આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી.
પ્રહલાદ પારેખ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગીત
ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 26, 2008 at 7:59 PM by ઊર્મિ · Filed under ગીત, સુન્દરમ, સુન્દરમ્-સુધા

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
ઉત્તરના વાયરાએ ઢંઢોળ્યાં વન લોલ,
જાગી વસંત, કૈંક જાગ્યાં જીવન લોલ,
મેં તો સુખડાંની સેજ તજી જોયું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
રૂપલિયા વાટ મારી રૂપલિયા આશ લોલ,
સોનલા સૂરજ તારા, સોનલ ઉજાસ લોલ,
તારી વેણુમાં વેણ મેં પરોવ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.
-સુન્દરમ્
Permalink
March 23, 2008 at 11:30 AM by ધવલ · Filed under ગીત, સુન્દરમ, સુન્દરમ્-સુધા

હાં રે અમે ગ્યાં’તાં
હો રંગના ઓવારે
કે તેજ ના ફુવારે,
અનંતના આરે,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે ઊડયાં
હો મોરલાના ગાણે,
કે વાયરાના વહાણે,
આશાના સુકાને,
કે રંગ રંગ વાદળિયાં
હાં રે અમે થંભ્યાં
હો મહેલના કિનારે
પંખીના ઉતારે,
કે ડુંગરાની ધારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પહોંચ્યાં
હો આભલાને આરે,
કે પૃથ્વીની પાળે,
પાણીના પથારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાહ્યાં
હો રંગના ઓવારે,
કે તેજના ફુવારે,
કુંકુમના ક્યારે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે પોઢયાં
છલકંતી છોળે,
દરિયાને હિંડોળે,
ગગનને ગોળે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે જાગ્યાં
ગુલાલ ભરી ગાલે,
ચંદન ધરી ભાલે,
રંગાયા ગુલાલે,
કે રંગ રંગ વાદળિયાં.
હાં રે અમે નાચ્યાં
તારાના તરંગે,
રઢિયાળા રંગે,
આનંદના અભંગે,
કે રંગ રંગ વાદળિયાં.
– સુન્દરમ્
સુન્દરમ્ નું આ બાળગીત આપણા શ્રેષ્ઠ બાળગીતોમાંથી એક છે. એક જમાનો હતો જ્યારે મને આ ગીત આખું મોઢે હતું. આજે હવે એવો દાવો તો કરી શકું એમ નથી. પણ આજે ય કોઈ કોઈ વાર આ ગીત, એના લય અને એના કલ્પનોને અવશ્ય માણી લઉં છું. કુદરતના સૌંદર્યની તમામ લીલાને જેણે જીવને સંતોષ થાય એટલી માણી હોય એ જ આવું ગીત લખી શકે. ‘મેઘદૂત’માં કાલીદાસ જેમ વાદળના માધ્યમથી સમગ્ર ભારતવર્ષના સૌંદર્યની ઓળખાણ કરાવે છે એમ અહીં કવિ બાળકોને કલ્પનાના નાનકડા જગતની ઓળખાણ વાદળના માધ્યમથી કરાવે છે. એ રીતે જોઈએ તો આ બાળકોનું ‘મેઘદૂત’ છે.
Permalink
March 22, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સુન્દરમ, સુન્દરમ્-સુધા

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?
કોણ બદલતું સન્ધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?
અહો, ગુંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
-ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર ‘સુન્દરમ્’
૨૨-૦૩-૨૦૦૮ના રોજ કવિશ્રી સુન્દરમ્ ના જન્મ-શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ થાય છે. વર્ષની ઊજવણીના પ્રારંભકાળે કોઈક કારણોસર ચૂકી જવાયું ત્યારથી મનમાં વિચાર રમતો હતો કે શતાબ્દીવર્ષ પૂર્ણ થાય ત્યારે કવિશ્રીની કેટલીક ઉત્તમ રચનાઓનો સંપુટ લયસ્તરોના મર્મજ્ઞ વાચકોને ભેટ આપીશું. એ સંકલ્પની પરિપૂર્ણતાનો પ્રારંભ આજથી આદરીએ છીએ. આપના અભિપ્રાય હંમેશની જેમ અમારું પૂરક અને પ્રેરક બળ સાબિત થશે…
કવિશ્રીની ટૂંકી જીવન-ઝરમર આપ આ ગીતની ફૂટનોટમાં જોઈ શક્શો.
જે વસ્તુઓ આપણે સહજપણે અને જોવાપણાના અહેસાસ વિના જ જોતાં હોઈએ છીએ એમાં દૃષ્ટિની પેલે પારનું દૃશ્ય નીરખી શકે એનું નામ કવિ. પ્રસ્તુત ગીતમાં ‘કોણ?’ પ્રશ્નનો ઉત્તર શરૂથી જ મુખરિત હોવા છતાં કલ્પનોની તાજગી અને લયમાધુર્યના કારણે કવિતા ક્યાંય ઢીલી પડતી નથી. ઈશ્વર સર્વત્ર છે એ જ સંદેશ છે પણ રજૂઆતની શૈલી એને કળાનું, ઉત્તમ કળાનું સ્વરૂપ બક્ષે છે. અનાયાસે આવતા લાગતા પ્રાસ, ઝાકળમોતીમાળ જેવી અભૂતપૂર્વ અભિવ્યંજના અને નાદસૌંદર્યના કારણે આ ગીતનું સંગીત વાંચતી વખતે આંખોમાં જ નહીં, આત્મામાં પણ ગુંજતું હોય એવું લાગે છે. મારા જેવા નાસ્તિકને ય આસ્તિક બનાવી દે…
(મુખરિત=વાચાળ; સાખ=ઝાડ ઉપર સીધે-સીધું પાકેલું ફળ; કૂપ=કૂવો)
Permalink
March 3, 2008 at 11:25 PM by ધવલ · Filed under ગીત, નિરંજન ભગત
ન ફૂલ ને ફોરમ તોય ફોરતી,
વ્હેતી હવામાં હળુ ચિત્ર દોરતી.
અવ સુ-વર્ણ બધી જ ક્ષણેક્ષણ,
દિશેદિશે પ્રસર્યું અહીં જે રણ
ત્યાં વેળુમાંયે મૃદુ શિલ્પ કોરતી.
મધુર આ ઉરમાં પ્રગટી વ્યથા,
ક્ષણિકમાં ચિરની રચતી કથા,
સૌંદર્યની સૌ સ્મૃતિ આમ મોરતી.
– નિરંજન ભગત
કવિનું નામ ન લખ્યું હોય તો ય તરત જ પારખી શકાય કે નિ.ભ.નું ગીત છે. સરળ શબ્દોમાં રમ્ય છબી આંકી આપવાનું કૌવત જે એમના ગીતોમાં જોવા મળે છે તે બીજે ક્યારેક જ દેખાય છે. નાની સરખી અનુભૂતિ (નજીકમાં કોઈ ફૂલ નથી તોય ફોરમ આવે છે) ને લઈને સૃષ્ટિભરના સૌંદર્યને યાદ કરી લેવાનું કાવતરું એક કવિ જ કરી શકે !
Permalink
February 17, 2008 at 12:32 AM by વિવેક · Filed under ગીત, વેણીભાઈ પુરોહિત
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
સાતે રે સમદર એના પેટમાં,
છાની વડવાનલની આગ,
અને પોતે છીછરાં અતાગ :
સપનાં આળોટે એમાં છોરું થઈને ચાગલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
જલના દીવા ને જલમાં ઝળહળે,
કોઈ દિન રંગ ને વિલાસ,
કોઈ દિન પ્રભુ ! તારી પ્યાસ,
ઝેર ને અમરત એમાં આગલાં ને પાછલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
-વેણીભાઇ પુરોહિત
વિરોધમૂલક પ્રતીકોથી સાદૃશ્યના સ્થાપવી એ કવિતાનો અગત્યનો ગુણધર્મ છે અને અહીં એ સુપેરે પાર પડાયો છે. પહેલી પંક્તિથી શરૂ થતો વિરોધાભાસ પંક્તિએ પંક્તિએ વધતો જઈ અંતે ચરમસીમાએ પહોંચી વાચકને કાવ્યરસપાનના સંતોષની અનુભૂતિથી તરબોળ કરી દે છે. માછલાં શબ્દપ્રયોગ ‘આંખ’ને અનુલક્ષીને કર્યો છે એ શીર્ષકમાં સાવ ખુલ્લેખુલ્લું ન કહી દીધું હોત તો પણ સમજાત જ.પણ ઊનાં પાણીનાં? કવિતાના પહેલા શબ્દથી જ વિરોધ ઊભો થાય છે. માછલાં કદી ઊનાં પાણીમાં ન રહે અને ઊનાં પાણીમાં રહે તે તો અદભુત જ હોવાનાં.
જ્યાં તેજ હોય ત્યાંથી ભેજ ઊડી જ જાય. પણ આ દેખીતા વિરોધાભાસી તત્ત્વો આંખમાં એકસાથે રહે છે. જેમ આંખનું તેજ, એમ જ આર્દ્રતા પણ સજીવતાની નિશાની છે. અને આસમાની શબ્દ નાનકડી આંખમાં રહેલી આકાશતુલ્ય અપરિમેય વિસ્તૃતિનું જાણે સૂચન કરે છે. આંખની આકારલઘુતા સામે આસમાનની વ્યાપક વિશાળતાનો એક બીજો વિરોધ અહીં સમાંતરે ફરીથી સ્થાપિત થાય છે. વળી આંખથી દૃષ્ટિગોચર થતી સૃષ્ટિ જેમ સાચી તોય અંતે તો નશ્વર છે, એમ જ આંખ પણ કાચના કાચલાં જેવી જ ક્ષણભંગુરતા નથી ધરાવતી?
‘આસમાની ભેજ’ની વ્યાપક્તાને સમાંતર સાત સમન્દરની ઊંડી વિશાળતાની વાત કવિ કરે છે ત્યારે એક બીજો વિરોધ અનાયાસ કાવ્યમાં ઉપકારકરીતે ઉમેરાઈ જાય છે. ‘એના પેટમાં’ એટલે? સમુદ્રના પેટમાં રહેતાં માછલાંના પેટમાં વળી સાતે સમુદ્ર? આ છે વાચ્યાર્થની ચમત્કૃતિ. આ નાની આંખમાંથી ટપકતું વેદના કે હર્ષનું એક અશ્રુ સાત સમુદ્ર કરતાં વધુ પ્રલયંકર છે એનું અહીં સૂચન નથી? હવે બીજો વિરોધાભાસ… પાણીમાં જ પાણી વડે પ્રક્ટેલો અગ્નિ પ્રજળે છે. બીજા અગ્નિને પાણીથી ઠારી શકો પણ પાણીમાં પાણીથી પ્રક્ટેલા અગ્નિને? આવી ન બૂઝાતી વેદનાના ધખારાથી ભરેલી આંખ છીછરી હોવા છતાં અતાગ છે. કેવી વિરોધી સાદૃશ્યના! જે છીછરું છે એ જ અતાગ છે. આમ જુઓ તો સાત સમંદર એના પેટમાં અને આમ જુઓ તો?!વળી વાસ્તવિક્તાની આંચ લાગતાં જે વિલાઈ જાય એ ચાગલા છોરુ જેવા સપનાં આ ઊંડી વિશાળતા અને પ્રચ્છન્ન દાહકતાના ખોળે જ લાડ કરતાં, વિશ્રમ્ભપૂર્વક રમે છે એ વળી કેવો વિરોધાભાસ! અહીં ચાગલાં શબ્દના ત્રણેય અર્થ- મૂર્ખતા, નિર્દોષતા અને લાડકવાયાપણું કવિતામાં એકસાથે ઉપસી આવી કાવ્યને ઉપકારક થઈ પડે છે.
