બધું જ ભ્રમ છે હું જાણું છું પણ મનાતું નથી,
આ ચંદ શ્વાસના ધાંધલ-ધમાલ નોખા છે.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

ગઝલ – અકબરઅલી જસદણવાલા

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું,
પ્રસંગોપાત જીવનમાં પરિવર્તન કરી લઉં છું.

સમજપૂર્વક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું,
જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

મનોબળથી મનોવૃત્તિ ઉપર શાસન કરી લઉં છું
નયન નિર્મળ કરીને રૂપના દર્શન કરી લઉં છું.

નિરંતર શ્વાસ પર જીવનનું અવલંબન નથી હોતું,
બહુધા હું હૃદયમાં એક આંદોલન કરી લઉં છું.

અમે પાગલ, અમારે ભેદ શો ચેતન-અચેતનમાં,
પ્રતિમા હો કે હો પડછાયો હું આલિંગન કરી લઉં છું.

સમય ક્યારે વિસામો ખાય છે ‘અકબર’ના જીવનમાં ?
વિસર્જન થાય છે નિત્, નિત્ નવું સર્જન કરી લઉં છું.

– અકબરઅલી જસદણવાલા

Comments (6)

ગીત – પન્ના નાયક

શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે
ડાબી જમણી ફરકે આંખો : હોઠ પરસ્પર લડી પડ્યા છે

કંઈ ફૂટ્યું છે: કંઈક તૂટ્યું છે,
ગાંઠ પડી છે ઝીણીઝીણી
એકમેકનો દોષ બતાવે :
સૂર્યપ્રકાશમાં વીણીવીણી

વાંસો જોઈને થાકી ગઈ છું : ચહેરાઓ તો રડી પડ્યા છે
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે

મરી ગયેલા સંબંધ સાથે
હસી હસીને જીવવાનું છે
પોત જ્યાં આખું ફાટી ગયું ત્યાં
ટાંકા મારી સીવવાનું છે

રેતીના આ થાંભલાઓ તો દહનખંડમાં ઢળી પડ્યા છે
શબ્દો ક્યાંથી ક્ષેમકુશળ હોય ? મૌનને ઘેરા ઘાવ પડ્યા છે

-પન્ના નાયક

Comments (4)

મુક્તક – મધુકર રાંદેરિયા

જનમનું  એક  બંધન  જીવને   જીવનથી  બાંધે છે
જીવન જીવતાં જટિલ  જંજાળ જગની રોજ બાંધે છે
મરણ  તક  બંધનોના  બોજ  ઓછા  હોય  એ રીતે
અહીંના    લોક   મડદાને   ય   મુશ્કેટાટ   બાંધે છે

– મધુકર રાંદેરિયા

Comments (2)

તૃણાંકુરની ધાર પર- રાજેન્દ્ર શુકલ

પલપલ પડે છે છાપ, મને કૈં ખબર નથી.
બસ ઊઘડું અમાપ, મને કૈં ખબર નથી.

પૂછી જુઓને આપ, મને કૈં ખબર નથી.
કોનો છે આ કલાપ, મને કૈં ખબર નથી.

કોનું ધર્યું છે નામ, કયે રૂપ ઝળહળું,
કોને જપુ છું જાપ, મને કૈં ખબર નથી.

રાખે છે તું હિસાબ, પળેપળ અભિજ્ઞતા,
લખ, થાપ કે ઉથાપ, મને કૈં ખબર નથી.

ભૂલું પડ્યું છે આ કોણ તૃણાંકુરની ધાર પર,
કોમળ કિરણને તાપ, મને કૈં ખબર નથી.

રાજેન્દ્ર શુકલ

Comments (3)

મુક્તક – મરીઝ

બસ હવે મેં તમને મળવાની કડી સમજી લીધી,
કે આ દુનિયાને તમારાથી જુદી સમજી લીધી.
જીવવા જેવા હતા, એમાં ફક્ત બે ત્રણ પ્રસંગ,
મેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી.

 – મરીઝ 

Comments (1)

કોઈ કારણ પુછે તો કહું ખાસ છે ! – તુષાર શુક્લ

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે,
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી
વરસાદી વાર્તાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

કોરપની વેદના તો કેમેય સહેવાય નહીં, રુંવે રુંવેથી મને વાગે
પહેલા વરસાદ તણુ મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચાહે છે આ તો કેવો અષાઢી ઉલ્લાસ છે
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે
          ગાલો પર લજ્જાની લાલી ફુટ્યાનું કોઈ કારણ પુછે તો કહું ખાસ છે !

– તુષાર શુક્લ 

આ ગીત મોકલવા માટે આભાર, સ્નેહ ત્રિવેદી.

Comments (8)

અષાઢના પ્રથમ દિવસે – ઉદયન ઠક્કર

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી
અને ત્યાં પ્રિયાએ તરત તાડપત્રી લગાવી લીધી

નયન જો ગમે તો નયન, હ્રદય જો ગમે તો હ્રદય
હવાફેર માટે તને જગા બે બતાવી દીધી

એ તો હસ્તરેખાઓનું નસીબ જોર કરતું હશે
હથેળીમાં લઈ એમણે હથેલી દબાવી લીધી

કોઈ પ્હેરી કંકણ ફરે, કોઈ કુંડળોને ધરે
અમે કંઠી વરસાદની ગળામાં સરાવી લીધી

કે વરસાદના નામ પર તો કૈં કૈં અડપલા થયાં
નદીએ વગર હકની જમીનો દબાવી લીધી

બે આંખોના ગલ્લા ઉપર ધસારો થયો દૃશ્યનો
વરસભરની આવક જુઓ, પલકમાં કમાવી લીધી

આ વરસાદમાં જાતનું થવાનું હતું, તે થયું
જરા ઓગળી ગઈ અને વધી તે વહાવી લીધી

પરોઢે કૂણા તાપને, મળ્યા આપ તો આપને
પહેલું મળ્યું એને મેં ગઝલ સંભળાવી લીધી

– ઉદયન ઠક્કર

આજે અચાનક જ આ રમતિયાળ ગઝલ વાંચવામાં આવી ગઈ અને ખરેખર અષાઢના પ્રથમ દિવસ જેટલો આનંદ થઈ ગયો. આવા નવાનક્કોર કલ્પનો અને ગર્ભિત રમૂજથી ભરીભરી ગઝલ વારંવાર થોડી મળે છે ?! પહેલા જ શેરમાં કવિએ સરસ ગમ્મત કરી છે. કવિ અષાઢના પ્રથમ દિવસે કાલિદાસના નાયકની જેમ મેઘને પોતાની વ્યથા સંભળાવમાં રાચે છે ત્યારે એમની પ્રિયા શું કરે છે ? – કવિનું તદ્દન પોપટ કરે છે અને તાડપત્રી લગાવી દે છે 🙂 આ એક જ શેર પરથી ગઝલનો માહોલ બંધાઈ જાય છે. અષાઢનો પહેલો દિવસ તો રુઢિચુસ્ત ગઝલને માળીયે ચડાવીને શબ્દોને છૂટ્ટો દોર આપવાનો દિવસ છે ! એ મસ્તીના માહોલને મનમાં ભરીને તમે પણ આ ગઝલ ફરી એક વાર વાંચી જુઓ.

Comments (5)

પંખીઓ જેવી તરજ – ભરત વિંઝુડા

ભરત વિંઝુડાની કલમ આજે કોઈ ઓળખાણની મોહતાજ નથી રહી. નવી પેઢીના શાયરોમાં નોખો ચીલો ચાતરવામાં એ સફળ રહ્યા છે. સાવ સરળ ભાસતા એમના ઘણા બધા શેર જો સ્હેજ અટકીને ફરીથી વાંચીએ તો આશ્ચર્યનો ગોદો વાગે એ રીતે આપણને વિચારતા કરી દે છે. કળી જે મસૃણતાથી ધીમે-ધીમે ખૂલે છે એ જ કળા જાણે કે એમના શબ્દોને હસ્તગત છે. થોડી ધીરજ રાખીએ તો ભરત વિંઝુડાની ગઝલોનું આકાશ આપણને રસતરબોળ કરી દે એ રીતે ધોધમાર વરસે છે. “પંખીઓ જેવી તરજ” ગઝલ સંગ્રહ વાંચતા મનને ગમી ગયેલી પંક્તિઓ અહીં પ્રસ્તુત છે. (જન્મ: 22-07-1956, અન્ય ગઝલ સંગ્રહ: “સહેજ અજવાળું થયું”)

ભેદ બ્રહ્માંડના તે જાણે છે
સૌ ઉપર આસમાન હાજર છે.

આપણે ઘડિયાળના કાંટાની જેમ
માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યાં

એક પગ અટકે ને ચાલે છે બીજો
લાલ-લીલા બેઉ ધ્વજ લઈ નીકળ્યાં

તું જગાડીને કરે છે પાપ કાં
ઊંઘ પૂરી થઈ જશે ને જાગશે.

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફક્ત ચાલવા મળ્યા

માત્ર માણસજાતની વસ્તી વધે નહીં
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે

મને છાતીમાં દુઃખતું હોય ને માથું દુઃખે તમને
ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને

તને હું ચાહું તે ચાહતનો કોઈ પાર નથી
તું સ્વપ્ન છે ને હકીકતનો કોઈ પાર નથી

આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ

હું માણી રહ્યો હોઉં મિલનની જ મજા ત્યાં
તે હાથ લઈ હાથમાં તકદીર બતાવે

જે અન્યને કહું તે કહી ના શકું તને
તારી ને મારી વચ્ચે હજી કોઈ છળ નથી

એક વાદળ એમ ચાલ્યું જાય છે
આભમાં, જાણે કે જળની પાલખી !

પંખી બનવાની કંઈ જરૂર નથી
આંખ મીંચો અને ઉડાય સખી !
વધુ આગળ વાંચો…

Comments (3)

એક ખૂણો…. -કવિ રાવલ

એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો,
આપણાં ઘરમાં રહે છે એક ખૂણો.

એ મને લાગે ઢળેલી સાંજ જેવો…
કેટલાંયે આથમે છે ત્યાં અરૂણો

હૂંફ જેવું છે કશુંક એની કને પણ,
આમ છે તડકા સમો ને તો’ય કૂણો.

ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
યાદ આવી જાય છે સંબંધ જૂનો.

આપણે તો એ જ તીરથ, એ જ યાત્રા,
“કવિ” ધખાવી બેસ અહીંયા એ જ ધૂણો.

-કવિ રાવલ

મૂળ નામ (કુમારી) કવિતા રાવલ, પણ કવિતા લખે કવિના નામથી. મૂળ રાજકોટના, પણ રહે છે અમદાવાદ. મૂળે કૉમર્સના સ્નાતક, પણ પનારો પાડે છે આર્ટ્સ (શબ્દો) સાથે! મૂળે શબ્દોની ગલીઓના ભોમિયા, પણ સરકાર માન્ય ટુરિસ્ટ ગાઈડનું લાઈસન્સ પણ ધરાવે. કવિની ગઝલોમાં બળકટ તાજગી અને છંદોની સફાઈ ઊડીને આંખે ચડે છે. ગઝલના છંદો સાથે રમત કરી સતત નવું નિપજાવવાની એમની ચેષ્ટા એમની સંનિષ્ઠતાની સૂચક છે. પ્રસ્તુત ગઝલમાં તડકાની હૂંફ અને કૂણાશ કેવી સંજિદી હળવાશથી આપણને સ્પર્શે છે !

