મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.
મરીઝ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for કવિ
કવિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
December 1, 2009 at 11:53 PM by ધવલ · Filed under ગઝલ, ઝાકીર ટંકારવી
લે હાથે કરતાલ ફકીરા;
સંતો સાથે ચાલ ફકીરા.
એની મેડીએ બેસીને,
થૈ જા માલંમાલ ફકીરા.
હુંયે માણસ તું યે માણસ
સૌનું લોહી લાલ ફકીરા.
બંને ખાલી હાથે જઈશું,
અંતે તો કંગાલ ફકીરા.
ડર ને ચિંતા ફેંક નદીમાં,
માલિક મોટી ઢાલ ફકીરા.
સરકી જાશે એક જ પળમાં
દુનિયાને ના ઝાલ ફકીરા.
દોલત તો દાસી છે તારી
ખિસ્સામાં ના ઘાલ ફકીરા.
સંન્યાસીનું તો એવું કે
સૂર અહીં ત્યાં તાલ ફકીરા.
રસ્તા તો આડા ને અવળા,
જૂની વાટે ચાલ ફકીરા.
– ઝાકીર ટંકારવી
કબીર-રંગે રંગાયેલી આ રચનામાં બહુ સરળ રીતે ઊંડી વાતો કરી છે. સંન્યાસીની ‘સૂર અહીં ત્યાં તાલ ફકીરા’ જેવી વ્યાખ્યા બીજે વળી ક્યાં જોવા મળવાની ? છેલ્લા શેરથી તો રોબર્ટ ફ્રોસ્ટની અમર રચના The Road Not Taken ની યાદ આવી ગઈ.
Permalink
November 30, 2009 at 9:52 PM by ધવલ · Filed under અછાંદસ, ગિરીશ પરીખ
ગામડાનું આ બજાર
હારમાળા શી ખડી દુકાનની, બે બાજુએ.
નવરંગી ‘સાઈનબૉર્ડ’ની અહીંયાં નથી વણઝાર ને
‘શો કેઈસ’ ને ‘શો વિન્ડોં’નાં ના કોઈ જાણે નામને
તોય વહે છે ગ્રાહકોની અહીં સદા વણઝાર
ગામડાનું આ બજાર!
અહીં સદાયે વ્હોરનારાઓની લાંબી હારમાળા
સાવ નાનાં ગામડેથી લોક આવે
ને ખરીદીમાં કલાકો અહીં ગુમાવે
અહીં શહેરના જેવી સડક ક્યાં?
અહીં તો ઊડે છે ને ચડે છે આસમાને ધૂળના ગોટા!
ને પેટીમાંથી શોધી કાઢી બંગડી
કોઈ ઉડાવે ધૂળ મોંથી ફૂંક મારી
આંખડી ઉંચી કરી જોતો એ પેલી યૌવના પર
એ આંખડીમાં વિષ નથી અમૃત છે
અખંડ હેવાતન તણું સૌંદર્ય છે
બંગડીને હાથથી એ લૂછતો
પ્રીતના સૌંદર્યને એ પ્રીછતો
આંખડીની વાત ને વિશ્વાસથી
એ બંગડીઓ વેચતો
ઝણકી ઊઠે એ બંગડી સૌભાગ્યનો શણગાર
ગામડાનું આ બજાર!
વધુ આગળ વાંચો…
Permalink
November 29, 2009 at 11:30 PM by વિવેક · Filed under ગીત, નિખિલ જોશી
મધરાતે નીંદરને ગામ જુઓ કેવું તો ફાટી રે નીકળ્યું તોફાન
સપનાના ઝુંડ સામે લડવાને જંગ મે તો આંસુને સોપ્યું સુકાન
આંસુની જાત સખી એવી તે કેવી અડકો જરાક ત્યાં જ પાણી,
કોણ લાવ્યું આંખ્યું ના ઊંડા કૂવેથી એને પાંપણની પાળ લગી તાણી ?
અન્ધારે ડૂબ્યો રે ઓરતાનો સૂરજ ને છાતીમાં વસતું વેરાન
સપનાના ઝુંડનુ તો એવું ઝનૂન જાણે છાતીમાં ધસમસતું ધણ
ઘરના અરીસાઓ શોધે છે સામટા ખોવાયું જે એક જણ
રૂંવાડે બટકેલી બેઠી છે ઇચ્છાઓ ઉમ્બરનું જાળવવા માન
–નિખિલ જોશી
સ્મરણ, વેદના અને સપનાંઓના ભંગારના ભારથી લચી પડતું ગીત… વાંચો અને વ્યથાની ધાર ન ભોંકાય કે આંસુઓની ભીનાશ ન અનુભવાય તો જ નવાઈ…
Permalink
November 28, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત

(દિવ્યા મોદીની એક અક્ષુણ્ણ કૃતિ એમના જ અક્ષરોમાં ‘લયસ્તરો’ માટે)
*
આ તડકા મહીં એમ વર્તાય છાંયો,
કેચ્હેરા ઉપર એક ચ્હેરો છવાયો.
ને આંખો અમારી સજળ હોય તો યે,
ખુશીનો જ તખ્તો ફરી ગોઠવાયો.
અમારી સબરના પુરાવા ન માંગો,
ઇમારત છું એવી, નથી જેનો પાયો.
પહેલાં હલેસું, પછી નાવ ડૂબી,
શનૈ: શનૈ: કિનારો ફસાયો.
બહેતર એ છે કે શિકાયત ન કર તું,
ખફા થઈને જ્યારે સમય પણ રિસાયો.
-દિવ્યા મોદી
ભીની માટી જેવા હૈયા પર પગલાંની અમીટ છાપ છોડી જાય એ સાચી કવિતા. દિવ્યાની આ ગઝલ વાંચો અને અંદર કશુંક અમીટ પડતું ન અનુભવાય તો જ નવાઈ. તડકા વિના છાંયાનું વળી અસ્તિત્વ કેવું ? બંને સાથે જ સંભવી શકે એ ખરું પણ કદી એકમેકમાં ભળી શકે ખરા ? આપણા ચહેરા પર કેટકેટલા ચહેરા પડતા રહે છે ! પણ આપણે આપણી ઓળખ કદી ગુમાવીએ ખરા ?
શનૈ: શનૈ: જેવો સંસ્કૃત શબ્દપ્રયોગ રાજેન્દ્ર શુક્લ જેવી સાહજિક્તાથી કરીને ઉત્તમ શેર પણ આપવા બદલ કવયિત્રી શું અભિનંદનને પાત્ર નથી ?
Permalink
November 27, 2009 at 2:14 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ
માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ
ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ
મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ
સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ
લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ
– રમેશ પારેખ
આજે કવિ શ્રી રમેશ પારેખના જન્મદિવસે માણીએ એમનું એક ગમતીલું ગીત..
અલુણા નિમિત્તે ગોરમાનું વ્રત કરતી કન્યાનો ઉત્સાહ કદી જોયો છે ? એ જે કરે એ એને ઓછું જ પડે… ગોરમાને પૂજવા રૂના નાગલા ખૂટી પડે ને શરીરના શણગારમાં કમખાના આભલાંય એને ઓછાં જ લાગે. નેવેથી પાણીનાં રેલા દડતા હોય એમ મઘ મઘ જૂઈની વેલ માંડવે ચડી હોય અને કુંવારી કન્યા ત્રોફેલા મોર સાથે કે પછી કોઈ ચિત્તચોર સાથે મનમાં વાતો કરતી હોય એવામાં અતિથિના આવણાંની છડી પોકારતા કાગડાના બોલ પણ શરમાવી દે છે.
Permalink
November 26, 2009 at 2:45 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
ચોતરફ અજવાળું ઊઠી ગયું છે,
કોઈ ઘરમાં કંઈક મૂકી ગયું છે.
મેં ચણાવી એક દીવાલ ભીતર,
કોક આ દીવાલ કૂદી ગયું છે.
તું ઊછળતી એક એવી નદી છે,
મારું જેમાં વ્હાણ ડૂબી ગયું છે.
કેમ તારામાંથી હું બ્હાર આવું,
દોરડું વચ્ચેથી તૂટી ગયું છે !
ત્યાં પતંગિયું જ બેઠું હશે હોં,
એટલે એ પાન ઝૂકી ગયું છે.
ડાળ પર પડઘાય છે એક ટહુકો,
ક્યારનું પંખી તો ઊડી ગયું છે.
– અનિલ ચાવડા
અરુઢ છંદ સાથે ઘરોબો કેળવી બેઠેલા મારા મનપસંદ કવિની એક વધુ ગઝલ… નદીમાં ડૂબી ગયેલા વહાણ અને વચ્ચેથી તૂટી ગયેલા દોરડાવાળી વાત ગમી જાય એવી છે.
Permalink
November 25, 2009 at 10:00 AM by ઊર્મિ · Filed under અલ્પેશ કળસરિયા, મુક્તક
એવું તને હું કહેતો નથી કે મજા ન કર,
પણ આબરૂ જતી રહે એવી દશા ન કર!
એને છુપાવવાની તને આવડત ન હો,
તો, મૂર્ખ દોસ્ત મારાં! હવેથી ગુના ન કર!
–અલ્પેશ કળસરિયા
Permalink
November 24, 2009 at 2:00 PM by ઊર્મિ · Filed under અછાંદસ, એષા દાદાવાળા
આજે
ઘર ઘરની રમતમાં
એ પપ્પા બન્યો –
અને સાચુકલા પપ્પાની જેમ જ
મમ્મીની સામે
આંખોને લાલ કરીને જોયું
મમ્મી સહેજ ધીમા અવાજે બોલી
“એટલીસ્ટ છોકરાઓની હાજરીમાં તો…”
અને પપ્પાનો અવાજ
રોજ કરતા સહેજ મોટો થઇ ગયો,
પછી
થોડીઘણી બોલાચાલી
મમ્મીના ડુસકાં-
અને પછી
બરાબર એ દિવસની જેમ જ
પપ્પાની લાલ આંખોનાં ઉઝરડા
મમ્મીના ગાલ પર પડી ગયા..!
