સપનાનું આવું તો કેમ?
હોંશીલો હાથ જરા અડકે ના અડકે ત્યાં થઈ જાતું પરપોટા જેમ!
સપનાનું આવું તો કેમ?
– પરબતકુમાર નાયી ‘દર્દ’
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગીત
ગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
November 11, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હિતેન આનંદપરા
આવ, તને હુ રંગી નાખું મારા રંગે
લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી
તારા આખા અંગે
લે પીચકારી છપાક દઈ છૂટી કે,
આ કેસરિયા પાણીમાં પૂર અચાનક
ગુલાલ છોયી શરમ પછેડી તાણી નીકળે
કોની છે મગદૂર ચડે જે સામે જંગે
હોળી હરેક વર્ષે આવે, આ વર્ષે પણ આવી.
તો આ નવા ફૂટેલા ઝરણા જેવું આખર શું છે?
પહેલાની હોળીતો સાવ જ એકલપેટી ઓસરતી
ને આ વેળામાં ફેર ગણું તો સાથે તું છે
એકલ દોકલ ભીંજાવાની વાત જુદી
ને વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે !
-હિતેન આનંદપરા
Permalink
November 10, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
બારી ખોલો ને કરો બારણા તો બંધ
છલકાય નહીં એ તો કેવો ઉમંગ
માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
તારો (?) નહીં રે…
જળની આ માયા મેં છોડી નહીં
અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
હું તો મારો નહી, હું તો મારો નહી..
ને હું તો તારો નહીં રે
અમને પાગલને પાગલ કહી વારો નહીં,
આમ બીડેલા હોઠે પુકારો નહી.
-જગદીશ જોષી
કેવા કોમળ શબ્દોથી કેટલી નાજુક ફરિયાદ કરી છે !!
Permalink
October 26, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સ્નેહી પરમાર
અજવાળી આઠમને તેડે આવજો
રાત પડે કે રોંઢો, તમ વિણ જરાય ગોઠતું નથ્ય
અંગે ઢંક્યું વસ્તર, અંગે જરાય શોભતું નથ્ય
ટૂંકામાં ટૂંકેરા કેડે આવજો
બાને નડશે મુરત, બાપુજીને સામી ઝાળ
કે’જો સામી ઝાળથી ઝાઝી અંદર છે વિકરાળ
વળતાના ખોટીપા વેડે આવજો
સહિયર, હાથે મેંદી ભેળાં મેણાં-ટોણાં ચિતરે
રાત પડ્યે ખખડે છે શોક્યું જેવી સાંકળ ભીતરે
આવો ત્યારે સીધા મેડે આવજો.
– સ્નેહી પરમાર
પ્રોષિતભર્તૃકાના કંઈ કેટલાય ગીત-કવિતાઓ આપણા વાંચવામાં આવ્યા હશે પણ આ ગીત બધાથી ચાર ચાસણી ચડે એવું છે. પત્ની પતિના આવણાંની રાહ શી રીતે જુએ છે એની વાત તળપદી ભાષામાં રજૂ થઈ છે.
આઠમના અજવાળાનું મહત્ત્વ છે. માતાજીમાં માનનાર માટે તો ખાસ. સુદ પક્ષ હોય કે વદ પક્ષ, આઠમ એટલે બરાબર મધ્યનો દિવસ. અજવાળું પણ સપ્રમાણ. રાત હોય કે પછી વામકુક્ષીની વેળા – પ્રિયતમ વિના સૂવાનું કેવી રીતે ગોઠે ? કપડાં પણ અંગ પર શોભતા નથી. કારણ ? જબ તક ન પડે આશિક કી નજર, શૃંગાર અધૂરા રહેતા હૈ… અને છેલ્લી કડી ‘આવો ત્યારે સીધા મેડે આવજો’ તો સીધી દિલમાં ઘર કરી જાય છે…
*
આણાત = આણે જવાને તૈયાર થયેલી અથવા આણેથી આવેલી
રોંઢો = બપોર અને સાંજના વચ્ચેનો વખત; દિવસના ત્રીજા પહોરનો વખત
ખોટીપો = ખોટી થવું તે; ઢીલ રોકાણ; વાર; વિલંબ
Permalink
October 20, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રહલાદ પારેખ
તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ,
બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત !
આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ
એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ
તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ,
– નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં મુજ નેન
અંતર મારે ભય જાગે : શું બંઘો જાશે તુટી ?
શબ્દો, આંખો, અંતર, દેશે નિજનું તુજને, લૂંટી ?
– સઘળું નિજનું તુજને લૂંટી ?
– પ્રહલાદ પારેખ
જૂનાં નવનીત સમર્પણ ઉથલાવતાં આ મજાનું ગીત હાથે લાગી આવ્યું…….
Permalink
October 14, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જિગર જોષી 'પ્રેમ'
તને સમજાવું બોલ હવે કેમ ?
હૈયાની નમણી શી ભીંત ઉપર આજ અઢી અક્ષરની ટાંગી છે ફ્રેમ
તને સમજાવું બોલ હવે કેમ ?
હોંઠોના ઓરડાને તાળાઓ દૈ અમે કૂંચીઓ ફેંકી તળાવમાં
મનગમતા મૌનની ભાષાઓ શિખવાને આવ્યા છઇ આંખોની વાવમાં
હાથોમાં લજ્જાની મહેંદી મૂકી‘તી એના રંગોથી છલક્યો છે ડેમ
તને સમજાવું બોલ હવે કેમ ?
તાજા કોઇ સ્પર્શોના ફૂલોની વેણી એમ ગૂંથી છે શરમાઈ કેશમાં
વેણીના ફૂલો પર બાઝેલી ઝાકળ જેમ પ્રસરી જાય જિવતરના દેશમાં
ટમટમતું રહેવું છે કાળી આ રાતોમાં શ્રધ્ધાના ફાનસની જેમ
તને સમજાવું બોલ હવે કેમ ?
Permalink
October 12, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
તારી લાગણીનાં કેમ કરું મૂલ ?
માળાનાં મણકાથી માધવને માપવાનું મનને ના થાતું કબૂલ…
વરસોનાં તાપ કંઈ, મનનાં ઉત્પાત કંઈ,
જોતા’તાં છાંયડીની વાટ;
સદીઓ પીગાળી તંઈ આવી છે હાથ આજ
ચંદ પળની આ મુલાકાત.
ભીતરનો ગોરંભો ભીતરમાં રોકું તોય આંખડીથી છલકે છે ભૂલ
તું કેમ કરી કરશે કબૂલ?
રાધા ને મીરાંની રાહ અને ચાહ નથી
આવડા આ હૈયામાં થોડી,
પાંચાલી જેમ તોય સાદ કીધો જ્યારે સખા !
આવી ઊભો તું દોડીદોડી
નેહની આ ગાંઠ જાણે યુગ યુગની ડાળ પરે મઘમઘતું માલતીનું ફૂલ..
મારે કરવાનું કેમનું કબૂલ ?
ખાલીખમ હાથ જોઈ પૂછે છે લોક –
નથી તાંદુલ લાવી કે નથી બોર;
કેમ રે દેખાડું ખોલી દ્વાર મરજાદના
હાથ મહીં ચીતર્યો જે મોર ?
મનડું તો એમ ક્યે, મેલી દે લાજ-બાજ, સંઈજી સંગાથ ઘડી ઝૂલ…
આજે તો સઘળું કબૂલ…
-નેહા પુરોહિત
સ્ત્રીઓના મનોજગતમાં ડોકિયું એ હંમેશા કવિતાનો પ્રિય વિષય રહ્યો છે. અને સ્ત્રી પોતે જ્યારે પોતાના અંતરમાં ડૂબકી મારી સમવેદનાના મોતી ગોતી લાવે ત્યારે કવિતાનો રંગ કંઈ ઓર જ ઓપી ઊઠે છે. એક અભિસારિકા જ્યારે ગોપીભાવે એના મનના માધવની મુલાકાતે નીકળે છે ત્યારે એ શું શું વિચારતી હશે ! પોતાની અહર્નિશ પ્રતીક્ષા, પોતાનું માત્ર અદના માનવી તરીકેનું મૂલ્ય, વખતે-કવખતે પરોક્ષ હાજરીથી પણ સતત મદદ કરનાર માધવની કદર અને ભીતર ગમે એટલું ભર્યું પડ્યું કેમ ન હોય, લોકલાજે ખાલી હાથે મિલનની ક્ષણોની નજીક સરવું – કવયિત્રીએ કેવી કમનીય પદાવલિથી સઘળું આકાર્યું છે !
ધ્રુવ પંક્તિના અંતે ‘મૂલ’ થી શરૂ થતો ‘મ’કાર (alliteration) પછીની પંક્તિમાં માળા-મણકા-માધવ-માપવા-મન એમ સતત પાંચવાર સુધી રણકાય છે એ ગીતને કેવો વિશિષ્ટ ઉઠાવ આપે છે !
