જે નાજુકાઈથી આ શમણું આંખને અડકે,
તું એ જ રીતથી મારા વિચારને અડકે.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 28, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે
જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે
તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જ્યારે અજંપો ઓઢીને ઘર સુઈ ગયું હશે
તારો વિયોગ ધુમ્ર થઈ આંખ ચોળશે
જયારે સુરજ નાં આવેલા સ્વપનોને બાળશે
તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે
જયારે એ તારી શોધમાં ભટકી ને થાકશે
તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જયારે અજાણ્યા વાદળો આપસમાં ભેટશે
– જવાહર બક્ષી
પરંપરાગત વિષય હોય છતાં શાયર દમદાર હોય તો કેવું સરસ સર્જન થઇ શકતું હોય છે !!
Permalink
August 25, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
એક અફવા નગર સુધી પ્હોંચી,
કૈંક લાશો કબર સુધી પ્હોંચી.
ફાટી આંખે ઢળી પડી દ્વારે,
જે ખુશી મારા ઘર સુધી પ્હોંચી.
દર ગુમાવ્યાની જાણ ત્યારે થઈ,
જ્યારે કીડી શિખર સુધી પ્હોંચી !
બેખબર થઈ ગઈ ખબર પોતે,
જે ખબર બેખબર સુધી પ્હોંચી !
ક્યાંક ફસડાઈ ગઈ દુઆઓ તો,
બદદુઆઓ અસર સુધી પ્હોંચી !
– હર્ષ બ્રહ્મભટ્ટ
દરેકે-દરેક શેર પર વાહ-વાહ પોકારવાનું મન થાય એવી ગઝલો પ્રમાણમાં ઓછી જ જોવા મળે છે. એક-એક શેર પાણીદાર અને એક પણ શેર સમજૂતીના મહોતાજ નહીં. ‘ખબર’વાળા શેરમાં કવિએ શબ્દોની રમત કરીને જે અર્થ ઉપસાવ્યો છે એની કદર તો કોઈ બેકદર જ કરવી ચૂકી જાય…
Permalink
August 24, 2017 at 2:32 AM by વિવેક · Filed under ગઝલ, ચિનુ મોદી
લાગણીવશ હાથમાંથી જડભરત પાસો પડ્યો,
બંધ મુઠ્ઠી ખોલવાનો ભય ફરી સાચો પડ્યો.
હું અરીસો ધારીને જોવા ગયો મારી છબી,
આ ચમકતી ભીંત પર તો કાળો પડછાયો પડ્યો.
આમ તો પર્યાપ્ત છે બે આંખનો વિસ્તાર પણ,
પૂર આવેલી નદીને પટ ઘણો નાનો પડ્યો!
મોગરાની મ્હેંકમાંથી છૂટવાના યત્નમાં,
કાંચળી છોડી છતાં હું ઘેનમાં પાછો પડ્યો.
આ રિયાસતમાં હવે ‘ઈર્શાદ’ શું વટ રાખવો?
બારી કાપી દૃશ્ય જડવાનો જ જ્યાં ધારો પડ્યો.
– ચિનુ મોદી ‘ઈર્શાદ’
સાદ્યંત સુંદર ગઝલ…
Permalink
August 21, 2017 at 3:15 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
તમારી આંખથી ખરતા સમયની વાત નથી,
નથી, આ સૂર્યમાં તરતા સમયની વાત નથી.
બધુંયે ઓગળી ચાલ્યું ને આવી એકલતા,
ખુશીમાં ગુફતેગો કરતા સમયની વાત નથી.
સમય મળ્યો છે તો ચાલો સમય ભૂલી લઈએ,
ભલા, આ કાચથી સરતા સમયની વાત નથી.
થયો છું એટલો પાગલ કે સાનભાન નથી,
છતાં આ વાત ઊછરતા સમયની વાત નથી.
એ પાનપાનથી પહોંચ્યો છે ડાળ-ડાળ સુધી,
સવારસાંજમાં મરતા સમયની વાત નથી.
– હરીન્દ્ર દવે
સમયની વિભાવનાને લાગણીની ભીનાશથી ઝાંખેરી થઇ ગયેલી દ્રષ્ટિએ જોવાઈ છે……સમયને ફિલોસોફરની દ્રષ્ટિએ નહીં પણ મજનૂની દ્રષ્ટિ એ જોવાયો છે….
Permalink
August 19, 2017 at 3:04 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
પીડા વિના બધું જ મહજ ઇત્તેફાક છે,
આ નિત નવી ગઝલની ઉપજ ઇત્તેફાક છે.
હોવું તમારું એ જ સનાતન ગઝલ, પ્રિયે!
યોગાનુયોગ શબ્દ… તરજ ઇત્તેફાક છે.
કેવળ છે ભ્રમ આ રાત દિ’ના ક્રમ વિશે અહીં…
અંધકાર છે અનાદિ… સૂરજ ઇત્તેફાક છે.
તારા પ્રકાશનું જ રૂપાંતર કર્યું છે મેં;
ના દૃષ્ટિ વ્યર્થ છે, ન સમજ ઇત્તેફાક છે.
ત્યારેય ઊંઘતા હતા, આજેય ઊંઘીએ…
આઝાદી ઉન્નતિ અને ધ્વજ ઇત્તેફાક છે.
હું, તું મળ્યાં એ શહેર, સમાજો ને સભ્યતા…
હા, દર્દનાક તોય સહજ ઇત્તેફાક છે.
– રઈશ મનીઆર
કવિશ્રી રઈશ મનીઆરને જન્મદિવસ પર ખૂબ ખૂબ સ્નેહકામનાઓ…
કવિના પ્રથમ સંગ્રહ ‘કાફિયા નગર’માંથી એક ગઝલ આજે આપ સહુ માટે… ઇત્તેફાક જેવી રદીફ પણ કવિએ કેવી સાંગોપાંગ નિભાવી જાણી છે! બધા જ શેર ઉત્તમ… સરળ ભાસતા શબ્દોના તાણા-વાણાથી કવિએ બારીકીનું પોત કેવું બખૂબી વણ્યું છે!
અંધકાર અનાદિ છે અને સૂરજ ઇત્તેફાક છે એ શેર વાંચતા જ તાઓ વિશેના પ્રવચનમાં ઓશોએ કહેલું વાક્ય યાદ આવી જાય: ‘Darkness is eternal, Light is a disturbance’
Permalink
August 17, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જુગલ દરજી 'માસ્તર'
પ્રિન્ટર દિલે રાખી શકાતાં હોત તો!
ગમતાં સ્મરણ છાપી શકાતાં હોત તો!
કૈં કેટલાયે સ્વાદ પારખવા મળે,
સંબંધ પણ ચાખી શકાતા હોત તો.
જોઈ ગરીબીને તપેલી બોલી કે:
“આ પત્થરો બાફી શકાતા હોત તો!”
કારણ તપાસી, પોસ્ટમોર્ટમ પણ કરું,
આ આંસુ જો કાપી શકાતાં હોત તો.
પેટ્રોલની માફક આ બળતા શ્વાસને,
રિઝર્વમાં રાખી શકાતા હોત તો!
-જુગલ દરજી ‘માસ્તર’
નવી વાત-નવા કલ્પન લઈને આવવાના અભરખામાં ક્યારેક કવિતાનું નિર્મમ ખૂન થઈ જતું હોય છે પણ સદનસીબે જુગલ દરજીની આ રચના એમાંથી સાંગોપાંગ અપવાદરૂપે તરી આવી છે. દિલમાં પ્રિન્ટર્સ હોય તો મનગમતા સ્મરણોની પ્રિન્ટ આપી-આપીને દિલ બહેલાવ્યે રાખવાની કેવી મજા આવે! સંબંધમાં જે વૈવિધ્ય છે એ બીજે ક્યાંય સંભવ નથીની હકીકત બે જ પંક્તિમાં કેવી સહજ રીતે કહી દેવાઈ છે! આંસુનું પૉસ્ટમૉર્ટમ કરવાની વાત પણ એવી જ અનૂઠી છે પણ વિશેષ ધ્યાન આખરી શેર પર આપજો, સાહેબ! જે પેઢીએ લ્યુના કે સ્કુટર વાપર્યા જ નથી એ પેઢીને પેટ્રોલના રિઝર્વ હોવાવાળા કલ્પનમાં ગડ જ પડવાની નથી, બાકીના લોકો શેરનું સૌંદર્ય અને બારીકી જોઈને વાહ-વાહ પોકાર્યા વિના નહીં રહી શકે.
Permalink
August 15, 2017 at 3:11 AM by તીર્થેશ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો
સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો !
પછી કોઇ અભણનો હાથ ઝાલીને જરા નીકળો.
અટૂલા પાડી દે છે કૈ વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો
જીવનની ભીંસમાં કરમાઇ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો
ઘડીના માત્ર છઠ્ઠાભાગમાં થાશે જીવન દર્શન
સડક વચ્ચે મરણનો હાથ ઝાલીને જરા નીકળો
પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો
તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં !
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો.
– મનોજ ખંડેરિયા
Permalink
August 14, 2017 at 10:00 AM by તીર્થેશ · Filed under અનિલ ચાવડા, ગઝલ
ઈંટ ઉપર ગોઠવેલી ઈંટમાં જીવી રહ્યા છીએ,
એટલે કે આપણે સૌ ભીંતમાં જીવી રહ્યા છીએ.
