કશેક શેષ સફરમાં બધાંનો ખપ પડશે
અરણ્ય, પંથ કે ઠોકર કશું નકામું નથી
રઈશ મનીઆર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ખલીલ ધનતેજવી

ખલીલ ધનતેજવી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




પ્રેરણાપુંજ : ૧૧ : વાચકોની કલમે… : ૦૧

જયશ્રી ભક્ત (ટહુકો ડોટ કોમ) લખે છે-

અમે રાખમાંથીયે બેઠા થવાના,
જલાવો તમે તોયે જીવી જવાના.
ભલે જળ ન સીંચો તમે તે છતાંયે,
અમે ભીંત ફાડીને ઊગી જવાના.
(હર્ષ બ્રહ્મભટ્ટ)

આ ગઝલનું તો પોસ્ટર બનાવીને મારા ઘરમાં મૂકવાની ઇચ્છા થાય છે. દરેક પંક્તિમાં એવી ખુમારીની વાતો છે કે મન જો કશે જરા નબળું પડ્યું હોય તો જુસ્સો પાછો આવી જાય. જિંદગીની આંખોમાં આંખ પરોવીને પૂછવાની ઇચ્છા થાય, ‘બોલ, શું જોઇએ છે તારે ? ‘

રાજકોટથી લયસ્તરોના એક અનામી ચાહક લખે છે-

કાચી ઉંમરે કરેલો પહેલો પ્રેમ ક્યારેક જ પૂરો થાતો હોય છે, અને અધૂરા પ્રેમ ની મજા તો મોટા થઈએ ત્યારે શીખીએ પણ તે ઉમર માં તો એવું જ લાગે કે દુનિયાભરના તમામ કવિઓ , દરેક ભાષામાં , વિયોગ ની , બ્રેક-અપની કવિતાઓ માત્ર ને માત્ર તમારા માટે જ લખે છે! you start relating everything with you! ગોવિંદે જે આપ્યું હતું , જે થોડો સમય તમારી પાસે રહ્યું ને તમે હવે એ જ પાછું સોંપી રહ્યા છો તો પણ માલિકી ભાવ , દુઃખ , ઈગો હર્ટ , રીસ , ગુસ્સો બધું જ આવે ! (રેફ: ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પ્યતે ) And the toughest and the best decision then and even now is to “LET GO” to let your love GO ! set him free on a good note, with the heart right in place , without any hard feelings ! અને ત્યારે મને શ્રી મનોજ ખંડેરિયાનો એક શેર ખુબ કામ લાગ્યો-
“મારો અભાવ મોરની માફક ટહુકશે,
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ”

બસ આ શેરના કારણે હું એ પહેલા પ્રેમને સરળતાથી , સુકામનાઓ આપી જવા દઈ શકી !

હિમલ પંડ્યા લખે છે –

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
એ જ હોય પગની તળે – એમ પણ બને;
જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે – એમ પણ બને.

કવિશ્રી મનોજ ખંડેરિયાની ગઝલના આ બે શેરના પરિચયમાં તરુણાવસ્થામાં જ આવવાનું થયેલું. ત્યારથી જ જીવનની અને મનની અવસ્થાઓનો વાસ્તવિક ચિતાર દર્શાવતી આ પંક્તિઓ બહુ કામ લાગી છે. આપણી ઇચ્છાઓ, આપણી તૃષ્ણાઓ કેટલી ક્ષણભંગુર છે! કશુંક પામવાની ખેવના જ્યાં સુધી એ હાથવગું નથી હોતું ત્યાં સુધી જ તીવ્ર હોય છે. તો સાથોસાથ જે સુખની, કે ખુશીઓની આકાંક્ષા હોય એ ઘણીવાર જીવાતાં જીવનની નાની-નાની ઘટનાઓ અને પ્રસંગોમાં સમાયેલી હોય છે.

વિપુલ માંગરોલિયા વેદાંત લખે છે-

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને
(ખલીલ ધનતેજવી)

ખલીલ સાહેબની આ પંક્તિઓ ખરેખર એટલી ખુમારી દર્શાવે છે કે કોઈપણ નાસીપાસ થયેલા વ્યક્તિને ફરીથી બેઠાં થવા મજબૂર કરી દે. જીવનમાં ઘણીવાર આવા ઉતાર ચઢાવ આવ્યા ત્યારે આ પંક્તિઓ ખરેખર કામમાં આવી. લયસ્તરો નો આભાર કે એમણે મને આ પંક્તિઓ થી રૂબરૂ કરાવ્યો.

કવિતા શાહ લખે છે-

તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એકલો જાને રે …
– ટાગોર.
(‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …’ બંગાળી)

‘નોબેલ’ પુરસ્કૃત અને ‘સર’ની પદવી પ્રાપ્ત તેમજ એશિયાનાં બંને ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્રગીતની ભેટ આપનાર કવિ શ્રી રવિન્દ્રનાથ ટાગોરનું પ્રયાણ ગીત એટલે કે આ ‘ માર્ચ સોંગ ‘ મને ખુદનો સૂરજ ખુદ બનવા આહવાન કરે છે.

કપરા સમયમાં, એકલા પડી ગયાની પીડા વખતે આ ગીતની આ એક લીટી જ આપણને આપણે જ આપણા ઉદ્ધારક બનવાનો જુસ્સો પૂરો પાડે છે. કોઈ રાહબર બને ના બને, પથ પર પ્રકાશ ઘરે ના ધરે, કોઈ તારો પોકાર સુની આવે ના આવે તો અટકી ન જતાં એકલા નીકળી પડવાનું જોમ ભરે છે.
હતાશા ખેરવી દેતું આ ગીત કાયમ મને હાથ પકડી ટેકો પૂરો પાડે છે. ભરોસામંદ ભેરુ છે મારો.

