ઇન્કાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for કાવ્યપ્રકાર
કાવ્યપ્રકાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 3, 2010 at 12:42 PM by ઊર્મિ · Filed under કિરણસિંહ ચૌહાણ, મુક્તક
જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેંક પંક્તિમાં પરોવીને દઈશ;
હું કિરણ છું એટલે જ્યાં જ્યાં જઈશ,
શબ્દથી થોડું તો અજવાળુ કરીશ.
– કિરણસિંહ ચૌહાણ
આજથી શરૂ થતી દિવાળીનાં આ મંગલ ધનતેરસનાં દિવસે આપણા સૌનાં હૃદયમાં શબ્દનું અજવાળું અખંડ રહે એ જ શુભેચ્છાઓ… લયસ્તરોનાં વાચકમિત્રોને દિવાળીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.
Permalink
November 1, 2010 at 10:12 PM by ધવલ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ખબર ના પડે કોણ કરતું ડખા;
ગઝલ-મહેલના હચમચે માળખાં.
સમય તો શ્વસુર-અંધ-સરંગટ વહુ થઈ,
કથા સુણવા જાતા અમે ઓ અખા !
ગયા જન્મમાં ભોગવી’તી સજા,
હજી પીઠ પર ચમચમે ચાબખા.
ગરમ શાહીમાં હાથ બોળાવી તેં,
અમારાં બરાબર કર્યા પારખાં !
અષાઢી પડ્યાં ફોરાં ચાંદીના ઝીલી,
તને શું ખબર થઈ ગયાં છે બખા !
તને સારથિ સમજી આવી જતાં,
મને રથથી નીચે ઉતાર્યો સખા !
બતાવી દો એને ગઝલ આપણી,
કહે છે જે गुजराती में क्या रखा ?
– મનોજ ખંડેરિયા
છેલ્લા શેર તો મઝાનો છે જ. અખાના પ્રખ્યાત છપ્પાને યાદ કરતો બીજો શેર પણ બહુ આસ્વાદ્ય છે.
Permalink
October 31, 2010 at 4:30 AM by તીર્થેશ · Filed under ગીત
માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ક્યાંક ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.
માફો ને સાફો ને ગજવેલી આંખોમાં,
રમ્યા કરે છે કંઈક બોલ,
મીઠું મલક્યા ને કૈંક લીધા રિસામણે,
જીવ્યા કર્યું છે કૈંક લોક,
ફળિયાના શ્વાસોની આછેરી પાંખોથી,
શેણે બંધાયો સંબંધ ?
માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.
પાદરથી દૂરે પેલા આભલાની પાળે,
પદરવની વારતાઓ ડૂબી.
ચાલ્યા તણો સાદ કોણ હવે દેતું ?
ગયા ઢીંગલાંની વાતને ભૂલી.
સ્હેજ ભલે વારતાઓ માંડો અધૂરી,
હૈયું તો બાંધે સંબંધ.
માંડી એક વારતા સાવ રે અધૂરી
સાવ રે અધૂરા એના છંદ;
વાયરે બેસીને ક્યાંક ગ્હેક્યો’તો મોરલો
સાવ રે અધૂરા પડછંદ.
– દલપત ચૌહાણ
[ માફો = ગાડાને ઉપરથી વીંટાળવામાં આવતું કપડું જેથી ગાડામાં બેઠેલી વ્યક્તિ દેખાય નહિ.]
Permalink
October 30, 2010 at 1:45 AM by વિવેક · Filed under નરસિંહ મહેતા, ભક્તિપદ
સખી ! આજની ઘડી રળિયામણી રે,
મારો વહાલોજી આવ્યાની વધામણી જી રે…..સ0
પૂરો પૂરો, સોહાગણ ! સાથિયો રે,
મારે ઘેરે આવે હરિ હાથિયો જી રે…..સ0
સખી ! લીલુડા વાંસ વઢાવીએ રે,
મારા વહાલાજીનો મંડપ રચાવીએ જી રે…..સ0
સખી ! મોતીડે ચોક પુરાવીએ રે,
આપણા નાથને ત્યાં પધરાવીએ જી રે…..સ0
સખી ! જમનાજીના નીર મંગાવીએ રે,
મારા વહાલાજીના ચરણ પખાળીએ જી રે…..સ0
સહુ સખીઓ મળીને વધાવીએ રે,
મારા વહાલાજીને મંગળ ગવરાવીએ જી રે…..સ0
સખી ! રસ આ મીઠડાથી મીઠડો રે,
મહેતા નરસૈંયાનો સ્વામી દીઠડો જી રે…..સ0
– નરસિંહ મહેતા
‘લયસ્તરો’ની અનવરત મુસાફરીમાં આજે એક નવો માઇલ સ્ટૉન ઉમેરાઈ રહ્યો છે… ગયા અઠવાડિયે જ લયસ્તરોએ ૨૦૦૦ પૉસ્ટ પૂરી કરી… પણ કવિશ્રી વિપિન પરીખની કવિતાઓ મૂકવાનું થયું એટલે એ ઉજવણી પડતી મૂકી… આમેય લયસ્તરો પર મૂકાતી દરેક કવિતા પોતે જ એક ઉત્સવ છે, ખરું ને ?
ઇન્ટરનેટ ઉપર ગુજરાતી કાવ્યવિશ્વમાં આ ઘટના પહેલવહેલીવાર આકાર લઈ રહી છે એનો આનંદ છે પણ આ સફરમાં આપ સહુ અમારા હમસફર બનીને સતત સાથે ને સાથે જ રહ્યા છો એનો આનંદ સવિશેષ છે… આજની આ રળિયામણી ઘડી પર આદ્ય કવિ નરસિંહ મહેતાના આ ગીત સિવાય બીજું શું સૂજે ભલા?
ધવલ-વિવેક-ઊર્મિ-તીર્થેશ
(ટીમ લયસ્તરો)
Permalink
October 29, 2010 at 1:15 AM by વિવેક · Filed under અછાંદસ, ધૂની માંડલિયા
માત્ર વૃક્ષો જ નહીં
સાથે
છાંયડો પણ કપાય છે.
*
પલંગ
ઉપર સૂઉં છું
ને
એક વૃક્ષ
સતત ઊડાઊડ કરે છે
મારી આસપાસ
ઉપર-નીચે.
*
ચોમાસું ક્યારે ?
એ જાણવા
વૃક્ષો પંચાંગ નથી જોતાં.
*
દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી.
*
વૃક્ષને
જ્યારે પ્રથમ ફળ
બેસે છે ત્યારે
સીમ આખી ઊજવે છે
ઉત્સવ.
– ધૂની માંડલિયા
ધરતીને ભલે આપણે મા ગણતાં હોઈએ, વૃક્ષ આપણી ધોરી નસ છે. કવિની સંવેદનામાં વૃક્ષોના પાંદડા ન ફરકે તો એનું કવિત્વ શંકાશીલ ગણવું. કમનસીબી જોકે એ છે કે વૃક્ષપ્રીતિના કાવ્ય આપણે વૃક્ષમાંથી બનેલા કાગળ પર જ લખવા પડે છે…
Permalink
October 28, 2010 at 10:35 PM by ઊર્મિ · Filed under કૈલાસ પંડિત, મુક્તક
એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છુટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી;
વહેતા પવનની જેમ બધું લઇ ગયા તમે,
થોડીઘણી સુગંઘ તો મૂકી જવી હતી !
-કૈલાસ પંડિત
Permalink
October 27, 2010 at 10:18 PM by ઊર્મિ · Filed under ગઝલ, ચિનુ મોદી
સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.
તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.
સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું ?
હું અરીસામાં મઢાતું બિંબ છું.
કેમ અટકી જાઉં છું કોને ખબર ?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.
કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની,
તીક્ષ્ણ પળથી ઘસાતું બિંબ છું.
(27/9/2008)
-ચિનુ મોદી ‘ઇર્શાદ’
આજે ચિનુકાકાને ‘વલી’ એવોર્ડ મળવા જઈ રહ્યો છે ત્યારે આજે એમની આ ગઝલ માણીએ…
લયસ્તરોનાં વાચકો માટે ચિનુકાકાનો ખાસ સંદેશ:
‘વલી ‘ ગુજરાતી ગઝલ એવોર્ડ ૨૦૧૦ જયારે ૨૮ મી ઓક્ટોબર નાં રોજ સાંજે ૭ વાગે મને મળવા જઈ રહ્યો છે ત્યારે હું આપ સૌને આમંત્રિત જ નહિ પરંતુ ઇચ્છિત ગણું છું. આપ સૌ ત્યાં હાજરી આપી ને આ એવોર્ડ ને વધુ ગૌરવભેર બનાવશો. સ્થળ – ભાઈકાકા હોલ , લો-ગાર્ડન , અમદાવાદ.