પર્ણમાં, ડાળમાં, કે બીજમાં જીવી રહ્યા છીએ ?
આપણે વૃક્ષત્વની કઈ રીતમાં જીવી રહ્યા છીએ ?
હોઉં હું મારા ગળામાં, હોય છે તારા ગળામાં તું,
પોતપોતાના ગળે તાવીજમાં જીવી રહ્યા છીએ.
તું જ આવીને મને સમજાવ તો સમજું નહીંતર નૈં,
એકધારા આ અમે કઈ ચીજમાં જીવી રહ્યા છીએ ?
અર્થ જીવનનો ફકત છે એ જ કે વ્હેવું સતત વ્હેવું,
’ને યુગોથી આપણે સૌ ફ્રીજમાં જીવી રહ્યા છીએ.
–અનિલ ચાવડા
મત્લાથી જ મજબૂત પકડ ધરાવે છે આ ગઝલ. યંત્રવત એકરાગિતા તેમ જ absence of free will/choice મત્લામાં આલેખાયેલી છે. મક્તો બહુ ન ગમ્યો. પ્રથમ ચરણ જેટલું મજબૂત છે તે પ્રમાણે અંતિમ ચરણ તેને ઊઠાવ આપતું નથી. કંઈક વધુ ઊંડાણ હોતે તો પ્રથમ ચરણ ઝળહળી ઊઠતે.
Permalink
August 11, 2017 at 3:24 AM by વિવેક · Filed under ગઝલ, હિમલ પંડ્યા 'પાર્થ'
સાચવી, સમજી-વિચારીને પછી,
મેંય મૂકી જિદ્દ હારીને પછી.
ખૂબ પસ્તાવાનું થાતું હોય છે,
કોઈને પોતાનું ધારીને પછી.
તૂટતા સપનાને જોવાનું, અને –
બેસવાનું મનને મારીને પછી.
એ નજરને ફેરવી નીકળી ગયાં!
ખૂબ સમજાવી મેં બારીને પછી.
લાગશે, હળવાશ નક્કી લાગશે
કાંચળી જૂની ઉતારીને પછી.
જિંદગીને મેંય અપનાવી લીધી,
આંસુઓ બે-ચાર સારીને પછી.
– હિમલ પંડ્યા
વાંચતાવેંત હૈયામાં ઊતરી જાય એવી મજાની ગઝલ. બધા જ શેર અદભુત…
Permalink
August 10, 2017 at 1:40 AM by વિવેક · Filed under ગઝલ, પાર્થ મહાબાહુ, ભરત જોશી
અમે કહ્યું કે અંધકારમાં ક્યાંય સૂજે નહીં મારગ
ઝરણું બોલ્યું માંડ ચાલવા, આગળ સઘળું ઝગમગ.
અમે કહ્યું કે આડા આવે ભેખડ-પાણા-પર્વત,
ઝરણું હસતાં બોલ્યું એને વહાલ કરી આગળ વધ.
અમે કહ્યું કે સૂનું લાગે એકલપંડે વહેવું
ઝરણાએ ગાયું કે કોઈ ગીત સદા ગણગણવું.
અમે કહ્યું કે અટકી જઈશું એવી બીક સતાવે
ઝરણાએ મલકીને કીધું કરશું મઝા તળાવે.
અમે કહ્યું કે ઝરણાં તારી વાતોમાં છે દમ
ઝરણું કંઈ ન બોલ્યું તે તો વહ્યા કર્યું હરદમ.
– ભરત જોશી ‘પાર્થ મહાબાહુ’
અહાહા! કેવું અદભુત પોઝિટિવ ગીત!! ઝરણાં જેવો જ ખળખળ લય. ગીત વિશે બીજી કંઈપણ ટિપ્પણી કરવું એ તો હાથ કંગનને આરસી બતાવવા જેવું છે. પણ ઝરણાની બોલી પર ધ્યાન આપવા જેવું છે. પહેલા બંધમાં ઝરણું બોલે છે, બીજામાં હસતાં-હસતાં બોલે છે, ત્રીજા બંધમાં એ ગાવા માંડે છે, ચોથામાં ફક્ત મલકીને જ રહી જાય છે અને આખરી બંધમાં કંઈ જ ન બોલીને વહેતું રહે છે… ઝરણાની બોલીની આ ગતિ મૂળ કવિતાની સમાંતર ચાલતી બીજી કવિતા જ છે જાણે!
Permalink
August 8, 2017 at 5:29 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
ધરાનું કાવ્ય થયું વ્યક્ત એક કુંપળથી
ગગનની દાદ મળી એક બૂન્દ ઝાકળથી
નથી ફિકર કે ધકેલે છે સૂર્ય પાછળથી
મને આ તાપમાં પડછાયો દોરે આગળથી
સમંદરો તો ઘૂઘવવા છતાંય ત્યાં ના ત્યાં
નદી વધે છે લગાતાર મંદ ખળખળથી
તિમિરમાં દૃશ્યો કળાશે જરા સમય વીત્યે
પરંતુ અંધ બની જાય આંખ ઝળહળથી
હું બાગબાની વિશે એને શું બયાન આપું
જે ખુશ્બુ લઈ ન શકે ઝાંખા પીળા કાગળથી
અકાળ મૃત્યુને આંટી દે એવો દુઃખદાયક
જો ભરથરીને અનુભવ થયો અમરફળથી
– રઈશ મનીઆર
કલાસિક રચના…..લાક્ષણિક…..
Permalink
August 4, 2017 at 2:43 AM by વિવેક · Filed under ગઝલ, મનોહર ત્રિવેદી
તમા રાખે વખતસરની નિરાંતે એ જ ઊંઘે છે,
કરે પરવા ન બિસ્તરની નિરાંતે એ જ ઊંઘે છે.
અહીંથી ત્યાં, ઉતારો ક્યાં? નથી ચિન્તા થતી જેને-
હતી ના યાદ પણ ઘરની નિરાંતે એ જ ઊંઘે છે.
ક્ષણો જેવી મળી એવી સહજભાવે જ સ્વીકારી –
પ્રથમની હો કે આખરની, નિરાંતે એ જ ઊંઘે છે.
તમે ઈશ્વર વિશેના વાદમાં જાગ્યા કરો પંડિત!
ખબર રાખી ન ઈશ્વરની, નિરાંતે એ જ ઊંઘે છે.
કબીરે શાળ પર બેસી કહ્યું : મંદિર કે મસ્જિદને –
ગણે જે કેદ પથ્થરની નિરાંતે એ જ ઊંઘે છે.
પ્રશંસા કે પ્રતિષ્ઠાના નથી ઉદગાર બે માગ્યા
મજા જે લે છે અંદરની નિરાંતે એ જ ઊંઘે છે.
– મનોહર ત્રિવેદી
જીવનમાં આવનારી ક્ષણ પહેલી છે કે છેલ્લી, એની પળોજણમાં ન પડીને જે ક્ષણ, જે તક જીવનમાં જે સ્વરૂપે આવે એને એ જ સ્વરૂપે સ્વીકારી લે એ માણસને કદી ઊંઘની ગોળી લેવી નથી પડતી. આખી જ ગઝલ ધ્યાનાર્હ થઈ છે…
Permalink
August 3, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિજય રાજ્યગુરુ
અરીસામાં નહિ, મારી આંખોમાં જો !
તું છો એના કરતાંયે રૂપાળી છો !
અમે એક પળમાં ગુમાવ્યું હતું,
અે રીતે જ તારું હૃદય તુંયે ખો !
પ્રણયમાં તો ડૂબીને તરવું પડે,
કિનારો તજી દે, નહીં રાખ ભો !
દરદનીય છે એક નોખી મજા,
તુંયે તારી આંખોને આંસુથી ધો.
તને તો જ ભાષા ઉકલશે હવે,
તુંયે મારી જેમ જ પ્રણયમગ્ન હો.
– વિજય રાજ્યગુરુ
એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ ને તેય પાછી એકાક્ષરી! એકેયનું પુનરાવર્તન પણ નહીં ને ઉપરથી આખી રચના આસ્વાદ્ય. વાહ!
Permalink
July 31, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.
ઊંબર આ એક તડકો આવીને થિર થયો, લ્યો-
કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.
ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે.
ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે.
અભરે ભરાય એવી એકેક ક્ષણ મળી છે,
કોઇ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે.
– રાજેન્દ્ર શુકલ
Permalink
July 30, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, બેફામ
જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શકતો;
છું એવી જાગૃતિમાં કે વધુ જાગી નથી શકતો.
ફૂલો વચ્ચે ઓ મારા પ્રાણ, વાયુ જેમ ફરજે તું;
કે વાયુને કોઈ કાંટો કદી વાગી નથી શકતો.
અલગ રાખી મને મુજ પર પ્રણયના સૂર ના છેડો,
વીણાનો તાર છૂટો હોય તો વાગી નથી શકતો.
જગતના કેદખાનામાં ગુના થતા રહે છે,
સજા છે એ જ કે એ જોઈ હું ભાગી નથી શકતો.