પછી
પાપા બનેલો દીકરો
ખૂણામાં ગોઠવેલા ખોટુકલા વાસણોને લાત મારી
ઘરની
બહાર નીકળી ગયો
બરાબર સાચુકલા પપ્પાની જેમ જ..!
અને
દુપટ્ટાની જરા અમથી સાડીમાં લપેટાઈ
મમ્મી બનેલી દીકરી પણ
સાચુકલી મમ્મીની જેમ જ
એના વિખેરાઈ ગયેલા ઘરને ફરી પાછું
ભેગું કરવામાં લાગી ગઈ…!
–એષા દાદાવાળા
હજીયે ઘણા ઘરોમાં ‘સ્વાભાવિક’ બનતી આ પ્રકારની દૈનિક ઘટનાને એષાએ બખૂબી તાદૃશ કરી છે. મમ્મી-પપ્પા ઘણીવાર ભૂલી જાય છે કે પોતાના રોજબરોજનાં વર્તનની અસર બાળકોનાં માનસ પર કેટલી ઊંડી પડતી હોય છે. મને લાગે છે કે થોડા થોડા વખતે ઘરનાં બાળકો જ જો આવો એક્શન-રીપ્લે કર્યા કરે તો મમ્મી-પપ્પાનાં એકબીજા પ્રત્યેનાં વર્તનની ગુણવત્તા ચોક્કસ વધે જ વધે… 🙂
Permalink
November 23, 2009 at 8:00 PM by ઊર્મિ · Filed under દિલીપ મોદી, મુક્તક
વીતી ગઈ તે વાતનો ઉલ્લેખ ના કર,
જાગરણની રાતનો ઉલ્લેખ ના કર;
લખ, ભલે લખ, જોઈએ તો રોજ લખ તું,
શબ્દમાં તુજ જાતનો ઉલ્લેખ ના કર.
-દિલીપ મોદી
Permalink
November 22, 2009 at 4:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
હવે બસ બહુ થયું, બુદ્ધિ! હું પાગલ થાઉં તો સારું!
છલકવાનો સમય આવ્યો, છલોછલ થાઉં તો સારું!
જીવનનો ગર્જતો સાગર ઘણો ગંભીર લાગે છે!
હવે હું ચાંદનીની જેમ ચંચલ થાઉં તો સારું!
જુઓ કિરણો વિખેરાયાં ને ગુંજનગીત રેલાયાં!
હૃદય ઈચ્છી રહ્યું છે આજ : શતદલ થાઉં તો સારું!
મને આ તારી અધબીડેલી આંખોમાં સમાવી લે!
મને તો છે ઘણી ઈચ્છા કે કાજલ થાઉં તો સારું!
ભલે હું શ્યામ લાગું પણ મિલન આવું મળે કોને?
તમન્ના છે કે તારા ગાલનો તલ થાઉં તો સારું!
યુગો અગણિત ભલે વીતે મને એની નથી પરવા!
હું પ્રેમી કાજ એક જ પ્રેમની પલ થાઉં તો સારું!
મને એવા રૂપાળા ઘાવ દુનિયાએ કર્યા અર્પણ-
કે ખુદ દુનિયાને થઈ આવ્યું કે ઘાયલ થાઉં તો સારું!
જીવનમાં આમ તો ક્યાંથી મળે લયબદ્ધ ચંચળતા!
હું તારા ખૂબસૂરત પગની પાયલ થાઉં તો સારું!
તને તો આવડે છે ઠંડી-ઠંડી આગ થઈ જાતાં!
– મને છે મૂંઝવણ કે, આંખનું જલ થાઉં તો સારું?!!
-‘શેખાદમ’ આબુવાલા
પ્રણયરંગી ગઝલ… ખાસ કરીને ગાલનો તલ થવાવાળો અને લયબદ્ધ ચંચળતાવાળો શે’ર ખૂબ જ મજાનાં થયા છે! વળી, બુદ્ધિનું કહ્યું ન કરનારને તો આમેય દુનિયા પાગલ જ માને છે, ખરું ને મિત્રો ?! 🙂
Permalink
November 21, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિહંગ વ્યાસ, હસ્તપ્રત

(ખાસ ‘લયસ્તરો’ માટે વિહંગ વ્યાસના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગીતરચના)
*
તું આવ્યાંની વેળા
રોમે રોમે રોજ દૂઝતાં, રુઝ્યાં આજ ઝળેળા
સમેટાઈને રાખેલા વિખરાઈ ગયા છે શ્વાસ
તારે પગલે મારી ભીતર દોમ દોમ અજવાસ
ઉંબરથી ઓસરિયે વહેતા કુમકુમવરણા રેલા
જાણ થઈ છે આજ મને કે ખળખળવું એ શું
નર્યો નીતર્યો મારે ફળિયે અવસર યાને તું
વરસોના અળગા પડછાયા કરીએ આજે ભેળા
તું આવ્યાંની વેળા
-વિહંગ વ્યાસ
વિરહાસન્ન જીવન માટે મિલનની એક જ વેળા કેવી સંજીવની બની રહે છે ! વિયોગ અને પ્રતીક્ષાના અગ્નિથી રોમે-રોમે રોજે-રોજ ફૂટતા ફોલ્લા એક જ ઘડીમાં રુઝાઈ જાય છે. જે શ્વાસ માત્ર જીવવાના હેતુસર ભીતરમાં શગની પેઠે સંકોરીને રાખી મૂક્યા હતા એ આજે વિખેરાઈને ચોમેર પ્રસરી રહ્યા છે અને બહારની જેમ જ અંદર પણ અજવાળું અજવાળું થઈ રહે છે… ઉંબરે થીજી રહેલી પ્રતીક્ષા ઓસરી સુધી દડી જાય અને એના પગલે પગલે કંકુછાંટણા થાય એ જ તો મિલનનું ખરું સાફલ્ય છે… અને કવિની આખરી આરત એમના પ્રણયની ચરમસીમાની દ્યોતક છે… એ આવે એ જ એમને મન ખરો અવસર છે… કાયા નહીં, માત્ર પડછાયા એકમેકમાં ભળી જાય તોય આ સંતોષીજનને તો ઘણું…
Permalink
November 20, 2009 at 2:14 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
આખરે એની કૃપા તો થાય છે,
આપણાથી રાહ ક્યાં જોવાય છે ?
એ પધારે; દ્વાર પણ હરખાય છે,
ખુદ ઊઘડવાને અધીરા થાય છે !
કોણ બનવાકાળને ટાળી શકે ?
તે છતાં ક્યાં સ્હેજ સ્વીકારાય છે ?
માત્ર કંકર ફેંકવાના ખ્યાલથી,
જળમાં વમળો અણદીઠાં સર્જાય છે !
‘સર્વનું કલ્યાણ કરજો, હે પ્રભુ’
વેણ એવાં એમ ક્યાં બોલાય છે !
– રાકેશ હાંસલિયા
વિધિનું લખાણ ટાળી શકાતું નથી એ છતાં આપણે ક્યાં એને સહેજે સ્વીકારી શકીએ છીએ ? અને છેવટે એની કૃપા વરસવાની જ છે એ જાણવા છતાં આપણે ધીરજ ક્યાં રાખી શકીએ છીએ?
Permalink
November 19, 2009 at 2:11 AM by વિવેક · Filed under ગઝલ, ગની દહીંવાળા
સૂરજના પક્વ ફળ થકી બેસ્વાદ રસ પડ્યો,
જાગો અતૃપ્ત જીવ, કે ટપકી દિવસ પડ્યો.
પકડાઈ ચાલ્યાં પાનથી ઝાકળનાં પંખીઓ,
કિરણોના પારધીને ફરીથી ચડસ પડ્યો.
વાવ્યા વિના લણાયો રણે ઝાંઝવાંનો પાક,
બોલ્યા વિના બપોરનો પડઘો સરસ પડ્યો.
માટીને મહેકવાની ગતાગમ નથી હજી,
વરસાદ આંગણા મહીં વરસોવરસ પડ્યો.
અંધાર આવું આવું કરે બારી બા’રથી,
પીળો પ્રકાશ ખંડમાં હાંફે ફરસ-પડ્યો.
સૂરજના મનના મેલ નિશાએ છતા થયા,
ઓજસનો ધોધ કાંખમાં લઈને તમસ પડ્યો.
કાંઠાનો સાદ સાંભળ્યો તળિયે અમે ‘ગની’,
‘કોઈ અભાગી જીવ લઈને તરસ પડ્યો.’
– ગની દહીંવાલા
સાત અલગ અલગ રંગોનું ઈન્દ્રધનુષ રચાયું હોય એવા સાત મજાના શેરોની આ ગઝલ. પરંપરાની આંગળી હાથમાં હોવા છતાં અહીં ઝાકળનાં પંખી, ઝાંઝવાનો પાક પીળા પ્રકાશનું હાંફવું જેવા કલ્પનોની તાજગી સરાબોળ કરી દે એવી છે. ફળ વધુ પડતું પાકી જાય તો રસ બેસ્વાદ બની જાય એ વાતનો ઉલ્લેખ મત્લાના શેરમાં સાવ અલગ જ રીતે કરે છે. વર્ષોથી ઊગતા-આથમતા સૂરજના પાકા ફળમાંથી એક ટીપાં જેવો બેસ્વાદ દિવસ ટપકી પડ્યો છે જે આપણને આગળના સહુ દિવસોની જેમ તૃપ્ત તો કરી શક્વાનો જ નથી ને તોય જાગવું, દોડવું તો પડશે જ ને?! सुबह होती है, शाम होती है, जिंदगी यूँ तमाम होती है ।
Permalink
November 18, 2009 at 2:00 PM by ઊર્મિ · Filed under ગીત, મહેશ મકવાણા
રૂપલે મઢી ફાગણ રાતે હાથ હવાનો ઝાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
સોળ ચોમાસાં ઠાલવી દીધાં
ઓણ ચોમાસું પીધું
આભની ટાઢી જલધારાએ
અંગ દાઝાડી દીધું.
