મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for December, 2024

(તારા અભાવમાં) – સંદીપ પૂજારા

કેવો મજાથી જીવું છું, તારા અભાવમાં!
તારું સ્મરણ છે શ્વાસની હર આવજાવમાં!

તારા ગયા પછી આ સફર એવી ચાલે છે,
જાણે કે એક છિદ્ર પડ્યું ના હો નાવમાં!

દિલ શું ગઝલમાં પણ હવે તો માત્ર તું હશે,
એવું લખી દીધું છે જીવનનાં ઠરાવમાં!

તું સામે હોય એનું તો દુઃખ બમણું થાય છે,
જીવે તરસ, ને એય છલોછલ તળાવમાં!

હું તારું સ્મિત જોઈને ખોવાયો એવો કે
આવી શક્યો નહીં પછી ખુદનાં બચાવમાં.

શીખી રહ્યાં છે લોકો બધા, જોઈને મને,
કેવી રીતે જીવાય પળેપળ તણાવમાં!

– સંદીપ પૂજારા

છ શેર… બધા જ મનનીય… પ્રવાહી છંદમાં કાફિયાનો નિર્વાહ યથોચિત કરાયો હોવાથી ગઝલ વારંવાર વાંચવી ગમે…

Comments (39)

(કદાચ) – જિગર જોષી

જિંદગી! તારા બધા રંગ ઊડી જાય કદાચ,
આ પવનમાં તો હવે દીવો ઠરી જાય કદાચ.

ખેલ તારો ફરીથી હાર સુધી જાય કદાચ,
આ હૃદય પાછું નવો ઘાવ ખમી જાય કદાચ.

વાતો વાતોમાં વળી વાત ઊડી જાય કદાચ,
એક વંટોળ ઊઠ્યો છે એ વધી જાય કદાચ.

સુખ ભુલકણું છે ઘણું, એનો ભરોસો ન કરાય,
આંગણે આવે અને નામ ભૂલી જાય કદાચ.

એનો પાલવ જો લહેરાય તો એવું પણ થાય,
સૂર્ય હો માથે અને સાંજ ઢળી જાય કદાચ.

– જિગર જોષી

સરળ બાનીમાં ધ્યાનાર્હ ગઝલ… બધા જ શેર કસદાર થયા છે…

Comments (5)

અને નદી વહેતી રહી – રાજેશ્વર વશિષ્ઠ (હિન્દી) (અનુ.: ભગવાન થાવરાણી)

નદીમાં નાવ હાંકતા ખારવાને ઘણીવાર લાગતું
કે એ હલેસાંથી નાવ નહીં
નદી હંકારી રહ્યો છે.
નદી ચૂપ રહેતી
ક્યારેય કશું બોલતી નહિ
વર્ષાઋતુમાં નદી છલકાતી
તો એ એને ચિડાઈને સમજાવતો
આ બરાબર નથી
નદીની એક ગરિમા હોય
આ શું ?
કિનારે ઊભેલાં વૃક્ષ પણ તને
ઝૂકીને સ્પર્શી રહ્યાં છે.
નદી સંભાળપૂર્વક વહેવા લાગતી
ઉનાળામાં નદી સંકોચાઈ જતી
તો એ બૂમ પાડતો – ક્યારેક મારા વિષે પણ વિચાર કરજે
સૂર્યની દૃષ્ટિથી બાષ્પિત ન થા
એ જળ છે જે નદીને નદી બનાવે છે
નદી કશું ન કહેતી
બસ ધસતી જાતી સમુદ્ર તરફ
દરેક મોસમમાં ખારવાની ચિત્ર – વિચિત્ર સૂચનાઓ હોય
એને ક્યારેક આ ન ગમતું
તો ક્યારેક તે
નદી અવનવાં ગીત ગણગણતાં વહેતી જ જાતી
સુનેત્રા,
નદી સ્ત્રી હતી કે નહીં એ તને વધારે ખબર
પરંતુ હું આશ્વસ્ત છું
કે ખારવો તો પુરુષ જ..

– રાજેશ્વર વશિષ્ઠ
(હિન્દી પરથી અનુવાદ: ભગવાન થાવરાણી)

એ સાચું કે હિન્દી કવિતા ગુજરાતી અનુવાદની મહોતાજ નથી, ને એય ખરું કે અનુવાદ ન કરાયો હોત તો આ રચના લયસ્તરો સુધી પહોંચી જ ન હોત. ગુજરાતી કવિતામાં અછાંદસ એટલે સીધીસાદી પૂર્વભૂમિકા અને કાવ્યાંતે એક ચોટ, બસ! પણ અહીં જુઓ… સારી અછાંદસ કવિતા કોને કહેવાય એની વિભાવના આ રચના સુપેરે સમજાવી શકે એમ છે. આખી રચના કાવ્યાત્મક વાક્ય અને નાની-નાની કવિતાઓથી ભરી પડી છે- ‘ખારવાને લાગતું કે એ નાવ નહીં, નદી હંકારી રહ્યો છે…’ ‘આ શું કે કિનારે ઊભેલાં વૃક્ષો પણ નદીને સ્પર્શી રહ્યાં છે!…’ ‘એ જળ છે જે નદીને નદી બનાવે છે…’ કાવ્યાંતે સ્ત્રી-પુરુષના સ્વભાવનો તફાવત ઉપસાવીને કવિએ કાવ્યને વધારાની ધાર કાઢી છે, એ કદાચ ન કાઢી હોત તોય કવિતા સંપૂર્ણ જ ગણાત…

કવિની અન્ય રચનાઓમાંથી પસાર થતાં ખ્યાલ આવ્યો કે એ પોતાની દરેક અછાંદસ રચનાઓમાં અંતે સુનેત્રાને સંબોધીને વાત પૂરી કરે છે. રમેશ પારેખની સોનલ ને અસીમની લીલા તરત યાદ આવી જાય.

*

।। और नदी बहती रही ।।

नदी में नाव खेते हुए मल्लाह को अक्सर लगता था कि वह अपने चप्पू से नाव को नहीं नदी को चला रहा है।
नदी शांत ही रहती, कभी कुछ नहीं कहती।
बरसात के दिनों में नदी उफनती तो वह उसे चिढ़ कर समझाता – यह ठीक नहीं है। नदी की एक गरिमा होती है। यह क्या है, किनारे के पेड़ तक तुम्हें झुक कर छू रहे हैं।
नदी संभल कर बहने लगती।
गर्मी में नदी सिकुड़ जाती तो वह चिल्लाता – कभी मेरे बारे में भी सोच लिया करो। मत वाष्पित हुआ करो सूर्य की दृष्टि से। जल ही नदी को नदी बनाता है।
नदी कुछ नहीं कहती, चलती जाती समुद्र की ओर।
हर मौसम में मल्लाह की अजीब-अजीब हिदायतें होतीं, उसे कभी कुछ पसंद नहीं आता तो कभी कुछ और।
नदी नए नए गीत गुनगुनाते हुए बहती ही चली जाती।
सुनेत्रा,
नदी स्त्री थी या नहीं तुम बेहतर जानती होगी।
पर मैं आश्वस्त हूँ, मल्लाह पुरुष ही था।

– राजेश्वर वशिष्ठ

Comments (10)

(પ્રિય પપ્પા! હવે તો) – મુકુલ ચોક્સી

પ્રિય પપ્પા! હવે તો તમારા વગર,
મનને ગમતું નથી, ગામ ફળિયું કે ઘર.

