આ સફરમાં રહી જશે પાછળ બધું
જે બધું આગળ મને દેખાય છે
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગઝલ

ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સાંજ પહેલાં જ આથમી ગયેલો સૂર્ય : શીતલ જોશી

shital-joshi

કોઈ ભાગાકાર અર્થોના કરે છે,
શબ્દ જેવું શેષમાં તો પણ વધે છે.

હું ભણું છું એમનો ચહેરો, અને એ-
ક્લાસમાં ભૂગોળનું પુસ્તક ભણે છે.

મૂળ શોધ્યા ના જડે એના કદી પણ,
પીપળા જે ભીંત ફાડીને ઉગે છે.

કોઈએ જોયો નથી ઈશ્વર અહીંયા
તોય એના નામથી વાંધા પડે છે.

હું ‘શીતલ જોશી’ અરે! હા, એ જ છું હું,
સાંજ પ્હેલાં સૂર્ય જેનો આથમે છે.

– શીતલ જોશી

અમેરિકાસ્થિત કવિમિત્ર શીતલ જોશીને રૂબરૂ મળવાનું કદી થયું નહીં, શબ્દ-દેહે જ અમે મળતા રહ્યા. અચાનક ફેસબુકના માધ્યમથી જાણ થઈ કે હૃદયરોગના હુમલાએ ખૂબ નાની ઉંમરે એમના ક્ષરદેહને આપણી વચ્ચેથી છિનવી લઈ માત્ર અ-ક્ષરદેહ રહેવા દીધો છે. સદગતના આત્માને શાંતિ પ્રાપ્ત હો એ જ પ્રાર્થના.

મધ્યાહ્ને અસ્તાચળનો અણસાર શું કવિને આવી ગયો હશે ? મક્તાના શેરમાં જે ભવિષ્ય એમણે ભાખ્યું છે એ જ એમના જીવનમાં થયું…

Comments (6)

ગઝલ – કુલદીપ કારિયા

પાંખો કદીક એવડી, જો ફૂટી નીકળે,
આખી નદી ઊડે અને જોવા મને મળે.

વાહન બરફના ચોસલા જેવા હશે કદાચ,
ગરમી પડે ને રોડનો ટ્રાફિક ઓગળે.

જ્યારે ધીરજ તૂટી અને વેરાઈ જાય છે,
સાવરણી જેમ ચોતરફ આંખો ફરી વળે.

તડકો વરસતો શ્હેર પર આખો દિવસ, પછી
કોરા ન થાય ત્યાં સુધી રસ્તાઓ ઝળહળે.

માથુ ભલેને આભમાં અથડાય રોજ રોજ
કુલદીપ લખી શકે છે એ નીચે નહીં વળે.

– કુલદીપ કારિયા

સૂર્યનો તાપ અને રસ્તાઓ પર થતી અસરના બે શેર ખાસ જોવા જેવા છે. જેમ જેમ ગરમી વધે એમ એમ લોકો ઘર બહાર નીકળવાનું ટાળે અને રસ્તાઓ ઉજ્જડ ભાસે એ સૂકી હકીકતને કવિના ચશ્માં કેવી રીતે કવિતામાં ફેરવે છે એ જોવા જેવું છે. બરફના ચોસલાં જેમ ગરમીથી ઓગળીને અદૃશ્ય થઈ જાય એમ જ કવિ વાહનોને અદૃશ્ય થઈ ગયેલાં જુએ છે. બીજી તરફ કવિ તડકાને વરસાદના રૂપમાં તાદૃશ કરે છે. વરસાદ વરસતો રહે ત્યાં સુધી રસ્તાઓ ભીનાં ને ભીનાં જ રહે છે, કોરાં થયા પછી જ પૂર્વવત્ થાય છે. કવિ તડકાના વરસાદથી સર્જાતા ઝળહળાટને તડકાનું પાણી કલ્પીને કમાલ કરે છે.

જો કે નવાનક્કોર કલ્પન સર્જવાનો આવેશ કવચિત્ અતિરેકમાં પરિણમવાની ભીતિ પણ રહેલી જ છે. મત્લાનો શેર એનું ઉદાહરણ છે.

Comments (5)

ગઝલ – અંકિત ત્રિવેદી

પ્રશ્નો ઘણા વિકટ છે,
રસ્તો છતાં નિકટ છે.

દેખાય તે બધુંયે-
ભાવિની ચોખવટ છે.

થાપે છે થાપ પાંપણ
આંખોય માણભટ છે.

ફોટો પડ્યો પવનનો
કોની ઊડેલ લટ છે ?

છે મંચ પર છતાંયે
નાટક વગરનો નટ છે.

– અંકિત ત્રિવેદી

ઓછા શબ્દોમાં સ-રસ વાત ! જેમ વિચારીએ એમ વધુ ખુલે એવા મનનીય શેર…

Comments (10)

નહીં કરું… – રઈશ મનીઆર

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.

બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હું ય પછી પ્રીત નહીં કરું.

રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

– રઈશ મનીઆર

આમ સરળ લગતી ગઝલમાં પ્રત્યેક શેર તત્વ સુધી પહોંચવાની મથામણનો છે…..

Comments (8)

આ ચાલ્યા…. – તુષાર શુકલ

શબ્દ કેરી પ્યાલીમા, સુરની સુરા પીને,
લ્યો અમે તો આ ચાલ્યા
મસ્ત બેખયાલીમાં, લાગણી આલાપીને …
લ્યો અમે તો આ ચાલ્યા

જે ગમ્યુ તે ગાયું છે, જે પીધું તે પાયું છે,
મહેકતી હવાઓમાં કંઇક તો સમાયું છે
ચાંદની ને હળવેથી નામ એક આપી ને …
લ્યો અમે તો આ ચાલ્યા

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું,
સાચવી ને રાખ્યું’તું, અશ્રુ એ જ સાર્યું’તું,
ડાયરીના પાનાની, એ સફરને કાપી ને …
લ્યો અમે તો આ ચાલ્યા

ફુલ ઉપર ઝાંકળનું, બે ઘડી ઝળકવાનું,
યાદ તોય રહી જાતું , બેઉને આ મળવાનું
અંતર ના અંતરને એમ સહેજ માપીને……
લ્યો અમે તો આ ચાલ્યા

– તુષાર શુકલ

 મધમીઠી ગઝલ……!! ગણગણતા જ રહીએ…..

Comments (1)

પ્રપંચનો પહાડ – સંજુ વાળા

પ્રપંચનો પહાડ પાર થાય તો પ્રગટ કરું,
ઝીણું અમસ્તું રેતકણ હું કોની સામે વટ કરું?

ન રાખું કૈં જ ગુપ્ત, ન કશીય ચોખવટ કરું,
રહસ્ય એ જ ઘેન હો તો ઘૂંટી- ઘૂંટી ઘટ કરું.

બહુ જ ગોળ ગોળ લાંબુલચ ક્થ્યા કરે છે તું
કરું હું સાવ અરધી વાત, કિન્તુ ચોખ્ખીચટ કરું.

લે, ચાલ સાથે ચાલીએ મુકામ શોધીએ નવા,
નિભાવ સાથ તું, તો તારા સાથનું શકટ કરું.

અમેય થોડા ભીતરે અજંપ ધરબી રાખ્યા છે-
ચડ્યો છે કાટ કેવો જોઉં, કે ઉલટપુલટ કરું ?

હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?

છે ભાવમય, તું શબ્દની સપાટીએ ના સાંપડે,
હો પથ્થરોનું શિલ્પ તો હું શું કરું ? કપટ કરું ?

– સંજુ વાળા

આ શાયર સતત સફર કરતા રહે છે, તેઓને સતત પ્રશ્નો પીડતા રહે છે. જેને પ્રશ્ન થાય તે જ જવાબ શોધે. જવાબ ન મળે અને અજંપો મળે એવું ઘણીવાર બને. એ અજંપામાંથી ગઝલ બને…..

Comments (9)

ઓલ્યું… હિન્દીમાં કે’ છે….. – અનિલ ચાવડા

ઓલ્યું… હિન્દીમાં કે’ છે ધીરે ધીરે યું બીત જાયે કારવાં,
તો પછી આ જિંદગીભર આંસુઓ શું સારવાં, જખ મારવા?

