ચાલ્યા છો તમે હાથમાં છત્રી લઈ આદમ,
વર્ષામાં કર્યો છે તમે વર્ષાનો અનાદર.
શેખાદમ આબુવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગીત

ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




બંદર છો દૂર છે – સુંદરજી બેટાઇ

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

ફંગોળે તોફાની તીખાતા વાયરા,
મૂંઝાયે અંતરના હોયે જે કાયરા;
તારા હૈયામાં જો સાચી સબૂર છે,
છોને એ દૂર છે!

આકાશી નૌકાને વીજ દેતી કાટકા,
તારી નૌકાનેય દેતી એ ઝાટકા;
મધદરિયો મસ્તીમાં છોને ચકચૂર છે;
બંદર છો દૂર છે.

આંખોના દીવા બુઝાયે આ રાતડી,
ધડકે ને ધડકે જે છોટેરી છાતડી;
તારી છાતીમાં, જૂદેરું કો શૂર છે.
છોને એ દૂર છે!

અલ્લાબેલી, અલ્લાબેલી,
જાવું જરૂર છે,
બંદર છો દૂર છે.
બેલી તારો, બેલી તારો
બેલી તારો તું જ છે.
બંદર છો દૂર છે!

– સુંદરજી બેટાઇ

Comments

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી – મૂકેશ જોષી

સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી
બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…

મોતીમાંથી દદડી પડતું અજવાળાનું ઝરણું
મેં સાજનને પુછ્યું તારા સપનાંઓને પરણું ?
એણે એના સપનાંમાંથી ચાંદો કાઢ્યો ગોતી..
                                      સાજન મારો…

સૂક્કી મારી સાંજને ઝાલી ગુલાબજળમાં બોળી
ખટમીઠ્ઠા સ્પર્શોની પુરી અંગો પર રંગોળી
સૂરજની ના હોઉ ! એવી રોમે રોમે જ્યોતિ…
                                     સાજન મારો…

– મૂકેશ જોષી

પ્રથમ વરસાદ જેવું તાજું આ ગીત દીલને એક જ ક્ષણમાં લીલુંછમ કરી દે છે. બટન ટાંકવા બેઠી’તી પણ ટાંક્યુ ઝીણું મોતી…એ એક જ પંક્તિ મન પર કબજો કરી લેવા માટે પૂરતી છે !

Comments (3)

સુખસંગત – સંજુ વાળા

વિતરાગી વહેતા જળકાંઠે બેઠા સુખસંગતમાં ;
નહીં પરાયું કોઈ અહીં કે નહીં કોઈ અંગતમાં.

હોવું હકીકત નમણી ;
ભેદ
ભાળે ડાબીજમણી ;
શું
એને કુબજા ? શું રમણી ?
ભાવભર્યું આલિંગન લઈને રમી રહ્યાં રંગતમાં.
બેઠા સુખસંગતમાં

જાગ્યાને મન ભેદ જાગનો ;
ચડે સૂતાને કેફ રાગનો ;
બંને છેડે ખેલ આગનો ;
ભરી સબડકો ખટરસ ચાખ્યો પહેલ કરી પંગતમાં.
બેઠા સુખસંગતમાં


વહેતાં જળ યાને કે સતત ચાલતા રહેતા સંસારના કાંઠે સુખની સંગતમાં કોણ બેસી શકે ? વીતરાગી (ગીતમાં છંદ જાળવણી માટે જોડણીની કદાચ છૂટ લીધી હોઈ શકે) જ સ્તો! અને વીતરાગી માટે વળી કોણ પરાયું અને કોણ પોતીકું ?
પોતાનું હોવું એનાથી વિશેષ નમણી હકીકત વળી શી હોઈ શકે ? હોવાપણું એ જ એવો ઉત્સવ છે કે નથી ડાબા-જમણાનો ભેદ રહેતો કે નથી રૂપ-કુરૂપનો. સારાં-નરસાં બધાંને ભાવથી આલિંગીને વીતરાગી જિંદગીની રંગત માણે છે. સંસારના બે અતિ છે એક છેડે જાગતો માણસ છે જે જાગૃતિનો અર્થ જાણે છે અને બીજા છેડે છે એવા માણસો જેમની નિંદ્રા હજી ઊડી નથી અને જેઓ હજીયે આસક્તિની કેદમાં સબડે છે. બંને અંતિમ સત્ય આખરે તો જીવનની આગનો જ ખેલ છે. અને એ જ વ્યક્તિ સંસારના બધા રસ માણી શકે છે જે આ દુનિયાની પંગતમાં પહેલ કરીને સબડકા ભરવાનું સાહસ ખેડે છે. (સંજુ વાળા (જન્મ: 11-07-1960) રાજકોટમાં રહે છે. ‘કંઈક/કશુંક અથવા તો…’ એમનો કાવ્યસંગ્રહ).

Comments (5)

છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં… – શરદ વૈદ્ય

છોકરાએ બાગ મહીં ભટકી ભટકીને કૈંક
                         એવો તે વેપલો કીધો,
છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં
                         કોરો રૂમાલ એક દીધો.

હોઠોમાં થનગનતા શ્વાસોને લાગેલું
                         રૂપાળા ચહેરાનું ઘેલું,
હોઠોની વંડીઓ ઠેકતું એ જાય દૂર
                         ઘેલી સીસોટીઓનું ટોળું.
સૂર મહીં હણહણતો શબ્દોનો ધોધ પછી
                         છોકરીએ ખોબલે પીધો,
લાગણીના તડકામાં છોકરાએ છોકરીનો
                         મ્હેક ભર્યો ફોટો તે લીધો,
                         છોકરા એ છોકરીને ફૂલોના…

છોકરીની છાતીમાં નળિયાં તૂટ્યાં ને પડ્યો
                         નળિયે વરસાદ કૈંક એવો,
ઝબકીને જાગ્યા રે ફળિયા એ ફળિયામાં.
                         ઊમટ્યો તો સાદ નીક જેવો.
શમણાંને સથવારે રેશમી રૂમાલ લાલ
                         પૂર્યો તો સેંથીમાં સીધો,
મીરાં બનીને પછી છોકરીએ લ્હાય લ્હાય
                         ભગવો તે શ્વાસ એક લીધો
છોકરાએ છોકરીને ફૂલોના બદલામાં
                         કોરો રૂમાલ એક દીધો.

– શરદ વૈદ્ય

આ રમતિયાળ ગીતમાં મુગ્ધપ્રણયની વાત આબાદ રજૂ થઈ છે. મન અને જીવનની કુમળી અવસ્થામાં જ એવો પ્રેમ શક્ય છે જે શરૂ તો થાય રૂમાલથી, પણ વધીને છેક મીરાંના ભગવા સમોવડિયો ઊભો રહી શકે. ગીતની રચના અને શબ્દોને જોઈને સહજ રીતે જ રમેશ પારેખની યાદ આવે એવું સુંદર આ ગીત બન્યું છે. 

Comments (4)

અઢી અક્ષરનું ચોમાસું – ભગવતીકુમાર શર્મા

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

ચાર અક્ષરના મેઘમાં છ્લબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!

ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!

ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!

– ભગવતીકુમાર શર્મા

 

અલગ જ જાતનું આ ગીત અડધું તો ક્રોસવર્ડ પઝલ જેવું લાગે છે ! અક્ષરોની ગણતરીની વાત અહીં માત્ર ગણતરી તરીકે જ નથી આવતી, એ તો આવે છે સમજાવવામાં માટે કે પ્રકૃતિના સૌંદર્યમાં પ્રિયજનને ઉમેરો તો જ સાચો સરવાળો થાય.   