આ નદી જેમ હું પણ બહુ એકલી,
શી ખબર કે હું તમને ગમું કેટલી.

આપ આવો તો પળ બે રહે છે અસર,
જાઓ તો લાગે છો કે ગયા ઉમ્રભર.

યાદ તમને હું કરતી રહું જેટલી,
સાંજ લંબાતી રહે છે અહીં એટલી.

વ્હાલ તમનેય જો હો અમારા ઉપર,
અમને પણ લઈને ચાલો તમારે નગર.

– મુકુલ ચોક્સી

કોઈપણ કવિના જન્મદિવસને વધાવવા માટે એમની કવિતા વાંચવા-સહિયારવાથી વિશેષ ઉત્તમ ઉપક્રમ બીજો કોઈ હોઈ શકે ખરો? આજે કવિશ્રી મુકુલ ચોક્સીને એમના પ્રાકટ્યપર્વ ઉપર અઢળક મબલખ વધાઈ આપવા સાથે એમની એક મજાની ગીતરચના માણીએ…

લયસ્તરો પર થોડા દિવસો પહેલાં જ આપણે ‘પિતૃવિશેષ’ શ્રેણી માણી… આજે એક હળવુંફૂલ ગીત માણીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી ‘પ્રિય પપ્પા’ નાટક માટે મુકુલભાઈએ આ ગીત લખ્યું હતું. કોઈપણ ભારઝલ્લી વાત, અઘરા રૂપકો, ઝળાંહળાં કરી દે એવાં વિશેષણો કે પિતાનું સૌને કોઠે પડી ગયેલ માહાત્મ્ય વિના દીકરી ફક્ત પોતાના હૈયાની વાત જ ગીતસ્વરૂપે આપણી સાથે સહિયારે છે… અને એટલે જ ગીત વાંચતાવેંત આંખોના ખૂણે ભેજ તરવરી ઊઠે છે…

Comments (10)

વચન વિવેક – નીતિન વડગામા

સાચો વચનવિવેક.
આડેધડ ઊગતી પીડાનું અકસીર ઓસડ એક.

આઠે પ્હોર વગાડો મધમીઠી વાણીની વીણા.
વ્હેંચો સૌને સૂર સદાયે ઝાકળભીના ઝીણા.

શબ્દોનું પગલું પહોંચે હૈયાંને તળિયે છેક.
સાચો વચનવિવેક.

વેણ ભલેને રોજ ઉચારો હસતાં ને હરિયાળાં.
વખત આવતાં ખોલી નાખો બધાં મૌનનાં તાળાં.

કૂદી કાળના હાડ બધે મઘમઘતી રહેશે મ્હેક.
સાચો વચનવિવેક.

– નીતિન વડગામા

ગામના મોઢે ગળણું ન બંધાય એ કહેવત પહેલાં જેટલી સાચી હતી એથી અનેકગણી વધારે પ્રસ્તુત આજે સૉશ્યલ મિડિયાના જમાનામાં લાગે છે. કોણે, ક્યારે અને શું બોલવું એ વિવેક સાવ જ વિસારે પાડી દેવાયો છે. વચનવિવેક જ સાચો એવી કવિની ટકોર આજે જેટલી સાચી અને માર્મિક જણાય છે, એટલી કદાચિત ક્યારેય નહોતી. બોલવામાં વિવેક ન જળવાવાથી જ પીડા આડેધડ ઊગી નીકળે છે. વીણાજેવા મધુર અને ઝાકળ જેવા ભીનપવાળા શબ્દો માનવહૈયાને છેક તળિયે જઈને સ્પર્શે છે. સાથે જ કવિ નાનકડી પણ આવશ્યક ચીમકી પણ આપે છે. કવિ કહે છે કે ભલે ને રોજેરોજ મીઠા ને તાજા વેણ જ કહો, પણ જરૂર પડ્યે મૌનનાં બધાં જ તાળાં ખોલી નાંખીને જે વાત હાસ્યની તાજગી પાછળ સંતાડી રાખી છે, એ કહી દેવાની તૈયારી પણ રાખજો જ. ક્યારેક વચનવિવેક વળોટવો પણ રહ્યો. કેમ કે આખરે તો સત્યની મહેક જ કાળાતીત છે…

Comments (4)

એવું મળ્યાં – ચંદ્રકાન્ત શેઠ

આંખને દીવો મળે એવું મળ્યાં!
રાતને ચાંદો મળે એવું મળ્યાં!

રમ્ય તારા દેશમાં દાખલ થતા
પંથને પગલી મળે એવું મળ્યાં!

તેજના રોમાંચમાં કો લ્હેરતા
વૃક્ષને પંખી મળે એવું મળ્યાં!

નયનના નક્ષત્રમાં નમણી કથા!
છીપને મોતી મળે એવું મળ્યાં!

આડ અથવા વાડ ના મૂંઝવે કશું,
ઝાંઝરી જલને મળે એવું મળ્યાં!

જિંદગી તો ગીત ગાયું સાથમાં!
કંઠને કોયલ મળે એવું મળ્યાં!

હાથની સાથે જ હૈયું મોકળું!
ભાવને ભાષા મળે એવું મળ્યાં!

– ચંદ્રકાન્ત શેઠ

બાલાશંકર અને કલાપીના સમયની વાત અલગ હતી. એ સમયે ગઝલ ગુજરાતી કવિતા માટે નવ્ય કાવ્યપ્રકાર હતી અને સ્વરૂપ બાબતે પૂરતા સજાગ કે સજ્જ ન હોય એવા કવિઓએ પોતાની અધકચરી સમજના આધારે બાહ્યસ્વરૂપથી લઈને શેરિયત સુધીની સમસ્યાઓવાળી ગઝલો લખી હતી. એ સમય ગુજરાતી ગઝલના વિકાસના તબક્કાનો સમય હતો એટલે એ રચનાઓનું ઐતિહાસિક મૂલ્ય ગણાય, પણ જે સમયે ગઝલનો સૂર્ય સોળે કળાએ પ્રકાશી રહ્યો હોય એવા સમયે કોઈ સમર્થ સર્જક અપૂરતી સજાગતા કે સજ્જતાના કારણે ગઝલ નામના કાવ્યપ્રકારને યથોચિત ન્યાય ન આપી શકે એના વિશે શું કહી શકાય? ગઝલની ગળચટ્ટી જમીન પર ન ચાલવાનો નિર્ણય બહુ ઓછા સાહિત્યકારો લઈ શક્યા છે. ઉશનસ અને જયન્ત પાઠક જેવા દિગ્ગજ કવિઓ પણ ગઝલની લોકપ્રિયતાથી આકર્ષાઈ ગઝલ લખવા પ્રેરાયા હતા. એમની પાસેથી ઉત્તમ ગઝલો મળી છે એ વાતના સ્વીકાર સાથે એ પણ સ્વીકારવું પડે કે ગઝલના બાહ્યસ્વરૂપ બાબતની શિથિલતા એમના સર્જનમાં અછતી રહી શકી નથી. ઉત્તમ કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ પાસેથી પણ આપણને ઉત્તમ કહી શકાય એવી ગઝલોની સાથોસાથ ગઝલ સ્વરૂપને અન્યાય કરતી રચનાઓ સાંપડી છે. પ્રસ્તુત ગઝલના સાતેસાત શેર શેરિયતની બાબતમાં તો ઉમદા છે, પણ ગઝલ સાથે અવિનાભાવી સંબંધ ધરાવતા કાફિયા જ અહીં જોવા મળતા નથી. તેર કે પંદર પંક્તિના સૉનેટને સૉનેટ ન કહી શકાય, એ રીતે કાફિયા કે રદીફ વિનાની ગઝલને ગઝલ કહી શકાય ખરું?