એ વખતમાં જો વિચાર્યું હોત તો સારું હતું, સુધરી જતે;
પણ હવે આ ઉંમરે કયાં બેસવું પાછું બધું વિચારવા?

હોય માથે પોટલું તો એ તરત ભફ દઈ અને પડતું કરું,
પણ સમયના પ્હાડ જેવા ભારને કઈ રીતથી ઉતારવા?

સાંભળ્યું છે માણસોનો સૌથી ઉત્તમ મિત્ર એ પોતે જ છે,
એમ માનીને અમે બેઠા અમારી પીઠને પસવારવા.

ખુશ થવાની કોશિશો મારી વ્યથા સામે સતત બળવો કરે,
આગિયાનું એક ટોળું નીકળ્યું છે સૂર્યને પડકારવા.

– અનિલ ચાવડા

માત્ર તળપદી તેમજ રોજિંદા વપરાશની ભાષાના અનોખા પ્રયોગો પણ આ ગઝલને આકર્ષક બનાવવા પૂરતા છે, પણ અહીં તો અર્થગાંભીર્ય પણ કાબિલ-એ-દાદ છે !!

Comments (13)

તળાવમાં – વંચિત કુકમાવાલા

છોડી મને, કૂદી પડ્યું બચપણ તળાવમાં,
ત્યાં દોડતું આવ્યું, સ્મરણનું ધણ તળાવમાં.

જળચરની કૂદાકૂદ, આ પાણીની થપથપાટ
જાણે ચડ્યું હો મોજનું આંધણ તળાવમાં.

વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમા બધાં રજકણ તળાવમાં.

આઠે પ્રહરના ઉત્સવો ઉજવાય છે સતત,
રંગીન વસ્ત્રો જળ કરે ધારણ તળાવમાં.

અર્ધી ડૂબેલી ભેસનો પણ મંચ જ્યાં મળ્યો,
લ્યો, એક કાગડો કરે ભાષણ તળાવમાં.

હૈયા વરાળ ઠારવા પનિહારીઓ બધી,
ભેગી મળી લૂછ્યા કરે પાંપણ તળાવમાં.

શુદ્ધીકરણ જળનું સતત કરવા સજાગ છે,
આ ગામ કરતાં છે ઘણી સમજણ તળાવમાં.

વરસાદનાં એ ભાંભરાં જળ બૂમ પાડતા,
છોડી મને કૂદી પડ્યું બચપણ તળાવમાં.

– વંચિત કુકમાવાલા

આમ તો બધા જ શેર આસ્વાદ્ય છે પણ વાતારવરણમાં ઊડી-ઊડીને પછી પાણીની સપાટી પર સ્થિર થઈ પથરાતી રજકણોને કવિ જે નજરે જુએ છે એ નજર કમાલની છે ! એ જ રીતે તળાવમાં નહાતી ભેંસની પીઠ પર બેસી કાંઉ કાંઉ કરતા કાગડાને જોવાની રીત અને એ રીતે આજના રાજકારણીઓ પર કટાક્ષ કરવાની અદા પણ દાદ માંગી લે એવી છે. સરવાળે અદભુત રચના !

Comments (7)

ગઝલ – રાજુલ ભાનુશાલી

કેટલી ખખડી ગઈ છે ભારથી,
છત ઊભી છે ભીંતના આધારથી!

પ્રણ અધૂરા લઈને આખર ક્યાં જવું ?
જળ કદી બંધાય ના આકારથી.

વેદનાને જો વલૂરી સાંજના,
રાત આખી તરફડી ચિત્કારથી !

સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.

હાથમાં ગાંડીવ ઝાલ્યું એ પછી,
છોછ કૈ પોસાય ના ટંકારથી !

જાતમાંથી જાતને બાતલ કરો,
‘ઓમ’ને ભેદાય ના એંકારથી.

આમ કુંઠાઈને ‘રાજુલ’ શું વળે?
ઘાટ ચડવા દે નવા વિસ્તારથી !

– રાજુલ ભાનુશાલી

ફેસબુકના રસ્તે ચાલીને વળી એક આશાસ્પદ કવયિત્રી સાથે મુલાકાત થઈ. દુઃખ સાથે કામ પાડવાની ટેકનિકવાળો શેર હાંસિલે-ગઝલ છે. એ સિવાયના બધા શેર પણ ખાસ્સા સંતર્પક થયા છે.

Comments (12)

ગઝલ – વિહંગ વ્યાસ

પ્રથમ તો નીવડે નહીં ઉપાય કોઈ કારગત,
પછી કદાચ શક્ય છે કે દ્વાર ઊઘડે તરત.

અસંખ્ય કલ્પનો અહીં તહીં બધે ખરી પડ્યાં,
પરંતુ તારી જેમ કોઈએ કરી ન માવજત.

તને જ ચાહવા સહેજ દ્વૈત રાખવું રહ્યું,
હું અન્યથા તને અલગ જરાય ના કરી શકત.

રચાય પણ, વિલાય પણ, કદીક વ્યક્ત થાય છે;
ગઝલની આવ-જા યુગોથી ચાલતી હશે સ્વગત.

સદાય હાજરાહજૂર વર્તમાન ધન્ય છે,
ભવિષ્ય ભૂતકાળની શું કામ બાંધીએ મમત !

– વિહંગ વ્યાસ

મત્લાનો શેર વાંચતા જ હરિવંશરાય બચ્ચનની “કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી” કવિતા કે ‘કરતાં જાળ કરોળિયો” યાદ આવી જાય, પણ આ હમરદીફ-હમકાફિયા ગઝલમાં કવિએ એ જ વાત જે રીતે રજૂ કરી છે એ અંદાજે-બયાઁ મેદાન મારી જાય છે. એક તરફ બધા જ શેર ઉમદા થયા છે તો બીજી તરફ “લગાલગા લગાલગા” છંદોવિધાનનો હિલ્લોળા લેતો લય અને ચુસ્ત કાફિયાની બાંધણી ગઝલને વધુ આસ્વાદ્ય બનાવે છે.

Comments (7)

બહારો ન આવે – ‘ગની’ દહીંવાળા

રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે,
વિખૂટી પડે રાત-દિવસની જોડી, કદી સાંજ પાછળ સવારો ન આવે.

ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે,
બને તો તમે પણ મને જાવ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે.

મળ્યું છે જીવન આજ તોફાન ખોળે, ચહું છું દુઃખદ અંત મારો ન આવે,
ઓ મોજાંઓ, દોડો, જરા જઈને રોકો, ધસી કંઈ વમળમાં કિનારો ન આવે.

મહોબ્બત પ્રથમ ધર્મ છે જિંદગીનો, મહોબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઉતારો ન આવે.

કોઈને હું પામી ગુમાવી ચૂક્યો છું, જગતથી ભરોસો ઉઠાવી ચૂક્યો છું,
ખુશીથી જજે જિંદગી તું ય ચાલી, તને જયારે વિશ્વાસ મારો ન આવે.

હતું કોણ સાથે અને ક્યાં હતો હું, ન કહેજે કોઈને ભલી ચાંદની તું,
સિતારા કરે વાત ગઈ રાતની તો, કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.

‘ગની’ , મારી રાતોના દિવસ ફરે તો, ફરી જાય આ પ્રકૃતિની પ્રથા પણ,
ચમનમાં જણાયે ન અશ્રુનાં ચિહ્નો, પછી રક્તવર્ણી સવારો ન આવે.

-‘ગની’ દહીંવાળા

અલગ અલગ ભાવના શેર છે સઘળા. ક્યાંક મહોબ્બતનો મહિમા છે તો ક્યાંક જીવનથી નિરાશા છે…..

Comments (2)

જટાયુ છે – દેવાંગ નાયક

થોડું થોડુંય ગણગણાયું છે,
આવડ્યું એવું ગીત ગાયું છે.

પાંદ લીલું હતું, સૂકાયું છે,
વૃક્ષ લીલાશથી ઉબાયું છે!?

હોય ઉત્તર બધાં રહસ્યોનાં,
આપણાથી જ ક્યાં પૂછાયું છે?

એમના નામનું હતું આંસુ,
પાંપણોથી કશે મૂકાયું છે!

લઈ ઊડે તમને ઘરની એકલતા,
એ ક્ષણે ચકલી પણ જટાયુ છે!

