જીવ તો ચાલ્યો ગયો છે ક્યારનો,
શ્વાસની છે આવ-જા કારણ વગર.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2021

કાયમ નહીં રહે – કમલ પાલનપુરી

થોડો સમય પડાવ છે, કાયમ નહીં રહે,
ક્ષણભરનો આ લગાવ છે, કાયમ નહીં રહે.

આઘાતનો બનાવ છે, કાયમ નહીં રહે,
એના જે હાવભાવ છે, કાયમ નહીં રહે.

હાંફી ગયો ભલેને પછી ઢાળ આવશે,
જીવન તણો ચડાવ છે, કાયમ નહીં રહે.

ઈશ્વર જડે તો શોધી લે, ફેરો ફળી જશે,
શ્વાસોની આવજાવ છે, કાયમ નહીં રહે.

વારો તો આપણોય છે નક્કી આ ખેલમાં,
એનો ભલે ને દાવ છે, કાયમ નહીં રહે.

પથરા તર્યા હતાને જે શ્રદ્ધાના કારણે,
માણસ ડગે, સ્વભાવ છે, કાયમ નહીં રહે.

છોડી જશે તનેય ઉદાસી તો ફાવશે?
મોંઘો આ રખરખાવ છે, કાયમ નહીં રહે.

ખંખેર જાત ક્યાંક જડી જાય તું તને,
આ મોહનો દબાવ છે, કાયમ નહીં રહે.

પ્રગટાવ દીવડો પછી અજવાસ આવશે,
અંધારનો પ્રભાવ છે, કાયમ નહીં રહે.

તાજાં છે એટલે તું પરેશાન છે ‘કમલ’,
જખ્મોથી અણબનાવ છે, કાયમ નહીં રહે.

વિશ્વાસ છે કે આવશે, અફવા નથી ‘કમલ’,
એનો સતત અભાવ છે, કાયમ નહીં રહે.

– કમલ પાલનપુરી

આજે લખાતી ગઝલોના મુકાબલે પ્રમાણમાં લાંબી કહી શકાય એવી ગઝલ પણ મોટાભાગના શેર મજાના થયા છે એની મજા છે. એકદમ સરળ અને સહજ ભાષામાં આ રચના લખાઈ છે એની પણ મજા છે. આજે મોટાભાગના કવિઓની રચનાઓમાં પદવિન્યાસ જળવાયેલો જોવા મળતો નથી, જ્યારે અહીં અગિયારે અગિયાર શેરમાં ક્યાંય પદવિન્યાસવ્યુત્ક્રમ નજરે ચડતો નથી. કાયમ નહીં રહે જેવી રદીફ પણ કવિએ ચપોચપ નિભાવી જાણી છે અને કાફિયા એટલા તો સાહજિક રીતે શેરમાં વણાઈ ગયા છે કે વાંચતાવેંત ગઝલ ગમી જાય. કવિનો મને કોઈ પ્રત્યક્ષ પરિચય નથી પણ એમ લાગે કે એમનું નામ કમલના સ્થાને કમાલ હોવું જોઈતું હતું!

Comments (7)

(કોરોનાના દોહા) – નિનાદ અધ્યારુ

આ તે કેવી યાતના, આ તે કેવા હાલ !
જેવી આજે જોઈ છે, ના દેખાડે કાલ.

ધોળા-ભગવા બેઉમાં, ધોળો મોટો પીર,
હોસ્પિટલ હો શામળો, શાને જઉં મંદિર ?

ચીસો એકસો આઠની, સંભળાતી ચોકોર,
ભીતર તાતા-થૈ કરે શ્વાસોના બે મોર !

આ કેવી સંવેદના? આ કેવી દરકાર?
કોરટ ઉધડો લે પછી નિર્ણય લે સરકાર.

સાંજે પાછા ઘર જતા પડતી રુદિયે વીજ,
મનમાં-મનમાં બાંધતો હું ઘરને તાવીજ.

નાના-મોટા જે ગણો, સૌના સરખા હાલ,
સેવા તો મળશે બધે, ક્યાંથી મળશે વ્હાલ?

‘નિનાદ’ એક જ પ્રાર્થના- સૌનું સારું થાય,
હું સંધાતો હોઉં તો પહેલા તું સંધાય!

– નિનાદ અધ્યારુ

કવિતા આમ તો સ્થળ-કાળ-વ્યક્તિ નિરપેક્ષ હોય છે, પણ સાંપ્રતનો પડઘો જ ન ઝીલાયો હોય એવી કવિતા કોઈ ભાષા-સંસ્કૃતિઓમાં જડતી નથી. કોરોનાની મહામારી જવાનું નામ લેવાનું તો બાજુએ, વધુને વધુ વકરતી ને વિકરાળ થતી જાય છે. ગુજરાતી કવિતા પણ કોરોનાની અસરો ઝીલવાથી મુક્ત રહી શકી નથી. ગીતો અને ગઝલોની બોછારથી અળગા ચાલીને નિનાદ અધ્યારુ ખૂબસુરત દોહાઓ લઈને આવ્યા છે. કોરોના મહામારીના અલગ-અલગ આયામ કાવ્યસૌંદર્ય જાળવીને કવિએ કેવા બખૂબી રજૂ કર્યા છે! શ્વાસોના બે મોરનું તાતા-થૈ, ઘરને તાવીજ બાંધવાની વાત અને પોતાના પહેલાં સામાની તકલીફ સંધાવાની પ્રાર્થનામાં કવિતા ચરમસીમાએ પહોંચે છે.

