શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!
રાજેન્દ્ર શુક્લ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
August 25, 2011 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
કૈં ક્યારનો આમ જ મુગ્ધ બની આ મીનાબજારે ઊભો છું,
લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું.
પ્રત્યેક ગતિ પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર,
એના જ ઈશારે ચાલ્યો’તો એના જ ઈશારે ઊભો છું.
આ તારી ગલીથી ઊઠી જવું સાચે જ નથી મુશ્કિલ કિન્તુ,
તું સાંભળશે તો શુ કહેશે ! બસ એ જ વિચારે ઊભો છું.
આ દરિયાદિલી દરિયાની હવા આકંઠ પીવા કેરી ય મજા,
ચાલ્યા જ કરું છું તેમ છતાં લાગે છે કિનારે ઊભો છું.
સમજાતું નથી કે ક્યાંથી મને આ આવું લાગ્યું છે ઘેલું !
જાકારો મળ્યો’તો જ્યાં સાંજે ત્યાં આવી સવારે ઊભો છું.
સાચે જ જનાજા જેવી છે, એ દોસ્ત દશા મારીય હવે,
કાલે ય મજારે ઊભો’તો આજે ય મજારે ઊભો છું.
જોયા છે ઘણાને મેં ‘ઘાયલ’ આ ટોચેથી ફેંકાઈ જતાં,
એકાદ ઘડી આ તો એમ જ આવીને મિનારે ઊભો છું.
– અમૃત ઘાયલ
ગમે એટલી નવી ગઝલો કેમ ન વાંચીએ, જૂની ગઝલ અને જૂની શરાબનો નશો કંઈ ઓર જ હોય છે !!
Permalink
August 24, 2011 at 1:23 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત પૂણેકર
કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી
એક દર્શક વગર દૃશ્ય બનતું નથી
એટલે આંખની આંખમાં રહી ગઈ
ખારા જળની નદી, કોઈ લોતું નથી
એકબીજાના સહારે ટક્યા આપણે
હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી
રાખ શમણાની સાથે વહી જાય છે
અશ્રુ કારણ વગર ખારું હોતું નથી
એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
અહીંયા કારણ વગર કોઈ રોતું નથી
ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
જે બધે હોય છે, ક્યાંય હોતું નથી
– હેમંત પુણેકર
ધીમે રહીને ખુલતી ગઝલ… એક એક શેર જરા હળવા હાથે ઉઘાડીએ, દોસ્તો…
Permalink
August 23, 2011 at 8:53 PM by ધવલ · Filed under ગીત, સુરેશ હ. જોશી
(પંતુજીની દૃષ્ટિએ)
આજે સવારે બેઠી નિશાળ,
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.
હારબંધ આ કબૂતર ગોખે
ગઈ કાલનો પાઠ ઝરોખે;
સવારનો આ ચન્દ્ર રાંકડો –
ધ્રૂજતે હાથે લખેલ આંકડો!
સુર્યકિરણની દોરી રેખા
કોણ, કહોને, માંડે લેખાં?
આજ સવારે બેઠી નિશાળ
પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ.
– સુરેશ જોષી
ગંભીર કવિ કોઈક વાર હળવું કાવ્ય લખી નાખે ત્યારે વાંચીને આનંદ થઈ જાય છે. અર્થની આંટીઘૂટીને બદલે નિતાંત કુદરતી કાવ્ય – જાણે ગંભીર ચહેરા પર અચાનક પ્રસરી વળેલું સ્મિત 🙂
કોઈ વાર એવો વિચાર આવી જાય કે હાસ્ય-વિનોદને આજદીન સુધી આપણે જે હળાહળ અન્યાય કર્યો છે એના પ્રાયશ્ચિતરૂપે બધા કવિ-લેખકોએ દર ત્રણ રચનાએ એક હળવી (હળવી નહીં તો કમ સે કમ ‘અ-ગંભીર’) રચના કરવી જ પડે એવો કાયદો કરવો જોઈએ. શું કહેવું છે ? 🙂 🙂
Permalink
August 22, 2011 at 9:56 PM by ધવલ · Filed under અછાંદસ, અમૃતા પ્રીતમ
તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે
આ મારા ગીતના શબ્દો નથી
પણ પ્રેમના લલાટ પરના પસીનાનાં બિંદુઓ છે.
આ મારા ગીતના શબ્દો નથી
મારી કલમના રુંધાતાં આંસુઓ છે.
આ મારા ગીતના શબ્દો નથી
ઘવાયેલા મૌનનું આક્રન્દ છે.
મેં પ્રેમનું તમામ દેવું ચૂકવી દીધું છે
અને દરેક દેવું ચૂકવવાનું હોય છે –
કેમ ક્યારેય દેવું ઓછું નથી થતું ?
તારી સ્મૃતિ બાકીનાની સાથે આવીને
આજની રાતે મૃત્યુના કોરા ચેક પર
સહી કરવાનું જિંદગીને ફરમાન કરે છે.
તારી સ્મૃતિ મારે બારણે ટકોરા મારે છે.
– અમૃતા પ્રીતમ ( અનુ. સુરેશ દલાલ)
એક યાદ મોડી રાત્રે ત્રાટકે ત્યારની ઘડીનું કાવ્ય. આ ઘડીએ માણસે કોરા ચેક પર સહી કરવા સિવાય કાંઈ કરવાનું રહેતુ નથી.
Permalink
August 21, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under અમિત વ્યાસ, ગઝલ
કોણ ધીમા અવાજે બોલે છે ?
કોણ આ રાતને ડ્હોળે છે ?
એ તરફનો નથી પવન,તો પછી;
તું એ બારી શું કામ ખોલે છે !
ખળભળી જાય કેટલાં વિશ્વો;
ત્યારે તરણું જરાક કોળે છે !
એ રીતે ફરફરે છે, ડાળ ઉપર;
પર્ણ : જાણે હવાને તોળે છે !
કોઈ માથે ચડાવે છે જળને;
કોઈ પાણીમાં પગ ઝબોળે છે !
Permalink
August 20, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, મીનાક્ષી પંડિત
મુંબઈમાં અંધારપટ છવાઈ ગયો
ભાગી રહેલી મોટરોને જોઈ
દોડતા કૂતરા મૂંગાય થઈ ગયા
તારના દોરડે ચકરાતા ટેલિફોને
પાટાઓ પર ચાલી રહેલાઓની
ઠેકડી ઉડાડી.
રસ્તાની હૉટલોમાં પાણી સાથે ચા પીને
આગળ જતા સહુએ અજાણ્યા સાથે
દોસ્તી બાંધી
એક જ મકાનમાં રહેતા ભાડૂતોની
બંધ પડેલી લિફ્ટમાં ઓળખાણ થઈ
ટેબલ પર બળતી મીણબત્તીએ
પ્રગટાવેલા દીવા સાથે વાત કરી
વીજળી આવી જતાં ફરી બધે અંધારું ?!!
– મીનાક્ષી કૈલાશ પંડિત
આમ તો આપણી દુનિયા સાવ નાનકડી થઈ ગઈ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, હવાઈ જહાજના માધ્યમથી હજારો કિલોમીટરનું અંતર પણ વર્તાતું નથી પણ મુંબઈ જેવા મહાનગરમાં આપણા એપાર્ટમેન્ટમાં એક ફ્લેટથી બીજા ફ્લેટ જેટલું અંતર કાપવામાં મહિનાઓ અને વરસો લાગી જતા હોય છે. કૈલાશ પંડિત જેવા ગઝલકારના પત્નીની આ કવિતાના અંતે સૉનેટ જેવી ચોટ છે અને પંક્તિઓ પણ ચૌદ છે. કવિ શ્રી સુરેશ દલાલ આ અછાંદસને કદાચ મુક્ત સૉનેટ તરીકે પણ ઓળખાવે.
Permalink
August 19, 2011 at 12:54 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર

(લયસ્તરો ટીમ તરફથી કવિ શ્રી રઈશ મનીઆરને
આજે એમના જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ)
*
રણ હવે ઘરથી શરૂ થઈ જાય છે,
રણ પછી ઘરમાં જ પૂરું થાય છે.
એક જગ્યાથી બીજે ઠલવાય છે…
રણ કદી ક્યાં કોઈથી સરજાય છે ?
રણ વિશેની આ સમજ બસ છે મને
રણ કદી ક્યાં કોઈને સમજાય છે ?
ને પુરાતન કાળના સૌ સાગરો
આખરે તો રણ બની સચવાય છે.
રણના નામે મુઠ્ઠીભર બસ રેત પણ…
રેત-શીશીમાં ગજબ ફૂંકાય છે.
ને તમે સાધો નિકટતા એ પછી
રણ સ્વયમ્ રણદ્વીપ પર લઈ જાય છે.
આ ‘રઈશ’માં રણ નથી, એવું નથી;
જો અગર રણ ક્યાંય છે, રણકાય છે !
– રઈશ મનીઆર
રણ વિશેની એક મજાની મુસલસલ ગઝલ આજે કવિના જન્મદિવસે માણીએ…
Permalink
August 18, 2011 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, હરિવંશરાય બચ્ચન
મેં મારાં દુઃખ-દર્દ તમને નહીં,
કલમને કહ્યાં હતા;
જો એણે તમારા સુધી પહોંચાડ્યાં નહીં
તો હું તમને દોષ નથી દેતો.
મેં મારા દુઃખ-દર્દ તમને નહીં
કાગળને કહ્યાં હતાં;
જો તમે મારા પ્રત્યે સહાનુભૂતિ ન દર્શાવી
તો હું તમને દોષ નથી દેતો.
મેં મારા દુઃખ-દર્દ તમને નહીં,
કાળી રાતોને કહ્યાં હતાં,
મૂંગા તારાઓને કહ્યાં હતાં,
સૂના આકાશને કહ્યાં હતાં,
જો એમનો પ્રતિધ્વનિ
તમારા અંતરમાંથી નહીં ઊઠે
તો હું તમને દોષ નથી દેતો.
મને ખબર હતી
કે એક દિવસ
મારી વેદનાઓનો સાથ મારાથી છૂટશે,
પણ મારા શબ્દોથી
મારી વેદનાનો સંબંધ ક્યારેય નહીં તૂટે.