Comments (3)

શું થવાનું છે? – શૈલેશ ગઢવી

કહે છે, બોલવાથી શું થવાનું છે?
બહાનું ચૂપ રહેવાનું મજાનું છે!

ભર્યું છે ઘેન એવું સૌની આંખોમાં,
ખબર નહિ કોણ ક્યારે સૂઈ જવાનું છે!

દિલાસો આપના શબ્દોનો મારે મન,
તરુને આભ આખું ઓઢવાનું છે!

અરીસો પ્રશ્ન જાણે પૂછતો કાયમઃ
મજાનું પાત્ર છે, કોની કથાનું છે?

લખું છું એ રીતે મારી કવિતાને,
કે લખવા માટે બસ છેલ્લું જ પાનું છે!

– શૈલેશ ગઢવી

આસ્વાદ કરાવવા બેસીએ તો અડચણ ઊભી કર્યા જેવું લાગે એવી મજાની સહજસાધ્ય ગઝલ…

Comments (6)

પિતૃવિશેષ: ૦૯ : સૉનેટ દ્વય-૦૨: ફરીથી – ભગવતીકુમાર શર્મા

વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે
એ સૂર્યો શી ઝળહળ ઋચા નાદબ્રહ્મે ઘડેલી
ગાળે આયુ વ્યરથ જકડાઈ પીળી પોથીઓમાં.
દીપાવ્યો ના વહન કરીને વારસો જ્ઞાન કેરો
પુત્રે, શીળા જનક તણી આ કિન્તુ વિદ્યા અપુત્રા
શોષાઈ રે, રણ મહીં ગઈ શારદા મંત્રભીની,
લોપાયું સૌ શ્વસન તૂટતાં વૃદ્ધ જ્ઞાને પિતાનાં,
ફંફોસું છું અઢળક નિયૉની ઝગારા છતાંયે.

આપી દીધી કઠણ હૃદયે કોઈને કાષ્ઠપેટી,
સીંચ્યો જેમાં મબલખ હતો વારસો વૈભવી શો!
દીવાલો જે સમૂહ સ્વરમાં ઝીલતી’તી ઋચાઓ,
આજે ઊભી અરવ પળતાં ગ્રંથ જ્ઞાને મઢેલા.
જાણે દીધા વળાવી જનક જ ફરીથી સ્કંધ પે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિઅંકે ફરીથી.

– ભગવતીકુમાર શર્મા

સૉનેટદ્વયમાંનું પ્રથમ સૉનેટ જ્યાં પૂરું થાય છે ત્યાંથી બીજું સૉનેટ પ્રારંભાય છે. પિતાને એક વ્યક્તિ તરીકે ખૂબ પ્રેમ કરતો પુત્ર પિતાના જ્ઞાનવારસાને જાળવવાની બાબતમાં ઊણો ઉતર્યો છે. પિતાના ક6ઠે જે ઋચાઓ સૂર્યો શી ઝળહળ અને નાદબ્રહ્મે ઘડેલી હોવાનું પ્રતીત થતી હતી, એ બંધ પેટીમાં પીળી પડી ગયેલ પોથીઓમાં એમનું આયુષ્ય વ્યર્થ જ ગાળી રહી છે. પિતાને વારસ મળ્યો, પણ પિતાની વિદ્યા નિઃસંતાન જ રહી. નિયોન લાઇટના પ્રકાશમાં પણ પુત્રને પિતાના જ્ઞાનનું અજવાળું લાધી શકે એમ નથી. પુત્ર તોય નીંદનીય તો નથી જ. કમસેકમ એને આ વિદ્યાના વારસદાર હોવા બાબતે પોતાની અસમર્થતાની જાણકારી છે એય ઓછું નથી.એતલે જ પિતાની લાકડાની એ પેટીએ અન્ય કોઈકને આપે છે ત્યારે કઠણ કાળજું કરીને આપે છે. અને એ પેટી અન્યના હાથમાં જતાં પોતે પિતાને ફરી એકવાર અગ્નિદાહ આપતો હોવાની લાગણી થતાં એની આંખો ભીની થઈ જાય છે. પિતાનો જ્ઞાનવારસો સંતાન સચવી જ શકે એ જરૂરી નથી, પણ પોતાની ગેરલાયકાત અંગે જાણકારી હોવી અને એ વારસાની કિંમત સમજી શકવી એય સાચું પિતૃતર્પણ ગણાય!

લયસ્તરોની બે દાયકાની અણનમ કાવ્યયાત્રાની ઉજવણી નિમિત્તે આદરેલ પિતૃવિશેષ શૃંખલા આ સાથે અહીં સમાપ્ત કરીએ છીએ. પિતા વિશેની આ સિવાય પણ અનેક કવિતાઓ આપણી પાસે છે જ. સમયાંતરે એ પણ પ્રગટ કરતા રહીશું. અસ્તુ!

Comments (5)

પિતૃવિશેષ: ૦૮ : સૉનેટ દ્વય-૦૧: પિતૃકંઠે – ભગવતીકુમાર શર્મા

જૂની સૂકી હવડ કશી આ ગંધ ફેલાઈ ઊઠી
જ્યાં ચર્રાઈ કડડ ઊઘડી ભૂખરી કાષ્ઠપેટી!
પીળાં આડાં બરડ સઘળાં પૃષ્ઠ તૂટ્યાં ખૂણેથી
પોથીઓમાં હજી શ્વસી રહ્યાં કાળની કંડિકા શાં.

પીંછું કોઈ મયૂરનું નર્યું રંગઝાંયેથી રિક્ત,
પોથીમાંથી સરસરી રહે પાંદડું પીપળાનું
જાળીવાળું, કુસુમ-કણિકા, છાંટણાં કંકુકેરાં,
પૃષ્ઠે પૃષ્ઠે કર-સ્પરશથી ડાઘ આછા પડેલા
ભેદી લાંબો પટ સમયનો વર્તમાને પ્રવેશી
સર્જી લેતાં પળ-વિપળમાં સૃષ્ટિ લીલી સ્મૃતિની.

થંભી’તી જે જરઠ પશુ શા મૃત્યુના થૉર-સ્પર્શે
સંકોરાઈ કણસતી નિરાલમ્બ ને ઓશિયાળી
ગુંજી ઊઠી અમુખર ઋચા સામવેદી સ્વરોની
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે.

