સૂરજ પ્રવેશ્યો નહીં આપણી ગુફાઓમાં,
ઉપર દિવસ છે અને નીચે રાત ચાલે છે.

ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પરિપક્વતા – વિપિન પરીખ

હવે હું જીવનમાં બરોબર ગોઠવાઈ ગયો છું.
ડેલ કાર્નેગીએ સાચે જ સોનાની કૂંચી આપી દીધી છે.
આપોઆપ બધે ખૂલતાં જાય છે દ્વાર.
હા, કોઈ માંદું પડે તો તરત જ પહોંચી જાઉં છું પાસે.
કોઈની વર્ષગાંઠ હોય ત્યારે ફૂલનો ગુચ્છો મોકલવનું ભૂલતો નથી.
અને સારેમાઠે પ્રસંગે તાર કરવાનું પણ ચૂકતો નથી.

ઓફિસમાં બધા હસતા ચહેરા નિર્દોષ જ હોય
એમ માનું એવો બાળક રહ્યો નથી હવે.
પ્રત્યેકની એક કિંમત હોય છે એ સત્ય
નસેનસમાં લોહીની જેમ વહી રહ્યું છે.

યાદ આવે છે:
પહેલી વાર સ્મશાને ગયો તે પછી
કેટલીય રાત જંપીને સૂઈ ન’તો શક્યો,
પણ હવે તો
મને નનામી બાંધતા પણ આવડી ગઈ છે.

– વિપિન પરીખ

માણસ મોટો જાય છે એની સાથે મનથી ખોટો થતો જાય છે. જીવવાની રમતમાં જીતવા માટે માણસ ક્યારે અંચઈ કરતા શીખી જાય છે અને પછી, એ શીખની શેખી મારતો થઈ છે એનો ખ્યાલ એને પોતાને આવતો નથી. આને પરિપક્વતા કહો કે વ્યહવારિકતા. વાત તો એક જ છે. અને એ વાતને કવિએ અહીં બહુ ચોટદાર રીતે કરી છે. છેલ્લે કવિ ‘નનામી બાંધતા આવડી ગઈ છે’ એમ કહે છે તો લાગે છે કે એ પોતે પોતાની જાતને કકડે કકડે મરતી જોઈ રહ્યા છે અને એટલે પોતાની નનામીની તૈયારી કરી રહ્યા છે.

Comments (7)

અપેક્ષા – પન્ના નાયક

વાસંતી સવારે
પ્રફુલ્લિત ડેફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ બંધ કરી દે
એમ જ નીરવ પગલે આવે
મૃત્યુ
અને…

-પન્ના નાયક

પન્ના નાયકનું આ નાનકડું અછાંદસ કાવ્ય અનુભૂતિના તાર-તાર રણઝણાવી દે એવું બળુકું છે… તડકા જેટલી નીરવતાથી બીજું કોણ આવી શકે? અને મૃત્યુ જો એ નીરવતાથી મળે તો…. જ્યાં કવયિત્રી અટકી જાય છે ત્યાં જ આપણે પણ અટકી જઈએ… ( તડકાના નિઃશબ્દ આગમનને આવી જ વેધકતાથી શેરમાં સમાવી લેતી જયંત પાઠકની આ ગઝલ પણ આ સાથે ફરી એકવાર માણવા જેવી છે).

Comments (5)

ઘડપણ – કિરણસિંહ ચૌહાણ

તારા વાળ સફેદ થાય તો
ભલે થાય
સફેદ એ તો પવિત્રતાનું પ્રતીક છે.
તારા ચહેરા પર
કરચલીઓ આવી પડે
તો આવવા દેજે
કદાચ તેમાં તને
તારા સુખદ પ્રસંગોનો ખોવાયેલો
હિસાબ મળી આવે.
તારું શરીર ધ્રૂજે તો ગભરાઇશ નહી
કારણકે એ ધ્રૂજારી
ન ભોગવાયેલાં સ્પંદનોનો
સામટો વરસાદ હોઇ શકે.
તારું ઘડપણ આવે તો
એને શાનથી આવવા દેજે.
બસ એટલી તકેદારી રાખજે
કે

એના સમયે આવે.

– કિરણસિંહ ચૌહાણ

Comments (10)

ગજરો – રમેશ પારેખ

(1)

ફૂલ –
તે વૃક્ષે પેટાવેલા દીવા છે
એ જોવા કે
સુગંધમાં ડૂબકી મારે એવા
કોણ મરજીવા છે !

(2)

ફૂલ કરશે કેટલો સ્વીકાર એનો
          શી ખબર ?
જીવનો ખોબો અમે
          અર્પણ કરીએ છીએ આઠે પ્રહર…

(3)

જે ખૂણે
ફૂલો વિનાનું પડ્યું હોય ફ્લાવરવાઝ
તે ખૂણો જ
ઘરનો સૌથી વધુ સુશોભિત હિસ્સો હોય છે !

(4)

ફૂલો તો છે
ગોદડી સાંધવા માટે
– સોયમાં દોરો પરોવવા મથતી
– ઝાંખુડી નજરવાળી
વૃદ્ધ મા જેવાં.
એને પરોવવો હોય છે
મનુષ્યમાં એક ધાગો
ને સાંધવી હોય છે
મનુષ્યની આંખોને
જે બોમ્બ ફૂટ્યા પછી ફાટી ને ફાટી રહી ગઈ છે
પરંતુ
વૃદ્ધ માની સોયમાં દોરો પરોવી આપે કોણ ?

– રમેશ પારેખ

ચાર જુદા જુદા ભાવ વાળા ‘ફૂલ’ વિષય પરના નાનાકડા, ફૂલ-શા કાવ્યનો સંપૂટ – એને તદ્દન ઉપયુક્ત નામ આપ્યું છે – ગજરો ! ત્રીજા કાવ્યમાં ફૂલ અને ફૂલદાની વિષે એક અલગ દૃષ્ટિકોણથી વાત કરી છે. બે દિવસ પર મૂકેલું ફૂલદાની કાવ્ય આ સંદર્ભમાં જોવા જેવું છે.

Comments (8)

ફૂલદાની – ગુલાબ દેઢિયા

રોજ રાત્રે છાને ખૂણે
ફૂલદાની રડે છે.
એને એ જ સમજાતું નથી કે
પોતે એવા તે ક્યાં પાપ કર્યા હશે કે
ફૂલોનું કબ્રસ્તાન બનવું પડ્યું ?

– ગુલાબ દેઢિયા

ફૂલદાની સામાન્યત: પ્રસન્નતાના પ્રતિક તરીકે વપરાય છે. હંમેશા ફૂલોથી ભરી ભરી રહેનારી ફૂલદાની સદા પ્રસન્ન જ હોય ને ! પણ કવિ અહીં એના મનની વાત ખંખોળી લાવીને એનું દર્દ છતું કરે છે. ફૂલોનું સૌંદર્ય જોનારાઓ એ વાત ભૂલી જાય છે કે આ તો આવરદા ગુમાવી બેઠેલા ફૂલો છે અને આ ફૂલદાની એમનો આખરી મૂકામ છે. ( સરખાવો : તાજા શાકભાજી )

Comments (8)

વસંત આવ્યો તો છે – અજ્ઞેય (અનુ. શકુન્તલા મહેતા)

ઋતુરાજ વસંત આવ્યો તો છે
પણ બહુ ધીમે દબાયેલા પગલે
આ શહેરમાં
આપણે તો તેનો પરિચય ગુમાવી દીધો છે
તેણે આપણને ચોંકાવ્યા પણ નહિ
પણ ઘાટના દુઃખી કઠોર ઢોળાવ પર
કેટલીક સૂકી નામહીન વેલ
જેમને તે ભૂલ્યો નહિ
બધી એકાએક એક જ લહેરમાં
હરીભરી ઝૂમી ઊઠી
સ્વયંવરા વધૂઓ શી !
વર તો નીરવ રહ્યો
વધૂઓની સખીઓ
ગાઈ ઊઠી.

