રાખ ચાહતનું વલણ તું દોસ્ત, એવું કાયમી;
દુશ્મનોની આંખમાં પણ પ્યાર ફૂટી નીકળે !
કિરીટ ગોસ્વામી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2022

સંસારનું સાજ – અવિનાશ વ્યાસ

બેસૂર સાજ સંસાર રે,
મારો મળ્યો ન મળતો તાર રે;
મારો મળ્યો મળે નહિ તાર.

ગાયા કંઈએ વિધ વિધ રાગ,
છેડ્યો અંતે મેં વૈરાગ,
લઈ જાશે ભવની પાર રે,
થઈ ભવભવનો સથવાર
બેસૂર સાજ સંસાર રે.

સમતાનો જ્યાં ષડજ મળે નહિ,
રિષભ મળે નહિ રહેમભર્યો;
મૃદુવચની જ્યાં મળે ના મધ્યમ,
જ્યાં ઘમંડના ગાંધાર રે;
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.

પરદુઃખીનો પંચમ ના બોલે,
ધનિકનો થઈ ધૈવત ડોલે;
નહિ નિર્બળનો નિષાદ રે.
ત્યાં કેમ મળે મારો તાર?
બેસૂર સાજ સંસાર રે.

– અવિનાશ વ્યાસ

કવિતામાં માનવીનો વ્યવસાય કઈ રીતે રસીબસી જઈ શકે છે એનું ઉમદા ઉદાહરણ આ ગીત છે. જેમની રક્તવાહિનીઓમાં રક્તના સ્થાને સંગીતની સરગમ વહેતી હતી એવા કવિએ અહીં ગીતને રાગમાં ઢાળનાર શુદ્ધ સ્વરોને જ ગીતના વણાટકામમાં જોતરી લીધા છે. આપણે સહુ આ સાત સ્વરોથી સુપરિચિત છીએ: સા (ષડજ), રે (રિષભ), ગ (ગંધાર), મ (મધ્યમ), પ (પંચમ), ધ (ધૈવત), ની (નિષાદ).

સંસારનું સાજ બેસૂરું લાગે એ વાત તો સદીઓથી સંતકવિઓ ગાતા આવ્યા છે. કવિ પણ એમના સૂરમાં સૂર પૂરાવતા કહે છે મારો તાર કેમે મળ્યો મળતો નથી. ભૂમિતિમાં આપણે પ્રમેય અને પૂર્વધારણા વિશે શીખ્યા હતા. પ્રમેયોને સાબિત કરવામાં આવે છે, પરંતુ ભૂમિતિની શરૂઆત કેટલાક વિધાનોથી થાય છે જેમને સાબિતિ વિના માની લેવામાં આવે છે. આ વિધાનોને પૂર્વધારણા કહે છે. કવિના આ ગીતની ઇબારત પણ પૂર્વધારણા જેવી છે. સામાન્યતઃ ગીત ક્રમિક વિકાસ સાધી પરાકાષ્ઠા સુધી જતું જોવા મળતું હોય છે, એના બદલે અહીં કવિ પહેલાં પરિણામ જાહેર કરી દે છે અને પછી પરિણામ સુધી પહોંચવા માટે પોતે ગણેલી રીત આપણને બતાવે છે. જીવનમાં લખલખ વાનાં કરી લીધા બાદ આખરે કવિને વૈરાગ છેડવાનું સૂઝ્યું છે, કેમ કે એ એક જ રાગ છે જે ભવભવનો સથવાર થઈ ભવપાર લઈ જઈ શકે એમ છે.

આખું આયખું સંગીત ઉપર કેન્દ્રિત કરી જીવ્યા હોવાથી અહીં પ્રચલિત ગીતરચનાથી વિપરિત સ્વરૂપ-સંવિધાન આપણે જોઈ શકીએ છીએ. પ્રથમ બંધમાં અ-અ-બ-બ મુજબ પ્રાસ મેળવીને કવિ મુખડાના પ્રાસ સાથે સંધાન સાધે છે, પણ બીજા અંતરામાં એક પંક્તિ વધારાની ઉમેરીને પ્રાસમુક્ત ત્રણમાં પંક્તિ આલેખ્યા બાદ બ-બ પ્રકારે પ્રાસ પ્રયોજી મુખડા સાથે ગીતને જોડે છે, અને અંતે છેલ્લા બંધમાં ફરી ક-ક-બ-બ મુજબ પ્રાસ પ્રયોજીને પ્રચલિત ગીતસ્વરૂપ તરફ ગતિ કરે છે. અન્ય કાવ્યસ્વરૂપોની સરખામણીમાં કદાચ ગીત એકમાત્ર પ્રકાર એવો છે, જે કવિને કાવ્યબંધારણ માટે અનંત શક્યતાઓ બક્ષે છે.

Comments (3)

ખેડૂત સ્ત્રીનું ગીત – અરવિંદ ભટ્ટ

ભાણે બેસો તો થોડું ભાવશે
મનમોજી! તમે ભાણે બેસો તો થોડું ભાવશે

ખેતરમાં જેમ તમે હળને હાંક્યું છે આજ
એમ આ વલોણું ફર્યું છાસમાં
ગાડાનાં પૈ જેવા રોટલામાં ભાત્ય જેમ
ક્યારીઓ કરી છે તમે ચાસમાં
ભોમાં ભાર્યું તે બારું આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે

વીંઝણામાં ઝાડવાના છાંયડા ગૂંથીને
હુંય ઢાળીને બેઠી છું પાટલો
નેજવું કરીને વાટ જુઓ વરસાદની
એમ હુંય જોતી’તી વાટ હો
ખાધું-પીધું તે ખભ્ભે આવશે
મનમોજી, તમે ભાણે બેસો તો થોડું ભાવશે.

– અરવિંદ ભટ્ટ

જે રીતે ખેડૂત આંખનું નેજવું કરીને વરસાદની વાટ જોતો હોય એ જ રીતે ખેડૂતની પત્ની પોતે પતિ બપોરે કામ પતાવીને ભોજનભેગો થવા આવે એની વાટ જોતી હોવાનો હલકારો દઈને અંતરની વાત સ-રસ રીતે રજૂ કરે છે. ગીતનો ઉપાડ ‘ભાણે બેસો તો થોડું ભાવશે’ના ‘તો’કારથી થયો છે, એ પરથી એમ સમજાય છે કે ખેડૂતને ખાવાની વરણાગી હોવી જોઈએ. બીજી જ પંક્તિમાં પતિને ‘મનમોજી’ સંબોધન અને ‘તો’કારવાળા ધ્રુવપદની પુનરુક્તિ કરીને ખેડૂતની સ્ત્રી આપણને આ વાતની ખાતરી કરાવે છે. ખ્યાલ પણ ન આવે એવું ચીવટભર્યું કવિકર્મ તે આનું નામ… ‘તો’માંથી જન્મતી સ્વભાવની પ્રતીતિ, વિશેષણ વડે એની પુષ્ટિ અને પુનરુક્તિ વડે અધોરેખાંકન – આ છે સારા કવિની નિશાની. પ્રયત્ન કરવાથી સારું ગીત લખાતું નથી. પથ્થર ફોડીને ઝરણું ફૂટે એમ સારું ગીત તો ભીતરથી આપોઆપ નીકળે. ગીત લખાઈ ગયા પછી આપણે વિશ્લેષણ કરીએ કે આવી-આવી તરકીબો કવિએ ગીતમાં પ્રયોજી છે, પણ હકીકત એ હોય છે, કે ગીતરચનાને સારી કવિતાની કક્ષાએ લઈ જતી આવી પ્રયુક્તિઓ સમર્થ કવિની રચનામાં અનાયાસે જ સંમિલિત થઈ જતી હોય છે…