Comments (40)

રસ્તા પર સૂતેલા માણસનું ગીત – નયન દેસાઈ

અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં
જરા વારમાં નીંદર આવી ધુમ્મસમાં આળોટ્યાં

ગગનનું એવું કે ચાદરની જેમ કદી ના ફાટે
સાવ સુંવાળા વાદળનું એ રેશમ આપે સાટે
નહીં કમાડો, બારી, પગરવ ઊમ્બર આઘાં મૂક્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

ધરા ઉપર સૂવાનું સુખ આ : પોતીકા થૈ જઈએ
પવન-ઘાસની વાતો મીઠી કાન દઈ સાંભળીએ
રોજ સવારે પંખીના મીઠા કલરવથી જાગ્યાં
અમે સાવ રસ્તા પર લ્યો ! આ ગગન પાથરી સૂતાં

મૂળ વાલોડના પણ હવે મારા સુરતના જ હમવતની નયન દેસાઈ એમના ટૂંકા કદ અને ઊંચી લાગણીઓથી બધાથી નોખા જ તરી આવે. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને  તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં જ. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ.  જીવનની શરૂઆતમાં હીરા ઘસતાં તે હજી પણ કાચા હીરાઓને પહેલ પાડે, પાડે ને પાડે જ -. નવોદિત કવિઓને નિયમિતપણે વર્ષોથી છંદ શીખવે છે! ગુજરાતમિત્રના સાહિત્ય વિભાગના તંત્રી. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. ઉર્દૂના પણ ઉસ્તાદ. મુશાયરાનું સંચાલન કરતા નયનભાઈને જેણે જોયા નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! (જન્મ: 22-02-1946. કાવ્ય સંગ્રહો: ‘માણસ ઊર્ફે દરિયો ઊર્ફે’, ‘મુકામ પોસ્ટ માણસ’, ‘આંગળી વાઢીને અક્ષર મોકલું’,  ‘અનુષ્ઠાન’ અને ‘સમંદરબાજ માણસ’. સમગ્ર કવિતા: “નયનનાં મોતી”.)

Comments (3)

કારેલું…… કારેલું – વિનોદ જોશી

કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું.

આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….

સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….

આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….

ડો. વિનોદ જોશીનું બાળપણ સૌરાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં વિતેલું છે. તેમની રચનાઓમાં નારીની સંવેદનાનું બહુ જ સૂક્ષ્મ દર્શન તો છે જ, પણ તળપદી ભાષાનો લહેકો અને લય પણ છે. અને છતાં આ મોટા ગજાના કવિ આ કાવ્ય રૂપના માધ્યમ દ્વારા બહુ મોટો સંદેશ આપણને આપી જાય છે.

“માનવ જીવનની ઘટમાળ એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.”

કોઇ કવિએ લખેલી આ પંક્તિઓમાં સ્પષ્ટ રીતે પ્રગટ થતું જીવનનું આ નકારાત્મક દર્શન કેવાં વિશિષ્ટ રૂપકો દ્વારા વિનોદભાઇ આપણને આપી જાય છે?

Comments (1)

મુંબઈની ટ્રેનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટ પર એક ગીત – વિવેક ટેલર

જીવતો જાગતો માણસ ફૂટ્યો,
વિશ્વાસ ખૂટ્યો કે શ્વાસ જ છૂટ્યો.

ફૂટ્યાં એ સૌ બોમ્બ હતાં, બસ ?
જે મર્યાં એ સૌ શું માત્ર માણસ ?
આંખોમાં જે ધ્વસ્ત થયાં તે
ખાલી ડબ્બાઓ, આઠ-નવ-દસ?
માણસની અંદરથી કોઈએ આખેઆખો માણસ લૂંટ્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

કેટલાં સપનાં, ઈચ્છાઓ કંઈ
સાંજનો સૂરજ આવતો’તો લઈ;
નાના કલરવ, છાનાં પગરવ,
રાહ જુએ સૌ દરવાજા થઈ
એક ધડાકે એક જીવનમાં કેટલાનો ગુલદસ્તો તૂટ્યો !
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

પૂરી થશે શું માંગ તમારી,
નિર્દોષોને જાનથી મારે ?
મોત છે શું ઈલાજ જીવનનો?
આ નાદાની છે કે બિમારી ?
મુરાદ બર ના આવે તો પણ સદીઓથી ચાલે આ કૃત્યો.
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

આતંકવાદીને ફાંસી આપો,
પણ પહેલાં અંદર તો ઝાંકો;
છે શરીર તો એક જ સૌના,
શાને અલગ-અલગ પડછાયો?
એક જ માના પેટની પાટી, કોણે આવો એકડો ઘૂંટ્યો ?
જીવતો જાગતો માણસ ફૂટ્યો.

– ડૉ.વિવેક મનહર ટેલર

Comments (13)

બિન્ધાસ્ત નિમંત્રણ – ‘અગમ’ પાલનપુરી

‘આવ’ ! …કીધે શું આવવું ? પ્રિયે !
વણ કીધે પણ આવ;
સાવ અચાનક ક્ષણનો અધધ…
માણિએ ઉભય લ્હાવ !

બહારથી ભરું બાથ મને હું
ભીતરે પહોળે હાથ;
સાવ ખાલીખમ ઓરડે ભર્યો –
ભાદર્યો તારો સાથ !
બારણું વાખું જગ મલાજે…
બારીએ ધીરું ફાવ;
‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે !
વણ કીધે પણ આવ !

દીવડે સૂના આયખે બળ્યું…
ઝળહળાટ્યું જોર;
હાલતી રાગે મ્હાલતી રતે
શ્યામ તો ચારેકોર !
તલસાટોનું સુરમઇ કળણ
ઊજવે મિલન સાવ;
‘આવ’ ! …કીધે શું આવવું? પ્રિયે !
વણ કીધે ઝટ આવ !

-‘અગમ’ પાલનપુરી

પ્રિયજન વગર કહ્યે આવી ટપકે એની જે મજા છે એ આ ‘બિન્ધાસ્ત નિમંત્રણ’ના શબ્દ-શબ્દે દ્રષ્ટિગોચર થાય છે. ભીતરનો ઓરડો તો સાવ ખાલીખમ છે, એ તો પ્રિયાના આવવાથી જ ભર્યો-ભાદર્યો થાય ને ! દુનિયાની લાજે બારણું તો વાસ્યું છે, પણ મારા દિલની બારી તો સદા ખુલ્લી જ છે ને ! પરંતુ બીજા ફકરામાં કવિએ જે વાત કરી છે એ વિચારણા માંગી લે છે. મને જે ‘અગમ’ લાગ્યું છે, એ વિશે મિત્રોનું શું કહેવું છે?

(મલાજે = મર્યાદા, અદબ/રત = ઋતુ, આસક્ત/સુરમઈ = કાજળયુક્ત)

Comments (3)

વ્યથા – શેખાદમ આબુવાલા

હે, વ્યથા !  હે,  વ્યથા !
કુમળા કંઇ કાળજાને કોરતી કાળી કથા!

પાંપણો ભીની કરી, ગાલ પર મારા સરી.
નેણ કેરાં નીર થઇને, નીતરી જાજે તું ના. – હે, વ્યથા ! …

રક્તના રંગો ભરી, તે રંગથી નીજને ભરી,
જખમી દીલના ડાઘ થઇને, ચીતરી જાજે તું ના. –  હે , વ્યથા !.. .

ધ્રુજતા મારા અધર, શી કુશળતાથી કરું, સ્મિતથી સભર?
ક્યાંક ઊની આહ થઇને, હોઠે તું આવી જાય ના. – હે, વ્યથા !  …

– શેખાદમ આબુવાલા

વ્યથાને સંબોધીને લખાયેલી આ રચના શ્રી. હરિહરને શ્રી. અજિત શેઠના સ્વરાંકનમાં અત્યંત ભાવવાહી રીતે ગાઇ છે. વ્યથાનું ગૌરવ ગાતી આ રચનામાં માધુર્યની સાથે જીવનની એક મહાન ફિલસુફી પણ કવિએ તેમની આગવી શૈલીમાં વણી લીધી છે.
કોના જીવનમાં વ્યથાનો વાસ નથી હોતો? પણ એ વ્યથાના ગાણાં ગાવાં અને રડતાં રહેવા કરતાં તેને ભીતર જ શમાવી શકીએ તેવી આરજુ આ ગીતમાં સાંભળી એક નવું જ બળ આપણા કણ-કણ માં પ્રસરી જાય છે.