Comments (12)

હોઈ શકે ! – રમેશ પારેખ

દ્વાર ખખડે અને કોઈ ટપાલી હોઈ શકે
ન કોઈ હોય, ગલી સાવ ખાલી હોઈ શકે

સમયના હાથને કઈ રીતે ઠેલશો પાછો?
એ માગે ચીજ તે તમને ય વ્હાલી હોઈ શકે

કોઈ લઈ આવ્યું મને આ ધધખતા રણ વચ્ચે
બીજું તો કોણ, આ શ્રદ્ધા જ સાલી હોઈ શકે

જો સ્થાનભેદ ના ગણીએ તો એક સંભવ છેઃ
તમાચા જેવો તમાચો ય તાલી હોઈ શકે

અમે ન ચાંગળું ચપટીક માગી પીનારા
હોય તો હાથમાં છલકાતી પ્યાલી હોઈ શકે

રમેશ, હોય છે સાપેક્ષ સર્વ ઘટનાઓ
તમારી પીડા બીજાની ખુશાલી હોઈ શકે

– રમેશ પારેખ

ર.પા.ની ગઝલ જ આવી ન્યારી હોઈ શકે……

Comments (2)

એકેય પાન – મનોજ ખંડેરિયા

મનહર છબી લટકતી રહી’તી જે સ્થાન પર
ખીલી જ રહી ગઈ છે હવે એ દીવાલ પર

એ પીછું કે જે આંગણે ખૂણે પડ્યું રહ્યું
માંડીને આંખ બેઠું છે વૃક્ષોની ડાળ પર

સૂની સડકની વેદના અડક્યા કરે મને
પગલુંય સ્પષ્ટ રહી ન શક્યું ફૂટપાથ પર

ખંડિત થયેલ મૂર્તિની છાયામાં ઓગળું
ને મારા ટુકડાઓ તરે ભૂતકાળ પર

એકેય પાન શબ્દનું લીલું નહીં રહે
ઊડી રહ્યાં છે તીડનાં ટોળાંઓ ગામ પર

– મનોજ ખંડેરિયા

ચોતરફ વ્યગ્રતા છવાયેલી છે. જો ઈશ્વર જેવું કોઈ તત્વ હોય તો તે અત્યારે વેકેશન પર છે. ચોપાસ મૃત્યુનું તાંડવ મચ્યું છે. માનવી વામણો તો હતો,છે અને રહેશે જ, પરંતુ જે રીતે સાર્ત્રેએ યહૂદી નરસંહાર માટે કહ્યું હતું – ” Shouldn’t God be held answerable in Neuremberg trials ? ” – તે વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આવા માહોલમાં મન મત્લા પર જ અટકી ગયું…..

Comments (1)

કાળજા કેરો કટકો મારો – કવિ દાદ

કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો
મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો

છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો,
ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો

બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો,
રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો

આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો
અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો

ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો
ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો

લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો
જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો

– કવિ દાદ

કવિ દાદ ગઈકાલે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા… કવિને તાજેતરમાં જ પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યું હતું. આ કવિ વિશે બીબીસી ગુજરાતી શું કહે છે એ જોઈએ:

જૂનાગઢના બિલનાથ મંદિર પાસે રાજમોતી સોસાયટીમાં રહેતા ૮૧ વર્ષની ઉંમરના દાદુદાન પ્રતાપદાન ગઢવી કવિ દાદ તરીકે પ્રખ્યાત છે. કવિ દાદના પિતાજી પ્રતાપદાન ગઢવી જૂનાગઢની નવાબી હકૂમતમાં રાજ કવિ હતા એટલે નવાબે તેમને વેરાવળનું ઈશ્વરીયા અને સાપર ગામ આપેલા હતા.

ખેતી કરતાં કરતાં વારસામાં મળેલા સંસ્કારોને ઉજાગર કરી કવિ દાદે સોરઠી ચારણી સાહિત્યને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો. કવિ દાદએ ૧૪-૧૫ વર્ષની ઉંમરે કવિતા રચવાનું શરૂ કર્યું હતું. તેમણે મામાના અવસાન બાદ તેમની યાદમાં એક છંદ લખ્યો હતો અને પછી માતાજીની સ્તુતિ લખવાનું શરૂ કર્યું હતું.

કવિ દાદે ૧૫ જેટલી ગુજરાતી ફિલ્મોમાં ગીતો લખ્યા છે જેમાં, સંપૂર્ણ રામાયણ, રા નવઘણ, લાખા લોયણ, ભગત ગોરો કુંભાર જેવી હિટ ગુજરાતી ફિલ્મોનો સમાવેશ થાય છે. ૧૯૭૫માં બનેલી શેતલને કાંઠે ફિલ્મ માટે દીકરીની વિદાયનું ગીત ‘કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગ્યો…’ અને ફિલ્મ શેઠ શગાળશાનું ‘ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું’ ગીત આજે પણ ખુબજ લોકપ્રિય છે. પ્રખ્યાત ભજનિક નારાયણ સ્વામીએ ગાયેલું “કૈલાસ કે નિવાસી નમું બાર બાર હું” પણ કવિ દાદે જ રચેલું સુપ્રસિદ્ધ ભજન છે. પશ્ચિમ બંગાળને લઈને પાકિસ્તાન સાથે થયેલા યુદ્ધ વખતે કવિશ્રી દાદે “બંગાળ બાવની” નામના પુસ્તકમાં ૫૨ રચનાઓ લખી હતી.

કવિ દાદને ‘પદ્મશ્રી’ ઉપરાંત ‘મેઘાણી સાહિત્ય એવોર્ડ’, ‘કવિ દુલા કાગ એવોર્ડ’, ‘હેમુ ગઢવી એવોર્ડ’ વગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ગુજરાતી સાહિત્યના એક વિદ્યાર્થીએ કવિ દાદ ઉપર ડૉક્ટરેટ પણ કર્યું છે.

લયસ્તરો તરફથી કવિને શબ્દાંજલિ આપીએ છીએ…

Comments (9)

(ટહુકામાં એની ટપાલ) – મયૂર કોલડિયા

એના ઘરેથી એક પંખી આવ્યું છે લઈ ટહુકામાં એની ટપાલ,
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ.