Comments (23)

થાક છે – હરીન્દ્ર દવે

મેળો છે એવો મોટો કે મેળાનો થાક છે,
તમને થયું કે આપણી દુનિયાનો થાક છે ?

જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.

મારા વદનના ભારથી વ્યાકુળ બનો નહીં,
હમણાં જ ઊતરી જશે રસ્તાનો થાક છે.

મારે જો શીખ લ્યો તો મુલાયમ થશો નહીં,
રહીને સુંવાળા સૌને દુભાવ્યાનો થાક છે.

નદીઓ તો સામટી મળી ધોયાં કરે ચરણ,
પણ ક્યાંથી ઊતરે કે જે દરિયાનો થાક છે.

– હરીન્દ્ર દવે

હરીન્દ્ર દવેએ મૃત્યુ વિષય પર ઘણી ઘણી રચનાઓ કરી છે. અહીં પણ મરણ પરનો શેર બહુ સરસ થયો છે. અને ગુજરાતી ભાષાના સૌથી મુલાયમ સ્વભાવના ગણાતા કવિ શીખ શું આપે છે ? – મુલાયમ નહીં થતા !!!

Comments

ખેલ- પ્રફુલ્લ દવે

સાચું ખોટું રમીએ છીએ,
ખાલી થાળી જમીએ છીએ.

ઠંડા શ્વાસો ભરીએ છીએ.
મન માંહે સમસમીએ છીએ.

ક્ષણ માંહે સળગીએ છીએ.
ધીમે ધીમે ઠરીએ છીએ.

ઘા લાગે તરફડીએ છીએ.
પણ મરવાથી ડરીએ છીએ.

કાચના ઘરમાં રહીએ છીએ.
રોજ અજમ્પો સહીએ છીએ.

કેવું કેવું જીવીએ છીએ.
હોઠને કેવા સીવીએ છીએ.

રોજ સરકતા સમયની સાથે,
કાળના મુખમાં સરીએ છીએ.

હર ઘટનામાં જન્મી જન્મી,
હર ઘટનામાં મરીએ છીએ.

પ્રફુલ્લ દવે

વ્યવસાયે ન્યાયાધીશ એવા આ કવિએ માનવ જીવનની નિયતિનું, માનવની અવશતાનું આ ચિત્ર રજુ કર્યું છે. અને માટે જ ‘આ ક્ષણમાં જ જીવવાનો‘ મંત્ર બહુ સૂચક અને મંગળદાયક અર્થ ધારણ કરે છે.

Comments

વમળ – પ્રફુલ્લ દવે

‘હા’ અને ‘ના’ નું જ છળ!
કેટલી નાજૂક પળ !

આપણે ‘ને લાગણીઓ,
કેટલાં ઊંડાં વમળ!

’હું’ અને ‘તું’ સામસામે !
આયના કેરું જ છળ!

ડૂબવાનું શબ્દ સાથે,
તળ વિનાનું અર્થનું જળ!

દોડતી ક્ષણ ખોલી જોયું,
કોઇ ના પકડાઇ કળ!

પ્રફુલ્લ દવે

તેમના તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ કાવ્યસંગ્રહ ‘પડઘાતું મૌન’માંથી.

Comments (1)

ગીત મારાને શું હવે શણગાર ? – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. સુરેશ દલાલ)

એક પછી એક અગળા કીધા સઘળા અલંકાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

ઉરની આપણ આડમાં આવે
અલંકારો એ કેમ ફાવે ?
જાય રે ડૂબી આપણી ઝીણી વાત, એને ઝંકાર,
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

પીગળી ગઈ પલમાં મારી,
‘છું કવિ હું’ એની ખુમારી :
મહાકવિ ! તવ ચરણ કને બંધનનો નહીં ભાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

સરળ સીધું, વાંસળી જેવું :
જીવવું મારે જીવન એવું.
મધુર મધુર સૂરથી તમે છલકાવો સંસાર :
ગીત મારાને શું હવે શણગાર ? શું અહંકાર ?

– રવીન્દ્રનાથ ટાગોર
(અનુ. સુરેશ દલાલ)

આખી દુનિયા ફરીને માણસ ઘરે આવે ત્યારે જેવો સંતોષ થાય એવો સંતોષ આખી દુનિયાભરની કવિતાઓ વાંચ્યા પછી ટાગોરના ગીતો વાંચતા થાય છે. અને આ ગીતનો અનુવાદ પણ ખૂબ સરસ થયો છે. આટલી ભાવની તીવ્રતા અને શબ્દોની સાદગી બીજે ક્યાં જોવા મળવાની હતી. મૂળ અંગ્રેજી કાવ્ય (ગીતાંજલીમાં સાતમું કાવ્ય) અહીં નીચે મૂકું છું. સરખામણીથી ખ્યાલ આવશે કે ગીતસ્વરૂપે અનુવાદ કેટલો સરસ થયો છે.

My song has put off her adornments. She has no pride of dress and decoration. Ornaments would mar our union; they would come between thee and me; their jingling would drown thy whispers.

My poet’s vanity dies in shame before thy sight. O master poet, I have sat down at thy feet. Only let me make my life simple and straight, like a flute of reed for thee to fill with music.

Comments (1)

કોણ પૂછે છે ? – કૈલાસ પંડિત

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

Comments (6)

ગમતાનો ગુલાલ – નીલમ એચ. દોશી

નીલમ દોશી નામથી નેટ-ગુજરાતીઓ અણજાણ નથી. પરમ સમીપે બ્લૉગ પર એ સતત શબ્દોની સુવાસ પાથરતા રહે છે. તાજેતરમાં જ નેટ-ગુજરાતીઓ ગૌરવ લઈ શકે એવી એક ઘટનાએ આકાર લીધો છે અને એ છે નીલમ દોશી લિખિત બાળનાટિકાઓના પુસ્તક “ગમતાનો ગુલાલ”નું પ્રકાશન. ચોથા ધોરણથી દસમા ધોરણના બાળકો ભજવી શકે એવા મજાના સાત પ્રહસનો જાણે કે એક સાત રંગનું મેઘ-ધનુષ રચે છે. સામાન્યરીતે નાટકો લખાયા પછી ભજવાતા હોય છે, પરંતુ આ પુસ્તિકાની ખાસ વિશેષતા એ છે કે આ બધા જ નાટકો ભજવીને લખાયા છે. વર્ષો સુધી ભજવતા-ભજવતા લખતા જવાયેલા આ નાટકો એમના જ નિર્દેશનમાં બાળકોએ સફળ રીતે ભજવ્યા પછી આ પુસ્તકનો પિંડ બંધાયો હોવાથી નાટક લખવા અને ભજવવાની વચ્ચે જે અડચનો ઉપસતી હોય છે એની અપેક્ષા મુજબની ગેરહાજરી અહીં નાટકોને સરળ પ્રવાહિતા બક્ષે છે. હાસ્યરસ, કરુણરસ, દેશભક્તિ, ભણતરનો ભાર, સામાજિક દૂષણો અને જનરેશન-ગેપ જેવા ભારી વિષયોને સજિંદી હળવાશ અપાઈ હોવાથી નાટકો મોટાઓને પણ ગમી જાય એવા છે. એકાદ-બે અપવાદોને બાદ કરતાં નાટકની ભાષા બાળકોએ જ લખી હોય એટલી સુગમ રહી છે જે લેખિકાની સિદ્ધિ. ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ પુસ્તિકાના પ્રકાશનમાં રસ દાખવ્યો એ બાબત નાટિકાઓ વિશે એક લીટીમાં ઘણું કહી નાંખે છે. નીલમ દોશીને ખૂબ ખૂબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ.

(લયસ્તરોને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રીમતી નીલમ દોશીનો ખૂબ ખૂબ આભાર).

ગમતાનો ગુલાલ – બાળનાટકો (ધોરણ ચારથી દસના બાળકો માટે)
કિંમત : રૂ. 60.
પ્રાપ્તિ સ્થાન : ગૂર્જર એજન્સી, રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ- 380001.
લેખિકા : નીલમ દોશી, બંગલા નં-2, ખટાઉ જંકર હાઉસીંગ કોમ્પ્લેક્સ, લક્ષ્મીનારાયણ સૉસાયટી, ધરમનગર સામે, ભોલાવ, ભરૂચ – 392002.
ઈ-મેઈલ : nilamdoshi@yahoo.com

Comments (13)

સૂરજના છડીદાર – કૃષ્ણલાલ શ્રીધરાણી

અમે તો સૂરજના છડીદાર,
અમે તો પ્રભાતના પોકાર !

સૂરજ આવશે સાત ઘોડલે,
અરુણ રથ વ્હાનાર !
આગે ચાલું બંદી બાંકો,
પ્રકાશ ગીત ગાનાર ! અમે0

નીંદરને પારણીએ ઝૂલે,
ધરા પડી સૂનકાર !
ચાર દિશાના કાન ગજાવી,
જગને જગાડનાર ! અમે0

પ્રભાતના એ પ્રથમ પ્હોરમાં,
ગાન અમે ગાનાર !
ઊંઘ ભરેલાં સર્વ પોપચે,
જાગૃતિ રસ પાનાર ! અમે0

જાગો ઊઠો ભોર થઈ છે,
શૂરા બનો તૈયાર !
સંજીવનનો મંત્ર અમારો,
સકલ વેદનો સાર ! અમે0

– કૃષ્ણલાલ શ્રીધરાણી

વહેલી સવારે છડી પોકારી જગતને જાગવાનો સંદેશ પાઠવતા કૂકડા વિશે લખાયેલું આ મજાનું ગીત શાળેય અભ્યાસક્રમનો એક ભાગ પણ હતું.કૂકડાની બાંગમાં સકલ વેદનો સાર વાંચી શકે એ જ કવિ.

(બંદી= ચારણ, વખાણ કરનાર; બાંકો=ફાંકડો)

Comments (1)

ગઝલ -ભરત વિંઝુડા

હોય મનમાં એક-બે જણનો અભાવ
જ્યાં હતો આખીય દુનિયાનો લગાવ

આંખ ખૂલી હોય ને બનતા રહે
આંખ ખોલી નાખનારા કંઈ બનાવ

હું રમતમાં હોઉં નહીં સામેલ ‘ને
તોય દેવાનો થયો મારેય દાવ

જળ વહી આવે તો તરવાની ફરી
મધ્ય રેતીમાં ઊભી છે એક નાવ

ભોગવે છે આજુબાજુમાં સહુ
હું ને તું બેઠાં છીએ એનો તનાવ

-ભરત વિંઝુડા

ભરત વિંઝુડાની આ ગઝલ જેટલી સરળ છે એટલી જ મર્માળી પણ છે. ખુલ્લી આંખનો શ્લેષ પ્રયોજવામાં એમની કલમનું બળકટપણું સ્પષ્ટ ઉપસી આવેલું અનુભવાય છે. અને એ જ રીતે બે જણ શાંતિથી બેઠા હોય એ આપણે જોઈ શકતા નથીની વરવી વાસ્તવિક્તા ગઝલના આખરી શેરમાં કેવી સુપેરે વ્યક્ત થઈ શકી છે !

