પગમાં છે બૂટ એ ભલે શહેરોની દેન છે,
ફૂલ, ઘાસ, માટીથી હજી પાની છે તરબતર.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for અછાંદસ

અછાંદસ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સાથી – ડૉરથી લાઇવસે (અનુ. શારીન કુડચેકર)

ફક્ત એક વાર હું તારી સાથે સૂતી હતી,
કદી જાણ્યો નથી એવાં શયન અને પ્રેમ
માધુર્યથી ભર્યાભર્યાં, પાછળથી સહેજે કડવાશ વિનાનાં
મારે માટે તે પહેલો જ અનુભવ હતો અને આટલી સુંવાળપથી
કોઈ ફૂલની પાંદડીઓને ઉઘાડી શક્યું ન હોત, ફૂલ ખીલી શક્યું ન હોત
તારા હાથ મારા પર દ્રઢ હતા, નિર્ભય
હું પડી હતી ઘેરાયેલી શાંત આનંદમાં-
ત્યાં એકાએક મારામાં ફુવારો જાગ્યો.
મારા પ્રિય, વર્ષો વીત્યાં છે, આપણે પ્રૌઢ બન્યાં છીએ
ઝડપથી, પોતપોતાની રીતે પોતપોતાના પ્રયત્ને.
હું તેને જોઉં છું ત્યારે જોઉં છું એક વૃદ્ધ પુરુષ.
સ્વપ્નો વિનાનો, રોજીરોટી વિનાનો, ઓવરકોટ વિનાનો,
પણ એક જ સંઘર્ષમાં જકડાયેલાં આપણે આવ્યાં છીએ નિકટ ને નિકટ
આપણા દેહ હજી એકમેકના આલિંગનમાં હોત તેથી વિશેષ

– ડૉરથી લાઇવસે
(અનુ. શારીન કુડચેકર)

પ્રેમનું અંતિમ લક્ષ્ય ભલે દેહ હોઈ શકે પણ પ્રેમ હંમેશા દેહથી પર જ હોય છે. કેનેડાના કવયિત્રીની આ કવિતા પાશ્ચાત્ય નારીભાવનાઓ સુપેરે ઉજાગર કરે છે પણ આપણા દેશમાં પણ પ્રેમની સાચી વિભાવના કદાચ આ જ હોઈ શકે. આ કવિતાના હાર્દમાં ઉતરવા માટે ‘ફક્ત એક વાર’ અને ‘પહેલો જ અનુભવ’ આ બે શબ્દપ્રયોગ ચાવીરૂપ છે. ઘણીવાર આવા સંબંધ પસ્તાવા અને મનની કડવાશ વહોરે છે પણ જો પ્રેમ સાચો હોય તો જ વ્યક્તિ ફૂલની પાંદડીઓ સમ ઉઘડી-ખીલી શકે, નિર્ભય હોઈ શકે, ફુવારાની જેમ અસ્ખલિત ઉભરાઈ શકે અને કડવાશવિહિન માધુર્ય અનુભવી શકે…

કવિતાના (કદાચ સૉનેટના) બીજા ભાગમાં જે વર્તમાન છે એ ભૂતકાળના પ્રેમના ખરાપણાંનું સર્ટીફિકેટ છે. બંને પાત્ર પછીની પોતપોતાની જિંદગી પોતપોતાની રીતે ગુજારીને સાવ ખાલી થઈ ગયા છે પણ એકમેકની એટલા નજીક આવી શક્યા છે જેટલા કદાચ આલિંગનમાં રહ્યાં હોત તો ન આવી શકત…

Comments (6)

ઑફિસ મૈત્રી – ગેવિન એવર્ટ (અનુ. સુજાતા ગાંધી)

ઇલા પાગલપણે હરેશના પ્રેમમાં છે.
અને હરેશનો જીવ શીલામાં છે.
ચંદ્રકાંત બહુ જ થોડાંકને પ્રેમ કરે છે
અને થોડાંક તેને પ્રેમ કરે છે.
મેરી બેઠી બેઠી ટાઈપ કરે છે પ્રેમની નોંધ
રોમેન્ટિક પિયાનોવાદકની આંગળીઓની અદાથી.
ફીરોજ ઊંચે આકાશ તરફ જુએ છે,
જ્યાં ફાલ્ગુનીની દિવ્ય સુગંધ લહેરાય છે.
નીતાની આંખોમાં ગોળ ફરે છે વળ લેતાં સાપોલિયાં
અને મગરૂરીથી પોતે ધીમે ધીમે ચાલે છે.
દરેક જણ અણુએ-અણુમાં રોમાંચ અનુભવે છે
સુનીલની વાતોના ઇશારાઓથી
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે
પણ તે આપણને સૌને જીવંત રાખે છે.
પત્નીઓ અને કામની આ દુનિયામાં આ છે એક અદભુત
હવાફેર
અને તેનો અંત આવે છે સાડા પાંચે.

(અનુ. સુજાતા ગાંધી)

આપણે બધા જ બે દુનિયામાં જીવીએ છીએ, એક આપણી આસપાસની અને બીજી આપણી અંદરની. આપણી આસપાસની દુનિયા બહુધા એકવિધ થઈને રહી જતી હોય છે. सुबह होती है, शाम होती है, जिन्दगी यूँ तमाम होती है | પણ આ એકવિધ થઈ જતી જિંદગીમાં આપણને આપણી ભીતરની કાલ્પનિક દુનિયા જ કદાચ સતત જીવંત રાખે છે. આ કાલ્પનિક વિશ્વ પ્રસ્તુત કાવ્ય મુજબ કામાવલંબિત પણ હોઈ શકે કે અન્ય કંઈ પણ હોઈ શકે પરંતુ એ આપણા શ્વાસમાં જિંદગી રેડતું રહે છે…

કવિના સ્વમુખે આ કાવ્યપઠન આપ અહીં માણી શકો છો.

***

Office Friendships

Eve is madly in love with Hugh
And Hugh is keen on Jim.
Charles is in love with very few
And few are in love with him.

Myra sits typing notes of love
With romantic pianist’s fingers.
Dick turns his eyes to the heavens above
Where Fran’s divine perfume lingers.

Nicky is rolling eyes and tits
And flaunting her wiggly walk
Everybody is thrilled to bits
By Clive’s suggestive talk.

Sex suppressed will go berserk,
But it keeps us all alive.
It’s a wonderful change from wives and work.
And it ends at half past five.

– Gavin Ewart

Comments (10)

અર્ધસત્ય – દિલીપ ચિત્રે (અનુ. ધવલ શાહ)

ચક્રવ્યૂહમાં ઘૂસતા પહેલા
હું કોણ હતો કે કેવો હતો
એ કાંઈ મને યાદ નહીં રહે.

ચક્રવ્યૂહમાં ઘૂસ્યા બાદ
મારા અને ચક્રવ્યૂહની વચ્ચે
હતી માત્ર જીવલેણ નિકટતા
એ મને સમજાયું જ નહીં.

ચક્રવ્યૂહમાંથી નીકળીને
સ્વતંત્ર થઈ જાઉં તો ય
ચક્રવ્યૂહનો તો કાંગરો ય ખરવાનો નથી.

મરુ કે મારુ,
ખતમ થઈ જાઉં કે ખતમ કરી નાખું.
અશક્ય છે આ નિર્ણય.

સૂતેલો માણસ
ઊઠીને એક વાર ચાલવા માંડે,
પછી એ કદી સપનાના પ્રદેશમાં
પાછો નથી ફરી શકતો.

ચુકાદાના તેજ તળે
બધુ એકસરખું જ થઈ જશે ?
એક પલ્લામાં નપુંસકતા,
અને બીજામાં પૌરુષ,
અને વચ્ચોવચ ત્રાજવાની દાંડીની બરાબર ઉપર –
અર્ધસત્ય.

– દિલીપ ચિત્રે
( અનુ. ધવલ શાહ)

દિલીપ ચિત્રે એક બહુવિધ પ્રતિભા હતા. કથાકાર, ચિત્રકાર, દિગ્દર્શક, અનુવાદક એ બધુ ય ખરા પણ કવિતા એમનો પહેલો પ્રેમ. આજે એક પરથી બીજી કવિતા શોધતા એમની આ કવિતા હાથ લાગી ગઈ, જાણે અનુભવોની એક આખી પંગત સામટી બેસી ગઈ.

દિલીપ ચિત્રેએ આ કવિતા ‘અર્ધસત્ય’ ફિલ્મ માટે લખેલી. ‘અર્ધસત્ય’ ફિલ્મનો નાયક, અનંત વેલણકર, ફીલ્મમાં આ કવિતા વાંચે છે. પહેલી વાર તો સમજ નહોતી પડી પણ બીજી-ત્રીજી વારમાં જ્યારે સમજાઈ ત્યારે આ કવિતા વીજળીની જેમ પડેલી. એક આખી પેઢી માટે આ ફિલ્મ ભ્રષ્ટાચારના કલંક અને ઈમાનદાર લોકોની હતાશાનું પ્રતિક બની ગયેલી. વેવલી ગણાતી ‘આર્ટ ફિલ્મ’ જોવા લોકો લાઈન લગાડતા આ ફિલ્મ પછી થયેલા.

પહેલા આપણે જ એક અડધા સત્યને ત્રાજવાની દાંડી પર બેસાડીએ છીએ. અને પછી આપણે જ ફરિયાદ કરે રાખીએ છીએ કે નપુંસકતા અને પૌરુષમાં કોઈ ફરક નથી રહ્યો. ભ્રષ્ટાચારનો આખો ચક્રવ્યૂહ તોડવો હોય પહેલા અર્ધસત્યનો નાશ કરીને સત્યને ઉપર બેસાડવું પડે. પણ અર્ધસત્યને મહાત કરવાની આપણી ત્રેવડ નથી. ફિલ્મના અંતમાં અંનત વેલણકર તો ‘સર, મૈંને રામાશેટ્ટી કો માર દિયા’ બોલીને પોતાનું પૌરુષ પાછું મેળવી લે છે, પણ સાથેસાથે, આપણા કપાળ પર નપુંસકનું લેબલ મોટા અક્ષરે લગાડતો જાય છે. ક્રાંતિની જ્વાળા કદી બજારમાં વેચાતી નથી મળતી, એને માટે તો માણસે પોતે જ સળગીને મશાલ થવું પડે છે.

( હિંદી કવિતા)

Comments (9)

પૂર્વાવસ્થા – રઘુવીર ચૌધરી

પવન શા પુરાતન અમે.
પુષ્પ સમા ક્ષણિક ને
સૌરભ શા ચિરંતન.
ક્ષણમાં વસેલ પેલી ચિરંતન
તથતાને જીવનાર,
વારંવાર વિતથને
અનુભવી,ઓળખીને
અળગા થનાર :

ચિત્ત હોય તો પછી તો
સંપાતિની જેમ ઊડી
તેજ સામે,
બળવું ના.

અધિકની આકાંક્ષામાં
ધરા-આભ વચ્ચે
કરી ઉચ્ચાવચતાનો ભેદ
ત્રિશંકુનું પરિણામ પામવું ના.
રાવણના દેશનાં સમિધમહીં
એક સીતા આગ સહે.
સંશયાત્મા રામ જીવે દ્વૈત.
દ્વૈત એટલે જ યુદ્ધ.
શાશ્વત એ વૈશ્વિક યુદ્ધની
નિજ પ્રતીતિ થી દૂર રહી
પ્રમાણી ના અનિવાર્યતા
તો પછી અશ્વત્થામા બની
ન્યાય કરી દેવા નીકળવું નહીં.
અઢાર અઢાર દિન ઓછા નથી.
કુરુક્ષેત્રે
મૃત્યુમ્લાન પવનોમાં પ્રેત ભમે.
સુદૂર અરણ્યમહીં
નતશિર એકલવ્ય મૂક.
સામે ગુરુમૂર્તિ
છિન્ન અંગૂઠાનો કંપ જોઈ રહે.
કુટિરને દ્વાર ઊભા હરણની
ક્ષમાહીન આંખ રડે.
તરુપર્ણ હવામહીં સમસમે.
કેટલાંક સ્મરણોના સૌંદર્યને
પક્ષાઘાત…
અરે,જેણે આત્મવંચના ન કરી
એવો એકે યુધિષ્ઠિર મળ્યો નહીં.
પોતાને મૂકીને કર્યું અન્ય સામે યુદ્ધ !
છતાં આજ લગી યુદ્ધની કથાઓ
બધી રમ્ય રહી !
યુદ્ધની કથાઓ હવે રમ્ય નથી.

