મા! મને ગમતું નથી આ ગામમાં,
હાલ્ય,બચકું બાંધ, આયર સાંભરે!
-નયન હ. દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રવીન્દ્ર પારેખ

રવીન્દ્ર પારેખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સ્વપ્ન – રવીન્દ્ર પારેખ

સ્વપ્નમાં નીકળી પડે તું આવવા,
સ્વપ્નની બદલી જશે આખી હવા.

સ્વપ્ન તોડીને તરત જાગી પડું,
બ્હાર તું આવે અગર બોલાવવા.

સ્વપ્નમાં અજવાળું પડશે, માની તું—
આંગણે બેસે દીવા પ્રગટાવવા.

સ્વપ્નમાં રહેશે નહીં કાળી તરસ,
છો મને આપે ભલે તું ઝાંઝવા.

સ્વપ્નનો વસવાટ દૃષ્ટિમાં સીમિત,
ત્યાંથી મથતું, પાર સૃષ્ટિની જવા.

સ્વપ્ન કૈં મૃત્યુ પછી આવે નહીં,
ના જીવનમાં આવતું પૂરું થવા.

સ્વપ્ન એ પૂરું કદી ના થાય, જો—
આંખ મીંચી હો ફરી ના ખોલવા.

– રવીન્દ્ર પારેખ

સ્વપ્ન વિશેની ખૂબ મજાની મુસલસલ ગઝલ. બધા જ શેર હળવે હળવે ખોલવા જેવા… કવિની ચિંતનશીલ પ્રકૃતિ અને અર્થગાંભીર્ય એક જ વસ્તુની બહુઆયામી રજૂઆતમાં ડગલપગલે ઝળકે છે.

Comments (9)

વિરહ – રવીન્દ્ર પારેખ

તું નથી ત્યારે
તારાં નહીં વહેલાં આંસુઓ
વહેંચવા નીકળ્યો છું
એક ટીપું કાલે ઊગનારી કળીએ લઈ લીધું
ને બીજી સવારે એ સૂર્યકિરણમાં ચમકયું
પાંખડીઓ પર !
એક ટીપું સૂકાં સરોવરે માંગ્યું
ને સવારે તો તે
કમળોથી છલછલી ઊઠ્યું !
સાતે સમુદ્રો પાસે તેમનાં આંસુ તો હતાં જ !
તોય તારાં આંસુ અનેક છીપમાં સંઘર્યાં
પછી તો મોતીઓ વેરાયા વૈશ્વિક ચોકમાં
વાદળોએ પણ માંગ્યાં તારાં આંસુઓ
ને રાત ભર એટલાં ટીપાં
વરસ્યાં કે
ઉઘાડ નીકળતાં જ લીલાશ લહેરાઈ ગઈ પૃથ્વી પર !
આકાશે કહ્યું કે હું નહીં સાચવી શકું એને
ને તેણે ઉછાળી મૂક્યાં આંસુઓ બ્રહ્માંડમાં
એ પછી રોજ તારાં આંસુઓ
તારાઓ થઈને ચમકે છે
તું નથી એનું દુઃખ હતું
પણ હવે થાય છે કે
ક્યાં નથી તું…!

– રવીન્દ્ર પારેખ

વિરહવિરહની ચરમસીમા એટલે સ્તબ્ધતા…..કવિ કાવ્યના અંત તરફ કહે છે કે – “ ક્યાં નથી તું…” – પણ કાવ્યનો કેન્દ્રીયભાવ એક ખાલીપાજન્ય સ્તબ્ધતાને છે….

Comments (1)

કાગળના કોડિયાનો… – રવીન્દ્ર પારેખ

કાગળના કોડિયાનો લીધો અવતાર,
પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ,
પછી ટહુકાથી દૂર કેમ રહીએ?

ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલે ને
એનો છેડો ભીંજાય સૂકી રાખમાં,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું
વરદાન મળે બળતા વૈશાખમાં.
બળવું જો કાજળની હોડી થઈ જાય,
ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ?
કાગળના કોડિયાનો….

શ્વાસોની સળીયુંને ભેગી મેલીને
કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન,
એમ યાતનાને રંગ ફૂટે કાળો.
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ,
ત્યારે મરવાથી દૂર કેમ રહીએ?
કાગળના કોડિયાનો…

– રવીન્દ્ર પારેખ

પ્રારબ્ધ પણ રૂઠ્યું છે અને કર્મ પણ ઊંધા પડે છે….જાયે તો જાયે કહાં…..સમઝેગા, કૌન યહાં, દર્દભરે દિલકી ઝૂબાં….

કવિને ૭૬મા વરસની ઘણી શુભેચ્છાઓ….

Comments (5)

ટ્રાઇકુ – રવીન્દ્ર પારેખ

પંખી ચાંચથી
પડ્યો સૂર્ય દરિયે
જળ સોનેરી

પર્વતે હસ્યો
સૂર્ય: પડધે અબ્ધિ
જળ સોનેરી

સાગરે ડૂબે
તોયે કરે સૂરજ
જળ સોનેરી

– રવીન્દ્ર પારેખ

બહુ જાણીતો ન હોવા છતાં ટ્રાઇકુ સાવ નવો પ્રકાર પણ નથી. એના વિશે ખાસ આધારભૂત માહિતી નથી પણ વિન્સ પેઇજ નામના એક કવિએ સહુથી પહેલાં આ પ્રકાર પર હાથ અજમાવ્યો હોવાનું ગૂગલદેવતા (allpoetry.com) કહી રહ્યા છે.

ગુજરાતી કાવ્યક્ષેત્રે આ કાવ્યપ્રકારની પહેલ કરી છે કવિશ્રી રવીન્દ્ર પારેખે. કવિના કહેવા મુજબ આ કાવ્યપ્રકારના અલ્પ અંગ્રેજી ખેડાણથી અનભિજ્ઞ એમણે સ્વતંત્રપણે આ કાવ્યપ્રકારનું સર્જન કર્યું છે. દાવો એટલા માટે સાચો જણાય છે કે અંગ્રેજી ટ્રાઇકુ મહામુશ્કેલીએ પણ માંડ હાથ લાગે છે. ટ્રાઇકુ વિશે થોડું કવિશ્રી રવીન્દ્ર પારેખના પોતાના શબ્દોમાં-

આમ ટ્રાઇકુ ત્રણ હાઇકુનો સમૂહ માત્ર છે. જે હાઇકુ માટે અનિવાર્ય છે તે ટ્રાઇકુ માટે પણ છે જ, તે ઉપરાંત એની વિશેષ શરત એટલી છે કે ત્રણે હાઇકુ એક જ પરિવેશ પર રચાય છે. અહીં આકાશ, સાગર અને પર્વત જે રીતે દૃષ્ટિગોચર થાય છે તે હાઇકુમાં પ્રવેશ્યાં છે. એમાં બીજી મહત્વની શરત એ છે કે એક પદાર્થ કે તત્વ ત્રણે હાઇકુમાં સામાન્ય રહે છે. અહીં એ સૂર્ય છે. એક નજરમાં સમાતી પ્રકૃતિ ટ્રાઇકુનો વિષય થઈ શકે છે. એની ત્રીજી શરત એ છે કે ત્રણે હાઇકુ પરિણામ તો એક જ આપે, એટલે છેલ્લી પંક્તિ ત્રણેમાં એક જ રહે તે અનિવાર્ય છે.