Comments (6)

એક હુંફાળો માળો ! – તુષાર શુક્લ

હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો

સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !

– તુષાર શુક્લ

પ્રસન્ન સાનિધ્યને ઉજવતું આ ગીત મોકલવા માટે આભાર, સ્નેહ ત્રિવેદી.

આગળ મૂકેલું તુષારભાઈનું ખૂબ જ સરસ ગીત એમ પૂછીને થાય નહીં પ્રેમ પણ આ સાથે જોશો. અને, સાથે સાથે ટહુકા પર જયશ્રીએ મૂકેલા એમના બે મઝાના ગીત પણ સાંભળો. આજનો દિવસ આખો મઘમઘ થઈ જવાની ગેરેંટી !

Comments (5)

‘કેમ છો?’

કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

હું ફકત હસતો રહ્યો ઉત્તર રૂપે
એમણે પૂછ્યું’તું હસતાં ‘કેમ છો?’

શહેર છે ઓ દોસ્તો! આ શહેર છે.
કોઇ નહીં પૂછે અહીંયાં, ‘કેમ છો?’

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

આંખ મેં બારી તરફ માંડી ફકત,
કોઇએ પૂછ્યું કે ઘરમાં ‘કેમ છો?’

–  અજ્ઞાત

ગુજરાતીનું સૌથી નાનું પણ સૌથી વધારે વપરાતું વાક્ય – ‘ કેમ છો?’
શ્રી. મનહર ઉધાસે આ ગઝલ બહુ સરસ મિજાજમાં ગાઇ છે.

Comments (10)

પગલાં – ચિનુ મોદી

રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો
કહી ના શક્યો કોઇને કે ખસો.

પૂછું પ્રશ્ન હું શ્વેત પગલાં વિશે
અને દરવખત આપ ફિક્કું હસો.

સમય નામની બાતમી સાંપડી
પછી લોહી શું કામ નાહક ધસો:

પડે ડાળથી પાંદડું, એ પછી
ઇલાજો કરું એકથી એક સો.

ઇલાજો કરું એકથી એક સો
રહે એ જ ‘ઇર્શાદ’ને વસવસો.

ચિનુ મોદી ( ઇર્શાદ)

કવિ પરિચય

     આધુનિકતાને વરેલા છતાં ગઝલના મૂળ સ્વરૂપની ઇજ્જત જાળવતા આ કવિની, પોતાની આગવી, આ ‘તસબી’ પ્રકારની રચના  છે.

Comments (7)

થઈ બેઠા – મુકુલ ચોકસી

અમે કેકટસને કાંઠે લાંગરેલા હાથ થઈ બેઠા,
તમે પણ કેટલો લોહીલુહાણ આધાર દઈ બેઠા!

તો વચ્ચેની જગાને સૌ તળેટી નામ દઈ બેઠા,
જો પહાડો ખીણથી બે ચાર ડગલાં દૂર જઈ બેઠા.

નિચોવાઈ ગયેલા હોઠને જોયા તો યાદ આવ્યું;
ફરી ક્યાં કોઈનું ગમતું પલળતું નામ લઈ બેઠા!

અવસ્થાની નદીમાં આજ ઘોડાપૂર આવ્યાં, ને;
અમે કાંઠા કદી નહી છોડવાની હઠ લઈ બેઠા.

– મુકુલ ચોકસી

સંબંધની એક અવસ્થા આવે છે કે સમગ્ર સંબંધ કડવાશથી ભરાઈ જાય છે. એક બીજાને કાંઈ પણ કહો બધુ જ દુ:ખદાયક બની જાય છે. એવી અવસ્થાનું વર્ણન આ ગઝલના પહેલા શેરમાં ધારદાર રીતે કર્યું છે. કેકટસના કાંઠે લાંગરેલા હાથ અને લોહીલુહાણ આધાર – કેટલી સચોટ વાત ! આજે આ એક શેરની વાત ઘણી છે… બાકીના શેરની વાત ફરી કોઈ વાર માંડશું.

Comments (3)

મઝધારમાં – અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

જીત હું નીરખ્યા કરું છું સર્વદા મુજ હારમાં,
મુક્તિ મારી આખરે છે એક કારાગારમાં;
ડૂબીને તરતો રહીશ હું સાગરોની ધારમાં,
હોડી મારી લઈ જઉં હું ડૂબવા મઝધારમાં !

– અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’

Comments

ઊભા છીએ – જાતુષ જોશી

અંત ને શરૂઆત લઇ ઊભા છીએ,
જાત ખોઇ, જાત  લઇ ઊભા છીએ. 

ક્યાં અહીં અજવાસ કે અંધાર છે?
ક્યાં દિવસ કે રાત લઇ ઊભા છીએ? 

કોઇ પ્રત્યાઘાત તો શોધો જરા,
મર્મ પર આઘાત લઇ ઊભા છીએ. 

એક ઢળતી પળ હજી પામી મરણ,
એક પળ નવજાત લઇ ઊભા છીએ. 

શબ્દ તો સાપેક્ષ છે, નિરપેક્ષ છે,
શબ્દને સાક્ષાત લઇ ઊભા છીએ.

-જાતુષ જોશી


જાતુષ જોશીની કવિતામાં પરંપરાના પ્રતીકો પોતીકી તાજગી સાથે આવતા હોવાથી એમાં વાસીપણાની બદબૂ નહીં, પણ ઓસની ભીનાશ વર્તાય છે અને એનું કારણ તો વળી એ પોતે જ આપે છે કે શબ્દને સાક્ષાત્ લઈ ઊભા છીએ. એક ક્ષણના મૃત્યુના ગર્ભમાં બીજી ક્ષણ જન્મ લઈ રહી હોવાનો ઈંગિત પણ તરત જ ગમી જાય એવો છે.

Comments (5)

આખ્ખું બાવળપણું ખોયું ! – ભાનુપ્રસાદ પંડ્યા

મેં – કાંટાએ ઝાકળને પ્રોયું
અને પ્હેલીવાર આરપાર જોયું:

લાગે કે આસપાસ છલકાયું સ્રોવર
ને પોતે રહ્યો છું એમાં ડૂબી ?
ઓરું આવીને ઊભું મેઘધનુ આંખમાં
સાતે ય રંગોની કેવી ખૂબી ?
પાસે પરોઢ આવી સોહ્યું ?!

હું તો પલ્ટાઈ થયો કૂણેરી દાંડલી
ક્યાં ગઈ એ બાવળિયા શૂલ ?
અણિયાળી ટોચ જતી પલકારે ઓગળી
ને એની પર ફૂટ્યું શું ફૂલ ?!
એલ્લા, આખ્ખું બાવળપણું ખોયું !
મેં – કાંટાએ ઝાકળને પ્રોયું !

– ભાનુપ્રસાદ પંડ્યા

જન્મ: ૨૪-૦૪-૧૯૩૨, અમરેલીના તોરી ગામમાં. જાણીતા કવિ અને વિવેચક. સૉનેટ અને ગીતમાં એમની સર્જકતાનો રુચિકર ઉઘાડ જોવા મળે છે. આ ગીતમાં કાંટાની ઉપર ઝાકળબુંદ વીંટળાયા પછી કાંટાની આખેઆખી બદલાઈ ગયેલી દુનિયામાં ક્યાંક મનુષ્યજીવનની તીક્ષ્ણતા કોઈક સુંવાળા સહેવાસ થકી સમૂળગી કઈ રીતે બદલાઈ શકે છે નો ઈંગિત દૃશ્યમાન થતો જણાય છે. અહીં પહેલી પંક્તિમાં મેં અને કાંટા શબ્દની વચ્ચે મૂકેલો એક નાનકડો ડેશ (-) આખા કાવ્યવિશ્વને સમૂચ્ચુ બદલી નાંખે છે… અને પછી પ્રસંગ કાંટાની આંખેથી ઝાકળને જોવાને ભલે કહેવાયો હોય, આપણે આપણી આંખને ક્યાંક ઊઘડતી અનુભવીએ છીએ…
(કાવ્ય સંગ્રહો: ‘અડોઅડ’, ‘ઓતપ્રોત’, ‘શબ્દે કોર્યાં શિલ્પ’, ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’.)

Comments (5)

જડી જાય – જવાહર બક્ષી

એક શબ્દ દડી જાય, દડી જાય અરે !
પડઘાઓ પડી જાય, પડી જાય અરે !
બ્રહ્માંડથી ગોતીને ફરી લાવું ત્યાં
એક કાવ્ય જડી જાય, જડી જાય અરે !

– જવાહર બક્ષી

Comments

લાજ રાખી છે – કૈલાસ પંડિત

ન આવ્યું આંખમાં આંસું, વ્યથાએ લાજ રાખી છે.
દવાની ગઇ અસર ત્યારે, દુવાએ લાજ રાખી છે.

તરસનું માન જળવાઇ ગયું, તારા વચન લીધે,
સમયસર આભથી વિખરી, ઘટાએ લાજ રાખી છે.

ઘણું સારું થયું આવ્યા નહિ, મિત્રો મને મળવા,
અજાણે મારી હાલતની, ઘણાંએ લાજ રાખી છે.

પડી ‘કૈલાસ’ ના શબ પર, ઊડીને ધૂળ ધરતીની,
કફન ઓઢાડીને મારી, ખુદાએ લાજ રાખી છે.

કૈલાસ પંડિત

ગમગીન રચનાઓના ચાહક આ કવિની ગઝલોના મત્લામાં પણ ‘બેફામ’ની ગઝલોની જેમ ઘણી વખત મૃત્યુ આવી જાય છે. શ્રી. મનહર ઉધાસે બહુ જ સુરીલા કંઠે આ ગઝલ ગાઇ છે.

Comments (6)

હજી – પ્રવીણ દરજી

હજી
હજી આમ
મારે
આ સોનેરી ચીસો લઇ
ક્યાં સુધી જન્મવાનું છે?

ફ્રોસ્ટ,
સૂતાં પહેલાં
જોજનો દૂર જવાની વાત
વિતથ છે.

અઠ્ઠાવીશ અઠ્ઠાવીશ વર્ષથી
મારા શબને
કાંધ ઉપર લઇને
અહીંતહીં ફરતાં
હું
બેવડ વળી ગયો છું.

છે કોઇ ડાઘુ ?
ચોર્યાસી લાખ પાળિયામાં
ક્રન્દી ક્રન્દી
વિશ્વની અજાયબીઓમાં સ્થાન પામે
એવી કરુણપ્રશસ્તિના નાયક
મારે
નથી થવું.