શ્રી ચિનુકાકાને લયસ્તરો.કૉમ, ઊર્મિસાગર.કોમ અને ટહુકો.કૉમ તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ…
Permalink
October 26, 2010 at 8:56 PM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ

****
હું તો એનો એ જ છું
હું કોઈ મ્હોરું પહેરતો નથી કારણ કે મને એની જરૂર જ નથી.
આ સઘળા ધર્મમાંથી
મેં એક જ ધર્મ નીભાવ્યો છે.
એ છે માણસાઈ.
મારે જલદી દોડવું છે
કે જરા જેટલો સમય જ રહ્યો છે.
ચૂસકીઓ ભરવામાં હવે ઝડપ રાખવી છે.
મારા દિલમાં કોઈ બોજ નથી
બેદરકારીઓનો કે ભૂલોનો
જે મારાથી થઈ છે કે થતા રહી ગઈ છે.
– વિપિન પરીખ
(અનુ. ધવલ શાહ)
વિપિન પારીખને કાવ્યાંજલીની શ્રેણીમાંનુ આ આખરી કાવ્ય બહુ ખાસ રચના છે. ફ્રેબ્રુઆરીમાં કવિએ આ રચના એમના મિત્ર અનિલ પરીખને લખીને આપેલી. અનિલભાઈએ આ રચના ખાસ લયસ્તરોના વાંચકો માટે મોકલી છે.
આમ તો કવિએ મૃત્યુ વિશે અઢળક લખ્યું છે. પણ આ કવિતા આપણા કાવ્ય-ઈતિહાસનું એક વિરલ પાનુ છે. આવી જણસ આપણને બધાને માણવા મળે છે એ બહુ મોટી વાત છે.
Permalink
October 25, 2010 at 10:41 PM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
મૃત્યુ સફેદ હોય છે
ચાદર જેવું
મૃત્યુ ઠંડું હોય છે
બરફ જેવું
મૃત્યુ હુકમનું પાનું છે.
મૃત્યુ શંકરના હાથનું ડમરું છે.
મૃત્યુ બિલાડીના પગ છે.
મૃત્યુ કાલીની જીભથી ટપકે છે લાલલાલ …
– વિપિન પરીખ
પાંચે ઈન્દ્રિયથી મૃત્યુને માપી લેતી વામન પગલા સમાન કવિતા.
Permalink
October 24, 2010 at 2:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઊર્મિકાવ્ય, વિપિન પરીખ
હિમાદ્રીએથી સરકી જઈને
પડે પ્રપાતે વળી ડૂબકી દઈ
તરે સરિતે થઈને પ્રફુલ્લ;
ને સૂર્યમુખી ચૂમીને લજાળ
ક્યાંયે જતું શ્યામલ અશ્વ-પીઠે !
– વિપિન પરીખ
વિપિન પરીખની કવિતા અંગે બે મત પ્રચલિત છે. એક વર્ગ એમને કવિ તરીકે માનવા તૈયાર નથી અને બીજો વર્ગ એમની કવિતાઓનો આશિક છે. કવિ પોતે આ વાત સ્વીકારે છે. બહુધા આપણે એમ માનીએ છીએ કે વિપિન પરીખ એટલે ઊર્મિશીલ અછાંદસ કાવ્યોનો શહેનશાહ જે કાવ્યાંતે ધારી ચોટ આપીને ભાવકને જકડી લે છે… એક નજર આ કવિતા ઉપર કરીએ… માત્ર પાંચ જ લીટીના કાવ્યમાં કવિ જૂજ શબ્દોની મદદથી સૂર્યના છેલ્લા કિરણનું કેવું સબળ ચિત્ર નીપજાવી શક્યા છે ! અને છે અછાંદસ પણ એનો લય કેવો પ્રબળ છે!! આ પણ વિપિન પરીખ છે……
Permalink
October 23, 2010 at 5:09 AM by વિવેક · Filed under અછાંદસ, વિપિન પરીખ
સલામ મારા દેશને – મારા દેશની માટીને,
મારા ભેરુઓને
જેમણે મારા શૈશવના ખૂણેખૂણાને આનંદથી કલ્લોલિત કર્યો.
સલામ પેલા ગુલાબના ફૂલને
જેણે મારા આકાશમાં મુલાયમ સ્વપ્નો ગૂંથ્યાં.
સલામ પેલી દર્દભરી કોયલને
જેણે મારા હૃદયને આંબાનું વૃક્ષ બનાવ્યું.
સલામ પેલી કામધેનુને જેણે પોતાની અમીધારાથી
મારા શરીરના કોષોને ધબકતા રાખ્યા.
સલામ મારી માને જેની આંખોએ મને ક્યારેય દૂર ન કર્યો.
અને સલામ શબ્દોને
જેમણે મારા હોઠને સતત ગૂંજતા રાખ્યા.
– વિપિન પરીખ
અછાંદસસમ્રાટ વિપિન પરીખનો ક્ષર દેહ નહીં, માત્ર અ-ક્ષરદેહ હવે આપણી વચ્ચે રહી ગયો છે ત્યારે કવિહૃદયનો યથાર્થ નિચોડ આપતું આ કાવ્ય સહેજે પ્રસ્તુત બની રહે છે. માણસ ખરા હૃદયથી કોને કોને સલામ ભરે છે જાણીએ તો માણસને આખેઆખો સમજી લેવાય… કવિ પણ પોતાનો બાયો-ડેટા આપવામાં પારદર્શક રાજીપો બતાવે છે…
Permalink
October 22, 2010 at 8:56 PM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
કવિ વિપિન પરીખ 16 તારીખે મુંબઈમાં અવસાન પામ્યા. એક વખત અનાયાસ એમનો સંગ્રહ ‘કોફી હાઉસ’ હાથ લાગી ગયો ત્યારથી એમની ઓળખાણ થયેલી. ‘કોફી હાઉસ’માંની એમની સંવેદનશીલ, ચોટદાર અને છંદના ટેકા વિના ટટ્ટાર ઊભી રહેતી કવિતા, એવી દિલ પર વરસી કે એ ઘડીથી એમની સાથે માનસિક ઘરોબો થઈ ગયો. એમની કવિતામાં જરૂરતથી વધારે એક પણ શબ્દ ન હોય. અને હંમેશા જરૂરતથી થોડી ઓછી નાટકીયતા હોય. અને એક વાર સમજાય તો રાતભર જાગવાની તૈયારી રાખવાની એટલી ધાર હોય. ઉંમરમાં એ સીત્તેરની ઉપર છે (એટલે કે ટેકનીકલી ‘આગલી પેઢીના કવિ’ છે) એવું એમની કવિતામાં કદી દેખાયું નથી. એ રીતે એમની કવિતા સમયને અતિક્ર્મી ગઈ છે.
એમના પોતાના જીવન વિષે ખૂબ જૂજ માહિતી ઉપલબ્ધ છે. એમનું કુટુંબ મૂળ ચીખલીથી. પણ એમનો જન્મ 1930માં મુંબઈમાં. પહેલા મૉડર્ન સ્કૂલ અને પછી વિદ્યાભવનમાં અભ્યાસ. આજીવન વ્યવસાય કૌટુંબિક હાર્ડવેરનો ધંધો. કવિતા મોડી ઉંમરે શરૂ કરી. ત્રણ સંગહો કર્યા: આશંકા (1975), તલાશ (1980) અને કોફી હાઉસ(1998). મારી… તમારી… આપણી વાત… (2003)માં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. સંગીત અને જ્યોતિષ એમના ખાસ શોખ. (પૂરક માહિતી માટે આભાર : મહેશ દલાલ)
આજે પ્રસ્તુત છે એમની પ્રસિદ્ધ કવિતા એમના પોતાના હસ્તાક્ષરમાં. આવનારા દિવસોમાં એમની થોડી વધુ કવિતાઓથી એમને યાદ કરીશું.

