હું એ જ કારણે રહું સ્મરણની હદથી દૂર..દૂર..
છે ઠંડી ઠંડી આગ એ, વધારે શું નિકટ કરું ?
સંજુ વાળા
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગીત
ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 8, 2010 at 12:49 AM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
ભાનનો તડાક દઈ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છૂંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તે એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામમાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે-
જાણે છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઈ દિવસ કોઈને
આયનાની જેમ હું તો ઊભી’તી ચૂપ
ગયું મારામાં કોઈ જરા જોઈને
– મનોજ ખંડેરિયા
આખી વાત એક રમ્ય ખલેલની છે. અસ્તિત્વના શાંત જળમાં એક વિક્ષેપ થાય છે અને ભાનનો લોપ થાય છે અને મદહોશીમાં સરી જવાય છે. જે એકલતા કદી પીડાદાયી નહોતી લાગતી-જે સ્થાયીભાવસમ હતી,તે પીડવા માંડે છે. ‘પરપોટો ફૂટે….’ – પંક્તિ કાવ્યને ચરમસીમાએ લઇ જાય છે.
Permalink
August 4, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under એષા દાદાવાળા, ગીત
તને કહી દઉં છું હું સાચે સાચું
મારી આંખોએ બેઠું ચોમાસું..!
ઘેરાતા હોય આકાશે વાદળા
મારી અંદર તું એમ જ ઘેરાતો,
વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો
છાતીમાં ડૂમો થઇ જતો.
આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!!
આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી
હું શબરી નથી કે નથી મીરાં,
હું તો ઉતાવળી થાઉં તને મળવા
થોડા તારે ય થવાનું અધીરા..!
મળવાનું રોજ રોજ થાયે મને મન તને શોધતા ક્યાં આવડે છે બહાનું..?
–એષા દાદાવાળા
અહીં ગીતની નાયિકા ભલે એમ કહે છે કે મારી આંખોએ બેઠું ચોમાસું, પરંતુ મને તો લાગે છે કે નાયિકા પોતે જ ચોમાસું બની ગઈ છે… 🙂
Permalink
August 1, 2010 at 1:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
મને સાચ્ચો જવાબ દઈશ તું ?
તને વ્હાલો વરસાદ કે હું ?
તને વરસાદી વાદળોના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહૂક ગમે
કે મારી આ કોયલનું કૂ ….. તને…
તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભા જો હોઈએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું …. તને….
તને છોને વરસાદ હોય વ્હાલો, પણ
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ ….. તને….
– મુકેશ જોષી
Permalink
July 30, 2010 at 10:00 PM by ઊર્મિ · Filed under ગીત, હરિકૃષ્ણ પાઠક
ઊણાં-અધૂરાં મેલી કામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.
આગમની એંધાણી મળે ન તોયે
રાખવા દોર ને દમામ,
ઝંખવાતી નજરુંના દીવડે
આંજવા તેજને તમામ.
ભાઈ મારે જળમાં લખવાં નામ.
ઊબડ-ખાબડ પંથ પડ્યા છે તોયે
ભીડવી ભવની હામ,
રથ અરથના અડધે તૂટે
ઠરવા નહીં કોઈ ઠામ.
તોયે મારે જળમાં લખવાં નામ,
ભાઈ મારે જળમાં લખવાં નામ.
-હરિકૃષ્ણ પાઠક (માર્ચ 1974)
આપણું જીવવું એટલે જાણે કે જળમાં નામ લખવા સમાન… જળમાં નામ લખવાની વાત સાથે જ મને ઓજસ પાલનપુરીનો એક શેર યાદ આવે છે: મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ…
Permalink
July 27, 2010 at 6:00 PM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ગીત

(પ્રવચન કરતાં ઉમાશંકર જોશી સાથે બચુભાઈ રાવત, સ્નેહરશ્મિ, નગીનદાસ પારેખ, વિ.)
ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.
લહરી ઢળકી જતી,
વનવનોની કુસુમસૌરભે મત્ત છલકી જતી,
દઈ નિમંત્રણ અમસ્તી જ મલકી જતી,
સ્વૈર પથ એહનો ઝાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !
વિરહસંત્રપ્ત ઉર પર સરે મિલનનો
સ્પર્શ સુકુમાર, એવો ઝરે નભ થકી ચંદ્રનો
કૌમુદીરસ અહો !
અવનિના ગ્રીષ્મહૈયા પરે પ્રસરી કેવો રહ્યો !
ચંદ્રશાળા ભરી ઊછળે,
આંગણામાં ઢળે,
પેલી કેડી પરે લલિત વનદેવીસેંથા સમો ઝગમગે,
દૂર સરવર પટે મંદ જળના તરંગો પરે તગતગે.
અધિક ઉજ્જવળ કરંતો જ તુજ ભાલને, ગાલને.
સોમ એ હ્રદયભર પી ઘડી મ્હાલીએ,
ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ,
ચાલને !
-ઉમાશંકર જોશી
ચાંદનીના સથવારે ચાલવાની વાતમાં જીવનરસને જીવ ભરીને પી લેવાની ઈચ્છા વણાયેલી છે. ચાલવું … મ્હાલવું… છલકવું… ભળવું… બે મટી એક થવું… અનંત થવું !
Permalink
July 26, 2010 at 10:00 PM by ધવલ · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ઓડિયો, ગીત

(ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી સાથે…)
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
અકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
-ઉમાશંકર જોશી
સ્વર – સંગીત : અજિત શેઠ
[audio:http://tahuko.com/gaagar/layastaro/Bhomiyaa Vinaa Maare Bhamvaa Taa-Umashankar Joshi.mp3]
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
સ્વર : ઉદય મઝુમદાર
[audio:http://urmisaagar.com/saagar/audio/bhomiya vina maare bhamavata dungraa – Umashankar Joshi]
Wanderlustને ચરિતાર્થ કરતું ઉમાશંકરનું અમર ગીત.
Permalink
July 23, 2010 at 11:00 AM by ઊર્મિ · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ઓડિયો, ગીત

(ચિત્રકાર : રજની વ્યાસ)
*
આજ મારું મન માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું ?
વાત મારી લે કાને ના.
આજ o
ચાલ, પણે છે કોકિલ સારસ,
આવ, અહીં છે મીઠી હસાહસ;
દોડ, ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના.
આજ o
ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા,
કેમ મળે તું આને ના.
આજ o
– ઉમાશંકર જોશી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્રેયા ઘોષાલ
[audio:http://urmisaagar.com/saagar/audio/aaj maaru mann mane naa – Umashankar Joshi]
શ્રી ઉમાશંકરજીની કવિતામાં વિષયનું ખૂબ જ વૈવિધ્ય જોવા મળે છે. એમનાં કાવ્યો આપણને પ્રણય, પ્રકૃતિ, માણસ અને વતનથી માંડીને છેક માનવીનાં મન સુધી લઈ જાય છે. પોતાના ચંચળ અને અડબંગ મનને વારંવાર સમજાવવું એ આપણા સૌનો નિત્ય અનુભવ છે. જેને કવિએ અહીં ખૂબ જ સ-રસ રીતે આ ગીતમાં કંડાર્યો છે. પોતાના મનની સાથે સંવાદ કરવો એનું નામ જ કવિતા !
Permalink
July 23, 2010 at 1:00 AM by ઊર્મિ · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ગીત

ગાણું અધૂરું મેલ મા,
. . ‘લ્યા વાલમા,
. ગાણું અધૂરું મેલ મા.
હૈયે આયેલું પાછું ઠેલ મા,
. . ‘લ્યા વાલમા,
. . હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
. . ‘લ્યા વાલમા,
. . ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o
ઓરાં બોલાવી ધકેલ મા,
. . ‘લ્યા વાલમા,
. .છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o
છાતીથી છેટાં મેલ મા,
. .. . ‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.
અરધે અધૂરું મેલ મા,
. . ‘લ્યા વાલમા,
.હોઠે આયેલું પાછું ઠેલ મા.
. . ગાણું અધૂરું મેલ મા.
– ઉમાશંકર જોશી
ગાણું અધૂરું મેલવાની વાત એટલે હૈયાનાં પ્રગટેલા હેતને પાછું ધકેલવાની વાત; અને હોઠે આવેલું પાછું ઠેલવાની વાત એટલે પ્રેમનું મધુરું ગાણું અધૂરું મેલવાની વાત. આખા ગીતમાં અલગ અલગ રીતે ગોળ ગોળ ફેરવીને કવિ આ જ વાતનું સતત પુનરાવર્તન કરે છે… અને પોતાના ‘વાલમા’ને પ્રીતનું ગાણું અધૂરું ન રાખવા વારંવાર વિનવે છે. અહીં ‘વાલમા’ એ કોઈ પ્રિયજન પણ હોઈ શકે અથવા પોતાનો માંહ્યલો પણ હોઈ શકે… અહીં ઉમાશંકર જોશીના જ બીજા એક ગીતની એક પંક્તિ યાદ આવે છે: કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે… કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી…
Permalink
July 22, 2010 at 11:00 AM by ઊર્મિ · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ઓડિયો, ગીત

મારું જીવન એ જ મારી વાણી, બીજુ એ તો ઝાકળ પાણી,
મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વિરામો.
મારું જીવન o
મારા કૃત્ય બોલી રહે તો ય, જગે કેવળ સત્યનો જય !
મારો એ જ ટકો આચાર, જેમાં સત્યનો જયજયકાર !
મારું જીવન o
સત્ય ટકો, છો જાય આ દાસ, સત્ય એ જ હો છેલ્લો શ્વાસ,
એને રાખવાનું કોણ બાંધી, એને મળી રહેશે એના ગાંધી;
જન્મી પામવો મુક્ત સ્વદેશ, મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન o
– ઉમાશંકર જોશી
સંગીત અને સ્વર : પરેશ ભટ્ટ
[audio:http://urmisaagar.com/saagar/audio/Maarun Jivan Ej Maari Vaani-paresh bhatt.mp3]
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : શ્યામલ મુન્શી
[audio:http://urmisaagar.com/saagar/audio/maru jivan te mari vaani – Umashankar Joshi.mp3]
ગાંધીયુગનાં આ અગ્રણી કવિશ્રી ઉમાશંકરજીની ઘણી કવિતાઓ અને ગીતો ગાંધીજીને કેન્દ્રમાં રાખીને લખાયેલ છે. ગાંધીવિચારનો પ્રભાવ એમની ગાંધી-કવિતામાં પૂરની માફક ઊમટે છે, જે ભાવકને છે…ક વિશ્વપ્રેમ સુધી પહોંચાડે છે. શબ્દને ‘ગાંધી’ નામની સ્યાહીમાં ઝબોળીને કવિ ક્યારેક સ્વયં ગુજરાતને પૂછે છે કે ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ? , તો ક્યારેક આપણને એટલે કે ‘ગુજરાતી’ને વિશ્વગુર્જરી બનવાનો સંકેત આપતો પ્રશ્ન પણ પૂછે છે કે ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી?’
Permalink
July 22, 2010 at 1:00 AM by ઊર્મિ · Filed under ઉમાશંકર જોશી, ઉમાશંકર વિશેષ, ગીત

શ્રાવણ હો !
. અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા !
. અરધી વાટે તું રેલીશ મા !
ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે…
આછાં છાયલ અંગનાં જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો રખે ને રેલ્યો જાય.
. અરધી વાટે…
શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા,
. શ્રાવણ હો !
– ઉમાશંકર જોશી
શ્રાવણને અડધી રાતે અને અડધી વાટે નહીં રેલાવાની ઘેલી વિનંતી કરતું ઉમાશંકરજીનું એક ઋજુ કાવ્ય… શ્રાવણને ન વરસવાનું કહીને અંતે કવિ એને પોતાનાં જ નયનો સાથે સરખાવે છે કે શ્રાવણ તો મોસમ પૂરતો જ વરસીને રહી જશે પરંતુ એમનાં નયનોમાં તો બારેમાસ શ્રાવણનો નિતાર રહેવાનો જ છે; એના માટે ‘શ્રાવણ’નાં આવવાની રાહ જોવી પડતી નથી. શ્રી ઉમાશંકરજીનું બીજું એક વિવિધ ઋતુઓ વિશેનું યુગ્મગીત ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય પણ ફરી ફરીને માણવા અને સાંભળવા જેવું છે.