ટુકડે ટુકડે મળ્યું જીવન,
જીવતાં જીવતાં જીવાયું છે.

– દેવાંગ નાયક

ગઝલોના અડાબીડ જંગલોમાંથી એકાદ આવી ચંદનવૃક્ષ જેવી રચના મળી આવે એ દિવસ ધન્ય ધન્ય પસાર થાય. અહીં કોઈ શ્રેષ્ઠતાનો દાવો નથી કેમકે કવિ જાણે છે કે અવ્વલ નંબર તો એકનો જ હોઈ શકે. એટલે જિંદગીનું ખરું પ્રયોજન તો આવડત મુજબનું કામ કરી જવામાં જ છે. જેવું આવડે એવું ગાવું પણ ગાવું અવશ્ય. બીજા શેરમાં પાનખરને કવિ જે આયામથી નિહાળે છે એ પણ સાવ નવો જ અભિગમ છે. તમારી એકલતાના રાવણ સામે લડવામાં અજાણે મદદરૂપ થતી, તમને કંપની આપતી ચકલીને જટાયુ સ્વરૂપે નિર્દેશતો શેર એ હાંસિલે-ગઝલ…

Comments (9)

કોને ભાન છે – જવાહર બક્ષી

છેલ્લી ક્ષણે કોનો હતો ઝણકાર કોને ભાન છે,
ઝાંઝર હતાં કે એ હતી તલવાર કોને ભાન છે.

જોઉં ન જોઉં ત્યાં સ્વયં દ્રષ્ટિ અગોચર થઈ ગઈ,
કેવો કર્યો’તો એમણે શણગાર કોને ભાન છે.

સ્પર્શીલ પળમાં ઊઘડું ને ઓગળું આકાશ થઈ,
હોવાપણાનો છે કયો આકાર કોને ભાન છે.

ક્યાંથી કહું હોવું, ન હોવું, જાણવું, પરમાણવું,
એ ખુદ હતા કે એમનો અણસાર કોને ભાન છે.

છે એક મસ્તીનો મહાસાગર અને છું મોજમાં,
આ પાર, પેલે પાર, અપરંપાર કોને ભાન છે.

– જવાહર બક્ષી

સૂફીરંગની ગઝલ….બુદ્ધિ-લૉજિક થી પર વાતો છે…..અનુભૂતિની વાતો છે. સમજવા જઈશું તો છટકી જશે.

Comments (6)

દ્વિધામાં છે – ડો. પરેશ સોલંકી

સત્વનું આ પતન દ્વિધામાં છે,
આજ આખ્ખું કવન દ્વિધામાં છે.

મનઝરૂખે ને જાત પિંજરમાં,
એક યોગી ગહન દ્વિધામાં છે.

બંદગી કે હતી એ યાચિકા?
મંદિરોનું નમન દ્વિધામાં છે.

પ્રેમનો અર્થ તો સમર્પણ છે,
વ્હાલ કરતું સજન દ્વિધામાં છે.

લાગણી શુષ્ક ને ધરા બંઝર-
બીજનું સંવનન દ્વિધામાં છે.

મુકત થઈ જા ‘પરેશ’ વળગણથી,
શ્વાસ નામે પવન દ્વિધામાં છે.

– ડો.પરેશ સોલંકી

સાદ્યંત આસ્વાદ્ય રચના….

Comments (8)

ન્યાય નથી – પ્રશાંત સોમાણી

કોઈની લાગવગ ત્યાં ક્યાંય નથી.
મોક્ષ સારા કરમ સિવાય નથી.

હાલ મારા તને તો જાણ હતી,
જાતની પણ મને સહાય નથી.

વેર લીધા પછી શું શાંતિ થશે?
શોધ, બીજો કશો ઉપાય નથી?

એની પાસે હવે શું આશ ભલા,
મહેરબાનીમાં જેની ન્યાય નથી.*

એટલે તો જગત જલે છે ‘પ્રશાંત’,
આપણી વચ્ચે અંતરાય નથી.

– પ્રશાંત સોમાણી

સાદ્યંત સુંદર રચના… વેર વિશે સાવ સહજ બાનીમાં લખાયેલો શેર તો શિરમોર !

(*તરહી પંકિત: – મરીઝ)

Comments (6)

ગઝલ – કુલદીપ કારિયા

image

હવે તમારું જીવન લમણાઝીંક વગરનું છે,
નવા વરસનું કેલેન્ડર તારીખ વગરનું છે.

વાત અહીંથી ક્યાંય જશે નૈ, છોડી દે ચિંતા
જે ઘરમાં તું બેઠો છે એ ભીત વગરનું છે.

તારી આંખોની અંદર આવીને કરવું શું ?
કે એમાં દરિયાનું હોવું બીચ વગરનું છે.

જન્મ્યા પહેલા આખું જંગલ મરી ગયું, કુલદીપ
ઊગી ગયું છે ઝાડ પરંતુ બીજ વગરનું છે.

– કુલદીપ કારિયા

જીવનની સમસ્યાઓનું ખરું મૂળ સમય જ છે. સમયને જ ખતમ કરી દેવાય તો કદાચ કોઈ જ લમણાઝીંક ન રહે. વાત તો જૂની અને જાણીતી છે પણ કવિઓ જે ખૂબસુરતીથી રજૂ કરે છે એ અંદાજે-બયાઁની જ તો ખરી મજા છે…

રાજકોટથી કવિ કુલદીપ કારિયા એમનો પ્રથમ સંગ્રહ “ભીંત ખખડાવી તો ખૂલી” લઈને આવ્યા છે. કવિને લયસ્તરો તરફથી મબલખ સ્નેહકામનાઓ…

Comments (3)

ગઝલ – ચિનુ મોદી

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.

કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.

માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.

કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં ?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.

– ચિનુ મોદી

અદભુત ગઝલ… કોઈ એક શેર પર આંગળી મૂકવાની આવે તો તકલીફમાં પડી જવાય…

Comments (4)

होगी नहीं – દુષ્યંતકુમાર

पक गई हैं आदतें बातों से सर होंगी नहीं
कोई हंगामा करो ऐसे गुज़र होगी नहीं

इन ठिठुरती उँगलियों को इस लपट पर सेंक लो
धूप अब घर की किसी दीवार पर होगी नहीं

बूँद टपकी थी मगर वो बूँदो—बारिश और है
ऐसी बारिश की कभी उनको ख़बर होगी नहीं

आज मेरा साथ दो वैसे मुझे मालूम है
पत्थरों में चीख़ हर्गिज़ कारगर होगी नहीं

आपके टुकड़ों के टुकड़े कर दिये जायेंगे पर
आपकी ताज़ीम में कोई कसर होगी नहीं             [ ताज़ीम = સન્માન ]

सिर्फ़ शायर देखता है क़हक़हों की अस्लियत
हर किसी के पास तो ऐसी नज़र होगी नहीं

– દુષ્યંતકુમાર

દુષ્યંતકુમાર એ naked reality ના કવિ છે. પહેલો શેર તો એની મજબૂતાઈથી વ્યવહારની ભાષામાં વપરાતો થઇ ગયો છે, પરંતુ બાકીના બધા પણ અત્યંત મજબૂત છે. ઉદાહરણ તરીકે ત્રીજો શેર – આંખમાંથી આંસુનું ટીપું પડ્યું….લુપ્ત થઇ ગયું. મહેબૂબાને આ બારિશની ખબર થોડી જ પડવાની છે !!!!

Comments (7)

અઘરી પડી – બિનિતા પુરોહિત

એક રઝળતી ક્ષણ મને વળગી પડી,
છે ટચૂકડી તોય બહુ અઘરી પડી.

બંધ આંખોમાં મેં કર્યું ડોકિયું,
ઊંઘ જે કાચી હતી, વણસી પડી.

લાગણીના સૂના જંગલમાં જતા,
પાતળી પગદંડી પર ભૂલી પડી.

હું નથી સીતા ને એ રાવણ નથી,
તોય લક્ષ્મણરેખા ઓળંગવી પડી.

પૂછ સાગરને કે આ તોફાનમાં,
તારી લહેરોને હવા ઓછી પડી?

લીલ તો પથ્થર ઉપર બાજી પડે,
રેત પરથી શી રીતે લપસી પડી.