-રઘુવીર ચૌધરી.

[ તથ=સત્ય, વિતથ=અસત્ય, સંપાતિ= જટાયુનો ભાઈ જે વાનરોને લંકા અને રાવણ વિષે માહિતી આપે છે., સમિધ=હવનમાં હોમ કરવાની સામગ્રી અથવા હવન, ઉચ્ચાવચતા=ઊંચા-નીચાપણું અથવા વિવિધતા]

આ અત્યંત બળકટ ચિંતનાત્મક અછાંદસમાં જાણે અનેક કાવ્યો સમાયેલા છે ! માનવસહજ નબળાઈઓને વિસરી સામર્થ્ય વિના હનુમાન-કુદકો મારવાની ચેષ્ટાનો શું અંત હોઈ શકે,ત્યાંથી શરૂઆત કરી કવિ મધ્યભાગમાં એક શકવર્તી ‘statement’ આપી દે છે- ‘ દ્વૈત એટલે જ યુદ્ધ ‘ ! – આ ઘોષણા આ કાવ્યની ચરમસીમા સમાન છે. ત્યાં તો જરા આગળ વધતા બીજી અદભૂત પંક્તિ આપણને આંચકા સાથે થંભાવી દે છે- ‘ અરે, જેણે આત્મવંચના….અન્ય સામે યુદ્ધ ! ‘ બંને વાત એક જ છે,પરંતુ અંદાઝે-બયાંની તાકાત કાવ્યના મૂળ તત્વને વધુ ઠોસ રીતે નિખાર આપે છે. આથી વધુ કઠોર અને ઈમાનદાર આત્મ-નિરીક્ષણ શું હોઈ શકે ? પૌરાણિક સંદર્ભોને જે અધિકારપૂર્વક અને સચોટ રીતે કવિએ પ્રયોજ્યા છે તે પુરાણોનું સાચું અધ્યયન કોને કહેવાય તેના ઉત્તમ ઉદાહરણ સમાન છે.

Comments (7)

મને મળવાનો તારી પાસે સમય નથી – અનિલા જોશી

તને મળવા હું એટલો બધો આતુર
કે મેં મારા અસ્તિત્વના એંધાણ
ચારે તરફ મૂકી દીધાં.
મારા સ્પર્શથી તને શાતા થાય
એટલે હું હવાની લહેરખી બની આવ્યો,
પણ તું તો સુઈ ગયો એરકન્ડિશન્ડ રૂમમાં.
પુષ્પ બની હું રોજ ને રોજ ખીલું
પણ તારા પાસે મારી સુગંધ સુધી
પહોંચવાનો સમય પણ ક્યાં છે ?
તારા મનને મધુરપથી તરબતર કરવા
પંખીનો સૂર બનીને આવું,
પણ તું તો મશગૂલ
તારા પોપ મ્યુઝિકમાં…
નિદ્રામાં તારું રક્ષણ કરી
સવારે ઉઠાડું એક જ આશાએ
કે કદાચ આજે તું મારી સાથે વાત કરીશ
પણ તું તો મોબાઇલમાં મસ્ત.

-અનિલા જોશી

આમ તો આ મનુષ્યમાત્રને મળવા આતુર ઈશ્વરની ઉક્તિ છે પણ આપણા આજના તમામ સંબંધોમાં સમાનરીતે લાગુ નથી પડતી? જાવેદ અખ્તરનો એક શેર યાદ આવે છે: तब हम दोनों वक्त चुराकर लाते थे, अब मिलते है जब फुरसत होती है |

Comments (7)

()- મીના છેડા

હું રણની રેતી
રાહ જોતી બેઠી છું,
ક્યારે

મૃગજળના દરિયામાં મોજાં આવે
અને
મને
નખશિખ ભીંજવે !

-મીના છેડા

કવિતાની ખરી મજા ત્યારે છે જ્યારે એ ઓછામાં ઓછા શબ્દોમાં મોટામાં મોટી વાત કરી શકે… મીના કવિતા જવલ્લે જ લખે છે પણ જ્યારે લખે છે ત્યારે અંદરતમ તારોને રણઝણાવી દે છે. પ્રતીક્ષા વિષયક આવી ચરમસીમાદ્યોતક કવિતા આપણે ત્યાં જૂજ જ જોવા મળે છે…

*

તાજેતરમાં જ ‘મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી’ અન્વયે મીના છેડાનો પ્રથમ વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ પ્રકાશિત થયો છે. આ સંગ્રહની ત્રેવીસ વાર્તાઓ આંખના ખૂણાઓ સાડી ત્રેવીસવાર ભીંજવી દે એવી થઈ છે… સંગ્રહમાંની જ એક વાર્તા ‘આકાર’ને ‘લેખિની’ સામયિક તરફથી તાજેતરમાં ધીરુબેન પટેલ પારિતોષિક મળ્યું છે.

મીનાને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !

Sambandh naame dariyo

Comments (22)

મિત્રોના સવાલ – શ્રીકાંત વર્મા (અનુ. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )

મિત્રો,
એ કહેવાનો કોઈ અર્થ નથી
કે હું પાછો ફરી રહ્યો છું.

સવાલ એ છે કે તમે ક્યાં જઈ રહ્યા છો ?

મિત્રો,
આ કહેવાનો કોઈ મતલબ નથી
કે હું સમયની સાથે ચાલી રહ્યો છું.

સવાલ એ છે કે સમય તમને બદલી રહ્યો છે
કે તમે
સમયને બદલી રહ્યા છો ?

મિત્રો,
એ કહેવાનો કોઈ અર્થ નથી,
કે હું ઘેર આવી પહોંચ્યો.

સવાલ આ છે
હવે પછી કયાં જશો ?

– શ્રીકાંત વર્મા
(અનુ. જીતેન્દ્ર બ્રહ્મભટ્ટ )

જવાબો શોધવા કરતા પણ સવાલો શોધવા વધારે અઘરા છે.  એક મુદ્દાનો સવાલ એક આખી જીંદગી બદલવા માટે પર્યાપ્ત હોય છે.

આજે બધા કામ પૂરા થઈ જાય પછી નિરાંતે સૂતા પહેલા પોતાની જાતને પૂછી જોજો, ‘સમય તમને બદલી રહ્યો છે કે તમે સમયને બદલી રહ્યા છો?’ – એકાદ અઠવાડિયું ચાલે એટલો વિચારવાનો સામાન મળી રહેશે 🙂

Comments (10)

શેતરંજી – કાલિન્દી પરીખ

એને પત્ની નહોતી જોઈતી
એને તો એક શેતરંજી જોઈતી હતી,
જેના પર એ ચાલી શકે
જેથી એને તીણા, અણિયાળા પથ્થરો
ન વાગે
સહેજ અમથો કાંટો પણ ન વાગે.
અને હા, એના પગને રજ સુધ્ધાં ન સ્પર્શે.
એની ઈચ્છા મુજબ હું પલટાઈ જાઉં
એવી એક જાદુઈ શેતરંજીમાં
જેથી એ ઈચ્છે ત્યારે તેને મનગમતાં ભોજન મળે
એનું દિલ બહેલાવવા મનગમતું પીણું ધરી
એક સુંદરીના રૂપમાં ખડી રહું
અને એના મિત્રોને મિજબાની માટે
બોલાવી શકાય અડધી રાત્રે પણ
હા, એ ઈચ્છે ત્યારે હું સામાન્ય સાદડીમાં
પણ બદલાઈ જાઉં
અને કાળક્રમે જીર્ણ થતાં એ બદલી
પણ શકે.

– કાલિન્દી પરીખ

આજે પણ આ સચ્ચાઈ છે. હા, થોડી પરિસ્થિતિ સુધરી છે. પણ કહે છે કે the more things change, the more they stay the same.

Comments (18)

હું પ્રથમ જાગી – માર્જોરી પાઈઝર (અનુ.- જયા મહેતા)

હું પ્રથમ જાગી
વિશાળ નદીને કાંઠે કાંઠે પરોઢનું અભિવાદન કરતી
હસતા ગધેડાઓની અસંખ્ય ચીસોથી.
હું ફરી જાગી
પર્વત પરથી સૂર્યે
મને ઉઠાડવાને બહાર નીકળીને
ગીચ છોડ તરફ જવા માટે,
ઊંચા શ્વેત વૃક્ષો તરફ જવા માટે,
માછલી ભરી હોડીઓ અને પુરાણા
કબરસ્તાન તરફ જવા માટે
સાદ કરતો સ્પર્શ મારી આંખને કર્યો ત્યારે.

કબર પાસેના લાંબા ઘાસ પર
ઝાકળ જ ઝાકળ પથરાયેલું હતું, ભીનું;
અને મારો કૂતરો પતંગિયાં ને મધમાખીઓનો પીછો કરતો
એમની પર છલાંગ્યો.
જૂની કબરના પથ્થર ઢળતા જાય છે,બેસતા જાય છે,
ટેકરીની જમીન નીચે-
જૂના હાડકાં જૂની ભૂમિ પર માટીમાં ભળતાં જાય છે,
નવી જમીન અને નવું જીવન નિર્માણ કરતાં કરતાં.

આવી શાંત ટેકરી પર
આવી સ્વસ્થ ઊંડી નદીને કાંઠે
હું સૂઈ શકું
મારો સમય આવે ત્યારે
અને કૂતરા પીછો કરતા હોય પતંગિયાં અને મધમાખીઓનો,
મારા નકામાં હાડકાં પર.

– માર્જોરી પાઈઝર (અનુ.- જયા મહેતા)

તત્ત્વમસિ !

Comments (9)

વર્તુળને ખૂણાઓ હોય – સૌરભ શાહ

સંબંધોને બિલોરી કાચમાંથી જોવાની આદત હજી છૂટતી નથી,
વર્તુળને ખૂણાઓ હોયવાળી ભૂમિતિની સાબિતી ક્યારેય તૂટતી નથી.
મારા વગર તું ભલે
કૂપરમાં ડૉગ શો જોવા જઈ શકતી હોય,
ઈરોસના ઈંટરવલમાં કોન આઈસક્રીમ ખાઈ શકતી હોય,
સેટર્ડેએ સાંજે અમરસન્સમાં શૉપિંગ કરવા જઈ શકતી હોય.

અને તારા વગર હું ય ભલે
મહર્ષિ કરવે રોડ ઓળંગી શકતો હોઉં,
ઈરાનીમાં જ્યુક બૉક્સ સાંભળી શકતો હોઉં,
લૉટરીના રિઝલ્ટ ખરીદીને લૉટરી સહિત ફાડી શકતો હોઉં.
પણ જો તું હોત તો
રસ્તો ઓળંગવાને બદલે સબ-વેમાં જવાનું મન થાત,
જ્યુક બૉક્સમાંથી સિક્કા નાખ્યા વગર કોઈ સૂર સંભળાયા કરત,
લૉટરી…. ???!!!

બસમાં તારી ટિકિટ કઢાવું અને તું ‘થેંક્યું’ કહે
થોડી મોડી આવે અને તું ‘સૉરી’ કહે,
વાતવાતમાં ‘પ્લીઝ’ ને વાતવાતમાં ‘વેલકમ’.
પણ મને ક્યારેય આ બધા શબ્દોનું વાક્ય બનાવીને
એનો અર્થ કાઢતા આવડ્યું નહીં.
લોકો તો માનતા કે આપણા સંબંધો તો બારમાસી છે –
પણ એ ભોળાઓને ક્યાં ખબર
કે
શિયાળામાં હું તને હથેળીની ઉષ્માની વાત કરતો હોઉં
ત્યારે તું એને તારી ઠંડી વાતોથી થીજવી દેતી હતી,
ઉનાળામાં આપણા સંબંધો ગુલમોર બનીને મોર્યા હોય
અને તારા મૌનને બારણે ઊભા ઊભા
એય થાકીને ખરી જતા હતા.