Permalink
October 6, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હેમેન શાહ
કાગળની એક બાજુ લખવું,
બીજી રાખવી કોરી.
અહીં ગામની ગલીકૂંચી ત્યાં સાવ અજાણ્યો પ્રાંત,
આ બાજુ છે હળવુંમળવું ત્યાં અદભૂત એકાંત.
અહીંયાં વૃક્ષો,જળ ને પથ્થર, ત્યાં આકાશ બિલોરી.
કાગળની એક બાજુ લખવું, બીજી રાખવી કોરી.
ભીંજાવું, સુકાવું, ક્યારેક ઘાસ બનીને ઊગવું,
લીલું છે શરીર કે મન, ના કંઈ એવું પૂછવું,
પગ માટીમાં ખૂંપ્યા છે પણ હોઠે ઓસ-કટોરી,
કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી.
જળના રૂપે શાંત કદી તો ક્યાંક ફીણાઈ વહેવું,
પથ્થરનો અવતાર મળે તો ક્યાંક છિણાઈ રહેવું.
સુકાયેલું કાષ્ઠ બનો પણ કૂંપળ રાખવી ઓરી.
કાગળની એક બાજુ લખવું,બીજી રાખવી કોરી.
– હેમેન શાહ
આંતરપ્રવાહ અને બાહ્યપ્રવાહની વાત છે…… આપણાં વ્યક્તિત્વ ઉપર વિશ્વ લિસોટાઓ કરતું રહે છે….. કાગળની એક બાજુ ઉપર ભલે તે કરતું રહે, એક બાજુ કોરી રહેવી જોઈએ કે જે આંતરપ્રવાહ છે……
Permalink
October 3, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રમેશ પારેખ
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
કાલ એનું નામ હતું જળવંતી છાંટ
એક જળવંતી છાંટ
આજ એનું નામ સાવ ખાલી ખખડાટ
સાવ ખાલી ખખડાટ
કાલ એનું નામ હશે વાંભવાંભ જક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
કોઈ વાર છે એને આવવાની ટેવ
એને આવવાની ટેવ
કોઈ વાર એને ઝૂરાવવાની ટેવ
છે ઝુરાવવાની ટેવ
નહીં એના વાવડ કે નહીં કોઈ વક્કી
વરસાદ નથી આંગળી મુકાય એવો નક્કી
– રમેશ પારેખ
જે રીતે ઓણસાલ વરસાદ મંડી પડ્યો છે – ક્યારેક સાંબેલાધાર દિવસો સુધી મંડ્યો રે તો ક્યારેક આ ધરતી સાથે કોઈ નિસ્બત જ ન હોય એમ મોઢું ફેરવી સાવ જતો રહે ને વળી અચાનક ધરતી-આભ રસાતાળ કરી જાય – એ જોતાં તો ર.પા.નું આ ગીત યાદ ન આવે તો જ નવાઈ. ગઈકાલે છાંટમાત્ર હતો ને આજે તો વાદળનું પાત્ર બસ ખાલી ખખડાટ કરે છે તો આવતીકાલે વાંભ વાંભ વરસવાનો છે…
(વાંભ = બંને હાથ પહોળા કરવાથી થતું લંબાઈનું માપ; વામ)
Permalink
September 30, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
મેં સિતારાઓની એને વાત કીધી જ્યારથી,
એ મને આકાશ સમજે છે જુઓને ! ત્યારથી.
શુષ્ક નદીઓને જોઇને ડૂમે ચઢેલા
પ્હાડનાં આંસુનો હું તો અંશ છું,
એ મને કહે છે કે હું કો’
રાજવી દરિયાવની ભરતીનો એકલ વંશ છું.
મેં મારા જળપણાની વાત કીધી જ્યારથી,
માછલી બનવાને એ ઊછળી રહ્યા છે ત્યારથી.
ફૂલ થાવાનો કર્યો’તો કાંકરીચાળોય અંતે
ભાગ્યમાં ખોટો પડ્યો,
પથ્થરો મારે ખભે મૂકીને ઊભા હાથ
ને એવી ક્ષણે ફોટો પડ્યો.
મેં પછી પથ્થરપણાની વાત કીધી જ્યારથી,
એ હવે ઈશ્વરપણું શોધી રહ્યા છે ત્યારથી.
– મુકેશ જોષી
એક તાજગીસભર રચના…….
Permalink
September 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, ગીત, હરિકૃષ્ણ પાઠક
સરસર સરસર ઝાડ-પાંદડે
ફરફર ઊડે બારીમાં
તડતડ ધડધડ છાજ-છાપરે
સરતરબોળ અટારીમાં.
કાગળની હોડીમાં તરતી
ગલી ગલી કલશોર ભરી
ભીંત અઢેલી ઊભાં ઢોરાં
રુંવે રુંવે રોમાંચ ધરી.
મન વિરહીનાં આકુળ-વ્યાકુળ
હળ્યાં-મળ્યાંનાં છલકે હેત,
સચરાચર સુખ-સાગર છલકે
મલકે સર્જનહાર સમેત.
– હરિકૃષ્ણ પાઠક
ક્યારેક કૃતિનો વિચાર વિસ્તાર કરવાના બદલે સર્જકની તકનિક વિશેની વાત પણ વધુ રસદાર હોઈ શકે.
• છંદવિધાન: ત્રીસો સવૈયો – એકી પંક્તિમાં સોળ અને બેકીમાં ચૌદ માત્રા. ગાગાગાગા, ગાલલગાગા, ગાલગાલગા, લગાલગાગાની રેવાલ ચાલ જેવી પ્રવાહી ગતિ વરસાદની રવાની તાદૃશ કરી આપે છે.
• ઓનોમેટોપિઆ: રવાનુકારી શબ્દોના પ્રયોગથી “અવાજ”ને “ચાક્ષુષ” કરવાની કળા. સરસર સરસર ફરફર તડતડ ધડધડ સરતરબોળ – કવિએ આકાશમાંથી મુશળધાર વરસતા વરસાદની ગતિને કેવી આબેહૂબ રીતે ઉપસાવી આપી છે.
• પ્રાસરચના : શરૂઆતની ચાર પંક્તિમાં a-b–a-bની ચુસ્ત પ્રાસરચના પ્રયોજ્યા પછી કવિ માત્ર એકી સંખ્યાની કડીઓને પડતી મૂકી માત્ર બેકી સંખ્યાની કડીઓમાં પ્રાસ યોજે છે, જાણે વચ્ચેના પ્રાસ અનવરત વરસાદમાં ધોવાઈ ન ગયા હોય…
• વર્ણાનુપ્રાસ: સરસર સરસરના ચાર સ અને ચાર ર, ગલી ગલી, છાજ-છાપરે, ભીંતના ભ સાથે ઊભાંનો ભ અને અઢેલીના ઢ સાથે ઢોરાંનો ઢ, રુંવે-રુંવે રોમાંચના ત્રણ ર, હળ્યાં સાથે હેત, સચરાચર સાથે સુખ અને સાગરના સ, સર્જનહાર સાથે સમેતનો સ – વરસાદના ટીપાં એક પછી એક એકસરખા પડતાં હોય એવો ભાસ કવિ કેવો બખૂબી આટલી નાની કવિતામાં એક પછી એક વર્ણાનુપ્રાસ પ્રયોજી ઊભા કરી શક્યા છે !
• પાણીની જેમ એક પંક્તિમાંથી બીજીમાં ઢોળાતો નાદ – ઝાડ-પાંદડે પછીની પંક્તિમાં ઊડે, ભરીના ભ પછીની પંક્તિમાં તરત આવતો ભીંતનો ભ, ઢોરાંના ર ને પકડી શરો થતો આગલી પંક્તિના રુંવે રુંવે નો ર, આકુળ-વ્યાકુળના ‘ળ’નું આગલી પંક્તિના હળ્યાં મળ્યાંમાં ઢોળાવું, છલકે પછી તરત આવતો મલકેનો ઉપાડ- કવિએ વરસાદની ગતિને કેટકેટલી તરેહથી મૂર્ત કરી આપી છે !
Permalink
September 14, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નીલેશ રાણા
આજ મને વાગી ગઈ ધુમ્મસની ધાર,
. તોય મને દેખાતું બધું આરપાર.
સ્થળને ને જળને મેં વ્હેરાતાં જોયાં
. ને જોઈ લીધું પળપળનું તળિયું,
ગોપી એક સંગોપી બેઠી છે ક્યારની
. વ્હાલમનું વૃંદાવન ફળિયું.
મારા હોવાની ભાવના સંભાવનાથી
. આપું નિરાકારને હુંયે આકાર.
