ધસમસતું આવ્યું, જો! પૂર…
બારી ઊઘાડતાં જ સુગંધનું ત્સુનામી આવી ચડ્યું ભરપૂર-
બેઉ, રાતરાણી ને હું ચકચૂર!
- વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
October 19, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વજ્ર માતરી
દુઃખ એય સુખ સમાન હતું કોણ માનશે ?
મૃગજળમાં જળનું સ્થાન હતું કોણ માનશે ?
ગમની છે રામબાણ દવા ઘુંટ મદિરા,
એ સંતનું વિધાન હતું કોણ માનશે ?
જીવન ગણીને જેની અમે માવજત કરી,
મૃત્યુનું એ નિદાન હતું કોણ માનશે ?
જે બારણે હું ઊભો હતો અજનબી સમો,
મારું જ એ મકાન હતું કોણ માનશે ?
ડૂબી ગયો તો સઘળા કિનારા મળી ગયા,
મારામાં એનું ધ્યાન હતું કોણ માનશે ?
બદનામીઓ મળી જે મને પ્રેમ કારણે,
વાસ્તવમાં એ જ માન હતું કોણ માનશે ?
કોનું ગજું કે નાવનું સાગરમાં નામ લે !
તોફાન ખુદ સુકાન હતું કોણ માનશે?
લૂંટાઈ બેઠા ‘વજ્ર’ અમે ભરબજારમાં,
મન ખૂબ સાવધાન હતું કોણ માનશે ?
– વજ્ર માતરી
તરહી મુશાયરાના જમાનામાં આપેલી પંક્તિ ઉપર બધા ગઝલકારો ગઝલ લખીને લાવતા. એવા જ કોઈ તરહી મુશાયરામાં કદાચ આ ગઝલ સર્જાઈ હોય… ત્રણેક ગઝલ મને જડી છે… બીજી આપને જડે તો અમને જણાવજો…
મોહતાજ ના કશાનો હતો . કોણ માનશે? – રૂસ્વા https://layastaro.com/?p=432
દુઃખમાં જીવનની ભાળ હતી, કોણ માનશે? -શૂન્ય પાલનપુરી https://layastaro.com/?p=466
તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે – મરીઝ http://maagurjari.com/2012/07/25
Permalink
October 18, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શશિકાન્ત ભટ્ટ 'શૈશવ'
સતત એષણાઓનું રણ વિસ્તરે છે,
મને કોઈ મૃગજળ બની છેતરે છે.
હરણ-ફાળ મંઝિલ તરફ હું ભરું છું,
ને મારો જ રસ્તો મને આંતરે છે.
હથેળીમાં વિસ્તાર રેતીનો કાયમ,
હથેળીમાં ઇચ્છાનાં હરણાં મરે છે.
નસીબે ફકત ઝાંઝવાં છે લખાયાં,
છતાં પ્યાસ મારી બધે કરગરે છે.
નજર સામે ધુમ્મસ ને ધુમ્મસની પાછળ,
નગર સ્વપ્ન કેરું યુગોથી સરે છે.
– શશિકાન્ત ભટ્ટ ‘શૈશવ’
આ કવિના નામની અડફેટે હું તો પહેલી જ વાર ચડ્યો પણ ગઝલ વાંચતા જ આહ નીકળી ગઈ. કયા શેરને વધુ ગમાડવો એ પ્રાણપ્રશ્ન થઈ રહે છે…
Permalink
October 17, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનસુખ વાઘેલા
હજીય ઈવ ને આદમના હોઠ ભૂખ્યા છે,
ને સર્પ વાત કરે છે હજીય ફળ વિશે !
થયા છે ખત્મ હવે નાભિ કેરા કિસ્સાઓ,
બધા જ વાત કરે છે હવે કમળ વિશે !
ચરણમાં તીર લઈ શ્યામ ઘૂમતા આજે,
કદાચ ગોપીઓ કહે આ લીલા-છળ વિશે !
ફરીથી પૃથ્વી આ ફાટે તો જાનકી નીકળે ?
છતાં છે રામને ચિંતા હવે અકળ વિશે !
બચાવી શામાંથી લીધી મનુએ હોડી આ ?
હલેસાં પૂછતાં થયાં છે હવે જળ વિશે !
હવેથી દંતકથાઓનું નામ ‘મનસુખ’ છે,
હરેક સ્થળ મને ચર્ચે હરેક પળ વિશે !
– મનસુખ વાઘેલા
‘પ્રિયજન સાથેની ગુફ્તેગૂ ‘થી શરૂ થઈ ગઝલની યાત્રા કોઈપણ પ્રકારની કવિતાના સાહજિક ગુણધર્મને અનુસરતી સમષ્ટિ સાથે એકરસ થઈ ગઈ… આજે માણીએ એક મિથિકલ ગઝલ… બધા જ પાત્રો અને વાત સ્વયંસ્પષ્ટ છે… જો કે એક વાત જે આ મત્લા વિનાની ગઝલમાં મને સમજાઈ નહીં તે ઈવ અને આદમની વાત… બધાજ પુરાકલ્પન હિંદુ પુરાણમાંથી લીધા છે તો આ એક ખ્રિસ્તી ધર્મમાંથી કેમ ?
Permalink
October 16, 2013 at 2:21 AM by વિવેક · Filed under ઈન્ટરનેટ પર ગુજરાતી, પ્રકીર્ણ, બ્લોગજગત, સાહિત્ય સમાચાર

ઓન-લાઇન ગુજરાતી ભાષાની એકલહથ્થુ ક્રાંતિસર્જક મશાલ અચાનક ઓલવાઈ ગઈ… ઓલવાઈ ગઈ? ના… આ મશાલ તો જ્યાં સુધી ગુજરાતી ભાષી જીવે છે ત્યાં સુધી ઝળહળતી રહેશે…
રતિલાલ ચંદેરિયા…. ગુજરાતી નેટ-જગતનું એક અદકેરું નામ…
- વિજયાદશમીના દિવસે જન્મ… વિજયાદશમીના દિવસે જ નિર્વાણ… (૨૪/૧૦/૧૯૨૨- ૧૩/૧૦/૨૦૧૩)
- ગુજરાતી લેક્સિકોન.કોમ – ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય આપ્યો અને સર્જાયું ગુજરાતીલેક્સિકોન’- ગુજરાતી કોશને હાથ ન અડાડનાર ગુજરાતી, હવે રોજના દસ હજારની સંખ્યામાં આ વેબસાઈટની મુલાકાત લે છે અને તે જ એનું સાર્થક્ય સિદ્ધ કરે છે. સ્પેલ ચેકર, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, અને છેલ્લે છેલ્લે અદભુત કહી શકાય એવું લેક્સિકોનનું મોબાઇલ એપ્લિકેશન
- ઓનલાઇન ભગ્વદ્ગોમંડલના આદ્ય પ્રણેતા. દસ હજારની કિંમતના અને તમારા ઓરડામાં ત્રણ ફૂટ બાય સવા ફૂટની તોતિંગ જગ્યા રોકી લેનાર ગુજરાતીભાષાના ઐતિહાસિક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલનું ડિજિટાઇઝેશન- કમ્પ્યૂટરની એક ક્લિક પર આખો મહાસાગર અને એ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક !
- ‘ઉંઝાજોડણી’ના ખુલ્લા સમર્થક હોવા છતાં સાર્થ જોડણીના બબ્બે ખજાના આપણા માટે ઉલેચી આપનાર.
- જાણીતા ઉદ્યોગવીર અને દાનવીર
- વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય છેલ્લાં ૬૫ વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ
- જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત,
જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા
આખી જિંદગી વિદેશમાં વિતાવવા છતાં પણ સવાયા ગુજરાતી સિદ્ધ થનાર ઓન-લાઇન ગુજરાતી જ્યોતિર્ધર રતિકાકાને ટીમ લયસ્તરો તરફથી શત શત કોટિ સલામ !
*
(સંદર્ભ-માહિતી માટે શ્રી ઉત્તમ ગજ્જરનો આભાર )
Permalink
October 14, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જિગર જોષી 'પ્રેમ'
તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ ?
હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં
હાથોમાં લજ્જાની મહેંદી મૂકી‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ ?
તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ ?
Permalink
October 13, 2013 at 2:41 AM by તીર્થેશ · Filed under ગઝલ, સૌમ્ય જોશી
વર્ષો પછીથી આજ પાછી શાયરી કહેવાઇ ગઇ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઇ ગઇ.
તીવ્રતા બુઠ્ઠી થઇ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઇ ગઇ.
એ જ કિસ્સો, એ જ લોકો એ જ અધૂરા સ્વપ્ન બે,
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઇ ગઇ.
શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું,
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબિ ખેંચાઇ ગઇ.
આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું ?
એક નદી મારા સુઘી આવી અને ફંટાઇ ગઇ.
-સૌમ્ય જોશી
Permalink
October 12, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
તારી લાગણીનાં કેમ કરું મૂલ ?
માળાનાં મણકાથી માધવને માપવાનું મનને ના થાતું કબૂલ…
વરસોનાં તાપ કંઈ, મનનાં ઉત્પાત કંઈ,
જોતા’તાં છાંયડીની વાટ;
સદીઓ પીગાળી તંઈ આવી છે હાથ આજ
ચંદ પળની આ મુલાકાત.
ભીતરનો ગોરંભો ભીતરમાં રોકું તોય આંખડીથી છલકે છે ભૂલ
તું કેમ કરી કરશે કબૂલ?
રાધા ને મીરાંની રાહ અને ચાહ નથી
આવડા આ હૈયામાં થોડી,
પાંચાલી જેમ તોય સાદ કીધો જ્યારે સખા !
આવી ઊભો તું દોડીદોડી
નેહની આ ગાંઠ જાણે યુગ યુગની ડાળ પરે મઘમઘતું માલતીનું ફૂલ..
મારે કરવાનું કેમનું કબૂલ ?
ખાલીખમ હાથ જોઈ પૂછે છે લોક –
નથી તાંદુલ લાવી કે નથી બોર;
કેમ રે દેખાડું ખોલી દ્વાર મરજાદના
હાથ મહીં ચીતર્યો જે મોર ?