રેતીને થાય કે હું અક્ષર થઈ જાઉ અને ફળિયાને થાય કે હું કાગળ,
ટહુકાને થાય કે હું મૂંગે મો નીકળી જાઉં અર્થોની ભીડમાંથી આગળ.
ટહુકાનો મતલબ જ્યાં મારામાં ઉતર્યો ત્યાં મારાયે ગાલ લાલ લાલ….
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ

આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, એને ક્યાં સૂંઘી શકાય છે!
ટહુકાનો અર્થ આમ ઇન્દ્રિયાતીત તોય મારામાં ઉતરતો જાય છે.
ટહુકાવું કાંઈ નથી ઘટનાનું નામ, અલ્યા ટહુકો તો વાલમનું વ્હાલ….
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ

– મયૂર કોલડિયા

સદીઓ પહેલાં કવિ કાલિદાસે વાદળ મારફતે પ્રિયાને સંદેશો મોકલાવ્યો હતો. આજે પ્રિયાના ઘરેથી એક પંખી ટહુકામાં એની ટપાલ લઈને આવ્યું છે અને એક ટહુકા માત્રમાં ફળિયાની રેતી રેતી મટીને પ્રણયફાગનો ગુલાલ બની ગઈ. આખું ફળિયું પ્રિયજને પાઠવેલ પત્ર બની ગયું છે અને ગુલાલ જેવી રેતી એમાં અક્ષરો થઈને સોહી રહી છે. રેતી અક્ષરો બની જાય તો લખાણ કેવું ભીડભાડવાળું બની જાય! પણ આ તો પ્રેમનો ટહુકો છે, એ શબ્દો અને અર્થથી આગળ અહેસાસ સુધી પહોંચે છે. અને પ્રેમનો મતલબ સમજાતાવેંત લાલિમા પ્રસરી જાય છે. ટહુકો ઇન્દ્રિયગમ્ય છે પણ એનો અર્થ તો ઇન્દ્રિયાતીત જ ને?! આ ઘટના ઘટમાં ઊતરે એ જ સાચું વહાલ… સાચો પ્રેમ…

Comments (23)

મોચમનો ખાર – પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

ઢૈડી ઢૈડી થાક્યો રે જીવો પટલ… ખાર મોચમનો,
કયાં શેઢા લગ લાગ્યો રે? જીવો પટલ…. ખાર મોચમનો.

હોમી દીધું જીવતર આખું ખાર ગાળવા ખેતરમાં,
એકે કણ ના હેઠે ઉતર્યો, શ્રાવણમાં કે ચૈતરમાં
ગાળી ગાળી થાક્યો રે જીવો પટલ… ખાર મોચમનો.

ખાર મઢેલાં ઢેફામાં તો મોલ જરી ના ફુલે ફાલે,
હરખપદૂડો થઈને જીવો ક્યાંથી આ ખેતરમાં મ્હાલે?
તોડી તોડી થાક્યો રે જીવો પટલ… ખાર મોચમનો.

પાણી ખારાં, ખેતર ખારું અને આયખું ખારું ખારું,
હાલી નીકળો અહીંથી જીવા, સાંજ પડી ને બજે નગારું
પડતો મેલી હાલ્યો રે જીવો પટલ… ખાર મોચમનોે.

– પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’

‘ગુજરાત સમાચાર’ની શતદલ પૂર્તિમાં કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની સમાલોચના ન વાંચી હોત તો આ ગીતનો મોટાભાગનો હિસ્સો મને સમજાયો જ ન હોત. મિસ્કીનસાહેબની કલમમાંથી જ થોડું ગાળી-ચાળીને આપ સહુ માટે રજૂ કરીએ છીએ…

નળ સરોવરથી લઈને ધોલેરા સુધીના અનેક ગામો એકલા ખારા પાટમાં આવેલા છે. ઢૈડી ઢૈડીનો અર્થ થાય છે ઢસડવું. ખાર એ જમીનમાંથી ઊદ્ભવતો ક્ષાર છે. મોચમ મૌસમ નહીં. મોસમ એટલે ખેતરના બે શેઢે કિનારી ઉપર નંખાતી આડા ચાસની શેર. જીવો પટેલ એ બીજો કોઈ નહીં પ્રત્યેકનો જીવ. ખેતર એ બીજું કંઈ નહીં પણ જીંદગીનું ખેતર. પ્રત્યેક ઉનાળે ખેતરના શેઢે આ ખારને કાઢવો એ બહુ અઘરું કામ. આ ખાર ખેતરને માટે જોખમી. ખાર ઢૈડી-ઢૈડીને દૂર ના કરો ત્યાં સુધી એમાં કશું ઉગાડવું અઘરું.

જીવનના ખેતરમાંથી પણ ખાર ખસેડતા-ખસેડતા આખું જીવતર હોમાઈ જાય છે. અને ખાર જો વધારે પડતો હોય તો જીંદગીમાં એક કણ ઊગે નહીં. ક્યારેક જીવનભર ખાર ગાળ્યા કરીએ છીએ અને થાકીને મૃત્યુ પામીએ છીએ. જે માટીનાં ઢેફામાં ખાર હોય એ માટીમાં મોલ વિકસતો નથી. ખેતર લીલુંછમ્મ જોવા મળે એવા દિવસો તો ક્યારે આવે? જીવ, માણસ, જાન નામ ગમે તે આપો. પણ પ્રત્યેક વ્યક્તિ પોતાના ખેતરનો ખાર તોડી-તોડીને થાકી જાય છે અને છતાંય પાર આવતો નથી.

ભાલ પ્રદેશની એક વિશેષતા એ છે કે દરિયો નજીક છે. હવા પણ ખારી છે. પાણી ખારું છે. ખેતર ખારાં છે. અને જીવન પણ ખારું છે. જીવન સંધ્યાએ જ્યાં રામજી મંદિરમાં નગારું વાગે છે જાતને કહી દેવાય છે કે ચાલ જીવ અહીંથી હાલી નીકળીએ. જીવનભર જીવનમાંથી દુઃખને દૂર કરવા પ્રયત્નો કર્યા જ કરીએ છીએ અને છેલ્લે એ કામ પડતા મૂકીને ક્યાંક ચાલી નીકળીએ છીએ. આપણે આપણા જીવનના ખેતરમાં આંસુ અને દુઃખનો ખાર જોયેલો છે. એનેય તે દૂર ખસેડયા કરીએ છીએ. માનવ જીવનના ઢસરડાનું આ ગીત છે.