Permalink
July 17, 2010 at 6:32 AM by વિવેક · Filed under ગીત, મનોહર ત્રિવેદી
બાઈ કિયા તે કામણને કારણે
બારસાખ ઝાલીને ઊભી’તી ક્યારની બે લોચનને ધક્કેલી બારણે !
અડાઝૂડ ઝાંખરાંની વચ્ચે લ્હેરાય દૂર વાયરાની ભૂરી પછેડી
ઉઘાડેછોગ પણે વગડે ઉતાવળી જાય નહીં અમથી કો’ કેડી
ખેંચાતી જાઉં તેમ ગૂંથાતી જાઉં હુંય કાચી તે અટકળને તાંતણે.
સીમે ત્યાં ધોધમાર વરસ્યો વરસાદ એનું ઉંબર લગ પૂગ્યું ખેંચાણ
કોણ આમ મારામાં હેલે ચડ્યું કે જેની પોતાને હોય નહીં જાણ,
લથબથ ભીંજાઈ પેલવેલ્લી : ભીંજાઈ નો’તી આવું હું સોળસોળ શ્રાવણે !
– મનોહર ત્રિવેદી
પ્રેમ એટલે પ્રતીક્ષા… અને કોઈ ષોડષી પ્રેમમાં પડે તો એની પ્રતીક્ષા કેવી હોય ! ઊભીહોય બારસાખ પર પણ નજરને ધકેલી હોય ઠેઠ બહાર રસ્તા પર… ક્યારે આવશે મારા મનનો માણીગર ? ઝાંખરા, કેડી અને સીમ ગામડાનું દૃશ્યચિત્ર ખડું કરે છે. ગમે તેમ ઊગી આવેલ ઝાંખરા ભૂરા આકાશની અસીમ શક્યતાઓના વાયરાની પછેડી ઓઢી ઊભા છે… પિયુના પગલાં પડે એ કારણસર કેડી પણ ઉતાવળે દોડતી જાય છે અને કન્યા આશાની કેડી પર જેમ આગળ ખેંચાતી જાય છે એમ જ અટકળના તાંતણે બંધાતી પણ જાય છે…
સોળ સોળ શ્રાવણ વરસી ગયા પણ આ શ્રાવણ જ કંઈ ઓર આવ્યો છે જેમાં એ પહેલવહેલીવાર પોતાની જાણ બહાર આમ લથબથ ભીંજાણી છે…
Permalink
July 4, 2010 at 11:11 PM by તીર્થેશ · Filed under ગીત, મનોજ ખંડેરિયા
બીજો શું અર્થ હવે હોય તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો
અડક્યાની સુંવાળી કેડીનો ખાલીપો
ખટકે છે આજ મને શૂળ થઈ
ઊઘડી રે જાય એવી પાંપણની છાંય તળે
સેવ્યાં’તા સમણાં એ ભૂલ થઈ
પરપોટે પુરાયો તૂટ્યો રે મ્હેલ સાત જન્મોના રંગોની ઝાંયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી તૂટતી
વિદાયનો
દિવસ ને રાત તપી એકલતા એટલું કે
ઓગળ્યો સંબંધ બધો મીણનો
દરિયો આખો તો સખી,સહી લઈએ આજ
નથી જીરવાતો ભાર કેમે ફીણનો
ઓળખી ન શકતો રે હું જ મને કોઈ રીતે હાથમાં જ્યાં
લઉં જરા આયનો
બીજો શું અર્થ હવે હોય,તારી લીલીછમ પાનસમી
તૂટતી વિદાયનો
– મનોજ ખંડેરિયા
વાત વિદાયની છે-વિરહની નથી. અત્યંત ખૂબીથી ઉત્તમ ઉપમાનાં શણગારથી આ ગીત સજાવાયું છે. વિદાયની ક્ષણે સંબંધની સમીક્ષા સહજભાવે થઈ જાય છે. કહેવાય છે કે મળેલા જીવને વિદાય કનડતી નથી. એકલતા મીણના સંબંધને ઓગાળી દે છે – પરંતુ મીણ જેને સંવર્ધે છે તેવી બે જ્યોત જયારે એક થઈ જાય છે તેને કોઈ જુદું નથી કરી શકતું. દરિયો સહેવાય છે પણ ક્ષણિક ઉપરછલ્લાપણું નથી જીરવાતું. ક્યાંક કોઈક કચાશ,કોઈક ખોડ હતી કે શું સંબંધમાં ? આત્મનિરિક્ષણ કરતાં જાત ઓળખાતી નથી-સંવાદિતા નથી. કદાચ વિદાયને આ રૂપમાં બહુ જવલ્લે જ જોવાઈ હશે.
Permalink
June 29, 2010 at 11:00 PM by ઊર્મિ · Filed under કિરીટ ગોસ્વામી, ગીત
ઝાડ રહ્યું છે ઝૂકી –
ફળવાની આ ભવ્ય ક્ષણોમાં, માન બધુંયે મૂકી.
પંખી ડાળે બેસે ત્યાં તો નખશિખ રાજી રાજી,
વ્હાલ લીલુંછમ કરવા આતુર કૂંપળ તાજી તાજી;
એક ખૂણે ઊભી જગભરમાં પ્રાણ રહ્યું છે ફૂંકી.
કોઈ ઉછાળે પથ્થર, કોઈ પ્રેમે સીંચે પાણી,
ઝાડ વહાવે સૌ પર સરખી લીલપની સરવાણી;
અનુભવી શું માણે કાળ તણી સૌ લીલી સૂકી.
– કિરીટ ગોસ્વામી
પ્રસિદ્ધિની ભવ્ય ક્ષણોમાં માણસ પણ જો ઝાડની જેમ જ નમ્ર થઈને ઝૂકી શકે તો… ? તો કદાચિત પોતાના પ્રેમની લીલપની સરવાણી સૌ પર એકસરખી રીતે વહાવી શકે ! પણ કદાચિત…
Permalink
June 27, 2010 at 11:45 AM by વિવેક · Filed under ગની દહીંવાળા, ગીત
ગાવું જીવન-ગીત,મારે ગાવું જીવન-ગીત,
તુજ વિણ ગાઈ શકું શી રીત ?
મારે ગાવું જીવન-ગીત.
આવ મધુરા બોલ બનીને,
પંખીનો કલ્લોલ બનીને,
લય મેળવજે કોકિલ દ્વારા,
તાલ સ્વય છે ઝાંઝર તારાં;
લાવ અધર પર સ્મિત !
મારે ગાવું જીવન-ગીત,
હોય ન ગાણું સાજ વિનાનું,
દર્દ ન દીઠું દાઝ વિનાનું.
દુનિયા તુજને કહેશે દ્રોહી,
નહિ આવે તો ઓ નિર્મોહી !
લઈને તારી પ્રીત,
મારે ગાવું જીવન-ગીત,
યજ્ઞ મહીં હોમાઈ જવું છે,
કોઈ પ્રકારે ગાઈ જવું છે.
ક્રૂર ભલે નિશ્ચય દુનિયાનો,
લેશ ન રાખું ભય દુનિયા નો,
જે વીતે તે વીત !
મારે ગાવું જીવન-ગીત.
– ગની દહીંવાળા
સરળ વાણી,સુંદર અર્થ,સબળ કાવ્ય-બંધારણ એટલે ગનીચાચા. ‘યજ્ઞ મહીં હોમાઈ જવું છે’- આ ભાવના આખા ગીત ને એક અનેરી ઊંચાઈ અર્પે છે-હકારાત્મકતાની દ્યોતક આ ભાવના ગીતા-ધ્વનિની યાદ અપાવી જાય છે.
Permalink
June 12, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વીરુ પુરોહિત
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !
ત્રીજે મારે બીલીપત્ર પર ચહેરો ચીતરી નાખ્યો જી !
ચોથે ચમકી વીજળી, પાંચમ ‘પિયુ પિયુ’ પોકાર જી ,
છઠ્ઠે મારું ભીતર તું ભીંજવતી અનરાધાર જી !
મેઘધનુષ્યની પણછ તૂટીને સાતમ રંગફુહાર જી,
આઠમ કળી કમળની, તારા શરીરનો શણગાર જી !
નવમીનો ક્ષય, તડકો નીકળ્યો, અમને ફૂટી પાંખો જી;
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !
તોરણ બાંધી દશે દ્વાર પર અમને લખિયો કાગળ જી !
“અગિયારસના શુભ અવસર પર તમે વધેરો શ્રીફળ જી !”
બારસ ખુલ્લા બાજુબંધ ને તેરસ ભીડી ભોગળ જી !
ચૌદ ભુવનની તું મહારાણી, ચરણ ચાંપતાં વાદળ જી !
પૂનમનો તેં ભરી વાડકો, મને કહ્યું કે ‘ચાખો જી !’
પડવે તું પોતે આવી ને બીજે મોકલી આંખો જી !
– વીરુ પુરોહિત
તમામ ગુજરાતી તિથિઓને કળાત્મકરીતે સાંકળી લેતું આવું સરસ મસ્તીસભર પ્રણયગીત આ પૂર્વે કદી વાંચ્યાનું સ્મરણ છે ?
Permalink
June 7, 2010 at 10:09 PM by ધવલ · Filed under ગીત, નયન દેસાઈ
પતરે ટપાક્ક ટપ્પ છાંટા પડે ને પછી નળિયાં ખટાક્ક ખટ્ટ તૂટે
સૂરતનો એવો વરસાદ
બારીમાંથી કૂદે ભફાંગ કરી વાછટને
વીજળી વેરાય મૂઠે મૂઠે… સૂરતનો…
પહેલાં તો છાપરિયા શેરીઓ ચૂપચાપ
કાળા આકાશ ભણી જુએ
સૂકાંભઠ પાંદડાંઓ ગબડે ને ભીનો પવન્ન
પછી જાણે પીંજાય રૂંએ રૂંએ
વાદળાં છલાંગ મારી ઊછળે ને તીર એની સાથે
સટ્ટાક સટ્ટ છૂટે… સૂરતનો…
નેવાંની સાથે ભળે ઝૂલતા કોઈ હિંચકાનું
આછું કિચૂડકચ્ચ એવું
સૂની હવેલીના ગોખમાંથી ચોમાસું માણે છે
એકલું પારેવું
રસ્તાઓ સૂમસામ ખુલ્લા ફટ્ટાક જેમ
શિવાજી શહેરને લૂંટે… સૂરતનો…
– નયન દેસાઈ
સૂરતમાં મોસમનો પહેલો વરસાદ ગઈકાલે થઈ ગયો. આમ તો આટલા દૂર આવીને અમે સૂરતના વરસાદના નામનું તો ‘નાહી’ જ નાખ્યું છે. પણ નયનભાઈ આમ ગીતથી નવડાવે તો પછી કોણ ના પાડે ? 🙂
Permalink
June 6, 2010 at 2:20 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
તમે સાંજે મળો તો મને એકલા મળો
કે મારા દિવસ આખાને વળે હાશ :
આવનારી રાતના ઝુમ્મરમાં સળગે નહીં
ઊના ઉજાગરાની પ્યાસ.
આંખો મીંચાય, પછી સમણું ઊગે-
એ તો નીંદરમાં બાવળની શૂળ;
ઝાંઝવાની જીવલેણ નદીયું પર બાંધો નહીં
વાયદાના ભાંગેલા પુલ :
એવી તે વાવી કઈ જીવતરમાં ભૂલ
કે તમે મળવામાં આટલા ઉદાસ !