અન્તે આ ભેજ અને તેજની જ વાતને અત્યંત સમર્થ કલ્પનથી મૂર્ત કરી છે: જલના દીવા! જલનો ભેજ અને જલનું તેજ ભેગાં મળીને દીવા પ્રગટ્યા છે. ભેજ અને તેજની વિરોધ દ્વારા ક્રમશઃ સિદ્ધ થતી અભિન્નતા એ જ આ કાવ્યની વિશિષ્ટતા છે. પ્રથમ કડીમાં બંને જુદા હતાં, બીજી કડીમાં સાગર અને વડવાનલ રૂપે નજીક આવ્યાં અને ત્રીજી કડીમાં આંખમાં સધાતી એની અભિન્નતા દીપ પ્રકટાવે છે. આ રીતે આંખની સ-તેજ આર્દ્રતા મૂર્ત થઈ છે. અંતે પરંપરાગત ભક્તિની વાત મૂકીને કવિ છેલ્લી પંક્તિમાં ફરીથી વિરોધમૂલક સાદૃશ્યનાનું તીર આબાદ તાકે છે. ઝેર અને અમૃતના રૂપમાં કવિ ભેજ અને તેજનું બીજું રૂપાંતર જાણે કરે છે. જે વિશાળ છે, પૂર્ણ છે તે પોતાનામાં પરસ્પરવિરોધી અંશોનો સમન્વય સિદ્ધ કરીને અખંડ બને છે. કહો કે વિરોધને ગાળી નાંખવાની વિશાળતા એનામાં છે. આંખ ઝેર જીરવે છે અને અમી પણ વરસાવે છે એ હિસાબે એ આપણામાં રહેલું શિવતત્ત્વ છે. ઝેર અને અમૃત ‘આગલાં’ અને ‘પાછલાં’ છે એટલે કે એક જ વસ્તુની એ બે બાજુ છે, જુદી જુદી વસ્તુ નથી.
(શ્રી સુરેશ જોષી કૃત ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ના આધારે)
Permalink
February 12, 2008 at 12:51 AM by ધવલ · Filed under ગીત, નિરંજન ભગત
પરિપૂર્ણ પ્રણયની એક ઘડી,
જાણે મધુર ગીતની ધ્રુપદ કડી.
એના સહજ સરલ સૌ પ્રાસ,
જાણે જમુનાતટનો રાસ;
એનો અનંતને પટ વાસ,
અણજાણ વિના આયાસ જડી.
એનો એક જ અંતરભાવ,
બસ ‘તુહિ, તુહિ’નો લ્હાવ,
એ તો રટણ રટે : પ્રિય આવ,
આવ, આવ અંતરા જેમ ચડી !
– નિરંજન ભગત
છંદ અને લય પર સંપૂર્ણ હથોટીની સાબિતિ જેવી રચના. સરળ માળખામાં સામાન્ય શબ્દોની પૂર્તિ કરી એને એક અસામાન્ય રચના કેવી રીતે બનાવાય એનું સરસ ઉદાહરણ. આ ગીત એક વાર હોઠ પર ચડે પછી ઉતારવું મુશ્કેલ બને.
Permalink
February 10, 2008 at 12:56 AM by વિવેક · Filed under કરસનદાસ લુહાર, ગીત
એવું એકાદ કોઈ ગામ હોય…!
. ચીંધ્યું ચીંધાય એવી દિશામાં નો’ય
. અને નક્શામાં જેનું ના નામ હોય !
સૂરજની સ્હેજ આંખ ઊઘડતાં કોતિકડું
. સંતાતું ક્યાંક ચૂપચાપ;
અંધારાં ઊતરીને હમચી ખૂંદેને પછી
. હાજરાહજૂર આપોઆપ !
પંડ્ય તણા પાછોતરા પડછાયા પહેરવા
. સૂરજની ખોજ અવિરામ હોય !
. એવું એકાદ કોઈ ગામ હોય !
ખેલાતી હોય ધૂમ ચોપાટ્યું ચોકમાં
. ને દોમદોમ ડાયરાઓ ડેલીએ,
કોરો રહેલ કોઈ ચૂલો પલાળવાને
. ત્રાટકતું હોય કોઈ હેલીએ !
ઓલ્યે ભવ અધપીધા હુક્કાનો કેફ
. જાણે પૂરો કરવાનો નો આમ હોય ?
. એવું એકાદ કોઈ ગામ હોય !
-કરસનદાસ લુહાર
ક્યાંય શું બચ્યું છે આવું એકાદું ગામ હજી? ચીંધી શકાય એવી દિશામાં ન હોય અને નક્શામાં કશો ઉલ્લેખ પણ ન હોય એવી વાત કરીને કવિ કયા ગામની વાત કરી રહ્યા છે? ચર્ચાને અવકાશ આપીએ…?
Permalink
February 7, 2008 at 2:00 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
એક છોકરાએ સિટ્ટીનો હિંચકો બનાવી એક છોકરીને કીધું : ‘લે ઝૂલ’
છોકરાએ સપનાનું ખિસ્સું ફંફોસીને
સોનેરી ચોકલેટ કાઢી રે
છોકરીની આંખમાંથી સસલીનાં ટોળાંએ
ફેંકી કૈં ચિઠીઓ અષાઢી રે
સીધી લીટીનો સાવ છોકરો ને પલળ્યો તો બની ગયો બેત્રણ વર્તુલ
છોકરીને શું ? એ તો ઝૂલી,
તે પછી એને ઘેર જતાં થયું સ્હેજ મોડું રે
જે કાંઇ થયું એ તો છોકરાને થયું
એના સાનભાન ચરી ગયું ઘોડું રે
બાપાની પેઢીએ બેસી તે ચોપડામાં રોજરોજ ચીતરતો ફૂલ.
-રમેશ પારેખ
ર.પા. એમના ભાષાવૈવિધ્ય અને લયની મૌલિક્તા માટે જાણીતા “સ-જાગ” કવિ છે. મોરારીબાપુએ કહ્યું હતું, ” આ કવિ કંઈક ભાળી ગયો છે. આ કવિ સતત સર્જન કરતો કવિ છે. તેને કદી કસુવાવડ થઈ નથી”. ર.પા.એ બે ડઝનથી વધુ હળવા મિજાજના ‘છોકરા-છોકરી ગીતો‘ લખ્યા છે જે બધા ઊર્મિ અને લયના નાવીન્યના કારણે સ્મરણીય બની રહ્યા છે. સાવ હળવા હલકાફુલકા મિજાજનું આ કાવ્ય વાંચીએ ત્યારે અહીં કોઈ કવિતા છે કે નહીં એવો પ્રશ્ન ઉદભવી શકે. પણ ર.પા. જેવો સજાગ કવિ કોઈ કાવ્ય અકારણ લખે એ વાત સહેલાઈથી ગળે ન ઉતરે એટલે આજે અહીં યથાશક્તિ આ સાવ સહેલાસટ્ટ ગીતનો તાગ મેળવવાનો ઈરાદો છે.
કવિતાનું શીર્ષક એ કવિતામાં પ્રવેશવાનો દરવાજો છે. અહીં એક છોકરો અને એક છોકરી એટલું વાંચતા એટલું સમજાઈ જાય છે કે આ પ્રણયોર્મિનું ગીત છે. પણ કવિએ પછી કંઈક બીજું કહીને પ્રશ્નાર્થ કેમ મૂક્યો હશે? આ પ્રશ્ન ચિહ્ન શું ઈશારો છે ભાવક માટે કે અહીં એક છોકરો અને એક છોકરીથી આગળ કંઈક બીજું પણ છે જે વળી મોઘમ રહેવાનું છે? અને આ ઘનમૂલક નિશાનીઓ… પ્રેમની વાત હોય ત્યાં તો કાયમ સરવાળો જ હોય ને! બાદબાકી કે ભાગાકાર હોય એ સંબંધને પ્રેમ શું કહી શકાય? શીર્ષક રચનામાં બે વાર સરવાળા કરીને કવિ પ્રેમના ઉંબરે આપણે આવી ઊભા હોવાના અહેસાસને વળી બેવડાવે છે…
ર.પા.નું શબ્દ-વિશ્વ અ-સીમ છે. બહુ જૂજ કવિઓ એવા હશે જેમના હાથે ખુદ શબ્દો મોક્ષ પામે છે ! સીટી વગાડવા જેવી કદાચ ઉતરતી કક્ષાની વાત પણ ર.પા. પાસે આવીને સાહિત્ય બની જાય, જ્યારે હોઠેથી વાગતી સીટી ઝૂલી શકાય એવો હિંચકો બની જાય છે ! સાવધ રહીએ… અહીં છોકરીની છેડતી કરનાર કોઈ રૉડ-સાઈડ રૉમિયોની વાત નથી. કાવ્યનાયક હિંમતવાન છે. સીટી વગાડીને એ પૂંઠ ફરી જતો નથી પણ પોતાના પ્રેમની દોર પર હિંચવા એ નાયિકાને ખુલ્લું આહ્વાન આપે છે જે ગીતને હલકું બનતું અટકાવે છે.
પ્રેમ એટલે સોનેરી સપનાં જોવાની ઉંમર. છોકરો પોતાના સોનેરી સપનાંમાં છોકરીને ભાગીદાર બનાવવા ઈચ્છે છે એટલે સપનાંઓને ફંફોસીને ખાસ એવા સોને મઢેલ શોણલાં કાઢે છે જે પાછાં ચોકલેટ જેવાં ગળચટ્ટા પણ હોય… અને છોકરીએ પણ હિંચકે ઝૂલી જ લીધું છે એની પ્રતીતિ પણ તુર્ત જ થઈ આવે છે. અહીં વાર્તાલાપ ખરો પણ એને શબ્દોનો ટેકો નથી… છોકરી પણ બોલવા માટે આંખોનો જ સહારો લે છે. પણ દુનિયાનો ડર હજી હૈયેથી ગયો નહીં હોય એટલે કવિ ગભરું સસલીઓના ટોળાંનો ઉલ્લેખ કરી કાકુ સાધે છે અને સ્વભાવિક રીતે જે સંકેતો આંખમાંથી ફેંકાય એ આષાઢી જ હોવાના. અને આવા નેહભીનાં નિમંત્રણ મળે પછી માણસ ચકરાવે ન ચડી જાય તો જ નવાઈ… પ્રેમમાં પડતા પહેલાં જે સીધોસટ ગણાતો હશે એ છોકરાને આ ચકરાવાઓમાંથી હવે કોણ બચાવે ?
