માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…
નયન દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રાજેન્દ્ર શુક્લ

રાજેન્દ્ર શુક્લ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




અંધારું લ્યો… – રાજેન્દ્ર શુકલ

ઊંટ ભરીને આવ્યું રે
.             અંધારું લ્યો,
આ પોઠ ભરીને આવ્યું રે
.             અંધારું લ્યો…

કોઈ લિયે આંજવા આંખ,
કોઈ લિયે માંજવા ઝાંખ;
અમે તે ઉંબરમાં ઉતરાવ્યું રે
.             અંધારું લ્યો…
અમે તો આંગણમાં ઓરાવ્યું રે
.             અંધારું લ્યો,
.                       ઊંટ ભરીને.

એના અડ્યા આભને છોડ;
એવા અડ્યાં આભને કોડ –
અમે તો મૂઠી ભરી મમળાવ્યું રે,
.             અંધારું લ્યો,
અમને ભોર થતાં લગ ભાવ્યું રે,
.             અંધારું લ્યો…
.                       ઊંટ ભરીને.

– રાજેન્દ્ર શુકલ

કેટલાક શબ્દ એની સાથે સુનિશ્ચિત વાતાવરણ લીધા વિના સન્મુખ થતા નથી. ‘ઊંટ’ આવો જ એક શબ્દ છે. ‘ઊંટ’ શબ્દ કાને પડતાવેંત નજર સામે અફાટ-અસીમ રણ આવ્યા વિના નહીં રહે. અહીં આપણી સમક્ષ ઊંટ અંધારું ભરીને આવ્યું છે. આપણે સહુ અજવાળાંનાં પૂજારી છીએ. પણ હકીકત એ છે કે અંધકાર શાશ્વત છે. પ્રકાશ તો કેવળ અનંત અંધારામાં પાડવામાં આવેલું નાનકડું બાકોરું માત્ર છે. નવ મહિના અંધકારના ગર્ભમાં રહ્યા બાદ જ જીવનની શરૂઆત થાય છે, એ જ રીતે અનુભૂતિના અંધારા ગર્ભમાં સેવાયા બાદ જ સર્જનનો ઝબકાર પ્રગટે છે. સાચો સર્જક જ અંધારાનો મહિમા કરી શકે. એટલે જ કવિ અજવાળાંનું નહીં, અંધારાનું ગીત લઈ આવ્યા છે.

પોઠ ભરીને અંધારું લઈને ઊંટ આવ્યું છે પણ કવિ એકલપંડે એનો લાભ લેવા માંગતા નથી. ‘ગમતાંના ગુલાલ’ના ન્યાયે કવિ તો અંધારું ‘લ્યો’ના પોકાર સાથે આપણને સહુને આ ખજાનાનો લાભ લેવા આમંત્રણ આપે છે. ગમતી વસ્તુ લેવા માટેના સહુના કારણ તો અલગ જ હોવાના. કોઈ અંધારું આંખમાં આંજવા માટે લેશે, મતલબ એને સ્વપ્નોની ઇચ્છા હશે. કોઈ ઝાંખ માંજવા લેશે. અજવાળું હોય તો ઝાંખું દેખાવાની કમજોરી છતી થશે, પણ આંખમાં અંધારું માંજી લ્યો, પછી ઝાંખપ વળી શેની? અંધારું ઊંચનીચના ભેદ રાખતું નથી. એ બધાને એકસમાન ભાવે રંગી દે છે. ભેદભાવ સર્જવાનું કામ કેવળ પ્રકાશનું. કવિ અંધારું ઘરમાં નહીં, ઉંબરે ઉતારાવે છે અને આંગણમાં ઓરાવે છે, જેથી તમામ ઇચ્છુક વ્યક્તિ નિઃસંકોચ એનો લાભ લઈ શકે.

