કોઈની ઈચ્છા મને એ તીવ્રતાથી સાંપડો,
રોમે-રોમે વાલિયાના જેમ ફૂટ્યો રાફડો.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
September 19, 2013 at 12:03 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.
વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.
બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.
હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?
જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
સિદ્ધહસ્ત સર્જક કદી આજીવન જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચિનુ મોદીની આ ગઝલમાં પહેલા ચાર શેરમાં એકનો એક ઉલા મિસરો વપરાયો છે. ગઝલ વાંચીએ ત્યારે પળભર એમ લાગે કે આખી ગઝલ આજ ઢબથી લખાઈ હશે જેમાં ઉલા મિસરો રદીફની જેમ એક જ હોય અને સાની મિસરો કાફિયાની જેમ બદલાતો રહે છે. આ પ્રકારની ગઝલ પણ લોકો લખી ગયા છે.. પણ ચિનુ મોદી આપણી ધારણાને પાંચમા શેરમાં જ જમીનદોસ્ત કરીને ટ્રેડિશન ફૉર્મેટમાં પ્રવેશ કરે છે… પ્રયોગ અને પરંપરાનું મજાનું ફ્યુઝન અનુભવી શકાય છે…
Permalink
September 16, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
તારે માટે હું એક પહાડ
પથરાળ કેડી ને કેટલીક બીજી તકલીફોવાળો
ઊંચો પણ ઈચ્છે તો ઓળંગી શકાય એવો.
કરાડો પર ખીલા ફટકાવી
મોકાની તરાડો પર પંજા ભરાવી
બે પાંચ જનાવરને કડિયાળી ફટકાવી ઊંચે ચઢતાં તો
કૌવતભર્યાં બને તારાં બાવડાં ને જાંઘ.
એ જ પહાડોનાં વનોમાં
તારા તનને પુષ્ટ કરતાં
ઝૂકેલી ડાળીઓનાં ફળ, ઊંચા મધપૂડાનાં મધ ને વેગીલાં
પણ ન્હોર વિનાનાં પ્રાણીઓનાં માંસ
તારે માટે જ તો છે.
ને પછી નિરાંતના રાતવાસો કરવા સાફ અણધારેલી ગુફા.
ને ફરી પરોઢે કરડી કરાડો
પહાડ ચઢી, ઓળખી, ઊતરી, ઓળંગી આગળ વધે તું
પુષ્ટ અને પહોંચેલો,
સુવાંગ તારી માલિકીની બનવાની છે એ આઘેની જમીંમાં,
ત્યારે,
પાછળ,
ટાઢા ધુમ્મસની ધીમે ધીમે ઢંકાતી જતી
અને વધતા જતા અંતરને કારણે જાણે સતત સંકોચાતી જતી,
ગિરિમાળાને
જરી અડકજે અટક્યા વિના
સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી……
– સિતાંશુ યશશ્ચંદ્ર
કાવ્યનું શીર્ષક કાવ્યને ખોલી આપતી કૂંચી છે. પહેલાં જે પિતા પુત્રને પહાડ જેવો લાગતો, તે સમય જતાં ધીમે ધીમે સંકોચાતી જતી, પાછળ રહી જતી ગિરિમાળાનો એક અંશ સમ ભાસે છે. એક સૂક્ષ્મ વેદના ઊઠે છે ગર્વિત/વ્યથિત પિતાને હૈયે અને કહે છે -‘ જરી અડકજે અટક્યા વિના , સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી…… ‘ – અને સમયનું ચક્ર ફરતું રહેશે…..એ પુત્ર પણ કદીક પિતા બનશે ……
Permalink
September 15, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under રમેશ પારેખ, સોનેટ
બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે
પહેલું તો કે’ યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે .
શિરોહી તલવારનું લટકવું વર્ષોજૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડીઊભી લીંટીએ
બાપુ કહેતા : ‘ નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું – એમ આજ બખિયા મારી દઉં કોટને ‘
દોરાસોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યો
ને બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો
ત્યાં તો ‘ લોહી ‘ એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી
‘ખમ્મા, ખમ્મા બાપ…….’ એમ કહી બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા
થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે…
-રમેશ પારેખ
Permalink
September 14, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નીલેશ રાણા
આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
. તોય મને દેખાતું બધું આરપાર.
સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
. ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
. વ્હાલમનું વૃંદાવન ફળિયું.
મારા હોવાની ભાવના સંભાવનાથી
. આપું નિરાકારને હુંયે આકાર.
વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
. ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
. ત્યાં યમુનાનાં વ્હેણ વંકાય.
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
. હવે જોઈએ નહીં કોઈનો આધાર.
– નીલેશ રાણા
પ્રતીક્ષાની ઘડીઓમાં આંખ ભલે ઝળઝળિયાંના ધુમ્મસથી ઘેરાઈ કેમ ન ગઈ હોય, જળ-સ્થળ એકાકાર થઈ ઓગળી કેમ ન જાય, પ્રિયતમ, પ્રણય અને જીવનની પળપળના તળિયાં સાફ સાફ નજરે ચડતાં હોય છે… કલ્પનાનો આકાર પ્રતીક્ષાની ઘડીઓમાં એવો સાચુકલો લાગે છે કે એની બાંહોમાં ગોપી પોતાને ભીંસાતી ને ભૂંસાતી અનુભવે છે…
Permalink
September 13, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કરસનદાસ માણેક, ગીત
હું, માશૂક, બદલતો રહું છું !
એક જ રૂપ સદૈવ નિહાળી
રખે જાય હુંથી કંટાળી
એ બીકે તરફડતો રહું છું !
હું, માશૂક, બદલતો રહું છું !
. કદી વૈરાગી, કદી વિલાસી,
. કદી વૈભવરત, કદી ઉપવાસી,
. કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી,
. કદી અત્યાગ્રહી, કદી ઉદાસી,
. કદી અધૂરો, કદી છલતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
. કદી મિલનમાં પણ રહું ઠાલો,
. કદી વિરહમાં પણ મતવાલો,
. કદી ગંભીર, કદી અતિ કાલો,
. કદી સુક્કો, કદી લહેરી લાલો,
. કદી ટાઢો, કદી જલતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
. હું ચાંદો, સખિ, તું મુજ ધરતી,
. વધુઘટું રંગ તારો વરતી :
. આરતી બનીને તારા ફરતી
. પ્રદક્ષિણા પ્રીતિ મુજ કરતી !
. તૃપ્ત તોય ટળવળતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
– કરસનદાસ માણેક
Variety is the essence of life… અહીં માશૂક એટલે ઇશ્વર એ તો તરત જ સમજાઈ જાય છે પણ આપણી ભાષામાં અલ્પવિરામનું મહત્વ કેટલું છે એ પણ જોવા જેવું છે… અહીં વાત રોજ-રોજ માશૂકને બદલવાની નથી પણ પોતાનું એકનું એક રૂપ જોઈને માશૂક કંટાળી-ધરાઈ ન જાય એ માટે જાતને બદલવાની છે. પણ અલ્પવિરામ ચૂકી જવાય તો અર્થનો અનર્થ થઈ શકે… જો કે ઘણાંને રોજ-રોજ માશૂક બદલવાનો ઓપ્શન વધુ પસંદ આવ્યો હશે !!
Permalink
September 12, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
ક્યારનો ચિંતા કરે છે કાલની !
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.
આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની !
રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની !
રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.
આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?
– ભાવેશ ભટ્ટ
છે જરૂરત કોઈ પણ ટિપ્પણીની? સાદ્યંત સુંદર મનનીય ગઝલ…
Permalink
September 9, 2013 at 2:47 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીપ સ્માર્ત
અનંત અક્ષાંશથી શૂન્ય રેખાંશ તરફ
ગતિ કરતા સૂર્યને ડૂબી જવા દે…….
પછી ફાનસના અજવાળામાં
કૃષ્ણપક્ષી અંધારી રાતે,
અગાશીમાં
આપણે કઠેરો બનીને ઊભા રહીશું.
તે જ વખતે મકાની ભીંતમાંથી,
એક પીપળાનું પાન
ચોક્કસ બહાર આવશે જ.
જેને વાંચીશું આપણે બન્ને મળીને એક જ આંખે.
ક્યાંક તારી કે મારી
સંવેદનાઓથી વંચિત
એ પીળું પડીને બાવળ બની જાય,
તે પહેલાં-
ચાલ,
એને કર્ણિકાર બનાવી કાનમાં પહેરી લઈએ.
