તું હરદમ હરજનમ મારી હતી, છે ને હશે જાનમ,
રગોથી રક્ત શી રીતે કરી શકશે અલગ આલમ ?!
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
August 12, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રમણલાલ સોની, રવીન્દ્રનાથ ઠાકુર
મુક્તિ ક્યાં છે, અને હું મુક્તિ કોને કહું છું એ
મને પૂછશો મા .
હું કંઈ સાધક નથી, હું ગુરુ નથી,
હું કવિ છું .
ધરતીની ખૂબ નજીક છું, આ કિનારાના નૌકાના ઘાટ પર !
સામે પ્રાણની નદી ભરતીઓટ કરતી અંધારું અને અજવાળું,
સારું અને ખોટું, વહી જવા જેવું કંઈ કેટલુંયે,
અને લાભહાનિ તથા રુદાનહાસ્યના કંઈ કેટલાયે ઢગલે ઢગલા લઈને
નિત્ય વહી રહી છે-
એક કાંઠો ભાંગીને બીજો કાંઠો ઊભો કરે છે ;
એ જ પ્રવાહની ઉપર ઉષા લાલ લાલ બની જાય છે .
અને ચંદ્રમાના પ્રકાશની રેખા માતાની આંગળીના જેવી પડે છે;
અંધારી રાતે બધા તારા ધ્યાનમંત્રનો જપ કરે છે;
આથમતો સૂરજ લાલ ઉત્તરીય પસવારીને ચાલ્યો જાય છે;
એ તરંગમાં માધવી-મંજરી માધુર્યની છબી વહાવે છે,
અને પંખીઓ પોતાનાં ગીત ઢોળે છે .
એ તરંગના નૃત્યના છંદમાં જયારે ચિત્ત આ વિશ્વપ્રવાહમાં
પોતાના સંગીતની સાથે વિચિત્ર ભંગિમાં નૃત્ય કરે છે,
ત્યારે
એ છંદમાં મારું બંધન છે,
મારી મુક્તિ પણ એમાં જ છે .
હું કશું રાખવા ઈચ્છતો નથી, કે કશાને વળગી રહેવા ચાહતો નથી;
હું તો વિરહ-મિલનની ગ્રંથિને ખોલી નાખીને,
નૌકાના સઢને ભાગેડુ પવનમાં ચડાવીને
સૌની સાથે વહેતો રહેવા ચાહું છું .
હે મહાપથિક, તારી દશે દિશાઓ ખુલ્લી છે .
તારે નથી મંદિર,
નથી સ્વર્ગધામ;
કે નથી અંતિમ પરિણામ .
તારે પગલે પગલે તીર્થધામ છે .
તારી સાથે ચાલી ચાલીને હું મુક્તિ પામું છું,
ચાલવાની સંપદમાં,
ચંચલના નૃત્યમાં અને ચંચલના ગાનમાં,
ચંચલના સર્વ કાંઈ ભૂલી જનારા દાનમાં-
અંધકારમાં પ્રકાશમાં,
સર્જનના પ્રત્યેક પર્વમાં
અને પ્રલયની પ્રત્યેક ક્ષણમાં .
– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-રમણલાલ સોની
જરા ધૈર્યથી એકથી વધુ વાર વાંચવું પડે તેવું કાવ્ય છે … મૂળભૂત ધ્વનિ મુક્તિના વિચારમાંથી મુક્ત થવાનો છે …. જેને જે. કૃષ્ણમૂર્તિ ‘ total freedom ‘ કહે છે તે મુક્તિની વાત છે . જીવનસરિતાના અસ્ખલિત પ્રવાહને એકાત્મ થતા જ બંધન અને મુક્તિનું દ્વન્દ્વ જ રહેતું નથી .
Permalink
August 11, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
કોઈ જોગણનાં ચરણમાં પુષ્પ થૈ પથરાઈ જા
કે પછી વારાંગનાનું સ્મિત બની વેચાઈ જા
શક્ય હો તો કોઈ યોગી ના અધરનું મૌન બન
કે પછી બદનામીની ચર્ચા બની ચર્ચાઈ જા
શક્તિ હો તો જા હિમાલયની બુલન્દીને નમાવ
કે પછી પાતાળમાં જૈને પતન પર છાઈ જા
હેસિયત જો હો તપ બન ફિલસૂફની ગંભીરતા
કે પછી પ્રેમીની ચંચલતા બની ફેલાઈ જા
બન જો બનવું હોય નીરવતા નનામી ક્બ્રની
કે પછી મ્હેલોનો કોલાહલ બની પંકાઈ જા
મરજી હો તો ધર્મની નીરસ લડતનું લે સ્વરૂપ
કે પછી કો રસભરી સરગમ બની રેલાઈ જા
કોઈ જખમી લાશ માટે બન કફન યા તો પછી
ચૂંદડી કોઈ નવોઢાની બની લ્હેરાઈ જા
કોઈ રૂપાળાં નયનની અર્થસૂચક વાણી બન
કે પછી અસ્પષ્ટ ચૂપકીદી બની સમજાઈ જા
એકબે જો હો તો આદમ કાન ધરીએ બે ઘડી
સેંકડો છે તુજ કથાઓ પ્રેમની જા ભાઈ જા
– શેખાદમ આબુવાલા
અમુક શેર નબળાં લાગ્યા પણ બાકીનાં ગઝલને સરસ ઉપાડે છે.
Permalink
August 10, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી
કયા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.
ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દ્યે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠે કપાળ.
એણી નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આપણી ભાષામાં ભાગ્યે જ કોઈ કવિના જીવનના બે સાફ ભાગ પડતા જોઈ શકાય… પરદેશ જતા પહેલાના “પૂર્વ શ્રીધરાણી” અને દોઢ દાયકાનો નખશિખ કાવ્યવટો અને દેશવટો ભોગવી પરદેશથી પરત ફરેલા “ઉત્તર શ્રીધરાણી”- આવા બે સુસ્પષ્ટ ફાંટા આ કવિની કવિતામાં તંતોતંત જોઈ-આસ્વાદી શકાય છે…
ખૂબ નાની ઉંમરે અદભુત કવિકર્મ કરનાર શ્રીધરાણી પરદેશથી દોઢ દાયકા બાદ પરત ફરે છે ત્યારે આઝાદી ઢૂંકડી આવી ઊભી હતી અને ગુજરાતી કવિતાની તાસીર આખી બદલાઈ ગઈ હતી. કવિતાની આ બદલાયેલી સિકલ શ્રીધરાણી અદભુત રીતે ઝીલી શક્યા એની પ્રતીતિ સમું આ કાવ્ય…
કવિના પ્રિય સવૈયા છંદમાં શરૂ થયેલ આ કાવ્યમાં અંતિમ ત્રણ પંક્તિઓ શ્રીધરાણી-છાપ ચુસ્ત-પ્રાસબદ્ધ પણ અછાંદસ મૂકી દઈ કવિએ એ જમાનામાં પણ સારસ્વતોને ચોંકાવ્યા હતા. વીજળી તેલ તપેલાં ખાલી, તાર સૂકી હોલાય જેવા વાક્યપ્રયોગમાં વીજળી જતાં અને તેલના અભાવમાં છવાઈ વળતાં અંધકારને કવિએ કેવો અદભુત રીતે ઉપસાવી આપ્યો છે ! અંધારાનો લાભ ઊઠાવી દિવાસળી આરસની પાળ જેવા ઠંડા મીણબત્તીના માથે-હોઠે ચુંબન ચોરી લે છે એ કલ્પના જ કેવી હૃદ્ય છે !