ઓરાવેલું અંધારું છોડ થઈને ઊગે છે, પણ છોડ તે કેવો! ઠેઠ આભને અડે એવો! અંધારાનો છોડ તો આભને અડે જ છે, એના કોડ પણ આભને અડે એવા છે. ભલે પોઠ ભરીને આવ્યું હોય કે આભને આંબ્યું હોય, એની મજા તો હળુહળુ માણવામાં જ છે. મુઠ્ઠીભરી ભરીને એને સવાર પડે ત્યાં સુધી મમળાવતાં રહીએ, કારણ આ અંધારું ભાવે એવું છે.

Comments (6)

ક્યાંક પડ્યો વરસાદ – રાજેન્દ્ર શુક્લ

ક્યાંક પડ્યો વરસાદ,
.                   નદીમાં પૂર આવિયાં;
વહી રહ્યો ઉન્માદ,
.                   નદીમાં પૂર આવિયાં.
છોળ ઊછળે છોળ,
.                   નદીમાં પૂર આવિયાં,
આભલગાં અંઘોળ,
.                   નદીમાં પૂર આવિયાં.
જળને ઝીણે સૂર,
.                   નદીમાં પૂર આવિયાં,
અમે તણાયાં દૂર,
.                   નદીમાં પૂર આવિયાં.
ક્યાં કાંઠો, ક્યાં ગામ,
.                   નદીમાં પૂર આવિયાં,
ભૂલી ગયાં નિજ નામ,
.                   નદીમાં પૂર આવિયાં.

– રાજેન્દ્ર શુક્લ

મુકુલ ચોક્સીના સરસ મજાના શેર સાથે આ ગીત માણવાના શ્રીગણેશ કરીએ:

પૂર માટે માત્ર સ્થાનિક વાદળો પૂરતાં નથી,
કંઈક ઉપરવાસમાં વરસાદ જેવું જોઈએ.

નદીમાં પૂર આવે એના મૂળમાં બહુધા અન્યત્ર ક્યાંક પડેલો વરસાદ જવાબદાર હોય છે. અહીં જે નદીમાં પૂર આવવાની વાત છે, એ સમજી શકાય છે કે પ્રેમની, જીવનની નદી છે. નેહની નદીમાં નીર નહીં, ઉન્માદ વહી રહ્યો હોવાને લઈને છોળની છોળ ઊછળે છે. અંઘોળ ભલે ને આભલગાં હોય, પણ પ્રેમના જળનો સૂર તો સાવ ઝીણેરો જ હોવાનો અને એવા ઝીણા સૂરમાં જ હોવાને તરતું મેલી દઈ દૂર દૂર તણાઈ જવાનું હોય છે. અને એકવાર પ્રેમના પૂરમાં તણાઈ ગયાં, પછી શું કાંઠો, શું ગામ અને શું પોતાનું નામ…

Comments (7)

અર્ધગીતિ – રાજેન્દ્ર શુક્લ

અડધું મેં પીધું છે મૌન
અડધી મેં પીધી છે વાણી
અધૂકડું ઊઘડ્યા કૈં હોઠ
આંખો અડધી રે અંજાણી.

બાકીનું બાકી છે –
અડધું મૌન
આયખું
અડધી વાણી
ને આ અડધું અડધું પીવાનું
હું ઘૂંટડે ઘૂંટડે પીઉં
કે પીઉં એકસામટું
પણ અડધું અમથું પીવાનું.

તડકો તો તપવાનો પૂરેપૂરું
તડકો તો તપવાનો પૂરેપૂરું
તૂરો કંઠ સુકાશે
અડધો
ને અડધો લીલો રહેશે
તરસો તરફડશે
અડધી
વરસો અડધાં રે ભીંજાશે
અડધો હું અંદર વ્હેરાણો
અડધો હું ઊભો છું બ્હાર
તંબુ અડધપડધરા તાણી

અડધું મેં પીધું છે મૌન
મેં પીધી છે વાણી.

– રાજેન્દ્ર શુક્લ

કવિ વાત પોતાની કરે છે પણ વાતનો વ્યાપ વિશાળ છે – માનવી સમગ્રતાથી ભાગ્યે જ કંઈ કરે છે…મિલન હોય કે ઝુરાપો-પોતાના સમગ્ર અસ્તિત્વને જવલ્લે જ કોઈ દાવ પર લગાવે છે… વાણી પણ અધકચરી અને મૌન પણ અધકચરું… શ્રદ્ધા પણ અધકચરી અને સંશય પણ અધકચરો…..