– આસ્વાદ : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments (16)

(મને મેં જીવતો રાખ્યો) – રઈશ મનીઆર

જીવનને થાય છે હેરત, મને મેં જીવતો રાખ્યો!
મરણથી કેળવી નિસ્બત, મને મેં જીવતો રાખ્યો

ઉઠાવીને ઘણી દિક્કત, મને મેં જીવતો રાખ્યો
પરાઈ છે ભલે મિલકત, મને મેં જીવતો રાખ્યો

બળદની જેમ અટકું તો સમય ભોંકાય છે પીઠે
ખમી એવી પરોણા-ગત, મને મેં જીવતો રાખ્યો

ટકી રહેવાનાં સૃષ્ટિમાં નથી કારણ કોઈ ઝાઝાં
ગમી ગઈ એકબે બાબત, મને મેં જીવતો રાખ્યો

ઉપાડી લઈ મૂડી અસ્તિત્વની નીકળી શકાયું નહીં,
કે બાંધેલી હતી મુદ્દત, મને મેં જીવતો રાખ્યો

ઝુકાવ્યું શીશ જ્યાં-ત્યાં, પાઘડી આ ધૂળભેગી થઈ
પછી ર્‌હી નમ્ર, પણ ઉન્નત, મને મેં જીવતો રાખ્યો

‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ ‘જગત મિથ્યા’ જ ચારેકોર
નિરંતર શોધવા ‘તત્સત’, મને મેં જીવતો રાખ્યો

જો ઉત્પાદન તૂટે તો શાખ ઉત્પાદકની બગડે છે,
ખુદાની હું ય એક સરજત, મને મેં જીવતો રાખ્યો

જણાવી લાભ શો, તો યે, પ્રભુ તમને જણાવું જત..
ભલે ને, ના મળી લિજ્જત, મને મેં જીવતો રાખ્યો

– રઈશ મનીઆર

મિત્રો,
કોરોનાના આ કપરાકાળમાં મિત્રોને જાણ્યા-અજાણ્યા માનવબંધુઓને અકાળે આપણી વચ્ચે સરકી જતાં જોઈને, એ ખાલીપા વચ્ચે જીવતા રહેવું, ખુદને જીવાડતાં રહેવું પણ કપરું છે, ‘મને મેં જીવતો રાખ્યો’ એમાં ‘જીવતા રહ્યા’નું અભિમાન નથી, જિજીવિષા જરાસરખી ખૂટી ગયાની વિવશતા છે. આપ સહુને સાંત્વના અને સંવેદનાઓ સાથે આ ગઝલ અર્પણ કરું છું.
– રઈશ મનીઆર

Comments (8)

રહસ્યો – ડેની એબ્સે – અનુ: જગદીશ જોષી

રાત્રે, હું જાણતો નથી હોતો હું કોણ છું
જ્યારે સ્વપ્નમાં હોઉં, જ્યારે હું સૂતો હોઉં.

જાગતાં, મારો શ્વાસ થંભાવું છું ને સાંભળી રહું છું;
દીવાલની પાછળની બાજુને ખણે છે એક કઠણ નખ.

મધ્યાહૂને, સૂર્યથી ઝળાંહળાં ઓરડામાં પ્રવેશું છું
વગર કારણે બળતી બત્તીને નીરખવા.

આજ સુધીમાં હું પામી જ ગયો છું કે ભાગ્યે જ કોઈ સ્વરસપ્તકો સાંભળી શકાય છે,
કે વધુ પડતા લાંબા સમય સુધી તાકી રહેવાથી કોઈ ‘દર્શન’ નષ્ટ થાય છે;
કે નોંધાયેલો સમગ્ર ઇતિહાસ ખુદ
મહાન સૂનકારમાં એક એલફેલ ગપસપ સિવાય બીજું કંઈ નથી;
કે એક મૅગ્નેશિયમનો ઝબકારો ઉજાળી નથી શકતો
અદૃશ્યને એક ક્ષણ માટે પણ.

હું રાવફરિયાદ કરતો નથી. હું પ્રારંભ કરું છું દશ્યથી
અને દિગ્મૂઢ થઈ જાઉં છું હું દશ્યથી.

– ડેની એબ્સે – અનુ: જગદીશ જોષી

ગહન વાતની સરસ કાવ્યાત્મક રજૂઆત !

કાવ્યની ચાવી અંતિમ બે પંક્તિમાં છે. કાવ્યનો ઉઘાડ અને વિસ્તાર દ્વંદ્વ પ્રત્યેની અચરજભરી દ્રષ્ટિથી થાય છે અને મધ્યે કવિ કહે છે કે સમગ્ર ઇતિહાસ અર્થાત માનવજ્ઞાન એ અનંત બ્રહ્માંડના સાપેક્ષે કશું જ નથી. એકાદ પ્રજ્ઞાના ઝબકારે અદ્રષ્ટ ઊજળી શકતું નથી. ગૂઢ઼તત્વની ગૂઢતા ખૂલતી નથી. અંતે કવિ કહે છે કે જીવનની શરૂઆત દ્રષ્ટ-વિશ્વને સમજવાના પ્રયત્નથી થાય છે અને જેમ જેમ સમજણ વિકસિત થતી જાય છે તેમ તેમ આ વિશ્વની ભવ્યતા/ગૂઢ સૌંદર્ય મને દિગ્મૂઢ કરી મૂકે છે…….જે રીતે અર્જુન દિગ્મૂઢ થઈ જાય છે કૃષ્ણના વિશ્વરૂપદર્શનથી !

Comments (2)

મારે તમને મળવું છે – રિષભ મહેતા

ફૂલ ઝરંતો હાથ લઈને, ઝાકળ જેવી જાત લઈને,
સૂરજની એક વાત લઈને મારે તમને મળવું છે !
સાંજ ઢળ્યા-ની ‘હાશ’ લઈને, ઝલમલતો અજવાસ લઈને,
કોરાં સપના સાત લઈને મારે તમને મળવું છે.

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર,
ચિતર્યું’તું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકી’તી હોડી;
સ્થિર ઊભેલી તે હોડીને તરતી કરવા, સરસર સરવા,
ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે.

ખોજ તમારી કરતાં કરતાં થાક્યો છું હું, પાક્યો છું હું,
પગમાંથી પગલું થઈ જઈને વિખરાયો કે વ્યાપ્યો છું હું;
જ્યાં અટવાયો જ્યાં રઘવાયો, તે સઘળા મારગ ને
મારગનો એ સઘળો થાક લઈને મારે તમને મળવું છે.