કાચી વયના પ્રેમમાં છોકરીઓને ક્યારેક છોકરાંઓની ભાવના સાથે રમી લેવાનોય આનંદ હોય છે. પહેલી પંક્તિમાં કવિ છોકરીને આ છોકરાના પ્રેમની કંઈ પડી જ ન હોય એવો ઉપાલંભ કરી જાણે મફતનું ઝૂલી લીધું હોય એવો ભાસ કરે છે પણ વળતી જ કડીમાં એમાં યોગ્ય સુધારો પણ કરે છે. છોકરી પણ અહીં સંડોવાયેલી જ છે અને એટલે જ એને પણ ઘરે જતાં મોડું થાય છે. આ ઊભો થતો ભાસ અને તુર્ત જ આવતો યુ-ટર્ન જ કદાચ આ ગીતમાં કવિતાને સિદ્ધ કરે છે. પછી પ્રેમમાં પડેલો છોકરો જે કંઈ કરે છે એમાં શું કંઈ નવું છે? અને એ પછી શું થયું એ તો કવિ કહેતા જ નથી… એ તો કંઈક બીજું કહી પ્રશ્ન મૂકી ખસી જવામાં જ માને છે…
છોકરા-છોકરીનો ક્ષણાર્ધ માટે કદાચ ગામની ભાગોળે સામ-સામા થવાનો આવો પ્રસંગ તો કેટલો સામાન્ય છે ! સાવ સીધી ભાષામાં લખાયેલું આ નાનકડું પ્રસંગ-ગીત એવી સંજિદી હળવાશથી લખાયું છે કે વાંચતી વખતે એક આખું ભાવ-ચિત્ર આંખ સામે ઊભું થઈ જાય છે. એક પણ પીંછી કે એકપણ રંગ વાપર્યા વિના આખેઆખું ચિત્ર માત્ર શબ્દ અને લયના જોરે કેટલા કવિઓ દોરી શક્તા હશે, કહો જોઈએ?
Permalink
February 6, 2008 at 12:57 AM by ધવલ · Filed under ગીત, સંદીપ ભાટિયા
નાળિયેરીના પાનની નીચે સાંજબદામી સૂરજ ઝૂલે,
દૂરથી પવન જેમ ઊછળતી આવતી તને જોઈને
મારા વગડાઉ ફૂલ જેમ રૂંવાડા એક પછી એક ખૂલે.
મન જાણે છે કેટલી થઈ આવશે ને
ના આવશે વચ્ચે ઘુઘવાટાની ખેપ,
આભમાં ચોમેર દરિયે ચોમેર દવ ને
તારું દૂરથી દેખાઈ જાવું ચંદન લેપ.
સઢ ફુલાવી આવતી તને જોઈ ખારવો દરિયાકાંઠે
દરિયાથી થઈ સાવ અજાણ્યો ડૂબવું ભૂલે તરવું ભૂલે
ગણ્યાં પંખી પરપોટા ને ગણી સૂનમૂન છીપ
ને ગણ્યા રેતના બધાય કણ,
ઢળતી સાંજે વાટ જોવામાં પગથી માથા લગ બધેબધ
નેજવું થ્યો એક જણ.
પાંખ પ્રસારી ઊડતી તને જોઈ પારધી પોતે જ પંખી થાય
ને રીસનાં તીરને કામઠાં ભૂલે.
– સંદીપ ભાટિયા
ગીત થોડું અટપટું છે. પણ બે-ત્રણ વાર વાંચો તો તમને ખ્યાલ આવે કે કવિએ અર્થની કેવી સરસ ગૂંથણી કરી છે. વગડાઉ ફૂલની જેમ રૂંવાડા એક પછી એક ખૂલવાની તો કલ્પના જ કેટલી રોમાંચક છે ! એટલી જ તાજી વાત કવિએ નેજવું થ્યો એક જણમાં પણ કરી છે. આગળ મૂકેલું, આપણા શ્રેષ્ઠ પ્રેમગીતોમાંથી એક એવું, ભીંજાવું ચડ્યું ટલ્લે પણ સાથે જોશો. કવિએ ગીતને કોઈ નામ નથી આપ્યું, એટલે મેં પસંદ કરેલું નામ અહીં કૌંસમાં મૂકેલ છે.
Permalink
January 26, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, બંકિમ રાવલ
હવે ચોઘડિયાં જોઈને શું ફાયદો ?
પળના પ્રવાહમાં દઈ દે છલાંગ
. મેલ કાતરિયે વચકો ને વાયદો
થીજે કે ઓગળે આંસુના પ્હાડ
. પેલા સૂરજને ક્યાં એનું ભાન છે?
સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય
. પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે.
હું-પદની પાલખી ઊતરીને ચાલ
. ખરો મારગ છે સાવ જ અલાયદો.
વિસ્મયની કેડીએ વગડામાં ઘૂમીએ
. સૂનમૂન કો’ વાવ જરા ડ્હોળિયે
ઊડતી કો’ સારસીના લયના ઉજાસમાં
. ગૂંચો આ શ્વાસની ઉખેળિયે
પંખાળા દેશમાં કોને છે પાળવો
. પગપાળા જાતરાનો કાયદો !
– બંકિમ રાવલ
લય મજાનો છે કે અર્થ ચોટદાર છે એ નક્કી કરવામાં દ્વિધા અનુભવાય ત્યારે જાણવું કે ગીત પાણીદાર થયું છે. ચોઘડિયાં જોઈને જીવન વીતાવતા નસીબજીવી માણસોને કવિ પળના પ્રવાહમાં ઝંપલાવવાનું આહ્વાન આપી આગળ વધે છે. આખું ગીત લયબદ્ધરીતે સોંસરું નીકળી જાય છે. શકુંતલાની વીંટી જળમાં સરકી જતાં દુષ્યંતને એનું વિસ્મરણ થઈ ગયું હતું એ વાતનો તંતુ પકડીને કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયાની પંગતમાં બેસી શકે એવી પાણીદાર પંક્તિ લઈ આવે છે: સ્મરણોની અંગૂઠી જળ-તળિયે જાય પછી જે કંઈ સમજાય એ જ જ્ઞાન છે. શબ્દોને અર્થની પાંખો પહેરાવીને કવિ પગપાળા જાતરા કરવાના કાયદાનો સ-વિનય કાનૂનભંગ કરે છે અને આપણને મળે છે લાંબા સમય સુધી ભીતર ગુંજતી રહે એવી કૃતિ…
Permalink
January 23, 2008 at 9:00 AM by ધવલ · Filed under ગીત, પુનશી શાહ 'રંજનમ'
સાઠ ઘડી હું ગોપાલકની
એક ઘડી હું તારી રે,
શ્યામમુરારિ
એક ઘડી હું તારી,
સાંવરિયા, મૈં ભટકી દિનભર,
વ્રજમાં ગોરસ વેચ્યું ઘરઘર,
રાત થતાં ઈહલોક થકી પર,
માધવ ગિરિધર
લીન તુંમાં બનનારી રે,
શ્યામમુરારી
એક ઘડી હું તારી રે !
– પુનશી શાહ ‘રંજનમ’
મીરાં-ભાવે લખેલું ગોપીગીત. નિતાંત મીઠું. રસાળ. ફરી ફરી ગવાયા કરે એવું. પુનશી શાહના ગીતોનો આ મારો પહેલો પરિચય છે. એમની વધુ રચનાઓ શોધવી પડશે. સાથે જુવો : મેરે પિયા
Permalink
January 13, 2008 at 1:33 AM by ધવલ · Filed under ગીત, મૂકેશ જોષી
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ?
તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા ?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા ?
તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ…
તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો ?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?
તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો ?
તમે કોઇ દિવસ…
– મૂકેશ જોશી
ગયા અઠવાડિયે પ્રેમની ઊલટી બાજુ રજૂ કરતી બે રચનાઓ સાથેસાથે મૂકેલી એને ‘બેલેંસ’ કરી દે એવું આ ગીત માણો. મૂકેશ જોશીનું આટલું જ સરસ બીજું ગીત પણ સાથે માણશો.
Permalink
January 10, 2008 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ન્હાનાલાલ દ. કવિ
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મ્હારી ચુંદડલી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મ્હારી ચુંદડલી.
આજ ઝમે ને ઝરે ચન્દ્રીની ચન્દ્રિકા,
ભીંજે રસિક કોઈ બાલા રે :
ભીંજે સખી, ભીંજે શરદ અલબેલડી,
ભીંજે મ્હારા હૈયાની માલા :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.
વનમાં પપૈયો પેલો પિયુ પિયુ બોલે,
ટહુકે મયૂર કેરી વેણાં રે :
ટમ ટમ ટમ ટમ વાદળી ટમકે,
ટમકે મ્હારા નાથનાં નેણાં :
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.
આનન્દકન્દ ડોલે સુન્દરીનાં વૃન્દ ને
મીઠા મૃદંગ પડછન્દા રે :
મન્દ મન્દ હેરે મીટડી મયંકની,
હેરો મ્હારા મધુરસચન્દા !
હો ! ભીંજે મ્હારી ચુંદડલી.
-ન્હાનાલાલ
મુગ્ધાના હૃદયમાં થતા પ્રથમ પ્રેમોદયની સુકુમાર ભાવોર્મિનું મનભાવન ચિત્ર એટલે આ કાવ્ય. પ્રથમ વરસાદના ઝીણા-ઝીણા ફોરાં આખી સૃષ્ટિને ભીંજવે છે. પપીહા, મોર, વાદળ, મુગ્ધાની માળાથી માંડીને કાચા કુંવારા કૌમારની ચુંદડી અને પ્રિયજનના નેણ અને આખ્ખેઆખ્ખી શરદ ઋતુ પણ ભીંજાઈ જાય છે. બીજા અર્થમાં અહીં પ્રેમવર્ષાની વાત છે… વ્યક્તિથી લઈને સમષ્ટિના સમૂચાં ભીંજાઈ જવાનું ચિત્ર આખું એવું મનહર થયું છે કે એમ થાય બસ, ન્હાયા જ કરીએ…ન્હાયા જ કરીએ…
(વેણાં=વાંસળી, આનંદકન્દ= આનંદના મૂળરૂપ પરમાત્મા, પડછંદા= પડઘા, હેરે=નીરખે, મધુરસચંદા= મધુર રસથી ભરપૂર ચંદ્ર, પ્રિયતમ.)