મનડું તો એમ ક્યે, મેલી દે લાજ-બાજ, સંઈજી સંગાથ ઘડી ઝૂલ…
આજે તો સઘળું કબૂલ…
-નેહા પુરોહિત
સ્ત્રીઓના મનોજગતમાં ડોકિયું એ હંમેશા કવિતાનો પ્રિય વિષય રહ્યો છે. અને સ્ત્રી પોતે જ્યારે પોતાના અંતરમાં ડૂબકી મારી સમવેદનાના મોતી ગોતી લાવે ત્યારે કવિતાનો રંગ કંઈ ઓર જ ઓપી ઊઠે છે. એક અભિસારિકા જ્યારે ગોપીભાવે એના મનના માધવની મુલાકાતે નીકળે છે ત્યારે એ શું શું વિચારતી હશે ! પોતાની અહર્નિશ પ્રતીક્ષા, પોતાનું માત્ર અદના માનવી તરીકેનું મૂલ્ય, વખતે-કવખતે પરોક્ષ હાજરીથી પણ સતત મદદ કરનાર માધવની કદર અને ભીતર ગમે એટલું ભર્યું પડ્યું કેમ ન હોય, લોકલાજે ખાલી હાથે મિલનની ક્ષણોની નજીક સરવું – કવયિત્રીએ કેવી કમનીય પદાવલિથી સઘળું આકાર્યું છે !
ધ્રુવ પંક્તિના અંતે ‘મૂલ’ થી શરૂ થતો ‘મ’કાર (alliteration) પછીની પંક્તિમાં માળા-મણકા-માધવ-માપવા-મન એમ સતત પાંચવાર સુધી રણકાય છે એ ગીતને કેવો વિશિષ્ટ ઉઠાવ આપે છે !
Permalink
October 11, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
છીપ-મોતીની કણસ, મેં સાચવી છે !
બંધ મુઠ્ઠીની જણસ, મેં સાચવી છે !
ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા..પણ,
સાત દરિયાની તરસ, મેં સાચવી છે !
ફૂલ, કૂંપળ, પાંદડા..તેં સાચવ્યા, ને –
પાનખર વરસો-વરસ, મેં સાચવી છે !
લાલ-પીળા રંગ ઘોળી ને..નજરમાં,
સાંજની પીડા સરસ, મેં સાચવી છે !
આ કલમ, કાગળ અને એકાંત જેવી
બસ, અમાનત આઠ-દસ, મેં સાચવી છે !
– લક્ષ્મી ડોબરિયા
આ ગઝલ વાંચો અને ભીતર સાચવી રાખેલી “વાહ” અનાયાસ સરી ન પડે તો જ નવાઈ… બધા જ શેર અદભુત! મત્લા અને મક્તા તો ભઈ, તોબા !
Permalink
October 10, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી
અમે તો આંખમાં વરસાદના વાદળ ભરી બેઠાં,
અચાનક સ્નેહના આવેશમાં આ શું કરી બેઠાં ?
સવારે સૂર્યને થોડો અમે અસ્વસ્થ જોયો’તો,
અહીં તેથી જ તો આકાશને દીવો ધરી બેઠાં !
હજી ઝાકળના કૂણાં સ્પંદને ઝળકી રહ્યાં’તાં જે,
પ્રખર તડકાના તીખા તેજમાં ફૂલો ખરી બેઠાં !
તમારી ખાસિયત છે કે તમે મરજી મુજબ જીવો,
અમે મરજીથી મળતાં મોત માટે કરગરી બેઠાં !
કદી જ્વાળામુખી જેવી બળતરા ભીતરે ઊઠી,
અને પાંપણ ઉપર બે આંસુ આવીને ઠરી બેઠાં !
– દિવ્યા રાજેશ મોદી
કવિ અને કવયિત્રી, પુરુષ અને સ્ત્રી – આ બંનેના ઊર્મિજગતમાં જમીન-આસમાનનો ફરક હોવાનો જ. સ્ત્રીની સંવેદના કેટલી સૂક્ષ્મ હોઈ શકે એ જોવું હોય તો આ ગઝલના બીજા અને છેલ્લા શેર પર નજર નાંખો. સૃષ્ટિ આખીના કેન્દ્રબિંદુ સમો સૂર્ય જરા જેટલો વ્યાકુળ લાગે એવામાં દીવો ઓફર કરી બેસે એ માત્ર સ્ત્રી જ હોઈ શકે. કૃષ્ણની ટચલી આંગળી અને ગોવાળિયાની લાકડીઓના ટેકા યાદ આવી જાય. છેલ્લો શેર પણ એક સ્ત્રીના ચિત્તતંત્રમાંથી જ સંભવી શકે…. સૂર્ય અને દીવાની જેમ અહીં જ્વાળામુખી અને બે બુંદ આંસુ બ-ખૂબી juxtapose કરવામાં આવ્યાં છે !
Permalink
October 7, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
ચકલીએ ચાંચ મારીને ફોટો પડી ગયો,
દીવાલ પરથી આખો કબીલો પડી ગયો !
વરસાદમાંય આવીને તેઓ મળી ગયાં,
આંગણમાં થોડો સોનેરી તડકો પડી ગયો.
સંવાદ યાદ નહોતા ને મહોરાં જડ્યાં નહીં,
સારું થયું કે મંચ પર પરદો પડી ગયો.
એને તો ફૂટવાની હતી ટેવ તે છતાં,
અદ્ક્યું પીંછું ને કાચ પર ગોબો પડી ગયો.
લૂંટી ગયું’તું કોઈ ફક્ત લાગણી છતાં,
શ્વાસોના આખા શહેરમાં સોપો પડી ગયો !
ભારે પડી ગઈ બહુ સૂરજની દોસ્તી,
પડછાયો અંધકારમાં ખુલ્લો પડી ગયો.
જીવન સમા જીવનની કશી ના રહી વિસાત,
સોદો કર્યો જે મોતથી, મોંઘો પડી ગયો.
– ભગવતીકુમાર શર્મા
Permalink
October 6, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હેમેન શાહ
કાગળની એક બાજુ લખવું,
બીજી રાખવી કોરી.
અહીં ગામની ગલીકૂંચી ત્યાં સાવ અજાણ્યો પ્રાંત,
આ બાજુ છે હળવુંમળવું ત્યાં અદભૂત એકાંત.
અહીંયાં વૃક્ષો,જળ ને પથ્થર, ત્યાં આકાશ બિલોરી.
કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી.
ભીંજાવું, સુકાવું, ક્યારેક ઘાસ બનીને ઊગવું,
લીલું છે શરીર કે મન, ના કંઈ એવું પૂછવું,
પગ માટીમાં ખૂંપ્યા છે પણ હોઠે ઓસ-કટોરી,
કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી.
જળના રૂપે શાંત કદી તો ક્યાંક ફીણાઈ વહેવું,
પથ્થરનો અવતાર મળે તો ક્યાંક છિણાઈ રહેવું.
સુકાયેલું કાષ્ઠ બનો પણ કૂંપળ રાખવી ઓરી.
કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી.
– હેમેન શાહ
આંતરપ્રવાહ અને બાહ્યપ્રવાહની વાત છે…… આપણાં વ્યક્તિત્વ ઉપર વિશ્વ લિસોટાઓ કરતું રહે છે….. કાગળની એક બાજુ ઉપર ભલે તે કરતું રહે, એક બાજુ કોરી રહેવી જોઈએ કે જે આંતરપ્રવાહ છે……
Permalink
October 5, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ધીરુ પરીખ
ગોરંભ્યું આકાશ ઝર્યું
અહીં ઝરમર ઝરમર ફોરાં,
ભીંજ્યાં અંગો થોડાં
ને વળી થોડાં રહ્યાં જ કોરાં !
તદપિ ભીતર ભીંજ્યું એવું –
ઉચ્છવાસે ઉચ્છવાસે ફોરી
ભીની માટીની ગંધ,
નસ નસમાં ઊછળ્યાં
નિર્ઝર નિર્બંધ;
ભીતર-ધરણી આખી
લીલંલીલી;
રોમરોમમાં તૃણશ્રી ખીલી.
તરડાએલું હતું વિસ્તર્યું
ચારે પાસ સુકાણ :
આજ અચાનક થોડાં ફોરે
લોઢલોઢનું તાણ !
– ધીરુ પરીખ
ગોરંભે ચડેલું આકાશ ક્યારેક પૂરું ન પણ વરસે ને બસ થોડાં ફોરાં જ પડે… પ્રેમનું પણ આવું જ.. ક્યારેક થોડામાં ઘણું અનુભવાય એવી ઝાઝેરી અનુભૂતિની કટાવ છંદમાં રચાયેલી મજેદાર રચના…
Permalink
October 4, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત યાજ્ઞિક
પાંપણ પર ચોમાસું પહેરી અમે પછી વરસાદે ચાલ્યા
ધસમસ ધસમસ સોળ વરસની થઈ નદી વરસાદે ચાલ્યા
ભીંજાવાનો ભેજ ભયાનક પ્રસરી બેઠો આંખો વચ્ચે
તમે ઉઘાડા નીકળ્યા કોરી લઈ છત્રી વરસાદે ચાલ્યા
કોઈ રુંવાડે વહેવા લાગ્યો મેઘદૂતનો શ્લોક આઠમો
ઘટાટોપ વાદળના ઢગલા હળવે અડી વરસાદે ચાલ્યા
અંગરખું ઝરમર ટીપાનું વાંકી ટોપી મેઘધનુનું,
છેલછબીલા ઘરવાળાના ધણી બની વરસાદે ચાલ્યા
ઉગ્યા અંકુર આંખો વચ્ચે લેલુંબ ખેતર લાગણીઓનું
અંગ-અંગથી લીલું-પીળું વ્હાલ લણી વરસાદે ચાલ્યા
હવે ચલમ, તમાકુ તાણો વરસ થયું છે સોળ આનીનું
માઝમ કાળી ડીબાંગ રાતો મળી-ભળી વરસાદે ચાલ્યા
– ભરત યાજ્ઞિક
ગઈકાલે જ ર.પા.નું ‘વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી’ ગીત મૂક્યું ને આજે સવારે તો સુરતનું આકાશ ગોરંભે ચડ્યું ને સવાર સવારમાં જાણે રાત થઈ ગઈ ને વરસાદ માઝા મૂકીને વરસી પડ્યો. વરસતા વરસાદમાં સાઇકલ ચલાવવાની મજા-મજા આવી ગઈ ને સાથે યાદ આવી ગઈ આ ભીની ભીની ગઝલ…
ગાગાગાગાના લયમાં જાણે વરસાદનું પડવું આંખોને સંભળાય એ રીતે આ ગઝલ ધસમસ ધસમસ વરસે છે… કોરી છત્રી બાજુએ મૂકી આપણે તો બસ, ભીંજાઈએ જ ભીંજાઈએ…
Permalink
October 3, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
કાલ એનું નામ હતું જળવંતી છાંટ
એક જળવંતી છાંટ
આજ એનું નામ સાવ ખાલી ખખડાટ
સાવ ખાલી ખખડાટ
કાલ એનું નામ હશે વાંભવાંભ જક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
કોઈ વાર છે એને આવવાની ટેવ
એને આવવાની ટેવ
કોઈ વાર એને ઝૂરાવવાની ટેવ
છે ઝુરાવવાની ટેવ
નહીં એના વાવડ કે નહીં કોઈ વક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
– રમેશ પારેખ
જે રીતે ઓણસાલ વરસાદ મંડી પડ્યો છે – ક્યારેક સાંબેલાધાર દિવસો સુધી મંડ્યો રે તો ક્યારેક આ ધરતી સાથે કોઈ નિસ્બત જ ન હોય એમ મોઢું ફેરવી સાવ જતો રહે ને વળી અચાનક ધરતી-આભ રસાતાળ કરી જાય – એ જોતાં તો ર.પા.નું આ ગીત યાદ ન આવે તો જ નવાઈ. ગઈકાલે છાંટમાત્ર હતો ને આજે તો વાદળનું પાત્ર બસ ખાલી ખખડાટ કરે છે તો આવતીકાલે વાંભ વાંભ વરસવાનો છે…
(વાંભ = બંને હાથ પહોળા કરવાથી થતું લંબાઈનું માપ; વામ)
Permalink
September 30, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
મેં સિતારાઓની એને વાત કીધી જ્યારથી,
એ મને આકાશ સમજે છે જુઓને ! ત્યારથી.
