારો
જેમાં પોતીકાપણું રહ્યું જ નથી,
અને એવો સ્નિગ્ધ પ્રેમ તેમાંથી નીતરત
જે સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલો છે.
તે પત્રના શબ્દો એવા તો હોત,
જાણે તે શબ્દ જ રહ્યા નથી,
એક અણ-કહી વાત, જેમાં
તમારા અંત:સ્થલનો સાત ડોકિયાં કરતો હોત.
આવો હોત, તે આદર્શ પત્ર.
જો હું લખી શકત તમને
એક ઉત્તમ સંપૂર્ણ પત્ર,
તો તમે પોતે જ મારો પત્ર હોત.
– હેલ્ગે ચેડેનબેર્ય (સ્વિડન), અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’
લખેલા પ્રેમપત્ર વિશે કે પ્રેમપત્રમાં કશુંક લખવા વિશેની ઊર્મિસભર વાતો તો ઘણી કવિતાઓમાં જોવા મળે છે. પરંતુ લાગણીથી લથબથ આ વણલખ્યા પત્રની કવિતા વાંચો તો જરૂર એમ થાય છે કે આ પત્ર જો ખરેખર પ્રિયજનને લખી શકાયો તો હોત તો એનું રૂપ કેવું હોત?! કાવ્યમાં કવિ જેમ જેમ આપણને અંતની નજીક લઈ જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ ભીંજાતા જઈએ છીએ… અને છેલ્લે કવિએ પ્રિયજનને જ પોતાનો પત્ર હોવાની કહેલી વાતથી તો તમે બિલકુલ કોરા રહી જ ના શકો… !
Permalink
December 9, 2007 at 1:00 AM by ઊર્મિ · Filed under અછાંદસ, વિશ્વ-કવિતા, સુજાતા ગાંધી, સુતીંદરસિંહ નૂર
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.
કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.
કેટલાંક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.
કેટલાંક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.
કેટલાંક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાંક પુસ્તકોનાં
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતાં પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું.
– સુતીંદરસિંહ નૂર (પંજાબી), અનુ. સુજાતા ગાંધી
અહીં કવયિત્રીએ પુસ્તક અને પ્રેમની સરખામણી કેવી અદભૂત અને અનોખી રીતથી કરી છે! અમુક પુસ્તકોનાં મુખપૃષ્ઠથી ભીંજાવું તો અમુકને ઉથલાવીને ભીંજાયા વગર પાછું મૂકી દેવું… અમુકનાં પાનાઓમાં રંગ-બેરંગી નિશાની કરવી તો અમુક પર નિશાની કરતાં પણ ડરવું… અમુકને વાંચીને એના શબ્દેશબ્દમાં બસ ખોવાયા જ કરવું તો અમુકને બિલકુલ આત્મસાત કરી લેવું… વળી, અમુકને તો તકિયા નીચે મૂકીને નિરાંતે ઊંઘી જવું, એટલે પછી જ્યારે જાગો અને વાંચવાનું મન થાય તો એને વાંચવા માટે શોધવા ક્યાંય દૂર જવું જ ન પડે! અરે હા, બેશક… પ્રેમનું પણ કંઇક આ પુસ્તક જેવું જ છે હોં!!
Permalink
December 7, 2007 at 1:19 AM by ધવલ · Filed under અછાંદસ, વિશ્વ-કવિતા, સર્વેશ્વરદયાલ સક્સેના, સુરેશ દલાલ
દુ:ખ છે મારું
સફેદ ચાદર જેવું નિર્મલ
એને બિછાવીને સૂઈ રહું છું.
દુ:ખ છે મારું
સૂરજ જેવું પ્રખર
એની રોશનીમાં
તમામ ચહેરા જોઈ લઉં છું.
દુ:ખ છે મારું
હવા જેવું ગતિમાન
એના બાહુમાં
હું બધાને લપેટી લઉં છું.