ધોધમાર તડકો કંઈ આછો થયો
અને સાંજની હવા તો હવે બાવરી;
કાળી કાળી વાદળી ખુલ્લા આકાશમાં
વરસી નહીં કે નહીં આછરી :
આદરેલી વાત તમે અધવચ્ચે આંતરી
ને શબ્દોના ટૂંપાયા શ્વાસ !
– જગદીશ જોષી
અનેક આવરણો ઓઢીને આપણે આયખું વ્યતિત કરીએ છીએ….ઘણીવાર તો દર્પણ મૂંઝાતો હશે કે ઉપસ્થિત થનાર માનવ-આકારનો મૂળભૂત ચહેરો કયો હશે ! ઝંખના છે આવરણરહિત મિલનની…પરંતુ ઝંખનારે આવરણો ત્યજ્યા છે ખરા ? અમૃત ની કામના છે તો સમુદ્રમંથન અનિવાર્ય છે. ક્યાંક કશુંક ખૂટે છે તે વાત કાવ્યમાં ખૂબીથી વણાયેલી છે.
Permalink
April 28, 2010 at 9:00 PM by ઊર્મિ · Filed under ગીત, ભાનુપ્રસાદ પંડ્યા
સુખ તો સોહામણું છાયલ, ઓ વાલમા !
દુ:ખ તો ત્રોફેલ ડિલે છૂંદણું,
ઓલ્યું તો વાયરાની ઝાપટમાં ઊડે
આ રૂંવાડે કોર્યુ ભાઈબંધણું !
લિસ્સેરું અડકીને અળગું જે થાય
એની સરતા સમીર જેવી માયા,
અણિયાળું થઈને જે ઊતરતું અંગ અંગ
એના તો પ્રાણ સુધી પાયા !
સોનારે નહીં કોઈ મણિયારે નૈં,
આ તો જનમારે ઘડિયેલું ઝૂમણું.
નાગણના દીધેલા લીલાછમ ડંખ જેવું
જિંદગીની કાયા પર શોભતું,
ભવભવની વાટેથી વળગેલા રજકણની
એંધાણી થઈને એ ઓપતું !
આળખેલી પિયળ શું પળનું મે’માન નથી,
હરદમ ઝિલમિલ થતું ઈંધણું !
– ભાનુપ્રસાદ પંડ્યા
સુખની સ્વીકૃતિનું ગીત તો કેમ હોઈ શકે, સુખ તો આપણને સહજ સ્વીકાર્ય છે. અહીં ગ્રામનાયિકા સુખ અને દુ:ખની લાક્ષણિકતા પોતાની આગવી લઢણમાં દર્શાવે છે. એને મન તો સુખ એક સોહામણા ‘છાયલ’ જેવું છે, જે એના અંગે સ્પર્શે તો છે પરંતુ એ વાયરા જેવું ચંચળ અને લીસ્સું હોઈ ઊડીને અને અડીને અળગું પણ થઈ જાય છે. જ્યારે દુ:ખ તો એને મન અંગે ત્રોફાવેલ એક છૂંદણા જેવું છે, જે માત્ર અંગને અડતું નથી પરંતુ અંગનો એક અવિભાજ્ય ભાગ બની ગયેલ છે – રૂંવાડે કોરાઈ ગયેલ છે – બિલકુલ કોઈ વ્હાલા સ્વજનની જેમ. વળી વાયરો તો ક્ષણજીવી છે. જ્યારે સૌંદર્યના શણગારની જેમ છૂંદણાં ત્રોફાવતી ગ્રામનાયિકાને મન છૂંદણાનો મહિમા અનેક ઘણો મોટો છે, જેને એ ‘ભાઈબંધણું’ કહીને જીવનમાં એની અગત્યતા અને દૃઢતા બતાવે છે. નાયિકાને દુ:ખની સહેજે ફરિયાદ નથી, એને તો એ સહજ સ્વીકાર્ય છે. કારણ કે એ કહે છે કે એનું ‘છૂંદણું’ કોઈ સોનારે કે મણિયારે એને નથી ઘડી આપ્યું, બલ્કે ખુદ એના જનમારાએ જ એને ઘડ્યું છે – જે ઉક્તિ કદાચ એક ગ્રામિણનારીનાં જીવનમાં વણાઈ ગયેલા ‘સહજ દુ:ખ’ને વધુ ઉજાગર કરે છે.
પરમ દિવસે જ ધવલે મૂકેલું વિપિન પારેખનું સુખ-દુ:ખ વિશેનું એક અછાંદસ – સુખ-દુ:ખ – ન માણ્યું હોય તો જરૂરથી માણવું ગમશે.
Permalink
March 26, 2010 at 1:17 AM by વિવેક · Filed under ગીત, જયન્ત પાઠક, ભક્તિપદ
કીકીમાં કેદ કરી લીધા
. મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા !
ભોળી નથી કે હવે લોચન ઉઘાડું
. છોને વગડામાં વાંસળીઓ વાગે;
મધરાતે કોઈ ભલે બારણાં ધકેલે
. બાઈ, મારે બલારાત જાગે !
જનમના જાણકાર કેદના તે એણે
. છૂટવાનાં છળ ભલાં કીધાં ! – મેં0
જુગજુગ જોગીડા ભલે ગાળે સમાધમાં
. વાળે પલાંઠી, સાસ રોકે;
મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
. પધરાવ્યા સમણાંના લોકે !
વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના
. એમ વના થાય ના સીધા ! – મેં0
-જયન્ત પાઠક
ગોપીની ચરમ કૃષ્ણભક્તિનું એક ચાક્ષુષ ઉદાહરણ. જેને પામવા જોગીઓ યુગોયુઇગો સુધી તપ કરે છે, સમધિમાં બેસે છે, શ્વાસ રોકવાનો હઠાગ્રહ કરે છે એને ગોપિકા પલક ઝપકતામાં જ પકડી લે છે. ભક્તિ કરતાં પ્રેમની શક્તિ કેટલી વધારે છે ! કૃષ્ણનો તો જન્મ જ કારાગારમાં થયો હતો. એ તો જનમથી જ કેદ અને કેદમાંથી છૂતવાનો માહિતગાર છે પણ ગોપી કંઈ ઓછી માયા નથી. ઝપ્પ કરીને કાનજીને કીકીમાં કેદ કરીને પાધરા જ સ્વપ્નલોકની જેલમાં પધરાવી દે છે. કાનજી ભલે વાંસળીઓ વગાડે કે છૂટવા માટે નાનાવિધ છળ કરે પણ હવે આંખ ખોલે એ મારી બલારાત… ગોપી જાગે તો તો કહાનો ભાગે ને!
Permalink
March 24, 2010 at 8:00 PM by ઊર્મિ · Filed under ગીત, ભક્તિપદ, મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
મનવા ! ખોલ તિમિરનાં તાળાં,
તારી આંખોમાં ડોકાતાં અનહદનાં અજવાળાં;
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.
વસંત આવી, વેણુ વાગી,
કોયલ બોલી બોલ સુહાગી,
નિમિલિત નેણાં કેમ નિરખશે ખીલ્યાં ફૂલ રૂપાળાં ?
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.
અખૂટ ખજાનો છે સાંચવણે,
એની વેદના વેણ શું વરણે ?
મધરાતે મનડાને મળતાં ઝડ ઝરડાં ને જાળાં.
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.
કારીગરનો સાથ કરી લે,
ચાવી એની હાથ કરી લે,
તાળાં તૃષ્ણાનાં ખૂલતામાં અજવાળાં અજવાળાં !
મનવા ! ખોલ તિમિરનાં તાળાં
-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
રામનવમીનાં દિવસે આપણા સૌના મનનાં તિમિરનાં તાળાં ખૂલે અને અંદર અજવાળાં પધારે એવી શુભેચ્છાઓ… 🙂
Permalink
March 16, 2010 at 8:00 AM by ઊર્મિ · Filed under ગીત, વિવેક મનહર ટેલર
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.
રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ,
તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
આ ચોર્યાસી લાખ તણી ચાદર.
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
– વિવેક મનહર ટેલર
(૨૧-૦૭-૨૦૦૯)
જમુનામાં અવિરત વહેતા જળનું કારણ માત્ર રાધા જ છે, મોરપિચ્છનાં રંગોનું રહસ્ય ફક્ત રાધા જ છે, અને વાંસળીમાંથી ફૂંકાતા હૃદયસ્પર્શી સૂરોનો રાઝ પણ કેવળ રાધા જ છે- કેવી મજાની અભિવ્યક્તિ !
પ્રિય વિવેકને લયસ્તરો તરફથી જન્મદિવસની મબલખ હાર્દિક શુભેચ્છાઓ..
Permalink
March 15, 2010 at 7:25 PM by ધવલ · Filed under ગીત, બાલમુકુન્દ દવે
આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા;
કોટડાં કૂદીને ભાગ્યા :
આપણે કેદી ના કારાગારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.
આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી
પાંખ જો પ્રકાશભીંજી :
આપણે પીનારાં તેજલધારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.
આપણે ભજનિક ભારે :
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે
આપણા આનંદ અપરંપારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.
– બાલમુકુન્દ દવે
આઝાદીની ઝંખના, જ્ઞાન-પ્રકાશની ખેવના અને ભક્તિના આનંદને ‘એક-તારે’ વણી લેતું ‘કાનથી વાંચવાનું’ ગીત. ઘણા ઘણા વખતથી મનમાં તો હતું પણ આજે આ ગીત હાથમાં આવ્યું તો ‘આનંદ અપરંપાર’ થઈ ગયો !
Permalink
March 14, 2010 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ,ભરતી નહીં માટ !
ક્યાંક બેઠેલો કદંબ-ડાળે
કાનજી ઝૂક્યો જળની પાળે
એની તરતી છબિ સરકી આવી જળના વ્હેણની વાટ !
એકલી…..
કરથી સાહી કેમ તે ધારું ?
ઘટની માંહે કેમ હું સારું ?
અવરને દેખાય ન કાંઈ કોણને કહું ઉચાટ ?
એકલી ઊભી જમનાજીને ઘાટ
નીરખી રહી નીરમાં કાંઈ,ભરતી નહીં માટ !
– શ્રી પ્રિયકાંત મણિયાર
એક એક શબ્દ મહત્વનો છે- જમનાજીનો ઘાટ એ સામાન્ય માનવજાત જ્યાં ઊભી છે તેનું પ્રતિક છે, જમનાજીનું નીર સાક્ષાત પરમતત્વ છે,ઘટ અને માટ [માટલું] એ ગોપીની જાત છે. ગોપી એકલી છે-કારણકે તે પરમતત્વને પામવાને માર્ગે ચાલી નીકળી છે. તે જળ ભરતી નથી,નીરખ્યા કરે છે…..તેને જળ માં કાનુડો દેખાય છે. તેનો ઉચાટ ક્યાંથી કોઈને સમજાય ? જો તે જળને ઘટમાં ભરે તો તે પરમતત્વ સાથે એકાકાર થઇ જાય-ગોપી અને કૃષ્ણ અલગ ન રહે ! કદાચ તે ગોપી જ રહીને અનંતકાળ સુધી કૃષ્ણને ચાહ્યા જ કરવા ઝંખતી હોય !
Permalink
March 9, 2010 at 10:17 PM by ધવલ · Filed under ગીત, મકરન્દ દવે
વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ !
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.
દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.
સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં
તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.
– મકરન્દ દવે
નારી-ઘડતરની આ નમણી કવિતા મહિલા દિવસે એટલે કે ગઈકાલે મૂકવી’તી. પણ ગઈકાલે હું એક ખાસ મહિલાની સેવામાં હતો એટલે શક્ય ન થયું. તો હવે આજે પોસ્ટ કરું છું 🙂
(ખાંત=ઉત્સાહ, નખેતર=નક્ષત્ર, હાસ=હાસ્ય, હુલાસ=ઉલ્લાસ)
Permalink
March 4, 2010 at 9:00 AM by ઊર્મિ · Filed under ગીત, ભગવતીકુમાર પાઠક
વાળને તો ડાય કરી કાળા કર્યા, પણ ભમ્મરને કેમ કરી ઢાંકો ?