– સૌરભ શાહ

ઉપરથી સુંવાળા, સુરેખ દેખાતા સંબંધમાં અણીયાળો ખૂણો ઉપસી આવે ત્યારે ખ્યાલ આવે કે દરેક સંબંધ-વર્તુળને ખૂણા હોય જ છે. કવિએ એકપક્ષી સંબંધની વ્યથાને ધાર કાઢીને મૂકી છે.

Comments (24)

અંગત અંગત : ૧૩ : વાચકોની કલમે – ૦૯

કોઈ એક કવિતા કે કાવ્યાંશના કારણે શું કોઈ માણસની આખી જિંદગી, જિંદગી તરફનો અભિગમ બદલાઈ શકે ખરો ? એક કવિની ભીતરની બારી શું ખુલીને આકાશ થઈ શકે ખરી? તો ચાલો, આજે જોઈએ મુકુલ ચોક્સીની કબૂલાત…

*

સૂર્યઘટિકાયંત્ર

પ્રણય એટલે પોતાના બધા નામો
એક્સાથે ઉતરડી નાખવા તે:
મને યાદ આવે છે મેડ્રિડ 1937
એંજલનો ચોકમાં સ્ત્રીઓ
પોતાના બાળકો સાથે સીવતી’તી ને ગાતી’તી
ત્યારે ઓચિંતી બૂમરાણ સંભળાઈ’તી ને સાયરનો ચીસી ઊઠી’તી
જ્યારે મકાનોને ધૂળ ચાટતા કરાયા’તા
ઈમારતોના ચહેરા ભાંગતા’તા
અને વિમાનોના યંત્રોનો સતત ઝંઝાવાત
બે વ્યક્તિઓએ પોતાના કપડા ફાડી નાખ્યા
અને સ્નેહ સંભોગ કર્યો
ઊગારી તેવા માટે શાશ્વતીના આપણા હિસ્સાને
સમયના અને સ્વર્ગના આપણા હિસ્સાને ઊગારી લેવા માટે,
આપણા મૂળિયા સુધી છેક ઊંડે જઈને આપણને તારવા માટે,
હજારો વર્ષ પહેલાં જીવનના લૂંટારાઓ આપણી પાસેથી જે
જીવનનો વારસો ચોરી ગયા હતા તે વારસાને બચાવી લેવા માટે
પેલા બન્નેએ પોતાના વસ્ત્રો ફાડી નાખ્યાં અને બાથ ભીડી દીધી
કારણ કે જ્યારે બે નગ્ન, નિઃસ્વાર્થ વ્યક્તિઓ ભેગી મળે છે
ત્યારે તેઓ સમયની આરપાર ઊડી જાય છે અને અભય બની રહે છે
કંઈ કરતાં કંઈ પણ તેમને સ્પર્શી શકતું નથી
ત્યાં કોઈ હું કે તું નથી, કે નથી આવતીકાલ
ગઈકાલ કે નથી નામો,
હું મારા ઉન્માદને, ઓરડીઓને, ગલીઓને અનુસરું છું
સમયની પરસાળોમાં હું ફંફોસતો ફંફોસતો ભમું છું
હું પગથિયા ચડું છું ને ઊતરું છું
હલનચલન વગર હું દીવાલો માટે આથડું છું
જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પાછો ફરું છું
હું તારો ચહેરો ઢૂંઢૂં છું
એક અનાદિ સૂર્ય તળેની મારી પોતાની
હયાતિની ગલીઓમાં હું પળું છું અને તું મારી પડખે
ચાલે છે એક વૃક્ષની જેમ
તું નદીની જેમ ચાલે છે,
મારા હાથમાં એક ખિસકોલીની જેમ તું સ્પંદે છે
તું ઊડે છે સેંકડો પંખીઓની જેમ, તારું હાસ્ય
મને પાણીના છંટકાવની જેમ ભીનાવે છે,
તારું માથું મારા હાથમાં એક નાનકડો તારલો છે
તું જ્યારે સંતરું ખાતાં ખાતાં હસે છે ત્યારે દુનિયા
ફરી હરિયાળી બની જાય છે.

– ઑક્તોવિયો પાઝ
(અનુ. જગદીશ જોષી)

એ જમાનો કોલેજકાળનો હતો, સ્વ. સુરેશ જોષીની અસરમાં પશ્ચિમના કવિઓના કાવ્યો વાંચવાનો હતો, નેરુદા, લોકૉ, યેસેનીન, હાલાન અને વાસ્કો પોપાના કાવ્યો મમળાવવાનો હતો. ત્યારે આ બધા કવિઓની ભાષાપ્રચૂરતા જોઈને દંગ રહી જવાતું. એ કાળ સંવેદનોનો, સંબંધોનો અને તીવ્ર લાગણીઓના ઊછાળનો કાળ હતો. પ્રણયની આવેશમય અનુભૂતિઓથી મન સતત તરંગિત રહેતું. ત્યારે સ્વ. જગદીશ જોષી  દ્વારા લેટિન અમેરિકન કવિ ઓક્તોવિયો પાઝની આ દીર્ઘ કવિતાનો તૃતીય એવો ગુજરાતી અનુવાદ વાંચવામાં આવ્યો. સંવેદનાઓની અતિશયોક્તિ શું હોઈ શકે તે આ કાવ્ય પરથી સમજાયું. એટલું જ નહીં, જીવનના અનુભવોને અતિક્રમી જઈને જીવન તથા ભાષાના બેવડા પટ ઉપર હિલોળા લેવાનો અવર્ણનીય અનુભવ આ કાવ્ય કરાવે છે. આ કવિતાએ કવિતા અંગેના મારા નાનકડા વિઝનને ખૂબ ખૂબ મોટું અને વિશાળ કરી નાંખ્યું. ઉપર પેશ છે એમાંની જ કેટલીક પંક્તિઓ…

-મુકુલ ચોક્સી

Comments (7)

અંગત અંગત : ૦૧ : સ્વપ્નાના ભાગીદારોનું ઋણ

ચાની દુકાનમાં

લંડનમાં છે છેલ્લી બેંચનો ડરપોક પરિમલ,
રથિન હવે સાહિત્યક્ષેત્રે એક પરમહંસ.
સાંભળ્યું છે કે દીપુએ તો કાગળનું મોટું કારખાનું ખોલ્યું છે
અને પાંચ ચાના બગીચામાં દસ આની ભાગ છે
એ ઉપરાંત સમય મળે ત્યારે થાય છે દેશસેવક;
અઢી ડઝન વાંદા છૂટ્ટા મૂકી ક્લાસ વેરવિખેર કરી
નાખ્યો તો ગાંડિયા અમલે
તે આજે થયો છે મઝાનો અધ્યાપક.
કેવો ગોરો ગોરો હતો સત્યશરણ
એળે શું કામ પોતાનું ગળું કાપ્યું ચકચકિત છરાથી-
હજીયે એ દ્રશ્ય આવતાં જ કમકમાં આવે છે
દૂર જતો રહેશે એ ખબર હતી, તો પણ આટલો બધો દૂર!
ગલીની ચાની દુકાનમાં હવે બીજું કોઈ નથી
એક વખત અહીંયા અમે બધાં સ્વપ્નોમાં જાગ્યા હતા
એક છોકરીના પ્રેમમાં ડૂબ્યા હતા એકસાથે મળી પાંચેય જણા
આજ તો એ છોકરીનું નામ સુધ્ધાં યાદ નથી.

-સુનીલ ગંગોપાધ્યાય
(અનુ. નલિની માડગાંવકર)

બીજું કાંઈ કહું એ પહેલા મારે કહેવું જોઈએ કે ઈશ્વરે દોસ્તોની બાબતમાં મને હંમેશા માલામાલ રાખ્યો છે. મને મળ્યા એવા દોસ્તો તો કિસ્મતના ધની માણસને જ મળે.

આમ તો આ કાવ્ય ભારતમાં હતો ત્યારે પણ વાંચતો. પણ આજથી તેર વર્ષ પહેલા માતૃભૂમિની સાથેસાથે દોસ્તો પણ છૂટી ગયા ત્યારે આ કવિતા તો ખરો અર્થ સમજાયો. જીંદગીના રસ્તા પર અવળા વળાંકો આવ્યા ત્યારે સમજાયું કે  દોસ્તો અને દોસ્તી એટલે શું. દેશ છૂટી જાય એમાં તો દુ:ખ છે જ પણ મને ખરેખરું દુ:ખ  તો દોસ્તો છૂટી જવાનું છે. દોસ્તી એટલે સારા-ખરાબ પ્રસંગે એકબીજાની સાથે ઊભા રહેવાનો અતૂટ વાયદો. પણ હજારો માઈલ દૂરથી આ વાયદો પાળવો કોઈના માટે શક્ય રહેતો નથી. આડા વખતે પોતાના દોસ્તોના ખભે હાથ ન મૂકી શકાય એનો ભાર દીલ પર લઈને ફરવું બહુ અઘરું કામ છે. આ કવિતામાં આવે છે એવી ‘ચાની દુકાન’માં (એટલે કે કેંટીનમાં કે પાળી પર બેસીને) બહુ સપના સેવ્યા હતા. આજે તો હવે એ સ્વપ્નાના ભાગીદારોનું ઋણ લઈને ફરું છું. મારા અંગત લોકો કહે છે કે, હું મારા દોસ્તોની હાજરીમાં જેવું મોકળા મને હસુ છું એવું હવે બીજે ક્યારે ય નથી હસતો – એનાથી વધારે તો શું કહું ?

આડવાતમાં, દોસ્તો અને દોસ્તીને ગુજરાતી કવિતાએ (અને ખાસ તો ગઝલે) ખૂબ અન્યાય કર્યો છે. હેમેન શાહના શેર, ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર અને સૈફસાહેબના શેર જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી, બહુ ઓછાં પાનાં જોઈ શક્યો – બહુ અંગત-અંગત નામ હતાં – જેવા અનેક શેર ગુજરાતી કવિતામાં છે. પણ દોસ્તી વિષે હકારાત્મક લખાણ ખૂબ ઓછું છે એ વાત દીલને ખૂબ નડે છે.

Comments (10)

આવશે દિવસો કવિતાના – (રશિયન) મારિના ત્સ્વેતાયેવા (અનુ. વિષ્ણુ પંડ્યા)

આવશે એ દિવસો કવિતાના
જેને મેં સા-વ બચપણમાં લખેલી
હું કવિ-
એવો અહેસાસ તો ક્યાંથી હોય ?
આવશે એ દિવસો
રોકેટના અંગાર અને ફુવારાથી
પથરાતી ધાર સરખી કવિતાના.
તડકો અને આળસના નશામાં ઝૂમતા
મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
યૌવન અને મૃત્યુની
એ કવિતાઓ-
જેનું પઠન કદી થયું નથી
આવશે તેનાયે દિવસો !
દુકાનની ધૂળમાં જળવાયેલી
ખરીદવામાં અસંભવ, મોંઘીદાટ, શરાબની જેમ
દિવસો ઊગશે
મારી કવિતાના !

– મારિના ત્સ્વેતાયેવા (રશિયા)
(અનુ. વિષ્ણુ પંડ્યા)

હયાતીના ઓગણપચાસ ટૂંકા વર્ષોમાં કવિ તરીકે રશિયામાં સતત અવહેલના પામેલ રશિયન કવયિત્રીએ આત્મહત્યા કરી એ બાદ બોરિસ પાસ્તરનાક જેવા દિગ્ગજ કવિએ એમને ‘વીસમી સદીની શ્રેષ્ઠ રશિયન કવયિત્રી’ તરીકે ઓળખાવ્યા.