Comments (13)

કોડિયું – રવીન્દ્ર પારેખ

આટલાં કોડિયાં લઈને બેઠો છું
પણ એકકેય વેચાયું નથી
અંધારું થવા આવ્યું
કોઈ તો આવે
ને લઈ જાય થોડાં
તો કેવું સારું!
આ બધાં પ્રગટ્યાં વગર જ રહેશે?
કોડિયું હોય ને પ્રગટે જ નહીં એ કેવું?
અજવાળું કોઈને જોઈતું જ નહીં હોય શું?
આ થોડાં ક્યાંક પ્રગટે
તો મારી ઝૂંપડીમાં દીવો થશે
નાનકાને કેટલું મન છે
કનકતારાનું
એકાદ પેટી લઈ જવાય તો
વગર દીવાએ જ ચહેરો
અજવાળું થઈ જશે
કનકતારા તો નાના હાથોમાં જ શોભેને!
મોટો થાય ને ફટાકડાની ફેકટરી વસાવે તોય
આજે એના હાથમાં કનકતારો
ન હોય તો શું કામનું?
આટલાં બધાં કોડિયાનું નસીબ
આટલું અંધારિયું કેમ?
બહાર તો દીવા પ્રગટવાય લાગ્યા
પણ એ બધાં તો ઇલેક્ટ્રિક છે
સ્વિચ ઓન કરો ને ઝબકે
એમાં તેલ નહીં પૂરવાનું
પણ એમને કેમ કહેવું
કે કોડિયામાં તમે તેલ નહીં પૂરો
તો અમારે આંસુ પૂરવાં પડે છે…

– રવીન્દ્ર પારેખ

કવિતા સ્વયંસ્પષ્ટ છે. ધારદાર છે. રસ્તાની બાજુએ બેસીને માટીના કોડિયાં વેચતાં ગરીબ માણસ પાસે બે ઘડી ગાડી થોભાવીને આ દિવાળીમાં કોઈના જીવનમાં થોડું અજવાળું કરતો દીવો પેટાવી શકીશું?

કવિએ ઉદ્ગારચિહ્ન અને પ્રશ્નાર્થચિહ્ન તો વાપર્યા છે, પણ આખી રચનામાં ક્યાંય અલ્પ કે પૂર્ણવિરામ મૂક્યાં નથી. કદાચ ગરીબ માણસના જીવનમાં કોઈ પ્રકારના વિરામને અવકાશ હોતો નથી એટલે? કવિતાના અંતે કવિએ ગરીબ માણસની આંખમાંથી ટપકતાં આંસુ જેવા ત્રણ ટપકાં મૂક્યાં છે, એ સાચે જ અર્થપૂર્ણ જણાય છે…

લયસ્તરો તરફથી સહુ કવિમિત્રો અને વાચકમિત્રોને દિપોત્સવી પર્વની સ્નેહકામનાઓ…

Comments (5)

આરોઓવારો – રવીન્દ્ર પારેખ

ખોબામાં ઝીલું તે તારો વરસાદ
.            અને આંખોમાં ઝીલું તે મારો,
તારો વરસાદ મને મધમીઠો લાગે,
.                              પણ મારો વરસાદ જરા ખારો…
.                              પછી ક્યાંય ન હો આરોઓવારો…

ઓણસાલ ચોમાસું મારવાડી એવું
.            કે ખરચે છે માંડ જરા પાણી,
સૂરજ પર મૂકેલા પેણામાં જળની
.            જુવાર માંડ ફૂટે થઈ ધાણી,
ફોરાં તો ઝીલું ન ઝીલું ત્યાં છટકે
.                              તો થાય આ તે વર્ષા કે પારો?
.                              પછી ક્યાંય ન હો આરોઓવારો…

વાદળાંઓ છાણ જેમ રોજ નડે રસ્તે
.            તો દૂર કોણ કરે એવા ત્રાસને?
સાવરણું લઈને એક થાકેલી ભરવાડણ
.            વાળે છે આખા આકાશને,
જળની સળીનો માંડ ઢગલો ઉપાડે
.                              ને માથે મૂકે કે છૂટો ભારો,
.                              પછી ક્યાંય ન હો આરોઓવારો…

– રવીન્દ્ર પારેખ

વરસાદ સરસ મજાની ઓપનિંગ ઇનિંગ રમીને અચાનક ગાયબ થઈ ગયો છે. મારવાડી હોય એમ ચોમાસાને આ વર્ષે પાણી ખરચવામાં જોર પડે છે. સૂરજ પર પેણો મૂક્યો હોય પણ પેણો જાણે બરાબર ગરમ જ ન થયો હોય અને એમાં મૂકેલી જળની જુવાર માંડ ધાણી થઈ ફૂટે એ કલ્પન જ કેવું મૌલિક અને અનૂઠું છે! હાથમાંથી પારો છટકી જાય એમ હાથમાં આવે, આવે, ને ન આવે એવા ફોરાંનું કલ્પન પણ એવું જ આસ્વાદ્ય થયું છે. બીજા બંધમાં પણ કવિએ એક મજાનું દૃશ્યચિત્ર કલમના લસરકે સુવાંગ દોરી આપ્યું છે. સરવાળે વરસાદ ઉપર લખાયેલી ગુજરાતી કવિતાઓમાં અગ્રસ્થાને બિરાજમાન થઈ શકે એવી રચના…

Comments (8)

બે હાઇકુ – રવીન્દ્ર પારેખ

સવાર

ઊંચકી લીધો
સૂર્યને દરિયેથી
ત્યારે સળગ્યો !
*

સાંજ
ઉતારી દીધો
સૂર્યને દરિયામાં
ત્યારે હોલાયો !

– રવીન્દ્ર પારેખ

રોજ જ નજરે ચડતી ઘટના કવિના ચશ્માંથી જોવામાં આવે તો કેવી નવતર દેખાય છે! પાણી અને સૂર્યની તેજસ્વિતાનો આટલા ઓછા શબ્દોમાં આટલો મજાનો પ્રયોગ ભાગ્યે જ થયો હશે..

Comments (8)

આવે તો સ્હેવું – રવીન્દ્ર પારેખ

દુઃખ આવે તો સ્હેવું, મનવા, દુઃખ આવે તો સ્હેવું…
કોઈ નથી લેનારું એને તેથી તારે લેવું…

કોઈ નથી લેવા રાજી તો દુઃખને ક્યાં જઈ નાખું?
એને પણ તો થાય ને થોડું જીવે, ભલે ન આખું,
તું ના હો તો કોણ છે એનું, ક્યાં જઈ એણે રે’વું?

તારું પણ તો ખરું છે મનવા, સુખ પાછળ દોડે છે,
સુખ તો એનું છે જે જગમાં રહીને જગ છોડે છે,
કહે, તને આ સુખ ને દુઃખમાંથી મારે શું દેવું?