ખેડૂતે ખેતરમાં જે રીતે હળ હાંક્યું છે, એ જે ખંત અને ચીવટથી સ્ત્રીએ વલોણું ફેરવીને છાશ બનાવી છે. ગાડાના પૈડા જેવા મસમોટા રોટલામાં ખેડૂત જે રીતે ચાસમાં ક્યારીઓ કરે એમ પત્નીએ ભાત કરી છે. વાવશો એ જ લણશોની ઉક્તિને નાયિકા ભોજન સાથે બખૂબી સાંકળી લે છે – મનમાં સારો ભાવ હશે તો ભોજન જેવું હશે, એવું ભાવશે. પત્નીએ ઢાળેલા પાટલે પતિ જમવા બેસે ત્યારે પત્ની એને જે વીંઝણાથી પવન નાંખે એમાં ઝાડવાના છાંયડા એણે ગૂંથી લીધા છે. કેવું ઉત્તમ કલ્પન! ખાઈ લે, વહાલા… કારણ, આખરે તો જે ખાધું-પીધું હશે એ જ ગુણ કરશે. તાકાત એમાંથી જ મળશે. ખભા એનાથી જ મજબૂત થશે…

સરવાળે મારે તો તમને એટલું જ કહેવાનું કે, હે મનમોજી! વાંચવા બેસશો તો આ ગીત ભાવશે…

Comments (8)

ફણગો ફૂટે – શબનમ ખોજા

બીજ ભીનું થાય ને ફણગો ફૂટે,
એમ મારી આંખને દૃશ્યો ફૂટે!

માના સપનાને મળે પાંખો નવી,
દીકરાને મૂછનો દોરો ફૂટે!

છોડ સાથે પીંછું મેં વાવી દીધું,
શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે!

એમ સપનું સ્હેજમાં તૂટી ગયું-
જેમ અડતાંવેંત પરપોટો ફૂટે.

એ પછી બહુ જોખમી થઈ જાય છે,
માનવી કે કાચ જો અડધો ફૂટે.

મારા લોહીનું એ ગુજરાતીપણું,
ટેરવાની ટોચ ૫૨ કક્કો ફૂટે!

– શબનમ ખોજા

આખી ગઝલ સંઘેડાઉતાર પણ આપણે કેવળ મત્લાની વાત કરીએ. મત્લા વાંચીએ અને જૉન કિટ્સ યાદ આવે: “If poetry comes not as naturally as leaves to a tree, it had better not come at all.” (જે સાહજિકતાથી ઝાડને પાંદડાં ફૂટે, એ જ રીતે કવિતા આવતી ન હોય તો બહેતર છે કે એ આવે જ નહીં.) અહીં જો કે વાત અલગ છે. અહીં બીજમાંથી ફણગો ફૂટે એ સાહજિકતાથી આંખોને દૃશ્યો ફૂટવાની વાત છે, જો કે ભીનું શબ્દ ચૂકી જવાય તો આખો શેર હાથમાંથી સરી જવાની ભીતિ પણ રહે છે. આખો શેર આ એક શબ્દના જોર પર ઊભો રહ્યો છે. બીજ ભીનું થાય અને ફણગાય એ રીતે આંખ ભીની થાય ત્યારે જાણે કે આંખ ફણગાય છે. આંખ ભીની થતાવેંત આંખ ભીની થવા પાછળનાં કારણો આંખ સમક્ષ આવી જાય છે…

Comments (30)

પગલાં પડી રહ્યા… – રમેશ પારેખ

દૂર દૂરથી સરી આવતી
કેડી ઉપર
સૂનકારનો ડમરી વચ્ચે ફંગોળાતું
શુષ્ક નજરનું પાન
ઊડીને
ઘરમાં પાછું આવે

હળી ગયેલા શ્વાન સમો
ફળિયાનો તડકો
ઊંબર સુધી આંટો લઈને
નેવાંના પડછાયા સૂંઘી
કંકુ ચીતરી ભાત ઉપર રગદોળી કાયા
ભીંત ઠેકતો
સાંજ બખોલે જઈ
નિરાંતે ઘોરે

પરોઢીએ પૂરેલી
કોરી લાલચટ્ટાક સેંથીની છેલ્લી ઝાંય
ઊડીને આથમણે આકાશે વળગી જાય

વેણીમાંથી ચીમળાઈને ખરી પડેલાં
ડોલર ફૂલ – શા
તારાઓની ઝળમળ
વેરે અંધકારની જરઠ હથેળી
ઘરને ખૂણે
બળે કોડિયું હાલકડોલક
હાલકડોલક પડછાયા તો ફળિયા સુધી જાય
પોપચાં ઢળી રે જાય
પોપચાં ઢળી રે જાય
તબકતાં ઝૂલચાકળામાંથી ભીનાં વળામણાં સંભળાય

કે બગલાં ઊડી ગયાં
ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે લોલ

બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ
ન જોયો દાદાએ કૈં દેશ
ન જોયો દાદાએ પરદેશ
ને દીકરી દઈ દીધી રે લોલ
આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં અંકાશ
ને પગલાં પડી રહ્યાં રે લોલ

ઊમટે ડામચિયે ચંદરવો
એમાં પાંચ પૂતળી ઝૂલે
એમાં પાંચ ઘૂઘરી ઝૂલે
ઝૂલે પૂતળીઓ તો રાનક ઝણકતી એવું
પેલા દાદાજીને દેશ ઝૂલ્યા’તા સૈયર સંગે
ગામગોંદરે સીમખેતરે જેવું
રામણ દીવડે
ધૂળ બનીને બાઝયું
આખા ઘરનું રે એકાંત

એકલા ખખડી ઊઠતાં કંકણમાંથી
દડી નીકળે તળાવની ભીનાશ
અને ભીનાશે તરતું આસોપાલવ ઝાડ

આંગણ આસોપાલવ ઝાડ
ને બગલાં ઊડી ગયાં રે અંકાશ
ને છાંયા પડી રહ્યાં રે લોલ

 

ઊગે રે પડછાયાના ઝાડ
ઊગે રે પડછાયાના ઝાડ
હવે તો ઊંબર ઊગ્યા પહાડ
હવે આ પગરવના અજવાસ વિનાની કેડી જેવી રાત
હવે આ પગરવના અજવાસ વિનાની કેડી જેવી રાત

રાતને
ભરનીંદરમાં શ્વસે
છાપરે
કાગ.