પૂજ્ય બાપુ લખે છે-

અબ મેં ક્યાં કરું મેરે ભાઈ? મૃગલા ગયા ખેત સબ ખાઈ…
પાંચ મૃગ, પચીસ મૃગલી, રહેવે ઈસ વન માંહીં…
યે વનમે હૈં ખેત હમારા, સો વ્હૈ ચરી ચરી જાઈ…
(ગોરખનાથ)

આમ તો દરેક કવિતાને માણવી અને પ્રમાણવી ખૂબ ગમતું કામ છે પણ ગોરખનાથજીની આ કવિતા એવી તો અડી ગઈ કે વાત ના પૂછો. આ પંક્તિ પછી મને શબદગંગા ની પ્રેરણા મળી. અને મનની સ્થિરતા માટે આધ્યાત્મનો એક નવો રસ્તો પણ ખૂલી ગયો.

નાથ પરંપરાના સિદ્ધ યોગી એવા ગોરખનાથજીના આ શબદ સમજાય તો આપણું ખેતર ઉજ્જડ થતાં બચી જાય. અહીં ખેતર એ મન છે અને વન એ મનનું વિશાળ, અફાટ ક્ષેત્ર છે. પાંચ મૃગ એ ઇચ્છાના પ્રકાર છે તો પચીસ મૃગલી અવિનય, અક્રિયા, અજ્ઞાન, સંશય, અધર્મ,અશ્રદ્ધા વગેરે (જૈનધર્મ જેને પચ્ચીસ પ્રકારના મિથ્યાત્વ તરીકે ઓળખાવે છે.) મનની ખેતી માટે તો સ્થિરતાનું સિંચન જોઈએ. જો એને બાંધી શકાય તો ભક્તિનો મબલખ પાક લઈ હરિચરણે ભોગ ધરી શકાય…

ડૉ. પુષ્પક ગોસ્વામી (વડનગર) લખે છે-

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
(આદિલ મન્સૂરી)

જ્યારે આદિલ મન્સૂરી સાહેબની આ ગઝલ વાંચી ત્યારે હું અમદાવાદ રહેતો હતો. શહેરની ઝાક ઝમાળ વચ્ચે શાંતિની શોધમાં શાંતિ ખોઈ બેસેલો હું જ્યારે ગામડામાં જતો, ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિ અને આત્મીયતાનો આનંદ મળતો. એક દિવસ ખેતરના શેઢે બેઠા બેઠા આ ગઝલ સાંભળી અને મને થયું કે ખરેખર હું જે નથી તે મેળવવાની લ્હાયમાં, જે છે તેવું ઘણુંબધું ગુમાવી રહ્યો છું. અંતે મેં મારા વતન પરત ફરવાનો નિર્ણય કર્યો અને આજે હું વતનમાં ખૂબ ખુશ છું.

મિત્ર રાઠોડ લખે છે-

હું બહુ નાનો માણસ છું એવું માનતો હતો પરંતુ બરકત વિરાણી ‘બેફામ’ સાહેબની “થાય સરખામણી” ગઝલ વાંચી ત્યારથી નાનો માણસ સૌને કેટલો કામ આવી શકે છે એ વાત પર ધ્યાન ગયું અને બીજાને નાના મોટા દરેક કામમાં હું કામ આવતો ગયો. જેના કારણે આજે હું સૌનો “મિત્ર” બની શક્યો છું.

થાય સરખામણી તો ઊતરતા છીએ
તે છતાં આબરૂ અમે દીપાવી દીધી.
એમના મહેલ ને રોશની આપવા
ઝુંપડી પણ અમારી જલાવી દીધી.
(બરકત વિરાણી ‘બેફામ’)

જોરુભા ખાચર વડોદરાથી લખે છે-

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ અણમોલ કાવ્ય પંકતિ હાડોહાડ હ્રદયમાં ધ્રોપટ આરપાર નીકળી ગઈ અને સમગ્ર મેઘાણી સાહિત્ય વાંચવા પ્રેર્યો

“અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની !
બૂરી યાદે દુભવજો ના સુખી તમ જિંદગાની;
કદી સ્વાધીનતા આવે-વિનંતી,ભાઈ,છાનીઃ
અમોનેય સ્મરી લેજો જરી, પળ એક નાની !

તનસુખ શાહ ‘સ્વપ્નિલ’ લખે છે-

તારાં સ્વપ્નોમાં છું એવો લીન કે,
તું જગાડે તોય હું જાગું નહીં,
તારા સ્મરણોનાં મળે જો ફૂલ તો,
હું સદેહે પણ તને માંગું નહીં.
(ભગવતીકુમાર શર્મા)

કોલેજકાળ દરમ્યાન કવિશ્રીનો ગઝલ સંગ્રહ ‘સંભવ’ ખરીદીને વાંચેલો.એમાંથી પસાર થતાં કવિશ્રી મારા માટે પ્રેરણારૂપ બન્યા.. જે વરસો બાદ 2019 માં મારા પ્રથમ ગઝલ સંગ્રહ ‘આ શેઢે ગરમાળો’ ના પ્રાગટ્ય માટે કારણરૂપ બન્યા.