પ્રવીણ દરજી

વિતથ – તથ્ય વિનાનું, અસત્ય

પ્રવીણ દરજી લુણાવાડાની કોલેજના નિવૃત્ત અધ્યાપક છે અને કવિ અને નિબંધ લેખક છે.
 

Comments (3)

લે ! – અમૃત ‘ઘાયલ’

એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !
છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !

લઈ પાંખ મહીં એને ઊગારી લે પવનથી,
સળગે છે હજુ દીપ નથી સાવ ઠર્યો, લે !

તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

સાચે જ તમાચાઓથી ટેવાઈ ગયો છું,
અજમાવવો છે હાથ તો આ ગાલ ધર્યો, લે !

કેમે ય કરી ડૂબ્યો નહિ જીવ અમારો
ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે !

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી,
મૃત્યુ ય ગયું સૂંઘી પરંતુ ન મર્યો, લે !

– અમૃત ‘ઘાયલ’

ઘાયલસાહેબની આ રચનાનો …આ પડખું ફર્યો, લે ! શેર તો ખૂબ જાણીતો શેર છે. પરંતુ આખી ગઝલ તો હમણા જ વાંચવામાં આવી. આખી ગઝલ જુઓ તો ઘાયલસાહેબની ‘રેંજ’નો ખ્યાલ આવે… અને ‘નિમજ્જન’ જેવો શબ્દ એ કેવી અદભૂત રીતે ગઝલમાં લઈ આવ્યા છે એ તો જુઓ ! આ ગઝલ જોઈને અનાયાસ જ ડીલન થોમસનું ગીત Do Not Go Gentle Into That Good Night યાદ આવી ગયું. એમાં પણ ઘાયલસાહેબના શેરની જેમ જ મોત સામે છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની વાત બહુ ઉમદા રીતે મૂકી છે.
(નિમજ્જન=ડૂબકી મારવી)

Comments (7)

ચર્ચા ન કર – ડૉ. મહેશ રાવલ

વીતી ગયેલી પળ વિષે, ચર્ચા ન કર
સપના વિષે, અટકળ વિષે,ચર્ચા ન કર

લોકો ખુલાસા માંગશે, સંબંધનાં
તેં આચરેલા છળ વિષે, ચર્ચા ન કર

ચર્ચાય તો, ચર્ચાય છે સઘળું, પછી
તું આંસુ કે અંજળ વિષે ,ચર્ચા ન કર

એકાદ હરણું હોય છે સહુમાં, અહીં
તું જળ અને મૃગજળ વિષે, ચર્ચા ન કર

જે સત્ય છે તે સત્ય છે, બે મત નથી
અમથી, અસતનાં બળ વિષે, ચર્ચા ન કર

– ડૉ. મહેશ રાવલ

આભાર, સુનીલ.

Comments (2)

આવતા ભવે – વિપિન પરીખ

તું અમેરિકન પત્નીની જેમ
મને છોડીને ચાલી તો ન ગઈ
તેં મને
અનેક મનુષ્યોની વચ્ચે
વકીલોના સહારે
કોર્ટમાં બદનામ પણ ન કર્યો
ન તો ક્યારેય આક્રોશ કર્યો
ન ફરિયાદ કરી
માત્ર એક દિવસ વાતવાતમાં
તું આટલું બોલી ગઈ –
‘આવતા ભવે પતિ તરીકે તમે તો નહીં જ !’

-વિપિન પરીખ

ભવોભવ એક-મેકના સાથી બનવાની માન્યતાને બાળાગોળીને જેમ ચટાડી ચટાડીને ઉછેરાતા ભારતીય દંપતિઓમાંથી કેટલા દંપતિઓ જીવનના અંત લગી સાચેસાચ આ સંસ્કારો જીવી-જિરવી શકતા હશે ? કેટલાક સુખદ અપવાદોને બાદ કરતાં વિવિન પરીખની આ વાત શું મોટાભાગના લોકોના જીવનનો સાચો ચહેરો નથી? ક્યારેક પરિવારની સંકુલતા, ક્યારેક બાળકોના નામની બેડી, ક્યારેક ધર્મનું નડતર અને ક્યારેક સમાજની દિવાલ બે વ્યક્તિને એક છત નીચેથી છૂટા પડતા અટકાવી દે છે. પણ છૂટાછેડા શું માત્ર કોર્ટરૂમમાં જ થાય છે? એક પલંગના બે છેડા પર સૂતેલા બે શરીરો કદાચ રાત્રિના અંધારામાં એક થાય પણ ખરાં, પણ બે મન છૂટા પડીને પૃથ્વીના સામસામા છેડે પહોંચી ગયા હોય એવું નથી બનતું?

Comments (13)

ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ૩

ગયા વર્ષે મિત્રતાને લગતા શેરોની બે શૃંખલા ‘ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે” નામથી (ભાગ-૧, ભાગ-૨) રજૂ કરી હતી. ત્યારે આપણી અને આપણી પાડોશી ભાષાઓમાં પ્રાચીનકાળમાં દોહરા, સાખી, સવૈયા, કુંડળિયા, સુભાષિતો જેવા સ્વરૂપે કરાયેલા મિત્રતાનું શબ્દાંકન રજૂ કરવાની ઈચ્છા થઈ હતી. આપણા સાહિત્યના ભવ્ય ભૂતકાળને મિત્રતાની પરિભાષામાં આજે રજૂ કરું છું:

સબ સે ઊંચી પ્રેમસગાઈ એવું આપણે ત્યાં કહેવાયું છે. આ પ્રેમ કોઈપણ પ્રકારનો હોઈ શકે. બે સ્ત્રી-પુરુષ વચ્ચેનો પણ હોઈ શકે અને માબાપ અને સંતાનો વચ્ચેનો પણ હોઈ શકે, ભાઈ-બહેનો વચ્ચેનો પણ હોઈ શકે અને બે મિત્રો વચ્ચેનો પણ હોઈ શકે. બે અજાણ્યા મનુષ્ય વચ્ચેનો પ્રેમ તો એના પરિઘમાં આવી જ જાય, મનુષ્ય-પ્રાણીપક્ષીઓ તથા સજીવ-નિર્જીવનો પણ એમાં સમાસ થઈ જાય. ટૂંકમાં પ્રેમ એટલે સૃષ્ટિ સમસ્તને આવરી લેતું આકાશ. પ્રેમના હજાર પ્રકાર છે, પણ એમાં સૌથી પહેલું સ્થાન કોને મળે, કહો તો જરા.

અકબરના દરબારમાં એકવાર આ સવાલ ઊઠ્યો હતો. બધા જ દરબારીઓએ માતાના પોતાના સંતાનો માટેના પ્રેમને અવ્વલ ગણાવ્યો પણ બિરબલે કહ્યું હતું કે મનુષ્ય સૌથી વધુ પ્રેમ કેવળ પોતાની જાતને જ કરી શકે. અકબરે સાબિત કરવા કહ્યું ત્યારે બિરબલે એક ખાલી હોજમાં વાંદરી અને એના નવજાત શિશુને ઊતાર્યા. અને હોજમાં પાણી ભરાવવાનું શરૂ કરાવ્યું. હોજ ભરાતો ગયો એમ એમ વાંદરી બચ્ચાને બચાવવા ઉપર તરફ લેતી ગઈ. પહેલાં કમર પર, પછી છાતીએ ને પછી માથા પર. પાણી જ્યારે વાંદરીના નાકથી ઉપર જવા માંડ્યું ત્યારે બચ્ચાને નીચે નાખી એના પર પગ મૂકીને વાંદરી બહાર નીકળી ગઈ.

પૃથ્વી સમું નહીં બેસણું, આભ સમું નહીં છત્ર;
પ્રેમ સમી નહીં માધુરી, આપ સમો નહીં મિત્ર.

મનુષ્ય સ્વયંને સૌથી વધુ ચાહે છે. બીજા નંબરે કદાચ માતાનો નિજ સંતાનો માટેના પ્રેમને મૂકી શકાય પણ મારા મતે બે મિત્રો વચ્ચેનો પ્રેમ બધાથી ચડિયાતો ગણાય.

શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ છે,
મિત્ર! તું ભગવાનથી પણ ખાસ છે.
વીતી, વીતે , વીતશે તારા વગર
એ પળો જીવન નથી, ઉપહાસ છે.

– સાચે જ, દોસ્તી એક એવો સંબંધ છે જે ભગવાનથીય વધીને છે. કેમ? તો કે દોસ્તી ભગવાનને એનો મહેલ છોડીને બહાર આવવા મજબૂર કરી દે છે. દ્વારિકાના રાજમહેલમાં એશોઆરામથી રહેતા શ્રીકૃષ્ણને ખરો સંતોષ તો ગરીબ મિત્રની કેડે બાંધેલ મુઠ્ઠીભર તાંદુલના બૂકડા મારીને જ થાય છે. દોસ્તી સાચી હોય તો ભગવાન પખ પણ પખાળે અને દોસ્તી દિલથી કરી હોય તો ભરસભામાં ચીર પૂરીને લાજ લૂંટાતી પણ અટકાવે. એરિસ્ટોટલે દોસ્તીની વિભાવના દો જિસ્મ, એક જાન કહીને આપી હતી. દોસ્તી એટલે એક એવી ચાવી જે તમને તમારામાં ખોલી આપે છે. દોસ્તી એટલે એવો પેટારો જેમાં હાથ જેટલો ઊંડે નાંખો, એટલો વધુ ખજાનો સાંપડશે. દોસ્તી તમને સર્વથી સ્વ તરફ દોરી જાય છે કેમકે દોસ્ત એક જ વ્યક્તિ એવી છે જે ગાળ આપીને સાચું કહેવાની હિંમત કરી શકે છે, બાકીના સંબંધો તો ફેસબુકની લાઇક્સ જેવા વાડકી-વ્યવહાર જ હોય છે. જીવનમાં જે સંબંધ દોસ્તીની કક્ષાએ પહોંચી નથી શકતો એમાં દુઃખથી વિશેષ કંઈ હાથ લાગવું શક્ય જ નથી. વિલિયમ બ્લેક એક અદભુત વાક્ય આપી ગયા: ‘પંખી માળો, કરોળિયો જાળું, માણસ મૈત્રી’ (The bird a nest, the spider a web, man friendship) મતલબ, માણસનું ખરું ઘર ઈંટ-રેતીથી બનેલું મકાન નહીં, દોસ્તી જ છે.

ખાવા-પીવા ને ગપ્પાં મારવામાં સાથ આપે એવા શેરીમિત્રો અને તાળીમિત્રો તો અનેકાનેક મળી આવશે, પણ આપણાં સુખ-દુઃખ જેમની સાથે સહિયારી શકાય એવા મિત્રો તો લાખોમાં એક જ મળવાનો.

શેરીમિત્રો સો મળે, તાળીમિત્ર અનેક,
જેમાં સુખ-દુઃખ વામીએ, સો લાખનમાં એક.