Permalink
August 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
જલની તે બીજી કંઈ હોય સ્થિતિ-ગતિ !
ગળી જવું, ઢળી જવું, સૂકાવું રૂંધાઈ
તડકાથી ડરી, જવું ભીતરે સંતાઈ
ફૂટવું તો બીજારૂપે : તૃણ-વનસ્પતિ.
હવે પ્રિય પાણી મિષે પ્રેમની તે વાત
કરી કરી શાને વ્હોરી લેવો રે સંતાપ !
ગળી ગયું, ઢળી ગયું, ગયું જે સુકાઈ
તેની પછવાડે હવે હરણ શા ધાઈ
પામવાનું કશું ! હવે રણ ને ચરણ –
એ સિવાય મિથ્યા અન્ય સઘળું સ્મરણ
ખરી જાય તારો અને ઝબકી ગગન
જોઈ લિયે જરા – પછી મીંચી લે નયન.
એમ અમે વાળી લીધું તમારાથી મન
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.
– જયન્ત પાઠક
વિયોગ-વિચ્છેદની વાત કરતા સોનેટ-જોડકાંમાંનું આ બીજું. પહેલું સોનેટ વિયોગની વાતથી શરૂ થઈ જળ પર અંત પામે છે જ્યારે આ સોનેટ જળથી શરૂ થઈ વિરહ તરફ ગતિ કરે છે.
જળની વળી શી ગત હોય? હાથમાંથી ગળી જાય, ઢોળાઈ જાય, તડકાથી સૂકાઈ જાય… બહુ બહુ તો એ સ્વ-રૂપ ગુમાવી વનસ્પતિ રૂપ લઈ શકે. એ જ રીતે જળની જેમ સરકી ગયેલા પ્રેમની અવર શી સ્થિતિ હોઈ શકે? જે રણ બની ગયું છે એમાં મૃગજળના ચરણ લઈ ચાલવાનો કોઈ અર્થ? આભથી તારો ખરે અને પલકવાર ગગન એ તરફ જોઈ બીજી પળે વિસરી જાય એમ અમે તો તમારાથી મન વાળી લીધું છે… એક આંસુ હતું જે હવે આંખથી વિખૂટું પડી ગયું છે, બસ!
Permalink
August 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(પયાર)
પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન –
હવે તો નિરાંત ? નહિ વિરહ, મિલન;
સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન,
રંગરંગી પ્હેરી લીધું ચીવર, નિઃસંગ;
ગલી ભણી નહીં, હવે ઊલટો જ પંથ !
પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !
એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો
બાંધી લિયે આપણને પાકા કોઈ તારે.
વરસી વરસી પ્રિય ઘેરાયું વાદળ,
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.
– જયન્ત પાઠક
વિયોગની વેદના તો આપણામાંથી મોટાભાગના ક્યારેક ને ક્યારેક વેઠતાં જ હોય છે પણ આ કાયમી વિયોગ-વિચ્છેદની વાત છે. છૂટા પડવાની વાતની શરૂઆત “પ્રિય” સંબોધનથી થાય છે એ વાત જ કેવી સૂચક છે! વળી હવે તો નિરાંત એવો પ્રશ્ન છૂટા પડનારને થતી વેદનાને વળી વળ ચડાવી આપે છે. ઠેકઠેકાણે ગંઠાઈ ગયેલા સંબંધના દોરાને ફગાવી દઈએ, उस गली में हमें पाँव रखना नहींની આહલેક પણ પોકારી લઈએ પણ પેલો પ્રેમ છાનોમાનો પાછો બાંધી ન દે એનો ડર તો જતો જ નથી… કાવ્યાંતે ફરી પ્રિય સંબોધન વરસતા વાદળની પછીતેથી ડોકાતાં સૂરજની જેમ ડોકિયું કરી જાય છે… વાદળ તો વરસી ગયું… હવે છત ગળતી રહેશે… છત કે આંખ?
Permalink
August 5, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
યત્ન ચાલે જે લગતાર ઉપરછલ્લા છે
વાંસ તૂટ્યો કોઈ મારી જ ભીતર ખૂંપી ગયો
શું કરું ? બ્હારના આધાર ઉપરછલ્લા છે
એકબીજાથી રહી ગઈ અપરિચિતતા અમાપ
માપસરના બધા વ્યવહાર ઉપરછલ્લા છે
ફ્રેમ જેનાથી જડી એ ખીલી ખૂંપી છે ભીતર
ને લટકતા બધા ફૂલહાર ઉપરછલ્લા છે
જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે
એ કલા અંધ,કલાકાર ઉપરછલ્લા છે
મોતની ઓઢતા હળવાશ કપાસી, લાગ્યું-
જિંદગીના આ બધા ભાર ઉપરછલ્લા છે
– રઇશ મનીઆર
Permalink
August 4, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ રેડ્ડી
अच्छा मैं दूसरों से बुरा दूसरों से हूँ
मैं सोचता हूँ जो भी हूँ- क्या दूसरों से हूँ ?
अपने में अपने आपको जब ढूँढने गया
मालूम ये हुआ मैं भरा दूसरों से हूँ
जब तक न बन सका है मेरा अपना कोई कद
छोटा मैं दूसरों से बड़ा दूसरों से हूँ
अर्से से कुछ अजीब है इस दिल की कैफियत
नाराज़ खुद से हूँ मैं खफ़ा दूसरों से हूँ
हद तो ये है की आईनाखाने में भी मुझे
लगता है बारहा मैं घिरा दूसरों से हूँ
– राजेश रेड्डी
જરાક change ખાતર આજે આ હિન્દી ગઝલ …. રાજેશ રેડ્ડી નવા યુગના બહુ પ્રતિભાશાળી શાયર છે. પ્રમાણમાં સરળ હિન્દી છે જેથી તરજુમો કરતો નથી.
Permalink
August 3, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બાપુભાઈ ગઢવી
ફરી ચાલ, નખને અણી કાઢીએ;
ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ !
શરત આવવાની હો તારી અગર;
બધાં પાન વનનાં ગણી કાઢીએ !
બધી કોર તારી પ્રતીક્ષા કરી;
હવે દોટ કોના ભણી કાઢીએ ?
તને કેવી રીતે ભૂલી જાઈએં ?
કઈ પેર પગની કણી કાઢીએ ?
ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ ?
– બાપુભાઈ ગઢવી
પ્રશિસ્ત ગુજરાતીમાં શરૂ થઈ અચાનક તળપદી ગઢવી ભાષામાં ડૂબકી મારતી હોવા છતાં નખશિખ આસ્વાદ્ય ગઝલ… પ્રતીક્ષા વિશે આવી મજાની ગઝલો બહુ જૂજ લખાઈ હશે… સલામ, કવિ !
Permalink
August 2, 2013 at 2:19 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, સુન્દરમ
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ : ‘માંગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયા પણ ન કૈં સૂઝ્યું જ શું માંગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યું કર્યું.
– સુન્દરમ્
પાંચ જ લીટીમાં કેવી સરસ વાત ! સાચો કળાકાર માત્ર કદરનો જ ભૂખ્યો હોય છે, ઈનામ-અકરામનો નહીં… ખરું ને ?
