એક નેમ છે અને એને વિસરવાનું નહીં
બીજી ભણી માથાને વિહાવાનું નહીં
મોતી જો પામવા હો તો દરિયામાં ‘મરીઝ’
ડૂબકી જ મારવાની હો, પછી તરવાનું નહીં
મરીઝ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

તો શું થશે? -હિમાંશુ ભટ્ટ

જીવન જો કરશે કોઈ સવાલો તો શું થશે ?
ગમશે નહીં જો કોઈ જવાબો તો શું થશે ?

રસ્તો કરી અલગ ભલે ચાલી ગયા તમે,
યાદ આવશે જો મારો સહારો તો શું થશે ?

માંગી સફર મળે અને મનગમતો સાથ હો,
આંખોમાં ઘેલછા જો સજાવો તો શું થશે ?

તું તો જગત બનાવી નિરાકાર થઈ ગયો,
ઈશ્વર અમે બનાવ્યા હજારો તો શું થશે ?

મોજાંની રીત છે, તમે લખશો એ ભૂંસશે,
તો યે કિનારે ઘર જો બનાવો તો શું થશે ?

દોડ્યા કર્યું તમે તો ખુશી દોડતી રહી,
લેશો કદી જો ક્યાંક વિસામો તો શું થશે ?

છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?

અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?

-હિમાંશુ ભટ્ટ

હિમાંશુ ભટ્ટનું નામ હવે ગુજનેટ-જગત માટે અજાણ્યું નથી. એમની સુંદર સ્વરચિત રચનાઓ આપ એમના પોતાના બ્લૉગ- એક વાર્તાલાપ – પર માણી શકો છો. એમની ગઝલમાં ઈશ્વરના નિરાકાર હોવાની ફરિયાદો સતત સાંભળવા મળે છે. ઊર્મિની અભિવ્યક્તિની તાજગી એ એમની લાક્ષણિક્તા છે. છંદ, કાફિયા અને રદીફના સહારા લઈને કવિ હંમેશા પોતાની વાત કરતો હોય છે, પણ જમાનો એ સમજતો-સાંભળતો નથી. જે દિવસે કવિતાની બે પંક્તિઓની વચ્ચે લખાયેલી કવિની આત્મકથા જમાનો વાંચી શક્શે એ દિવસે  કયામત મચી જશે, એ વાત અહીં કેવી મસૃણતાથી એમણે કરી છે!

Comments (4)

અલવિદા, સુરેશભાઈ !

આજથી લગભગ એક વર્ષ પહેલા સુરેશભાઈ લયસ્તરોમાં જોડાયા હતા અને લયસ્તરોની મહેફીલમાં એ પોતાનો રસ ઉમેરતા રહ્યા હતા. છેલ્લા થોડા વખતથી એ ઉંઝા જોડણીના રંગે રંગાતા જતા’તા એનો તો મને ખ્યાલ હતો. પણ એમનો આ નવો પ્રયોગ એમના માટે કેટલો પ્રિય થઈ ગયો છે એની મને જાણ નહોતી.

આ અઠવાડિયે અચાનક એમણે પત્ર લખીને મને જણાવ્યું કે –

“મને લાગે છે કે જો હવે હું પરંપરાગત જોડણીમાં લખવાનું ચાલુ રાખીશ તો હું ઉંઝા જોડણી તરફના મારા લગાવને અન્યાય કરી રહ્યો છું … બે અલગ જોડણી વપરવાનું મારા માટે મુશ્કેલ છે. એ મારા માટે માનસિક યાતના છે. એટલે હું લયસ્તરોમાંથી તરત જ છૂટો થઈ જવા માગું છું.”

લયસ્તરોમાં લખવાનું સુરેશભાઈ ભલે છોડી શકે પણ કવિતાની રંગત તો એ કદી છોડી શકવાના નથી એ ચોક્કસ વાત છે. અને ગુજરાતી કવિતાના ચાહક તરીકેનો સંબંધ તો કદી ભૂંસાઈ શકવાનો નથી. ન તો હું ભાષાવિદ્ છું કે ન તો મને જોડણીનો મોટો અભ્યાસ છે. એ વિષય પર મારું જ્ઞાન તદ્દન સિમિત છે. આ પરંપરાગત વિ. ઉંઝા જોડણીના વિવાદમાં હું મારી તતૂડી વગાડવાની ગુસ્તાખી કરું તો મૂરખ જ ઠરું. હું તો મને જે ગમે એ રસ્તા પર ચાલુ છું. અને આ ઉંઝા જોડણી હજુ મારી આંખને કે મારા દિલને ગમતી નથી.

જ્યારે જ્યારે હું કોઈ મિત્ર સાથે સહમતિ સાધી શક્તો નથી ત્યારે હું ફ્રેંચ વિચારક વોલ્ટેઈરની આ વાત કહું છું.

I do not agree with what you have to say, but I’ll defend to the death your right to say it.

સુરેશભાઈ, આજે હું તમને પણ એ જ વાત કહું છું. લયસ્તરો તરફથી, હું અને વિવેક બન્ને, તમને સફળતા ઈચ્છીએ છીએ.

Comments (4)

છું – રાજેન્દ્ર શુક્લ

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

– રાજેન્દ્ર શુક્લ

Comments (2)

મા-અશોક ચાવડા ‘બેદિલ’

થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.

હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.

શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.

આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.

આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.

-અશોક ચાવડા ‘બેદિલ’

મા વિશે ઘણા લેખકો અને કવિ લખી ચૂક્યા છે અને એવું ઉત્તમ અને એટલું બધું લખી ચૂક્યા છે કે લાગે, હવે મા વિશે વધુ લખવું કદાચ અશક્ય જ છે. પણ મા આજે પણ એક એવી અનુભૂતિ છે આ સંસારની, જેને જેટલા આયામમાં નિહાળો, ઓછા જ પડે. પ્રસ્તુત ગઝલમાં પણ શહેરમાં આવીને (કે અમેરિકા આવીને !) માને ભૂલી જતા હજારો ભારતીય સંતાનોની વાત છે. આઠ આનાના અંતર્દેશીય પત્ર વડે હાથમાંથી પારાની જેમ સરકી ગયેલા પુત્રને પકડવા હવાતિયા મારતી માની વાત જ્યારે પોતાના વધેલા શ્વાસ-વધેલી આવરદા- પાછળ ખરચાઈ ગયેલ માના રોજ-બ-રોજના ત્યાગના અહેસાસ સુધી પહોંચે છે ત્યારે થાય, મા વિશે ગમે તે લખો, ઓછું જ પડવાનું. ઈશ્વર વિશે લખવાનો કદાચ અંત આવી પણ જાય, પરંતુ મા વિશેના લખાણ માટે તો नेति… नेति… જ કહેવું પડે…

Comments (15)

ગીત – મણિલાલ હ. પટેલ

એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું
સાંજ પડે જેમ દીવા પ્રગટે એમ પ્રગટતાં આંસુ …

દૂર દેશની માયા ચીંધી લઈ લીધો મેવાડ
વર્ષો ઊંચાં વૃક્ષો આપી છીનવી લીધા પ્હાડ
મારામાંથી મને મૂકીને કોણ વળે છે પાછું … સાંજ પડે જેમ…

કલરવ પીંછાં સીમ ગામડાં યાદ મને છલકાવે
જીવવાની અફવાઓ પંખી શહેરોમાં ફેલાવે
છાતી વચ્ચે ઊમટી પડતું ઇડરિયા ચોમાસું… સાંજ પડે જેમ…