આજના ફેસબુકિયા અને વૉટ્સએપિયા મિત્રોને મિત્ર ગણી જીવતા લોકોએ ધડો લેવા જેવો ખરો. કારણ સાચો મિત્ર તો એ જ હોય જે દુઃખમાં સાથ દેવા આગળ આવે. મુશ્કેલીના સંઘાડે ઘસાયા પછી જ દોસ્ત હીરો છે કે કાચ એ સમજાય. વિપદા જેવું સુખ નથી એ કંઈ એમનેમ કહ્યું હશે? ફક્ત મિત્ર જ શા માટે, ધીરજ, ધર્મ, શત્રુ અને સ્ત્રી –આ તમામનું ખરું પારખું આપત્તિકાળમાં જ થાય. જૂઠાણાનાં શરબતના બદલે સચ્ચાઈનું ઝેર પીવડાવે, સત્યથી વાકેફ કરે એવા વિરલ મિત્ર ઓછા જ મળશે.

સજ્જન-મિલાપી બહોત હય, તાલીમિત્ર અનેક,
જો દેખી છાતી ઠરે, સો લાખનમેં એક.

મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ જે રહે, દુઃખમાં આગળ હોય.

મુશ્કેલીમાં મિત્રની ખરી કસોટી થાય,
હીરો સંઘાડે ચડે, તો જ ચમક પરખાય.

વિપદા જેવું સુખ નથી, જો થોડે દિન હોય;
બંધુ મિત્ર અરુ તાત જગ, જાન પડત સબ કોય.

ધીરજ ધર્મ મિત્ર અરુ નારી
આપત્તિકાળ પરખીએ ચારી.

સકર પિલાવે જૂઠકી, ઐસે મિત્ર હજાર;
ઝેર પિલાવે સાચકો, સો વિરલા સંસાર.

મિત્ર વાળ જેવો હોવો ઘટે. વાળને ગમે એટલીવાર કેમ ન કાપો, એ ત્વચાનો સાથ ત્યજતા નથી. મિત્ર જુવારના ખેતર જેવો હોવો જોઈએ. માથું ધડથી અલગ કરી નાંખો તોય એ હેત રાખે છે, પેટ ભરે છે.

મિત્ર ઐસા કીજિયે જૈસે સિર કો બાલ,
કાટ કાટ કે કાટિયો, ફિર ભી તજે ન ખાલ.

મિત્ર એડા કીજિયે, જેડા જુવારી ખેત;
શિર કાટીને ધડ વઢાં, તોયે ન મેલે હેત.

જે માણસ તમારી નિંદા કરે છે એ મિત્ર સમાન છે. કારણ કે એની ટીકાઓ જ આપણને સચેત રહેતાં શીખવે છે-

નિંદા હમારી જો કરે, મિત્ર હમારા હોય;
સાબુ લેકે ગાંઠ કા, મૈલ હમારા ધોય.

કહેવતમાં કહ્યું છે કે ડાહ્યો દાનો દુશ્મન સારો પણ મૂરખ મિત્ર ખોટૉ. આ જ વાત લોકસાહિત્યના દુહામાં કહેવામાં આવી છે. એ જ રીતે કદરૂપી પણ કહ્યાગરી પત્ની કહ્યામાં ન રહેતી સુંદર પત્ની કરતાં લાખ દરજ્જે સારી કહેવાય. જે જમાનાની આ વાત છે એ જમાનામાં પત્ની પતિનું કહ્યું કારવતી હોય એ ઇચ્છનીય ગણાતું. મુખમેં રામ બગલમેં છૂરી જેવા સ્વાર્થી અને મૂર્ખ મિત્રની મિત્રતા જોખમકારી સિદ્ધ થઈ શકે. એ જ રીતે કપટી મિત્રથી પણ અંતર રાખવામાં જ ભલાઈ છે. એ તમારું અંતર વાંચી લઈ તમને માર્ગ બતાવવાનો ડોળ કરશે, પણ પાછળથી દગો દેશે. શરીર ઊજળું હોય પન મન મેલું હોય એવા બગલા જેવા મિત્ર કરતાં તો કાગડા જેવો મિત્ર સારો, જે અંદર-બહાર બધેથી એક જ રંગનો હોય.

દુશ્મન તો ડાહ્યો ભલો, ભલો ન મૂરખ મિત્ર;
કદરૂપી પણ કહ્યાગરી, નહી રૂપાળી ચિત્ર.

મુખ મીઠાં, મનમાં કપટ, સ્વાર્થ લગી સગાઈ છે,
કદી જોખમકારી જીવને મૂર્ખની મિત્રાઈ છે.

કપટી મિત્ર ન કીજિયે, અંતર પેઠ બુધ લેત;
આગે રાહ બતાયકે, પીછે ધોખા દેત.

મન મૈલા તન ઉજલા, બગલા કપટી અંગ;
તાતે તો કૌઆ ભલા, તન મન એક હી રંગ.

પાગડી યાને વફાદારી બદલે, વર્તન કે માર્ગ બદલી લે, વચન ન પાળે એવા લોકો સાથેની યારી ખુવારી સિવાય કશું લાવી ન શકે. આવા દોસ્તોના મુખ પર તો ધૂળ ફેંકવી જોઈએ, બદનામ થવા જોઈએ-

પાગ બદલ, બાંટા બદલ, વચન બદલ બેકુર;
યારી કર ખુવારી કરે, વાકે મુખ પર ધૂળ.

પ્રીત રીત બુઝે ન કછુ, મતલબમેં ભરપૂર,
દોસ્ત કહી દુશ્મન બને, વો મુખ ડારો ધૂળ.

જાતવાન લોકો સાથે જ મિત્રતા કે પ્રેમ થઈ શકે. કમજાત સાથે દોસ્તી કરવી એ રેતીની ભીંત બનાવવા જેવું છે-

પ્રીતિ અસીલસેં હોત હય, સબસેં નીભે ન પ્રીત;
કમજાતકી દોસ્તી, જ્યું બાલુકી ભીંત.

કેળું, કેરી, કામિની, પિયુ, મિત્ર, પ્રધાન;
એ સર્વે પાકાં ભલાં, કાચાં ના’વે કામ.

હરિ સમરે પાતક ઘટે, મિત્ર હરે નિજ પીર;
અરિ સમરેમેં તીન ગુન, બુદ્ધિ, પરાક્રમ, ધીર.

પ્રીત ત્યાં પડદો નહીં, પડદો ત્યાં નહીં પ્રીત;
પ્રીત ત્યાં પડદો કરે, તે દુશ્મનની રીત.

છેલ્લે સ્નેહરશ્મિના એક મુક્તકથી આજની વાત પૂરી કરીએ:

શમે ના વેરથી વેર, ટળે ના પાપ પાપથી;
ઔષધ સર્વ દુઃખોનું, મૈત્રીભાવ સનાતન.

(ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે – ભાગ -૧, ભાગ-૨)

Comments (7)

ત્રણ ત્રિપદીઓ – હેમેન શાહ

વૃક્ષ ચાલ્યું સ્કંધ પર ચકલી લઈ,
પ્હાડ પણ દોડ્યા ઝરણ પડતાં મૂકી !
કોણ આવ્યું મ્હેક આછકલી લઈ ?

દાવ એક જ છે તો ખેલી નાખીએ,
પ્રુથ્વીના ગોળાનો એક છેડો લઈ
ભેદ ઈશ્વરનો ઉકેલી નાખીએ.

સારા-નરસાના કશા પરદા નથી,
વિશ્વનું પ્રતિબિંબ પરપોટો ઝીલે,
સાફદિલ તત્વોને આવરદા નથી.

– હેમેન શાહ

ત્રિપદીઓ ધીમે ધીમે મારો ગમતો કાવ્યપ્રકાર થતી જાય છે ! વઘારે કવિઓ ત્રિપદીઓ લખે એવી મારી આશા છે. ત્રિપદીઓમાં કલ્પનોની તાજગીની જે પરંપરા છે એ મને સૌથી વધુ ગમે છે. આ ત્રણમાંથી એકેય ત્રિપદી સમજાવવાની જરૂર જ નથી. એતો અત્તરની નાની શીશીઓ જેવી છે… ખુલતાં જ જન્નત !

Comments (1)

દિલ વિના લાખો મળે – મરીઝ

આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.

લ્યો નવાઇ આપની શંકા સુધી પહોંચી ગઇ.
બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી.

એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે,
મનમાં નબળાઇ છે તેથી દુર્દશા કહેતા નથી.

એ જ લોકો થઇ શકે છે મહેફિલોની આબરૂ,
જેઓ વેરાનીને પણ સૂની જગા કહેતા નથી.

બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.

મરીઝ

ગુજરાતના ગાલીબ ગણાતા આ મહાન શાયરની આ રચનાની છેલ્લી કડી બહુ જ જાણીતી છે.

Comments (9)

ચમન તુજને સુમન – કૈલાસ પંડિત

ચમન તુજને સુમન, મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે, ને પછી જખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનિયાનો લઇને હું ઘડાયો’તો,
ખબર ન્હોતી તમારી, આંખ મુજને છેતરી જાશે.

ફના થાવાને આવ્યો’તો, પરંતુ એ ખબર ન્હોતી,
કે મુજને બાળવા પ્હેલાં , સ્વયમ્ દીપક ઠરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો’તો એવા આશયથી,
હશે જો લાગણી એના દિલે, પાછો ભરી જાશે.

મરણની બાદ પણ ‘કૈલાસ’ ને બસ રાખજો એમ જ,
કફન ઓઢાવવાથી, લાશની શોભા મરી જાશે.

કૈલાસ પંડિત

 

ગમગીનીની ગઝલો જેમને વધારે સદતી હતી તેવા આ ઋજુ હૃદયના કવિનું જીવન પણ ગમથી ભરેલું હતું. તેમની આ રચના શ્રી. મનહર ઉધાસના કંઠે સાંભળતાં આપણે પણ એ માહોલમાં ખેંચાઇ જઇએ છીએ.

Comments (3)

હથોડી – કાર્લ સેન્ડબર્ગ (અનુ. સુરેશ દલાલ)

જૂના પુરાણા દેવોને
મેં જતા જોયા છે
અને નવા દેવોને આવતા.

પ્રત્યેક દિવસે
અને વરસે વરસે
મૂર્તિઓ પડે છે
અને પ્રતિમાઓ ઊભી થાય છે.

આજે
હું હથોડીની ભક્તિ કરું છું.

કાર્લ સેન્ડબર્ગ

આ નાનકડા કાવ્યના કેટલાય અર્થ છે. એક તરફથી જુઓ આ કવિતા એ ‘કિંગ’ અને ‘કિંગ-મેકર’ની વાત કરે છે. અને બીજી બાજુથી જુઓ તો આ કાવ્ય લોકશાહીની પ્રણાલીની વાત કરે છે જેમા મૂર્તિઓ ઘડતી હથોડી એટલે કે પ્રજા જ આખરે રાજા છે. અને વળી બીજા ખૂણેથી જુઓ તો આ કવિતા – પરિવર્તનથી  વધુ શાશ્વત વાત કોઈ નથી – એ ધ્રુવવાક્યનો પડઘો પાડતી જણાય છે. તમને જે ગમે તે અર્થ છે તમારે માટે ખરો અર્થ !