-અજ્ઞેય
(અનુવાદ: શકુન્તલા મહેતા)

કવિતામાં પહેલા જ શબ્દમાં ‘રાજા’નું ચિત્ર દોરાય છે. રાજાનું આગમન તો કેવું ભપકાદાર હોય! પણ અહીં રાજા આવે છે ધીમા અને દબાયેલા પગલે. (અહીં પગલાંની ગતિ પણ ઓછી છે અને પગલાંમાં વજન પણ નથી, જે કવિતાની ઉદાસીના રંગને ઓર ઘેરો કરી દે છે!) કેમકે એ વસંત છે અને કમનસીબે શહેરમાં પ્રવેશી રહી છે. સિમેન્ટ-ડામરની સંસ્કૃતિએ એનો પરિચય ગુમાવી દીધો છે અને સામા પક્ષે વસંત પણ હવે એના આગમન સાથે આપણને હવે હળવો હરિત આંચકો આપતી નથી. કોઈ ઘાટના (કદાચ ત્યજી દેવાયેલા કેમકે દુઃખી વિશેષણ વપરાયું છે) કોઈ ઢોળાવ પર સ્વયંભૂ ઊગી આવેલી અનામી જંગલી વેલ જોકે વસંતથી હજી પરિચિત છે કેમકે ત્યાં હજી વસંતના આવણાંઓ હરિયાળા નાદમાં ગવાય છે. વસંત ચૂપ રહે છે પણ એનો પ્રભાવ કદી ચૂપ રહેતો નથી… (‘વસંત’ને પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બન્ને તરીકે લઈ શકાય એ જાણકારી આજે જ થઈ…)

Comments (4)

અનુભૂતિ – એષા દાદાવાલા

કોઈ માના પેટમાં,
બચ્ચું સળવળે
એમ જ
ડાળી પર પાંદડાઓ
હળવેકથી હાલે
ત્યારે
ઝાડને શું થતું હશે ?!!!

-એષા દાદાવાલા

એષા દાદાવાલા બળકટ ઊર્મિસભર અછાંદસ કાવ્યો માટે જાણીતી છે. અહીં માત્ર છ જ લીટીઓમાં લખાયેલી એક જ વાકયની આ કવિતા વાંચતાની સાથે જ શું મંત્રમુગ્ધ નથી કરી દેતી? આવું મજાનું લઘુકાવ્ય વાંચીએ ત્યારે ર.પા.નું કંઈક તો થાતું હશે અને પ્રિયકાંત મણિયારનું જળાશય યાદ આવ્યા વિના રહે ખરું?

Comments (25)

નગર એટલે – શ્રીકાંત માહુલીકર

નગર એટલે
ખાલીખમ અવરજવરનો જ્વર,
આંધળીભીંત ભીંતોની ભૂલભૂલામણી,
લૂલી દીવાલોની ધક્કામુક્કી,
લંગડા રસ્તાઓની રઝળપાટ,
કોલાહલોની કિલ્લેબંધી,
લોહિયાળ લાલસાઓનું લાક્ષાગૃહ,
ખંડેરોની જાહોજલાલી,
રંગબેરંગી વાસનાઓનું એક્વેરિયમ,
મરેલા માણસોને વહી જતાં
જીવતાં વહાનોની જીવલેણ રેસ,
સંપૂર્ણ શૂન્યનો અસંપૂર્ણ સરવાળો,
બધાની બધામાંથી બાદબાકી,
બાબરા ભૂતની એકસરખી
યાંત્રિક ચડઊતર,
પડછાયાની ભૂતાવળ અને
ભૂતાવળના પડછાયા,
સમણાઓનું સ્મશાનગૃહ,
કો નિષ્ઠુર માછીમારે સંકેલી લીધેલી
તરફડતી દુર્ગંધ મારતી
માછલીઓથી ભરેલી જંગી જાળ,
કો અતૃપ્ત વેશ્યાએ
ઘરાકને ભાંડેલી ગંદી ગાળ.

– શ્રીકાંત માહુલીકર

Comments (5)

વૃક્ષો અને પંખીઓ – થોભણ પરમાર

કેટલાક લોકો
મળવા આવે છે ત્યારે,
ઘરમાં અમને એકલા જોઈને
સ્વાભાવિક રીતે પૂછી લે છે.
‘તમારે કંઈ સંતાન નથી?’
પ્રશ્નની ચર્ચામાં
હવે અમે,
બહુ ઊંડા ઊતરતાં નથી.
ઘર પાછળના વાડામાં જઈને
તેમને –
વૃક્ષ અને કાલીઘેલી ભાષામાં ટહુકતાં
પંખીઓ બતાવીએ છીએ.

– થોભણ પરમાર

Comments (8)

તાજા શાકભાજી – ક્રિસ્ટીન બર્કી-એબટ

સાંભળેલી વાત છે, લગભગ ન મનાય એવી
કે વર્ષો પહેલા આખા ને આખા ખેતરો
ખાલી શાકભાજી ઊગાડવા માટે જ વપરાતા.
ખરબચડા હાથ એક પછી એક તંદુરસ્ત છોડ પરથી
જતનથી જીવાતને ખેરવી નાખતા.
સવારમાં મઝાનું પાણી પીવડાવે,
બપ્પોર કૂણે તડકે શેકાવામાં જાય ને
સાંજ વિતે આગિયાઓ જોડે તાલ મિલાવવામાં.
આખો ઉનાળો જાય આવો – ભર્યોભયો.

પણ અમને બધાને તો યાદ છે માત્ર નર્સરી.
જ્યાં કતારબંધ ગોઠવેલા કૂંડાઓમાં ઠાંસી દીધેલા,
જાત સિવાય કોઈનું જતન ન પામેલા અમે,
મોસમ-કમોસમ પાઈપનું પાણી રોજ બે વાર પીતા રહેતા.
ખાતર અને જંતુનાશક ખાઈને
અમે ઝાંખા પ્રકાશ તરફ ઊગતા જતા.

એ બધુંય આ જગા કરતા તો સારું હતું.
હવે તો ટ્યુબલાઈટના પ્રકાશ-રંજીત,
ઠંડા, વિરક્ત વાતાવરણમાં
‘તાજા શાકભાજી’નો ઢગલો થઈને પડ્યા રહીએ છીએ અને
કૂંણા ભાઈઓને ખરીદારોની તીણી નજરથી
બચાવવાની કોશિશ કરીએ છીએ.

જૂની વાતોના નામે મનને રાજી કરે રાખો ભાઈ,
પણ કોને ખબર આમાનું કેટલું ખરું હશે ?
કદાચ આ બધી કલ્પનાઓ
અમારા વધતા જતા
પાગલપણાની નિશાની માત્ર છે
– આ કાળકોટડીમાં.

– ક્રિસ્ટીન બર્કી-એબટ

શાકભાજી ખરીદવા આપણે બધા વારંવાર જઈએ છીએ. અહીં અમેરિકામાં ‘સુપર-માર્કેટ’માં જઈએ કે ભારતમાં શાકમાર્કેટમાં જઈએ -પણ શાક લઈને પાછા આવીએ. પણ કવિ શાક ખરીદવા જાય તો કેવી અનુભૂતિ સાથે પાછો ફરે ? એ વાત આ કાવ્યમાં છે. માણસે કેટલીય વાતો આ દુનિયામાં અ-કુદરતી કરી દીધી છે, તેનો ખ્યાલ પણ આપણને આવતો નથી. આપણે જેને ‘તાજા’ ગણીએ છીએ એ શાકભાજી તો કદરૂપી, વાસ મારતી વાસ્તવિકતા જીવીને આવે છે એ વિચારવાનો આપણામાંથી કેટલા પાસે સમય છે ?

Comments (5)

અનુભૂતિ… – મણીન્દ્ર રાય

જાણે કે દૂરદૂરથી સંભળાતું હોય
એવું આહવાન.
જાણે કે પુસ્તકનાં પાનાં વચ્ચે ઝાંખીપાંખી સ્મૃતિના
ગુલાબની કરમાયેલી પાંખડી
આવી ઉદાસ અનુભૂતિ…
પ્રથમ પ્રેમની.

– મણીન્દ્ર રાય
(બંગાળીમાંથી અનુ. ઈશાની દવે)

Comments (1)

બુરખો – પ્રવીણ જોશી

આદમી
પોતપોતાની શૈલીએ,
જિંદગી છુપાવવા એક બૂરખો રાખતા હોય છે,
– તેમ નાટક મારા જીવન પરનો બુરખો છે.

મારું જીવન
તમારાથી જૂદું નથી,
પણ મારો બુરખો
તમારા બુરખા કરતાં જુદો છે.

હવે જો ઉઝરડા પડે તો
મારો બુરખો એ ઝીલી લે છે.

ગમા, અણગમા, સફળતા, નિષ્ફળતા
નિરાશા, આશા, અપેક્ષા
મંથન અને મૈથુન…
…બધું નાટકમાં ઓગળી ગયું છે.

જીવનનો બોજ નાટકના ઝિંદાદિલ
બુરખાએ ઉપાડી લીધો છે
અને હવે તો
બુરખો ખુદ ભૂલી ગયો છે
કે પોતે બુરખો છે
કે સાચે જ મારો ચહેરો?

– પ્રવીણ જોશી

ગુજરાતી રંગભૂમિ વિષે પહેલા પુરુષ એકવચનમાં બોલવાનો કોઈનો સૌથી વધુ હક બનતો હોય તો, ચં.ચી.ને બાદ કરતા, પ્રવીણ જોશીનો છે. નાટકમય જીવન જીવવવાનો અનુભવ અહીં એ કવિતામાં બાંધવાનો પ્રયત્ન કરે છે તો પહેલો શબ્દ એમને સુઝે છે એ છે ‘બુરખો’ ! જોવાની વાત એ છે કે હંમેશા નાટક સાથે ‘મુખવટો’ કે ‘મોહરું’ (એટલે કે Mask) શબ્દ સામાન્ય રીતે વપરાય છે (ગુજરાતી અને અંગ્રેજી બન્નેમાં). પણ કવિ એને બદલે ‘બુરખો’ શબ્દ પસંદ કરે છે – એ શબ્દ સાથે દેખીતી રીતે જ નકારાત્મક સંવેદના જોડાયેલી હોવા છતાંય !