અડધે સ્વપ્ને આંખ કાં ઊઘડી ગઈ,
બોલ, ‘બિન્ની’ ઊંઘ ક્યાં કાચી પડી ?

– બિનિતા પુરોહિત

સ્થિર-સમતલ જિંદગી આપણને એવી કોઠે પડી ગઈ છે કે એકાદ ક્ષણનો રઝળપાટ પણ આપણને અઘરો પડી જાય છે. બધા જ શેર સરસ થયા છે પણ ઊંઘ ઊડી જવા વિશેના બંને શેર તો એકદમ મજાના થયા છે !

Comments (12)

શબ્દની ધજા – મીનાક્ષી ચંદારાણા

Minaxi

છલકતાં ફરે ચોક, છત ને છજાં,
ગઝલમાં પલળવાની કેવી મજા !

ચુનર આંહી કોરી તો કોની રહે ?
ઝરે રંગ છંદો, ન પુછે રજા !

નગર બ્હાર જાતાં જડ્યાં જંગલો,
છું હદપાર, કેવી મજાની સજા !

ઊડ્યાં મનભરી અંતહીન આ નભે,
અમે છોડી સરહદ, વળોટ્યાં ગજા !

અદબભેર મસ્તક નમાવો, સુજન !
અહીં શબ્દની ફરફરે છે ધજા.

– મીનાક્ષી ચંદારાણા

વડોદરાના કવિ-દંપતિ શ્રી અશ્વિન અને મીનાક્ષી ચંદારાણા એકીસાથે પોતપોતાના પ્રથમ ગઝલસંગ્રહ લઈને આવ્યાં છે. ગઈકાલે આપણે અશ્વિન ચંદારાણાની કૃતિ માણી, આજે એમના અર્ધાંગિની મીનાક્ષીબેનના “સાંજને સૂને ખીણે”માંથી એક કૃતિ માણીએ…

આખી ગઝલ મજાની પણ ગઝલનો આખરી શેર કદાચ માત્ર હાંસિલે-ગઝલ જ નહીં, હાંસિલે-જીવન સમો !

Comments (5)

ગઝલ – અશ્વિન ચંદારાણા

Bhitar chale aari

ટકી જીદ કોની? ને શું ઝૂઝવાના?
તમે પણ જવાના, અમે પણ રવાના.

તમારા સ્મરણથી એ શેં રૂઝવાના !
તમારા વગર આ જખમ દૂઝવાના.

વકીલો આ બેઠા, અદાલત ભરી છે,
તરાજૂ ખનનખનની ખનકે જવાના.

ભલેને ઉછાળે-પછાડે નકામો,
અમે સાત સાગર તરી ડૂબવાના.

ભલેને અટાણે કટાર્યું પરોવો,
પછીથી તમે પાળિયા પૂજવાના.

– અશ્વિન ચંદારાણા

વડોદરાથી અશ્વિન ચંદારાણા એમનો પ્રથમ ગઝલસંગ્રહ “ભીતર ચાલે આરી” લઈને આવ્યા છે. લયસ્તરોના આંગણે એમનું બાઅદબ સ્વાગત. ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…

કવિએ પ્રસ્તુત ગઝલમાં કાફિયાઓ પાસે જે રીતે કામ લીધું છે એ કાબિલ-એ-દાદ છે. ‘જવાના’ની સમાંતરે ‘રવાના’ અને રૂઝવાના’ની વિરુદ્ધમાં ‘દૂઝવાના’ – આ બંને કવિકર્મ અદભુત થયા છે.ખનનખનની ખનક પણ એવી જ મજાની.

Comments (4)

રોજ સાંજે પંખીઓના – ઉદયન ઠક્કર

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે

એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
‘આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે’

બાલદી, શીશી, તપેલી, પ્યાલું, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે

ક્યાંક તો જાતો હશે, એમ માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, ‘ભાઈ, તું ક્યાં જાય છે?’

– ઉદયન ઠક્કર

મક્તાનો શેર આખી ગઝલને ઊંચકી કાઢે છે……

Comments (4)

જોઈએ છે – રિષભ મહેતા

મને એ ખબર છે કશું જોઈએ છે
પરન્તું ન સમજાતું શું જોઈએ છે ?!

તને આખી દુનિયાય ઓછી પડે છે,
મને તો ફકત એક તું જોઈએ છે!

મને તો જ સમજણ પડે કેમ ચાલું?
મને કોઈ આડું-ઊભું જોઈએ છે!

ચલો આપવું હો તો આપી દો ઈશ્વર
મને એક આંસુ મીઠું જોઈએ છે!

ચલાવી લઉં છું બધાના વગર હું
હકીકતમાં કિન્તુ બધું જોઈએ છે!

– રિષભ મહેતા

કાફિયાદોષને અવગણીએ તો કેવી મજાની ગઝલ ! મત્લા અને આખરી શેરમાં સંસારનું અને બીજા શેરમાં આજના જમાનાના પ્રેમનું સનાતન સત્ય.

Comments (6)

ઉથલાવ ને – હર્ષા દવે

હાંસિયામાં મૂકવા છે ઘાવને;
ચાલ, તું પાનું બીજું ઉથલાવ ને!

આજ ટહુકા રંગમાં તરબોળ છે,
આજ તો ફૂલો તમે પણ ગાવને !

સ્તબ્ધ થઈને સાવ તળિયે જીવવું,
આકરું લાગી રહ્યું છે વાવને !

ઓગળે હોવાપણાનું આવરણ
કોઈ દિ’ વરસાદમાં જઈ ન્હાવ ને!

આંખથી ઓઝલ થયે શું ફાયદો ?
યાદમાંથી શક્ય હો, સંતાવ ને!

સાવ રેઢુ જ્યાં મૂક્યું’તું બાળપણ,
એ જ રસ્તે આજ પાછા જાવ ને!

-હર્ષા દવે
(૧૬.૭.૨૦૧૬)

“જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી” – મરીઝ જિંદગી જીવવાની ફિલસૂફી આ પ્રકારે આપે છે તો હર્ષા દવે ઘા-દુઃખ-દર્દને હાંસિયામાં ધકેલી આગળ વધવા પાનું પલટાવી દેવાની ફિલસૂફી લઈને આવે છે.

Comments (4)

મળે – મનોજ ખંડેરિયા

કાયમી સમજણથી બસ રુખસદ મળે
થાય છે કે આ પીડા અનહદ મળે

ક્યાં શરૂ થઈ ક્યાં પૂરી થાતી હશે?
એવું છે ભેળાણ કે ના હદ મળે

ક્યાં ગયાં પાદર-નદી ને વડ જૂનો?
ગામ આખું આંસુમાં ગારદ મળે

સ્થિર જીવન થઈ શક્યું ના જે વિષે,
ખોદતાં એ ઘર નીચે પારદ મળે       [ પારદ = પારો , અહીં mercurial અર્થ વધુ બેસે છે ]

શબ્દની પૂરી થતી જ્યાં, તે પછી-
બસ પછી-બસ એમની સરહદ મળે

આ નગરમાં આવીને મનમાં થતું
ક્યાંકથી કોઈ ખૂણે નર્મદ મળે

 

– મનોજ ખંડેરિયા

 

મત્લો જ કેટલો મજબૂત છે !!! મરીઝ યાદ આવી જાય – ‘ દે એક મહાન દર્દ અને પારાવાર દે….’  કવિને અનહદ પીડા જોઈએ છે, કારણકે પીડા વ્યક્તિને સતત વર્તમાનમાં રાખે છે. કવિને ભગવાન બુદ્ધની વાતમાં રસ નથી. શુદ્ધ અનુભૂતિ સિવાય કશામાં કવિને રસ નથી.

Comments (1)

નડે – રઈશ મનીઆર

અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી ! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

– રઈશ મનીઆર

રઈશભાઈની પચાસમી વર્ષગાંઠ શુક્રવાર 19મીએ ગઈ. તેઓની નિરંતર શબ્દસાધનાને સલામ સાથે આ ગઝલ રજૂ કરી છે……

Comments (4)

એકલવાયા – વજેસિંહ પારગી

માથા પર વાદળની છાયા,
અમ પર એવી જગની માયા.

શત્રુ હો તો લડી લઉં પણ,
રણમાં ઊભા માડીજાયા.