રાજ, હવે જોબનનો ઉતારો ફાંકો !
ચોકઠું ચડાવી શીંગ ખાશો પણ રાજ, તમે આખાં તે વેણ કેમ બોલશો ?
થરથરતા હાથથી બોલપેન ઉઘડે પણ વેણીને કેમ કરી ખોલશો ?
દાદર ચડતાં રે હાથ ગોઠણ દિયો ને કોઇ મુગ્ધા બોલાવે કહી ‘કાકો’ !
તડકામાં ઢોલાજી બબ્બે દેખાય, આ તો મોતિયો ઉતરાવવાનું ટાણું !
સાંભળવા ઈચ્છો તો અરુંપરું સાંભળો, પડદીમાં પડ્યું છે કાણું;
મિચકારો મારો તો પાણી ઝરે ને રાજ, પડછાયો સાવ પડે વાંકો.
તસતસતા પેન્ટ દઈ વાસણ ખરીદો અને ધોતીયું કે લુંગી લો ચડાવી,
સીટી મારો તો ઢોલા હાંફી જવાય, હવે સીસકારે કામ લો ચલાવી;
ઘોડે ચડીને હવે બાવા ન પાડશો, કમ્મરમાં બોલશે કડાકો.
– ભગવતીકુમાર પાઠક
આ કવિશ્રી વિશે મને ઝાઝી ખબર નથી, પરંતુ વાંચીને સાવ હળવા થઈ જવાય એવી એમની કે આ સાવ ‘હળવી’ કવિતા ક્યાંક વાંચી હતી અને મને ખૂબ જ ગમી ગઈ હતી. કો’ક ઘરનાં કે આજુબાજુનાં ઘરડા વડીલોને ઘ્યાનમાં રાખીને આ કવિતા બિલકુલ ના ગણગણશો; કારણકે મુજ વીતી તુજ વિતશે નાં નિયમ મુજબ એક દિ’ આપણોય વારો આવવાનો જ છે ! 🙂
Permalink
February 28, 2010 at 9:57 PM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
ઊંડી વાવમાં તડકો પેસવા જાય
તો તડકો કેટલો ઊંડે પેસે ?
પાંચ,પચીસ કે ત્રીસ પગથિયે
બહુ બહુ ચાલીસ પગથિયે
બહુ થયું માનીને તડકો
બસ કહીને બેસે;
કેટલો ઊંડે પેસે ?
તડકો માપે એટલી ઊંડી વાવ,
તડકો આપે એ જ ખરો સિરપાવ,
સાવ સાચા આ જગમાં તડકા રાવ;
તડકાને પણ તડકે મેલી કોઈ
અંદરની આંખમાં આંજી તેજ
આગળ વધે સ્હેજ;
ઘોર અંધારી વાવનું એને નોતરું આવે,
નોતરા સાથે કોઈ તેડાગર સાથ પુરાવે
લો,આમ ભાળે તો ગોખમાં બેઠી
મૂરતિ હસે,
જ્યાં જુએ ત્યાં વાવમાં જળના
દેવતા વસે,
વાવ તો લાગે જીવતી જાણે
નસે નસે.
પાછો વળ્યો એ જ તો પાગલ સાવ,
વાવને કહે, વાવ નહીં દરિયાવ,
તડકો પૂછે : ફૂટપટી તું લાવ !
તડકાના આ રાજમાં વાવની
વારતા માંડી !
હાય રે સુરતા , હાય રે ગાંડી !
આછી પાંખી,
આ પુરાતન વાવની ઝાંખી,
એની એકલી આંખ પુરાવે સાખી.
-મકરંદ દવે
કહેવા માટે એક નક્કર વાત છે, સુંદર કાવ્યાત્મક અભિવ્યક્તિ છે – ઇન્દ્રિયો વડે અનુભવી શકાતું જ્ઞાન એટલે તડકો અને વાવ એટલે બ્રહ્મજ્ઞાન – ઠોસ અનુભૂતિ જયારે કાવ્ય ના સ્વરૂપે બહાર આવે ત્યારે આવું સહજ કાવ્ય સર્જાતું હોય છે. આવી કવિતા ભાવક વ્યક્તિને કાવ્યપ્રેમી બનાવી દેતી હોય છે. નોંધપાત્ર પંક્તિ એ છે કે જેને ઘોર અંધારી વાવ નું નોતરું આવે તે બડભાગી જ બ્રહ્મજ્ઞાન પામવાના રસ્તે આગળ સુદ્ધાં વધી શકે – તે સિવાય નહિ. વળી ‘તેડાગર’-ગુરુ ની ભૂમિકા સ્પષ્ટ કરી છે. ત્યાંથી પાછો ફરનાર ‘પાગલ’ કહેવાયો – સ્વાભાવિક જ છે, તેના દ્રષ્ટિકોણ ધરમૂળ બદલાઈ જ ગયા હોયને ! આવા ‘પાગલો’ એ જ તો દુનિયા બદલી છે…
Permalink
February 25, 2010 at 8:50 AM by ઊર્મિ · Filed under ગીત, બાલમુકુન્દ દવે
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે
પાંદરડે ઢોલ પિટાયો, વગડો મીઠું મલકાયો
શમણાની શાલ વીંટાયો, કીકીમાં કેફ ધૂંટાયો
ગોરી ધૂંઘટ ખોલાયો, નેણમાં નેણ મિલાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કો પાસેવાળા પડી રહ્યા, આઘાને રંગે રોળ્યા
કોઈનો ભીંજે કંચવો, કોઈના સાડી-શેલા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!
-બાલમુકુંદ દવે
એમ તો હોળીને હજી થોડા દિવસોની વાર છે પણ ફાગણ તો આવી જ ગયો છે ને… તો બાલમુકુન્દ દવેના આ ખૂબ જ મજાનાં ફાગણિયા ગીતને માણવા માટે હોળીનાં દિવસ સુધી શા માટે રાહ જોવી ? 🙂
Permalink
February 21, 2010 at 12:59 PM by તીર્થેશ · Filed under ગીત, શેખાદમ આબુવાલા
બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર ભરવા રાગ
બંસી….
રાગ સુણી મુજ અંતર નાચે
સૂરતણી રમઝટમાં રાચે
કેવાં મુજ ધનભાગ
બંસી….
સ્મૃતિ વેરણછેરણ જાગી
રડી ઊઠ્યું મુજ હૈયું અભાગી
ઉજ્જડ મુજ ઉરબાગ
બંસી….
પૂનમની એ રસભર રજની
બંસી હું ને સ્નેહલ સજની
ક્યાં એ જીવનરાગ
બંસી ધીમે ધીમે વાગ
મારે અંતર લાગી આગ
– શેખાદમ આબુવાલા
પ્રથમ પંક્તિમાં ‘રાગ’ છે અને અંતિમમાં ‘આગ’ છે અને વચ્ચે આ મધુરું કાવ્ય છે… વાત harmony ની છે, વાત ઋજુ યાદોની છે…
Permalink
February 20, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, દામોદર બોટાદકર
મીઠાં મધુ ને મીઠા મેહુલા રે લોલ,
એથી મીઠી તે મોરી માત રે,
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ,
જગથી જુદેરી એની જાત રે … જનનીનીo
અમીની ભરેલી એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એનાં વેણ રે … જનનીનીo
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીનીo
દેવોને દૂધ એનાં દોહ્યલાં રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીનીo
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીનીo
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીનીo
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતાં ખૂટે ન એની લ્હાણ રે … જનનીનીo
ધરતીમાતાયે હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીનીo
ગંગાનાં નીર તો વધે-ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીનીo
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીનીo
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહીં આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ.
– દામોદર ખુ. બોટાદકર
જનનીની સ્તુતિ કઈ ભાષામાં કયા કવિએ નથી કરી? પણ તોય લોકપ્રિયતાની ચરમસીમાઓ અડી ચૂકેલું બોટાદકરનું આ ગીત એક અલગ જ ‘ફ્લેવર’ સર્જે છે…
મધથી મીઠું તે વળી શું હોય ? અને તરસી ધરતી માટે મેઘથી અદકેરું ગળ્યું શું હોય ? પણ જગતની સઘળી મીઠાશથીય મીઠી તો મા જ હોય ને ! ગંગાના નીરમાં વધ-ઘટ થઈ શકે, વાદળના વરસવાની મોસમ હોઈ શકે, ચંદ્રની ચાંદની કળાનુસાર ક્ષીણ થઈ શકે પણ માનો પ્રેમ તો અનર્ગળ અનવરત એકધારો વહેતો જ રહેવાનો… મા તો પ્રભુના પ્રેમની પ્રસાદી છે સાક્ષાત્ ! એની જોડ ક્યાંથી જડી શકે ?
Permalink
February 17, 2010 at 5:00 PM by ઊર્મિ · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –
સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં;
આ કેવો ચમકાર ! –
કશુંયે ચમકે નહીં !
ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –
લાંબી લાંબી વાટ,
પહોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય ?
મને સમજાય નહીં;
આ તે કેવો દેશ ?! – દિશા જ્યાં નથી નથી !
આ મારો પરિવેશ ? – હું જ ત્યાં નથી નથી ! –
-ચંદ્રકાન્ત શેઠ
ઘોર નિરાશાનું છતાંયે પોતીકું લાગતું ગીત. આખા ગીતમાં ‘નથી નથી’ ની પુનરોક્તિ નિરાશાને સતત ઘૂંટી ઘૂંટીને એવી ઘોળે છે કે જેની ઘેરી અસર ભાવકનાં મન-હૃદય સુધી પહોંચ્યા વિના રહેતી જ નથી…
Permalink
February 16, 2010 at 10:22 PM by ધવલ · Filed under કૃષ્ણલાલ શ્રીધરાણી, ગીત
માન તમારે હાથ ન સોંપ્યું;
કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
શર સૌ પાછાં પામશો.
ઘન ગરજે, વાયુ ફૂંકાયે,
વીજળી કકડી ત્રાટકે;
બાર મેઘ વરસી વરસીને
પર્વત ચીરે ઝાટકે – માન…
હિમાદ્રિ અમલિન સુહાસે
ઊભો આભ અઢેલતો;
આત્મા મુજ તમ અપમાનોને
હાસ્ય કરી અવહેલતો – માન…
રેતી કેરા રણ ઉપર ના
બાંધ્યા મ્હેલ સ્વમાનના;
શ્રદ્ધાના અણડગ ખડકો પર
પાયા રોપ્યા પ્રાણના !
માન તમારે હાથ ન સોંપ્યું,
કેમ કરી અપમાનશો ?
વજ્ર સમું અણભેદ હ્રદય આ,
શર સૌ પાછાં પામશો.
– કૃષ્ણલાલ શ્રીધરાણી
આ ગીતની ધૃવપંક્તિનો કહેવત સમાન થઈ ગઈ છે. એલેનોર રૂઝવેલ્ટની પ્રખ્યાત વાત યાદ આવે છે, No one can make you feel inferior without your permission.
Permalink
February 14, 2010 at 4:15 PM by તીર્થેશ · Filed under ગીત, રવીન્દ્રનાથ ઠાકુર
સ્વર્ગ મારું
સ્વર્ગ ક્યાં છે જાણે છે તું એ ભાઈ ?
તેનું ઠામઠેકાણું નાહીં.
તેનો આરંભ નાહીં,નહીં રે એનો છેડો,
ઓરે, નહીં રે તેનો કેડો,
ઓરે, નહીં રે એની દિશા
ઓરે નહીં રે દિવસ, નહીં રે તેની નિશા.
ફર્યો છું તે સ્વર્ગે શૂન્યે શૂન્યે
ખાલી છલનાભર્યું ફાનસ,
કૈંક યુગયુગાંતરો ના પુણ્યે
જન્મ્યો છું આજ માટી ઉપર ધૂળ માટીનો માણસ.