Permalink
August 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઊર્મિકાવ્ય, રાજેશ પંડ્યા
પવન કવિતા લખે છે
પહાડના પથ્થર પર.
પથ્થર કવિતા લખે છે
નદીનાં જળ પર.
જળ કવિતા લખે છે
લીલા લીલા ઘાસ પર.
ઘાસ કવિતા લખે છે
ઝાકળનાં ટીપાં પર.
અને ઝાકળ કવિતા લખે છે
આપણાં જીવન પર.
– રાજેશ પંડ્યા
ઉત્તમ કવિતામાં સરળતા હંમેશા છેતરામણી હોય છે. એક કલ્પનથી શરૂ થઈ બીજા પર ને બીજા પરથી ત્રીજા-ચોથા એમ લસરતી આ સાવ બાળમંદિરના બાળકો માટેના જોડકણાં જેવી દસ પંક્તિઓ સહેજ વિચારો તો કેવા મજાનાં અને અર્થગંભીર પાંચ દૃશ્યો દોરી આપે છે…!
Permalink
July 29, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જલન માતરી
મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી
-જલન માતરી
Permalink
July 28, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.
મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.
હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.
રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.
‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.
– ‘ગની’ દહીંવાળા
Permalink
July 27, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શોભિત દેસાઈ
આંખમાં ભીનો ભેદ છે કે શું ?
લાગણી પણ સફેદ છે કે શું ?
નીકળે છે પવિત્ર ઉચ્ચારો !
તારું, તે ! નામ વેદ છે કે શું ?
સૂર્યોદય તિમિર લઈ ચાલ્યો,
સીમને એનો ખેદ છે કે શું ?
લીલી ઇચ્છા, ઉદાસી કે આંસુ
બધું સંયમમાં કેદ છે કે શું ?
– શોભિત દેસાઈ
પહેલી નજરે સાવ વિચિત્ર અને નકરા પાટિયાં બેસાડી દીધેલો લાગે એવો મત્લાનો શેર જરા ધ્યાન આપીએ તો ચમત્કૃતિ કાંખમાં ભરી બેઠો છે. આંખમાં ભીનો ભેજ હોય એ જાણીતી વાત છે પણ આ કવિનો શબ્દ છે. જરા સાવધાનીથી કામ લેજો… કવિને આંખનો ‘ભેજ’ નહીં પણ ‘ભેદ’ અભિપ્રેત છે. આંખ અહીં કશાકનો ભેદભાવ જોઈ રહી છે પણ આત્માને આ ભેદ પસંદ નથી માટે આ ભેદ જરી ભીનો થઈ ગયો છે… પણ આ ભેદ છે શા માટે એ તો કહો… જરા ધીરે રહીને સાની મિસરા પાસે જઈએ ત્યાં કવિ આ ભેદ ખોલી આપે છે… લાગણી સફેદ થઈ ગઈ છે માટે… આમ તો સફેદ રંગ શાંતિનો ગણાય પણ આંખમાં ‘ભીનાશ’ અને ‘ભેદ’ જોયા પછી લાગણીનો સફેદ રંગ શાંતિની નહીં પણ કફનની યાદ અપાવે છે. દિલી લાગણીઓ તો હંમેશા રંગ-રંગથી ભરીભરી હોય… પણ લાગણીનું પોત જ ધોળું પડી જાય તો પછી બચે શું?
લાગણીના સૂકાવાની અને આંખના ભીંજાવાની આ અનુભૂતિમાંથી આપણે સહુ પસાર થયાં જ છીએ. પણ આપણી લાગણી જો સાચી હોય તો રહી રહીને પણ આ સફેદી, આ ભીનાશ વિશે પ્રશ્ન તો થવાનો જ. ખરેખર સાચું કે ભ્રમની આશંકા પાસેથી આપણે સધિયારો શોધવાના જ… અને માટે જ કવિ પણ રદીફમાં ‘છે કે શું ?’નો પ્રશ્ન ઊભો કરીને હૃદયભંગ થવા છતાં પોતાની આશા જીવંત રાખે છે…
બાકીના ત્રણ શેર વિશે હું નહીં, હવે આપ વાચકમિત્રો જ વાત કરજો…
Permalink
July 26, 2013 at 12:30 AM by વિવેક · Filed under અર્પણ ક્રિસ્ટી, ગઝલ
સાચવેલાં પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે,
‘ને પછી કાગળ અડું તો એય ઊનો નીકળે.
આ વરસતી આગનાં કારણ તપાસો તો ખરાં ?
દર વખત શું છેવટે આ વાંક લૂનો નીકળે ?
જીદ ના કર, સાફ દામનનાં રહસ્યો જાણવા,
મેં કરેલાં કેટલાં સ્વપ્નોનાં ખૂનો નીકળે !
આગ થઈ આવે ઘણાયે ‘ને ઘણા પાણી બની,
‘ને ઉપરથી આપણો અવતાર રૂનો નીકળે !
હું મને નિર્દોષ મારી જાતમાં સાબિત કરું,
ત્યાં જ દફનાવી દીધેલો કોઈ ગુનો નીકળે.
નામ પર જેનાં અહીં ટોળાં જમા થઈ જાય છે,
એ જ ઈશ્વરનો હવે દરબાર સૂનો નીકળે.
– અર્પણ ક્રિસ્ટી
Permalink
July 25, 2013 at 12:30 AM by વિવેક · Filed under આબિદ ભટ્ટ, ગઝલ
સેંકડો મુફલિસ, તવંગર થઈ ગયા,
જઈને માટીમાં બરાબર થઈ ગયા !
નામ રેતી પર લખેલા છે સમજ,
યાદ કોને છે સિકંદર થઈ ગયા ?
આદમી તો યે નહીં આદમ થયો,
કેટલા જગમાં પયંબર થઈ ગયા !
ખાણના પથ્થર ચણાયા તાજમાં,
આ જગત કાજે ધરોહર થઈ ગયા !
અશ્રુઓએ સ્થાન સંભાળ્યું પછી,
શબ્દ હોઠેથી છુમંતર થઈ ગયા !
જિંદગીની રેલગાડી સડસડાટ,
બેઉ પાટા જ્યાં સમાંતર થઈ ગયા !
– આબિદ ભટ્ટ
બંને પાટા સમાંતર કરી શકાય તો જીવનની ગાડી પૂરપાટ ચાલતી થઈ જાય પણ આ કસબ કેટલાને હાંસિલ ? આંસુઓ વહેવા મા6ડે અને શબ્દ નિઃશબ્દ થઈ જાય એ શેર પણ ખૂબ મજાનો… સરવાળે મજાની ગઝલ…
Permalink
July 22, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ, ગીત
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.
ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશ: તૂટે છે.
મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.
દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
– ઉદયન ઠક્કર
આ ગીત છે ? કે ગઝલ ? જાણકારો પ્લીઝ પ્રકાશ પાડે ….. જે કંઈ પણ છે – મસ્ત છે !!!
Permalink
July 21, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?
-હરીન્દ્ર દવે
Permalink
July 20, 2013 at 2:32 AM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
ભવ્યતા લાગે ભયાનક શક્ય છે
શક્યતા સામે પરાજય શક્ય છે.
સ્પષ્ટતા કરવી ઘણીએ હોય પણ –
સાવ થઈ જાઓ અવાચક શક્ય છે.
પ્રેમની પેચીદગીને તો જુઓ –
કારણો એના અકારણ શક્ય છે.