Comments (9)

પ્રેરણાપુંજ : ૦૨ : મુક્તકોનો ખુમારીભર્યો વૈભવ

કપરી ક્ષણે જયારે પોતાની જાતને પાનો ચડાવવાની જરૂર હોય ત્યારે ખુમારીભર્યા મુક્તકની ચાર લીટીઓ બહુ અકસીર ઈલાજ છે. મેં તો આ ઈલાજ ઘણો અજમાવ્યો છે. જીવનની અઘરી ક્ષણોએ જેણે છાંયો કરેલો એવાં કેટલાક મુક્તક આ રહ્યા.

અમને નાખો જિંદગીની આગમાં
આગને પણ ફેરવીશું બાગમાં
સર કરીશું આખરે સૌ મોરચા
મોતને પણ આવવા દો લાગમાં.

– શેખાદમ આબુવાલા

* * *

સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !

-શેખાદમ આબુવાલા

* * *

ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?

– શેખાદમ આબુવાલા

* * *

પર્વતમાંયે રસ્તા પડી જાય છે
મૃગજળોને તરી નાવડી જાય છે
હાંફતા હાંફતા હાંફતા એક દિ’
શ્વાસ લેતા પછી આવડી જાય છે.

– રઈશ મનીયાર

* * *

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

* * *

જે કહ્યું માને વિધાતાનું એ મુકદ્દર હું નહીં
આટલો વૈભવ છતાં ખારો સમંદર હું નહીં
મેં મુકદ્દરથી ઘણુંયે મેળવ્યું ‘મેહુલ’
અહીં જાય ખાલી હાથ તે પેલો સિકંદર હું નહીં

– મેહુલ

* * *

જીવનઉપાસનાની સદા ધૂન છે મને
હું જિંદગીનો એક નવો દૃષ્ટિકોણ છું
મારી વિચાર—જ્યોત મને માર્ગ આપશે
છું એકલવ્ય હું જ અને હું જ દ્રોણ છું

– મનહરલાલ ચોક્સી

* * *

જિંદગી ભાર માની નથી
ને નિરાધાર માની નથી
ધૂળ ખંખેરી ધપતાં જતાં
હારને હાર માની નથી

– મકરંદ દવે

* * *

અમૃતથી હોઠ સહુના એંઠા કરી શકું છું
મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું
આ મારી શાયરી એ સંજીવની છે ‘ઘાયલ’
શાયર છું પાળિયાને બેઠા કરી શકું છું

– અમૃત ‘ઘાયલ’

* * *

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– ‘શૂન્ય’ પાલનપુરી

Comments (2)

(नज़र आता हूँ) – ख़लील धनतेजवी

अब मैं राशन की क़तारों में नज़र आता हूँ
अपने खेतों से बिछड़ने की सज़ा पाता हूँ

इतनी महँगाई के बाज़ार से कुछ लाता हूँ
अपने बच्चों में उसे बाँट के शरमाता हूँ

अपनी नींदों का लहू पोंछने की कोशिश में
जागते जागते थक जाता हूँ सो जाता हूँ

कोई चादर समझ के खींच ना ले फिर से ‘ख़लील’
मैं कफ़न ओढ़ के फुटपाथ पे सो जाता हूँ

– ख़लील धनतेजवी

જેમ ગુજરાતીમાં, એમ ઉર્દૂમાં પણ ખલીલભાઈની કલમ ખૂબ ખીલી હતી. એમની સૌથી વધુ પ્રસિદ્ધ રચના આ, જેને જગજીતસિંહે કંઠ આપીને અમર બનાવી દીધી છે. એકેએક શેર અદભુત થયા છે…

Comments (9)

(સામે હતી) – ખલીલ ધનતેજવી

એના ઘરની એક બારી મારા ઘર સામે હતી
મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી

એક સરખો ગર્વ બંનેને હતો વ્યક્તિત્વનો
એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી

રાતે ચિંતા કે સવારે સૂર્ય કેવો ઊગશે
ને સવારે, સાંજ પડવાની ફિકર સામે હતી

ને વસંતોને ઊમળકાભેર માણી લેત પણ
હાય રે! એક વેંત છેટે પાનખર સામે હતી

હું જ અંધારાના ડર થી આંખ ન ખોલી શક્યો
એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી

મિત્રને શત્રૂની વચ્ચોવચ ખલીલ ઊભો હતો
એક આફત પીઠ પાછળ એક નજર સામે હતી.

– ખલીલ ધનતેજવી

કેવી સંઘેડાઉતાર રચના… એક-એક શેર ખરું સોનુ જ જોઈ લ્યો…

Comments (8)

(ઘર થયું) – ખલીલ ધનતેજવી

ઘર તો તારાથી ખરેખર ઘર થયું,
જે કશું ખૂટતું હતું સરભર થયું.

તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,
તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.

જિંદગીભર જાતને તડકે મૂકી,
એ પછી અજવાળું મુઠ્ઠીભર થયું.

શ્વાસ પર પહેરો બની બેઠી છે ક્ષણ,
જીવવું શ્વાસો ઉપર નિર્ભર થયું.

એકધારું ક્યાં જિવાયું છે ખલીલ,
કટકે કટકે પૂરું આ જીવતર થયું.

– ખલીલ ધનતેજવી

સભારંજની શેર મોટાભાગે કવિતાની એરણ પર ફટકિયું મોતી સાબિત થતા હોય છે. પણ ખલીલભાઈની આ ગઝલ જુઓ. જે શેરો પર કવિ મહેફિલ ડોલાવતા હતા, એ શેરોમાં કેવા અમૂલ્ય મોતીનો ચળકાટ છે એ જોવા જેવું છે…

Comments (9)

(પૃથ્વી ગોળ છે) – ખલીલ ધનતેજવી

કાચના મહેલોમાં કાગારોળ છે,
પથ્થરોની આંખ પણ તરબોળ છે.