Permalink
December 20, 2007 at 12:46 AM by વિવેક · Filed under ગીત, પ્રફુલ્લા વોરા
કે શોધું ! ક્યાં તાળું, ક્યાં કૂંચી,
નામ રટંતાં જે સુખ ચાખ્યું,
એ માળા મેં ગૂંથી… કે શોધું…
યુગયુગથી હું શોધું છું કોઈ લખવા જેવો અક્ષર,
કાગળ-લેખણ હાથ લઉં ત્યાં કેમ બધું છુમંતર,
એકલદોકલ વાત નથી આ,
બંધ ગઠરિયાં છૂટી…. કે શોધું…
ભૂરી-તૂરી ભ્રમણા લઈને દોડ્યા કરવું આગળ,
આજે નહીં તો કાલે ઊગશે, સુખનાં થોડા વાદળ,
અંતે તો આ ખેલ અધૂરો,
ને ચોપાટું પણ ઊઠી… કે શોધું…
-પ્રફુલ્લા વોરા
મઘઈ પાનનું બીડું મોઢામાં મૂકીએ અને ધીમે ધીમે ચાવતાં જઈ એનો રસ ખૂટી જવાનો કેમ ન હોય એવી અધીરપથી શક્ય એટલા સમય સુધી માણવાની કોશિશ જેમ કરીએ એમ જ ખૂબ આહિસ્તે-આહિસ્તે મમળાવવા જેવું આ ગીત. દરેક કલ્પનો પર અટકીને વિચાર કરવો પડે કે આ માત્ર શબ્દોના પ્રાસ છે કે પ્રાસથી ય કંઈક આગળ… ઘોડાની આગળ ગાજર બાંધીએ અને ઘોડો દોડતો રહે એવી પરિસ્થિતિ આપણા સહુની છે પણ કવયિત્રી કેવા કમનીય શબ્દો લઈને આવે છે! એમણે ભ્રમણાઓ અને એ પણ ભૂરી અને તૂરીનો ઉલ્લેખ કર્યો છે. ભૂરો રંગ આકાશનો રંગ છે એ અર્થમાં એ ભ્રમણાઓની વિશાળતાનો સંકેત કરે છે તો તૂરો શબ્દ ગમે એવી વિશાળ કેમ ન હોય, ભ્રમણાનો સ્વાદ તો આવો જ રહેવાનો એમ ઈંગિત કરતો ભાસે છે. અને કઈ ભ્રમણાઓ માણસને દોડતો રાખે છે? આજે નહીં તો કાલે, સુખના વાદળ ઊગશે એજ ને? અહીં કવયિત્રી કદાચ અજાણતાં જ બીજી અર્થસભર વ્યંજનાનો કાકુ સિદ્ધ કરે છે. સુખ માટે એ વાદળનું કલ્પન વાપરે છે. પણ વાદળની જિંદગી કેટલી? વાદળે ક્યાં તો પવન સાથે વહી જવાનું ક્યાં સમય સાથે વરસી જવાનું, પણ એનું હોવું તો ક્ષણભંગુર જ ને… આ તો બે લીટીની વાત થઈ. આખું કાવ્ય જ મઘઈ પાનના બીડાંની જેમ ચગળવું પડશે…
Permalink
December 17, 2007 at 9:23 PM by ધવલ · Filed under ગીત, હસિત બૂચ
એવું તો ભઈ, બન્યા કરે
કે
સરલ મારગે પહાડ અચાનક ઊભો થાય.
ફૂલ અકારણ કાંટો થાય;
ભઈ
તેથી કંઈ
હતું ફૂલ, ન્હોતું કહેવાય ?
મળિયો મારગ તજી જવાય ?
એવુંયે અહીં બન્યા કરે;
પ્હાડ પડ્યા રહે, પગને ફૂટે પાંખો,
કાંટા પર પણ ઋજુ ફરકતી રમે આપણી આંખો;
ભલે
ન પળ એ રટ્યા કરાય !
ભલે
વિરલ એ;
વિતથ કેમ એને કહેવાય ?
એવું તો અહીં બન્યા કરે,
કે –
એવુંયે ભઈ, બન્યા કરે,
કે –
– હસિત બૂચ
(‘ઓચ્છવ’)
બન્યા કરે એ નિયતિના સ્વીકારનું કાવ્ય છે. આપણી અડધી જીંદગી બનેલાનો પ્રતિકાર કરવામાં જાય છે. જે બની ગયું છે – એ સત્યને સ્વીકારીને આગળ વધવું એ આપણો ધર્મ છે. આ સાદી વાત કવિએ બહુ મીઠી રીતે કરી છે.
( વિતથ = ખોટું, અસત્ય )
Permalink
December 12, 2007 at 1:31 PM by ધવલ · Filed under ગીત, દિલીપ જોશી
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?
આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત
પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ
લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
-દિલીપ જોશી
(‘વીથિ’)
ગઈકાલે ‘શાંતિ’નું કાવ્ય મૂકેલું ને આજે ‘સુખ’નું કાવ્ય ! આ ગીતનો કોઈ મોટી ફિલસૂફીનો દાવો નથી. નથી એમાં ઊંડું ચિંતન. આ ગીત તો છે માત્ર સુખ નામની – પકડમાં ન આવતી – બધાને લલચાવતી – ઘટના વિષે કવિને થયેલું આશ્ચર્ય !
પહેલી જ બે પંક્તિઓ ખૂબ ગમી ગઈ. સુખની પાંદડા પરના પાણી અને પરપોટા સાથે સરસ સરખામણી કરી છે. એ પછી સપનાંમાં, જીવનમાં અને કુદરતના ખોળે સુખ વેરાયેલું મળી આવવાની વાત છે. મને સૌથી વધુ ગમી ગઈ એ પંક્તિ તો આ છે – લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી. સુખ કોઈ નવો પદાર્થ નથી એ તો રોજબરોજની જીંદગીના ગાર-માટીમાંથી જ બનેલું છે. જો આપણને એ ગાર-માટીનું લીંપણ સારી રીતે કરતા આવડે તો એ જ સુખ બની જાય !
Permalink
November 21, 2007 at 12:11 AM by ઊર્મિ · Filed under ગીત, પુરુરાજ જોશી
કારતકમાં શી કરી ઝંખના !
માગશરમાં મન મોહ્યાં સાજન !
પોષે રોષ કીધા કંઈ કપરા
મોઘે મબલખ રોયાં સાજન !
ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !
ચૈતરમાં ચંપો મૂરઝાયો
વૈશાખી વા જોયા સાજન !
જેઠે આંધી ઊઠી એવી
નેણ આષાઢી લ્હોયાં સાજન !
શ્રાવણનાં સમણાનાં મોતી
ભાદરવે ક્યાં પ્રોયાં સાજન !
આસોમાં સ્મરણોના દીવા
રૂંવે રૂંવે રોયાં સાજન !
-પુરુરાજ જોશી
ગાગાગાગા ગાગાગાગા ગઝલનાં છંદમાં લખાયેલાં આ કાવ્યને આપણે ગઝલ કહીશું, કે ગીત? (કે પછી ગીતઝલ?)
Permalink
November 18, 2007 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જગદીશ જોષી
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરીફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યા
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?
માનો કે આપણે ખાધું-પીધું
અને માનો કે રાજ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું?
ધારો કે રાણી! તમે જીતી ગયાં
અને ધારો કે વાયરા વીતી ગયા
પણ આ માંડેલી વારતાનું શું?
– જગદીશ જોષી
Permalink
November 13, 2007 at 1:37 PM by ઊર્મિ · Filed under ગીત, માધવ રામાનુજ
આપણે તો ભૈ રમતારામ !
વાયરો આવે-જાય એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ.
વાદળ કેવું વરહે, કેવું ભીંજવે ! એવું ઊગતા દીનું વ્હાલ !
આછેરો આવકાર મળે, બે નેણ ઢળે –
બસ, એટલામાં તો છલકી થાઈં ન્યાલ !
મારગે મળ્યું જણ ઘડીભર અટકે, ચલમ પાય
ને પૂછે – કઈ પા રહેવાં રામ?
વાયરો આવે-જાય, એણે ક્યાંય બાંધ્યાં ના હોય ગામ !
ઓઢવાને હોય આભ, ઉશીકાં હોય શેઢાનાં, પાથરેલી હોય રાત;
સમણાંના શણગાર સજીને ઊંઘ આવે
ને પાંખડીઓ-શા પોપચે આવે મલકાતું પરભાત,
ઝાકળમાં ખંખોળિયું ખૈ ને હાલતા થાઈં, પૂછતા નવાં નામ…
આપણે તો ભૈ રમતારામ !
-માધવ રામાનુજ
Permalink
October 31, 2007 at 11:10 PM by ધવલ · Filed under ગીત, ઝવેરચંદ મેઘાણી
અસ્ત જાતા રવિ પૂછતા અવનિને :
‘સારશો કોણ કર્તવ્ય મારાં ?’
સાંભળી પ્રશ્ન એ સ્તબ્ધ ઊભાં સહુ,
મોં પડ્યાં સર્વનાં સાવ કાળાં.
તે સમે કોડિયું એક માટી તણું
ભીડને કોક ખૂણેથી બોલ્યું :
‘મામૂલી જેટલી મારી ત્રેવડ, પ્રભુ !
એટલું સોંપજો, તો કરીશ હું’
– ઝવેરચંદ મેઘાણી
(રવિન્દ્રનાથ ઠાકુરની કૃતિ ‘કર્તવ્યગ્રહણ’ પરથી)
Permalink
October 22, 2007 at 11:11 PM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
સંતો પ્રેમઘટા ઝૂક આઈ.
સઘન ગગનથી સુન્દર વરસ્યો પ્રેમામૃતની ધારા,
જીવનની જમનાના છલકી ઊઠ્યા બેઉ કિનારા;
મુદિત રહ્યુ મન ન્હાઈ – સંતો..
મ્હેકી ઊઠી ઉરધારા, છવાઈ હર્ષ તણી હરિયાળી,
વાદળઉરને વીંધતી આંખો વીજલની અણિયાળી;
પ્રગટ પ્રેમગહરાઈ – સંતો…
ગહન તિમિરને અંક સપનમાં ઢળી સૃષ્ટિની કાયા,
સકલ ચરાચર પરે અકલની ઢળી અલૌકિક છાયા;
ભેદ ગયા ભૂંસાઈ – સંતો…
– જયન્ત પાઠક
અંદરના આનંદને વ્યક્ત કરવા સિવાયના કોઈ કારણ વિના આ ગીત લખ્યું હોય એવું તરત જ દિલને લાગે છે. હિન્દી શબ્દોનો પ્રયોગ મીરાંના પદમાં આવે એટલી જ સહજતાથી અહીં પણ આવે છે. નકરા આનંદથી નીતરતું આ ગીત મોટેથી ગાઈને વાંચો તો જ લયની ખરી મઝા આવે એમ છે.
Permalink
October 9, 2007 at 11:53 AM by ધવલ · Filed under ગીત, ઝાકળબુંદ, વિવેક મનહર ટેલર
ઉંમરના કબાટમાં સાચવીને રાખ્યો’તો, કાઢ્યો એ બ્હાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.
મ્હેંદી વાવીને તમે ખેતરને રંગી દો,
તો યે બગલાના પગલાનું શું?
નાદાની રોપી’તી વર્ષો તો આજ શાને
સમજણનું ઊગ્યું ભડભાંખળું?
ચાલ્યું ગયું એ પાછું ટીપુંયે આપો તો બદલામાં ચાહે રગ-રગ લો…
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.
અડસટ્ટે બોલ્યા ને અડસટ્ટે ચાલ્યા
ને અડસટ્ટે ગબડાવી ગાડી,
હમણાં લગી તો બધું ઠીક, મારા ભાઈ !
હવે જાગવાની ખટઘડી આવી.
પાંદડું તો ખર્યું પણ કહેતું ગ્યું મૂળને, હવે સમજી વિચારી આગે પગ લો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.
એકધારું સરકતો રસ્તો અચાનક
માઈલોનો પથ્થર થઈ બેઠો,
અટકી જઈને એણે પહેલીવાર જાતને
કહ્યું આજે કે થોડું પાછળ જો.
વીતેલા વર્ષોના સરવાળા માંડું ત્યાં તો આંખ સામે થઈ ગયો ઢગલો.
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.
-વિવેક મનહર ટેલર
વિવેક વિષે આ બ્લોગના વાંચકોને કાંઈ કહેવાનું જ હોય નહીં. વિવેકના બ્લોગ ‘શબ્દો છે શ્વાસ મારા’થી અહીં કોઈ અજાણ્યું નથી. આમ તો એ ગઝલનો માણસ છે. પણ હવે એનું રચના-ફલક વધુ ને વધુ વિસ્તરી રહ્યું છે. મારા માટે વિવેકની રચનાઓમાંથી એકની પસંદગી કરવી એ બહુ અઘરું કામ છે. ઘણી ગડમથલ પછી મેં આ ગીત પસંદ કર્યું છે કારણ કે આ ગીત વિવેકની બીજી રચનાઓથી તદ્દન જુદું તરી આવે છે. વિષય અને માવજત બન્ને નવા અને તાજા છે. ‘મૂંછોના ખેતરમાં બગલો’ જેવા રમતિયાળ ઉપાડથી શરૂ થતું ગીત સહજતાથી ભાવ અને અર્થના ઊંડાણમાં ખેંચી જાય છે.