મારું જીવન / તમારાથી જૂદું નથી, / પણ મારો બુરખો / તમારા બુરખા કરતાં જુદો છે – આ પંક્તિને આ કવિતાના સંદર્ભમાંથી કાઢી લો તો એ સ્વયં એક કાવ્ય બની શકે એટલી સશક્ત છે. સુરેશ દલાલના કહેવા મુજબ પ્રવીણ જોશી એ લખેલી આ એકમાત્ર કવિતા છે – એમણે કવિતાની કક્ષામાં આવે એવા ઘણા નાટક રચેલા એ અલગ વાત છે.

Comments (4)

હરિયાળી વસંત (ચીની) શાન મેઈ, અનુ.: ઉમાશંકર જોશી

વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.

-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી

શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્‍તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.

(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)

Comments (5)

‘મા’ સિરિયલ – કીર્તિકાંત પુરોહિત

પ્રથમ એપિસોડ:

દીકરો રડ્યો
મા ઊઠી
લીધો અંકે
છાતીએથી અમૃતકુંભ ફૂટ્યો.

દ્વિતીય એપિસોડ:

દીકરો ખુશ
મા ખુશખુશાલ
લીધાં ઓવારણાં
અક્ષત-કંકુનો કળશ ફૂટ્યો.

તૃતીય એપિસોડ:

મા કણસી
દીકરો ઊઠ્યો
ગંગાજળ પાન દીધાં
માટીનો ઘડો ફૂટ્યો.

ચતુર્થ એપિસોડ:

– તે પહેલા નિર્માતાએ
સિરિયલ સંકેલી લીધી.

– કીર્તિકાંત પુરોહિત

સિરિયલની વાત છે એટલે દરેક એપિસોડ કવિએ મેલોડ્રામાથી ભરેલો જ રાખ્યો છે. શબ્દોની ખૂબ કાળજીથી પસંદગી કરી છે અને એમાંથી ચોટ ઉપજાવી છે. અમૃતકુંભ અને અક્ષત-કંકુ કળશથી માટીના ઘડા સુધીની સફર કવિ ત્રણ ‘એપિસોડ’ અને ગણીને બાર લીટીમાં કરાવી દે છે.

આ ‘સિરિયલો’ના છિછરાંપણા પર કટાક્ષ છે ? કે પછી સંબંધોના ‘સિરિયલીકરણ’ પર ટીકા છે ? – એ તો તમે જાણો !

Comments (7)

પ્રયત્ન – વિપિન પરીખ

ચલો, એક દિવસ આપણે એમ વરતીએ
જાણે લગ્નનો પહેલો દિવસ છે.
તું કહેશે તો એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.
હું તને કહીશ, ‘રસોઈ તો રોજની છે. એને બાજુએ મૂક.
આવ મારી પાસે બેસ.’
ભરબપોરે દરિયાકિનારે આપણે હાથમાં હાથ દઈ દોડીશું,
અથવા રેતીમાં ઊંચા ઊંચા મહેલ ઊભા કરીશું.
એ દિવસે તારી સાડીનો રંગ હું પસંદ કરીશ.
તું આનાકાની નહીં કરે.
મિત્રોની મહેફીલમાં હું પડ્યોપાથર્યો નહીં રહું.
તને છોડીને ઘરની બહાર હું ક્યાં જઈશ ?
એક પણ પુસ્તકને હાથ નહીં લગાડું – સોગંદ ખાઉં છું.
રાત્રે બત્તીના પ્રકાશ માટે આપને ઝગડશું – તું ના કહેશે.
અંધકાર ગાઢ થતો જશે અને છતાં
તું મને સૂવા નહીં દે.
સવારે તારા હોઠને ભીના કરી હું તને જગાડીશ.
પણ અત્યારે તો
આપણે ઊંઘ વિના તરફડતી પાંપણ જેવા…
જુદાં…

– વિપિન પરીખ

વિપિન પરીખ લગ્નની હકીકતને બહુ કાળજીથી વર્ણવી જાણે છે. પ્રેમ જ્યારે લગ્નની હકીકત સાથે ટકરાય છે ત્યારે કેવી ચીસ સાથે એના ચૂરેચૂરા થઈ જાય છે એની આ કવિતામાં વાત છે. આ કવિતા વાંચતા વાંચતા તરત ‘આવિષ્કાર’ ફીલ્મ યાદ આવી ગઈ. એમાં પણ આ જ રીતે ફ્લેશબેકના ઉપયોગથી એક પ્રેમલગ્નનાં તૂટવાની વાત હતી.

Comments (7)

પ્રેમની વાર્તા – જયન્ત પાઠક

આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ભર્યા ભર્યા રસથાળમાં
કશુંક ખાટું ખારુંય હોય;
અઢળક સુધાપાનમાં
કંઈક તીખું-કડવુંય હોય;
રાજમહેલના રંગરાગમાં
વનવાસનો વેશ પણ હોય;
આપણી વાર્તા તો પ્રેમની વાર્તા :
ને પ્રેમની વાર્તાનો –
ખાધુંપીધું ને રાજ કીર્યું – એવો અન્ત નાય હોય.

– જયન્ત પાઠક

પ્રેમથી તરબતર જીંદગીની આશા તો આપણે બધા રાખીએ છીએ. પણ હકીકત તો એ છે કે જીવનમાં ખરા પ્રેમની થોડી ક્ષણો પણ મળે તો આપણી જાતને સદનસીબ માનવી ! કવિ આ કવિતામાં ‘આપણી વાર્તા તો પ્રેમની વાર્તા’ એ પંક્તિ જાણે પોતાની જાતને સમજાવવા માટે કહેતા હોય એમ બે વાર લખે છે. પ્રેમની વાત છે – એમાં કોઈ પણ જાતનો વણાંક આવે કે કોઈ પણ જાતનો અંત આવે – એ પ્રેમની વાર્તા પ્રેમની વાર્તા જ રહે છે. પ્રેમ એટલી મોટી ઘટના છે કે એમાં અ-પ્રેમ પણ બહુ પ્રેમથી સમાય જાય છે !

( આડવાત : ‘પ્રેમની વાર્તા’ એટલે શું ? – પ્રેમથી શરૂ થયેલી વાર્તા ? પ્રેમથી ભરેલી વાર્તા ? પ્રેમ માટેની વાર્તા ? કે પછી પ્રેમ પામવા માટે બનાવેલી વાર્તા ? )

Comments (4)

ઠાકોરજી – મા – હસમુખ પાઠક

એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો !

આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે ? – મેં પૂછ્યું.

જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો !

તે કેવી રીતે ?
મારી સામે જોતો હોય એમ જો !
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.

માના શબ્દથી
ઠાકોરજી મા થયા.

– હસમુખ પાઠક

હસમુખ પાઠક બહુ માર્મિક કાવ્યો માટે જાણીતા છે. થોડામાં ઘણું કહી દેવાને એમને હથોટી છે. અહીં એમણે શ્રદ્ધાના વિષય પર બહુ નાજુક વાત કરી છે. મા પરની શ્રદ્ધાના ટેકે કવિ ઈશ્વર એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરે છે – એમાં ઈશ્વર એમને ખુદ મા સ્વરૂપે જ દેખાય છે !શ્રદ્ધા તો બહુ અંદરની વાત છે. એ શંકા અને સમજણથી પર છે. મન જેને માને એ જ તમારો ગુરુ. મન જેને નમે એ જ તમારો ઈશ્વર.

Comments (3)

અમદાવાદ – રાધેશ્યામ શર્મા

મિલ-વ્હિસલની શૂળમાં ભરાઈ પડેલો,
સાઈકલના પેન્ડલ લગાવતો
તીતીઘોડો એક.

– રાધેશ્યામ શર્મા

અનોખું જ નગરકાવ્ય. ત્રણ જ લીટીમાં નગરવ્યથાને કવિએ અદભૂત રીતે ચિતરી છે.

Comments (2)

અરણ્ય-રુદન – પ્રીતિ સેનગુપ્તા

પર્વત પર ચડીને
શિખરોને ધક્કા મારી મારીને
ગબડાવી દેવાં છે,
દરિયાને ખાલી કરીને રણમાં
વહાવી દેવા છે,
હવાના મહેલોને
મુઠ્ઠીએ મુઠ્ઠીએ
તોડી નાખવા છે,
રાત-દિવસના પડછાયાઓને
પૃથ્વીના પેટાળમાં
દાબી દેવા છે.
અને પછી, મા,
તમારા ખોળામાં
મોઢું સંતાડી
છાતીફાટ રડી લેવું છે.