શુષ્ક નદીઓને જોઇને ડૂમે ચઢેલા
પ્હાડનાં આંસુનો હું તો અંશ છું,
એ મને કહે છે કે હું કો’
રાજવી દરિયાવની ભરતીનો એકલ વંશ છું.
મેં મારા જળપણાની વાત કીધી જ્યારથી,
માછલી બનવાને એ ઊછળી રહ્યા છે ત્યારથી.
ફૂલ થાવાનો કર્યો’તો કાંકરીચાળોય અંતે
ભાગ્યમાં ખોટો પડ્યો,
પથ્થરો મારે ખભે મૂકીને ઊભા હાથ
ને એવી ક્ષણે ફોટો પડ્યો.
મેં પછી પથ્થરપણાની વાત કીધી જ્યારથી,
એ હવે ઈશ્વરપણું શોધી રહ્યા છે ત્યારથી.
– મુકેશ જોષી
એક તાજગીસભર રચના…….
Permalink
September 29, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, નગીનદાસ પારેખ, રવીન્દ્રનાથ ઠાકુર
હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં ,
જેને જે કહેવું હોય તે કહે.
જો તપસ્વિની ન મળે તો હું જરૂર તાપસ નહિ થાઉં.
મેં
કઠિન પ્રતિજ્ઞા કરી છે કે જો બકુલ વન ન મળે,
જો મન જેવું મન જીતવા ન પામું,
તો હું તાપસ નહિ થાઉં ,નહિ થાઉં ,
જો તે તપસ્વિની ન મળે તો.
હું ઘર છોડીને બહાર નહિ જાઉં, હું ઘર નહિ છોડું,
ઉદાસીન સંન્યાસી થઈને બહાર નહિ જાઉં.
જો ઘરની બહાર કોઈ જ વિશ્વને લોભાવનારું હાસ્ય ન હસે.
મધુર વાયુથી ચંચલ એવું નીલાંચલ જો ન ઊડે,
કંકણ અને નૂપુર જો રુમઝુમ ન વાગે,
જો તપસ્વિની ન મળે તો,
હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં ,નહિ થાઉં.
તારા સમ, હું તાપસ નહિ થાઉં.
જો એ તપને જોરે નવીન હૃદયમાં
જો હું નવું વિશ્વ રચી ન શકું,
જો હું વીણાના તાર ઝંકારીને કોઈના મર્મના દ્વાર તોડીને,
કોઈ નવીન આંખનો ઇશારો ન સમજી લઉં,
જો તપસ્વિની ન મળે તો હું તાપસ નહિ થાઉં , નહિ થાઉં.
– રવીન્દ્રનાથ ઠાકુર અનુ-નગીનદાસ પારેખ
…………..ઉનકો ખુદા મિલે, હૈ ખુદા કી જિન્હેં તલાશ; મુઝકો તો બસ ઇક ઝલક મેરે દિલદાર કી મિલે…….. ઈશ્વર પ્રત્યે તો જો અદમ્ય પ્રીત હોય તો હોય, ન હોય તો તેને જાત ઉપર ઠોકી ન બેસાડાય . પ્રેમતત્વમાં શ્રદ્ધા રાખવી ઘટે, કદાચ ઐહિક પ્રેમ જ અલૌકિક પ્રેમ તરફ દોરી જશે ……
Permalink
September 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીત, હરિકૃષ્ણ પાઠક
સરસર સરસર ઝાડ-પાંદડે
ફરફર ઊડે બારીમાં
તડતડ ધડધડ છાજ-છાપરે
સરતરબોળ અટારીમાં.
કાગળની હોડીમાં તરતી
ગલી ગલી કલશોર ભરી
ભીંત અઢેલી ઊભાં ઢોરાં
રુંવે રુંવે રોમાંચ ધરી.
મન વિરહીનાં આકુળ-વ્યાકુળ
હળ્યાં-મળ્યાંનાં છલકે હેત,
સચરાચર સુખ-સાગર છલકે
મલકે સર્જનહાર સમેત.
– હરિકૃષ્ણ પાઠક
ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.
• છંદવિધાન: ત્રીસો સવૈયો – એકી પંક્તિમાં સોળ અને બેકીમાં ચૌદ માત્રા. ગાગાગાગા, ગાલલગાગા, ગાલગાલગા, લગાલગાગાની રેવાલ ચાલ જેવી પ્રવાહી ગતિ વરસાદની રવાની તાદૃશ કરી આપે છે.
• ઓનોમેટોપિઆ: રવાનુકારી શબ્દોના પ્રયોગથી “અવાજ”ને “ચાક્ષુષ” કરવાની કળા. સરસર સરસર ફરફર તડતડ ધડધડ સરતરબોળ – કવિએ આકાશમાંથી મુશળધાર વરસતા વરસાદની ગતિને કેવી આબેહૂબ રીતે ઉપસાવી આપી છે.
• પ્રાસરચના : શરૂઆતની ચાર પંક્તિમાં a-b–a-bની ચુસ્ત પ્રાસરચના પ્રયોજ્યા પછી કવિ માત્ર એકી સંખ્યાની કડીઓને પડતી મૂકી માત્ર બેકી સંખ્યાની કડીઓમાં પ્રાસ યોજે છે, જાણે વચ્ચેના પ્રાસ અનવરત વરસાદમાં ધોવાઈ ન ગયા હોય…
• વર્ણાનુપ્રાસ: સરસર સરસરના ચાર સ અને ચાર ર, ગલી ગલી, છાજ-છાપરે, ભીંતના ભ સાથે ઊભાંનો ભ અને અઢેલીના ઢ સાથે ઢોરાંનો ઢ, રુંવે-રુંવે રોમાંચના ત્રણ ર, હળ્યાં સાથે હેત, સચરાચર સાથે સુખ અને સાગરના સ, સર્જનહાર સાથે સમેતનો સ – વરસાદના ટીપાં એક પછી એક એકસરખા પડતાં હોય એવો ભાસ કવિ કેવો બખૂબી આટલી નાની કવિતામાં એક પછી એક વર્ણાનુપ્રાસ પ્રયોજી ઊભા કરી શક્યા છે !
• પાણીની જેમ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાતો નાદ – ઝાડ-પાંદડે પછીની પંક્તિમાં ઊડે, ભરીના ભ પછીની પંક્તિમાં તરત આવતો ભીંતનો ભ, ઢોરાંના ર ને પકડી શરો થતો આગલી પંક્તિના રુંવે રુંવે નો ર, આકુળ-વ્યાકુળના ‘ળ’નું આગલી પંક્તિના હળ્યાં મળ્યાંમાં ઢોળાવું, છલકે પછી તરત આવતો મલકેનો ઉપાડ- કવિએ વરસાદની ગતિને કેટકેટલી તરેહથી મૂર્ત કરી આપી છે !
Permalink
September 27, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીતિન વડગામા
અનરાધારે વરસે વાદળ,
અંદર થાતું ખળભળ ખળભળ !
ચરણ તમારાં ચાલ્યાં કરશે,
તો જ વધાશે થોડું આગળ.
ગમતાં દ્વારે ઊભા રહેજો,
ખૂલી જાશે સઘળી સાંકળ.
કરશે અજવાળું અજવાળું,
નમણી નમણી એની અટકળ !
ભરખી જાતા સૂરજ સામે,
હસતી રહેતી ઝીણી ઝાકળ !
ધીમે ધીમે ગીત ગવાતું,
કાન દઈને તુંયે સાંભળ.
કાળા અક્ષર સૌ વાંચે છે,
કોણ ઉકેલે કોરો કાગળ ?
– નીતિન વડગામા
વરસાદ માઝા મૂકીને વરસી રહ્યો છે… સુરતમાંથી પૂર ઓસરે છે તો રાજકોટ-જામનગર જળબંબાકાર થાય છે.. એવામાં માણીએ નીતિન વડગામાની આ ભીની ભીની ગઝલ…
Permalink
September 26, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેલ્પર ક્રિસ્ટી
આયનામાં કોઈ ડૂબી જાય તો –
કાચનું આકાશ તૂટી જાય તો –
રાહમાં તો આવવાનાં જંગલો,
ક્યાંક લીલો વાંસ ફૂટી જાય તો…
તો ખજૂરી સાવ લીલી થૈ જશે,
ઝાંઝવાં ભ્રમણાનાં એ પી જાય તો.
નામ તારું ભીંત પર હું કોતરું,
પણ સમયનો હાથ ભૂંસી જાય તો…
બસ, હવે બેસીએ લીલા ઘાસમાં,
માર્ગ વચ્ચે શ્વાસ ખૂટી જાય તો…
શોધતાં અસ્તિત્વ મારું ત્યાં જડે,
શબ્દના પોલાણે કૂજી જાય તો !