ઓળખ માટેનો સંઘર્ષ અને ઓળખ માટેની ખાતરી -બંને આ કવિતામાં એક સાથે ઊઘડે છે.

Comments (14)

નળસરોવર – ઈન્દુકુમાર ત્રિવેદી

શાન્ત શિયાળુ સવાર…
ને આ નભનીલ સરોવર નીર
જેનાં સ્વચ્છ તરંગે
રંગ રંગનાં પંખી,
તરતાં, ફરતાં,
કહીં કહીં ગગનમાં ઊડતાં
આછાં આછાં જણાય નજરે
એને દૂરબીનથી જોતાં
લાગે પાસે
અડવા ઇચ્છા થાય એટલાં પાસે
દૃગથી જ્યાં પંપાળું
ત્યાં તો
બધાંય સરરર… ગેબ મહીં ગાયબ –

– ઈન્દુકુમાર ત્રિવેદી

નળસરોવરમાં પક્ષી જોવા જઈએ… પક્ષીઓના રંગો અને અજાયબ વિશ્વો જોઈને દંગ થઈ જઈએ અને હળવેથી નજીક જઈ અડવા જઈએ કે તરત બધા ઊડી જાય… આમાં વળી કવિતા ક્યાં આવી? પણ આ ગદ્યકાવ્યને જરા ‘દૂરબીન’ માંડીને જોઈએ તો ગદ્ય અને કાવ્ય વચ્ચેનો ઝીણો તફાવત ઊડીને આંખે વળગે અને વાહ..વાહ.. બોલી ઊઠાય! દૂરબીનથી નજીક લાગે એવા પક્ષીઓને ઇચ્છાની આંખોથી પંપાળીએ અને એ ગેબ મહીં ગાયબ… આ સમાધિ જ કવિતાનો સાચો પ્રાણ છે…

Comments (6)

તમે : એક યાત્રા – સર્વેશ્વરદયાલ સક્સેના (અનુ.સુશીલા દલાલ)

તમે એક યાત્રા છો –
જ્યાં કંઈક કરી છૂટવાનો અર્થ
છે કંઈક મળવું
જ્યાં દરેક થાક
એક નવી સ્ફૂર્તિ છે
જ્યાં પરિવર્તનનો અર્થ
મારું પોતાનું બદલાવું છે
જ્યાં દરેક અનુભૂતિ
ઈશ્વરની મૂર્તિ છે.

– સર્વેશ્વરદયાલ સક્સેના
(અનુ. સુશીલા દલાલ)

અનેક રસ્તાઓમાંથી તમે પોતે યાત્રા માટે કયો રસ્તો પસંદ કરો છે એના પર આખો ખેલ છે. ખાલી દ્રષ્ટિના બદલાવાથી જીવન દમન ને બદલે ઉર્ધ્વગમન બની જાય છે.

Comments (4)

જખ્મો – યેવતુશેન્કો (રશિયા)(અનુ- મહેશ દવે)

કેટલીયે વાર ભારે દર્દ સાથે હું ઘવાયો છું.
જાણે ઘૂંટણિયે પડી ચાલતો હોઉં એમ ઘસડાતો-ઘસડાતો
ઘેર ગયો છું.
માત્ર મેલી-ઘેલી ઝેરીલી જબાનથી જ ઘા નથી પડતા,
ફૂલની પાંદડીથી પણ કોઈને જખમ થઇ શકે છે.
મેં પોતે પણ સાવ જાણ્યે-અજાણ્યે,ઠંડે કલેજે
કેટલાંયને હાલતાં-ચાલતાં જખમી કર્યાં છે;
અને પછીથી કોઈક તેનાથી દુભાયું છે
જાણે ઉઘાડે પગે બરફ પર ચાલવું પડ્યું ન હોય !
હું આમ સહેલાઈથી છેડાઈ-છંછેડાઈ જાઉં છું,
અને મરણતોલ સરળતાથી કોઈકને જખમ કરી બેસું છું.
શા માટે મારી નિકટનાં પ્રિયજનોનાં
ખંડેર પર હું પગલાં માંડતો હોઈશ !

– યેવતુશેન્કો (રશિયા)
અનુ – મહેશ દવે

આ કાવ્ય પર નજર પડતાં જ એવી તીવ્ર લાગણી થઇ કે જાણે મને ઉદ્દેશીને જ આ કાવ્ય લખાયું છે !!!

Comments (11)

એક કવિતા – જ્યોતિષ જાની

ત્રાટક તો મેં કર્યું
ગુલાબના ફૂલ સામે,
આંખમાં આટલા બધા
કાંટા ક્યાંથી ઊગી નીકળ્યા ?

-જ્યોતિષ જાની

Comments (10)

ઝેન કવિતા – અનામી (અનુ. કિશોર શાહ)

ચૂપ બેઠા રહેવું
કશું ન કરવું
વસંત આવે
અને ઘાસ ઊગે આપમેળે.

– અનામી (અનુ. કિશોર શાહ)

બધા ધર્મ ચેતના માટે ભારે તપ અને ત્યાગનો મહિમા કરે છે. જ્યારે ઝેન વિચારધારામાં સાક્ષાત્કાર માટે બને તેટલું ઓછું કરવાનો મહિમા છે. મનમાં કશું સત્વશીલ ઊગે એ પહેલા બે વાત થવી જોઈએ 1) ચૂપ બેસવું અને 2) કશું ન કરવું. વિચાર કરશો તો ખ્યાલ આવશે કે આ તો ઘ્યાનની વ્યાખ્યા થઈ.

આ નાનકડા કાવ્યમાં આખી ઝેન વિચારધારાનો નીચોડ સમાયો છે.

Comments (6)

દીપકાવ્ય – રમેશ પારેખ

એક દીવો છાતી કાઢીને
છડેચોક ઝળહળે,
તો એ અંધારાના
સઘળા અહંકારને દળે.
હરેક ચીજને એ આપે સૌ સૌનું
મૂળ સ્વરૂપ
આવું મોટું દાન કરે
તો પણ એ રહેતો ચૂપ
પોતાને ના કૈ જ અપેક્ષા અન્ય
કાજ બસ બળે !
અંધકાર સામે લડવાની વિદ્યા ક્યાંથી મળી ?
કિયા ગુરુની કૃપા થકી
આ રીત તપસ્યા ફળી ?
હે દીવા, એ શાશ્વત પળ, તું પ્રકટે છે જે પળે …

– રમેશ પારેખ

દિવાળી ટાણે દીપ-મહિમાનું કાવ્ય. આ કાવ્યનો મીરા ભટ્ટનો આસ્વાદ અહીં જુઓ.

Comments (7)

અ-બોધકથા – ચન્દ્રકાન્ત ટોપીવાળા

ઘેટું નદીએ પાણી પીતું હતું.
ક્યાંકથી વરુ
એની બાજુમાં આવીને ઊભું.
અને પાણી પીવા લાગ્યું.
ઘેટું દમામથી કહે :
‘જરા છેટું રહે છેટું
તારું એઠું પાણી પીને મારું મોઢું ગંધાવા માંડશે.’
વરુ હેબકાઈ ગયું.
એણે જોયું કે
ધ્રૂજવાની વાત તો બાજુએ રહી
ઘેટું ટટાર ડોક, ટટાર ટાંગ, ટટાર પુચ્છ,
લાલ આંખે એની તરફ તાકતું હતું.
વરુએ આંખ ઉઘાડબંધ કરી
પણ કોઈ ફેર પડ્યો બહીં
ઘેટાને જુએ ને વાઘ દેખાય.
ટટાર ઘેટાની બાજુમાં
વરુએ ગરીબ ઘેટું બની પાણી પીધે રાખ્યું.

– ચન્દ્રકાન્ત ટોપીવાળા

ઘેટું અને વરુની બોધકથા તો આપણે બધા જાણીએ જ છીએ પણ અહીં કવિએ જે અ-બોધકથા કહી છે એ જ મને તો આજની દુનિયાની ખરી બોધકથા લાગે છે. ‘મારે એની તલવાર’ને ‘બળિયાના બે ભાગ’ એમનેમ કહ્યું હશે ભલા?!એ

Comments (15)

વૃક્ષકાવ્યો – ધૂની માંડલિયા

માત્ર વૃક્ષો જ નહીં
સાથે
છાંયડો પણ કપાય છે.

*

પલંગ
ઉપર સૂઉં છું
ને
એક વૃક્ષ
સતત ઊડાઊડ કરે છે
મારી આસપાસ
ઉપર-નીચે.

*

ચોમાસું ક્યારે ?
એ જાણવા
વૃક્ષો પંચાંગ નથી જોતાં.

*

દોસ્ત,
ભીંતનું અને વૃક્ષનું
તૂટી પડવું
એકસરખું નથી.

*

વૃક્ષને
જ્યારે પ્રથમ ફળ
બેસે છે ત્યારે
સીમ આખી ઊજવે છે
ઉત્સવ.

– ધૂની માંડલિયા

ધરતીને ભલે આપણે મા ગણતાં હોઈએ, વૃક્ષ આપણી ધોરી નસ છે. કવિની સંવેદનામાં વૃક્ષોના પાંદડા ન ફરકે તો એનું કવિત્વ શંકાશીલ ગણવું. કમનસીબી જોકે એ છે કે વૃક્ષપ્રીતિના કાવ્ય આપણે વૃક્ષમાંથી બનેલા કાગળ પર જ લખવા પડે છે…

Comments (10)

(આખરની તૈયારી) – વિપિન પરીખ

vipin

****

હું તો એનો એ જ છું
હું કોઈ મ્હોરું પહેરતો નથી કારણ કે મને એની જરૂર જ નથી.
આ સઘળા ધર્મમાંથી
મેં એક જ ધર્મ નીભાવ્યો છે.
એ છે માણસાઈ.

મારે જલદી દોડવું છે
કે જરા જેટલો સમય જ રહ્યો છે.
ચૂસકીઓ ભરવામાં હવે ઝડપ રાખવી છે.
મારા દિલમાં કોઈ બોજ નથી
બેદરકારીઓનો કે ભૂલોનો
જે મારાથી થઈ છે કે થતા રહી ગઈ છે.

– વિપિન પરીખ
(અનુ. ધવલ શાહ)

વિપિન પારીખને કાવ્યાંજલીની શ્રેણીમાંનુ  આ આખરી કાવ્ય બહુ ખાસ રચના છે. ફ્રેબ્રુઆરીમાં કવિએ આ રચના એમના મિત્ર અનિલ પરીખને લખીને આપેલી. અનિલભાઈએ આ રચના ખાસ લયસ્તરોના વાંચકો માટે મોકલી છે.

આમ તો કવિએ મૃત્યુ વિશે અઢળક લખ્યું છે. પણ આ કવિતા આપણા કાવ્ય-ઈતિહાસનું એક વિરલ પાનુ છે. આવી જણસ આપણને બધાને માણવા મળે છે એ બહુ મોટી વાત છે.

Comments (16)

એક ટૂંકો પરિચય – વિપિન પરીખ

મૃત્યુ સફેદ હોય છે
ચાદર જેવું

મૃત્યુ ઠંડું હોય છે
બરફ જેવું

મૃત્યુ હુકમનું પાનું છે.
મૃત્યુ શંકરના હાથનું ડમરું છે.
મૃત્યુ બિલાડીના પગ છે.
મૃત્યુ કાલીની જીભથી ટપકે છે લાલલાલ …

– વિપિન પરીખ

પાંચે ઈન્દ્રિયથી મૃત્યુને માપી લેતી વામન પગલા સમાન કવિતા.

Comments (5)

સૂર્યનું છેલ્લું કિરણ – વિપિન પરીખ

હિમાદ્રીએથી સરકી જઈને
પડે પ્રપાતે વળી ડૂબકી દઈ
તરે સરિતે થઈને પ્રફુલ્લ;
ને સૂર્યમુખી ચૂમીને લજાળ
ક્યાંયે જતું શ્યામલ અશ્વ-પીઠે !