વહેતી જાઉં હું જ બે-કાંઠે, ગામની નદિયું ખાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
છાબડી મારી છલકે ભેળી
હું ય ઘણી ઢોળાઉં
માઢ ને મેડી, ફળિયું-શેરી,
સીમ સુધી ફોરાઉં.
પગલે પગલે ઢોળતી આવી ધૂળમાં જોબન લાલી
અડધી રાતે બાઈ રે હું તો સમણાં વીણવા હાલી.
-મહેશ મકવાણા
મીઠું-મધુરું-થનગનતું-રણઝણતું ગીત. યુવાની તરફ ડગ માંડી રહેલી ને જાગતાં જાગતાંય સમણાં વીણી રહેલી સોળ વરસની મુગ્ધ કન્યાનાં દલડાંમાંથી ફૂટી નીકળેલી કૂણી કૂણી લાગણીને કવિશ્રીએ અદભૂત શાબ્દિક આકાર આપ્યો છે; જેની ભીતરનો ભાવ તો… પ્રેમબાણ વાગ્યા હોય તે જાણે ! 🙂
Permalink
November 17, 2009 at 4:00 PM by ઊર્મિ · Filed under ગીત, રાહી ઓધારિયા
તમે હળવેથી એકવાર ઝંકારો તાર, અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
તમે ટહુકો ઉછીનો એક આપો રાજલદે! અમે વરસોની જડતાને ત્યાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
રણનાં પંખીડાં અમે, અમને તો એમ કે રેતી આદિ ને રેતી અંત;
તમને જોઈને અમે જાણ્યું કે ક્યાંક ક્યાંક જીવી રહી છે વસંત;
તમે આછેરો સ્પર્શ કરી જુઓ રાજલદે! અમે ફોરમતા ફાગ થઈ ફાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
કલકલતી નદીઓના વહેણ સમી લાગણીઓ થઈને અમારે છે વહેવું,
નિજને ભૂલી તમારી આંખોમાં ઘૂઘવતા દરિયાના નીર થઈ રહેવું;
તમે ભીની બે વાત કરો અમથી રાજલદે! અમે આખો અવતાર ભીના લાગીએ.
અમે બેસૂરા ક્યાં સુધી વાગીએ ?
-રાહી ઓધારિયા
બિલકુલ કલકલતી નદીની જેમ કલકલતું અને ઘૂઘવતા દરિયાની જેમ ઘૂઘવતું ગીત… જેનાં વહેણ અને તમારી વચ્ચે મારું ના આવવું જ બહેતર છે! 🙂
Permalink
November 16, 2009 at 3:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, હર્ષદ ત્રિવેદી
તું પણ કમાલ કર હવે તારા અવાજની,
હું સાંભળું છું તર્જ કો’ અણદીઠ સાજની.
હું ક્યારનો સૂંઘું છું હવામાં વધામણી,
રળિયામણી ઘડી મને લાગે છે આજની.
તું હોય પણ નહિ ને તોય વાજતી રહે,
પળ પળ રહી છે કામના એવી પખાજની.
મારો સ્વભાવ છે કે મને કંઈ અડે નહિ,
તનેય પણ પડી નથી રસ્મો-રિવાજની !
ત્યાં દૂર કોઈ પૂરવી છેડે છે ક્યારનું,
અહીંયાં ગઝલ રચાય છે તારા મિજાજની.
-હર્ષદ ત્રિવેદી
મજાની સરળભાષી ગઝલ… આમ તો પાંચેય શે’ર મજાનાં થયા પરંતુ મને સ્વભાવવાળો શે’ર ખાસ ગમી ગયો. રસ્મો-રિવાજની પડી ન હોય એવી બગાવતો તો ઘણીવાર જોવા મળી જાય છે, પરંતુ કંઈ ન અડવાવાળા સ્વભાવાવાળી સ્થિતપ્રજ્ઞ અવસ્થા હોવી એ ઘણું કઠીન છે અને જીવનમાં એ પ્રમાણે જીવતાં જૂજ લોકો જોવા જરૂર મળે છે.
Permalink
November 15, 2009 at 8:00 PM by ઊર્મિ · Filed under અનિલ જોશી, ગીત
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ
ધૂળીયા મારગ તો ક્યાંય દેખાય નહીં બંધ આંખ્યુમાં લીલો ઉઘાડ
અહીં પગલાં ને પગરવ તો ભોંયવટો ભોગવતાં
ગાડું ચાલ્યાના નથી ચીલા
ફૂલ જેમ ઓચિંતા ઊઘડી ગયા
મારી છાતીમાં ધરબ્યા જે ખીલા
છૂટાછવાયા ઘર ઉપર તડકાની જેમ પથરાયા ઘાસના ઓછાડ
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !
માનવીના બોલ ક્યાંય સંભળાતા નૈ
બધે પંખીના કલરવના ધોધ
દુર્વાસા મુનિ બધે પૂછતા ફરે
તમે જોયો છે ક્યાંય મારો ક્રોધ ?
મારી ચામડાની બેગમાં જંગલનાં સંપેતરાં પહોંચાડું કોને કમાડ ?
પાણીની જેમ અહીં ઢોળાયું ઘાસ અને વાવટાની જેમ ઊભાં ઝાડ !
-અનિલ જોશી
કવિ જ્યાં પણ જાય, દરેક વસ્તુ, વ્યક્તિ, પ્રકૃતિ કે સૌદર્યની સરખામણી જાણે-અજાણે ‘પોતાની’ ભૂમિ સાથે કરે જ છે; જેમાંથી ક્યારેક માનવીના બોલ ન સંભળાવાની ‘આહ’ નીકળે છે તો ક્યારેક પંખીના કલરવના ધોધ વહેવાની ‘વાહ’ પણ નીકળે છે. પાણીની જેમ બધે ઢોળાયેલી જાજરમાન ગ્રીનરી જોઈને ‘વાહ વાહ’ કરી ઊઠતા કવિનાં દિલમાંથી ધૂળિયો મારગ ન હોવાની ‘આહ’ પણ નીકળી જ જાય છે. આપણને જેમણે કેટલાંય સુંદર સુંદર તળપદાં ગીતો આપ્યા છે એવા કવિશ્રી અનિલભાઈને અમેરિકાનાં ‘બાલ્ટીમોર’ શહેરમાં ફરતા ફરતા પણ ‘ગાડી’ને જોઈને જો ‘ગાડું’ યાદ ન આવે તો જ નવાઈ લાગે… 🙂
Permalink
November 14, 2009 at 12:30 AM by વિવેક · Filed under બાળકાવ્ય, વિવેક મનહર ટેલર

(દેશી કચ્છી ભમરડો… …૩૦-૧૦-૨૦૦૯)
*
(લયસ્તરોના તમામ વાચકમિત્રોને બાળદિવસની શુભેચ્છાઓ)
*
મમ્મી બોલી, ઠંડી આવી, સ્વેટર પહેરો મોટું,
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?
ગોદડાંને પકડી તો જુઓ,
ગોદડાંમાં છે નરમી;
મથી-મથીને અમે કરી છે
અંદર ભેગી ગરમી.
ગોદડાંની અંદર હું કેવો મસ્તીથી આળોટું ?
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?
ગોદડાંનો ગોટો છે આ કે
વારતાઓનો ડબ્બો?
ડુંગરમાંથી હાથી થઈ જાઉં,
ભૂત બની કહું, છપ્પો !
સ્વેટરમાં તો છોટુ થઈને રહેશે ખાલી છોટુ…
ગોદડું વ્હાલું અમને તો ભઈ, ગોદડાંમાં શું ખોટું?
-વિવેક મનહર ટેલર
(૧૧-૦૨-૨૦૦૮)
*

(બે-બ્લેડ: કચ્છી ભમરડાની વિદેશી આવૃત્તિ? … ૩૦-૧૦-૨૦૦૯)
Permalink
November 13, 2009 at 12:30 AM by વિવેક · Filed under આતિશ પાલનપુરી, ગઝલ
જે થવાનું થૈ ગયું છે, થાય શું !
ને હવે એના ગયાની લ્હાય શું !
એમણે દીધું અમોને કૈં ઘણું,
ખોબલામાં માય તોયે માય શું !
જીવ લેશે જે અમારો એક દિન,
એ ફરેબી જિંદગીની હાય શું !
જે અહમ્ ની આગ ખુદ પીધા કરે,
એ અમોને પાય તોયે પાય શું !
સાવ ખાલી હાથ ‘આતિશ’ જન્મવું,
કોઈ પણ લૈ જાય તો લૈ જાય શું !
-આતિશ પાલનપુરી
વાંચતાવેંત ગમી જાય એવી મજાની ગઝલ… રદીફ તરીકે ‘શું’નો રણકાર આખી ગઝલમાં એક મજાનો ધ્વનિ સર્જે છે અને કવિ આ ધ્વનિને રણકાવવામાં સફળ રહ્યા છે એ આપણું સદભાગ્ય…
Permalink
November 12, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ
વૃક્ષની આજે નીયત શાને તપાસો,
કે, તમે તડકે ધરી જોયો છે વાંસો ?