એક જણે છોડ્યા છે અમને,
ટોળામાં પણ એકલવાયા.

બે દિન માટે આવે ને જાય,
સુખ તો છે એક અતિથિ ભાયા.

તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.

– વજેસિંહ પારગી

કવિ મત્લામાં કહે છે એવી દૂ….રની માયા રાખીએ તો દુઃખી ન થવાય. બીજા શેરનો સંદર્ભ તો તરત જ સમજી શકાય છે. પણ ખરી મજા ત્રીજા શેરમાં છે. પ્રણયની આખી ગીતા બે જ લીટીમાં કવિ સમાવી લે છે. સફળ થાવ કે વિફળ, પ્રેમ તમને તમારામાં જ ઓતપ્રોત કરી દે છે, ભલે ને ટોળાંમાં હોવ કે ન હોવ.

Comments (3)

સફર થાય છે – રઈશ મનીઆર

એમ ચાલ્યા વિના પણ સફર થાય છે
પગ તળેથી જ ધરતી ખસી જાય છે

ગૂંચ જીવનની જ્યારે ઉકેલાય છે
માત્ર દોરા જ હાથોમાં રહી જાય છે

નૌકા જળમાં રહે તો ય જળથી અજાણ
છિદ્ર પડતાં પરિચય થતો જાય છે

માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ
બીજી પળથી વિકલ્પો વિચારાય છે

લક્ષ્ય ચૂકી ગયું હો તમારું જે તીર
એ જ શત્રુના ભાથે ઉમેરાય છે

– રઈશ મનીઆર

કવિશ્રી ઉદયન ઠક્કર આ ગઝલના મત્લા વિશે કહે છે: “પરંપરાની ગઝલો મોટે ભાગે દાવા-દલીલની પદ્ધતિથી રચાતી. શેરની પહેલી પંક્તિમાં કરાયેલા દાવાનું બીજી પંક્તિની દલીલ વડે સમર્થન કરાતું. અહીં માન્યામાં ન આવે તેવો દાવો કરવામાં આવ્યો છે: ચાલ્યા વિના પ્રવાસ કેમ થાય? ધરતી સ્થિર રહે અને ચરણ આગળ નીકળી જાય એ પ્રવાસ કહેવાતો હોય, તો ચરણ સ્થિર રહે અને ધરતી પાછળ ખસી જાય એ પ્રવાસ ન કહેવાય? પગ તળેથી ધરતી ખસી જવી એટલે આઘાત લાગવો. ચરણ આગળ જવાથી યાત્રા થાય, અને ધરતી પાછળ ખસવાથી આંતર્યાત્રા. બીજી પંક્તિમાં અણધાર્યો ખુલાસો આપીને કવિ ચમત્કૃતિ સર્જે છે.કવિને માટે ચમત્કૃતિ સર્જવી મરજીયાત, પણ સારી કૃતિ સર્જવી ફરજિયાત હોય છે.

આ ગઝલના પાંચેય શેરમાં વ્યગ્રતા અને વિફળતાના સૂર ઘુંટાય છે.”

રઈશભાઈની આજે ૫૦મી વર્ષગાંઠ છે. જીવનની આ ગોલ્ડન જ્યુબિલી પર કવિશ્રીને ટીમ લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ…

 

Comments (10)

ગણાવ તું – મેગી આસનાની

જે પ્રેમ પૂરો થઈ ગયો એ ના જતાવ તું,
બાકીમાં શું હિસાબ રહ્યો એ લખાવ તું.

તકલીફ બેઉ વાતે થશે, પણ જરૂરી છે,
બોલું કે સાંભળું ? હું કરું શું ? બતાવ તું.

ઘરને સજાવી રાખું છું ચારે તરફથી હું,
એવુંય પણ બને કે ના આવીને આવ તું.

માગ્યું બધું તેં હકથી ને આપી દીધું છે મેં,
બસ રાહ જોઉં છું કે ફરજ પણ બજાવ તું.

આખર સવાલ ‘હું’પણાનો છે તો કર શરૂ,
તેં શું કર્યું ને મેંય કર્યું શું, ગણાવ તું.

– મેગી આસનાની

પહેલો શેરમાં હિસાબની વાત નજરે ચડે તો કોઈ પુરુષ પતી ગયેલા પ્રેમની ઉલટતપાસ કરતો હોય એમ લાગે પણ પછીના શેરોમાં તરત જ શબ્દે-શબ્દે સ્ત્રી અને સ્ત્રીસહજ વેદના રવરવતી અનુભવાય છે. પુરુષ હકથી માંગે, સ્ત્રી આપી દે અને પછી પુરુષ પણ પોતાની ફરજ બજાવે એ શેર આજની સ્ત્રીનો આયનો છે.

Comments (8)

લખો ! – રમેશ પારેખ

આ કાળું પાટિયું ને ચોક, લ્યો જનાબ, લખો !
તમારા હાથ વત્તા કેટલાં ગુલાબ ? લખો !

ખરું ને ? શોખ છે તમને પ્રથમથી ફૂલોનો
તો કેમ બાગમાંથી લાવ્યા ખાલી છાબ ? લખો !

ફરી પૂછું છું કે શું અર્થ છે આ જીવતરનો ?
લ્યો, ચોક લ્યો, અને આ પ્રશ્નનો જવાબ લખો !

ખરાબ સ્વપ્નથી નંબર વધે છે ચશ્માંના
તો કેવા સ્વપ્નને કહેશો તમે ખરાબ ? -લખો !

લખો, લખો કે છે તમને તો ટેવ લખવાની
બધા તમારા આપઘાતના હિસાબ લખો !

આ કાળા પાટિયાનો ખોફ કેમ રાખો છો ?
તમે સમર્થ છો, લ્યો ચોક, ‘આફતાબ’ લખો !

– રમેશ પારેખ

અલગ ઢાળની ગઝલ છે. ક્યાંક રમતિયાળપણું છે તો ક્યાંક વેધક કટાક્ષ છે તો ક્યાંક વક્રોક્તિ છે….આપઘાતની વાત બહુ માર્મિક રીતે આલેખી છે.

Comments (1)

कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता – નિદા ફાઝલી

कभी किसी को मुकम्मल जहाँ नहीं मिलता
कहीं ज़मीं तो कहीं आसमाँ नहीं मिलता

बुझा सका है भला कौन वक़्त के शोले
ये ऐसी आग है जिसमें धुआँ नहीं मिलता

तमाम शहर में ऐसा नहीं ख़ुलूस न हो [ ख़ुलूस = purity of heart ]
जहाँ उमीद हो सकी वहाँ नहीं मिलता

कहाँ चिराग़ जलायें कहाँ गुलाब रखें
छतें तो मिलती हैं लेकिन मकाँ नहीं मिलता

ये क्या अज़ाब है सब अपने आप में गुम हैं [ अज़ाब = torment, pain ]
ज़बाँ मिली है मगर हमज़बाँ नहीं मिलता

चिराग़ जलते ही बीनाई बुझने लगती है [ बीनाई = vision ]
खुद अपने घर में ही घर का निशाँ नहीं मिलता

जिसे भी देखिये वो अपने आप में गुम है
ज़ुबाँ मिली है मगर हमज़ुबा नहीं मिलता

तेरे जहान में ऐसा नहीं कि प्यार न हो
जहाँ उम्मीद हो इस की वहाँ नहीं मिलता

– નિદા ફાઝલી

સ્વાતંત્ર્ય દિવસે આ ગઝલ હેતુપૂર્વક મૂકુ છું. શેનું મહત્વ વધારે – માણસાઈનું કે રાષ્ટ્રીયતાનું ? હું જો દેશ સાથે છેતરપીંડી કરું તો હું નઠારો અને મારો સમગ્ર દેશ અન્ય દેશ સાથે છેતરપીંડી કરે તો તે સફળ વિદેશનીતિ…. રાષ્ટ્રીયતા વિભાજક બળ છે, સંયોજક નથી. નાગરિકત્વ કરતા વિશ્વનાગરિકત્વ અનેકગણું અધિક છે. જે રીતે ધર્મ અને જાતિના વાડાઓ સમાજને વિભાજે છે તે કરતા અત્યંત વધુ જડતાપૂર્વક રાષ્ટ્રીયતા વિભાજે છે. જ્યાં સુધી વ્યક્તિની આંતરિક conflict દૂર નહિ થાય ત્યાં સુધી શાયરનો પ્રત્યેક શેર વ્યક્તિમાત્રની struggle પ્રતિબિંબિત કરતો જ રહેશે.