કલ્પના સુંદર હતી, રૂડી હતી,
વાસ્તવિકતા કેટલી બેડોળ છે!

રાતદિ’ ચાલું છું ત્યાંનો ત્યાં જ છું,
મારું જીવન જાણે કે ચકડોળ છે!

મારા દિલમાં જીવતી ચિનગારીઓ,
એની આંખોમાં નર્યો વંટોળ છે.

કોણ એનું રૂપ બદલે, શી મજાલ?
આ તો મારા ગામની ભૂગોળ છે.

ઘાણીએ ફરતો બળદ અટકી જશે,
એને ના કહેશો કે પૃથ્વી ગોળ છે.

– ખલીલ ધનતેજવી

ગુજરાતી ગઝલના આકાશમાં દાયકાઓથી એકધારું મધ્યાહ્ને તપતો એક સૂર્ય ૮૫ વર્ષની વયે અચાનક આથમી ગયો… ગુજરાતી ગઝલના આકાશમાં અનેક સૂર્યો અને સિતારો આવતા રહેશે પણ ખલીલસાહેબની જગ્યા ભાગ્યે જ કોઈ લઈ શકશે. ઊંચી કદાવર કાઠી અને ઘોઘરા અવાજ સાથે એ જે અંદાજે-બયાંથી ગઝલ કહેતા, એ પણ હવે સ્મૃતિશેષ જ રહેશે. ભાગ્યે જ કોઈ મુશાયરો એવો થયો હશે, જેમાં ખલીલસાહેબને એમનો કાવ્યપાઠ પતી ગયા પછી દર્શકોના ‘વન્સમોર’ને માન આપીને પુનઃ માઇક ગ્રહણ કરવું ન પડ્યું હોય…

Comments (8)

मैं ज़ख्म गिन रहा हूँ…- ख़लील धनतेजवी

अब के बरस भी किस्से बनेंगे कमाल के,
पिछला बरस गया है कलेजा निकाल के।

अपनी तरफ से सबकी दलीलों को टाल के,
मनवा ले अपनी बात को सिक्का उछाल के।

ये ख़त किसी को खून के आँसू रुलाएगा,
कागज़ पे रख दिया है कलेजा निकाल के।

माना कि ज़िन्दगी से बहुत प्यार है मगर,
कब तक रखोगे काँच का बर्तन संभाल के।

ऐ मीर-ए-कारवाँ मुझे मुड़ कर ना देख तू,
मैं आ रहा हूँ पाँव से काँटे निकाल के।

तुमको नया ये साल मुबारक हो दोस्तों,
मैं ज़ख्म गिन रहा हूँ अभी पिछले साल के।

– ख़लील धनतेजवी

ખલીલસાહેબ ઉર્દુમાં પણ ગઝલ કહેતા…..તેઓની એક ગઝલને જગજીતજીએ કંઠ પણ આપ્યો હતો….આ એક તેઓની જાણીતી રચના….

Comments (3)

તારી ને મારી જ ચર્ચા – ખલીલ ધનતેજવી

તારી ને મારી જ ચર્ચા આપણી વચ્ચે હતી,
તોય એમાં આખી દુનિયા આપણી વચ્ચે હતી!

આપણે એકાંતમાં ક્યારેય ભેગા ક્યાં થયાં ?
તોય જોને કેવી અફવા આપણી વચ્ચે હતી!

આપણે એક સાથે શ્વાસોશ્વાસ જીવ્યાં તે છતાં,
એકબીજાની પ્રતીક્ષા આપણી વચ્ચે હતી!

કોઈ બીજાને કશું ક્યાં બોલવા જેવું હતું ?
આપણી પોતાની સત્તા આપણી વચ્ચે હતી!

આપણે તો પ્રેમનાં અરમાન પુરવાના હતા,
કાં અજુગતી કોઈ ઈચ્છા આપણી વચ્ચે હતી!

આપણે તો સાવ ઝાકળમાં પલળવાનું હતું,
ક્યાં સમન્દરની તમન્ના આપણી વચ્ચે હતી!

યાદ કર એ પુણ્યશાળી પાપની એકેક ક્ષણ
કેવી લીલીછમ અવસ્થા આપણી વચ્ચે હતી!

એક ક્ષણ આપી ગઈ વનવાસ સદીઓનો ખલીલ !
એક ક્ષણ માટે જ મંથરા આપણી વચ્ચે હતી!

– ખલીલ ધનતેજવી

ખલીલસાહેબનો ખરો રંગ મક્તામાં વ્યક્ત થાય છે – છેલ્લેથી બીજો શેર પણ મજબૂત છે. જો કે તમામ શેર સાહેબની પ્રજ્ઞાનો અંદાજ આપે છે….

Comments (7)

મારી નથી….- ખલીલ ધનતેજવી

ડાળ મારી, પાંદડાં મારાં હવા મારી નથી,
ઝાડ કરતાં સ્હેજ પણ ઓછી વ્યથા મારી નથી.

કાલ પહેરેદારને પીંજરના પક્ષીએ કહ્યું,
જે દશા તારી થઈ છે એ દશા મારી નથી.

જેમાં સૌને પોતપોતાની છબિ દેખાય ના,
એ ગઝલ મારી નથી, એ વારતા મારી નથી.