મનવા, તું આંખો માંગે ને આંસુની ના પાડે?
બીજ વગર શું જગમાં કોઈ આખું ઝાડ ઉગાડે?
દુઃખ જો દરિયો હોય તો એમાં બની શકે તો વ્હેવું…

– રવીન્દ્ર પારેખ

દુઃખ વિશે આપણે ઘણું ગાયું છે… ‘સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે જડિયાં’, થી લઈને ‘ભાઈ રે! આપણાં દુઃખનું તે કેટલું જોર’ સુધી આપણી દુઃખ વિશેની સમ્યક ભાવના વિસ્તરી છે. પણ એ છતાંય દુઃખથી ભાગવું એ જ આપણો સ્વ-ભાવ છે. અહીં કવિ જરા અલગ જ પ્રકારની વાત કરે છે. એ દુઃખ સાથે સમભાવ રાખવાથી બે કદમ આગળ વધીને એને વધાવી લેવાની હિમાકત કરે છે. નવી વાત છે પણ વાત છે દમદાર…

Comments (6)

નથી બારણું ક્યાંય.. – રવીન્દ્ર પારેખ

નથી બારણું ક્યાંય પાછા જવાનું,
સ્મરણને ફક્ત દ્વાર છે આવવાનું.

ન આગળ વધ્યો તે તો તારી શરમથી,
વિચારો તો જાણે જ છે પહોંચવાનું.

અગર જ્યોત પણ નામ જોગી જ હો તો,
રહ્યું ક્યાં પછી દેખવા-દાઝવાનું?

નહીં પાડી શકશે તું બાકોરું એમાં,
રહ્યું છે સિલકમાં ફકત ઘર હવાનું.

ફૂલીને થશે ફાળકો કેમ કરતાં,
કરમમાં તો ફુગ્ગાના છે ફૂટવાનું.

મરણ બેવફાઈ કરે ના કદી પણ,
જીવન છે જે જાણે છે છોડી જવાનું.

ગયું છે જીવન એટલું ઊંઘવામાં,
મરણમાં રહ્યું છે હવે જાગવાનું.

– રવીન્દ્ર પારેખ

આમ તો આખી ગઝલ સરસ છે પણ પહેલો અને છેલ્લો શેર સવિશેષ સ્પર્શી ગયા…

‘લયસ્તરો’ના આંગણે ‘અરસપરસનું’ સંગ્રહ સાથે રવીન્દ્ર પારેખનું ફરી એકવાર સ્વાગત છે…

Comments (2)

ટહુકો તું દોર – રવીન્દ્ર પારેખ

અલ્યા, કાગળ પર ચીતરે છે મોર?
મોરને તો નાનકડું છોકરું યે ચીતરે
હો હિંમત તો ટહુકો તું દોર…

મારામાં રાખી અકબંધ મને ચોરે
તું એવો તે કેવો ઘરફોડું?
છતરીની જેમ મને ઓઢી લે આખી
ને પલળે છે તોય થોડું થોડું

પાણીથી ઠીક, જરા પલળી બતાવ મને
હોય જ્યારે કોરુંધાકોર…

મેલું આકાશ ખૂલે જડબાંની જેમ
જાણે ખાતું બગાસું કોઇ લાંબુ
વાદળાય આમ તો છે કાંઇ નથી બીજું
છે ઠળિયા વિનાના બે’ક જાંબુ

વાદળા કે જાંબુ તો ઢગલો તું ચોરે
જરા આખું આકાશ હવે ચોર…

– રવીન્દ્ર પારેખ

Comments (2)

આંખોમાં દરિયો – રવીન્દ્ર પારેખ

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

પીળાપચ પરબીડિયે ખાલીપો હોય
અને સરનામું તારું ત્યાં કરવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ડાળી છોડીને પાન ઊડે ને એમ ઊડે
તુંય મારી વૃક્ષીલી ડાળથી
ઊડેલું પાન ફરી વળગે નંઇ વૃક્ષે
ને તોય તારી વાટ જોઉં ઢાળથી

આમ તો કદીય છૂટા પડીએ નંઇ તોયે
તને ‘કેમ છે?’ કહીને રોજ મળવું પડે
અને સહરાની જેમ વળી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

ખોબામાં હોઉં ભીના સૂરજની જેમ
અને પળમાં તું ફંગોળે આભમાં
મારા હોવાનું ફરી અવકાશે હોય
અને તારા હોવાનું ‘શુભ લાભ’માં

તારો ઉજાસ તને પાછો મળે ને
એથી બપ્પોરે મારે આથમવું પડે
અને સહરાની જેમ ફરી બળવું પડે
પછી મારાથી મારે પણ ડરવું પડે

આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે

– રવીન્દ્ર પારેખ

ભાષા રમતિયાળ છે, પણ વેદના ભારોભાર છે…..

Comments (9)

અરસપરસનું – રવીન્દ્ર પારેખ

આવ્યું ન કૈં કશું પણ બાહર અરસપરસનું,
જીવન જિવાયું કાયમ ભીતર અરસપરસનું.

તારું જીવન જીવ્યો હું, મારું જીવન જીવી તું,
એમ જ થયું છે સઘળું સરભર અરસપરસનું.

અંતર પડી ગયું છે, બે અંતરોની વચ્ચે,
જીવવું થયું છે છેવટે દુષ્કર અરસપરસનું.

એણે તો દીધે રાખ્યું વરદાન આંખો મીંચી,
ફાડીને દીધું એણે છપ્પર અરસપરસનું.

એ એક છે ને એક જ, છે માત્ર એક ત્યારે,
કેવી રીતે કરીશું અંબર અરસપરસનું.

આ તારી બે દીવાલો, આ મારી બે દીવાલો,
એવી રીતે થતું ના કૈં ઘર અરસપરસનું.

એમાં મૂકી મૂકીને નિશ્વાસ સૌ જલાવ્યા,
ત્યારે થયું છે ઝળહળ ઝુમ્મર અરસપરસનું.

ભીતર પ્રવેશવાની સુખની થઈ ન હિંમત,
એને નડ્યું છે કાયમ બખતર અરસપરસનું.

– રવીન્દ્ર પારેખ

પાસાદાર શેર… પાણીદાર ગઝલ…

Comments (5)

આટલો – રવીન્દ્ર પારેખ

પુષ્પોનું ભાગ્ય લાવ્યું છે મલકાટ આટલો,
બાકી તો ક્યાંથી હોય પમરાટ આટલો ?

બાકી હશે ભવાટવિની લેણદેણ કંઈ
નહિતર કશે કર્યો નથી વસવાટ આટલો.

થોડોઘણો તો ભેજ કશે રહી ગયો હશે,
બાકી સ્મૃતિને લાગે નહીં કાટ આટલો.

આંખોમાં વાદળાં બને એવી આ પળ હશે,
મારી ભીતર છે એટલે ઉકળાટ આટલો.

તું હોત તો આ ભીંતને છાયા થતે બીજી,
આખર સુધી રહ્યો મને કચવાટ આટલો.

વધતા આ અંધકારમાં હસવું પડ્યું હશે,
બાકી ન હોય સાંજમાં મલકાટ આટલો.

પાંખો હવામાં રાખીને પંખી ખર્યું હશે,
તેથી હવામાં છે હજી ફફડાટ એટલો.

લાગે છે કોઈએ કશે દીવો કર્યો હશે,
નહિતર પવનમાં હોય ના સુસવાટ આટલો.

-રવીન્દ્ર પારેખ

ગઝલ જેમજેમ આગળ વધતી જાય છે તેમતેમ ઉઘડતી જાય છે.