– પ્રીતિ સેનગુપ્તા

સાતે ખંડ ફરી વળ્યા પછી કોઈ આવી વાત લખે એ જરા આશ્ચર્ય તો  થાય. પણ બીજી નજરે જુવો તો એમાં આશ્ચર્ય જેવું છે જ શું – મનનો ઉભરો ઠાલવવા માટે તો પોતીકો ખોળો જ જોઈએ ને !

Comments (6)

પાંખ – ચંદ્રેશ ઠાકોર

કાટમાળના ઢગલામાં
એક સાંકળની લોખંડી ગૂંચ ઉપર
બેઠું છે એક પતંગિયું,
સાવ નિશ્ચિંત.
પાંખ પ્રસારી, બંધ કરી, વળી પ્રસારી
ઊડી ગયું.
મૂછને વળ દેતું.

એ લોખંડ,
એ સાંકળ,
એ ગૂંચ,
એ પાંખ…

– ચંદ્રેશ ઠાકોર

લયસ્તરો માટે ખાસ આ કાવ્ય ડેટ્રોઈટથી ચંદ્રેશભાઈએ મોકલ્યું છે. કાવ્ય મને તો ગમી ગયું અને એ લયસ્તરો પર મૂકું એ પહેલા એક નવો વિચાર આવ્યો. દર વખતે હું મારા મનમાં આવે એવો આસ્વાદ કરાવું છું. એને બદલે કવિને પોતાને જ એ કામ સોંપીએ તો કેવું ? એ વિચાર ચંદ્રેશભાઈને મોકલ્યો. એમને પણ વિચાર ગમી ગયો અને એમણે તરત પોતાનો કવિતા લખવાનો હેતુ અને કવિતાની પોતાની અર્થછાયા એમના પોતાના જ શબ્દોમાં મોકલી આપી. તો આજે કવિના ખુદના જ શબ્દોમાં આસ્વાદ માણો.

સાંકેતિક, તો પણ રોજીંદી વાત છે. ચારેતરફ કાટમાળ પથરાયેલો છે – નૈતિક મૂલ્યોનો, લાભ લેવાની વૃતિનો, ભાંગી પડેલા સ્વપ્નોનો. એનાથી નીપજતી કઠોરતા, મુશ્કેલીઓ ને નિરાશાઓ માણસનો શ્વાસ એવો તો રૂંધે છે કે બહુધા માણસ હિંમત હારી જાય છે.

પણ, એમ માથે હાથ દઈને બેસવાથી આગેકદમ થોડી કરાય ?

એમાં એક પતંગિયું આવી બેસે છે – પતંગિયું પ્રતિક છે મુલાયમતાનું, સારાશનું, રંગીલાપણાનું અને નવદ્રષ્ટિનું. પતંગિયાને સાંકળમાં ન તો લોખંડ દેખાય છે ન તો બંધન દેખાય છે. પતંગિયાને તો, બસ, ઉડવું જ છે. જીવ નાનકડો છે પણ એનો પડકાર બુલંદ છે.

પાંખ એટલે માત્ર સ્વતંત્રતા નહીં. પાંખ એટલે તો બધી અંતરશક્તિનો પૂરેપુરો ઉપયોગ કરવાની તૈયારી : સ્વતંત્રતાનો આનંદનશો માણવા માટેની અનિવાર્યતા.

Comments (5)

જુવાનીમાં – વિંદા કરંદીકર (અનુ. જયા મહેતા)

જુવાનીમાં તેણે એક વાર દરિયામાં
પેશાબ કર્યો.

અને તેને લીધે
દરિયાની સપાટી કેટલી ઊંચી આવી
એ માપવામાં ખર્ચી નાખ્યું
પોતાનું બાકીનું આયુષ્ય.

– વિંદા કરંદીકર
(અનુ. જયા મહેતા)

Comments (5)

તું વરસે છે ત્યારે – રઘુવીર ચોધરી

તું વરસે છે ત્યારે
એક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.

વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.
આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.

તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,
અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.

તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.

– રઘુવીર ચૌધરી
(‘વહેતાં વૃક્ષ પવનમાં’)

અદભૂત અભિવ્યક્તિ ! એ સિવાય આ કાવ્ય વિશે કાંઈ કહેવાનું હોય ?

Comments (4)

વિશ્વ-કવિતા:૧૩: જીવન અને સેક્સ (હિન્દી)- દેવીપ્રસાદ વર્મા (અનુ. – સુરેશ દલાલ)

તું નહીં શકુન્તલા
હું નહીં દુષ્યન્ત
તું નહીં કામિની
હું નહીં કંથ
સાધારણ નારી-નર
આપણે નહીં અનંત
રોજી અને રોટીના ચક્કરમાં
જીવનનો અન્ત.
(જીવ્યા વિના)
મરણ પછી આપણે એકાંતમાં
સેક્સ વિશે વિચારશું.

– દેવીપ્રસાદ વર્મા
અનુ. સુરેશ દલાલ

Comments (3)

વિશ્વ-કવિતા:૧૨: વણલખ્યો પત્ર (સ્વિડન) – હેલ્ગે ચેડેનબેર્ય (અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’)

જો હું લખી શકત તમને
એક અત્યુત્તમ સંપૂર્ણ પત્ર,
તો
તેના શબ્દો ઝગારા મારત
તમારાં નયનોની જેમ જ,
તેમાંથી સુવાસ આવતી હોત
જેવી તમારા દેહમાંથી આવે છે.
તેમાંથી સ્વરો નીકળત
જેવા તમારા કંથમાંથી નીકળે છે.
તે હૂંફ આપત, જેવી તમારા હાથ આપે છે.

મારો પત્ર એવો હોત,
જાણે તમારા જ લોહીનાં બુંદનું લખાણ.
તમારી જ વાચાનો જાણે રણકતો પડઘો:
તેમાં સાંભળી શકાત એક એવા હૃદયનો ધબકારો
જેમાં પોતીકાપણું રહ્યું જ નથી,
અને એવો સ્નિગ્ધ પ્રેમ તેમાંથી નીતરત
જે સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલો છે.

તે પત્રના શબ્દો એવા તો હોત,
જાણે તે શબ્દ જ રહ્યા નથી,

એક અણ-કહી વાત, જેમાં
તમારા અંત:સ્થલનો સાત ડોકિયાં કરતો હોત.
આવો હોત, તે આદર્શ પત્ર.

જો હું લખી શકત તમને
એક ઉત્તમ સંપૂર્ણ પત્ર,
તો તમે પોતે જ મારો પત્ર હોત.

– હેલ્ગે ચેડેનબેર્ય (સ્વિડન), અનુ. વત્સરાજ ભણોત ‘ઉદયન’

લખેલા પ્રેમપત્ર વિશે કે પ્રેમપત્રમાં કશુંક લખવા વિશેની ઊર્મિસભર વાતો તો ઘણી કવિતાઓમાં જોવા મળે છે. પરંતુ લાગણીથી લથબથ આ વણલખ્યા પત્રની કવિતા વાંચો તો જરૂર એમ થાય છે કે આ પત્ર જો ખરેખર પ્રિયજનને લખી શકાયો તો હોત તો એનું રૂપ કેવું હોત?! કાવ્યમાં કવિ જેમ જેમ આપણને અંતની નજીક લઈ જાય છે તેમ તેમ આપણે વધુ ને વધુ ભીંજાતા જઈએ છીએ… અને છેલ્લે કવિએ પ્રિયજનને જ પોતાનો પત્ર હોવાની કહેલી વાતથી તો તમે બિલકુલ કોરા રહી જ ના શકો… !

Comments (3)

વિશ્વ-કવિતા:૧૧: પ્રેમ અને પુસ્તક (પંજાબી) – સુતીંદરસિંહ નૂર (અનુ. સુજાતા ગાંધી)

પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કોઈ અંતર નથી હોતું.

કેટલાક પુસ્તકોનું
મુખપૃષ્ઠ જોઈએ છીએ
ભીંજવે છે.
પાનાં ઉથલાવીને મૂકી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકો
તકિયા નીચે મૂકીએ છીએ.
અચાનક જ્યારે પણ આંખ ખૂલે છે
ત્યારે વાંચવા માંડીએ છીએ.

કેટલાંક પુસ્તકોનો
શબ્દેશબ્દ વાંચીએ છીએ
એમાં ખોવાઈ જઈએ છીએ
ફરી પાછું વાંચીએ છીએ
અને આત્મામાં વસાવી દઈએ છીએ.