મેઘની આવી રહી છે લ્યો સવારી,
વીજરૂપે મોકલે છે આભ જાસો.
આ તિરાડો ભીંતની કે ભીતરી છે ?
પોપડા ખરતાં પહેલાં એ ચકાસો.
ભાગ્યને મારા ચકાસી લઉં સતત હું,
રોજ એની બાજુ ફેંકું એક પાસો.
એકથી બીજા સુધી પહોંચી શક્યા નહિ,
દોસ્ત, કોને કોણ દે એનો ખુલાસો ?
છત જવાની રોજ બનતી હોય ઘટના,
પણ તમે ત્યાં જઈને દીધો છે દિલાસો ?
-સુનીલ શાહ
કવિતા ક્યાંથી આવે છે? દૈવલોકમાંથી? કે પછી કોઈ ગેબી અગોચર મનોભૂમિમાંથી? કવિતા તો દોસ્તો, આપણી આસપાસથી જ આવતી હોય છે. આપણી પોતાની જિંદગીમાંથી જ. જે સૂર્ય, તડકા અને વૃક્ષને આપણે રોજ જોઈએ છીએ, ક્યારેક જેની નીચે છાંયડામાં બેસીને આરામ પણ કર્યો છે એ જ વૃક્ષ,તડકાને જોઈને કવિ ક્યારેક એવી વાત કરી બેસે કે આપણને કવિતા કેવી રીતે જન્મે છે એ વાતનું ગહન આશ્ચર્ય ઉપજે. સુનીલ શાહની આ ગઝલના બધા જ શેર સંતર્પક અને ધ્યાનાર્હ થયા છે પણ મારું મન તો મત્લાના શેર પર જ સમરકંદો-બુખારા ઓવારી બેઠા છે. ‘ જેણે કદી પાપ ન કર્યું હોય એ પહેલો પથ્થર મારે’ની ઈશુ-પંક્તિ ગઝલના પહેલાં શેરમાં કેવી પ્રવાહિતાથી ઉતરી આવી છે !
Permalink
November 11, 2009 at 1:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, ગની દહીંવાળા
સ્પર્શથી નાતો હૃદય પોતાની રીતે જોડશે,
ટેરવાં નવરાં ! પરસ્પર ટાચકા કંઈ ફોડશે.
આ પ્રવાહો તો પવનનો સાથ લૈ દોડી રહ્યા !
શક્યતા પોતે જ શું અવસરનાં તોરણ તોડશે ?
આંતરિક સંબંધના શબ્દો તો નહીં ચૂકે વિવેક,
વારતા બનતાં કદી વસ્તુ મલાજો તોડશે.
ભાનમાં આવ્યા પછીની મૂંઝવણ તે આનું નામ !
અધસુણ્યું પડઘાય છે કંઈ: “મારો પીછો છોડશે?”
પગની સાંકળ, વહેલ ઘુઘરિયાળી જાણે લગ્નની,
એ જ રીતે ડોલતી દીવાનગી પણ દોડશે.
પુષ્પને ખીલ્યાનાં દૈ દઈએ અભિનંદન, ‘ગની’,
આ કળી જોશે તો શું ? મોઢું જરી મચકોડશે !
-ગની દહીંવાળા
સ્પર્શની સાથે પોતાની રીતે હૃદય નાતો જોડી જ લે છે, કેવી સાચુકલી વાત ! ચોથો શે’રમાં તો જાણે (ઓછેવત્તે અંશે) આપણા બધાની અનુભૂતિ કંડારાઈ છે… લાગણી હોય કે લગન હોય, વસ્તુ હોય કે વ્યક્તિ હોય- પીછો આસાનીથી ક્યાં છૂટે છે !
Permalink
November 10, 2009 at 1:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, સુરેન ઠાકર 'મેહુલ'
કોઈ ઉકેલી ના શકે એવી પહેલી જિંદગી,
ક્યાંક એ મોડી પડી ને ક્યાંક વહેલી જિંદગી.
જીવતાં જો આવડે જાહોજલાલી જિંદગી,
જીવતાં ના આવડે તો પાયમાલી જિંદગી.
પાસમાં એ છે અને હું ઝાંઝવાં જોયા કરું,
કોઈ સમજી ના શક્યું આ રૂપઘેલી જિંદગી.
એટલે આ બહાવરી આંખો જુએ ચારેતરફ,
કીકીઓ છે આપણી ભૂલી પડેલી જિંદગી.
લોકનાં ટોળાં કિનારે ઓર વધતાં જાય છે,
સૂર્ય સમજીને જુએ છે અધ ડૂબેલી જિંદગી.
આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું,
છે ઘણાં જન્મોથી આ તો ગોઠવેલી જિંદગી.
એટલે આ પાંપણો બીડાઈ ગઈ ‘મેહુલ’ તણી,
હાથતાળી દઈ ગઈ’તી સાચવેલી જિંદગી.
-સુરેન ઠાકર ‘મેહુલ’
ક્યારેક પહેલી જેવી તો ક્યારેક સહેલી જેવી લાગતી જિંદગીને કવિશ્રીએ ગઝલમાં બખૂબી ગોઠવી દીધી છે. એક્કે એક શે’ર કાબિલેદાદ થયા છે. એમાંની એક વાત તો મને ખૂબ જ જચી ગઈ- આવડે, તો શોધ, એમાંથી તને મળશે ઘણું…
Permalink
November 9, 2009 at 1:00 AM by ઊર્મિ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ
મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ
જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ
આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ
છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દનાં
તળિયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ
આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ
બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ
હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ
પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મક્તા ન મોકલાવ
વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ.
-આદિલ મન્સૂરી (રમેશ પારેખની યાદમાં… ૫ જૂન, ૨૦૦૬, ન્યુ જર્સી)
છઠ્ઠી નવેમ્બરે જનાબ આદિલસાહેબની પ્રથમ પુણ્યતિથિ હતી… ર.પા.ની યાદમાં એમણે લખેલી આ ગઝલ આજે એમને અને એમનાં છ અક્ષરોનાં નામને પણ એટલી જ લાગુ પડે છે! અધવચ્ચે અટકીને મક્તા લખી દઈ જીવનની ગઝલને પૂરી કરીને આપણી વચ્ચેથી ચાલ્યા ગયેલા શ્રી આદિલભાઈને લયસ્તરો અને લયસ્તરોનાં વાંચકો તરફથી હૃદયપૂર્વકની સાદર શ્રદ્ધાંજલિ.
Permalink
October 31, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમણીક અગ્રાવત, લગ્નગીત, સપ્તપદી વિશેષ

. (ચિત્ર સૌજન્ય: નૈનેશ જોશી)
*
સામાજિક કારણોસર આવતા અઠવાડિયે અમેરિકાની ટૂંકી મુલાકાતે જઈ રહ્યો હોવાથી આવનાર પખવાડિયામાં આપના પ્રતિભાવોનો પ્રત્યુત્તર કદાચ ન આપી શકાય એ માટે ક્ષમા પ્રાર્થું છું.
-વિવેક
*
જળ લઈ હથેળીમાં
ખળખળતાં નિત્ય વહેવાનું
જળસાક્ષીએ લીલું પ્રણ લઈએ.
આ અગ્નિ છે મધ્યસ્થ
કરશું ને ઠારશું બનતું
અગ્નિસાક્ષીએ સંતપ્ત પ્રણ લઈએ.
ધરજે હળવે હળવે પગ
ધરતીખોળે સાથોસાથ ડગ માંડવાનું
અડગ પ્રણ લઈએ.
ફરફરતી લટ તારી મને બાંધે
નહીં થવા દઈએ સખ્ય વાયવીય કદીય
વાયુસાક્ષીએ અફર પ્રણ લઈએ.
હોય બધે પણ દેખાય નહીં ક્યાંય
અવકાશસમ પ્રણયમત્ત રહીશું
…પ્રણ લઈએ.
ફૂલગજરા, વેણીમાં મરકતી સેવંતી
ગુલાબ માળા, વરસતી પાંખડીઓ :
સૌરભસાક્ષીએ
નિર્મળતા જીરવવાનું પ્રણ લઈએ.
સ્વજન, સ્નેહીઓ, ગુરુજનો
તમારી સાક્ષીએ સોંપાઈએ પરસ્પરને
ઊજવશું ઐક્ય
પ્રણપૂર્વક પ્રણયપથ લઈએ.
– રમણીક અગ્રાવત
લયસ્તરો પર આવતીકાલથી એક નવી જ ‘ફ્લેવર’ના કાવ્યોનો રસથાળ એક વિશેષ પ્રસંગ નિમિત્તે પીરસાનાર છે એની પૂર્વતૈયારીરૂપે રમણીક અગ્રાવતની આ કવિતા…
‘અવસર આવ્યા આંગણે’ – આ કાવ્ય સંગ્રહમાંથી લોકગીતના ઢાળે ચાલતું આ લગ્નગીત સાભાર લીધું છે. કવિએ એમના પુત્ર-પુત્રવધૂના લગ્ન નિમિત્તે લગ્નના ભાતીગળ પાસાંઓને આવરી લેતાં લોકબોલીમાં લખેલા લગ્નગીતોનો આ વિશિષ્ટ સંપુટ છે જેમાં કંકોતરી, નોતરું, વડી-પાપડ, પ્રભાતિયું, સાંજી, વધામણી, ગણેશસ્થાપન, માણેકસ્થંભ, મામેરું, અંઘોળ, ઉકરડી, વરઘોડો, અણવર, પોંખણું, કન્યાવિદાય જેવા તમામ પાસાંઓ પરની ગીતરચનાઓ સમાવિષ્ટ છે. દરેક પ્રસંગને અનુરૂપ રેખાચિત્રો અને દરેક પ્રસંગની લાક્ષણિક્તાઓનો ટૂંકો આલેખ પણ અહીં સામેલ છે. ટૂંકમાં, ગુજરાતના ગામડાંઓમાંથી પણ હવે ભૂંસાતા જતી લગ્નપરંપરાનો આ એક ઐતિહાસિક દસ્તાવેજ છે જે દરેક ગુજરાતીના ઘરમાં હોવો ઘટે…
Permalink
October 30, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વેણીભાઈ પુરોહિત
એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,
તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો.
એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી,
મેડીમાં દીપક જલતો’તો એ દીપક નહિ પણ પ્યાર હતો.
જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી
ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો.
ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો ?
નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો તહેવાર હતો.
જ્યાં કોઈ વસી જ શકે નહિ, પણ જ્યાં અવરનવર સંગ્રામ થતા,
બે સરહદની વચ્ચેનો ટુકડો એવો આ અવતાર હતો.
આ દિલ પોતાને ડંખી ડંખી હાય રે ચટકા ભરતું’તું,
એ ચુંબનથી ચંદરવો આખો કેવો બુટ્ટાદાર હતો !
માસૂમ હવાના મિસરાઓમાં કેફી ઉદાસી છાઈ હતી,
કુદરતની અદા, કુદરતનીઅદબ, કુદરતનો કારોબાર હતો.
ઊર્મિનું કબૂતર બેઠું’તું નિજ ગભરુ દર્દ છુપાવીને,
આંખોમાં જીવન સ્વપ્ન હતાં, પાંખોમાં જીવનભાર હતો.
ભરતીને ઓટ કિનારે ભમતાં, પણ હું તો મઝધાર હતો,
મન ભીનું ભીનું જલતું’તું, એ આતશનો આધાર હતો.
– વેણીભાઈ પુરોહિત
વેણીભાઈની એક ઊર્મિશીલ રચના. બે સરહદની વચ્ચેનો ટુકડો અને ઊર્મિનું કબૂતરવાળા બે શેર નાનપણથી મારી જીભે ચડી ગયેલા એ કારણોસર આ ગઝલ તરફ એક ખાસ કહી શકાય એવો પક્ષપાત હું અનુભવું છું…
Permalink
October 29, 2009 at 3:28 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, મકરન્દ દવે
જિંદગી કોને કહો છો, જો નહિ
આંખમાં લાલી ભરી સ્વપ્નો તણી ?
ને સ્વપ્નને સાચાં કરી ઊતારવા
ઝંખતી ના આરઝૂ હૈયા તણી ?
જિંદગી શી ચીજ છે, જો એ નહિ
કૂચ સાધે ધ્યેયની રેખા ભણી ?
ફુરસદ નહિ યે બે ઘડી ખોટી થવા
મોજ મીઠી માનવા આંસુ તણી ?
જિંદગી શું છે કહોને, જો નહિ
તાઝગી જાણે કદી એ તેજની ?
વિશ્વને અંધાર જો એ ના બને
અંત સુધી સળગતી અગ્નિકણી ?
-મકરન્દ દવે
ગઝલની ચાલમાં ચાલતું જિંદગીને વિધાયકભાવે સ્વીકારવા અને સદા અગ્રેસર થવા આહ્વાન આપતું ઊર્મિકાવ્ય…
Permalink
October 28, 2009 at 8:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, રાહી ઓધારિયા
હું જેમ જેમ તારો દીવાનો થતો ગયો-
બસ એમ એમ મારો જમાનો થતો ગયો.
એનો થતો ગયો અને આનો થતો ગયો,
કોને ખબર હું કેમ બધાનો થતો ગયો !
આપી છે તારી પ્રીતે નજરને વિશાળતા,
તારો થયા પછી હું ઘણાનો થતો ગયો.
વ્યક્તિત્વ ઓગળી ગયું તારા વિચારમાં,
મોટા થવાની સાથ હું નાનો થતો ગયો.
કેવી અસર થઈ છે મને તારા સંગની-
જાણે કે હું જ મારા વિનાનો થતો ગયો !
-રાહી ઓધારિયા
માણસ જ્યારે પ્રેમમાં દુ:ખી હોય ત્યારે એને લાગે છે કે એનું દુનિયામાં કોઈ જ નથી. પરંતુ પ્રેમનાં પરમાનંદમાં ડૂબેલા માણસને આખી દુનિયા જ પોતીકી લાગે છે… જેને પ્રેમ અને પ્રેમીનાં સંગનો જબરદસ્ત નશો ચડ્યો હોય, એને જો આખી દુનિયા ઉલટીપુલટી ન લાગે તો જ નવાઈ ! 🙂
Permalink
October 27, 2009 at 9:00 AM by ઊર્મિ · Filed under ગીત, મેઘજી ખટાઉ ડોડેયા 'મેઘબિન્દુ', મેઘબિન્દુ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !
સુખની ઘટના લખું તમોને ત્યાં દુ:ખ કલમને રોકે,
દુ:ખની ઘટના લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.
અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં;
તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ !
-મેઘબિન્દુ
મુંબઈમાં- મુલુંડમાં રહેતાં કવિ ‘મેઘબિન્દુ’નું આખું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જ.તા. – ૧૯૪૧). વાંચ્યું છે કે એમની કવિતાનું મૂળ એમની અંગત સંવેદનામાં છે. જ્યારે પ્રિયજનને કાગળ લખવા બેસીએ ત્યારે ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય, પણ તોયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું, શું ના લખવું- ની વિમાસણમાં ડૂબી જવાય છે… અને એ વિમાસણમાં ને વિમાસણમાં જેમાં આખું હૈયું ઠાલવવાનું હોય છે એ કાગળ સાવ અધૂરો જ રહે છે… ઝળઝળિયાંથી આગળ તો જઈ જ નથી શકતું…! આ સુંદર ગીતનો દિવ્ય ભાસ્કરની હયાતીનાં અક્ષર કોલમમાં આવેલો આસ્વાદ સુ.દ.નાં શબ્દોમાં અહીં વાંચો.
કવિશ્રીનાં કાવ્યસંગ્રહો : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય
Permalink
October 26, 2009 at 11:00 AM by ઊર્મિ · Filed under કૈલાસ પંડિત, ગઝલ
ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી મનાવું ? ખરાં છો તમે.
હજી આવી બેઠાં ને ઊભાં થયાં ?
અમારાથી આવું ? ખરાં છો તમે.
ન પૂછો કશુંયે, ન બોલો કશું !
અમસ્તા મૂંઝાવું ? ખરાં છો તમે.
ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.
હતી ભાગ્યરેખા ભૂંસાઈ ગઈ,
નવી ક્યાંથી લાવું ? ખરાં છો તમે.
-કૈલાસ પંડિત
આપણનેય સાવ હળવા કરી દેતી સાવ હળવી ગઝલ… જો કે અંતમાં કવિ હળવાશથી ને હળવેકથી ઘણી ગંભીર વાત કરી જાય છે !
Permalink
October 25, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શાદ જામનગરી
કેમ વિહ્વળ છું પ્રતીક્ષા પણ નથી,
આમ જો પૂછો તો કંઈ કારણ નથી.
પારદર્શક કાચ જાણે કાયદો,
અવતરણ મધ્યેય કંઈ વિવરણ નથી.
ખૂબ ટીપાયો ઘડાયો ઘાટ પણ,
તાપ, એરણ કે હથોડા, ઘણ નથી.
સાત સાગર પણ ઊલેચાઈ ગયા,
ને હથેળી મધ્યબિંદુ પણ નથી.
ઘર મહીં આવ્યાં અને ચાલ્યાં ગયાં,
ને છતાં પગલાંનાં કંઈ લક્ષણ નથી.
ભાવભીનું છે અહીં સ્વાગત ઘણું,
બારણે બાંધ્યાં કોઈ તોરણ નથી.
આપને જોયા વિના મસ્તક નમે,
મન મનાવું એટલી સમજણ નથી.
ચાર નયનો કંઈક ક્ષણ-બે-ક્ષણ મળ્યાં,
પ્રેમ માટે ‘શાદ’ કંઈ ભાષણ નથી.
-‘શાદ’ જામનગરી
એક એવી ગઝલ જેને જેટલી વધુવાર ઘૂંટીએ, એ વધુ ને વધુ ગમતી જાય અને અર્થોના નાનાવિધ આકાશ ઉઘડતાં જાય…
Permalink
October 24, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાકિન કેશવાણી
રહી પડદામાં દર્શનની ઝલક થોડીઘણી આપો,
ન આપો ચંદ્ર મારા હાથમાં, પણ ચાંદની આપો.
પ્રતીક્ષાને બહાને જિંદગી જીવાઈ તો જાશે,
તમારા આગમનની કંઈ ખબર ખોટીખરી આપો.
સિતારી ના ધરો મુજ હાથને બંધનમાં રાખીને,
જો મારા હોઠ સીવો તો ન મુજને બંસરી આપો.
વધુ બે શ્વાસ લેવાનું પ્રલોભન પ્રાણને આપું,
મને એવી મિલન-આશા તણી સંજીવની આપો.
હું કોઈની અદાવત ફેરવી નાખું મહોબ્બતમાં,
તમે ‘સાકિન’ને એવો પ્રેમનો પારસમણી આપો.