– રમેશ પારેખ

શબ્દચિત્ર….. પ્યારું કો‘ક ચાલ્યું ગયું…..કે ભીતરથી કોઈક બંધન તૂટ્યું… ખિન્નતા પારાવાર વ્યાપી – ભીતરે.

સંબંધ સમજાતા નથી…..કોઈ નિયમ હોતા નથી, કોઈ કાયદા લાગતા નથી. આપનાર આપ્યે જ જાય છે અને લેનારને કોઈ તમા નથી. સિતારાઓના ઝગમગાટ વચ્ચે આરતીનો દીવો ટમટમીને નિસ્તેજ થતો થતો બુઝાઈ જાય છે….

અંતહીન વેદનામાંથી વિના શરતે પસાર થવાની સજ્જડ તૈયારી ન હોય તો પ્રેમથી અળગા જ રહેવું….

Comments (2)

તમારા માટે – ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)

તમારા માટે

જેઓનો ટોકિયો મહાભૂકંપ, ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩, પછી નાકાગાવા અને અરાકાવા નદીકાંઠાઓ પર, નરસંહાર કરાયો હતો.

શું કરવું જોઈએ મારે?
હું જન્મ્યો એના દસ વરસ પહેલાં તો તમને દફનાવી દેવાયા હતા.

નદીનો પટ ભર્યો પડ્યો છે
તમારા નિરાકાર ચહેરાઓથી.

તમારા દેશબંધુઓ, જે તમને શોધે છે,
આ જગ્યાને ટેકી-ક્યો, શત્રુ-રાજધાની કહે છે.

તમારું નામ લીધા વિના
હું આહ્વાન કરું છું તમને,

તમને, પીઠ પાછળ હાથ બાંધી દેવાયેલાઓને,
તમને, કુહાડીઓથી સંહારાયેલાઓને,

તમને, ગોળી મારીને
અને લાતો મારીને નદીમાં ફેંકી દેવાયેલાઓને,

તમને, સગર્ભાઓ
અને યુવાનોને,

તમને, જેઓ ભણવા આવ્યા હતા,
તમે પણ ત્યાં હતા,

અને તમને, એક ગાડા સાથે જોતરી દેવાયેલાઓને કારણ કે
તમારા પાકનો એક ભાગ જાપાની સૂદખોરો વડે લઈ લેવાયો હતો.

હજારો વર્ષ પહેલાં
મહાન કુરંગોના ચિત્રો દોરવામાં આવ્યાં હતાં.
તે આજેય ઇન્ફ્રા-રેડ વડે જોઈ શકાય છે

પણ હું તમને, – જેઓ સાંઠ વર્ષ પહેલાં મરણ પામ્યાં છે, – કે તમારા નામને
જાણતો નથી. કેટલા હતા તમે લોકો -સેંકડો? વધારે?

શું કરવું જોઈએ મારે?
તમે જઘન્ય લાલસામાં દફનાવાયા છો

જ્યારે અમે શાંતિથી નાકાગાવા પાર કરીએ છીએ
અને કોમેડો શહેરમાં રખડપટ્ટી કરીએ છીએ.

શું કરવું જોઈએ અમારે?
સપ્ટેમ્બર પાછો આવી ગયો છે, ફૂલો ખીલી રહ્યાં છે,

જ્યારે પાડોશી મુલ્કના તમે,
તમારાં નામ અને ગુસ્સો નદીતળમાં વહી ગયાં છે.

અડધી સદીથીય વધુ સમયથી
અમે તમને પગતળે કચડતા આવ્યા છીએ.

– ઇત્સુકો ઇશિકાવા (જાપાનીઝ)
(અંગ્રેજી અનુ.: રીના કિકુચી, જેન ક્રૉફર્ડ)
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

*

જાપાનમાં ૧ સપ્ટેમ્બર, ૧૯૨૩ના રોજ ટોકિયોમાં મહાભૂકંપ આવ્યા પછી ફેલાયેલી અફવાઓને કારણ બનાવીને જાપાનીઓએ જાપાનમાં રહેતા કોરિયનોનો જઘન્ય નરસંહાર કર્યો… ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહેલ આ મનુષ્યના વાસ્તવિક ચહેરાના નગ્ન નાચે દુનિયાને હચમચાવી દીધી હતી… વાત જાપાનના કાન્ટોવિસ્તારમાં થયેલ કત્લેઆમની છે પણ સ્વથી શરૂ થઈ સર્વ સુધી પહોંચે એ જ કવિતા. સ્થાનિક હત્યાકાંડનો તાંતણો ઝાલીને આ કવિતા ખરેખર તો વિશ્વચેતનાને સંકોરવાની કોશિશ છે… અંગ્રેજી અનુવાદ અને વિશદ કાવ્યાસ્વાદમાં રસ ધરાવતા મિત્રોને અહીં ક્લિક કરવા અનુરોધ છે.

Comments (2)

An exile – ઉમાશંકર જોશી

I wonder how this little soul
Was smuggled into life.
Not that I dread the fact of being.
That men misname as strife.

From birth to death the mortals roam,
I seek the way from death to birth;
I have wandered and will wander still
An exile on this earth.

– Umashankar Joshi

દેશવટે

આશ્ચર્ય મોટું મુજને, ઠગાઈ
આ હંસલેા ઘટ મહીં ઝટ શેં પુરાયો !
ન જાણશો કે ડરું જિન્દગીથી,
જેને જનો કલહ નામ દઈ નવાજે.

સૌ મર્ત્યને ભમવું જન્મથી મૃત્યુ યાવત્.
હું મૃત્યુથી જનમનો નવપથ શેાધુ.
ભમ્યાં કર્યું છે વળી ને ભમીશ
પૃથ્વી પરે દેશવટે ગયા સમો,

– ઉમાશંકર જોશી

ઉ.જોની ૧૧૧મી જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે આપણે એમણે લખેલી સંસ્કૃત કવિતા માણી. આજે માણીએ અંગ્રેજી કવિતા. પ્રસ્તુત રચના કવિએ પહેલાં અંગ્રેજીમાં લખી હતી જે ૧૯૩૫ની સાલમાં ‘ધિ એલ્ફિન્સ્ટોનિયન’માં છપાઈ હતી. પછી કવિએ જાતે જ એનું ગુજરાતી ભાષાંતર પણ કર્યું. મૂળ અંગ્રેજી કવિતામાં કવિએ બેલડ મીટર પ્રયોજ્યું છે. બેલડ એટલે ચાર-ચાર પંક્તિના બંધથી બનેલી રચના. પહેલી અને ત્રીજી પંક્તિ આયમ્બિક ટેટ્રામીટર અને બીજી-ચોથી પંક્તિ આયમ્બિક ટ્રાઇમીટરમાં હોય છે, તદુપરાંત પહેલી અને ત્રીજી પંક્તિમાં પ્રાસ મેળવેલો હોય એને બેલડ મીટર કહેવાય. (અહીં છઠ્ઠી પંક્તિમાં જો કે છંદ જળવાયો નથી.) ગુજરાતી અનુવાદમાં કવિએ સંસ્કૃત વૃત્તોને ખપમાં લીધા છે. પહેલી, ત્રીજી, સાતમી પંક્તિ ઇન્દ્રવજ્રામાં, બીજી, ચોથી- પાંચમી, છઠ્ઠી વસંતતિલકામાં અને છેલ્લી પંક્તિ ઇન્દ્રવંશા છંદમાં છે.