– ભગવતીકુમાર શર્મા

પિતાજીના અવસાન બાદ વરસો પછી પુત્ર પિતાજીની લાકડાની ભૂખરી પડી ગયેલ જૂની પેટી ઊઘાડે છે. થોડા ચર-ચર અવાજ સાથે પેટી ખૂલતાવેંત જ સૂકી હવડ ગંધ વાતાવરણમાં પ્રસરી ઊઠે છે. પિતાજીએ સાચવીને મૂકેલ પોથીઓનાં પીળાં પાનાંઓ તૂટું-તૂટું થઈ રહ્યાં છે. આછા પડતા જતા રંગવાળું એક મોરપિચ્છ, પોથીમાં સાચવીને રાખેલ પણ હવે જાળીજાળી થઈ ગયેલ પીપળાનું પાન, કુસુમ-કણિકા, કંકુના છાંટા અને પિતાજીના સ્પર્શની સાહેદી પૂરાવતા આંગળીઓના ડાઘ વગેરે વહી ગયેલા સમયનો લાંબો પટ ભેદીને સ્મૃતિઓને તાજી કરી દે છે. મૃત્યુના થોર જેવા કાંટાળા સ્પર્શે જે સામવેદી સ્વરોની ઋચાઓ સંકોરાઈ ગઈ હતી, એ તમામ ઋચાઓ પુત્રને ફરીથી ગૂંજી ઊઠતી સંભળાય છે. નિર્જીવ વસ્તુઓ જીવન-મૃત્યુના અલગ-અલગ કાંઠે પહોંચી ગયેલ બે જીવ વચ્ચે કેવો સજીવ સેતુ બાંધી આપે છે!

Comments (7)

પિતૃવિશેષ: ૦૭ : મને જવાબ આપો….- કરસનદાસ લુહાર

ભાગવતના આદિ જળમાં
છાતીબૂડ ઊભા રહી સૂર્યને અર્ધ્ય આપતો,
ગીતાના જર્જરિત પૃષ્ઠોની નિશામાં ઘોરતા
ગૃહસ્થીઓની આંખોમાં જાગતો…
નિદ્રસ્થોને શાપતો,
સવાર-બપોર, સાંજ, રાત…
માળા, પૂજા, ધ્યાન, આરતીમાં વ્યાપતો
અષ્ટંપષ્ટં પ્રલાપતો…
ભારેખમ મોં,
ઝગારા મારતું વિદ્વાન કપાળ-કપાળમાં મોટું ત્રિપુંડ
ખભે જનોઈનું ઝૂંડ
ગળામાં રુદ્રાક્ષની માળા
ચરણમાં શ્યામ પાદુકા
દક્ષિણી પાઘડીમાં સંતાઈને પણ

શ્લોક સાથે લયબદ્ધ ફગફગતી શિખા
–આ બધી નિશાનીઓના

વાંકાચૂકા રસ્તાપર હું ચાલી રહ્યો છું,
એને ગોતવા.
એ પ્રકાંડ પંડિત મારો બાપ હોવાની
મને ચોક્કસ બાતમી મળી છે!
હાલકડોલક છું ત્યારનો.
કહેવાય છે કે :
એક સવારે છાણ વિણવા જતી
અછૂત કન્યાનો પડછાયો પગને સ્પર્શી જતા
આ પુણ્યાત્માએ ત્રણ દિવસના ઉપવાસ
અને સાત નદીઓનાં જળ મંગાવીને
સ્નાન કરેલું!
અવર્ણ કન્યાપર
ટોળાબંધ હાથોના સવર્ણ આકાશમાંથી
વરસેલા પથ્થરોના ધોધમાર વરસાદની વાત
પછી સૂકાઈ ગઈ’તી.
હું ગોતું છું મારા એ પુણ્યશાળી બાપને!
મળે તો મારે
આટલું જ પૂછવું છે :
એક મેઘલી સાંજે,
નદી કાંઠે ખખડધજ શિવાલયનાં
અવાવરુ એકાંતમાં
ફૂટડાં અંગોવાળી
એ જ અછૂત કન્યાનાં
કુંવારા ઉદરમાં ઝનૂનપૂર્વક

મને વાવ્યા પછી તમે–
કેટલા દિવસના ઉપવાસ કરેલા?
કેટલી નદીઓનાં પાણી
તમારી સવર્ણ કાયા પર ઠાલવેલાં??
બોલો, બાપુ બોલો…
મને જવાબ આપો!
મને જવાબ…!
મને…!!!
મ……!!!!

– કરસનદાસ લુહાર

નિ: શબ્દ કરી મૂકતી રચના…

કોઈ જ ટિપ્પણીની જરૂર જ નથી….

Comments (9)

પિતૃવિશેષ: ૦૬ : પિતાની સેવા – દલપતરામ

છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધ મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી;
કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો;
ભલી વાતના ભેદ સીધા દીધાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

કદી કોટી કોટી સહી કષ્ટ કાયા,
મને છાતીમાં લૈ કરી છત્રાછાયા;
અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને દેખી અત્યંત આનંદ લેતા,
મુખે માગી વસ્તુ મને લાવી દેતા;
પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

વડા વાંકમાં આવું તો રાંક જાણી,
દીધો દંડ દેતાં દયા દિલ આણી;
તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,
તથા તુચ્છ જેવી બૂરી ટેવ ટાળી;
જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

લીધો લાવ ને લૈશ જે લાવ સારો,
ગણું ગુણ હું તાત તે તો તમારો,
સદા સુખ સારુ ઉપાયો સજ્યાજી
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને નિર્ખતા નેત્રામાં નીર લાવી,
લઈ દાબતા છાતી સાથે લગાવી;
મુખે બોલતા બોલ મીઠા મીઠાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

હતો બાળ હું આજ સુધી અજાણ્યો,
ઉરે આપનો ગુણ એકે ન આણ્યો;
હવે હું થયો જાણીતો આજ આ જી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

જગંનાથજી જીવતો રાખશે જો,
હયાતી તમારી અમારી હશે જો;
કરું સેવના દિલ સાચે સદાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી….

– દલપતરામ ડાહ્યાભાઇ ત્રવાડી
(૨૧ જાન્યુઆરી ૧૮૨૦ – ૨૫ માર્ચ ૧૮૯૮)

વાંચતા વાંચતા અનાયાસે ગવાઇ જતી ‘પિતાસ્રોત્ર’ જેવી ભાસતી કવિ દલપતરામની ગુજરાતી ભાષાની પિતા વિશેની કદાચ આ પ્રથમ કવિતા હશે… જેને કોઈ પણ જાતનાં પિષ્ટપેષણની જરાયે જરૂર જણાતી નથી!

ભુજંગી છંદ(લગાગા લગાગા)ની ચાલમાં ચાલતી આ કવિતા મોટેથી ગણગણાવવાની વધુ મજા આવશે.

Comments (4)

પિતૃવિશેષ: ૦૫ : (ઝગમગતું અજવાળું) – હિરેન મહેતા

પાણા જેવા પાણા ભીતર ભીનું ને હુંફાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું!