– વિપિન પરીખ

વિપિન પરીખની કવિતા અંગે બે મત પ્રચલિત છે. એક વર્ગ એમને કવિ તરીકે માનવા તૈયાર નથી અને બીજો વર્ગ એમની કવિતાઓનો આશિક છે. કવિ પોતે આ વાત સ્વીકારે છે. બહુધા આપણે એમ માનીએ છીએ કે વિપિન પરીખ એટલે ઊર્મિશીલ અછાંદસ કાવ્યોનો શહેનશાહ જે કાવ્યાંતે ધારી ચોટ આપીને ભાવકને જકડી લે છે… એક નજર આ કવિતા ઉપર કરીએ… માત્ર પાંચ જ લીટીના કાવ્યમાં કવિ જૂજ શબ્દોની મદદથી સૂર્યના છેલ્લા કિરણનું કેવું સબળ ચિત્ર નીપજાવી શક્યા છે ! અને છે અછાંદસ પણ એનો લય કેવો પ્રબળ છે!! આ પણ વિપિન પરીખ છે……

Comments (13)

જતાં જતાં – વિપિન પરીખ

સલામ મારા દેશને – મારા દેશની માટીને,
મારા ભેરુઓને
જેમણે મારા શૈશવના ખૂણેખૂણાને આનંદથી કલ્લોલિત કર્યો.

સલામ પેલા ગુલાબના ફૂલને
જેણે મારા આકાશમાં મુલાયમ સ્વપ્નો ગૂંથ્યાં.

સલામ પેલી દર્દભરી કોયલને
જેણે મારા હૃદયને આંબાનું વૃક્ષ બનાવ્યું.

સલામ પેલી કામધેનુને જેણે પોતાની અમીધારાથી
મારા શરીરના કોષોને ધબકતા રાખ્યા.

સલામ મારી માને જેની આંખોએ મને ક્યારેય દૂર ન કર્યો.
અને સલામ શબ્દોને
જેમણે મારા હોઠને સતત ગૂંજતા રાખ્યા.

– વિપિન પરીખ

અછાંદસસમ્રાટ વિપિન પરીખનો ક્ષર દેહ નહીં, માત્ર અ-ક્ષરદેહ હવે આપણી વચ્ચે રહી ગયો છે ત્યારે કવિહૃદયનો યથાર્થ નિચોડ આપતું આ કાવ્ય સહેજે પ્રસ્તુત બની રહે છે. માણસ ખરા હૃદયથી કોને કોને સલામ ભરે છે જાણીએ તો માણસને આખેઆખો સમજી લેવાય… કવિ પણ પોતાનો બાયો-ડેટા આપવામાં પારદર્શક રાજીપો બતાવે છે…

Comments (9)

વિપિન પરીખ હવે નથી.

કવિ વિપિન પરીખ 16 તારીખે મુંબઈમાં અવસાન પામ્યા.  એક વખત અનાયાસ એમનો સંગ્રહ ‘કોફી હાઉસ’ હાથ લાગી ગયો ત્યારથી એમની ઓળખાણ થયેલી. ‘કોફી હાઉસ’માંની એમની સંવેદનશીલ, ચોટદાર અને છંદના ટેકા વિના ટટ્ટાર ઊભી રહેતી કવિતા, એવી દિલ પર વરસી કે એ ઘડીથી એમની સાથે માનસિક ઘરોબો થઈ ગયો.  એમની કવિતામાં જરૂરતથી વધારે એક પણ શબ્દ ન હોય. અને હંમેશા જરૂરતથી થોડી ઓછી નાટકીયતા હોય. અને એક વાર સમજાય તો રાતભર જાગવાની તૈયારી રાખવાની એટલી ધાર હોય. ઉંમરમાં એ સીત્તેરની ઉપર છે (એટલે કે ટેકનીકલી ‘આગલી પેઢીના કવિ’ છે) એવું એમની કવિતામાં કદી દેખાયું નથી. એ રીતે એમની કવિતા સમયને અતિક્ર્મી ગઈ છે.

એમના પોતાના જીવન વિષે ખૂબ જૂજ માહિતી ઉપલબ્ધ છે. એમનું કુટુંબ મૂળ ચીખલીથી. પણ એમનો જન્મ 1930માં મુંબઈમાં. પહેલા મૉડર્ન સ્કૂલ અને પછી વિદ્યાભવનમાં અભ્યાસ. આજીવન વ્યવસાય કૌટુંબિક હાર્ડવેરનો ધંધો. કવિતા મોડી ઉંમરે શરૂ કરી. ત્રણ સંગહો કર્યા: આશંકા (1975), તલાશ (1980) અને કોફી હાઉસ(1998). મારી… તમારી… આપણી વાત… (2003)માં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. સંગીત અને જ્યોતિષ એમના ખાસ શોખ.  (પૂરક માહિતી માટે આભાર : મહેશ દલાલ)

આજે પ્રસ્તુત છે એમની પ્રસિદ્ધ કવિતા એમના પોતાના હસ્તાક્ષરમાં. આવનારા દિવસોમાં એમની થોડી વધુ કવિતાઓથી એમને યાદ કરીશું.

Scan90002

Comments (16)

સહવાસ – વિપિન પરીખ

હું તને એમ નહીં પૂછું
“તારી આંખમાં આંસુ કેમ છે ?”
માત્ર એટલું જ કહીશ
“આવ, મારી બાજુમાં બેસ !”

– વિપિન પરીખ

વેદનાનું પોસ્ટમોર્ટમ કરવા ન બેસાય. એને તો હૂંફમાં પીગળાવી દેવાની હોય. સ્પર્શમાં ઓગાળી દેવાની હોય. ચાર આંખોની વચ્ચે સન્માનપૂર્વક દફનાવી દેવાની હોય.

Comments (17)

(-) કબીર અનુ. મોહનદાસ પટેલ

એક નિરંતર અંતર નાહીં,
હૌં સબહિનમેં ના મૈં નાહીં.
મોહિ બિલગ બિલગ બિલગાઈલ હો,
એક સમાના કોઈ સમુઝત નાહીં
જાતે જરા મરણ ભ્રમ જઈ હો.
રૈન દિવસ જે તહવા નાહીં,
નારિ પુરુષ સમતાઈ હો.
પઠયે ન જાવોં આને નાહીં આવો
સહજ રહૌ દુનિયાઈ હો,
સુરનર મુનિ જાકે ખોજ પડે હૈ
કછુ કછુ કબીરન પાઈ હો .

– કબીર

એક હું નિરંતર,અંતર મારે નથી,
સઘળાની માહીં હું છું,નહીં તો હું નથી.
સ્વતંત્રતાના ખ્યાલથી પણ સ્વતંત્ર છું.
એક હું સર્વવ્યાપી,કોઈ આ સમજતું નથી
સમજતે તો મોહ અને મૃત્યુનો ભ્રમ ચાલ્યો જતે.
રાત-દિવસ ત્યાં નથી
નર-નારીનો ભેદ નથી
મોકલાવ્યો ક્યાંય જતો નથી,બોલાવ્યો આવતો નથી
દુનિયામાં સહજ રીતે વિહરું છું.
જેને સુર નર મુનિ શોધી રહ્યા છે
કબીર તેને થોડું થોડું પામી રહ્યો છે.

-અનુ.: મોહનદાસ પટેલ

સંત કબીરને સામાન્ય રીતે તેઓના અદભૂત દોહાઓથી સૌ ઓળખે છે,પરંતુ તેઓનું ‘બીજક’ તત્વજ્ઞાનની ખાણ સમું છે. ભાષા થોડી મહેનત કરાવે તેવી હોય છે,પણ અર્ક અદભૂત હોય છે. પ્રસ્તુત કાવ્ય ‘અહં બ્રહ્માસ્મિ’ ના નાદને ઉદઘોષિત કરે છે.

Comments (14)

પડછાયો – પ્રવીણ ગઢવી

‘O, Wood Cutter,
Cut my Shadow.’

હિન્દુ બનું
બુદ્ધ બનું
મુસલમાન બનું
આ પડછાયો કપાતો નથી,
મારાથી.

કુલડી ગઈ
સાવરણી ગઈ
આ પડછાયો ખૂટતો નથી
મારાથી.

નામ બદલું
કામ બદલું
ઠામ બદલું
જાત બદલું
આ પડછાયો છોડતો નથી.

ભાષા બદલું
વેશ બદલું
ઈતિહાસ બદલું
આ પડછાયો તૂટતો નથી.

સ્મૃતિ રચું
બંધારણ રચું
કાયદા કરું
થાપણ બનું
કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.

‘O, Wood Cutter,
Cut my Shadow.’

– પ્રવીણ ગઢવી
(‘પડછાયો’)

અસ્પૃશ્યતા આપણા સમાજનું સૌથી મોટું કલંક છે. એક વાર અસ્પૃશ્યની છાપ જેના નામ પાછળ લખાઈ જાય એ પછી ગમે તે કરો પૂરેપૂરી કદી ભૂંસાતી જ નથી. આ અસ્પૃશ્યતા – આ કાળો પડછાયો – આપણા બધાનું સહિયારું પાપ છે. કોણ જાણે કેટલો વધારે સમય લાગશે એને ભૂંસાતા ?

Comments (13)

(ગીત) – લેનર્ડ કોહેન

એ એટલું સરસ ગાય છે
કે એના અવાજમાં કોઈ ઈચ્છા જ નથી.
એ એકલી ગાય છે,
આપણને બધાને કહેવા માટે
કે હજી આપણે આપણને મળ્યા નથી.

– લેનર્ડ કોહેન
(અનુ. સુરેશ દ્લાલ)

સ્ફટીકમય ગીત, નશ્વર ઈચ્છાઓથી ઉપર બીરાજતું ગીત, એકલતાથી સીંચેલુ ગીત : આટલું પવિત્ર ગીત તો અંતર આત્માની સામે ધરેલા અરીસા સમાન હોય છે.

Comments (16)

(પંખી) – સિલાસ પટેલિયા

દૂરાતિદૂર એ પંખી ઊડી આવી બેઠું
મારા ખભા પર, શાંત-મૌન!

છતાં એની આંખોમાંથી દૂરના દરિયાનાં મોજાં
ઘૂઘવતાં, એની કથા કહેતાં મારા ખભે
અથડાતાં’તાં…

એની બિડાયેલી પાંખોમાં ઘોધમાર વરસાદ
કાળઝાળ તલવારધાર ઉનાળો ને હિમછાયો
શિયાળો –
મને એની યાત્રા કહેતા હતા

કોઈ ઋષિની વાણી જાણે વહેતી હતી
ને એમાં હું નિમગ્ન!
થોડી વાર આમ બેસી
એ ઊડી ગયું
છતાંય એ મારા ખભા પર જ છે!

– સિલાસ પટેલિયા

મનગમતી ચીજ પોતાના મનને અડી લે –  મનને ભર્યુંભર્યું કરી દે – એ ક્ષણનું અનુપમ વર્ણન.

ચંદ ક્ષણોમાં અસ્તિત્વને હંમેશ માટે ભર્યુંભર્યું કરી જનાર એવા તે ક્યા પંખીની વાત કવિ કરે છે ? – દરેક માટે આ પંખી અલગ અલગ હોઈ શકે : મનગમતી વ્યક્તિ, ચેતનાની ક્ષણ, અનુભૂતિનું અવતરણ કે પછી તમને અંદરથી અડકી લે એવી કોઈ પણ ચીજ.