આત્મા કઈ રીતે ઠગાઈને શરીરના પિંજરામાં પૂરાઈ ગયો એ કવિને મન મોટું આશ્ચર્ય છે. લોકો જેને ઝઘડો કહે છે એ જિંદગીથી કવિ ડરતા નથી. આખી દુનિયાની ગતિ જન્મથી મૃત્યુ તરફની છે, પણ કવિ મૃત્યુથી જન્મ તરફનો નવતર પંથની શોધમાં છે. મૃત્યુની પેલે પાર વિકસતા-વિલસતા વિશ્વ સાથે સાક્ષાત્કાર કરવાની તેઓ મંશા રાખે છે. કોઈએ દેશવટો આપ્યો હોય અને પૃથ્વી પર ભટકવા છોડી દીધા હોય એમ નિર્વાસિતની જેમ આજીવન તેઓ મૃત્યુપર્યંતના જીવનની શોધમાં ભટકતા રહ્યા છે અને હજીય ભટકતા રહેવાની નેમ ધરાવે છે.

ગુર્જરીગિરાની સર્વોચ્ચ ચોટીએ બિરાજમાન કવિના ભાષાપ્રભુત્વ વિશે વાત કરવામાં મારો પનો તો સાવ ટૂંકો પડે, પણ આ કવિતા બાબતે મારો નમ્ર અને અંગત અભિપ્રાય છે કે વિદેશી ભાષામાં સ્વતંત્ર રચના કરવામાં અને પછી એનો અનુવાદ કરવામાં કવિ ક્યાંક નાનકડી થાપ ખાઈ બેઠા છે. ‘Being’નો અનુવાદ કવિએ જિંદગી કર્યો છે. હકીકતમાં બીઇંગ એટલે હોવું, અથવા અસ્તિત્વ. આજ રીતે જિંદગીને લોકોએ કલહ યાને ‘strife’ કહીને નવાજે છે, એમ કવિ કહે છે. અહીં ‘strife’ શબ્દ કેવળ ‘life’ સાથે પ્રાસ મેળવવાના હેતુથી પ્રયોજાયો હોવાની સંભાવના વધુ છે, કારણ કે જિંદગીને ઝઘડાનું ખોટું નામ આપીને લોકો સંબોધતા હોવાની વાત શું હકીકતથી વેગળી નથી?

Comments (7)

કાં કૃપણતા? – ઉમાશંકર જોશી

न ते मृत्युप्रायां
तमःकृष्णच्छायां न खलु सलिलं प्रार्थय इह ।
तडित्तेजोयुक्तं जलद ! विकटं गर्जितमथ
तदेकं याचेऽहं तदनवरतं गर्ज कुपितम्
.                      अयि वरद ते घर्घररवम् ॥
सुधाऽऽस्वादं यत्ते
स्मितं नाहं याचे तदभिलषिताः सन्तु बहवः ।
कृते भ्रूभङ्गानां मम तु भवति प्रार्थितमहो
कटाक्षैर्युक्तानामयि हृदयमूर्ते ! कुरु कृपाम्
.                      सुलभविषये किं कृपणता ॥

– उमाशंकर जोशी

કાં કૃપણતા?

અરે કૃષ્ણચ્છાય
નર્યું મૃત્યુપ્રાય પ્રથિત જલનું વર્ષણ તવ
જરીયે વાંછું ના, પણ જલદ હે ! મુક્ત મનડે
તડિત્-નૃત્યેાલ્લાસે ગહન જગવી મંથન નભે,
.                      વરદ, કુપિતો ગર્જ તુજ જે.
સુધાસ્વાદપ્રેર્યાં
સ્મિતો હું યાચું ના; સ્મિતવલખતા કૈંક, ન મણા.
તવ ભ્રૂભંગાર્થે સતત, દયિતે, પ્રાર્થન મમ.
કટાક્ષેા વર્ષંતી અયિ, હૃદયમૂર્તે, કર કૃપા.
.                      સુલભ વિષયે કાં કૃપણતા ?

– ઉમાશંકર જોશી

આજે ઉ.જોની ૧૧૧મી જન્મજયંતીએ એક સાવ અલગ જ પ્રકારનું કાવ્ય…

બહુ ઓછા મિત્રોને ખબર હશે કે ઉ.જો. સંસ્કૃતમાં પણ કાવ્યો લખતા. પહેલાં ગુજરાતીમાં લખી લીધા બાદ એનો સંસ્કૃતમાં અનુવાદ કર્યો હોય એવુંય નહીં. અઢાર વર્ષની કૂમળી વયે લખેલું આ કાવ્ય ગુજરાત કૉલેજ મૅગેઝીનમાં છપાયું હતું. મૂળ સંસ્કૃતમાં રચાયેલ આ કાવ્યનો કવિએ જાતે જાન્યુઆરી ૧૯૩૦માં ગુજરાતી અનુવાદ પણ કર્યો હતો. બંને કાવ્ય ખંડ શિખરિણીમાં લખાયેલ છે.

વાત તો પ્રણયની જ છે, પણ રજૂઆત મજાની છે. કવિ પોતાની શ્યામવર્ણા પ્રિયાને કહે છે કે આંખેથી વરસતાં આંસુઓ થકી વ્યક્ત થતો પ્રેમ બહુ જાણીતો છે, પણ મને એ મૃત્યુસમાન લાગે છે અને મને એની જરાય ઇચ્છા નથી. કવિને મન તો વીજળી નૃત્યોલ્લાસ કરી આકાશમાં ગહન મંથન જગવે અને ક્રોધિત આકાશ જે રીતે ગર્જના કરે એવા ઉત્તમ મુક્ત મનના પ્રેમની અભિલાષ છે. કૈંક લોકો પ્રિયપાત્રના સ્મિત માટે વલખતાં હોય છે એની ના નથી, પણ કવિને અમૃતનો સ્વાદ આપે એવા સ્મિત પણ જોઈતાં નથી. કવિને તો પોતાની પ્રિયાને સતત ભવાં ચડેલાં રહે એવી પ્રાર્થના કરે છે. પોતાના હૃદય પર કટાક્ષો વરસાવીને કૃપ કરવાનું પ્રિયાને ઇજન આપતાં કહે છે કે સ્ત્રીઓને માટે તો આ વિષય –રીસ-ગુસ્સો વગેરે ખૂબ જ સુલભ છે, તો એ બાબતે કંજૂસાઈ શીદ આચરવી?