બૂરાઓને અસર નથી કરતી સોબત ભલાઓની,
ફૂલોનો રંગ કાંટાને કદી લાગી નથી શકતો.
ગુમાવેલા જીવનના હાસ્ય પાછાં મળે ક્યાંથી ?
જમાનાએ લૂટેલા અશ્રુઓ પણ માગી નથી શકતો.
ગમે ત્યારે ગમે ત્યાં મેઘ વરસી જાય છે જગમાં,
રૂદનને કાજ કોઈ પણ નિયમ લાગી નથી શકતો.
જગતના ઘાવ સામે તું અડગ થઈને રહે બેફામ,
કે પર્વતને કદી કોઈ પથ્થર વાગી નથી શકતો.
– ‘બેફામ’ બરકત વિરાણી
ત્રીજો શેર !!!! અદભૂત !!!
Permalink
July 28, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, તેજસ દવે
થોડું જીવાય ક્યાંથી ?
થોડું મરાય ક્યાંથી ?
બે આંખમાંથી એની
ચીસો કળાય ક્યાંથી ? .
સપનું જુવે પથારી
એમાં સુવાય ક્યાંથી ?
છે સ્કૂલ ત્યાંની ત્યાં પણ
પાછું ભણાય ક્યાંથી ?
ખાલી મકાન પાછું
ખાલી કરાય ક્યાંથી ?
– તેજસ દવે
ટૂંકી બહેરના ગઝલમાં સૌથી મોટું ભયસ્થાન સાંકડી ગલીમાં માંડ-માંડ સમાવેલા શબ્દો સપાટી પર જ તરતા રહી જવાનું છે. મુંબઈની સાંકડી ગલીઓમાં રમવાની પડેલી ટેવના કારણે લિટલ માસ્ટર સુનીલ ગાવસ્કર સ્ટ્રેઇટ ડ્રાઇવના બેતાજ બાદશાહ ગણાયા… તેજસ દવે ગાગાલગા લગાગાની સાંકડી બહેરની ગલીમાં ઊભા રહીને એક પછી એક સ્ટ્રેઇટ ડ્રાઇવ ફટકારે છે જે સીધી આપણા દિલની બાઉન્ડ્રી વટાવી જાય છે.
Permalink
July 27, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પારુલ ખખ્ખર
આખરી ક્ષણ છે, દીવાનો ઠાઠ વધતો જાય છે,
‘જીવવું છે’, ‘જીવવું છે’, જાપ વધતો જાય છે.
જીવ ચાંચૂડી ઘડાવીને થઈ જા સાબદો,
ઊડવું પડશે, દિશાનો દાબ વધતો જાય છે.
હણહણે છે પણ નથી છોડી શક્યો ઘોડારને,
એક ડગ ચાલ્યો નથી ને થાક વધતો જાય છે.
ઘાસ, પીછાં, ફોતરાં જેવો બધો સામાન છે,
તે છતાં યે પોટલાનો ભાર વધતો જાય છે.
કામળી કાં ઓઢ ‘પારુલ’, કાં સ્વીકારી લે હવે,
જે હતો ટપકું કદી એ ડાઘ વધતો જાય છે.
—પારુલ ખખ્ખર
વાહ! શું ગઝલ છે! મત્લા પર જ કુરબાન થઈ જવાય. બુઝાવાની ક્ષણે દીવો વધુ ભભૂકે એ આપણે સહુ જાણીએ છીએ પણ આ ઘટનાને જિજિવિષા સાથે સાંકળી લઈને કવયિત્રીએ કમાલ કરી છે. બધા જ શેર એટલા સહજ અને એટલા મર્મસભર છે કે વાંચતાવેંત જ આફરીન પોકારી જવાય…
Permalink
July 24, 2017 at 2:31 AM by તીર્થેશ · Filed under ગઝલ, હરીન્દ્ર દવે
આ આપણું મિલન એ જુદાઈનો રંગ છે,
ઝંખ્યો છે જેને ખૂબ – તબાહીનો રંગ છે.
ઘેરો થયો તો ઓર મુલાયમ બની ગયો,
અમૃતમાં જે મિલાવ્યો : ઉદાસીનો રંગ છે.
છેલ્લી ક્ષણોમાં આંખની બદલાતી ઝાંયમાં,
જોઈ શકો તો જો જો, કે સાકીનો રંગ છે.
બદલ્યા કરે છે રંગ ગગન નિત નવા નવા,
આદિથી એ નો એ જ આ ધરતીનો રંગ છે.
કોઈ અકળ ક્ષણે હું મને પણ ભૂલી જતો,
કહેતું’તું કો’ક એમાં ખુદાઈનો રંગ છે.
– હરીન્દ્ર દવે
Permalink
July 21, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લક્ષ્મી ડોબરિયા
એની તરફ નહીં તો ખુદની તરફ વળાશે.
સંભાવના ઘણી છે પગલું ભર્યું છે ત્યારે.
આથી વધુ ખુલાસો, શું હોય લાગણીનો ?
મેં મૌન જાળવ્યું છે સંવાદ સાધવાને.
કંઈ પણ નથીનો મહિમા આ વાતથી વધ્યો કે..
ખાલીપો છે જરૂરી એક વાંસળીના માટે.
દાવા-દલીલ વિના સાબિત કરે છે હોવું,
ફૂલો ને પાંદડાંઓ નોખો મિજાજ રાખે.
આ નામ ને આ સુરખી, પીછાંની જેમ ખરશે,
ઓળખ જો આપવી હો, ટહુકા જ કામ આવે.
ગમતી બધી કથાનો આ સાર સાંપડ્યો છે,
દૂરી છે એટલે તો રહેવાયું પાસપાસે.
નોખી અદાથી અહિંયા રંગોએ રંગ રાખ્યા,
ચૈતર છે લાલ-પીળો, આષાઢ ભીનેવાને.
– લક્ષ્મી ડોબરિયા
પગલું ભરવું જ જરૂરી છે. બધા જ સિગ્નલ લીલા થઈ જવાની રાહમાં ઘરે બેસી રહેનાર ક્યાંય પહોંચી શકતો નથી. પહેલું પગલું ભરવું જ અઘરું છે. ચારેતરફથી વીંટળાઈ વળેલા સામાજિક-પારિવારિક બંધનોને ત્યજીને તમે આગળ વધો છો એની ખાતરી ન હોય તો એ પગલું જ ભરી શકાતું નથી. પણ એ પગલું એકવાર ભરી લીધું એટલે એટલું નક્કી છે કે મંઝિલ મળ્યા વિના નહીં રહે. આ ‘એ’ એ પ્રિયજન પણ હોઈ શકે અને ઈશ્વર પણ હોઈ શકે. આ ‘એ’ અગર નહીં મળે તો કમ સે કમ પોતાની જાત તો હાંસિલ થશે જ થશે, જેને આપણે દુન્યવી મથામણો અને પળોજણોમાં વરસોથી સાવ ભૂલી બેઠા છીએ. અને આખરે ‘એ’ અને ‘આ’ – બંને પણ એક જ છે ને! પ્રિયજન/ઈશ્વર મળી જાય એ ઘડી ‘સ્વ’ પણ મળી જ જશે ને…
આખી ગઝલ જ ઉત્તમ થઈ છે…
Permalink
July 20, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
ઇચ્છા ઘોળી ઘોળી મનજી,
પૂરે છે રંગોળી મનજી !
માંગ્યા ઘીમાં બોળી મનજી,
ખાતા પુરણપોળી મનજી !
કાચિંડાના રંગો ચોરી,
રોજ રમે છે હોળી મનજી.
ઠાંસોઠાંસ ભરી છે તો પણ,
ફેલાવે છે ઝોળી મનજી !
તમને ભોળા માની લીધા !
દુનિયા કેવી ભોળી, મનજી !
– ડૉ.મનોજ જોશી ‘મન’
તખલ્લુસને મક્તાના શેરમાં સાંકળી લેવાની પરંપરા જૂની છે પણ તખલ્લુસને વિષય બનાવીને આખું પુસ્તક ભરીને ગઝલો લખવી? જામનગરના મનોજ જોશીએ પોતાના તખલ્લુસ ‘મન’ને હાથ ઝાલીને તાજેતરમાં જે ‘મનચાલીસા’ કે ‘મનજીચાલીસા’ લખવી આદરી છે એ મનજીમાળાનો એક મણકો આજે આપણા માટે. એક જ વિષય પર ચાળીસ ગઝલ યાને કે ઓછામાં ઓછા બસો શેર કહેવા એ બહુ મોટો અને આકરો પડકાર છે. કવિ જીવનનો સમીક્ષક છે, નિરીક્ષક છે, તત્ત્વચિંતક કે સાધુ હોવો જરૂરી નથી એટલે અગાઉ કહેવાઈ ગયેલી વાતો ભલે નવા સ્વરૂપે આવે પણ એકની એક જ વાત આ બસો શેરમાં પુનરાવર્તિત ન થયે રાખે અને દરેક ગઝલ પાસેથી મનોજગતના નવા-નવા આયામ ઉપલબ્ધ થાય એવી અપેક્ષા સહજ બને છે. શુભકામનાઓ, મનોજભાઈ…
Permalink
July 19, 2017 at 7:51 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.
“તું” થઈને શુદ્ધ શૃંગારી થયો
“હું” થઇ અવધૂત અલગારી થયો.
કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એ જ ઉદગારી થયો.
મુક્ત સ્વેચ્છાએ જ બંધાયો સ્વ માં,
સ્થિર મટીને કેવો સંસારી થયો ?
તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઇને પૂજારી થયો !
– રાજેન્દ્ર શુકલ
ચોથો શેર લાજવાબ છે…..
Permalink
July 18, 2017 at 10:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ વ્યાસ મિસ્કીન
એ જ ભણકારા રહે હરપળ કે તું આવી હશે,
દૂર સુધી શ્હેર આ ઝળહળ કે તું આવી હશે.
ઠેઠ પાતાળેથી પ્રગટ્યાં જળ કે તું આવી હશે,
સાવ નોખાં લાગતાં હર સ્થળ કે તું આવી હશે.
હા હતી સાબરમતી પણ નામની કેવળ નદી,
બેઉ કાંઠે એય છે ખળખળ કે તું આવી હશે.
શ્વાસ-આંખો-ઉંબરો-આંગણ ને રસ્તાઓ બધા,
રોજ કરતાં છે વધું વિહ્વળ કે તું આવી હશે.
ક્યાં હવે સજ્જડ કોઇ કારણ રહ્યું છે તે છતાં,
ટેવવશ થઇ જાય છે અટકળ કે તું આવી હશે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Permalink
July 14, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સાહિલ
જિંદગી નામે ગઝલનો જોઉં છું ઢાંચો અધૂરો,
કોઈનો મત્લા અધૂરો – કોઈનો મક્તો અધૂરો.
ભીંતને પણ વિસ્મરણનું ભૂત તો વળગ્યું નથી ને!
હોય છે સાબૂત વાણી તોય કાં પડઘો અધૂરો.
ઈશ્વરે માનવ કરીને મોકલી દીધા ધરા પર,
માનવી હોવાનો દઈ પ્રત્યેક પુરાવો અધૂરો.
શી રીતે ઘટમાળની સચ્ચાઈને પામી શકાશે,
હોય છે આઠે-પ્રહર મારો જ પડછાયો અધૂરો.
શું તરસને પણ અધૂરપનો ફળ્યો છે શાપ કોઈ,
છે સુરાલયમાં સહુના હાથ કાં પ્યાલો અધૂરો.
એ જ ખેંચાતાણી છે હૈયા અને બુદ્ધિની વચ્ચે,
કોણ ચહેરા ને અરીસામાં હશે આધો અધૂરો.
આ રખડપટ્ટીનો ‘સાહિલ’ અર્થ કેવળ એટલો છે,
જ્યાં ચરણ મારા વળ્યાં એ નીકળ્યો રસ્તો અધૂરો.
– સાહિલ
રદીફ ‘અધૂરો’ પણ ગઝલ કેવી ‘પૂરી’ !
Permalink
July 13, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હિમલ પંડ્યા 'પાર્થ'
ઓગળીને!
કે બળીને!
આપણે જઈશું અહીંથી,
એક સપનું થઈ, ફળીને!
એકલો થઈ જાઉં મેળામાંય હું તો ;
ને નજર શોધે તને ટોળે વળીને!
છે પથારીવશ, પરંતુ એક ઈચ્છા છે હજુ યે,
જે પુરાવે છે હયાતી રોજ થોડું સળવળીને!
એક ડગલું પણ ભરાશે ત્યાં જ વહેતી થઈ જવાની લાખ વાતો!
પણ બધી યે વાત કાઢી નાખ બીજા કાનમાંથી, સાંભળીને!
થાય એવું કે હવે હું પાંખ ફફડાવી, ઊડીને ક્યાંક નીકળી જાઉં આઘે!
થાય એવું પણ પછી કે શું કરીશું આ મજાના પિંજરેથી નીકળીને?
છો અહીં દુઃખ-દર્દ-પીડા ને ઉદાસી-આંસુઓ-અવહેલના હો!
પણ ઘણું એવું છે જેને કારણે જીવાય છે સઘળું ગળીને!
ખૂબ સ્હેલું છે નીકળવું પણ જો ત્યાં ફાવે નહિ તો?
આવવા મળશે ખરું ત્યાંથી ફરી પાછા વળીને?
પામવાનું, જે નવું પામી શકાતું;
ને ઉતારી ફેંકવાની કાંચળીને!
આપણે ઝરણાંની માફક;
વહી જવાનું ખળખળીને!
રહી જવાનું,
ઝળહળીને!
– હિમલ પંડ્યા
આકાર ગઝલના ઘણા પ્રયોગો આ પહેલાં પણ થઈ ચૂક્યા છે અને જે રીતે હિમલ પંડ્યા પહેલાં ગાલગાગાના એક-એક આવર્તન વધારતા જાય છે અને પછી ઘટાડતા જાય છે એ જ રીતે પણ અગાઉ ગઝલો લખાઈ ચૂકી છે પણ જે વાત અહીં ધ્યાન ખેંચે છે એ છે પ્રયોગની સફળતા. પ્રયોગ પ્રયોગ બનવાને બદલે યોગની કક્ષાએ પહોંચે એમાં જ એની ઉપલબ્ધિ. સ્વરૂપ સિદ્ધ થાય એના કરતાં વધુ અગત્યનું કવિતા સિદ્ધ થાય એ છે જે અહીં સાંગોપાંગ સિદ્ધ થયેલું નજરે ચડે છે. આખી ગઝલ અર્થસભર અને આસ્વાદ્ય બની રહી છે. વાહ, કવિ!
Permalink
July 12, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ જોશી ડૉ.
રાંક બની ધ્રૂજે રાજીપો;
એમ ભીતર ખખડે ખાલીપો.
વર્તન એમ જ સીધું થાશે,
ટીપો, ટીપો, વિચાર ટીપો !
અહીં નિયમ છે blind જ રમવું;
રાત-દિવસનાં પત્તાં ચીપો !
આંસુ પીધાં; લોહી’યે પીધું,
ખમ્મા તરસદે ! હવે તો છીપો.
જીવન આખ્ખું ચમકી ઉઠશે,
આંગણ સાથે ‘મન’ પણ લીંપો !
– ડૉ.મનોજ જોશી ‘મન’
બહર ટૂંકી પણ કામ મોટું.
બંધ ડબ્બામાં એલ્યુમિનિયમના સિક્કા મૂકીને બાળપણમાં સહુએ ખખડાવવાની મજા માણી હશે, ખરું ને? પણ ડબ્બો સિક્કાઓથી આખો ભરેલો હોય તો? ખખડે ખરો? જી, ડબ્બાને ખખડવા માટે ભીતર ખાલીપો જોઈએ પણ ખાલીપાની ભીતર પણ ખાલીપાનો જ સિક્કો હોય તો? ખાલીપાનો આ તે કેવો ગુણાકાર? રાજીપો તો બિચારો દૂર ઊભા રહી થર-થર ધ્રુજવા સિવાય હવે કરેય શું?
મક્તામાં તખલ્લુસ પણ કેવું ચપોચપ કામમાં લીધું છે! આખી ગઝલ આજ રીતે આસ્વાદ્ય…
Permalink
July 11, 2017 at 6:30 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
માન તો રાખ્યું જ છે પણ મન નથી રાખ્યું તમે,
આપણા સંબંધમાં જીવન નથી રાખ્યું તમે.
એ ખરું કે સહેજ પણ બંધન નથી રાખ્યું તમે,
તોય પોતીકા સમું વર્તન નથી રાખ્યું તમે.
આટલા જલ્દી તમે ઘરડાં થયાં, કારણ કહું?
વાણી, વર્તન ક્યાંય પણ યૌવન નથી રાખ્યું તમે.
એ જ, એનો એ જ છે આજેય લબકારાનો લય,
કોઇને માટે અલગ કંપન નથી રાખ્યું તમે.
આપ કરતા હો છો મૃત્યુની જ વાતો હરઘડી,
જીવવાનું કોઇ આયોજન નથી રાખ્યું તમે?
– કિરણસિંહ ચૌહાણ
માન અને મન ! – એક માત્રાના ફરકમાં જિંદગી બદલાઈ ગઈ ! શબ્દોની આવી કરામત જોઈએ ત્યારે ખાતરી થાય કે કવિ શબ્દો પાસે જતો નથી, શબ્દો કવિ પાસે આવે છે. ઉપરછલ્લું માન રાખવાનું આપણને સહુને રાસ આવી ગયું છે પણ સામાનું મન કેવી રીતે રાખવું જ્યારે ચૂકી જવાય છે ત્યારે સંબંધમાં માત્ર શરીર રહી જાય છે, જીવન ઓસરી જાય છે. અકાળે વૃદ્ધત્વ આવી જવાનું કારણ સમજાવતો શેર તો અજરામર થવા સર્જાયો છે… આખી ગઝલ એકદમ સરળ અને સહજ ભાષામાં પણ એક-એક શેર બિંદુમાં સિંધુ જેવા!
Permalink
July 7, 2017 at 2:22 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પોપટ 'ગુમાન'
જીવનમાં દુઃખ અને દર્દોની જ્યારે ફોજ જન્મે છે,
હું તમને જોઉં છું ને બસ મનોમન મોજ જન્મે છે.