– ‘સાકિન’ કેશવાણી (મહમ્મદ હુસેન હબીબભાઈ કેશવાણી)
(૧૨-૦૩-૧૯૨૯ થી ૩૧-૦૩-૧૯૭૧)
ગઝલ સંગ્રહ: ‘આરોહણ’, ‘ચાંદનીના નીર’
આ ગઝલ વિશે વાત કરતી વખતે કવિ હરીન્દ્ર દવે કહે છે, ‘ વિષ્ણુ અને નારદ વચ્ચે સંવાદ થાય અને નારદ જો વિષ્ણુને પૂછે કે પ્રભુ! આ મૃટ્યુલોકના માનવીઓ તમારી પાસે ઘણું ઘણું માંગતા હોય છે પણ એમાં સૌથી સરસ માગણી કરતાં કોને આવડે છે? તો ભગવાને ઉત્તર આપ્યો હોત, દેવર્ષિ, માગણી કરતા તો બે જ માણસોને આવડે છે – કવિને અને પ્રેમીને. કવિ અને પ્રેમીજન જે માગણી કરે છે એ હંમેશા અદભુત હોય છે – કારણ કે તેઓ ભાગ્યે જ પોતાના માટે કંઈક માંગે છે. એમાં ‘હું’ કે ‘મને’ આવે ત્યારે પણ એ શબ્દો તમામ વાંચનારા માટે અને પ્રેમ કરનારાઓ માટે સાચા હોય છે.
યુવાન વયે અચાનક નિધન પામનાર આ કવિની આ ગઝલમાં કવિ અને પ્રેમી બંનેની માગણી એક જ બિંદુ પર આવીને કેન્દ્રિત થઈ છે. લગાતાર દર્શન નહીં, એક ઝલક આપો… આખો ચંદ્ર નહીં, માત્ર ચાંદની આપો… આખા વિશ્વના નફરતના લોઢાને કંચન બનાવી શકે એવો પારસમણી આપો…
Permalink
October 23, 2009 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, હરિવલ્લભ ભાયાણી
ઓ મથુરાપથિક !
જઈને કૃષ્ણ દ્વારે
તારસૂરે
આટલું ઉદ્ગારજે ગોપીવચન :
‘કાલિંદીનાં જળ
કાળી વિષજ્વાળે
ફરી સળગી ઊઠ્યાં…’
-અનુ. ડૉ. હરિવલ્લભ ભાયાણી
ગોપીની વેદનાની ચીસ સમું લઘુકાવ્ય… ગોપી અને કૃષ્ણનો પ્રેમ એટલા માટે ચિરંજીવ થયો કે બેમાંથી કોઈએ મમત્વ ન દાખવ્યું. ગોપીને અણસાર આવી ગયો હતો કે આ તો વિશ્વનો તારણહાર છે એને પાલવડે ન બંધાય. ગોપીએ કૃષ્ણને કોઈ પણ શરત વિના મુક્ત કર્યા અને એટલે કૃષ્ણ જન્મજન્માંતર સુધી એનો બની ગયો… પણ ત્યાગ કંઈ વિરહની ઔષધિ પણ તો નથી ને ! વિયોગ પીડે નહીં તો પ્રેમ કેવો? ગોપી એની સહજ સરળ ભાષામાં મથુરા જતા યાત્રીને કૃષ્ણને માત્ર એટલું જ કહેવા કહે છે કે કાલિંદીના જળ વિરહની વિષજ્વાળાઓથી ફરી સળગી ઊઠયાં છે. કવિતા આ વાત કહેવાની પદ્ધતિમાં છે. વાત તારસૂરે કહેવાની છે જેથી કૃષ્ણને વાતનો મૂળ તંતુ પકડાય. કવિતા જળના સળગવાની વાતમાં છે… કાલીનાગને તો નાથી લીધો, ક્હાન… હવે વિરહના સર્પને શીદ નાથશો?!
Permalink
October 22, 2009 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, નિરંજન ભગત, મુક્ત પદ્ય
(સિંહને જોઈને)
એ છલંગ,
એ જ ન્હોર
નેત્રમાંય એ જ તેજ, એ જ તોર
એ ઝનૂન
એ જ તીક્ષ્ણ દંત છે ચહંત એ જ ખૂન,
પૌરુષે પ્રપૂર્ણ એ જ રોમ રોમ,
રે, પરંતુ ચોગમે નથી વિશાળ વન્યભોમ.
પિંજરે પૂરી તને જણાવશું
સમાજની કળા બધીય, સભ્યતા ભણાવશું,
અને બધાય માનવી અમે થશું
તને જ જોઈ જોઈ સભ્યતા થકી પશુ.
– નિરંજન ભગત
એક નાની અમથી ઘટના. ઝૂમાં પાંજરે પૂરાયેલો સિંહ. આ ઘટનામાંથી આપણામાંથી કોણ પસાર નહીં થયું હોય? પણ કવિ એ જે સામાન્યને અસામાન્ય કરી દે. કવિતા એ જે જીવનમાંથી જન્મે પણ જીવનને જીવવા જેવું બનાવે. માણસ સિંહને પાંજરે પૂરી સભ્યતા ભણાવે છે કે પછી પાંજરે પૂરેલા સિંહને જોઈ જોઈને ખુદ જનાવર થતો જાય છે? કવિતામાં કવિએ ગુલબંકી છંદનો એટલો બખૂબી પ્રયોગ કર્યો છે કે સિંહની ગતિ, એનું જોમ અને એનો જોરાવર જુસ્સો મોટેથી કાવ્યપઠન કરતાં હોઈએ તો સહજ અનુભવાય. ગાલગાલગાલગાલની ચાલમાં ચાલતો આ છંદ કવિતાને કેવો ઉપકૃત નીવડ્યો છે !
Permalink
October 21, 2009 at 2:00 PM by ઊર્મિ · Filed under મુક્તક, રઈશ મનીયાર
ચેતજે જીતમાં ય હાર ન હો,
સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો;
એવો કોઈ મુગટ બન્યો જ નથી,
જેનો માથે જરા ય ભાર ન હો.
-રઈશ મનીઆર
નવલા વર્ષે ગાંઠે બાંધી રાખવા જેવી વધુ એક મજાની ચેતવણી… 🙂 રઈશભાઈ તરફથી.
Permalink
October 20, 2009 at 8:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, જિતુ પુરોહિત
અવસર ભીની ક્ષણ આપી દે,
ખોબો નહિ તો કણ આપી દે.
લીલેરા બે ઘૂંટ ભરી લઉ,
પછી ભલે તું રણ આપી દે.
કબીરને આપ્યું’તુ એવું,
એકાદું વળગણ આપી દે.
જીવતર થાય સફળ જેનાથી,
સમજણ તું બે-ત્રણ આપી દે.
ભલે હોય એ પળ બે પળનું,
સોનેરી સગપણ આપી દે.
-જિતુ પુરોહિત
અહીં આખી ગઝલમાં કવિની સીધેસીધી માંગવાની રીત (ખાસ કરીને મત્લાનો શેર) શ્રી સુન્દરમ્ ની પ્રભુ પાસે માંગવાની પેલી અનોખી રીતવાળા એક ખૂબ જ મજાનાં ગીતની ખાસ યાદ અપાવે છે…. એક કણ રે આપો, આખો મણ નહિ માંગુ; એક કણ રે આપો, ભંડાર મારાં એ રહ્યાં.
Permalink
October 19, 2009 at 8:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, રાજેશ મહેતા 'રાજ'
યાદ કરું ને સામે મળવું, ક્યાં સહેલું છે?
એકબીજામાં એમ ઓગળવું, ક્યાં સહેલું છે?
ભરચોમાસે બારી પાસે બેસી રહીને,
ચાર ભીંતોની વચ્ચે બળવું, ક્યાં સહેલું છે?
વરસો પહેલાં ગણગણતી એ ગીત, હવે તો-
તારા હોઠેથી સાંભળવું, ક્યાં સહેલું છે?
તેં દીધેલાં પત્રો મારી પાસે છે, પણ;
રોજે રોજ એ વાંચન કરવું, ક્યાં સહેલું છે?
કોઈ નદીની જેમ તું, અહીંથી ચાલી ગઈ છે,
કાંઠે બેસીને ટળવળવું, ક્યાં સહેલું છે?
આંખોમાં રંગ આવશે, તારી મહેંદી જેવો,
નસીબ સહુનું, સૌને ફળવું, ક્યાં સહેલું છે?
તારા ઘરના ફળિયે, લીલા તોરણ જોઈને,
અધ્ધવચ્ચેથી આગળ વધવું, ક્યાં સહેલું છે?
-રાજેશ મહેતા ‘રાજ’
કેવી મજાની અને સાચુકલી વાત!… સાવ સહજ ભાસતું આવું બધું ખરેખર ક્યાં સહેલું હોય છે!
લયસ્તરો પરથી સૌ વાચકમિત્રોને અમારા નૂતન વર્ષાભિનંદન…!
Permalink
October 18, 2009 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, પ્રિયકાંત મણિયાર, મુક્ત પદ્ય
ક્યાંકથી
ભૂલી પડી આવે હવા બસ : તૃણ નથી
ચોમેરમાંયે : તપ્ત કણ છે રેતના : તડકો પડ્યો :
ત્યાં કાય તો કેવળ રહી કૃશ હાડકાંનો માળખો
ને એ છતાં એ શ્વાસ લેતી (જેની તો અચરજ થતી)
-હાથમાં આવી ગયેલા મૃત્યુને વાગોળતી !
-પ્રિયકાન્ત મણિયાર
આપણા આજના સમાજ અને પ્રવર્તમાન સંસ્કૃતિ-સભ્યતાનો નગ્ન ચિતાર કવિએ ગાયના પ્રતીક વડે કેવો ટૂંકાણમાં આપી દીધો છે ! ચોમેર ખાવા માટે લગીરે ઘાસ નથી. છે તો માત્ર ક્યાંકથી ભૂલી પડી આવતી હવા. નીચે તપેલી દઝાડતી રેતી અને માથે તડકો. એક પગ કબરમાં પડેલો છે એવી આ ગાયનું શરીર તો હાડકાંનો એવો માળો બની ગયું છે કે એ શ્વાસ શીદ લે છે એનું પણ આશ્ચર્ય થાય.