નાની અમસ્થી વાત. પણ વિષયવસ્તુની માવજત અને છંદોવિધાનન કારણે મૂળ સંસ્કૃત કાવ્ય અને કવિએ પોતે કરેલ ગુજરાતી અનુવાદ –ઉભય નખશિખ આસ્વાદ્ય બન્યા છે.

Comments (6)

નજર પહોંચી શકે…..- મનોજ ખંડેરિયા

નજર પહોંચી શકે ત્યાં લગી બસ શુષ્ક ધરણી છે;
વચાળે જિંદગી છે સમજી લે કે ફૂલખરણી છે.

લીલી દુર્વાની જેવાં આપણાં સપનાં ચરી જાતી;
સતત દેખાતી ગભરુ કિંતુ એ છેતરતી હરણી છે.

પુરાયાની પીડા ભૂલી ગયા સહુ બહાર જોવામાં,
જગત આખુંય જાણે કાચની આ એક બરણી છે.

પ્રવેશે છિદ્રમાંથી પાણી ત્યાં બસ આંગળી રાખી,
દીધેલી તેંય જન્મારાની કેવી કાણી તરણી છે.

ગઝલ મારી લખાયા બાદ નીરખીને મને થાતું,
પડી કાગળ ઉપર આ કોની પગલી કંકુવરણી છે.

તમારે મન ફક્ત ગજરો અમારે મ્હેકતો રેલો,
અમારી સાવ જુદી આપથી વિચારસરણી છે.

– મનોજ ખંડેરિયા

બળકટ ગઝલ….

Comments (3)

વીણેલાં મોતી – લવ સિંહા

એ જ રીતે જીવ પણ‌ ચાલ્યો જશે,
બલ્બ ઊડી જાય છે, ફૂટ્યા વગર.
*
હું એને પામવાના પ્રયાસો કર્યા કરું,
જેનો જરા પ્રભાવ મને મારી નાખશે.

કડવી છે કહીને મારી દવા પણ નહીં કરે,
હદથી વધુ લગાવ મને મારી નાખશે.
*
ઘડીભર વિચાર્યું તો‌ લાગ્યું મને-
હજી આ સબંધો બચે એમ છે.

લગોલગ જો બેઠો, તો સમજણ પડી,
હજી થોડું અંતર ઘટે એમ છે.
*
નાની બહુ જ લાગી ઘરબારની ઉદાસી,
જોઈ રહ્યો છું હું તો સંસારની ઉદાસી.
*
હું તને જોઈને દુનિયા જોઉં છું,
કંઈ નથી એવું કે જે ગમતું નથી.
*
દુઃખ મળ્યા એવા કે જે વેઠી શકાય,
આપણે પણ માપસરનું રોઈએ.

શાંત થઈએ અથવા તૂટી જઈએ, ચલ!
ક્યાં સુધી આ નિમ્ન સ્તરનું રોઈએ?

– લવ સિંહા

પ્રવર્તમાન નવી પેઢીમાં ઝડપભેર આગળ આવી રહેલા નામો પૈકી એક તે લવ સિંહા. એમની થોડી ગઝલોમાંથી કેટલાક ગમી ગયેલા શેર આજે આપ સહુ માટે. આ બધા જ શેર બહુ હળવે હાથે ખોલવા જેવા છે.

Comments (3)

(કાગળે ચીતરેલાં) – દર્શક આચાર્ય

કમળને અમે કાગળે ચીતરેલાં,
પછીથી ભ્રમર જેમ એમાં ફસેલા.

બધી વાત પૂરી કરો એ પહેલાં,
પરત આપી દો પત્ર તમને લખેલા.

ચહેરા ઉપરથી જ સમજાઈ જાશું,
અમે એક બાળક સમા સાવ સહેલા.

હતાં વાદળાં ખૂબ સમજુ ને ડાહ્યાં,
થયાં છે પવનના પ્રભાવે જ ઘેલાં.

રહ્યા છે હવે માત્ર કંકુના થાપા,
કદી આપણે જેમાં ઘરઘર રમેલા.

– દર્શક આચાર્ય

પાંચ શેરની ગઝલ. બધા જ નખશિખ આસ્વાદ્ય, પણ હું તો મત્લાથી જ આગળ વધી શકતો નથી. સીદીભાઈને સીદકાં વહાલાં. માણસનો સ્વ-ભાવ છે કે પોતાનું બનાવેલું ગમે તેવું કેમ ન હોય, એને તો ગમે જ. કાગળ પર કમળ દોરીને પછી એ જ કમળમાં ભમરાની જેમ ફસાઈ જવાના પ્રતીક સાથે કવિએ આ વાત કેવી અદભુત રીતે રજૂ કરી છે! આખી જિંદગી આપણે રાત પડતાં બિડાઈ જતા કમળમાં ફસાઈ જતા ભ્રમરની પેઠે જાતના પ્રેમમાં જ ફસાયેલા રહીએ છીએ…

Comments (10)

(ઈને પોંખવો સે અધમણની ગાળે) – દેવાંગી ભટ્ટ

પીટ્યો ભરરસ્તે આંખને ઉલાળે, પાછો મરકે સે ગામની વચાળે
કોક દિ’ જો સીમ જતાં એકલો મળે, ઈને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

આ તો નાનકડું ગામ, હૌ ને હૌની પંચાત, અહીં આવા અળવીતરા થવાય?
જ્યાં બાજુની ભીંત તારી છીંકુએ હાંભળે, ન્યા લવ-બવની વાતું કરાય?
તારી નકટી જીભડીને કોક બાળે, તને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

બેડું ભરીને હજી નેકળતી હોઉં, ન્યા ઈ અક્કરમી આવી અથડાય,
ડોશીઓને હેડ્કીયું ઉપડે ને ચોતરાની આંખ્યું તલવાર થઇ જાય;
પાસો ફાટીમૂઓ મૂછને પંપાળે, તને પોંખવો સે અધમણની ગાળે
પીટ્યો ભરરસ્તે…

– દેવાંગી ભટ્ટ

ભાષા અભિવ્યક્તિનું સૌથી સશક્ત માધ્યમ છે. માનવમનના ભાવોને વ્યક્ત કરવા માટે ભાષાથી ચડિયાતી રીત હજી આપણે શોધી શક્યા નથી. સારો કવિ ભાષાના સામર્થ્યને નિચોવીને કવિતા રચે. ભાષાનું એક અગત્યનું અંગ છે બોલી. ભાષા ભલે એક જ રહે, પણ બોલી તો દર બાર ગાઉ પર બદલાય. સારો કવિ ભાષાની જેમ જ બોલીને પણ ઉપાદાન બનાવીને આસ્વાદ્ય રચના આપી શકે. જુઓ, આ રચના. અહીં જે મજા છે, એ બોલીની છે. કવિતાનો વિષય જાણીતો છે. નાયક નાયિકાને જાહેરમાં આંખઉલાળા કરીને સતાવે છે અને નાયિકા એને અધમણની ગાળોથી પોંખવાના અભરખા સેવે છે. ગીતની ખરી મજા એની તળપદી બોલીમાં છે. એમાંય ચોતરાની આંખ્યું તલવાર થઈ જાય જેવા ચમકારા ગીતને વધુ જાનવંતુ બનાવે છે.