Comments (3)

મૃગજળની મિત્રતા – મનોજ ખંડેરિયા

શબ્દોની મિત્રતા અને કાગળની મિત્રતા,
એકાંતે મ્હોરનારી આ હરપળની મિત્રતા.

આ હાંફ-તરફડાટ-તૃષા-થાક-ને તડપ-
કેવી રહી પૂછો નહીં મૃગજળની મિત્રતા.

પ્હેરણથી માત્ર રાખ્યું ન સગપણ ઉપરછલું,
માણી છે એની મેલી સળેસળની મિત્રતા.

આંસુથી રાખ કે પછી દરિયાથી રાખ તું,
ડુબાડી દેશે કોઈ દિવસ જળની મિત્રતા.

ચિરકાળ એની છાપ ફૂલો પર છવાઈ ગઈ,
નહીં તો રહી’તી બે ઘડી ઝાકળની મિત્રતા.

હરજન્મ બંધ દ્વારને ખખડાવતી રહી,
કેવી અતૂટ હાથ ને સાંકળની મિત્રતા.

આદિલ-અનિલ-રમેશ કે લા.ઠા. ચિનુની સંગ
કાયમની લીલી ગૂંજતા કાગળની મિત્રતા.

– મનોજ ખંડેરિયા

મિત્રતા વિશેની એક ચિરકાલિન યુવા ગઝલ. એક-એક શેર ટકોરાબંધ.

Comments (9)

ભીતર રહે – મુકુલ ચોકસી

એમ કોઈ બહાર રહીને આપણી ભીતર રહે,
જેમ ઊડતા પંખીનો પડછાયો ધરતી પર રહે.

જળ લખું તો ‘જ’ ને ‘ળ’ વચ્ચે ભલે અંતર રહે,
જળ થકી મળતા અનુભવનું તો એક જ સ્તર રહે.

એમ આ સૌંદર્ય કોઈ પણ રીતે હાજર રહે,
પર્ણ ડાળે ના રહે તો કર્ણમાં મર્મર રહે.

આમ અંદર બ્હાર એકાકાર થઈ જાશે પછી,
શો ફરક કે કોઈ મારી બ્હાર કે ભીતર રહે.

– મુકુલ ચોકસી

Comments (7)

એવી ખબર થોડી જ હોય? – અનિલ ચાવડા

એ ખરા તડકે ને ઉઘાડા પગે દોડાવશે એવી ખબર થોડી જ હોય?
ને વ્યથાઓ ડાકુઓની જેમ પાછળ આવશે એવી ખબર થોડી જ હોય?

હા ખબર છે મેં જ તો કીધું હતું એને: સ્મરણ કોદાળી જેવાં હોય છે,
એ મને મારી જ પાસે દર વખત ખોદાવશે એવી ખબર થોડી જ હોય?

જેમને દિવસે નહોતાં આવવા દીધાં મેં મારી આંખમાં એ દૃશ્ય સૌ,
અડધી રાતે પાંપણોનાં બારણાં ખખડાવશે એવી ખબર થોડી જ હોય?

મન ઉપર ઇચ્છાની નાની ફોડલી થઈ ગઈ હતી તો ફોડી નાખી એને મેં,
આ ગુનામાં દેહ આખો ફાંસીએ લટકાવશે એવી ખબર થોડી જ હોય?

ભીતરી દુષ્કાળને જો નાથવો હો તો બલિ તો જોઈએ એવું કહી,
માથું મારાં સેંકડો સપનાંઓનું છેદાવશે એવી ખબર થોડી જ હોય?

ઝેર, ફાંસો કે નદીમાં ડૂબવી દેવાની સઘળી કોશિશો પણ વ્યર્થ ગઈ,
જિંદગી! તું વારતાને આ હદે લંબાવશે એવી એવી ખબર થોડી જ હોય?

– અનિલ ચાવડા

પ્રત્યેક શેર એક કહાની છે….. બળકટ ગઝલ

Comments (9)

વાત ક્યાં સમજાય છે ! – નેહા પુરોહિત

આંખ પરથી વાત અંદાજાય છે,
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

એક, બે ને ત્રણ નથી થાતું અહીં,
એ રીતે તો એકડો ભૂંસાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

ભીતરે વૈશાખ છે આઠે પ્રહર,
ને અષાઢી આંખ થાતી જાય છે .
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

તું ગુલાબી જાત બોળે ઈશ્કમાં,
રંગ દિલનો આસમાની થાય છે !
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

રોજ આવે છે તું મારી શેરીએ ,
બિનજરૂરી ધારણા બંધાય છે…
પણ તને આ વાત ક્યાં સમજાય છે !

– નેહા પુરોહિત

આ રચનાને આપણે શું કહીશું? ગઝલ કે ત્રિપદી ? ગઝલ કહીએ તો દરેક શેરમાં આવતી ત્રીજી પંક્તિ સામી ઊભી રહી જાય છે અને ત્રિપદી ગણીએ તો પહેલા બંધમાં એક પદ ખૂટે છે ને બાકીના તમામમાં ત્રીજું પદ માત્ર પુનરાવર્તન છે. પણ કવિતાના આકારના પિષ્ટપેષણમાં ન ઉતરીએ તો તરત જ સમજાય છે કે ત્રીજું પદ જ આ રચનાની જાન છે. દરેક શેરને એ ત્રીજું પદ અર્થની નવી ઊંચાઈ અને ગહેરાઈ- બંને બક્ષે છે.

કવયિત્રીની આજે વર્ષગાંઠ પણ છે…  ટીમ ‘લયસ્તરો’ તરફથી કવિમિત્ર નેહાને જન્મદિવસ પર શત શત કોટિ સ્નેહકામનાઓ….

Comments (8)

ઉદાસ ન થાય – ભાવેશ ભટ્ટ

કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
થાય તો મારી આસપાસ ન થાય.

એક દી સૂર્ય ના ઊગ્યો તો થયું –
ક્યાંક મારી ઊલટ-તપાસ ન થાય!

જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?

એ રીતે કોઈ ભીંત શણગારો
કે બીજી ભીંત નાસીપાસ ન થાય

રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં
એમ ઇચ્છું કે એ નપાસ ન થાય

– ભાવેશ ભટ્ટ

આજકાલ ગુજરાતી મુશાયરાઓની જાન બની ગયેલા ભાવેશ ભટ્ટની એક શાનદાર ‘પોઝિટિવ’ ગઝલ. બધાજ શેર સરળ, સહજ સાધ્ય પણ અર્થગાંભીર્યસભર.

Comments (11)

કારણ વગર – હિતેન આનંદપરા

આપણું મળવાનું ક્યાં સંભવ હવે, કારણ વગર
ફોડ પાડીને કહું તો, લાભ કે વળતર વગર

જંગલો ખૂંદી વળેલો, ગામનો જણ – શહેરમાં
બેધડક રસ્તા ઉપર નીકળી શકે નહીં ડર વગર

કાળ તો તત્પર સદા, મારા પ્રહારો ઝીલવા
હું જ પાગલ હાથ ફંગોત્યા કરું ગોફણ વગર

માણસોને ચારવા નીકળી પડેલું આ નગર
સાંજના, ટોળું બની પાછું ફરે માણસ વગર

હું હજારો યુધ્ધનો લઇને અનુભવ શું કરું ?
જિંદગીમાં કાયમી લડવાનું છે લશ્કર વગર

તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.

– હિતેન આનંદપરા

Comments (5)

જાહોજલાલી – કાલિન્દી પરીખ

image

મળ્યો હાથ તારો તો લાગી છે તાલી,
વિના રાસ નાચું હું કરતાલ ઝાલી.

હરિતકુંજ બાજુ નિહાળે છે ગોપી,
અને રંગ લીલો બની જાય લાલી.

દીવાલે દીવાલે લગાવ્યાં છે ચિત્રો,
છતાં ઘર હજી કેમ લાગે છે ખાલી.

ટળી ગઈ જનમવા કે મરવાની ઝંઝટ,
સમય-ક્યારિયે શું અમરવેલ ફાલી.