– જગદીપ સ્માર્ત
પીંછીથી કવિતા લખતા આ વિરાટ વ્યક્તિત્વએ કદીમદી પેન પણ ચલાવી છે. સુરતના સપૂત એવા આ ચિત્રકારે અકાળે ચિરવિદાય લીધી તે પહેલા મારા સદભાગ્યે મને તેમની સાથે બે વખત થોડો સમય સાથે ગાળવાનો લ્હાવો મળ્યો હતો. નખશિખ સરળતાની મૂર્તિ એવા જગદીપભાઈના વ્યક્તિત્વમાંથી છલકાતી કરુણા એટલી ટૂંકી મુલાકાતોમાં પણ અનુભવી શકાઈ હતી. એક મિત્રએ અનાયાસે જ આ કવિતા મોકલી અને આ કવિતામાં છલકાતું તેમનું વ્યક્તિત્વ તેઓની સર્વતોમુખી ઊંડી કલાસૂઝનો આછેરો ખ્યાલ આપે છે.
Permalink
September 8, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે.
નિર્ભર પ્રસંગો પર છે જીવનભરનો કારભાર,
સુખની શી વાત ? દુઃખ અહીં કાયમ નહીં રહે.
બાકી રહે જો બાગ તો છે પાનખર કબૂલ,
એમાં ભલે વસંતની મોસમ નહીં રહે.
એ બ્હાને એની સાથ કરી લઉં છું વાતચીત,
છો નાકબૂલ થાય, અરજ કમ નહીં રહે.
ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે.
એ જાણતા નથી, બહુ મોડું થઇ ચૂક્યું,
એ આવશે ‘મરીઝ’ અહીં દમ નહીં રહે.
-મરીઝ
Permalink
September 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
મોસમ સરસ છે, કોણ કહે છે સરસ નથી,
પણ એનો શો ઈલાજ કે આજે તરસ નથી !
વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.
મળવું અવશ્ય આપણે વિશ્વાસ છે મને,
ખૂબ જ નિકટ છે, દૂર બહુ એ દિવસ નથી.
પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.
‘ઘાયલ’ સુકાળમાં જ છે મરવા તણી મઝા
મરવું જ છે તો આ બહુ માઠું વરસ નથી.
– અમૃત ઘાયલ
આમ તો બધા જ શેર મજાના છે પણ મારું મન તો પહેલા શેરથી આગળ જવા જ કરતું નથી. સૌંદર્ય ભલે ને beyond doubt ગમે એટલું મનોહર કેમ ન હોય, પણ ભીતર તરસ જ ન હોય તો શો અર્થ ? ફરી ફરીને આ શેર વાંચું છું અને ફરી ફરીને હું એના પર મોહી પડું છું…
Permalink
September 6, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુરેન્દ્ર કડિયા
ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્
ગહન ગેબ ગુંજે ગઝલ-વેદ પંચમ
શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ !
અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ
વિચારો છે કેવળ વિચરતાં સ્વરૂપો
પછી હોય ઉત્તમ, કનિષ્ઠમ્ કે મધ્યમ્
હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ
અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્
– સુરેન્દ્ર કડિયા
ગઝલને પાંચમો વેદ પ્રસ્થાપિત કર્યા પછી પણ શબ્દના હાથે મોક્ષ કેમ પામવો એ તો અગોચર જ રહે છે. જરા નોખા મિજાજની મજાની ગઝલ પણ મને છેલ્લા બે શેર સવિશેષ સ્પર્શી ગયા. ચોથા શેરમાં મટિરિયાલિસ્ટિક જમાનાની માનસિકતા અને છેલ્લા શેરમાં ચંચળ જાતને આકાશકુસુમવત્ શાંતિની વાત કેવી ઉપસી આવી છે!
Permalink
September 4, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયશ્રી ભક્ત
હવે થાકી ગઈ છું
તારી સાથે લડીને..
જાત સાથે લડીને..
નથી જીતવું
હથિયાર હેઠાં મૂકી દેવા છે
કંઈ જ સાબિત નથી કરવું
કંઈ જ નથી જોઈતું…
કંઈ જ નહીં… હા… હા, કંઈ જ નહીં
બસ, આ મેદાન છોડી દેવું છે!
પણ,
અભિમન્યુ
અને
મારી સમસ્યા
એક જ છે…
– જયશ્રી ભક્ત
સાચી અને સારી કવિતા હંમેશા બહુ ઓછા અને બહુ સરળ શબ્દો પહેરીને આવે છે. “સમસ્યા” નામના ઉંબરા પર પગ મૂકીને આપણે આ કવિતાના ઘરમાં પ્રવેશીએ છીએ એટલે આપણે તૈયાર છીએ કે કોઈક ઘેરા રંગ સાથે આપણો ભેટો થનાર છે પણ એ રંગ કેટલો ઘેરો ને ઘાટો હોઈ શકે એ તો કવિતામાં પ્રવેશ્યા પછી જ ખબર પડે.
કવિતાનો ઉપાડ ‘હવે’થી થાય છે. આ એક જ શબ્દમાં અત્યારપર્યંતની તમામ નિષ્ફળ કોશિશોનો નિચોડ આવી જાય છે. પ્રથમ પંક્તિથી સાબિત થઈ જાય છે કે આ એક ‘હવે’ થાકેલી સ્ત્રીની એકોક્તિ છે. તારી સાથે લડીને… જાત સાથે લડીને… અહીં કવયિત્રી ક્યાંય “હું’ આવવા દેતા નથી એ વાતની સમજણની ક્ષિતિજ પર “તારી” અને “જાત” એકાકાર થઈ જતા અનુભવાય છે. પછીની પંક્તિઓમાં જિંદગીનો થાક, હાર અને નિરાશા સતત દ્વિગુણિત થતા રહે છે. નાની અમથી કવિતાની પાંચ પંક્તિમાં ચાર-ચાર વાર પુનરુક્તિ પામતા ‘કંઈ જ’ની ધાર આપણા અહેસાસને આરપાર ચીરી નાંખે છે… હજી સુધી કવયિત્રીનો હું કવિતાથી દૂરનો દૂર જ રહ્યો છે જેનો પ્રવેશ આખી કવિતામાં છેલ્લેથી બીજી પંક્તિમાં માત્ર એકવાર થાય છે.
કવિતાના ભાગ પાડી નાંખતી ખાલી જગ્યાઓ પણ ખૂબ બોલકી લાગે છે. જે વાત કવયિત્રી શબ્દોમાં નથી કરતાં એ “બિટ્વિન ધ લાઇન્સ” વંચાતું રહે છે. કવયિત્રીનો આ વિશેષ એમની અગાઉની રચનામાં પણ નજરે ચડે છે.
સમસ્યા કઈ છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ… મારે તો કવિતાની technical achievement વિશે જ વાત કરવી હતી… હું તો આને ચૌદ પંક્તિનું મુક્ત-સૉનેટ કહેવા લલચાઈ રહ્યો છું.
અને હા, ટહુકો.કોમની સફળ સંચાલિકા જયશ્રીને આજે જન્મદિવસની વધાઈ આપવાનું તે કેમ ભૂલાય? જન્મદિન મુબારક હો, જયશ્રી !
Permalink
September 2, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
મારાથી દૂર હું જ મને ભાળતો હતો,
રણમાં રહીને વીરડો હું ગાળતો હતો !
આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે ?
મારી જ રાખથી મને અજવાળતો હતો !
પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો !
ખોવા સમું તો મારી કને શું બીજું હતું ?
મારામાં રોજ હું જ મને ખોળતો હતો !
બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
કાંઠે રહીને હું તો ચરણ બોલતો હતો !
કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,
ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો !
બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’
અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો !
-રતિલાલ ‘અનિલ’
Permalink
September 1, 2013 at 1:14 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, રિલ્કે, હરીન્દ્ર દવે
મમ નિર્વાણ પછી, કરુણામય ! ક્યાં ઠરશો ?
આ પત્ર થશે ખંડિત, કે જળ શોષાઈ જશે
તો શું કરશો ?
હું તવ જરકસી જામો,હું તવ વાહન,
મારી હસ્તી અશેષ તમારો અર્થ કશો !
મુજ વિણ બેઘર ક્યાંય પરોણાગત નહીં પામો !
હું ચરણોની મખમલ ચાખડી, નહિ હોઉં તો
શ્રમિત પાય લઈ અડવાણા ક્યાં અથડાશો ?