સ્વર્ગ આજે કૃતાર્થ મારા દેહે,
મારા પ્રેમે, મારા સ્નેહે,
મારા વ્યાકુળ હૈયે,
મારી લાજે,મારા સાજે,મારાં દુઃખેસુખે.
મારા જન્મમૃત્યુ તરંગે
નિત્યનવી રંગછટાઓ ખેલાવે એ રંગે.
મારા ગાને સ્વર્ગ આજે
કેવું ગાજે !
મારા પ્રાણે સ્થાન પામે એ એનું,
આકાશભર્યા આનંદે એથી જોઈ મને એ રહ્યું.
દિગંગનાના આંગણે એથી બજી ઉઠ્યો આજ શંખ,
સપ્ત સાગર બજવે વિજયડંક;
એથી ફૂટી રહ્યા છે ફૂલ,
વનનાં પાને, ઝરણા ધારે, એથી આ સૌ હલચલ.
સ્વર્ગ મારું જન્મ્યું છે આ ધરતીમાતને ખોળે,
વાયરે એની ખબર છૂટી છે આનંદ-કલ્લોલે.
-રવીન્દ્રનાથ ઠાકુર (‘બલાકા’માંથી)
(અનુવાદ – ઉમાશંકર જોશી)
જીવનોત્સવનો આનંદ માણતા રવિબાબુ આ મધુર કાવ્યમાં દ્રષ્ટિગોચર થાય છે. સ્વર્ગ શોધવા આ ધરતી છોડીને કશે જવાની જરૂર શી ? એથી પણ આગળ વધીને કવિ ગાય છે કે સ્વર્ગ મારા દેહરૂપે મૂર્ત થઇને કૃતાર્થ થયું છે – સ્વર્ગ કૃતાર્થ થયું છે !!! મારા પ્રાણમાં સ્થાન પામેલું સ્વર્ગ આકાશમાં પણ ન સમય તેવડા આનંદથી મને જોઈ રહ્યું છે અને તેની અસર આ પ્રકૃતિ પર કેવી અદભૂત થઇ છે તે નિહાળો… સુખમાં સ્વર્ગ તો સૌને અનુભવાય, કવિને દુઃખમાં પણ ઈશ્વરકૃપા અનુભવાય છે.
(દિગંગના = દિક+અંગના = દિશારૂપી સુંદરી)
Permalink
January 20, 2010 at 12:00 PM by ઊર્મિ · Filed under ગીત, હરિકૃષ્ણ પાઠક
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
આમ જુઓ તો ઊડતી પીળી પામરી
અને આમ જુઓ તો ઝૂલતી રાતી ઝૂલ;
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
પંચમસૂર રેલાવતો કોકિલ, રંગ રેલાવે રત;
પડદેથી સૌ પટમાં આવ્યાં, ગમ્મતે ચડી ગત…
જોડિયા પાવા જાય ગાળીમાં ગાજતા
એનાં અરસ-પરસ પરખ્યાં કોણે મૂલ ?
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
– હરિકૃષ્ણ પાઠક
વસંતપંચમી આવે રંગબેરંગી ફૂલો અને કોયલનાં ટહુકાઓ જરૂર યાદ આવે, પણ જો વસંતપંચમી આવે એની ખબર હોય તો ! આજે શહેરોમાં કદાચ ઘણાને ખ્યાલ પણ નથી રહેતો કે વસંતપંચમી ક્યારે આવી ને ક્યારે ગઈ. આજે જ ક્યાંક વાંચ્યું કે દીકરાની શાળામાં વસંતપંચમી વિશે ભણવાની વાત આવી ત્યારે મા-બાપને યાદ આવ્યું કે આજે વસંતપંચમી છે. વેસ્ટર્ન વેલેંટાઈંસ ડે માટે કદી આવું નથી થતું. એ હાલત માત્ર એકની જ નહીં, આપણા જેવા અનેકોની છે. અમારે ત્યાં પણ વસંત તો આવે જ છે પણ જરા મોડી આવે છે. અને જ્યારે આવે છે ત્યારે આખું વાતાવરણ ટ્રાંસફોર્મ થઈ જાય છે. ઘરમાંથી બહાર નીકળતા જ રસ્તાની બાજુમાં ઠેર ઠેર રોપવામાં આવતા ચેરી બ્લોસમ્સથી ભરાઈ ગયેલા ઝાડ, બાગ-બગીચા તથા ઘેર ઘેર રોપેલા ખાસ સ્પ્રિંગમાં ઉગતા ફૂલો કદી અમને ભૂલવા જ નથી દેતા કે ‘Spring is here!’ આ વસંતગીતમાં ‘પંચમસૂર રેલાવતો કોકિલ’ શબ્દો વાંચીને મને યાદ આવ્યો તાજેતરમાં જ વાંચેલો ગુ.સ.નો એક લેખ… જેમાં લખ્યું હતું કે– વસંતમાં મીઠા ટહુકા ટુહૂ ટુહૂ ટુહૂ નરકોકિલ કરે છે. કોયલડી તો ગાતી જ નથી. છતાં કવિઓ નરકોકિલને ડોન્ટકેર કરીને કોયલડીની પાછળ જ પડ્યા છે. 🙂
લયસ્તરોનાં વાચકોને વસંતપંચમીની અઢળક વાસંતી-શુભેચ્છાઓ.
Permalink
January 18, 2010 at 11:57 PM by ધવલ · Filed under ગીત, નિરંજન ભગત
વર્ષોથી આપણે ન મળ્યા, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યાં ત્યારે કેવું બોલ્યાં,
ક્ષણેકમાં પરસ્પરનાં હ્રદય ખોલ્યાં,
વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.
– નિરંજન ભગત
મિલનની ઘડીની અદભૂત શબ્દ-છબિ !
Permalink
January 10, 2010 at 5:27 PM by તીર્થેશ · Filed under ગીત, મહાદેવભાઈ દેસાઈ, રવીન્દ્રનાથ ઠાકુર
તારી જો હાક સૂણી કોઈ ના આવે, તો એકલો જાને રે !
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ! – તારી જો …
જો સૌનાં મ્હોં શીવાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌનાં મ્હોં શીવાય,
જયારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મૂકી,
તારા મનનું ગાણું, એકલો ગાને રે ! – તારી જો …
જો સૌએ પાછાં જાય,
ઓ રે ઓ રે ઓ અભાગી ! સૌએ પાછાં જાય,
જયારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તું લોહી નીકળતે ચરણે
ભાઈ એકલો ધા ને રે ! – તારી જો …
જ્યારે દીવો ના ધરે કોઈ,
ઓ રે ઓ રે ઓ અભાગી ! દીવો ના ધરે કોઈ,
જયારે ઘનઘોર તુફાની રાતે બાર વાસે તને જોઈ,
ત્યારે આભની વીજે સળગી જઈ,
સૌનો દીવો તું એકલો થાને રે !
– રવીન્દ્રનાથ ઠાકુર
( અનુવાદ – મહાદેવભાઈ દેસાઈ )
ગાયક : ભાઈલાલભાઈ શાહ
(આભાર: મેહુલ શાહ)
[audio:http://dhavalshah.com/audio/TariJohak.MP3]
મૂળ બંગાળી રવિન્દ્રનાથના સંગીત સાથે :
ગાયક : કિશોરકુમાર
[audio:http://dhavalshah.com/audio/EkloJane.mp3]
રવિબાબુનું આ કાવ્ય અનિવાર્ય રીતે આકર્ષક છે. શબ્દો કોમળ છે અને દરેક પંક્તિ માં રવીન્દ્રનાથ છલકે છે. અર્થ સ્પષ્ટ છે – મનચાહ્યો સંગાથ હોવો તો ઘણી સારી વાત છે જ,પરંતુ જયારે આપણે વણખેડાયેલા અથવા જોખમી માર્ગે ધપીએ છીએ ત્યારે સંગાથનો અભાવ આપણા પગની બેડી ન બની જાય તે કાળજી આવશ્યક છે. બાહ્યયાત્રા માટે આ વાત જેટલી સાચી છે તેટલી જ તે અંતરયાત્રા માટે પણ સાચી છે. સાથ ન દેનાર માટે આ કાવ્ય માં કોઈ કટુતા નથી તે આ કાવ્ય ની સુંદરતા છે.
મૂળ બંગાળીમાં લખાયેલા ગીતનો અનુવાદ પણ ધ્યાનાકર્ષક છે. ગાંધીજી ની વિશેષ પ્રીતિ ને પામેલું આ ગીત Robert Frost ના કાવ્ય – Road less traveled ની યાદ અપાવે છે.
Permalink
January 4, 2010 at 10:21 PM by ધવલ · Filed under ગીત, રાજેન્દ્ર શાહ
રાજેન્દ્ર શાહના ગીતોમાંથી સૌથી વધુ લોકચાહના મેળવનાર આ ગીતને કવિના મુખે સાંભળો. આ ઝલક સર્જક અને સાહિત્ય દસ્તાવેજી ફિલ્મશ્રેણીમાંની રાજેન્દ્ર શાહ પરની ફિલ્મ ‘નિરુદ્દેશે’માંથી લીધી છે. (નિર્દેશન: પરેશ નાયક, છબીકલા: રાવજી સોંદરવા, પ્રાપ્તિસ્થાન: ગુજરાતી સાહિત્ય પરિષદ )
સંગમાં રાજી રાજી,
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નેણ તો રહે લાજી,
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ રહે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ધેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
અષાઢી
આભમાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!
– રાજેન્દ્ર શાહ
Permalink
January 3, 2010 at 11:30 PM by ધવલ · Filed under ગીત, રાજેન્દ્ર શાહ
અહો ! સુંદર શરદની રાત્રિ, સુંદર શરદની રાત્રી
શ્યામ વસન શત દીપક અંકીત સોહે સુકોમલ ધાત્રી
નહીં ટહુકાર છતાંય નિખિલ શું સભર ભર્યુ તવ ગાને
અચંલની લહેરી સહ રમતો સમીરણ સુરભીત કાળે
હરખી હરખી રહી કશું મનોમન
ચંચલ ધૃતિમય ચમકે લોચન
અહો સુંદર…
અવગુંઠન થકી ઉદય પથે પલ પલ નિરખત હે રાત્રી
ક્ષિતિજ બની રહી રંગીન આવે કોણ અરુણરથ યાત્રી
અહો સુંદર…
-રાજેન્દ્ર શાહ
સંગીત : અજીત શેઠ
સ્વર : ભૂપિન્દર
[audio:http://dhavalshah.com/audio/sundar.mp3]
‘આપણા દુ:ખનું કેટલું જોર?’ એવું ગાનાર કવિ રાજેન્દ્ર શાહનું સત્તાણું વર્ષની વયે ગઈકાલે મુંબઈમાં અવસાન થયું છે. કવિનો જન્મ 1913માં કપડવંજમાં. એમના ગીતો અને સોનેટો આજે ય લોકોની જીભે રમે છે. એમણે થોડી ગઝલો પણ લખેલી. એમની કાવ્યસમૃદ્ધિ વીસ જેટલા સંગ્રહોમાં વિસ્તરાયેલી છે. એમને સૌદર્ય અને પ્રેમને બહુ બુલંદ અવાજે ગાયો છે. એમને 2001માં જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયેલો.
કવિને ખરી શ્રદ્ધાંજલી એમની કવિતાને યાદ કરીને જ આપી શકાય. આજે મારું બહુ ગમતું ગીત અહીં મૂકું છું. ગીતમાં શરદની એક રાતનું વર્ણન માત્ર છે. પણ ગીતના શબ્દો અને સંગીતનો જાદૂ બન્ને ભેગા મળીને જે માહોલ રચે છે એ સ્વયં એક નશા સમાન છે. પહેલા આંખ બંધ કરીને ગીત સાંભળો અને એ પછી જ વાંચજો.