ખબર નહીં કે કઈ માટીની ઇચ્છાઓ બનેલી છે!
મરે છે તરફડી કાયમ છતાં એ રોજ જન્મે છે.
અસર લાચારીની એ રીતે પ્રસરી ગઈ છે જીવનમાં,
હૃદયમાં પણ હવે લાચાર ઇચ્છાઓ જ જન્મે છે.
દુઃખોના પહાડ સામે પણ કદી ઝૂકવા નથી દેતો,
હૃદયમાં કોણ છે ‘ગુમાન’, જે દરરોજ જન્મે છે?
– ગિરીશ પોપટ ‘ગુમાન’
ત્રીજા શેરને બાદ કરીએ તો બાકીની આખી ગઝલ લાખ નિરાશાની વચ્ચે છૂપાયેલી અમર આશાને શોધવા નીકળેલી પોઝિટિવિટીથી ભરપૂર…
Permalink
July 6, 2017 at 4:08 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
ઝાકળના જેવી જાતને ધારી છે પાનબાઈ;
ફૂલો ઉપરથી એને નિતારી છે પાનબાઈ.
જેવી છે એવી વાત સ્વીકારી છે પાનબાઈ;
ઓછી કરી ન કે ન વધારી છે પાનબાઈ.
બાજી બગડતી થોડી સુધારી છે પાનબાઈ;
આવડતું એવી ગૂંચ સંવારી છે પાનબાઈ.
જાણી લો પાછી કોક દિવસ આપવાની છે,
આ જિંદગી તો એવી ઉધારી છે પાનબાઈ.
પકડાવો એને પાસા પિયુજીના નામના,
આ જીવ નાતે-જાતે જુગારી છે પાનબાઈ.
સમજીવિચારી મેળવો તુંબડાના તારતાર,
આ શ્વાસ સાવ ઝીણી સિતારી છે પાનબાઈ.
મૂક્યો અલખની લ્હેર્યું ઉપર જેણે પગ જરા
એની પવનથી તેજ સવારી છે પાનબાઈ.
– મનોજ ખંડેરિયા
કવિશ્રી મનોજ ખંડેરિયાનો આજે ૭૪મો જન્મદિવસ છે. સોશ્યલ મિડિયાઝ એમની જૂની ને જાણીતી રચનાઓથી અભરે ભરાઈ રહ્યાં છે એવામાં રાજકોટથી કવિમિત્ર શ્રી સંજુ વાળાએ ઇન્ટરનેટ પર ક્યાંય ન મળે એવી આ મજાની ગઝલ લયસ્તરો માટે મોકલી આપી. આભાર, સંજુભાઈ.
ગંગાસતીએ પુત્રવધૂ (?) પાનબાઈને સંબોધીને અમર ભક્તિપદ આપણને આપ્યાં. મનોજભાઈ ગંગાસતીમાં કાયાપ્રવેશ કરી આજની પાનબાઈ-જાનબાઈને સંબોધીને કેટલીક ગઝલ આપી ગયા, એમાંની આ એક. આખી ગઝલ સંઘેડાઉતાર. એક-એક શેર વીજળીના ચમકારે મોતીડાં પરોવવા જેવા પાણીદાર…
Permalink
July 6, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પાર્થ તારપરા
પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય,
આંસુ અને ડૂમામાં ફક્ત એ રહેલ હોય.
આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમની
એવું બને એ આવી ને ચાલી ગયેલ હોય.
પહોંચી શકાય ત્યાં બધે પહોંચી જવાય નહીં,
થોડીક દૂરતા હો, ભલે એક વેંત હોય
માણી રહી છે જિંદગી એવી રીતે મને,
જાણે કૃપાળુ એના ઉપર કામદેવ હોય.
ભાગી છૂટે તો કેટલી હો-હા કરી મૂકે,
આ ટેરવાંની જેલમાં જે સ્પર્શ કેદ હોય.
માથું મૂકાય એવા ખભા તો ઘણા મળે,
આંસુ મૂકાય એવા ખભા એક બે જ હોય.
– પાર્થ તારપરા
સુરતમાં દર મહિને યોજાતી ગુફ્તેગૂ-કાવ્યગોષ્ઠીની કોઈ સૌથી મોટી ઉપલબ્ધિ હોય તો તે નિતનવી કલમ પાસેથી મળતી રહેતી સશક્ત રચના. પાર્થ તારપરાનું નામ જો કે સોશ્યલ મિડિયાના કારણે હવે અજાણ્યું નથી પણ લયસ્તરોના આંગણે આ એનો પહેલો ટકોરો છે. આશા રાખીએ કે હવેથી લયસ્તરો પર એ અવારનવાર આવતો રહે.
માત્ર મત્લાના શેરથી જ કવિ મેદાન મારી જાય છે અને આખરી શેર સુધી ગઝલની મજબૂતી બરકરાર રાખી શકે છે એ જ મજા છે. બધા જ શેર દાદ માંગે એવા છે.
Permalink
July 2, 2017 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, જવાહર બક્ષી
તારા વિરહના શહેરનો વિચિત્ર ન્યાય છે,
દીવા કર્યાં પછી જ તિમિરને ગવાય છે.
લઈ જાઉં કઈ રીતે મને તારા શહેરમાં ?
ઘરમાંથી બહાર આવતાં થાકી જવાય છે.
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં ?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.
અસ્પષ્ટતા ન જોઈએ તો તું જ પાસ આવ,
મારો અવાજ શાહીમાં ખરડાઈ જાય છે.
– જવાહર બક્ષી
Permalink
June 29, 2017 at 12:03 AM by વિવેક · Filed under ગઝલ, નિનાદ અધ્યારુ
ત્યાં તો તળિયું બારમાસી હોય છે,
ઝૂંપડીમાં ક્યાં અગાસી હોય છે !
જિંદગી જાણે કે કોઈ મોટું જહાજ,
આપણું હોવું ખલાસી હોય છે.
આપણા પગમાં કશું હોતું નથી,
આપણા મનમાં કપાસી હોય છે.
પહેલે-બીજે પહોર એની યાદમાં,
ત્રીજે પહોરે ભીમપલાસી હોય છે.
દે ટકોરા મોતને, તું દે ‘નિનાદ’,
જિંદગી કોણે ચકાસી હોય છે !
– નિનાદ અધ્યારુ
નિર્ધનતાનું કેવું ‘ધનિક’ આરોપણ !! – બારમાસી તળિયું! વાહ કવિ… ગરીબીની ચરમસીમા આબાદ પકડીને બે જ પંક્તિમાં રજૂ કરી દીધી… બધા જ શેર આસ્વાદ્ય થયા છે. પણ કપાસી આપણા પગમાં નહીં, મનમાં હોય છે એમ કહીને કવિ આપણી કામચોર માનસિકતાને ઉઘાડી પાડે છે ત્યારે કોઈ મીઠામાં ડૂબાડીને ચાબખા મારતું હોય એવું અનુભવાય છે. ભીમપલાસી ત્રીજા પહોરનો રાગ છે. એવું કહે છે કે બપોરે એ ગાવામાં આવે તો દિવસો સુધી શાંતિનો અનુભવ સાંભળનારને થાય છે… ટકોરા દઈને વસ્તુ ખરીદવાની આપણને સૌને આદત પડી ગઈ છે… જિંદગીને કોઈ દિ’ એમ ચકાસી ખરી? કે જે મળ્યું એ ચલાવી લીધું?! કમ સે કમ મોતને તો ચકાસી જોઈએ…
Permalink
June 28, 2017 at 3:02 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
ગુલાલ માગ, ગરલ માગ, કે ગમે તે માગ,
પરંતુ હે રમેશ, આ સમય કહે તે માગ.
આ તારા શ્વાસ મસાલોભરેલું પંખી છે,
કોઈ મ્યુિઝયમમાં હવે એને ગોઠવે તે માગ.
જડે એ ઘટનામાં ગર્ભિત હો એનું ખોવાનું,
તો હાથ વ્યર્થ ધૂળધૂળ ના રમે તે માગ.
રાતના છાંયામાં ઢંકાઈ જાય છે મૃગજળ,
હે આંખ, જા અને સવાર ના પડે તે માગ.
ઊડે પતંગિયું તે પણ ગણાતું અફવામાં,
આ સગ્ગી આંખ તો આંખોવગી રહે તે માગ.
સૂર્ય ઘરમાં ઉગાડવાની જીદ છોડી દે.
આ ઠરતા કોડિયા પાસેથી જે મળે તે માગ.
એક ઘડિયાળ ધબકતી રહે છે ઘટનામાં,
કદીક તારું ધબકવું તને મળે તે માગ.
માગવા પર તો પ્રતિબંધ નથી, માગી જો,
કદીક લોહીની દીવાલો ફરફરે તે માગ.
છે શ્વાસ ટેવ, નજર ટેવ, ટેવ છે સગપણ,
હવે રમેશ, બીજી ટેવ ના પડે તે માગ.
– રમેશ પારેખ
સૌજન્ય – ડો. નેહલ [ immymindinmyheart.com ]
Permalink
June 21, 2017 at 3:48 AM by તીર્થેશ · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,
ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી.
એની સતત નજર અને મારા હૃદય ઉપર ?
કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ?
એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?
શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી.
થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,
ફુરસદ મને મળે જો તમારા વિચારથી.
સુખનાય આટલા જ પ્રકારો જો હોય તો,
મનમાં વિચાર આવે છે દુ:ખના પ્રકારથી…
અંદર જુઓ તો સ્વર્ગનો આભાસ થાય પણ
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.
– ‘આદિલ’ મન્સૂરી
મક્તામાં ચમત્કૃતિ છે –
ખંડેર જેવું લાગે છે ,’આદિલ’ બહારથી.
ખંડેર જેવું લાગે છે ,આ દિલ બહારથી.
Permalink
June 16, 2017 at 3:28 AM by વિવેક · Filed under કિરણસિંહ ચૌહાણ, ગઝલ
સઘળા પ્રશ્નો, સઘળા ઉત્તર ગુજરી જાય.
મારી સાથે મારો ઈશ્વર ગુજરી જાય.
ધ્યાન ન આપું એની અદ્ધર વાતો પર,
એ વાતો અદ્ધર ને અદ્ધર ગુજરી જાય.
બહારથી એ લાગે છે કબ્રસ્તાન સમા,
જે લોકો અંદર ને અંદર ગુજરી જાય.
તેથી તો ઇતિહાસ નથી ગમતો અમને,
રાજાઓ જીવે ને લશ્કર ગુજરી જાય.
જીવનનું વસ્તર અધવચ્ચે ફાટી જાય,
જ્યારે ધબકારાનો વણકર ગુજરી જાય.
– કિરણસિંહ ચૌહાણ
આખેઆખી ગઝલ સંઘેડાઉતાર. બધા જ શેર સંતર્પક. ફરી-ફરીને વાંચવા ગમે અને જેટલીવાર વાંચીએ એટલીવાર વધુ ને વધુ ગમી જાય એવી રચના.
Permalink
June 10, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સંજુ વાળા
અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
આજે સ્હેજ છાતીની અંદર શું દુ:ખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે
એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે –
એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
જ્યારે પણ ઉપસી આવે છે લમણાંની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર
વ્હાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ?
જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો હે શ્રોતાજન ! નમન આપની રસવૃત્તિને –
કિન્તુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે સહસા એને જડશે પાણીદાર રહસ્યો
એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
કબીર નરસિંહ મીરાં નામે ખળખળતી એક નદી આપની અંદર વ્હેતી મેં ભાળી છે
સ્હેજ આપની પડખે બેસી હું ય જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ ?
– સંજુ વાળા
એક તો ગઝલ લાંબી બહેરની ને રદીફ પણ લાંબી એટલે ગઝલમાં કવિતાના નામે વૃથા પ્રલાપ અને ભરતીના શબ્દોની ભરમાર થઈ જવાની સંભાવના પૂરેપૂરી પણ સંજુ વાળા સજાગ કવિ છે. શબ્દ સાથેની એમની નિસ્બત ભક્તની ભગવાન સાથે હોય એવી સંપૂર્ણ છે. ખૂબ આરામથી ખોલવા જેવી ગઝલ.
Permalink
June 9, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, પંકજ વખારિયા
સદરહુ લોહીથી સઘળું લખાવ, બાબતમાં
બયાન પથ્થરે માંગ્યું છે ઘાવ બાબતમાં
પ્રવાસી ગૂમ થવાના બનાવ બાબતમાં
કશુંક જાણે છે ૨સ્તો, પડાવ બાબતમાં
વિચારીએ હવે તો બસ, બચાવ બાબતમાં
વિલાપ વ્યર્થ છે ડૂબેલ નાવ બાબતમાં
નદી, કરે શું નિવેદન એ વાવ બાબતમાં
અહો !અહો ! જે કરે છે તળાવ બાબતમાં
સરળ છે આમ એ પર્વત,ચઢાવ બાબતમાં
ઉતરવું અઘરું છે જો કે લગાવ બાબતમાં
તમારી ચૂક થઇ છે ઠરાવ બાબતમાં
કરો ના રાવ હવે મારા દાવ બાબતમાં
બધાને માટે છું એક જ હું ભાવ બાબતમાં
અલગ છું વ્યક્તિ પ્રમાણે વટાવ બાબતમાં
– પંકજ વખારિયા
Permalink
June 8, 2017 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
દશા મારી અનોખો લય, અનોખો તાલ રાખે છે,
કે મુજને મુફલિસીમાં પણ એ માલામાલ રાખે છે!
નથી સમજાતું, મન અમને મળ્યું છે કેવું મનમોજી!
કદી બેહાલ રાખે છે, કદી ખુશહાલ રાખે છે!
નથી એ રાખતાં કૈ ખ્યાલ મારો કેમ કહેવાયે?
નથી એ રાખતાં તો કોણ મારો ખ્યાલ રાખે છે?
જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું?
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દીવાલ રાખે છે.
ફરક કેવો દીવાનાની જવાની ને જઈફીમાં?
બરાબર આજ જેવી આગવી એ કાલ રાખે છે.
મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું,
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે.
જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’નું,
છતા હિમ્મત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે!
– અમૃત ઘાયલ
જૂનું એટલું સોનું.
(જઈફી= જૈફી, વૃદ્ધાવસ્થા)
Permalink
June 6, 2017 at 2:13 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
બધી જ પીડાનું વર્ણન કરાય એવું નથી.
પ્રભુ ! તને બધું સમજાઈ જાય એવું નથી.
પવન તો બાગથી ખુશ્બૂ લઈને જઈ રહ્યો છે,
અને આ ફૂલથી પાછળ જવાય એવું નથી.
તમે આ આંસુ વગરનાં નયન લઈ ક્યાં જશો ?
બધાથી ડૂમાનો અનુવાદ થાય એવું નથી.
જુઓને, હાથમાં અજવાળું કેવું ઝળહળે છે,
કલમથી એટલે છેડો ફડાય એવું નથી.
તમે તો આંખથી હૈયે જઈ વસી ગયા છો,
હવે બીજે કશે તમને રખાય એવું નથી.
– ગૌરાંગ ઠાકર
Permalink
June 3, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચેતન જે. શુક્લ ‘ચેનમ’
આંગણે તુલસી નથી, તોરણ નથી એ બારણે,
સુખના બે ચાર પણ કારણ નથી એ બારણે.
એક ખિલ્લી વાગતા ટહુકા ખરે છે પંખીના,
કોણ કહે છે ઝાડનાં વળગણ નથી એ બારણે.
સાવ પત્થરના ઘરે પણ કંઈક પત્થર જીવતા,
કાચ જેવી ચકચકિત સમજણ નથી એ બારણે.
એ જતી ને આવતી કાયમ નજર છલકાવતી,
એ ભરીને રાખવા વાસણ નથી એ બારણે.
રેતના આવે સમંદર કેટલીય યાદ લઈ,
આજ એવી યાદના રજકણ નથી એ બારણે.
– ચેતન જે. શુક્લ ‘ચેનમ’
કવિતા જે-તે સમાજનો જે-તે સમયનો અરીસો છે. આજે ભલે આંગણે તુલસી અને બારણે તોરણ હવે બધે જોવા મળતાં નથી પણ અહીં એ એક નક્કર પ્રતીક અને પ્રવર્તમાન સમાજનો અરીસો બનીને ગઝલમાં મજબૂતીથી ઉપસી આવ્યાં છે. બાકીના શેર પણ એ જ રીતે આસ્વાદ્ય થયા છે…
Permalink
June 2, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સુનીલ શાહ
કેટલો સુંદર, સરળ મોકો હતો, જોયો જ નહિ,
દોસ્ત! તારા પગ તળે રસ્તો હતો, જોયો જ નહિ !
ટોળું બોલ્યું: ‘ધર્મ ભયમાં છે’…અને દોડ્યા બધા,
કોઈનો એ કાંકરીચાળો હતો, જોયો જ નહિ !
લઈ હથોડો હાથમાં, દોડયા તમે તો તોડવા,
ભીંતને બદલે અહીં પરદો હતો, જોયો જ નહિ ?
રોજ જીર્ણોદ્ધાર પામે ધર્મસ્થાનો આપણાં,
કોઈએ, માણસ સતત ખરતો હતો, જોયો જ નહિ !
દામ જ્યાં ઊંચા મળ્યા, ઘર એમણે વેચી દીધું,
ઘરના ખૂણે એક નવો માળો હતો, જોયો જ નહિ !
– સુનીલ શાહ
આપણા, ના, કદાચ બધા જ કાળના બધા જ સમાજના કપાળ પર ચપોચપ ચોંટી જાય એવી ગઝલ. ઈસુથી લઈને ગૌતમ સુધી ને મહંમદથી લઈ ગાંધી સુધી – મસીહાઓ, ભગવાનો આવ્યા અને ગયા પણ સમાજની ‘અંધ’ માનસિકતા એની એ જ રહી. આંખ એના ગોખલામાં યથાસ્થાને જ રહી પણ દૃષ્ટિ કદી કોઈને લાંધી જ નહીં… જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે, એમ પણ બને (મ.ખ.)– એના જેવી આ વાત છે. મીઠામાં બોળેલા ચાબખા ભરબપોરે ઊઘાડી પીઠ પર વિંઝાતા હોય એ રીતે આ ગઝલ આપણા અહેસાસની બુઠ્ઠી થઈ ગયેલી ચામડી ઊતરડી નાંખે છે….