Comments (1)

ધન્ય – નરેન્દ્ર મોદી

પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.

-નરેન્દ્ર મોદી

ગઈકાલે ૦૭-૦૪-૨૦૦૭ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ નું વિમોચન મુંબઈના ભાઈદાસ હૉલમાં થયું. રાજકારણ સાથે સંકળાયેલો માણસ જ્યારે શબ્દ સાથે પનારો પાડે ત્યારે પહેલાં તો શંકા જાગે કે એ સાચા શરસંધાન કરી શક્શે ખરો? પણ જેમ રામે પરશુરામની શંકા શિવધનુષ ધારીને કડડડભૂસ કરી હતી એમ ન.મો.ના કાવ્યો સાહિત્યરસિકોની આશંકાને સાનંદાશ્ચર્યથી નવાજી ખોટી પાડે છે. ગીતની કક્ષામાં આવી શકે એવું આ કાવ્ય મહદ્ અંશે તરન્નુમમાં ભાસે છે. પહેલી કડીમાં પૃથ્વીના સૌંદર્યનું વિશાળ ફલક રજૂ કરી બીજી જ પંક્તિમાં કવિ આંખ જેવી ઝીણકી સંજ્ઞા પર ભાવકને એવી મસૃણતાથી પછાડે છે કે કાવ્યમાં આગળ ખરેખર કવિતા આવશે એવી ભાવાનુભૂતિ થયા વિના રહેતી નથી. પૃથ્વીની રમ્ય વિશાળતા આંખના ઝીણકાપણાથી માણીએ તો જ જીવન ધન્ય બને. ઝાલ્યા ન ઝલાતા તડકાના ઢોળાવાની વાત અને હવામાં રંગોના વર્તુળો દોરતા મેઘધનુની વાત સાથે પુણ્યને સાંકળીને કવિ પ્રકૃતિના નાના-મોટા સાક્ષાત્કારોને ધન્યતાની ઊંચાઈ આપવામાં સફળ થયા છે. સમુદ્ર આકાશમાં ઊછળે? અને એની સાથે વાદળોની વાત? રાજકારણના આદમી શબ્દકારણના કવિ તરીકે ક્યાંક વાણીવિલાસ તો નથી કરી બેઠા ને? અરે હા! વાદળોના ગાભમાં હકીકતે ભર્યું છે શું? સમુદ્રનું બાષ્પીભવન થયેલું પાણી જ ને? અંતરાના અંતમાં જ્યારે કવિ ‘ભરેલા શૂન્ય’ની વાત કરે છે ત્યારે અચાનક તડકો, રંગધનુ, સમુદ્ર અને વાદળોના ગાભને એકસૂત્રે બાંધતા વૈજ્ઞાનિક તથ્યની ચમત્કૃતિનો શબ્દાત્કાર થાય છે અને પૃથ્વીની રમ્યતા શબ્દોમાંથી નીકળીને આપણા અહેસાસ સાથે સંકળાતી લાગે છે, જે કવિતાની સાચી ફળશ્રુતિ છે. કવિ માત્ર સૌંદર્યની વાત કરીને અટકી નથી જતાં. એમની ભીતરે તો કૈંક બીજું જ અભિપ્રેત છે. માનવીના મેળામાં ભળવાની વાત સાથે અન્યોની  હાજરીમાં પોતાની જાતને કળવાની વાત કવિની જાગૃત સંવેદનાનું દ્યોતક્ છે. અને અંતે આ બધા ગમ્યની બહાર કશુંક અગમ્ય પણ છે કહીને પોતાની ધારી ચોટ પૂરી કરે છે ત્યારે લાગતું નથી કે ગુજરાતની સૂરત બદલી નાંખનાર કોઈ પ્રખર રાજકારણીના આ શબ્દો છે.

Comments (40)

ગઝલપૂર્વક (કડી:૨) – અંકિત ત્રિવેદી

મંચ અને રોમાંચની વચ્ચે તાળીઓની ઘોડાપૂર વહેતી નદીમાં તણાયા વિના પોતાના શબ્દનો નોખો કિનારો બાંધવો એટલું સહેલું નથી. પ્રસિદ્ધિ અને પ્રશંસા ભલભલાને રસ્તામાં જ મારી નાંખે છે. અંકિત ત્રિવેદી મંચની સફળતાને ગળામાં જ અટકાવી દઈને કાવ્યની ગંગાને માથે ધારી-અવતારી શક્યા છે એ એમની સિદ્ધિ. ગયા અઠવાડિયે એમના કેટલાક શેરો માણ્યા પછી આજે એ યાત્રાના બીજા મુકામ પર આવીએ. આપના પ્રતિભાવો અહીં આપીને આપ વિશ્વભરના ગુજરાતીઓ સાથે વહેંચી શકો છો અને ઈચ્છો તો અં.ત્રિ.ને પણ સીધેસીધા મોકલાવી શકો છો: ghazalsamrat@hotmail.com

પડીને એકલો એવું વિચારું,
બધાથી એકલો ક્યારે પડ્યો છું?

આંખમાં આંખો પરોવી એટલામાં,
સૌ ક્ષિતિજો સૂર્ય ઓગાળી ચૂકેલી.

તું હિસાબોની બ્હાર રહેવાનો,
શું કરું હું તને ઉધારીને ?

તું કહે છે કૈંક તો દૂરી કરો,
હું કહું છું આ ગઝલ પૂરી કરો.

તેં કરેલા સૌ ખુલાસાઓની આગળ માત્ર મેં તો,
શેર આ સામો ધર્યો છે, ક્યાં ગઝલ પૂરી કહી છે ?

દ્રશ્યની જો ઘરાકી જામી છે,
હોય જાણે દુકાન આંખોમાં.

આપણાથી કશું ન બોલાયું,
એમનું પણ સ્વમાન આંખોમાં.

કોઈ બીજાનાં હશે માપી જુઓ,
આપણાં આવાં નથી પગલાં કદી.

જે કદી સોંપી દીધેલું કોઈને,
એ હૃદયની વાત જાણું કઈ રીતે?

આ ગઝલ ક્યાં દોસ્તો અમથી લખાય છે?
કેટલીયે સાંજના શ્વાસો રૂંધાય છે !
વધુ આગળ વાંચો…

Comments (10)

કાચના અસ્તિત્વ પર… – ઉર્વીશ વસાવડા

કાચના અસ્તિત્વ પર પ્રશ્નાર્થ લાગી જાય છે
હાથમાંથી એક પથ્થર જ્યારે ફંગોળાય છે

બંધ મૂઠ્ઠી ખોલવામાં પ્રશ્ન એ સર્જાય છે
હસ્તરેખાની લીપી ક્યાં કોઈને સમજાય છે

કેમ કોઈ સાંભળી શકતું નથી આ શહેરમાં ?
એક પંખી તારસ્વરમાં ગીત કાયમ ગાય છે

આ જગાએ એક ટહુકો સાંભળ્યો તો મે કદી
એ સતત મારા સ્મરણમાં આજે પણ પડઘાય છે

બુદબુદા ફૂટે સપાટી પર બધા દેખી શકે
કોઈને પેટાળના વિસ્ફોટ ક્યાં દેખાય છે.

– ઉર્વીશ વસાવડા

આમ તો ગઝલ આખી સરસ છે. પણ બીજો શેર મને સૌથી ગમ્યો. હસ્તરેખાની લીપીની વાત સરસ રીતે આવી છે. એક બાજુ મુઠ્ઠી ખોલવાની વાત છે જ્યારે બીજી બાજુ ભવિષ્ય વાંચવાની વાત છે ! આગળ વિવેકે ઉર્વીશભાઈના સંગ્રહ ‘ટહુકાના વન’ની સફર કરાવેલી એ પણ આ સાથે જોશો.

આ ગઝલ મોકલવા માટે આભાર, કલ્પન !

Comments (1)

ગયો – ડો. દિલીપ મોદી

લ્યો, વસંતી સૂર હું સૂણી ગયો
રંગબેરંગી પળે ટહુકી ગયો.

મિત્રતાનું એ કમળ લેવા જતાં
દોસ્ત! કાદવમાં પછી ખૂંપી ગયો.

ખૂટી ગઇ છે મારી પણ ધીરજ હવે
આમ જીવન જીવતા થાકી ગયો.

મારી મરજી હો, ન તારી મરજી હો
આંખથી હું સત્યને સમજી ગયો.

અટકળોની બાહુઓમાં છેવટે
થઇ અધીરો ખુદ સમય વળગી ગયો.

બાગનું સરનામું ક્યાં મળતું હતું?
હું ઇશારે મ્હેંકના પ્હોંચી ગયો.

ગત જમાનાની છબી થઇને ‘દિલીપ’
ભીંતમાંની ખીલી પર લટકી ગયો.

ડો. દિલીપ મોદી

Comments (5)

તાર જોડી દે- હરીશ પંડ્યા

ગાંઠ જૂની આજ છોડી દે હવે,
બંધ કિલ્લો આજ તોડી દે હવે.

બિંબ સાચું એક જેમાં ના મળે,
દર્પણોને આજ ફોડી દે હવે.

સર થશે પર્વત સમો આ માનવી,
લાગણીનો ધ્વજ ખોડી દે હવે.

પ્રેમનું સંગીત ગુંજી તો રહે,
બે હૃદયના તાર જોડી દે હવે.

જિંદગીની પાથરી ચોપાટ છે,
હાથમાં એનાય કોડી દે હવે.

હરીશ પંડ્યા

પૂર્વગ્રહો અને રૂઢ માન્યતાઓથી સ્વતંત્રતા વાંછતી આ ગઝલ મુક્ત મનના માનવીની ચિત્ત વૃત્તિને અનુકૂળ આવે તેવી છે! મત્લામાં ‘એના’ શબ્દ વાપરીને કવિએ ઘણું બધું કહી દીધું છે. જેના ગુણગાન ગાતાં આપણે થાકતા નથી તેવા પરમ તત્વને ય જિંદગીની ચોપાટમાં રમવા દેવાનું ઇજન આપીને કવિએ બહુ મોટી વાત કરી દીધી છે.

Comments (3)

પ્રભાત સૂર્યમાં – ઉશનસ્

આપણું પ્રાતના તાપમાં ચાલવું.

કેન્દ્ર લૈ ચરણમાં
ઈન્દ્રધનુ વરણમાં
કો અનાવરણમાં
વ્યોમના વ્યાસના વ્યાપમાં ચાલવું !

તેજ-છાયા-વણી
બિંબ-બિંબોતણી
ચો-ભણી ગૂંથણી,
આપણું કો મહાખાપમાં ચાલવું !

રેખનું ખરી જવું,
રૂપનું ગળી જવું,
આપમાં મળી જવું,
આપણું આપણા આપમાં ચાલવું !
આપણું પ્રાતના તાપમાં ચાલવું.