વ્હાલમના વાઘાનું લિલામ કદી થાય નહીં
. ને મોરપીંછનાં મૂલ નહીં અંકાય,
વાંસળીના સૂરને ઝીલવા હું જાઉં
. ત્યાં યમુનાનાં વ્હેણ વંકાય.
તારી ભુજામાં હું ભીંજાતી ભૂંસાતી
. હવે જોઈએ નહીં કોઈનો આધાર.
– નીલેશ રાણા
પ્રતીક્ષાની ઘડીઓમાં આંખ ભલે ઝળઝળિયાંના ધુમ્મસથી ઘેરાઈ કેમ ન ગઈ હોય, જળ-સ્થળ એકાકાર થઈ ઓગળી કેમ ન જાય, પ્રિયતમ, પ્રણય અને જીવનની પળપળના તળિયાં સાફ સાફ નજરે ચડતાં હોય છે… કલ્પનાનો આકાર પ્રતીક્ષાની ઘડીઓમાં એવો સાચુકલો લાગે છે કે એની બાંહોમાં ગોપી પોતાને ભીંસાતી ને ભૂંસાતી અનુભવે છે…
Permalink
September 13, 2013 at 12:30 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, કરસનદાસ માણેક, ગીત
હું, માશૂક, બદલતો રહું છું !
એક જ રૂપ સદૈવ નિહાળી
રખે જાય હુંથી કંટાળી
એ બીકે તરફડતો રહું છું !
હું, માશૂક, બદલતો રહું છું !
. કદી વૈરાગી, કદી વિલાસી,
. કદી વૈભવરત, કદી ઉપવાસી,
. કદી પરિતૃપ્ત, કદી ચિરપ્યાસી,
. કદી અત્યાગ્રહી, કદી ઉદાસી,
. કદી અધૂરો, કદી છલતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
. કદી મિલનમાં પણ રહું ઠાલો,
. કદી વિરહમાં પણ મતવાલો,
. કદી ગંભીર, કદી અતિ કાલો,
. કદી સુક્કો, કદી લહેરી લાલો,
. કદી ટાઢો, કદી જલતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
. હું ચાંદો, સખિ, તું મુજ ધરતી,
. વધુઘટું રંગ તારો વરતી :
. આરતી બનીને તારા ફરતી
. પ્રદક્ષિણા પ્રીતિ મુજ કરતી !
. તૃપ્ત તોય ટળવળતો રહું છું !
. હું, માશૂક, બદલતો રહું છું !
– કરસનદાસ માણેક
Variety is the essence of life… અહીં માશૂક એટલે ઇશ્વર એ તો તરત જ સમજાઈ જાય છે પણ આપણી ભાષામાં અલ્પવિરામનું મહત્વ કેટલું છે એ પણ જોવા જેવું છે… અહીં વાત રોજ-રોજ માશૂકને બદલવાની નથી પણ પોતાનું એકનું એક રૂપ જોઈને માશૂક કંટાળી-ધરાઈ ન જાય એ માટે જાતને બદલવાની છે. પણ અલ્પવિરામ ચૂકી જવાય તો અર્થનો અનર્થ થઈ શકે… જો કે ઘણાંને રોજ-રોજ માશૂક બદલવાનો ઓપ્શન વધુ પસંદ આવ્યો હશે !!
Permalink
August 23, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચિનુ મોદી
પાળિયાની જેમ મારી એકલતા આરડે ને પાધરની જેમ તમે ચૂપ,
વીતેલી વેળમાં હું જાઉં છું સ્હેજ ત્યાં તો આંખો બે આંસુ સ્વરૂપ;
શમણાં તો પંખીની જાત મારા વ્હાલમા
કે ઠાલાં પાણીનો કોઈ કૂપ ? – પાળિયાની૦
આંગણામાં પગલાંઓ અંકાયાં લાખ છતાં ઘરમાં તો ભમતો ભેંકાર,
પીપળાનાં પાંદડાઓ ખરતાં થયાં ને છતાં ડાળીને લાગ્યા કરે ભાર,
પડઘાના પ્હાડ મને ઘેરીને બોલતા
કે તરણાંની ઓથ લઈ છૂપ ? – પાળિયાની૦
ચલ્લી થઈને એક તરણું હું લાવતી ને ગોઠવું છું નાનકડું નીડ,
ભ્રમણાની ભીંત ચણી ક્યાં લગરે બેસવું, માણસ હોવાની મને ચીડ;
આપણે અજાણી એક લાગણી ને લાગણીનાં
ચોર્યાશી લાખ થયાં સ્તૂપ – પાળિયાની૦
– ચીનુ મોદી
સામાન્યતઃ ગઝલના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા ચિનુ મોદીનું આ ગીત ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવું બળકટ છે.
વિયોગની ક્ષણો કોને કોરી નથી ખાતી? પણ કવિનો શબ્દ એને કંઈ ઓર જ વળ ચડાવી આપે છે. પાળિયા શબ્દથી ગીત ઉપાડ લે છે એ એક શબ્દમાં જ સંબંધનું મૃત્યુ અને સ્મરણનું સ્મારક અને પથ્થર જેવી નક્કર એકલતા – કેટલું બધું વણાઈ ગયું છે! વળી આ એકલતા આક્રંદે છે પણ પ્રિયજન ખાલીખમ પાદર સમા મૌન છે. વીતેલી ક્ષણોમાં કવિ એક ‘ફ્લેશ-બેક’ નજર કરે છે ને આંખો છલકાઈ આવે છે… વધતા જતા ખાલીપાના ભેંકાર કલ્પનો ગીત જેમ જેમ આગળ વધે છે તેમ તેમ પોતાના માણસપણા પર ચીડ આવી જાય એવો ભાવ જન્માવે છે…
(આરડવું= મોટા અવાજે આક્રંદ કરવું)
Permalink
August 18, 2013 at 12:30 AM by વિવેક · Filed under અનિલ જોશી, ગીત
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
ફાગણ ચાલે ને એનાં પગલાંની ધૂળથી,
નિંદર ઊડે રે સાવ કાચી,
જાગીને જોયું તો ઊઠે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,
જીવતર આખ્ખુંય જાણે પાંચ-સાત છોકરાં પરપોટાં વીણતાં દરિયે,
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં,
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા;
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઈ જાતા !
કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ, મરવા દિયે તો કોઈ મરીએ !
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ અમે છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…
– અનિલ જોશી
આમ તો આખું ગીત જ નખશિખ આસ્વાદ્ય છે પણ મારું મન તો માત્ર સૂકી જુદાઈની ડાળે છાનું ઊગીને છાનું ખરી જતા ફૂલ પર જ અટકી ગયું… કેવી અદભુત સંવેદના કવિએ આ એક જ પંક્તિમાં ઠાંસી-ઠાંસીને ભરી છે ! જુદાઈની ડાળ તો જાણે સમજ્યા પણ માત્ર ‘સૂકી’ વિશેષણ જુદાઈની કેવી ધાર કાઢી આપે છે..! અને ડાળ સૂકી હોય એ પાનખર સૂચવે છે પણ અહીં તો પાનખરમાં ફૂલ ખીલે છે… વિરહ અને આશાનો કેવો કારમો વિરોધાભાસ ! એક લીટીની કવિતા તો અહીં જ પૂરી થઈ ગઈ હોત પણ કવિએ ઊગવા અને ખરવાની ક્રિયાને છાની રાખીને- પોતાની વિરહ-વ્યથાને માત્ર જાતમાં જ સંકોરી રાખીને પ્રેમને એવરેસ્ટની ઊંચાઈ બક્ષી છે…
Permalink
July 22, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ, ગીત
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
એક છોરીએ અંગોમાં સાગરનાં મોજાં રાખ્યા છે,
અટકળની આ વાત નથી, મેં થોડા થોડા ચાખ્યા છે.
ઠેર ઠેર એની કાયામાં વમળ વર્તુળ ઊઠે છે,
ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશ: તૂટે છે.
મોડું-વહેલું નિશ્ચિત છે, ને તો પણ એને ટાળે છે,
જળસમૂહને એક છોકરી તણખલાથી ખાળે છે.
દિવાસળીના દેશમાં, રમણી, કેમ બચીને રહેવાશે ?
મીણનો જથ્થો નષ્ટ થશે પણ અજવાળાઓ ફેલાશે.
પ્રેમ અમારો મહાદેવ, ને અમે પ્રેમના નંદીજી,
આંખ મારતી જે જે છોરી, અમે એમના બંદીજી !
– ઉદયન ઠક્કર
આ ગીત છે ? કે ગઝલ ? જાણકારો પ્લીઝ પ્રકાશ પાડે ….. જે કંઈ પણ છે – મસ્ત છે !!!
Permalink
July 21, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?
આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !
વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?
-હરીન્દ્ર દવે
Permalink
July 18, 2013 at 3:33 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ, વર્ષાકાવ્ય
સાવન કેવો છકી ગયેલો !