ક્યારેક તો ‘હું’ને છોડી દો, ભીતરની ભીંતો તોડી દો,
બંધ કમાડ જરા ખોલી દો, એકવાર તો ‘હા’ બોલી દો;
‘હા’ બોલો તો હાથમાં થોડા ચાંદલીયા ને તારલીયાની
ઝગમગતી સોગાત લઈને મારે તમને મળવું છે.

– રિષભ મહેતા

બહુ ઓછા માણસ હોય છે જે જિંદગીમાં જેને મળે એ બધા એના મિત્રો જ બની જાય… શત્રુ કોઈ ધારે તોય બની ન શકે એવા મીઠડા તો કોઈક વીરલા જ હોય ને ! રિષભ મહેતા આવું જ એક નામ હતું… આજે આ નામ સાથે ‘હતું‘ લખતાં હાથ કાંપે છે… અદભુત કવિ, મજાના સંગીતકાર, બેનમૂન ગાયક અને સહુથી વધીને મુઠ્ઠી ઊંચેરા માણસ એવા રિષભભાઈ જીવનના દરેક ક્ષેત્રમાં અજાતશત્રુ અને સર્વામિત્ર રહ્યા… ગુજરાતી કવિતા સંગીત હંમેશા એમને miss કરશે…

Comments (13)

(મુસીબત ટળી જાય) – કિરણસિંહ ચૌહાણ

હવે બસ ઝડપથી મુસીબત ટળી જાય,
કશુંક એવું કર, તારી દુનિયા બચી જાય.

ખુશી સાંપડે કાં ઉદાસી ગમી જાય,
ગમે તે રીતે બસ આ જીવન ટકી જાય.

અહીં ગમતાં લોકો નથી આવી શકતાં,
તું કોયલને કહેને કે ટહુકો કરી જાય!

નથી કોઈ જીવાણુંને માટે છાતી,
ચહું, એને કાઢીને ત્યાં તું વસી જાય.

હવે લઈ લે તારું આ ઝીણું રમકડું,
એ પહેલાં કે સૌ ભેટવાનું ભૂલી જાય!

– કિરણસિંહ ચૌહાણ

કોરોનાકાળમાં વાંચેલી ઉમદા રચનાઓમાંની શિરમોર… વાત તો વર્તમાન પરિસ્થિતિની જ છે પણ કોઈપણ સામયિક રચના સમયને અતિક્રમી શકે ત્યારે એ કવિતા બને છે. કવિ એ કવિકર્મ કરી શક્યા છે એનો આનંદ…

Comments (2)

(જાઉં હું) – મેગી અસનાની

બસ, બહુ મોડું થયું છે, જાઉં હું,
બે ઘડી દુનિયાને પણ દેખાઉં હું.

ખૂબ ચાહું છું તને, પણ બોલતા
કોણ જાણે કેમ રે મૂંઝાઉં હું?

બે ઘડી જો વાત મીઠી તું કરે,
એ પછી બે ત્રણ દિવસ હરખાઉં હું.

હું જ જ્યાં ખુદને હજુ સમજી નથી,
અન્યને તો શી રીતે પરખાઉં હું?

એટલી યાદો તું આપીને ગયો,
ખાલી ઘરમાં ચાલતા અથડાઉં હું.

– મેગી અસનાની

સરળ સહજ ભાષામાં સ્ત્રી હૃદયના ભાવોની નાજુક મીનાકારી. પ્રિયજનમાં સમગ્રતયા ખોવાઈ ગઈ હોવા છતાં સ્ત્રી દુનિયા તરફની પોતાની જવાબદારી તરફ મોઢું ફેરવી શકતી નથી. બે ઘડી તો બે ઘડી, પણ દુનિયાની સામે હાજરી તો પૂરાવવી જ પડે. આ સ્ત્રી જ કરી શકે. એ કદી બેપરવા બની શકતી નથી.

Comments (6)

અવહેલા – જગદીશ જોષી

સૂરજને જોઈ મુખ કમલિની ફેરવે
હવે સૂરજને ઢૂંઢવું પાતાળ.
મોઢું દેખાડવાનો મહિમા નહીં: એને
પાંદડીને ચૂમવી વાચાળ.

ખોવાયો ખોવાયો ફરતો રહે બાવરો
ને ઓછપને ઓઢી સંતાય.
નભનો મારગ મથે ટૂંકવવા, સમણાંઓ
પળપળને કાંતી કંતાય.
ઝાઝેરું જીવ્યાનો થાતો અફસોસ : એને
કિરણો પણ લાગે જંજાળ.

વાદળના મ્હેલ સૂના સૂના લાગે ને
હવે જળના દર્પણમાં તિરાડ,
ઝંખેલા પ્રેમને પામ્યા વિના તો હવે
પાંપણ પર પથરાતા પ્હાડ.
આભના બે છેડાની વચ્ચે આ રણ, અને
મૃગજળની ઝળહળતી ઝાળ!

– જગદીશ જોષી

સૂર્યની વ્યથા !!!! પણ અભિવ્યક્તિ જુઓ – માવજત જુઓ !!!! ” ઝાઝેરું જીવ્યાનો થાતો અફસોસ : એને કિરણો પણ લાગે જંજાળ. ” – અદભૂત !!!! સૂર્ય હોય કે મામૂલી મર્ત્ય માનવી – ઝંખેલો પ્રેમ ન મળે તો નભમંડળનું આધિપત્ય પણ નકામું…….

Comments (2)

ચર્ચા કર્યા વગર – ભગવતીકુમાર શર્મા

તું જે કહે કબૂલ છે ચર્ચા કર્યા વગર;
ચાહું છું હું કશીય અપેક્ષા કર્યા વગર,

ટિપ્પણ કર્યા વગર અને ટીકા કર્યા વગર;
જીવી શકું તો જીવવું હો-હા કર્યા વગર,

ઇચ્છા છે એટલી કે હું ઇચ્છા નહીં કરું;
શી રીતે રહી શકાય છે ઇચ્છા કર્યા વગર,

સંબંધમાં જરૂરી છે સમજણની હાજરી;
ચાહી શકાય તો જ ખુલાસા કર્યા વગર.