Comments (23)

સ્મિત – હ્યૂ શીલ – અનુ.- હરીન્દ્ર દવે

દસ કે વધુ વર્ષ પહેલાં
એક પુરુષે મારી સામે સ્મિત કર્યું,
ત્યારે મને કશી જ ગમ ન પડીઃ
માત્ર તેના સ્મિતનું સૌજન્ય અનુભવાયું.

એ પુરુષનું શું થયું એની મને જાણ નથીઃ
પણ હજી ટકી રહ્યું છે એ સ્મિતઃ
એને ભૂલી નથી શકતી એટલું જ નહીં,
જેમ એનો વધુ વિચાર કરું છું એમ એ વધુ નિકટ લાગે છે.

એના માટે મેં લખ્યાં છે ઘણાં પ્રેમગીતો,
ઘણી યે પરિસ્થિતિમાં એને વણી લીધો છે;
કેટલાકે વેદનાને જોવા પ્રયત્ન કર્યો છે,
કેટલાકે હર્ષને.

વેદના પણ ઠીક છે અને હર્ષ પણઃ
એ બધાથી ૫૨ એક જ વસ્તુ રહે છે – પેલું સ્મિત,
એ સ્મિત કરનાર માણસ મને હજી મળ્યો નથી
પણ એના સ્મિતના સૌજન્ય માટે હું કૃતજ્ઞ છું.

– હ્યૂ શીલ ( ચીની ભાષા ) – અનુ.- હરીન્દ્ર દવે

ઘણીબધી રીતે અર્થઘટન શક્ય છે – સામાન્ય વાચ્યાર્થ પણ યોગ્ય જ છે…. કદાચ આવું કંઈ બન્યું જ ન હોય અને માત્ર વિશફુલ થિન્કિંગ જ હોય કવયિત્રીનું…. કદાચ સાવ ભિન્ન વાત પણ હોય અને એ સ્મિત કોઈ બીજા માટે હોય જે કવયિત્રી પોતા માટે સમજી બેઠી હોય… કવયિત્રીની કલ્પનાના ઘોડાઓ દોડવા માટે એટલા આતુર હતાં કે એક સ્મિત થયું-ન થયું અને વછૂટ્યા સીધા હણહણતા…… જે પણ હોય – ન હન્યતે યાદ આવી જાય…. પાકિઝાનો ટ્રેનના ડબ્બાનો અમર સિન યાદ આવી જાય – “ આપ કે પાંવ દેખે……”

Comments (2)

ગોધૂલિની વેળાએ – ઓયાકેમી

ગોધૂલિની વેળાએ
રસ્તો માંડ દેખાય છે;
ચન્દ્ર ઊગે ત્યાં સુધી રોકાઈ જા,
હું તને જતી તો જોઈ શકું !

– ઓયાકેમી

 

એક અજબ અજંપો ઊભો કરી દેતી કવિતા…. સત્તર-અઢાર શબ્દોમાં એક ભાવવિશ્વ સર્જાઈ જાય છે અને ખિન્નતા કેડો નથી મૂકી…..

 

Comments (2)

ખયાલ ન કર – અદમ ટંકારવી

નફા ને ખોટનો ખયાલ ન કર,
ફકીર સાથે ભાવતાલ ન કર.

એ જ સંબંધની ચરમસીમા,
એમનાથી કોઈ સવાલ ન કર.

કોક બીજું ય વસે છે અહીંયાં,
અહીંયાં તું આટલી ધમાલ ન કર.

કેમકે, તું નથી તારી મિલકત,
દોસ્ત, તારામાં ગોલમાલ ન કર.

તું નથી જાણતો ક્યાં જાય છે તું,
આટલી તેજ તારી ચાલ ન કર.

લોક માલિકને ભૂલી બેસે,
સંત, તું એટલી કમાલ ન કર.

– અદમ ટંકારવી

ટાઇમલેસ ક્લાસિક. છેલ્લો શેર તો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ શેરોની પંગતમાં મોખરે બિરાજમાન થાય એવો…

Comments (5)

ત્રણ લઘુકાવ્ય – પ્રીતમ લખલાણી

(૦૧)

એક પનિહારીએ
નદીને
માણસ વિશે
એવું તે શું કહ્યું
કે
નદી
કદી દરિયા સુધી ન ગઈ?

(૦૨)

પનઘટે
પનિહારી વિચારે
કે
જો
હું
રોજરોજ આમ
બેડા
ભરતી રહીશ
તો
નદી બિચારી
કયે દિવસે
દરિયે પહોંચશે!

(૦૩)

રોજ બિચારો
દરિયો પૂછે નદીને
અરે!
પનિહારી કેવી હોય?

– પ્રીતમ લખલાણી

પનિહારી, નદી અને દરિયા -ત્રણેયને સાંકળતા ત્રણ મજાના લઘુકાવ્ય. સાવ સરળ અને સહજ ભાષા પણ દીર્ઘકાળ સુધી ચિત્તતંત્રમાં અનુરણન થયે રાખે એવા કલ્પન…

Comments (13)

એક કાવ્ય – ઉદયન ઠક્કર

એક બાજુ
માથામોઢ ઓઢીને ઈયળ પોઢણ કરે છે,
પીઠે ઢાલ લઈને ગોકળગાય રણે ચડે છે,
જાંબુડીના પોલાણમાં પોઢેલી પદમણીને ફળ ધરે છે કંસારો,
મત્સ્યની ફૂંકથી ઊઘડે છે સમુદ્રનાં તળ,
કાચબો કાચબીને ઢીંક મારે છે,
પરવાળાના મહેલમાં હણહણે છે જળઘોડા,
વ્હેલ ગીતો ગાય છે,
સાગરની પાંખડીઓ ખીલે ને વિલાય છે,
પર્વત કાઢે છે ધૂમ્રગોટ, ખોંખારીને,
ધૂમકેતુ પુષ્પવૃષ્ટિ કરે છે,
ઓતરાદા આકાશમાંથી અજવાસની કૂંડીઓ રેલાતાં ધરતી ધારણ કરે છે દંતકથાનો ગર્ભ…

અને બીજી બાજુ
પેલી છોકરી ક્યારની
ગાલ પરના ખીલની ફિકર કરે છે.