દશે દિશાઓ ભેગી ડ્હોળી દેવા જકે ચઢેલો. –
ડુંગર ડુંગર હનૂમાનની જેમ ઠેકડા ભરતો,
હાક પાડતો ખીણોનાં ઊંડાણ ઊંડેરાં કરતો,
સમદરને પણ હરતાં ફરતાં જાય દઈ હડસેલો. –
સોનાની લઈ વીજસાંકળો આભે થડ થડ દોડે,
બાંધી તાણે ક્ષિતિજ ચઢે શું હળધર સામે હોડે ?
નવલખ તારા, ગ્રહો, સૂરજ – સૌ હડપ કરી વકરેલો. –
– ચંદ્રકાન્ત શેઠ
મેઘરાજ ઓણસાલ બરાબર મંડ્યા છે. એક તો એપોઇન્ટમેન્ટ કરતાં દસ દિવસ વહેલા આવી ટપક્યા અને આવ્યા પછી એકેય દિવસ કોરો છોડતા નથી… સમગ્ર દક્ષિણ ગુજરાત જળબંબાકાર થઈ ગયું છે એવામાં આ ગીત યાદ ન આવે તો જ નવાઈ.
દશે દિશાઓને જાણે ડહોળી નાંખવાની જીદે ન ચડ્યો હોય એમ છાકટો થઈ વરસતો વરસાદ સમગ્ર સૃષ્ટિનો કોળિયો કરતો ન હોય એમ વકર્યો છે એ વાત અહીં કેવી સરસ રીતે લયાંવિત થઈ છે !
Permalink
July 15, 2013 at 2:02 AM by તીર્થેશ · Filed under ગીત, શેખાદમ આબુવાલા
તું એક ગુલાબી સપનું છે
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની
તે માટે હું પણ તત્પર છું.
ગોતી જો શકે તો લે ગોતી
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા
હું તારું માનસરોવર છું.
શાંત અને ગંભીર ભલે
શરમાળ છે મારાં નીર ભલે
ઓ પૂનમ ઘૂંઘટ ખોલ જરા
હું એ જ છલકતો સાગર છું.
કૈલાસનો સચવાયે વૈભવ
ગંગાનું વધી જાશે ગૌરવ
તું આવ ઉમાનું રૂપ ધરી
ને જો કે હું કેવો સુંદર છું.
સંવાદ નથી શોભા એની છે
મૌન પ્રતિષ્ઠા બન્નેની
તું પ્રશ્ન છે મારે પ્રીતિનો
હું તારા રૂપનો ઉત્તર છું.
– શેખાદમ આબુવાલા
Permalink
June 23, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
છોકરીના હૈયામાં ચોમાસું બેઠુ ને,
છોકરાના હૈયે લીલોતરી
કૂંપળ ફુટયાની વાત જાણીને છોકરો
છાપે છે મનમાં કંકોતરી
છોકરીના હૈયામાં….
છોકરાએ મનમાં સગાઈ કરી
છોકરીને ભેટમાં દીધેલું ઝાપટું
ખિસ્સામાં માય નહીં, છાતીમાં
મૂકે તો છોકરાને દર્દ થાય સામટું
છોકરાના હાથોમાં જાણે કે છોકરીએ
વરસાદી રેખાઓ કોતરી….
છોકરીના હૈયામાં….
છોકરીના કેશમાંથી ઝરતાં ટીપાંઓથી
શ્રી ગણેશાય લખી નાખ્યું
મેઘધનુષ નામના મુહૂર્તમાં છોકરાએ
ફેરા ફરવાનુંય રાખ્યું
ગંગાને શોધતાં છોકરાને હાથ જાણે
લાગી ગઈ આખી ગંગોતરી…
છોકરીના હૈયામાં….
-મુકેશ જોષી
Permalink
June 17, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, નરસિંહ મહેતા
જાગીને જોઉં તો જગત દીસે નહિ,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે,
બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે … જાગીને
પંચ મહાભૂત પરબ્રહ્મ વિશે ઉપજ્યાં,
અણુ અણુમાંહીં રહ્યાં રે વળગી;
ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં,
થડ થકી ડાળ નવ હોય અળગી … જાગીને
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયાં પછી નામરૂપ જૂજવાં
અંતે તો હેમનું હેમ હોયે … જાગીને
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા;
ભણે નરસૈંયો એ ‘તે જ તું’, ‘તે જ તું’
એને સમર્યાંથી કૈં સંત સીધ્યા … જાગીને
– નરસિંહ મહેતા
વ્યાસોચ્છિષ્ઠમ જગત સર્વં – ની જેમ નરસિંહ મહેતા ગુજરાતીમાં જાણે કે બધું જ કહી ગયા છે….. કશું બાકી નથી હવે……
Permalink
June 3, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
શબ્દોની સંગત દઉં છોડી મારા સાધુ,
મને આપો એક અનહદનો સૂર,
એક વાર ઓરેથી સંભળાવો, દૂર દૂર
વાગે છે ક્યાંકનાં નૂપુર.
હમણાં હમણાં આ શીળી રાતનો સમીર
મારાં વ્હૈ જાતાં વેણ નહીં ઝીલે,
અધવચ મૂંઝાઈ મન પાછું ફરે છે
ઝાઝાં પગલાની ભાત પડી ચીલે;
પ્રગટાવો એક વાર ભીતરનાં તેજ, પછી
લઈ લો આ આંખડીના નૂર.
મનને આકાશ સૂર સૂરજનું રૂપ:
અને સૂરજનું આભ કોઈ ઓર,
આભમાં મુલક કોઈ અણદીઠો, પહોંચવા જ્યાં
યુગ છે ઓછો ને ઝાઝો પ્હોર;
અગની અડકે તો જરા પ્રજળું
હવામાં મારાં ખાલી વેરાતાં ક્પૂર.
– હરીન્દ્ર દવે
Permalink
June 2, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
કહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
આકાશ હવે આવડું અમથું નાનકું લાગે
ધરતી હવે જાણે કે પરમાણું લાગે
મન આ મારું ક્યારેક તો ઉખાણું લાગે
સહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું
કેટલાંયે આ શબ્દો જાણે તરણાં જેવાં
આવરું બહાવરું દોડતાં જાણે હરણાં જેંવાં
પહાડથી જાણે દડતાં ઝીણાં ઝરણાં જેવાં
વહી ના શકાય એટલો તને પ્રેમ કરું છું
ખડક થાઉં તોયે હવે તો તારા વિના
રહી ન શકાય એટલો તને પ્રેમ કરું છું .
– જગદીશ જોષી
Permalink
May 27, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under કૈલાસ પંડિત, ગીત
હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં
હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે
હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ
હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ
– કૈલાશ પંડિત
આકસ્મિક જ રેડિઓ પર આ રચના સાંભળી અને કવિના નામમાં કૈલાશ પંડિતનું નામ બોલાયું,ત્યારે ખાસ્સું આશ્ચર્ય થયું. કૈલાશ પંડિતનું નામ આવે એટલે તેઓની આગવી શૈલીમાં થતી વ્યથાની ઠોસ રજૂઆત યાદ આવી જાય… તેઓનું આવું મસ્ત રમતીલું ગીત સાંભળીને મજા આવી ગઈ….
Permalink
May 20, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
મારું ઓશીકું ભલે લાગતું ફૂલેલું
દોસ્ત ! એમાં ડૂસકાં ભર્યાં છે,
કાચા ને કાચા ઉજાગરા વસંતમાં
રાતોની રાતભર ખર્યા છે.
છાતીમાં,ખોબામાં,ખિસ્સામાં અંધારું
બીજે ક્યાં સંઘરું અમાસ,
પાછલા જન્મોના ડૂમા ઉછેરવાની
શરતે મળ્યા છે મને શ્વાસ.
આરસનો પથ્થર છું એમ કહી
કેટલાંકે મારામાં નામ કોતર્યાં છે.
દરિયો ભરીને સહુ લઈ જાતાં ચાંદની
મારો ભરાય નહીં કુંભ,
વાતે વાતે મને ઉથલાવી પાડે છે
તડકાનું આખું કુટુંબ.
દીકરાની જેમ કહ્યું માનતા નથી
જે સપનાં મેં મોટાં કર્યાં છે.
– મુકેશ જોષી
Permalink
May 19, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
બારણે બેસી નીરખું સાંજ-સવાર,
કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં
આવે-જાય અપાર,
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
કિરણોની લખ છૂટતી ધેનુ,
અબરખી એની ઊડતી રેણુ,
કોઈની વેણુ, વાગતી પાઈ દુલાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
મનની મારી કોડ્યથી કાળી,
ઝૂરે આતમધેન રૂપાળી,
ધૂંધળી ભાળી, સાંકડી શેરી-બજાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
ઘડીક ભારે સાંકળ ભૂલે,
ખુલ્લાં ગોચર નયણે ખૂલે,
હરખે ઝૂલે, ઘંટડીના રણકાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
કો’ક દી એનો આવશે વારો,
પામશે એક અસીમનો ચારો,
ગોકળી તારો, ગમતીલો સથવાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
પાડજે સાદ નવા પરિયાણે,
ચેતનનાં અદકાં ચરિયાણે,
ગોરજ ટાણે, ઓથમાં લેજે ઉદાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.