મારવા ચાહે તો આંખોમાં ડુબાડી દે મને,
આમ આ તડકે મૂકી દેવો, સજા મારી નથી.

પગ ઉપાડું કે તરત ઊઘડે છે રસ્તા ચોતરફ,
જે તરફ દોડે છે ટોળું, એ દિશા મારી નથી.

તું નજર વાળે ને કંઈ ટુચકો કરે તો શક્ય છે,
દાક્તર કે વૈદ્ય પાસે પણ દવા મારી નથી.

દીપ પ્રગટાવી ખલીલ અજવાળું કરીએ તો ખરું,
ચંદ્ર ઘરમાં ઊતરે એવી દુવા મારી નથી.

– ખલીલ ધનતેજવી

તેજ ના ધની – ધનતેજવી અનંત તેજમાં વિલીન થઇ ગયા……

Comments (5)

તો વાત આગળ વધે-ખલીલ ધનતેજવી

પાળે બેસી કાંકરા નાખે તો વાત આગળ વધે,
સ્થિર જળ કૂંડાળા કંઈ સર્જે તો વાત આગળ વધે!

ટેરવાએ તો ટકોરા ક્યારના વેરી દીધા,
પણ હવે આ બારણું ઊઘડે તો વાત આગળ વધે!

બંને જણને એક સરખી આંચમાં તપવું પડે,
બંને જણમાં આગ જો સળગે તો વાત આગળ વધે!

હોઠ પર મનગમતા ઉત્તર ટાંપીને બેઠા છે પણ,
એ જરા હિંમત કરી પૂછે તો વાત આગળ વધે!

આંગળી ઝાલીને મારી ક્યારના બેઠા છે એ,
હાથને કાંડા સુધી પકડે તો વાત આગળ વધે!

સ્પર્શની તાસીર પણ ફળદ્રુપ હોવી જોઈએ,
બંને બાજુ લોહી જો ઊછળે તો વાત આગળ વધે!

ઝાપટાં શું છે ખલીલ આપણને હેલી જોઈએ,
બંને જણ મન મૂકીને વરસે તો વાત આગળ વધે!

-ખલીલ ધનતેજવી

ખલીલભાઈની ગઝલો એટલે ટકોરાબંધ ગઝલો. સરળ ભાષા અને સીધી વાત… વાંચતાવેંત ગમી જાય અને એમના મોઢે સાંભળૉ તો તો પ્રેમમાં જ પડી જવાય… વાત આગળ વધારવાની વાત કરતી એક ગઝલ આજે મનભર માણીએ…

Comments (4)

(તમને મળે!) – ખલીલ ધનતેજવી

જેટલી ફૂલોમાં રંગત છે, બધી તમને મળે,
ફૂલની માફક મહેકતી જિંદગી તમને મળે!

યાદ જ્યારે પણ તમે આવ્યાં, દુવા માગી છે મેં,
જે મારી કિસ્મતમાં છે એ પણ ખુશી તમને મળે!

એ રીતે મોસમ તમારું ધ્યાન રાખે દર વખત,
ક્યાંય પણ કૂંપળ ફૂટે ને તાજગી તમને મળે!

મેં તમારા માટે એવી પણ કરી છત પર જગ્યા,
ચાંદ મારી પાસે આવે ચાંદની તમને મળે

આપણે બંને પરસ્પર એવી ઇચ્છા રાખીએ,
દીવો મારા ઘરમાં સળગે રોશની તમને મળે!

જો તમારા પર ખુદાની મહેરબાની હોય તો,
એક ક્ષણ માગો અને આખી સદી તમને મળે!

એની સખીઓ જીદ કરે છે કે અમે પણ આવશું.
જો તમે ઇચ્છો ખલીલ એ એકલી તમને મળે!

– ખલીલ ધનતેજવી

મજાની ‘ખલીલ’ બ્રાન્ડ ગઝલ…

Comments (4)

એક તો આ…..- ખલીલ ધનતેજવી

એક તો આ જિંદગી ઓછી મળી,
એમાં જીવનભરની ખામોશી મળી.

ક્યાંક અમને વાર લાગી પહોંચતાં,
ક્યાંક અમને બાતમી ખોટી મળી.

એનું દિલ પથ્થર હશે નો’તી ખબર,
પણ હથેળી તો બહુ પોચી મળી !

પ્યાસ મારી ના બુઝી તે ના બુઝી,
આ નદી તો તીસરી ચોથી મળી !

ક્યાંક અમને ગમતો ચહેરો ના મળ્યો,
ક્યાંક તારી કારબન કોપી મળી !

નીકળ્યો’તો માણસોને શોધવા,
દાઢી, ચોટી ને તિલક, ટોપી મળી.

હું ખલીલ એવા સમયમાં છું હવે,
જ્યાં સદી કરતાંય ક્ષણ મોટી મળી.

– ખલીલ ધનતેજવી

Comments (2)

(નવો મારગ) – ખલીલ ધનતેજવી

નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાંથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફ ને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી’તી ઘણાં વર્ષો થયાં તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

– ખલીલ ધનતેજવી

મજાની ગઝલ… સરળ, સહજ, સંતર્પક…

Comments (1)

ગઝલ – ખલીલ ધનતેજવી

એની આંખોમાં હું સમાયો છું,
ત્યારથી ચોતરફ છવાયો છું!

આયનાનેય જાણ ક્યાં થઈ છે,
છેક ભીતરથી હું ઘવાયો છું!

નોંધ ક્યાં થઈ મારી હયાતીની,
હું મરણ બાદ ઓળખાયો છું!