Comments

કરો રક્ષા વિપદમાંહી – રવીન્દ્રનાથ ઠાકુર

કરો રક્ષા વિપદમાંહી , ન એવી પ્રાર્થના મારી.
વિપદથી ના ડરું કો’દી, પ્રભુ એ પ્રાર્થના મારી.

ચહું દુઃખ તાપથી શાંતિ, ન એવી પ્રાર્થના મારી.
સહુ દુઃખો શકું જીતી, પ્રભુ એ પ્રાર્થના મારી.

સહાયે કો ચડે આવી, ન એવી પ્રાર્થના મારી.
તૂટે ના આત્મબળ દોરી, પ્રભુ એ પ્રાર્થના મારી.

મને છળ હાનિથી રક્ષો, ન એવી પ્રાર્થના મારી.
ડગું ના આત્મ પ્રતીતિથી, પ્રભુ એ પ્રાર્થના મારી.

પ્રભુ તું પાર ઊતારે, ન એવી પ્રાર્થના મારી.
તરી જવા ચહું શક્તિ, પ્રભુ એ પ્રાર્થના મારી.

તું લે શિરભાર ઉપાડી, ન એવી પ્રાર્થના મારી.
ઉઠાવી હું શકું સહેજે, પ્રભુ એ પ્રાર્થના મારી.

સુખી દિને સ્મરું ભાવે, દુઃખી અંધાર રાત્રીએ
ન શંકા તું વિશે આવે, પ્રભુ એ પ્રાર્થના મારી.

– રવીન્દ્રનાથ ઠાકુર

ભારતના મહાકવિની આ રચના બહુ જ જાણીતી છે. પણ અનુવાદ કોણે કરેલો છે તે ખબર નથી.

Comments

સાહેબ હુકમ કરે કે આવું – મહેશ દવે

સાહેબ હુકમ કરે કે આવું.
આરણ-કારણ કાંઈ ન ચાલે
ક્યાંય પછી નહીં જાઉં;
                   સાહેબ હુકમ કરે કે આવું.

મારા મનનું કાંઈ ન ચાલે,
     કોરે કાગળ સહી.
સાહેબના અણસારે મારી
     હોડી જળમાં વહી:
નાવિક મારો કહે એ લયમાં
                   ગીત મારું હું ગાઉં.

સઘળું તેને સોંપી દઈને
     કામ બધાં દઉં છોડી,
મેં તો મારી પ્રીત સદાયે
     સાહેબ સાથે જોડી.
વહેણ હોય કે પૂર હોય
                   પણ નહીં કદી મૂંઝાઉં.
              સાહેબ હુકમ કરે કે આવું.

 – મહેશ દવે

Comments

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું… – સુરેશ દલાલ

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
          હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
          કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
          કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
          જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
          ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
          અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
          ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
          ને બિલોરી આપણું તળાવ!-સુરેશ દલાલ

પ્રસન્નદામ્પત્યની વાત એક નવા જ અંદાજથી. ઘડપણના, સમયની કસોટી પર ખરા ઉતરેલા, પ્રેમની વાત કરતી રચનાઓ આપણે ત્યાં ઓછી જ મળે છે.

Comments (8)

ગીત – રાવજી પટેલ

આપણને જોઈ
     પેલા બગીચામાં લીલોતરી સળવળે.
આપણને જોઈ
     પેલાં પતંગિયા હજીયે તે ઊડ્યા કરે !
આપણને જોઈ
     પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ-મોડ.
આપણને જોઈ
     પેલા ઝૂમાં આણી સારસની એક જોડ !
આપણને જોઈ
     પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.
આપણને જોઈ
     પેલાં ઘરડાંને ચપોચપ દાંત ફૂટે !

– રાવજી પટેલ

સામાન્ય રીતે કવિતામાં પ્રેમીઓ પ્રકૃતિમાંથી પ્રેરણા લેતા હોય એવી વાત આવે છે. જ્યારે અહીં તો કવિએ એવા મુસ્તાક પ્રેમની વાત કરી છે જેના પરથી ખુદ પ્રકૃતિ (અને બીજા ઘણાં) પ્રેરણા મેળવે છે. ‘આપણને જોઈ, પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.’ એ પંક્તિથી કવિ તદ્દન સહજ રીતે જ પ્રસન્ન દામ્પત્યનું દીલને અડકી જાય એવું ચિત્ર દોરી આપે છે.

(મોડ=લગ્ન વગેરે શુભ પ્રસંગે પહેરાતો માથાનો શણગાર)

Comments

એ સોળ વરસની છોરી – પ્રિયકાંત મણિયાર

એ સોળ વરસની છોરી
સરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી 

ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી

મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરના મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી.
એ સોળ વરસની છોરી

એનાં પગલેપગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસેશ્વાસે ફૂટે ઘુમરાતા આ વાયરામાં વેલ
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી.
એ સોળ વરસની છોરી

– પ્રિયકાંત મણિયાર

પ્રિયકાંત મણિયાર તો રુપકોના રાજા છે. કૃષ્ણ–રાધાના આ કવિ સોળ વરસની કન્યાનું વર્ણન કરવાનું માથે લે તો રુપકોની રસધાર ન છૂટે તો જ નવાઈ. તો યે એની મટકી રહેતી કોરી જેવો ચમત્કારીક ઉપાડ તમને તરત જ ગીતમાં ખેંચી લે છે. અને ગીતના અંત સુધીમાં તો મન આખું આ સોળ વરસની છોરીના આ શબ્દચિત્રથી લીલુંછમ થઈ જાય છે.

Comments

ગીત – સંદીપ ભાટિયા

માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.  

વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

-સંદીપ ભાટિયા  

1-5-1959 ના રોજ જન્મ. મુંબઈના નિવાસી. કવિતા સાથે વાર્તા અને નિબંધ પણ લખે છે અને કળાત્મક મુખપૃષ્ઠો પણ કરે છે. કાવ્યસંગ્રહ હજી પ્રકાશિત નથી થયો.

Comments (25)

આ ગીત – મકરન્દ દવે

         આ ગીત તમને ગમી જાય
                      તો કહેવાય નહી,
         કદાચ મનમા વસી જાય
                      તો કહેવાય નહી.

ઉદાસ, પાંદવિહોણી બટકણી ડાળ પરે,
દરદનું પંખી ધરે પાય ને ચકરાતું ફરે,
તમારી નજરમાં કોણ કોણ, શું શું તરે ?

         આ ગીત એ જ કહી જાય
                      તો કહેવાય નહી,
         જરા નયનથી વહી જાય
                      તો કહેવાય નહી.

ઉગમણે પંથ હતો, સંગ સંગમાં ગાણું,
વિખૂટી ખાઈમાં ખુશીનું ગાન ખોવાણું,
પછી મળ્યું ન મળ્યું કે થયું જવા ટાણું ?

         ખુશી જો ત્યાં જ મળી જાય
                      તો કહેવાય નહી,
         આ ગીત તમને ગમી જાય
                      તો કહેવાય નહી.

– મકરન્દ દવે

Comments (1)

હરિનો મારગ – પ્રીતમ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને.

મરણ આંગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભા જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામ-અમલમાં રાતામાતા પૂરા પ્રેમી પરખે જોને;
પ્રીતમના સ્વામીની લીલા, તે રજનિ-દન નરખે જોને.