ખુશ છે ભૂલી જઈને એ બધું –
ઢોંગ કરતા હો મહાશય શક્ય છે…
બોલવાની રીત બદલે અર્થને
શબ્દમાં ના હો તફાવત શકય છે.
માર્ગમાં છુટ્ટા પડેલાં હોય જે –
તે મળે સામે અચાનક શક્ય છે.
જિંદગીભર માનતા હો જે ગલત,
અંતમાં લાગે બરાબર શક્ય છે.
– કુ. કવિ રાવલ
સવાર સવારમાં આવી ગઝલ વાંચવામાં આવે તો આખો દિવસ સુધરી જાય એ ‘શક્ય છે’.
Permalink
July 19, 2013 at 9:28 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
આ કેવું બંધન બાંધ્યું છે ?
માણસ અંદર મન બાંધ્યું છે.
જીવ આવ્યો છે પ્રવાસ કરવા,
શરીરનું વાહન બાંધ્યું છે.
મેઘધનુના નામે આભે,
માદળિયું પાવન બાંધ્યું છે.
તું પોતે જો ફૂલ હોય તો,
હાથે કાં ચંદન બાંધ્યું છે ?
– અનિલ ચાવડા
સ્વયંસિદ્ધ કવિની સ્વયંસિદ્ધા ગઝલ… બીજા અને ત્રીજા શેરમાં કવિની કલ્પનાશક્તિ એની ચરમસીમાએ પહોંચી છે.
Permalink
July 18, 2013 at 3:33 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ, વર્ષાકાવ્ય
સાવન કેવો છકી ગયેલો !
દશે દિશાઓ ભેગી ડ્હોળી દેવા જકે ચઢેલો. –
ડુંગર ડુંગર હનૂમાનની જેમ ઠેકડા ભરતો,
હાક પાડતો ખીણોનાં ઊંડાણ ઊંડેરાં કરતો,
સમદરને પણ હરતાં ફરતાં જાય દઈ હડસેલો. –
સોનાની લઈ વીજસાંકળો આભે થડ થડ દોડે,
બાંધી તાણે ક્ષિતિજ ચઢે શું હળધર સામે હોડે ?
નવલખ તારા, ગ્રહો, સૂરજ – સૌ હડપ કરી વકરેલો. –
– ચંદ્રકાન્ત શેઠ
મેઘરાજ ઓણસાલ બરાબર મંડ્યા છે. એક તો એપોઇન્ટમેન્ટ કરતાં દસ દિવસ વહેલા આવી ટપક્યા અને આવ્યા પછી એકેય દિવસ કોરો છોડતા નથી… સમગ્ર દક્ષિણ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે એવામાં આ ગીત યાદ ન આવે તો જ નવાઈ.
દશે દિશાઓને જાણે ડહોળી નાંખવાની જીદે ન ચડ્યો હોય એમ છાકટો થઈ વરસતો વરસાદ સમગ્ર સૃષ્ટિનો કોળિયો કરતો ન હોય એમ વકર્યો છે એ વાત અહીં કેવી સરસ રીતે લયાંવિત થઈ છે !
Permalink
July 15, 2013 at 2:02 AM by તીર્થેશ · Filed under ગીત, શેખાદમ આબુવાલા
તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.
ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.
શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.
કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.
સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.
– શેખાદમ આબુવાલા
Permalink
July 14, 2013 at 1:19 AM by તીર્થેશ · Filed under ગઝલ, સંજુ વાળા
કોઈ બોલે છે ને કોઈ સાંભળે છે
તે છતાં ક્યાં કોઈને કોઈ મળે છે
છેક મનનાં મૂળમાં જે ઓગળે છે
એજ કૂંપળ જેમ ફૂટી નીકળે છે
સુખનું સામ્રાજ્ય ચાલે પાંસળીમાં
ને પીડાઓ આંગળીથી ઊખળે છે
આમ તો બુઝુર્ગ છે આ શખ્શિયત પણ-
લોહીમાં તો પતંગિયાંઓ સળવળે છે
સ્થિર થઈ બેઠા છે એ આજે પરંતુ
ચોતરફ એના જ દીવા ઝળહળે છે
ઓથમાં છુપાઈ રહ્યાં છે તણખલાંની
આખ્ખુયે બ્રહ્માંડ જેના પગ તળે છે.
-સંજુ વાળા
Permalink
July 13, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, સોનેટ
(શિખરિણી)
રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.
– ઉશનસ્
આપણામાંથી મોટા ભાગના લોકો કવિતાના હૃદયસ્વરૂપની સમજણ અને સમાજમાં વડીલોના મોળા પડી ગયેલા સ્થાનની સમજ સાવ કાચી હોય એવે તબક્કે આ સોનેટ શાળામાં ભણી જ ચૂક્યા હશે પણ એક ઉત્તમ કવિતા તરીકે આજે આપણે એને ફરીથી માણીએ…
બાળવિધવા ફોઈ અને મા-બાપથી બનેલા ગામડાના સૂના ઘરમાં દિવાળીના દીવા ત્યારે જ પ્રકાશે છે જ્યારે બાળકો કુટુંબ-કબીલા સાથે વેકેશન ગાળવા આવે છે પણ સંતાનોને વિદાય આપ્યા બાદ ઓસરીથી ઉંબરાનું અંતર કાપવું કેવું દોહ્યલું થઈ પડે છે !
Permalink
July 12, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીરજ મહેતા ડૉ.
સ્મરણના રાફડામાંથી કીડી ઊભરાય ને ! એમ જ
સખત ઘેરી વળ્યો તું આજ મારી સાંજને એમ જ
અહીંથી નીકળ્યો’તો ને થયું મળતો જઉં – એવાં
બહાનાં સાવ ખંખેરી તું મળવા આવ ને એમ જ
મળે જો કોઈ રસ્તામાં મુંઝાયેલું ને રત ખુદમાં
કશું નહિ તોય એને ‘કેમ છો?’ પૂછાય ને, એમ જ
હશે, કરવું પડે સંબંધ સાચવવા : ખરું છે, નહિં ?
શરત તો વ્હાલમાં હોતી નથી એક્કે – મને એમ જ
અઢેલી છાતીએ તો ઘૂઘવાયો કાનમાં દરિયો
અરે ! કાને ધરેલા શંખમાં સંભળાય ને, એમ જ
ઘણું છે તોય, ‘અહિંયા કેમ ?’ પૂછે કોઈ’ને સામે
હસીને આપણાથી એટલું કહેવાય ને – ‘એમ જ !’
– ડૉ. નીરજ મહેતા
‘એમ જ’ – આપણા રોજિંદા જીવનવ્યવહારમાં આ શબ્દપ્રયોગ કંઈ એવી રીતે વણાઈ ગયો છે કે આપણે પણ એને ‘એમ જ’ -casually- લઈને જ આગળ વધી જઈએ છીએ. પણ પારખુ ગઝલકાર નીરજની પારેખનજરમાંથી વ્યવહારમાં ચવાઈને ચુથ્થો થઈ ગયેલ આ શબ્દપ્રયોગ બચી શક્યો નથી… પરિણામે બિલકુલ બોલ-ચાલની આ રદીફમાંથી આપણને મળી આ બિલકુલ બોલચાલની ગઝલ.. વાહ કવિ!