Permalink
October 21, 2010 at 9:13 PM by ઊર્મિ · Filed under બેફામ, મુક્તક
દુ:ખ ને સુખ અંતમાં – તાસીરમાં સરખાં નીકળ્યા,
સાર તકદીર ને તદબીરમાં સરખાં નીકળ્યા;
કે મળ્યાં અશ્રુ ને પ્રસ્વેદ ઉભય નીર રૂપે,
સ્વાદ પણ બેયના એ નીરમાં સરખા નીકળ્યાં.
– બરકત વિરાણી ‘બેફામ’
Permalink
October 20, 2010 at 9:51 PM by ઊર્મિ · Filed under અવિનાશ વ્યાસ, ગરબો
હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ?
આ આંખલડી રાતી રે, ઉજાગરો ક્યાં રે કીધો ?
આજ અમે ગ્યા’તા મણિયારાને હાટ જો,
આ ચૂડલિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં. હો રંગ o
આજ અમે ગ્યા’તાં દોશીડાને હાટ જો,
આ ચૂંદલડી રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં. હો રંગ o
આજ અમે ગ્યા’તાં મોચીડાને હાટ જો,
આ મોજડિયું રે મૂલવતાં વ્હાણલાં વાઈ ગિયાં. હો રંગ o
-અવિનાશ વ્યાસ
આજકાલ ચાલી રહેલી આ ગરબા-રાસની મૌસમમાં આજે અવિનાશભાઈનો એક ખૂબ જ લોકપ્રિય રાસ માણીએ… ઉષા મંગેષકર અને હેમુ ગઢવીનાં સ્વરમાં આ રાસ આપ અહીં સાંભળી શકો છો.
Permalink
October 18, 2010 at 8:33 PM by ધવલ · Filed under અછાંદસ, વિપિન પરીખ
હું તને એમ નહીં પૂછું
“તારી આંખમાં આંસુ કેમ છે ?”
માત્ર એટલું જ કહીશ
“આવ, મારી બાજુમાં બેસ !”
– વિપિન પરીખ
વેદનાનું પોસ્ટમોર્ટમ કરવા ન બેસાય. એને તો હૂંફમાં પીગળાવી દેવાની હોય. સ્પર્શમાં ઓગાળી દેવાની હોય. ચાર આંખોની વચ્ચે સન્માનપૂર્વક દફનાવી દેવાની હોય.
Permalink
October 17, 2010 at 2:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
જિંદગીભર વણી છે ખામોશી,
એક ચાદર બની છે ખામોશી.
કાનમાં તેં કહી છે ખામોશી,
એ જ કાયમ રહી છે ખામોશી.
દ્વાર પર મેં પ્રથમ ટકોરા કર્યા,
ને પછી સેરવી છે ખામોશી.
બેઉ સ્થળનો છે આગવો વૈભવ,
ત્યાં છે કલરવ,અહીં છે ખામોશી.
આપલે થઇ શકે છે વાણીની,
આપણી આપણી છે ખામોશી.
શબ્દ મારા સ્વભાવમાં જ નથી,
એ તો બસ છટપટી છે ખામોશી.
સાંભળ્યા છે અવાજ સૌના ‘રઈશ’
ને પછી જાળવી છે ખામોશી.
– રઈશ મનીઆર
આ ગઝલ વિષે કવિના પોતાના ઉદગારો- “આ ગઝલ હું મુશાયરાઓમાં નથી સંભળાવતો. આ મારી પ્રિય ગઝલોમાંથી એક છે. એક જ ગઝલના અલગ અલગ શેરોનું ભાવવિશ્વ અલગ અલગ હોય છે. ગઝલોમાં એકસૂત્રતાનો ,સાતત્યનો અભાવ હોય છે. આ ગઝલસ્વરૂપની મર્યાદા છે. અન્ય કલાકારોની માફક મારી ગઝલો પણ આ મર્યાદાથી ગ્રસ્ત હોય છે. પરંતુ આ ગઝલ ‘ખામોશી’ આ મર્યાદાથી મુક્ત છે. ‘ખામોશી’ રદીફ આ ગઝલને એક તાંતણે બાંધે છે,એક સળંગ ભાવવિશ્વ ખડું કરે છે. ……અહી મૌન દ્વારા,ખામોશી દ્વારા ઉદાસીના ગૌરવપૂર્ણ સ્વીકારની વાત છે. ….ખામોશીની અનેક ભાવછટાઓ અનાયાસે ગઝલમાં ઊતરી આવી છે.”
Permalink
October 16, 2010 at 12:40 AM by વિવેક · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ગીત

(1966-67માં કોલેજ (SY BA)ના વાર્ષિકોત્સવ નિમિત્તે યોજાયેલ કાવ્યપઠન સ્પર્ધામાં તૃતીય વિજેતા નીવડેલ શ્રીમતિ દેવિકાબેન ધ્રુવનું કવિશ્રી ઉમાશંકર જોશીના વરદ હસ્તે સન્માન)
*
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
કાળાં ભમ્મર હતાં વાદળાં છવાયાં,
છૂપા હતા દૂર દૂર રવિરાયા,
સાંજની ઢળી હતી ઘનઘેરી છાયા,
ઓચિંતી આવી વાયુલહરી કહીંયથી,
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
તરુઓની ડાળીઓએ પડતો એ ઝીલ્યો,
પાંદડાની લીલી કટોરીઓમાં ખીલ્યો.
ઊડતાં પંખીની પાંખ કહે : કો ભરી લ્યો !
કૈંક મારે હૈયે ઝીલ્યો મેં મથી મથી.
થોડોએક તડકો ઢોળાઈ ગયો આભથી.
– ઉમાશંકર જોશી
(તા. 31 ઓગષ્ટ, 1947)
*
કવિ શ્રી ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીની વધુ એક કડી… બ્લૉગજગતમાં જાણીતા શ્રીમતિ દેવિકાબેન ધ્રુવના આલ્બમમાંથી એક તસ્વીર અને સાથે જ એમણે મોકલાવેલ કવિશ્રીની એમની પસંદગીની એક રચના આજે સાથે સાથે માણીએ…
Permalink
October 15, 2010 at 2:05 AM by વિવેક · Filed under ગઝલ, નયન દેસાઈ
અફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આજ નથી કંઈ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ
એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ
હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ
શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ !
કેમ દીવાલોમાં ઊગવાનું ? ચાલ, નયન એક ચા મંગાવ
ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ
-નયન હ. દેસાઈ
સંવેદનશીલતાનો અંચળો ફેરીને ફર્યા કરતાં આપણે સહુ બહુધા આપણી આજુબાજુ બનતી ઘટનાઓ પ્રત્યે ભીષ્મની સ્થિતપ્રજ્ઞતા જ સેવતા હોઈએ છીએ. ઘટના કોઈ પણ હોય આપણો પ્રતિભાવ એક-બે દિવસ અને ક્યારેક એક-બે અઠવાડિયા કે જવલ્લે જ મહિનાભર લંબાતો હોય છે… બોફોર્સ કૌભાંડ હોય કે ભોપાલ કાંડ, ઘાસચારાનું ભોપાળું હોય કે ગોધરાનો ટ્રેનકાંડ – આપણે થોડી જ વારમાં સહજ થઈ જતાં હોઈએ છીએ. દુનિયાનું જે થવું હોય એ થાય.. તું તારે ચા મંગાવ ને!
Permalink
October 14, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, ગરબો, રિષભ મહેતા
ટહુકાનું એક નામ સખીરી ગરબો ગરબો
કરવા જેવું કામ સખીરી ગરબો ગરબો
પરોઢિયાનું સરનામું છે ચહેરા ઉપર
મધરાતે મુકામ સખીરી ગરબો ગરબો
જીવવાનું છે જેમાં પળપળ ઝળહળ ઝળહળ
સૂરજનું એક ગામ સખીરી ગરબો ગરબો
ત્રણ તાળીના લયમાં જડ ને ચેતન ધબકે
ધબકારાનું ધામ સખીરી ગરબો ગરબો
મૈયાની મમતાનો મીઠો રસ છલકાતો
પીવા જેવું જામ સખીરી ગરબો ગરબો
– રિષભ મહેતા
હાલમાં ચાલી રહેલી નવરાત્રિની આપ સૌ મિત્રોને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ…
Permalink
October 13, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
શ્વાસને નહિ ગણ, બધું સરખું જ છે
એક, બે કે ત્રણ, બધું સરખું જ છે.