સરનામું મારું કોઈએ ચીંધ્યું નહીં મને;
મેં પણ ગલી વટાવી’તી પૃચ્છા કર્યા વગર.

એમાં તે શી મજા કે સમયસર તમે મળો?
મળવું ગમે જ કેમ પ્રતીક્ષા કર્યા વગર?

અધવચ્ચે શ્વાસ અટકે તો આશ્ચર્ય કંઈ નથી;
છોડ્યાં ઘણાં યે કામ મેં પૂરાં કર્યા વગર.

– ભગવતીકુમાર શર્મા

Comments (2)

(नज़र आता हूँ) – ख़लील धनतेजवी

अब मैं राशन की क़तारों में नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ

इतनी महँगाई के बाज़ार से कुछ लाता हूँ
अपने बच्चों में उसे बाँट के शरमाता हूँ

अपनी नींदों का लहू पोंछने की कोशिश में
जागते जागते थक जाता हूँ सो जाता हूँ

कोई चादर समझ के खींच ना ले फिर से ‘ख़लील’
मैं कफ़न ओढ़ के फुटपाथ पे सो जाता हूँ

– ख़लील धनतेजवी

જેમ ગુજરાતીમાં, એમ ઉર્દૂમાં પણ ખલીલભાઈની કલમ ખૂબ ખીલી હતી. એમની સૌથી વધુ પ્રસિદ્ધ રચના આ, જેને જગજીતસિંહે કંઠ આપીને અમર બનાવી દીધી છે. એકેએક શેર અદભુત થયા છે…

Comments (9)

(સામે હતી) – ખલીલ ધનતેજવી

એના ઘરની એક બારી મારા ઘર સામે હતી
મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી

એક સરખો ગર્વ બંનેને હતો વ્યક્તિત્વનો
એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી

રાતે ચિંતા કે સવારે સૂર્ય કેવો ઊગશે
ને સવારે, સાંજ પડવાની ફિકર સામે હતી

ને વસંતોને ઊમળકાભેર માણી લેત પણ
હાય રે! એક વેંત છેટે પાનખર સામે હતી

હું જ અંધારાના ડર થી આંખ ન ખોલી શક્યો
એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી

મિત્રને શત્રૂની વચ્ચોવચ ખલીલ ઊભો હતો
એક આફત પીઠ પાછળ એક નજર સામે હતી.

– ખલીલ ધનતેજવી

કેવી સંઘેડાઉતાર રચના… એક-એક શેર ખરું સોનુ જ જોઈ લ્યો…

Comments (8)

(ઘર થયું) – ખલીલ ધનતેજવી

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,
જે કશું ખૂટતું હતું સરભર થયું.

તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,
તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.

જિંદગીભર જાતને તડકે મૂકી,
એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.

શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,
જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.

એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,
કટકે કટકે પૂરું આ જીવતર થયું.

– ખલીલ ધનતેજવી

સભારંજની શેર મોટાભાગે કવિતાની એરણ પર ફટકિયું મોતી સાબિત થતા હોય છે. પણ ખલીલભાઈની આ ગઝલ જુઓ. જે શેરો પર કવિ મહેફિલ ડોલાવતા હતા, એ શેરોમાં કેવા અમૂલ્ય મોતીનો ચળકાટ છે એ જોવા જેવું છે…

Comments (9)

(પૃથ્વી ગોળ છે) – ખલીલ ધનતેજવી

કાચના મહેલોમાં કાગારોળ છે,
પથ્થરોની આંખ પણ તરબોળ છે.

કલ્પના સુંદર હતી, રૂડી હતી,
વાસ્તવિકતા કેટલી બેડોળ છે!

રાતદિ’ ચાલું છું ત્યાંનો ત્યાં જ છું,
મારું જીવન જાણે કે ચકડોળ છે!

મારા દિલમાં જીવતી ચિનગારીઓ,
એની આંખોમાં નર્યો વંટોળ છે.

કોણ એનું રૂપ બદલે, શી મજાલ?
આ તો મારા ગામની ભૂગોળ છે.

ઘાણીએ ફરતો બળદ અટકી જશે,
એને ના કહેશો કે પૃથ્વી ગોળ છે.

– ખલીલ ધનતેજવી

ગુજરાતી ગઝલના આકાશમાં દાયકાઓથી એકધારું મધ્યાહ્ને તપતો એક સૂર્ય ૮૫ વર્ષની વયે અચાનક આથમી ગયો… ગુજરાતી ગઝલના આકાશમાં અનેક સૂર્યો અને સિતારો આવતા રહેશે પણ ખલીલસાહેબની જગ્યા ભાગ્યે જ કોઈ લઈ શકશે. ઊંચી કદાવર કાઠી અને ઘોઘરા અવાજ સાથે એ જે અંદાજે-બયાંથી ગઝલ કહેતા, એ પણ હવે સ્મૃતિશેષ જ રહેશે. ભાગ્યે જ કોઈ મુશાયરો એવો થયો હશે, જેમાં ખલીલસાહેબને એમનો કાવ્યપાઠ પતી ગયા પછી દર્શકોના ‘વન્સમોર’ને માન આપીને પુનઃ માઇક ગ્રહણ કરવું ન પડ્યું હોય…

Comments (8)

मैं ज़ख्म गिन रहा हूँ…- ख़लील धनतेजवी

अब के बरस भी किस्से बनेंगे कमाल के,
पिछला बरस गया है कलेजा निकाल के।

अपनी तरफ से सबकी दलीलों को टाल के,
मनवा ले अपनी बात को सिक्का उछाल के।

ये ख़त किसी को खून के आँसू रुलाएगा,
कागज़ पे रख दिया है कलेजा निकाल के।

माना कि ज़िन्दगी से बहुत प्यार है मगर,
कब तक रखोगे काँच का बर्तन संभाल के।

ऐ मीर-ए-कारवाँ मुझे मुड़ कर ना देख तू,
मैं आ रहा हूँ पाँव से काँटे निकाल के।

तुमको नया ये साल मुबारक हो दोस्तों,
मैं ज़ख्म गिन रहा हूँ अभी पिछले साल के।

– ख़लील धनतेजवी

ખલીલસાહેબ ઉર્દુમાં પણ ગઝલ કહેતા…..તેઓની એક ગઝલને જગજીતજીએ કંઠ પણ આપ્યો હતો….આ એક તેઓની જાણીતી રચના….