હવે આ આખી વાતને આપણા સમાજ અને સંસ્કૃતિને સામે રાખીને ફરી વાંચીએ તો…
પ્રસ્તુત કવિતા નખશીખ છંદમાં લખાયેલી છે. અહીં ‘ગાલગાગા’ના અનિયમિત પણ ચુસ્ત આવર્તનો વપરાયા છે. માત્ર આખરી પંક્તિની આગળના વાક્યાંતે કવિએ એક ગુરુનો લોપ કર્યો છે. અચરજ થયા પછી ઘડીક અટકી જવાની વૃત્તિનો નિર્દેશ તો નહીં હોય એમાં?!
Permalink
October 17, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
દીપોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો. –
ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-
જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-
આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલો પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત વાઓ.
– ચંદ્રકાન્ત શેઠ
લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને દિવાળીની પ્રકાશિત મંગળ કામના અને નવા વર્ષની રંગરંગીન શુભેચ્છાઓ…
Permalink
October 16, 2009 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, દુર્ગાચરણ પરિડા, ભોળાભાઈ પટેલ
દુર્દમ નદીના વમળમાં
કૂદી પડે છે એક ફૂલ
એક તેજસ્વી ફૂલ
તે ફૂલ સાહસનું.
ઉન્મત્ત વાવાઝોડાના ઓઠ
ચૂમે છે
એક પાંદડું
એક લીલું પાંદડું
તે પાંદડું વિશ્વાસનું.
અંધકારની વેલ પર
ખીલે છે એક કળી
તે કળી પ્રકાશની.
-દુર્ગાચરણ પરિડા
અનુ. : ભોળાભાઈ પટેલ
જીવનના સંઘર્ષનો સામનો એમની સામે થઈને નહીં, પણ સાથે રહીને વધુ સારી રીતે કરી શકાય એ વાત અહીં કવિ કેવી ખૂબસુરતીથી કરે છે ! નદીના વમળથી ડરી જનારની સંખ્યા વધુ છે, એમાં ઝંપલાવી દેનારની જૂજ. અહીં કવિ ફૂલને વમળમાં ઝંપલાવતું કલ્પે છે. વમળ જેવી પ્રચંડ આપત્તિની સન્મુખ પુષ્પની કોમળતાને કવિ ગોઠવે છે. પણ કદાચ એવું બને કે ભલભલી તોતિંગ વસ્તુને ઓહિયા કરી જતું વમળ ફૂલને કિનારે પણ ઉતારી દે. વળી આ ફૂલ સાહસનું ફૂલ છે. ઉન્મત્ત વાવાઝોડું તોતિંગકાય વૃક્ષોને પણ જમીનદોસ્ત કરી દે છે પણ વાવાઝોડાંની સામે નહીં, સાથે ઊડનાર પાંદડાને એ શી હાનિ કરી શકે ? જુઓ, અહીં પાંદડું વિશ્વાસનું છે અને વળી લીલું છે, તાજગીભર્યું. વિશ્વાસ કદી પીળો ન પડી શકે. એમ જ અંધકારની વેલ પર જે ઉગવાની હિંમત કરે એ કળી તો પ્રકાશની જ હોય ને !
વમળ, વાવાઝોડું અને અંધકાર આપણાં જીવનનાં સનાતન સત્ય છે, ફૂલ, પર્ણ અને કળીની જેમ જ. સત્યનો સંપૂર્ણ સ્વીકાર જ હોઈ શકે, આંશિક નહીં. આપત્તિને સ્વીકારીએ, સમજીએ અને એની હારોહાર જીવતાં શીખીએ તો જ સાચું જીવાશે…
Permalink
October 15, 2009 at 1:44 AM by વિવેક · Filed under અછાંદસ, મકરન્દ દવે, માસુહિતો, વિશ્વ-કવિતા
પરમ દિવસે મેં તને જોયો,
અને કાલે, અને આજે,
અને એમ જ, જરા જો !
આવતી કાલે તને જોવા ચહું.
– માસુહિતો (આઠમી સદી) (જાપાન)
(અનુ. મકરન્દ દવે)
પ્રેમની વાર્તા આદિથી અનાદિ અને અનંત સુધી વિસ્તરે છે. પ્રેમના વાક્યમાં કદી પૂર્ણવિરામ સંભવી શકે નહીં. મેં તને પરમ દિવસે જોયો, કાલે પણ અને આજે પણ… પણ તોય આ દિલને સંતોષ થઈ શકે ખરો? ના… આ દિલ તો ફરી ફરીને એમ જ ચાહવાનું કે આવતીકાલે પણ તારે એ જ રીતે મળવું પડશે…
Permalink
October 14, 2009 at 10:48 PM by ધવલ · Filed under મુક્તક, સંજુ વાળા
અચળ ઊંડાણ છે આ હાથમાં
અગોચર ખાણ છે આ હાથમાં
સલામત એ જ મૂઠ્ઠી બંધ હો
ગજબ ખેંચાણ છે આ હાથમાં
– સંજુ વાળા
Permalink
October 13, 2009 at 8:34 PM by ધવલ · Filed under ગીત, ભગવતીકુમાર શર્મા
પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!
પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી…
કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી…
વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!
– ભગવતીકુમાર શર્મા
પતંગના નામે કવિ પોતાની કલ્પનાને છૂટ્ટી દોર આપીને તદ્દન નવી જાતનું ગીત બનાવે છે. ધરતી પરની આંકાક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ આકાશમાં પડે છે.
Permalink
October 11, 2009 at 12:47 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે ?
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે ?
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને
બે ય બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે ?
એ ખરું કે જીરવી શકતો નથી ઉકળાટ, પણ
એક છાંટો પાછલા વરસાદનો ક્યાંથી ગમે ?
પાંદડાં ઝાકળ વિખેરે, ડાળ પણ નિર્મમ થતી,
કોઈને પણ આ તકાદો કાળનો, ક્યાંથી ગમે ?
મૌનનાં ઊંચા શિખર આંબ્યા પછી ‘ઈર્શાદ’ને
શેષ વધતો ટુકડો આકાશનો ક્યાંથી ગમે ?
– ચિનુ મોદી ‘ઈર્શાદ’
ખાલીપણા અને એકલતાના બોજની વ્યથાનો બોજ ઊઠાવીને ચાલતી આ ગઝલ વાંચતા અંદર કશું તડાક્ તૂટતું અનુભવાય છે. ઓળંગી ન શકાય એવા એકાંતની વાત કવિએ કેવી ઋજુતાથી કરી છે! આ એક એવી એકલતા છે જ્યાં ડાબે-જમણે ગમે ત્યાં વળો, એકાંત ને એકલતા સિવાય બીજું કંઈ જ નથી.
Permalink
October 10, 2009 at 1:04 AM by વિવેક · Filed under ગીત, મુકુન્દરાય પારાશર્ય
બેન, બંધાતી છીપલી ખોલીએ નૈં
બેન, ઉરની સુવાસને તોળીએ નૈં
બેન, જીવવાના અવસરને ટાણે એ પ્રીતડી બોલીએ નૈં
બેન, આછરતાં નીરને ડોળીએ નૈં
બેન, પોતાની છાંયમાં મોહીએ નૈં
બેન, અંતર-વસનારને સેવ્યા વિણ એકલાં સૂઈએ નૈં
બેન, કાચી કળિયુંને કદી તોડીએ નૈં
બેન, સરજાતી સુરભિને વેરીએ નૈં
બેન, ઋતુવરના સ્પર્શની વેલાં થઈ ફૂલડું ખીલીએ નૈં
બેન, મધુવનની વાતડી છેડીએ નૈં
બેન, પામ્યા સંકેતને બોલીએ નૈં
બેન, માધવનું હેત મળ્યું કેવું, એ કોઈને કહીએ નૈં
બેન, હું પદ રાખી એને પેખીએ નૈં
બેન, વિરહે દાઝીને એને ભેટીએ નૈં
બેન, ફૂલડાંનો હાર થયા પ્હેલાં શ્રીકંઠમાં પડીએ નૈં
-મુકુન્દરાય પારાશર્ય
બધી વાત કંઈ ખોલી-ખુલીને કહેવાની હોતી નથી. બાંધી મુઠ્ઠી લાખની જાણતા હોવા છતાં મનુષ્યની પ્રકૃતિ જ કંઈક એવી છે કે એને માંડીને વાત કહેવાની તાલાવેલી લાગતી રહે છે. એક ઠંડી ખુશનુમા હવાના સાંનિધ્યમાં સુંદર સૂર્યાસ્ત માણતાં હોઈએ ત્યારે શબ્દોનો વિનિમય વૃથા અને ક્યારેક સૌંદર્યપાનમાં વ્યવધાનરૂપ પણ હોય છે.. છતાં આપણને બોલ્યા વિના ચાલતું નથી કે શું સરસ સૂર્યાસ્ત છે!
બે સાહેલીની વાતચીતના રૂપમાં કવિ અહીં એ જ બોધ આપે છે. છીપલી બંધાતી હોય ત્યારે ખોલી કાઢીએ તો? સ્વાતિ નક્ષત્રમાંથી વરસેલું જળ પણ નકામું જાય અને મોતી બને જ નહીં. કળી પણ ઋતુવરનો સ્પર્થ થાય એ પહેલાં જ એ કાચી હોય ત્યારે તોડી નાંખીએ તો પછી પુષ્પ અને પમરાટ ક્યાંથી નસીબ થવાના? ઈશ્વરને પામવા હોય તો હું પદ છોડીને પહેલાં પુષ્પમાળા બનવું પડે… વ્યક્તિત્વના પુષ્પોની સુગ્રથિત માળા ન બનીએ તો પ્રભુકંઠ શી રીતે નસીબ થાય?