એક સમે મમ ગાલ પરે ઠરતી દ્રષ્ટિ
જે સાંત્વન મેળવતી,
એ હિમખડકોમાં વિલય પામતા
સાંધ્યરંગ શી મૂરઝાશે……
હું કંપી રહું ભયથી, કરુણામય, શું થાશે ?
– રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે
જો કવિનું નામ ન લખ્યું હોય તો નખશિખ ભારતીય વિચારધારાનું જ કાવ્ય લાગે …..મહાકવિ ઈકબાલે પણ ખોંખારો ખાઈને અલ્લાહને કીધું હતું – જો હું નથી, તો તું ક્યાં થી ???
Permalink
August 31, 2013 at 1:44 AM by વિવેક · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ !
બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !
એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !
આમ આવ્યા ને ફકત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !
આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ !
કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !
પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !
સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?
ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’,
એય તક છે, કૈંક જડવું જોઇએ !
– રતિલાલ ‘અનિલ’
એક નજર માંડીને આગળ ચાલ્યા જવા જેવી ગઝલ નથી આ. જરા ખમો. બધા શેર ફરી વાર વાંચો અને તરત જ ભીતર કંઈક અનોખી અનુભૂતિ થશે. “સહલે-મુમતના” અર્થાત્ “સરળ દોહ્યલું” કહી શકાય એવી ગઝલ… એક-એક શેરની પરત ખોલો અને એક-એક શેર વધુ સમજાશે… નીતર્યું રૂપ, ખખડતો ખાલીપો અને ધૂળધોયાનું જીવન તો અદભુત !
Permalink
August 30, 2013 at 1:24 AM by વિવેક · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'

(રતિલાલ અનિલ: ૨૩-૦૨-૧૯૧૯ થી ૨૯-૦૮-૨૦૧૩)
*
રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. સુરતના જૈફ શાયર. ફક્ત બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ. ચાંદરણા અને મરકલાં માટે બહુખ્યાત. ‘આટાનો સૂરજ’ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૯૪ની ઊંમરે પણ માઇક પર આવે તો નવયુવાનને શરમાવે એવા બળકટ અવાજે સુરતી ક્ષત્રિય લહેકાવાળી બાનીમાં નકરી યાદદાસ્તના આધારે એક કલાક સુધી પોતાની રચનાઓ સંભળાવી શકે એવી ક્ષમતા…
૯૪ વર્ષની ઉંમરે ગઈકાલે એમનું નિધન થયું… લયસ્તરો ટીમ તરફથી એમના આત્માની સદગતિ માટે શાંતિપ્રાર્થના !
*
શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે , ક્યાંક સાધુ થાય છે રસ્તો .
અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !
નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.
પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.
નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો !
મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો .
હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !
નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફકત દેખાય છે રસ્તો !
ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની,
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો .
લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો !
વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો !
મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો !
ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,
હથેળીઓની રેખાઓનો એ વર્તાય છે રસ્તો !
‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો !
નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !
-રતિલાલ ‘અનિલ’
Permalink
August 29, 2013 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
કોઈ રીટાદાસ, કોઈ ભક્ત ગીતાના,
શ્લોક ક્યાં જઈ વાંચવા છાતીસંહિતાના.
એક ધોબીખોર પાનામાંથી ઊડીને-
આંખમાં ટપકી પડે છે કષ્ટ સીતાનાં.
સર્પ જેવું ચાલવું તારું ને શેરીનું-
ને સીધી લીટી સમાં અંગો કવિતાનાં.
એક ધરતીકંપ મારા પર થયો પાછો,
વ્હેણ બદલાઈ ગયાં પાછાં સરિતાનાં.
હું કલાકોની ઉદાસી બાદ કાગળ પર
પેન માંડું ને રચાતાં હોઠ સ્મિતાના !
– ભરત વિંઝુડા
આમ જુઓ તો ગઝલના બધા જ કાફિયામાં કવિની ગર્લફ્રેન્ડ્સ નજરે ચડે છે – રીટા, ગીતા, સીતા, કવિતા, સરિતા અને સ્મિતા ! પણ કવિ જ્યારે મગનું નામ સીધું મગ પાડતાં દેખાય ત્યારે ભાવકે સમજી જવાનું હોય છે કે આ સમય બેક-ફૂટ પર આવીને રમવાનો છે અને કવિને કંઈક બીજું જ અભિપ્રેત છે…. ‘છાતીસંહિતા’ અને ‘ધોબીખોર’ જેવા શબ્દો કોઇન કરવા જેવું અદભુત કવિકર્મ તો આ ગઝલની બાય-પ્રોડક્ટ છે… ખરેખર તો આખી ગઝલ જ મનનીય થઈ છે.
હું જો કે એક જ શેર-ચોથા-ની જ વાત કરીશ.
ભારે ભૂકંપથી નદીના વહેણ બદલાઈ જવાનું વૈજ્ઞાનિક સત્ય કવિ સંબંધ વિચ્છેદ સાથે કેવું કળાત્મકતાથી સંયોગે છે! અહીં એક બીજી કરામત ‘પાછો’-‘પાછા’ શબ્દમાં પણ છે. આ ઘટના કંઈ પહેલીવાર નથી બની એ સમજીએ તો આખો શેર ફરી નવા સ્વરૂપે ઊઘડતો લાગે.
Permalink
August 26, 2013 at 2:54 AM by વિવેક · Filed under પ્રકીર્ણ

છેલ્લા થોડા મહિનાથી લયસ્તરોમાં સહ-સંપાદક તરીકે જોડાયેલા ડૉ. તીર્થેશ મહેતાની ઊંચી કાવ્યપસંદ, અદભુત રસદર્શન અને શનિ-રવિની નિયમિતતાથી હવે આપણે સહુ વાકેફ છીએ…
એમના માતુશ્રીનું ગતરોજ બપોરે સુરત એમના નિવાસસ્થાને દેહાવસાન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે એ જ અભ્યર્થના…
અસ્તુ !
Permalink
August 26, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
મોટાં ઘટાદાર વૃક્ષો
અને તેના પર લટકતા વજનદાર મધપૂડા.
મધ ચૂસતી મધમાખીઓનાં પુષ્ટ શરીર જોઈને
ઊંઘમાં પણ મારા ચહેરા પર સ્મિત ફરી વળે છે.
ખાતરી કરીને ચોખ્ખું મધ ખરીદતી કોઈ ગૃહિણીની જેમ
હું અદમ્ય સંતોષ અનુભવું છું.
સુખ, અસહ્ય સુખ. નથી સહન થતું હવે.
મધપૂડા પર ફેંકાતા પથ્થર
મારી પીઠ પર વાગે છે.
મધમાખીઓના ડંખ
મારા શરીરે ઊઠી આવે છે.
વૃક્ષો વચ્ચે છંછેડાઈને આમતેમ ઊડાઊડ કરતી
મધમાખીઓનો ગણગણાટ
મારા રૂમમાં પ્રસરે છે.
પગ સાથે અથડાતા
સુકાઈ ગયેલા મધપૂડાને
હું ઘરમાં સજાવટ માટે મૂકેલા
સુગરીના કલાત્મક,ખાલી માળાની બાજુમાં ગોઠવી દઉં છું.
મધમાખીઓ વિનાનો આ મધપૂડો પહેલીવાર સ્પષ્ટ દેખાય છે.
તેની અંદરનાં ભર્યાં ભર્યાં પોલાણ હું જોઈ રહું છું.
કોઈ ખાલી ઘરમાં બારી-બારણાંનો ભેદ ક્યાં હોય?
મારી નજર સોંસરવી પસાર થઇ જાય છે.
સુખ ઊડતું રહે છે, મધમાખીની જેમ.
એક થી બીજા મધપૂડા પર.
-મનીષા જોષી
તૃષ્ણા-desire ની વાતને થોડા અઘરા રૂપકથી રજૂ કરી છે . જીવન કદાચ રંગહીન છે – આપણી તૃષ્ણાના રંગને તે માત્ર પરાવર્તિત કરે છે અને આપણે એ પ્રતિબિંબને જીવનનો પોતીકો રંગ સમજી બેસીએ છીએ . વિપરીત સંજોગો એ પથ્થર રૂપી ખલેલ છે . મધમાખીઓ ઊડી જાય છે અને ખાલી મધપૂડો સ્પષ્ટ નજરે ચડે છે . ‘ ભર્યાં ભર્યાં પોલણ ‘ – કદાચ વક્રોક્તિ પણ હોઈ શકે પરંતુ કદાચ તે સુખ-દુઃખ થી પર એવી અવસ્થા પણ ઈંગિત કરતું રૂપક હોઈ શકે .