-મકરંદ દવે
ભક્તિમય પ્રકૃતિ…..પ્રકૃતિમય ભક્તિ
Permalink
April 25, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
આપ કરી લે ઓળખાણ
. એ સાચા શબદનાં પરમાણ
સાકર કહે નહિ, હું છું મીઠી,
વીજ ન પૂછે, મુજને દીઠી ?
મોત બતાવે ન યમની ચિઠ્ઠી,
પેખ્યામાં જ પિછાણ
. સાચા શબદનાં પરમાણ
કોયલ ટહુકે આંબાડાળે,
અંગ ન તોડે, કંઠ ન વાળે,
ગંગા વહતી સમથળ ઢાળે,
ખેંચ નહિ, નહિ તાણ –
. સાચા શબદનાં પરમાણ
ફૂલ ખીલે નિત નવ જ્યમ ક્યારે,
શ્વાસ લિયે ને સૌરભ સારે,
અંતરથી એમ ઊઠે ત્યારે
વહે સ્વયંભૂ વાણ –
. એ સાચા શબદનાં પરમાણ
– મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
સાચો શબ્દ બ્રહ્મ સમાન છે… એણે એની ઓળખાણ આપવાની ન હોય. એ સ્વયંસ્પષ્ટ જ હોય. સાકર પોતાના ગળપણના ગુણ નથી ગાતી, વીજળી હોય કે મૃત્યુ – બધા જાહેરખબર વગર જ કામ કરે છે. કોયલ કોઈ તાલિમ નથી લેતી કે નથી ગળું સાફ કરતી.. એ એની મસ્તીની જ માલકિન છે. જે રીતે ફૂલ સૌરભ પ્રસારે છે એ રીતે અંદરથી સ્વયંભૂ વાણી પ્રગટે ત્યારે સાચો શબ્દ, સાચી કવિતા હાથ ચડે છે…
Permalink
April 22, 2013 at 12:55 AM by તીર્થેશ · Filed under ગીત, વિનોદ જોશી
એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…
પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;
મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.
હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!
હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…
-વિનોદ જોશી
એક રળિયામણું ગીત…..
Permalink
April 20, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સંજુ વાળા
રહીએ, જેમ તમે જી ! રાખો !
કાં અબોલા અમથી આવા, કૈ તો ડહાપણ દાખો !
વરત – આખડી સૌ મૂકી દઉં, ના કોઈ પૂજું દેવ
પૂછી બીડું પલક, ખીંટીએ ટાંગુ સઘળી ટેવ
ત્યાં જ ઉડીએ , જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !
મેં ક્યાં માંગ્યું ? સોને-રૂપે માંઝી દો મનસૂબા
ઝળઝળિયાં દો, તો પણ મારે રતન-છલોછલ કૂબા
ધૂળધફોયા ખોળે જરાંક, અમી નઝર તો નાખો !
રહીએ, જેમ તમે જી ! રાખો !
– સંજુ વાળા
આ ગીત તો જુઓ… ગીત છે કે સૉનેટ? સૉનેટમાં જેમ કાવ્યાંતે ચોટ આવે એમ કવિએ અહીં છેલ્લી લીટીમાં કમાલ કારીગરી કરી છે. આખા ગીતમાં એમ જ લાગે કે અબોલા લઈ બેસનાર પ્રિયતમને મનાવવા નાયિકા અછોવાનાં કરી રહી છે.. વ્રત-પૂજા-આખડી, બધી જાતની ટેવ-કુટેવ બધું જ છોડી દેવા તૈયાર છે, એના જ આપેલા આકાશમાં માપસરનું ઊડવા તૈયાર છે… આંખમાં સહવાસના ઝળઝળિયા આપે તોય જેને સોના-રૂપાથી વિશેષ લાગે છે એ નાયિકા પત્ની છે અને પ્રિયતમ પતિ છે એ વાત તો સા…વ છેલ્લી કડીમાં ખાલી ખોળાને પૂરવા માટે પગલીનો પાડનાર માંગવાની વાત આવે છે ત્યારે છતી થાય છે… છે ને સૉનેટની મજા!!
Permalink
April 15, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે, રિલ્કે, વિશ્વ-કવિતા
બોલોને, શું કરશો હરિ
મારા વિના એકલા, જયારે જઈશ હું મરી ?
હું તમારો ઘટ બનું જો ચૂરેચૂરા,
હું તમારા પ્રાણની ઊડી જાઉં જો સુરા,
હું તમારે કસબી હાથ વણાતો જામો
જાઉં સરી તો હાથ તમારો થાય નકામો,
મારા વિના હાય, થશો ઘરબાર વિહોણા,
નેહથી તમને નોતરી કરશે કોણ પરોણા ?
હું તમારી ચાખડી, મારા વિણ ઉઘાડાં
થાક્યાંપાક્યાં ચરણ ઘૂમશે ટેકરા-ખાડા,
સરી પડશે અંગથી તમ વિરાટનો વાઘો
આપણો સંગ જ્યાં ઓગળી જશે આઘો આઘો,
મારા ગાલ પે હેતભરી જ્યાં નજરું ઠરી,
તમને પાછી મળશે ક્યાં એ હૂંફ ઓ હરિ ?
નજરું નમશે ક્યાય તમારી આ વસમી પળે
હિમશિલાની ગોદમાં જેવી સંધ્યા ઢળે,
જીવ આ મારો કાંઈ મૂંઝાતો ફરી ફરી,
શું કરશો હરિ ?
– રેઇનર મારિયા રિલ્કે – અનુ.-મકરંદ દવે
What will you do, God, when I die?
When I, your pitcher, broken, lie?
When I, your drink, go stale or dry?
I am your garb, the trade you ply,
you lose your meaning, losing me.
Homeless without me, you will be
robbed of your welcome, warm and sweet.
I am your sandals: your tired feet
will wander bare for want of me.
Your mighty cloak will fall away.
Your glance that on my cheek was laid
and pillowed warm, will seek, dismayed,
the comforts that I offered once –
to lie, as sunset colors fade
in the cold lap of alien stones.
What will you do, God? I am afraid.
– Rainer Maria Rilke
મૂળ કાવ્યનો છંદમાં કાવ્યાત્મક અનુવાદ કરવા માટે કવિશ્રીએ ઘણી છૂટ લીધી છે ……મૂળ કાવ્ય વાંચતા કાવ્યનું હાર્દ વધુ સ્પષ્ટતાથી સમજાય છે … Bertrand Russel નું ઘણું જાણીતું વિધાન યાદ આવી જાય છે – ‘ God is a sweet,self-deceptive and romantic imagination of mankind. ‘
Permalink
April 14, 2013 at 2:16 AM by તીર્થેશ · Filed under અનિલ જોશી, ગીત
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝંઝાના સૂસવાટા પાંખમાં ભરીને ઊડું આખ્ખું ગગન મારી ઇચ્છા
વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતા પરભાતિયાનાં પીંછાં
ઉરમાં તે માય નહીં ઉડતો ઉમંગ મને આવીને કોઇ ગયું સાંભળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મન ભરી ગાતો
. કાંઇ એવું તો વન ભરી ગાતો.
જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર, ક્યાંય કાગડો થઇ ન જાય રાતો!
આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઇ ઊડી જાય વાંસળી
કેમ સખી ચીંધવો પવનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી
– અનિલ જોશી
Permalink
April 8, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ
ઘેરાતી સાંજના તમને સોગંદ
હવે વાદળાઓ વીખેરી નાખો
જળમાં આ પંખીનો છાંયો પડે
ને તોય પંખીની થાય ભીની આંખો
છૂટા પડેલા આ ટહુકાના પીંછામાં
અંકાશી ગીત કેમ ગાશું
તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
નહીં આવો તો યે આશ તો ઉજાસની
પણ જાશો તો ઘેરો અંધાર
ઝાલરનું ટાણું ને ગાયો ઉભરાઇ
એની આંખોમાં ડંખે ઓથાર
ચૈતરનો વાયરો વાવડ પૂછે છે
કે ક્યારે અહીં વરસે ચોમાસું
કુવામાં વાંસ વાંસ પાણી
ને તો ય કોરી નજરું લઇ એમ વળી જાશું
આવ્યું, પણ આવીને અટક્યું રે આંખમાં
સૂની આ સાંજ સમું આંસુ
– જગદીશ જોષી
ધીમે ધીમે બે-ત્રણ વાર વાંચતા આ કાવ્ય એક જબરદસ્ત ઘેરું વિષાદ-વિશ્વ નિષ્પન્ન કરે છે…. સૂની સાંજે આપણે કૂવા-કાંઠે ઊભા હોઈએ એ કલ્પન સાથે આ ગીત ખૂબ ધીમેથી વાંચી જુઓ….