Comments (9)

તા. ૧૫-૧૧-૬૩ – રાવજી પટેલ

દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ
ગમતું નથી.
મને કોઈ રાવજીથી ઓળખે
એયે હવે ગમતું નથી.
સ્વપ્નપરીઓના સુવાસિત દેશને
પરીઓ બધી ઊંચકી ગઈ !
ને જાતને સમજાવતો હું થઇ ગયો.
રે, શું થયું ?
હું કશી દીવાલોમાં અટવાઉં છું,
ઇસ્ત્રી કરેલા શબ્દને હું ગોઠવું છું
કોઈ કાનોમાં,
કોઈ કાનોમાં ધખધખ થતું સીસું
તો કોઈમાં એવું પ્રવાહી રેડવું મારે પડે
કે
જીભ પર પાણી વળે
ને આંખ એની મુજને તાક્યા કરે.
આમ હું તો મધ સમો મીઠો બનું
ને યુદ્ધના વિચાર શો ધિક્કારવા લાયક બનું.
લાચાર છું.
આ શહેરમાં-હોટેલમાં-સરિયામ રસ્તે-
કોઈ સાથે -ટ્રેનમાં-પરગામમાં
આ સભ્યતાની કુંવરી [!]ને સાચવ્યા કરવી.
હું મુરબ્બી !
કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો !
સહુ સામે મને-સાચા મને-બતલાવવાનો તો
વખત મળતો નથી;
હું મને જડતો નથી.
મારે કૂદવું છે વાછડાની જેમ
કોઈને ખટકું નહિ એવો
પવનની લ્હેરખી જેવો
ફરું;
હું ચગું વંટોળીયાની જેમ
કે
મારા પતનને કોઈ જાણે ના.
સ્કૂલમાંથી ઘર તરફ વળતા મનસ્વી બાળ જેવું –
અજાણ્યા માનવીને જોઈ હસતું,
પોલીસનો ડંડો જરી ખેંચી પછી
ચડ્ડી ચડાવી ભાગતું,
સિગરેટનાં ઠૂંઠા ,નકામી બાટલીના બૂચ વીણી
ટ્રાફિકને સમજ્યા વગર જોતું
હવામાં જેમ ફુગ્ગો જાય એવું જાય ઘરમાં-
વર્તવું છે.
પરંતુ આજ હું બાળક બની શકતો નથી
હું મિત્ર કેરા હાથને દાબી નથી શકતો;
પછી તો –

દેહમાં પુરાયેલા આ અસ્તિત્વનાં સર્પને
હું ભેળવી શકતો નથી સહુમાં;
ફૂલની ફોરમ સમો એ તે બને ?!
ચોવીસમી આ પારદર્શક કાંચળી ઉતારતાં
એને હવે પકડું
નહિ તો…..

– રાવજી પટેલ

એકસાથે કેટલી બધી વાતો કવિ કહી દે છે ! પ્રથમ ચાર લીટીઓ જ કવિનાં મૂડની છડી પોકારી દે છે. પ્રથમ ચાર લીટી જ એક સ્વતંત્ર કાવ્ય છે. દરેક કાનની કવિ પાસેથી પોતાની આગવી માંગણી છે. વળી આ શિષ્ટાચાર કદીમદીનો નથી-બધેજ ઠેકાણે આ સભ્યતાની કુંવરીને સાચવવાની છે !! આ કૃત્રિમતાને અંતે હું કેવો – ‘ કોઈ પેઢીના હિસાબી ચોપડા જેવો નર્યો જુઠ્ઠો ! ‘ …….. શબ્દો જાણે ચાબખાની જેમ વાગે છે ! ત્યારબાદ કાવ્ય વળાંક લે છે અને અંતિમ ચરણમાં ફરી પાછું આત્મદર્શન અને એક વિડંબના……

Comments (11)

કવિતા બાબત બેએક વાતો – સિતાંશુ યશશ્ચંદ્ર

કવિતા ત્રણ પ્રકારની હોય છે.
છાંદસ, અછાંદસ અને ગીત-ગઝલ.
છેલ્લામાં બે પેટાપ્રકારો આવે છે: ગીત અને ગઝલ.
ગીત પેટવિભાગમાં જરા ઉપર તરફ
તો ગઝલ પેટ વિભાગમાં જરા નીચે તરફ હોય,
એવું એકંદરે જોવા મળે છે. પણ હંમેશાં નહિ.

મિત્રો, અછાંદસથી શરૂ થઈ શકાય.
શરૂઆતમાં એને ‘અછંદાસ’ પણ કહી શકાય.
એમાં ગમે તે ચાલે. એને લાડમાં કે ટૂંકમાં ‘દાસ’ પણ કહી શકાય.
જોકે મુશાયરામાં એ ન ચાલે, એ એની એક ખામી છે.
મુશાયરા માટે જે ગજલનો ટ્રાય કર્યો હોય ને મેનેજરે જો શેરીઅત કે
ગલીઅત કે ગલગલિયત કે ગઝલિયત આમાં નથી એવો ફેંસલો તમે
ઘણું કરગર્યા પછી ચોથા પેગ બાદ પણ તમારા ખર્ચે આપ્યો હોય,
તો પછી એ જ કૃતિને અછંદાસ ગણાવી છપાવવામાં બાધ નથી.

ટૂંકમાં જે ગીતગજલ કે છંદાસ ન હોય એ અછંદાસ; પણ ટૂંકમાં નહિ,
જરા લંબાણથી. અછંદાસમાં લંબાણ જોઈએ.
વળી એમાં અંગ્રેજીની પણ જરૂર પડે એ એક પ્રૉબ્લેમ છે.
છાંદસનું બજાર આજકાલ ગરમ છે, મિત્રો.
લખો તો જરૂર છપાય. વધુ આગળ વાંચો…

Comments (73)

(મારું દુઃખ) – રાવજી પટેલ

મારું દુઃખ ચકલીઓ મૂંગી છે તે છે.
આગલી કવિતામાં
મારા જીવનનાં
દસ વર્ષ વહી ગયાં; અને
હું આંસુમાં,ઓગળી ગયેલી ચકલીઓ જેવો
ફરીવાર થઈ ગયો.
મારા હાથ
બોબડાની જીભ જેવા.
ભીંત પર હલ્યા કરતા પડછાયા જેવો
ઘરમાં વસું
એના કરતા મંદિરનો ઘંટ હોત તોય સારું,
કેટલાય કાનને હું જગાડત…..

– રાવજી પટેલ

આ કવિ માટે મને ખાસ પક્ષપાત છે. એની કોઈપણ કવિતા દિલમાં જડાઈ જાય છે.

પ્રથમ વાંચને સરળ લગતી આ કવિતામાં ઈંગિતોની ભરમાર છે. કવિના ચિત્કારો બહેરા કાનોએ અથડાય છે. કવિ તરીકેનું અસ્તિત્વ નિરર્થક ભાસે છે. જીવનનાં દસ વર્ષોનો નીચોડ એક કવિતામાં ઠાલવ્યા પછીની કવિની સ્થિતિ ઘેરી નિરાશાની દ્યોતક છે . છેલ્લા પંક્તિઓમાં માનવજાત પ્રત્યેની નિરાશા છલકે છે – કહે છે -‘ ….કેટલાય કાનોને હું જગાડત….’ – કમ સે કમ કાનોને તો જગાડી શકતે ! માંહ્યલાને જગાડવો તો અસંભવ ભાસે છે ! આ જ ચિત્કાર દુષ્યંતકુમારની કવિતાઓમાં ઠેર ઠેર સાંપડે છે.

Comments (8)

(સત્ય અને બળ) – રધુવીર ચૌધરી

સહદેવ, અગ્નિ લાવ;
જે હાથે દ્રૌપદીને હોડમાં મૂકી
એ હાથ હું બાળી નાખું.
ભલે એ હોય મોટાભાઈના.

જાતને હારનાર
બીજાને હોડમાં મૂકે એ મને મંજૂર નથી.
સહદેવ, અગ્નિ લાવ,
હું આ આખી ધૃતસભાને સળગાવી દઉં.
આ સિંહાસન પર સ્થિર થયેલા અંધાપાને
પ્રકાશમાં પલટાવી દઉં.

પાંચાલીના પ્રશ્નનો ઉત્તર કોઈની પાસે નથી
અહીં આશ્રિત બનેલો ધર્મ
અંધાપાને અનુકૂળ રહ્યો છે.
શાંતિના નામે હું દાસ નથી રહેવાનો,
હું અધર્મની છાતી તોડીશ.
સહદેવ, તારું સત્ય લાવ,
એને હું મારા બળમાં પ્રગટાવીશ.

– રઘુવીર ચૌધરી

કાવ્યનો પ્રસંગ બધાને ખબર જ છે. ભીમના મોઢામાંથી બોલાતા આ કાવ્યનો સંદર્ભ સર્વવિદિત છે. પણ આ ઘટનાને કવિ જે અલગ દ્રષ્ટિકોણ આપે છે તે કાવ્યને મહાન બનાવે છે.

ખાલી સત્ય (અને જ્ઞાન)થી કાંઈ શક્ય નથી. સત્યનો આદર કરવાનો એક જ રસ્તો છે – એને આચરણમાં મૂકવાનો.  જે સત્યને તમે કર્મનો ટેકો નહીં આપી શકો તે વિલોપાઈ જ જવાનું. કવિએ કાવ્યમાં ભીમની સાથે સંવાદમાં સહદેવને મૂક્યો છે. સહદેવ બધુ જાણતો હોવા છતાં જાતે કદી કશું કરી શકે નહોતો. એ અહીં નમાલા, અકર્મણ્ય સત્યનું પ્રતિક છે.

સત્યનો પૂર્ણ પ્રકાશ તો એની પાછળ કર્મનું બળ મૂકો તો જ મળે.

Comments (8)

(કદ) – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

અખંડ
મીણબત્તી
નાની થતી જાય છે,
પણ
છેવટની ક્ષણ સુધી
ઘટતું નથી
એની જ્યોતનું કદ !

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

એક જ લીટી જેટલું નાનું પણ કેવું વિરાટ કદનું કાવ્ય !

Comments (11)

(આમ તો) સુરેશ દલાલ

આમ તો હવામાં વસંત છે
પણ ફૂલો આટલાં ઉદાસ કેમ છે ?
ભમરાઓ કોનો શોક પાળીને
આટલા ગમગીન છે ?
પતંગિયાંઓ કરમાયેલાં ફૂલની
જેમ પડી રહ્યાં છે
કોયલના કંઠ પર કાગડાઓએ
ચોકીપ્હેરો ગોઠવ્યો હોય
એવું લાગે છે
આમ તો હવામાં વસંત છે,
– પણ…

– સુરેશ દલાલ

માણસનો અને એ રીતે પ્રકૃતિનો મૂડ પળેપળ બદલાતો હોય છે, ક્યાંક પાનખરમાં વસંત અનુભવાય છે તો ક્યાંક વસંતમાં પણ પાનખરનો અહેસાસ થાય છે. આપણી જેવી મનોદશા તેવું આપણું દર્શન. કહ્યું છે ને કે કમળો હોય તો પીળું દેખાય?!

Comments (10)

ઉમાશંકર વિશેષ :૧૧: પ્રશ્નો – ઉમાશંકર જોષી

umashankar

કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે ?
પ્રણય હ્રદયનો અર્ધ્ય અદયને તર્પે ?

મૈત્રી, બિંદુ બે મથંત બનવા રેખા ?
કર્મ, તિમિર-પટ પર વિદ્યુતલિપિરેખા ?

સત્તા, આત્મવિશ્વાસ તણી હરરાજી ?
કીર્તિ, કાળને મુખે થતી પતરાજી ?

દયા, અધિકતા છુપાવતું અવગુંઠન ?
ત્યાગ, વામ કરથી દક્ષિણને અર્પણ ?

મુક્તિ, વળી નવતર બંધનની માયા ?
સત્ , અંતે અંતરતમ પુરુષની છાયા ?

– ઉમાશંકર જોશી

ઉમાશંકરના કવ્યોમાં વ્યંગ ભાગ્યે જ જોવા મળે. અને આ તો આખું કાવ્ય જ વ્યંગથી ભરેલું. જોકે કવિની કુશળતા જુઓ કે આ બધા ચાબખા એમણે કેવા શિષ્ટતમ ભાષામાં છુપાવ્યા છે !