Permalink
July 11, 2013 at 1:30 AM by વિવેક · Filed under ગઝલ, રાઝ નવસારવી
શું સાંજ, શું સવાર અમે ચાલતા રહ્યા,
કીધા વિના પ્રચાર અમે ચાલતા રહ્યા.
નિષ્ક્રિય થઈને જીવવું બદતર છે મોતથી,
રાખીને એ ખુમાર, અમે ચાલતા રહ્યા.
અવરોધ એવા કંઈક હતા જો કે રાહમાં,
ત્યાગીને સૌ વિચાર અમે ચાલતા રહ્યા.
એક આદમીને એથી વધારે શું જોઈએ ?
આપીને સૌને પ્યાર અમે ચાલતા રહ્યા.
બસ લક્ષ્ય પામવાની હતી અમને ખેવના,
સુખનો ગણી પ્રકાર અમે ચાલતા રહ્યા.
સહકારની અપેક્ષા અમારી ફળી નહીં,
ઉચકી બધાનો ભાર અમે ચાલતા રહ્યા.
– ‘રાઝ’ નવસારવી
‘જીવન ચલને કા નામ’ની ફિલસૂફી લઈને આવતી ચાલવા વિશેની આ મજાની ગઝલ વાંચતા જ રોબર્ટ ફ્રોસ્ટ યાદ આવી ગયા : “In three words I can sum up everything I’ve learned about life: IT GOES ON.”
Permalink
July 8, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રવીન્દ્ર પારેખ
પુષ્પોનું ભાગ્ય લાવ્યું છે મલકાટ આટલો,
બાકી તો ક્યાંથી હોય પમરાટ આટલો ?
બાકી હશે ભવાટવિની લેણદેણ કંઈ
નહિતર કશે કર્યો નથી વસવાટ આટલો.
થોડોઘણો તો ભેજ કશે રહી ગયો હશે,
બાકી સ્મૃતિને લાગે નહીં કાટ આટલો.
આંખોમાં વાદળાં બને એવી આ પળ હશે,
મારી ભીતર છે એટલે ઉકળાટ આટલો.
તું હોત તો આ ભીંતને છાયા થતે બીજી,
આખર સુધી રહ્યો મને કચવાટ આટલો.
વધતા આ અંધકારમાં હસવું પડ્યું હશે,
બાકી ન હોય સાંજમાં મલકાટ આટલો.
પાંખો હવામાં રાખીને પંખી ખર્યું હશે,
તેથી હવામાં છે હજી ફફડાટ એટલો.
લાગે છે કોઈએ કશે દીવો કર્યો હશે,
નહિતર પવનમાં હોય ના સુસવાટ આટલો.
-રવીન્દ્ર પારેખ
ગઝલ જેમજેમ આગળ વધતી જાય છે તેમતેમ ઉઘડતી જાય છે.
Permalink
July 7, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, હેમેન શાહ
હજી જો નથી કંઈ થયું, હવે કંઈ થવાનું નથી,
રહેશે બધું અહીંનું અહીં, કશું ચાલવાનું નથી.
વિચાર્યું ભલે હો ઘણું, કરો બંધ આ બારણું,
નજર પાછી બોલાવી લો, કોઈ આવવાનું નથી.
પલાંઠીમાં બેસી રહો, જો મન થાય તો કંઈ કહો,
જગતને જવું હો ભલે, અમારે જવાનું નથી.
થશે મન, બધું છોડીને આ પકડું જરા દોડીને,
એ સુખ કે હરણ સ્વર્ણનું, કોઈ જાણવાનું નથી.
કલાનાં જુદાં નામ છે, ઝીણેરું ભરતકામ છે,
તમારી નજરથી જુઓ, એ દેખાડવાનું નથી.
ફૂલો સાથે સગપણ રહે, ફળોમાંય ગળપણ રહે,
રહે એવા લીલા દિવસ, વધુ માગવાનું નથી.
-હેમેન શાહ
પહેલા ત્રણ શેર માટે આ ગઝલ ખાસ અહીં રજૂ કરી છે – તેમાં પણ વિશેષત: પહેલો શેર. આંતરજગત અને બાહ્યજગત માટે પહેલો શેર એકદમ મર્મભેદી છે – જે કરવું છે તે જો આ ક્ષણે નહીં કરીએ અને વિચારીશું કે પછી કરીશું તે કદી થવાનું નથી .
Permalink
July 6, 2013 at 1:05 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
આંખનો મતલબ કર્યો ખોટો તમે,
એટલે ઈશ્વર નથી જોયો તમે !
પાણી પણ વેચાય છે તે આ સડક,
જે સડક નીચે પૂર્યો કૂવો તમે !
બોલો તે પ્હેલાં જ તમને સાંભળું,
મારી અંદર આવી જો બોલો તમે !
દૃશ્યનો દીવો કરો રાણો પ્રથમ
એકબીજાને પછી જોજો તમે !
વાત કરશું કોક દિ’ બ્રહ્મરંધ્રની,
આજ ઘરની બારી તો ખોલો તમે !
જંગલોની ડાળને પિંજર ઊગ્યાં,
કઈ જગાએ બાંધશો માળો તમે !
– લલિત ત્રિવેદી
રાજકોટના કવિ શ્રી લલિત ત્રિવેદી “બીજી બાજુ હજી મેં જોઈ નથી” સંગ્રહ લઈને આવ્યા છે. એમને લયસ્તરો તરફથી હાર્દિક શુભકામનાઓ…
Permalink
July 5, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઇન્દિરા સંત, જયા મહેતા, વિશ્વ-કવિતા
એક પથ્થર દુઃખનો.
એક પથ્થર કાળનો.
એક પથ્થર ત્યાગનો.
વાત્સલ્યના થર ઘાટ માટે વાપરવાના.
આવો સુરેખ ચૂલો ઘરે ઘરે હોય.
ઘર સંભાળનારી… ઘર સાચવનારી.
તેનું જ નામ ગૃહસ્વામિની… ગૃહલક્ષ્મી. ઘરધણિયાણી
આમ ઘરબારથી વીંટલાયેલી. બંધાયેલી.
ઘર આખામાં ફરતી ભમરડાની જેમ.
ઓતપ્રોત અને અતૃપ્ત.
ક્યાંક ક્યાંક કે ઘણુંખરું ઘરમાં જ સિઝાતી
વાનગીઓની ફરસી વરાળ બહાર ફેલાય છે.
દૂર દૂર પ્રસરે છે અને કોઈક તે સ્વાદિષ્ટ વરાળનાં વાક્યો
બનાવે છે,
મથાળાં બાંધે છે :
આધિનિક સ્વતંત્ર સ્ત્રી. સ્ત્રીનો વિકાસ.
પ્રગતિપથ પર સ્ત્રીની હિલચાલ. વગેર વગેરે.
કાનને મનને વાક્યો મીઠાં લાગે.
આંકડાઓની પ્રગતિ તો સૂર્ય સુધી પહોંચે.
સાંજે થાકેલી હારેલી જમણાડાબા હાથમાં
પર્સ પડીકાં ને ઝોળી સંભાળતી ઘરે પાછી આવતી તે.
તે ગાર્ગી. મધ્યવર્ગી તે
પેલાં મથાળાંની માલિક
પર્સના હોદ્દાની સાથે જ સંભાળીને આણેલાં પેલાં
વાક્યોનાં લાકડાં ચૂલામાં મૂકે છે,
બહુ જલ્દી ચા કરવા માટે.
ચાના નશામાં જ પાંખો સંકેલી લેવી જોઈએ.