Permalink
August 25, 2013 at 1:06 AM by તીર્થેશ · Filed under ગઝલ, નિર્મિશ ઠાકર
દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?
ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?
કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?
ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?
ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?
જૂના જ શબ્દમાં કૈં પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?
એનાં હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?
-નિર્મિશ ઠાકર
હળવી કવિતા-ગઝલ માટે જાણીતા નિર્મિશભાઈની આ રચના જોઈ આનંદ થઈ ગયો….
Permalink
August 24, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, હોર્હે લૂઈસ બોર્હેસ
મરીઝની એક પંક્તિ જે હું ફરી યાદ નથી કરવાનો,
એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય,
એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો,
એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી,
મારા પુસ્તકાલયમાંના પુસ્તકો (જે મારી સામે જ પડ્યા છે)
એમાંના કેટલાક હું હવે ક્યારેય ઊઘાડવાનો જ નથી.
આ ઉનાળે મેં પચાસ પૂરાં કર્યાં;
મૃત્યુ અનવરત મને કોરી રહ્યું છે.
– હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)
અનુ. વિવેક મનહર ટેલર
*
વનપ્રવેશ – જીવનની પચાસ વસંત પૂરી કરી એકા’વન’માં પ્રવેશવાની ઘડી ઘણા લોકો માટે યુ-ટર્ન બની રહે છે. જેટલાં ગયાં એટલાં હવે બાકી નથીનો નક્કર અહેસાસ ભલભલાને ધ્રુજાવી દે છે. મરણ ઢૂંકડું ભાસે એટલે સ્મરણ ઝાંખા પડવા માંડે ને ચરણ થાકવા માંડે… મર્યાદાઓ નજરે ચડવા માંડે…
*
Limits
There is a line in Verlaine I shall not recall again,
There is a street close by forbidden to my feet,
There’s a mirror that’s seen me for the very last time,
There is a door that I have locked till the end of the world.
Among the books in my library (I have them before me)
There are some that I shall never open now.
This summer I complete my fiftieth year;
Death is gnawing at me ceaselessly.
-Jorge Luis Borges
(English trans. Julio Platero Haedo)
(Verlaine- જાણીતા ફ્રેન્ચ કવિ)
*
આ કવિતાના ઉપસંહારમાં કવિ લખે છે કે,
“A man sets himself the task of portraying the world. Through the years he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and people. Shortly before his death, he discovers that that patient labyrinth of lines traces the image of his face.”
Permalink
August 23, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચિનુ મોદી
પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ;
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ? – પાળિયાની૦
આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર,
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ ? – પાળિયાની૦
ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ;
આપણે અજાણી એક લાગણી ને લાગણીનાં
ચોર્યાશી લાખ થયાં સ્તૂપ – પાળિયાની૦
– ચીનુ મોદી
સામાન્યતઃ ગઝલના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા ચિનુ મોદીનું આ ગીત ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવું બળકટ છે.
વિયોગની ક્ષણો કોને કોરી નથી ખાતી? પણ કવિનો શબ્દ એને કંઈ ઓર જ વળ ચડાવી આપે છે. પાળિયા શબ્દથી ગીત ઉપાડ લે છે એ એક શબ્દમાં જ સંબંધનું મૃત્યુ અને સ્મરણનું સ્મારક અને પથ્થર જેવી નક્કર એકલતા – કેટલું બધું વણાઈ ગયું છે! વળી આ એકલતા આક્રંદે છે પણ પ્રિયજન ખાલીખમ પાદર સમા મૌન છે. વીતેલી ક્ષણોમાં કવિ એક ‘ફ્લેશ-બેક’ નજર કરે છે ને આંખો છલકાઈ આવે છે… વધતા જતા ખાલીપાના ભેંકાર કલ્પનો ગીત જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પોતાના માણસપણા પર ચીડ આવી જાય એવો ભાવ જન્માવે છે…
(આરડવું= મોટા અવાજે આક્રંદ કરવું)
Permalink
August 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો.
પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.
માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.
રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોથી કોઈ ચ્હેરો નીકળ્યો.
એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.
જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો,
આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.
– આદિલ મન્સૂરી
સો ટચનું સોનું !
Permalink
August 19, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
પાંખ વીંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે.
ઘર નથી એનું ગગન થઈ જાય છે.
પ્રાતઃકાળે પંખીના ટહુકા વડે,
આંગણે કીર્તન ભજન થઈ જાય છે.
રાહ જોતું હોય છે પહેલું કિરણ,
ખોલતાં બારી શુકન થઈ જાય છે.
ઓસબિંદુથી નમે છે પાંદડી,
એક ટીપાનું વજન થઈ જાય છે.
ભાગતી ખુશબૂનો એ પીછો કરે,
આ હવા ત્યારે પવન થઈ જાય છે.
-રઈશ મનીઆર
આજે ઓગણીસમી તારીખે કવિ શ્રી રઈશ મનીઆરને એમના જન્મદિવસે ટીમ-લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ! शतम् जीवम् शरदः ।
ખુલતી શક્યતાઓની એક પોઝિટિવ ગઝલ… સામાન્યરીતે કવિતાને ઘેરો રંગ જ વધુ માફક આવતો હોય છે એટલે આવી વિધાયક મૂલ્ય ધરાવતી રચના હાથ લાગે ત્યારે બત્રીસે કોઠે દીવા થઈ જતા અનુભવાય…
Permalink
August 18, 2013 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
ફાગણ ચાલે ને એનાં પગલાંની ધૂળથી,
નિંદર ઊડે રે સાવ કાચી,
જાગીને જોયું તો ઊઠે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ-સાત છોકરાં પરપોટાં વીણતાં દરિયે,
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં,
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા;
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઈ જાતા !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ, મરવા દિયે તો કોઈ મરીએ !
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
– અનિલ જોશી
આમ તો આખું ગીત જ નખશિખ આસ્વાદ્ય છે પણ મારું મન તો માત્ર સૂકી જુદાઈની ડાળે છાનું ઊગીને છાનું ખરી જતા ફૂલ પર જ અટકી ગયું… કેવી અદભુત સંવેદના કવિએ આ એક જ પંક્તિમાં ઠાંસી-ઠાંસીને ભરી છે ! જુદાઈની ડાળ તો જાણે સમજ્યા પણ માત્ર ‘સૂકી’ વિશેષણ જુદાઈની કેવી ધાર કાઢી આપે છે..! અને ડાળ સૂકી હોય એ પાનખર સૂચવે છે પણ અહીં તો પાનખરમાં ફૂલ ખીલે છે… વિરહ અને આશાનો કેવો કારમો વિરોધાભાસ ! એક લીટીની કવિતા તો અહીં જ પૂરી થઈ ગઈ હોત પણ કવિએ ઊગવા અને ખરવાની ક્રિયાને છાની રાખીને- પોતાની વિરહ-વ્યથાને માત્ર જાતમાં જ સંકોરી રાખીને પ્રેમને એવરેસ્ટની ઊંચાઈ બક્ષી છે…
Permalink
August 17, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને,
પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય,
અને લોઢું નદી પર તરવા ન માંડે,
અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય;
પ્રેમ કરવાનો જ્યાં સુધી સપ્તર્ષિ દિવસે ન ઊગે
અને ધ્રુવતારક દક્ષિણમાં ચાલ્યો ન જાય.
આપણે વચન આપ્યું હતું અમર પ્રેમનું જ્યાં સુધી સૂર્ય
મધરાત્રે આકાશ બાળી ન મૂકે.
– અજ્ઞાત (ચીન)
અનુ. વિવેક મનહર ટેલર
*
લગભગ ચૌદસો – પંદરસો વર્ષ પહેલાં ચીનના કોઈક કવિએ લખેલ આ શોક-ગીત ક્રૌંચવધ જોઈ વાલ્મિકીના હૃદયમાં જેવો ચિત્કાર જાગ્યો હતો એવો ચિત્કાર આપણી ભીતર જગાડે છે. પ્રેમમાં સંભોગની કોઈક અંતરંગ પળોમાં બંને પ્રેમી આકાશકુસુમવત્ પ્રતિકો વડે વચન આપે છે અને છૂટા પડે છે… જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો વિયોગની આ પળો હજી પણ પ્રેમની ઉત્કટતા જેટલી જ પીડાદાયક છે…
*
Cheek to cheek on our pillows,
we promised to love until green mountains fall,
and iron floats on the river,
and the Yellow River itself runs dry;
to love till Orion rises in the day
and the north star wanders south.