– ઉશનસ્

થોડા વખતથી બધી ગંભીર રચનાઓ જ મનમાં આવે છે. એટલે આ વખતે ખાસ આ પ્રસન્ન રચના શોધી ! આવું જ એક ગીત ઉમાશંકરનું પણ છે – ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.

Comments (2)

ગઝલ – મનોજ ખંડેરિયા

ખૂબ અંદર ભીનો છું નહીં સળગું;
કાષ્ટ સૂકાં ને સૂકાં જ ગોઠવજો.

ના ગમે તો ઊઠીને ચાલ્યા જજો,
શરમે મારી ગઝલ ન સાંભળજો.

એનું માઠું મને નહીં લાગે,
મારું માઠું વરસ છે તે સમજજો.

– મનોજ ખંડેરિયા

ત્રણ જ શેરની આ ગઝલ વરસાદના નાના પણ જોરદાર ઝાપટા જેવી છે. ભીંજાયે જ છુટકો !

Comments (5)

ગઝલ – મુકુલ ચોક્સી

ઐશ્વર્ય હો અલસનું ઉપર તિલક તમસનું
ઉન્માદ કેવું રક્તિમ છે રૂપ આ રજસનું,

ફાડી નથી શકાતું પાનું વીત્યા વરસનું
મનને છે કેવું ઘેલું આ જર્જરિત જણસનું ! 

પૂર્વે હો પારિજાતો, પશ્ચિમમાં પૂર્ણિમાઓ
ચારે તરફ હવે તો સામ્રાજ્ય છે સરસનું

બાહુ વહાવી દઈને બારીથી બારણાથી,
ઓછું કરી દો સાજણ, અંતર અરસપરસનું.

પેટાવો પાંદપાંદે એ તળપદાં તરન્નુમ
બુઝાવો ધીમે ધીમે એ તાપણું તરસનું

કેવા અસૂર્ય દિવસો ! કેવી અશ્યામ રાતો !
કેવું ઝળકઝળકતું મોંસૂંઝણું મનસનું 

– મુકુલ ચોકસી

મુકુલ મનહરલાલ ચોક્સી. (જ. 21-12-1959). જન્મે ને કર્મે સુરતી. કવિ. હાસ્ય કવિ. મનોચિકિત્સક. સેક્સોલોજીસ્ટ. સરવાળે ન મળ્યા હોય તો પસ્તાવું પડે એવો માણસ. કેટલાક કવિઓ શબ્દ પાસે જઈને યાચના કરે, આરાધના કરે અને કવિતા કરે. આ માણસ એવો કે શબ્દ જાતે એની પાસે આવે અને નવોન્મેષ પામી ગૌરવાન્વિત થાય. એના જબરદસ્ત કવિકર્મને કદાચ ર.પા.ની હરોળમાં મૂકી શકાય. તરસનું તાપણું અને અશ્યામ રાતો એ મુકુલની કવિતામાં જ આવી શકે.  પરસ્પરને અત્યંત તીવ્રતાથી મળવાની ઘડીમાં કદાચ આપણા બાહુઓ પણ આડખીલી લાગે. બાહુને વહાવી દઈને એકમેક વચ્ચેનું અંતર શૂન્ય કરવાની વાત ગઝલને અ-લૌકિક અનુભૂતિના સ્તરે મૂકે છે. (કાવ્યસંગ્રહો:  ‘તરન્નુમ’, ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’, ‘તાજા કલમમાં એજ કે…’)

Comments (15)

ગઝલપૂર્વક (કડી:૧) – અંકિત ત્રિવેદી

ગુજરાતી ભાષાના કોઈપણ મોટા કવિસંમેલન કે સુગમ-સંગીતનો કાર્યક્રમ આપે છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં – દેશમાં કે વિદેશમાં- માણ્યો હશે તો (નંબર વિનાના) ચશ્મા પહેરેલા, ફ્રેન્ચ-કટ દાઢીવાળા એક લબરમૂછિયા, કુંવારા અને ખાસ તો દેખાવડા છોકરાને મંચની મધ્યમાં પલાંઠી વાળીને બંને હાથ ખોળામાં દબાવીને ચીપીચીપીને ભાર વિનાના પણ અણિશુદ્ધ ગુજરાતીના અસ્ખલિત પૂરમાં તણાતો અને તમને સૌને તાણી જતો જરૂર જોયો હશે. કાર્યક્રમનું કેન્દ્રબિંદુ ગમે તે હોય, પણ આ છોકરો તમારા હૃદયના વ્યાસની મધ્યસ્થે અચૂક પોતાની હાજરીનો મીઠો ખીલો ભોંકી જવાનો, જેને તમે બીજા વરસોવરસ લગી નહીં જ ઉખાડી શકો. જી હા! અંકિત ત્રિવેદીની જ વાત થઈ રહી છે. અં.ત્રિ.એ ખૂબ ટૂંકા સમયમાં ગુજરાતી કાવ્યમંચની પરિભાષા સમૂળગી અને એવીપ્રબળતાથી બદલી નાંખી છે કે આજે એ ગુજરાતી મંચનો અનિવાર્ય પર્યાય બની ગયા છે. પણ એ માત્ર મંચનો આદમી નથી, એ સુંદર સંપાદનો પણ કરે છે અને સૌથી વિશેષ પોતાની પોતીકી ઓળખ વિશે પણ સજાગ છે. મંચ અને સંપાદનની બહારની દુનિયામાં પણ એક અં.ત્રિ. છે એવું સાબિત કરવા એ લઈને આવે છે એનો એના જેવો જ કાચોકુંવારો ગઝલસંગ્રહ- ‘ગઝલપૂર્વક’. લગ્ન અને જીવનના બહોળા અનુભવ મેળવ્યા પહેલાંની આ ગઝલો છે, એ ખાસ યાદ રહે. જો આ શાયર મુશાયરાના ઝળાંહળાં અજવાસના અંધારામાં અટવાઈ ન જાય તો એની આવતીકાલ ખૂબ લાં…બી હોવાની… (‘ગઝલપૂર્વક’ની રચનાઓ લયસ્તરો પર મૂકવાની પરવાનગી આપવા બદલ અં.ત્રિ.નો આભાર!)

કૈંક યુગોથી સ્થિર ઊભો છું, રસ્તામાં છું,
હું ક્યાં સાચો પડવાનો છું ? સપનામાં છું.

સાથે રહ્યો છું તારી આ તેનો દમામ છે,
આંસુ એ મારી આંખનો તકિયાકલામ છે.

ચંદ્ર કેવો શાંત પાણી પર તરે છે ?
તું મને પણ એમ ખુલ્લામાં મૂકી જો.

ઘણા યુગોથી ઊભો છું સમયસર એ જ જગ્યા પર,
રદીફ છું તે છતાં પણ કાફિયાનું ધ્યાન રાખું છું.

પીડા તો છે પીડા જેવી ને એના ભાગ્યમાં ડૂમો,
ગઝલમાં આવી તો ટહુકો થઈને કઈ રીતે આવી.

ચારે તરફ નગરમાં બનતું નથી કશું પણ,
છે રાબેતા મુજબનું તેથી જ બીક લાગે.

ક્યાં નદીની જેમ સામે ચાલી મળવાનું કહે છે ?
તું મને કાયમ સપાટી પર ઉછળવાનું કહે છે.

ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

કોઈ બીજાના ફોનનો નંબર લગાડતાં
આવીને મારા ટેરવે જોડાઈ જાય તું.

ખાલીપણું તો એકલાથી ના થયું સહન,
પંખી નથી તો ડાળીનો હિસ્સો નમી ગયો.

વધુ આગળ વાંચો…

Comments (26)

(જીવી શકીશ ?) – આર.એસ.દૂધરેજિયા

ચોખા તો કંકાવટીના કંકુમાં
ડૂબી મર્યા છે
ને આસોપાલવના બધાં પાંદડાંઓ
તોરણ છોડીને પાછાં ચાલ્યાં ગયાં છે ઝાડ પર
ઉંબરમાં શ્રીફળ ફોડો
તો તેમાંથી નીકળે છે તરફડતો ખોબો
હું ઘડીક શણગારેલા ઓરડાને
જોઈ રહું છું
તું તારા ચહેરાને ઘુંઘટમાં
જેમ તેમ પણ બંધ કરી શકે છે
પણ –
મારે મારા ખોબાને મુઠ્ઠીમાં કેમ બંધ કરવો ?
હું કદાચ તારો ઘુંઘટ ખોલીને જીવી જાઉં
પણ –
તું મારી મુઠ્ઠી ખોલીને જીવી શકીશ…?

– આર.એસ. દૂધરેજિયા

આ કવિતાના જવાબમાં અહમદ ‘ફરાઝ’નો શેર યાદ આવી ગયો –

તુ ખુદા હૈ ન મેરા ઈશ્ક ફરિશ્તોં જૈસા
દોનો ઇન્સાં હૈ તો ક્યો ઈતને હિજાબોં મે મીલે

(યાદદાસ્તના આધારે જ આ શેર લખ્યો છે… ભૂલચૂક લેવીદેવી! હિજાબ=પડદો )

Comments (1)

ભીતરી ઝવેરાત – હરીશ પંડ્યા

આપણી વચ્ચે કશું એવું નથી, એવું નથી,
હોય તો પણ એ તને કહેવું નથી, કહેવું નથી.

છે નકી ઝાકળ સરીખો પ્રેમ વેચાતો અહીં,
દર્દ બીજાનું હવે લેવું નથી, લેવું નથી.

રોજ ઊગે ચાંદ- સૂરજ આ ધરા અજવાળવા,
શ્વાસનું તો કાયમી જેવું નથી, જેવું નથી.

હું નજર ઢાળી ધરા પર એમ બસ ફરતો રહું,
પ્રેમનાં એ દર્દને સ્હેવું નથી, સ્હેવું નથી .

ક્યાં મળે છે પાત્ર એવું, કે બધું આપી શકું,
ભીતરી ઝવેરાતને દેવું નથી, દેવું નથી.

–  હરીશ પંડ્યા 

રદ્દીફ અને કાફીયા બન્ને દોહરાવાય છે તેવી આ ગઝલનું વિશિષ્ઠ સૌંદર્ય આપણા મનને ગમી જાય તેવું છે.  

Comments

મન ચીતરીએ – મુકુન્દ પરીખ

હવા મહીં આ ફરફર ફરફર અજવાળાંના પડદે
નમણી તિમીર વેલ ચીતરીએ
તું કહે તો તિમીર કેરું વન ચીતરીએ
નહિતર મોર કે ઢેલ ચીતરીએ….

અજવાળાના કોરા કોરા પડદે
હું તું ના ઓગાળી ભ્રમને
એક જ ભીનું તન ચીતરીએ.
નહિતર નિજ સ્પંદન ચીતરીએ….

આ ચોમાસે થાય કશું, ચીતરીએ.
સૂક્કા વૃક્ષે મથે ફૂટવા એકલદોકલ પર્ણ ચીતરીએ.
તું કહે તો શ્વસતું ભીતર જણ ચીતરીએ.
નહિતર કેવળ મન ચીતરીએ.