– હરિવંશરાય બચ્ચન – અનુ.સુશી દલાલ
જિબ્રાને કહ્યું છે- ‘ મારા શબ્દો મારી વેદનાના એકમાત્ર સાક્ષી છે…..’
Permalink
August 17, 2011 at 1:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીશ જોષી, વિશ્વ-કવિતા
હું તને પ્રેમ કરું છું માત્ર એટલા માટે નહીં કે તું તું છે,
પણ તારી સાથે હોઉં ત્યારે હું જે હોઉં છું એટલા માટે પણ.
હું તને પ્રેમ કરું છું તેં તારી જાતને જે રીતે આકારી છે
એટલા માટે જ નહીં, પણ તું મને જેવો ઘડ્યા કરે છે
એટલા માટે પણ.
હું તને એટલા માટે પ્રેમ કરું છું કે મને એક અચ્છો જીવ બનાવવા માટે
કોઈ પણ સંપ્રદાય જે કંઈ કરી શક્યો હોત એના કરતાં અને
મને સુખી કરવા માટે કોઈ પણ વિધાતા જે કંઈ કરી શકી હોત એના કરતાં
તેં મારા માટે વધારે કર્યું છે.
તું આ સાધે છે તે પોતાપણું જાળવીને જ.
અંતે તો,
મિત્ર બનવાનો મરમ જ કદાચ આ છે.
અંગત રીતે ઈશ્વરે મારા પર એટલી કૃપા અવશ્ય કરી છે કે હું કાવ્યને મારી પોતાની લાગણીઓની અભિવ્યક્તિ માની શકું તેવા ચંદ મિત્રો એણે મને આપ્યા છે…..
Permalink
August 16, 2011 at 10:31 PM by ધવલ · Filed under ગઝલ, શોભિત દેસાઈ
જરા અંધારનાબૂદીના દસ્તાવેજ લઇ આવ્યો;
અરે! લો આગિયો સૂરજથી થોડું તેજ લઇ આવ્યો.
‘તમે છો’ એવો ભ્રમ ફિક્કો ન લાગે એટલા માટે,
તમારી શકયાતામાં બસ હું થોડો ભેજ લઇ આવ્યો.
હતી મર્મર છતાં પર્ણો અનુભવતાં’તાં એકલતા,
પવન જઇ રાતરાણીથી મહેકની સેજ લઇ આવ્યો.
પ્રથમ ટપકું શું છાતીમાં, પછી તો મેઘધનુષ આખું,
તમે જે રંગ પૂર્યા લોહીમાં હું એ જ લઇ આવ્યો.
– શોભિત દેસાઈ
રંગનું એક ટપકું મેઘધનુષ થઈ જાય અને પછી પ્રસરીને લોહીનો રંગ થઈ જાય … હોઠ એ રીતે આ ગઝલ ગણગણતા થઈ જાય ઃ-)
Permalink
August 15, 2011 at 12:30 AM by ધવલ · Filed under અછાંદસ, ડેરેક વોલ્કોટ, ધવલ શાહ
એવો વખત આવશે
જ્યારે ઉમળકાથી,
તમે પોતાની જાતનું સ્વાગત કરશો –
તમારા પોતાના જ દરવાજે, તમારા પોતાના અરીસામાં,
ને સ્વાગતમાં બંનેના ચહેરા પર છલકાશે સ્મિત.
ને કહેશો, બેસ, સાથે ખાઈએ,
તમે ફરી એ અજાણ્યા શખ્સને પ્રેમ કરવા માંડશો જે તમે પોતે જ છો.
પાણી પુછજો. ખાવા બેસાડજો. ને ફરી પાછું તમારું દિલ
તમારી જાતને આપજો, એ શખ્શને જે તમને ખુબ પ્રેમ કરે છે
આખી જીદગીભર તમે બીજાઓ માટે થઇને જેને અવગણ્યા કર્યો
તે તો તમને પૂરા દિલથી જાણે છે.
ઉતારી લો અભેરાઈ પરથી પ્રેમપત્રો,
ફોટોગ્રાફ્સ, ને કાકલુદીભરી ચિઠ્ઠીઓ,
અરીસામાંની તમારી છબી ખંખેરી કાઢો.
બેસો. જિંદગીને મહેફિલ કરી દો.
– ડેરેક વોલ્કોટ
(અનુ ધવલ શાહ)
માણસ પોતાની જાત વિશે બધુ જ જાણતો હોય છે. અને એટલે જ કદાચ પોતાની જાતને ચાહી શકતો નથી. જે પોતાને ચાહી ન શકે એને તો આખી દુનિયામાં કયાંક પણ જાય, અણખટ જ થવાની. ચારે તરફ દોડવાને બદલે કવિ પહેલા પોતાની જાત સાથે comfortable થવાનું કહે છે. આટલું કરો એ આનંદની ચાવી છે. એ પછી આખી જિંદગી મહેફિલ જ છે.
ડેરેક વોલ્કોટ એ વેસ્ટ ઈન્ડિઝના રહેવાસી છે. ૧૯૯૨નું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ એમને મળેલું. એમની આ કવિતામાં ઘૂંટાયેલો સંતોષ છલકે છે.આ કવિતા એમની સૌથી પ્રસિદ્ધ કવિતાઓમાંથી એક છે.
Permalink
August 14, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, નલીની માડગાંવકર, વિશ્વ-કવિતા, સાનાઉલ હક
સાંજે તું આવશે તેથી
એક આખેઆખી સાંજને મેં
લાકડાના દાદરે ઊભી રાખી હતી.
રાતે તને સમય મળશે એ જાણીને
એક દિવસને ઉતાવળને બહાને
થોડીક વાતો કરી વિદાય કરી દીધો હતો.
પરોઢિયે તું પદ્મની શુભ્રતા બનશે એમ ધારીને
મેં રાતના બધા દીવાઓ
મારા હાથે જ ઓલવી નાખ્યા હતા.
અને બપોરે તું આરામથી મારી સંગિની થશે તેથી
ટેલિફોન, હોલા અને કાગડાને
મારી ચારેય હદમાં આવવાની મનાઈ કરી દીધી હતી.
અને આથમતી સાંજે તું આવશે એવા વિશ્વાસે
મેં દિવસની ઊંઘને રાતના અંધકારમાં
એક દિવસ માટે રજા આપી દીધી હતી.
– સાનાઉલ હક (અનુ.નલિની માડગાંવકર)
માનવીની મોટાભાગની conflicts અને miseries નું મૂળ- ‘આવતીકાલ’ માટે ‘આજ’ ને અવગણવી; અને ‘ગઈકાલ’ના હરખ-શોકમાં રચ્યાપચ્યા રહેવું.
Permalink
August 13, 2011 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, રામચન્દ્ર પટેલ
સામે
સૂમસામ ઊભાં બુઠ્ઠાં ઝાડ,
પહાડ, ઉઘાડાં હાડ…
પથર પથરા પડ્યા ખખડિયાં નારિયેળ !
નદી તો,
કોક આદિવાસી કન્યાનું હાડખોખું
આંખો ફોડીને
ઊભી દિશાઓ,
વેળુ લઈને વાયરો ઊડે…
આભ
છાબ ભરી ભરીને નાંખે અંગારા
બળે પર્ણપીંછાં
વીંઝાય જટાયુ શો સીમવગડો
અહીં કોઈ અગ્નિમુખો ફરે…
પ્હેરો ભરે…
સૂર્યના હાથમાં આપીને ધારિયું !
– રામચન્દ્ર પટેલ
દુકાળ કદી ન જોયો હોય તો પણ તાદૃશ કરી આપે એવું બળકટ અછાંદસ. કવિતાનો આંતરિક લય પણ એવો જ સશક્ત. બુઠ્ઠાં ઝાડ, આદિવાસી કન્યાના હાડપિંજર જેવી સૂકી નદી, જટાયુ જેવો ઘાયલ વગડો અને તડકા જેવો કોઈ દશમુખો… એક-એક કલ્પન રૂંવાડા ઊભા કરી દે એવા છે.
Permalink
August 12, 2011 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
દરિયા-બરિયા, નદિયું-બદિયું, તળાવ-બળાવ શું હેં ?
આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ-બડાવ શું હેં ?
ગમે એટલું મનગમતાને ચાહી લીધું ? તો પૂરતું છે,
કસમો-બસમો, વચનો-બચનો, ઠરાવ-બરાવ શું હેં ?
જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું,
ઘટના-બટના, કિસ્સા-બિસ્સા, બનાવ-ફનાવ શું હેં ?
જેને આવી પાંખો એને ઊડવા દીધા પંખી માફક,
હદથી ઝાઝો કોઈના પ્રત્યે લગાવ-બગાવ શું હેં ?
પોતાના વિનાય અમે તો હે…ય ચેનથી જીવી લીધું,
ખાલીપા-બાલીપા કે આ અભાવ-બભાવ શું હેં ?
– અનિલ ચાવડા
અનિલની આ ગઝલ એના ભાષાકર્મના કારણે સવિશેષ સ્પર્શી જાય છે. રોજિંદી બોલચાલમાં આપણે જે લહેકાથી શબ્દોની દ્વિરુક્તિ શબ્દોને બહેકાવીને કરીએ છીએ એ શૈલીની આ ગઝલ વાંચતાવેંત ગમી જાય એવી છે…
અને હા, અનિલને ‘યુવા ગૌરવ પુરસ્કાર ૨૦૧૦’ પછી તેરમી ઓગસ્ટે મુંબઈ ખાતે INT તરફથી ‘શયદા પુરસ્કાર’ પણ એનાયત થનાર છે. ફરી ફરીને અભિનંદન, દોસ્ત!
Permalink
August 11, 2011 at 1:49 AM by વિવેક · Filed under ગઝલ, પ્રમોદ અહિરે
સિદ્ધિ તને મળી ગઈ,ઈશ્વર મળ્યો કે નહિ?
‘તું કોણ છે?’ આ પ્રશ્નનો ઉત્તર મળ્યો કે નહિ?
એકાદ મોતી તળથી તું લાવ્યો હશે કદી-
પણ પ્રશ્ન એ જ છે કે સમંદર મળ્યો કે નહિ?
જે કંઈ તને મળ્યું છે, તે અંતિમ ન હોય તો-
અંતિમ જે છે તે પામવા અવસર મળ્યો કે નહિ?