એકસરખું જ્યાં સતત જીવાય ત્યાં,
એ યુગો – આ ક્ષણ, બધું સરખું જ છે.
હોય સાહસવૃત્તિ જેના લોહીમાં,
રણ કે સમરાંગણ, બધું સરખું જ છે.
રાહ જોવામાં હવે ક્યાં સાર છે ?
‘ના’ કહો કે ‘પણ…’, બધું સરખું જ છે.
જો ન એની આંખને વાંચી શકે,
લાખ પુસ્તક ભણ, બધું સરખું જ છે.
-કિરણસિંહ ચૌહાણ
Permalink
October 12, 2010 at 8:59 PM by ધવલ · Filed under ગીત, દીપક ત્રિવેદી
સાંવરિયો વટનો કટકો !
ઘડી-ઘડીમાં રિસાતો-ભીંસાતો એનો લટકો !
ફૂલ ખીલે અધમધ રાતે ને ભરબપ્પોરે કિટ્ટા
અક્ષરને બદલે ચીતરતો આડા અવળા લીટા
મધદરિયે કહેતો: ‘અટકો!’
સાંવરિયો વટનો કટકો !!
નહીં હોડી નહીં હલ્લેસું, નહીં ફૂલપદમણી રાણી !
પાંપણમાં રેડી ચોમાસું વરસે એક કહાણી !!
એ રહે, આંખને ખટકો !
સાંવરિયો વટનો કટકો !!
– દીપક ત્રિવેદી
પોતાના વ્હાલા પણ વટના કટકા જેવા પ્રિતમ સામે આ ગીત મીઠ્ઠી ફરિયાદ છે. (પ્રિયતમાના લટકા ઉપર ઘણા ગીત જોવા મળશે, પણ અહીં ઊંધી જ વાત છે !) અડિયલ સાંવરિયો હંમેશ આડો ચાલે. ઘડી ઘડીમાં એની કમાન છટકે. અડધે રસ્તે કહી દે કે ‘અટકો’. પ્રેમકહાણી અચાનક જ પાંપણમાંથી વરસતા ચોમાસાની કહાણી થઈ જાય. અને આંખમાં વ્હાલા ખટકાની જેમ આ વટના કટકાને જાળવવો પડે. આ બધી મીઠ્ઠી ગડમથલ આ ગીતમાં વણાઈને આવે છે.
Permalink
October 11, 2010 at 9:02 PM by ધવલ · Filed under ગઝલ, ભરત વિંઝુડા
લોક અળગી અળગી બાબતમાં મળ્યાં,
તો ય એની એ જ હાલતમાં મળ્યાં.
ઓળખી શકતો નથી હું કોઈને,
શી ખબર, સૌ કઈ મહોબતમાં મળ્યાં.
રંગબેરંગી છે એથી સાચવ્યા,
જે અનુભવ એની સોબતમાં મળ્યાં.
માણસોના ટોળાં ને ટોળાં અહીં,
એક માણસની જરૂરતમાં મળ્યાં.
અન્ય લોકોની ય પણ છે હાજરી,
આમ સૌ છેવટની દાવતમાં મળ્યાં.
– ભરત વિંઝુડા
આપણે બધા ટોળાં ને ટોળાં ભેગા કર્યે રાખીએ છીએ, ને ખરેખર જરૂરત હોય છે માત્ર એક જ માણસની.
Permalink
October 10, 2010 at 2:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઊર્મિકાવ્ય
એક નિરંતર અંતર નાહીં,
હૌં સબહિનમેં ના મૈં નાહીં.
મોહિ બિલગ બિલગ બિલગાઈલ હો,
એક સમાના કોઈ સમુઝત નાહીં
જાતે જરા મરણ ભ્રમ જઈ હો.
રૈન દિવસ જે તહવા નાહીં,
નારિ પુરુષ સમતાઈ હો.
પઠયે ન જાવોં આને નાહીં આવો
સહજ રહૌ દુનિયાઈ હો,
સુરનર મુનિ જાકે ખોજ પડે હૈ
કછુ કછુ કબીરન પાઈ હો .
– કબીર
એક હું નિરંતર,અંતર મારે નથી,
સઘળાની માહીં હું છું,નહીં તો હું નથી.
સ્વતંત્રતાના ખ્યાલથી પણ સ્વતંત્ર છું.
એક હું સર્વવ્યાપી,કોઈ આ સમજતું નથી
સમજતે તો મોહ અને મૃત્યુનો ભ્રમ ચાલ્યો જતે.
રાત-દિવસ ત્યાં નથી
નર-નારીનો ભેદ નથી
મોકલાવ્યો ક્યાંય જતો નથી,બોલાવ્યો આવતો નથી
દુનિયામાં સહજ રીતે વિહરું છું.
જેને સુર નર મુનિ શોધી રહ્યા છે
કબીર તેને થોડું થોડું પામી રહ્યો છે.
-અનુ.: મોહનદાસ પટેલ
સંત કબીરને સામાન્ય રીતે તેઓના અદભૂત દોહાઓથી સૌ ઓળખે છે,પરંતુ તેઓનું ‘બીજક’ તત્વજ્ઞાનની ખાણ સમું છે. ભાષા થોડી મહેનત કરાવે તેવી હોય છે,પણ અર્ક અદભૂત હોય છે. પ્રસ્તુત કાવ્ય ‘અહં બ્રહ્માસ્મિ’ ના નાદને ઉદઘોષિત કરે છે.
Permalink
October 9, 2010 at 1:36 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
કાં અધૂરી છોડ, અથવા…
વાત પૂરી જોડ, અથવા…
ત્યાંથી સમજણ થાય પગભર,
જ્યાંથી આવે મોડ, અથવા…
રીત ને રિવાજમાંથી,
કાઢ નોખા તોડ, અથવા…
નામ કે ઉપનામ માટે,
જિંદગીભર દોડ, અથવા…
છે સખત એ તારવી લૈ,
પળના મોતી ફોડ, અથવા…
હા, લગાવી લે હવે તું,
શૂન્ય માટે હોડ, અથવા…
જે નિયમનો ભાર લાગે,
બે-ધડક એ તોડ, અથવા…
– લક્ષ્મી ડોબરિયા
કેટલીક રદીફ ગઝલ અને ગઝલકારની શક્તિનો પૂરેપૂરો નિચોડ કાઢી લે એવી હોય છે. આ ટૂંકી બહેરની ગઝલ એવી જ એક પરીક્ષા છે. અથવા જેવી અડધેથી છૂટી જતી રદીફ વાપરવી, નિભાવવી અને એક જ વાક્યમાંથી બે વાક્ય જન્માવવાનો સફળ પ્રયોગ કરવો એ સોયની અણી પર બેસીને કવિતા લખવા જેવું કામ છે. દરેક અથવા પછી એક નહીં લખાયેલું વાક્ય આખેઆખું વાંચી શકાય છે… કવયિત્રીને સો સો સલામ !
Permalink
October 8, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા, હસ્તપ્રત

(‘લયસ્તરો’ માટે ફરી એકવાર પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)
*
છીએ પરસ્પર સૌ નિર્ભર,
આપ, અમે ને સચરાચર
ઊઠે શ્વાસો ને સંયોગ
છંદોના પર્ણે મર્મર
શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર
ઝૂક, બરાબર ઝૂક અને –
સાંભળ કીડીનાં ઝાંઝર
મારો ‘હું’ પોઢી જાશે
તું વિસ્તર ને થા બિસ્તર
– પંકજ વખારિયા
પંકજની ગઝલો અમરપટો લખાઈને આવેલી ગઝલો છે. દરરોજ એક નવો ગઝલકાર ગુજરાતી કાગળ પર ફર્લાંગ ભરવી શરૂ કરે છે પણ મોટાભાગના સમયની ખીણમાં લુપ્ત થઈ જશે. પંકજ આ આખી ભીડમાં એક સુખદ અપવાદ છે. એની ગઝલો લોકો સુધી પહોંચે એ માટે આજે મિત્રોએ એને ધક્કો મારવો પડે છે પણ એટલું નક્કી છે કે આ ગઝલો એકવાર લોકો સુધી પહોંચી જશે પછી એ પંકજ પાસે નહીં આવે… એ લોકોની બની જશે!!
Permalink
October 7, 2010 at 8:24 AM by વિવેક · Filed under આકાશ ઠક્કર, ગઝલ
ઓગળે ભીંતો પછી દેખાય છે તું
છેવટે તસવીર તારી થાય છે તું .