Comments (10)

હરિગીત – રવીન્દ્ર પારેખ

બંધ આંખમાં આંસુ
લાંબો કાળ રહે ના જેમ,
હરિ, તમે તો પાક્યું મોતી
છીપમાં રહેશો કેમ ?

હરિ, તમારે લીધે છીએ
તે વાત નવી ના કંઈ,
છતાં અમારા વગર તમારું
કંઈ પણ ઉપજે નંઈ,
હરિ, અમે ના હશું તો
ક્યાંથી તમેય કુશળક્ષેમ…..

હરિ, તમે ના ઈચ્છો તો
એક પાન ન ફરકે ક્યાંય,
અમે ફરકશું તો જ તમારો
અર્થ હશે કંઈ ત્યાંય !
જનમ-મરણ કબજે રાખીને
દીધો જીવનનો વ્હેમ…..

-રવીન્દ્ર પારેખ

સુરતના વરિષ્ઠ અને પ્રતિભાસંપન્ન કવિશ્રી રવીન્દ્ર પારેખ પોતાના અતિનમ્ર અને અંતર્મુખ સ્વભાવને લીધે સર્વદા પોતાના કોઇપણ જાતના marketing થી જોજનો દૂર રહ્યા છે.પરંતુ રવિ છાબડે કદી ન ઢંકાય, ત્યાં આ તો રવીન્દ્ર !!!
પ્રવાહી શૈલીમાં રચાયેલા પ્રસ્તુત હરિગીતમાં એક અતિમહત્વની વાત છુપાયેલી છે – ઈશ્વર આપણી પોતાની રચના છે !

Comments (9)

ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૫

મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં ફરી એકવાર થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…

શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
– હરીન્દ્ર દવે

મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
– હરીન્દ્ર દવે

એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર,
ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું.
– જલન માતરી

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’ ?
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
– જલન માતરી

જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે
– પ્રણવ પંડ્યા

અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
– આદિલ મન્સૂરી

મરણ દરેકની સાથે કર્યા કરે રકઝક
બહુ અનુભવી જૂનો ઘરાક લાગે છે.
-આદિલ મન્સૂરી

જીવન થકી જ જણાયું કે અહીં મરણ પણ છે,
થઈ મરણને લીધે જાણ કે હયાતી છે.
– મુકુલ ચોકસી

મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ

માની રહ્યો છે જેને જમાનો જીવન-મરણ,
ઝગડો એ હા ને ના નો હતો. કોણ માનશે?
– ‘રૂસવા’

મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં,
તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.
– મરીઝ

મોત તું શું બહાનું શોધે છે?
મારું આખું જીવન બહાનું છે
– મરીઝ

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.
– મરીઝ

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં જ આમતેમ રહ્યો.
– મરીઝ

હવે કોઈ રડી લે તો ‘મરીઝ’ ઉપકાર છે એનો,
કોઈને કંઈ નથી નુક્શાન જેવું મારા મરવાથી.
– મરીઝ

આપ ગભરાઈને જતા ન રહો,
આ છે છેવટના શ્વાસ, હાય નથી.
– મરીઝ

તંગ જીવનના મોહથી છું ‘મરીઝ’,
આત્મહત્યા વિના ઉપાય નથી.
– મરીઝ

મરણ હો કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે;
જનાજો જશે તો જશે કાંધે-કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.
– મરીઝ

જીવનના બંધનો હસતા મુખે જેબે વિદાય આપે,
ફકત એ આદમીને હક છે કે આઝાદ થઈ જાએ.
– મરીઝ

મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

કેમ હો જીવનનું ઘડતર જ્યારે હું શીખ્યો ‘મરીઝ’,
વાહ રે કિસ્મત ! કે મૃત્યુનો સમય આવી ગયો.
– મરીઝ

‘મરીઝ’ એની ઉપરથી આપ સમજો કેમ ગુજરી છે,
મરણ આવ્યું તો જાણ્યું જિંદગાની લઈને આવ્યો છું.
– મરીઝ

જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.
– મરીઝ

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?
– રવીન્દ્ર પારેખ

આજે મરણનો ભેદ કાં પૂછે છે આ જગત?
પેદા થતાં ન પૂછ્યું કે કાં આવવું પડ્યું?!
– સૈફ પાલનપુરી

હવે તો સૈફ ઇચ્છા છે કે મ્રત્યુ દ્વાર ખખડાવે,
ઘડી ભર તો મને લાગે કોઈના આગમન જેવું
– સૈફ પાલનપુરી

જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી,
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા

જિંદગાનીને દુલ્હનની જેમ શણગારી ‘ગની’,
એને હાથોહાથ સોંપી જેમના ઘરની હતી.
– ગની દહીંવાલા

જિંદગી મૃત્યુની ખાતર જાળવી રાખો ‘ગની’,
આખરી મેહમાનને માટે ઉતારો જોઈએ.
– ગની દહીંવાલા

છોડીને એને ક્યારના ચાલી જતે અમે,
હક છે મરણનો એટલે રાખી છે જિંદગી
-અમર પાલનપુરી

દયા તો શું, હવે સંજીવની પણ કામ નહિ આવે,
જીવનના ભેદને પામી ‘અમર’ હમણાં જ સૂતો છે.
-અમર પાલનપુરી

એ ક્ષણે રંગો હશે, સૌરભ હશે, ઝળહળ હશે,
મૃત્યુ પણ કોઈ નવોઢા જેમ આંગણ આવશે
-ભગવતી કુમાર શર્મા

મને જીવન અને મરણની એટલી ખબર છે,
કબર પર ફૂલો ને ફૂલો પર કબર છે
-જયંત શેઠ (?પાઠક)

ખુલ્લી આંખો જિંદગી છે, બંધ આંખો મોત છે,
પાંપણો વચ્ચેનું અંતર જિંદગાની હોય છે.
– ‘કાબિલ’ ડેડાણવી

પ્રભુ ના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
-ઓજસ પાલનપુરી

મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
-ઓજસ પાલનપુરી

કોણે કહ્યું હતું કે મૃત્યુ થયું છે તારું,
ફરકી રહી છે આજે તારી ધજા હજુ પણ.
– અબ્બાસ રૂપાવાલા ‘રફીક’

તને હું કેમ સમજાવું સફર છે દૂરની ‘અકબર’ ?
ઉતારો છે, તને જે કાયમી રહેઠાણ લાગે છે.
– અકબરઅલી જસદણવાળા

કહે છે મોત જેને એ અસલમાં છે જબરજસ્તી,
હરિ ઇચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.
– ઘાયલ

એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી

સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
– રઈશ મનીઆર

ભલે મોત સામે થયો હો પરાજય,
છતાં જિંદગી ‘બાબુ’ વર્ષો લડી છે.
– બી. કે. રાઠોડ ‘બાબુ’

થોડીક શિકાયત કરવી’તી થોડક ખુલાસા કરવા’તા,
ઓ મોત જરા રોકાઈ જતે – બેચાર મને પણ કામ હતાં.
-સૈફ પાલનપુરી

હવે તો ‘સૈફ’ ઇચ્છા છે કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.
-સૈફ પાલનપુરી

અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં;
સર કરીશું આખરે સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં.
– શેખાદમ આબુવાલા

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં.
– મનહરલાલ ચોક્સી

જુઓ આ દેહમાં ઉષ્માનો પરપોટો નથી બાકી,
હવે કરશે મનન શું કોઈ કારાવાસ રોકીને ?
– મનહરલાલ ચોક્સી

મોત જો વરસાદ થઈ તૂટી પડે,
તો આ મરવું થાય મુશળધાર પણ !
-રવીન્દ્ર પારેખ

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

શું કુબેરો ? શું સિકંદર ? ગર્વ સૌનો તૂટશે,
હો ગમે તેવો ખજાનો બે જ દિનમાં ખૂટશે;
કાળની કરડી નજરથી કોઈ બચવાનું નથી,
આજ તો ફૂટી છે પ્યાલી, કાલ કૂંજો ફૂટશે.
-ઉમર ખય્યામ (અનુવાદ: ‘શૂન્ય’ પાલનપુરી)

જીવન અર્પણ કરી દીધું, કોઈને એટલા માટે,
મરણ આવે તો એને કહી શકું ‘મિલકત પરાઈ છે’ !
– ‘શૂન્ય’ પાલનપુરી

જમાનો એને મરણ માને તો ભલે માને –
કદમ વળી ગયાં મારાં અસલ મુકામ તરફ.
– ‘શૂન્ય’ પાલનપુરી

છે તમારી જ હયાતિનું એ બીજું પાસું,
મોત આવ્યું તો ભલે, એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા

રમત શ્વાસના સરવાળાની,
મૃત્યુ રાહત વચગાળાની.
-ઉર્વીશ વસાવડા

સ્મરણ રૂપે રહ્યો છું જીવતો હું સર્વના હૈયે,
મને ના શોધશો અહીં, હું કબર નીચે નથી સૂતો.
– ‘દિલહર’ સંઘવી

‘નૂર’ કેવળ શ્વેત ચાદર લઈને દુનિયાથી ગયો,
જિંદગી એણે વિવિધ રંગોથી શણગારી હતી.
‘નૂર’ પોરબંદરી

નથી ભય મોતનો કે મોત કેવળ એક વેળા છે,
જીવનની તો ઘણીવેળા દશા બદલાઈ જાય છે.
-હસનઅલી નામાવટી

Comments (39)

ગઝલ – રવીન્દ્ર પારેખ

તેં પગ ઉપાડી ખુદનું ગુમાવ્યું છે માન પણ,
બાકી તો મારી એ હતી પાછા જવાની ક્ષણ.

છૂટી ગયેલું તીર તો પાછું ફરી ગયું,
જંગલમાં ક્યાંય પણ નથી બાકી બચ્યાં હરણ.

તેથી હરેક ફૂલ પવનની જુએ છે રાહ,
ખરવાનો ભય છે તોય મહેક જાય દૂર પણ.

રેતીનો વાંક કાઢીને યે ઘર નહીં બને,
રેતી હો એટલે જ કૈં બનતું બધે ન રણ.

મારા વગર તું એટલીયે એકલી ન થાય,
જેવી તું ગઈ કે તારી પૂંઠે મોકલ્યું સ્મરણ.

જીવન જો પ્રેમ હોય તો મૃત્યુયે પ્રેમ છે,
કારણ કે બેઉમાં જ નથી ફેર આમ પણ !

જીવનને કોઈ પણ રીતે નિષ્ફળ જવું હતું,
એવામાં કોઈ રોકે તો રોકે ક્યાં લગ મરણ ?

– રવીન્દ્ર પારેખ

કહેવાય છે કે અણી ચૂક્યો સો વરસ જીવે. સંબંધમાં ક્યારેક એવું બને કે સામો માણસ જ પીછેહઠ કરવા પર હોય. એવા વખતે આપણે એ ક્ષણ પારખવામાં થાપ ખાઈ જઈએ અને નિર્ણય લઈ બેસીએ ત્યારે એનું પરિણામ આપણા માથે આરોપી દેવામાં આવે છે… કદાચ અણી ચૂકી ગયા હોત તો…

Comments (11)

હરિગીત – રવીન્દ્ર પારેખ

હરિ, લાસ્ટ સપ્ટેમ્બરમાં તો
તમે હતા યુ.એસ.એ.,
તો ય ધડાકો કેમ થયો ત્યાં
પ્રશ્ન સદા એ રે’શે….

આખે આખી કાયા
કચ્ચર થઈને ઊડી,
માણસમાં જે લાશ હતી
તે કાઢી વાળી,ઝૂડી….
વર્લ્ડ ટ્રેડ સેન્ટર જેવું કૈં હતું
કોણ તે કે’શે?

હરિ તમે તો વર્ષોથી
આ ત્રાસવાદ નવ માન્યો,
છતાં ન તમને માન્યા તેથી
આ દા’ડો પણ આવ્યો,
હરિ, કંસ તો સમજ્યા
પણ વિધ્વંસ કોણ આ સે’શે?
સદા બન્યું છે તેમ ભોગ
નિર્દોષનો કોઈ લેશે….

– રવીન્દ્ર પારેખ

શ્રીકૃષ્ણે આપેલું શાશ્વત વચન-‘यदा यदा ही धर्मस्य, ग्लानिर्भवती भारतः |’ – કેટલુંક સાર્થક છે ? સમયાંતરે થતા જઘન્ય નરસંહાર કરનાર પણ ઈશ્વરનો અંશ છે અને ભોગ બનનાર પણ ઈશ્વરનો અંશ છે-આ વાત ગળે ઉતરવી અઘરી નથી ? પૂર્વજન્મના પાપનું નામ આપી આપીને કેટલાં નિર્દોષોને અન્યાય થવા દઈશું ? શબ્દોની રમત અને theories of exsistence નિર્દોષોનું લોહી વહી ગયા પછીના ઠાલા વિદ્વતપ્રલાપ થી વિશેષ શું છે ? એ તો રામબાણ વાગ્યાં રે હોય તે જાણે….

Comments (12)

ગઝલ -રવીન્દ્ર પારેખ

કોની વાતે તું ભરમાઈ ?
કોણ કબૂલે એ સચ્ચાઈ ?

હું ઝાકળ છું, તું આંસુ છે,
તારે મારે શી સરસાઈ ?

કોણ છૂટું પડતું કોનાથી,
વાત મને એ ના સમજાઈ.

આ તો તેજ વગર બળવાનું,
એનું નામ જ અખ્ખર ઢાઈ.

જળનાં ટીપાં જેવી યાદો,
વધતાં વધતાં થૈ દરિયાઈ.

હોય ન જ્યારે પણ તું સાથે,
હાથવગી મારે તન્હાઈ.

મારે બદલે યાદ મને તું,
મારે બીજી કઇ અખિલાઈ ?