પપ્પા સહુના જીવતરનો
મોંઘેરો કોઈ મોભ,
પપ્પાએ કોઈ લાગણીઓનો
ક્યાં રાખ્યો છે લોભ?
આકાશ જેવું ખુલ્લમ-ખુલ્લું, ના રાખે કોઈ તાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું,

ઝળહળ ઝળહળ દીવો થઈને
પપ્પા ઘરમાં રહેતા,
ભૂલ પડે ત્યાં આંગળી પકડી
મારગ કાઢી દેતા,
એમનું હોવું લાગે જાણે ઉજળું ને ઉજમાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.

પપ્પાની એ કરડી આંખે
થરથરથર સહુ કાંપે,
પણ હેત ભરેલું વાવાઝોડું
બેઠું કાયમ ઝાંપે,
હોય એ ત્યાં અંધારે પણ સાફ સઘળું ભાળું,
પપ્પા મારા આયખાનું ઝગમગતું અજવાળું.

-હિરેન મહેતા

આ ગીત જ્યારે પ્રથમવાર વાંચ્યું ત્યારે લાગ્યું કે આ તો મારા પપ્પા માટે જ લખાયું છે. અનુભૂતિથી કહું તો પપ્પા બિલકુલ નાળિયેર જેવા હોય છે. બહારથી પાણા જેવા ભાસતા પપ્પા અંદરથી સાવ ભીના અને હૂંફાળા હોય છે. હું નાની હતી ત્યારે ઘરનાં મોંઘેરા મોભ જેવા મારા પપ્પાથી લગભગ કુટુંબનાં બધા જ સભ્યો ડરતા હતા, કારણકે ગુસ્સો એમના નાક પર જ રહેતો. પરિણામે પપ્પાના કડક સ્વભાવની ખોખલી દીવાલની બીજી તરફ ફૂંકાતું હેતનું વાવાઝોડું જાણબહાર રહી જતુ. સાચું કહું તો પપ્પાની હાજરી જ એક સૂરજ જેવી હતી, જેની હાજરીથી વાતાવરણ ગરમ તો રહેતું, પણ એ ના હોય ત્યારે અંધારું છવાઈ જતું. જેઓ એમની ગેરહાજરીના અંધારાને અનુભવી શકતા, એમને માટે તેઓ માર્ગદર્શક અને પ્રેરણાસ્ત્રોત હતા. નરી આંખે નજરે ન પડતા પ્રેમ, સમર્પણ અને ત્યાગથી પપ્પાને મેં સાચ્ચે જ એમના નાના ભાઈભાંડુઓનાં આયખાને અજવાળતા જોયા છે. જેમ દરેક પુત્રના પ્રથમ સુપર હીરો એના પપ્પા જ હોય છે, એમ દરેક દીકરીનો પ્રથમ પ્રેમ પણ એના પપ્પા જ હોય છે. મારા પપ્પા એટલે સાચે જ મારા આયખાનું ઝગમગતું અજવાળું…  ભગવાન કરે એ લાંબા સમય સુધી ઝગમગતું અને ઝળહળતું રહે!

Comments (7)

પિતૃવિશેષ: ૦૪ : કેટકેટલીવાર – મેરી હૉવે (અનુ. વિવેક મનહર ટેલર)

ન જાણે કંઈ કેટકેટલીવાર કોશિશ કરવા છતાંય હું કેમે કરીને મારા પિતાને
રોકી શકતી નથી મારી બહેનના રૂમમાં જતા

અને અહીંથી જ વાંકા વળીને હું એમની આંખોમાં જોવાનો પ્રયત્ન કરું છું,
પણ કંઈ ખાસ જોઈ શકાતું નથી. હૉલમાં અંધારું છે

અને બધા ઊંઘી રહ્યા છે. આ એ ભૂતકાળ છે
જ્યાં બધું પહેલેથી જ પરિપૂર્ણ છે અને કશું જ બદલાતું નથી,

જ્યાં પાણીનો ગ્લાસ બાથરૂમની ફર્શ પર પડે છે
અને તૂટતા પહેલાં એકવાર ઊછળે છે.

કશું જ નથી. પડખું બદલતી વેળા મારી બહેન કાઢે છે
એ નાનો અવાજ પણ નહીં, કૂતરાની પૂંછડીનો ધીમો અવાજ પણ નહીં

જ્યારે એ એક આંખ ઊઘાડી જુએ છે એમને નશામાં ચૂર,
થોડા મૂંઝાયેલા, લડખડાતા પોતાની પથારી તરફ પરત ફરતા.

આ બિલકુલ એવું જ છે જેવું હું જાણતી હતી કે થશે.
અને હું તેણીનું નામ ફુસફુસાવું છું, ચેતવણી ફુત્કારતા,

જે હું વરસોથી કરતી આવી છું, અને કૂતરો પણ
ચોંકે જ છે અને ઘુરકેય છે જ્યાં સુધી એ જોતો નથી

કે એ તો અમારા પિતા જ છે,અને હજીય દરવાજો ખૂલે છે, અને તેણી
પેલો નાનો ઊંહકારો ભરે છે, પાસું બદલતાં બદલતાં.

– મેરી હૉવે
(અનુ. વિવેક મનહર ટેલર)

પિતૃવિશેષ શૃંખલામાં આજે સંવેદનતંત્રમાં હડકંપ સર્જે અને ગળેથી ઉતારતા પારાવાર તકલીફ થાય એવી એક કવિતા જોઈએ. આપણે ગુજરાતીઓને સુષ્ઠુ સુષ્ઠુ રચનાઓ વાંચવાની આદત પડી ગઈ છે, પણ દુનિયા ગુલાબની પથારી ઓછી અને કાંટાની સેજ વધારે છે. સાવકા બાપ દીકરી સાથે યૌન સંબંધ બાંધે એવા સમાચારોની વચ્ચે ઘણીવાર સગો બાપ વર્ષો સુધી સગે દીકરીનું યૌનશોષણ કરી એને ગર્ભવતી બનાવે એવા ચોંકાવી દેતા સમાચારો પણ ગુજરાતી અખબારોમાં આવે જ છે.

પ્રસ્તુત રચના ઇન્સેસ્ટ (incest) વિશેની છે, ઇન્સેસ્ટ અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને દુનિયાની કોઈ જ સંસ્કૃતિએ કદી પણ બહાલી આપી નથી. પણ આ અવૈધ સંબંધ પણ કદાચ માનવજાત જેટલો જ જૂનો છે. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે.

આ રચનામાં પણ એક સગો બાપ ઘરના બધા સભ્યો ઊંઘી ગયાં હોય ત્યારે દારૂના નશામાં દીકરીના રૂમમાં જઈને એના પર બળાત્કાર કરે છે. આ ઘરેલુ હિંસા વર્ષોથી ચાલતી આવી છે. દારૂડિયા કામી બાપ માટે દીકરી દીકરી નહીં, બાથરૂમની ફર્શ પર પડીને તૂટતાં પહેલાં એકવાર ઊછળતો ગ્લાસ બનીને રહી ગઈ છે. નાની બહેન લાખ કોશિશો કરવા છતાંય રોજ રાતે આંખો સામે થતા આ દુરાચારને અટકાવી શકતી નથી. ઘરનો વફાદાર કૂતરો પણ રાતે એક રૂમમાંથી બીજા રૂમમાં જતો ઈસમ ઘરનો માલિક જ છે એ જોઈને સહેજ ઘર્રાઈને, સહેજ પૂંછડી થપકારીને ચૂપ રહે છે.