We promised undying love until the sun
at midnight burns the sky.
by Anonymous
(Chinese T’sang Dynasty)
(Yellow River = એશિયાની બીજા નંબરની મોટી નદી)
Permalink
August 16, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
શું છે ત્યાં આજે,
જ્યાં વૃક્ષ હતું
એક વાર ?
અવકાશ શૂન્ય ?
હવા પારદર્શક ?
ના.
ચાલ્યો સીધો જાઉં.
ઓ ભટકાયો – એવું મનને
ભાસે કાંઈ સઘન, માર્ગમાં.
પેલું આવે શરગતિએ કો વિહંગ….
એ ય તે
ખમચાયું ક્ષણ શૂન્યવચાળે
ડાળે જાણે બેઠું ?
બેઠું-ના-બેઠું જાણે
ને વૃક્ષ-આકૃતિ અંકિત કરતું ગયું શૂન્યમાં.
વિશ્વ કોઈ મુજ,
નીડ બનીને
ઝૂલ્યા કરશે હવે ચિરંતન
એ આકૃતિની લઘુ હથેળીમાં.
– ઉમાશંકર જોશી
જમીન અને સ્મૃતિ – બંને પર અડિંગો જમાવી બેઠેલ કોઈ વૃક્ષ અચાનક કપાઈ જાય ત્યારે ? કવિ મજાનાં સંવેદન-ચિત્રો દોરી આપે છે. વસ્તુ શૂન્ય થઈ શકે પણ સ્મૃતિ ?
અને આ શું માત્ર વૃક્ષચ્છેદન પછીના સંવેદનની જ વાત છે કે કોઈ સંબંધવિચ્છેદની પણ ?
Permalink
August 15, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દેશભક્તિ, શેખાદમ આબુવાલા
(પંદરમી ઓગસ્ટ ૧૯૫૨ ઉપર)
હાય આ કેવી મળી અમને બહારો હાય હાય
પાનખરના હરઘડી આવે વિચારો હાય હાય
સાંઝ પણ પડતી નથી કે ક્યાંક છાંયે બેસિયે
આમ તો ક્યાંથી મળે રણમાં ઉતારો હાય હાય
ફૂલ ને ઝાકળ ગળે વળગી રડે છે બાગમાં
રાતની પાછળ હતી કેવી સવારો હાય હાય
કાળજું કળિયોનું ચીરાયું ઘવાયા કંટકો
રંગ કેવા અવનવા લાવી બહારો હાય હાય
આ કયા કાંઠા ઉપર નૈયા અમારી લાંગરી
ઝાંઝવા પેઠે ઠગી બેઠો કિનારો હાય હાય
મ્હેફિલોમાં ઝૂમવા ખાતર અમે ઝૂમ્યા હતા
એટલે આવી ગઈ હોઠે પુકારો : હાય હાય
આટલાં ઠંડાં કદી સૂરજના કિરણો હોય ના
અર્ધી રાતે તો નથી જાગી સવારો હાય હાય
-શેખાદમ આબુવાલા
આઝાદી મળ્યાના માત્ર પાંચ વર્ષ પછી લખાયેલી આ ગઝલ – સૉરી, માતમ માટેનાં છાજિયાં – આજે પણ એટલી જ કન્ટેમ્પરરી (સાંપ્રત) છે. આઝાદી પછી જોવામાં આવેલા સપનાં કોઈના પૂરાં ન થયાં એમાં માત્ર દેશનેતાઓનો જ વાંક કેમ કઢાય, આપણું લોહી પણ અમીચંદોના રક્તકણોનું બનેલું છે… સાંપ્રત કવિતા ક્યારેક કાવ્યતત્ત્વના ભોગે લખાતી હોય છે પણ સમર્થ કવિનો સ્પર્શ વર્તાયા વિના રહેતો નથી. અડધી રાત્રે આઝાદી મળી હોવાનો ચાબખો ગઝલના આખરી શેરમાં કેવા ઠંડા કલેજે કવિ ફટકારે છે !
જેવી છે તેવી, સહુને આઝાદી મુબારક !
Permalink
August 12, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, રમણલાલ સોની, રવીન્દ્રનાથ ઠાકુર
મુક્તિ ક્યાં છે, અને હું મુક્તિ કોને કહું છું એ
મને પૂછશો મા .
હું કંઈ સાધક નથી, હું ગુરુ નથી,
હું કવિ છું .
ધરતીની ખૂબ નજીક છું, આ કિનારાના નૌકાના ઘાટ પર !
સામે પ્રાણની નદી ભરતીઓટ કરતી અંધારું અને અજવાળું,
સારું અને ખોટું, વહી જવા જેવું કંઈ કેટલુંયે,
અને લાભહાનિ તથા રુદાનહાસ્યના કંઈ કેટલાયે ઢગલે ઢગલા લઈને
નિત્ય વહી રહી છે-
એક કાંઠો ભાંગીને બીજો કાંઠો ઊભો કરે છે ;
એ જ પ્રવાહની ઉપર ઉષા લાલ લાલ બની જાય છે .
અને ચંદ્રમાના પ્રકાશની રેખા માતાની આંગળીના જેવી પડે છે;
અંધારી રાતે બધા તારા ધ્યાનમંત્રનો જપ કરે છે;
આથમતો સૂરજ લાલ ઉત્તરીય પસવારીને ચાલ્યો જાય છે;
એ તરંગમાં માધવી-મંજરી માધુર્યની છબી વહાવે છે,
અને પંખીઓ પોતાનાં ગીત ઢોળે છે .
એ તરંગના નૃત્યના છંદમાં જયારે ચિત્ત આ વિશ્વપ્રવાહમાં
પોતાના સંગીતની સાથે વિચિત્ર ભંગિમાં નૃત્ય કરે છે,
ત્યારે
એ છંદમાં મારું બંધન છે,
મારી મુક્તિ પણ એમાં જ છે .
હું કશું રાખવા ઈચ્છતો નથી, કે કશાને વળગી રહેવા ચાહતો નથી;
હું તો વિરહ-મિલનની ગ્રંથિને ખોલી નાખીને,
નૌકાના સઢને ભાગેડુ પવનમાં ચડાવીને
સૌની સાથે વહેતો રહેવા ચાહું છું .
હે મહાપથિક, તારી દશે દિશાઓ ખુલ્લી છે .
તારે નથી મંદિર,
નથી સ્વર્ગધામ;
કે નથી અંતિમ પરિણામ .
તારે પગલે પગલે તીર્થધામ છે .
તારી સાથે ચાલી ચાલીને હું મુક્તિ પામું છું,
ચાલવાની સંપદમાં,
ચંચલના નૃત્યમાં અને ચંચલના ગાનમાં,
ચંચલના સર્વ કાંઈ ભૂલી જનારા દાનમાં-
અંધકારમાં પ્રકાશમાં,
સર્જનના પ્રત્યેક પર્વમાં
અને પ્રલયની પ્રત્યેક ક્ષણમાં .
– રવીન્દ્રનાથ ઠાકુર – અનુ-રમણલાલ સોની
જરા ધૈર્યથી એકથી વધુ વાર વાંચવું પડે તેવું કાવ્ય છે … મૂળભૂત ધ્વનિ મુક્તિના વિચારમાંથી મુક્ત થવાનો છે …. જેને જે. કૃષ્ણમૂર્તિ ‘ total freedom ‘ કહે છે તે મુક્તિની વાત છે . જીવનસરિતાના અસ્ખલિત પ્રવાહને એકાત્મ થતા જ બંધન અને મુક્તિનું દ્વન્દ્વ જ રહેતું નથી .