બાહર ભલે તું રોજ મળે લાખ લોકને-
એકાદવાર ખુદને તું ભીતર મળ્યો કે નહિ?
-પ્રમોદ અહિરે
આ ચાર શેર વાંચીએ અને અંદર ખળભળાટ ન થાય તો જ નવાઈ…
Permalink
August 10, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
એવું ગજું નથી કે છુપાવું આ ઘાવને,
તસવીર જેમ ટાંગશું તારા અભાવને.
આઘેથી એક મત્સ્યપરી જોઈ ને પછી,
દરિયાને કીધું, ‘એય ! પરિચય કરાવને !’
હોઠોનાં સૌ કમાડ કરીને જરાક બંધ,
કેવું સરસ એ મૌનમાં બોલી’તી, ‘જાવ ને !’
ઇચ્છા તો છેલ્લી એ જ કે દર્દોનું ઘર મળે,
દુઃખતી રગોને સહેજ તું પાછી દબાવને.
તારા સ્મરણથી કાલ છલોછલ ભર્યું’તું જે,
જોયા કરું છું આજ એ ખાલી તળાવને.
પીળાશ પાનખર સમું ક્યાયે કશું નથી
કમળો થયો છે ‘પ્રેમ’ તમારા સ્વભાવને..
– જિગર જોષી ‘પ્રેમ’
જિગરની આ ગઝલ કલમમાંથી નહીં, સીધી જિગરમાંથી ઉતરી આવી છે એટલે બધાય શેર સાવ અનાયાસ અને સંતર્પક લાગે છે… કાફિયાઓનો જે ખૂબીપૂર્વક પ્રયોગ આ ગઝલમાં થઈ શક્યો છે એ સાચે જ કાબિલે-દાદ છે…
Permalink
August 8, 2011 at 8:01 PM by ધવલ · Filed under અછાંદસ, મનિષા જોષી
તળાવ પુરાઈ જાય
એટલે શું પુરાઈ જાય?
તરસ?
ગામને પાદરે આવેલો એક વિસ્તાર
તેની ઓળખ ગુમાવી દે તેથી,
વહેલી સવારે હળવેથી
તળાવનાં પગથિયાં ઊતરીને
આત્મહત્યા કરવા જઈ રહેલું કોઈ
શું જીવી જાય છે?
તળાવ આજે હોય.
ને કાલે ન હોય.
પણ અહીં ડૂબી ગયેલી એક લાશ
નીતરતી રહે છે.
તેનું પેટ દબાવો ને પાણી વછૂટે છે,
ઘોડાપૂર જેવાં.
ડૂબી જાય છે કંઈકૅટલાં
ને છળી મરે છે તરસ.
– મનીષા જોશી
કહે છે કે તમારું હોવું એટલે તમારા પગલાનો સરવાળો. અને તળાવના ભૂતકાળમાં એક પગલું – ન ભરવાનું પગલું – આત્મહત્યાનું છે. જે કમનસીબે તળાવના ન હોવાથી પણ કદી ભ્ંસાવાનું નથી. (કદાચ એટલે જ તળાવ પુરાવી દીધું હશે.) આખા પ્રસંગની ભૂતાવળને તાદ્રશ કરવા માટે કવિને ચાર જ શબ્દની જરૂર પડે છે – ‘છળી મરે છે તરસ’.
Permalink
August 7, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
આ ગીત તમને ગમી જાય
તો કહેવાય નહીં,
કદાચ મનમાં રમી જાય
તો કહેવાય નહીં.
ઉદાસ,પાંદવિહોણી,બટકણી ડાળ પરે,
દરદી પંખી ધરે પાય, ને ચકરાતું ફરે
તમારી નજરમાં ત્યારે કોણ કોણ શું શું તરે ?
આ ગીત એ જ કહી જાય
તો કહેવાય નહીં,
જરા નયનથી વહી જાય
તો કહેવાય નહીં.
ઉગમણે પંથ હતો સંગ,સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું
પછી મળ્યું, ન મળ્યું, થયું જવાટાણું ?
ખુશી જો ત્યાં જ મળી જાય
તો કહેવાય નહીં,
આ ગીત તમને ફળી જાય
તો કહેવાય નહીં.
કશું કહી ન શકાયું, ન લેખણે દોર્યું,
પરંતુ કાળજે એ ક્યાંક મૌનમાં કોર્યું
શિલાનું ફૂલ ન ખીલ્યું, ખર્યું ન, કે ફોર્યું,
આ ગીત ગુંજ વણી જાય
તો કહેવાય નહીં,
તરી નિકુંજ ભણી જાય
તો કહેવાય નહીં.
શ્રી મકરંદ દવેની એક ખાસિયત છે- શબ્દો પાસેથી ખૂબીપૂર્વક શ્રેષ્ઠ કામ લેવું. ભાગ્યે જ કોઈ શબ્દ જરૂરિયાત વગર છંદ સાચવવા વપરાયો હોય તેમ લાગે. ક્ષ્રરદેહધારી માનવીને (દરદી પંખી) અસ્તિત્વ (બટકણી ડાળ) આકરું લાગે, વિયોગના ભણકારા વાગવા લાગે, અનઅભિવ્યક્ત ભાવનાઓનો જયારે છાતીએ ડચૂરો બાઝે – ત્યારે આત્માનું ગીત એ જ એક સહારો છે…..એ જ એક સુહૃદ છે…..એ જ સુરા છે…..એ જ ગેબી સૂર છે…….
Permalink
August 6, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
હજી છોડી શક્તો નથી હું તરાપો,
મને ડૂબવા કોઈ વરદાન આપો.
તમે કર્મના ઘેર મારો જો છાપો,
મળે પુણ્ય પાછળ છુપાયેલ પાપો.
મને કૈંક શાતા વળે રોમેરોમે,
ભીતર આગ એવી હવે કો’ક ચાંપો.
કબીરાની માફક મેં રાખ્યું યથાતથ,
નથી કોઈ ડાઘો, નથી ક્યાંય ખાંપો.
ભલે, ભાગ્ય પહોંચાડશે દ્વાર લગ પણ,
પછી તો પ્રયત્નો જ ખોલે છે ઝાંપો.
– ડૉ. મનોજ જોશી ‘મન’
ગઝલકારોના અડાબીડ ફાટી નીકળેલા જંગલમાં બહુ જૂજ ઝાડવાં એવાં છે જે જંગલની શાન બની શકે એવાં છે. મનોજ જોશીનું નામ આ યાદીમાં ચોક્કસ મૂકી શકાય. પ્રસ્તુત હમરદીફ-હમકાફિયા ગઝલમાં એમણે જે રીતે કાફિયા પ્રયોજ્યા છે એ જોઈએ એટલે તરત જ આ વાત સમજી શકાય. છેલ્લો શેર તો કાળાતીત થવા સર્જાયો છે…
Permalink
August 5, 2011 at 12:30 AM by વિવેક · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
ભીંજવું પાંપણની ભીનાશે તને,
મારામાં વરસાદ દેખાશે તને.
આ રીતે પણ ક્યાંક ચુમાશે તને,
હોઠ પર મૂકી કોઈ ગાશે તને.
હું જ ધરતી પર તને લાવી શકીશ,
મેં જ બેસાડ્યો છે આકાશે તને.
તારો શત્રુ હું નહીં પણ તું જ છે,
આજ નૈ તો કાલ સમજાશે તને.
મારા હૈયામાં કરી જો ડોકિયું,
ત્યાં અણીશુદ્ધ તું જ દેખાશે તને.
અશ્રુઓ શું શું લખે છે આંખમાં,
વાંચજે ધીમેથી વંચાશે તને.
તું ખલીલ, આ વર્ષે યાદીમાં નથી,
આવતા વરસે વિચારાશે તને.
– ખલીલ ધનતેજવી
ગુજરાતી શ્રોતાઓ આમ તો કવિસંમેલનોમાં ભાગ્યે જ દાદ આપતા નજરે ચડે છે પણ ખલીલ ધનતેજવી આ બાબતમાં એક સોલિડ અપવાદ છે. ખલીલ ધનતેજવી એમનો કાવ્યપાઠ પૂરો કરીને બેસી જાય અને શ્રોતાઓ વન્સ મોર કરીને એમને પાછા પૉડિયમ પર બોલાવીને બીજો દોર ન કરાવડાવે એવું કવિસંમેલન મેં જોયું નથી… આમ તો કવિની આ આખી ગઝલ ખૂબ સહજ ભાષામાં અને તરત સમજાય એવી થઈ છે પણ મને ચુંબનની આ સાવ નવી અને અદભુત વ્યાખ્યા ખૂબ સ્પર્શી ગઈ…
Permalink
August 4, 2011 at 9:38 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં,
કંઈક મંડાઈ મીટ કેરી લાગણીથી આંસુઓને ધોયાં નહીં.
તમે વાટથી વંકાઈ આંખ ફેરવી લીધી
ને જરા ખટકો રહ્યો,
નાચતા બે પાય ગયા થંભી,બે હાથે
લાલ ફટકો રહ્યો.
કૂણાં લોચનિયાં જાતને મનાવે જાણે કે એને જોયાં નહીં;
અમે કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને પછી રોયા નહીં.
છૂંદણાંના હંસ કને મોતી ધર્યાં
ને પછી જોયાં કર્યું,
તડકો આ તાપથી અકળાયો ને
અંગ ભીનું વાદળ ધર્યું.
એથી પાગલમાં જાતને ખપાવી,લાગે કે લેશ મોહ્યા નહીં,
પછી કાળજાથી કીકી લગી આંસુ ભર્યાં ને હવે રોયા નહીં.
એટલું સુંદર ગીત છે કે ટિપ્પણ લખવા કોઈ શબ્દો જડતા જ નથી ! મનભરીને માણવા જેવી મનોરમ રચના…..
Permalink
August 3, 2011 at 7:59 AM by તીર્થેશ · Filed under ગીત, સુન્દરમ
કાહેકો રતિયા બનાઈ?
નહીં આતે, નહીં જાતે મન સે,
તુમ ઐસે ક્યોં શ્યામ કનાઈ ? …..કાહેકો.
હમ જમના કે તીર ભરત જલ,
હમરો ઘટ ન ભરાઈ,
ઐસો ઘટ ક્યોં તુમને દિયો,
જાકો તુમ બિન કો ન સગાઈ ?…..કાહેકો.