How Many Times

No matter how many times I try I can’t stop my father
from walking into my sister’s room

and I can’t see any better, leaning from here to look
in his eyes. It’s dark in the hall

and everyone’s sleeping. This is the past
where everything is perfect already and nothing changes,

where the water glass falls to the bathroom floor
and bounces once before breaking.

Nothing. Not the small sound my sister makes, turning
over, not the thump of the dog’s tail

when he opens one eye to see him stumbling back to bed
still drunk, a little bewildered.

This is exactly as I knew it would be.
And if I whisper her name, hissing a warning,

I’ve been doing that for years now, and still the dog
startles and growls until he sees

it’s our father, and still the door opens, and she
makes that small oh turning over.

—Marie Howe

Comments (8)

પિતૃવિશેષ: ૦૩ : હું મુજ પિતા! – ઉશનસ્

અરે, આ વેળા તો અનુભવ થયો અદ્ભુત નવોઃ
હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો,
હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું;
બધી વસ્તુ લાગે પરિચિત જ કોઈ જનમની,
અશા કૌતુકે, કો અપરિચયથી જોઈ રહું કૈં;
પ્રવાસી વસ્ત્રોને પરહરી, જૂનું પંચિયું ધરું
પિતા કેરું જે આ વળગણી પરે સૂકવ્યું હતું;
પછી નાહી પ્હેરું શણિયું કરવા દેવની પૂજા;
અરીસે જોઉં તો જનક જ! કપાળે સુખડની
ત્રિવલ્લી, ભસ્માંકો! અચરજ! બપોરે સૂઈ ઊઠયો
-પિતાજીની ટેવે! -અશી જ પ્રગટી પત્રની તૃષા!
સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ!
નનામીયે મારી નીરખું પછી-ને ભડ્ભડ ચિતા,
રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!

– ઉશનસ્

લયસ્તરોની બે દશકની કાવ્યયાત્રા નિમિત્તે આદરેલ પિતૃવિશેષનું આજે આ ત્રીજું ચરણ.

પિતા શબ્દ ‘पा’ ધાતુ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ રક્ષણ કરવું થાય છે. ‘यः पाति स पिता।’ (જે રક્ષા કરે છે તે પિતા છે.) પિતાનો એક અર્થ પરમેશ્વર પણ છે. મનુસ્મૃતિ કહે છે: ‘उपाध्यायान्दशाचार्य आचार्याणां शतं पिता। (દસ ઉપાધ્યાયથી વધીને એક આચાર્ય અને સો આચાર્યથી વધીને એક પિતા હોય છે.) ઋષિ યાસ્કાચાર્યના ‘નિરુક્ત’સૂત્રમાં પણ पिता पाता वा पालयिता वा। અને पिता-गोपिता અર્થાત, પિતા રક્ષણ કરે છે અને પાલન કરે છે એમ લખ્યું છે. મહાભારતમાં વનપર્વમાં મરણાસન્ન ભાઈઓને બચાવવા યુધિષ્ઠિર યક્ષપ્રશ્નોના જવાબ આપે છે. યક્ષના એક પ્રશ્ન, ‘किं स्विद्गुरुतरं भूमेः किं स्विदुच्चतरं च खात्।’ (કોણ પૃથ્વીથી ભારી છે? કોણ આકાશથી ઊંચું છે?)ના જવાબમાં યુધિષ્ઠિર કહે છે, ‘माता गुरुतरा भूमेः पिता उच्चतरश्च खात्।’ (માતા પૃથ્વીથી ભારી છે, પિતા આકાશથી ઊંચા છે). મહાભારતમાં જ લખ્યું છે: ‘पिता धर्मः पिता स्वर्गः पिता हि परमं तपः। पितरि प्रीतिमापन्ने सर्वाः प्रीयन्ति देवता।।’ (પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે અને પિતા જ સૌથી શ્રેષ્ઠ તપસ્યા છે. પિતાના પ્રસન્ન થવાથી બધા દેવ પ્રસન્ન થઈ જાય છે.) પદ્મપુરાણમાં લખ્યું છે: ‘सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता।’ (મા સર્વ તીર્થસ્વરુપ અને પિતા સર્વ દેવતાસ્વરુપ છે.)

પિતાના મૃત્યુ પછી પિતા વગરના ઘરમાં પ્રથમવાર પ્રવેશ કરતી વખતે પુત્રને જે નવો અને અદભુત અનુભવ થાય છે એને કવિએ ચૌદ પંક્તિઓમાં સંયત ભાષામાં આલેખ્યો છે. જે ઘરમાં પોતે જન્મ લઈ મોટો થયો હશે, એ જ ઘર આજે પુત્રને મોટા હવડ અવકાશ જેવું ખાલી અને અવાવરું ભાસે છે. ઘરમાં ઉપસ્થિત ચિરપરિચિત વસ્તુઓ-ફર્નિચર વગેરે સાથે કવિને વર્તમાન નહીં, પણ અન્ય કોઈ જનમનો પરિચય હોવાનું પ્રતીત થવાથી થોડા કૌતુક સાથે, થોડા અપરિચય સાથે એ જોઈ રહે છે. ઘરની વળગણી ઉપર સૂકવવા મૂકેલ પિતાજીનું પંચિયું હજીય ત્યાં જ લટકતું હતું. પંચિયું એટલે નહાવા જતી વખતે પહેરવાનું નાનું ધોતિયું. પ્રવાસ દરમિયાન પહેરેલ કપડાં કાઢીને દીકરો પિતાજીનું પંચિયું પહેરી સ્નાન કરે છે અને પછી દેવપૂજા કરવા માટે શણિયું પહેરે છે. શણિયું એટલે સ્નાન કર્યા પછી પહેરવાનું લૂગડું. પૂજા કરતાં પૂર્વે પિતાજી કપાળ પર ત્રણ આંગળીથી સુખડની ત્રિવલ્લી બનાવી ભસ્મ લગાડતા હતા એનું જ અનુસરણ દીકરો પણ અજાણતાં કરી બેસે છે પણ પછી અરીસામાં સ્વયંને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. દીકરાને અરીસામાં પોતાના સ્થાને પિતા નજરે ચડે છે. પિતાજીની જેમ જ બપોરે એક ઊંઘ ખેંચી ઊઠ્યા બાદ કોઈ ટપાલ આવી છે કે નહીં એની તપાસ પણ દીકરો કરે છે. રાત્રે પિતા સૂતા હતા એ જ પથારીમાં એ ઓઢતા હતા એ જ ગોદડું ઓઢીને દીકરો સૂઈ પણ જાય છે. નાનપણથી પિતાજીની દિનચર્યા જોઈ જોઈને જે સંસ્કારો ઘડાયા હશે, એ સંસ્કારવશ પુત્ર એ હદે પિતાજીની દિનચર્યાનું અનુકરણ કરે છે કે પુત્રને પોતે જ પિતા હોવાનું ભાન થાય છે. એટલે જ પુત્રને પોતાની નનામી, અને ચિતા પર બળતું પોતાનું શબ પણ નજરે ચડે છે. સંતાનને પોતે જ પોતાનો પિતા હોવાનું સત્ય સમજાય છે એટ્લે કે પોતાના પિતા પોતાનામાં હજી પણ જીવતા હોવાની પ્રતીતિ થાય છે, કારણ કે પુત્ર જીવતો રહે ત્યાં સુધી પિતા મૃત્યુ પામી જ ન શકે. પુત્રના સ્મરણમાં એના પિતા પુત્ર જીવતો રહે ત્યાં સુધી જીવતા જ રહેવાના. વિલિયમ વર્ડ્સવર્થનું બખુખ્યાત વિધાન પણ આ તબક્કે યાદ આવે: ‘the child is father of the man.’