– હેલ્પર ક્રિસ્ટી
માત્ર સાડત્રીસ વર્ષની અલ્પ આયુ (૧૯૫૨-૧૯૮૯) ભોગવી અકાળે અસ્ત થઈ ગયેલ સુરતના કવિ હેલ્પર ક્રિસ્ટીની આ ગઝલ જાણે કવિને આવનાર મૃત્યુની એંધાણી ન મળી ગઈ હોય એવો ભાવ લઈ આવી છે… કાચના આકાશનું તૂટવું, સમયના હાથનું ભૂંસવું, માર્ગવચ્ચે શ્વાસનું ખૂટવું અને શબ્દના પોલાણમાં અસ્તિત્વનું ઢબૂરાઈ રહેવું – કેટકેટલા સંકેતો આ એક જ ગઝલમાં!
Permalink
September 23, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under મકરન્દ દવે, સોનેટ
ના, ના, નથી દૂર નથી જ દૂર
જ્યાં વિશ્વ બંધાયું અલક્ષ્ય તાંતણે
તારાગણો સાથ અહીં કણે કણે
સામીપ્યના ઝંકૃત કોઈ સૂર
બજી રહ્યાં નીરવનાં નૂપુર
અગાધ શૂન્યે, વિરહી ક્ષણે ક્ષણે
મળી રહ્યા નિત્ય અદીઠ આપણે
વિયોગ જ્યાં ખંડિત, ચૂર ચૂર.
તો દૂરતા પાસ દરિદ્ર પ્રાણે
ના માગવું કાંઈ, પરંતુ નેહે
ડૂબી જવું અંદર, જ્યાં જુદાઈ
જેવું ન, એકત્વ વિદાયટાણે
બંસી બજાવે નિજ ગૂઢ ગેહે
સદા મિલાપે, સુણ ઓ મિતાઈ !
– મકરંદ દવે
ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ અદભૂત સોનેટ કમળની જેમ ઊઘડે છે…… અલ્પવિરામને બરાબર ધ્યાનમાં રાખીને વાંચવાથી અર્થ અસ્પષ્ટ રહેતો નથી.
Permalink
September 22, 2013 at 2:15 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, હરીન્દ્ર દવે
‘ પ્રેમ મુજ તુજ પરે – ‘
કંઈ અનાદિ સમયથી
ઘણા રૂપમાં
મેં હંમેશા તને આ જ શબ્દો કહ્યા છે.
અને આજ પણ
હર પળે
ગુંજતો એ જ શબ્દધ્વનિ :
‘ પ્રેમ મુજ તુજ પરે .’
પણ કદી આટલા કાળમાં
તું પિછાણી શકી
મર્મ એ વાક્યનો ?
મેંય જયારે કર્યો યત્ન એ સમજવા
ધૂંધળા ધૂંધળા આવરણથી
ઘડી સત્ય ડોકાઈ છૂપી ગયું.
પ્રેમ મુજ
એ મનેય અગોચર કોઈ લાગણી,
જેની તંત્રી પરે
એક મોહક છતાં જેની સ્વરલિપિ છે
શોધવાની હજી,
એ બજે રાગિણી.
હું અનાદિથી એના રહસ્યો મથું જાણવા;
એટલે વિવિધ રૂપે રહું જન્મતો;
તુંય કાં તો મને
એ જ કારણે મળતી રહી હર સમે.
-હરીન્દ્ર દવે
‘ I love you ‘ – આ શબ્દો કદાચ માનવ ઈતિહાસમાં સૌથી વધુ ઉચ્ચારાયા હશે…… જો આપણે એમ નક્કી કરીએ કે જ્યાં સુધી પ્રત્યેક શબ્દ પૂરે પૂરો સમજાય નહીં, દરેક શબ્દનો ગૂઢતમ અર્થ સમજાય નહીં, ત્યાં સુધી એ આપણે ઉચ્ચારીશું નહીં, – તો હું તો ‘ I ‘ શબ્દ જ ન ઉચ્ચારી શકું………
Permalink
September 21, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી

*
હું તને કેમ ચાહવા લાગી ?
દિલને હું એમ પૂછવા લાગી.
જળની વચ્ચે જગા થવા લાગી,
શું નદી સાવ તૂટવા લાગી ?
ટોચ પર સડસડાટ પ્હોંચીને,
આ હવા કેમ હાંફવા લાગી ?
બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.
દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા લાગી.
વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ ‘શ્રી સવા’ લાગી !
સાથ તારો અહીં દુઆ જેવો,
પ્રીત તારી મને દવા લાગી !
– દિવ્યા રાજેશ મોદી
સુરતના પ્રતિભાવંત કવયિત્રી દિવ્યા રાજેશ મોદી એમના પ્રથમ ગઝલસંગ્રહ “સૂર્યના હસ્તાક્ષરો” લઈને આવ્યા છે. ટીમ લયસ્તરો તરફથી એમનું ઉષ્માસભર સ્વાગત છે…
પ્રસ્તુત ગઝલમાં કોઈ એક શેર પર આંગળી મૂકવી એ સૂર્યના હસ્તાક્ષરો કાગળ પર લેવા જેવું વિકટ કામ છે… બધા જ શેર અનવદ્યપણે સંતર્પક થયા છે…
કવયિત્રીને ખૂબ ખૂબ શુભકામનાઓ…
Permalink
September 20, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
અગર માફક નહીં આવે, સરા-જાહેર કહેવાનો
સમય જેવી કુટેવો છે હું એથી બદલો લેવાનો
સતત પથ્થર કનડવાના,
ઝરણ જેવું જો વ્હેવાનો !
મને સ્થળ, કાળ જેવી કોઈ બાબત ક્યાં અસર કરતી ?
પ્રગટ થાવું હશે ત્યારે પ્રગટ થૈને જ રે’વાનો.
સતત વ્યવહાર રાખ્યો છે,
હું માંગું છું, એ દેવાનો.
કોઈની જ્યોત ઠારીને પૂછે જે ફૂંકની વ્યાખ્યા,
એ માણસ-જાત પર કાયમ મને પ્રશ્નાર્થ રે’વાનો.
– જિગર જોષી ‘પ્રેમ’
ખૂબ નાની વયે એક ગઝલ સંગ્રહ ભાગીદારીમાં અને એક સ્વતંત્રપણે આપ્યા પછીના જિગરના આ ત્રીજા સંગ્રહ – “An Endless Topic… અને હું…” (પ્રથમ કાવ્યસંગ્રહ) –નું લયસ્તરો તરફથી હાર્દિક સ્વાગત છે. ખૂબ જ લાં…બી બહેરની ગઝલથી માંડીને ટૂંકી બહેર સુધી કવિએ પોતાનો કસબ દેખાડ્યો છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષાનું યોગ્ય કોક-ટેલ પણ આ સંગ્રહમાં નજરે ચડે છે અને ગીત અને ગદ્યકાવ્યો ઉપરાંત આવી આઝદ ગઝલ પણ. આ આઝાદ ગઝલના ટૂંકી બહેરના બંને શેર સવિશેષ ધ્યાન ખેંચે છે.
કવિને ખૂબ ખૂબ અભિનંદન !
Permalink
September 19, 2013 at 12:03 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
પાંદડે ભેગું કરેલું તેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
આંખને ખૂણે હજીયે ભેજ છે.
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
શબ્દ પોતે ક્યાં સુંવાળી સેજ છે ?
આ ગઝલ લખવાનું કારણ એ જ છે,
એક ખુરશી છે ને સામે મેજ છે.
વાયુંમાં વિશ્વાસનું કારણ હતું –
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.
ખ્યાલ કર પુષ્પો ભરેલી ડાળનો,
એ તને શણગાર તો આપે જ છે.
બેય આંખો સાવ કોરી રાખજે,
રોજ ઝાકળ રાતના આવે જ છે.
હું ય દેખાતો હતો આ દર્પણે,
ઓરડો આ વાત ક્યાં માને જ છે ?
જ્યાં સુધી ‘ઇર્શાદ’ નામે જણ જીવે,
લાગણી પૃથ્વી ઉપર તો છે જ છે.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’
સિદ્ધહસ્ત સર્જક કદી આજીવન જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચિનુ મોદીની આ ગઝલમાં પહેલા ચાર શેરમાં એકનો એક ઉલા મિસરો વપરાયો છે. ગઝલ વાંચીએ ત્યારે પળભર એમ લાગે કે આખી ગઝલ આજ ઢબથી લખાઈ હશે જેમાં ઉલા મિસરો રદીફની જેમ એક જ હોય અને સાની મિસરો કાફિયાની જેમ બદલાતો રહે છે. આ પ્રકારની ગઝલ પણ લોકો લખી ગયા છે.. પણ ચિનુ મોદી આપણી ધારણાને પાંચમા શેરમાં જ જમીનદોસ્ત કરીને ટ્રેડિશન ફૉર્મેટમાં પ્રવેશ કરે છે… પ્રયોગ અને પરંપરાનું મજાનું ફ્યુઝન અનુભવી શકાય છે…
Permalink
September 16, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, સિતાંશુ યશશ્ચંદ્ર
તારે માટે હું એક પહાડ
પથરાળ કેડી ને કેટલીક બીજી તકલીફોવાળો
ઊંચો પણ ઈચ્છે તો ઓળંગી શકાય એવો.
કરાડો પર ખીલા ફટકાવી
મોકાની તરાડો પર પંજા ભરાવી
બે પાંચ જનાવરને કડિયાળી ફટકાવી ઊંચે ચઢતાં તો
કૌવતભર્યાં બને તારાં બાવડાં ને જાંઘ.
એ જ પહાડોનાં વનોમાં
તારા તનને પુષ્ટ કરતાં
ઝૂકેલી ડાળીઓનાં ફળ, ઊંચા મધપૂડાનાં મધ ને વેગીલાં
પણ ન્હોર વિનાનાં પ્રાણીઓનાં માંસ
તારે માટે જ તો છે.
ને પછી નિરાંતના રાતવાસો કરવા સાફ અણધારેલી ગુફા.