Comments (3)

તારી ને મારી જ ચર્ચા – ખલીલ ધનતેજવી

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!

આપણે તો પ્રેમનાં અરમાન પુરવાના હતા,
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!

– ખલીલ ધનતેજવી

ખલીલસાહેબનો ખરો રંગ મક્તામાં વ્યક્ત થાય છે – છેલ્લેથી બીજો શેર પણ મજબૂત છે. જો કે તમામ શેર સાહેબની પ્રજ્ઞાનો અંદાજ આપે છે….

Comments (7)

મારી નથી….- ખલીલ ધનતેજવી

ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.

કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,
જે દશા તારી થઈ છે એ દશા મારી નથી.

જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,
એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.

મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને,
આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.

પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,
જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.

તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,
દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.

દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,
ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.

– ખલીલ ધનતેજવી

તેજ ના ધની – ધનતેજવી અનંત તેજમાં વિલીન થઇ ગયા……

Comments (5)

વસંત વિલાસ – ૦૨ : અજ્ઞાત (અનુવાદ: વિવેક મનહર ટેલર)

ગયા શનિવારે આપણે છસો વર્ષ પૂર્વે કોઈ અજ્ઞાત કવિ દ્વારા લખાયેલ અભૂતપૂર્વ અજરામર ફાગુકાવ્ય ‘વસંતવિલાસ’નો પ્રાથમિક પરિચય મેળવ્યો અને કેટલાક દુહાઓનો આસ્વાદ માણ્યો. ભાગ ૦૧ આપ અહીં ફરી માણી શકશો: https://layastaro.com/?p=18466

આજે બીજા કેટલાક દુહાઓનો આસ્વાદ કરીએ…(અત્રે પ્રસ્તુત દુહાઓનો વિગતવાર આસ્વાદ અહીં માણી શકાશે: http://tahuko.com/?p=19725

(૦૬)
ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

ઘૂમે ભ્રમર કેસરકળી કેસરયુક્ત અસંખ,
ચાલે છે રતિપતિ શૂરા, સુભટ ફૂંકે છે શંખ. |૨૯|

ભમરાઓ બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર ઘૂમી રહ્યા છે, જાણે કે શૂરવીર કામદેવના પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકી રહ્યા છે.

(૦૭)
કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ,
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ. |૩૪|

કિંશુકકળી અતિ વાંકડી, આંકડી મદનની જાણ,
તાણી આણશે આ ઘડી વિરહિણીના પ્રાણ. |૩૪|

કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.

(૦૮)
સખિ મુઝ ફુરકઈ જાંઘડી તાં ઘડી બિહું લગઈ આજુ,
દુષ સવે હિવ વામિસુ પામિસુ પ્રિય તણૂં રાજુ. |૪૬|

સાથળ ફરકે મુજ સખી, આ પળ બેથી આજ,
દુઃખ હવે સૌ વામશું, પામશું પ્રિયનું રાજ. |૪૬|

સખી! મારી જાંઘ આ બે ઘડીથી ફરકી રહી છે. હવે બધા દુઃખ દૂર કરીશું અને પ્રિયનું રાજ્ય પામીશું.

(૦૯)
નમણિ કરઈં ન પયોધર યોધર સુરતસંગ્રામિ
કંચુક તિજઈં સંનાહુ રે નાહુ મહાભડુ પામિ. |૬૬|

રતિસંગ્રામે ના નમે યોધ પયોધર નામ,
કંચુકિ બખ્તર ત્યાગતાં પામતાં સુભટ નાથ. |૬૬|

રતિસંગ્રામમાં પયોધર નામના યોદ્ધાઓ નમતા નથી. તેઓ પતિરૂપી મહાભડને પામતાં કંચુકીરૂપી બખ્તર પણ ત્યજી દે છે.

(૧૦)
કેસૂય ગરબુ મ તૂં ધરિ મૂં સિરિ ભસલુ બઈઠ,
માલતીવિરહ બહૂ વહઈ હૂઅવહ ભણીય પઈઠ. |૭૭|

કિંશુક, ના કર ગર્વ તું, શિર છો બેઠો ભીર,
આગ ગણી પેઠો જો વધી માલતીવિરહ પીર. |૭૭|

હે કેસૂડા! મારા માથે ભમરો બેઠો છે એવો ગર્વ તું ન કર. (કારણ કે) માલતીના વિરહની પીડા અતિશય વધતાં એ (આપઘાતકરવાના ઇરાદે જ તને) આગ ધારીને (તારામાં) પેઠો છે.

(૧૧)
સખિ અલિ ચલણિ ન ચાંપઇ, ચાંપઇ લિઅઇ ન ગંધુ,
રૂડઇ દોહગ લાગઇ, આગઇ ઇસ્યુ નિબંધું. |૭૮|

ભ્રમર મૂકે ના પગ સખી, ના લે ચંપક ગંધ,
રૂડાંને દુર્ભાગ્ય એ આગળથી સંબંધ. |૭૮|

હે સખી! ભમરો ચંપામાં પગ મૂકતો નથી, એની ગંધ પણ લેતો નથી. રૂડી વસ્તુ સાથે દુર્ભાગ્ય જોડાયેલું હોય છે એ આગળથી ચાલતો આવેલો નિયમ છે.

(૧૨)
એક થુડિ બઉલ નઇ બેઉલ બેઉ લતાં નવ ભેઉ,
ભમર વિચાલિ કિસ્યા મર પામર વિલસિ ન બેઉ. |૮૧|

એક થડે બેઉલ બકુલ બેઉ લતામાં ન ભેદ,
ભોગવ બેઉને, ભ્રમર, ના કર પામર ખેદ. |૮૧|

એક થડ ઉપર બેઉલ અને બકુલ છે. બેઉ લતાઓમાં ભેદ નથી. હે ભ્રમર! બેઉ વચ્ચે શા માટે મરે છે? પામર! બંને સાથે વિલાસ કર ને!