(વસન=વસ્ત્ર, ધાત્રી=પૃથ્વી, સમીરણ=પવન, ધૃતિ=સ્થિરતા,દૃઢતા, અવગુંઠન=ઘૂંઘટ)
Permalink
January 1, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સ્નેહરશ્મિ
દિશ દિશ ચેતન રેડી
વન વન આંકો નૂતન કેડી !
ઊંચી નીચી હોય ધરા છો,
હોય કઢંગી ટેડી;
સરળ તહીં પદ-રેખા પડી
સાથ રહો સૌ ખેડી !
વન વન આંકો નૂતન કેડી !
પૂરવ ને પશ્ચિમને ભેદી,
ઉત્તર દક્ષિણ છેદી;
કાળ અને સ્થળના કાંટાળા
ફેંકો થોર ઉખેડી !
વન વન આંકો નૂતન કેડી !
ભૂત ભાવિના ગોફણ ગૂંથી,
રવિ-શશી ગોળા ફેંકી,
અગમ અલખનું નિશાન તાકી,
ચાલો જગ-તમ ફેડી !
વન વન આંકો નૂતન કેડી !
– ઝીણાભાઈ દેસાઈ ‘સ્નેહરશ્મિ’
‘લયસ્તરો’ના સમસ્ત વાચકગણને ખ્રિસ્તી નવું વર્ષ મુબારક હો !
ત્રણ અંતરામાં કવિએ જે વાત કરી છે એ નવા વર્ષના દહાડે ગુંઠે બાંધી રાખવા જેવી છે. રસ્તો ગમે તેવો વાંકો-ચૂકો કે કઠિન કેમ ન હોય, સહુ સાથે મળીને એને ખેડીને સરળ બનાવીએ. દિશા-સ્થળ અને કાળના કાંટાળા થોર ઉખેડી ફેંકી વિશ્વમાનવ બનીએ. ગઈકાલ અને આવતીકાલના ગોફણમાં સૂર્ય-ચંદ્રને ઊડાવી દઈને બ્રહ્મનું નિશાન તાકીએ…
Permalink
December 31, 2009 at 1:58 AM by વિવેક · Filed under ગીત, જતીન બારોટ
મારમાર ઉનાળે લ્હાય લ્હાય તાપમાં
. જડતી રે પાણીની ઠીકરી.
. દીકરી આવી છે મને દીકરી.
મેશનું કરું હું એને કાળું તે ટપકું ને,
. બોખા મોઢે એ સ્હેજ હસતી,
કોઈ દી મેં દાદાને હસતા ના જોયા,
. એ કરતા રે ગેલ અને મસ્તી.
મોટી થઈને મને રાખશે રે એમ
. જેમ માળામાં બચ્ચાંને સુગરી.
. દીકરી આવી છે મને દીકરી.
દીકરાનો દલ્લો તો લાગ્યો ના હાથ કોઈ,
. એમ કહ્યું કડવી તે ફોઈએ
એવી મિરાતની શું રે વિસાત
. મારે બદલીમાં ઈશ્વર નહીં જોઈએ
એને રમાડું હું રાત અને દી,
. નથી કરવી રે કોઈનીય નોકરી.
. દીકરી આવી છે મને દીકરી.
– જતીન બારોટ
પુત્રજન્મનું મહાત્મ્ય હજી જ્યાં લગીરે ઓછું થયું નથી અને સ્ત્રીભ્રુણહત્યાનું પાતક સરકારી પ્રતિબંધ પછી પણ ઘટ્યું નથી એવા દીકરીના દુકાળના દેશમાં આ ગીત સ્ત્રીજન્મના રાષ્ટ્રગીત સમું સોહે છે. એક બાપની સાવ સહજોક્તિ અનાયાસ કવિતા થઈ અહીં પાંગરી છે. ધીરગંભીર દાદાના બુઢાપાની સુક્કી ડાળી પર પણ દીકરી લીલુંછમ્મ પાન બનીને મહોરી છે. દીકરીના બદલામાં સાક્ષાત્ ઈશ્વર પણ મળે તો બાપને મન એ નક્કામો. દીકરીની નોકરી કરીએ તો બીજી કઈ નોકરી રુચે?
Permalink
December 25, 2009 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
આમ જુઓ તો ઝળહળ ઝળહળ, આમ જુઓ તો આંસુ,
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…
છાતી માંહે સળવળ સળવળ ભ્રમરોની વણજાર,
હળવે હળવે વીંધે મારી ગઈકાલ ને આજ,
ભરી ભરી પાછું ઠલવાવું એમ થયું છે ખાસ્સું,
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…
તું ચૈતરીયું નભલું કોરું, હું આષાઢી મે’,
હું રે વરસું રિમઝિમ, તુંને માવઠડાનો ભે’,
આપ્યું આંખો બંધ કરી મેં, કેમ કરી તપાસું ?
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…
ઊર્મિનો ભમ્મરીયો કૂવો છલ્લક છલ્લક થાતો,
પાળી બાંધી ઉપરવાસે અટકાવ્યો છલકાતો,
પિયુ, વિચારી ભરીયે ડગલાં, કોઈ રહે ના પ્યાસુ
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ…
– નેહા પુરોહિત
દહીં વલોવાય ત્યારે માખણ સપાટી પર તરી આવે છે, ભીતર વલોવાય ત્યારે આંસુ! પણ આંખની મધ્યમ મધ્યમ ઝરમર જોઈને કંઈ અંદરના ચોમાસાનો ખરો અંદાજ આવે? પોતે અષાઢનો મેઘ હોવાની પ્રતીતિ સામે પ્રિયતમ ચૈત્રનું કોરું આભ હોવાની ખાતરી કેવી દર્દદાયી હોય છે ! છાતીમાં આવ-જા કરતાં શ્વાસ પણ ભમરાની જેમ શું કાલ કે શું આજ, આખા આયખાને ડંખે છે. પોતે ઊર્મિનો છલકાતો કૂવો હોય અને પ્રિયજન પાળ બાંધી દઈ એનું છલકાવું રોકી દે એય કેવું વસમું! પ્રેમમાં તો છલકાઈ જવાનું હોય, રેલાઈ જવાનું હોય અને ભીંજવી દેવાનું હોય… પ્રેમમાં કોઈ તરસ્યું રહે એ કેમ ચાલે ? પણ કાવ્યનાયિકાની આ વેદના કાવ્યનાયક સમજશે ખરો?
Permalink
December 24, 2009 at 1:49 AM by વિવેક · Filed under ગીત, નાથાલાલ દવે
એવા આવે છે ધરતીના સાદ રે… હાલો ભેરુ ! ગામડે.
ભીની માટીની ગંધ આવે યાદ રે… હાલો ભેરુ ! ગામડે.
બોલાવે આજ એનાં ખુલ્લાં આકાશ,
મીઠા પરોઢના અલબેલા ઉજાસ,
ઘેરા ઘમ્મર વલોણાના નાદ રે… હાલો ભેરુ !
ચારીશું ગાવલડી ડુંગરના ઢાળે,
બાંધીશું હીંચકો વડલાની ડાળે,
મોર ગહેકે જ્યાં સરવરની પાળ રે… હાલો ભેરુ !
ગાઓ રે બંધવા ! ગામડાંનાં ગીત,
યાદ કરો ભોળુડાં માનવીની પ્રીત,
જાણે જિંદગીનાં મીઠાં નવનીત રે… હાલો ભેરુ !
ખૂંદવાને સીમ ભાઈ ! ખેડવાને ખેતરો,
ભારતના ભાવિનાં કરવા વાવેતરો,
હે જી કરવા માભોમને આબાદ રે… હાલો ભેરુ !
– નાથાલાલ દવે
સાચું ભારત તો એના ગામડાંઓમાં વસે છે પણ એ તો જેણે ગામડાંને જાણ્યું-માણ્યું હોય એ જ સમજી શકે. આજે આધુનીકરણના બિલ્લીપગલે થતા સંક્રમણના પગલે ગામડાંઓ ઝડપથી ભુંસાવા માંડ્યા છે પણ કવિએ અહીં ગામડાંનું જે શબ્દચિત્ર દોર્યું છે અને પોતાનો અદમ્ય ગ્રામ્યજીવન પ્રેમ તાદૃશ કર્યો છે એ અજરામર છે…
Permalink
December 20, 2009 at 1:00 AM by ધવલ · Filed under ગીત, મૂકેશ જોષી, યાદગાર ગીત
ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?
કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ…
કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ …
રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ …
રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ…
કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ…
– મુકેશ જોષી
મુકેશ જોષી (૦૨-૧૦-૧૯૬૫) મુંબઈમાં રહે છે. આ પેઢીમાં રમેશ પારેખનો વારસો જાળવી શકે એવા ચંદ ગીતકારોમાંથી એક છે. ગીત ઉપરાંત ગઝલ અને બીજા અનેક પ્રયોગો કર્યા છે. (કાવ્યસંગ્રહ: કાગળને પ્રથમ તિલક)
મુકેશ જોષીનું આ ગીત પ્રિયજનમાં દૂધમાં સાકરની જેમ ભળી જવાની ઈચ્છા અજબ સુંવાળી રીતે વ્યક્ત થઈ છે. ‘હું થોડા દિવસ તારામાં રહું?’ એવી કોમળ માંગણી કરતા પહેલા પણ કવિ પૂછી લે છે, ‘તને ખોટું ન લાગે તો એક વાત કહું’ ! જરાય નડ્યા વિના પ્રિયજનના થઈ જવું એ બહુ મોટી વાત છે. પ્રિયજનના પગ કંટકમાં પડે એ પહેલા હથેળી ધરવાનું કામ બહુ અઘરું છે. અને છતાંય કવિને આ બધુ કરવાનું એક અરજના રૂપમાં કરે છે. એક એક પંક્તિઓમાં પ્રિયજનમાં રહી, પ્રિયજનના થઈ ને પ્રિયજનને પામી જવાનો મહિમા કોમળતમ શબ્દોથી ગવાયો છે. હજી કોઈ સંગીતકારે આ ગીતને સ્વરબદ્ધ કર્યુ નથી એ એક આશ્ચર્યની વાત છે.
Permalink
December 20, 2009 at 12:30 AM by ઊર્મિ · Filed under ઓડિયો, ગીત, મુકુલ ચૉકસી, યાદગાર ગીત, સોલી કાપડિયા
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો,
સ્વપ્નમાં પળાય એવો કાયદો;
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં
ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !
ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે- એ પ્રેમ છે,
દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે- એ પ્રેમ છે;
પ્રેમ એટલે કે સાવ ઘરનો જ એક ઓરડો, હા, ઘરનો જ એક ઓરડો
ને તોયે આખા ઘરથી અલાયદો.
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે એક છોકરી ને તે ય શ્યામવરણી,
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે મને મૂકી આકાશને તું પરણી;
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય અને
ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !
– મુકુલ ચોકસી
(જન્મ: ૨૧-૧૨-૧૯૫૯)
સંગીત અને સ્વર : સોલી કાપડિયા
[audio:http://urmisaagar.com/saagar/audio/01 Prem Aetle Ke.mp3]
મુકુલ મનહરલાલ ચોક્સી. જન્મે ને કર્મે સુરતી. કવિ અને હાસ્ય કવિ. મનોચિકિત્સક અને સેક્સોલોજીસ્ટ. પિતા જાણીતા સાહિત્યકાર. વિવેક કહે છે કે– સરવાળે ન મળ્યા હોય તો પસ્તાવું પડે એવો માણસ એટલે મુકુલભાઈ. કેટલાક કવિઓ શબ્દ પાસે જઈને યાચના કરે, આરાધના કરે અને કવિતા કરે. આ માણસ એવો કે શબ્દ જાતે એની પાસે આવે અને નવોન્મેષ પામી ગૌરવાન્વિત થાય. એના જબરદસ્ત કવિકર્મને કદાચ ર.પા.ની હરોળમાં મૂકી શકાય. (કાવ્યસંગ્રહો: ‘તરન્નુમ’, ‘આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા’, ‘તાજા કલમમાં એજ કે…’)
‘પ્રેમ એટલે કે’ ગીતનો પર્યાય એટલે મુકુલ ચોક્સી. એમણે આ એક જ ગીત લખ્યું હોત તોય પ્રેમીઓનાં જગતમાં તેઓ ચિરસ્મરણીય રહેત. આ ગીતની સફળતામાં આપણા સોલીભાઈનો ફાળો પણ અગત્યનો છે કે જેમણે એને સ્વરબદ્ધ કર્યું અને માત્ર લોકોનાં હોઠો પર જ નહીં, પરંતુ હૈયામાંય રમતું કર્યું. પ્રેમની વ્યાખ્યા સંજોગો-સમય-વ્યક્તિ પ્રમાણે બદલાતી જ રહે છે, પરંતુ સંવેદના તો કાયમ એવી જ લીલીછમ્મ રહેતી હોય છે. પ્રિયતમાનાં ગાલોના ખંજન પર પ્રેમીને ચોર્યાસી લાખ જન્મો કુરબાન કરી દેવાનું મન થાય, એ પણ પ્રેમ… અને દાઢી કરવા જેવી સાવ સામાન્ય દૈનિકક્રિયામાંથી પ્રિયજનનું અસામાન્ય સ્મરણ થાય, એય પ્રેમ જ છે. વળી, કવિએ ખૂબ મજાની અને સાવ સત્ય વાત કરી છે કે આપણા આ હૃદયરૂપી ઘરમાં તમામ સંવેદનાઓરૂપી ઓરડામાંથી પ્રેમની સંવેદનાનો ઓરડો સદાનો સાવ અલાયદો જ રહેવાનો. મને અત્યારે એમનાં બીજા બે ગીતો પણ યાદ આવે છે, જે મને ખૂબ જ પ્રિય છે- તારા વિના કશે મન લાગતું નથી અને પ્રિય પપ્પા, હવે તો તમારા વગર…
Permalink
December 19, 2009 at 1:00 AM by ઊર્મિ · Filed under ઓડિયો, ગીત, યાદગાર ગીત, વિનોદ જોશી
આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ…
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા
આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…
– વિનોદ જોશી
વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.(જન્મ: ૧૩-૮-૧૯૫૫)
[audio:http://urmisaagar.com/saagar/audio/aapi-aapi-ne-tame-pichhu-aapo-sajan-Vinod-Joshi.mp3]
વિનોદ જોશી. જન્મ બોરિંગડા-અમરેલી. મૂળ વતન બોટાદ. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ. તળપદાં ગીતો માટે ખાસ જાણીતા કવિ. ગીતોમાં ગ્રામ્યજીવનનો અદભૂત લહેકો અને લયનો અનુભવ કરાવનાર ઉત્તમ ગીતકાર. બાળપણ સૌરાષ્ટ્રનાં ગ્રામપ્રદેશમાં વિતેલું હોવાથી તેઓ ગુજરાતી કવિતામાં તળપદાં લોકજીવનની મીઠાશને ખૂબ જ સુંદર રીતે ઘોળી શક્યા છે. એમની ઘણી રચનાઓને એમણે નારીની સૂક્ષ્મ સંવેદનાઓથી ખૂબ જ સુંદર રીતે સજાવી છે અને સ્ત્રીની સંવેદનાને વાચા આપી છે. એમને ઉમાશંકર જોશી એવોર્ડ અને જયન્ત પાઠક પારિતોષિક પણ મળ્યાં છે.
આ ગીતમાં પ્રિતમનાં બોલાવવાની રાહ જોતી પ્રિયતમા ખૂબ જ મજાની વાત કરે છે. જો કે પ્રિયતમ સાક્ષાત ત્યાં નથી એટલે અટકળો કરીને કાગળમાં લખવાની ચેષ્ટા કરતી હોય એવું લાગે છે. પ્રિયતમાએ એક પીંછાં જેવા આછકલા ને અલ્પજીવી સુખથી બિલકુલ ભોળવાઈ નથી જવું. એને તો લાગણીની પાંખો જોઈએ છે, સ્નેહનાં અનંત આકાશમાં ઉડવા માટે. માત્ર પ્રિયતમ માટે બધું છોડીને અને શમણાંઓ ઓઢીને આવેલી પ્રિયતમાને કોઈ એક-બે વાર મળેલો ક્ષણભંગુર ટેકો પણ નથી જોઈતો, એને તો શાશ્વત સંબંધ જોઈએ છે. અને એ સંબંધમાં કળવાશરૂપી આંસુ નથી જોઈતા, એને તો સથવારાનું સ્વપ્ન સાકાર કરવા સ્વપ્નશીલ આંખો જોઈએ છે. અને જો સ્નેહ-સંબંધો જાળવવા હોય તો પ્રિયતમે આટલું તો એને આપવું જ પડે ને ! આ જ વાત કવિ આ ગીતમાં ખૂબ જ નાજુકાઈથી કહી છે. (તમને કદાચ આ ગીતનો આનાથી બીજો અર્થ પણ અભિપ્રેત હોઈ શકે!)
આ સાથે જ વિનોદભાઈનાં બીજા યાદગાર ગીતો યાદ આવ્યા વગર રહે જ નહીં; જેમ કે- કુંચી આપો બાઈજી, ડાબે હાથે ઓરુ સાજન લાપસી, એક કાચી સોપારીનો કટકો રે, ટચલી આંગલડીનો નખ, તું મીંઢણ જેવો કઠ્ઠણ, થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી, તને ગમે તે મને ગમે, વિગેરે વિગેરે…… (ક્યાંક તો મારે અટકવું પડે ને! 🙂 )
Permalink
December 19, 2009 at 12:30 AM by ધવલ · Filed under ઓડિયો, ગીત, પન્ના નાયક, યાદગાર ગીત
પાંદડી વાયરાને વળગી શું કામ ?
ડાળ ઉપર ઝૂલતી’તી
ડાળ ઉપર ખૂલતી’તી
આમ એકાએક ડાળીથી અળગી શું કામ ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી,
હવે ભવના જંગલમાં ભટકતી શું કામ ?
પાંદડી વાયરાને વળગી શું કામ ?
આમ એકાએક વાયરાથી સળગી શું કામ ?
–પન્ના નાયક
(જન્મ: ૨૮-૧૨-૧૯૩૩)
સંગીત અને સ્વરકાર : અમિત ઠક્કર
સ્વર : ગાર્ગી વ્હોરા
[audio:http://urmisaagar.com/saagar/audio/07 – Paandadi vaayara ne valagi shu kaam.mp3]
પન્ના નાયક આપણા પહેલા દરજ્જાના કવયિત્રી છે. અભ્યાસ મુંબઈમાં પૂરો કર્યા પછી એ સાંઈઠના દાયકામાં ફિલાડેલ્ફીયા આવીને રહ્યા. ત્યાંજ આગળ અભ્યાસ અને પછી અધ્યાપનનું કામ કરી નિવૃત થયા છે. ઘરને ત્યજીને જનારને, મળતી વિશ્વ તણી વિશાળતા- એ ન્યાયે, એમની કવિતા પણ એમના વિદેશ નિવાસને કારણે એટલી વધુ મ્હોરી છે. એમની કવિતાનું વિશ્વ મહદઅંશે એમનું અંગત વિશ્વ છે. લાગણીઓને જરાય ‘એડીટ’ કર્યા વિના સીધી જ કાગળ પર ઉતારવાની એમને અજબ ફાવટ છે. (કાવ્યસંગ્રહો: પ્રવેશ, ફિલાડેલ્ફીઆ, નિસ્બત, અરસપરસ, આવનજાવન, વિદેશિની – સમગ્ર કવિતા, ચેરી બ્લોસમ્સ, રંગઝરૂખે; વેબસાઈટ: પન્નાનાયક.કૉમ)
આ ગીત પાંદડી-ડાળી-વાયરાના રૂપકના પ્રયોગથી સંબંધના સમીકરણોને સમજાવે છે. ડાળી પર ઉગવું પાંદડી માટે જેટલું સહજ છે, એટલું જ સહજ પાંદડીનું વાયરા સાથે વહી જવું પણ છે. વાયરાને વળગવું હોય તો ડાળીનો સહારો અવશ્ય છોડવો પડે. આમ છતાં પણ વાયરો કોઈનો થયો છે કે પાંદડીનો થવાનો ? આ સનાતન કથા અને એના અર્થઉભારોને કવિએ આ ગીતમાં નજાકતથી વણી લીધા છે.
Permalink
December 18, 2009 at 1:00 AM by વિવેક · Filed under ઓડિયો, ગીત, માધવ રામાનુજ, યાદગાર ગીત
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !
જેમ કે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
રાતદીનો સથવાર તે સામે મળવાનું તો
કોઈ દ્હાડે સુખ મળતું નથી,
આવકારાનું વન અડાબીડ, બારણું ખોલી
ફળિયામાં સળવળતું નથી;
આંસુનેયે દઈ દીધો છે ભવનો કારાવાસ…
પાસપાસે તોય કેટલાં જોજન દૂરનો આપણો વાસ !
ઝાડથી ખરે પાંદડું એમાંય
કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે ?
આપણી વચ્ચે ‘આવજો’ની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે ?
પડખે સૂતાં હોય ને લાગે સમણાંનો સહવાસ !
જેમ કે, ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ.
– માધવ રામાનુજ
(જન્મ: ૪-૨૨-૧૯૪૫)
સંગીત: શ્યામલ-સૌમિલ મુનશી
સ્વર: ?
[audio:http://urmisaagar.com/saagar/audio/pas-pase-toye-Madhav-Ramanuj.mp3]
માધવ ઓધવજી રામાનુજ. જન્મ અને વતન અમદાવાદ જિલ્લાનું પચ્છમ ગામ. હાલ અમદાવાદમાં. અમદાવાદની સી.એન. કૉલેજ ઑવ આર્ટ્સમાં ચિત્રકળામાં ડિપ્લોમા અને એ જ સંસ્થામાં આચાર્ય તરીકે સેવા અને નિવૃત્તિ. કવિ, નાટ્યકાર, નવલકથાકાર અને અચ્છા ચિત્રકાર. લયમાધુર્ય અને ભાવની લવચીકતા એમની લાક્ષણિક્તા. ગ્રામ્યજીવન, રાધા-કૃષ્ણ અને પ્રકૃતિનું સુરેખ અનવરુદ્ધ રેખાંકન એટલે માધવ રામાનુજ. (કાવ્યસંગ્રહો: ‘તમે’, ‘અક્ષરનું એકાંત’, ‘કલરવના દેશ’)
આ ગીત કેટકેટલાય લોકોના સાવ ‘અંગત’ દામ્પત્યજીવનનું પ્રતિબિંબ હશે ! પાસે હોવું અને સાથે હોવું એ બે વચ્ચેનો તફાવત કવિએ જે માધુરીથી અહીં આળેખ્યું છે એ કવિતાની ભીતરના આંસુને જાણે હળવાશથી લૂંછી આપે છે. એક સંબંધ ખરે ત્યારે એ કેટકેટલા દિવસ-રાતના સંભારણાં લઈને ખરતો હોય છે ! ભીંત વળોટીને આરપાર જવું શક્ય નથી હોતું. ઔપચારિક ‘આવજો’ શું આવી જ કોઈ ભીંત નથી હોતી? ખરેલા સંબંધમાં આરપાર જવા માટે યાદની બારી સિવાય અવર શું હોઈ શકે? બાજુમાં જ સૂતેલા વજન પાસે પહોંચવા માટે શમણાંનો સહવાસ યાચવો પડે એ કરુણતાને આપણે શું કહીશું?