જ્યાં મકાનોમાં ઊગે છે કલ્પવૃક્ષો
એ ગલીને કેમ છોડી જાય છે તું !
દૂર જઈને કેટલે સંતાઈ શકશે
બાળપણના સ્વપ્નમાં પકડાય છે તું !
કોઈ પણ ક્યાંયે લખે જો નામ મારું
અક્ષરો વચ્ચે હવે વંચાય છે તું .
છે હવે ‘આકાશ’ જાણે કોઈ નકશો
આ ઋતુમાં એકલી બદલાય છે તું .
– આકાશ ઠક્કર
Permalink
October 6, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under મુક્તક, રમેશ પારેખ
બધાને આવતો સરખો વિચાર હોઈ શકું,
અગર વિચારના વર્તુળની બહાર હોઈ શકું;
હું કોઈ નક્કી નથી કે મને વિચારી શકો,
જીવું ને જિંદગીમાંથી ફરાર હોઈ શકું !
-રમેશ પારેખ
Permalink
October 5, 2010 at 9:44 PM by ધવલ · Filed under ગઝલ, શૂન્ય પાલનપુરી
પતવાર ને સલામ, સિતારાને રામરામ,
મજધારે જઈ રહ્યો છું, કિનારાને રામરામ.
ખુશ છું કે નાખુદાનું કશું ચાલશે નહીં,
નૌકાને તારનાર ઈજારાને રામરામ.
દિલને દઝાડતો રહ્યો; ભડકી શક્યો નહીં,
નિર્માલ્ય એવા પ્રેમ-તિખારાને રામરામ.
મારો જનાજો છે હવે મારી જ ખાંધ પર,
મૃત્યુ પછીના સર્વ સહારાને રામરામ.
દીધો છે સાદ ‘શૂન્ય’ ગહનતાઓએ મને,
કાંઠે ટહેલવાના ધખારાને રામરામ.
– ‘શૂન્ય’ પાલનપુરી
પરંપરાની ગઝલની પણ પોતાની મઝા છે. શેર ચોટદાર હોય તો કદી જૂનો થતો નથી. છેલ્લા ત્રણ શેર આજે ય એટલા જ નવા લાગે છે.
Permalink
October 3, 2010 at 2:39 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, રાજેન્દ્ર શાહ
શિર પર ઉપાડીને આટલો આ ભાર જાઉં કહીં ?
કહીં મારું ચિરંતન ધામ ?
પથ શેષ નહિ,યાત્રાનો નહિ વિરામ,
કેડીએ કેડીએ તરુછાયા,વનફલ.
ઝરણ-વિમલ જલ,
ટહુકંત સીમ ભરી ભરી રહું લહી.
જોયું તે ન જોયું કંઈ,સુણ્યું તે ન સુણ્યું કર્યું, એમ
આજ લગી ખોવાયેલું હતું કહીં મન ?
નિરંતર અભાવનું આકુલ આક્રંદ !
નીજી કોલાહલ કંઈ ધીમો
થતા,દૂરનો ય સુણાય રે સૂર ઝીણો,
અમાસને અંધકાર અરુંધતીનું લાવણ્યે સોહાયને તેમ.
રહી રહી મારા પર હું જ હવે હસું.
જતને ધરેલ બોજ
ફગાવીને ખાલીપાની માણી રહું મોજ;
પગને શું ફૂટી જાણે પાંખ !
આકાશની નીલિમાની યે નડે ન ઝાંખ !
અનંત ને અગોચર જાણે નહિ દૂર એક તસુ.
ક્યાંય કશું રહે ન અંતર,
પ્રયાણ આ કેવળ સ્વપન
મનોમન !?
જે હો તે હો.
અવકાશમય બની રહેલને નાદ સંગ નેડો,
આપમેળે બાજી રહે ઝીણેરું જંતર.
– રાજેન્દ્ર શાહ
વાત થોડી બારીક છે- Eckhart Tolle નામક લેખકે તેના પુસ્તક – ‘ Power of Now ‘ માં ‘pain body’ – ‘ દુઃખનું પોટલું ‘ – નો ઉલ્લેખ કર્યો છે. ટૂકમાં કહીએ તો લેખક કહે છે કે આપણે સૌ ભૂતકાળના અનુભવો-ખાસ કરીને દુઃખદ અનુભવો અને પૂર્વગ્રહો-નું એક પોટલું ઊંચકીને આગળ વધતા હોઈએ છીએ જેથી યાત્રા આનંદદાયક રહેતી નથી. અહી કવિ એને ‘ નિરંતર અભાવનું આકુલ ક્રંદન ! ‘ -પંક્તિ સુધીમાં સ્પષ્ટ કરે છે. જેવો નિજ કોલાહલ ધીમો થાય છે કે તરત જ જાણે એક ક્રાંતિ થાય છે…. ‘ અરુંધતી ‘ એ સપ્તર્ષિ તારાજૂથ પાસે આવેલા અત્યંત ઝાંખા તારાનું નામ છે જે અમાસના અંધકારમાં સોહે છે. જયારે કોઈ અંતર જ રહેતું નથી ત્યારે પ્રયાણ કેવું ? – ટૂંકમાં કુંડલિની જાગ્રત થાય પછી તમામ દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે….
Permalink
October 2, 2010 at 12:40 AM by વિવેક · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, સોનેટ
“જાગો ! ઊઠો ! ભરતભૂમિનાં, રાષ્ટ્રનાં પુત્ર-પુત્રી !
જાલીમોના નખ ઉઝરડે લોહી વ્હેતી ધરિત્રી.”
માતા માટે જીવન ત્યજતાં જંગલી પ્રાણી-પક્ષી,
વર્ષા-વીજે શરીર ઘસતા ડુંગરા ભૂમિ રક્ષી.”
ગાજી ઊઠે અખિલ નભમાં મેઘનો જેમ નાદ,
સાતે સિંધુ ઉપર ફફડે કોઈ તોફાન સાદ,
એવાં એનાં રણ-રમણ-આહલેક નાં ગાન ગાજ્યાં,
ચૌટે, ચોરે, પુર, નગરમાં, ગામડે, લોક જાગ્યાં.
બિડાયેલા કમલદલમાં જેમ વર્ષે તુષાર,
મૃત્યુબીડ્યાં નયનકમલે અમૃતી છંટકાર;
એવા એના જન સકળનાં દુઃખથી આર્ત્ત નેને,
દૈવી દીપ્તિ અકળ પ્રગટી, લોક ઉત્સાહ વ્હેણે !
લોઢામાંથી ધન પ્રગટતું પારસી સ્પર્શ થાતાં !
માટીમાંથી અમર વચને, માનવી ઊભરાતા !
– કૃષ્ણલાલ શ્રીધરાણી
16 સપ્ટેમ્બર 2010ના રોજથી કવિશ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થયું… કવિશ્રીને લયસ્તરો તરફથી સ્મરણાંજલિ આપવાની સાથોસાથ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે એ મહામાનવને પણ હૃદયપૂર્વક સ્મરી લઈએ…
Permalink
October 1, 2010 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,
ત્યારથી આખું જગત વિરોધમાં છે.
ચાહું છું એને વધારે તીવ્રતાથી,
વ્યક્તિ જે જે મારી પ્રત્યે ક્રોધમાં છે.
માનવી ને પહાડ વચ્ચે ફેર શો છે?
એક આંસુમાં છે, બીજો ધોધમાં છે.
હોય છે માણસ પ્રમાણે સત્ય નોખાં,
મારું એ મારી કથાના બોધમાં છે.
કૂંપળો તો છેવટે ઊગી જ જાશે,
સેંકડો પથ્થર ભલે અવરોધમાં છે.
-અનિલ ચાવડા
ગઝલનું સૌથી મોટું સુખ એની શીઘ્ર પ્રત્યાયનક્ષમતા છે. કવિતા ઘણુંખરું દુર્બોધ હોય છે અને એમાં ઊંડે ઉતરવાની જરૂર પડતી હોય છે-મહીં પડ્યા તે મહાસુખ પામેની જેમ! પરંતુ મોટાભાગની ગઝલ શીરાની પેઠે ગળે ઉતરી જતી હોય છે. ક્યારેક ગઝલની આ ઉપરછલ્લી સરળતા છેતરામણી હોય છે. છીપના બે ભાગ જેવા શેરના બે મિસરા સાચવીને ન ખોલીએ તો વચ્ચેનું મોતી ચૂકી પણ જવાય… અનિલની આવી જ એક મોતીદાર ગઝલસહેજ સાચવીને ખોલીએ…
Permalink
September 30, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, ચિનુ મોદી
નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.
આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.
તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.
હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.
શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.
બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.
એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.
(૨૪/૪/૨૦૦૭)
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
ચિનુકાકાની ગઝલોમાં મને હંમેશા અનોખી ખુમારી જોવા મળે છે. આજે પણ વધુ એક ખુમારીવાળી ગઝલ, એમનાં તાજેતરમાં પ્રગટ થયેલાં ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ માંથી.
ચિનુકાકાને એમનાં જન્મદિવસે એમને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ… આ જ ગઝલસંગ્રહમાંની એક બીજી ઇર્શાદ-ગઝલ આપ સૌ અહીં માણી શકો છો.
Permalink
September 29, 2010 at 7:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, મહેશ રાવલ ડૉ.
કાં સાદ કાં પડઘાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ચાલ્યા જ કર,રસ્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ડૂબી જવાનો ભય તરાવી જાય સહુને, છેવટે
આ ડૂબવા-તરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
તું શાંતચિત્તે બાગમાં જઈ બેસવાનું રાખજે
કૂંપળ અને ખરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ટલ્લે ચડે નહીં અંધ થઈ વિશ્વાસ, જોજે એટલું
પથ્થર અને શ્રદ્ધાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !
ઉત્તર વગરના પ્રશ્ન જેવું તું વલણ છોડી શકે
તો ,જીવવા-મરવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
ભેટી શકે તું, એટલું નજદીક છે ઈશ્વરપણું
ખોવાઇને જડવાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે
તું લાગણીમાં શબ્દને નખશિખ ઝબોળી,લખ ગઝલ
મત્લા અને મક્તાની વચ્ચે ક્યાંક ભેટો થઈ જશે !
– ડૉ.મહેશ રાવલ
એક નવિનતમ રદીફવાળી મહેશભાઈની આ ગઝલ વાંચતાવેંત ગમી ગઈ હતી… એમાંય ખોવાઈ ને જડવાવાળો અશઆર જરા વધુ ગમી ગયો !
Permalink
September 28, 2010 at 10:19 PM by ધવલ · Filed under ગઝલ, પ્રફુલ્લા વોરા
ચાલ, હવે પડછાયા છોડી જીવીએ થોડું અંગત અંગત,
ટોળાનો પરિવેષ મૂકી વિસ્તરીએ થોડું અંગત અંગત.
ખાલીપાનો દરિયો ઘૂઘવે આંખોના ઊંડા કોતરમાં,
જામ દરદના ભરતાં ભરતાં ડૂબીએ થોડું અંગત અંગત.
ફૂલોની રંગત છે આજે, રેશમ જેવી મહેક હવાની,
કાંટાનો વિસ્તાર ભૂલીને ફરીએ થોડું અંગત અંગત.
ચારે બાજુ દર્પણ મૂક્યાં, ચારે બાજુ ચહેરાઓ છે,
મહોરાં-બુરખા ઓઢી લઈને ભૂલીએ થોડું અંગત અંગત.
મૃગજળનો વિસ્તાર ભલે ને ‘તું’ ને ‘હું’ની આજુબાજુ,
પણ વરસાદી મોસમ જેવું મળીએ થોડું અંગત અંગત.
– પ્રફુલ્લા વોરા
થોડું અંગત અંગત જેવો સુંવાળો રદીફ હોય તો ગઝલના પ્રેમના ન પડી જવાય તો જ નવાઈ !
ચોથો શેર સૌથી વધુ ગમ્યો. વાછટની જેમ વાગતા ચહેરાઓની વચ્ચે પાતળી દિવાલ કરી લઈને વીતેલું ભૂલવાની કળા – એ જીવન સરળ કરી નાખવાની કળા છે.
Permalink
September 27, 2010 at 9:43 PM by ધવલ · Filed under કેશુભાઈ પટેલ, ગીત
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે,
એક દિવસનું રાજ કરીને કેલેન્ડરથી છૂટે.
ગગને ઊડતાં પંખી જોઈ
અંતર આશા જાગી,
ખાલી નાહક એકલ ઊડે
સાથ પવનનો માંગી.
એક એક દિવસનું આયુષ્ય વરસ મહીંથી ખૂટે.
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.
ઝાડ ઉપરથી ખરતાં પર્ણો
કૂંપણ હોઠે હસતી,
સંબંધ તોડે પૂર્વજથી એ
નવા યુગની વસતી.
સૂકા અક્ષર બોલે મૂગું, વાણી ક્યાંથી ફૂટે ?
દીવાલ પર ટીંગાડી તારીખ રોજ સવારે તૂટે.
– કેશુભાઈ પટેલ
દરેક દિવસ જીવનમાંથી એક દિવસ ઓછો કરતો જાય છે. કેલેન્ડર રોજ એક તારીખના તૂટવાના સમાચાર આપતું રહે છે. આ સતત વિસર્જન તરફ જતા કાફલાના સાપેક્ષમાં આપણે જીવન-આશા-આયુષ્ય-તારીખ એ બધાનો અર્થ ફરીથી તપાસીએ તો નવી જ વાત સમજ પડવાની શક્યતા છે. ફિલસૂફોએ પોતાના મૃત્યુ વિષે જાગૃત મનથી વિચારવાના માર્ગને ચેતનાનો રસ્તો ગણાવ્યો છે. પણ પરમ સખાના ખભે હાથ મૂકીને ચાલવાનું ગજુ કોઈકનું જ હોય છે.
Permalink
September 26, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગીત, મનસુખલાલ ઝવેરી
ઓ લ્હેરખી !
ન્હોતું કશું ને અલી! ઊઠી તું ક્યાંથી,
પોઢી ગયેલ મારા સોણલાં જગાડતી !
મેં તો અભાગણીએ જાણ્યું:
કે માણ્યું-ના માણ્યું
એ સર્વ ગયું ચાલ્યું
રે દૂર દૂર દૂર પેલાં ઝાંઝવાંની સંગ ત્યાં,
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી ?
ઓ લ્હેરખી!
તારે ઘડીક આમ અમથું આ લ્હેકવું;
માનવના હૈયાને અણદીઠું દેખવું!
દેખવું ને ઝંખવું ને ઝૂરવું સદાય, ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
ઓ લ્હેરખી!
હૈયાનાં આભ ભરી જાગ્યો વિજોગ આ!
આવડીક જિંદગીમાં આવી શી વેદના!
મનમાં ન માય કે ન હોઠે કહેવાય,ત્યાં
આથમણે ઓવારે આવી કાં, લ્હેરખી!
જીવનનાં નીર જા હલાવી?
– મનસુખલાલ ઝવેરી
અનંતમાંથી અલગ થઈ,મૂળભૂત અનંતતાને વિસરી,અનંત તરફની યાત્રા એટલે જીવન… જાણે કે એક શાશ્વત અને ઈશ્વરીય છળ… સંસારમાં ડૂબેલા માનવને એક વિપળ માટે પરમ તત્વના અસ્તિત્વની આછેરી ઝાંખી થઈ જાય છે અને એ લ્હેરખી એને અશાંત કરીને ચાલી જાય છે…. કોઈકની યાત્રા ત્યાંથી શરુ થાય છે તો કોઈક તેને પળભરનો ભ્રમ ગણીને અવગણી દે છે…..
Permalink
September 25, 2010 at 2:22 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષદ ચંદારાણા
પત્ર ખોલું, પત્રમાંથી નીકળું
એ જ ક્ષણથી પૂર્ણ તેજે ઝળહળું
પત્ર વાંચું, પત્ર બોલું, સાંભળું
ફક્ત એ રીતે હવે તમને મળું
અન્ન-જળ ને પ્રાણવાયુ પત્ર છે
પત્ર દ્વારા જીવતું હું પૂતળું
એકધારું, એક ધારે ભીંજવે
આ તમારો પત્ર છે કે વાદળું !
પત્ર સાથોસાથ હું ઊગ્યો હતો
પત્ર જ્યાં પૂરો થયો કે હું ઢળું
– હર્ષદ ચંદારાણા
કેટલાક પત્ર જાહેરમાં વાંચવા પણ ગમી શકે છે… ખરું?