Permalink
October 6, 2007 at 2:00 AM by વિવેક · Filed under ગીત, જગદીપ નાણાવટી, ઝાકળબુંદ
ચપટી ધરતી, નભ આંખોમાં, વાયુ કેરો ઝટકો
ઝાકળ નામે જળ લીધું મેં અગન સરીખો તડકો
. વાલમ કોણ કહે હું કડકો….
કલરવ છે કલદાર અમારા, ગિરિ કંદરા મહેલો
સમજણ ને સથવારે ચાલું, પંથ નથી કંઈ સહેલો
હરિયાળી પાથરણું મારું, સહેજ ન લાગે થડકો
. વાલમ કોણ કહે હું કડકો…
લાગણીઓના તોરણ લટકે, પ્રેમ અમારા વાઘા
સૂર્ય-ચંદ્ર ની સાખે જીવીએ, ભલે રહ્યા સૌ આઘા
ધકધકતી છાતીએ અમને એક વખત તો અડકો
. વાલમ કોણ કહે હું કડકો…
આંસુના તોરણ બંધાયા, ધૂપસળી મઘમઘતા
કાંધે લેવા મને નગરજન, હુંસાતુંસી કરતા
સન્નાટો છે ગામ ગલીમાં, સૂની છે સૌ સડકો
. વાલમ કોણ કહે હું કડકો…..
-જગદીપ નાણાવટી
અમદાવાદમાં મેડીકલ એસોસિએશનના ઉપક્રમે યોજાયેલા કવિસંમેલનમાં ડૉ. જગદીપ નાણાવટીના મુખે આ રચના સાંભળીને ખંડમાં ઉપસ્થિત મેદની શબ્દશઃ હિલ્લોળે ચડી હતી. સૌરાષ્ટ્રમાં જેતપુર ખાતે ફિઝિશ્યન (M.D. Medicine) તરીકે સેવા આપતા તબીબ કડકા તો ન જ હોય પણ આ ગીત લખતીવેળા એ એમના મગજમાં સ્પષ્ટ છે: “સામાન્ય રીતે એક એવી યુનિવર્સલ માન્યતા છે કે કવિ એટલે હમેશા ‘કડકો’…! ! તો, હું એક કવિ હોવાને નાતે, સર્વ કવિઓ વતી આ ગીતમાં બધાંને જવાબ આપુ છું કે કવિ પાસે શું શું અમૂલ્ય મિલ્કતો રહેલી છે…..ગમે તો બિરદાવજો, નહીં તો અમથાયે કડકાજ છીએ….”
Permalink
September 29, 2007 at 1:12 AM by વિવેક · Filed under ગીત, હિતેન આનંદપરા
એય… મારી પાસે ન આવ
સાચકલી ખોટકલી વાતો ન કર
આંખોમાં આમ રાતવાસો ન કર
મને ભોળીને નાહકનું આમ ના સતાવ
દૂરેથી આંખ તારી જોતી ફરે ને કાંઈ દરિયા ઊલળે રે મારા દેહમાં
નજરોને જોરૂકી થઈને ન વાળું તો, કોણ જાણે શું થાતું સ્હેજમાં
અણદીઠા સાગરમાં કર ન ગરકાવ
રાતાં રાયણ જેવાં સપોલિયાં ભીંસે-ની લાગણીનું નામ લખું સ્પર્શ
મરજાદી તુલસીના ક્યારામાં માંડ મેં તો સાચવ્યાં છે સોળ સોળ વર્ષ
લચકેલી ડાળીને આમ ના નમાવ
ટળવળતા શ્વાસોને ઝૂલવાનું કે’ એ પહેલાં હકનો હિંડોળો તો બાંધ
આભ લગી ઊડવાના કોલ તો કબૂલું, પણ સગપણની પાંખો તો સાંધ
ત્યાર લગી રમવો ના એક્કેય દાવ
– હિતેન આનંદપરા
પ્રેમમાં પડતી ષોડ્ષીના ગીતો તો આપણી ભાષાના ખજાનામાં કંઈ કેટલાય મળી આવે. પણ આ ગીત તમે એના મધુરા લય સાથે વાંચો ત્યારે ફરીને પ્રેમમાં પડવાનું કે પાડવાનું મન થઈ આવે એવું મજાનું છે. ઉજાગરા માટે આંખોમાં રાતવાસો જેવો મજાનો શબ્દપ્રયોગ કરીને કવિ હિંચકાની હીંચ જેવો હળવો ઉપાડ લે છે. પ્રિયતમની દૃષ્ટિ માત્રથી અંગમાં અનંગના એવા દરિયા તોફાને ચડે છે કે જોરૂકા થઈ નજરોને વાળવી પડે છે નહીંતર જેમાં ગરકાવ થવા માટે મન સદૈવ આતુર જ છે, એવા અણદીઠા પ્રેમસાગરમાં ગરકાવ ન થઈ જવાય ! લચી પડેલી ડાળીને વધુ નમાવવાની વાત હોય કે પછી હકનો હિંડોળો બાંધવાની વાત હોય કે એક્કેય દાવ ન રમવાની વાત હોય, નાયિકા અહીં ના-ના કરીને હા-હા જ કરી રહી છે અને એ નકારમાં છુપાયેલો હકાર જ તો આ ગીતનું ખરું સૌંદર્ય છે.
Permalink
September 26, 2007 at 11:05 PM by ધવલ · Filed under ગીત, મણિલાલ દેસાઈ
આભમાં કોયલ કીર કબૂતર ઊડે:
ઝાડ જમીને
નભના નીલા રંગમાં ઘડીક તરતાં ઘડીક બૂડે.
જલની જાજમ પાથરી તળાવ
ક્યારનું જોતું વાટ:
કોઈ ના ફરક્યું કાબરકૂબર
સાવ રે સૂના ઘાટ !
એય અચાનક મલકી ઊઠ્યું ચાંચ બોળી જ્યાં સૂડે.
વાત કે’વાને થડના કાનમાં
ડાળ જ્યાં જરાક ઝૂકી,
તોફાની પેલી ચકવાટોળી
ચટાક દઈને ઊડી.
પવન મધુર સૂરથી ગુંજે વાંસળી વન રૂડે !
– મણિલાલ દેસાઈ
આ ગીત કાનથી વાંચવાનું ગીત છે. ગીતનો લય એટલો સશક્ત છે કે તમને પરાણે તાણી ન લે તો જ નવાઈ. મારી તો તમને આ ગીત સમજવાની જરાય કોશિષ કર્યા વિના બે-ચાર વાર મોટેથી વાંચવાની વિનંતી છે – લયવમળમાં તમે ન ખેંચાઈ જાવ તો કહેજો ! ગીતમાં સહજ પ્રકૃતિવર્ણન છે… પણ કેટલું મીઠું અને મોહક લાગે છે – એ કવિની હથોટી દર્શાવે છે.
Permalink
September 11, 2007 at 12:52 PM by ધવલ · Filed under ગીત, દીવા ભટ્ટ
કોઈ નજરું ઉતારો મારા મનની રે,
મને રણમાં દેખાય લીલુંછમ લીલુંછમ…
સુક્કી ડાળખીએ પાંદડું વળગી રહ્યું,
મને ઝાંડવું દેખાય લીલુંછમ લીલુંછમ…
મારા આંગણે કૂવો કોઈ રોપો નહીં,
મને પાણી દેખાય લીલુંછમ લીલુંછમ…
સૂના ઘરની પછીતે સૂના ઓટલે,
કોણ બેઠું દેખાય લીલુંછમ લીલુંછમ…
સહુ અર્થો લખાણોથી છૂટા પડ્યા,
પછી પાનું દેખાય લીલુંછમ લીલુંછમ…
– દીવા ભટ્ટ
કવિએ ‘દેખાય લીલુંછમ લીલુંછમ‘ નો એવો જાદૂભર્યો પ્રયોગ આ ગીતમાં કર્યો છે કે બધી પંક્તિઓને સોનાવરણી કરી નાખી છે. ‘દેખાય લીલુંછમ’ કાઢી નાખો તો બધા કલ્પનો પહેલા સાંભળેલા જ લાગે પણ આખી રચના વાંચો તો તરબતર થયા વિના રહેવાય નહીં એટલો સરસ પ્રયોગ થયો છે. કવિ ઉપાડ જ અદભૂત કરે છે… કહે છે કે મારા મનની નજર ઉતારો કારણ કે મને બધું લીલુંછમ દેખાય છે ! આ Self deception થી શરુ કરીને, self destruction ના અંશ (પાણી દેખાય લીલુંછમ) બતાવીને, છેવટે self realization (પાનું દેખાય લીલુંછમ) સુધીની સફર કવિ તદ્દન સહજ રીતે કરાવે દે છે. છેલ્લે વાંચનારના દિલને લીલુંછમ થવા સિવાય કોઈ છૂટકો જ રહેતો નથી !
Permalink
September 7, 2007 at 1:47 AM by વિવેક · Filed under ગીત, પ્રદ્યુમ્ન તન્ના

(લીમડાની એક ડાળ મીઠી… … ચિત્રાંકન: પ્રદ્યુમ્ન તન્ના)
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
જરી ન જાતો આઘો હું તો ઘણુંય નીર ઉડાડું !
પલક અહીંથી, પલક તહીંથી
લળે વીંઝતો પાંખ્યું,
બે કરથી આ કહો કેટલું
અંગ રહે જી ઢાંક્યું ?!
જાઉં ગળાબૂડ જળમાં તોયે મુખ તો રહે ઉઘાડું !
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
મેલી મનહર ફૂલ પદમનાં
પણે ખીલ્યાં કૈં રાતાં,
શુંય બળ્યું દીઠું મુજમાં કે
આમ લિયે અહીં આંટા ?
ફટ્ ભૂંડી ! હું છળી મરું ને તમીં હસો ફરી આડું !
બ’ઈ ! આ ભમરાને ક્યમ કાઢું ?!
– પ્રદ્યુમ્ન તન્ના
જે દિવસે સૌપ્રથમવાર પ્રદ્યુમ્ન તન્નાનું એક ગીત વાંચ્યું એ જ દિવસથી એમના તરફ અનોખો પક્ષપાત થઈ ગયો. અને કેમ ન થાય? આ એક સાવ સરળ સીધ્ધું-સટ્ટ ગીત જ જોઈ લ્યો ને ! આ ભાષાના પ્રેમમાં ન પડાય તો જ નવાઈ… ખરું ને ?
Permalink
August 31, 2007 at 3:18 AM by વિવેક · Filed under ગીત, મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
અમથા અમથા અડ્યા
કે અમને રણઝણ મીણા ચડ્યા.
એક ખૂણામાં પડી રહેલા હતા અમે તંબૂર;
ખટક અમારે હતી, કોઇ દી બજવું નહીં બેસૂર:
રહ્યા મૂક થઇ, અબોલ મનડે છાના છાના રડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.
જનમ જનમ કંઇ ગયા વીતી ને ચડી ઊતરી ખોળ;
અમે ન કિંતુ રણઝણવાનો કર્યો ન કદીયે ડોળ:
અમે અમારે રહ્યા અઘોરી, નહીં કોઇને નડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.