Permalink
June 1, 2017 at 5:31 AM by વિવેક · Filed under કિરીટ ગોસ્વામી, ગઝલ
સત્-અસત્ ના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે,
મન! મમતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
તો જ ભીતરના જગત પર રાજ સરખું થઈ શકે;
આ જગતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
હર-વખત હા-નાથી આગળ મન વધી શકતું નથી;
હર-વખતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
જે મળે એને જ મિલકત માનશું મોંઘી હવે
છત-અછતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
જોઈએ સંબંધનું આકાશ ખુલ્લું બસ, ‘કિરીટ’
સૌ શરતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!
– કિરીટ ગોસ્વામી
લયસ્તરોના આંગણે કિરીટ ગોસ્વામી એમનો નવો ગઝલસંગ્રહ લઈને ઉપસ્થિત થયા છે. કવિનું સ્વાગત અને સ્નેહકામનાઓ…
યુદ્ધમાંથી પાર પડવાની ઇચ્છામાં જે ઘડીએ એક ‘જ’ની મક્કમતા ઉમેરાય છે એ જ ઘડીએ અડધું યુદ્ધ તો જીતી લેવાય છે. અને આવી મક્કમ નિર્ધારભરી અર્થસભર લાંબી રદીફ એકપણ શેરમાં લટકી પડતી નથી એ ગઝલનું સૌભાગ્ય. બધા જ શેર પ્રશંસનીય થયા છે.
Permalink
May 27, 2017 at 12:30 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
કેમ ભૂલી ગયા? દટાયો છું,
આ ઈમારતનો હુંય પાયો છું.
હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.
વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!
આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!
સૂર્યની જેમ સળગ્યો છું વર્ષો,
ચન્દ્રની જેમ ચોડવાયો છું!
વઢ નથી વિપ્ર, આ જનોઈનો,
આમ હું આડેધડ કપાયો છું.
રામ જાણે શું કામ હું જ મને,
સર્પની જેમ વીંટળાયો છું!
એ જ છે પ્રશ્ન: કોણ કોનું છે?
હુંય મારો નથી, પરાયો છું!
સાચું પૂછો તો સત્યના પંથે,
ખોટી વાતોથી દોરવાયો છું!
ઊંચકે કોણ પંથ ભૂલ્યાને?
આપમેળે જ ઊંચકાયો છું.
મીંડું સરવાળે છું છતાં ‘ઘાયલ’,
શૂન્ય કરતાં તો હું સવાયો છું.
– અમૃત ‘ઘાયલ’
અધધધ અગિયાર શેરની ગઝલ… બહર ટૂંકી પણ કમાલ તો જુઓ… એક્કેક શેર ઘાયલના મિજાજ જેવા જ અદ્દલોદ્દલ જાનદાર.. બધા જ શેર વિચારવિસ્તાર કરી શકાય એવા બિંદુમાં સિંધુ સમા…
Permalink
May 26, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
સતત આઘું ખસીને છેતરે, મૃગજળ તો મૃગજળ છે,
ભીંજવવા દૂરથી આવે નજીક, વાદળ તો વાદળ છે.
ભલે ને હોય કાંટાળો, કશેક લઈ જાય છે રસ્તો,
ભલેને હોય સોનાની છતાં સાંકળ તો સાંકળ છે.
ઘણી ઊંડી છે નિસબત આંસુને બે આંખની સાથે,
ઉપરછલ્લું જ રેલાઈ જશે, કાજળ તો કાજળ છે.
મળે ઇ-મેઇલમાં ક્યાં શબ્દ છેકેલા-સુધારેલા?
મજાની એ મથામણથી ભર્યો કાગળ તો કાગળ છે.
રહી પાછળ અમે જોયોખરો ચહેરો આ દુનિયાનો,
ભલે ને ભાગ્ય મારું બે કદમ આગળ તો આગળ છે.
– હર્ષવી પટેલ
કાફિયાનું પુનરાવર્તન કરીને કાફિયા-રદીફને એકબીજામાં તાણાવાણાની જેમ ગૂંથી લઈને હર્ષવી મજાનો લય અને ભાવાર્થ સફળતાપૂર્વક જન્માવે છે. મત્લામાં સજ્જન અને દુર્જન વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ થાય છે પણ ખરી મજા તો એના પછીના શેરમાં છે. શી મજા છે, કહો તો જરા ! ના, ના… આ ગઝલને માણવામાં જે મજા છે, એ સમજાવવામાં સહેજ પણ નથી..
Permalink
May 25, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
એને ખુદની દિશા જડેલી છે
એ પરત કાંઠેથી વળેલી છે
ઠારવાની છે આગ કોઈની
એ જ કારણથી એ તપેલી છે
આગ કરતાંય ભૂખ વસમી છે
એટલું શાસ્ત્ર એ ભણેલી છે
ઠામ ઘસનાર બાઈની સાથે
રોજ છાનું-છૂપું રડેલી છે
ઊંઘતા જોઈ ઘરના સભ્યોને
સાવ ખાલી, છતાં ભરેલી છે
જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર
એમ ચૂલા ઉપર ચડેલી છે
– સ્નેહી પરમાર
‘તપેલી’ જેવા પાત્ર પર મુસલસલ ગઝલ? તેય આવી ઉમદા? વાહ કવિ! મત્લાનો શેર તપેલીના કુળનો નથી થયો પણ એ એટલો મજાનો છે કે નડતો નથી. અને એ પછીના એક-એક શેર સીધેસીધા જ દિલને સ્પર્શી જાય એવા ઉત્તમ થયા છે.
Permalink
May 20, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
એના ચહેરા પર આ કેવું સ્મિત છે!
જેના લીધે આ નગર ભયભીત છે.
શિલ્પ એના જોઈ સમજાઈ ગયું,
શિલ્પી પોતે ક્યાંકથી ખંડિત છે.
વાત આ જાણે છે સૌ મારા સિવાય,
કે ખરેખર મારું શેમાં હિત છે.
અન્યનો છણકોય ટહુકો લાગતો,
જે સ્વયં ખુદથી જ અપમાનિત છે.
કેદ છે ગુમનામીના સૂરજમાં જે,
એમનો પડછાયો નામાંકિત છે!
કૈંકને તો હું જ ઓળખતો નથી!
મારું જીવન જેને આધારિત છે.
પાંદડાંઓ શિષ્ય માફક બોલતાં,
વાયરો જાણે કોઈ પંડિત છે!
– ભાવેશ ભટ્ટ
સરળ ભાષામાં વિચારતા કરી દે એવી ગઝલો લખવી એ ભાવેશ ભટ્ટનો ટ્રેડમાર્ક છે. એની ગઝલો વિશે ટિપ્પણી લખવાની જરૂર ભાગ્યે જ પડે. કવિતા અંગેની ટી.એસ. ઇલિયટની મશહૂર વ્યાખ્યા: ‘Genuine poetry can communicate before it is understood કહ્યું’ની જેમ જ એ વાંચતાવેંત પ્રત્યાયન સાધી લે છે અને તાળીઓ માંગી લે છે. પણ પછી થોડીવાર પછી એ બીજીવાર તાળી પાડવા મજબૂર કરી દે છે….
Permalink
May 19, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવિન ગોપાણી
બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી,
જીવવા બેઠા એ સૌને જિંદગી આેછી પડી.
વાત છે પંખીપણું ઊડી ગયું એ બાદની,
એક ટહુકો સ્થાપવા સૌ ડાળખી ઓછી પડી.
વેડ્ફ્યો ખાસ્સો સમય એ પામવાની લ્હાયમાં,
જિંદગીમાં ચીજ જે થોડી ઘણી ઓછી પડી.
મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને,
એમને એ ફૂલમાં પણ પાંખડી ઓછી પડી.
ડૂબવા માટે પ્રથમ તો આંખ પણ પૂરતી હતી,
ને પછી એવું થયું આખી નદી ઓછી પડી.
હું મને ક્યારેય રંગે હાથ ના પકડી શક્યો,
દર વખત મારા વિષેની બાતમી ઓછી પડી.
– ભાવિન ગોપાણી
સમયથી વધુ સાપેક્ષ શું હોઈ શકે? તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે, પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય. કાળની આ અકળ ગતિને ભવિન ગોપાણી ખૂબ સ-રસ રીતે મત્લામાં સમજાવે છે. ઘડીથી સદી વચ્ચેની જિંદગી પાતળા અસંતોષના પ્રતાપે જ જીવવા જેવી લાગે છે. ઓછી પડી જેવી રદીફ સાથે કવિએ જે કાબેલિયતપૂર્વક કામ પાર પાડ્યું છે એ જોતાં સહેજે કહેવાનું મન થઈ જાય કે આ ગઝલ ઓછી પડી…
Permalink
May 18, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ગિરીશ પોપટ 'ગુમાન'
કોઈએ કીધું ખુશીને કાનમાં,
દર્દ લાવ્યું છે ઘણાંને જાનમાં.
જોઈ લઈએ જીત કોની થાય છે?
શબ્દ લાવો, મૌન છે મેદાનમાં.