Comments (4)

પિતૃવિશેષ: ૦૨ : પિતાનાં ફૂલ – ઉમાશંકર જોશી

અમે જેની ખાંધે વજન ફિકરોનું થઈ ફર્યા
બધે આયુર્માર્ગે, જગની ગલીકૂંચી વિવિધમાં,
ચડાણે, ઊંડાણે શિરવિટમણાઓ થઈ ભમ્યા;
અમે લાવ્યા એ રે શરીર નિજ ખાંધે ઊંચકીને,
અહીં લાવ્યા એ રે શરીર નિજ ખાંધે જનકનું.

અને જેનાં હાડે પૂરવજદીધી પ્રાણસરણી
પુરાણી પોષાઈ વહી અમ મહીં કૌતુકવતી,
અમે આવ્યા એ રે નિજ જનકના હાડઢગની
પડી સાનીમાંથી અગનબચિયાં ફૂલ વીણવા.

ભરી વાળી સાની ધખ ધખ થતી ટોપલી મહીં,
અને પાસે વ્હેળો ખળળ વહતો ત્યાં જઈ જળે
ડબોળી, ટાઢોળી, જરીક હલવી, ને દૂધ સમા
પ્રવાહે સ્વર્ગંગાજલ થકી શકે તારક વીણ્યા!

વીણ્યા તારા, ફૂલો જગનું બધું યે સુંદર વીણ્યું,
ન લાધે સ્હેજે જે, શિવ સકલ આજે મળી ગયું;
શમ્યા મૃત્યુશોકો, અમર ફરકંતી નીરખીને
પિતાનાં ફૂલોમાં ધવલ કલગી વિશ્વક્રમની…

– ઉમાશંકર જોશી

“પિતૃવિશેષ”નું બીજું પગલું ઉમાશંકરની કલમે. જે પિતા તમારી જવાબદારી આખી જિંદગી પોતાના ખભે રાખી હોય એ જ પિતાને આખરે એક દિવસ ખભે ઊંચકીને લઇ જવાનો વારો આવે છે. અંતિમસંસ્કાર પછી અસ્થિના ફૂલમાં કવિને વિશ્વક્રમના દર્શન થાય છે. પિતાએ એમના પિતાને આ જ રીતે વિદાય આપી હશે અને એક દિવસ મારો પુત્ર પણ મને આ જ રીતે વિદાય આપશે. આ ક્રમ સમજાતા મૃત્યુનો શોક શમી જાય છે. આમ પિતા પોતાના અસ્થિ દ્વારા પણ પુત્રને એક આખરી સમજ આપતા જાય છે.

આ કવિતામાં મનને શાતા આપવાની અદભુત શક્તિ છે.  

મારા પોતાના માટે આ કવિતા બહુ ખાસ છે. મારા દાદા જ્યારે ગયા ત્યારે પપ્પાએ મારી સાથે બેસી આ કવિતા વાંચી સમજાવેલી. ગયા વર્ષે જયારે મારા પપ્પા ગયા ત્યારે મેં મારા દીકરા સાથે બેસીને ફરી આ જ કવિતા વાંચેલી. એવી આશા કરું છું કે એક દિવસ જ્યારે મારે જવાનું થાય ત્યારે અમેરિકા દેશમાં ઢચુપચુ ગુજરાતી સમજતો મારો દીકરો એનાથી ય ઓછું ગુજરાતી સમજતા એના દીકરાને આ કવિતાની મદદથી વિશ્વક્રમની ઓળખાણ કરાવશે. 

Comments (3)

પિતૃવિશેષ: ૦૧ : મથુરાદાસ જેરામ – ઉદયન ઠક્કર

મથુરાદાસ જેરામ નામનો એક શખ્સ (ઉંમર વર્ષ ત્રેપન)
સંખ્યાબંધ લોકોની આંખ સામે
ધોળે દહાડે
ઈસ્પિતાલ જેવા જાહેર સ્થળે
મરવાનું અંગત કાર્ય કરી ગયો
એને આજે વરસો થયાં.

હવે સમય પાકી ગયો છે કે
હું એને અંજલી આપું;
એની કરુણભવ્ય ગાથા રચું;
જેથી કેટલાક વધુ માણસો જાણે
કે મથુરાદાસ કોણ હતો, કેવું જીવ્યો.
ભડનો દીકરો હતો એ,
તડ ને ફડ હતો એ,
મને એકંદરે ગમતો.

શરૂઆતરૂપે હું કહી શકું કે
મથુરાદાસને ધરતીનો લગાવ હતો.
એ વિધવિધ સુંદર ફૂલોને રોપતો, ઉછેરતો,
મન મૂકીને ખડખડ હસતો,
તક મળ્યે બહારગામ જઈ
રોજના વીસ-તીસ માઈલ પેદલ રખડી નાખતો,
ઝનૂની ઘોડાઓ પલાણતો,
અને ઉનાળાની રાત્રિએ ધાબા પર જઈ
તારાઓની નિકટમાં સૂઈ જતો.

( ના, ના, આ કંઈ જોઈએ એટલી ભવ્ય વાત ન થઈ શકી
જુઓને, થોરો નામનો એક ફિલસૂફ શહેર મૂકી દઈ
છેક કોઈ એકાંત સરોવર-તીરે વસતો.
એના કુદરતપ્રેમ સામે આપણો મથુરાદાસ
તો બિચારો ફિક્કો ફિક્કો પડી જશે.)

પણ હા, મથુરાદાસ વેપારી બળુકો, હોં.
ત્રીસ વરસ સુધી રોજ દરરોજના દહ-દહ કલાક
પોતાની પેઢી ઉપર રચ્યોપચ્યો’રે.
દેશ-દેશાવરની મુસાફરી, પછાત વસ્તારમાં
ફેકટરી નાખવી, ત્યાં રેતીવાળા રોટલા
ખાઈને પડી રે’વું.
કોરટ-વકીલો, મંદી-તેજી, અળસી-એરંડૉ,
ફિકર ફિકર, પ્રમાણિકતા, ઝઘડા, મહત્વાકાંક્ષા.
બધે અજવાળું વિખેરાતું હતું, જાણે.
– મથુરાદાસનું કોડિયું બબ્બે વાટે બળતું જતું હતું.

(તમે કદાચ ઈમ્પ્રેસ નહિ થાઓ.
કદાચ તમારી ઓફિસનો બોસ
સાવ સામાન્ય ગુમાસ્તામાંથી
આજે કરોડોના વેપાર સુધી પહોંચ્યો હોય.
તમે કહેશો કે યાર, સફળતા તો એને કહેવાય.
મથુરાદાસનું તો જાણે… સમજ્યા.)