પ્રીતમદાસ ( ઈ. 1718 થી 1798) જ્ઞાનમાર્ગી ભક્તકવિ હતાં. પાંચસોથી વધુ પદોમાં વૈરાગ્યબોધ અને કૃષ્ણભક્તિનું આલેખન વિવિધ રાગઢાળો અને લોકગમ્ય રૂપકો-દ્રષ્ટાંતોના બહોળા ઉપયોગથી કરનાર પ્રીતમદાસના પદોની ધ્રુવપંક્તિઓ એની ચોટના કારણે લોકપ્રિય બની છે. આ ઉપરાંત ગુજરાતી-હિંદી સાખીઓ, ‘જ્ઞાનગીતા’, ‘પ્રીતમગીતા’, ‘પ્રેમપ્રકાશ સુડતાળો કાળ (સુડતાળીસના દુકાળ પરની રચના)’ વગેરે એમના મોંઘેરા મોતીઓ છે.

(સુત = પુત્ર, વિત્ત = ધન, દારા = પત્ની, સમરપે = સમર્પે, આંગમે = આવકારે, સ્વીકારે, દુગ્ધા = પીડા. જંજાળ, વામે = ઓછું થવું, મટી જવું, રામ-અમલમાં = રામરાજ્યમાં, રાતામાતા = હૃષ્ટપુષ્ટ ને આનંદતું, રજનિ-દન = રાત-દિવસ, નરખે = નીરખે, જુએ)

Comments (3)

ભીંજાવું ચડ્યું ટલ્લે – સંદીપ ભાટિયા

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે 

છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું
વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત કાશ મારુંયે સરનામું ગોતતો
વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

– સંદીપ ભાટિયા

જોતા જ ગમી જાય એવા આ ગીતમાં પ્રેમની વાત ભીંજાવાના રુપકથી કરી છે. હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે એ વાત આમ તો પ્રેમ ન મળવાની વાત છે, છતા ય અહીં એ જરા પણ કડવાશ કે ડંખ વિના આવે છે. કલરવનો ડાકિયો અને વાછટનો વેપાર એવા પ્રયોગો પરાણે મીઠા લાગે એવા છે.

Comments (16)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત

વ્હાલબાવરીનું ગીત

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દ્યૈ દરિયો !

મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !

-રમેશ પારેખ

એને તમે ‘લયનો કામાતુર રાજવી’ કહો કે પછી ‘સર્જકતાથી ફાટફાટ થતો કવિ’ કહો, રમેશ પારેખ છેલ્લા ત્રણ દાયકા સુધી ગુજરાતી ભાષાપ્રેમીઓના હૃદય પર એકચક્રી શાસન કરનાર અનન્વય અલંકાર છે. પોતાના નામને એણે કવિતાના માધ્યમથી જેટલું ચાહ્યું છે, ભાગ્યે જ કોઈ કવિ કે લેખકે એટલું ચાહ્યું હશે. ફરક ખાલી એટલો જ કે એનો આ ‘છ અક્ષર’નો પ્રેમ આપણે સૌએ સર-આંખો પર ઊઠાવી લીધો છે. કવિતામાં એના જેવું વિષય-વૈવિધ્ય અને શબ્દ-સૂઝ પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એની કવિતાના શીર્ષક તો જુઓ: ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘હનુમાનપુચ્છિકા’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’, ‘રમેશાયણ’, ‘’પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘કલમને કાગળ ધાવે’ વિ.

શબ્દ સપ્તકની આજે આ સાતમી અને આખરી કડી છે… ર.પાના ખજાનામાંથી ભારે જહેમતથી પસંદ કરેલા આ સાત મોતી લયસ્તરો તરફથી ર.પા.ને અમારી શબ્દાંજલિ છે….

Comments (1)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય

મીરાં કે’ પ્રભુ અરજી થઈને ઊભાં છીએ લ્યો, વાંચો !

પગથી માથાં લગી હાંસિયો પાડી લખિયા વાંક,
આજુબાજુ લખી બળતરા, વચ્ચે લખિયો થાક

ચપટીક ડૂમો લખતાં જીવ પડી ગ્યો કાચો

મીરાં કે’ પ્રભુ, બહુ કરચલી પડી ગઈ છે માંહી
અક્ષર કોણ ઉકેલે જેના ઉપર ઢળી હો શાહી ?

વડી કચેરી તમે હરિવર, હુકમ આપજો સાચો.

– રમેશ પારેખ

મીરાંને અદેખાઈ આવી જાય એ સરળતાથી અને સહજતાથી લખાયેલાં મીરાંકાવ્યો ર.પા.ના જીવનનું શિરમોર છોગું છે. આ કાવ્યો એટલાં તો હૃદયાભિમુખ છે કે આપણાં પોતાનાં જ લાગે. સુરેશ દલાલ તો આગળ વધીને કહે છે કે: ‘ર.પા.ના મીરાંકાવ્યો એટલાં સહજ અને સ્વભાવિક છે કે એ કાવ્યોની નીચે ખુદ મીરાંને પણ સહી કરવાનું મન થાય’.

Comments (2)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય

આલા ખાચરનું ‘આપણું તો…..’

ભવાયા આવીને કે’ :
‘બાપુ જોવા ન આવે તો રમીએ નંઈ.’
-હાળાંવને દીધાં બે ગામ, તાંબાના પતરે.

હડાળાનો કણબી કે’કે ‘દીકરીના આણાં અટક્યા છ્ !
અફીણ ખાઉં.’
કાઢી દીધો પગનો તોડો,
નગદ સોનાનો:
‘જા હાળાં, કર્ય આણાં…..’

નગરશેઠે પગ ઝાલ્યા :
‘બારે વા’ણ બૂડ્યાં,
વખ ઘોળું, લેણદારોને શેં મોઢું બતાવું ?’
દીધાં જરઝવેરાતનાં ગાડાં :
‘લ્યો, રાખો મૂછનાં પાણી….’

આપણું તો એવું.
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.
ઠકરાણાં ક્યે :
‘સૌને દીધું, અમને?
અમે વાંઝિયાં.’
‘લ્યો, ત્યારે’
– એમ કહીને દેવના ચક્કર જેવા ખોળાના બે ખૂંદતલ
દઉં દઉં ત્યાં ગધની આંખ્યું ઊઘડી ગૈ.

000

રામજી લુવાર ઊભો છે.
કે’છે : ‘ઘરાક આવ્યું છ્, બાપુ….!
બારતેરમાં સાટું સધરી જાશે
વેચી દેવી છે ને તલવાર ?
આમેય તમારે પડી પડી કાટ ખાય છે….’

આપણું તો એવું…..
દઈ દીધી !
માગતલ મૂંઝાય,
આપતલ નઈં.

આલા ખાચરના પાત્રનિરૂપણ વડે ર.પા.એ સૌરાષ્ટ્રની ભગ્નાવશેષ બાપુશાહીના ભવાડાઓ અને વિડંબનાઓને કલમની તલવારથી જનોઈવઢ વાઢ્યાં છે. સપનામાં બાપુ ક્યાં રાચે છે તે તો જુઓ: ભવાઈ કરનારાં જાણે બાપુ વિના ભવાઈ જ કરવાનાં ન હોય એમ બાપુ બે ગામ લખી દે છે. કણબીને દીકરીનું આણું કરવા માટે નકદ સોનાનો તોડો આપી દે છે તો નગરશેઠને ગાડાં ભરી સંપત્તિ લૂંટાવે છે. પાછાં કહે છે કે માંગનાર મૂંઝાય, આપનાર નહીં ! નપુંસક બાપુ તો સપનામાં ઠકરાણીને પણ એક કહેતાં બબ્બે દીકરા આપવાના મૂડમાં હતાં, પણ કમબખ્ત આંખ જ ખૂલી ગઈ….સપનામાં ‘માંગ-માંગ, માંગે તે આપું’ના રાજાપાઠમાં રાચનાર બાપુની વરવી વાસ્તવિક્તા તો એ છે કે બાપદાદાની નિશાની અને પડી પડી સડી ગયેલી નિરુપયોગી સામંતશાહીના પ્રતિક સમી કાટ ખાધેલી તલવાર બારતેર રુપિયામાં વેચી દેવાની નોબત આવી ઊભી છે. અહીં કટાયેલી તલવાર નથી વેચાતી, ઈજ્જત વેચાઈ રહી છે અને તોય સિંદરી બળે પણ વળ ન છૂટે ના ન્યાયે બાપુનો ‘દઈ દીધી’નો હુંકાર ર.પા.ની કાવ્યસિદ્ધિ છે.