દુ:ખ છે મારું
અગ્નિ જેવું સમર્થ
એની જ્વાળઓની સાથે
હું અનંતમાં પહોંચું છું.
– સર્વેશ્વરદયાલ સક્સેના
અનુ. સુરેશ દલાલ
આજે ‘દુ:ખ’ પરની અલગ જાતની કવિતાની વાત નીકળી છે તો આ કવિતા મૂકવાનો લોભ જતો કરી શકતો નથી. આ કવિતાને આગલી કવિતા સાથે સરખાવશો. માણસના વિકાસમાં દુ:ખ – અડચણ – મુસીબતો નું પણ આગવું મહત્વ છે. કવિઓને પ્રેમ પછી વધારેમાં વધારે કોઈ ચીજને ગાઈ છે તો એ છે દુ:ખ.
Permalink
December 7, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, ફૈયાઝ કયકન, વિશ્વ-કવિતા
મારે ઘણા દુ:ખ છે
હું મારા બધા દુ:ખને સારી રીતે જાણું છું
અને એ બધા પણ મને સારી રીતે ઓળખે છે
અમને એકબીજા સાથે સારું બને છે
એ મને કનડે તે મને જરાય ખૂંચતું નથી
કોઈ વાર પુસ્તક વાંચતા વાંચતા
માથું ઊંચું કરીને હું
એમને સલામ કરી લઉં છું.
કોઈ નવી મુસીબત આવી પડે તો
એ બધા એમનું માથું ઊંચું કરીને
મારી સામે જુએ છે અને શાંત થઈ જાય છે.
– ફૈયાઝ કયકન
દુ:ખ માણસને એટલો બધો લાંબો સમય સાથ આપે છે કે એ પોતાના અંગત માણસ જેવા જ થઈ જાય છે. કેટલીક વાર તો એ એટલા પોતિકા થઈ જાય છે કે નવી મુસીબતમાં એ ભાગીદારી કરાવે છે. દર્દકા હદસે ગુઝર જાના… જેવી જ વાત છે પણ બહુ અંગત દૃષ્ટિકોણથી કરી છે.
Permalink
December 5, 2007 at 1:05 AM by ધવલ · Filed under અછાંદસ, ડોરથી લિવસે, વિશ્વ-કવિતા
તારું સ્મરણ છે જાણે હાથમોજું
ખાનામાં સંતાડેલું:
ફરી કાઢીને પહેરું છું
વર્ષો પહેલાં હતું એટલું જ ચપોચપ.
– ડોરથી લાઈવસે
કહે છે કે સ્મરણના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. વિતેલી યાદોને ગમે તેટલી અળગી કરો પણ એ દિલમાં એવી વસી ગઈ હોય છે કે જ્યારે પાછી આવે ત્યારે એ મનને ભીનું કરી જ જાય છે !
Permalink
December 5, 2007 at 1:00 AM by ધવલ · Filed under અછાંદસ, દ.ભા. ધામણસ્કર, વિશ્વ-કવિતા
વિસર્જન માટે ગણપતિ લઈ જતાં
મને મૂર્તિનો ભાર લાગવા માંડ્યો ત્યારે
ઊછળતી યુવાનીભર્યા
મારા પુત્રે જ મને કહ્યું; “આપો મને”
મેં મૂર્તિ તરત દીકરાના હાથમાં મૂકી
બાજોઠ સહિત
દીકરાએ પણ મૂર્તિ હાથમાં લીધી બરાબર સંભાળીને, ને
હું એક દૈવી આનંદમાં અકલ્પિત
પરંપરા આગળ સરકાવ્યાના…
હું પાછો યુવાન યયાતિ જેવો,
મારો પુત્ર એકદમ વૃદ્ધ
પરંપરાના બોજાથી વાંકો વળી ગયેલો.