Permalink
October 9, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિમાંશુ ભટ્ટ
સાંજ ટાણે રોજના શાના વિચારો હોય છે ?
જેમના ઉત્તર ના હો, તે શું સવાલો હોય છે ?
હો ખુદાનો કે બીજાનો, તો હજુ સમજાય, પણ
ડર તને તારો જ ભારોભાર શાનો હોય છે ?
શક્ય હો તો એક-બે ભૂલો નજરઅંદાજ કર
એમની પાછળ કદી માણસ મજાનો હોય છે.
રક્ત પર અંકિત થશે ડાઘા દલાલીના સતત,
પિંડ હો તારું ને જો છાંયો પરાયો હોય છે.
એક આ તર્પણ – હો ગંગાતટ અને ખોબામાં જળ,
એક તર્પણ આ ય જ્યાં દીકરો સવાયો હોય છે.
– હિમાંશુ ભટ્ટ
અમેરિકાના હિમાંશુ ભટ્ટની એક ગઝલ… ભૂલોને નજર અંદાજ કરવાવાળૉ શેર મને તો ખૂબ ગમી ગયો. સાચી વાત છે, આપણે સામાની ભૂલને એટલી મેગ્નિફાય કરીએ છીએ કે એની પછીતે રહેલો સારો માણસ કદી નજરે ચડતો જ નથી… સંબંધોની, ખાસ કરીને દામ્પત્યની શિથિલતાનું મુખ્ય કારણ આ જ છે ને? અને છેલ્લો શેર તો ખાસ વિચાર માંગી લે એવો થયો છે…
કવિ શ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…
Permalink
October 8, 2009 at 12:36 AM by વિવેક · Filed under ગઝલ, રાકેશ બી. હાંસલિયા
શું મહેકે છે બધે લોબાન જેવું ?
ઊર્મિઓનું થાતું હો સન્માન જેવું.
સ્થિર છે ચહેરાની એક્કેએક રેખા,
ભીતરે નક્કી હશે તોફાન જેવું.
…ને પ્રપંચોની પછી શરૂઆત થાશે,
બાળકોમાં જ્યારે આવે ભાન જેવું.
જાત આખી ઓગળી રહી છે કશામાં,
આ હૃદયનું હો કશું સંધાન જેવું.
કૈંક પાથરણાં મળ્યા રેશમ સરીખા,
ક્યાં કદી ચાહ્યું હતું કંતાન જેવું !
એક પ્રાચીન વૃક્ષનું ઊભું છે ઠૂંઠું,
કેટલીયે મોસમોના બયાન જેવું.
કેમ બારીને કરું હું બંધ ‘રાકેશ’,
આ હવાનું થાય ના અપમાન જેવું.
– રાકેશ બી. હાંસલિયા
રાજકોટના કવિની એક પાણીદાર ગઝલ… ચહેરા પરની વધુ પડતી સ્થિતપ્રજ્ઞતા ભીતરના તોફાનની એંધાણી નથી આપતી હોતી? આ શેર વાંચીએ ત્યારે આ કડી યાદ આવે: तुम इतना जो मुस्कुरा रहे हो, क्या गम है जिसको छिपा रहे हो? .. એક બીજો પણ શેર યાદ આવે છે: ચાહ માણસની મહત્તમ જ્યારે થાય, શાંત મધદરિયા સમો દેખાય છે. ગઝલના છેલ્લા બે શેર પણ મજાના થયા છે. અને હવાના અપમાનવાળી વાત તો દુબારા દુબારા કહેવા મજબૂર કરી દે એટલી સરસ થઈ છે…
Permalink
October 7, 2009 at 10:56 PM by ધવલ · Filed under નાઝ માંગરોલી, મુક્તક
મારા ઘડપણના સહારા, મારા ઓ ભાવિ સપૂત
કાં અધીરો થાય છે, તુજને તો કાંઈ અગવડ નથી
ચાર મહિના ઓર રહી જા, તારી માના પેટમાં
આ મહિનાના બજેટમાં, ખર્ચની સગવડ નથી
*
હવે ડોશીઓ ફેશનેબલ બની છે
લગાવી લાલી, કરે છે ઠઠારો
લગાવો ભલે રંગ મોટરને જૂની
તોય લોકો તો કહેવાના એને ખટારો
*
દેશની વધતી જતી વસતીથી સહુ ગભરાય છે
બર્થના કન્ટ્રોલની વાતો બધે ચર્ચાય છે
આ નવા યુગની કરામત જોઈ લેજો દોસ્તો
વાંઝિયાઓ મૂછ પર તાવ દેતા જાય છે
*
દૂરથી જ્યારે જતું કોઈ યુગલ જોઉં છું
થાય છે શંકા, બરાબર મુજને દેખાતું નથી
વાળની સરખી લટો ને ચાલ પણ સરખી રહી
કોણ નર છે કોણ નારી, એ જ સમજાતું નથી
– નાઝ માંગરોલી
વ્યંગનો એ ખરો કે જેનો ડંખ લાગે એ પહેલા ચહેરા પર સ્મિત આવી જાય અને અર્થ પૂરો સમજાય તો સ્મિત તરત ઊડી જાય. અહીં હસવાની ગેરેંટી નથી, પણ વિચારતા કરી મૂકે એની ગેરેંટી જરૂર છે.
Permalink
October 5, 2009 at 9:39 PM by ધવલ · Filed under ગઝલ, વિસ્મય લુહાર
અરધું તારું, અરધું મારું
આંખોમાં છે જે અંધારું
ભડભડ અગ્નિ બુઝાવું પણ
ભીની જ્વાળા શેં હું ઠારું ?
બાગ તમારો પોતાનો પણ
રણ તો છે સૌનું સહિયારું.
એક ગલીમાં ભરબપોરે
સૂરજ વરસાવે અંધારું !
શ્હેર થવાની સડકે દોડ્યું.
ધૂળ ધફોયું ગામ અમારું.
– વિસ્મય લુહાર
નવી જ કલ્પનસૃષ્ટિ લઈને આવેલી આ ગઝલ ધીરે ધીરે ખૂલે છે. માણસ સુખને personalize કરી શકે પણ દુ:ખ તો બધાનું universal જ રહેવાનું. આ વાતને કવિએ બહુ નજાકતથી કરી છે. સૂરજ તો ભલે ગમે તેટલો તપે, અમુક ગલીઓમાં તો કાયમ અંધારું જ રહેવાનું.
Permalink
October 4, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પ્રફુલ્લ પંડ્યા
મનની સાથે વાત કરી મેં,
પસાર આખી રાત કરી મેં.
એક નજાકત કોતરકામે-
દિલમાં દિલની ભાત કરી મેં.
શું કામ એકલવાયા ઝૂરવું,
શમણાંની બિછાત કરી મેં.
સમય બડો બલવાન નીકળ્યો,
નહીં તો નિજ પર ઘાત કરી મેં.
મોતના મરમી દૂર પ્રદેશે,
છેવટ મુલાકાત કરી મેં.
અચરજ ગુંબજ ચણવા બેઠું,
વિસ્મયની મહોલાત કરી મેં.
મેં જ વગાડ્યાં મારા ડંકા
મંદિર જેવી જાત કરી મેં.
– પ્રફુલ્લ પંડ્યા
એકલતા કોને નથી પીડતી ? અને એકલતાથી બચવું કોને નથી ગમતું? એવો કયો કવિ હશે જેણે એકલતાનાં ગીત નહીં ગાયાં હોય? પણ આ ગઝલના એકલતાવાળા શેરની ઊંચાઈ અને ઊંડાણ તો જુઓ ! શા માટે કોઈએ એકલવાયા ઝૂરવું જોઈએ ? સપનાંનો સધિયારો ન લેવો જોઈએ? પણ શું સપનાંનો સધિયારો એકલતા મિટાવે છે? કે પછી વધુ બળવત્તર કરે છે… ખેર, આ જ છે આ શેરની ખરી મજા… જે ક્ષણે કવિને એકલતા દૂર કરવાનો કીમિયો મળી ગયો છે એમ આપણને લાગે એ જ ઘડીએ આ એકલતા કદી દૂર નહીં થાય, બસ વધતી જ રહેશેનો કાંટાળો અહેસાસ પણ થાય છે…
Permalink
October 3, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
એક હોડી આંખમાં દેખાય છે,
હાથ મારા, લો હલેસાં થાય છે.
એક વાદળ દેખીને આકાશમાં,
કૈંક ટહુકા ભીતરે ઘેરાય છે.
આંખમાં કાજળ હવે ટકતું નથી,
હૈયું જાણે આંખથી રેલાય છે.
બારીમાંથી આમ બસ જોયા કરું,
ટેકરી પર ઘાસ વધતું જાય છે.
આભ તો ખૂલી ગયું વર્ષા પછી,
ભીતરે આ શૂન્ય ગોરંભાય છે.
-હર્ષ બ્રહ્મભટ્ટ
બારી એટલે આપણા ભીતરને બહાર સાથે પ્રત્યાયન કરવા માટેની ખુલ્લી સગવડ. પણ કૈક ઉગાડવું હોય તો નિષ્ક્રિયતા ત્યજીને ભીતરેથી નિસરીને બહાર જવું જ રહ્યું અન્યથા જે ટેકરી પર છમ્મલીલા વૃક્ષો ઊગી શકે છે, ત્યાં ઘાસ સિવાય બીજું કશું નજરે નહીં ચડે.
Permalink
Page 83 of 113« First«...828384...»Last »