જોકે મારે ઉમેરવું જોઈએ કે
પાછલાં વરસોમાં મથુરાદાસ સામે
અસહકારનું આંદોલન ઉપાડ્યું હતું
એના શરીરે.
તેનાં એક પછી એક અંગ ખોટાં પડતાં જતાં હતાં.
વગડાઉં કાગડાનો પગ તૂટી જાય,
પછી તે ન તો વનમાં સ્વચ્છન્દાચાર કરી શકે,
ન તો પિંજરે બેસીને લોકોનું મનોરંજન,
એવી કપરી સ્થિતિ એની થઈ હતી.
પણ લાચારીને એણે મુદ્દલ ન સ્વીકારી, મુસ્તાક રહયો.
આ મોત સાથેનો પ્રવાસ હતો,
અને હંમેશા તેણે એ સહપ્રવાસીની
ઠેકડી ઉડાવી.

(માળું આયે તમને નહિ જામે.
કેટકેટલી ફિલ્મો તમે જોઈ નાંખી છે
જેમાં અસાધ્ય કેન્સરથી ગ્રસ્ત હીરો
હસતો-હસાવતો મોતને ભેટતો હોય છે.
ના, હવે આ ફોર્મ્યુલા તમને નહિ ચાલે.)

તો માફ કરજે ભાઈ મથુરાદાસ જેરામ,
હું તારે માટે કોઈ કીર્તિસ્મારક રચી શકતો નથી.
વાતચીત કે વર્ણનોથી હું એક્કેય
વાઙમયમંદિર ચણી શકતો નથી,
કે જેમા તારી સ્મૃતિની પ્રતિષ્ઠા થઈ શકે
શબ્દોનાં હૂંફાળાં પીંછાઓ ઓઢાડી શકતો નથી
તારા સંદર્ભના નગ્ન ડિલ પર.
એક પ્રામાણિક વેદના સિવાય હું કશું આપી શકતો નથી,
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.

– ઉદયન ઠક્કર

“પિતૃવિશેષ”ના પહેલા પગલે ઉદયન ઠક્કરની રચના થકી પિતા નામની ઘટનાને સલામ કરીએ. આ કવિતા બહુ વર્ષોથી વાંચું છું. દર વખતે થોડી થોડી વધારે સમજાય છે. કવિતા વાંચીને કોઇક વાર રડી નાખું છું અને કોઈક વાર છાની સલામ કરી લઉં છું. એક પિતા તમારે માટે શું હતો એ સમજવામાં આપણને બધાને બહુ મોડું થઇ જાય છે. એ ઘટના જ એટલી વિશાળ છે કે એનું મુલ્ય સમજાતા બહુ વાર લાગી જાય છે. અહીં કવિ કહે છે એમ ‘પ્રામાણિક વેદના’ સિવાય બહુધા આપણે એને ખાસ કશું આપી શકતા નથી. અને એટલું ય આપી શકીએ તો ઘણું. 

Comments (8)

બે દાયકાની સફર – લયસ્તરો ડોટ કોમ

*

વીસ વરસ… બે દાયકા…

૦૪-૧૨-૨૦૦૪ના રોજ અમેરિકાથી ધવલ શાહે આ કાવ્યયાત્રાની શરૂઆત કરી હતી ત્યારે સ્વપ્નેય ખ્યાલ નહોતો કે આ દિવસ પણ આવશે… આજે વીસ-વીસ વરસનાં વહાણાં વાઈ ચૂક્યાં હોઆ છતાં આ મુસાફરી હજી ખતમ નથી થઈ એના પાયામાં મિત્રોને અમારી કટિબદ્ધતા કે પ્રતિબદ્ધતા નજરે ચડે છે, પણ અમને ખબર છે કે આ સફર કદી અમારા એકલાની કે અમારા નિર્ધાર યા સમર્પણની હતી જ નહીં, આ યાત્રા તો પ્રારંભથી જ આપ સહુના સાથ-સંગાથ અને સ્નેહ-આશીર્વાદની યાત્રા હતી… લયસ્તરોની આ મજલ આપ જેવા સંનિષ્ઠ ભાવકમિત્રો વિના એક ડગલું પણ કાપી શકાય એમ નહોતી…

૨૦ વરસ
૧૨૦૦ થી વધુ કવિઓ
૫૬૦૦ થી વધુ પોસ્ટ્સ
૪૨૦૦૦ થી વધુ પ્રતિભાવો
૫૦ લાખથી વધુ મુલાકાત વીસ વરસમાં (પ્રતિદિન ૭૦૦ થી વધુ મુલાકાતી)
એક કરોડથી વધુ વ્યૂઝ (પ્રતિદિન ૧૫૦૦ થી વધુ વ્યૂઝ)

એક તરફ સૉશ્યલ મિડિયાનું અતિક્રમણ અને બીજી તરફ કવિતા નામનો પ્રાણવાયુ… ગુજરાતી કાવ્યસાહિત્યના મહાસાગરમાંથી અમારી સમજ મુજબના રત્નો શોધી શોધીને અમે આપની તાસક ઉપર ધરતા આવ્યા છીએ, ધરતા રહીશું… વ્યક્તિગત અને માનવસહજ મર્યાદાઓને કારણે તમામ સર્જકો અને તમામ સર્જન સુધી પહોંચવું તો કદીય સંભવ નથી જ બનવાનું. અહીં જે છે એ બધું ઉત્તમ જ છે અને અહીં જે નથી એ ઉત્તમ નથી એવો અમારો કોઈ દાવો નથી. ઘણા ઉત્તમ સર્જકો અને અસંખ્ય ઉત્તમ કવિતાઓ અમારી પહોંચ બહાર રહી હોવાના ક્ષતિસ્વીકાર સાથે અમે અમારી પહોંચ બહાર રહી ગયેલ એ તમામ સર્જકો અને સર્જનની ક્ષમા માંગીએ છીએ…

જીવે કવિતા! જીવે ગુજરાતી!
સહુ વાચકમિત્રો અને કવિમિત્રોનો હૃદયપૂર્વક અભાર…

ધવલ – તીર્થેશ – મોના –વિવેક
ટીમ લયસ્તરો

દર વખતની જેમ વર્ષગાંઠ નિમિત્તે અમારા માનવંતા ને જાનવંતા વાચકોને અમે કંઈક અલગ પીરસવાના છીએ. આ વખતની ઉજવણીનો વિષય છે – પિતૃવિશેષ! જગતભરના કવિઓએ માતાનો મહિમા કરીને એને ભગવાનની સમકક્ષ ઊભી રાખી છે, પણ સમગ્ર પરિવારનો બોજો મૂંગા મોઢે વેંઢારતા રહેતા પિતા વિશે બહુ ઓછા કવિઓ બહુ ઓછું બોલ્યા છે. લયસ્તરો પર આવતીકાલથી થોડા દિવસ સુધી અમે પિતાજીને કેંદ્રસ્થાનમાં રાખીને કહેવાયેલી કવિતાઓ રજૂ કરીશું… રોજેરોજ મુલાકાત લેવાનું ચૂકાય નહીં એ ખાસ જોજો.

લયસ્તરો પર આગળના વર્ષોની ઉજવણીમાં પણ આપ સમયની અનુકૂળતાએ જોડાઈ શકો છો:

 

Comments (7)