આ જનમારે ગયા અચાનક અડી કોઇના હાથ;
અડ્યા ન કેવળ, થયા અમારા તાર તારના નાથ:
સૂર સામટા રહ્યા સંચરી, અંગ અંગથી દડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.
હવે લાખ મથીએ, નવ તોયે રહે મૂક અમ હૈયું;
સુરાવલી લઇ કરી રહ્યું છે સાંવરનું સામૈયું:
જુગ જુગ ઝંખ્યા ‘સરોદ’-સ્વામી જોતે જોતે જડ્યા. –
કે અમને રણઝણ મીણા ચડ્યા.
-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
પ્રભુનો સ્પર્શ થાય તો કેવો નશો ચડે એનું ઉત્તમ ઉદાહરણ બની રહે છે આ ગીત. ઈશ્વર અમથા અમથા અડે તોય આખા શરીરમાં રણઝણાટી થઈ જાય એવો કેફ ચડે છે. કવિ કહે છે કે અમે તો એક ખૂણામાં મૂંગામંતર પડી રહેલા તંબૂરા હતા. અમને ચાનક ચડી હતી કે વાગવું તો સૂરમાં નહિંતર નહીં. બસ, છાના-માના અબોલ રડ્યા કરતા હતા. જન્મજન્માંતરો વહી ગયા. કેટલાય ખોળિયા બદલાઈ ગયા પણ અમે કદી રણઝણવાનો ઢોંગ કર્યો નહીં. અઘોરી જેમ સ્મશાનમાં પડીને સાધના કર્યા કરે એમ અમે પણ કદી કોઈને નડ્યા નહીં. પણ આ જન્મારે કોઈના હાથ એવા અડ્યા કે એ અમારા તાર-તારના નાથ બની ગયા. અંગ-અંગથી વહેતા રહે એવા સામટા સૂર અમારા તારે-તારમાંથી ઊઠવા માંડ્યા. અને હવે તો લાખ કોશિશ કરીએ તો યે અમારું હૃદય ચૂપ રહી શકે એમ નથી. એ તો સાંવરિયાનું સામૈયું કરવા સુરાવલિઓ લઈને ઊમડ્યું છે. જુગ-જુગોથી જેને ગોતતા હતા એ સ્વામી આજે મળ્યા છે ત્યારે અમને કદી માણ્યો ન્હોતો એવો કેફ ચડ્યો છે.
(મીણા ચડવા= કેફ ચડવો; ખટક = ચાનક; ખોળ=કાંચળી; સંચરી=વ્યાપી જવું, પ્રસરી જવું)
Permalink
August 28, 2007 at 5:59 PM by ધવલ · Filed under ગીત, જગદીશ જોષી
વીંછીના આંકડાની જેમ મારી વેદનાઓ
ડંખે છે વળી વળી કેમ ?
સીમે આળોટે લીલી વાડીની યાદ,અને
કૂવે ઝળુંબે એક વેલો :
થાળમાં કાંકરાને ડાળીને ઝાંખરા
પાણીનો ક્યાંય નહીં રેલો.
ચગદીને ચાલી જતી કોમળ પાનીઓ કેમ
આવે ને જાય હેમખેમ ?
બપ્પોરે આભમાંથી સપનાં સાપોલિયાં
થઇને આ આંખમાં લપાયાં:
સ્મરણોએ શ્વાસ જરી લીધો ન લીધો ત્યાં તો
નસનસમાં ઝેર થૈ છવાયાં.
રજકાના ભૂરા આ નિસાસે કોસતણો
વરસે છે જરી જરી વ્હેમ !
– જગદીશ જોષી
Permalink
August 26, 2007 at 12:24 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
કૂવો ઊલેચીને ખેતરમાં વાવ્યો
ને ઊગ્યો તે બાજરાને મોલ
કાંટાની વાડ કૂદી આવ્યો રે આજ
મારા વાલમનો હરિયાળો કોલ
શેઢે ઘૂમે રે ભૂરી ખિસકોલી જેમ
મારી કાયાનો રાખોડી રંગ
તરતું આકાશ લઈ વહી જાય ધોરિયે
અંતરનો બાંધ્યો ઉમંગ
દખ્ખણની કોર હવે ઊડતું રે મન
જેમ ખેતર મેલીને ઊડે પોલ.
ચારે દિશાઓ ભરી વાદળ ઘેરાય
અને પર્વતના શિખરોમાં કંપ
આઘે આઘે રે ઓલી વીતકની ઝાડીમાં
હરણું થઈ કૂદે અજંપ
સામે આવીને ઊભી ઝંઝાની પાલખીમાં
ફરફરતો વાલમનો બોલ.
-અનિલ જોષી
અનિલ જોષીના ખાસ મિત્ર રમેશ પારેખ આ ગીતનો ‘પાણીદાર ગીત’ કહીને જે આસ્વાદ કરાવે છે એને ટૂંકાણમાં માણીએ (થોડી મારી નોંક-ઝોંક સાથે):
ગીતના ઉપાડમાં જ કવિ ‘પાણી ઉલેચ્યું’ એમ નહીં, ‘કૂવો ઉલેચ્યો’ એમ કહીને આ કૈંક જુદી જ વાત છે એનો સંકેત કરી દે છે. પછી તરત જ ‘કૂવો વાવ્યો’ એમ કહે છે ત્યારે કૂવો એના વાચ્યાર્થનો પરિહાર કરીને રહસ્યમય વ્યંજના ધારણ કરે છે. વાતે-વાતે રડી પડનારને લોકો ‘ભઈ, તારે તો કપાળમાં કૂવો છે’ એવું કહે છે તે યાદ આવે. અને તરત જ ‘આંખ’ના સંદર્ભો વીંટળાઈ જાય. ‘ખેતર’નો પણ એની જડ ચતુઃસીમામાંથી મોક્ષ થયો છે. પ્રતિભાશાળી સર્જક પગલે પગલે શબ્દોનો મોક્ષ કરતો હોય છે.
જેનાથી દૃષ્ટિ પોતાનું સાર્થક્ય પામે તેવા કોઈ ‘અવલોકનીય’ને પામવાની અપેક્ષામાં આંખને રોપી, વાવી. પછી? પછી બાજરાના મોલની ખળા સુધી પહોંચવા માટે હોય તેવી પક્વ સજ્જતાનું અને ઉત્સુક્તાનું દૃષ્ટિમાં પ્રકટીકરણ થયું. કાંટાની વાડનું નડતર પણ ન રહ્યું કેમકે એને અતિક્રમીને વ્હાલમનો બોલ સન્મુખ પ્રકટ થયો છે.
કાયા અને કાયામાં રહેલો ઉમંગ હવે અસીમ બન્યો છે. ખેતર પાછળ મેલીને પોલ ઊડી નીકળે એમ સ્થૂળ દેહ ખેતરના શેઢે છોડીને મન વિસર્જિત થવા દક્ષિણ તરફ ઊડ્યું. (મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભમાંથી કવિએ આ માર્મિક અભિવ્યક્તિ નિપજાવી લીધી છે).
ચારે દિશાઓ ભરાઈ જાય એટલા ઉમળકા હૈયામાં ઊઠી રહ્યા છે અને અ-ચલ પર્વતના શિખરોમાં ય કંપ છે. હરણાં જેવું મન અજંપે ચડી કૂદાકૂદ કરે છે…કેમકે પવનની પાલખીમાં આવેલ વ્હાલમનો કોલ, ઉપયોગી કે નિરુપયોગી તમામ વળગણોને તોડીફોડીને, પાલખીમાં લઈ જવા આવ્યો છે એટલે લઈ જ જશે…
Permalink
August 24, 2007 at 2:12 AM by વિવેક · Filed under ગીત, દેશભક્તિ, નર્મદ, પ્રકીર્ણ
સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..
સાહસે કર્યો પરશુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..
સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલિયન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..
સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે…યા હોમ..
-કવિ નર્મદ
કવિ નર્મદની જન્મજયંતી નિમિત્તે આજે એમની એક લબ્ધપ્રતિષ્ઠ કૃતિ… “યાહોમ કરીને પડો, ફતેહ છે આગે“- આ પંક્તિ તો આજે કહેવતકક્ષાએ પહોંચી ચૂકી છે. કવિ નર્મદનો પરિચય અને એમની અન્ય કૃતિઓ આપ અહીં વાંચી શક્શો. લયસ્તરો તરફથી યુગક્રાંતિના આ પ્રણેતાને સો સો જુહાર…
Permalink
August 19, 2007 at 12:12 AM by વિવેક · Filed under ગીત, પ્રદ્યુમ્ન તન્ના

(ગુલમ્હોર….. ….ચિત્રાંકન-પ્રદ્યુમ્ન તન્ના)
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?
ઠીંકરી નથી રે કાંઈ દીધી લે હાંર્યે વળી આનો દીધો છ એલા આનો !
અમને તો ઈંમ કે સૂરજ ડૂબતા લગણ રમશું રે આજનો દા’ડો,
જોરાળો જાણી તારે કૂંડાળે પેઠાં તંઈ નીકળ્યો તું છેક અરે ટાઢો !
ઊડે ના આળસ તો જાને પી આય પણે હારબંધ મંડાણી સંધીની હોટલથી
કોપ એક ‘પેશીયલ’ ચાનો !
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?….
તુંયે તે ખાંત ધરી હરખું વજાડે તો એવું અલ્યા રાહડે ખેલું,
ટોળે વળીને કાંઈ જોવાને ઊમટ્યું આ હંધું મનેખ થાય ઘેલું !
ને વાદે ચડીને આજ નોખો ફંટાયો એ હામે કૂંડાળેથી રમવાને આણી કોર
ઊતરી આવે રે મારો કાનો !
પોંચો મરડીને જરા ઢોલ ધમકાર્ય આમ ઢીલો ઢીલો વજાડ્ય શાનો ?
– પ્રદ્યુમ્ન તન્ના
તરણેતરના મેળામાં 60ના દાયકામાં ઢોલીઓ પોતાના કૂંડાળા દોરી ઊભા રહેતા. પૈસા આપીને એમાં પગ મૂકવાનો અને પછી ઢોલીના તાલે થીરકવાનું. ઢોલી જેટલો કાબેલ એટલું એનું કૂંડાળું જામે. બે નમણી સૈયર આનાનો લાગો આપીને કૂંડાળામાં ઘૂસી પણ દેખાવે બળુકા ઢોલીનો ઢોલ બરાબર ન જામતાં રાસ જમાવી શકી નહીં ત્યારે છણકો કરીને બોલી કે ‘હરખું વજાડને ‘લ્યા! ઠીંકરી નથી દીધી કાંઈ, આનો દીધો છે એક આનો’. ફોટોગ્રાફી કરવા મેળામાં આવેલ પ્રદ્યુમ્ન તન્ના આ ખેલ જોતા હતા અને જન્મ્યું આ ગીત. આળસ ન ઊડે તો સિંધીની હોટલમાં જઈ સ્પેશીયલ ચા પી આવવાની વાત પણ કેવી તળપદી શૈલીમાં રજૂ થઈ છે ! સૈયરની મનોકામના એવા રાસે ચડવાની છે કે મેળામાં આવેલ બધા માણસો ઘેલા થઈ ટોળે વળે અને વાદે ચડીને સામા કૂંડાળે રાસ રમવાના નામે આડા ફાટેલ મનના માણીગરને આ કૂંડાળામાં આવવાની ફરજ પડે.(ચાળીસ વર્ષથી વધુ લાંબી કાવ્યસાધનાના પરિપાક સમો આ ઈટાલીનિવાસી કવિનો પહેલો સંગ્રહ “છોળ’ મનભરીને માણવા સમો થયો છે. તળપદી ભાષાનું વરદાન એમને કેવુંક ફળ્યું છે તે એમની આ રચનામાં પણ જોઈ શકાય છે)
(ખાંત-ઉમંગ, જોરાળો-જોરાવર)
Permalink
August 16, 2007 at 2:19 AM by વિવેક · Filed under ગીત, ભાનુપ્રસાદ પંડ્યા
આયખું ના આજ અને કાલ, મારા બેલીડા,
. આયખું તો અવસરની ડાળ !