– ઉદયન ઠક્કર

સહઅસ્તિત્વ ધરાવતા બે વિરોધી પાસાંઓ કવિએ juxtapose કર્યા છે. પહેલી બાજુમાં કવિને વધુ રસ છે એટલે એનું દર્શન કવિ બહુ નિરાંતવા જીવે આપણને કરાવે છે. ઇયળ, ગોકળગાય જેવા સૂક્ષ્મ જીવોની દિનચર્યાથી શરૂ થતી વાત અંતે વિરાટતમની વ્યાખ્યા સમા સાગર-પર્વત-ધૂમકેતુ અને નોર્ધર્ન લાઇટ્સ પર જઈને વિરમે છે. તખ્તા પર આગવી ભાત પાડીને રજૂ થતા કળાકારોની જેમ કવિએ સજીવસૃષ્ટિના અલગ-અલગ જીવોને અહીં સાવ અનૂઠી રીતે પ્રસ્તુત કર્યા છે. સાગરના મોજાંની ચડઉતરમાં કવિ પુષ્પની પાંખડીઓને ખીલતી-વિલાતી જુએ છે. પર્વત પર મંડરાતા વાદળો કોઈ ખોંખારીને ધુમાડાના ગોટા કાઢતું હોય એવા ભાસે છે. ધૂમકેતુની પૂંછડીમાં કવિને પુષ્પવૃષ્ટિ નજરે ચડે છે. નોર્ધર્ન લાઇટ્સને ઓતરાદા આકાશમાંથી રેલાતી અજવાસની કુંડીઓ કહીને કવિએ બાહોશ કવિકર્મની અભૂતપૂર્વ સાહેદી પુરાવી છે. પૃથ્વીના ઉત્તર (અને દક્ષિણે) છેડે સર્જાતી પ્રકાશપુંજની અલૌકિક રમત માનવીને પરાપૂર્વથી મોહિત કરતી આવી છે અને અનેક માન્યતાઓ-દંતકથાઓને જન્મ પણ આપ્યો છે.

એક તરફ બ્રહ્માંડના દૂરાતિદૂરના છેડો અને બીજી તરફ સમુદ્રના ઊંડામાં ઊંડા તળને આલેખીને કવિએ પ્રકૃતિના સમૂચા સૌંદર્યને કલમના લસરકાઓ વડે આબાદ ચીતર્યું છે તો કવિતાના નાનકડી ત્રણ પંક્તિ અને એક વાક્યના બીજા ભાગમાં એક છોકરીને પોતાના ગાલ પરના ખીલની ફિકર કરતી બતાવીને કવિ વિરમી જાય છે અને કવિતા ત્યાંથી જ આગળ વધે છે. સમષ્ટિથી શરૂ કરી કવિનો કેમેરા વયષ્ટિ પર કેન્દ્રિત થાય છે અને તલ જેવડા નાના ભાગ પર આવીને અટકે છે. પ્રકૃતિના અસીમ સૌંદર્ય અને નિજી ચિંતાની પ્રકૃતિના વિરોધાભાસમાંથી જે કવિતા જન્મે છે એ લાંબા સમય સુધી સ્મરણપટ પર રણઝણ્યા કરે એવી સબળ છે…

Comments (17)

શું કરશો ? – “નાઝિર” દેખૈયા

બળેલો છું હવે મુજને વધુ બાળીને શું કરશો?
રહ્યો ના અર્ક કંઈ બાકી, જીવન ગાળીને શું કરશો?

તમન્ના કંઈ નથી. મુજને હવે આ દીન-દુનિયાની,
જીવનની આપદા મારી હવે ટાળીને શું કરશો?

અમે માન્યું બીજાને તો તમે શિક્ષાય કરવાના,
ઉજાડે બાગ ખુદ માળી તો એ માળીને શું કરશો?

પતંગાએ પ્રતિજ્ઞા લઈ લીધી છે વિરહે બળવાની,
તમે નાહક શમા જીવનની પ્રજવાળીને શું કરશો?

પુરાણી પ્રીત તોડીને ઊડી જાશે એ પળભરમાં,
પછી ખોટાં વચન એનાં તમે પાળીને શું કરશો?

જીવનમાંથી ઉમંગો, આશ, અરમાનો ગયાં ‘નાઝિર!”,
હવે પુષ્પો વગરની એકલી ડાળીને શું કરશો?

– “નાઝિર” દેખૈયા

Comments

મૃગજળની છાલકોથી…- ભગવતીકુમાર શર્મા

પંખી બની ઊડું છું હું રેતીના પટ ઉપર;
કલ્પું છું કે નદી છે : પ્રતિબિમ્બ જોઉં છું.

ઝરણું હો પગ તળે અને કંઠે તરસ ન હો;
એવી પરિસ્થિતિમાંયે ક્યારેક હોઉં છું.

બળબળતી આંખ કેરી જો છલના વધી પડે;
મૃગજળની છાલકોથી હું ચહેરાને ધોઉં છું.

ઝાકળ ને ઝાંઝવાંમાં તફાવત નથી હવે;
કોરી છે આંખો તોય અકારણ હું લ્હોઉં છું.

તારા વિરહમાં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એની મ્હેકની માળાઓ પ્રોઉં છું.

ટહુકાની પેલે પાર જે નિઃશ્વાસ ઓગળ્યો,
એમાં થીજી જઈને હું ચૂપચાપ રોઉં છું.

– ભગવતીકુમાર શર્મા

 

પ્રત્યેક શેર બળકટ….

Comments (4)

મેઘ વરસી જા – ચંદ્રશેખર પંડ્યા

મૂશળની ધાર સમો દખ્ખણમાં વરસ્યો, પણ ઓતરાદું કોરું ધાક્કોર,
ગાડે બેસારી તને લાવું? માધવ જેમ બોડાણો લઈ ગ્યો ડાકોર,
મેઘ વરસી જા અઢળક આ કોર.

બતકી ને હંસ તરે રેતીને વ્હાણ, ઓલ્યા કલકલિયે છોડી છે માછલી,
સુરખાબે ૨ણને સલામ કરી લીધી છે, ભરવા ઉડાન હવે પાછલી,
ચાતક ટિટોડી તો પરસેવે ન્હાય, અને આંસુડાં પીવે છે મોર
મેઘ વરસી જા અઢળક આ કો૨.