કેટલાંક પુસ્તકોમાં
રંગ-બેરંગી નિશાની કરીએ છીએ
દરેક પંક્તિ પર વિચારીએ છીએ
અને કેટલાંક પુસ્તકોનાં
નાજુક પૃષ્ઠો પર
નિશાની કરતાં પણ ડરીએ છીએ.
પ્રેમ કરવો
અને પુસ્તક વાંચવું
એમાં કંઈ અંતર નથી હોતું.

– સુતીંદરસિંહ નૂર (પંજાબી), અનુ. સુજાતા ગાંધી

અહીં કવયિત્રીએ પુસ્તક અને પ્રેમની સરખામણી કેવી અદભૂત અને અનોખી રીતથી કરી છે! અમુક પુસ્તકોનાં મુખપૃષ્ઠથી ભીંજાવું તો અમુકને ઉથલાવીને ભીંજાયા વગર પાછું મૂકી દેવું… અમુકનાં પાનાઓમાં રંગ-બેરંગી નિશાની કરવી તો અમુક પર નિશાની કરતાં પણ ડરવું… અમુકને વાંચીને એના શબ્દેશબ્દમાં બસ ખોવાયા જ કરવું તો અમુકને બિલકુલ આત્મસાત કરી લેવું… વળી, અમુકને તો તકિયા નીચે મૂકીને નિરાંતે ઊંઘી જવું, એટલે પછી જ્યારે જાગો અને વાંચવાનું મન થાય તો એને વાંચવા માટે શોધવા ક્યાંય દૂર જવું જ ન પડે! અરે હા, બેશક… પ્રેમનું પણ કંઇક આ પુસ્તક જેવું જ છે હોં!!

Comments (6)

વિશ્વ-કવિતા:૦૮: દુ:ખ (હિન્દી) – સર્વેશ્વરદયાલ સક્સેના

દુ:ખ છે મારું
સફેદ ચાદર જેવું નિર્મલ
એને બિછાવીને સૂઈ રહું છું.

દુ:ખ છે મારું
સૂરજ જેવું પ્રખર
એની રોશનીમાં
તમામ ચહેરા જોઈ લઉં છું.

દુ:ખ છે મારું
હવા જેવું ગતિમાન
એના બાહુમાં
હું બધાને લપેટી લઉં છું.

દુ:ખ છે મારું
અગ્નિ જેવું સમર્થ
એની જ્વાળઓની સાથે
હું અનંતમાં પહોંચું છું.

– સર્વેશ્વરદયાલ સક્સેના
અનુ. સુરેશ દલાલ
આજે ‘દુ:ખ’ પરની અલગ જાતની કવિતાની વાત નીકળી છે તો આ કવિતા મૂકવાનો લોભ જતો કરી શકતો નથી. આ કવિતાને આગલી કવિતા સાથે સરખાવશો. માણસના વિકાસમાં દુ:ખ – અડચણ – મુસીબતો નું પણ આગવું મહત્વ છે. કવિઓને પ્રેમ પછી વધારેમાં વધારે કોઈ ચીજને ગાઈ છે તો એ છે દુ:ખ.

Comments (6)

વિશ્વ-કવિતા:૦૭: ભાગીદારી (ટર્કી) – ફૈયાઝ કયકન

મારે ઘણા દુ:ખ છે
હું મારા બધા દુ:ખને સારી રીતે જાણું છું
અને એ બધા પણ મને સારી રીતે ઓળખે છે
અમને એકબીજા સાથે સારું બને છે
એ મને કનડે તે મને જરાય ખૂંચતું નથી

કોઈ વાર પુસ્તક વાંચતા વાંચતા
માથું ઊંચું કરીને હું
એમને સલામ કરી લઉં છું.

કોઈ નવી મુસીબત આવી પડે તો
એ બધા એમનું માથું ઊંચું કરીને
મારી સામે જુએ છે અને શાંત થઈ જાય છે.

– ફૈયાઝ કયકન

દુ:ખ માણસને એટલો બધો લાંબો સમય સાથ આપે છે કે એ પોતાના અંગત માણસ જેવા જ થઈ જાય છે. કેટલીક વાર તો એ એટલા પોતિકા થઈ જાય છે કે નવી મુસીબતમાં એ ભાગીદારી કરાવે છે. દર્દકા હદસે ગુઝર જાના… જેવી જ વાત છે પણ બહુ અંગત દૃષ્ટિકોણથી કરી છે.

Comments (2)

વિશ્વ-કવિતા:૦૪: સ્મરણ (કેનેડા)- ડોરથી લાઈવસે

તારું સ્મરણ છે જાણે હાથમોજું
ખાનામાં સંતાડેલું:
ફરી કાઢીને પહેરું છું
વર્ષો પહેલાં હતું એટલું જ ચપોચપ.

ડોરથી લાઈવસે

કહે છે કે સ્મરણના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. વિતેલી યાદોને ગમે તેટલી અળગી કરો પણ એ દિલમાં એવી વસી ગઈ હોય છે કે જ્યારે પાછી આવે ત્યારે એ મનને ભીનું કરી જ જાય છે !

Comments (6)

વિશ્વ-કવિતા:૦૩: હસ્તાંતર (મરાઠી) – દ.ભા. ધામણસ્કર

વિસર્જન માટે ગણપતિ લઈ જતાં
મને મૂર્તિનો ભાર લાગવા માંડ્યો ત્યારે
ઊછળતી યુવાનીભર્યા
મારા પુત્રે જ મને કહ્યું; “આપો મને”

મેં મૂર્તિ તરત દીકરાના હાથમાં મૂકી
બાજોઠ સહિત
દીકરાએ પણ મૂર્તિ હાથમાં લીધી બરાબર સંભાળીને, ને
હું એક દૈવી આનંદમાં અકલ્પિત
પરંપરા આગળ સરકાવ્યાના…

હું પાછો યુવાન યયાતિ જેવો,
મારો પુત્ર એકદમ વૃદ્ધ
પરંપરાના બોજાથી વાંકો વળી ગયેલો.

– દ.ભા. ધામણસ્કર

પરંપરા બેધારી તલવાર છે. પરંપરા તૂટે તો આપણે દુ:ખી થઈએ છીએ. પણ પરંપરાના બોજ હેઠળ નવસર્જન શક્ય નથી એ વાત ભૂલી જઈએ છીએ. અમને અમેરિકામાં રહેનારા માણસોને આ વાત ખૂબ લાગુ પડે છે. અહીં આવ્યા પછી ઘણા લોકો ‘અમેરિકન’ થઈ જાય છે એ વાત સાચી છે પણ મોટા ભાગના માણસો તો ભારતમાં હતા એનાથી પણ વધુ પરંપરાવાદી થઈ જાય છે. ભારત દેશ બદલાય છે પણ અમેરિકામાં આવીને વસેલા આ ભારતિય લોકો કદી બદલાતા નથી. બદલાતા સમય સામે અને સમાજના રીતરિવાજ સામે પીઠ કરીને પોતાનો એજ આલાપ સંભળાવ્યા કરે છે. ત્યારે તમને થાય કે પરંપરા કેવો બોજો બની જાય છે ! પરિવર્તન અને પરંપરાના સંતુલનમાં જ વિકાસની ચાવી છે. પછી એ વિકાસ માનસિક હોય, સામાજીક હોય કે પછી આર્થિક હોય.

Comments (3)

આકાશનો સોદો – ચંદ્રકાન્ત શેઠ

સાંકડી શેરીમાં આકાશ વેચવા નીકળેલો હું !
મને સાંકડી શેરીના લોકોએ ગાંડો માન્યો,
મારો હુરિયો બોલાવ્યો,
મને ધક્કે ચડાવ્યો,
મને પથ્થર માર્યા,
મારાં લૂગડાં ફાડ્યાં,
મારી મુઠ્ઠી છોડાવવા પ્રયત્ન કર્યો,
પણ આકાશ ઓછું જ હોઈ શકે મુઠ્ઠીમાં ?

બિચારા સાંકડી શેરીના લોકો !
એમને ખબર નથી
કે આકાશ કંઈ ખિસ્સામાં, પોટલીમાં કે પેટીમાં કે મુઠ્ઠીમાં આવી શકતું નથી !
આકાશ તો એમની આંખોના ઢળેલાં પોપચાં ઊંચાં કરીને હું બતાવવાનો હતો.
આકાશ તો એમને મળવાનું હતું એમનું એમ !
આકાશ વેચવાનું તો એક બહાનું જ હતું માત્ર !
પણ સાંકડી શેરીના લોકો !
મને શેરી બહાર કાઢી
સૂઈ ગયા બારી-બારણાં વાસી ગોદડામાં મોં ઘાલી.

હું ફરીથી ઘસડાતો ઘસડાતો
આકાશ આજે નહીં તો કાલે વેચાશે એવી આશાએ સંકલ્પપૂર્વક લેવા લાગ્યો સુદીર્ઘ શ્વાસ !
આ તો સાંકડી શેરીના લોકો
ને આકાશનો સોદો !
સહેજમાં પતે કે?