– દ.ભા. ધામણસ્કર
પરંપરા બેધારી તલવાર છે. પરંપરા તૂટે તો આપણે દુ:ખી થઈએ છીએ. પણ પરંપરાના બોજ હેઠળ નવસર્જન શક્ય નથી એ વાત ભૂલી જઈએ છીએ. અમને અમેરિકામાં રહેનારા માણસોને આ વાત ખૂબ લાગુ પડે છે. અહીં આવ્યા પછી ઘણા લોકો ‘અમેરિકન’ થઈ જાય છે એ વાત સાચી છે પણ મોટા ભાગના માણસો તો ભારતમાં હતા એનાથી પણ વધુ પરંપરાવાદી થઈ જાય છે. ભારત દેશ બદલાય છે પણ અમેરિકામાં આવીને વસેલા આ ભારતિય લોકો કદી બદલાતા નથી. બદલાતા સમય સામે અને સમાજના રીતરિવાજ સામે પીઠ કરીને પોતાનો એજ આલાપ સંભળાવ્યા કરે છે. ત્યારે તમને થાય કે પરંપરા કેવો બોજો બની જાય છે ! પરિવર્તન અને પરંપરાના સંતુલનમાં જ વિકાસની ચાવી છે. પછી એ વિકાસ માનસિક હોય, સામાજીક હોય કે પછી આર્થિક હોય.
Permalink
November 30, 2007 at 2:08 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત શેઠ
સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું !
મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો,
મારો હુરિયો બોલાવ્યો,
મને ધક્કે ચડાવ્યો,
મને પથ્થર માર્યા,
મારાં લૂગડાં ફાડ્યાં,
મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો,
પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં ?
બિચારા સાંકડી શેરીના લોકો !
એમને ખબર નથી
કે આકાશ કંઈ ખિસ્સામાં, પોટલીમાં કે પેટીમાં કે મુઠ્ઠીમાં આવી શકતું નથી !
આકાશ તો એમની આંખોના ઢળેલાં પોપચાં ઊંચાં કરીને હું બતાવવાનો હતો.
આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ !
આકાશ વેચવાનું તો એક બહાનું જ હતું માત્ર !
પણ સાંકડી શેરીના લોકો !
મને શેરી બહાર કાઢી
સૂઈ ગયા બારી-બારણાં વાસી ગોદડામાં મોં ઘાલી.
હું ફરીથી ઘસડાતો ઘસડાતો
આકાશ આજે નહીં તો કાલે વેચાશે એવી આશાએ સંકલ્પપૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ !
આ તો સાંકડી શેરીના લોકો
ને આકાશનો સોદો !
સહેજમાં પતે કે?
-ચંદ્રકાન્ત શેઠ
શ્રી ચંદ્રકાન્ત શેઠનો જન્મ વૈષ્ણવવણિક કુટુંબમાં તા. ૦૩-૦૨-૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ મુકામે. વતન ખેડા જિલ્લાનું ઠાસરા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ અને અધ્યાપનનો વ્યવસાય. અગ્રણી કવિ, વિવેચક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક. વાર્તા, નાટકો અને બાળગીત ક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન. એમના કાવ્યોમાં જીવનની કૃતકતા અને અસ્તિત્વના બોદાપણાનો વસવસો છલકાતો નજરે ચડે છે. લય ને કલ્પનોની તાજગી એ એમના કાવ્યોનો મુખ્ય આયામ છે.
(કાવ્યસંગ્રહો: પવન રૂપેરી, ઊઘડતી દીવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, એક ટહુકો પંડમાં, શગે એક ઝળહળીએ, ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય…, જળ વાદળ ને વીજ.)
Permalink
November 28, 2007 at 1:37 AM by ધવલ · Filed under અછાંદસ, જયન્ત પાઠક
કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય –
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.
કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
– એટલે કે કશું થાય જ નહીં !