અને પછી કૂકર. પછી રોટલી. પછી વઘાર.
મોટાંનાનાં સૌનાં મન સાચવવાનાં. નોકરોની જડતા
કેટલાયે દોર ઘટ્ટ જકડી રાખનારા.
બધું જ કંટાળા ભરેલું. સીઝવનાર પણ તે જ.
અને સીઝનાર પણ તે જ.
– ઇન્દિરા સંત (મરાઠી)
(અનુ. જયા મહેતા)
ગાર્ગી નામ કાને પડતાં જ આપણા મનોચક્ષુ સમક્ષ ભરી રાજ્યસભામાં ભલભલા વિદ્વાનોનું ગુમાન ઉતારી દેતી વિદૂષી આવી ઊભે છે. અહીં કાવ્યનાયિકા ગાર્ગી આજના મધ્યમવર્ગની સ્ત્રીની પ્રતિનિધિ છે.
ત્રણ પથ્થર મૂકીને છાણ-માટીના ગારાથી એને ઘાટ આપી તૈયાર થતા ચૂલાથી શરૂ થઈ કવિતા કેરિયર-વુમન સુધી જઈ ફરી ચૂલા અને રસોઈ સુધી પહોંચે છે ત્યારે આપણી અંદર કશુંક હચમચી જતું અનુભવાય છે.
આ ગાર્ગી એના સંસારમાં ઓતપ્રોત થઈ ભલે જીવતી હોય, અતૃપ્ત છે. મોટા ભાગે ઘરની ચાર દીવાલો વચ્ચે જ સ્ત્રીનું જીવન પૂરું થાય છે. ક્યાંક આ “ફરસી વરાળ” બહાર પણ ફેલાય છે અને અખબારોમાં મોટા મથાળાં આવે છે કે આજની સ્ત્રી પુરુષ-સમોવડી બની ચૂકી છે. સૂર્યને આંબી જાય એવા સ્ત્રીઓની પ્રગતિના આંકડા અંતે તો ચૂલો અને ઘરની જવાબદારીઓમાં જ સિઝાઈ જતા હોય છે. સ્ત્રી સ્ત્રી જ રહે છે. એની સાચી પ્રગતિ ન એ ગાર્ગીના સમયમાં થઈ હતી, ન આજની આ ગાર્ગીના સમયમાં…
Permalink
July 4, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ
તમે હાથમાં હાથ લીધો. મેં જોયું. મારા હાથમાં બેડી.
તમે હસ્યા. અવાજના ખીલા મારા શરીરમાં ખોડાઈ ગયા.
તમે માથે હાથ મૂક્યો. કાંટાળો તાજ રક્તથી રંગાઈ ગયો.
તમે જતાં જતાં કહેતા ગયા : તું ઈશુ નથી.
તમે હાથ મિલાવ્યો. મારા હાથમાં પારિજાત.
તમે હસ્યા. ધરતી પર વર્ષાનાં છાંટણાં, મારે અંગે રોમાંચ.
તમે માથે હાથ મૂક્યો. આંખ સામે અદભુત દૃશ્યો
ખૂલતાં ને ખૂલતાં ચાલ્યાં.
જતાં જતાં તમે કહેતા ગયા :
હું ઈશુ નથી.
– અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
જીવનના બે અંતિમ. એક દુઃખથી છલોછલ અને એક ખુશીથી ઉભરાતો. માથે દુઃખ પડે ત્યારે આપણે આપણાથી વધુ દુઃખી આ સંસારમાં અવર કોઈ નથી એવું જ માની બેસીએ છીએ અને સામાને દુઃખનું કારણ. વળી ખુશ હોઈએ ત્યારે જેના કારણે જીવનમાં ખુશી આવી હોવાનું અનુભવીએ એ આપણને ભગવાન જેવો લાગે છે…
પણ સત્ય તો એ છે કે ન કોઈ વ્યક્તિ, ન કોઈ સંજોગ કે ન કોઈ બનાવ પણ આપણું મન પોતે જ આપણા દુઃખ-સુખનું ખરું કારણ છે…
Permalink
July 1, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,
થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં !
ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,
ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં !
મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !
પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !
ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા,
વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં !
-રાજેન્દ્ર શુક્લ
Permalink
June 30, 2013 at 2:49 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.
ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.
તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.
ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
– રમેશ પારેખ
Permalink
June 29, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ક્વાસિમોદો, નલિન રાવળ, વિશ્વ-કવિતા
…હું તને જાણું છું, તારામાં ખોવાઈ ગયો છું,
તારાં સ્તનોના ઉભારમાં નિખરી રહેલું સૌંદર્ય
તારા નિતંબોમાં ફેલાયેલું સૌંદર્ય,
તારા માદક દેહમાં લચી પડેલું સૌંદર્ય
તારા સુકુમાર ચરણોની દસ અંગુલીઓ
અને તારા દેહની રેખાએ રેખામાં ઝંકૃત થઈ
વહી રહેલું સૌંદર્ય.
પણ રહે, તને હું સ્વીકારીશ તો
તું પણ શબ્દ બની જઈશ – વ્યથા બની જઈશ.
– ક્વાસિમોદો (ઈટાલી)
(અનુ. નલિન રાવળ)
માણવા અને પામવા વચ્ચેનો ફરક સમજી લેવાય તો જિંદગીની અડધોઅડધ તકલીફ ઓછી ન થઈ જાય ? ગુણવંત શાહ યાદ આવે છે: “એક માણસ બે ભૂરી ભૂરી આંખોના પ્રેમમાં પડ્યો અને પછી આખા શરીરને પરણવાની ભૂલ કરી બેઠો”
Permalink
June 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શૈલેષ પંડ્યા 'ભીનાશ'
તમે આભારની વાતો કરો છો,
હજી અમને પરાયા કાં ગણો છો ?
હસ્યો હું ને તમે આંખો ભરી છે,
ભલા ક્યારેક તો સમજી શકો છો !
મૂકી દો સોનું લોકરમાં નિરાંતે,
બિચારા પ્રેમને ક્યાં ત્યાં મૂકો છો ?
કયા શબ્દોની ગેરંટી મળી છે ?
અમારા મૌનને કાં અવગણો છો ?
નજરમાં સ્તબ્ધ થઈ બેસી ગયા પણ,
કદી ‘ભીનાશ’ની આંખે ચડો છો ?
– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’
પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ “નિખાલસ” લઈને આવેલ કલોલના શૈલેષ પંડ્યા ‘ભીનાશ’નું લયસ્તરોના આંગણે સહૃદય સ્વાગત છે. ગઝલ-ગીત-અછાંદસ અને ટ્રાયોલેટના ગુલદસ્તામાંથી પસંદ કરેલ એક ગઝલ-પુષ્પ આપ સહુ માટે…
Permalink
June 27, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ
ક્યાં હું ખુદને હજી કળાયો છું ?
ભીતરે ક્યાંક ભેરવાયો છું.
લોક માને છે કે હું ઊગ્યો છું,
કોને કહું કે હજી દટાયો છું !
રીત છે જીવવાની અહીં એવી,
રોજ જીવીને… હું મરાયો છું.
અવદશાનું મળ્યું છે કારણ એ જ,
હું દિશા બાબતે મૂંઝાયો છું.
મૂળ અકબંધ છે હજી મારાં,
હું ઉપરથી ભલે કપાયો છું.