Permalink
September 24, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
બળતે બપ્પોર ભીનો પગરવ સુણીને
કાંઈ વાસ્યાં કમાડ અમે ખોલ્યાં
ચારે આંખોનાં એવાં અંધાર્યાં વાદળાં
કે શમણે આવેલ મોર બોલ્યા
ઓચિંતા ધોધમાર સામસામે આપણે ઊભાં રહ્યાં-નું પૂર આવવું
ફળિયે પલાશફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખા છે ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું ?
ફાગણની કાળઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું
– રમેશ પારેખ
પહેલા વરસાદનું માહાત્મ્ય સૌને વિદિત છે જ. એના શુકન સાથે વિરહતપ્ત હૈયા અને મિલનની ભીનપને સાંકળી લઈ ર.પા. પ્રેમ અને વરસાદ બંનેને સમાન ઉજાગર કરે છે. ચાર આંખોનું તારામૈત્રક રચાય ત્યારે એવું ઘનઘોર અંધારું છવાય છે જ્યાં નથી બાકીની દુનિયા નજરે ચડતી કે નથી હું કે તું, રહે છે માત્ર ‘આપણે’. પ્રેમીઓનું એકીકરણ એટલે જ વહાલનું સુનામી…
Permalink
September 23, 2010 at 10:09 PM by ઊર્મિ · Filed under મુક્તક, રઈશ મનીયાર
ગઝલમાં જીવનનો મરમ વ્યક્ત કરીએ,
કે સત્યમ્ શિવમ્ સુંદરમ્ વ્યક્ત કરીએ;
આ મત્લાથી મક્તા સુધીની નમાજો,
પઢી લઇ અમે તો ધરમ વ્યક્ત કરીએ.
-રઈશ મનીઆર
Permalink
September 22, 2010 at 9:51 PM by ઊર્મિ · Filed under ગઝલ, ભરત ત્રિવેદી
શબ્દ સારા કે નઠારા હોય છે,
અર્થ કાયમના ઠગારા હોય છે !
એકસરખો એ ભલે વરસે છતાં,
હાથમાં વધઘટ અમારા હોય છે !
ડાળ છોડીને ગયું પંખી પછી,
કાનમાં કલરવ તમારા હોય છે !
એ ધજા છે કે સુકાતી ઓઢણી ?
દૂરથી પ્રશ્નો થનારા હોય છે !
એ તને દોડાવશે એવું કહી,
શબ્દ આગળ ક્યાં જનારા હોય છે !
-ભરત ત્રિવેદી
ભરતભાઈનાં કાવ્યસંગ્રહ ‘કલમથી કાગળ સુધી’ માંથી…
Permalink
September 21, 2010 at 9:58 PM by ધવલ · Filed under અછાંદસ, પ્રવીણ ગઢવી
‘O, Wood Cutter,
Cut my Shadow.’
હિન્દુ બનું
બુદ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી,
મારાથી.
કુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો ખૂટતો નથી
મારાથી.
નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છોડતો નથી.
ભાષા બદલું
વેશ બદલું
ઈતિહાસ બદલું
આ પડછાયો તૂટતો નથી.
સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.
‘O, Wood Cutter,
Cut my Shadow.’
– પ્રવીણ ગઢવી
(‘પડછાયો’)
અસ્પૃશ્યતા આપણા સમાજનું સૌથી મોટું કલંક છે. એક વાર અસ્પૃશ્યની છાપ જેના નામ પાછળ લખાઈ જાય એ પછી ગમે તે કરો પૂરેપૂરી કદી ભૂંસાતી જ નથી. આ અસ્પૃશ્યતા – આ કાળો પડછાયો – આપણા બધાનું સહિયારું પાપ છે. કોણ જાણે કેટલો વધારે સમય લાગશે એને ભૂંસાતા ?
Permalink
September 19, 2010 at 3:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
એક નામ અલ્લા કહી, એક નામ મારું ય આજ પછી લેવાનું છોડી દઉં… એટલે નિરાંત.
આંખના ઉજાગરા, ને જીવના ઉચાટ,કશા વણફૂટ્યા ઝરણે ઝબોળી દઉં… એટલે નિરાંત.
એક એક અક્ષરને ગોઠવતાં ગોઠવતા અમથી લંબાઈ ગઈ વારતા !
ગેબી કો’ ગાયકના કંઠથી અગનઝરતી ડાયરામાં ફૂલકણી ફોડી દઉં… એટલે નિરાંત.
જીવતરના કીડિયારે કણકણમાં ઝેર કોઈ છાંટવા મથે ને કોઈ છાંડવા !
જોણું આ અચરજથી જોતાં હો એવાની શબ્દોના સથવારે ભ્રમણા જ તોડી દઉં… એટલે નિરાંત.
ભર ભર બપોરનું તે જડબું ઉઘાડું ને રોજની સવાર થતી સ્વાહા
દૂર દૂર સળગે છે સાંજનો મહેલ એના આંગણે મલ્હાર રાગ ખોડી દઉં… એટલે નિરાંત.
સૂરજની પાઘડીનો વળ કોણ જાણે ક્યારે છેડો આવે ને ક્યારે નીકળે ?
ધરતીની ઓઢણીને લીલેરી કોર હવે દશ દિશથી લાવીને ચોઢી દઉં… એટલે નિરાંત.
-ગની દહીંવાળા
ઉમ્રે દરાઝ માંગ કે લાયે થે ચાર દિન, દો આરઝૂમેં કટ ગયે દો ઇન્તઝારમેં…….. વહેવારુ જીવન ક્યારે આપણને સમૂળગા અને સંપૂર્ણ લપેટી લે છે તેનો કદી ખ્યાલ સુદ્ધાં નથી આવતો. બપોર સવારને અને સાંજ બપોરને ભરખતી રહે છે. સૂરજની પાઘડીના વળનો છેડો ઓડિસિયસની પત્નીની શાલ જેવો છે-દિવસે ગૂંથાય અને રાત્રે ઉખળે….. નિરાંત ઝાંઝવું જ બની રહે છે.
Permalink
September 17, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ

*
રાત આખી સળંગ વાગે છે
કાનમાં જલતરંગ વાગે છે
સુસવાટા અને કડાકાઓ
બંસી સાથે મૃદંગ વાગે છે
આ તો છાંટા છે, હો તમે પંડિત
કે હો હાજી મલંગ, વાગે છે
હોય પાણીમાં તીક્ષ્ણતા આવી ?
કંઈક જૂના પ્રસંગ વાગે છે
ક્યાં છે ઉંમર હવે પલળવાની
વક્ર વર્ષાનો વ્યંગ વાગે છે
-હેમેન શાહ
સાચું કહેજો આ પહેલાં કયા વર્ષા-કાવ્યે તમને આટલું અને આવા ભીંજવ્યા હતા? હેમેન શાહની આ ગઝલ સંવેદનાઓના છત્રી-રેઇનકોટ ફાડીને તરબોળ કરી દે એવી છે…. નરસિંહ મહેતાથી માંડીને તરોતાજા કવિઓના વર્ષાકાવ્યો તેમજ લોકસાહિત્ય અને લોકબોલીના પણ કેટલાક છાંટાઓની મનભર મસ્તીનો વરસાદ લઈને આવેલ ‘મૉન્સૂન મસ્તી’ હિતેન આનંદપરા નામના તાજા વાદળને ઉગેલી સોનેરી કોર છે… આપણી ભાષામાં કવિઓ દ્વારા ભાગ્યે જ કોઈ સંપાદન એવા થયાં હશે જેમાં એની પોતાની કવિતા ન હોય… છબીઓ અને સંદીપ ભાટિયાની કરામત મઢ્યું ‘ઇમેજ’નું આ નવલું નજરાણું સતત સરાબોળ ભીંજવે એવું થયું છે….
Permalink
September 16, 2010 at 2:00 PM by ઊર્મિ · Filed under સુનીલ શાહ, હાઈકુ
કાલચક્રનું
શોધું છું રહસ્ય હું,
ક્ષણો તોડીને…
-સુનીલ શાહ
Permalink
September 15, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, સુધીર પટેલ
સૌના મનમાં રમવું છે,
એમ અમસ્તુ ગમવું છે !
દરિયો થૈ ના અટકું ક્યાંય
ઝરણાં જેવું ભમવું છે !
સૂર્ય ભલે ચમકે દિવસે,
અંધારે ટમટમવું છે !