ચલત ચલત હમ વૃંદાવન કી
ગલી ગલી ભટકાઈ,
સબ પાયા રસ, પિયા પિલાયા,
તુમરી સૂરત ન દિખાઈ. ….કાહેકો.
હમ ઐસે તો પાગલ હૈં પ્રભુ,
તુમ જાનો સબ પગલાઈ,
પાગલ કી ગત પાગલ સમઝે
હમેં સમઝો, સુંદરરાઈ! ……કાહેકો.
કહેવાય છે- ઈશ્વર માનવીના મનનું સર્જન છે. જાતે જ પ્રિયતમનું સર્જન કરે,જાતે જ તેનાથી વિરહની ભાવના અનુભવે અને જાતે જ આવા તલસાટના ગીત સર્જે [વાહ રે મન મર્કટ] !!!!! ……its a journey from emptiness to emptiness …….
Permalink
August 2, 2011 at 11:20 PM by ધવલ · Filed under અછાંદસ, જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ, શ્રીકાંત વર્મા
મેં તેને આ જ રસ્તે
જતાં જોયો:
એકલો નહોતો તે,
સૈન્ય હતું,
હાથી હતા,
ઘોડા હતા,
રથ હતા,
વાજિંત્રો હતાં –
જાહોજલાલી હતી.
એ બધાંની વચ્ચે
એક ઘોડા પર સવાર
શાંત
તે
એવી રીતે જઈ રહ્યો હતો,
જેમ કે લગામ
તેના હાથમાં હોય
બધાં
માત્ર અનુગમન
કરી રહ્યાં હોય.
વીસ વર્ષ પછી
હું તેને એ જ રસ્તે
આવતાં
જોઈ રહ્યો છું:
એકલો નથી તે,
સૈન્ય છે,
હાથી છે,
ઘોડા છે,
રથ છે,
વાજિંત્રો છે –
જાહોજલાલી છે.
એ બધાંની વચ્ચે
ઘોડા પર સવાર
શાંત
તે
એવી રીતે પસાર થઈ રહ્યો છે
જેમ કે લગામ
કોઈ બીજાના
હાથમાં હોય,
તે
માત્ર અનુગમન
કરી રહ્યો હોય.
– શ્રીકાન્ત વર્મા
(અનુવાદ : જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )
શ્રીકાંત વર્માના સંગ્રહ ‘મગધ’માંથી આ કાવ્ય છે. ‘મગધ’ સંગ્રહમાં કવિ સમયનું સંમોહન કરીને, પોતાની સાથે આપણને પણ, મગધના સુવર્ણયુગમાં લઈ જાય છે.
આ સંદર્ભ વિના પણ આમ તો કાવ્ય માણી શકાય એમ છે. પણ આટલી વાત કરો એટલે તરત ખ્યાલ આવે કે વાત સમ્રાટ અશોકની છે. દુનિયાને દોરવાનું ગુમાન રાખતો અશોક, પાછા વળતી વખતે વિચારમાં લીન, હતહ્રદય, ને જાણે દુનિયામાં પોતાનું સ્થાન શોધવા મથતો હોય એવી સ્થિતિમાં દેખાય છે. કવિના વર્ણનથી શરુઆતમાં લાગે છે કે જાણે કાંઈ પણ બદલાયું નથી. પણ, પછી ખ્યાલ આવે છે કે કશું ય બદલાયા વિનાનું રહયું નથી… ને એક ટીસ નીકળી જાય છે.
સાથે જુઓ, આ જ કવિનું કાવ્ય કલિંગ. એમાં આ જ વાત, તદ્દન અલગ રીતે કરી છે. ને વળી, આ જ સંગ્રહમાંનું અદભૂત કાવ્ય, મિત્રોના સવાલ પણ જોજો.
Permalink
August 1, 2011 at 9:39 PM by ધવલ · Filed under અછાંદસ, કુસુમાગ્રજ
તમે જ્યારે
મારી કવિતા સાથે બોલતા હો
ત્યારે મારી સાથે બોલતા નહીં,
કારણ કે મારી કવિતામાં
મોટે ભાગે
હું જ હોઈશ ઘણોબધો,
પણ મારા બોલવામાં તો
તમે જ હશો
ઘણી વાર.
– કુસુમાગ્રજ
(અનુ. જયા મહેતા)
પોતાની જાત ઓગળી જાય – ભૂલાઈ જાય – એ અવસ્થાથી તો થોડા જ લોકો લખી શકે છે. પોતાના કવિતામાના અહમના પડને કવિએ (કવિતામાં જ!) આબાદ ઓળખી બતાવ્યું છે.
જો કે આ તો એક અર્થ છે. આ ટચુકડી કવિતાના અલગ અર્થ પણ કાઢી શકાય એમ છે. તમને શું અર્થ લાગે છે?
Permalink
July 31, 2011 at 11:58 PM by તીર્થેશ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
મેં વસંત પાસેથી
એક ફૂલ માગ્યું છે
એટલે જ તો ખોટું
પાનખરને લાગ્યું છે
જિંદગીની વેરાની
એટલે પરેશાની
મોત થૈને લીલુંછમ
કલ્પનામાં જાગ્યું છે
આ શું રૂપને સૂઝ્યું
દિલ હજી નથી રૂઝ્યું
એણે ફૂલ ફેંક્યું’તું
તીર કેમ વાગ્યું છે
જોકે એમ તો છું પણ
હું હવે નથી હું પણ
એનો પ્રેમ પામીને
મેં સમસ્ત ત્યાગ્યું છે
એ જ છે હજી મોસમ
એ જ છો તમે આદમ
આ વતન તમારાથી
સ્હેજ દૂર ભાગ્યું છે
Permalink
July 31, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?
એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું ?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ !
નીંદરતી આંખમહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ તહીં ડહોળું:
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ !
પાંદડી તે પી પી ને કેટલું રે પીશે
કે મૂળિયાંને પાડવાનો શોષ ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ ?
અત્યંત રમણીય કલ્પનો મઢ્યું રળીયામણું ગીત….એટલા બધા અર્થો છુપાયા પડ્યા છે કે એક અર્થ આપવો ગીતને અન્યાય કરવા બરાબર છે. વારંવાર વાંચીને ગણગણ્યા કરવાથી આપોઆપ ભાવાકાશ ખુલે છે.
Permalink
July 30, 2011 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ, સાહિત્ય સમાચાર
આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૧૦ માટે અનિલ ચાવડાને આપવામાં આવ્યો. અનિલ ચાવડાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,
હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.
સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.
જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ ?
તું પવન છે તો અમારે શું ? અમે તો આ ઊભા,
આવ જો મેદાનમાં, ક્ષણમાં જ હંફાવી દઈશ.
તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ.
– અનિલ ચાવડા
અનિલની કવિતા વિશે વાત કરતાં મેં અગાઉ નોંધ્યું હતું કે કોઈ પણ સમયે કવિતા જે તે કાળના સાંપ્રત વહેણને જરૂર ઝીલતી હોય છે. આપણા ગુજલિશ યુગમાં બલ્બ જેવો શબ્દ ગઝલમાં આટલો બખૂબી નહિંતર શી રીતે આવી શક્યો હોય?
Permalink
July 29, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિત્ય સમાચાર, હરદ્વાર ગોસ્વામી
આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૯ માટે હરદ્વાર ગોસ્વામીને આપવામાં આવ્યો. હરદ્વાર ગોસ્વામીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

ફૂલ સાથે ડાળ આખી આ ખરી,
પાનખરની છે પરીક્ષા આખરી.
મીણ જેવી એ હતી ને ઓગળી,
સૂર્ય સામે આંગળી ક્ષણભર ધરી.
હું સતત ખેંચાઉં છું, ખેંચાઉં છું,
આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.
હું ગગન જેવો જ પ્હોળો થઇ ગયો,
જ્યાં હવા અસ્તિત્વના ફૂગ્ગે ભરી.
મન હશે દરજી મને ન્હોતી ખબર,
ઝંખના હર એક કાયમ વેતરી.
એક અણમાનીતી રાણી શી પીડા,
હર જનમ ‘હરદ્વાર’ સાથે અવતરી.
-હરદ્વાર ગોસ્વામી
સ્મરણનું ચુંબક અને મનરૂપી દરજીનો જવાબ નથી !
Permalink
July 28, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ધ્વનિલ પારેખ, સાહિત્ય સમાચાર
આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૮ માટે ધ્વનિલ પારેખને આપવામાં આવ્યો. ધ્વનિલ પારેખને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

આઠે પ્રહર સમયના અહીં તો પ્રહાર છે,
નાજુક છે એ કદી તો કદી ધારદાર છે.
દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.
સુખમાં છે અંધકાર ને દુઃખમાં સવાર છે,
તું જે રમી રહ્યો છે બધાં આ પ્રકાર છે.
આ પ્રેમ દોસ્ત ! મેઘધનુષની કિનાર છે,
ચાલી શકે તો ચાલ ફક્ત એકવાર છે.
દર્શન થયા ઘડી બે ઘડી તોય સાર છે,
ઈશ્વર વિશે બધાંનો જ સારો વિચાર છે.
– ધ્વનિલ પારેખ
દરિયા અને નદીવાળો ધ્વનિલનો શેર ગુજરાતી ગઝલના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ચૂક્યો છે પણ એ સિવાયના શેર પણ મનનીય થયા છે…
Permalink
July 27, 2011 at 1:15 AM by વિવેક · Filed under અછાંદસ, મોનો ઇમેજ, સાહિત્ય સમાચાર, સૌમ્ય જોશી
આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૭ માટે સૌમ્ય જોશીને આપવામાં આવ્યો. સૌમ્ય જોશીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

(૧)
એક વાવમાં,
હજાર પગથિયાં ઉતરીને તરસ ભાંગી’તી,
ને બહાર નીકળયો ત્યારે
હજાર પગથિયાં ચઢ્યાના થાકે પાછું સૂકાઈ ગયું ગળુ,
આપડે મળીને છૂટા પડીએ ત્યારે,
યાદ આવે છે એ વાવ.
(૨)
છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નઈં,
ગમે ત્યાંથી બેડું ભરી લે,
આ સ્તંભ કોતરણી ને સાત માળ,
પાણી પાણી થઈ જાય છે તને જોઈને.