-રવીન્દ્ર પારેખ

વાંચતાવેંત ગમી ગયેલી આ ગઝલનાં છેલ્લા ચાર શેરો જરા વધુ ગમી ગયા…

Comments (19)

ભગવતી-વિશેષ : તરહી મુશાયરો… (ભાગ- ૧)

એકત્રીસમી મેના રોજ શહેરના મૂર્ધન્ય કવિ શ્રી ભગવતીકુમાર શર્માએ જીવનની છોત્તેર વસંત પૂરી કરી એ ઉપલક્ષમાં એમની અલગ અલગ ગઝલો ઉપર અલગ અલગ કવિઓ પોતપોતાની રચના રચે અને વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ એક સુંદર અનૂઠો તરહી મુશાયરો એમને જન્મદિવસની ભેટ તરીકે આપે એવું અમે વિચાર્યું હતું. મેં અને ગૌરાંગ ઠાકરે મળીને ભગવતીકુમાર શર્માની ગઝલોના અલગ-અલગ પુસ્તકોમાંથી કવિશ્રીએ પ્રયોજેલા મોટા ભાગના છંદ આવરી લેવાય એ પ્રમાણે કાવ્યપંક્તિઓ પસંદ કરી સત્તાવીસ જેટલા કવિઓને ફાળવી.

અનિવાર્ય સંજોગાનુસાર એ કાર્યક્રમ 30મી મેના બદલે છઠ્ઠી જુને યોજી શકાયો… આ કાર્યક્રમની સચિત્ર ઝલક બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ:

IMG_4733[1]
(ડાબેથી ભગવતીકુમાર શર્મા, ગૌરાંગ ઠાકર અને વિવેક ટેલર)

કાર્યક્રમની શરૂઆત ‘કાવ્યગોષ્ઠી’નો પરિચય તથા શ્રી ભગવતીકુમાર શર્માની સર્જનયાત્રા અને સર્જક તરીકે શ્રી ભગવતીકુમાર વિશેનું મારા મંતવ્ય પ્રગટ કરીને મેં કરી હતી.

*

IMG_4772

શ્રી ભગવતીકુમાર શર્માએ એમના જન્મદિવસના ઉપલક્ષમાં યોજાયેલા આ કવિસંમેલન વિશે કૃત્કૃત્યતા પ્રગટ કરી સહુને આશીર્વચન આપ્યા હતા… અને પછી કવિઓએ શ્રી ભગવતીકુમાર શર્માની અલગ અલગ પંક્તિઓ ઉપર ગિરહ મારીને રચેલી પોતાની રચનાઓ રજૂ કરવી શરૂ કરી હતી…

*

IMG_4744

હૈયામાં એમના ભલે સ્થાપિત ન થઈ શક્યો,
ઉતરું નજરથી, એટલો ત્રાહિત ન થઈ શક્યો.
ખૂંચે છે એ જ શૂળ જો નીકળું છું બાગથી,
પુષ્પોમાં હું રહ્યો ને સુવાસિત ન થઈ શક્યો.

– રઈશ મનીઆર

*

IMG_4740

છે રામના રખોપાં એવું હું કહું અને
મંદિરની સીડી પર થતી હું નાસભાગ છું.
માની લીધું નજીવું છે મારું વજૂદ પણ
કોઈ વિરાટ યોજનાનો હુંય ભાગ છું.

– બકુલેશ દેસાઈ

*

IMG_4755

બંધ મુઠ્ઠી ખોલું ત્યારે છળ મળે,
સાત ભવ માગું ને કેવળ પળ મળે.
દોસ્તો, સુંદર ગઝલ કહેતા બધા,
ઇચ્છું કે મારી કલમને બળ મળે.

– દિલીપ મોદી

*

IMG_4759

ઘૂંટી ઘૂંટીને શોકને ઉજળો કર્યો છે મેં,
માણસ થવા જતાં હું થયો પુણ્યશ્લોક છું.
મૃત્યુને કારણે જ હું જુદો છું બાકી તો –
હું પૃથ્વીલોક છું અને હું દેવલોક છું.

– રવીન્દ્ર પારેખ

*

IMG_4701

બીજાંની જેમ એણે પણ કસબ એ કેળવી લીધો,
કહે છે વાત સઘળી પણ કરે છે વાત વાળીને.
હૃદયના એક ફળિયે લાગણીનું ઘર જરા સળગ્યું,
હવે એ જંપશે જોજો ને! આખું ગામ બાળીને.

-હેમાંગ જોષી (ભરૂચ)

*

IMG_4705

નથી તું, છતાં મહેંક તારી ભરી છે,
અહીં રોમરોમે ખીલી ગુલછડી છે.
તને પાંપણે કેદ રાખું છતાંયે
બની આંસુ, તારી હયાતી દડી છે.

-સ્મિતા પારેખ

*

IMG_4720

પતનનો થાય છે આરંભ ઉચ્ચ સ્થાનેથી,
પડે છે છાપરું પહેલાં પછી દીવાલ પડે.
મળે છે આખરી ઉત્તર તો હોય કેવળ મૌન,
થતાં જ શૂન્યની સન્મુખ, બધા સવાલ પડે.

-પંકજ વખારિયા

(ભાગ-૨ આવતીકાલે)

Comments (11)

તમને ખબર ? – રવીન્દ્ર પારેખ

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
સ્તબ્ધતાએ આદરી દીધી સફર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
શૂન્યતા હસતી રહે અર્થોસભર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
– ને ક્ષણો પીગળ્યા કરે સૂરજ ઉપર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
– ને અહીં શબ્દો ભમે ભીંતો વગર.

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
ઝાંઝવાનું નામ અહીંયા માનસર !

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
ક્યાં હવે એમાં મળે ટહુકાનું ઘર ?

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
કોણ પડછાયાને ઉલેચે અરર !

રેત, તડકો ને સ્મરણનું આ નગર,
છે સ્મરણમાં પણ મરણ, તમને ખબર ?

– રવીન્દ્ર પારેખ

રવીન્દ્રભાઈ સ્વભાવે પ્રયોગશીલ છે. અહીં આખી ગઝલમાં ઉલા મિસરા (પહેલી કડી)ને ગઝલના રદીફની જેમ જાળવી રાખીને બાકીની એક લીટી જેટલી સાંકડી જગ્યામાં એમણે આઠ શેર કહેવાનું સાહસ કર્યું છે જે ભાવકોના (સદ્)ભાગ્યે સફળ થયું છે.

કવિ જે નગરની વાત કરી રહ્યા છે એ રેતી, તડકા અને સ્મરણનું બનેલું છે… ત્રણેય કલ્પનો પર એક સાથે ધ્યાન આપીએ તો કેટલીક અર્થચ્છાયાઓ ઉપસી આવે છે. ત્રણેય પકડી શકાતા નથી, ત્રણેય પકડાય એનાથી વિશેષ છટકતા રહે છે, ત્રણેય સ્થિર નથી રહેતા અને ત્રણેયનો આકાર પણ ક્ષણેક્ષણ બદલાતો રહે છે… ત્રણેય કદાચ ભીનાશના અભાવ સાથે પણ સંકળાયેલા છે…

…હવે ગઝલ ફરીથી વાંચીએ?