પીળાં પાંદડાં એમ ખરે છે ખરતું જાણે વ્હાલ
સાદ પાડતું કોણ મને એ ? પ્રગટે કેવા ખ્યાલ ?
તિમિરની કેડી પકડીને દૂર કેટલે જાશું ?… સાંજ પડે જેમ…

– મણિલાલ હ. પટેલ

Comments (6)

ગઝલ – એસ. એસ. રાહી

દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે

સંસારના ભ્રમણની શી છે જરૂર મારે
હું તો પ્રવાસી ઘરનો, ફળિયા સુધી જવું છે

પહોંચીને થડની ટોચે પસ્તાયો છું હું અનહદ
વીતેલ યુગને મળવા મૂળિયાં સુધી જવું છે

એ જન્મટીપનો કેદી પોતે નવલકથા છે
એના હૃદયના બારીક સળિયા સુધી જવું છે

ત્યાં ચેન છે ? મજા છે ? ઉષ્મા છે ? જાણવાને
તારા અકળ નયનના તળિયા સુધી જવું છે

– એસ. એસ. રાહી
પ્રિયાની આંખમાં સદીઓથી કવિઓ ડૂબકી લગાવતા આવ્યા છે. પણ એની પાછળનું સાચું કારણ શું છે શોધવાની રાહીસાહેબની આ રીત સાવ અનોખી છે. (મૂળ નામ : શફક્કત સૈફુદ્દીન વર્ધાવાળા, જન્મ: 28-12-1952, કાવ્યસંગ્રહ: ‘પરવાઝ’, ‘ઘટના’, ‘થાક’).

Comments (2)

એ જ મારે જોવું છે – અનિલ ચાવડા

આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે
કોણ છે મારા નયનમાં. શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે

કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે

આવ, મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે

હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે

કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે
‘કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.’

-અનિલ ચાવડા

છંદના પ્રચલિત આવર્તનો કરતાં એક કે બે આવર્તન વધુ વાપરીને ગઝલને થોડી લાંબા બહેરની કરીને ધ્યાનાકર્ષક બનાવવું એ પણ એક ખૂબી છે. “ગાલગાગા”ના સામાન્યત: વપરાતા ચાર આવર્તનોમાં બે બીજા ઉમેરી અનિલ ચાવડાએ આ ગઝલને ગેયતાનો અલગ જ થડકો બક્ષ્યો છે. આવી જ અને આ જ છંદમાં એક વધારાનું આવર્તન ઉમેરેલી એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો. લાંબી બહેરની આવી ગઝલો લખવાની ‘માસ્ટરી’ જવાહર બક્ષીની કલમમાં પણ જોવા મળે છે. અત્રે પ્રસ્તુત ગઝલ વિશે જો કે એક વાત જરૂર કહીશ, કે બહેર લાંબી કરવાના આયાસ આખી ગઝલમાં એવી રીતે ઓગળી ગયા છે કે આખી કૃતિ ખૂબ જ આસ્વાદ્ય બની રહી છે અને એ જ છે કવિની સાર્થક્તા…

Comments (15)

ચંદ્ર – કુસુમાગ્રજ

એવા અનેક ચંદ્ર
આવી ગયા
ચાંદની આપી ગયા
પણ ચાંદની આપવા માટે
તેમણે માગ્યું હતું મૂલ્ય
મારા આકાશનું.
પણ તારો ચંદ્ર
એટલો આત્મમગ્ન
અને નિ:સ્વાર્થ
કે તેણે મારું
આકાશ તો ઠીક
પણ મારો અંધકાર પણ
માંગ્યો નહીં.

– કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા)

Comments (1)

કાવ્યત્રયી – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

બાપુ

બાપુએ જોયું
આદર્શ ભારતનું સ્વપ્ન
ભારતે બાપુને જ
આદર્શ સપનું બનાવી દીધા !

ફૂલો

સુગંધનુંયે વજન
ન ઊંચકી શક્તાં ફૂલો
સુગંધને પ્રસારી દે છે હવામાં.

મા

ધરતી પણ મા છે ને !
એ લાકડી ઉગામે તોયે
શેરડી રૂપે !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ભુજમાં રહેતા આ કવિ લઘુકાવ્યો ઉપર મજાની હથોટી ધરાવે છે. આ ત્રણ લઘુકાવ્યમાં કયું ચડિયાતું છે એ નક્કી કરવું દોહ્યલું બની રહે તેમ છે. (જન્મ: 14-05-1951, કાવ્યસંગ્રહ: ‘ઑગન’.)

Comments (2)

ગઝલ – – ગણપત પટેલ “સૌમ્ય”

રોજ ઊઠી કેમ કરવો સામનો?
ચાલ, તોડી નાંખીએ આ આયનો!

ડર નથી વધઘટ થતી પરછાંઈનો,
અર્થ સમજાઈ ગયો ધૂપ-છાંવનો

દોડવું જીવન, અટકવું મોત છે,
ના સમય ફુરસદ અને આરામનો.

જિંદગીથી પર ઘડીભર જીવીએ,
પ્રશ્ન તો કેવળ રહે એક જામનો.

લોકમાં જેના વિશે શંકા હતી,
સૌમ્યમાણસ નીકળ્યો એ કામનો.

ગણપત પટેલ “સૌમ્ય”

નાની-નાની પંક્તિઓમાં અને સરળ મજાના શબ્દોમાં મસમોટી વાત કહી જાય એ કવિતા. સૌમ્ય ઉપનામ ધરાવતા આ કવિની શબ્દાવલિઓ પણ એવી જ સૌમ્ય છે અને તરત હૃદયના ઊંડાણ સુધી ટકોરા મારી આવે એવી મજાની છે. આ માણસ સાચે નીકળ્યો કામનો !

ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ

Comments (4)

જોઈએ – શૂન્ય પાલનપુરી

મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ

– શૂન્ય પાલનપુરી

Comments (3)

વળતાં… – રમેશ પારેખ

ઘણી      ઝડપથી       ઘેરે    પાછા    વળવાનું    છે,
ડૂબી જતો આ સૂરજ કહે છે : હવે અલ્પ ઝળહળવાનું છે.

જલદી     ડાંફો    ભરીભરીને     રસ્તો    ટૂંકો    કરીએ,
પવન    લહરમાં    તરતાંતરતાં   એમ જ પાછા ફરીએ,
પછી   સમયનો   ટેકો  લઈને સુખશય્યામાં  ઢળવાનું છે.

રાત્રિ   મૂકશે    હાથ   હળુકથી    થાકેલા    લોહી  પર,
અંધારું   પણ    પર્વ    ઊજવશે  સઘળાં  ગાત્રો ભીતર,
પછી   ઊંઘમાં  એ  રજવાડી  સ્વરૂપ  પાછું મળવાનું છે.

– રમેશ પારેખ

પરમ સખા મૃત્યુની અહીં વાત છે. ર.પા.ના શબ્દોનો જાદૂ અહીં જુઓ. મૃત્યુની ઘડીની વાત કેવી અદભુત રીતે કરી છે – રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર ! આગળ રજૂ કરેલી આ જ વિષય પરની કવિતાઓ પણ સાથે જોશો… મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે, મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને શોભિત દેસાઈનું મુક્તક.

Comments (3)

ગઝલ – વંચિત કુકમાવાલા

દૃશ્ય જેવાં દૃશ્યને ફોડી શકે તો ચાલ તું!
દૂર સન્નાટા સુધી દોડી શકે તો ચાલ તું!

કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે તો ચાલ તું!

વસ્ત્ર પાદર પર ઉતારી નાખવા તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે તો ચાલ તું!

મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે તો ચાલ તું!

અંત ‘વંચિત’ અંત સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે તો ચાલ તું!

-વંચિત કુકમાવાલા

ભુજના કુકમા ગામમાં જન્મેલા વંચિત કુકમાવાલાની આ ગઝલ કવિની સાથે ચાલી નીકળવાના પડકારના કારણે વધુ આસ્વાદ્ય બની રહી છે. બાળકના અકારણ ધૂળમાં આળોટવાની વાત અને વસ્ત્રને પાદર પર છોડી નીકળવાની વાત વધુ ગમી ગઈ. (જન્મ: 12-04-1955, કાવ્યસંગ્રહ: “એક આંખમાં સન્નાટો”)

ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ

Comments (3)

ગઝલ- ગિરીશ મકવાણા

તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય  ને ઇવનિંગ થઈ શકે.

ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દ તારથી અર્થિંગ  થઈ શકે.

સ્કૂટરની બેકસીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.

એનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેંકનો સ્પેલિંગ થઈ શકે?

ઑગાળી તારી યાદનો  આઈસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.

-ગિરીશ મકવાણા

ગુજલીશ ગઝલોનું પણ એક પોતીકું વિશ્વ છે. અદમ ટંકારવીએ  ‘કોઈન’ કરેલા આ પ્રકાર પર ઘણા કવિઓએ હાથ અજમાવી જોયો છે. ગિરીશ મકવાણાની આ ગઝલ વાંચતાની સાથે ગમી જાય એવી ફાઈન છે. ખાલીપો પાછળની સીટ પરથી ફ્રંટ-મિરરમાં ડોકાવાની વાત વાંચતાની સાથે ગમી જાય એવી છે.

Comments (3)

પ્રેમ અને કવિતા – અખિલ શાહ

ગઈકાલે,
મારી
ખૂબ મહેનતથી લખેલી
બધી
છંદોબદ્ધ
પ્રેમ-કવિતાઓ,
અઘરા શબ્દોની
ચિતા સળગાવીને
સતી થઈ ગઈ છે.

બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.

– અખિલ શાહ

પ્રેમ કરવો અને પ્રેમ-કવિતાઓ લખવી એ અલગ બાબત છે. પ્રેમના પહેલા પગરવે પ્રેમ-કવિતા પરનો પ્રેમ ભાગી છૂટે એમ પણ બને ! પ્રેમની અનુભૂતિના પગલે અઘરા શબ્દો અને ક્લિષ્ટ છંદોમાં રાચતી કવિતા ખરી પડે એ વાત મને તો તદ્દન સાચી જ લાગે છે, તમને શું લાગે છે ? વળી, અઘરા શબ્દો અને ક્લિષ્ટ છંદો ખરી પડે પછી જે બાકી રહે એ જ શું ખરેખર કવિતા નથી ?

Comments (9)

નહીં આવે – જલન માતરી

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.

છે મસ્તીખોર, કિંતુ દિલનો છે પથ્થર, નહીં આવે;
સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.

ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.

અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.

દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.

હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.

આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.

કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.

– ‘જલન’ માતરી

મૂળ નામ અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન – ખુમારી અને ખુદ્દારીથી ભરેલી ગઝલોના સર્જક, મુશાયરોમાં હુકમના પત્તા જેવા. આ ગઝલ શ્રી. મનહર ઉધાસે તેમના મધુર સૂરમાં ગાયેલી છે.

Comments (5)

ભુલી જવાનો હું જ – કૈલાસ પંડિત

ભુલી જવાનો હું જ, એ કહેતા હતા મને,
એવું કહીને  એજ તો ભુલી ગયા મને.

પૂછ્યું નથી શું કોઇએ, મારા વિશે કશું?
તારા વિશે તો કેટલું પૂછે બધા મને!

ખોબો ભરીને ક્યાંયથી, પીવા મળ્યું નહિ,
દરિયો મળ્યો છે આમ તો, ડૂબી જવા મને.

થાકી ગયો તો ખૂબ કે ચાલી શકત ન હું,
સારું થયું કે લોક સહુ ઊંચકી ગયા મને.

કૈલાસ પંડિત

શ્રી. મનહર ઉધાસે બહુ જ સરસ સ્વરરચનામાં આ ગઝલ ગાઇ છે.

Comments (1)

લાગે છે મને – ચિનુ મોદી

લાગણીની બીક લાગે છે મને
વાત એ પણ ઠીક લાગે છે મને
પાણીમાં ચહેરાને જોયો એ પછી
દર્પણો દાંભીક લાગે છે મને !

– ચિનુ મોદી

Comments (1)

સત્ય – કનૈયાલાલ સેઠિયા

રસ્તો
પગનો
શિષ્ય છે.

જેઓ
ગણે છે
એને ગુરુ
એમને

નથી
મળતો
મુકામ !

– કનૈયાલાલ સેઠિયા
(અનુ. કિશોર શાહ)

તેર શબ્દોમાં તો કવિએ આખી જીંદગી ચાલે એટલું ભાથું ભરી દીધું છે ! એક રીતે જુવો તો આ કવિતાનો બૃહત અર્થ રોબર્ટ ફ્રોસ્ટની વિખ્યાત કવિતા The Road Not Taken ને મળતો આવે છે. એ કાવ્ય પણ જોવાનું ચૂકશો નહીં.

Comments (4)

પારિજાત છીએ – ભગવતીકુમાર શર્મા

અમે તો તત્ત્વની સાથેના તાલ્લુકાત છીએ,
અમે અમારાપણા અંગે અલ્પજ્ઞાત છીએ.

અમે સુગંધનો સોના પે દ્રષ્ટિપાત છીએ,
ધરો જો મૂર્તિને ચરણે તો પારિજાત છીએ.

ફળે જો સ્વપ્ન તો ઝળહળ અમે પ્રભાત છીએ,
તૂટે જો સ્વપ્ન તો ફૂલોનો અશ્રુપાત છીએ.

અમે ફલાણા ફલાણા નથી, ફલાણા નથી,
અમે તો જે છીએ તેવા જ જન્મજાત છીએ !

છે વ્યર્થ શોધ અમારી સળંગ હસ્તીની,
અમે આ વિશ્વમાં કેવળ પ્રસંગોપાત્ત છીએ.

સમુદ્રમોજું ધસે ત્યાં સુધી તો ક્ષેમકુશળ,
અમે તો રેત પે ચીતરેલી રમ્ય ભાત છીએ !

યમુના હો કે હો દરિયો થઈ જશે રસ્તો,
અમે પ્રભુનાં ચરણ પરનો પક્ષપાત છીએ.

-ભગવતીકુમાર શર્મા

ઈશ્વરના ચરણ પરનો પક્ષપાત હોવાની જેને શ્રદ્ધા છે એને કોઈ દરિયો કે નદી માર્ગ આપવાનું ચૂકતી નથી… કેવી સુંદર રજૂઆત! ભગવતીભાઈની આ ગઝલ એમની શિરમોર ગઝલોમાંની એક છે. પોતાના હોવા અંગેના અલગ-અલગ કલ્પનો લઈને આવતા દરેક શેર વારંવાર મમળાવવાનું મન થાય એવા સ્વાદિષ્ટ બન્યા છે. ( સુરતી કવિની ગઝલને વખાણવી હોય તો ‘સ્વાદિષ્ટ’થી વધારે મૂલ્યવાન બીજો કયો શબ્દ હોઈ શકે અને પાછો વખાણનાર પણ સુરતી જ હોય ત્યારે તો…. !)