(૩)
લીલ બાઝી ગઈ છે વાવનાં પાણી પર,
એની માને,
તરસની આળસ તો જો.
(૪)
તને નઈ મળયાની તરસનો વધતો અંધકાર જોઈ હરખાઉં છું.
યાદ કરું છું વાવ,
પાણીવાળા છેક નીચેના માળે,
સૌથી વધુ હોય છે અંધાર.
(૫)
હવે ખાલી પથ્થર, ખાડો, અંધારું ને અવકાશ,
પોતાના જ પગથિયાં ચડીને વાવ તો ક્યારની નીકળી ગઈ બ્હાર.
(૬)
બોલું છું ને બોલેલું જોવા ઉભો રહું છું
વાવ છે ભઈ,
અરીસો છે અવાજનો.
– સૌમ્ય જોશી
સૌમ્ય જોશીની પ્રસ્તુત કવિતામાં આમ તો બાર કલ્પન છે પણ એમાંથી છ કલ્પન અહીં પ્રસ્તુત છે. છ એ છ કલ્પનમાં કવિનો દૃષ્ટિકોણ દાદ માંગી લે એવો છે.
Permalink
July 26, 2011 at 10:00 PM by ધવલ · Filed under અછાંદસ, લાભશંકર ઠાકર
૧.
વધારાનું છે, સર.
દૂર કરવું છે, સર.
અતિશય અતિશય છે, સર.
ધૂન છે, ધામધૂમ છે, સર.
આ
આમ
અર્થયુકત હોવું તે વધારાનું છે, સર.
૨.
આમેય નથી અને તેમેય નથી.
ઉગાડવા છતાં ઉગતી જ નથી.
મૂળ જ નથી.
બીજ જ નથી.
નથી નથી તો શબ્દ કેમ છે-
ઘંટારવ કરતો પડઘાતો પડઘાતો
સતત સતત સદીઓથી કાનોમાં
આ-આ-સમૂહનો?
૩.
હાથ જોડું પગ જોડું
છતાં છૂટો, અલગ, ભિન્ન, સમૂહના કાંઠે, તટસ્થ.
કૂદી પડું આ ઘુઘવાટમાં, ટુ એન્ડ?
૪.
બધું જ મનની તિરાડમાંથી આવે
ને સરક સરક સરકીને સ્પર્શતું જાય.
કંઈ કશુંય તે ના થાય,
આ આમ હોવાનું વંચાય: કહો કે ભાન
અમસ્તું.
– લાભશંકર ઠાકર
અર્થયુકત હોવું વધારાનું છે. કશું ઉગતું નથી પણ ટોળાનો શબ્દ બેશુમાર પડઘાતો રહે છે. સમુહમાં ભળવું અશક્ય છે. ભાન (consciousness) એ તો મનની તિરાડમાંથી વહેતું પાણી માત્ર છે. અને એય – અમસ્તું.
નિરર્થકતાના પડ ઉપર પડ ચડી ગયેલા અસ્તિત્વને કવિ (ક્રૂરતાથી) ઝાટકે છે. અને એય – અમસ્તું.
Permalink
July 25, 2011 at 9:06 PM by ધવલ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.
યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.
ફરીને જોયું તો બસ, હું ને મારી એકલતા,
હવાની જેમ બધા ક્યાં સરી ગયા ચુપચાપ ?
બજારમાં નથી લેવાલ કોઈ એ જોઈ,
અમે ગયા તો બૂમાબૂમ પણ ફર્યા ચુપચાપ.
અખૂટ વાતો ભીતરમાં ભરી હતી એ છતાં,
નવા મિલનમાં હતાં બેય જણ જરા ચુપચાપ.
બચાવ માટે કરી છે દલીલ ક્યાં કોઈ ?
ખુશીથી ભોગવી છે મેં સજા સદા ચુપચાપ.
ચીરીને વજ્ર સમી છાતી આ દીવાલ તણી,
કશુંક નક્કી કહી રહી છે આ લતા ચુપચાપ.
-વિવેક મનહર ટેલર
(૧૦ જુલાઈ, ૨૦૧૧)
‘ચુપચાપ’ નામ છે પણ ગઝલ ઘણી મઝાની વાત કહે છે – ને નજાકતથી કહે છે. જેનામાં દીવાલને ફાડીને બહાર આવવાની તાકાત હોય એ લતાને કશું ક્હેવા માટે શબ્દોની જરૂર જ નથી રહેતી !
Permalink
July 24, 2011 at 1:34 AM by તીર્થેશ · Filed under ગીત, સિતાંશુ યશશ્ચંદ્ર
વેદના, તું અંધ ના કર; વેદના,તું નેત્ર દે.
કોડિયાં ધારી લીધાં બત્રીસ કોઠે,લે હવે
આવ તું,પેટાવ તું,ઝળહળ બનાવી દે મને
તેજમાં સુખચેનની ચીજો જ દીઠી ચારેગમ,
તું બતાવે તો મને દેખાય અજવાળાં સ્વયં
ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર દે. વેદના…..
તું ન કારાગાર થા, થા એક અણધાર્યો પ્રવાસ,
ક્યાં જવું,ક્યાં થઈ જવું,કે કઈ રીતે- નક્કી ન ખાસ.
એટલું નિશ્ચિત કે જ્યાં છું ત્યાં નથી રહેવું હવે,
થીજવ ના, પીગળાવ તું, મારે સભર વહેવું હવે
કોક સાવ અજાણ જણ પર એક ભલામણ-પત્ર દે. વેદના….
તો પછી પહોંચાડ, પીડા, ભાનના એવે સીમાડે,
કે પછી કોઈ સીમાડો ક્યાંય તે આવે ન આડે.
ને વતન થઈ જાય મારું, સૃષ્ટિનું સહુ પરગણું,
દઈ શકે તો દે મને એક જ્ઞાનીનું પાગલપણું.
અગન પંપાળી શકે એવો પ્રસન્ન કરાગ્ર દે. વેદના….
દુર્બોધ કવિની આ અદભૂત રચના વાંચી ઝૂમી ઉઠાયું ! આંસુને ઇંધણ બનાવવાની વાત અવનવા રૂપકોને સહારે આલેખાઈ છે. મને સવિશેષ તો -‘ ભીંત ગાયબ થાય ચિત્રે, એવું ભિત્તિચિત્ર [ ભીંતચિત્ર ] દે…’ – રૂપક બહુ ગમ્યું. અંતિમ પાંચ પંક્તિઓ પણ અનેરી ઊંચાઈ આંબે છે.
Permalink
July 23, 2011 at 1:58 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
કમળદળને ભીંજાવીને અમે પણ જોઈ લીધું છે
કોઈને યાદ આવીને અમે પણ જોઈ લીધું છે.
તમારું મુખ કોઈ કિસ્મતની બાબત હોય એ રીતે
હથેળીમાં છુપાવીને અમે પણ જોઈ લીધું છે.
કદી વિદ્યુતપ્રવાહોથી રમત સારી નથી હોતી
જરા નજરો મિલાવીને અમે પણ જોઈ લીધું છે.
કોઈને ક્યારે ક્યારે, કોનું કોનું, આવે છે સપનું
કદીક એમાં જ આવીને અમે પણ જોઈ લીધું છે.
ઉજાસો ઝળહળાવીને તમે જે માંડ જોયું, એ
તિમિરને ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.
જીવાદોરી હવે તો રાખવી છે સાવ સીધીસટ
કે વળ પર વળ ચડાવીને અમે પણ જોઈ લીધું છે.
કયા હોઠોએ તૈયારી કરી છે ફૂંકને માટે
એ દીવો ટમટમાવીને અમે પણ જોઈ લીધું છે.
અહીં ચારિત્ર્યની છાપેલી કિંમત દોઢ રૂપિયો છે
એ અખબારો મગાવીને અમે પણ જોઈ લીધું છે.
– ઉદયન ઠક્કર
લાંબી રદીફની ગઝલની મોટી મુશ્કેલી એ હોય છે કે મોટા ભાગે એ રદીફ ગઝલમાં લટકણિયું બનીને રહી જતી હોય છે. શેરમાંથી રદીફ કાઢીને વાંચીએ એટલે તરત જ અહેસાસ થાય કે કવિએ જે વાત કહેવાની હતી એ તો આગળની દોઢ પંક્તિમાં પૂરી જ થઈ ગઈ છે અને આ રદીફ એમાં કંઈ નવું ઉમેરી શક્તી નથી… પણ ઉ.ઠ.ની આ ગઝલના આઠે આઠ શેર રદીફ ઢાંકી દઈને વાંચો તો રદીફની અનિવાર્યતા અને એના વિના શેરની અધૂરપ તરત જ સમજાય છે…
Permalink
July 22, 2011 at 1:20 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ઊર્મિકાવ્ય

જેવો કો નભતારલો ગરી જતો અંધારમાં પાથરી
ઝીણી પાતળી તેજ પિચ્છ-કલગી, દૃષ્ટિ પડે ના પડે,
ઓચિંતો તહીં જાય ડૂબી તિમિરે; જેવું લીલા વિસ્તરી
સોણું નીંદરમાં ઠરી ક્ષણ, સરે, જોવા પછી ના જડે;
ને જેવી કવિતા અખંડ ઉરની આરાધના તર્પવા
એક્લાએક છતી થઈ હૃદયમાં કો કલ્પના ખેરવી
ઊડી જાય, ન દે સમો શબદની શ્રદ્ધાંજલિ અર્પવા –
ક્યાંથી ક્યાં ગઈ ના લહે નજર એ, રહે માત્ર હૈયે છવી.
એવું એક મીઠા પ્રભાત સમયે કો પંખી આવ્યું ઊડી,
જોયું ને અણદીઠ એક પળમાં તો ક્યાંક ચાલ્યું ડૂબી;
એને તારકતેજરેખ સરખું, કે સ્વપ્નલીલા સમું,
કે મોંઘી કવિતાકુમાશ ઝરતું ના ગીત ગાવું ગમ્યું.
કૈં અસ્પર્શ્ય ન એવી સ્મૃતિ રાખી જવાને રૂડી
પીંછું ખેરવીને ગયું, ઊડી ગયું.
. ના ગીત મૂકી ગયું.
પોતે ના કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું.