ને ફરી પરોઢે કરડી કરાડો
પહાડ ચઢી, ઓળખી, ઊતરી, ઓળંગી આગળ વધે તું
પુષ્ટ અને પહોંચેલો,
સુવાંગ તારી માલિકીની બનવાની છે એ આઘેની જમીંમાં,
ત્યારે,
પાછળ,
ટાઢા ધુમ્મસની ધીમે ધીમે ઢંકાતી જતી
અને વધતા જતા અંતરને કારણે જાણે સતત સંકોચાતી જતી,
ગિરિમાળાને
જરી અડકજે અટક્યા વિના
સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી……
– સિતાંશુ યશશ્ચંદ્ર
કાવ્યનું શીર્ષક કાવ્યને ખોલી આપતી કૂંચી છે. પહેલાં જે પિતા પુત્રને પહાડ જેવો લાગતો, તે સમય જતાં ધીમે ધીમે સંકોચાતી જતી, પાછળ રહી જતી ગિરિમાળાનો એક અંશ સમ ભાસે છે. એક સૂક્ષ્મ વેદના ઊઠે છે ગર્વિત/વ્યથિત પિતાને હૈયે અને કહે છે -‘ જરી અડકજે અટક્યા વિના , સૂરજ-હૂંફાળી તારી સોનેરી નજરથી…… ‘ – અને સમયનું ચક્ર ફરતું રહેશે…..એ પુત્ર પણ કદીક પિતા બનશે ……
Permalink
September 15, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under રમેશ પારેખ, સોનેટ
બાપુના ગઢમાં બધી જણસ છે, બે વાતની ખોટ છે
પહેલું તો કે’ યુદ્ધ થાય નહીં, બીજું ફાટલો કોટ છે .
શિરોહી તલવારનું લટકવું વર્ષોજૂનું ખીંટીએ
ને ફાટ્યો છે કોટ કાળબળથી આડીઊભી લીંટીએ
બાપુ કહેતા : ‘ નોતરાં દઈ દઉં દેમાર બારોટને
શત્રુ મારું – એમ આજ બખિયા મારી દઉં કોટને ‘
દોરાસોતી સોયથી પલકમાં દારુણ હલ્લો કર્યો
ને બાપુએ કોટને કસબથી કાતિલ ટેભો ભર્યો
ત્યાં તો ‘ લોહી ‘ એમ ચીસ સહસા પાડી ઊઠી આંગળી
ને બાપુના ટેરવે રગતની શેડ્યું ફૂટી નીકળી
‘ખમ્મા, ખમ્મા બાપ…….’ એમ કહી બાપુ કરે હાકલા
ખીંટીથી તલવારને લઈ કરે લોહી વડે ચાંદલા
થાતું બાપુને : બહુ શુકનવંતો આપણો કોટ છે
કિંતુ એક જ ખોટ, આજ અહીં ના એક્કેય બારોટ છે…
-રમેશ પારેખ
Permalink
September 14, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નીલેશ રાણા
આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
. તોય મને દેખાતું બધું આરપાર.
સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
. ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
. વ્હાલમનું વૃંદાવન ફળિયું.
મારા હોવાની ભાવના સંભાવનાથી
. આપું નિરાકારને હુંયે આકાર.
વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
. ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
. ત્યાં યમુનાનાં વ્હેણ વંકાય.
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
. હવે જોઈએ નહીં કોઈનો આધાર.
– નીલેશ રાણા
પ્રતીક્ષાની ઘડીઓમાં આંખ ભલે ઝળઝળિયાંના ધુમ્મસથી ઘેરાઈ કેમ ન ગઈ હોય, જળ-સ્થળ એકાકાર થઈ ઓગળી કેમ ન જાય, પ્રિયતમ, પ્રણય અને જીવનની પળપળના તળિયાં સાફ સાફ નજરે ચડતાં હોય છે… કલ્પનાનો આકાર પ્રતીક્ષાની ઘડીઓમાં એવો સાચુકલો લાગે છે કે એની બાંહોમાં ગોપી પોતાને ભીંસાતી ને ભૂંસાતી અનુભવે છે…
Permalink
September 13, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કરસનદાસ માણેક, ગીત
હું, માશૂક, બદલતો રહું છું !
એક જ રૂપ સદૈવ નિહાળી
રખે જાય હુંથી કંટાળી
એ બીકે તરફડતો રહું છું !
હું, માશૂક, બદલતો રહું છું !
. કદી વૈરાગી, કદી વિલાસી,
. કદી વૈભવરત, કદી ઉપવાસી,
. કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી,
. કદી અત્યાગ્રહી, કદી ઉદાસી,
. કદી અધૂરો, કદી છલતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
. કદી મિલનમાં પણ રહું ઠાલો,
. કદી વિરહમાં પણ મતવાલો,
. કદી ગંભીર, કદી અતિ કાલો,
. કદી સુક્કો, કદી લહેરી લાલો,
. કદી ટાઢો, કદી જલતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
. હું ચાંદો, સખિ, તું મુજ ધરતી,
. વધુઘટું રંગ તારો વરતી :
. આરતી બનીને તારા ફરતી
. પ્રદક્ષિણા પ્રીતિ મુજ કરતી !
. તૃપ્ત તોય ટળવળતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
– કરસનદાસ માણેક
Variety is the essence of life… અહીં માશૂક એટલે ઇશ્વર એ તો તરત જ સમજાઈ જાય છે પણ આપણી ભાષામાં અલ્પવિરામનું મહત્વ કેટલું છે એ પણ જોવા જેવું છે… અહીં વાત રોજ-રોજ માશૂકને બદલવાની નથી પણ પોતાનું એકનું એક રૂપ જોઈને માશૂક કંટાળી-ધરાઈ ન જાય એ માટે જાતને બદલવાની છે. પણ અલ્પવિરામ ચૂકી જવાય તો અર્થનો અનર્થ થઈ શકે… જો કે ઘણાંને રોજ-રોજ માશૂક બદલવાનો ઓપ્શન વધુ પસંદ આવ્યો હશે !!
Permalink
September 12, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
ક્યારનો ચિંતા કરે છે કાલની !
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.
આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની !
રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની !
રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.
આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?
– ભાવેશ ભટ્ટ
છે જરૂરત કોઈ પણ ટિપ્પણીની? સાદ્યંત સુંદર મનનીય ગઝલ…
Permalink
September 9, 2013 at 2:47 AM by તીર્થેશ · Filed under અછાંદસ, જગદીપ સ્માર્ત
અનંત અક્ષાંશથી શૂન્ય રેખાંશ તરફ
ગતિ કરતા સૂર્યને ડૂબી જવા દે…….
પછી ફાનસના અજવાળામાં
કૃષ્ણપક્ષી અંધારી રાતે,
અગાશીમાં
આપણે કઠેરો બનીને ઊભા રહીશું.
તે જ વખતે મકાની ભીંતમાંથી,
એક પીપળાનું પાન
ચોક્કસ બહાર આવશે જ.
જેને વાંચીશું આપણે બન્ને મળીને એક જ આંખે.
ક્યાંક તારી કે મારી
સંવેદનાઓથી વંચિત
એ પીળું પડીને બાવળ બની જાય,
તે પહેલાં-
ચાલ,
એને કર્ણિકાર બનાવી કાનમાં પહેરી લઈએ.
– જગદીપ સ્માર્ત
પીંછીથી કવિતા લખતા આ વિરાટ વ્યક્તિત્વએ કદીમદી પેન પણ ચલાવી છે. સુરતના સપૂત એવા આ ચિત્રકારે અકાળે ચિરવિદાય લીધી તે પહેલા મારા સદભાગ્યે મને તેમની સાથે બે વખત થોડો સમય સાથે ગાળવાનો લ્હાવો મળ્યો હતો. નખશિખ સરળતાની મૂર્તિ એવા જગદીપભાઈના વ્યક્તિત્વમાંથી છલકાતી કરુણા એટલી ટૂંકી મુલાકાતોમાં પણ અનુભવી શકાઈ હતી. એક મિત્રએ અનાયાસે જ આ કવિતા મોકલી અને આ કવિતામાં છલકાતું તેમનું વ્યક્તિત્વ તેઓની સર્વતોમુખી ઊંડી કલાસૂઝનો આછેરો ખ્યાલ આપે છે.
Permalink
September 8, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, મરીઝ
જયારે હૃદયમાં કોઈ કશો ગમ નહીં રહે,
મારો સ્વભાવ આવો મુલાયમ નહીં રહે.
નિર્ભર પ્રસંગો પર છે જીવનભરનો કારભાર,
સુખની શી વાત ? દુઃખ અહીં કાયમ નહીં રહે.
બાકી રહે જો બાગ તો છે પાનખર કબૂલ,
એમાં ભલે વસંતની મોસમ નહીં રહે.
એ બ્હાને એની સાથ કરી લઉં છું વાતચીત,
છો નાકબૂલ થાય, અરજ કમ નહીં રહે.
ન ઘડ તું વર્તમાનને ભાવિના આશરે,
આજે છે જેવી કાલે એ આલમ નહીં રહે.
એ જાણતા નથી, બહુ મોડું થઇ ચૂક્યું,
એ આવશે ‘મરીઝ’ અહીં દમ નહીં રહે.
-મરીઝ
Permalink
September 7, 2013 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
મોસમ સરસ છે, કોણ કહે છે સરસ નથી,
પણ એનો શો ઈલાજ કે આજે તરસ નથી !
વસ્તીય હોવી જોઈએ થોડીક ઘર વિશે,
ઘર વાસ્તે આ ચાર દીવાલો જ બસ નથી.
મળવું અવશ્ય આપણે વિશ્વાસ છે મને,
ખૂબ જ નિકટ છે, દૂર બહુ એ દિવસ નથી.
પામી શક્યું છે કોણ ભલા દિલની ચાલને,
પકડી શકાય હાથેથી આ એવી નસ નથી.
‘ઘાયલ’ સુકાળમાં જ છે મરવા તણી મઝા
મરવું જ છે તો આ બહુ માઠું વરસ નથી.
– અમૃત ઘાયલ
આમ તો બધા જ શેર મજાના છે પણ મારું મન તો પહેલા શેરથી આગળ જવા જ કરતું નથી. સૌંદર્ય ભલે ને beyond doubt ગમે એટલું મનોહર કેમ ન હોય, પણ ભીતર તરસ જ ન હોય તો શો અર્થ ? ફરી ફરીને આ શેર વાંચું છું અને ફરી ફરીને હું એના પર મોહી પડું છું…
Permalink
September 6, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુરેન્દ્ર કડિયા
ન એકો, ન દ્વિતીયમ્, ન તૃતીયમ્-ચતુર્થમ્
ગહન ગેબ ગુંજે ગઝલ-વેદ પંચમ
શબદ-મોક્ષ, તર્પણ-વિધિ કેમ કરીએ !