Comments (5)

તડકાનું નામ – મહેન્દ્ર જોશી

હું તો માછલીની આંખોમાં ખરતાં રે આંસુનું ખારું તે ઝાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

મોતીની જેમ જરા સાચવીએ છીપમાં પરપોટા જેવી આ જાતને,
સૂરજનું કાળઝાળ બળવું તો ઠીક હવે જોવી છે ઘેરાતી રાતને.
અમથાં રે મોજાંના ભણકારા સાંભળી વાસેલું દ્વાર શે ઉઘાડવું?
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

જળમાં ભીંજાઉં તો જળમાંથી કેમ હવે અળગી થઈ જાઈ છે ભીનાશ રે?
આંખોને શાપ કૈં એવા રે લાગતા કે ઝાડમાંથી જાય છે લીલાશ રે!
ભૂલા પડેલ કોઈ પંખીને કેમ હવે આંસુનું વન આ ચીંધાડવું,
છાંયે બેસીને હવે તડકાનું નામ નથી તડકો રે પાડવું.

-મહેન્દ્ર જોશી

કેટલીક કવિતા એવી હોય છે કે પહેલીવાર વાંચો ત્યારે માત્ર અડે અને ફરી-ફરીને વાંચો તો એમાંથી નવા-નવા અર્થના આકાશ ઊઘડતા રહે. કેટલાક કાવ્ય એવાં હોય છે જે વાંચતાની સાથે અડી તો જાય જ, સમજાઈ પણ જાય. અને કેટલીક કવિતા વળી એવી હોય છે કે પહેલી નજરનાં પ્રેમ સમી અડી તો તરત જ જાય પણ પછી સમય સાથે જેમ પ્રેમના, એમ એ કવિતાના અર્થ પણ જેટલીવાર વાંચો, બદલાતા લાગે. મહેન્દ્ર જોશીનું આ ગીત આ ત્રીજા પ્રકારની કવિતાના સ-રસ ઉદાહરણ તરીક ગણી શકાય… વાંચો… મમળાવો અને ગાઓ…

ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ.

Comments (1)

મારે માણસ નથી બનવું – નીરવ પટેલ

જંતુ બનીને જીવવું ક્બૂલ છે-
મારે માણસ નથી બનવું.

મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-
હું અમીબા બનીને જીવીશ.

મારે નથી જોઇતી પાંખો –
મારે આકાશ નથી આંબવું.

હું પેટે ઢસડાઇશ-
સાપ ગરોળી થઇને.

ભલે ફંગોળાઉં આકાશે-
ઘાસ કે રજકણ બનીને.

અરે, હું ક્રુઝોના ટાપુ પર-
ફ્રાઇડે બનીને જીવીશ.

પણ મારે માણસ નથી બનવું.
મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું.
મારે હિન્દુ માણસ નથી બનવું.
મારે મુસ્લિમ માણસ નથી બનવું.

નીરવ પટેલ

દલિતોની વેદનાને વાચા આપતી નીરવ પટેલની દરેક રચનામાં સામ્પ્રત સમાજ વ્યવસ્થા પર તીવ્ર આક્રોશ હોય છે.

Comments (2)

એને તમે શું કહેશો ? – પન્ના નાયક

તરફડાટ એટલે ? –
તમે કહેશો,
જલની બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ !

પણ ઘૂઘવતા ઉદધિના ભીતર
જે
કોરું કોરું તરફડે,
એને તમે શું કહેશો ?

– પન્ના નાયક

જે પાણી વિના તરફડે એ માછલાને તમે પાણીથી છાનું રાખો પણ જે માછલી આખા ભરેલા સાગર વચ્ચે તરફડતી હોય એનો તો વળી શો ઉપાય કરવો ? ભરેલા ભંડાર વચ્ચે અંદરની તડપતા મનની વાત અહીં બહુ ધારદાર રીતે કરી છે. આ વાંચીને તરત એકલતાના ઉપનિષદ જેવું મુકુલ ચોકસીનું આ મુક્તક યાદ આવી ગયું.

જેને ખાલીપો લાગે છે પળભર
તેઓ ગમતું કશુંક અડી લે છે
જે ભયાનક રીતે અટૂલા છે
તે તો ટોળામાં પણ રડી લે છે.

Comments (2)

ડરતો નથી હું – સુધીર દવે

દેખી કબરને ડરતો નથી હું.
શ્વાસો મરણના ગણતો નથી હું.

સાથી છે અંતે મૃત્યુની નગ્નતા,
વસ્ત્રો સમયના વણતો નથી હું.

ઇંટોની સાથે છે ભાઇબંધી,
ખોટી દિવાલો ચણતો નથી હું.

મારું ગગનને આપી દીધું છે,
પાંખો કપાવી ઉડતો નથી હું.

દર્પણથી આખું ઘર ઝળહળે છે,
ચ્હેરો બતાવી નડતો નથી હું.

દરિયાની સાથે દોસ્તી નિભાવી,
મરજીવા માફક તરતો નથી હું.

કાદવના ઘરમાં રહીને કમળવત્
ભમરાનું ગુંજન હણતો નથી હું.

લોકો ભલેને સીગરેટ ફૂંકે,
બંસી મહીં ધુમ્ર ભરતો નથી હું.

દુનિયા ભલે હો શતરંજનો ખેલ,
પાનાં છુપાવી છળતો નથી હું.

-સુધીર દવે

સપ્ટેમ્બર – 2006

ડલાસમાં રહેતા સુધીરભાઇ, કવિ હોવા ઉપરાંત સારા બંસીવાદક પણ છે, તે છેલ્લેથી બીજા શેરમાં જણાઇ આવે છે !

Comments (2)

ચાલી નીકળો – ઉમેશ ઉપાધ્યાય

અણગમતો આવાસ ત્યજીને, ચાલી નીકળો
જીવ્યાનો આભાસ ત્યજીને, ચાલી નીકળો
ક્યાં લગ રહેશું આ રીતે મોહતાજ હવાના ?
ચાલો અહીંથી શ્વાસ ત્યજીને, ચાલી નીકળો

– ઉમેશ ઉપાધ્યાય

Comments (2)

શબ્દ રામરોટી છે – રાજેન્દ્ર શુક્લ

રાતદિન ભરી બખિયા ઝીણું ઝીણું ઓટી છે,
પામવા પરા-કાષ્ઠા, પ્યાસને પળોટી છે.

કોણ કો’ક કેતું’તું કે બડી કસોટી છે,
આ મૂકું લો ખિસ્સામાં, ક્ષણ ફકત લખોટી છે!

લાખ પૂછશો તો યે એ કશું ન કહેવાના,
જેણે એક વેળા પણ વેદના વળોટી છે!

એક પળ નહીં લાગે, હાલશું ખખેરીને,
મોજમાં જરા અમથી જાત આ રજોટી છે!

ઘૂઘરા પગે ઘમકે, આભની અહાલેકે,
શ્વાસની ખભે કાવડ, શબ્દ રામરોટી છે!

– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)

૨ જૂને અમદાવાદમાં ગુજરાતી ભાષાના ઉત્કૃષ્ટ સર્જક – કવિવર રાજેન્દ્ર શુક્લને ગુજરાતી સાહિત્યનું સર્વોચ્ચ સન્માન – રણજિતરામ સુવર્ણચંદ્રક – પ્રદાન કરવામાં આવ્યો. ગયા વર્ષે નરસિંહ મહેતા પુરસ્કાર એમને અર્પણ થયેલો. આ પ્રસંગે શબ્દના આ પરમ ઉપાસકની એક ગઝલ આજે માણીએ.

આ ગઝલ માટે પંચમ શુક્લ લખે છે : ૧૯૮૦ માં દાહોદની નવજીવન આર્ટસ કોલેજમાંથી રાજેન્દ્ર શુક્લ (સંસ્કૃતના પ્રાધ્યાપક) અને એમના પત્ની નયના જાની (અંગ્રેજીના પ્રાધ્યાપક, ગોલ્ડ મેડલીસ્ટ) સાંપ્રત શિક્ષણ પ્રણાલીને તિલાંજલી આપી, પોતાનાં પુત્રો ધૈવત અને જાજવલ્યને શાળાનાં શિક્ષણને બદલે ઘરે પોતીકાં શિક્ષણની વિભાવના સાથે માત્ર કલમને ખોળે બેસે છે કદાચ એ અરસામાં લખાયેલી આ ગઝલ છે.

Comments (7)

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

છીપ મોતીની કણસ મેં સાચવી છે,
બંધ મુઠ્ઠીમાં જણસ મેં સાચવી છે.

ઝાંઝવા દોડ્યા હતા મીટાવવા પણ,
સાત દરિયાની તરસ મેં સાચવી છે.

ફૂલ, કુંપળ, પાંદડા તે સાચવ્યા ને,
પાનખર વરસોવરસ મેં સાચવી છે.

લાલપીળા રંગ ઘોળીને નજરમાં,
સાંજની પીડા સરસ મેં સાચવી છે.

કલમ, કાગળ અને એકાંત જેવી,
બસ, અમાનત આઠદસ મેં સાચવી છે.

લક્ષ્મી ડોબરિયા

ટાઈપસૌજન્ય : સાગરિકા પટેલ, વેરાવળ

Comments (1)

લઘુકાવ્ય – હરીશ દવે

રક્તિમ પીળું,
કેસરિયાળું,
બિન વાદળ નભ,
નીરવ, સ્તબ્ધ !
જો ! સૂર્ય અસ્ત !

-હરીશ દવે

હરીશ દવે નામ નેટ-ગુજરાતીઓ માટે નવું નથી. મધુસંચય, અનામિકા, અનુભાવિકા, અનુપમા જેવા ચાર-ચાર અલગ પ્રકારના બ્લૉગ નિયમિતપણે એકલા હાથે ચલાવે છે. ‘મુક્તપંચિકા’ નામે તાન્કા જેવો ભાસતો કાવ્યપ્રકાર એમણે પ્રચલિત કરવાની કોશિશ કરી છે. આજ મુક્તપંચિકા લઘુકાવ્યના નામે ગુજરાતી ભાષાના એક જમાનાના સૌથી વધુ પ્રતિષ્ઠિત ગણાતા ‘કુમાર’ માસિકના મે-2007ના અંકમાં પ્રસિદ્ધ થઈ છે. હરીશભાઈને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ…

Comments (7)

આપણી વચ્ચે – સુરેશ દલાલ

આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

સમજું છું એથી તો જોને
ચૂપ રહેવાની વાત કરું છું
ધુમ્મસ જેવા દિવસોની હું
ઘોર અંધારી રાત કરું છું

વાસંતી આ હવા છતાંયે સાવ ઉદાસી મોસમ છે.
આપણી વચ્ચે કાંઈ નથી ને આમ જુઓ તો જોજન છે.

હવે વિસામો લેવાનો પણ
થાક ચડ્યો છે
આપણો આ સંબંધ
આપણને ખૂબ નડ્યો છે.

આમ જુઓ તો ખુલ્લેઆમ છે ને આ જુઓ તો મોઘમ છે.
તું કોઈ ખુલાસો આપ નહીં તને મૌનના સોગંદ છે.

-સુરેશ દલાલ

Comments (2)

મંઝિલને ઢૂંઢવા – રવિ ઉપાધ્યાય

મંઝિલને ઢૂંઢવા દિશા કપરી જવું પડે,
છોડી જૂનું વતન નવી નગરી જવું પડે.

યુગોથી મીંટ માંડવી તપ એનું નામ છે,
શ્રીરામને જમાડવા શબરી થવું પડે.

દર્શન પ્રભુના પામવા ક્પરી કસોટી છે,
અર્જુનના રથના ચક્ર્ની ધરી થવું પડે.

બદલાની અપેક્ષા વિના સત્કર્મ જો કરો,
પત્થરના દેવને ક્દી પ્રગટી જવું પડે.

પાણી થવાને કેટલું પાણી સહન કરે,
વાદળ બનીને વીજથી સળગી જવું પડે.

સન્માન કેવું પામશો મૃત્યુ પછી ‘રવિ’
જોવા તમાશો એક્વાર ગુજરી જવું પડે

–  રવિશંકર ઉપાધ્યાય ‘રવિ’

–  વીડીયો ક્લીપ માણો

Comments (1)

વાડ વિના ના ચડતો વેલો – રવિ ઉપાધ્યાય

વાડ વિના ના ચડતો વેલો
હોય કૂવામાં પાણી ત્યારે જાય હવાડે રેલો….

પર્વતના શિખરનો પથ્થર શોભે છે ધરતીથી,
મધદરિયાનું મોજું પામે કિનારો ભરતીથી
સાહસને સહકાર મળે તો સફળ થાય હારેલો…વાડ વિના

ક્યાંથી તપતો હોત સૂરજ, જો દિશા ન હોત ઉગમણી
ક્યાંથી સીંચત શશીસુધા, જો હોત ન રજની રમણી
મોતી પણ લાખોનું થયું, મરજીવો જ્યારે મથેલો…વાડ વિના

પા પગલી શીખવે મા ત્યારે બાળક ભરતો કૂદકો,
નાનીશી ચીનગારી હોય તો, થાતો મોટો ભડકો,
સાચો ગુરુ મળે તો, ભવ-જળ પાર ઉતરતો ચેલો…વાડ વિના

–  રવિશંકર  ઉપાધ્યાય ‘રવિ’ 

Comments (1)

મુકામ પોસ્ટ માણસ – નયન દેસાઈ

જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ

રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

– નયન દેસાઈ

બે અઠવાડિયા પર ર.પા.ની અમર ગઝલ મનપાંચમના મેળામાં યાદ કરી એ વખતે નયનભાઈની આ ગઝલ યાદ આવી ગઈ. આ ગઝલ અને માણસ ઉર્ફે… બન્ને નયનભાઈની બે સર્વશ્રેષ્ઠ રચનાઓ છે. આ ગઝલના એક એક શેરને લઈને આખો દિવસ મમળાવો ત્યારે એનો અર્થ ધીમે ધીમે છૂટે એની પોતાની મઝા છે ! અને હા, છેલ્લા શેરમાં કઈ મરિયમની વાત છે એ હું હજી સુધી સમજી શક્યો નથી… મરિયમ એટલે ‘મેરી’ (ઈસુની માતા)… પણ મરિયમની ભ્રમણા એટલે ? …કે પછી ધૂમકેતુની વાર્તા પોસ્ટઓફીસમાંના અલીડોસાની દિકરી મરિયમની વાત છે ? … કોઈને ખ્યાલ આવે તો ફોડ પાડજો.