Permalink
December 18, 2009 at 12:30 AM by ઊર્મિ · Filed under ઓડિયો, ગીત, તુષાર શુક્લ, યાદગાર ગીત
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઈ દો તમે રે ભાઈ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ, એનું સરનામું- સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમ જેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
– તુષાર શુક્લ
(જન્મ: ૨૯-૦૬-૧૯૫૫)
સંગીત: શ્યામલ – સૌમિલ
સ્વર: શ્યામલ મુનશી
[audio:http://urmisaagar.com/saagar/audio/em_puchhine_thaai_nahi_prem.mp3]
તુષાર દુર્ગેશ શુક્લ. પિતા જાણીતા સાહિત્યકાર. પોતે કવિ અને કુશળ સંચાલક ઉપરાંત આકાશવાણી-અમદાવાદ સાથે પણ સંકળાયેલા છે. ફિલ્મો-ટેલીવિઝન માટે પણ અનેક ગીતો લખ્યા છે. (કાવ્યસંગ્રહો: ‘તારી હથેળીને‘,’મારો વરસાદ’,’પૂછીને થાય નહીં પ્રેમ’,’આશકા’ અને ‘આ ઉદાસી સાંજની‘)
આ ગીતની ધ્રુવપંક્તિ આજકાલ પ્રેમી-પંખીડાઓ માટે કહેવતસમાન બની ગઈ છે એટલી હદે આ ગીત લોકપ્રિય થઈ ચૂક્યું છે. તુષારભાઈનાં સરળ શબ્દોની કમાલને લોકોની જીભે રમતી કરવામાં અને આ ગીતને ચાર ચાંદ લગાડવામાં આપણા ગુજરાતી સુગમ સંગીતની લોકપ્રિય બેલડી શ્યામલ-સૌમિલભાઈઓનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. કિનારાની રેતીને ભીંજવવા માટે દરિયાએ પહેલા એની પરવાનગી લેવી પડતી નથી, એવી જ રીતે પૂછીને પૂછીને કદી પ્રેમ નથી પ્રગટતો. પ્રેમનું પ્રાગટ્ય તો સાવ સહજ અને અનાયાસ છે. વાંધાની વાડને વટાવીને એકમેકનાં અલગ અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વનો આદર કરવો એનું નામ પ્રેમ. પુરુષનાં મિજાજને રજૂ કરતા આ ગીત પછી તુષારભાઈએ સ્ત્રીનાં મિજાજને રજૂ કરતું આવું જ એક બીજું ગીત પણ (આના જવાબરૂપે) તાજેતરમાં જ લખ્યું છે, એ પણ માણવાલાયક છે- મને મોજું થઈ મળવાને આવ ને…!
આ ઉપરાંત પણ ઘણા એમનાં ગીતો લોકપ્રિય થઈ ચૂક્યા છે, જેમ કે- આંખોમા બેઠેલા ચાતક કહે છે, શબ્દ કેરી પ્યાલીમાં, સંગાથે સુખ શોધીએ, સાવ અચાનક મૂશળધારે, હું અને તું નામના કાંઠાને તોડી, મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી, ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને કોઈ, વગેરે જેવા કેટલાંયે સુંવાળા ગીતો.
તા.ક.:
કવિશ્રી તુષારભાઈનાં શબ્દો આ ગીત વિશે…
‘એમ પૂછીને થાય નહીં પ્રેમ’ – એ રચનાને નવી પેઢીએ પ્રેમ કર્યો છે. મેં એ મારી ઓફિસનાં ટેબલ પર લખેલી. ચાહવા માટે પૂછવું જરૂરી નથી- એ વાત કહેવાની જરૂર લાગી, એ ક્ષણ એની પ્રેરણાની ક્ષણ. આ ગીતનો ઉઘાડ એની સફળતા છે. મૂળ આ ગીત ‘એમ પૂછીને…’ થી શરૂ થતું હતું, પરંતુ સ્વરકારોએ ‘દરિયાનાં મોજા…’થી શરૂ કર્યું અને જામ્યું, આ એમનું યોગદાન ! સ્વરબદ્ધ થયા પછી સાંભળ્યું અને ગમ્યું… આ ઉઘાડ રહસ્ય જાળવે છે અને પછી નિર્ણય આવે છે- એમ પૂછીને થાય નહીં પ્રેમ ! એમાં આવતો ‘ખીજું ?’ એ સવાલ છે… ઉક્તિ છે ‘ખિજાવું’. એ અર્થમાં રમતીયાળ expression ‘સામી અગાશી’ છે. અહીં અગાશી સાથે જોડતા બધા જ સંદર્ભો યાદ કરી શકાય… એકપક્ષી પ્રેમનું પુરસ્કર્તા છે પણ પ્રયત્ન કરતા રહેવાની પ્રેરણા પણ આપે છે. દરિયો ભિંજવશે એ શ્રદ્ધા છે એટલે રેતીને કોરા થવાનું મન થાય છે, કે રેતીને કોરી જુવે છે એટલે દરિયાને ભિંજવવા દોડી આવવાનું ગમે છે. એ સંશોધનનો નહીં સંવેદનાનો વિષય છે. તમને ગમ્યું એ મને ગમ્યું…
Permalink
December 17, 2009 at 1:00 AM by વિવેક · Filed under ઓડિયો, ગીત, યાદગાર ગીત, રમેશ પારેખ
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
મને પૂછો કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું
કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો
જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં
મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું
જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
– રમેશ પારેખ
(જન્મ: ૨૭-૧૧-૧૯૪૦, મૃત્યુ: ૧૭-૫-૨૦૦૬)
સંગીત: સોલી કાપડિયા
સ્વર: નિશા કાપડિયા
[audio:http://urmisaagar.com/saagar/audio/66.Saavariyo re mharo.mp3]
રમેશ મોહનલાલ પારેખ. ગુજરાતી કવિતાનું મોંઘેરું ઘરેણું. જેટલું લખીએ એટલું ઓછું. થોડું આપ અહીં જાણી-માણી શક્શો.
ર.પા. તો ગીતના કવિ. એમનું યાદગાર કોઈ એક જ ગીત શોધવું એ તો કેવી વિમાસણનું કામ ! છેલ્લે કળશ ઢોળ્યો આ રચના પર. પ્રેમના સાગરમાં ગળાડૂબથી ય વધુ ડૂબવાનું (સાથે જીવવાનું પણ!) કંઈ શક્ય હોય તો એ રીતે ડૂબેલી પ્રેમઘેલીનું આ મદોન્મત્ત ગીત. લયનું તોફાન અને હેતની હેલીથી ગીત સાંવરિયાની દ્વિરુક્તિના ઉઠાવથી જ સરાબોળ ભીંજવે છે. પ્રેમની ચરમસીમા પર ખોબાની સામે દરિયો જ અપાય. વહાલમની બાથ સિવાય બીજે ક્યાંય રહેવાનો વિચાર સુદ્ધાં ન આવે એ જ ખરી મુગ્ધતા. પ્રિયતમનું નામ જ પ્રેમનું ખરું ચલણ છે. અત્તર રુમાલ પર ઢોળાય ત્યારે કયો તાંતણો બાકી રહે? (આ પંક્તિ વાંચું ત્યારે અચૂક મકરંદ દવેનું ‘અમે રે સૂકું રૂનું પૂમડું‘ યાદ આવે)
Permalink
December 17, 2009 at 12:30 AM by ઊર્મિ · Filed under અનિલ જોશી, ઓડિયો, ગીત, યાદગાર ગીત
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
પંખી સહિત હવા ચાતરીને જાય એવું અષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં પણ મારામાં ઝાડ હજી જાગે;
માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય કોઈ રાતી કીડીનોય ભાર,
એક પછી એક ડાળ ખરતી જોઈને થાય પડવાને છે કેટલી વાર ?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !
મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !
– અનિલ જોશી
(જન્મ: ૨૮-૭-૧૯૪૦)
સંગીત અને સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Koi-Dalkhiman-kavi-anil-joshi-PU.mp3]
અનિલ રમાનાથ જોશી કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે. જન્મસ્થળ ગોંડલ. વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ. આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે. મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ‘સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)
એક ઝાડનાં ઠૂંઠાને જોઈને કવિશ્રીને સ્ફૂરેલું આ ગીત સાવ ખાલી થઈ ગયેલા માણસની ખુમારીનું ગીત છે. ખાલીખમ્મ ડાળખીવાળા ઝાડને વળી પાનખરનો શો ભય ? આપણને જીવનમાં પાનખરનાં આવવાનો સતત ભય લાગે છે કારણકે આપણે આપણા હોવાપણાનો ભાર કાયમ સાથે જ લઈને ચાલીએ છીએ. માણસ જો સાવ ખાલીખમ્મ થઈ શકે તો આવનારી કોઈપણ પરિસ્થિતિનો ભય રહેતો જ નથી. પરંતુ સાચું તો એ જ છે કે આ ખાલીખમ્મ થવાનું શિખવામાં જ આપણી આખી જીંદગી ખર્ચાઈ જતી હોય છે, અને તોય એ ક્યાં શીખી શકાય છે… જો ખરેખર શીખી શકાય તો પાનખરમાં પણ લીલાછમ્મ ઝાડની સ્મૃતિમાત્ર આપણા પાંદડા વગરનાં ઠૂંઠાપણાને હર્યુભર્યુ રાખી શકે.
જો કે, આ યાદગાર ગીતની સાથે જ એમનાં બીજાં યાદગાર ગીતોય જરૂર યાદ આવે, જેવા કે- કન્યાવિદાય(સમી સાંજનો ઢોલ ઢબુકતો), અમે બરફનાં પંખી, આકાશનું ગીત, ઝીણા ઝીણા રે આંકેથી અમને, પેલ્લા વર્સાદનો છાંટો, તુલસીનું પાંદડું, અને બીજાં ઘણાય…
Permalink
December 16, 2009 at 12:00 PM by ધવલ · Filed under ઓડિયો, ગીત, યાદગાર ગીત, રાવજી પટેલ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
– રાવજી પટેલ
સંગીત : અજીત શેઠ
સ્વર : ભૂપિંદર
[audio:http://urmisaagar.com/saagar/audio/Mari-Aankhe-Kankuna-suraj-Aathamya-Bhupinder.mp3]
‘શબ્દ એટલે નવરાત્રિનો ગરબો’ એમ લખનાર રાવજી પટેલ (જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)નો જન્મ ડાકોર પાસે વલ્લવપુર ગામમાં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં ને એ પછી અમદાવાદમાં માધ્યમિક શિક્ષણ અને આર્ટસ કોલેજના બે વર્ષ. આર્થિક સંકડામણને લીધે નાની વયે નોકરી શરૂ કરી દીધી. એમની પ્રતિભાને કોઈ બરાબર ઓળખે એ પહેલા તો એ ક્ષયનો ભોગ બન્યા અને 28 વર્ષે અવસાન પામ્યા. એમનો એકમાત્ર સંગ્રહ ‘અંગત’ એમના મૃત્યુના બે વર્ષ પછી પ્રગટ થયો.
આ ગીતનું આમ તો કોઈ નામ નથી. પણ મને પોતાને ગીતનું ‘અનઓફિશિયલ’ નામ – આભાસી મૃત્યુનું ગીત – બહુ ગમે છે એટલે મેં એ અહીં વાપર્યું છે. લગ્નગીતનો ફરમો અને લગ્ન સંબંધિત શબ્દો-કલ્પનો (કંકુ, વે’લ, શગ, ઘોડો, ઝાંઝર) ને લઈને મૃત્યુ(ના આભાસ)નું ગીત લખવાનું કામ કોઈ માથાફરેલ કવિ જ કરે. આ ગીત ઉપર વિવેકે વાંચકોને પોતાનો અભિપ્રાય આપવા માટે આમંત્રણ આપેલું ત્યારે વાંચકોએ અભૂતપૂર્વ પ્રતિભાવથી આ ગીતને વધાવી લીધેલું. એ પછી વિવેકે પોતાની શૈલીમાં આ ગીતનો પરિચય આપેલો એનાથી વધારે મારે ખાસ કાંઈ લખવાનું હોય નહીં.
Permalink
Page 20 of 26« First«...192021...»Last »