– ઉમાશંકર જોશી
ઉમાશંકર જોશી જન્મ શતાબ્દિ પર્વ ઉજવણી આ કવિતા સાથે અહીં પૂરી કરીએ છીએ.
પ્રસ્તુત કાવ્યનો આસ્વાદ આજે જૂનાગઢના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડાની કલમે માણીએ:
કવિશ્રી ઉમાશંકરનું સોનેટ સ્વરૂપનું (પંક્તિઓ સંખ્યા 15 છે) આ કાવ્ય આમ તો ખૂબ સરળતાથી કહેવાયું છે અને તેમ છતાં એના શીર્ષકને અનુરૂપ ખૂબ જ બારીક અને નખશિખ કલામયતાથી સભર છે. બે જુદા જુદા ભાગમાં વિભાજીત કાવ્યના પ્રથમ ભાગમાં કુદરતની એવી ઘટનાઓનો ઉલ્લેખ છે જે હોય છે તો ક્ષણજીવી પણ તેની અસર ક્યારેક માનસ પટલ પર ચિરંજીવ રહી જાય છે. એ કોઈક ખરી જતો નભતારલો હોય કે ક્ષણાર્ધ માટે ઝબકેલું સોણલું હોય, એની સ્મૃતિ આપણી ભીતર અમાપ સ્પંદનો પેદા કરે છે.
આ વાતને સમાંતરે ચાલતી ઘટના એ એક પંખીના આગમનની છે. પ્રભાતે એ આવે છે, કવિ એ સમયે કદાચ ઉપર કહેલી વાતના વિચારોમાં વ્યસ્ત છે. એનું આગમન પોંખાય, ના પોંખાય ત્યાં તો એ અચાનક ગગનગામી થઈ જાય છે. આંખથી ઓઝલ થઈ જાય છે. નિજાનંદમાં વ્યસ્ત છે. એને અત્યારે ગીત ગાવાનો કોઈ ઉમળકો જ નથી. એ તો ઊડી ગયું, એક નાનકડું પીંછું ખેરવીને.
અવી ઘટના આમ તો ઘણીવાર થતી હોય છે. કવિ સાથે પણ થઈ હશે. પણ કવિના કોમળ સંવેદનો પર આજે કંઈક જુદી અસર થઈ છે. પંખીએ તો ન ગાયું પણ કવિને ગાતો કરી દીધો. આ ચમત્કાર એ જ કવિ અને કવિતાની ઉપલબ્ધિ, અને આ વાત કવિતામાં કેટલી સહજ રીતે અને નજાકતતાથી અહીં આવી છે !
Permalink
July 21, 2011 at 12:30 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, સોનેટ

(ઉપજાતિ છંદ, સ્વતંત્ર સૉનેટ રચના)
રચો, રચો અંબરચુંબી મંદિરો,
ઊંચા ચણો મ્હેલ, ચણો મિનારા !
મઢો સ્ફટિકે, લટકાવો ઝુમ્મરો,
રંગે ઉડાવો જળના ફુવારા !
રચો, રચો ચંદનવાટિકાઓ,
રાચો, રચી કંચનસ્થંભમાળા !
ઊંડા તણાવો નવરંગ ઘુમ્મટો
ને કૈંક ક્રીડાંગણ, ચંદ્રશાળા
રચો ભલે !
. અંતરરૂંધતી શિલા
એ કેમ ભાવિ બહુ કાળ સાંખશે ?
દરિદ્રની એ ઉપહાસલીલા
સંકેલવા, કોટિક જીભ ફેલતો
ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે;
ખંડેરની ભસ્મકણી ના લાધશે !
– ઉમાશંકર જોશી
આજે કવિશ્રીની વર્ષગાંઠ અને એમના જન્મ શતાબ્દિ વર્ષની પૂર્ણાહૂતિ.
પ્રસ્તુત સૉનેટ ગાંધીવિચારધારાનું પ્રતિનિધિ સૉનેટ છે. અહીં પુણ્ય પ્રકોપ છે પણ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ આખા સમાજમાં પ્રવર્તતા વર્ગભેદ અને પુંજીવાદ સામે છે. માટે કવિતામાં ભલે કવિનો આક્રોશ નજરે ચડતો હોય, અહીં હિંસા નથી… ચેતવણી છે… અને એની આખરી બે કડીઓ તો જાણે રૂઢિપ્રયોગ બની ગઈ છે.

(આપ સહુને રવિવારે સુરત પધારવા આમંત્રણ છે…)
Permalink
July 20, 2011 at 1:25 AM by વિવેક · Filed under અછાંદસ, અબ્દુલ ગફાર કાઝી, મોનો ઇમેજ
પરોઢે
ફૂલોની ડાળે ડાળે
બેઠી છે
ઝાકળની
ઝીણી ઝીણી ચકલીઓ…
*
ફૂલોના રણમાં
ભૂલો પડી ગયો છે
ઝાકળનો કાફલો
*
ઝાકળની પેનથી
હું લખું છું
ફૂલોના કાગળમાં
એક રંગબેરંગી
પતંગિયાની કવિતા…
*
ફૂલ અકસ્માતે મૃત્યુ પામ્યું
ને હવે
હું ભટકી રહ્યો છું
ઝાકળનાં ડૂસકાં લઈને…
– અબ્દુલ ગફાર કાઝી
મોનો ઇમેજ કાવ્ય જો ઢંગથી લખવામાં આવે તો એના દ્વારા ઊભા થતા નાનાવિધ શબ્દચિત્રોની મજા જ કંઈ ઓર છે ! અહીં કવિએ બહુ જૂજ શબ્દોથી ઝાકળના જે ચાર ચિત્રો કલમની પીંછીથી કલ્પનાના કેન્વાસ પર ઉપસાવ્યા છે એ ખરે જ દાદ માંગી લે છે…
Permalink
July 19, 2011 at 12:12 AM by ધવલ · Filed under અછાંદસ, ગીત, પંચમ શુક્લ
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
બિલાડીના ટોપ સમાં
અહીં તહીં લ્યો ઊગી રહ્યાં છે
ખાદ્ય-અખાદ્ય બ્લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
છપ્પનિયાના હડસેલાઓ ખાઈ ખમીને,
ઘઉંની સાથે ધૂળનાં ઢેફાં ભરડી ભરડી-
બે હાથે આરોગે શબ્દોઃ કવિ, લેખક, સહુ લોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
સેલ્ફ-પઝેસ્ડ સંચાર જણાયો સન્નિધ સહજ યોગ.
બુદ્ધિ લચીલી, તૂર્તજ ખીલી,
ઝબકારે ઝીલી રજ્જુહીન સંયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
ના સીમા, ના રેખા કે કદ, ના અંકુશ ના બંધન,
ચાર વીઘાનું ખેતર કણકણ ચોસઠ જોજન ઉપવન.
અવકાશી અનુશાસન રચતું નિરાકાર આયોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
હૃસ્વ-ઇ, દીર્ઘ-ઈ, ઊંઝો-વીંઝો, તોડો-જોડો કે મચકોડો,
લલિત લઠંગ ઘટા ઘાટીલી
રૂપ ધરે, બહુરૂપ વરે
ને અડકો ત્યાં રોમાંચ સરે,
આ રતિક્રીડા કે અર્થોનું ઉત્થાન અરે!
વર્ણ વર્ણનું છદ્મ-સંકરણ કરે ઉઘાડે-છોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
યુનિકૉડના સહજ પ્રવેશે
કુંચન-મર્દનને અનુસરતો
ફૉન્ટલૅસ આ શબ્દોનો સોફ્ટ-સોફ્ટ સંભોગ.
અગણિત જણ આરાધે અનહદ યુનિકૉડ ઉદ્યોગ !
– પંચમ શુક્લ
આજે ઈન્ટરનેટ યુગનું ગીત માણો. એમાં વાંસળી, રાધા, વર્ષા કે પ્રેમ કશું નથી. એમાં તો યુનિકોડ, ફોન્ટ ને બ્લોગની વાત છે 🙂
આ કવિતાનું નામ ‘યુનિકોડ ઉદ્યોગ’ કેમ છે ઘણા લોકોને ખ્યાલ નહીં આવે. માંડીને વાત કરું તો આજે જે તમે ઈંટનેટ પર જરાય તકલીફ વગર ગુજરાતી (ને બીજી બધી ભારતીય ભાષાઓ) વાંચી શકો છો એ સાહેબી છેલ્લા પાંચ વર્ષમાં જ ઊભી થઈ છે. એ પહેલા બધા અલગ અલગ જાતના ‘ફોન્ટ’ વાપરતા. દરેક વેબસાઈટ દીઠ જુદા ફોન્ટ એટલે એક લખે તે બીજાને ન વંચાય. દરેક ફોન્ટ દીઠ વળી જુદા કી-બોર્ડ લે-આઉટ હતા. ટૂંકમાં કહું તો ઈન્ટરનેટ પર ગુજરાતી વાંચવા-લખવાનું કામ મહીના કોતરમાંથી રસ્તો કાઢવા જેવું હતું.
આ બધી સમસ્યાનો ઉકેલ જે જાદુઈ ચિરાગથી આવ્યો એ ચિરાગ તે યુનિકોડ. બધે એકસરખી રીતે ગુજરાતી લખાય અને વંચાય એ યુનિકોડથી જ શક્ય બન્યું. અને એકવાર આ યુનિકોડનો પ્રયોગ શરૂ થયો એટલે ચારે બાજુથી ઉત્સાહી લોકોએ ગુજરાતીને ઈન્ટરનેટ પર મૂકવાનું કામ શરૂ કર્યું. આ રીતે શરૂ થયો – યુનિકોડ ઉદ્યોગ !
કવિએ વર્ણસંકર ગીતમાં શરૂઆતમાં ગુજરાતી નેટ-જગતને નડેલા અવરોધો (ગુણવત્તાની અછત, પુખ્તતાની કમી, ઊંઝા-સાર્થ જોડણી વચ્ચેના તણખા) અને નવી સગવડો (સર્જકોને ભાવકો સુધી પહોંચવાનો સીધો રસ્તો, લખવા-વાંચવાની સરળતા, વિશ્વવ્યાપી વાંચકગણ) બન્નેને ગીતમાં મઝાના વણી લીધા છે. આધુનિક વિષય સાથે પરંપરાગત ભાષા-પ્રયોગો સરસ ‘કોંટ્રાસ્ટ’ સર્જે છે.