Permalink
August 11, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શેખાદમ આબુવાલા
કોઈ જોગણનાં ચરણમાં પુષ્પ થૈ પથરાઈ જા
કે પછી વારાંગનાનું સ્મિત બની વેચાઈ જા
શક્ય હો તો કોઈ યોગી ના અધરનું મૌન બન
કે પછી બદનામીની ચર્ચા બની ચર્ચાઈ જા
શક્તિ હો તો જા હિમાલયની બુલન્દીને નમાવ
કે પછી પાતાળમાં જૈને પતન પર છાઈ જા
હેસિયત જો હો તપ બન ફિલસૂફની ગંભીરતા
કે પછી પ્રેમીની ચંચલતા બની ફેલાઈ જા
બન જો બનવું હોય નીરવતા નનામી ક્બ્રની
કે પછી મ્હેલોનો કોલાહલ બની પંકાઈ જા
મરજી હો તો ધર્મની નીરસ લડતનું લે સ્વરૂપ
કે પછી કો રસભરી સરગમ બની રેલાઈ જા
કોઈ જખમી લાશ માટે બન કફન યા તો પછી
ચૂંદડી કોઈ નવોઢાની બની લ્હેરાઈ જા
કોઈ રૂપાળાં નયનની અર્થસૂચક વાણી બન
કે પછી અસ્પષ્ટ ચૂપકીદી બની સમજાઈ જા
એકબે જો હો તો આદમ કાન ધરીએ બે ઘડી
સેંકડો છે તુજ કથાઓ પ્રેમની જા ભાઈ જા
– શેખાદમ આબુવાલા
અમુક શેર નબળાં લાગ્યા પણ બાકીનાં ગઝલને સરસ ઉપાડે છે.
Permalink
August 10, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કૃષ્ણલાલ શ્રીધરાણી
કયા ખૂણામાં નગર તણા આ
શી ગમ મુજને થાય ?
વીજળી તેલ તપેલું ખાલી
તાર સૂકી હોલાય.
ઓઢી અંધારાનો લાભ
દીવાસળી દ્યે ચુંબન દાહ
મીણબત્તીને, આળસ પાળ
જેવે, ટાઢે હોઠે કપાળ.
એણી નાખ્યો નિશ્વાસ,
પછી લીધો એક શ્વાસ,
ને આપ્યો ઉજાસ.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આપણી ભાષામાં ભાગ્યે જ કોઈ કવિના જીવનના બે સાફ ભાગ પડતા જોઈ શકાય… પરદેશ જતા પહેલાના “પૂર્વ શ્રીધરાણી” અને દોઢ દાયકાનો નખશિખ કાવ્યવટો અને દેશવટો ભોગવી પરદેશથી પરત ફરેલા “ઉત્તર શ્રીધરાણી”- આવા બે સુસ્પષ્ટ ફાંટા આ કવિની કવિતામાં તંતોતંત જોઈ-આસ્વાદી શકાય છે…
ખૂબ નાની ઉંમરે અદભુત કવિકર્મ કરનાર શ્રીધરાણી પરદેશથી દોઢ દાયકા બાદ પરત ફરે છે ત્યારે આઝાદી ઢૂંકડી આવી ઊભી હતી અને ગુજરાતી કવિતાની તાસીર આખી બદલાઈ ગઈ હતી. કવિતાની આ બદલાયેલી સિકલ શ્રીધરાણી અદભુત રીતે ઝીલી શક્યા એની પ્રતીતિ સમું આ કાવ્ય…
કવિના પ્રિય સવૈયા છંદમાં શરૂ થયેલ આ કાવ્યમાં અંતિમ ત્રણ પંક્તિઓ શ્રીધરાણી-છાપ ચુસ્ત-પ્રાસબદ્ધ પણ અછાંદસ મૂકી દઈ કવિએ એ જમાનામાં પણ સારસ્વતોને ચોંકાવ્યા હતા. વીજળી તેલ તપેલાં ખાલી, તાર સૂકી હોલાય જેવા વાક્યપ્રયોગમાં વીજળી જતાં અને તેલના અભાવમાં છવાઈ વળતાં અંધકારને કવિએ કેવો અદભુત રીતે ઉપસાવી આપ્યો છે ! અંધારાનો લાભ ઊઠાવી દિવાસળી આરસની પાળ જેવા ઠંડા મીણબત્તીના માથે-હોઠે ચુંબન ચોરી લે છે એ કલ્પના જ કેવી હૃદ્ય છે !
Permalink
August 9, 2013 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
જલની તે બીજી કંઈ હોય સ્થિતિ-ગતિ !
ગળી જવું, ઢળી જવું, સૂકાવું રૂંધાઈ
તડકાથી ડરી, જવું ભીતરે સંતાઈ
ફૂટવું તો બીજારૂપે : તૃણ-વનસ્પતિ.
હવે પ્રિય પાણી મિષે પ્રેમની તે વાત
કરી કરી શાને વ્હોરી લેવો રે સંતાપ !
ગળી ગયું, ઢળી ગયું, ગયું જે સુકાઈ
તેની પછવાડે હવે હરણ શા ધાઈ
પામવાનું કશું ! હવે રણ ને ચરણ –
એ સિવાય મિથ્યા અન્ય સઘળું સ્મરણ
ખરી જાય તારો અને ઝબકી ગગન
જોઈ લિયે જરા – પછી મીંચી લે નયન.
એમ અમે વાળી લીધું તમારાથી મન
આંખથી વિખૂટું જેમ એક અઁસવન.
– જયન્ત પાઠક
વિયોગ-વિચ્છેદની વાત કરતા સોનેટ-જોડકાંમાંનું આ બીજું. પહેલું સોનેટ વિયોગની વાતથી શરૂ થઈ જળ પર અંત પામે છે જ્યારે આ સોનેટ જળથી શરૂ થઈ વિરહ તરફ ગતિ કરે છે.
જળની વળી શી ગત હોય? હાથમાંથી ગળી જાય, ઢોળાઈ જાય, તડકાથી સૂકાઈ જાય… બહુ બહુ તો એ સ્વ-રૂપ ગુમાવી વનસ્પતિ રૂપ લઈ શકે. એ જ રીતે જળની જેમ સરકી ગયેલા પ્રેમની અવર શી સ્થિતિ હોઈ શકે? જે રણ બની ગયું છે એમાં મૃગજળના ચરણ લઈ ચાલવાનો કોઈ અર્થ? આભથી તારો ખરે અને પલકવાર ગગન એ તરફ જોઈ બીજી પળે વિસરી જાય એમ અમે તો તમારાથી મન વાળી લીધું છે… એક આંસુ હતું જે હવે આંખથી વિખૂટું પડી ગયું છે, બસ!
Permalink
August 8, 2013 at 12:30 AM by વિવેક · Filed under જયન્ત પાઠક, સોનેટ
(પયાર)
પ્રિય લો, મેં તમારાથી વાળી લીધું મન –
હવે તો નિરાંત ? નહિ વિરહ, મિલન;
સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ,
ફગાવી જ દીધો દોર, ફગાવ્યું વસન,
રંગરંગી પ્હેરી લીધું ચીવર, નિઃસંગ;
ગલી ભણી નહીં, હવે ઊલટો જ પંથ !
પાછું વળી જોવાનું ના તમારે કે મારે,
વાતનો સરસ કેવો આવી ગયો અંત !
એકમેકને અજાણ એમ ધારે ધારે
ફરવું સંભાળી, મળવું ન મઝધારે;
રખે પેલો પ્રેમ પાછો આવી છાનોમાનો
બાંધી લિયે આપણને પાકા કોઈ તારે.
વરસી વરસી પ્રિય ઘેરાયું વાદળ,
રહ્યું સહ્યું છતમાંથી હવે ગળે જળ.
– જયન્ત પાઠક
વિયોગની વેદના તો આપણામાંથી મોટાભાગના ક્યારેક ને ક્યારેક વેઠતાં જ હોય છે પણ આ કાયમી વિયોગ-વિચ્છેદની વાત છે. છૂટા પડવાની વાતની શરૂઆત “પ્રિય” સંબોધનથી થાય છે એ વાત જ કેવી સૂચક છે! વળી હવે તો નિરાંત એવો પ્રશ્ન છૂટા પડનારને થતી વેદનાને વળી વળ ચડાવી આપે છે. ઠેકઠેકાણે ગંઠાઈ ગયેલા સંબંધના દોરાને ફગાવી દઈએ, उस गली में हमें पाँव रखना नहींની આહલેક પણ પોકારી લઈએ પણ પેલો પ્રેમ છાનોમાનો પાછો બાંધી ન દે એનો ડર તો જતો જ નથી… કાવ્યાંતે ફરી પ્રિય સંબોધન વરસતા વાદળની પછીતેથી ડોકાતાં સૂરજની જેમ ડોકિયું કરી જાય છે… વાદળ તો વરસી ગયું… હવે છત ગળતી રહેશે… છત કે આંખ?