કેમ કરી ખેડૂના ખાડા પુરાય, તને સ્હેજે પણ આવે ના લાજ?
ઝરણાંને નદીયુંથી અળગાં કરીશ! એવા નખરાને છોડી દે આજ
એકવા૨ ધોધમા૨ ૨મઝટ બોલાવ, પછી નિરાંતે આવ છેક પોર
મેઘ વરસી જા અઢળક આ કો૨

પર્ણોએ ખોયાં છે ઓસ તણાં બિંદુ ને ચીમળાઈ ગઈ છે લજામણી
નાગરની વેલ, રાતરાણી ને જૂઈ, કદી નીરખી ના આમ સાવ વામણી
જલદી પધાર હજી મોડું કરીશ પછી સુકાશે ડાંડલિયો થો૨
મેઘ વરસી જા અઢળક આ કો૨.

– ચંદ્રશેખર પંડ્યા

કવિના નામ સાથે આજ પહેલાં કોઈ પરિચય નહોતો. અચાનક કુરિયરમાં એક પુસ્તક આવ્યું – ‘કોઈ સગાં થાવ છો?’ સાવ અલગ જ પ્રકારનું શીર્ષક. સંગ્રહ ખોલ્યો. પહેલાં કવિપરિચય વાંચ્યો અને પછી હરીકૃષ્ણભાઈએ લખેલી પ્રસ્તાવના થોડી વાંચી. અન્ય કોઈએ ઊભી કરેલી છાપની અસરમાં સંગ્રહમાં પ્રવેશવાનું થાય એ પહેલાં સંગ્રહમાંથી પસાર થવું શરૂ કર્યું. ઘણી રચનાઓ ગમી જાય એવી. વિષય વૈવિધ્ય અને મૌલિકતા આંખે ઊડીને વળગે એવાં. મોટાભાગનાં ગીતોમાં છૂટકમૂટક તો છૂટકમૂટક, પણ અલગ જ પ્રકારનો સ્પાર્ક જોવા મળ્યો. લયસ્તરો પર કવિ અને એમના ગીતસંગ્રહનું સહૃદય સ્વાગત છે.

આપણે ત્યાં ચોમાસું દક્ષિણથી પ્રારંભાય. ઘણીવાર એવું થાય કે મેઘો ત્યાં એવી બેઠક જમાવી બેસે કે અહીં આવવાનું જ ભૂલી જાય. આવા કોઈ વરસાદાતુર સમયનું આ ગીત છે. વર્ષાની રાહ જોતાં ગીતો તો અસંખ્ય છે, પણ મુખડાની બીજી કડી એને આ ગીતોના ઢગલામાં અલગ તારવી આપે છે. ડાકોરની કથા જાણીતી છે. વિજયસિંહ બોડાણા બોત્તેર વર્ષની વય સુધી દર વરસે વરસમાં બે વાર તુલસી લઈ દ્વારિકા જઈ રણછોડરાયની પૂજા કરતા, પણ શરીરે સાથ દેવાની ના કહી, ત્યારે દ્વારકાધીશે સ્વપ્નમાં આવી એને ગાડું લઈ દ્વારકા આવવા આમંત્રણ પાઠવ્યું. ગૂગરી બ્રાહ્મણોએ મંદિરને તાળું મારી દીધું તો રાત્રે ખુદ દ્વારકાધીશે તાળાં ખોલી નાંખ્યાં અને રથ હંકારી બોડાણા સાથે ડાકોર આવી ગયા. આ વાતનો સંદર્ભ લઈને કવિ મેઘા સાથે અંકોડા ભરાવે છે. કહે છે, જે રીતે બોડાણો માધવને ડાકોર લઈ ગયો હતો એ રીતે શું મારે તને ગાડામાં બેસાડીને ઉત્તરમાં લઈ આવવાનો છે?

પછીના ત્રણ બંધમાં કવિ વરસાદની અનુપસ્થિતિના ત્રણ મજાનાં ચિત્રો દોરી આપે છે. પહેલા ચિત્રમાં તરસે વલખાં મારતાં પક્ષીઓની પરિસ્થિતિ તાદૃશ થાય છે, તો બીજા બંધમાં ખેડૂતની વ્યથાને કવિએ ચીતરી છે. સામાન્યતઃ નદીમાં ભળી જતાં ઝરણાંઓ સૂકાઈ જાય ત્યારે નદીથી અલગ થયેલાં નજરે આવે એ વાતને રજૂ કરીને કવિએ વરસાદના અભાવને જે રીતે ચાક્ષુષ કર્યો છે, એવું કામ ગુજરાતી કવિતામાં ઓછું જ થયું છે. ત્રીજા બંધમાં વનસ્પતિસૃષ્ટિને સમાવી લઈને કવિ સમગ્ર પ્રકૃતિચક્રને આવરી લઈ આપણને મજાનું પ્રતીક્ષા-કાવ્ય આવે છે.

Comments (24)

અત્તરની શીશીમાં મોહ્યા- સંદીપ ભાટિયા

સખી! અત્તરની શીશીમાં મોહ્યા,
દૂરની સુગંધો પર માંડીને મીટ, અમે આંગણના મોગરાને ખોયા…

વાયરા પલાણ્યા, વંટોળિયાઓ બાંધ્યા પણ ઓળખ્યા ન પોતાના શ્વાસને,
એટલું ન સમજ્યા કે થાતું શું હોય છે, ઝાકળ બંધાય ત્યારે ઘાસને,
મલકયાનો હોઠવગો ભૂલી મલક, અમે નકશાના ગામ કાજે રોયા…
સખી! અત્તરની શીશીમાં મોહ્યા.

આપણે પણછ થકી છૂટેલા તીર નથી, જેને ના હોય પાછું વળવું,
કેડીથી અણજાણ્યા પાગલ પતંગિયાનું, સાવ છે સહજ ભૂલા પડવું,
ઝાઝા ન દૂર હવે રાખો સખી! કે અમે ધબકારા છાતીવછોયા…
સખી! અત્તરની શીશીમાં મોહ્યા.

– સંદીપ ભાટિયા

આપણા બધામાં એક કસ્તૂરીમૃગ જીવે છે. પંડમાં હોય એને ઓળખી ન શકીએ અને વને-વન શોધતા ફરીએ. મનુષ્ય સ્વભાવની બીજી પણ એક ખાસિયત છે કે લાડુ હંમેશા પારકે ભાણે જ મોટો લાગે. આંગણામાં મોગરો મઘમઘ કરતો હોય એનો આનંદ લેવાના બદલે આપણે ક્યાં તો બીજાના બગીચામાંથી આવતી સુગંધોની કામના કરીએ છીએ અથવા તો કૃત્રિમતાની પૂજા કરીએ રાખીએ છીએ. આખુંયે ગીત સુવાંગ સુંદર છે. એની મહેંકને ધીમે ધીમે માણીએ. મિલિન્દ ગઢવીએ આ ગીત સાથે પૉસ્ટ કરેલ ચાર વાક્યોની કમેન્ટ પણ મમળાવવા જેવી છે:

‘Realization is sad. Realization is painful. Realization is heart breaking.
But at the same time, realization is a blessing.’

Comments (6)