Comments (13)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૧

હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે

-ગનીચાચાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ-

અહેવાલ: રઈશ મનીઆર, વિવેક ટેલર

કોઈપણ કળાકારને સાચી અંજલિ શી રીતે આપી શકાય આ પ્રશ્નનો ઉત્તર તા. 21મી સપ્ટેમ્બરે, રવિવારે સાંજે રાષ્ટ્રીય કળા કેન્દ્ર હસ્તક સુરતના કળાપ્રેમી શ્રોતાઓને સાંપડ્યો. પ્રસંગ હતો 17 ઑગસ્ટ, 1908ના રોજ જન્મેલા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના શતાબ્દી વર્ષની દબદબાભેર કરાનારી ઉજવણીનું પ્રથમ સોપાન અને ઉજવણીની રીત હતી ગુજરાતભરમાં કદાચ સર્વપ્રથમવાર યોજાયેલ વિશિષ્ટ પ્રકારના તરહી મુશાયરાની. શહેરના 24 જેટલા નામાંકિત અને નવોદિત ગઝલકારો એકસાથે એક જ મંચ પર બિરાજમાન થાય અને ગનીચાચાની ગઝલોની અલગ-અલગ 24 જેટલી પંક્તિઓ પર પાદપૂર્તિ કરીને ગઝલો કહેવા ઉપસ્થિત થયા હોય એવો પ્રસંગ કદાચ ગઝલગુર્જરીના આંગણે પ્રથમવાર આવ્યો હતો…

ganichacha4

તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.

-ગનીચાચાની આ અમર પંક્તિઓ વડે ડૉ. રઈશ મનીઆરે શ્રોતાજનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ  શ્રી રૂપિન પચ્ચીગરે આવકારવચન કહી ગની જન્મ શતાબ્દિ પ્રસંગ ઉજવણીની આ પહેલી કડીની આલબેલ પોકારી હતી. ભારત સાહિત્ય અકાદમી પુરસ્કૃત જૈફ સાહિત્યકાર શ્રી રતિલાલ અનિલે ગનીચાચા સાથેની પોતાની સ્મૃતિઓ વાગોળી હતી અને છે…ક 1943ની સાલમાં યોજાયેલ ગનીચાચાના સર્વપ્રથમ મુશાયરાને તાદૃશ્ય કર્યો હતો. અને એ મુશાયરામાં ગનીચાચાએ રજૂ કરેલ ગઝલનો શેર 86 વર્ષની ઉંમરે યાદદાસ્તના બળે રજૂ કરી શ્રોતાઓને ચકિત કર્યા હતા:

મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.

અમર પાલનપુરી, ચંદ્રકાંત પુરોહિત તથા ભગવતીકુમાર શર્માએ પણ ગનીચાચા સાથેના મજાના સંસ્મરણો તાજા કર્યા હતા. મુરબ્બી શ્રી ભગવતીકાકાએ ગનીચાચાના વિનય, પ્રેમબાની અને તરન્નુમથી છલકાતા સમૂચા વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરતા એમના જ શેર વિશે શ્રોતાજનોને સવિસ્તર સમજાવ્યું હતું:

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.

વિનયથી સજ્જ પ્રેમબાનીથી ગુજરાતને ગૂંજતું કરનાર આ મહાન શાયરને એમની જન્મશતાબ્દિ પર એમની જ ગઝલો પર પાદપૂર્તિ કરી કાવ્યાત્મક અંજલિ આપવાનો  મનોહર ઉપક્રમ શરૂ કર્યો અને ગનીપ્રેમી અને ગઝલપ્રેમી શ્રોતાજનોનુ હૈયું ડોલાવી મૂક્યુ.

ganichacha3
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)

જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

આ શેર પરથી રચાયેલી ગઝલથી મુશાયરાની શમા ફરતી થઇ અને એક પછી એક શાયર ગનીચાચાની અલગ અલગ છંદ, અલગ અલગ રદીફ-કાફિયાથી બંધાયેલી પંક્તિ ઉપર ગિરહ લગાવીને રચેલી પોતાની ગઝલ રજૂ કરતા ગયા અને શ્રોતાજનોને રસતરબોળ કરતા ગયા: ખાસ કરીને ડૉ. હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર અને પંકજ વખારિયાની સાદ્યંત સુન્દર ગઝલો સભાગણ અને પીઢ કવિઓની પ્રશંસા મેળવી ગઇ.

પંકજ વખારિયા:
સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.

વિવેક ટેલર:
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતના વ્યાપને એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

હરીશ ઠક્કર:
તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
તું અધૂરી છે, તું મધુરી છે, તને ચાહવાની પળેપળે,
ઓ હયાતિ ! તું તો કળાકૃતિ, હું મઠારું છેલ્લા શ્વસન સુધી.

મુકુલ ચોક્સી:
નહીં ગવાયેલા સઘળા સ્વરોને હાશ થઈ,
તમારી આંખના બે જલતરંગ જોઈ ગયા.

રવીન્દ્ર પારેખ:
અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાંક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.

અમર પાલનપુરી:
અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.

(ક્રમશઃ)

Comments (15)

ગઝલે સુરત (કડી-૧)


(“ગઝલે સુરત”….                         …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. ૨૫)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563
(આ પુસ્તિકામાં પ્રગટ થયેલી મારી બંને રચનાઓ આપ ‘શબ્દો છે શ્વાસ મારા‘ પર માણી શકશો.)

૨૦ જાન્યુઆરીના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે એક વિશિષ્ટ ઘટના ઘટી. આ વિશિષ્ટ ઘટના એટલે ‘ગઝલે સુરત‘ પુસ્તિકાનું પ્રકાશન ! કવિતા-ગઝલના પુસ્તકો પ્રગટ થવાની ઘટના તો રોજેરોજની છે, પણ આ ઘટના વિશિષ્ટ એટલા માટે હતી કે એકસાથે કોઈ એક શહેરના તમામ હયાત ગઝલકારોની પ્રતિનિધિ કૃતિઓ બે પૂંઠાની વચ્ચે પ્રથમવાર પ્રકાશિત થઈ રહી હતી. ગઝલનું મક્કા ગણાતા સુરત શહેરના હયાત ૪૧ ગઝલકારોની એક યા બે ગઝલો લઈ કુલ ૭૬ ગઝલોનો ગઝલકારોના ટૂંક પરિચય અને ફોટોગ્રાફ સાથેનો ગુલદસ્તો સંપાદક શ્રી જનક નાયકે પીરસ્યો છે. સુરતની ગઝલોની આ ગલીઓમાં એક લટાર મારીએ તો?…

ફરી જીવનમાં એવી ભૂલ ના થઈ જાય તે માટે,
કોઈ ભૂલી જવાયેલા વચનની ભેટ આપી દઉં.
-આસીમ રાંદેરી (જ.તા.: 15-08-1904)

નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો,
‘અનિલ’ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-રતિલાલ ‘અનિલ’

શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું; માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા

દિલના ઉઝરડા યુગો માંગે,
રોવાથી કંઈ રૂઝ ન આવે.
-અમર પાલનપુરી

હવે હું રોઉં તો મુજ નેણથી વરસી રહે રેતી;
હવે ધીરે ધીરે માનસ મહીં પથરાય છે સહરા !
-કિસન સોસા

શાલ-સન્માન આવશે આડે
શબ્દ સાથે હજીય દૂરી છે !
-નિર્મિશ ઠાકર

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
-નયન દેસાઈ

વધુ આગળ વાંચો…

Comments (19)

ગઝલ – રવીન્દ્ર પારેખ

ડૂબવાનું હોય જાણે કે જગત,
એટલો વરસાદ વરસે છે સખત.

બારણાં, બારી બધું વરસાદનું,
ને ઉપર વરસાદની એકાદ છત.