Permalink
August 5, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
દર્દ ઊંડાણમાં, ઉપચાર ઉપરછલ્લા છે
યત્ન ચાલે જે લગતાર ઉપરછલ્લા છે
વાંસ તૂટ્યો કોઈ મારી જ ભીતર ખૂંપી ગયો
શું કરું ? બ્હારના આધાર ઉપરછલ્લા છે
એકબીજાથી રહી ગઈ અપરિચિતતા અમાપ
માપસરના બધા વ્યવહાર ઉપરછલ્લા છે
ફ્રેમ જેનાથી જડી એ ખીલી ખૂંપી છે ભીતર
ને લટકતા બધા ફૂલહાર ઉપરછલ્લા છે
જે ન આંસુનો અનુવાદ કરી મૂકી શકે
એ કલા અંધ,કલાકાર ઉપરછલ્લા છે
મોતની ઓઢતા હળવાશ કપાસી, લાગ્યું-
જિંદગીના આ બધા ભાર ઉપરછલ્લા છે
– રઇશ મનીઆર
Permalink
August 4, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ રેડ્ડી
अच्छा मैं दूसरों से बुरा दूसरों से हूँ
मैं सोचता हूँ जो भी हूँ- क्या दूसरों से हूँ ?
अपने में अपने आपको जब ढूँढने गया
मालूम ये हुआ मैं भरा दूसरों से हूँ
जब तक न बन सका है मेरा अपना कोई कद
छोटा मैं दूसरों से बड़ा दूसरों से हूँ
अर्से से कुछ अजीब है इस दिल की कैफियत
नाराज़ खुद से हूँ मैं खफ़ा दूसरों से हूँ
हद तो ये है की आईनाखाने में भी मुझे
लगता है बारहा मैं घिरा दूसरों से हूँ
– राजेश रेड्डी
જરાક change ખાતર આજે આ હિન્દી ગઝલ …. રાજેશ રેડ્ડી નવા યુગના બહુ પ્રતિભાશાળી શાયર છે. પ્રમાણમાં સરળ હિન્દી છે જેથી તરજુમો કરતો નથી.
Permalink
August 3, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, બાપુભાઈ ગઢવી
ફરી ચાલ, નખને અણી કાઢીએ;
ફરી સ્પર્શ તાજા ખણી કાઢીએ !
શરત આવવાની હો તારી અગર;
બધાં પાન વનનાં ગણી કાઢીએ !
બધી કોર તારી પ્રતીક્ષા કરી;
હવે દોટ કોના ભણી કાઢીએ ?
તને કેવી રીતે ભૂલી જાઈએં ?
કઈ પેર પગની કણી કાઢીએ ?
ઈ તો આપમેળે ઊગે-પાંગરે;
ઈને ચ્યમ કરી ઝટ ચણી કાઢીએ ?
– બાપુભાઈ ગઢવી
પ્રશિસ્ત ગુજરાતીમાં શરૂ થઈ અચાનક તળપદી ગઢવી ભાષામાં ડૂબકી મારતી હોવા છતાં નખશિખ આસ્વાદ્ય ગઝલ… પ્રતીક્ષા વિશે આવી મજાની ગઝલો બહુ જૂજ લખાઈ હશે… સલામ, કવિ !
Permalink
August 2, 2013 at 2:19 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, સુન્દરમ
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને
તેં તારા ઠમકારથી સકળનાં ચોરી લીધાં ચિત્તને,
રાજા ત્યાં હરખ્યો, સભા ખુશ થઈ : ‘માંગી લિયો ચાહ્ય સો.’
બંને આપણ થંભિયા પણ ન કૈં સૂઝ્યું જ શું માંગવું,
ને પાછાં હસી આપણે મનભરી ગાયા બજાવ્યું કર્યું.
– સુન્દરમ્
પાંચ જ લીટીમાં કેવી સરસ વાત ! સાચો કળાકાર માત્ર કદરનો જ ભૂખ્યો હોય છે, ઈનામ-અકરામનો નહીં… ખરું ને ?
Permalink
August 1, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઊર્મિકાવ્ય, રાજેશ પંડ્યા
પવન કવિતા લખે છે
પહાડના પથ્થર પર.
પથ્થર કવિતા લખે છે
નદીનાં જળ પર.
જળ કવિતા લખે છે
લીલા લીલા ઘાસ પર.
ઘાસ કવિતા લખે છે
ઝાકળનાં ટીપાં પર.
અને ઝાકળ કવિતા લખે છે
આપણાં જીવન પર.
– રાજેશ પંડ્યા
ઉત્તમ કવિતામાં સરળતા હંમેશા છેતરામણી હોય છે. એક કલ્પનથી શરૂ થઈ બીજા પર ને બીજા પરથી ત્રીજા-ચોથા એમ લસરતી આ સાવ બાળમંદિરના બાળકો માટેના જોડકણાં જેવી દસ પંક્તિઓ સહેજ વિચારો તો કેવા મજાનાં અને અર્થગંભીર પાંચ દૃશ્યો દોરી આપે છે…!
Permalink
July 29, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જલન માતરી
મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારૂં થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનાં પોટલાં,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યા,
લાગે છે આ રમત કોઈ શયતાનની નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
ઊઠ-બેસમાં જો ભૂલ પડે મનના કારણે,
એ બંદગીનો દ્રોહ છે, એ બંદગી નથી.
મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી
-જલન માતરી
Permalink
July 28, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.
દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.
મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.
હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.
રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.
સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.
‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.
– ‘ગની’ દહીંવાળા
Permalink
July 27, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શોભિત દેસાઈ
આંખમાં ભીનો ભેદ છે કે શું ?
લાગણી પણ સફેદ છે કે શું ?
નીકળે છે પવિત્ર ઉચ્ચારો !
તારું, તે ! નામ વેદ છે કે શું ?
સૂર્યોદય તિમિર લઈ ચાલ્યો,
સીમને એનો ખેદ છે કે શું ?
લીલી ઇચ્છા, ઉદાસી કે આંસુ
બધું સંયમમાં કેદ છે કે શું ?
– શોભિત દેસાઈ
પહેલી નજરે સાવ વિચિત્ર અને નકરા પાટિયાં બેસાડી દીધેલો લાગે એવો મત્લાનો શેર જરા ધ્યાન આપીએ તો ચમત્કૃતિ કાંખમાં ભરી બેઠો છે. આંખમાં ભીનો ભેજ હોય એ જાણીતી વાત છે પણ આ કવિનો શબ્દ છે. જરા સાવધાનીથી કામ લેજો… કવિને આંખનો ‘ભેજ’ નહીં પણ ‘ભેદ’ અભિપ્રેત છે. આંખ અહીં કશાકનો ભેદભાવ જોઈ રહી છે પણ આત્માને આ ભેદ પસંદ નથી માટે આ ભેદ જરી ભીનો થઈ ગયો છે… પણ આ ભેદ છે શા માટે એ તો કહો… જરા ધીરે રહીને સાની મિસરા પાસે જઈએ ત્યાં કવિ આ ભેદ ખોલી આપે છે… લાગણી સફેદ થઈ ગઈ છે માટે… આમ તો સફેદ રંગ શાંતિનો ગણાય પણ આંખમાં ‘ભીનાશ’ અને ‘ભેદ’ જોયા પછી લાગણીનો સફેદ રંગ શાંતિની નહીં પણ કફનની યાદ અપાવે છે. દિલી લાગણીઓ તો હંમેશા રંગ-રંગથી ભરીભરી હોય… પણ લાગણીનું પોત જ ધોળું પડી જાય તો પછી બચે શું?
લાગણીના સૂકાવાની અને આંખના ભીંજાવાની આ અનુભૂતિમાંથી આપણે સહુ પસાર થયાં જ છીએ. પણ આપણી લાગણી જો સાચી હોય તો રહી રહીને પણ આ સફેદી, આ ભીનાશ વિશે પ્રશ્ન તો થવાનો જ. ખરેખર સાચું કે ભ્રમની આશંકા પાસેથી આપણે સધિયારો શોધવાના જ… અને માટે જ કવિ પણ રદીફમાં ‘છે કે શું ?’નો પ્રશ્ન ઊભો કરીને હૃદયભંગ થવા છતાં પોતાની આશા જીવંત રાખે છે…
બાકીના ત્રણ શેર વિશે હું નહીં, હવે આપ વાચકમિત્રો જ વાત કરજો…
Permalink
July 26, 2013 at 12:30 AM by વિવેક · Filed under અર્પણ ક્રિસ્ટી, ગઝલ
સાચવેલાં પત્રમાંથી સ્પર્શ જૂનો નીકળે,
‘ને પછી કાગળ અડું તો એય ઊનો નીકળે.
આ વરસતી આગનાં કારણ તપાસો તો ખરાં ?