Comments (7)

ગઝલ – દિલીપ પરીખ

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !

– દિલીપ પરીખ

સરળ બાનીમાં લખાયેલી સુમધુર ગઝલ… ધુમ્મસ અને તડકાનું આવું સરસ સંયોજન ક્યાં વધારે કવિતાઓમાં જોવા મળે છે? આવી ગઝલ હોય તો ગઝલ અને આપની વચ્ચેથી હું ત્વરિત ગતિએ હટી જાઉં એ જ સારૂ…

Comments (6)

ગઝલ – જયન્ત ઓઝા

એક ગાડું ક્યારનું પૈડાં વગર,
બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર.

બીકથી મૂંગા હતા સૌ પ્રેક્ષકો,
સિંહ પણ ફરતો હતો ગરજ્યા વગર.

આંખ ઊંચી જ્યાં કરું બ્રહ્મા હતા,
સાવ થાકેલા હતા સરજ્યા વગર !

ચામડી જાડી થવા લાગી હવે,
પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર.

આંગળીઓ સાવ બુઠ્ઠી થઈ ગઈ,
દેવ પણ પથ્થર થયા પૂજ્યા વગર.

– જયન્ત ઓઝા

ગઝલનો મત્લો જરા ધ્યાનથી જોઈએ તો મારા જેવા મોટાભાગનાને તો આત્મકથા વાંચતા હોય એવું જ લાગશે… નહીં? બધા જ શેર મને ગમી ગયા, પણ સવિશેષ સ્પર્શી ગયો તે આ – ચામડી જાડી થવા લાગી હવે,પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર… આપણી સંવેદનાઓના થતા જતા હનનને કેટલી સહજતાથી કાવ્યમાં મૂકી દીધું, જાણે ફૂલની પાંખડી પર પતંગિયું !

Comments (6)

એટલું પર્યાપ્ત છે – નીતિન વડગામા

સહજ રીતે સાંપડ્યું છે એટલું પર્યાપ્ત છે.
આંગણે આવી ચડ્યું છે એટલું પર્યાપ્ત છે.

જીવતરનું ચિત્ર તો સૌનું અધૂરું હોય છે,
એક સપનું પણ ફળ્યું છે એટલું પર્યાપ્ત છે.

આમ અંદરથી બધાં થીજી ગયાં છે તોય પણ-
તાપણું ટોળે વળ્યું છે એટલું પર્યાપ્ત છે.

ક્યાં સુધી અફસોસ આંસુનો કરીશું આપણે ?
ગીત ગાતાં આવડ્યું છે એટલું પર્યાપ્ત છે.

ઢોલ-તાંસામાં દબાતું એક છાનું ડૂસકું,
એમણે તો સાંભળ્યું છે એટલું પર્યાપ્ત છે.

– નીતિન વડગામા

આપણી પાસે ઘણું બધું હોવા છતાં મન વલોવાળા કરે છે એનું કારણ છે કે આપણે ‘પર્યાપ્ત છે’ કહી શકતા નથી. મનને હંમેશા હોય એનાથી વધારે જ જોઈએ છે. કવિ એ અસંતોષને કાઢવા ‘પર્યાપ્ત છે’ એવો સરળ મંત્ર આપે છે. બીજો શેર કેટલો સરસ થયો છે એ જુઓ – એક સપનું પણ ફળ્યું છે એટલું પર્યાપ્ત છે ! જીંદગીમાં અફસોસ કરવાને બદલે એક ગીત ગાતા આવડ્યું છે એ ઘટનાને ઊજવી લઈએ તો કેવું ? અને મને સૌથી વધુ ગમી ગયેલો છેલ્લો શેર જુઓ. ભલે દુનિયાના અવાજમાં મારું ‘છાનું ડૂસકું’ દબાઈ ગયું, પણ એમણે તો સાંભળ્યું ને ? – પર્યાપ્ત છે !!

Comments (2)

જીવનની સાંજ છે ઢળી રહી – રવિશંકર ઉપાધ્યાય

જીવનની સાંજ છે ઢળી રહી ધીરે ધીરે!
મૃત્યુની “આજ” આવતી દીસે ધીરે ધીરે!

મારી આ દશા પર દયા ના લાવશો સ્વજન!
મારાંથી વાઝ ખૂદ હું આવું ધીરે ધીરે!

બેસો, હે મિત્રો! સાંભળો મારી દુ:ખી કથા!
અંતરનો આ અવાજ આવતો ધીરે ધીરે!

ગુસ્સો તમારાં દોષ પર ના થાય એટલે
બદલ્યો મિજાજ મેં જૂઓ કેવો ધીરે ધીરે!

સંબંધની તિરાડ સાંધવી નથી સહેલ!
જ્ખ્મોનો રાઝ પામતો ‘રવિ’ ધીરે ધીરે!

– રવિશંકર ઉપાધ્યાય

Comments (1)

ગુજરાતી યુનિકોડ માટે સોનાનો સૂરજ !

તમે સંદેશની નવી વેબસાઈટ જોઈ ? ના જોઈ હોય તો ભલા માણસ અત્યારે જ તરત જુઓ. ગુજરાતી ભાષાની ‘એસ્ટાબ્લીશ્ડ ન્યૂઝપેપર’ વેબસાઈટમાંથી આ પહેલી જ વેબસાઈટ છે કે જે સંપૂર્ણપણે યુનિકોડમાં બનવી છે. મારા જેવા યુનિકોડના આશિકને આ જોઈને એક શેર લોહી તો તરત ચડી ગયું !

આ એક છાપાએ શરૂઆત કરી એટલે એક પછી એક બધાને યુનિકોડનું મહત્વ સમજાશે. ( યુનિકોડની બે મુખ્ય સગવડો એટલે 1. કોઈ પણ કોમ્પ્યુટર પર સુલભ અને 2. સરળ રીતે શોધી શકાય ) ગુજરાતીને વેબ પર વિસ્તરતી જોવી હોય તો યુનિકોડ સિવાય કોઈ આરો નથી એ બધાને ખ્યાલ આવશે. હવે એક પછી એક વેબસાઈટ હવે યુનિકોડમાં આવતી જ જવાની. આજનો દિવસ ખરેખર ગુજરાતી યુનિકોડ માટે સોનાનો સૂરજ લઈને ઊગ્યો છે એમાં કોઈ શંકા નથી. જય ગરવી ગુજરાતી ! જય ગરવી યુનિકોડ !

Comments (6)

હું નથી ઇશ્વર – રવિશંકર ઉપાદ્યાય

હું નથી ઇશ્વર, નવું સર્જન કરું.
માનવી છું, શેં પરિવર્તન કરું !

શક્યતાઓ પણ બને છે પહાડ જ્યાં,
હું નથી શ્રી કૃષ્ણ કે ગોવર્ધન વહું !

ચીર પાંચાળીનાં ના પૂરી શકું,
લોક્ની નજરે તો દુર્યોધન ઠરું !

કામ ના લાગ્યો નર્યો પુરુષાર્થ ત્યાં,
લેશ ના પ્રારબ્ધનું દર્શન થયું !

ના થયો ઠરી ઠામ હું કોઇ જ’ગા
ધ્યેય વિણ  સતત ભ્રમણ કરું !

જીદગીથી દૂર ભાગ્યો છું ‘રવિ’,
મ્રુત્યુની સામે હું આકર્ષણ બનું !