Permalink
July 18, 2011 at 12:10 AM by ધવલ · Filed under અછાંદસ, મનિષા જોષી
આપણા સૌની સામાજીક ચેતનાના ઢગલા પર બેઠેલાં
સહસ્ત્ર દેવ-દેવીઓની દૈનિક ક્રિયા હું જોઈ રહું છું.
મંદિરના ગર્ભગૃહમાં
દૂધમાં તણાઈ રહેલા, સળવળતા સાપની વચ્ચેથી માર્ગ કરતાં,
મને મળી આવે છે પથ્થરનો કાચબો.
સ્વર્ગ સુધી લઈ જતા તેના ચાર પગ પર ચડવા જતાં
કેટલીય વાર નીચે પટકાઈ છું.
પાપ અને પુણ્યની કસોટી કરતા
આ બે થાંભલાની વચ્ચે
આમ તો ઘણી જગ્યા દેખાય છે,
પણ હું ક્યારેય તેમાંથી પસાર નથી થઈ શકતી.
જોકે ત્યાં મૂકેલા નંદીના પાળિયા પર સવારી કરીને
હું ઊડી શકું છું આકાશમાં.
નીચે નજર કરું તો દેખાય છે,
રસ્તા પર રઝળતાં, નધણિયાતાં પ્રાણીઓ અને
ઉત્સવપ્રિય લોકોના ટોળેટોળાં.
અને સહેજ ઉપર જોઉં તો હોય છે,
કેટલાયે, જાણીતા અને ઓછા જાણીતા ભગવાન.
તેમની અર્ધ-જાગૃત અવસ્થામાં, અનાવૃત.
દેવ બન્યા પહેલાંના અવતારમાં.
વરદાન આપતા શીખ્યા પહેલાંના રૂપમાં.
માત્ર બે હાથ અને બે પગવાળા,
ગોળ કૂંડાળું કરીને ગંજી-પત્તા રમતા.
- મનિષા જોષી
મંદિરમાં ખરા ઈશ્વરને શોધવો એ પોતેજ એક વિરોધાભાસ છે. મંદિરના દેવ એ તો માણસે ચિતરેલા દેવ છે – માણસનું જ પ્રતિબિંબ. એ માણસ જેટલા જ અપૂર્ણ હોવાના. કવિને મંદિરમાંથી સ્વર્ગનો રસ્તો મળતો નથી. અને નથી રૂઢિગત પાપ-પુણ્યના બીબાંથી એ પોતાની જીંદગી માપી શકતા. આ બધી રાબેતા મુજબની વાતો છે. પણ ચમત્કૃતિ તો કવિ નંદી પર બેસીને ઊચે ઊડે છે ત્યારે આવે છે. એમને દેખાય છે – દેવ બન્યા પહેલાના દેવો. અને દેવ બન્યા પહેલાના દેવો કેવા દેખાય છે ? – તદ્દન માણસ જેવા !
હવે એનો અર્થ એવો થાય કે – માણસ જ જ્ઞાની થઈને દેવ બને છે … કે પછી એનો અર્થ થાય કે, દેવતાઓ બધા આખરે તો માણસ જ હોય છે – એ નક્કી કરવાનું હું તો તમારા પર છોડું છું – અત્યારે તો મારે તો ઊડી શકે એવા નંદીની શોધમાં નીકળવું છે 🙂
Permalink
July 17, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો,
રહ્યો હું મુંગો છતાં ભેદ છુપાવી ન શક્યો.
જોતજોતામાં મેં દુનિયાને મનાવીય લીધી,
તમે કારણ વિના રૂઠ્યા છો,માનવી ન શક્યો.
ઝાડ તો રોપી શક્યો મારા જીવન-ઉપવનમાં,
ફૂલ કોઈ એની ઉપર હાથે ખિલાવી ન શક્યો.
જિંદગી વેડફી દીધી તેનું કારણ એ છે,
તક હતી એટલી મોટી કે પચાવી ન શક્યો.
સામે મંઝિલ હતી જોયા કીધી,જોયા જ કીધી;
હતી હિંમતમાં ઊણપ,પગ હું ઉઠાવી ન શક્યો.
એના અન્યાયની વાતો તો ઘણી કીધી ‘મરીઝ’,
હતા દુનિયાના જે ઉપકાર ગણાવી ન શક્યો.
Psychology ની દ્રષ્ટિએ રસપ્રદ ગઝલ છે. મક્તાને બાદ કરતા તમામ શેરમાં એક સમાન ભૂમિકા દ્રષ્ટિગોચર થાય છે- શું કરવાની જરૂર છે તે શાયર જાણે છે, ક્યાંક શરૂઆત પણ કરે છે, પરંતુ કંઈક ઉણપ છે…..મંઝિલને પામી નથી શકતો. શું પ્રિયતમાના સાથનો અભાવ કારણભૂત છે (….કે પછી પ્રિયતમાનો સાથ કારણભૂત છે ?!) ? ચોથા શેરમાં એક શાયર એક ઈંગિત કરે છે. Desire > Effort > Success > Fulfillment > More desires … તેમજ Desire > Effort (or lack of it) > Failure > Frustration > Inertia … – આ વિષચક્રમાંથી ભાગ્યે જ કોઈ છૂટી શક્યું છે.
Permalink
July 16, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રવીન્દ્ર પારેખ
તેં પગ ઉપાડી ખુદનું ગુમાવ્યું છે માન પણ,
બાકી તો મારી એ હતી પાછા જવાની ક્ષણ.
છૂટી ગયેલું તીર તો પાછું ફરી ગયું,
જંગલમાં ક્યાંય પણ નથી બાકી બચ્યાં હરણ.
તેથી હરેક ફૂલ પવનની જુએ છે રાહ,
ખરવાનો ભય છે તોય મહેક જાય દૂર પણ.
રેતીનો વાંક કાઢીને યે ઘર નહીં બને,
રેતી હો એટલે જ કૈં બનતું બધે ન રણ.
મારા વગર તું એટલીયે એકલી ન થાય,
જેવી તું ગઈ કે તારી પૂંઠે મોકલ્યું સ્મરણ.
જીવન જો પ્રેમ હોય તો મૃત્યુયે પ્રેમ છે,
કારણ કે બેઉમાં જ નથી ફેર આમ પણ !
જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ
કહેવાય છે કે અણી ચૂક્યો સો વરસ જીવે. સંબંધમાં ક્યારેક એવું બને કે સામો માણસ જ પીછેહઠ કરવા પર હોય. એવા વખતે આપણે એ ક્ષણ પારખવામાં થાપ ખાઈ જઈએ અને નિર્ણય લઈ બેસીએ ત્યારે એનું પરિણામ આપણા માથે આરોપી દેવામાં આવે છે… કદાચ અણી ચૂકી ગયા હોત તો…
Permalink
July 15, 2011 at 1:56 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું
તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું
સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું
વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું
કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું !
– ભરત વિંઝુડા
વેપારમાં પ્રેમ ભળે ત્યારે એ વહેવાર થઈ જાય છે અને એ પણ કેવો? સામો પક્ષ ગણતરી કરી કરીને એવું માનતો હોય કે હું પામું છું પણ હકીકતે તો આપનાર જ પામતો હોય છે અને એ પણ બેહિસાબ !
Permalink
July 14, 2011 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
હરવખત શું મ્હાત થઈ જાવું દુઃખોથી,
ચાલ આ વખતે દુઃખોને મ્હાત કરીએ.
જેટલા સુંદર, સુઘડ ને સ્વચ્છ બાહર,
દોસ્ત અંદરથીય એવી જાત કરીએ.
હોઈએ ત્યાં મ્હેંકતું કરીએ બધુંયે,
ઘર, નગર, આખ્ખું જગત રળિયાત કરીએ.
જે મળ્યું એને કરી સૌથી સવાયું,
આવનારી કાલને સોગાત કરીએ.
– હર્ષ બ્રહ્મભટ્ટ
કવિઓને ખાલી રડતાં જ આવડે એવું મહેણું ભાંગવું હોય તો આ ગઝલ સામે ધરવી.
Permalink
July 13, 2011 at 3:00 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
ન તારી ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.
કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,
દશા એકધારી નથી કોઈની પણ.
બિછાને નહીં તો હશે મનમાં કાંટા,
ફૂલોની પથારી નથી કોઈની પણ.
બધા જિંદગીને ગળે લઈ ફરે છે,
અને એ ધુતારી નથી કોઈની પણ.
જરા આયના પાસ બેસી વિચારો,
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.
– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’
જામનગરના તબીબ-કવિ મનોજ જોશીની એક ધાંસૂ ગઝલ. પાંચમાંથી એક પણ શેર એવો નથી જેને નબળો ગણી શકાય અને પાંચમાંથી એકેય એવો નથી જેને બીજાથી વધુ ચડિયાતો ગણી શકાય… હા, મને એક પ્રશ્ન થયો… કવિનું ઉપનામ ‘મન’ હોવા છતાં એમણે શા માટે ‘મન’વાળો ત્રીજો શેર મક્તા ન બનાવ્યો? એ શેર મક્તાના શ્રેષ્ઠતમ ઉદાહરણોમાં અવ્વલ સ્થાને બેસી શકે એવો થયો છે…
Permalink
July 12, 2011 at 10:41 PM by ધવલ · Filed under ગીત, મનોજ શુક્લ
લઈ ખિસ્સામાં તડકો,
કોઈ નીકળે છાંયે છાંયે તો પણ તિમિરની છાતીમાં ફડકો,
રખે કશે જો અડકો,
લઈ ખિસ્સામાં તડકો,
તડકાનું તગતગવું
ટેરવે ટશિયો થઈને ફૂટે,
જાણે પંખી ટહુકો
વનના પાન પાનને ગૂંથે,
ઊંચા થઈ, બેસી કિરણોની પાંખે, નભને પ્રકાશ થઈને અડકો,
લઈ ખિસ્સામાં તડકો,
નભથી આંગળીઓમાં ઉતર્યા
જાદુઈ સ્પર્શે જગતા,
રૂમઝુમતા કલબલતા રૂડા
તારલીયા મુકે તરતાં,
તો ય બનેઆવા ઈલમીને રસ્તે ફરતાં રહેતો મનમાં ફડકો,
રખે કહે કોઈ કડકો ?