Comments (3)

સુદામાચરિત્ર – કવિ પ્રેમાનંદ

કડવું – ૦૯
(રાગ મલાર)

ગોવિન્દે માંડી ગોઠડી, કહો મિત્ર અમારા, (ટેક)
અમો સાંભળવા આતુર છઉં સમાચાર તમારા ગો. ૧

શું દુઃખે તમો દૂબળા? એવી ચિંતા કેહી ?
પૂછે પ્રીતે વળી શામળિયો, મારા બાળસનેહી! ગો. ૨

કોઈ સદગુરુ તમને મળ્યો, શું તેણે કાન ફૂંકયો ?
શું વેરાગી ત્યાગી થયા, કે સંસાર જ મૂકયો ? ગો. ૩

શરીર પ્રજાળ્યું જોગથી ? તેવી દીસે દેહી;
શે દુઃખે દૂબળા થયા, મારા બાળસનેહી ! ગો. ૪

કે શત્રુ કો માથે થયો, ઘણું દુઃખદાતા?
કે ઉપરાજ્યું ચોરીએ ગયું, તેણે નથી શાતા? ગો. ૫

ધાતુપાત્ર મળ્યું નહિ, આવ્યા તુંબડું લેઇ?
વસ્ત્ર નથી શું પહેરવા, મારા બાળસનેહી? ગો. ૬

કે સુખ નથી સંતાનનું, કાંઈ કર્મને દોષે?
કે ભાભી અમારા વઢકણાં, તે શું લોહીડું શોષ? ગો. ૭

કે શું ઉદર ભરાતું નથી, તેણે સૂકી દેહી?
એટલામાં કિયું દુખ છે, મારા બાળસનેહી? ગો. ૮

પછે સુદામોજી બોલિયા, લાજી શીશ નામીઃ
‘તમને શી અજાણી વાત, મારા અંતરજામી! ગો. ૯

છે મોટું દુઃખ વિજોગનું, નહીં કૃષ્ણજી પાસે;
આજ પ્રભુજી મુજને મળ્યા, દેહી પુષ્ટ જ થાશે.’ ગે ૧૦

– પ્રેમાનંદ

પ્રેમાનંદ જેવો આખ્યાનકાર ગુજરાતમાં એના પહેલાં કે પછી કોઈ પાક્યો નથી. કથામાં કવિતા રેડીને કવિતાની કથા એ જે રીતે માણ વગાડતા વગાડતા કરતો હતો એ ન ભૂતો ન ભવિષ્યતિ જેવી અમર ઘટના છે. પ્રેમાનંદના વિખ્યાત ‘સુદામાચરિત્ર’માં કુલ ચૌદ કડવાં છે, જેમાંથી નવમું કડવું અત્રે પ્રસ્તુત છે. સુદામા વર્ષો બાદ પત્નીના કહેવાથી તાંદુલની પોટલી કેડે બાંધીને શ્રીકૃષ્ણને મળવા આવ્યા છે. અને એમને જોતાંની સાથે કૃષ્ણ એના સૂકાઈ ગયેલા દેહ વિશે જે લાગણીથી પૃચ્છા કરે છે, એ મિત્રતાના ઇતિહાસનું સોનેરી પાનું કહી શકાય એમ છે. સુદામા કયા દુઃખે આટલા દૂબળા થઈ ગયા છે એ વિશે એક પછી એક જે અટકળો કૃષ્ણ બાંધે છે, એ જ આ કડવાનો પ્રાણ છે. કૃષ્ણની ઉલટતપાસનો કાવ્યાંતે સુદામા જે જવાબ આપે છે એનાથી ઉત્તમ બીજો કોઈ જવાબ હોઈ શકે ખરો?

Comments (6)

એવું રે તપી ધરતી – પ્રહલાદ પારેખ

એવું રે તપી ધરતી, એવું રે તપી,
જેવાં તપ રે તપ્યાં’તાં એક દિન પારવતી સતી

અંગ રે સુકાય, એનાં રંગ રે સુકાય,
કાયાનાં અમરત એનાં ઊડી ચાલ્યાં જાય,
તોયે ન આવ્યો હજુયે મેહુલો જતિ,
એવું રે તપી ધરતી, એવું રે તપી.

વન રે વિમાસે એનાં જન રે વિમાસે,
પંખીડાં જોતાં એનાં પશુઓ આકાશે:
જટાળો એ જોગી ક્યાંયે કળાતો નથી!
એવું રે તપી ધરતી, એવું રે તપી.

કહોને તમે સૌ તારા! દૂરે છો દેખનારા,
કહોને ડુંગરનાં શિખરો! આકાશે પહોંચનારાં;
આંખોની વીજ એની ઝબૂકી કહીં?
એવું રે તપી ધરતી, એવું રે તપી.

કહોને સાગરનાં પાણી, તમને છે સંભળાણી,
ઘેરી ગંભીર એની આવતી ક્યાંયે વાણી?
એની રે કમાન દીઠી તણાઈ કહીં?
એવું રે તપી ધરતી, એવું રે તપી.

આવોને મેહુલિયા! આવો, ધરતીનાં તપ છોડાવો,
રૂપે ને રંગે નવાં, તપસીને એ સુહાવો;
અમરતથી હૈયું એનું દિયોને ભરી!
એવું રે તપી ધરતી, એવું રે તપી

– પ્રહલાદ પારેખ

ઉનળો શરૂ થઈ ચૂક્યો છે. સવાર અને સાંજના થોડા સમયને બાદ કરતાં મે મહિનાની યાદ અપાવી દે એવી ગરમી અને ઉકળાટ અત્યારમાં વર્તાઈ રહ્યો છે. લોકગીતની ચાલમાં કવિ ઉનાળામાં તપી જતી ધરતીના નાનાવિધ આયામો રજૂ કરે છે. ગરમીનો પ્રકોપ અને દૂર દૂર સુધી નજરે ન ચડતી મેહુલિયાના આગમનની એંધાણીને અડખેપડખે મૂકીને કવિ કમસેકમ હૈયાને શીતળતા બક્ષે એવી મજાની રચના આપે છે. જો કે આ રચના વાંચવાની સખ્ત મનાઈ છે… એને તો ફરજિયાત ગણગણવી જ રહી…

Comments (7)