કૂંપળની જેમ એને ફૂટે છે દિવસો
. ને મંજરીની જેમ રાત મ્હોરે !
જીવતાં હોઈએ ન જાણે જીવતર સુવાસનું
. મન એમ હળવું થઈ ફોરે !
આયખું તો ફાગણનો ફાલ, મારા બેલીડા,
. આયખું તો આંબાની ડાળ !
કાગળમાં મંડાતો આંકડો એ હોય નહિ,
. આયખું તો ઘરઘરની વાત !
વેળાના વાયરામાં રજોટાય નહિ એવી
. વિરલાં વરસોની રૂડી ભાત !
ડગલાંનો સરવાળો નહિ, મારા બેલીડા,
. આયખું તો હરણાંની ફાળ !
-ભાનુપ્રસાદ પંડ્યા
ભજનના ઢાળમાં વહેતું આ ગીત આપણને જીવન વિશેના વિધાયક અભિગમ તરફ આંગળી ચીંધે છે. આયખું એ આજ કે કાલ અર્થાત્ વર્તમાન કે ભૂત-ભવિષ્યના સમયનો સરવાળો નથી, કેવળ અવસરનો ખેલ છે. અર્થાત્ જે ક્ષણની પૂરી લહાણ લીધી એટલું જ સાચું આયખું. અને આપણે ડગમગ જીવન જીવવાનું નથી, આ જીવતરના અવસરને હરણફાળ ભરીને માણી લેવાનો છે. ભાનુપ્રસાદ પંડ્યાનું આવું જ એક નખશીખ સૌંદર્યસભર ગીત આપણે અહીં માણી ચૂક્યા છીએ.
Permalink
August 15, 2007 at 3:28 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ગીત
દેશ તો આઝાદ થાતાં થઈ ગયો,
. તેં શું કર્યું ?
દેશ જો બરબાદ થાતાં રહી ગયો,
. એ પુણ્ય આગળ આવીને કોનું રહ્યું ?
‘લાંચ રુશ્વત, ઢીલ, સત્તાદોર, મામામાશીના,
કાળાં બજારો, મોંઘવારી : ના સીમા !’
. -રોષથી સૌ દોષ ગોખ્યા,
. ગાળથી બીજાને પોંખ્યા.
આળ પોતાને શિર આવે ન, જો ! તેં શું કર્યું ?
-આપબળ ખર્ચ્યું પૂરણ ? જો, દેશના આ ભાગ્યમાં તેં શું ભર્યું ?
. સ્વાતંત્ર્યની કિંમત ચૂકવવી હર પળે;
. સ્વાતંત્ર્યના ગઢકાંગરા : કરવત ગળે.
ગાફેલ, થા હુશિયાર ! તું દિનરાત નિજ સૌભાગ્યને શું નિંદશે ?
શી સ્વર્ગદુર્લભ મૃત્તિકાનો પુણ્યમય તુજ પિંડ છે !
. હર એક હિંદી હિંદ છે,
. હર એક હિંદી હિંદની છે જિંદગી.
હો હિંદ સુરભિત ફુલ્લદલ અરવિંદ : એ સ્વાતંત્ર્ય દિનની બંદગી.
-ઉમાશંકર જોશી
-સ્વતંત્રતા દિવસ આવે અને બધાને એક વાર પોતાનો દેશ યાદ આવી જાય. દરેક જણ આ નેતાઓએ દેશની પથારી ફેરવી નાંખી એવું માને છે. નહેરુના વંશજોએ દેશને ખાડે નાંખ્યો… લાલુ આમ કરે છે… પેલો તેમ કરે છે… પણ કોઈ કદી એમ વિચારે છે ખરું કે એ પોતે પણ આ દેશનો જ એક હિસ્સો છે? આ દેશ જો વિનિપાતના માર્ગે છે તો એને એમાંથી ઉગારવા માટે આપણે એક વ્યક્તિ તરીકે, એક દેશવાસી તરીકે શું કર્યું? ‘હર એક હિંદી હિંદ છે’ કહીને કવિએ આ કાવ્યમાં જે રીતે મસૃણતાથી ચોટ કરી છે એ આજે સાંઠ વર્ષ પછી કદાચ વધુ પ્રસ્તુત લાગે છે. (સૌ મિત્રોને લયસ્તરો તરફથી સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ…)
(પૂરણ= પૂર્ણ, પોંખ્યા= વધાવવું, મૃત્તિકા =માટી, ફુલ્લદલ=પૂર્ણવિકસિત કમળ)
Permalink
August 5, 2007 at 12:26 AM by વિવેક · Filed under ગીત, સુરેશ દલાલ
મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે.
અરધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે
તુલસીની આ માળા પહેરી, મીરાં સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે
કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે.
-સુરેશ દલાલ
સુરેશ દલાલે લખેલા શ્રેષ્ઠ ગીતોમાં અગ્રિમ ક્રમે મૂકી શકાય એવા મીરાં જેવા જ સરળ અને સહજ આ ગીતને બસ, મમળાવી મમળાવીને વાંચીએ… માણીએ…
Permalink
July 23, 2007 at 8:52 PM by ધવલ · Filed under ગીત, રાજેન્દ્ર શાહ
નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.
કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.
– રાજેન્દ્ર શાહ
કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. આ ગીત સાથે નિરંજન ભગતનું ગીત ફરવા આવ્યો છું અને ઉમાશંકરનું ભોમિયા વિના તરત જ યાદ આવે.
(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)
Permalink
July 11, 2007 at 10:05 PM by ધવલ · Filed under ઉશનસ્, ગીત
પ્રીત તો બે જ પ્રકારે વરતે;
પ્રિયસંમુખ એ ભજે સમાધિ
અથવા થનગન નરતે.
પ્રીત તો બે જ પ્રકારે બોલે;
ગહન મૌનથી થાય મુખર વા
છલકે ગીત કલ્લોલે.
– ઉશનસ્
પ્રીતને કાંઈ પણ સામાન્ય ન હોય. પ્રીત વિષે જે કાંઈ પણ હોય, છલકતું જ હોય ! ભલે એ સમાધિ જેવી લગની હોય કે અંગેઅંગ નાચી ઊઠે એવો ઉત્સાહ હોય. પ્રેમ મૌનથી પ્રગટ થાય કે પછી ગીતથી પણ એ બન્નેમાં અસિમ ઉત્કટતા હોવાની જ. પ્રેમની રીતને કવિએ સરસ રીતે આલેખી છે.
Permalink
June 27, 2007 at 10:23 AM by વિવેક · Filed under ગીત, મણિલાલ હ. પટેલ
એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું
સાંજ પડે જેમ દીવા પ્રગટે એમ પ્રગટતાં આંસુ …
દૂર દેશની માયા ચીંધી લઈ લીધો મેવાડ
વર્ષો ઊંચાં વૃક્ષો આપી છીનવી લીધા પ્હાડ
મારામાંથી મને મૂકીને કોણ વળે છે પાછું … સાંજ પડે જેમ…
કલરવ પીંછાં સીમ ગામડાં યાદ મને છલકાવે
જીવવાની અફવાઓ પંખી શહેરોમાં ફેલાવે
છાતી વચ્ચે ઊમટી પડતું ઇડરિયા ચોમાસું… સાંજ પડે જેમ…
પીળાં પાંદડાં એમ ખરે છે ખરતું જાણે વ્હાલ
સાદ પાડતું કોણ મને એ ? પ્રગટે કેવા ખ્યાલ ?
તિમિરની કેડી પકડીને દૂર કેટલે જાશું ?… સાંજ પડે જેમ…
– મણિલાલ હ. પટેલ
Permalink
June 18, 2007 at 10:08 PM by ધવલ · Filed under ગીત, રમેશ પારેખ
ઘણી ઝડપથી ઘેરે પાછા વળવાનું છે,
ડૂબી જતો આ સૂરજ કહે છે : હવે અલ્પ ઝળહળવાનું છે.
જલદી ડાંફો ભરીભરીને રસ્તો ટૂંકો કરીએ,
પવન લહરમાં તરતાંતરતાં એમ જ પાછા ફરીએ,
પછી સમયનો ટેકો લઈને સુખશય્યામાં ઢળવાનું છે.
રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર,
અંધારું પણ પર્વ ઊજવશે સઘળાં ગાત્રો ભીતર,
પછી ઊંઘમાં એ રજવાડી સ્વરૂપ પાછું મળવાનું છે.
– રમેશ પારેખ
પરમ સખા મૃત્યુની અહીં વાત છે. ર.પા.ના શબ્દોનો જાદૂ અહીં જુઓ. મૃત્યુની ઘડીની વાત કેવી અદભુત રીતે કરી છે – રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર ! આગળ રજૂ કરેલી આ જ વિષય પરની કવિતાઓ પણ સાથે જોશો… મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે, મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને શોભિત દેસાઈનું મુક્તક.
Permalink
June 9, 2007 at 12:47 AM by વિવેક · Filed under ગીત, મહેન્દ્ર જોશી
હું તો માછલીની આંખોમાં ખરતાં રે આંસુનું ખારું તે ઝાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.
મોતીની જેમ જરા સાચવીએ છીપમાં પરપોટા જેવી આ જાતને,
સૂરજનું કાળઝાળ બળવું તો ઠીક હવે જોવી છે ઘેરાતી રાતને.
અમથાં રે મોજાંના ભણકારા સાંભળી વાસેલું દ્વાર શે ઉઘાડવું?
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.
જળમાં ભીંજાઉં તો જળમાંથી કેમ હવે અળગી થઈ જાઈ છે ભીનાશ રે?
આંખોને શાપ કૈં એવા રે લાગતા કે ઝાડમાંથી જાય છે લીલાશ રે!
ભૂલા પડેલ કોઈ પંખીને કેમ હવે આંસુનું વન આ ચીંધાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.
-મહેન્દ્ર જોશી
કેટલીક કવિતા એવી હોય છે કે પહેલીવાર વાંચો ત્યારે માત્ર અડે અને ફરી-ફરીને વાંચો તો એમાંથી નવા-નવા અર્થના આકાશ ઊઘડતા રહે. કેટલાક કાવ્ય એવાં હોય છે જે વાંચતાની સાથે અડી તો જાય જ, સમજાઈ પણ જાય. અને કેટલીક કવિતા વળી એવી હોય છે કે પહેલી નજરનાં પ્રેમ સમી અડી તો તરત જ જાય પણ પછી સમય સાથે જેમ પ્રેમના, એમ એ કવિતાના અર્થ પણ જેટલીવાર વાંચો, બદલાતા લાગે. મહેન્દ્ર જોશીનું આ ગીત આ ત્રીજા પ્રકારની કવિતાના સ-રસ ઉદાહરણ તરીક ગણી શકાય… વાંચો… મમળાવો અને ગાઓ…
ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ.