Comments (10)

રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ

ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

-રમેશ પારેખ

ગુજરાતી સાહિત્યના પાનાં પર રમેશ પારેખ એક વર્તુળ છે. નથી એનો કોઈ આદિ કે નથી અંત. એમાં હૃદયને બટકે એવાં કોઈ ખૂણા નથી કે નથી આંખમાં ખટકે એવી કોઈ વક્ર રેખા. ર.પા.એ વર્તુળની પૂર્ણતાનો વ્યાસ છે. એ વધે છે તો કોઈ એક દિશામાં નહીં, ચોમેર. એની કવિતાના શ્રીગણેશ કરવાં હોય તો સોનલ નામનું શ્રીફળ પહેલું વધેરાય. સોનલ કોણ હતી, છે કે હશેનું રહસ્ય હૃદયમાં લઈને સમયની ગર્તામાં સરી ગયેલાં ર.પા.એ સોનલને આપણા સાહિત્યની મોનાલિસા બનાવી દીધી છે- સદૈવ અકળ અને કાયમ સકળ!! ર.પા.ના શબ્દસપ્તકની શરૂઆત એમના સોનલ કાવ્યથી જ કરીએ.

રમેશ પારેખના મોઢેથી સોનલ કોણ છે એ સાંભળવું હોય તો ધવલે શોધી કાઢી મોકલાવેલો આ લેખ વાંચવો આવશ્યક બની રહે છે. આભાર, ધવલ!
સોનલ 1
સોનલ 2

Comments (12)

ગુલાલ કરી ગઈ – હરીન્દ્ર દવે

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!  

જરા ઝૂકીને જોઈ રહે જોઈ કાંચનાર,
અને ટહુકીને પૂછે કોઈ પંખી લગાર,

જાણે લજ્જાની વેલ લાલલાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!  

જરા લંબાઈ મારગડે જોઈ લીધું કૈંક,
પેલાં કિરણોએ ઝાકળપિયાલે પીધું કૈંક,

ભાન ભૂલેલી સાનનો કમાલ કરી ગઈ,
કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ!  

– હરીન્દ્ર દવે

(કાંચનાર=નાગકેસરનું વૃક્ષ)

Comments (4)

હરિને ભજતાં – ગેમલ

હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને.

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને.

વહાલે મીરાં તે બાઈના ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીના પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને.

વહાલે આગે સંતોના કામ. પૂરણ કરિયાં રે;
ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુઃખ હરિયાં રે. હરિને.

ગેમલ

ગેમલ (ઈ.સ. 19મી સદી પૂર્વાર્ધ) એટલે જાણે કે એક જ પદના કવિ. આ પદ એટલું તો વંચાયું, ગવાયું અને સંભળાયું છે કે કવિતા કવિને અતિક્રમી જાય છે એ વાત સાચી લાગે.

Comments (3)

જય જય ગરવી ગુજરાત – કવિ નર્મદ

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

-કવિ નર્મદ

આજે પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિન. આજના દિવસે જનની જન્મભૂમિના ચરણે કવિ નર્મદનું સુંદર શબ્દફૂલ અર્પણ કરું છું. જય ગુજરાત.

Comments (1)

મોહનજી તમો મોરલા – રાજે

મોહનજી તમો મોરલા, હું વારી રે; કાંઈ અમે ઢળકતી ઢેલ,
                                                                       આશ તમારી રે.
જ્યાં જ્યાં ટહુકા તમે કરો, હું વારી રે; ત્યાં અમો માંડીએ કાન,
                                                                       આશ તમારી રે.
મોરપીંછ અમો માવજી, હું વારી રે; વહાલા વન વન વેર્યાં કાંથ,
                                                                       આશ તમારી રે.
પૂંઠે પલાયાં આવીએ, હું વારી રે; તમો નાઠા ન ફરો નાથ,
                                                                       આશ તમારી રે.
મોરલીએ મનડાં હર્યાં, હું વારી રે;વિસાર્યો ઘર-વહેવાર,
                                                                       આશ તમારી રે.
સંગ સદા લગી રાખજો, હું વારી રે; રાજેના રસિયાનાથ,
                                                                       આશ તમારી રે.

રાજે

ઈ. 18મી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયેલા રાજે જન્મે મુસ્લિમ હોવા છતાં કૃષ્ણભક્તિના સુંદર પદો વડે ધર્મ અને સમાજની પોકળ રેખાઓને વળોટી ગયેલાં. એમની ભાષા પણ એમના સમયથી ઘણી આગળ એવી આધુનિક લાગે.

Comments

ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી

ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.

કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.

છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.

– વિનોદ જોશી

વિરહના ગીતો તો ઘણા છે. પણ વિનોદ જોશીનું આ ગીત તરત જ ગમી જાય એવું છે. ટચલી આંગળીનો નખ – નામ જ તમને ગીતમાં ખેંચી લાવે એવું છે. લખ – દખ – વખ એકદમ સહજતાથી જ ગીતમાં આવે છે. ચૂમી ચૂમીને કરી એંઠી એવી ફરીયાદ અલગ ભાવ ઉપજાવે છે. પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં વિષાદ ક્રમશ: ધેરો થતો જાય છે. અને છેલ્લે તો – મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ – પર ગીતનો અંત થાય છે. આ ગીત સળંગ પાંચ સાત વાર વાંચી ગયો અને હવે એ મનમાંથી નીકળવાનું નામ જ નથી લેતું !
( અંજળ=સંબંધ, દખ=દુ:ખ, વખ=ઝેર, પાતળિયા=સજન )

Comments (4)

પગલું – ગીતા પરીખ

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
         ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
         નજરુંની બાંધી દીધી બેડી!

હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
         અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
         પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
         આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
         ને તેં તો લંબાવી દીધી કેડી !

– ગીતા પારેખ

Comments

આ તે કઈ રીત છે ? – આશા પુરોહિત

આ તે કઈ રીત છે ?
સંબંધના ચણતરમાં લાંબી તિરાડ
અને પાયામાં શરતોની ઈંટ છે.

શબ્દોને હોઠોથી અળગા કરું,
તો મને બોલવાની આપો છો આણ,
રણમાં અમથી જ મને એકલી મૂકીને,
પછી ચલાવવા આપો છો વ્હાણ!
પ્રશ્નોના કિલ્લામાં રોંઘીને કો’છો કે
‘આ તો બસ પાણીની ભીંત છે!’
આ તે કઈ રીત છે ?

નસનસમાં ધગધગતા ખિલ્લા ઠોકો
ને પછી અટકાવી કહેતા કે ‘જા’,
ધસમસતા શબ્દોનું તીર એક છોડીને,
કહેતા કે ‘ઝીલવા મંડ ઘા.’
આશાઓ-ઈચ્છાઓ બાળીને કો’છો કે
‘તારી ને મારી આ પ્રીત છે!’
આ તે કઈ રીત છે ?

– આશા પુરોહિત

આ ગીત વિશે સુરેશ દલાલે એક સરસ વાત એક જ લીટીમાં લખી છે – ‘ઘણી વખત એવી અવસ્થા આવે છે કે જ્યારે પ્રેમ સમજાય છે, પણ પ્રિયતમ સમજાતો નથી.’ પ્રેમમાં તિરાડ પડે તો એની ફરીયાદ કેવી રીતે કરવી એ પણ પ્રશ્ન છે. દરેક ફરીયાદ સંબંધને વધુ તોડી શકે છે. કવયિત્રી તો માત્ર ‘આ તે કઈ રીત છે ?’ – કહી ને જ વિરમે છે.