જે મળે તે બધા કહે છે મને,
તારા કરતાં તો હું સવાયો છું!

એના નામે જ હું વગોવાયો
જેના હોઠે સતત ગવાયો છું!

એટલે ફૂલ મેં ચઢાવ્યાં છે,
હું જ આ કબ્રમાં દટાયો છું!

મારી ઓળખ હું ખોઈ બેઠો ખલીલ,
એટલી નામના કમાયો છું!

– ખલીલ ધનતેજવી

અમૃત ઘાયલની જાણીતી રચના ‘કેમ ભૂલી ગયા, દટાયો છું? આ ઈમારતનો હુંય પાયો છું’ની જમીન પર ‘ઘાયલ’ જન્મશતાબ્દીવર્ષ નિમિત્તે વડોદરા ખાતે યોજાયેલા તરહી મુશાયરામાં ખલીલભાઈએ રજૂ કરેલી ગઝલ આજે આપ સહુ માટે… ખલીલભાઈની સ્વયંસિદ્ધા ગઝલો કોઈ વિવેચકની કાપાકૂપીની મહોતાજ નથી હોતી…

Comments (6)

યાદગાર મુક્તકો : ૦૯ : ખલીલ ધનતેજવી, ભગવતીકુમાર શર્મા, વિવેક મનહર ટેલર

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

જીવનમાં ‘Ego’ રાખીને જીવીશું તો પેલા આંધીના વૃક્ષની જેમ સાવ જળમૂળથી ઉખડી જઈશું… પણ જો તરણા જેવા હળવા બનીશું તો ગમે એટલા સંઘર્ષમય સમયમાંથી પણ સહજતાથી પસાર થઈ જઈને ભારવિહીન જીવનને ભરપૂર માણી શકીશું… જિઁદગી અંતે ભલે થાકી જાય પણ જીવવાનો થાક નહીં લાગે એ રીતે જીવાયેલું જીવન જ સાચા અર્થમાં સાર્થક કહેવાય… કવિતામાં ખુમારી ભારોભાર પિરસવી એ ખલીલભાઈની ખૂબી છે.

સમય કેરી મુઠ્ઠીમાં હું બંધ છું
છું સૂરજ, ઘુવડ શો છતાં અંધ છું
કોઈ કૃષ્ણ રેતીનો ઢગલો કરે
હું જીવું છું કિન્તુ જરાસંધ છું

– ભગવતીકુમાર શર્મા

આ મુક્તક વાંચતાવેંત જ એક ઘોર નિરાશા ઘેરી વળે છે… જે આપણને અંદરથી અકળાવી જાય છે. જરાસંધની સાથે પોતાને સરખાવીને કવિ જણાવી દે છે કે પોતાના જીવનને વરદાન નહીં પરંતુ શાપરૂપ માને છે. જેમ જરાસંધના જીવનનો અંત એના શરીરનાં બે ટુકડા વચ્ચે રેતીનાં ઢગલો કરી શિવલીંગ બનાવવાથી થતો શ્રીકૃષ્ણને ભીમને બતાવેલો… એમ જ કવિ પણ ઈશ્વર પાસે જીવનથી છુટકારો માંગે છે.

હૈયું ભરાઈ આવ્યું, છલકી ઊઠ્યાં છે નેણ,
હું શું કહું? અધરથી પાછાં વળ્યાં છે વેણ;
તારો આ પ્રેમ સાંધે, સંબંધ એવી રીતે-
ટુકડો જડ્યો જડે ન, ક્યાંયે જડે ન રેણ.

-વિવેક મનહર ટેલર

ચિરવિરહ પછી વિરહની બધી ફરિયાદો અને સઘળી વેદનાઓને પળમાં ઓગાળી નાંખતું મધુરું મિલન.. એમ જ માણીશું!

Comments (1)

લાલ પાલવ – ખલીલ ધનતેજવી

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.

આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.

ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?

પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

– ખલીલ ધનતેજવી

Comments (5)

નથી – ખલીલ ધનતેજવી

પગ નથી ધરતી ઉપરને આભ માથા પર નથી,
બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી.

પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,
બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.

મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,
જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.

આત્માને પણ સતત ઝળહળતો રાખું છું સદા,
રોશની માટે બધો આધાર દીવા પર નથી.

કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ,
એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી.

સો ટકા, ઘર બદલીને બીજે કશે ચાલ્યા ગયા,
ફૂલવાળો એમના ફળિયાના નાકા પર નથી.

મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,
હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.

– ખલીલ ધનતેજવી

સાંગોપાંગ મજબૂત ગઝલ……..માત્ર ખુમારી નથી પણ દર્શન સાથેની ખુમારી છે…….

Comments (12)

નહીં ફાવે – ખલીલ ધનતેજવી

તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.

કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.

તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.

તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે

તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.

– ખલીલ ધનતેજવી

વાતમાં ખુમારી છે પરંતુ………..

Comments (18)

ખુમારી છે – ખલીલ ધનતેજવી

ઓસરીના દીવા પર આપને ખુમારી છે,
મેં ય વાવાઝોડાની આરતી ઉતારી છે.

સાવ ખાલી હાથે પણ આલીશાન જીવ્યો છું
મેં સતત ગઝલ માફક, જિંદગી મઠારી છે.

શાણપણ કહે છે કે દિલ તો સાવ પાગલ છે
દિલ કહે છે, બુધ્ધિ તો બેશરમ ભિખારી છે

જંગલોના સન્નાટા ક્યાં મને ગણાવે તું?
મેં નગરના કરફ્યુમાં જિંદગી ગુજારી છે

એ ગુંલાટો ખવડાવે, નાચ પણ નચાવી દે
જિંદગી ઓછી નથી, જિંદગી મદારી છે.