(અદય=નિષ્ઠુર, ક્રૂર, અર્ધ્ય=આરતી, પતરાજી=શેખી, ડંફાસ, અવગુંઠન=બુરખો, લાજ, વામ= ડાબો, દક્ષિણ=જમણો, અંતરતમ=અત્યંત પોતાનું, નજીકનું)

Comments (4)

ઉમાશંકર વિશેષ :૦૯: માઈલોના માઈલો મારી અંદર – ઉમાશંકર જોશી

with Agney

(હિન્દી સાહિત્યસમ્રાટ અજ્ઞેય સાથે…)

*

umashankar joshi
(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત)

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

– ઉમાશંકર જોશી

કવિનું જગત તો આમેય સ્મૃતિવરણું જ હોય. એનાથી ય આગળ જઈને કવિ તો એ સ્મૃતિઓ કેવી રીતે પોતાના શરીરના એક એક કણમાં વસી ગઈ છે એ વર્ણવે છે. અને એ સ્મરણના સહારે કવિ આખા વિશ્વ સાથે એકાત્મ અનુભવિ રહે છે. ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, ઝબકી જાય, છલકી જાય અને અનંત એકરાગિતા સર્જી જાય એ સ્થિતીની વાત કવિ પોતાની આગવી અદાથી કરે છે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે…. એ કલ્પના જ એટલી બળુકી છે કે સ્મૃતિપટને રણકાવી જાય છે !

(શોણિત=લોહી, ઓકળી=લીંપણની એક જાતની ભાત, ક્વાસાર=quasar, આકાશગંગાની નાભિ, દ્યુતિ=તેજ, અભીપ્સા=ઈચ્છા)

Comments (3)

ઉમાશંકર વિશેષ :૦૮: આગ અને હિમ

Munshi
( કનૈયાલાલ મા. મુનશી સાથે ઉમાશંકર જોશી)

*

કોઈ કહે : દુનિયાનો થાશે પ્રલય આગ થકી.
કહે કોઈ : હિમથી.
મને કાંઈ જે સ્વાદ કામના તણો મળ્યો તે પરથી
સાચા લાગે આગ પક્ષના નકી.
પણ બે વાર પ્રલય દુનિયાનો થાવો હોય કદી,
તો મુજને થતું પરિચય દ્વેષનો મને એટલો છે
કે કહી શકું : લાવવા અંત
હિમ પણ છે પ્રતાપવંત
ને પૂરતું નીવડશે.

– રોબેર્ટ ફ્રોસ્ટ
(અનુ. ઉમાશંકર જોશી, ૨૭-૧૧-૧૯૭૧)

આસ્વાદ શ્રી ઉમાશંકરના શબ્દોમાં –

.                       ‘ફ્રોસ્ટે લખ્યું છે- ” કવિતા આહલાદમાં આરંભાય અને પૂર્ણાહુતિ પામે શાણપણમાં.” આ કૃતિ તે વિધાનની યથાર્થતાની સાબિતી છે. ફ્રોસ્ટની ભાષા બહુધા સાદી હોય છે. છંદ કે લય બહુ આગળ પડી આવતા નથી. પરંતુ કૃતિની સુરેખતા હમેશા જળવાઈ રહે છે. શબ્દોનો કરકસરપૂર્વકનો ઉપયોગ કલાને વધુ નિખારે છે.

.                     કાવ્ય દ્વન્દ્વના બંને છેડો કેટલા કાતિલ હોય છે તેની વાત કરે છે-ઉષ્ણ અને શીત,રાગ અને દ્વેષ. પૃથ્વીના ઈતિહાસમાં હિમપ્રલય,જળપ્રલય ની વાત છે પરંતુ આગથી થયેલ પ્રલય જાણમાં નથી. મહત્વ એ વાત નું છે કે દ્વન્દ્વનો કોઈપણ છેડો પ્રલય લાવવા સક્ષમ છે. આ ઉપરાંત પણ અર્થ છુપાયેલા છે જે ભાવકની શુદ્ધિબુદ્ધિ ઉપર છોડાયેલ છે.’

Comments (7)

ઉમાશંકર વિશેષ :૦૭: કવિની ઇચ્છા

Dhumketu
(ધૂમકેતુ અને ઉમાશંકર જોશી)

*

વર્તમાન જયારે મારા આ ધ્રૂજતા આયખા પર આગળા ભીડી દે,
અને ફાલ્ગુન માસ હરિયાળા ખુશહાલ પાંદડાં ફફડાવી રહે
નવા કાંતેલ રેશમ શી નાજુક-જાળિયાળી પાંખો શાં, ત્યારે
પડોશીઓ કહેશે વારુ કે
‘એ હતો માનવી, આવી વસ્તુઓ જોવાની અચૂક ટેવ હતી જેને’ ?
બને કે સાંજુકી વેળા,જેમ નીરવ પડે પલક આંખની
તેમ ઊતરી આવે ઝાકળ-ઘડીએ બાજ, છાયાઓ પાર,જંપવા જરી
ઉપલાણે પવન-અમળાયેલ કાંટ્ય પર; એ બધું જોઈ રહેલા ત્યારે
થશે કો માનવીને શું : ‘એને તો ખસૂસ આ દ્રશ્ય પરિચિત
હશે જ હશે’?
હું કોઈ ફૂદાં-ભરેલી ઉષ્માભરી શ્યામલતામાં વિચરું રાત્રિલોકની,
જયારે ઘાસ પર પથ કાપતો શેળો ફરુરર કરતો જાય સરકી,
કોઈ કહેય તે : ‘આવા નિર્દોષ પ્રાણીને ન ઈજા કશી થવા
પામે તે માટે તે મથ્યો,
પણ તે જૂજ જ કાંઈ કરી શખ્યો તેઓ કાજે;અને હવે તો તે ગત થયો.’
જો સૌ ઊભે મુજ દ્વારે,અંતે હું શમી ગયો – એ સમાચારે,
પૂર્ણનક્ષત્રમય નભ ન્યાળીને – જે શિયાળાને જ જોવા મળે.
મારો ચહેરો નીરખવાના નથી જે,મનમાં તેઓના ઊગશે શું
વિચાર આ કે
‘તે હતો એવો,જેને નજર હતીસ્તો આવીક રહસ્યમયતાઓ
માટે’ ?
મારી ચિર વિદાયની ઘંટા જયારે રણકી ઊઠે અંધકારે
અને વાયુલહર આડી ફરી એના તરંગપ્રવાહને કાપે ક્ષણ માટે,
થંભેલા સ્વર ફરી પાછા ઊભરે,થયો હો ઘંટરવ નવો જાણે ના !
કહેશે ત્યારે તેઓ શું : ‘નથી આ સુણતો એ,પણ આવું આવું
હમેશ ધ્યાનમાં આવતું એના’ ?

– ટોમસ હાર્ડી
(અનુ. ઉમાશંકર જોશી, તા ૨૭-૧૧-૧૯૭૧)

કવિશ્રી ઉમાશંકરે આ કાવ્યનો આસ્વાદ પણ કરાવ્યો છે જેનો ટૂંક સાર આ પ્રમાણે છે-
‘ એક પછી એક પાંચ ચિત્રો થકી કવિ પોતાના વિષે પોતાના દેહાવસાન બાદ શું શું કહેવાશે તેની કલ્પના રજૂ કરે છે….-કવિને ઓળખનારા તેની પાંચ લાક્ષણિકતાઓને વાગોળશે-

૧- વસંતવૈભવમાં કુદરતની સૂક્ષ્મ કારીગરી જોઈ શકનારી સૌન્દર્યદ્રષ્ટિ
૨- આતતાયી એવા બાજ પક્ષી માટે પણ તે કુદરતના ચક્રનું એક અભિન્ન અંગ છે તેવી વહાલભરી સમદ્રષ્ટિ.
૩- કરુણાવૃત્તિ
૪- આકાશ ભરી દેતા નક્ષત્રલોકથી ચિત્તમાં ઉદબુદ્ધ થતી રહસ્યદર્શિતા
૫- સૌંદર્ય તેમ જ જીવનની ધારાવાહિતામાં વચમાં ભંગ થાય અને અને નવીનતાનો ભાસ ઊપજે તેને લીધે એકસાથે નવીનતા અને એકસૂત્રતા – બંનેનો અનુભવ કરતી દ્રષ્ટિની અખિલાઈ.

અહી કવિનું સૂક્ષ્મ સૂચન એ છે કે કોઈપણ કવિમાં આ લાક્ષણિકતાઓ સામાન્ય હોય છે-અહી કવિ સાથે અસંમત થઇ શકાય પરંતુ કાવ્યવિષય વ્યક્તિગત નથી જ નથી. આખી કૃતિ ઉચ્ચ કક્ષાની સર્જકતાની પ્રતીતિ કરાવતા કલ્પનો અને ચિત્રણોથી માતબર છે પરંતુ ઉત્તમ ચિત્રણ અને મૌલિકતાની પરાકાષ્ઠા છેલ્લી કડીમાં નિષ્પન્ન થાય છે- ઘંટાનાદનો પ્રવાહ વાયુની લહેર આડી આવતા ક્ષણભર માટે કપાય છે – અને ક્ષણાર્ધમાં પાછો સંધાઈ જાય છે….ઘંટારવ ફરી સંભળાય છે -જાણે નવો જ ન થયો હોય ! ‘

Comments (5)

માનદેય – ભરત ત્રિવેદી

પત્નીને
કશી ખરીદીએ મોકલી
કે પછી
ટેલિવિઝન પાસેથી
ઉછીનો સમય મેળવીને
હું કવિતા લખવા
બેઠો હોઉં છું
ત્યારે
એક સદ્ ગત કવિમિત્ર
મારી પાસે આવીને
બેસી જાય છે.

કવિતા પૂરી થાય
કે તરત જ
તે મને પ્રશ્ન કરે છે
‘કવિતા છપાય ત્યારે
તને પુરસ્કારની રકમ મળશે ખરી ?’

હું તેની સામે જોતો રહું છું
તો તે કહે છે :
‘મારાં કાવ્યોના પુરસ્કારની રકમ
મને મળી હોત તો
હું હજી જીવતો હોત.’

– ભરત ત્રિવેદી

કવિતા તો અ-મૂલ્ય છે હોય છે. પણ આ ય એક સચ્ચાઈ છે.

કળાની કદર કરવી આખા સમાજની જવાબદારી છે. જે સમાજ કદર કરી નથી જાણતો, એ સમાજ કળાને લાયક પણ નથી રહેતો.

(માનદેય = માનદ વેતન, Honorarium)

Comments (23)

વિજા હેસેલ (આર્જેન્ટિનાનું એક ગામ) – પ્રીતિ સેનગુપ્તા

પાછાં વળી જતાં મોજાં
પાછું વળીને જુએ છે ખરાં ?
સમુદ્રપ્રેમીઓ બોલાવી રહે છે છતાં ?
જોકે તરત પુરાઈ જાય છે
એમની ખોટ
તત્કાલ ચડી આવતાં નવા મોજાંથી.
મને યાદ આવે છે,
મેંય પીઠ ફેરવી લીધી છે
કેટલીય વાર.
મક્કમ પગલે ચાલી ગઈ છું
ઊંધી દિશામાં-
હૃદય વળ ખાઈને જોતું રહ્યું છે.
સાદ પાડ્યો નથી, જોકે ,મને
કોઈએ.
પુરાઈ ગઈ હશે તરત
મારી ખોટ પણ.

– પ્રીતિ સેનગુપ્તા

Comments (16)

સામાન્ય વેશ્યાને – વૉલ્ટ વ્હિટમેન

સ્વસ્થ થા – નિરાંત અનુભવ – હું વૉલ્ટ વ્હિટમેન,
ખુલ્લા દિલનો અને વાસનાયુક્ત
– કુદરત જેવો જ;
જ્યાં સુધી સૂર્ય તને તરછોડે નહીં, હું ય તને તરછોડીશ નહીં.
જ્યાં સુધી પાણી તારા માટે ચળકવાનું છોડે નહીં,
અને પાંદડા તારા માટે અવાજ કરવાનું બંધ ન કરે,
મારા શબ્દો પણ
તારે માટે ચળકવાનું કે અવાજ કરવાનું બંધ નહી કરે.

પ્રિયે, હું તને વચન આપું છું કે આપણે જરૂર મળશું – હવે તારી જવાબદારી છે કે તું
તારી જાતને મારે લાયક બનાવે.
હું ન આવું ત્યાં લગી ધીરજ રાખજે અને તારી જાતને પૂર્ણ બનાવજે.