રવિશંકર ઉપાદ્યાય

મુંબાઇના આ કવિની ઘણી રચનાઓ સ્વર બધ્ધ થયેલી છે.

Comments

ચાહું છું મારી જાતને – શેખાદમ આબુવાલા

હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને
તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને

કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું
કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને

હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો
આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને

ફેંકશે પથ્થર તો પોતાનું જ માથું ફોડશે
ભાંડશે આદમ કહો શી રીતે આદમજાતને

– શેખાદમ આબુવાલા

ગઝલમાં સામાન્ય રીતે પ્રેમની સ્વપ્નિલ દુનિયા ચિતરેલી જોવા મળે છે. પણ આ  ગઝલમાં કવિ કાળમીંઢ હકીકત બતાવે છે. પ્રેમના ગમે તેવા સુંદર ચિત્ર દોરો પણ હકીકત તો એ છે કે પોતાની જાતથી વધારે કોઈ કોઈને ચાહતું નથી. અને દરેક જણાનું હ્રદય પોતાના દર્દ પર જ રડે છે. ‘સાહિલ’ કહે છે એમ – સબ કો અપની હી કીસી બાત પે રોના આયા ! આવું આકરું આત્મજ્ઞાન થાય પછી શું કવિ કદી ય બીજા કોઈને દોષ દઈ શકે ? – ના, એ તો પથ્થરથી પોતાનું જ માથું ફોડશે…

Comments (4)

હવા અડી અગ્નિને.. – પંચમ શુક્લ

હવા અડી અગ્નિને ભડભડ ભડકો થઇ ગઇ,
ચાંદની એમજ ચળક ચળકતો તડકો થઇ ગઇ.

ચોમાસમાં છલબલ કરતી બેય કાંઠડે,
નદી ધધખતે ધોમ કણેકણ કડકો થઇ ગઇ.

લીલા ખેતર પર ચકરાતી બાજ નજર આ,
નીચે પડી ત્યાં સાંકડ-મોકડ સડકો થઇ ગઇ.

બેમાની બુધ્ધિના સઘળાં બંધ ફગાવી,
ઝલમલ ઝીણી ધડકન પાક્કો થડકો થઇ ગઇ.

ખભા ઉલાળી નીકળેલી આ મનની મસ્તી,
મજા પડી ત્યાં અડુક-દડુક બસ દડકો થઇ ગઇ.

– પંચમ શુક્લ

આ ગઝલમાં મને તો બુધ્ધિના બંધનો તોડીને ધડકન થડકો થઈ ગઈ એ શેર ખાસ પસંદ પડી ગયો છે. ઉપરાંત, ખેતરને પચાવી પાડવા માટે બાજની જેમ ચકરાતી નજરો જ્યારે આખરે ખેતર પર ત્રાટકવામાં સફળ થાય ત્યારે ખેતર સાંકડ-માકડ સડકોવાળું શહેર થઈ જાય છે એ વાત પણ બહુ સચોટ રીતે આવી છે. અને છેલ્લો રમતિયાળ શેર પણ ગણગણવો ગમે એવો થયો છે. આ ગઝલ મોકલવા માટે આભાર, પંચમ.

Comments (2)

ગઝલ – દિલીપ જોશી

એ જ તારી આંખ વચ્ચે પાંગરી શક્તું નથી,
છે સમજનું ફૂલ ચ્હેરા પર તરી શક્તું નથી.

એક પડછાયો ઉપાડી આપણે બસ દોડતાં,
કોઈ પણ તડકા વિશે વાતો કરી શક્તું નથી.

આવનારી પળ બધી વાદળ બની ઘેરાય છે,
આ અષાઢી આંગણું કાં ઝરમરી શક્તું નથી.

સાંજનું એકલ સરોવર શ્વાસમાં ઝરતું રહે,
કોઈ એવા દૃશ્યના ખોબા ભરી શક્તું નથી.

-દિલીપ જોશી
માત્ર ચાર જ શેરની ટૂંકી છતાં સશક્ત ગઝલ… દિલીપ જોશીની એક ગઝલ આપણે અગાઉ માણી ચૂક્યાં છીએ. આજે ખોબલે ભરી ન શકાય એવા ચાર શબ્દચિત્રોને મનભર માણીએ… (શ્રી દિલીપ જોશી રાજકોટ રહે છે. કાવ્યસંગ્રહ: ‘વીથિ’, જન્મ: 16-02-1955).

Comments (3)

પ્રેમ જેવી બાબત – કવિ રાવલ

હાસ્ય એનું તીખ્ખું અને નમકીન છે,
એમ લાગે છે આજ એ ગમગીન છે.

વાત ચોખ્ખી ને સ્પષ્ટ છે એ સાવ પણ
મામલો પેચીદા અને સંગીન છે.

પ્રશ્ન નાજુક છે એમ લાગે છે હવે,
એ વિચારોમાં કેટલાં તલ્લીન છે.

પ્રેમ જેવી બાબત બની ગઈ વારતા,
લાગણીઓની એ જ તો તોહીન છે.

સ્વપ્ન જેવું જોયા કરે છે એ ય પણ –
એટલે આંખો એમની રંગીન છે.

– કવિ રાવલ

“ગાલગાગા ગાગાલગા ગાગાલગા” ના છંદબંધારણને અનુસરીને લખાયેલી કવિતાના છંદ માટે કવિ “મિશ્ર છંદ” શબ્દ પ્રયોજે છે. આ છંદ ગઝલશાસ્ત્રમાં “બહરે હમીમ મુસદસ” (21 માત્રા) તરીકે ઓળખાય છે. આના જેવા જ બંધારણ ધરાવતા અન્ય છંદો પણ છે-

ગાલગાગા ગાગાલગા ગાલગાગા – બહરે ખફીફ મુસદસ સાલિમ
ગાલગાગા ગાગાલગા ગાગાગા – બહરે ખફીફ મુસદસ મુશઅસ
ગાલગાગા ગાગાલગા ગાલગા – બહરે ખફીફ મુસદસ અરૂઝ વ જર્બ મહઝૂફ
ગાલગાગા ગાગાલગા  – બહરે ખફીફ મરબ્બઅ સાલિમ

-પણ છંદની પળોજણોને બાજુએ મૂકીને પણ આ ગઝલ આખી માણવા લાયક છે. કવિનો મારે એ રીતે આભાર માનવો પડે કે એણે આ નવો છંદ મારી સામે મૂકી મને છંદશાસ્ત્રનો વિગતે અભ્યાસ કરવા મજબૂર કર્યો…

Comments (13)

ભાગ્યમાં જે હોય છે તે થાય છે – ‘આદિલ’ મન્સૂરી

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

‘આદિલ’ મન્સૂરી

Comments (6)

કબૂલાત – ‘આદિલ’ મન્સૂરી

હા, કબૂલ્યું હું,
નામ બદલી
મૌનનાં કાળાં રહસ્યો પામવા
ભટકું અહીં
હું છદ્મવેશે.

છંદના ખંડેરમાં બેસું કદી
ભાવો બની,
લયની સૌ ભઠિયારગલીઓમાં
સદા ભૂખ્યાનો કરતો ડોળ
રખડું.

હાઇકુના સત્તરે અક્ષર મહીં
સંકેત કરતો,
ફૂંક મારી દઉં ગઝલના કાનમાં
એકેક ચપટા શબ્દના પોલાણને
અંદર જઇ, જોઉં, તપાસું,
સહેજ પણ શંકા જો આવે કોઇને તો
અર્થના નકશાઓ ચાવી જાઉં.