લાગણીની કરી લખાવટ મેં,
દાદથી ક્યાં વધુ કમાયો છું
– સુનીલ શાહ
નખશિખ સુંદર ગઝલ… બધા જ શેર ધ્યાનાર્હ…
Permalink
June 24, 2013 at 4:03 AM by તીર્થેશ · Filed under અછાંદસ, નગીનદાસ પારેખ, રવીન્દ્રનાથ ઠાકુર
જનહીન બપોરની વેળાએ તડકાનો તાપ ધખે છે,
ખાલી ખુરસી તરફ જોઉં છું,
ત્યાં સાન્ત્વનાનો લેશ પણ નથી.
તેના હૃદયમાં ભરેલી હતાશાની ભાષા
જાણે હાહાકાર કરે છે.
કરુણાથી ભરેલી શૂન્યતાની વાણી ઊઠે છે
તેનો મર્મ પકડતો નથી.
માલિક ગુમાવેલો કૂતરો જેમ કરુણ દ્રષ્ટિએ જુએ છે,
તેમ અબૂઝ મનની વ્યથા હાય હાય કરે છે;
શું થયું, કેમ થયું, કંઈ સમજતી નથી.
દિનરાત વ્યર્થ આંખે ચારેકોર શોધે છે.
ખુરસીની ભાષા જાણે એથીય કરુણ અને કાતર છે.
શૂન્યતાની મૂક વ્યથા પ્રિયહીન ઘરને વ્યાપી વળે છે.
-રવીન્દ્રનાથ ઠાકુર – અનુ- નગીનદાસ પારેખ
આ કાવ્ય ગુરુદેવે પોતાના દીર્ઘ આયુષ્યના અંતિમ વર્ષે લખ્યું હતું . આ કાવ્યના બે થી ત્રણ અર્થઘટન શક્ય છે . ઘૂંટાયેલી વેદના તો સ્પષ્ટ છે જ… શેની વેદના છે – કોની વિદાય આટલી વસમી છે તે બાહ્યજગતના સંદર્ભે પણ સમજી શકાય તેમ જ આંતર્જગતના સંદર્ભે પણ….
Permalink
June 23, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી
છોકરીના હૈયામાં….
છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું
છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….
છોકરીના હૈયામાં….
છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું
ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…
છોકરીના હૈયામાં….
-મુકેશ જોષી
Permalink
June 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયા મહેતા, વિશ્વ-કવિતા, સારા ટિસડેલ
સ્ટીફને મને ચુંબન કર્યું વસંતમાં
રૉબિને પાનખરમાં
પણ કોલિને ફક્ત જોયું મારી સામે
અને ચુંબન ક્યારેય ન કર્યું.
સ્ટીફનનું ચુંબન રમૂજમાં ખોવાઈ ગયું
રૉબિનનું ખોવાઈ ગયું રમતમાં.
પણ કોલિનની આંખોનું ચુંબન
રાતદિવસ મારો પીછો કરે છે.
– સારા ટિસડેઇલ
(અનુ. જયા મહેતા)
પ્રેમનું સંવેદન તો પૂર્વ હોય કે પશ્ચિમ, સરખું જ હોવાનું… કેવી મજાની વાત અને કેટલી ઓછી પંક્તિઓ !
Permalink
June 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under અશોક ચાવડા 'બેદિલ', ગઝલ
આ વખત લાગણીસભર વરસાદ,
આ વખત આંસુઓનું ઘર વરસાદ.
કોઈ ભીંજાય છે ક્યાં અંદરથી ?
શ્હેરમાં હોય છત ઉપર વરસાદ.
કારણો હોત તો બતાવી દેત,
આંખમાં કારણો વગર વરસાદ.
સ્હેજ રોકાઈ જા, તને કીધું,
સાવ તાજી જ છે કબર : વરસાદ.
ઘરનો સામાન માત્ર ભરવાનો,
પાંપણોમાં ભર્યા ન કર વરસાદ.
– અશોક ચાવડા ‘બેદિલ’
એકસાથે સાત-સાત પુસ્તકો તાજેતરમાં જ આપનાર કવિના સંગ્રહ ‘પગરવ તળાવમાં’માંથી એક વરસાદી ગઝલ આપ સહુ માટે પ્રવર્તમાન વરસાદી માહોલમાં… બધા જ શેર ગમી જાય એવા પણ છત ઉપરનો વરસાદ અને ઘર ખાલી કરતી વખતે ભરાઈ આવતી પાંપણોનો વરસાદ સહેજે વધુ ભીંજવી જાય છે…
Permalink
June 20, 2013 at 1:38 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
તારી લપડાકમાં જ ધાક નથી,
મારી આદતનો કોઈ વાંક નથી.
ઓ ઉદાસી ! તું રોજ બૂમ ન પાડ,
તારો હું કાયમી ઘરાક નથી.
સાફસુતરું નથી લખાતુ દોસ્ત,
કોના જીવનમાં છેકછાક નથી?
રોજ દર્પણમાં જોઇ મલકાવું,
આથી સુંદર બીજી મજાક નથી.
ક્યારના આમ કેમ બેઠા છો ?
તમને આરામનો ય થાક નથી.
– ગૌરાંગ ઠાકર
કવિ હોય અને ઉદાસી સાથે નાતો ન રાખે એ કેમ ચાલે? પણ ગૌરાંગ ઠાકરને રોજેરોજની ઉદાસી પસંદ નથી. પણ સાથે જ અરીસામાં – અથવા જાતમાં- જોઈને રોજ ઠાલું મલકાવાની કોઠે પડી ગયેલી મજાક પણ એટલી જ કનડે છે… જીવનના બે અંતિમોની વચ્ચે ફંગોળાતા રહેવું એ જ તો -કવિની- નિયતિ છે… ખરું ને?
Permalink
June 17, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, નરસિંહ મહેતા
જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને
– નરસિંહ મહેતા
વ્યાસોચ્છિષ્ઠમ જગત સર્વં – ની જેમ નરસિંહ મહેતા ગુજરાતીમાં જાણે કે બધું જ કહી ગયા છે….. કશું બાકી નથી હવે……
Permalink
June 16, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
યાદ આછી ફરફરે વરસાદમાં,
આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.
બારીની જળમાં થઈ કાલાપલટ,
બારણું ડૂસકાં ભરે વરસાદમાં.
કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
કૂવાથાળે કરગરે વરસાદમાં.
મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
આભ હેઠું ઊતરે વરસાદમાં.
મોરના ટહુકા ને સણકા છાતીના;
કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !
પાતળો કાગળ લઈ આકાશનો;
કોઇ હોડી ચીતરે વરસાદમાં.
આંખ ને નભ સર્વ એકાકાર છે;
કોણ આવે ખરખરે વરસાદમાં.
– ભગવતીકુમાર શર્મા
Permalink
June 15, 2013 at 2:53 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
ખુશ થઈ શકો તો થાવ, ખુશી હાથવેંત છે,
જકડી શકાશે ક્યાં સુધી, મુઠ્ઠીમાં રેત છે.
ચોકી કરે છે રાત-દિ તારા વિચારની,
આ માંહ્યલાથી ચેત, ઘણો સાવચેત છે.
કેવો ઉઠાવ આવશે સંધ્યાનો, શી ખબર ?
આકાશનું ફલક હજી સંપૂર્ણ શ્વેત છે.