-ચંદ્રકાન્ત શેઠ

શ્રી ચંદ્રકાન્ત શેઠનો જન્મ વૈષ્ણવવણિક કુટુંબમાં તા. ૦૩-૦૨-૧૯૩૮ના રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ મુકામે. વતન ખેડા જિલ્લાનું ઠાસરા. એમ.એ., પી.એચ.ડી. સુધીનો અભ્યાસ અને અધ્યાપનનો વ્યવસાય. અગ્રણી કવિ, વિવેચક, નિબંધકાર, સંપાદક અને અનુવાદક. વાર્તા, નાટકો અને બાળગીત ક્ષેત્રે પણ મહત્ત્વનું પ્રદાન. એમના કાવ્યોમાં જીવનની કૃતકતા અને અસ્તિત્વના બોદાપણાનો વસવસો છલકાતો નજરે ચડે છે. લય ને કલ્પનોની તાજગી એ એમના કાવ્યોનો મુખ્ય આયામ છે.

(કાવ્યસંગ્રહો: પવન રૂપેરી, ઊઘડતી દીવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, એક ટહુકો પંડમાં, શગે એક ઝળહળીએ, ઊંડાણમાંથી આવે ઊંચાણમાં લઈ જાય…, જળ વાદળ ને વીજ.)

Comments (3)

કવિતા ન કરવા વિશે કવિતા – જયન્ત પાઠક

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય ?
સરવરો સુકાઈ જાય ?
નદીઓ વહેતી થંભી જાય ?
ડુંગરા ડોલી ઊઠે ?
ઘાસ ઊગતું બંધ થઈ જાય ?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય ?
ના, ના, એવું એવું તો ના થાય –
પણ… પછી
જળપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુના ફૂલ ના ફૂટે;
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊચેં ના જાય.

કવિતા કરવાનું બંધ કરીએ તો
આમ, તો કશું ના થાય
– એટલે કે કશું થાય જ નહીં !

– જયન્ત પાઠક

કવિતા કરવા વિશે તો ઘણી કવિતાઓ રચાઈ છે પણ કવિતા ન કરવા વિશે તો આ એક કવિતા જોવામાં આવી છે ! કવિએ કવિતા ન હોય તો શું થાય એના વર્ણનમાં બહુ નાજુક રૂપકો વાપર્યા છે. (જલપરીના પવનવસ્ત્રોથી વધારે નાજુક શું હોઈ શકે ?!!) પણ કવિની ખરી ખૂબી તો અંતની ચોટમાં દેખાય છે. કવિતા વિના એક રીતે તો કશું જ થાય એ કેટલી સરસ રીતે – વિચારતા કરી મૂકે એવી રીતે – આવે છે એ કવિની સિદ્ધહસ્તતાની સાબિતી છે.

Comments (7)

લઘુકાવ્ય -ગુરુનાથ સામંત (અનુ. સુરેશ દલાલ)

મેં મારી કવિતા
       તને વાંચી સંભળાવી’તી
તેં કહ્યું તું:
       ‘સમજાતી નથી’
કોરા ચહેરાની
       તે એક બપોર
મેં એવી જ
       સાચવી રાખી છે.

-ગુરુનાથ સામંત (મૂળ રચના મરાઠીમાં… અનુ. સુરેશ દલાલ)

Comments (4)

(સૌભાગ્યવતી યાદ) -પન્ના નાયક

તારી સાથે
ગાળેલી
રમ્ય રાત્રિની
સૌભાગ્યવતી યાદ
ફરી થનારા પ્રગાઠ મિલન સાથે
સંવનન કરતી હતી
ત્યાં જ
કાયમી વિરહના
અચાનક ઊમટેલા
વંટોળિયાના
એક જ સુસવાટે
ઉથલાવી
તોડીફોડી નાંખી
કંકુની શીશી…

હવે ઢોળાયેલા કંકુને
વાગે છે
નર્યા કાચ…

-પન્ના નાયક

 

Comments (4)

હેમંતની સાંજ – યૉસેફ મેકવાન

ઝાડના ડાંખળે ડાળીએ
સૂર્યના કિરણ ચોંટી રહ્યાં;
પાસમાં
ટૂંટિયું વાળીને શાંત છે પથ પડ્યો !
ચોતરફ
વાયુના કાફલા બરફ-શા આભને લૈ વહે;
ક્યાંકથી આવતો પંખીનો નાદ પણ
થૈ કરો કાનમાં વાગતો.

એમ લાગે ઘડી
સાંજ આ ચિત્રમાં હોય જાણે મઢી.

-યૉસેફ મેકવાન

હેમંત ઋતુની એક સાંજનું સુલેખ શબ્દાંકન. આથમતા સૂર્યના કિરણોનું ડાળીઓ પર ચોંટી જવું, રસ્તાનું ટૂંટિયું વાળીને શાંત પડી રહેવું, બરફ જેવા ઠંડાગાર આકાશને લઈને વહેતો વાયુ અને કાનમાં બરફના કરાની જેમ વાગતો પંખીનો અવાજ- આ કલ્પનોની વાગ્મિતા હેમંતની ધૂંધળી સાંજની ઠંડીને પ્રત્યક્ષ કરી આપે છે જાણે.

Comments (3)

ગદ્ય કાવ્ય – પન્ના નાયક

મારામાં એક ટોળું વિરાટ સમુદ્રના પાણીની જેમ ધસમસી આવે છે અને અહીંથી તહીં, તહીંથી અહીં રહીરહીને મને ફંગોળે છે. કોઈ કોણી મારે છે, કોઈ ધક્કા. કોઈ મને ઉપાડે છે, કોઈ પછાડે છે. મને ક્યાંય કોઈ જંપવા દેતું નથી. આ ભીડ મારી પોતાની છે. આ મારી જ ભીડમાં હું ખોવાઈ જાઉં છું. ખવાઈ જાઉં છું. હું મારા એકાંતના નીડમાં પાછી વળી શક્તી નથી. કપાઈ ગઈ છે મારી પાંખ. આંધળી થઈ ગઈ છે મારી આંખ, ગહનઘેરા અંધકારમાં હું મને ફંફોળું છું પણ કેમે કરીને હું મને મળતી નથી, મળી શક્તી નથી.

મારામાં એક ટોળું મારા જ ખડક પર માથું પછાડ્યા કરે છે. સમુદ્રનું પાણી ધીમે ધીમે રેતી થઈને વિસ્તરે છે. રણની ઘગધગતી રેતી આંખમાં ચચર્યા કરે છે અને ઝાંઝવાના આભાસ વિના હું દોડ્યા કરું છું. પાછું વળીને જોઉં તો એ જ ટોળું મારી પાછળ પડી ગયું છે.

-પન્ના નાયક

ટોળાંનો, તે જ રીતે સમુદ્રના પાણીનો કોઈ આકાર નથી હોતો. (કદાચ એટલે જ કવયિત્રીએ અહીં કાવ્યનો કોઈ આકાર કે શીર્ષક નિર્ધાર્યા નહીં હોય?) ટોળાંમાં, તે જ રીતે સમુદ્રમાં કોઈ વધઘટ થાય તો વર્તાતી પણ નથી. ટોળું એક એવી વિભાવના છે જ્યાં મનુષ્ય પોતાની સ્વતંત્ર ઉપલબ્ધિ સદંતર ગુમાવી બેસે છે. પોતાની અંદરનું આ ટોળું કયું છે એ કવયિત્રી નથી સ્પષ્ટ કરતાં, નથી એવી સ્પષ્ટતાની અહીં કોઈ જરૂર ઊભી થતી. આ ટોળું કવયિત્રી પર એ રીતે હાવી થઈ ગયું છે કે પોતાની જ આ ભીડમાં પોતે ખોવાઈ ને ખવાઈ પણ જાય છે. પાંખોનું કપાઈ જવું એ ટોળાંમાં લુપ્ત થતી વ્યક્તિગતતાનો સંકેત કરે છે અને આ લુપ્તતા અંધકારની જેમ એટલી ગહન બને છે કે પોતે પોતાને મળવું પણ શક્ય રહેતું નથી. માથાં પટકી-પટકીને આમાંથી છટકવાની કોશિશનું પરિણામ માત્ર રેતીની જેમ ચકનાચૂર થવા સિવાય બીજું કંઈ નથી કેમકે આ ટોળું કદી પીછો છોડવાનું જ નથી.