અગોચર એ નદીઓ, અગોચર એ સંગમ
વિચારો છે કેવળ વિચરતાં સ્વરૂપો
પછી હોય ઉત્તમ, કનિષ્ઠમ્ કે મધ્યમ્
હથેળીમાં આકાશ મૂકી બતાવ્યું
છતાં લોક પૂછે છે સ્થાવર કે જંગમ
અમે એક મધપૂડો બાંધ્યો છે પગમાં
શું ગચ્છામિ શરણં, શું ગચ્છામિ ધમ્મમ્
– સુરેન્દ્ર કડિયા
ગઝલને પાંચમો વેદ પ્રસ્થાપિત કર્યા પછી પણ શબ્દના હાથે મોક્ષ કેમ પામવો એ તો અગોચર જ રહે છે. જરા નોખા મિજાજની મજાની ગઝલ પણ મને છેલ્લા બે શેર સવિશેષ સ્પર્શી ગયા. ચોથા શેરમાં મટિરિયાલિસ્ટિક જમાનાની માનસિકતા અને છેલ્લા શેરમાં ચંચળ જાતને આકાશકુસુમવત્ શાંતિની વાત કેવી ઉપસી આવી છે!
Permalink
September 4, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, જયશ્રી ભક્ત
હવે થાકી ગઈ છું
તારી સાથે લડીને..
જાત સાથે લડીને..
નથી જીતવું
હથિયાર હેઠાં મૂકી દેવા છે
કંઈ જ સાબિત નથી કરવું
કંઈ જ નથી જોઈતું…
કંઈ જ નહીં… હા… હા, કંઈ જ નહીં
બસ, આ મેદાન છોડી દેવું છે!
પણ,
અભિમન્યુ
અને
મારી સમસ્યા
એક જ છે…
– જયશ્રી ભક્ત
સાચી અને સારી કવિતા હંમેશા બહુ ઓછા અને બહુ સરળ શબ્દો પહેરીને આવે છે. “સમસ્યા” નામના ઉંબરા પર પગ મૂકીને આપણે આ કવિતાના ઘરમાં પ્રવેશીએ છીએ એટલે આપણે તૈયાર છીએ કે કોઈક ઘેરા રંગ સાથે આપણો ભેટો થનાર છે પણ એ રંગ કેટલો ઘેરો ને ઘાટો હોઈ શકે એ તો કવિતામાં પ્રવેશ્યા પછી જ ખબર પડે.
કવિતાનો ઉપાડ ‘હવે’થી થાય છે. આ એક જ શબ્દમાં અત્યારપર્યંતની તમામ નિષ્ફળ કોશિશોનો નિચોડ આવી જાય છે. પ્રથમ પંક્તિથી સાબિત થઈ જાય છે કે આ એક ‘હવે’ થાકેલી સ્ત્રીની એકોક્તિ છે. તારી સાથે લડીને… જાત સાથે લડીને… અહીં કવયિત્રી ક્યાંય “હું’ આવવા દેતા નથી એ વાતની સમજણની ક્ષિતિજ પર “તારી” અને “જાત” એકાકાર થઈ જતા અનુભવાય છે. પછીની પંક્તિઓમાં જિંદગીનો થાક, હાર અને નિરાશા સતત દ્વિગુણિત થતા રહે છે. નાની અમથી કવિતાની પાંચ પંક્તિમાં ચાર-ચાર વાર પુનરુક્તિ પામતા ‘કંઈ જ’ની ધાર આપણા અહેસાસને આરપાર ચીરી નાંખે છે… હજી સુધી કવયિત્રીનો હું કવિતાથી દૂરનો દૂર જ રહ્યો છે જેનો પ્રવેશ આખી કવિતામાં છેલ્લેથી બીજી પંક્તિમાં માત્ર એકવાર થાય છે.
કવિતાના ભાગ પાડી નાંખતી ખાલી જગ્યાઓ પણ ખૂબ બોલકી લાગે છે. જે વાત કવયિત્રી શબ્દોમાં નથી કરતાં એ “બિટ્વિન ધ લાઇન્સ” વંચાતું રહે છે. કવયિત્રીનો આ વિશેષ એમની અગાઉની રચનામાં પણ નજરે ચડે છે.
સમસ્યા કઈ છે એ તો આપણે સહુ જાણીએ જ છીએ… મારે તો કવિતાની technical achievement વિશે જ વાત કરવી હતી… હું તો આને ચૌદ પંક્તિનું મુક્ત-સૉનેટ કહેવા લલચાઈ રહ્યો છું.
અને હા, ટહુકો.કોમની સફળ સંચાલિકા જયશ્રીને આજે જન્મદિવસની વધાઈ આપવાનું તે કેમ ભૂલાય? જન્મદિન મુબારક હો, જયશ્રી !
Permalink
September 2, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
મારાથી દૂર હું જ મને ભાળતો હતો,
રણમાં રહીને વીરડો હું ગાળતો હતો !
આવું ઉખાણું કોઈએ શું સાંભળ્યું હશે ?
મારી જ રાખથી મને અજવાળતો હતો !
પાગલપણાની વાત કંઈ એવી બની ગઈ,
હું જાગતો જ હતો ને મને ઢંઢોળતો હતો !
ખોવા સમું તો મારી કને શું બીજું હતું ?
મારામાં રોજ હું જ મને ખોળતો હતો !
બળતો સૂરજ તો આખો નદીમાં પડીને ન્હાય,
કાંઠે રહીને હું તો ચરણ બોલતો હતો !
કંઈ કેટલીય વાર હું પાષણ થઇ ગયો,
ભીની ક્ષણોમાં તોય મને ઢોળતો હતો !
બરડાની ખોટ એથી નથી સાલતી ‘અનિલ’
અસ્તિત્વની પિછાન સમો સોળ તો હતો !
-રતિલાલ ‘અનિલ’
Permalink
September 1, 2013 at 1:14 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, રિલ્કે, હરીન્દ્ર દવે
મમ નિર્વાણ પછી, કરુણામય ! ક્યાં ઠરશો ?
આ પત્ર થશે ખંડિત, કે જળ શોષાઈ જશે
તો શું કરશો ?
હું તવ જરકસી જામો,હું તવ વાહન,
મારી હસ્તી અશેષ તમારો અર્થ કશો !
મુજ વિણ બેઘર ક્યાંય પરોણાગત નહીં પામો !
હું ચરણોની મખમલ ચાખડી, નહિ હોઉં તો
શ્રમિત પાય લઈ અડવાણા ક્યાં અથડાશો ?
એક સમે મમ ગાલ પરે ઠરતી દ્રષ્ટિ
જે સાંત્વન મેળવતી,
એ હિમખડકોમાં વિલય પામતા
સાંધ્યરંગ શી મૂરઝાશે……
હું કંપી રહું ભયથી, કરુણામય, શું થાશે ?
– રેઇનર મારિયા રિલ્કે – અનુ- હરીન્દ્ર દવે
જો કવિનું નામ ન લખ્યું હોય તો નખશિખ ભારતીય વિચારધારાનું જ કાવ્ય લાગે …..મહાકવિ ઈકબાલે પણ ખોંખારો ખાઈને અલ્લાહને કીધું હતું – જો હું નથી, તો તું ક્યાં થી ???
Permalink
August 31, 2013 at 1:44 AM by વિવેક · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'
સત્ય પણ ક્યારેક કડવું જોઇએ,
જાતની સાથે ઝઘડવું જોઇએ !
બ્હારના સમરાંગણોની વાત શી ?
ભીતરે કે લમણે લડવું જોઇએ !
એ રહ્યો ઈશ્વર, ખપે એને અરૂપ;
માનવી છું, મારે ઘડવું જોઇએ !
આમ આવ્યા ને ફકત ચાલ્યા જવું,
રાહ છે તો કૈંક નડવું જોઇએ !
આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યું તે અડવું જોઇએ !
કૈંક તો અસ્તિત્વનું એંધાણ હો !
ખાલીપાએ પણ ખખડવું જોઇએ !
પ્રેમમાં ઔંદાર્ય તો હોવું ઘટે!
આળ જેવું કૈંક ચડવું જોઇએ !
સૂર્યની ક્યારેક તો ઝાંખી હશે,
ભીના ભીના રહી શું સડવું જોઇએ ?
ધૂળધોયાનું મળ્યું જીવન ‘અનિલ’,
એય તક છે, કૈંક જડવું જોઇએ !
– રતિલાલ ‘અનિલ’
એક નજર માંડીને આગળ ચાલ્યા જવા જેવી ગઝલ નથી આ. જરા ખમો. બધા શેર ફરી વાર વાંચો અને તરત જ ભીતર કંઈક અનોખી અનુભૂતિ થશે. “સહલે-મુમતના” અર્થાત્ “સરળ દોહ્યલું” કહી શકાય એવી ગઝલ… એક-એક શેરની પરત ખોલો અને એક-એક શેર વધુ સમજાશે… નીતર્યું રૂપ, ખખડતો ખાલીપો અને ધૂળધોયાનું જીવન તો અદભુત !
Permalink
August 30, 2013 at 1:24 AM by વિવેક · Filed under ગઝલ, રતિલાલ 'અનિલ'

(રતિલાલ અનિલ: ૨૩-૦૨-૧૯૧૯ થી ૨૯-૦૮-૨૦૧૩)
*
રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. સુરતના જૈફ શાયર. ફક્ત બીજા ધોરણ સુધીનો જ અભ્યાસ. ચાંદરણા અને મરકલાં માટે બહુખ્યાત. ‘આટાનો સૂરજ’ માટે ભારતીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. ૯૪ની ઊંમરે પણ માઇક પર આવે તો નવયુવાનને શરમાવે એવા બળકટ અવાજે સુરતી ક્ષત્રિય લહેકાવાળી બાનીમાં નકરી યાદદાસ્તના આધારે એક કલાક સુધી પોતાની રચનાઓ સંભળાવી શકે એવી ક્ષમતા…
૯૪ વર્ષની ઉંમરે ગઈકાલે એમનું નિધન થયું… લયસ્તરો ટીમ તરફથી એમના આત્માની સદગતિ માટે શાંતિપ્રાર્થના !
*
શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે , ક્યાંક સાધુ થાય છે રસ્તો .
અહીંથી સાવ સીધો ને સીધો આ જાય છે રસ્તો,
તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો !
નથી પડતાં કદમ, તારા મિલન માટે નથી પડતાં,
વિના વાંકે બિચારો વિશ્વમાં નિંદાય છે રસ્તો.
પ્રણયના પંથ પર ક્યારેક લ્હેરાતો હતો પાલવ,
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો.
નહિતર ખીણમાં એ સોંસરો આવી નહીં પડતે,
મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો !
મુસાફર નહિ, નદીમાં એ ન ડૂબી જાય તે માટે,
બને છે પુલ, સામે પાર પ્હોંચી જાય છે રસ્તો .