વૃક્ષ સમું લ્હેરાઈને,
વાતાયનને ખમવું છે !
રાખી મન પ્હાડ સમું દૃઢ,
તૃણ સરીખું નમવું છે !
થાય ગઝલ પણ આફરીન,
એમ શબ્દમાં શમવું છે.
ઊગી જઉં દિલમાં ‘સુધીર’,
એ રીતે આથમવું છે !
-સુધીર પટેલ
શિરાની જેમ સીધી હલકમાં ઉતરી જાય એવી સરળ અને ગહન ગઝલ… બસ, અમસ્તી જ ગમી ગઈ.
Permalink
September 13, 2010 at 9:46 PM by ધવલ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
વિશ્વમાં મંગળ અમંગળ કંઈ નથી;
આપણા હોવાનું અંજળ કંઈ નથી.
શ્વાસની સીમાની આગળ કંઈ નથી;
મૃત્યુની સરહદની પાછળ કંઈ નથી.
બત્રીસ કોઠે છે દીવાનો ઉજાસ;
આંખમાં ઝળહળ કે કાજળ કંઈ નથી.
નભ ભલે ને થૂંક ઉડાડ્યા કરે;
સૂર્ય ઊગતાંવેંત ઝાકળ કંઈ નથી.
મારી એકલતા છે મારું ઉપનિષદ;
શબ્દ, લેખણ, સાહી, કાગળ કંઈ નથી.
– ભગવતીકુમાર શર્મા
કવિ પહેલા જ શેરમાં હોવાપણાની ઘટનામાંથી હવા કાઢી નાખે છે. એટલું જ નહીં, બીજા શેરમાં એ ન-હોવાપણા (મૃત્યુ)ની ઘટનામાંથી પણ હવા કાઢી નાખે છે 🙂 ઉપરથી દેખાય એ કંઈ અંધારું કે અજવાળું નથી, ખરો ઉજાસ તો આખા શરીરમાં – બત્રીસ કોઢે – વ્યાપ્ત છે. ચોથા શેરમાં પહેલી વાર કોઈ કવિએ ઝાકળની થૂંક સાથે સરખામણી કરી છે. જોકે શેર એટલો જ ઊંડા અર્થવાળો છે.
ને છેલ્લો શેર ગઝલનો શિરમોર શેર છે – શબ્દ તો છીછરા પાણીનું માછલું છે; ચેતનાનો સાગર તો ખૂબ ઊંડો હોય છે.
Permalink
September 12, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under ગીત, રવીન્દ્ર પારેખ
હરિ, લાસ્ટ સપ્ટેમ્બરમાં તો
તમે હતા યુ.એસ.એ.,
તો ય ધડાકો કેમ થયો ત્યાં
પ્રશ્ન સદા એ રે’શે….
આખે આખી કાયા
કચ્ચર થઈને ઊડી,
માણસમાં જે લાશ હતી
તે કાઢી વાળી,ઝૂડી….
વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવું કૈં હતું
કોણ તે કે’શે?
હરિ તમે તો વર્ષોથી
આ ત્રાસવાદ નવ માન્યો,
છતાં ન તમને માન્યા તેથી
આ દા’ડો પણ આવ્યો,
હરિ, કંસ તો સમજ્યા
પણ વિધ્વંસ કોણ આ સે’શે?
સદા બન્યું છે તેમ ભોગ
નિર્દોષનો કોઈ લેશે….
– રવીન્દ્ર પારેખ
શ્રીકૃષ્ણે આપેલું શાશ્વત વચન-‘यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवती भारतः |’ – કેટલુંક સાર્થક છે ? સમયાંતરે થતા જઘન્ય નરસંહાર કરનાર પણ ઈશ્વરનો અંશ છે અને ભોગ બનનાર પણ ઈશ્વરનો અંશ છે-આ વાત ગળે ઉતરવી અઘરી નથી ? પૂર્વજન્મના પાપનું નામ આપી આપીને કેટલાં નિર્દોષોને અન્યાય થવા દઈશું ? શબ્દોની રમત અને theories of exsistence નિર્દોષોનું લોહી વહી ગયા પછીના ઠાલા વિદ્વતપ્રલાપ થી વિશેષ શું છે ? એ તો રામબાણ વાગ્યાં રે હોય તે જાણે….
Permalink
September 11, 2010 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(શિખરિણી)
અહો એ અશ્વો, એ તડિત-શી ત્વરા, ખૂંદતી ધરા
ખરીઓ એ, ખુલ્લાં હરિત ચરિયાણો ગજવતી
મહાહેષાઓ એ અતલ ઊંડું આકાશ ભરતી;
જરા વાગી એડી, ગગન ઊડતા લક્ષ્યઅધીરા !
અહો એ વેગીલા શત શત સર્યા પ્હાડથી ઝરા !
ઝલાતા ના ઝાલ્યા, તટ ઉભયને ઉચ્છલી જતા;
મહામોજે તાણી તરુવર, ગુહાઓ ગજવતા
ફીણો ફુત્કારંતા વળવમળબંકા બલભર્યા !
હવે ધીમે ધીમે ઘટતું મટતું જાય જીવન;
બુઝાતા દીવાની શગ-શું, અવળો વાય પવન;
દૃગો ટૂંકું ભાળે પગ નજીકનું – તે ય ધૂંધળું;
પગો ટૂંકી ચાલે ઘર મહીં ફરે રે હળુહળુ;
બધી ઇન્દ્રિયો ને મન હવે શાંત, શિથિલ
જગત્ જાણે ગૂંથ્યું જીવ જકડતું જાળું જટિલ.
– જયન્ત પાઠક
યુવાનીનો તેજીલા તોખાર સમો તરવરાટ અને ઘડપણનો હોલવાતો દીવો – જીવનની બે સાવ વિપરિત છેડાની પણ અનિવાર્ય અવસ્થાઓ કવિએ શબ્દો દ્વારા અદભુતરીતે ચાક્ષુષ કરી છે… પંક્તિની મધ્યમાં એક સાથે પાંચ લઘુ આવે એવો એવો શિખરિણી છંદ જાણે કે ઘોડાની ચાલનો લય દોરી આપે છે. 4-4-4-2 બંધારણના સૉનેટના પ્રથમ બે બંધ યુવાવસ્થાનું દૃશ્ય તાદૃશ કરે છે અને abba પ્રમાણે પ્રાસ જાળવે છે જયારે ત્રીજા બંધમાં અવસ્થાન્તરની સાથે પ્રાસ રચના પણ aabb પ્રમાણે બદલાય છે. સૉનેટના બંધારણ પર નજર રાખ્યા વિના કાવ્ય વાંચતો વાચક પણ કદાચ આ પ્રાસપલટા અને ભાવપલટાને અનુભવી શકે છે…
Permalink
September 10, 2010 at 2:06 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
થાય છે કે બધું સમેટી લઉં
કઈ રીતે આયખું સમેટી લઉં ?
ખૂબ અંતર છે આપણી વચ્ચે
તું કહે એટલું સમેટી લઉં !
તું સમેટાઈ જાય મારામાં
તો જીવનમાં ઘણું સમેટી લઉં
વિસ્તરી જાઉં આખી દુનિયામાં
કે સ્વયમ્.માં બધું સમેટી લઉં ?
હું જ છું, આસપાસ કાંઈ નથી
કેમ ખાલીપણું સમેટી લઉં ?
– ભરત વિંઝુડા
સમેટી લઉં જેવી વિચાર માંગી લેતી રદીફ ઉપર વિચાર કરવા મજબૂર કરી દે એવા પાંચ સશક્ત શેર…
Permalink
September 9, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ટેરવાં સૂરજ બની ગયાં,
હાથને રસ્તા મળી ગયાં.
આયનો ફૂટ્યાથી શું વળ્યું !
પથ્થરો ભોંઠા પડી ગયાં.
કાળની રહી છે બરડ ત્વચા,
સ્પર્શના પડઘા શમી ગયાં.
દોસ્ત, રંગો પ્હાડના લીલા,
કાળજામાંથી નથી ગયાં.
શું ખબર એ શ્હેર ક્યાં હતું !
મીણના નકશા ગળી ગયાં.
લંગરો છૂટી ગયાં અને,
શ્વાસનાં વ્હાણો સરી ગયાં.
-મનોજ ખંડેરિયા
Permalink
Page 76 of 113« First«...757677...»Last »