જળ ભલે આપે મને વરસાદ તું-
લે, ઉમેરી અશ્રુ આપું છું પરત.

હોય કોરું તોય હું તરબોળ છું,
યાદમાં એવું બધું તો હસ્તગત.

હું મને મળવા મથું પણ ના મળું,
એટલો વરસાદ વચ્ચે છે સતત.

ના કશેથી આવવું કે ના જવું –
ને ઉપરથી જાય ના ભીનો વખત.

શક્ય છે એ રીતથી મળવું બને,
લે; લખ્યો આજે મને એકાદ ખત.

સાવ લીલું ઘાસ ફેલાયું બધે,
દેવકાવ્યોની ખૂલી છે હસ્તપ્રત.

ભીની આંખે કેમ ઉકેલું કહે,
વીજળી છે કે કોઈના દસ્તખત !

-રવીન્દ્ર પારેખ

આ ગઝલ વાંચી એના વિશે બે શબ્દો લખવા બેઠો તો જબરદસ્ત મુંઝારો થયો. કયા શેરની વાત માંડું અને કયા શેરને છોડી દઉં? ગઝલના આસ્વાદમાં આખેઆખી ગઝલ જ ફરીથી લખી નાંખવી પડે એવી સરળ છતાં પ્રબળ આ રચના છે. વરસાદના અલગ-અલગ રૂપ કવિએ જે રીતે અલગ-અલગ આંખથી જોયા છે એ વાંચતાં-વાંચતાં જ અંદર ક્યાંક કશુંક ગચકાબોળ થઈ જતું અનુભવાય…

Comments (11)

હરિગીત – રવીન્દ્ર પારેખ

હરિ, ચલો કે.જી. માં –
નાનામોટાં ટાબરિયાં આવ્યાં પ્હેલી, બીજીમાં –

હરિ, માંડ ડોનેશન દઈને કર્યું તમારું પાકું,
એડમિશનમાં સ્કૂલો વાતેવાતે પાડે વાંકું,
અને તમે રડવા બેઠા છો અમથા નારાજીમાં ?

હરિ, તમારું નામ જૂનું છે, હરિનું કરીએ હેરી,
હવે તો ફેશન રૉ-હાઉસની, તમે શોધતા શેરી,
મેગી, બેગી ખાઈ લો થોડી, નથી કશું ભાજીમાં –

સ્કૂલબેગ કરતાં પણ ઓછું હરિ તમારું વેઈટ,
યુનિફોર્મની ટાઈ ન જડતાં હરિ તો પડતા લેઈટ,
પછી રડે એવું કે વર્ષા હો ચેરાપૂંજીમાં –

હરિ, કરો કન્વેન્ટ નહીં તો ઢોર ગણાશો ઢોર,
કે.જી., પી.જી. ના કરશો તો કહેવાશો કમજોર,
તમે ભણો ના તો લોકો ગણશે રેંજીપેંજીમાં –

હરિ, કહે કે કે.જી. કરીએ તો જ રહે કે અર્થ ?
અગાઉના નેતા કે મહેતા, કે.જી. નૈં તો વ્યર્થ ?
કે.જી. ના હો તો ય પલટતો મોહન, ગાંધીજીમાં.

-રવીન્દ્ર પારેખ

પહેલી નજરે રમત ભાસતા આ હરિગીતમાં રવીન્દ્રભાઈ સ્વભાવમુજબ કંઈ નવું અને તરત મનને અડે એવું લઈને આવ્યા છે. સ્કૂલોમાં ભણતરના નામે ફાલી નીકળેલા દૂષણોને ફક્ત દૂરથી અડી લઈને પણ એ મનને ભીનું અને હૃદયને બોજિલ કરી દે છે. ડોનેશન, મોડર્ન નામ, શેરી સંસ્કૃતિનો વિનાશ, ફાસ્ટ ફૂડ, સ્કૂલબેગનું વજન, યુનિફોર્મના જડતાભર્યા નિયમો, કન્વેન્ટનો આંધળૉ મોહ… શિક્ષણને નામે ફાટી નીકળેલી બદીઓને માત્ર ચલક-ચલાણી રમતા હોય એમ શબ્દોથી અછડતું અડીને રવીન્દ્રભાઈએ ગીતને વધુ ધારદાર કર્યું છે…

Comments (1)

હરિ ગીત – રવીન્દ્ર પારેખ

હરિ, હાજરાહજૂર !
તોય મને શોધાવે એવું હો એ જગથી દૂર.

અડધી રાતે ડર લાગે તો કોને જઈને કૈયે,
હરિ, રહે હૈયે ને તો પણ કદી ન આવે શય્યે,
ક્યાંક ઝલક એની સાંપડતાં હું તો ગાંડીતૂર.

ટુકડે ટુકડે અંધારાં સીવીને કાઢું રાત,
ટીપે ટીપે વિરહ પરોવી માંડ કરું પરભાત,
છતે ધણીએ કોણ હશે મારા કરતાં મજબૂર ?

કોઈવાર તો એમ થાય કે બાથ ભીડું બ્રહ્માંડે,
પછી થાય, હૈયે છે તેને કોણ બ્હાર જઈ ભાંડે ?
એવું કરવા કરતાં હૈયું કરું ન ચકનાચૂર !

-રવીન્દ્ર પારેખ

અટક પારેખ હોય તો હરિગીત સરસ લખાય એવું તો નથી ને? રમેશ પારેખની જેમ રવીન્દ્ર પારેખના હરિગીતો પણ આપણી ભાષાનું સુંદર ઘરેણું બની રહ્યાં છે. હૈયામાં હોય એને બહાર જઈને વળી શું ભાંડવું એ વિલાપમાં હરિ માટેની અદમ્ય ઝંખના તીવ્રતાને સ્પર્શે છે…

Comments (3)

મારા મને વાવડ મળે – રવીન્દ્ર પારેખ

કોઈ પણ રીતે ન એની ગડ મળે,
બીજમાંથી કઈ રીતે એક વડ મળે ?

બંધ ઘરમાં જેમ કોઈ તડ મળે,
એ રીતે મારા મને વાવડ મળે.

એટલે લઈને ફરું માથું બધે,
શક્ય છે કે ક્યાંકથીયે ધડ મળે.

કોઈ મરતાંને પડે સાંસા સતત,
ને હવા ચોમેર આડેધડ મળે.

કોઈ કાળે ત્યાં નદી જેવું હશે,
એ વિના ના ભીતરે ભેખડ મળે.

કોઈ, કૂંપળને કહે છે પળ સતત,
રોજ એવો એક તો અણઘડ મળે.

મારા જ શહેર સુરતના રવીન્દ્ર પારેખ (21-11-1946) એટલે નખશીખ પ્રયોગશીલ કવિ. એમની કવિતામાંથી જ નહીં, સમગ્ર વ્યક્તિત્વમાંથી એક અજબ અજંપો તમને સતત ઝરતો અનુભવાય. સુંદર કવિ હોવા ઉપરાંત સારા વાર્તાકાર અને વિવેચક પણ ખરાં. એમનો પુત્ર ધ્વનિલ પણ સારો કવિ છે. કાવ્યસંગ્રહ: ‘ એ તો રવિન્દ્ર છે’.

Comments