Comments (8)

તો અમે આવીએ… – વિનોદ જોશી

આપી આપીને તમે પીંછું આપો, સજન !
        પાંખો આપો તો અમે આવીએ…

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
        ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
        અમે ઉંબરની કોર લગી લાવ્યાં

આપી આપીને તમે ટેકો આપો, સજન !
        નાતો આપો તો અમે આવીએ…

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
        અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
        અમે લખીએ તો લખીએ પણ શું ?

આપી આપીને તમે આંસુ આપો, સજન !
        આંખો આપો તો અમે આવીએ…

– વિનોદ જોશી

વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.

Comments (4)

જ્યારે મમ અંતરમાં… – ગણપતલાલ ભાવસાર

જ્યારે મમ અંતરમાં કોઈના
                      કરતો મૃદુ વિચાર
હૈયાના ખેતરની સીમ
                      વધતી વેંતો ચાર !

ચાર વેંત એ વારિ ઝીલશે,
                      ઊગશે અમૃતધાન,
જેનાથી મમ જીવન જીવશે,
                      તૃપ્ત થશે મમ-પ્રાણ.

ચાર ચાર વેંતો કરતાં
                      કરતાં આ પૃથવિ આખી
મમ અંતરની સીમામાં
                      લેવાની ઇચ્છા રાખી.

-ગણપતલાલ ભાવસાર

Comments

— ની ઉક્તિ – જગદીશ જોષી

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
           મને મનગમતી સાંજ એક આપો :
           કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
           મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
           કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
           અર્જુનનો મત્સ્યવેધ આપો.

મને આપો એક સાંજ, મને આપો એક રાત
           મને આપો એક એવો આશ્લેષ –
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
           તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
           કાયમની કેદ મને આપો !

– જગદીશ જોષી

Comments (6)

એમ પૂછીને થાય નહીં : તુષાર શુક્લ

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

તુષાર શુકલ (29-9-1955) કવિ ઉપરાંત સારા સંચાલક પણ છે. તેઓ આકાશવાણી, અમદાવાદ સાથે સંકળાયેલા છે. એમની આ રચના શ્યામલ મુન્શીના કંઠે ‘હસ્તાક્ષર’ આલ્બમમાં સ્વરાંકિત થઈ છે.

Comments (21)

આ તે કેવું ? – કૃષ્ણ દવે

ઝરણાંનું દે નામ અને ના આપે વહેવું! આ તે કેવું?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું! આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર?
તું બોલે બેફામ ને મારે કંઈ ના કહેવું? આ તે કેવું?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઈ ના દેવું? આ તે કેવું?

મત્સ્ય હોઉં ને જળને કંઈ તરવાનું પૂછું?
વાદળ છું તો વરસું, કંઈ સરનામું પૂછું?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું! આ તે કેવું?

– કૃષ્ણ દવે

Comments (2)

વિજન કેડો – પ્રદ્યુમ્ન તન્ના

આવનજાવન જહીં રે ઝાઝી
ધોરી એવે મારગ જાવા મનડું મારું લેશ ન રાજી ;
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ઘણીક વેળા ગૈ છું ત્યાંથી, એકલી ને સૈ’ સાથ,
કળણ વળણ ઓળખું એવાં જેવો નિજનો હાથ;
ને ધાઈ એવી નથ નેસ જાવાની, હજી તો અરધો દન પડેલો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

આંકડા ભીડી કરના કે સાવ સોડમાં સરી હાલું,
કાનની ઝાલી બૂટ ચૂમી લઉં મુખડું વા’લું વા’લું;
કોઈ નહિ તહીં જળનારું રે નીરખી આપણો નેડો !
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

હેઠળ વ્હેતાં જળ આછાં ને માથે ગુંજતું રાન,
વચલે કેડે હાલતાં મારા કંઠથી સરે ગાન;
એકલાંયે આમ ગોઠતું તહીં, પણ જો પિયા હોય તું ભેળો-
હાલ્યને વાલમ !
લૈ’યે આપણ દૂરની ઓલ્યી કોતર કેરો વિજન કેડો !

ભાવનગરના અધેવાડાના પ્રદ્યુમ્ન તન્ના (જન્મ: 1929) કવિ હોવા ઉપરાંત સારા ચિત્રકાર અને ફોટોગ્રાફર પણ ખરાં. શરીર ભલેને દેશ છોડીને ઇટાલીના કોમોમાં જઈ વસ્યું પણ કવિતાઓમાંથી ગામડું અને મીઠી તળપદી ભાષા જઈ ન શકી. કાવ્ય સંગ્રહ: ‘છોળ’.

Comments (4)

દેવબાલ – ચંદ્રવદન મહેતા

ઈલા ! કદી હોત હું દેવબાલ !
તારા ભરી આપત એક થાળ,
એના વડે કૂકડીદાવ સાથે
બંને રમ્યાં હોત અહો નિરાંતે.

ચાંદો ફરંતો નભથી હું લાવી,
બ્હેનાં રમ્યાં હોત દડો બનાવી;
ને એ દડે હું વીજરેખ બાંધું
એને ઉછાળી જળવ્યોમ સાંધું.

ને સાતરંગી ધનુવસ્ત્ર ચારુ
લાવે સજાવું તુજ અંગ ન્યારું;
ને શુભકીર્તિ થઈ દિવ્ય પંથે
ઓહો ઊડ્યાં હોત જ દિગદિગન્તે.

– ચંદ્રવદન મહેતા

Comments (10)

પ્રીત કીધી – જયન્ત પાઠક

એક એવી તે પ્રીત અમે કીધી
ઘૂંટમાં આખી પિયાલી પીધી!

પીંછામાં એક, અમે પંખીને પામિયા
ને તારામાં એકલ આકાશ;
લહરીમાં એક લીધો સાગરને તાગી
ને એક જ કિરણમાં પ્રકાશ.
એક એવી તે પ્રીત અમે કીધી
કે મીટમાં નજરું હજાર બાંધી લીધી!

એક જ ઉચ્છવાસ અમે લીધો ને રોમ રોમ
ઊઘડ્યાં ફટોફટ ફૂલ;
એક જ નિશ્વાસ અમે મૂક્યો ને કંપિયાં
વનવનનાં પર્ણો વ્યાકુળ:
એક એવી તે પ્રીત અમે કીધી
કે ભંગમાં રેખાઓ ઊઘડી સીધી!

– જયન્ત પાઠક

Comments

કહો – મનસુખ વાઘેલા

નજર કરું ત્યાં જળ વહેતું ને સેતુ ત્યાંના ત્યાં જ;
શ્વાસોનાં બિંબો ઝલમલતાં, પડછાયામાં સાંજ,
કહો હવે ક્યાં પડતું મેલું?

લોહી હોત તો ઠીક અરે! આ આંસુ કોને આપું?
ફૂલો વચ્ચે ઊભી ઝાકળ-જન્મારાને કાપું,
ઝાંઝવે હવે જવું શું વ્હેલું?

અવાજના જંગલમાં કોર્યાં નામ તમારાં પડઘે;
હજી મૌન મારગમાં લાબું, ચરણ અમારાં અડધે,
કઈ શૂન્યતા-ડાળે ઝૂલું?
તમને ક્યે સ્થળે જઈ ભૂલું?

– મનસુખ વાઘેલા

Comments (1)

આંખ સામે રાખીએ – મકરન્દ દવે

અફસોસને આસન કદી જો આપશું,
                      જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા,
                      ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે;

આંખ સામે ઊગતો દિન રાખીએ,
                      જે મળી સૌરભ જીવનમાં ચાખીએ;
કોણ જાણે છે હૃદય પીસી પ્રભુ
                      રંગ અંગોમાં નવા ઘૂંટી જશે.