હા! કબૂલ્યું. ગુપ્તચર હું.

‘આદિલ’ મન્સૂરી

જીવનના એક તબક્કે સરકારી તંત્ર ગુપ્તચર હોવાની શંકા સેવી આ  ઋજુ દિલના શાયરની પાછળ પડી ગયું હતું.
આ સરસ કાવ્યમાં તે વાત તેમણે કબૂલી છે.
પણ કેવી રીતે ? અને કેવા ગુપ્તચર? !
આદિલજી! અમને પણ આ વિદ્યા શીખવશો?

Comments (5)

બિલિપત્ર:પાંદડી-૩: જળને કરું જો સ્પર્શ – રમેશ પારેખ

જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,
સોનલ, આ તારા શ્હેરને એવું થયું છે શું ?

ખાબોચિયાંની જેમ પડ્યાં છે આ ટેરવાં,
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે તે તું ?

પીડા ટપાલ જેમ મને વ્હેંચતી રહે,
સરનામું ખાલી શ્હેરનું, ખાલી મકાનનું.

આ મારા હાથ હાથ નહીં વાદળું જો હોત,
તો આંગળીની ધારે હું વરસી શકત બધું.

પ્રત્યેક શેરી લાગે રુંધાયેલો કંઠ છે,
લાગે છે હર મકાન દબાયેલું ડૂસકું…

ટાવરના વૃક્ષે ઝૂલે ટકોરાંનાં પક્વ ફળ,
આ બાગમાં હું પાંદડું તોડીને શું કરું ?

આખું શહેર જાણે મીંચાયેલી આંખ છે,
એમાં રમેશ, આવ્યો છું સપનાંની જેમ હું.

-રમેશ પારેખ

Comments (2)

બિલિપત્ર:પાંદડી-૨: મેળો – રમેશ પારેખ

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

– રમેશ પારેખ

Comments (2)

બિલિપત્ર:પાંદડી- ૧ : તરાપો ખરાબે ચડે – રમેશ પારેખ

તરાપો ખરાબે ચડે એ ય સાચું,
છતાં યે ન દરિયો જડે એ ય સાચું.

જો મળીએ તો મળવું બની જાય બોજો,
અને સૌને મળવું પડે એ ય સાચું.

નથી કાચ હોતા કદી લાગણીશીલ,
છતાં પણ અરીસા રડે એ ય સાચું.

કદી આવે ઠોકર મદદગાર થઇને,
નડે તો ચરણ પણ નડે એ ય સાચું.

છું પથ્થર વિશે કોતરાયેલું પંખી ને,
પાંખો સતત ફડફડે એ ય સાચું.

રમેશ પારેખ

શું સાચું તે વિશે હવે કોઇ સંશય છે?!

Comments (2)

રમેશ પારેખ વગરનું એક વર્ષ…

પ્રિય મિત્રો,

સત્તરમી મે, 2006નો દિવસ ગુજરાતી સાહિત્યના માથે સુનામીના વિનાશક મોજા સમો ખાબક્યો. શબ્દનગરીના બેતાજ બાદશાહ રમેશ પારેખ નામનું એક શરીર હૃદયરોગના હુમલાને નામે આપણી વચ્ચેથી સાંગોપાંગ છીનવાઈ ગયું. આપણી ભાષાને વધુ ને વધુ રળિયાત કરી શકે એવી સેંકડો કવિતાઓ અને લેખો અનાગત બનીને કાળની ગર્તામાં જ ગોપાઈ ગયા અને રહી ગઈ કદી મટી ન શકે એવા અ-ક્ષરીય પગલાંઓની અસીમ છાપ…

રમેશ પારેખને લયસ્તરો તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ !

ગયા વરસે આજ વેબ-સાઈટ ઉપર આલેખાયેલ ર.પા.નું શબ્દ-ચિત્ર આંખોમાં ભરીને આપ આજે ફરીથી એમને શ્રદ્ધા-સુમન અર્પી શકો છો:

છ અક્ષરનું નામ

ર.પા.ના દૈહિક અવસાન પર એમના સપ્તરંગી મિજાજને તાદ્દશ કરતી સાત અલગ-અલગ પ્રકારની કાવ્ય-રચનાઓ પણ ક્રમશઃ પ્રગટ કરી હતી… જે નીચેની લિન્ક પર ક્લિક્ કરી આપ વાંચી શકો છો:

– રમેશ પારેખ : શબ્દ-સપ્તકની શરૂઆત વેળાએ….
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૧ : સોનલકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૨ : અછાંદસ કાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૩ : ‘આલા ખાચર’ કાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૪ : મીરાંકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૫ : બાળકાવ્ય
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૬ : ગઝલ
– રમેશ પારેખ – શબ્દ-સપ્તક : કડી ૭ : ગીત

અસ્તુ !

Comments (1)

ક્યાંથી પાનબાઇ પ્રોવે મોતી જી? – ધીરેન્દ્ર મહેતા

કલમ ખડિયો કાગળ લઇને બેઠા કાંઇ ચીતરવા જી,
ચારે છેડે બંધાયેલી દુનિયામાં વિચરવા જી.

સૂનકાર કરે છે આખું આભ ભરીને સેલારા જી,
દશે દિશામાં ગાજે એના હેલારા હેલારા જી.

આલીપા છે ધગધગતાં રણ, નદીયુંની પણ ખળખળ જી,
અહીં હાંફતાં હરણની સાથે માછલિયુંની તડફડ જી.

એમાં થઇને કંઇક મલક ને મેદાનો આ નીકળ્યાં જી,
કોઇ નગર ને ગામને પાદર ઘર ને ખડકી ખખડ્યાં જી.

અવાવરુ કુવા, અણજાણ્યાં કોતર, ઊંડી ઊંડી ખીણો જી,
સમો ઘૂઘવે ઘેરું ઘેરું, સૂ સૂ સૂસવે તીણો જી.

કઇ આ દુનિયા, કયા લોક આ, ક્યાંથી લાવ્યાં ગોતી જી,
વીજળીને ઝબકારે ક્યાંથી પાનબાઇ પ્રોવે મોતી જી?

–  ધીરેન્દ્ર મહેતા

નાની ઉમ્મરમાં જ પોલીયોને કારણે અપંગ બનેલા આ સારસ્વત આપબળે અને માતાના દીધેલા સંસ્કારોના બળે બહુ મોટા ગજાના સાહિત્યકાર બન્યા.

તેમની જીવનઝાંખી વાંચવા અહીં ‘ ક્લીક’ કરો 

Comments (1)

અફર નિયમ – જ્હોન પોવેલ

માણસના જીવનનો
ગુરુત્વાકર્ષણના નિયમ જેવો જ
એક અફર નિયમ છે –
આપણે વસ્તુઓને વાપરતાં
અને માણસોને પ્રેમ કરતાં
શીખવું જોઈએ;
નહીં કે –
માણસને વાપરતાં
અને
વસ્તુઓને પ્રેમ કરતાં.

– જ્હોન પોવેલ
(અનુ. – રમેશ પારેખ)

કેટલી સચોટ વાત ! આટલું સમજી લઈએ તો મોટા ભાગની તકલીફમાંથી બચી જઈએ. પણ આ મર્કટ મન ક્યાં કદી કોઈનું સમજાવ્યું સમજ્યું છે કે હવે સમજશે ?!

Comments (1)