દર વખત શું છેવટે આ વાંક લૂનો નીકળે ?
જીદ ના કર, સાફ દામનનાં રહસ્યો જાણવા,
મેં કરેલાં કેટલાં સ્વપ્નોનાં ખૂનો નીકળે !
આગ થઈ આવે ઘણાયે ‘ને ઘણા પાણી બની,
‘ને ઉપરથી આપણો અવતાર રૂનો નીકળે !
હું મને નિર્દોષ મારી જાતમાં સાબિત કરું,
ત્યાં જ દફનાવી દીધેલો કોઈ ગુનો નીકળે.
નામ પર જેનાં અહીં ટોળાં જમા થઈ જાય છે,
એ જ ઈશ્વરનો હવે દરબાર સૂનો નીકળે.
– અર્પણ ક્રિસ્ટી
Permalink
July 25, 2013 at 12:30 AM by વિવેક · Filed under આબિદ ભટ્ટ, ગઝલ
સેંકડો મુફલિસ, તવંગર થઈ ગયા,
જઈને માટીમાં બરાબર થઈ ગયા !
નામ રેતી પર લખેલા છે સમજ,
યાદ કોને છે સિકંદર થઈ ગયા ?
આદમી તો યે નહીં આદમ થયો,
કેટલા જગમાં પયંબર થઈ ગયા !
ખાણના પથ્થર ચણાયા તાજમાં,
આ જગત કાજે ધરોહર થઈ ગયા !
અશ્રુઓએ સ્થાન સંભાળ્યું પછી,
શબ્દ હોઠેથી છુમંતર થઈ ગયા !
જિંદગીની રેલગાડી સડસડાટ,
બેઉ પાટા જ્યાં સમાંતર થઈ ગયા !
– આબિદ ભટ્ટ
બંને પાટા સમાંતર કરી શકાય તો જીવનની ગાડી પૂરપાટ ચાલતી થઈ જાય પણ આ કસબ કેટલાને હાંસિલ ? આંસુઓ વહેવા મા6ડે અને શબ્દ નિઃશબ્દ થઈ જાય એ શેર પણ ખૂબ મજાનો… સરવાળે મજાની ગઝલ…
Permalink
July 22, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ, ગીત
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.
ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશ: તૂટે છે.
મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.
દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
– ઉદયન ઠક્કર
આ ગીત છે ? કે ગઝલ ? જાણકારો પ્લીઝ પ્રકાશ પાડે ….. જે કંઈ પણ છે – મસ્ત છે !!!
Permalink
July 21, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?
-હરીન્દ્ર દવે
Permalink
July 20, 2013 at 2:32 AM by વિવેક · Filed under કવિ રાવલ, ગઝલ
ભવ્યતા લાગે ભયાનક શક્ય છે
શક્યતા સામે પરાજય શક્ય છે.
સ્પષ્ટતા કરવી ઘણીએ હોય પણ –
સાવ થઈ જાઓ અવાચક શક્ય છે.
પ્રેમની પેચીદગીને તો જુઓ –
કારણો એના અકારણ શક્ય છે.
ખુશ છે ભૂલી જઈને એ બધું –
ઢોંગ કરતા હો મહાશય શક્ય છે…
બોલવાની રીત બદલે અર્થને
શબ્દમાં ના હો તફાવત શકય છે.
માર્ગમાં છુટ્ટા પડેલાં હોય જે –
તે મળે સામે અચાનક શક્ય છે.
જિંદગીભર માનતા હો જે ગલત,
અંતમાં લાગે બરાબર શક્ય છે.
– કુ. કવિ રાવલ
સવાર સવારમાં આવી ગઝલ વાંચવામાં આવે તો આખો દિવસ સુધરી જાય એ ‘શક્ય છે’.
Permalink
July 19, 2013 at 9:28 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગઝલ
આ કેવું બંધન બાંધ્યું છે ?
માણસ અંદર મન બાંધ્યું છે.
જીવ આવ્યો છે પ્રવાસ કરવા,
શરીરનું વાહન બાંધ્યું છે.
મેઘધનુના નામે આભે,
માદળિયું પાવન બાંધ્યું છે.
તું પોતે જો ફૂલ હોય તો,
હાથે કાં ચંદન બાંધ્યું છે ?
– અનિલ ચાવડા
સ્વયંસિદ્ધ કવિની સ્વયંસિદ્ધા ગઝલ… બીજા અને ત્રીજા શેરમાં કવિની કલ્પનાશક્તિ એની ચરમસીમાએ પહોંચી છે.
Permalink
July 18, 2013 at 3:33 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ, વર્ષાકાવ્ય
સાવન કેવો છકી ગયેલો !
દશે દિશાઓ ભેગી ડ્હોળી દેવા જકે ચઢેલો. –
ડુંગર ડુંગર હનૂમાનની જેમ ઠેકડા ભરતો,
હાક પાડતો ખીણોનાં ઊંડાણ ઊંડેરાં કરતો,
સમદરને પણ હરતાં ફરતાં જાય દઈ હડસેલો. –
સોનાની લઈ વીજસાંકળો આભે થડ થડ દોડે,
બાંધી તાણે ક્ષિતિજ ચઢે શું હળધર સામે હોડે ?
નવલખ તારા, ગ્રહો, સૂરજ – સૌ હડપ કરી વકરેલો. –
– ચંદ્રકાન્ત શેઠ
મેઘરાજ ઓણસાલ બરાબર મંડ્યા છે. એક તો એપોઇન્ટમેન્ટ કરતાં દસ દિવસ વહેલા આવી ટપક્યા અને આવ્યા પછી એકેય દિવસ કોરો છોડતા નથી… સમગ્ર દક્ષિણ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે એવામાં આ ગીત યાદ ન આવે તો જ નવાઈ.
દશે દિશાઓને જાણે ડહોળી નાંખવાની જીદે ન ચડ્યો હોય એમ છાકટો થઈ વરસતો વરસાદ સમગ્ર સૃષ્ટિનો કોળિયો કરતો ન હોય એમ વકર્યો છે એ વાત અહીં કેવી સરસ રીતે લયાંવિત થઈ છે !
Permalink
July 15, 2013 at 2:02 AM by તીર્થેશ · Filed under ગીત, શેખાદમ આબુવાલા
તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.
ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.
શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.
કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.
સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.
– શેખાદમ આબુવાલા
Permalink
July 14, 2013 at 1:19 AM by તીર્થેશ · Filed under ગઝલ, સંજુ વાળા
કોઈ બોલે છે ને કોઈ સાંભળે છે
તે છતાં ક્યાં કોઈને કોઈ મળે છે
છેક મનનાં મૂળમાં જે ઓગળે છે
એજ કૂંપળ જેમ ફૂટી નીકળે છે
સુખનું સામ્રાજ્ય ચાલે પાંસળીમાં
ને પીડાઓ આંગળીથી ઊખળે છે
આમ તો બુઝુર્ગ છે આ શખ્શિયત પણ-
લોહીમાં તો પતંગિયાંઓ સળવળે છે
સ્થિર થઈ બેઠા છે એ આજે પરંતુ
ચોતરફ એના જ દીવા ઝળહળે છે
ઓથમાં છુપાઈ રહ્યાં છે તણખલાંની
આખ્ખુયે બ્રહ્માંડ જેના પગ તળે છે.
-સંજુ વાળા
Permalink
July 13, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઉશનસ્, સોનેટ
(શિખરિણી)
રજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની.
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં.
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશ:
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.
– ઉશનસ્
આપણામાંથી મોટા ભાગના લોકો કવિતાના હૃદયસ્વરૂપની સમજણ અને સમાજમાં વડીલોના મોળા પડી ગયેલા સ્થાનની સમજ સાવ કાચી હોય એવે તબક્કે આ સોનેટ શાળામાં ભણી જ ચૂક્યા હશે પણ એક ઉત્તમ કવિતા તરીકે આજે આપણે એને ફરીથી માણીએ…
બાળવિધવા ફોઈ અને મા-બાપથી બનેલા ગામડાના સૂના ઘરમાં દિવાળીના દીવા ત્યારે જ પ્રકાશે છે જ્યારે બાળકો કુટુંબ-કબીલા સાથે વેકેશન ગાળવા આવે છે પણ સંતાનોને વિદાય આપ્યા બાદ ઓસરીથી ઉંબરાનું અંતર કાપવું કેવું દોહ્યલું થઈ પડે છે !
Permalink
Page 60 of 118« First«...596061...»Last »