આંસુઓ શાયરીને આપી દ્યો,
આંખમાં ફક્ત શાયરી રાખો.
કોટક ધાર્મિક ‘ગોપાલ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મંથન ડીસાકર

મંથન ડીસાકર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – મંથન ડીસાકર

નજરો નમી નથી ને નયનમાં નમી નથી,
કોઈને એવી શુષ્ક યુવાની ગમી નથી.

આશાનો સૂર્ય એટલે રંગીન છે હજુ
અંતિમ ચરણ છે સાંજનું પણ આથમી નથી

બારી ઉઘાડવાની છે ઇચ્છા? ઊઘાડી દે,
તો શું થયું? ભલે ને હવા મોસમી નથી

કડવાશ પારખું છું મીઠા શબ્દમાં હવે
એવા અનુભવોની જીવનમાં કમી નથી

ઘટનાની જાણ મેં કરી તો એમણે પૂછ્યું
શું સનસનાટીવાળી કશી બાતમી નથી?

ચર્ચા તો મારા નામની થઈ જોરશોરથી
મારા સિવાય જાણે બીજો આદમી નથી

આશ્ચર્યમાં પડ્યા એ મને હસતો જોઈને
એને થયું કે ચોટ મને કારમી નથી.

આવે નહીં મિલનની એ સાચી મજા કદી,
તેં જ્યાં સુધી વિયોગની પીડા ખમી નથી

અંદાજ ભાવિનો શું મૂકો વર્તમાનમાં?
મારી દશા જે આજે છે તે કાયમી નથી.

– મંથન ડીસાકર

રાણીવાડા(રાજસ્થાન)થી એક પરિવાર ડીસા(ગુજરાત) આવ્યો અને આગમનના બે જ મહિનામાં નરેશ ગંગવાલનો જન્મ થયો. દોઢ દાયકાથી સુરતને નિવાસસ્થાન અને મંથન ડીસાકરને પોતાની કાયમી ઓળખ બનાવનાર આ કવિ સંતાન રાજસ્થાની પરિવારનું છે, MA અને BEdનો અભ્યાસ અંગ્રેજીમાં કર્યો છે અને કવિતા ગુજરાતીમાં કરે છે. ‘અભિનવ સાહિત્ય સભા’ જેવી નાનાવિધ સાહિત્યલક્ષી સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે તેઓ અવિનાભાવે સંકળાયેલા છે.

મત્લાના શેરમાં જ ‘નમી’નો શ્લેષ- ‘નમવું’ અને ‘ભીનાશ’ સ્પર્શી જાય છે. આજના 20-20ના સમયમાં કુલ નવ-નવ શેરની પ્રમાણમાં લાંબી લાગે એવી આ ગઝલ એટલા માટે ગમી જાય છે કે એકપણ શેર નબળા પડતા નથી. આખેઆખી ગઝલ સંઘેડાઉતાર થઈ છે. ભાષાની સરળતા અને અભિવ્યક્તિની તાજગી સહજ સ્પર્શી જાય છે…

Comments (7)