મકરન્દ દવે

મકરંદ દવે એટલે “ગમતાંનો ગુલાલ” કરનાર ખુદાનો અલગારી બંદો. એમની કવિતાનો મુખ્ય રંગ ભગવો છે. સંતસાહિત્ય સાથે પ્રગાઢરીતે સંકળાયેલા મકરંદ દવેએ ભક્તિરસથી રંગાયેલી મસ્તીભરી કવિતાઓમાં અધ્યાત્મરંગને સહજરીતે સારવી આપ્યો છે. એમના કવિપિંડમાં જુદાં જુદાં અનેક બ્રહ્માંડો સમાવિષ્ટ છે. ગીત, ભજન, ગઝલ, સોનેટ, બાળકાવ્યો, નિબંધો, નવલકથા, ગીતનાટિકા – આ બધા એમના કાવ્યપિંડની નિપજ છે. જન્મ: ૧૩-૧૧-૧૯૨૨. નંદીગ્રામ સંસ્થાના સર્જક. કાવ્યસંગ્રહો: ‘તરણાં’, ‘જયભેરી’, ‘ગોરજ’, ‘સૂરજમુખી’, ‘સંજ્ઞા’, ‘સંગતિ’, ‘હવાબારી’, ‘અમેરિકાનો ચિરંતન ચહેરો’ વિ. ‘મકરંદ-મુદ્રા’ (સમગ્ર કવિતા).

Comments (1)

વાંસલડી ડૉટ કૉમ… – કૃષ્ણ દવે

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ…

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ…

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ…

કૃષ્ણ દવે ગીતોનો માણસ છે. અમરેલી જિલ્લાના ધારી ગામમાં ૪-૯-૧૯૬૩ ના રોજ જન્મેલાં કૃષ્ણ દવે આજે ભલે બેન્કમાં કામ કરતાં હોય, પણ મોટાભાઈનું શિક્ષણ ખોરંભે ન ચડે એટલે સુથારીકામ કરી ઘેર ઘેર જઈ ફર્નિચર પણ બનાવતાં હતાં. કાવ્યસંગ્રહો: ‘પ્રહાર’, ‘વાંસલડી ડૉટ કૉમ’, ‘ભોંદુભાઈ તોફાની (બાળકાવ્યો)’.

Comments (14)

સંયોગવર્ણન – નર્મદ

સંયોગ ટૂંકો વરણૂં હવે તે, વાંચી સુણીને સુખિ રોહ હેતે;
ડાહ્યાં થઈ જે કરશે વિલાસ, તેને જ સાચી મુક્તીનિ આશ.
આવ્યો ઉમંગે પિયુ એટલામાં, બેસે સુબાગે પછિ સામસામાં;
જાઈ જુઈ ને ખુલતાં ગુલાલા, તેની ઘટામાં રમતાં જ કાલાં.
વસંત ખીલે બહુ ચાર પાસ, વસંત જામે ખુબ તાન સાથ;
અતીસ જોરે છુટતાં કટાક્ષ, ઉઠાડિ ભેંટાડિ જ દે ન લાજ.
ગાએ પછી બે લઈ તાન રાગ, વાંચે કવીતા રસની સુહાગ;
એ રીતથી તે ચ્હડિ ખૂબ રંગે, ઊઠે પછી તો ઝટ તે ઉમંગે.
ધોળાં ઝિણાં વસ્ત્ર જ પ્હેરિ બંને, જાએ સુવાને ઉલટે પલંગે;
જાએ છુટી બંધન સેજ જોતાં, જાએ છુટી બંધન સેજ જોતાં.
આળોટતાં તે વળગી જ સૂઈ, પ્યારા અને પ્યારિ વદે તુટૂં ઈ;
પાછાં ઉઠીને ખુબ ચાંપિને તે, ઊંચે દમે કોટિ કરેછ હેતે.
બાહ્યપચારો કરિ લેઈ પ્હેલાં, સંગ્રામ માંડે પછિ મોટ ઘેલાં;
નાના પ્રકારે રમતાં રસીલાં, અંતે પછી ખૂબ જણાય ઢીલાં.
આંખો મિચાંએ બહુ લ્હેર આવે, મ્હોડું હસંતું રહિ ઘેલું જાએ;
વાંસો અને મૂખડૂં ખૂબ ફાટે, છૂટ્યા નિમાળા વિટલાય ગાલે.
ચૂમી કરીને પછિ હાથ નાખી, ઊંઘે પછી બેહુ નિરાંત રાખી;
પ્રીતી જ આનંદ સુખાળ શીત, એવો બિજો તો અહિંયા નથીજ.

આખી કવિતા અર્થ સાથે કોમેન્ટ વિભાગમાં જુઓ.

સુરતમાં જે શેરીમાં જન્મીને હું મોટો થયો હતો એનાથી ત્રીજી શેરી, આમલીરાનમાં જન્મેલો નર્મદ મને એટલો પોતીકો લાગ્યો છે કે એને હું માનાર્થે સંબોધું તો ગાળ દીધા જેવું લાગે. નર્મદ અર્વાચીન યુગના નક્શાનું પ્રારંભબિંદુ છે. ‘ડાંડિયો’ અખબાર વડે સમાજસુધારાની આહલેક જગાવનાર નર્મદાશંકર લાલશંકર દવે ને આપણે બહુધા શૌર્યરસના કવિ તરીકે ઓળખીએ છીએ, પરંતુ રતિ અને પ્રીતિવિષયક કવિતાઓમાં નર્મદ તળ સુધી ગયો હતો એની ઘણાંને જાણ નહીં હોય. કામકેલિ, સંભોગશૃંગાર, જાતીય ઉદ્રેક વિ. ને ગુજરાતી કાવ્યમાં આલેખનાર એ સર્વપ્રથમ હતો. આજે નર્મદની પુણ્યતિથિ છે ત્યારે એક રતિકાવ્ય અહીં રજૂ કર્યું છે. નર્મદે પ્રકૃતિ, પ્રીતિ, શૌર્ય, સમાજસુધારા, સ્વદેશાભિમાન, જ્ઞાનભક્તિ, કથા-આખ્યાન, નીતિબોધ વિ. નાનાવિધ વિષયો પર ઉત્તમ કાવ્યો (નર્મકવિતા ખંડ – ૧ થી ૬) ઉપરાંત શ્રીમદ્ ભગવદ્ ગીતા, નર્મકોશ (ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ), ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા (મારી હકીકત), નર્મવ્યાકરણ, નાટકો અને એકલા હાથે અભૂતપૂર્વ ગદ્ય આપણી ભાષાને આપ્યું. (જન્મ: ૨૪-૮-૧૮૩૩ મૃત્યુ: ૨૫-૨-૧૮૮૬)

Comments (3)

તને ખોટું જો લાગે તો હું શું કરું? – હિતેન આનંદપરા

તને ખોટું જો લાગે તો હું શું કરું?
          મને આછકલું અડવાની ટેવ.

હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;
મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.
          તને ભીનું ન લાગે તો હું શું કરું?
                    મને કોરુંકટ રડવાની ટેવ.

રંગબેરંગી પતંગિયાંની સાથે રહીને ક્દી ઉડવાની ક્લ્પના કરી છે?
ઢાળ ઊતરતી કેડી પર રહીને અડોઅડ, સરકવાની કલ્પના કરી છે?
          તને ઓસરતાં મોજાંથી લાગે છે ડર
                    મને ઊલળતા દરિયાની ટેવ.

હળવેથી અળગી થઈ તારાથી આજ, જરી મારામાં જાતને પરોવી તો જો;
અલ્લડ હવાની જેમ વહેતી રહીને, ચાર ભીંતોથી આગળ તું નીકળી તો જો.
          તારે કહેવી હો હા ને તોય તું શું કરે
                    તને ના રે ના કરવાની ટેવ.