Permalink
March 29, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
હવે આ હાથ રહે ના હેમ !
મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ !
. હવે આ હાથ રહે ના હેમ !
બહુ દિન બેસી સિવડાવ્યા બસ કૈં નવરંગી વાઘા,
સાવ રેશમી ભાતભાતના મહીં રૂપેરી ધાગા;
જેહ મળે તે દર્પણ જોવા વણલીધેલો નેમ !
. હવે આ હાથ રહે ના હેમ !
ભરબપ્પોરે ભોજનઘેને નિતની એ રાતોમાં,
ઘણું ખરું એ એમ ગયું ને કશુંક કૈં વાતોમાં;
પડ્યું પ્રમાદે કથીર થયું તે જાગ્યોયે નહીં વ્હેમ !
. હવે આ હાથ રહે ના હેમ !
કદી કોઈને કાજે નહીં મેં કટકોય એ કાપ્યું,
અન્યશું દેતા થાય અમૂલખ મૂલ્ય નહીં મેં માપ્યું;
રતી સરીખું અવ રહ્યું એનો ઘાટ ઘડાશે કેમ ?
. હવે આ હાથ રહે ના હેમ !
– પ્રિયકાન્ત મણિયાર
સમયનું સોનું સમયની સાથે સતત વપરાતું જ રહે છે, અને આપણે મન ફાવે તેમ વાપરતા જ રહીએ છીએ. અડધો સમય જાતને શણગારવામાં ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. યોગ્ય માર્ગે ન વપરાતાં સોનું કથીર થઈ જાય છે એ પણ ધ્યાન રહેતું નથી. સમયના સોનાનો એકમાત્ર નિયમ યોગ્ય વ્યક્તિને આપવું એ જ છે.. જેમ આપો તેમ આ સોનું વધુ મૂલ્યવાન થતું છે.. પરાર્થે વપરાયેલો સમય જ જિંદગીનો સાચો સમય છે.
Permalink
March 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નિનુ મઝુમદાર
એક ખૂણે મારો પ્રેમ ભર્યો છે,
એક ખૂણે અભિલાષા
એક ખૂણે ધિક્કાર ભર્યો છે,
એકમાં ઘોર નિરાશા
બાળપણાની શેરી લઈ પેલી
ભરી છે આખી ને આખી.
યૌવનના કંઈ બાગ બગીચા,
પ્રીતડીઓ વણચાખી.
ભર્યો છે હાસ્યને રુદન સાથે ઝોળો સુખદુઃખ તણો
મારી કોટડીમાં સામાન ઘણો.
પાર વિનાની ભૂલ પડી છે,
કોઈના કંઈ ઉપકારો
ઓસરતા ભૂતકાળની મૂર્તિ,
ભાવિના કૈંક ચિતારો
સર્જનનો ઈતિહાસ ભર્યો છે,
ભૂગોળ ખગોળ ભેળો
લેશ જગ્યા નહીં મુજ માટે,
ઉભરાયો છે વ્યર્થનો મેળો.
બંધ આ મારાં દ્વારની પાછળ વધ્યો કોટિ કોટિ ગણો
મારી કોટડીમાં સામાન ઘણો.
– નીનુ મઝુમદાર
જન્મ લઈએ ત્યારે આપણી કોટડી ખાલી હોય છે પણ આપણો બધો પરિશ્રમ આ કોટડીને ભરવાની દિશામાં જ થતો હોય છે. પ્રેમ, મોહ, માયા, મદ, ક્રોધ, કામ ઓછું પડતું હોય એમ સંબંધો, આશાઓ, દુઃખ-સુખ – શું શું નથી ભર્યે જતા આપણે? બે ઘડી પણ આપણને એ પ્રતીતિ થતી નથી કે “મશક અહીંની અહીં રહી જવાની, છતાં પણ એ ભરવાની મહેનત દિવસ-રાત થઈ છે.”…
Permalink
March 25, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,
રાધાનું નામ યાદ આવ્યું,
રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ
બંધ દરવાજે ભાન ફરી આવ્યું.
દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ
દૂર યમુનાના નીરને વલોવે
સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની
આજને અતીતમાં પરોવે.
કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી
કુંજગલી કેમ કરી જાવું ?
રાધાના નેણની ઉદાસીના કેફ તણી
ભરતી આ ગોકુળથી આવે
મહેલની સૌ ભોગળને પાર કરી માધવના
સૂનમૂન હૈયાને અકળાવે
ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન
એને કેમ કરી ગીતા સંભળાવું ?
– હરીન્દ્ર દવે
મને બહુ લાંબા સમયથી એક પ્રશ્ન થયા કરતો હતો કે કૃષ્ણ વૃંદાવન છોડી મથુરા જાય છે ત્યાર પછી તેઓ કદી પાછા વૃંદાવન આવતા નથી કે નથી કદી રાધાને મળતા. આવું કેમ ?? આમ તો સમગ્ર કૃષ્ણાવતાર અને મહાભારત mythological literature છે,છતાં શું કોઈ ગ્રંથમાં આ અંગે કોઈ ઉલ્લેખ કે સ્પષ્ટતા છે ખરી ? મારી રીતે મેં થોડી શોધખોળ કરી,પરંતુ કોઈ જવાબ મળ્યો નહિ. મૂળ મહાભારત તેમજ ભાગવતમાં રાધાના પાત્રનો કોઈ ઉલ્લેખ જ નથી. વિદ્વાનોના મતાનુસાર રાધાનું પાત્ર આશરે પાંચમી સદીની આસપાસ પ્રથમવાર ભીંતચિત્રોમાં દેખાય છે. તે પહેલા તેનો કોઈ જ ઉલ્લેખ નથી. હકીકત જે પણ હોય તે, પરંતુ રાધા વગર કૃષ્ણની કલ્પના સુદ્ધા થાય ખરી !!!!
આ ગીતનું ખૂબ સુંદર સ્વરાંકન ટહુકો.કોમ પર ઉપલબ્ધ છે.
Permalink
March 19, 2013 at 1:30 AM by ધવલ · Filed under ગીત, જયન્ત પાઠક
અનુભવ ગહરા ગહરા
નિશદિન આઠે પ્રહરા:
કોઈ બજાવત ઝાંઝ-પખાવજ, મૃદંગ ઓ’ મંજીરા!
ચલત ફિરત મેં અપની ગતમેં
ગજ સમ ડોલત શિરા,
જલમેં લહર, લહરમેઁ જલકા
સુન સુન ગીત ગંભીરા!
ઊઠકર નાચન લગા ચરણ દો
જ્યું નાચત હો મીરા,
મેહ ગગનમેં ધીરા, ચદરિયાં
ભીની ભયી કબીરા!
– જયન્ત પાઠક
જીવન-ઉત્સવને ભરપેટ ઉજવતું આ કાવ્ય પાઠકસાહેબનું અંતિમ કાવ્ય છે. (આ કાવ્ય 30 ઓગસ્ટે લખેલું અને પહેલી સપ્ટેમ્બર, 2003એ એમનું અવસાન.) એક એક ક્ષણમાં ઊંડા અનુભવથી ભરેલા જીવનને કવિ સનાતન સંગીત સાથે સરખાવે છે. એ સુરમાં હળવેકથી માથું હલાવતા પોતે પસાર થતા હોય એવું સહજીક ચિત્ર કવિ દોરે છે. પાણી પરના તરંગોમાં પણ કવિને એ જ ગંભીર ગીતની પંક્તિઓ દેખાય છે. મન મીરાંની જેમ નાચી ઊઠે અને (જીવનરૂપી) ચાદર જ્યારે ખરે જ તરબતર થઈ જાય એ ક્ષણે વધારે તો શું કરવાનું બાકી રહે ? આટલી સંતૃપ્તિ પછી કદાચ ‘આવજો’ કહેવાનું જ બાકી રહેતું હશે.
Permalink
March 18, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, વિનોદ જોશી
મને ભૂલી તો જો,
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તું ય હજી આંજે અણસાર, અને મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
-વિનોદ જોષી
મીઠ્ઠું-મધુરું ગીત ……
Permalink
March 3, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
લીલોકુંજાર એક ટહુકો ભમે છે એને
ક્યાંયે મળી ન કોઈ ડાળી.
ઊગતે પહોર એક આવ્યો કિલકાર
પેલા આથમણા આભને વીંધી,
અંધારી રાત મહીં આથડતાં વાટ એને
તારાએ તારાએ ચીંધી;
કોઇ કોઇ વાર મારે પિંજર પુકારે ને
હેરું તો દિયે હાથતાળી.