મુકુન્દ પરીખ

 અંતરની લાગણીઓને ચીતરવાના કવિના આ અભરખા જીવનની, જીવવાની, કૂંપળો ફૂટવાની અભિલાષાને કેવી નાજૂક અભિવ્યક્તિ આપી જાય છે?

Comments (4)

ખેતી – ચંદ્રવદન મહેતા

‘ઈલા ! કદી હોય સદા રજા જો,
મૂકું ન આ ખેતરની મજા તો;
જો સ્વર્ગથી આંહી સર્યું સુવર્ણ,
એથી થયાં શોભિત ઘાસ પર્ણ.

આવે મજેને કુમળે પ્રભાત,
વ્હેલાં જવું ખેતરમાંહી સાથ,
ને ન્યાળવા નિર્મળ દિવ્ય રંગ;
હૈયા મહીં માય નહિ ઉમંગ.

જો ખેતરો ડાંગર શેલડીના,
વેલા વીંટેલા ફૂલવેલડીના,
એમાં ઢળે આ મૃદુ તેજધાર,
શોભા અહીં ખેતરની અપાર.

હું તો કરું બ્હેન સદા ય ખેતી
કાને ધરું ના જરી લોકકે’તી,
વાવી લણું તો ધનધાન્ય સ્હેલ,
જો ને પછી થાઉં ધનો પટેલ.’

‘હો હો, તું જો થાય ક ની પટેલ,
તો એક રૂડી નકી માગું વ્હેલ;
ને શેલડી ડાંગર જો ઉગાડે,
તો હું ય વાવું વળી તે જ દા’ડે.

ને શેલડીનો રસ પીલી કાઢું,
ને હું જ પ્હેલાં મુજ કો’લુ માંડું;
ને ગોળ મીઠો જરીમાં બનાવું,
એ સાથ ધાણા ઘર વ્હેચડાવું.

બે છોડ હું ડાંગરના ઉગાડું,
ને એ લણી ભાત પછી ય ખાંડું,
ને રોજ વ્હેલા ઊગતે પ્રભાત,
તારે કપાળ વળી ચોડું ભાત.

ને સૂર્ય શાં ભાવિ ઊજાળનારાં
ઓવારણાં રોજ લઉં હું તારાં;
ને રોજ હું તો ઊજવું ઉજાણી,
એથી વધારે-નહિ ભાઈ જાણી.’

– ચંદ્રવદન મહેતા

ભાઈ-બહેનના સ્નેહને ચં.ચી.એ ઈલા કાવ્યો દ્વારા જેટલો ગાયો છે એટલો ગુજરાતીમાં બીજા કોઈએ ગાયો નથી. એમના ઈલા કાવ્યો  ગુજરાતી ભાષાનું અનેરું ઘરેણું છે. મુગ્ધ સ્વપ્નસૃષ્ટિ અને કોમળ ભાવવિહારથી આ ગીતો શોભી ઊઠે છે. ઈલા કાવ્યોની પ્રસ્તાવનામાં ચં.ચી. આ કાવ્યો પાછળનો પોતાનો હેતુ એટલા સરસ શબ્દોમાં રજૂ કર્યો છે કે એ અહીં ટાંકવાનો મોહ જતો કરી શકતો નથી.

હું કુબેરદેવ હોઉં તો ઠેકઠેકાણે ઇમારતો બાંધી એને ‘ઈલા’ નામ આપું; (અરે હું વિશ્વકર્મા હોઉં તો -કે બ્રહ્મા જ હોઉં તો- નવી સૃષ્ટિ રચી એને ‘ઈલા’ નામ નહિ આપું ?); હું શિખરિણી હોઉં તો એકાદ ભવ્ય અને સુંદર ગિરિશૃંગ શોધી, ત્યાં ચડી એને ‘ઈલાશિખર’ નામ આપું; હું કોઈ મોટો સાગરખેડુ હોઉં તો એકાદ ખડક શોધી વહાણોને સાવચેત રહેવા ત્યાં એક નાજુક પણ મજબૂત દીવાદાંડી બાંધી એને ‘ઈલા દીવી’ નામ આપું અથવા તો હું એક મહાન વૈજ્ઞાનિક થાઉં તો જગતજ્યોતિમાંથી એકાદ નવું રશ્મિ શોધી એને ‘ઈલાકિરણ’ નામ આપું કે ખગોળમાં નવો જ ‘ઈલાતારો’ શોધું.

પરંતુ અત્યારે સંતોષે એવું તો આ જ છે. એક સ્મારક. આ તો રંક પ્રયાસ, ભગિનીહેતના ભવ્ય કર્મકાંડના ઉપનિષદ-સાહિત્યમાંથી એકાદ નજીવા શ્લોકનો ઉચ્ચારમાત્ર,  ધ્વનિમાત્ર,  શબ્દમાત્ર…

આગળ પણ એક ઈલા કાવ્ય રજૂ કરેલું એ પણ જોશો. ઈલા કાવ્યો પહેલી વાત છેક 1933માં પ્રગટ થયેલા. તે વખતે આ ગીતો રમેશ પારેખના સોનલ કાવ્યો જેટલા જ કે કદાચ એનાથી ય વધુ લોકપ્રિય થયેલા. (મારે માટે આ કાવ્યો વધુ ખાસ છે કારણ કે મારા ફોઈનું નામ ઈલા એટલે આ બધા ઈલા કાવ્યો મારા પપ્પાને ખાસ વહાલાં. અને એથી આ બધા કાવ્યો ઘરમાં અવારનવાર ગવાતાં.)

Comments (3)

ગઝલ – અંકિત ત્રિવેદી

શક્યતાને આ રીતે સાંધો નહીં,
ઉંબરા પર ઘર તમે બાંધો નહીં.

સાચું પડશે તો મઝા મારી જશે,
સ્વપ્ન જોવામાં કશો વાંધો નહીં.

એટલી ખૂબીથી ચાદરને વણી,
ક્યાંયથી પણ પાતળો બાંધો નહીં.

એમને તો જે હશે તે ચાલશે,
એમના નામે કશું રાંધો નહીં.

આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં.

-અંકિત ત્રિવેદી

આમ તો આખી ગઝલ સારી છે, પણ હું પહેલા શેરથી આગળ નહીં વધું. વાત છે શક્યતાને સાંધવાની અને પ્રતીક છે ઉંબરો. ઉંબરો એ ઘર અને બહારની વચ્ચેનો સાંધો છે. તમે ક્યાં ‘ઘર’ની અંદર રહી શકો છો, ક્યાં ‘બહાર’. ઉંબરા પર-વચ્ચે-રહી શકાતું નથી. ઉંબરો ત્યારે જ ઉદભવે જ્યારે પાછળ ‘ઘર’ અને આગળ ‘બહાર’ હોય! ઉંબરા પર ઘર બાંધવું એટલે જાણે સમસ્યાની આ પાર પણ નહીં અને પેલી પાર પણ નહીં. ઉંબરા પર રહેવાની વાત ગતિહીનતાની વાત છે, સ્થગિતતા, નિર્જીવતાની વાત છે. ઉંબરો થીજી ગયેલી જડતા છે. એને વટાવીને જ તમે અંદર કે બહાર જઈ શકો છો. અંકિત ત્રિવેદીના ‘ગઝલપૂર્વક’ના ઘરમાં પ્રવેશવા માટેનો ઉંબરો છે કદાચ આ શેર… હવે આગળ ગઝલ વાંચીએ……

Comments (44)

ચંદનહાર – ચીમનલાલ ભીખાભાઈ જોશી

સ્ત્રી : ઝટ જાઓ ચંદનહાર લાવો, ઘુંઘટ નહીં ખોલું હું
મને લાગ્યો એ હારનો નેડલો, તમથી નહીં બોલું હું.

પુરૂષ : મોંઘી તારી માગણી અને મોંઘા તારા મૂલ,
મોંઘી તારી પ્રીતડી, મેં કરતાં કીધી ભૂલ રે.
ઘુંઘટ ઝટ ખોલો ને…

સ્ત્રી : મોહન મેં તો માંગિયો, મોંઘો ચંદનહાર
લાવો હાર પિયુ, પછી તમે લૂટો જોબનિયાની બહાર રે…
ઘુંઘટ નહીં ખોલું હું…

પુરૂષ : રામે મૃગને મરિયો, કનક કંચુકી કાજ,
હું મારું કોઈ સોનીને, આ નથી નવાબી રાજ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…

સ્ત્રી : અલગારા અલબેલડા, કરગરતા શું કામ ?
હાર ન લાવો ત્યાં સુધી, તમે લેશો ન મારું નામ રે,
ઘુંઘટ નહીં ખોલું હું…

પુરૂષ : ચંદનહાર ચૌટે મળે, જો હોય ખિસ્સામાં દામ,
સોની નાજાભાઈ તો આજે ગયા છે ભાવનગર ગામ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…

સ્ત્રી : તું મદરાસી મોરલો ને હું સોરઠની ઢેલ,
પરણ્યા હોય તો પાળજે, નહિં તો પિયર વળાવી મેલ રે,
ઘુંઘટ નહીં ખોલું હું…

પુરૂષ : જૂનાગઢની સુંદરી ને પન્ના તારું નામ,
આ ભાંગવાડી ભેગી થઈ, તને જોવા આવ્યું મુંબઈ ગામ રે,
ઘુંઘટ ઝટ ખોલો ને…

સ્ત્રી : હાર ન જોઈએ હેમનો, ના જોઈએ રેશમચીર
ચંદનહાર લાવી દિયો, મારી સગી નણદલના વીર રે…
ઘુંઘટ નહીં ખોલું હું…

-ચીમનલાલ ભીખાભાઈ જોશી

ગુજરાતી ચલચિત્ર ‘અખંડ સૌભાગ્યવતી’માં થોડા ફેરફાર સાથે આવેલું આ ગીત આજે લોકગીતની હદે એટલું પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે કે ચીમનલાલ જોશીએ આ કાવ્ય રચ્યું છે એમ ખબર પડે તો એક હળવો આંચકો અનુભવાય. નવપરિણીત સ્ત્રી-પુરૂષ વચ્ચેની મીઠી નોંક-જોંક, સ્ત્રીનો આભૂષણપ્રેમ અને પતિ પાસે યેન-કેન પ્રકારે ધાર્યું કરાવવાની વૃત્તિ આ ગીતમાં સુંદર રીતે આલેખાઈ છે. ક્યારેક અબોલા તો ક્યારેક જોબન લૂટવા દેવાની લાલચ, ક્યારેક અલબેલડો કહી પ્રશંસા કરવાનું ત્રાંગુ તો ક્યારેક મદ્રાસી કહી ઉતારી પાડીને પિયર ચાલ્યા જવાની ધમકી અને અંતે પતિને પ્રિયતમ કે વ્હાલા કહેવાને બદલે ‘સગી’ નણંદના ભાઈ કહીને કરાતો ઉપાલંભ આ ગીતમાં જાન પૂરી દે છે.

Comments (9)