 

– ખલીલ ધનતેજવી

Comments (9)

ગઝલ-ખલીલ ધનતેજવી

તમારા હાથનો એક પ્યાલો પાણી પી ગયેલો છું,
થયું છે શું કે આ લોકો કહે બહેકી ગયેલો છું !

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે,
હું એનાથીય અઘરી જિંદગી જીવી ગયેલો છું.

કોઈ આવીને ઓગાળે મને શ્વાસોની ગરમીથી,
કશી ઉષ્મા વિના વર્ષોથી હું થીજી ગયેલો છું.

મને તું ઘર સુધી દોરી જા મારો હાથ ઝાલીને,
ગલીના નાકે ઊભો છું ને ઘર ભૂલી ગયેલો છું.

ખલીલ,ઉપરથી અકબંધ છું,અડીખમ છું, એ સાચું છે,
પણ અંદરથી જુઓ ! ક્યાં ક્યાંથી હું તૂટી ગયેલો છું.

-ખલીલ ધનતેજવી

Comments (9)

ખબર પડશે તને – ખલીલ ધનતેજવી

આમ છંદોલયની પણ શાયદ ખબર પડશે તને,
એક અક્ષર પણ કરી જો રદ, ખબર પડશે તને.

લટ ઘટા ઘનઘોર ચહેરા પર વિખેરી નાખ તું,
પોષ સુદ પૂનમ કે શ્રાવણ વદ ખબર પડશે તને.

તું પ્રથમ તારો જ માહિતગાર થઇ જા, એ પછી,
બાઇબલ, કુરઆન, ઉપનિષદ ખબર પડશે તને.

ભરબપોરે તું કદી માપી જો તારો છાંયડો,
કેટલું ઊંચું છે તારું કદ ખબર પડશે તને.

ઓળખી લે, બંને બાજુથી રણકતા ઢોલને,
આપણામાં કોણ છે નારદ ખબર પડશે તને.

તું ખલીલ અજવાળું પૂરું થાય ત્યાં અટકી જજે,
ક્યાંથી લાગી મારા ઘરની હદ ખબર પડશે તને.

– ખલીલ ધનતેજવી

એક અક્ષરની કિંમત કદાચ એક કવિ વધુ સારી રીતે સમજી શકે…

Comments (9)

ગઝલ – ખલીલ ધનતેજવી

ભીંજવું પાંપણની ભીનાશે તને,
મારામાં વરસાદ દેખાશે તને.

આ રીતે પણ ક્યાંક ચુમાશે તને,
હોઠ પર મૂકી કોઈ ગાશે તને.

હું જ ધરતી પર તને લાવી શકીશ,
મેં જ બેસાડ્યો છે આકાશે તને.

તારો શત્રુ હું નહીં પણ તું જ છે,
આજ નૈ તો કાલ સમજાશે તને.

મારા હૈયામાં કરી જો ડોકિયું,
ત્યાં અણીશુદ્ધ તું જ દેખાશે તને.

અશ્રુઓ શું શું લખે છે આંખમાં,
વાંચજે ધીમેથી વંચાશે તને.

તું ખલીલ, આ વર્ષે યાદીમાં નથી,
આવતા વરસે વિચારાશે તને.

– ખલીલ ધનતેજવી

ગુજરાતી શ્રોતાઓ આમ તો કવિસંમેલનોમાં ભાગ્યે જ દાદ આપતા નજરે ચડે છે પણ ખલીલ ધનતેજવી આ બાબતમાં એક સોલિડ અપવાદ છે. ખલીલ ધનતેજવી એમનો કાવ્યપાઠ પૂરો કરીને બેસી જાય અને શ્રોતાઓ વન્સ મોર કરીને એમને પાછા પૉડિયમ પર બોલાવીને બીજો દોર ન કરાવડાવે એવું કવિસંમેલન મેં જોયું નથી… આમ તો કવિની આ આખી ગઝલ ખૂબ સહજ ભાષામાં અને તરત સમજાય એવી થઈ છે પણ મને ચુંબનની આ સાવ નવી અને અદભુત વ્યાખ્યા ખૂબ સ્પર્શી ગઈ…

 

 

Comments (10)

હ્રદયની વાત – ખલીલ ધનતેજવી

રગ રગને રોમ રોમથી તૂટી જવાય છે,
તો પણ મઝાની વાત કે જીવી જવાય છે;
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે !

– ખલીલ ધનતેજવી

Comments (13)

મુક્તક – ખલીલ ધનતેજવી

વૃક્ષ ઝંઝાવાત નહીં ઝીલી શકે
તરણું ઊખડી જાય તો કે’જે મને
જિંદગી તારાથી હું થાક્યો નથી
તું જો થાકી જાય તો કે’જે મને

– ખલીલ ધનતેજવી

Comments (12)

મુક્તક – ખલીલ ધનતેજવી

કોઈ સ્થળે બેચાર મરે છે,
ક્યાંક કશે દસબાર મરે છે;
હિન્દુ મુસ્લિમ બંને સલામત,
માણસ વારંવાર મરે છે.