ત્યાં સુધી, મારી નજરની સલામ તને,
જેથી તું મને ભૂલી ન જાય.

– વૉલ્ટ વ્હિટમેન
(અનુ. ધવલ શાહ)

વ્હિટમેન એટલે અમેરિકન કવિતાનો દાદો. છેલ્લા દોઢસો વર્ષના બધા અમેરિકન કવિઓ એની કવિતાઓ વાંચીને ઉછર્યા છે એવું કહી શકાય. વ્હિટમેન માણસમાત્રની સમાનતાનો ભારે આગ્રહી હતો. આ કવિતા એણે વેશ્યા વિશે લખી છે પણ કવિતાનું હાર્દ માણસમાત્રની સમાનતાનો સિદ્ધાંત છે.

કવિએ આખી કવિતા વેશ્યા સાથે અંગત વાત કરતા હોય એમ લખી છે. શરૂઆત જ કવિ એકદમ ઋજુતાથી કરે છે. સામાન્ય વેશ્યાનું સ્થાન સમાજમાં એકદમ નીચે ગણાય. પણ એની સાથે કવિ કેવી ખુલ્લા દિલે વાત કરે છે એ જુઓ. કવિ પોતાનો પરિચય આપતી વેળા જ પોતામાં રહેલી વાસનાવૃતિની કબૂલાત આપે છે. પણ તરત જ ઉમેરે છે કે મારામાં વાસના છે એ કુદરતમાં – પ્રકૃતિમાં – વાસના છે એવી જ છે. વાસનાને લીધે જ આ સૃષ્ટિ ચાલે છે એ હકીકતને કવિએ સહજતાથી કહી દીધી છે.

જેમ કુદરતી તત્વો માણસ માણસ વચ્ચે ઊંચ-નીચના ભેદ કરતા નથી, એ જ રીતે કવિ પણ બધા માણસોને સમાન ગણે છે એ વિચાર કવિતાનું હાર્દ છે.

એના પછીની પંક્તિઓમાં કવિ, વેશ્યાને ‘પ્રિયે’ કહે છે અને મિલનનો વાયદો કરે છે. આ વાયદો દૈહિક મિલનનો વાયદો નથી. આ વાયદો જીવનના સ્તરથી ઉપરના સ્તરે મળવાનો વાયદો છે. ગમે તેટલી નીચા સ્તરની, પતિત વ્યક્તિની પણ ઉન્નતિ શક્ય છે એવી કવિની દ્રઢ માન્યતાનો આ પડઘો છે. સાથે જ કવિ આ ઊંચા સ્તરે પહોંચવા માટે કોશિષ કરવાની જવાબદારી વ્યક્તિની પોતાની પર જ નાખે છે. પૂર્ણતા સુધી પહોંચવાનો બધાનો અધિકાર છે, અને એ જ બધાની વ્યક્તિગત જવાબદારી પણ છે – Individualismનો આ પાયાનો સિદ્ધાંત કવિએ બહુ માર્મિક રીતે મૂક્યો છે.

Comments (21)

મારો અવાજ તારા લગી ન પહોંચે તો – અફઝલ અહમદ સૈયદ

મારો અવાજ તારા લગી ન પહોંચે
તો એમાં ઉમેર પડઘો –
પૌરાણિક કથાઓનો પડઘો.

અને એમાં ઉમેર –
એક રાજકુમારી

અને રાજકુમારીમાં ઉમેર –
તારું રૂપ

અને તારા રૂપમાં ઉમેર –
એક આશિકનું દિલ

અને ઉમેર આશિકના દિલમાં-
એક છરી.

– અફઝલ અહમદ સૈયદ

વાત તો એ જ છે જે આપણે અસંખ્ય કથાઓમાં અને કવિતાઓમાં સાંભળી ચૂક્યા છીએ. પણ કવિની વાત કહેવાની અદા જ આ કવિતાને મહાન બનાવી દે છે.

Comments (11)

કદાચ -વિપિન પરીખ

મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !

-વિપિન પરીખ

આ કવિતા એટલે ગાગરમાં સાગર.  કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો !  અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !

Comments (16)

એક પગલાની પીછેહઠ – રોબર્ટ ફ્રોસ્ટ (અનુ. જગદીશ જોષી)

રેતી,ધૂળ,ઢેફાં અને કાંકરા જ માત્ર
ફરી એક વાર પોતીકી સફરે નીકળ્યાં હતાં એમ નહીં,
પણ હંમેશ કાદવ ગળચતી,
સમતુલા ગુમાવી બેઠેલી, તોતિંગ ભેખડોએ
એકમેકના મૂંડા આછેરા અફાળ્યા
અને કંદરાઓમાં ગબડવા લાગી.
આખા ને આખા ભૂમિખંડો પોપડે પોપડે ઉતરડાઈ ગયા.
આ વૈશ્વિક કટોકટીમાં મારા મૂલ્યોની આધારશિલા
મને હચમચી ગઈ લાગી.
પણ પીછેહઠના એક જ પગલાથી
મેં મારી જાતને પડવાગબડવામાંથી ઉગારી લીધી.
છિન્નવિચ્છિન્ન થયેલું એક વિશ્વ
મારી આંખ સામેથી પસાર થઇ ગયું.
ત્યાર પછી વરસાદ ને વાવાઝોડું જંપ્યાં
અને મને કોરો કરવા માટે સૂરજ બહાર પડ્યો.

-રોબર્ટ ફ્રોસ્ટ
(અનુ.- જગદીશ જોષી)

Exsistentialism (અસ્તિત્વવાદ) ની વાત છે…. કવિની ખાસિયત પ્રમાણે નાનાંનાનાં સૂચક શબ્દો ખૂબી થી પ્રયોજ્યાં છે (દા.ત. બીજી પંક્તિમાં ‘ફરી એક વાર….’). મૂલ્યો ખાતર કુરબાન થવું કે પછી એક પગલાની પીછેહઠથી મૂલ્યોના ભોગે જાતને બચાવવી અને એક નવી સવારની આશા અને પ્રતિક્ષામાં તોફાનને પસાર થઇ જવા દેવું-અત્યંત અંગત પ્રશ્ન છે અને ઉત્તર સરળ નથી. અસ્તિત્વ જ ન રહે તો મૂલ્યોનો શો અર્થ ? મૂલ્યો વગરના અસ્તિત્વનો શો અર્થ ?

***

One Step Backward Taken – Robert Frost

Not only sands and gravels
Were once more on their travels,
But gulping muddy gallons
Great boulders off their balance
Bumped heads together dully
And started down the gully.
Whole capes caked off in slices.
I felt my standpoint shaken
In the universal crisis.
But with one step backward taken
I saved myself from going.
A world torn loose went by me.
Then the rain stopped and the blowing,
And the sun came out to dry me.

Comments (5)

સ્વપ્નમાં – (રશિયન) આન્ના આખ્માતોવા (અનુ. સુરેશ દલાલ)

કાળી, કાયમની જુદાઈ
તારા જેટલી જ તારી સાથે હું સહન કરું છું.
તું રડે છે શા માટે ? એના કરતાં તો મને આપ તારો હાથ,
ફરી પાછું સ્વપ્નમાં આવવાનું વચન આપ.
તું અને હું છીએ ન ખસી શકીએ એવા વેદનાના પ્હાડ….
તું અને હું આ પૃથ્વી પર કદી નહીં મળીએ.
મધરાતે જો તું મોકલી શકે તો મોકલ
તારાઓ મારફત શુભેચ્છા.

-આન્ના આખ્માતોવા (રશિયન)
અનુ. સુરેશ દલાલ

કાળો રંગ અભાવનો રંગ છે. જુદાઈ એટલે જ આપણને કાળી લાગે છે. પહાડ ચસી શક્તા નથી એટલે પહાડની દૃઢતાથી જમાનાએ જેમને અલગ-અલગ જમીનમાં રોપી દીધા છે એવા પ્રેમીઓ પણ જાણે જ છે કે આ જન્મમાં હવે એમનું મિલન શક્ય નથી… તો વિરહની આ કારમી કાળી રાત્રિઓ પસાર કેમ કરવી?  બંનેની વેદના સમાન છે. બંનેનુઆ સ્વપ્ન પણ સમાન છે અને બંનેની જમીન ભલે અલગ હોય, આકાશ અને આકાશમાંના તારા પણ એકસમાન છે…

પ્રણયનું આવું ચરમસીમાદ્યોતક કાવ્ય આ પહેલાં વાંચ્યું હોવાનું સ્મરણ નથી…

Comments (8)

હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે – કાર્લ વેન્ડેલ હાઈન્સ

હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે.
ચાલો તેનાં થોડા વખાણ કરીએ
તેની કીર્તિના સ્મારકો રચીએ
તેને માટે પ્રાર્થનાઓ ગાઈએ.

મૃત્યુ પામેલા વીરો ભારે સગવડ કરી આપે છે.
તેમની જિંદગી પરથી આપણે ઘડી કાઢેલી
મૂર્તિઓને પડકારવા તેઓ કદી ઊભા પણ થઈ શકે ?

અને વળી,
વધારે સારી દુનિયા રચવા કરતાં
સ્મરકો બાંધવાં સહેલાં છે.

તો હવે તે સહીસલામત રીતે મૃત્યુ પામ્યો છે ત્યારે
આપણે નિરાંત જીવેથી
આપણાં સંતાનોને શીખવશું
કે તે કેવો મોટો માણસ હતો … જાણીએ છીએ
કે જે કારણ માટે તે જીવ્યો
તે તો હજીયે એમનું એમ જ છે.
જે સ્વપ્ન માટે તે શહીદ થયો
તે હજીયે સ્વપ્ન જ છે,
મરેલા માણસનું સ્વપ્ન.

– કાર્લ વેન્ડેલ હાઈન્સ
( અનુવાદ : જયા મહેતા)

દરેક પ્રજાને પોતાના શહીદો ખૂબ વહાલા હોય છે. ને સ્મારકો પર ફૂલો ચડાવવામાં કોઈ કરતા કોઈ પાછળ પડતું નથી. પણ એ શહીદી પાછળના મૂળ વિચારને કે એ કાર્યને આગળ વધારવા માટે કોઈ તૈયાર થતું નથી. ‘હવે એ સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે’ એ પહેલી જ લીટીમાં જ કવિએ એવો ફટકો માર્યો છે કે એની કળ છેલ્લે સુધી વળતી નથી.

વધારે સારી દુનિયા રચવાનું આપણું ગજુ નથી, આપણે તો સ્મારકો જ બાંધી શકીએ એમ છીએ.

Comments (14)

પડછાયા – ઉદયન ઠક્કર

સાંજે અમે બે પાછા વળતાં ત્યારે
અમારી પાછળ સૂરજ રહેતો અને આગળ પડછાયા
પડછાયા એકમેકને અડીને ચાલતા
અમે વિચારતા કે આ બે મારા વા’લા પ્રેમમાં લાગે છે
એમની પાછળ જવાથી એમને સંકોચ થતો હશે
એવું અમને લાગેલું, પણ એ અમને ગણકારતા જ નહીં
એમને જોઈને અમે પણ ચૂપચાપ ચાલવું શીખ્યા.
પડછાયાઓ ઐતિહાસિક પાત્રોની જેમ આકર્ષક લાગતા.
આ બે સુંદર પડછાયા એકમેકને મળી આવ્યા
એ અમને વિરલ યોગ જેવું લાગતું.
પડછાયાઓ ઉપરછલ્લી બધી વિગત ભૂંસી નાખતા
અને બે જ બાતમી લઈને રજૂ થતા:

(૧) પ્રેમ કરતો એક પુરુષ (૨ ) પ્રેમ કરતી એક સ્ત્રી

– ઉદયન ઠક્કર

મનમાંથી જરૂર વગરની વિગતોને ભૂંસી નાખો, પ્રેમ ઉપસી આવશે.

Comments (13)