હું ઈશ્વરની કને તો ક્યારનો પ્હોંચી ગયો હોતે,
અરે, આ મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો !
નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફકત દેખાય છે રસ્તો !
ન જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની,
કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો .
લખે છે વીજળીનો હાથ કંઈ આકાશમાં જ્યારે,
ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો !
વિહંગો શી રીતે સમજી શકે આ મારી મુશ્કેલી,
કદમ આગળ વધે છે ત્યાં જ અટકી જાય છે રસ્તો !
મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,
કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો !
ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,
હથેળીઓની રેખાઓનો એ વર્તાય છે રસ્તો !
‘અનિલ’ મારા જીવનની પણ કદાચિત્ આ હકીકત છે,
રહી પણ જાય છે પાછળ ને આગળ જાય છે રસ્તો !
નથી એક માનવી પાસે બીજો માનવી હજી પ્હોંચ્યો,
‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો !
-રતિલાલ ‘અનિલ’
Permalink
August 29, 2013 at 1:10 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
કોઈ રીટાદાસ, કોઈ ભક્ત ગીતાના,
શ્લોક ક્યાં જઈ વાંચવા છાતીસંહિતાના.
એક ધોબીખોર પાનામાંથી ઊડીને-
આંખમાં ટપકી પડે છે કષ્ટ સીતાનાં.
સર્પ જેવું ચાલવું તારું ને શેરીનું-
ને સીધી લીટી સમાં અંગો કવિતાનાં.
એક ધરતીકંપ મારા પર થયો પાછો,
વ્હેણ બદલાઈ ગયાં પાછાં સરિતાનાં.
હું કલાકોની ઉદાસી બાદ કાગળ પર
પેન માંડું ને રચાતાં હોઠ સ્મિતાના !
– ભરત વિંઝુડા
આમ જુઓ તો ગઝલના બધા જ કાફિયામાં કવિની ગર્લફ્રેન્ડ્સ નજરે ચડે છે – રીટા, ગીતા, સીતા, કવિતા, સરિતા અને સ્મિતા ! પણ કવિ જ્યારે મગનું નામ સીધું મગ પાડતાં દેખાય ત્યારે ભાવકે સમજી જવાનું હોય છે કે આ સમય બેક-ફૂટ પર આવીને રમવાનો છે અને કવિને કંઈક બીજું જ અભિપ્રેત છે…. ‘છાતીસંહિતા’ અને ‘ધોબીખોર’ જેવા શબ્દો કોઇન કરવા જેવું અદભુત કવિકર્મ તો આ ગઝલની બાય-પ્રોડક્ટ છે… ખરેખર તો આખી ગઝલ જ મનનીય થઈ છે.
હું જો કે એક જ શેર-ચોથા-ની જ વાત કરીશ.
ભારે ભૂકંપથી નદીના વહેણ બદલાઈ જવાનું વૈજ્ઞાનિક સત્ય કવિ સંબંધ વિચ્છેદ સાથે કેવું કળાત્મકતાથી સંયોગે છે! અહીં એક બીજી કરામત ‘પાછો’-‘પાછા’ શબ્દમાં પણ છે. આ ઘટના કંઈ પહેલીવાર નથી બની એ સમજીએ તો આખો શેર ફરી નવા સ્વરૂપે ઊઘડતો લાગે.
Permalink
August 26, 2013 at 2:54 AM by વિવેક · Filed under પ્રકીર્ણ

છેલ્લા થોડા મહિનાથી લયસ્તરોમાં સહ-સંપાદક તરીકે જોડાયેલા ડૉ. તીર્થેશ મહેતાની ઊંચી કાવ્યપસંદ, અદભુત રસદર્શન અને શનિ-રવિની નિયમિતતાથી હવે આપણે સહુ વાકેફ છીએ…
એમના માતુશ્રીનું ગતરોજ બપોરે સુરત એમના નિવાસસ્થાને દેહાવસાન થયું છે. પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે એ જ અભ્યર્થના…
અસ્તુ !
Permalink
August 26, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, મનિષા જોષી
મોટાં ઘટાદાર વૃક્ષો
અને તેના પર લટકતા વજનદાર મધપૂડા.
મધ ચૂસતી મધમાખીઓનાં પુષ્ટ શરીર જોઈને
ઊંઘમાં પણ મારા ચહેરા પર સ્મિત ફરી વળે છે.
ખાતરી કરીને ચોખ્ખું મધ ખરીદતી કોઈ ગૃહિણીની જેમ
હું અદમ્ય સંતોષ અનુભવું છું.
સુખ, અસહ્ય સુખ. નથી સહન થતું હવે.
મધપૂડા પર ફેંકાતા પથ્થર
મારી પીઠ પર વાગે છે.
મધમાખીઓના ડંખ
મારા શરીરે ઊઠી આવે છે.
વૃક્ષો વચ્ચે છંછેડાઈને આમતેમ ઊડાઊડ કરતી
મધમાખીઓનો ગણગણાટ
મારા રૂમમાં પ્રસરે છે.
પગ સાથે અથડાતા
સુકાઈ ગયેલા મધપૂડાને
હું ઘરમાં સજાવટ માટે મૂકેલા
સુગરીના કલાત્મક,ખાલી માળાની બાજુમાં ગોઠવી દઉં છું.
મધમાખીઓ વિનાનો આ મધપૂડો પહેલીવાર સ્પષ્ટ દેખાય છે.
તેની અંદરનાં ભર્યાં ભર્યાં પોલાણ હું જોઈ રહું છું.
કોઈ ખાલી ઘરમાં બારી-બારણાંનો ભેદ ક્યાં હોય?
મારી નજર સોંસરવી પસાર થઇ જાય છે.
સુખ ઊડતું રહે છે, મધમાખીની જેમ.
એક થી બીજા મધપૂડા પર.
-મનીષા જોષી
તૃષ્ણા-desire ની વાતને થોડા અઘરા રૂપકથી રજૂ કરી છે . જીવન કદાચ રંગહીન છે – આપણી તૃષ્ણાના રંગને તે માત્ર પરાવર્તિત કરે છે અને આપણે એ પ્રતિબિંબને જીવનનો પોતીકો રંગ સમજી બેસીએ છીએ . વિપરીત સંજોગો એ પથ્થર રૂપી ખલેલ છે . મધમાખીઓ ઊડી જાય છે અને ખાલી મધપૂડો સ્પષ્ટ નજરે ચડે છે . ‘ ભર્યાં ભર્યાં પોલણ ‘ – કદાચ વક્રોક્તિ પણ હોઈ શકે પરંતુ કદાચ તે સુખ-દુઃખ થી પર એવી અવસ્થા પણ ઈંગિત કરતું રૂપક હોઈ શકે .
Permalink
August 25, 2013 at 1:06 AM by તીર્થેશ · Filed under ગઝલ, નિર્મિશ ઠાકર
દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?
ભીના ભરેલ ભાવે સૌંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?
કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?
ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?
ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?
જૂના જ શબ્દમાં કૈં પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?
એનાં હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?
-નિર્મિશ ઠાકર
હળવી કવિતા-ગઝલ માટે જાણીતા નિર્મિશભાઈની આ રચના જોઈ આનંદ થઈ ગયો….
Permalink
August 24, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, હોર્હે લૂઈસ બોર્હેસ
મરીઝની એક પંક્તિ જે હું ફરી યાદ નથી કરવાનો,
એક નજીકની જ શેરી જે હવે મારા ચરણ માટે છે વર્જ્ય,
એક અરીસો જેણે બસ, છેલ્લી જ વાર મને જોયો,
એક દરવાજો જે મેં બંધ કરી દીધો પ્રલયના દિવસ સુધી,
મારા પુસ્તકાલયમાંના પુસ્તકો (જે મારી સામે જ પડ્યા છે)
એમાંના કેટલાક હું હવે ક્યારેય ઊઘાડવાનો જ નથી.
આ ઉનાળે મેં પચાસ પૂરાં કર્યાં;
મૃત્યુ અનવરત મને કોરી રહ્યું છે.
– હોર્હે લૂઈસ બોર્હેસ (સ્પેનિશ)
અનુ. વિવેક મનહર ટેલર
*
વનપ્રવેશ – જીવનની પચાસ વસંત પૂરી કરી એકા’વન’માં પ્રવેશવાની ઘડી ઘણા લોકો માટે યુ-ટર્ન બની રહે છે. જેટલાં ગયાં એટલાં હવે બાકી નથીનો નક્કર અહેસાસ ભલભલાને ધ્રુજાવી દે છે. મરણ ઢૂંકડું ભાસે એટલે સ્મરણ ઝાંખા પડવા માંડે ને ચરણ થાકવા માંડે… મર્યાદાઓ નજરે ચડવા માંડે…
*
Limits
There is a line in Verlaine I shall not recall again,
There is a street close by forbidden to my feet,
There’s a mirror that’s seen me for the very last time,
There is a door that I have locked till the end of the world.
Among the books in my library (I have them before me)
There are some that I shall never open now.
This summer I complete my fiftieth year;
Death is gnawing at me ceaselessly.
-Jorge Luis Borges
(English trans. Julio Platero Haedo)
(Verlaine- જાણીતા ફ્રેન્ચ કવિ)
*
આ કવિતાના ઉપસંહારમાં કવિ લખે છે કે,
“A man sets himself the task of portraying the world. Through the years he peoples a space with images of provinces, kingdoms, mountains, bays, ships, islands, fishes, rooms, instruments, stars, horses, and people. Shortly before his death, he discovers that that patient labyrinth of lines traces the image of his face.”
Permalink
August 23, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચિનુ મોદી
પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ;
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ? – પાળિયાની૦
આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર,
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ ? – પાળિયાની૦
ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ;
આપણે અજાણી એક લાગણી ને લાગણીનાં
ચોર્યાશી લાખ થયાં સ્તૂપ – પાળિયાની૦
– ચીનુ મોદી
સામાન્યતઃ ગઝલના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા ચિનુ મોદીનું આ ગીત ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવું બળકટ છે.