ફકીરી તો કેવળ છે કાયાની ઓળખ,
અમારે તો અંદરની જાહોજલાલી.

– કાલિન્દી પરીખ

જાણીતા નવલકથાકાર, વાર્તાકાર કાલિન્દી પરીખ “ક્યાંક વચ્ચે દીવાલ” ગઝલસંગ્રહ લઈને ઉપસ્થિત થયા છે એ ટાંકણે ટીમ લયસ્તરો તરફથી એમનું સહૃદય અભિવાદન અને સ્નેહકામનાઓ…

રાચરચીલાથી ભર્યુંભાદર્યું ઘર પણ માણસ અને સ્નેહ ન હોય તો ખાલી મકાન જ છે. ઘર વિશેનો આ શેર વાંચતાં જ જાણીતી કાવ્યકણિકા યાદ આવે:
ઘર એટલે ચાર દીવાલ ?
ના…ના… ઘર એટલે ચાર દિ’ વ્હાલ !

Comments (12)

જિંદગી ખર્ચાય છે – મેગી આસનાની

image

એક પંક્તિમાં તું આવી જાય છે,
બીજી લીટી ક્યાં પછી સર્જાય છે ?!

માવઠાને કોણ સમજાવે હવે ?!
બ્હાર મારાં સપનાં પણ સુકાય છે.

હું ઊભી છું રણમાં ને મારું આ મન,
સામે દરિયા પાર પહોંચી જાય છે.

રાતરાણી હોય કે સૂરજમુખી,
પ્રેમના નામે સમર્પિત થાય છે.

મોત સામે આ તે કેવી જંગ છે ?
માણસોની જિંદગી ખર્ચાય છે.

– મેગી આસનાની

દુબઈસ્થિત કવયિત્રી મેગી આસનાની પોતાના પ્રથમ ગઝલ સંગ્રહ “જાત સાથે વાત” ગુજરાતી ગઝલોની દુનિયામાં બા-અદબ પ્રવેશ કરે છે. લયસ્તરો તરફથી કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ અને સ્નેહાભિનંદન….

ગઝલના બધા જ શેર ધ્યાનાર્હ હોય એવી જવલ્લે જ બનતી સુખદ ઘટના અહીં ઘટી છે એનો આનંદ…

Comments (13)

ગગન પણ ઉદાસ છે – મરીઝ

લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે,
ઓ જિંદગાની તારા હજારો લિબાસ છે.

બે ચાર શ્વાસ લેવાના ત્યાં શું પસંદગી?
અમને તો જે જગતની હવા હો એ રાસ છે.

આવો નહીં નજીક મગર દૂર તો રહો,
મૃગજળને પી શકું છું હવે એવી પ્યાસ છે.

જો જો તમે કે એ જ થવાનું ફરી ફરી,
હમણાં ભલે કહું છું આ આખર પ્રયાસ છે.

સિદ્ધિ મળી જ્યાં એક ત્યાં લાખો દિશા ખૂલી,
કોને ખબર કે મારો ક્યાં સુધી વિકાસ છે !

આવો તમે કે મારા નયનને જીવન મળે,
દર્શન તમારા એ જ તો આંખોના શ્વાસ છે.

લાગે છે તે વખત મને એકાંતની કદર
જ્યારે હું જોઉં છું કે બધા આસપાસ છે.

એ તો મળી ગયાં હવે સાચવવાં જોઈએ,
મંઝિલ છે હાથમાં છતાં ચાલુ પ્રવાસ છે.

થઈને હતાશ જોયું જો ઉપર અમે ‘મરીઝ’,
ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે.

– મરીઝ

Comments (6)

શક્યતાનું દ્વાર છે – હર્ષા દવે

એ જ આશા રાખવામાં સાર છે,
બંધ છે એ શક્યતાનું દ્વાર છે.

આપણી બારી ઉઘાડી રાખીએ,
તો બધે અજવાસ પારાવાર છે.

લાગલું મીરાંપણું જ્યાં ઓગળે,
વાંસળીનો એ પછી વિસ્તાર છે.

આટલું ભળભાંખળું તો થઈ ગયું,
ક્યાં હવે દિ’ ઉગવામાં વાર છે ?

રંગ કેવો વૃક્ષ ઉપર ખીલશે !
એક ટહુકા પર બધો આધાર છે.

એ જતાં ને આવતાં વહેરે મને,
શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે.

– હર્ષા દવે

કવયિત્રીઓ આપણી પાસે આમે ગણી-ગાંઠી. અને એમાં પણ મજબૂત કવયિત્રી ? આવામાં આવી સશક્ત ગઝલ લઈને એક નવું નામ આપણી વચ્ચે આવે ત્યારે ગઝલ રળિયાત થતી જણાય. છમાંથી પાંચ શેર તો નકરી પોઝિટિવિટિના.

બધા જ શેર અદભુત છે પણ મારે તો મીરાંની વાંસળી જ સાંભળવી છે. મીરાં જે ઘડીએ મીરાં મટી જાય, ભક્તિમાં લીન થઈ જાય, પોતાનું દુન્યવી અસ્તિત્વ ઓગાળી એ ઘડીએ એ સાક્ષાત્ કૃષ્ણ બની જાય છે. અને શેરની ખરી મજા ‘લાગલું’ શબ્દમાં છે. સાવ રોજબરોજની વાતચીતમાં વપરાતો શબ્દ કવિના પારસ-સ્પર્શે કેવો સોનાનો થઈ ગયો છે !

Comments (15)

ભીંજાઈએ – પંકજ વખારિયા

છે દિવસ ઓછા, હજી પણ ચલ, પ્રિયે! ભીંજાઈએ
આ છલોછલ આંખના છે સમ તને, ભીંજાઈએ

સાવ સૂકીભઠ્ઠ ધરા જેવા અધર પર લીલાંછમ
ગીત ઊગી જાય પાછાં એ હદે ભીંજાઈએ

મેહ વરસે છે સરાજાહેર તો શા કારણે
ખાનગીમાં, એકલાં છૂપાઈને ભીંજાઈએ?

પીઢ લોકોને ભલે રહી ના પલળવાની ગરજ,
પણ ફરજ છે આપણી તો, આપણે ભીંજાઈએ.

બે ઘડી શંકા-દુવિધાને ફગાવી દઈ, ચલો
કોઈ અનરાધારે અનહદ ભીંજવે, ભીંજાઈએ

રહી ગયા રંક ઓરડાની કોરીકટ ભીંતો સમા
દે ખુદા ! વરસાદ છપ્પર ફાડકે, ભીંજાઈએ

– પંકજ વખારિયા
(૧૩-૦૭-૨૦૧૬)

આવું-આવું કરીને વરસાદ સતત હાથતાળી દઈ જતો હોય એવામાં આવી જ ગઝલ સૂઝે ને? બધા જ શેર સરાબોળ ભીંજવી જાય એવા. આવી પાણીદાર મેઘ-મલ્હારી ગઝલ વાંચીને પણ જો વરસાદ આપણને ભીંજવવા ન આવે તો જ નવાઈ…

Comments (3)

મળે….- મુકુલ ચોકસી

આખા નગરની જલતી દીવાલોને કળ વળે,
ક્યારેક મોડી સાંજે બે માણસ ગળે મળે.

ઇચ્છા વિશે મેં ગ્રંથ લખ્યો એક વાક્યમાં,
ઇચ્છાનું એવું છે કે ફળે યા ન પણ ફળે.

વંઠી ગયેલો ગાંધીજીનો વાંદરો હવે,
બહેરો બન્યાનો ડોળ કરી સઘળું સાંભળે.

એક જ રીતે ગુમાવેલ માણસ ફરી મળે,
ઘડિયાળ ઊંધી ચાલવા માંડે જો આ પળે.

સાચું કહું તો તારી લપસણી લટો સિવાય,
વહેતા પવનને ક્યાંય ઉતારો નહીં મળે.

બીજાઓ વાંચે તો ય અદેખાઇ આવશે,
ચીતરું નહીં હું નામ તારું કોઇ પણ સ્થળે.