– જયન્ત પાઠક
કવિતા કરવા વિશે તો ઘણી કવિતાઓ રચાઈ છે પણ કવિતા ન કરવા વિશે તો આ એક કવિતા જોવામાં આવી છે ! કવિએ કવિતા ન હોય તો શું થાય એના વર્ણનમાં બહુ નાજુક રૂપકો વાપર્યા છે. (જલપરીના પવનવસ્ત્રોથી વધારે નાજુક શું હોઈ શકે ?!!) પણ કવિની ખરી ખૂબી તો અંતની ચોટમાં દેખાય છે. કવિતા વિના એક રીતે તો કશું જ થાય એ કેટલી સરસ રીતે – વિચારતા કરી મૂકે એવી રીતે – આવે છે એ કવિની સિદ્ધહસ્તતાની સાબિતી છે.
Permalink
November 26, 2007 at 12:11 AM by ઊર્મિ · Filed under અછાંદસ, ગુરુનાથ સામંત, લઘુકાવ્ય, સુરેશ દલાલ
મેં મારી કવિતા
તને વાંચી સંભળાવી’તી
તેં કહ્યું તું:
‘સમજાતી નથી’
કોરા ચહેરાની
તે એક બપોર
મેં એવી જ
સાચવી રાખી છે.
-ગુરુનાથ સામંત (મૂળ રચના મરાઠીમાં… અનુ. સુરેશ દલાલ)
Permalink
November 19, 2007 at 1:00 AM by ઊર્મિ · Filed under અછાંદસ, પન્ના નાયક, લઘુકાવ્ય
તારી સાથે
ગાળેલી
રમ્ય રાત્રિની
સૌભાગ્યવતી યાદ
ફરી થનારા પ્રગાઠ મિલન સાથે
સંવનન કરતી હતી
ત્યાં જ
કાયમી વિરહના
અચાનક ઊમટેલા
વંટોળિયાના
એક જ સુસવાટે
ઉથલાવી
તોડીફોડી નાંખી
કંકુની શીશી…
હવે ઢોળાયેલા કંકુને
વાગે છે
નર્યા કાચ…
-પન્ના નાયક
Permalink
November 15, 2007 at 12:19 AM by વિવેક · Filed under અછાંદસ, યોસેફ મેકવાન
ઝાડના ડાંખળે ડાળીએ
સૂર્યના કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં
ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !
ચોતરફ
વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ
થૈ કરો કાનમાં વાગતો.
એમ લાગે ઘડી
સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.
-યૉસેફ મેકવાન
હેમંત ઋતુની એક સાંજનું સુલેખ શબ્દાંકન. આથમતા સૂર્યના કિરણોનું ડાળીઓ પર ચોંટી જવું, રસ્તાનું ટૂંટિયું વાળીને શાંત પડી રહેવું, બરફ જેવા ઠંડાગાર આકાશને લઈને વહેતો વાયુ અને કાનમાં બરફના કરાની જેમ વાગતો પંખીનો અવાજ- આ કલ્પનોની વાગ્મિતા હેમંતની ધૂંધળી સાંજની ઠંડીને પ્રત્યક્ષ કરી આપે છે જાણે.
Permalink
November 3, 2007 at 2:28 AM by વિવેક · Filed under અછાંદસ, ગદ્ય કાવ્ય, પન્ના નાયક
મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.
મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.