લઈ ખિસ્સામાં તડકો,
-મનોજ શુક્લ
બે દિવસ પર મનોજભાઈએ આ ગીત કોમેંટમાં મોકલ્યું’તું. વાંચતા જ દિલમાં વસી ગયું. પછી ખબર પડી કે એમના નવા સંગ્રહનું આ ‘ટાઈટલ-ગીત’ છે. ખીસ્સમાં પહેલા પોતાનો હાથરૂમાલ લઈને નીકળતા, પછી પોકેટ રેડિયો લઈને નીકળતા ને હવે મોબાઈલ લઈને નીકળીએ છીએ… પણ કવિને તો તડકો ખીસ્સમાં લઈને નીકળવાનો અભરખો છે. આખી જિંદગીને ઝગમગામી મૂકવાનો સામાન સાથે લઈને જ નીકળવાનુ .. બોલો છે એનાથી વધારે કહેવાનું ?!!
Permalink
July 11, 2011 at 7:23 PM by ધવલ · Filed under ગઝલ, રમેશ પારેખ
છે અભણ આંખમાં વેદનાનો ડચુરો ને બારાખડીમાં ઊભો છું
મનની નિશાળમાં એકલો મારી સાતે સગી ચામડીમાં ઊભો છું
હોડ આવડવું-આવડવું એવી હતી, એમાં અવડાવા જાવું પડ્યું’તું.
તું જ નિર્ણય દે: હું શું હતો ને હવે આ હું શું આવડીને ઊભો છું !
કોઈ કુંવારી તરફ ફૂલ ફેંક્યાનો અપરાધ ઉર્ફે શિરચ્છેદ નક્કી !
હોય અપરાધી હાજર વધસ્થાન પર એમ છેલ્લી ઘડીમાં ઊભો છું
કોરા કાગળમાં પાંચે નમાજો પઢું ને કરું શૂન્યતાના સિઝદો
શબ્દ કાફર જ્યાં જનોઈવઢ ઘા કરે તેવી આ ચોપડીમાં ઊભો છું
જેવો તેં ઓળખ્યો’તો હું એવો અસલમાં ખૂલી સ્હેજ પણ ક્યાં શકું છું?
હું લઈ આંખ, પગ, મનનો ડૂચો રમેશાઈની ગાંસડીમાં ઊભો છું
– રમેશ પારેખ
લાંબી બહેરની ગઝલમાં સિદ્ધહસ્ત કવિએ ઘણા ઘણા અર્થ-આયામો છૂપાવ્યા છે. પોતાના મનની નિશાળમાં એકલા ઊભા રહેતી વખતે પણ કવિને ચામડીના સાત આવરણો નડે છે. સીધી વાત છે : શીખવાની જેટલી હોડ કરો આખરે એટલું ઓછું આવડે. કોરા કાગળમાં પાંચે નમાજો પઢે એવા પાકા શબ્દ-પરસ્ત કવિને પુસ્તક વાંચતા – શબ્દ પોતાની જાત પર ઘા કરીને બધા આવરણોને ઊકેલી આપે એટલે – પોતાની જાત વધુ સમજાય છે. પોતાની અશક્તિઓની શરમની અવસ્થા માટે કવિએ ‘રમેશાઈની ગાંસડી’ જેવો ધારદાર પ્રયોગ કર્યો છે.
Permalink
July 10, 2011 at 11:10 PM by ધવલ · Filed under પ્રકીર્ણ
(આ પોસ્ટ થોડા દિવસ સુધી મથાળે રહેશે. નવા પોસ્ટ આ પોસ્ટની નીચે અપડેટ થાય છે.)
કમનસીબે, લયસ્તરોનું અત્યાર સુધી કામ આપતું ઈ-મેલ લીસ્ટ હવે ‘રિટાયર’ થાય છે. સો-બસો ઈ-મેલ મોકલવાની વાત હોય તો પહોંચી વળે એવું આ લીસ્ટ, હજારથી વધારે ઈ-મેલ સબસ્ક્રાઈબર્સના બોજ નીચે દબાઈ જતુ’તુ. હવે એને રિટાયર કરે જ છૂટકો હતો ઃ-)
એની જગા લેશે નવું ઈ-મેલ લીસ્ટ જે ‘ફીડબર્નર’ (ગૂગલની સેવા)થી ચાલે છે. આ લીસ્ટ માટે તમારે ફરી વાર સબસ્ક્રાઈબ કરવું પડશે. બસ, સાઈડબાર પરના બોક્સમાં તમારું ઈ-મેલ એડ્રેસ સબમીટ કરો એટલે ફરી આપને ઈ-મેલ મળતા થઈ જશે.
Permalink
July 10, 2011 at 12:30 AM by તીર્થેશ · Filed under મકરન્દ દવે, સોનેટ
ફરી ચાલો, જૂના દિવસ તણું જ્યાં ખાંપણ ધરી
હશે સૂતી ગોપા, મુજ મૃત સમું જીવન નર્યું,
અને છેલ્લે જોયો શિશુ, અબળનું નીડ વિખર્યું,
મને લાગે શાને નભ વિહરતાં ભીંસ નકરી ?
મહામુક્તિ,શાંતિજળ મુજ કને, ચોગમ ફરી
ઘણી જ્વાળા ઠરી, ઘણુંક વિષનું અમૃત કર્યું,
ગૃહે સૂતાં તેનું હજુ ન પણ કાં ઘારણ હર્યું ?
ભલે જાગ્યો જાગ્યો સ્થવિર, પણ જાતો શું થથરી?
હવે ચાલો, મારાં ચરણ, ટહુકો કંઠ, હળવે
કહો: ભિક્ષાન્નદેહિ ! સકળ નિજ ત્યાગેલ પ્રિયને
જગાડો આઘાતે ફરી, સ્વજનની નીંદર હરો;
નથી લક્ષ્મી લાવ્યો, નથી સુમુખી, લાવ્યો સુખ હવે,
છતાં આજે બંસી ફરી લગનની, શુભ્ર શયને
તમારા આત્માનો અમર વરણે દીપક ધરો !
[ ખાંપણ = કફન, ઘારણ = ખૂબ ઊંઘ લાવતું ઔષધ , સ્થવિર = સ્થિર ચિત્ત વાળો, નિશ્ચયી ]
કોઈક કારણોસર ગુજરાતી વાચકોમાં સોનેટ કાવ્યપ્રકાર બહુ લોકપ્રિય નથી થઇ શક્યો. છંદબંધન સાચવવા કરાતો કઠિન શબ્દોનો વપરાશ અને વાચનમાં સરળતાનો અભાવ વાચકને કંટાળો લાવી દે છે. પરંતુ મકરંદ દવેના શ્રેષ્ઠ સોનેટમાં ગણના પામતાં ઉપરોક્ત સોનેટની ભૂમિકા જ અતિરમ્ય છે.
ભારતીય સમાજ અંધ Hero Worship ધરાવતો સમાજ છે. અમુક પાત્રો ને કદી પ્રતિપ્રશ્ન કરવામાં ન માનતો સમાજ છે. કદાચ આથી જ યશોધરાના એક પ્રશ્નને પૂરતું મહત્વ નથી મળ્યું. આ સોનેટમાં જે ભૂમિકાની વાત છે,તેના અનુસંધાનમાં તત્પશ્ચાતનું એક દ્રશ્ય ઇતિહાસમાં આલેખાયેલું છે- ભગવાન બુદ્ધ બુદ્ધત્વ પામ્યા બાદ પ્રથમવાર પાછાં જયારે પોતાને મહેલ જાય છે અને યશોધરાને મળે છે ત્યારે યશોધરા એક સોંસરવો પ્રશ્ન પૂછે છે,” ભગવન, જે કાર્ય સિદ્ધ કરવા આપ અમને છોડીને જંગલમાં ચાલ્યા ગયા તે કાર્ય શું અમારી સાથે રહીને ન જ થઇ શકતે ?” ભગવાન ક્યાંય સુધી અનુત્તર અને નતમસ્તક ઊભા રહે છે….અંતે ધીમેથી કહે છે, “જરૂર થઇ શકતે,પરંતુ હું નબળો હતો.”
Permalink
July 9, 2011 at 1:45 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત ગોહિલ 'મર્મર'
આ વસ્ત્ર એક જો વણાય તોય છે ઘણું ઘણું,
મળ્યું છે એટલું લણાય તોય છે ઘણું ઘણું.
કહે કબીર ઇશ તો અસીમ ને અમાપ છે,
જરાક જેટલો જણાય તોય છે ઘણું ઘણું.
નવો નથી ઉગાડવોય મોલ મારે ખેતરે;
ભરેલ કણસલાં લણાય તોય છે ઘણું ઘણું.
ભલે ન ભીતરે જવાય મુક્તકો તપાસવા,
બહાર છીપલાં ગણાય તોય છે ઘણું ઘણું.
અહીં હરેફરે અપાર ઝૂંડ એષણા તણા,
કદીક એક-બે હણાય તોય છે ઘણું ઘણું.
જવાબ તો બધાય પ્રેમના મળી જશે પછી
સવાલ એક હા ભણાય તોય છે ઘણું ઘણું
– હેમંત ગોહિલ ‘મર્મર’
આપણી અપાર ઇચ્છાઓનો કદી અંત હોતો જ નથી.. પણ જ પરમ સુખ તો સંતોષ જ છે.
Permalink
July 8, 2011 at 1:05 AM by વિવેક · Filed under ગઝલ, હરકિશન જોષી
છબીમાં હસો છો, કહો ક્યાં વસો છો ?
હવા છો સ્વયં કે હવામાં શ્વસો છો ?
નથી સ્વર્ણ હોવાનો દાવો કર્યો મેં
કસોટીના પથ્થર ઉપર કાં ઘસો છો !
બધા ઓરડાઓમાં ગુંજે છે પગરવ
તમે પહેલા જેવા હજુ ધસમસો છો !
વિસરવા ચહું તોય વિસરાશો થોડા ?
સપન થઈને નિંદરની વચ્ચે ડસો છો !
સમેટીને અસ્તિત્વ ચાલ્યા ગયા પણ,
સ્મરણમાંથી પળવાર પણ ક્યાં ખસો છો ?
– હરકિસન જોષી
મમળાવવી ગમે એવી ગઝલ…
Permalink
Page 73 of 118« First«...727374...»Last »