વિયોગની ક્ષણો કોને કોરી નથી ખાતી? પણ કવિનો શબ્દ એને કંઈ ઓર જ વળ ચડાવી આપે છે. પાળિયા શબ્દથી ગીત ઉપાડ લે છે એ એક શબ્દમાં જ સંબંધનું મૃત્યુ અને સ્મરણનું સ્મારક અને પથ્થર જેવી નક્કર એકલતા – કેટલું બધું વણાઈ ગયું છે! વળી આ એકલતા આક્રંદે છે પણ પ્રિયજન ખાલીખમ પાદર સમા મૌન છે. વીતેલી ક્ષણોમાં કવિ એક ‘ફ્લેશ-બેક’ નજર કરે છે ને આંખો છલકાઈ આવે છે… વધતા જતા ખાલીપાના ભેંકાર કલ્પનો ગીત જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પોતાના માણસપણા પર ચીડ આવી જાય એવો ભાવ જન્માવે છે…
(આરડવું= મોટા અવાજે આક્રંદ કરવું)
Permalink
August 22, 2013 at 12:30 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળ્યો,
માર્ગ સૌ અટકી ગયા ત્યાં કેવો રસ્તો નીકળ્યો.
પાછા વળવાના બધા રસ્તાઓ ભૂંસાઈ ગયા,
બે ઘડી માટે હું જ્યાં ઘરથી અમસ્તો નીકળ્યો.
માટીથી મુક્તિ મળ્યે અવકાશમાં ફરશું હવે
ઘર ગયું, સારું થયું, પગમાંથી કાંટો નીકળ્યો.
રાતભર વાતાવરણમાં આયના ચમક્યા કર્યા
કે સ્મૃતિનાં જંગલોથી કોઈ ચ્હેરો નીકળ્યો.
એવો લપટાઈ રહ્યો’તો જીવ માયાજાળમાં
પાણીમાં જીવન ગયું ને અંતે તરસ્યો નીકળ્યો.
જેને આદિલ જિંદગીભર સાચવી રાખ્યો હતો,
આખરે જોયું તો તે સિક્કોય ખોટો નીકળ્યો.
– આદિલ મન્સૂરી
સો ટચનું સોનું !
Permalink
August 19, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
પાંખ વીંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે.
ઘર નથી એનું ગગન થઈ જાય છે.
પ્રાતઃકાળે પંખીના ટહુકા વડે,
આંગણે કીર્તન ભજન થઈ જાય છે.
રાહ જોતું હોય છે પહેલું કિરણ,
ખોલતાં બારી શુકન થઈ જાય છે.
ઓસબિંદુથી નમે છે પાંદડી,
એક ટીપાનું વજન થઈ જાય છે.
ભાગતી ખુશબૂનો એ પીછો કરે,
આ હવા ત્યારે પવન થઈ જાય છે.
-રઈશ મનીઆર
આજે ઓગણીસમી તારીખે કવિ શ્રી રઈશ મનીઆરને એમના જન્મદિવસે ટીમ-લયસ્તરો તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ ! शतम् जीवम् शरदः ।
ખુલતી શક્યતાઓની એક પોઝિટિવ ગઝલ… સામાન્યરીતે કવિતાને ઘેરો રંગ જ વધુ માફક આવતો હોય છે એટલે આવી વિધાયક મૂલ્ય ધરાવતી રચના હાથ લાગે ત્યારે બત્રીસે કોઠે દીવા થઈ જતા અનુભવાય…
Permalink
August 18, 2013 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
ફાગણ ચાલે ને એનાં પગલાંની ધૂળથી,
નિંદર ઊડે રે સાવ કાચી,
જાગીને જોયું તો ઊઠે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ-સાત છોકરાં પરપોટાં વીણતાં દરિયે,
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં,
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા;
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઈ જાતા !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ, મરવા દિયે તો કોઈ મરીએ !
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
– અનિલ જોશી
આમ તો આખું ગીત જ નખશિખ આસ્વાદ્ય છે પણ મારું મન તો માત્ર સૂકી જુદાઈની ડાળે છાનું ઊગીને છાનું ખરી જતા ફૂલ પર જ અટકી ગયું… કેવી અદભુત સંવેદના કવિએ આ એક જ પંક્તિમાં ઠાંસી-ઠાંસીને ભરી છે ! જુદાઈની ડાળ તો જાણે સમજ્યા પણ માત્ર ‘સૂકી’ વિશેષણ જુદાઈની કેવી ધાર કાઢી આપે છે..! અને ડાળ સૂકી હોય એ પાનખર સૂચવે છે પણ અહીં તો પાનખરમાં ફૂલ ખીલે છે… વિરહ અને આશાનો કેવો કારમો વિરોધાભાસ ! એક લીટીની કવિતા તો અહીં જ પૂરી થઈ ગઈ હોત પણ કવિએ ઊગવા અને ખરવાની ક્રિયાને છાની રાખીને- પોતાની વિરહ-વ્યથાને માત્ર જાતમાં જ સંકોરી રાખીને પ્રેમને એવરેસ્ટની ઊંચાઈ બક્ષી છે…
Permalink
August 17, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
તકિયા ઉપર ગાલને ગાલ અડાડીને,
પ્રેમ કરવાનું આપણે વચન આપ્યું હતું જ્યાં સુધી લીલા પર્વતોનું પતન ન થાય,
અને લોઢું નદી પર તરવા ન માંડે,
અને ગંગા નદી જાતે સુકાઈ ન જાય;
પ્રેમ કરવાનો જ્યાં સુધી સપ્તર્ષિ દિવસે ન ઊગે
અને ધ્રુવતારક દક્ષિણમાં ચાલ્યો ન જાય.
આપણે વચન આપ્યું હતું અમર પ્રેમનું જ્યાં સુધી સૂર્ય
મધરાત્રે આકાશ બાળી ન મૂકે.
– અજ્ઞાત (ચીન)
અનુ. વિવેક મનહર ટેલર
*
લગભગ ચૌદસો – પંદરસો વર્ષ પહેલાં ચીનના કોઈક કવિએ લખેલ આ શોક-ગીત ક્રૌંચવધ જોઈ વાલ્મિકીના હૃદયમાં જેવો ચિત્કાર જાગ્યો હતો એવો ચિત્કાર આપણી ભીતર જગાડે છે. પ્રેમમાં સંભોગની કોઈક અંતરંગ પળોમાં બંને પ્રેમી આકાશકુસુમવત્ પ્રતિકો વડે વચન આપે છે અને છૂટા પડે છે… જેણે દિલથી પ્રેમ કર્યો છે એ પ્રેમી માટે તો વિયોગની આ પળો હજી પણ પ્રેમની ઉત્કટતા જેટલી જ પીડાદાયક છે…
*
Cheek to cheek on our pillows,
we promised to love until green mountains fall,
and iron floats on the river,
and the Yellow River itself runs dry;
to love till Orion rises in the day
and the north star wanders south.
We promised undying love until the sun
at midnight burns the sky.
by Anonymous
(Chinese T’sang Dynasty)
(Yellow River = એશિયાની બીજા નંબરની મોટી નદી)
Permalink
August 16, 2013 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી
શું છે ત્યાં આજે,
જ્યાં વૃક્ષ હતું
એક વાર ?
અવકાશ શૂન્ય ?
હવા પારદર્શક ?
ના.
ચાલ્યો સીધો જાઉં.
ઓ ભટકાયો – એવું મનને
ભાસે કાંઈ સઘન, માર્ગમાં.
પેલું આવે શરગતિએ કો વિહંગ….
એ ય તે
ખમચાયું ક્ષણ શૂન્યવચાળે
ડાળે જાણે બેઠું ?
બેઠું-ના-બેઠું જાણે
ને વૃક્ષ-આકૃતિ અંકિત કરતું ગયું શૂન્યમાં.
વિશ્વ કોઈ મુજ,
નીડ બનીને
ઝૂલ્યા કરશે હવે ચિરંતન
એ આકૃતિની લઘુ હથેળીમાં.
– ઉમાશંકર જોશી
જમીન અને સ્મૃતિ – બંને પર અડિંગો જમાવી બેઠેલ કોઈ વૃક્ષ અચાનક કપાઈ જાય ત્યારે ? કવિ મજાનાં સંવેદન-ચિત્રો દોરી આપે છે. વસ્તુ શૂન્ય થઈ શકે પણ સ્મૃતિ ?
અને આ શું માત્ર વૃક્ષચ્છેદન પછીના સંવેદનની જ વાત છે કે કોઈ સંબંધવિચ્છેદની પણ ?
Permalink
August 15, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દેશભક્તિ, શેખાદમ આબુવાલા
(પંદરમી ઓગસ્ટ ૧૯૫૨ ઉપર)
હાય આ કેવી મળી અમને બહારો હાય હાય
પાનખરના હરઘડી આવે વિચારો હાય હાય
સાંઝ પણ પડતી નથી કે ક્યાંક છાંયે બેસિયે
આમ તો ક્યાંથી મળે રણમાં ઉતારો હાય હાય
ફૂલ ને ઝાકળ ગળે વળગી રડે છે બાગમાં
રાતની પાછળ હતી કેવી સવારો હાય હાય
કાળજું કળિયોનું ચીરાયું ઘવાયા કંટકો
રંગ કેવા અવનવા લાવી બહારો હાય હાય
આ કયા કાંઠા ઉપર નૈયા અમારી લાંગરી
ઝાંઝવા પેઠે ઠગી બેઠો કિનારો હાય હાય
મ્હેફિલોમાં ઝૂમવા ખાતર અમે ઝૂમ્યા હતા
એટલે આવી ગઈ હોઠે પુકારો : હાય હાય
આટલાં ઠંડાં કદી સૂરજના કિરણો હોય ના
અર્ધી રાતે તો નથી જાગી સવારો હાય હાય
-શેખાદમ આબુવાલા
આઝાદી મળ્યાના માત્ર પાંચ વર્ષ પછી લખાયેલી આ ગઝલ – સૉરી, માતમ માટેનાં છાજિયાં – આજે પણ એટલી જ કન્ટેમ્પરરી (સાંપ્રત) છે. આઝાદી પછી જોવામાં આવેલા સપનાં કોઈના પૂરાં ન થયાં એમાં માત્ર દેશનેતાઓનો જ વાંક કેમ કઢાય, આપણું લોહી પણ અમીચંદોના રક્તકણોનું બનેલું છે… સાંપ્રત કવિતા ક્યારેક કાવ્યતત્ત્વના ભોગે લખાતી હોય છે પણ સમર્થ કવિનો સ્પર્શ વર્તાયા વિના રહેતો નથી. અડધી રાત્રે આઝાદી મળી હોવાનો ચાબખો ગઝલના આખરી શેરમાં કેવા ઠંડા કલેજે કવિ ફટકારે છે !
જેવી છે તેવી, સહુને આઝાદી મુબારક !
Permalink
Page 59 of 118« First«...585960...»Last »