-પન્ના નાયક
ટોળાંનો, તે જ રીતે સમુદ્રના પાણીનો કોઈ આકાર નથી હોતો. (કદાચ એટલે જ કવયિત્રીએ અહીં કાવ્યનો કોઈ આકાર કે શીર્ષક નિર્ધાર્યા નહીં હોય?) ટોળાંમાં, તે જ રીતે સમુદ્રમાં કોઈ વધઘટ થાય તો વર્તાતી પણ નથી. ટોળું એક એવી વિભાવના છે જ્યાં મનુષ્ય પોતાની સ્વતંત્ર ઉપલબ્ધિ સદંતર ગુમાવી બેસે છે. પોતાની અંદરનું આ ટોળું કયું છે એ કવયિત્રી નથી સ્પષ્ટ કરતાં, નથી એવી સ્પષ્ટતાની અહીં કોઈ જરૂર ઊભી થતી. આ ટોળું કવયિત્રી પર એ રીતે હાવી થઈ ગયું છે કે પોતાની જ આ ભીડમાં પોતે ખોવાઈ ને ખવાઈ પણ જાય છે. પાંખોનું કપાઈ જવું એ ટોળાંમાં લુપ્ત થતી વ્યક્તિગતતાનો સંકેત કરે છે અને આ લુપ્તતા અંધકારની જેમ એટલી ગહન બને છે કે પોતે પોતાને મળવું પણ શક્ય રહેતું નથી. માથાં પટકી-પટકીને આમાંથી છટકવાની કોશિશનું પરિણામ માત્ર રેતીની જેમ ચકનાચૂર થવા સિવાય બીજું કંઈ નથી કેમકે આ ટોળું કદી પીછો છોડવાનું જ નથી.
ગદ્યકાવ્ય એટલે શું? એનો આકાર ખરો? કવિતા ગદ્યમાં સંભવે ખરી? આપણે ત્યાં કાવ્યની લેખનપદ્ધતિ અને એ પ્રમાણે મુદ્રણપદ્ધતિ મુજબ એકસરખી કે નાની-મોટી પંક્તિઓ પાડીને લખાયેલા કાવ્યને ‘અછાંદસ’ અને ગદ્યની જેમ પરિચ્છેદમાં લખાયેલા કાવ્યને ‘ગદ્યકાવ્ય’ ગણવાનો ભ્રમ ખાસ્સો પોસાયો છે. હકીકતે પદ્યના નિયમોથી મુક્ત, કોઈપણ સ્વરૂપમાં ન બંધાતી કવિતાનો પિંડ જ ગદ્યકાવ્ય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ એનો સ્વીકાર થયો છે- काव्यं गद्यं पद्यं च । કાલેબ મર્ડરોક ‘પદ્ય કે ગદ્ય‘ વિષય પર પોતાની વાત કહી જુદા-જુદા કવિઓની ‘પેરેગ્રાફ પૉએમ્સ’ રજુ કરે છે તે જાણવા જેવું છે. આ પ્રકારની ‘પ્રોઝ પોએટ્રી‘નો જન્મ ફ્રાંસમાં ઓગણીસમી સદીમાં થયેલો મનાય છે. વીકીપીડિયા પર પણ ઉપયોગી માહિતી મળી શકે એમ છે. બરટ્રાન્ડના ગદ્યકાવ્યોમાંથી પ્રેરણા મેળવીને ફ્રાંસના જ ચાર્લ્સ બૉદલેરે પચાસ જેટલા ગદ્યકાવ્યો રચ્યા જે બૉદલેરના મરણ પશ્ચાત પુસ્તકાકારે પ્રકાશિત થયા અને એણે વિશ્વભરની ભાષાઓને પ્રભાવિત કરી. ભારતમાં ગદ્યકાવ્યોના જન્મ પાછળ રવીન્દ્રનાથના ગીતાંજલિનો અંગ્રેજી અનુવાદ અગત્યનું પ્રેરક બળ સિદ્ધ થયો. આપણે ત્યાં ન્હાનાલાલે ડોલનશૈલીમાં કાવ્યો પ્રયોજ્યાં હતાં એને ગુજરાતી ગદ્યકાવ્યોની પ્રારંભભૂમિકા લેખી શકાય. ‘કવિલોક ટ્રસ્ટ’ તરફથી શ્રી ધીરુ પરીખે ‘ગદ્યકાવ્ય’ નામનું એક પુસ્તક પણ 1985માં સંપાદિત કર્યું હતું જેમાં આ વિષયને ખૂબ સારી રીતે ખેડવામાં આવ્યો છે.
Permalink
Page 16 of 19« First«...151617...»Last »