ગદ્યકાવ્ય એટલે શું? એનો આકાર ખરો? કવિતા ગદ્યમાં સંભવે ખરી? આપણે ત્યાં કાવ્યની લેખનપદ્ધતિ અને એ પ્રમાણે મુદ્રણપદ્ધતિ મુજબ એકસરખી કે નાની-મોટી પંક્તિઓ પાડીને લખાયેલા કાવ્યને ‘અછાંદસ’ અને ગદ્યની જેમ પરિચ્છેદમાં લખાયેલા કાવ્યને ‘ગદ્યકાવ્ય’ ગણવાનો ભ્રમ ખાસ્સો પોસાયો છે. હકીકતે પદ્યના નિયમોથી મુક્ત, કોઈપણ સ્વરૂપમાં ન બંધાતી કવિતાનો પિંડ જ ગદ્યકાવ્ય છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં પણ એનો સ્વીકાર થયો છે- काव्यं गद्यं पद्यं च । કાલેબ મર્ડરોક ‘પદ્ય કે ગદ્ય‘ વિષય પર પોતાની વાત કહી જુદા-જુદા કવિઓની ‘પેરેગ્રાફ પૉએમ્સ’ રજુ કરે છે તે જાણવા જેવું છે. આ પ્રકારની ‘પ્રોઝ પોએટ્રી‘નો જન્મ ફ્રાંસમાં ઓગણીસમી સદીમાં થયેલો મનાય છે. વીકીપીડિયા પર પણ ઉપયોગી માહિતી મળી શકે એમ છે. બરટ્રાન્ડના ગદ્યકાવ્યોમાંથી પ્રેરણા મેળવીને ફ્રાંસના જ ચાર્લ્સ બૉદલેરે પચાસ જેટલા ગદ્યકાવ્યો રચ્યા જે બૉદલેરના મરણ પશ્ચાત પુસ્તકાકારે પ્રકાશિત થયા અને એણે વિશ્વભરની ભાષાઓને પ્રભાવિત કરી. ભારતમાં ગદ્યકાવ્યોના જન્મ પાછળ રવીન્દ્રનાથના ગીતાંજલિનો અંગ્રેજી અનુવાદ અગત્યનું પ્રેરક બળ સિદ્ધ થયો. આપણે ત્યાં ન્હાનાલાલે ડોલનશૈલીમાં કાવ્યો પ્રયોજ્યાં હતાં એને ગુજરાતી ગદ્યકાવ્યોની પ્રારંભભૂમિકા લેખી શકાય. ‘કવિલોક ટ્રસ્ટ’ તરફથી શ્રી ધીરુ પરીખે ‘ગદ્યકાવ્ય’ નામનું એક પુસ્તક પણ 1985માં સંપાદિત કર્યું હતું જેમાં આ વિષયને ખૂબ સારી રીતે ખેડવામાં આવ્યો છે.

Comments (11)

શબ્દ – ઉમાશંકર જોશી

શબ્દને ખોલીને જોયું,
મળ્યું મૌન.

શબ્દ થઈ બેઠો દુર્ભેદ્ય
અર્થનો પ્રકાશ
અર્ધઝાઝેરો
ખૂંતી ન શકે આરપાર.
નવલ એ આભા-વલય
બન્યું રસનું આધાન.

શબ્દ, ગર્ભદશા મહીં કર્મ.
ક્યારેક તો સ્વયં કૃતિ,
આત્માની અમરાકૃતિ.

શબ્દ, ચિરંતન જ્યોતિસ્તંભ.

– ઉમાશંકર જોશી

શબ્દમાં કવિને માત્ર મૌન જ મળે છે. શબ્દ તો ઉઘડવાનું નામ લેતો નથી. અર્થનો પ્રકાશ શબ્દને ભેદી શકતો નથી. એ ગૂઢ રહસ્યની આભા જ શબ્દને વધુ રસપ્રદ બનાવે છે. શબ્દ વિષે ઉત્તમ ચિંતન જેવી ત્રણ અદભૂત પંક્તિ કવિ મૂકે છે. શબ્દના મૂળમાં તો કર્મ રહેલું છે – શબ્દ પોતે જ એ સંપૂર્ણ રચના છે – એ આત્માની સૌથી મહાન રચના છે. છેલ્લે ઉપનિષદમાંથી ઊતરી આવી હોય એવી પંક્તિથી કાવ્ય પૂરું થાય છે – શબ્દ એટલે તો હંમેશા પ્રકાશ પાથરનારો, પથદર્શક, અવિચલ માર્ગદર્શક !
(આધાન=ધારણ કરવું, ગર્ભ )

Comments (14)

સરનામું – અજય પુરોહિત

ફૂલોનું સરનામું
શોધવા
ડાયરીના પત્તાં
ઉથલાવ્યે જાઉં છું
ત્યાં જ
મળી આવ્યું
મરેલું પતંગિયું !!!

– અજય પુરોહિત

વિદેશી કાવ્યોમાં માત્ર juxtapositionથી કાવ્યમાં અર્થ ઉપજે એવા કાવ્યો ઘણા જોવા મળે છે. આ કાવ્ય એનો સારો પ્રયોગ કરે છે. ‘મરેલુ પતંગિયું’ એકી સાથે કેટલીય અર્થ-છાયાઓ રચી આપે છે.

Comments (9)

ઝાકળબુંદ : _૧૨ : કેક – હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’ ‍

જન્મદિવસ પર
કેક કાપતાં-કાપતાં
જિંદગીનું એક વર્ષ કપાય છે.
પ્રત્યેક વર્ષ મીણબત્તીની સંખ્યા વધે છે
ને તેને ઓલવવા જેટલો શ્વાસ ઘટે છે.
કેકની મીઠાશ માણ્યા પછી
જિંદગીની કડવાશ ઉભરાય છે.
આમ જ જિંદગી પૂરી થાય છે.

-હિરલ ઠાકર ‘વાસંતીફૂલ’

હિરલ ઠાકરનું આ લઘુકાવ્ય મને વાંચતાની સાથે ગમી ગયું. વધતી ઉંમર અથવા વૃદ્ધાવસ્થા વિશે બધા જ વાત કરે છે પણ અહીં મીણબત્તીની સંખ્યાના વધતા જવાની સાથે શ્વાસના ઘટતા જવાની વાત જે રીતે કવયિત્રીએ કરી છે એ કદાચ સાવ નવી જ અને તરત જ મનને સ્પર્શી જાય એવી છે. વાક્યે-વાક્યે વિરોધાભાસ સર્જીને નાનકડી જગ્યામાં મોટી વાત કરવામાં કવયિત્રી સફળ રહ્યાં છે અને એજ તો ખરી કવિતા છે…ખરું ને?

Comments (10)

ઝાકળબુંદ : _૧૦ : ‍મારો સૂર – લતા હિરાણી

તેં મને પૂછ્યું,
”તારી ઉંમર શું છે ?”
”કોણ જાણે ?”
મારા સઘળા સૂર
એકસામટા બોલી ઉઠયા.
તેં મને પૂછ્યું, ”તું આવી કેમ છે ?”
ને આંખોના અડાબીડમાં
ઊગી પડ્યો એક વિસ્મયનો સૂર્ય.
”મને કંઇ જ ખબર નથી
તેં જોયું છે કદી ?
મારી ફરતે વીંટળાયેલું મેઘધનુષ ?”

– લતા હિરાણી

આ કવિતામાં કવિ શું કહેવા માંગે છે એના કરતા તમને શું સમજાય છે એનું વધારે મહત્વ છે. કોઈ માણસને ઓળખવું, એનો સૂર પકડવો એટલે એની ફરતે વિટળાયેલું – આગવું – મેઘધનુષ જોવું ! કેટલી સરસ વાત છે !! લતાબેનના કાવ્યો અલગ જ ભાત પાડે છે. એમની રચનાઓનો બ્લોગ છે ‘સેતુ’.

Comments (10)

ઝાકળબુંદ : ૭ : ઊર્મિચિત્રો – ઊર્મિ

ચલચિત્રની જેમ
ક્ષણે ક્ષણે
બદલાતી
મારી ઊર્મિનાં

ચિત્રો છે…
જેને મેં
માત્ર
મારા શબ્દોની
ફ્રેમમાં મઢ્યા છે…
એને કાંઈ
કાવ્યો થોડા કહેવાય?!!

– ‘ઊર્મિ’

અમેરિકા સ્થિત આ ‘સદ્યશબ્દેલ’ કવયિત્રીને ગુજરાતી નેટ-જગતના નિયમિત વાચકો ભાગ્યે જ નહીં જાણતા હોય. ‘ઊર્મિનો સાગર‘ નામે વેબસાઈટ હેઠળ એ પોતાની રચેલી અને પોતાને ગમેલી કવિતાઓના બે બ્લૉગ્સ ઉપરાંત સર્વપ્રથમ ઓનલાઈન ગુજરાતી પોએટ્રી વર્કશૉપ પણ ચલાવે છે. છંદના કુછંદે ચડ્યા પછી એમની રચનાઓમાં ઉત્તરોત્તર નિખાર આવી રહ્યો છે પણ આ અછાંદસ કવિતા મને ખૂબ જ ગમી ગઈ. કવિતાની વ્યાખ્યા કરતી ઘણી કવિતાઓ આપણે અવારનવાર વાંચતા હોઈએ છીએ. પણ ‘નન્નો’ પરખાવીને રોકડી વાત કરતું આ લઘુકાવ્ય સિદ્ધહસ્ત કવિઓની પંગતમાં બેસી શકે એવું મજાનું અને અર્થસભર થયું છે…

Comments (14)

કવિતા – પન્ના નાયક

મને બરાબર યાદ છે.
રવિવારની બપોરે
સવા ત્રણ વાગ્યે
એ આવી.