-ખલીલ ધનતેજવી

આજે મુંબઈમાં આતંકવાદી હુમલાને બરાબર એક મહિનો થયો છે ત્યારે ખલીલ ધનતેજવીનું એક મુક્તક. પાકિસ્તાન અને આતંકવાદ- બંનેને જવાબ આપવામાં આપણે સોએ સો ટકા ઉણા જ ઉતરવાના છીએ કારણ કે આપણા નમાલા અને નપુંસક રાજકારણીઓ એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશની સમસ્યાઓના ઉકેલ માટે વિદેશી મદદ પર આધાર રાખી બેઠા છે. યુદ્ધ તો આમેય કોઈ સમસ્યાનો ઉકેલ નથી પણ સ્વાવલંબન વિના પણ કશું શક્ય નથી. ધર્મ અને રાષ્ટ્રની સરહદોથી પરે આપણે એક ‘માણસ’ને મરતો બચાવી શકીએ તો પણ ઘણું…

Comments (18)

તને મળવા નહિ આવું – ખલીલ ધનતેજવી

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહિ આવું,
કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,
હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું.

કહે તો મારું આ માથું મૂકી લાઉં હથેળી પર,
પરંતુ હાથ જોડીને તને મળવા નહિ આવું.

તું દરિયો છે, તો મારું નામ ઝાકળ છે, એ જાણી લે,
નદીની જેમ દોડીને તને મળવા નહિ આવું.

ટકોરા દઈશ, પણ દરવાજો તારે ખોલવો પડશે,
કોઈ દીવાલ તોડીને તને મળવા નહિ આવું.

ખલીલ ! આવીશ તો કે’ જે કે ઉઘાડેછોગ હું આવીશ,
હું માથામોઢ ઓઢીને તને મળવા નહિ આવું.

– ખલીલ ધનતેજવી

એક જ કેન્દ્રવર્તી વિચાર અને એક જ સાદી વાત છ શેરમાં ફરી ફરી કરી છે. વાત ના પાડવાની છે એટલે જરા વધારે સમજાવી ને કરવી પડે ને ! 🙂 હા પાડવી સરળ છે. ના પાડવી અઘરી છે. પોતાની મર્યાદા સમજવી અને સમજાવવી અઘરી વાત છે. મરીઝે કહ્યું છે કે ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, ના કહો એમાં વ્યથા હોવી જોઈએ. એટલું ઘણું છે. માણસ કોઈના માટે બધુ કરી શકતો નથી. પોતાની શક્તિ અને ઈચ્છા સમજીને જે માણસ પોતાના સંબંધમાં લક્ષ્મણરેખા દોરે એ જ વઘારે તંદુરસ્ત સંબંધ બાંધી શકે. રોબર્ટ ફ્રોસ્ટે તો બહુ ઉત્તમ વાત એમની પોતાની રીતે કહી જ છે, Good fences make good neighbors.

Comments (17)

તને – ખલીલ ધનતેજવી

લે આ મારી જાત ઓઢાડું તને;
સાહેબા, શી રીતે સંતાડું તને.

કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું,
મૌનની મસ્તીથી રંજાડું તને.

હૂબહૂ તારી જ લખવી છે ગઝલ,
તક મળે તો સામે બેસાડું તને.

કો’ક દિ’ એકાંતમાં ખપ લાગશે,
લાવ મારી યાદ વળગાડું તને.

ઘર સુધી આવવાની જિદ્દ ન કર,
ઘર નથી, નહિતર ના પાડું તને?

તું ખલીલ, આકાશને તાક્યા ન કર,
ચાલ છત પર ચંદ્ર દેખાડું તને.

– ખલીલ ધનતેજવી

કેટલીક પરંપરાગત ગઝલ પરંપરાને અકબંધ રાખીને એને અતિક્રમી જતી હોય છે. આ એવી જ એક ગઝલ છે. વિષય તો ગઝલનો સૌથી જૂનો વિષય છે. પણ કેવા મઝાના શેર કર્યા છે એ તો જુઓ… પહેલો જ શેર દિલ જીતી લે એવો થયો છે. મૌનની મસ્તીથી રંજાડવાની વાત પણ સરસ રીતે આવી છે. કવિ ‘યાદ વળગાડું તને’ જેવો પરાણે મીઠો લાગે એવો પ્રયોગ પણ સહજતાથી કરે છે. ‘ઘર નથી’માં ચમત્કૃતિ છે. અને છેલ્લો શેર વિવિધ રીતે મૂલવી શકાય એવો થયો છે.

Comments (11)

ન કર -‘ખલીલ’ ધનતેજવી

સ્થિર જળ સાથે અટકચાળા ન કર
કાંકરા નાખીને કૂંડાળા ન કર

લોક દિવાળી ભલેને ઊજવે
પેટ બાળીને તું અજવાળા ન કર

આજથી ગણ આવનારી કાલને
પાછલાં વરસોના સરવાળા ન કર

ક્યાંક પથ્થર ફેંકવાનું મન થશે
ઈંટને તોડીને ઢેખાળા ન કર

થઈ શકે તો રૂબરૂ આવીને મળ
ઊંઘમાં આવીને ગોટાળા ન કર

-‘ખલીલ’ ધનતેજવી

આખી ગઝલ કરતા છેલ્લાં શેરનો સ્વર અલગ છે. ગોટાળા ન કર – જેવો રોજબરોજનો શબ્દપ્રયોગ ગઝલમાં પહેલી નજરે અડવો લાગે છે. પણ એ જ શેર તાજગીસભર અને ગણગણવાનું મન થાય એવો પણ લાગે છે. આવી પંક્તિ જોઈએ ત્યારે લાગે કે કવિતામા કોઈ નિયમ નથી, મનને રુચે તે કવિતા !

Comments (5)