– મુકુલ ચોકસી

કોઈક મિત્રએ ફેસબુક ઉપરથી આ ગઝલ મને ઈમેલ વડે મોકલી તો લોટરી લાગી હોય એમ કૂદ્યો હું. અંગત રીતે હું દ્રઢપણે માનું છું કે મુકુલભાઈ કોઈક કારણોસર કાવ્યસર્જનમાંથી અકાળે નિવૃત્ત થઈ ગયા છે, બાકી તેઓ નિ:શંકપણે ગુજરાતના ટોચના ત્રણ સર્જકમાં બિરાજતા હોતે. ઘણીવાર આ વાત તેઓને રૂબરૂમાં કીધી પણ છે. તેઓને કાવ્ય જેટલું સહજ છે એટલું ભાગ્યે જ અન્ય કોઈ સર્જકને નસીબે હોય….

Comments (11)

સ્વીકારી લીધું છે – ભાવિન ગોપાણી

ન સ્વીકારવુંયે સ્વીકારી લીધું છે;
અમે જીવવુંયે સ્વીકારી લીધું છે.

તમે આવશો એમ જાણ્યું ને સાથે,
તમારું જવુંયે સ્વીકારી લીધું છે.

સતત દોડવું જો સ્વીકાર્યું તો નક્કી,
તમે ઝાંઝવુંયે સ્વીકારી લીધું છે.

તમારા વગર શું અમે તો અમારા
વગર જાગવુંયે સ્વીકારી લીધું છે.

હું ચાહું છું કે કાર્ય થઈ જાય સંપન્ન,
છતાં ના થવુંયે સ્વીકારી લીધું છે.

જરા ઠેસ ખાધી અને પથ્થરોને,
પગે લાગવુંયે સ્વીકારી લીધું છે.

‘જૂનું એ જ સોનું’ જીવનમાં ઉતારી,
સમયસર નવુંયે સ્વીકારી લીધું છે.

– ભાવિન ગોપાણી

કળાને હંમેશ કાળો રંગ જ વધુ માફક આવ્યો છે એવામાં આવી ઉજળી અને ‘પોઝિટિવ’ ગઝલ મળે તો સહર્ષ સ્વીકારી જ લેવી પડે કેમકે સ્વીકારી ન શકવાની સાર્વત્રિક અસહિષ્ણુતા જ સમાજનું સમતુલન ખોરવી દે છે.

Comments (4)

વિકલ્પ નથી – મનોજ ખંડેરિયા

બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

– મનોજ ખંડેરિયા

Comments (5)

એક અમસ્તી શક્યતા – જવાહર બક્ષી

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટો પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

– જવાહર બક્ષી

Comments (4)

હું શમણાંઓને ગાળું છું – મિલિંદ ગઢવી

હું શમણાંઓને ગાળું છું એ ઘટનાઓને લૂંછે છે,
હું શબ્દ બનીને સળગું છું એ મૌન લખીને ઘૂંટે છે.

નિસ્તેજ થયેલી આંખોને સૂરજની વાતો યાદ નથી,
અફસોસ બીચારું અંધારું અહેસાસ ઉદયનો પૂછે છે.

તું આવ અષાઢી સાંજે કે વરસાદ બનીને મળવું છે,
તું આવ કે મારા આકાશે આખું ચોમાસું ઉડે છે.

હું સ્વપ્ન ભલા ક્યાંથી વાવું ? જઈ પૂછ વિરહની રાતો ને,
અહીં રોજ નિરાશા ફણગે છે અહીં રોજ નિસાસા ઊગે છે.

– મિલિંદ ગઢવી

Comments (11)

દોડ ને! – હિમલ પંડ્યા ‘પાર્થ’

કોણ તારું, કોણ મારું, છોડ ને!
એકલા છે દોડવાનું, દોડ ને!

જ્યાં ટકોરા મારવાનું વ્યર્થ છે,
કામ લે હિમ્મતથી, તાળું તોડ ને!

રોજ જે ચહેરો સતત જોવો ગમે,
આઈના પર એ જ ચહેરો ચોડ ને!

કેટલા ભેગા થયેલાં છે સ્મરણ?
તું સમયનો સહેજ ગલ્લો ફોડ ને!

લે, હવે વધસ્તંભ પર આવી ઊભા!
હોય ખીલ્લા એટલા તું ખોડ ને!

ત્યાં નિરંતર ઈશ વસતો હોય છે,
તું હૃદય સાથે હૃદયને જોડ ને!

– હિમલ પંડ્યા ‘પાર્થ’

સાવ અનૂઠો કાફિયો પણ જુઓ તો, કેવી સહજતાથી અને બખૂબી નિભાવ્યો છે કવિએ ! અને સાથે એકાક્ષરી રદીફ “ને” મૂકીને કવિએ આખી રચનાનો સંદર્ભ જ સફળતાપૂર્વક બદલી નાંખ્યો છે. આવી કૃતિ માણવા મળે ત્યારે કળા સાથે કસબનો સાચો મહિમા સમજાય…

Comments (9)

ભીતરથી ભાવમય – સંજુ વાળા

ભવરણ તરી જે જાય તે ભીતરથી ભાવમય
બસ દૂરથી નિહાળી રહે નિજનો ક્ષય વિલય

જે ઓળખી જશે તે સદાકાળ હો અજય
રમવું દે સાથ તો રમે વક્તા અને વિષય

ભ્રમણા નથી રહી કે નથી ભાન પણ રહ્યું
કચડાય રોજ પગ તળે નિયતિ,નવા નિશ્ચય

દેખાઉં હેમખેમ એ બાહિક સ્વભાવ છે
અંદર ઉઠી રહ્યા છે કૈં આંસુભીના પ્રલય

સિગ્નલ ખુલ્યું હો એમ ખૂલે છે ભવિષ્ય પણ
ત્યારે જ આંબી જાય છે પૂરૂં થયેલ વય

ટ્રાફિકમાં ગૂંચવાય ગયો હે મહારથી !
સક્ષમ છે પાર કરવા તું વર્તુળ ‘ને વલય

દુર્ભાગ્ય આપણા કે સ્વીકારી શક્યા નહીં
નહિતર તો હાથવેંતમાં કાયમ રહે છે જય

– સંજુ વાળા

પ્રત્યેક શેરમાં ઊંડાણ છે – માત્ર એક ઉદાહરણ જોઈએ – ત્રીજો શેર – પ્રત્યેક વ્યક્તિ ઘણાબધા ‘હું – I ‘ નો બનેલો હોય છે. વ્યવહારમાં જ્યારે આપણે આપણી જાત માટે ‘ હું ‘ પ્રયોજતા હોઈએ છીએ ત્યારે તે એક ભ્રમણા હોય છે કે આપણે એક unified વ્યક્તિ છીએ. આપણી અંદર અસંખ્ય ભિન્ન ‘હું’ વસે છે અને સમયે સમયે વિભિન્ન ‘હું’ સપાટી ઉપર આવતા હોય છે. આ સંદર્ભ સાથે આ શેરનો આસ્વાદ કરવા વિનંતી….

Comments (1)

ગઝલ – ઉર્વીશ વસાવડા

image

ભીતરે બાળક રહી વરસાદનું સ્વાગત કર્યું,
નાવ કાગળની લઈ વરસાદનું સ્વાગત કર્યું.

આ ધરા માફક મહેકતાં છો મને ના આવડે,
તરબતર ભીના થઈ વરસાદનું સ્વાગત કર્યું.

પ્હાડની સંવેદનાઓ આ ક્ષણે સમજાય છે,
કૈંક ઝરણાંએ વહી વરસાદનું સ્વાગત કર્યું.

વૃક્ષ પાસે એ કસબ છે, આપણી પાસે નથી,
સાવ લીલાંછમ થઈ વરસાદનું સ્વાગત કર્યું.

માત્ર આ આકાશને પોષાય એવું આ રીતે,
એમ ધરતીએ કહી વરસાદનું સ્વાગત કર્યું.

– ઉર્વીશ વસાવડા

આમ તો હજી ચોમાસું પડું-પડું કરતુંક હાથતાળી જ દઈ રહ્યું છે પણ તબીબ-કવિમિત્ર ઉર્વીશ વસાવડા એમનો નવતર ગઝલસંગ્રહ “ઝાકળના સૂરજ” લઈ ઉપસ્થિત થયા છે ત્યારે મન દઈને ન આવેલા વરસાદની સાથોસાથ એમના આ સંગ્રહનું આપણે મન દઈને સ્વાગત કરીએ.

Comments (9)