સાવ અચાનક.

મારા પલંગ પર
પડેલી વારતાનાં
વેરવિખેર પાનાંને
અને
ટેલિફોનની ઘંટડીને અવગણી
બેસી ગઈ મારી સામે જોતી
મારા ચિત્તનો કબજો લઈ
અને
ફરી વળી ધસમસતી
મારી શિરા શિરામાં.

મેં પેન ઉપાડી
કોરા કાગળ પર શાહીનું ટપકું પાડ્યું
ત્યાં તો

છટકી ગઈ
મારા શબ્દોને આકાર આપું તે પહેલાં.

– પન્ના નાયક

Comments (2)

ગૌરવ – દિનેશ કોઠારી

ફૂલ કો ખીલેલ હું ગાઢા વને,
ના રૂપ કે ના રંગ
ને કૈં મ્હેકનો છાંટો નથી;
ને તે છતાં ગૌરવ મને,
કે આમતો વગડાઉ તોય ફૂલ છું,
કાંટો નથી.

-દિનેશ કોઠારી

Comments (5)

થોડીક વારમાં – કાસા

મને એવું સપનું આવ્યું
કે મેં મારી જ સામે
તલવાર ઉગામી છે.
આનો અર્થ શું ?
એટલો જ કે હું તને
થોડીક વારમાં જ મળી શકીશ.

-કાસા
(અનુ. સુરેશ દલાલ)

Comments

દરિયાઈ શંખ – ડીક સટફેન

સદીઓ સુધીનો પુરાયેલો
દરિયાનો ઘૂઘવાટ –
દિવાલોમાં શંખલાની …

એને મેં ધર્યું
મારે કાને
અને તેણે
પડઘા પાડ્યા
તારા નામના.

– ડીક સટફેન
(અનુ. સુરેશ દલાલ)

Comments (6)

ખેલૈયો – પલ્લવી ભટ્ટ

હસ્તરેખાઓમાં રેખાયું છે ઘણુંઘણું,
વાસરપોથી ઉકેલનારે, કંઈક પ્રગટ-અપ્રગટ
વાચ્ય-અવાચ્ય વચ્ચે ગૂંથ્યું છે ગૂંફન …
રોજ રોજ ઉકેલાતા ભાવિને પણ …
અકથિત રહેવું ઘટે… સહદેવક્ષણે…
ક્ષણ… પ્રમાણ… ઘટના બધું જ અગોચર,
બે બિન્દુ વચ્ચે મૂકી છે
અલ્પ સમજ
દાવ જે આવે
માત્ર ખેલૈયો જ બનવું…

– પલ્લવી ભટ્ટ

જીવનની બાજીને રમી લેવા સિવાય આપણો એના પર કોઈ હક નથી. વિતેલી કે આવનારી ક્ષણો તો આપણી પહોંચની બહારની વાત છે. હાથમાંથી સરી જતી સમયની રેતીને બે ઘડી રમાડી લેવી એ જ આપણો તો ખરો ખેલ છે !

Comments (3)

કેળવણી – જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

એક ખીલીને
ભણવા બેસાડી…
ગ્રેજ્યુએટ થઈને આવી
ત્યાં સુધીમાં તો

સ્ક્રૂ બની ગઈ !

– જિજ્ઞાસુ દક્ષિણી ‘પેસિફિક’

આ કવિ વિષે મને કાંઈ ખબર નથી. અને આ કવિતા ક્યા સંદર્ભે લખી છે એ પણ ખબર નથી. પણ કવિતા એટલા બધા વિવિધ અર્થ -હકારાત્મક અને નકારાત્મક બન્ને- નીકળી શકે છે કે એ તરત જ વિચાર કરવા મજબૂર કરી દે છે. માણસને ‘ખીલી’ માંથી ‘સ્ક્રૂ’ બનાવી દે એ કેળવણી – કેટલી નવી વાત છે !  કેળવણી વિષે તો અઢળક લખાયું-વિચારાયું છે … આવા ‘ચવાઈ ગયેલા’ વિષય પર અને તે પણ માત્ર સવા પાંચ લીટીમાં માણસને વિચારતા કરી દેવો એ પોતે પણ એક સિદ્ધિ છે.

Comments (9)

ત્રણ ગોળીઓ – કીર્તિકુમાર પંડ્યા

આ દેશમાં
ગાંધી-હ્રદય-આરપાર
કોણ ગયું છે ?
સિવાય :
ત્રણ ગોળીઓ.

– કીર્તિકુમાર પંડ્યા

Comments (10)

નિર્માણ – પ્રીતમ લખલાણી

લીલુંસૂકું ભરડતા
ઘાંચીના બળદે
એક સાંજે
ભગવાનને પ્રાર્થના કરી
કે
હે! દીનાનાથ
હવે ફરી
આવતા ભવે
બળદનું આયખું ન આપીશ !
આજે સવારે
બળદને જન્મ આપવાનું વિચારતા
બ્રહ્માની નજર
લોકલ ટ્રેનમાં લટકતા
મજદૂરના હાથમાં
ઝૂલતા ટિફિન પર પડી
અને તેણે
એક વધારે
માણસનું
નિર્માણ કરી નાખ્યું !

– પ્રીતમ લખલાણી

આત્માને ઝંઝોળી નાખે એવી નાની સરખી કવિતાઓ રચવાની કવિને હથોટી છે. વળી કવિ કાવ્યનું નામ ‘નિર્માણ’ રાખે છે જે ચોટમાં ઉમેરો જ કરે છે.

Comments (2)

લઘુકાવ્ય- હર્ષદ ત્રિવેદી

પિંજરાનું બારણું ખોલીને
પંખીને કહેવામાં આવ્યું,
‘હવે તું મુક્ત છે.’
પંખીએ બહાર  નીકળીને
માણસ સામે જોયું-
અને-
પાછું પિંજરામાં ભરાઈ ગયું.

-હર્ષદ ત્રિવેદી

ગાગરમાં સાગર જેવી આ કવિતાને એમ જ માણીએ…

Comments (16)

ફૂટપટ્ટી – વિપિન પરીખ

વીસ વરસ પછી આજે અમારા ‘ક્લાસ-ટીચર’ મળી ગયા
સ્હેજ વીલું મોં, પ્રાણ વિનાનાં પગલાં
જૂનો કોટ,
શાળાની નોકરીએ એમને આટલો જ વૈભવ આપ્યો છે.
હવે ‘રીટાયર્ડ’ થયા છે.
સિંહ જેવો એમનો રોફ હતો.
એમનો અવાજ નહીં, એમની ત્રાડ આખા ક્લાસને ધ્રુજાવતી
એ અમને ઊભા કરતા ને અમે પાટલૂનમાં થરથરતા
એક દિવસ ખરાબ અક્ષર માટે
એમણે મને હાથ પર ફૂટ મારેલું
તે હજી યાદ છે.
મને ઢીલા અવાજે કહે,
“તને તો ખબર છે મારા અક્ષર સુંદર અને મરોડદાર છે,
અને હું હિસાબના ચોપડા પણ લખી શકું છું.
તારી ફેકટરીમાં… ”

– વિપિન પારેખ

આપણે જેમને આપણા આદર્શ માનીને મોટા થયા એ શિક્ષકોને આપણે શું વળતર આપીએ છીએ – બને એટલું ઓછું ! અને પછી આપણે ફરિયાદ કરીએ છીએ કે શિક્ષણ કથળતું જાય છે. હા, કથળે નહીં તો થાય શું ?! આપણે શિક્ષકોને ડોકટરો કે વકીલો જેટલો પગાર આપીએ તો જ આપણા બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી શકે.

ખેર, આ સ્થિતિ ભારતમાં જ નહીં અમેરિકામાં પણ છે. આ જ વિષય પર એક અમેરિકન શિક્ષક/કવિ ટેઈલર માલીની ‘સ્લેમ પોએટ્રી’ પણ માણવા જેવી છે. (સ્લેમ પોએટ્રી એટલે એક પ્રકારની કવિતાની હરિફાઈ જેમા કવિતાને સ્ટેજ પર પર્ફોમ કરવાની હોય અને એના પરથી તમારું ગુણાંકન થાય. અમેરિકામાં આવી હરીફાઈઓ ખાસ્સી લોકપ્રિય છે.) એમાં કવિ/શિક્ષક પોતાનો બળાપો કાઢે છે અને ‘What do you really make ?’ ના જવાબમાં એક અવાજે કહે છે, I make a difference !

Comments (16)