Permalink
June 1, 2007 at 10:54 PM by ધવલ · Filed under ગીત, સુરેશ દલાલ
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.
સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું
વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.
આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.
-સુરેશ દલાલ
Permalink
May 30, 2007 at 2:00 AM by સુરેશ · Filed under ગીત, રવિશંકર ઉપાધ્યાય
વાડ વિના ના ચડતો વેલો
હોય કૂવામાં પાણી ત્યારે જાય હવાડે રેલો….
પર્વતના શિખરનો પથ્થર શોભે છે ધરતીથી,
મધદરિયાનું મોજું પામે કિનારો ભરતીથી
સાહસને સહકાર મળે તો સફળ થાય હારેલો…વાડ વિના
ક્યાંથી તપતો હોત સૂરજ, જો દિશા ન હોત ઉગમણી
ક્યાંથી સીંચત શશીસુધા, જો હોત ન રજની રમણી
મોતી પણ લાખોનું થયું, મરજીવો જ્યારે મથેલો…વાડ વિના
પા પગલી શીખવે મા ત્યારે બાળક ભરતો કૂદકો,
નાનીશી ચીનગારી હોય તો, થાતો મોટો ભડકો,
સાચો ગુરુ મળે તો, ભવ-જળ પાર ઉતરતો ચેલો…વાડ વિના
– રવિશંકર ઉપાધ્યાય ‘રવિ’
Permalink
May 16, 2007 at 2:00 AM by સુરેશ · Filed under ગીત, ધીરેન્દ્ર મહેતા
કલમ ખડિયો કાગળ લઇને બેઠા કાંઇ ચીતરવા જી,
ચારે છેડે બંધાયેલી દુનિયામાં વિચરવા જી.
સૂનકાર કરે છે આખું આભ ભરીને સેલારા જી,
દશે દિશામાં ગાજે એના હેલારા હેલારા જી.
આલીપા છે ધગધગતાં રણ, નદીયુંની પણ ખળખળ જી,
અહીં હાંફતાં હરણની સાથે માછલિયુંની તડફડ જી.
એમાં થઇને કંઇક મલક ને મેદાનો આ નીકળ્યાં જી,
કોઇ નગર ને ગામને પાદર ઘર ને ખડકી ખખડ્યાં જી.
અવાવરુ કુવા, અણજાણ્યાં કોતર, ઊંડી ઊંડી ખીણો જી,
સમો ઘૂઘવે ઘેરું ઘેરું, સૂ સૂ સૂસવે તીણો જી.
કઇ આ દુનિયા, કયા લોક આ, ક્યાંથી લાવ્યાં ગોતી જી,
વીજળીને ઝબકારે ક્યાંથી પાનબાઇ પ્રોવે મોતી જી?
– ધીરેન્દ્ર મહેતા
નાની ઉમ્મરમાં જ પોલીયોને કારણે અપંગ બનેલા આ સારસ્વત આપબળે અને માતાના દીધેલા સંસ્કારોના બળે બહુ મોટા ગજાના સાહિત્યકાર બન્યા.
તેમની જીવનઝાંખી વાંચવા અહીં ‘ ક્લીક’ કરો
Permalink
May 12, 2007 at 4:42 AM by વિવેક · Filed under ગીત, પન્ના નાયક
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
ડાબી જમણી ફરકે આંખો : હોઠ પરસ્પર લડી પડ્યા છે
કંઈ ફૂટ્યું છે: કંઈક તૂટ્યું છે,
ગાંઠ પડી છે ઝીણીઝીણી
એકમેકનો દોષ બતાવે :
સૂર્યપ્રકાશમાં વીણીવીણી
વાંસો જોઈને થાકી ગઈ છું : ચહેરાઓ તો રડી પડ્યા છે
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
મરી ગયેલા સંબંધ સાથે
હસી હસીને જીવવાનું છે
પોત જ્યાં આખું ફાટી ગયું ત્યાં
ટાંકા મારી સીવવાનું છે
રેતીના આ થાંભલાઓ તો દહનખંડમાં ઢળી પડ્યા છે
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
-પન્ના નાયક
Permalink
May 8, 2007 at 9:36 PM by ધવલ · Filed under ગીત, તુષાર શુક્લ
આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણુ મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચાહે છે આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !
– તુષાર શુક્લ
આ ગીત મોકલવા માટે આભાર, સ્નેહ ત્રિવેદી.
Permalink
May 1, 2007 at 10:02 PM by ધવલ · Filed under ગીત, રવીન્દ્રનાથ ઠાકુર, સુરેશ દલાલ
એક પછી એક અગળા કીધા સઘળા અલંકાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?
ઉરની આપણ આડમાં આવે
અલંકારો એ કેમ ફાવે ?
જાય રે ડૂબી આપણી ઝીણી વાત, એને ઝંકાર,
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?
પીગળી ગઈ પલમાં મારી,
‘છું કવિ હું’ એની ખુમારી :
મહાકવિ ! તવ ચરણ કને બંધનનો નહીં ભાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?
સરળ સીધું, વાંસળી જેવું :
જીવવું મારે જીવન એવું.
મધુર મધુર સૂરથી તમે છલકાવો સંસાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?
– રવીન્દ્રનાથ ટાગોર
(અનુ. સુરેશ દલાલ)
આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે ત્યારે જેવો સંતોષ થાય એવો સંતોષ આખી દુનિયાભરની કવિતાઓ વાંચ્યા પછી ટાગોરના ગીતો વાંચતા થાય છે. અને આ ગીતનો અનુવાદ પણ ખૂબ સરસ થયો છે. આટલી ભાવની તીવ્રતા અને શબ્દોની સાદગી બીજે ક્યાં જોવા મળવાની હતી. મૂળ અંગ્રેજી કાવ્ય (ગીતાંજલીમાં સાતમું કાવ્ય) અહીં નીચે મૂકું છું. સરખામણીથી ખ્યાલ આવશે કે ગીતસ્વરૂપે અનુવાદ કેટલો સરસ થયો છે.
My song has put off her adornments. She has no pride of dress and decoration. Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers.
My poet’s vanity dies in shame before thy sight. O master poet, I have sat down at thy feet. Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.
Permalink
April 29, 2007 at 1:16 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !
સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ ગીત ગાનાર ! અમે0
નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર ! અમે0
પ્રભાતના એ પ્રથમ પ્હોરમાં,
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે,
જાગૃતિ રસ પાનાર ! અમે0
જાગો ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર ! અમે0
– કૃષ્ણલાલ શ્રીધરાણી
વહેલી સવારે છડી પોકારી જગતને જાગવાનો સંદેશ પાઠવતા કૂકડા વિશે લખાયેલું આ મજાનું ગીત શાળેય અભ્યાસક્રમનો એક ભાગ પણ હતું.કૂકડાની બાંગમાં સકલ વેદનો સાર વાંચી શકે એ જ કવિ.
(બંદી= ચારણ, વખાણ કરનાર; બાંકો=ફાંકડો)
Permalink
April 27, 2007 at 11:31 AM by ધવલ · Filed under ગીત, તુષાર શુક્લ
હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
– તુષાર શુક્લ
પ્રસન્ન સાનિધ્યને ઉજવતું આ ગીત મોકલવા માટે આભાર, સ્નેહ ત્રિવેદી.
આગળ મૂકેલું તુષારભાઈનું ખૂબ જ સરસ ગીત એમ પૂછીને થાય નહીં પ્રેમ પણ આ સાથે જોશો. અને, સાથે સાથે ટહુકા પર જયશ્રીએ મૂકેલા એમના બે મઝાના ગીત પણ સાંભળો. આજનો દિવસ આખો મઘમઘ થઈ જવાની ગેરેંટી !
Permalink
April 21, 2007 at 12:31 AM by વિવેક · Filed under ગીત, ભાનુપ્રસાદ પંડ્યા
મેં – કાંટાએ ઝાકળને પ્રોયું
અને પ્હેલીવાર આરપાર જોયું:
લાગે કે આસપાસ છલકાયું સ્રોવર
ને પોતે રહ્યો છું એમાં ડૂબી ?
ઓરું આવીને ઊભું મેઘધનુ આંખમાં
સાતે ય રંગોની કેવી ખૂબી ?
પાસે પરોઢ આવી સોહ્યું ?!
હું તો પલ્ટાઈ થયો કૂણેરી દાંડલી
ક્યાં ગઈ એ બાવળિયા શૂલ ?
અણિયાળી ટોચ જતી પલકારે ઓગળી
ને એની પર ફૂટ્યું શું ફૂલ ?!
એલ્લા, આખ્ખું બાવળપણું ખોયું !
મેં – કાંટાએ ઝાકળને પ્રોયું !
– ભાનુપ્રસાદ પંડ્યા
જન્મ: ૨૪-૦૪-૧૯૩૨, અમરેલીના તોરી ગામમાં. જાણીતા કવિ અને વિવેચક. સૉનેટ અને ગીતમાં એમની સર્જકતાનો રુચિકર ઉઘાડ જોવા મળે છે. આ ગીતમાં કાંટાની ઉપર ઝાકળબુંદ વીંટળાયા પછી કાંટાની આખેઆખી બદલાઈ ગયેલી દુનિયામાં ક્યાંક મનુષ્યજીવનની તીક્ષ્ણતા કોઈક સુંવાળા સહેવાસ થકી સમૂળગી કઈ રીતે બદલાઈ શકે છે નો ઈંગિત દૃશ્યમાન થતો જણાય છે. અહીં પહેલી પંક્તિમાં મેં અને કાંટા શબ્દની વચ્ચે મૂકેલો એક નાનકડો ડેશ (-) આખા કાવ્યવિશ્વને સમૂચ્ચુ બદલી નાંખે છે… અને પછી પ્રસંગ કાંટાની આંખેથી ઝાકળને જોવાને ભલે કહેવાયો હોય, આપણે આપણી આંખને ક્યાંક ઊઘડતી અનુભવીએ છીએ…
(કાવ્ય સંગ્રહો: ‘અડોઅડ’, ‘ઓતપ્રોત’, ‘શબ્દે કોર્યાં શિલ્પ’, ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’.)
Permalink
April 3, 2007 at 7:01 PM by ધવલ · Filed under ઉશનસ્, ગીત
આપણું પ્રાતના તાપમાં ચાલવું.
કેન્દ્ર લૈ ચરણમાં
ઈન્દ્રધનુ વરણમાં
કો અનાવરણમાં
વ્યોમના વ્યાસના વ્યાપમાં ચાલવું !
તેજ-છાયા-વણી
બિંબ-બિંબોતણી
ચો-ભણી ગૂંથણી,
આપણું કો મહાખાપમાં ચાલવું !
રેખનું ખરી જવું,
રૂપનું ગળી જવું,
આપમાં મળી જવું,
આપણું આપણા આપમાં ચાલવું !
આપણું પ્રાતના તાપમાં ચાલવું.
– ઉશનસ્
થોડા વખતથી બધી ગંભીર રચનાઓ જ મનમાં આવે છે. એટલે આ વખતે ખાસ આ પ્રસન્ન રચના શોધી ! આવું જ એક ગીત ઉમાશંકરનું પણ છે – ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
Permalink
Page 23 of 26« First«...222324...»Last »