આંખો માંડું તો એક પીંછુ આઘે તરે
ને સાંભળવા બેસું તો સૂન,
કોઇ એક ટહુકાને કારણિયે હાય મારી
કેવી ધધકતી ધૂન!
ટહુકો બનીને હવે ઊડું અવકાશમાં તો
ટહુકાનો રંગ લઉં ભાળી.
– મકરન્દ દવે
ટહુકો એ પરમાત્મા રૂપી જ્યોત છે. કવિના હૈયે એક આત્મારૂપી જ્યોત ટમટમે છે. ઊગતો પ્હોર એટલે જન્મ. કવિનું હૈયું એક અજબ અજંપો અનુભવે છે…. એને ખૂબ અસ્પષ્ટ આછો અંદાજ છે કે જ્યોત ભલે બે ભાસતી હોય,પણ અગ્નિ એક જ છે. કવિની ઇન્દ્રિયો કવિને એ વિશ્વાનલનો અનુભવ કરાવવા અસમર્થ છે અને તેને પામવાની એક ધૂન સતત કવિહૈયે ધધકતી રહે છે…. આ શરીરનું પાંજરું તોડી ને આંતર્જ્યોત ઊર્ધ્વિત થશે તો જ વિશ્વાનલમાં લીન થઇ શકશે.
Permalink
February 28, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, ચંદ્રકાન્ત શેઠ
હું ખેડું, તું વાવ,
આપણા ખેતર સૌ લ્હેરાવ,
હું વેડું, તું લાવ,
આપણી દોસ્તીનો એ દાવ.
કર માખણ-શી માટી મારી,
તારે ચાક ચડાવ,
ઘડા-કુલડી-માટ-કોડિયાં
ખપનાં ઠામ ઘડાવ,
હું પાકું એમ પકાવ,
હું દીપ ધરું, દરશાવ !
ઊંડો ખોદું કૂપ, ઝરણથી
તારાં એ ઊભરાવ,
તળિયું તરતું થાય, તલાવે
જળ એવાં છલકાવ !
હું ખૂલું, તું આવે !
આપણો જલસે થાય જમાવ !
– ચંદ્રકાન્ત શેઠ
ઇશ્વર સાથેની દોસ્તીનું એક મધુરું ગીત.. તળિયાને તરતું કરાવવાની વાતમાં આ ભક્તિભાવ કવિતાના સ્તરે પહોંચે છે…
Permalink
February 19, 2013 at 9:39 PM by ધવલ · Filed under અનિલ જોશી, ગીત
કે પાદરમાં ઝરમર વેરાય તને મળવું દે તાલ્લી
કે વાતમાં મોરલાના ટહુકાનું ભળવું દે તાલ્લી
કે ડાંગરના ખેતર ઢોળાય તારા ઘરમાં દે તાલ્લી
કે કેડીઓ સમેટાઈ ગઈ મુસાફરમાં દે તાલ્લી
કે ગીતમાં અધકચરી માણસતા વાગી દે તાલ્લી
કે પાનખર પાંદડાની જાળીએથી ભાગી દે તાલ્લી
કે આંખ હજી ઉઘડી નથી ને પડ્યાં ફોતરાં દે તાલ્લી
કે ગામને મેળે ખોવાઈ ગયા છોકરાં દે તાલ્લી
કે સમળીના ચકરાવા વિસ્તરતા ખોરડે દે તાલ્લી
કે ચાંદરણા પડતા ખડીંગ દઈ ઓરડે દે તાલ્લી
કે એક વાર અડકી ગઈ આંખ તારી મન્ને દે તાલ્લી
કે એક વાર અટકી ગઈ વાત કહી અન્ને દે તાલ્લી
કે ચોકમાં પીંછું ખર્યું ને લોક દોડ્યા દે તાલ્લી
કે લેણદાર એટલા વધ્યા કે ગામ છોડ્યા દે તાલ્લી
– અનિલ જોશી
તાલીઓની વચ્ચે કવિ એક આખી કથા ગૂંથી લીધી છે. ને કથાના દરેક મુકામે તાલી તો ખરી જ !
Permalink
February 2, 2013 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વીરુ પુરોહિત
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?
ક્યાંય નથી સંભળાતો હંભારવ ગોકુળમાં આજે,
રોજ પ્રભાતે મધુવનમાં ફૂલ ખીલતાં પ્હેલાં લાજે !
તરડાતા કોયલ-ટહુકાને કોણ સાંધશે, ઉદ્ધવ ?
રાસ ફરી રમવાનું, કહેજો ઈજન પાઠવે માધવ !
ક્રંદન કરતી રાધા ભાળી થાય : શ્યામને શાપું !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
થાય વલોણું ડૂમાતું’ને નથી ઊતરતું માખણ,
પરત કરો, ઉદ્ધવજી ! મારી સોળવેલી એ થાપણ !
નંદ-જશોદાનું મુખ જોવું, નથી અમારું ગજું,
સમ છે તમને, જોયું તેવું નખશીખ કરજો રજૂ !
કરું ન અળગો, માધવ આવ્યે, છાતી સરસો ચાંપુ !
વિણ માધવ, ઉદ્ધવજી ! જાણે ગોકુળ નિર્જન ટાપુ !
કેવળ શ્વસવું નથી જીવવું, લક્ષ પ્રમાણો આપું ?
– વીરુ પુરોહિત
કૃષ્ણ ગોકુળ છોડી ગયા એ પછીના વિરહમાં આપણે ત્યાં મોટાભાગની ભાષાઓમાં ઢગલાબંધ વિરહગીતો અને ઠપકાગીતો રચાયા છે. વીરુ પુરોહિતનું આ ગીત આ ખજાનામાં માત્ર ઉમેરો નથી કરતું, આગવી શોભા પણ બક્ષે છે. કૃષ્ણ વિના યમુનાકિનારાનું ગોકુળ નિર્જન ટાપુ જેવું કેમ લાગે છે એના લાખ કારણો આપવા ગોપી તૈયાર છે. રાધાનું ક્રંદન જોઈ એ કાન્હાને શાપ પણ આપવા તૈયાર છે.
Permalink
January 28, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
તારે આંગણ ઉભરાયેલા મનખાના સમ
મને મેળામાં મળતાં ના આવડે,
વાંકાબોલા આ વેણ મેલ રે વ્હાલમ,
મને ઝીણું સાંભળતા ના આવડે .
ટોળામાં સાંતેલો સૂર થૈ વિખૂટો
કોઈ વીખરેલી લહેરખીને ગોતે,
પડદાની ઘૂઘરીમાં ભાત ક્યાં પડી છે
કદી મારી’તી ચાંચ જ્યાં ક્પોતે,
કાચી રે માટીનાં ઘડતર ને તોય અહીં
પળપળમાં ગળતાં ના આવડે .
મારે એકાન્ત મને વસવા દો, આછરે
લગાર અહીં ડહોળાયાં નીર,
સાગરમાં વરસીને વાદળ ઝાંખે છે
નેહતરસી આ ભોમને લગીર,
કાળી માટીમાં ફૂટ્યાં તરણાંની જેમ
મને કિરણોમાં બળતાં ના આવડે .
-હરીન્દ્ર દવે
બહુ જ હસીન અંદાઝમાં કવિએ જાણે પ્રેમિકાને હળવો ઉપાલંભ આપ્યો છે ! મનમેળ વિનાના મેળા કરતાં તો અલગારી જીવ ને એકાંત વ્હાલું….. ખૂબ નાજુકાઈથી પરંતુ સ્પષ્ટ રીતે પ્રેમી પોતાની પ્રાથમિકતા વ્યાખ્યાયિત કરી દે છે…..એક અંગ્રેજી કવિતા છે – crowded desert [ કવિનું નામ યાદ નથી ]- જેમાં આ જ ભાવ ને કેન્દ્રમાં રખાયો છે.
Permalink
January 19, 2013 at 11:51 PM by તીર્થેશ · Filed under ગીત, મૂકેશ જોષી
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં
એક હડસેલો અને જાવું પડે જ્યાં પાધરા …. આપણે
ના દિશા વસવાટની કોઈ સ્થિતિ નક્કી નથી
જન્મ કે આ મોતની કોઈ તિથી નક્કી નથી
– ને વરાળોના લીધેલા શ્વાસ કેવા આકરા …
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં
ક્યાંક અટકાવે પહાડો, ઝાડ કોઈ રાનમાં
ને દઝાડી જાય પેલી વીજ પોલા કાનમાં
આંખમાં દરિયો,છતાં નામ ખાલી વાદળાં
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં
સૂર્યની ચાબૂક હરદમ સનસની વીંઝાય લો
આ વરસવાનું નથી, બસ આંખ છે ભીંજાય લો
એક આંધીની રમત વચ્ચે થતી જે જાતરા
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં
-મુકેશ જોષી
Permalink
January 6, 2013 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, નિરંજન ભગત
ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હૃદયનુ વ્હાલ ધરીએ !
બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !
એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !
-નિરંજન ભગત
કાવ્યની સુંદરતા તેની સરળતામાં છે. જેમ જેમ કવિનું કદ વધતું જાય તેમ તેમ તેની વાણીમાં લાઘવ અને સરળતા આવતી જાય…..
Permalink
December 31, 2012 at 12:25 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ :
પ્રેમથી કઠ્ઠણ થઈ ગયું છે જીવન જાણે ભૂલ !
અરસપરસની વાત : રાત તો દીવાલ પરનો રંગ,
દીવાલ પાછળ ઝૂરી રહે છે જીવ બનીને તંગ
કુરુક્ષેત્ર પર વાવી દીધું આખુંયે ગોકુળ :
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.
હોઠે ભમતાં ગીતની પાછળ અવળાસવળા સૂર,
આગળ પાછળ પાગલ પગલાં : પ્રાણ વહે છે દૂર;
સરવર, તારા તળિયે જોને ધૂળ,ધૂળ ને ધૂળ !
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.
-જગદીશ જોષી
પહેલી પંક્તિ જ સોંસરવી ઉતરી ગઈ….. એક અકથ્ય વેદનાનું કાવ્ય છે……વ્યક્તિ સ્વ-ભાવ ગુમાવી બેઠી છે કે પ્રકૃતિ ? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..
Permalink
December 30, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત
जब तक यह शीशे का घर है
तब तक ही पत्थर का डर है
हर आँगन जलता जंगल है
दरवाजे सांपो का पहरा
ज़रती रोशनियों में अब भी
लगता कहीं अँधेरा ठहरा
जब तक यह बालू घर है
तब तक ही लहरों का डर है
हर खूँटी पर टंगा हुआ है
जख्म भरे मौसम का चेहरा
शोर सडक पर थम हुआ है
गलियों में सन्नाटा गहरा
जब तक यह काजल का घर है
तब तक ही दर्पण का डर है
हर क्षण धरती टूट रही है
जर्रा-जर्रा पिघल रहा है
चाँद-सूर्य को कोई अजगर
धीरे-धीरे निगल रहा है
जब तक यह बारूदी घर है
तब तक चिनगारी का डर है
[ આ કાવ્યના કવિ વિષે કોઈ માહિતી નથી . જો કોઈ ભાવકને હોય તો પ્રકાશ પાડવા વિનંતી . કાવ્ય ઓશો રજનીશના પુસ્તક “અથાતો ભક્તિ જીજ્ઞાસા” માંથી લીધું છે .]
સમગ્ર તકલીફ identification [ મોહ ] ની છે . કાવ્યનો મૂળ સૂર identification થી આપણને સાવચેત કરવાનો છે….
Permalink
December 21, 2012 at 12:03 AM by વિવેક · Filed under અશરફ ડબાવાલા, ગીત
કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.
માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની
કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની
– અશરફ ડબાવાલા
એના નામની કંઠી બાંધી લઈએ પછી નથી જરૂર રહેતી મોજડીની કે નથી જરૂર રહેતી મોજની… ચરણ કે ચાલ બધું અર્થહીન બની રહે છે. જીવન આખું એના જ જોરે ચાલે છે…
Permalink
December 3, 2012 at 8:00 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
દુનિયાનો સૂર જાય દૂર.
એકાંતે બાજતું જે આતમનું બીન,
એનો કોઈની સંગાથ તાર બાંધે !
લાખ લાખ વાર એ તો તૂટી પડે ને
તું તો તૂટે તૂટે ને ફરી સાંધે !
ઊંડો અંધાર તને મૌનમાં ડૂબાડે ને
અંદર તો નાદનાં નૂર.
બીજાની સાથ તને સંવાદે ગૂંથતો
બંધુ, એ તાર નથી બીજે,
હૈયે હજાર રમે તારો ઝંકાર,
એક પોતાનો રામ જો રીઝે;
મનમાં બેઠેલ તારા માનવીનું એકલું
સાંભળને, મીઠું : ‘ મંજૂર !’
સામે જુએ તો હશે વમળો વિષાદનાં,
સામે તો શંકાની ખાઈ,
અંતરનો સૂર તારો સેતુ બનીને વણે
સામેથી નેહની સગાઈ ;
આંકડા ભીડીને અહીં આવે આનંદમાં
સૂરના સંબંધ ભરપૂર.
ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
દુનિયાનો સૂર જાય દૂર.
-મકરંદ દવે
સાંઈકવિની એક લાક્ષણિક રચના…. થોડું ધીમે ધીમે બે થી ત્રણ વાર વાંચીને મમળાવવા જેવી રચના…..
Permalink
December 2, 2012 at 11:21 PM by તીર્થેશ · Filed under ગીત, રવીન્દ્ર પારેખ
બંધ આંખમાં આંસુ
લાંબો કાળ રહે ના જેમ,
હરિ, તમે તો પાક્યું મોતી
છીપમાં રહેશો કેમ ?
હરિ, તમારે લીધે છીએ
તે વાત નવી ના કંઈ,
છતાં અમારા વગર તમારું
કંઈ પણ ઉપજે નંઈ,
હરિ, અમે ના હશું તો
ક્યાંથી તમેય કુશળક્ષેમ…..
હરિ, તમે ના ઈચ્છો તો
એક પાન ન ફરકે ક્યાંય,
અમે ફરકશું તો જ તમારો
અર્થ હશે કંઈ ત્યાંય !
જનમ-મરણ કબજે રાખીને
દીધો જીવનનો વ્હેમ…..
-રવીન્દ્ર પારેખ
સુરતના વરિષ્ઠ અને પ્રતિભાસંપન્ન કવિશ્રી રવીન્દ્ર પારેખ પોતાના અતિનમ્ર અને અંતર્મુખ સ્વભાવને લીધે સર્વદા પોતાના કોઇપણ જાતના marketing થી જોજનો દૂર રહ્યા છે.પરંતુ રવિ છાબડે કદી ન ઢંકાય, ત્યાં આ તો રવીન્દ્ર !!!
પ્રવાહી શૈલીમાં રચાયેલા પ્રસ્તુત હરિગીતમાં એક અતિમહત્વની વાત છુપાયેલી છે – ઈશ્વર આપણી પોતાની રચના છે !
Permalink
November 16, 2012 at 12:30 AM by વિવેક · Filed under ગીત, મકરન્દ દવે
કોક દિન ઇદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા !
કોક દિન ઇદ અને કોક દિન રોજા.
માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી.
રામ મારો રૂદે હસે રંગ નહિ દૂજા,
કોક દિન ઇદ અને કોક દિન રોજા.
હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી,
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં,
આવો તમો ઇદ અને આવો તમે રોજા.
– મકરન્દ દવે
આ કવિતાની ધ્રુવપંક્તિ તો આજે કહેવતકક્ષાએ બિરાજમાન છે. દુનિયાની પરવા રાખીએ તો દુનિયા જીવવા નહીં દે અને રુદિયામાં વસેલા રામને ધ્યાનમાં રાખીને મસ્ત થઈ જીવતા રહીએ તો કોઈ વાળ પણ વાંકો કરી શકવાનું નથી એવો લાપરવાહીનો ભાવ ધરાવતું આ ગીત એના સ્વરૂપની બાબતમાં પણ એ જ અભિગમ દેખાડે છે. પહેલો અંતરો બે કડીનો, બીજો ચાર, ત્રીજો છ અને આખરી અંતરો આઠ કડીનો.
Permalink
November 13, 2012 at 9:56 PM by ધવલ · Filed under ગીત, ચંદ્રવદન મહેતા
‘ઈલા, દિવાળી ! દીવડા કરીશું;
તારા સર્યા વ્યોમ થકી અહીં શું ?
કેવા ફટાકા આ અહીં ફૂટે છે !
આ કાનના તો પડદા તૂટે છે.’
‘સુણ્યા નથી તેં વીજના કડાકા ?
એ સ્વર્ગમાંના ફૂટતા ફટાકા !
ત્યાં વાદળવાદળીઓ અફાળી
સૌ દેવબાલો ઊજવે દિવાળી.’
‘તું બ્હેન જ્યારે કદી લે અબોલા,
ઝીલું ન તારાં વચનો અમોલાં;
મૂંગા ફટાકા દિલમાંહી ફૂટે
ને એ સમે તો ઉરતંતુ તૂટે.’
– ચંદ્રવદન મહેતા
દિવાળીની સૌ મિત્રોને શુભેચ્છાઓ !
Permalink
Page 15 of 25« First«...141516...»Last »