વિશ્વાસ જો ન હો તો ભ્રમરને પૂછી જુઓ,
પ્રત્યેક પુષ્પ આગવી સૌરભ સમેત છે.
નવપલ્લવિત કરી શકે પ્રેમાળ માવજત,
વૃક્ષો એ બીજું કંઈ નથી, ધરતીનું હેત છે.
– હરીશ ઠક્કર
સરળ, સહજ અને તોય નખશિક સંતર્પક…
Permalink
June 14, 2013 at 2:50 AM by વિવેક · Filed under ગઝલ, જવાહર બક્ષી
તારા જવાનું જ્યારે મને સાંભરે રે લોલ,
આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ.
જે આવવાનો કોલ તેં રોપ્યો હતો અહીં,
વડવાઈ થઇને ઝૂલી રહ્યો છે હવે રે લોલ.
બે ચાર પગલાં ચાલું જો હું તારી યાદમાં,
એકલતા રસ્તો થઈ મને સામી મળે રે લોલ.
તારા વિનાનો મારો આ ભીનો ઉજાગરો,
કૂવાની જેમ અર્ધો ભરેલો રહે રે લોલ.
પરદેશીનું સ્મરણ તો ફક્ત આજની જ હૂંફ,
કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ.
– જવાહર બક્ષી
મજાની ગીતનુમા ગઝલ…
Permalink
June 13, 2013 at 2:20 AM by વિવેક · Filed under અછાંદસ, જયા પ્રભા, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
કિનારા પરની રેતીમાં
ખોવાઈ ગયેલી વીંટી જેવો
છે પ્રેમ.
મળશે એની આશામાં ને આશામાં
તમે શોધ્યા જ કરો
વીંટી કેમેય કરી મળતી નથી.
આશા મરતી નથી.
જીવનની આસપાસ કંટાળો
પથરાય છે રેતીની જેમ.
– જયા પ્રભા (તેલુગુ)
(અનુ. સુરેશ દલાલ)
પ્રેમ નામની લાગણી પર તો ગ્રંથોના ગ્રંથો લખાઈ ચૂક્યા છે ને લખાતા રહેશે. પણ ક્યારેક વાસ્તવિક્તાને અડતી આવી અભિવ્યક્તિ જડી જાય છે…
Permalink
June 10, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, બેફામ
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે.
દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.
મળ્યો છે નાખુદા એના પછી થઈ છે દશા આવી,
હતાં તોફાન જે દરિયે, હવે મારાં વહાણે છે.
સુણું છું મારી વાતો તો મને એ થાય છે અચરજ,
કે મારાથી વધારે શું મને લોકો પિછાણે છે ?
કરી દે તીક્ષ્ણ એવી, મોતનું પણ માથું કાપી લે,
હવે આ જિંદગી મારી સમય ! તારી સરાણે છે.
જીવનના ભેદભાવો છે મરણની બાદ પણ બાકી,
કોઈ માનવ મઝારે છે કોઈ માનવ મસાણે છે.
હતા જે દેહ એ તો થઈ ગયા માટી મહીં માટી,
હતાં જે દિલ, હજી પણ તાજના આરસ પહાણે છે.
જગત ખેંચી રહ્યું છે એક તરફ, બીજી તરફ જન્નત,
ફસ્યો છે જીવ કે એને અહીં તો બેય તાણે છે.
કદર ‘બેફામ’ શું માંગુ જીવનની એ જગત પાસે,
કે જ્યાંનાં લોકો સૌ કેવળ મરેલાને વખાણે છે.
– બરકત વિરાણી ‘બેફામ’
Permalink
June 9, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રમેશ પારેખ
યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત……..
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!
શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
– આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.
હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?
પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે…….
આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.
હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!
– રમેશ પારેખ
Permalink
June 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, મનોજ ખંડેરિયા
અરધી રાતે
સૂના ઢોલિયે ભરત ભરેલા
મોર અચિંતા એકસામટા સીમ ભરીને ટહુકે….
ઘરના ખૂણે પડેલ હુક્કે
સમય ફરી ઝગમગતો
તાજી ગડાકુની કૈં વાસ પ્રસરતી વહે રક્તમાં
અંધકારની હૂંફ ભરેલી ફૂલ-શય્યામાં
પર્ણ સમો ફરફરતો તરતો ચ્હેરો
ચ્હેરો પીવા મન ભરીને આખું રે નભ ઝૂકે
રે કૈં ઝૂકે….
પ્રાણ ઘાસની તાજીતમ લીલાશે
ભાન ભૂલી આળોટે
ગલગોટા શો શ્વાસ ભીતરથી ફોરે
મ્હોરે લજ્જાની મંજરીઓ
મહક મહકતી મંજરીઓની વચ્ચે બેસી
ધીમું ધીમું મૃદુ ટહુકતાં કોકિલ-કંઠી !
આજ તમે તો
અજાણ એવી કોક ઘટામાં જઈને બેઠાં
ને અહીં આજે
અરધી રાતે જુઓ ઢોલિયે
મોર અચિંતા એકસામટા આભ ભરીને ગ્હેકે….ગ્હેકે.
-મનોજ ખંડેરિયા
વિરહની વસમી રાત્રે અચાનક મોરલાંની જેમ ટહુકી ઊઠતાં સ્મરણમાત્રથી આખો પરિવેશ કેવો બદલાઈ જાય છે ! એક-એક કલ્પન કાબિલે-દાદ ! કટાવછંદની લયબદ્ધ ગતિમાં કવિતા એમ વહે છે જાણે કે સ્મૃતિ હિલ્લોળાં ન લેતી હોય!
Permalink
June 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
તારો સતત અભાવ છે ‘આકાશ’ શબ્દમાં
પહેલાં સમું કશું નથી ‘ચોપાસ’ શબ્દમાં
અંદર ગયા પછી બહુ ભારે થતો ગયો
નક્કી જ ભેળસેળ છે કંઈ ‘શ્વાસ’ શબ્દમાં
એના ગયાના અર્થમાં ખાલી જગા હતી
ડૂમા વસી ગયા બધે ‘અવકાશ’ શબ્દમાં
સૂરજ ઠર્યો’તો સાંજના દીવા કર્યા તમે
શું શું બળી ગયું હશે ‘અજવાસ’ શબ્દમાં
હું ને અરીસો બેઉ જણ થીજી ગયાં ગ.મિ.
કેવી પડી તિરાડ આ ‘અહેસાસ’ શબ્દમાં
– મિલિન્દ ગઢવી
એક-એક શબ્દને પકડીને એના અર્થનું આકાશ ઉઘાડી આપતી નવતર જાતની ગઝલ… આજની યુવાપેઢી નવું નહીં આપશે તો બીજું કોણ આપશે? વાહ, કવિ…
Permalink
June 6, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
તેં દીધેલું ગુલાબ લઈ લઉં છું
હું ખૂલી આંખે ખ્વાબ લઈ લઉં છું
તું મને લે ગણી ગણી ત્યારે
હું તને બેહિસાબ લઈ લઉં છું
સ્પર્શથી થઈ જવાનું સુંદર એ
જે મળે તે ખરાબ લઈ લઉં છું
વાંચવા લે છે તું છપાયેલી
ને હું કોરી કિતાબ લઈ લઉં છું
કામ તો કોઈ મેં કર્યું જ નથી
આ હું શેનો ખિતાબ લઈ લઉં છું
– ભરત વિંઝુડા
Permalink
Page 60 of 118« First«...596061...»Last »