– હિતેન આનંદપરા

Comments (7)

ધોવા દ્યો – દુલા ભાયા ‘કાગ’

(કર મન ભજનનો વેપારજી – એ રાગ)

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી,
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો – ટેક

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મનેo ૧

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જનની, આજીવિકા ટળી જાય. પગ મનેo ૨

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી;
અભણ કેવું યાદ રાખે, ભણેલ ભૂલી જાય! પગ મનેo ૩

આ જગતમાં દીનદયાળુ, ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી, પગ પખાળી જાય.’ પગ મનેo ૪

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું તમે, શું લેશો ઉતરાઈ. પગ મનેo ૫

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
’કાગ’ લ્યે નહિ ખારવાની,ખારવો ઉતરાઈ.’ પગ મનેo ૬

– દુલા ભાયા કાગ

(‘કાગવાણી’માંથી)

આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ત્યારે આ કવિતાનું શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ. ભાવનગરના મહુવા પાસે મજાદર ગામના વતની ની કવિતાઓ બહુધા બોધકતા સાથે ભાવની સચ્ચાઈ, લોકબાનીની વિશિષ્ટ હલકવાળી ગેયતા અને સરળતાના કારણે પ્રચલિત થઈ છે. ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ, ભજન, પ્રાર્થના, દુહા-મુક્તક જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે. પાંચ ચોપડીનો અભ્યાસ. વ્યવસાયે ખેડૂત અને ગોપાલક. અન્ય કૃતિઓ: ‘વિનોબાબાવની’, ‘તો ઘર જશે, જાશે ધરમ’, ‘શક્તિચાલીસા’, ‘ગુરુમહિમા’, ‘ચંદ્રબાવની’, સોરઠબાવની’. (જન્મ: ૨૫-૧૧-૧૯૦૨, મૃત્યુ: ૨૨-૨-૧૯૭૭)

Comments (4)

ઇન્દુલાલ ગાંધી – આંધળી માનો કાગળ

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવતી ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે. લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઈ
કાગળની એક ચબરખી પણ, મને મળી નથી ભાઈ !
સમાચાર સાંભળી તારા;
રોવું મારે કેટલા દા’ડા ?

ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દા’ડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પે’રે
પાણી જેમ પઇસા વેરે.

હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચીખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી બાપ !
કાયા તારી રાખજે રૂડી;
ગરીબની ઇ જ છે મૂડી.

ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.

દેખતી તે દી દળણાં, પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.

લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.

ઈન્દુલાલ ગાંધીની આ રચના સીધેસીધી મારી મિત્ર એસ.વી.ના બ્લોગ –પ્રભાતનાં પુષ્પો પરથી એની રજા લીધા વિના અહીં રજૂ કરી છે. એસ.વી.નો વણકહ્યો આભાર.
કવિ, નાટ્યકાર અને વાર્તાકાર ઈન્દુલાલ (૦૮-૧૨-૧૯૧૧ થી ૧૦-૦૧-૧૯૮૬) ના ગીતો હ્રદયના તાર સાથે એવું તાદાત્મ્ય સાધી લે છે કે એનો ગણગણાટ સહેજે જ હોઠે ચડી જાય. કાવ્યસંગ્રહો : ‘ઇંધણાં’, ‘પલ્લવી’, ‘શ્રીલેખા’.

Comments (11)

કેવડિયાનો કાંટો – રાજેન્દ્ર શાહ

કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

          બાવળિયાની શૂળ હોય તો
                    ખણી કાઢીએ મૂળ,
          કેરથોરના કાંટા અમને
                    કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

          તાવ હોય જો કડો ટાઢિયો
                    કવાથ કુલડી ભરીએ,
          વાંતરિયો વળગાડ હોય તો
                    ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે,
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

– રાજેન્દ્ર શાહ

Comments

–હશે ? – સુરેશ દલાલ

આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?
કોઈ પારેવું વાદળભરી રોતું હશે ?

જીવનમાં બસ એક જ ઘટના
ભીતર એક જ નામની રટના.
પોતાનું તે નામ કદી કોઈ ખોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે ?
આટલો બધો પ્રેમ શું કદી કોઈને સદે ?
નજર લાગે એમ શું કોઈને જોતું હશે ?
આટલું બધું વ્હાલ તે કદી હોતું હશે ?

સુરેશ દલાલ

(સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨) શબ્દોના માણસ છે. અછાંદસ કવિતા, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ-કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યાં નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત છે. કાવ્ય, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય.એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”)

Comments (9)

વાતોની કુંજગલી – જગદીશ જોષી

વાતે વાતે તને વાંકું પડ્યું :
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

શબ્દોને પંથ કોણ કોને નડ્યું ?
          મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.

આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા:
          પણ અડકો તો ભોમ સાવ કોરી:
તારા તે કાન લગી આવી ઢોળાઈ ગઈ
          હોઠ સમી અમરત કટોરી.

પંખીની પાંખમહીં પીંછું રડ્યું:
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
          કે અણધાર્યો તૂટી પડ્યો સેતૂ:
પાસે રહીને મને લાગે છે કેમ હવે
          કેટલાય જનમોનું છેટું!

મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડ્યું:
          ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.

– જગદીશ જોષી

Comments (3)

કૃષ્ણ–રાધા – પ્રિયકાંત મણિયાર

આ નભ ઝૂક્યું તે કા’નજી
                              ને ચાંદની તે રાધા રે.

આ સરવર જલ તે કા’નજી
                              ને પોયણી તે રાધા રે.

આ બાગ ખીલ્યો તે કા’નજી
                              ને લ્હેરી જતી તે રાધા રે.

આ પરવત શિખર કા’નજી
                              ને કેડી ચડે તે રાધા રે.

આ ચાલ્યાં ચરણ તે કા’નજી
                              ને પગલી પડે તે રાધા રે.

આ કેશ ગૂંથ્યા તે કા’નજી
                              ને સેંથી પૂરી તે રાધા રે.

આ દીપ જલે તે કા’નજી
                              ને આરતી તે રાધા રે.

આ લોચન મારાં કા’નજી
                              ને નજરું જુએ તે રાધા રે.

(પ્રિયકાંત મણિયાર (૨૪-૧-૧૯૨૭ થી ૨૫-૬-૧૯૭૬) ની આ અતિપ્રસિદ્ધ આરતી છે. દરેક કવિસંમેલનના અંતે પ્રિયકાંત આ આરતી સ્વકંઠે અવશ્ય ગાતાં. પ્રિયકાંત જ્યારે ગીત લખે છે ત્યારે ખીલે છે. વિરમગામમાં જન્મ, અમરેલીના વતની અને અમદાવાદમાં વર્ષો સુધી મણિયારનો વ્યવસાય એમણે કર્યો. સજીવ સૌન્દર્યચિત્રો દોરીને સજાવાયેલા ઘાટીલાં કાવ્યો નવીન પ્રતીકો અને લલિત પદાવલીથી વધુ ધ્યાનાકર્ષક બને છે. કૃષ્ણ અને રાધા માટેનો એમનો મીરાં જેવો અદકેરો પ્રેમ અમનાં અસંખ્ય ગીતોમાં રજૂ થયો છે. ‘નભ’થી ઉઘાડ પામીને આ કાવ્ય ‘લોચન’માં વિરમે એ દરમ્યાનમાં પ્રકૃતિથી માનવ-મન સુધી પ્રેમભાવ અદભૂત રીતે વિસ્તરે છે. કાવ્યસંગ્રહો : ‘પ્રતીક’, ‘અશબ્દ રાત્રિ’, ‘પ્રબલગતિ’, ‘વ્યોમલિપિ’ વિ.)

Comments (4)

ઝાકળનું ગીત – કૃષ્ણલાલ શ્રીધરાણી

વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
          તેરમી હું બાળકી રોતી જી રે !
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
          વન વન વેરતી મોતી જી રે !

ફૂલડાં અપારને નથડી નથાવી,
          ખડ ખડ મોતી પરોતી જી રે !
કુમુદિની કાનમાં મૂકું લવિગડાં,
          હીરલા ગૂંથું હું ગોતી જી રે !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

Comments