ઘર ભરાતું જાય છે સામાનથી,
કૈંક ઓછું થાય છે ઈન્સાનમાં.
વ્યંગમાં ક્યારેક કહેવાયા હતા,
એ જ શબ્દો થ્યા રજૂ સન્માનમાં.
ચા ઉછીની લઈ પીવા કરતાં મને
પીવા ગમશે ઝાંઝવા વેરાનમાં.
જ્યારથી તેં સાથ આપ્યો, જિંદગી!
જીવ રહેવા માંડ્યો છે ‘ગુમાન’માં.
– ગિરીશ પોપટ ‘ગુમાન’
ગઝલ કાવ્યપ્રકારનું આકર્ષણ જ કંઈ એટલું પ્રબળ છે જે નિતનવા કવિઓ એને મહેબૂબા બનાવતા જોવા મળે છે. ગિરીશ પોપટ સુરતમાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી આવતી કાવ્યગોષ્ઠી-ગૂફ્તેગુના કારણે પરિચિત થયા. ઓછું લખે પણ જે લખે એની નોંધ લેવાની ફરજ પડે એવું. ટૂંકી બહેરની આ ગઝલના બધા જ શેર પાણીદાર થયા છે. પોતાના તખલ્લુસનો અર્થસભર વિનિયોગ કરી શકનાર જૂજ પ્રવર્તમાન ગઝલકારોમાં એનું નામ નોંધવું પડે.
Permalink
May 13, 2017 at 1:58 AM by વિવેક · Filed under અમૃત ઘાયલ, ગઝલ
છે કાંઈ જિંદગીમાં, તો એ જ છે સહારો,
એક યાદ છે તમારી, એક શ્વાસ છે અમારો.
મારી જીવનવીણાના કંપી રહ્યા છે તારો,
કોણ એ ભલા કરે છે ઉરદ્વારથી ઈશારો?
મુજને ડુબાવનારા મારા જ છે વિચારો,
ક્યાં દૂર છે નહીં તો ચોપાસ છે કિનારો.
જખ્મોને દિલમાં રાખું કે અશ્રુઓને રાખું?
મે’માન છે હજારો ને એક છે ઉતારો.
દે તેજ ફાવે તેવી સાકી શરાબ મુજને,
હું તો છું આગને પણ પાણી કરી પીનારો.
જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે,
ચાહું તો કેમ ચાહું ગમથી હું છૂટકારો?
દુઃખ શોધ કોઈ કાયમ છોડી ક્ષણિક સુખોને,
કંઈ મૂર્ખ મિત્રો કરતાં એક ડાહ્યો શત્રુ સારો.
એવુ મરણ કરો કે ઝંખે જીવન તમોને
ડૂબો તો એમ ડૂબો શોધે સ્વયં કિનારો.
ઊગીને પાથરે ના કંઈ તેજ જે જગત પર,
મારી નજરમાં ‘ઘાયલ’ એ તારો છે તિખારો.
– અમૃત ઘાયલ
કહેવાતું કે ઘાયલ જેટલા કાફિયા જડી આવે એ બધા પર શેર કરતા એટલે ગઝલો બહુધા લાં..બી થતી. જીવનવીણા, સાકી-શરાબ જેવા ભરતીના બે’ક શેરોને બાદ કરીએ તો બાકીની આખી ગઝલ અફલાતૂન. મનુષ્યના પતન માટે બીજું કોઈ નહીં, મનુષ્ય પોતે જ જવાબદાર હોય છે અને જાતમાંથી નીકળી શકાય તો કિનારા તો ચારેતરફ છે જ છે વાળી વાત ઘાયલ જ આવી સહજતાથી કરી શકે. ગેસ્ટહાઉસ જેવા દિલમાં ઉતારાની વાત હોય, કે ગમથી કદી છૂટકારો મળનાર ન હોવાની સ્વીકૃતિની વાત હોય- ઘાયલ લાજવાબ છે. કિનારો સ્વયં ડૂબનારને શોધે એ શેર તો સર્વકાલીન શ્રેષ્ઠ છે.
એક આડવાત… મનુષ્યહૃદયના ભાવોને ભાષા નડતી નથી હોતી એટલે એક જ ભાવ લગભગ કોપી-પેસ્ટ કર્યો ન હોય એવી રીતે ઘણીવાર અલગ-અલગ ભાષાની કવિતામાં જોવા મળતી હોય છે. ‘જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે’ – આ પંક્તિ જુઓ… કંઈ યાદ આવે છે? ‘દિલ સે’ ફિલ્મમાં ગુલઝાર આ જ લખે છે,’દિલ હૈ તો દર્દ હોગા, દર્દ હૈ તો દિલ ભી હોગા.’ ગુલઝાર શું ઘાયલમાંથી ઊઠાંતરી કરવા ગયા હશે? ના… લાગણીઓની સમાનતાની જ આ કમાલ છે.
Permalink
May 12, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રઈશ મનીયાર
અજવાળું પણ થયું અને પીડા થતી રહી
છાતીના એક ખૂણે કવિતા થતી રહી
રસ્તા ઉપર ..મકાનોમાં.. હત્યા થતી રહી
મંદિરમાં, દેવળોમાં તપસ્યા થતી રહી
માણસ ઉલેચતો જ રહ્યો અંધકારને
દીવાસળીની સાવ ઉપેક્ષા થતી રહી
સત્કાર ન મળ્યો તો જવાનું કર્યું મેં બંધ
કહે છે ત્યાં મારી રોજ પ્રતીક્ષા થતી રહી
જૂની સમસ્યા લોકો ઉકેલ્યા વિના ભૂલ્યા,
વરસોવરસ નવી જ સમસ્યા થતી રહી
ભૂલી ગયો એ મારી કટુતા સમય જતાં,
ને એ પછી મને ઘણી પીડા થતી રહી
સળગી રહેલા ઘરમાં હવાની અવરજવર..
શ્વાસોની રોજ અગ્નિપરીક્ષા થતી રહી
– રઈશ મનીઆર
કવિતાની વ્યાખ્યા કરવું કયા કવિને નથી ગમ્યું? રઈશ મનીઆર પણ એમની વ્યાખ્યા લઈ આવ્યા છે. કવિતા લાગણીની ભાષા છે એટલે જ કવિતાનું ઉદભવસ્થાન મગજ નહીં પણ છાતી-હૃદય નિર્ધારાયું છે. કવિતા અસ્તિત્વને અજવાળે ખરી પણ કવિતા અસ્તિત્વ સમગ્ર નથી એટલે “કવિ એક ખૂણા”ની વાત કરે છે. આ સાથે જ કવિતા સાથે અવિનાભાવી સંબંધે જોડાયેલી પીડા અને પીડામાંથી રેલાતા પ્રકાશના સાયુજ્યનો નિર્દેશ કરી કવિ કવિતાને વ્યાખ્યાયિત કરે છે… બાકીના શેરોમાંથી પણ કયા પર હાથ મૂકવો અને કયા પર નહીં એ વિમાસણ બની રહે છે.
Permalink
May 5, 2017 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, જય કાંટવાલા
બહુ વિચારે એને માટે વેસ્ટ છે
માણવા માંડો તો જીવન બેસ્ટ છે
આગનો દરિયો નથી તરવો હવે,
એના એક ટીપાનો અમને ટેસ્ટ છે.
પથ્થરોના જંગલોમાં દોડતા
પથ્થરો પાસે હવે કયા રેસ્ટ છે ?
આપણે યજમાન થઈ રહેવું સદા
સુખ અને દુઃખ જિંદગીમાં ગેસ્ટ છે
દોસ્ત! ટહુકાયુ કશું ઘોંઘાટમાં,
શહેરમાં નક્કી કવિતા ફેસ્ટ છે.
– જય કાંટવાલા
દાયકાઓ સુધી જનમાનસ પર કબ્જો જમાવી બેઠેલા કાવ્યપ્રકારો ગઝલનું આગમન થયા પછી હતા-ન હતા થઈ ગયા એનું કારણ ફક્ત બે જ પંક્તિની ગાગરમાં ગાગર સમાવી દેવાની એની કમાલ જ ગણી શકાય.પ્રસ્તુત ગઝલનો મત્લા આ વાતની પુષ્ટિ કરે છે. જિંદગી જીવવાની ફિલસૂફી જ એ છે કે જે ખુશી આવી એને ઝાઝું પિષ્ટપેષણ કર્યા વિના માણી લેવી. બીજો શેર જો કે થોડું ડિફેન્સીવ રમે છે. સિમેન્ટ કોંક્રિટના જંગલોમાં રહી-રહીને ખુદ પથ્થર જેવા થઈ ગયેલા માણસોના ખિસ્સામાં આરામ નામની અસ્ક્યામત જ બચી નથી. સુખ અને દુઃખ -બંનેને યજમાનભાવે આવકારતો શેર રુમીની “અતિથિગૃહ” રચનાની યાદ અપાવે છે. ઘોંઘાટની વચ્ચે પણ ટહુકી શકે એ જ કવિતા. અંગ્રેજી કાફિયા પણ બિલકુલ ગુજરાતી લિબાસ પહેરીને દૂધમાં સાકરની જેમ ગઝલમાં પ્રવેશી ગયા છે.
Permalink
Page 14 of 48« First«...131415...»Last »