Comments (1)

મનને સમજાવો નહીં – રાજેન્દ્ર શુક્લ

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.

છે ને કવકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે!

એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો,
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.

એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કૈં ક્યાં ઊપજતું હોય છે !

– રાજેન્દ્ર શુક્લ

“મન” શું છે તેનું ઉત્તમ વિશ્લેષણ જે.કૃષ્ણમૂર્તિના સાહિત્યે જડે. પ્રસ્તુત ગઝલે પાંચ શેરમાં ખાસ્સી અઘરી વાતો કહેવાઈ છે.

કવિશ્રીને જન્મદિવસની વધાઈઓ…..

Comments (4)

છેક છેલ્લે – રાજેન્દ્ર શુક્લ

હું અશ્રુ થઈને વહી શકું
એવું જળ
તેં આપ્યું જ નહીં
મારાં શુષ્ક સંતપ્ત નેત્રોને !

લાગણીઓના દેશમાં
અમારે શું વર્ષાઋતુ જ નહીં ?
ન તો નેવાં ચૂવે અમારે ઘર,
ન શેરીએ ખળખળે જળ
કે કાગળની હોડી યે તરાવિયેં !

મેં બહુ બહુ કહ્યું,
તો ય મારા શબ્દને
તેં રુક્ષ જ રહેવા દીધો.

છેક છેલ્લે
તેં સ્હેજસાજ આ
ભીંજવી આપ્યું મને મારું મૌન
તે હું ફૂંક મારી મારીને
ફરી સૂકવું છું એને…

– રાજેન્દ્ર શુક્લ

કેવી સુંદર ફરિયાદ !! હકીકતમાં પણ આવું જ હોય છે- કોઈક લાગણીને વહેવા દે, કોઈક માટે એ અસહજ હોય…. છેલ્લા અંતરે કવિ ખીલે છે. ભીનાશ સ્વીકારી નથી શકાતી….રુક્ષતાનું conditioning એટલું ખતરનાક છે….

Comments (2)

સવા શેર : ૦૬ : – રાજેન્દ્ર શુક્લ

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક!
– રાજેન્દ્ર શુક્લ

આધ્યાત્મનું મેઘધનુષ કહી શકાય એવી રાજેન્દ્ર શુક્લની બહુખ્યાત ગઝલના સાત શેરમાં કવિએ અલગ-અલગ ભાષા-સંસ્કૃતિની સાત ભક્તપ્રતિભાઓની વાત કરી છે. એ મુસલસલ ગઝલનો આ સાતમો અને આખરી શેર. લગાગાના ચાર આવર્તનવાળી મુત્કારિબ મુસમ્મન સાલિમ બહેરની પોતાની મૌસિકીમાં મહક-અનલહક, મુ-સલ-સલ જેવા અ-મ-સ-લ વગેરે વ્યંજનોના અનુરણનથી અદકેરો ઉમેરો થયો છે.

નવમી સદીમાં બૈજા નગરમાં હુસેનહલ્લાજને ઘેર જન્મેલ મન્સૂર-બિન-હલ્લાજ સૂફી મસ્તરામ હતા. એમનું ‘અનલહક’ –अन अल हक़्क़– હું હક-ખુદા છું/હું સત્ય છું-નું રટણ ભારતીય અદ્વૈત સિદ્ધાંત -अहं ब्रह्मास्मि– ‘હું જ બ્રહ્મ છું’નું સમાનાર્થ ગણી શકાય. અનલહક સૂફીધારાના ચાર તબક્કા છે: શરીયત, તરીકત, મારફત, હકીકત. શરીયતમાં નમાજ, રોજા વિ.નો અમલ કરવાનો. તરીકતમાં પીરનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું. ત્રીજા તબક્કા મારફતમાં માણસ જ્ઞાની થાય અને અંતિમ ચરણ હકીકત એટલે સત્યની પ્રાપ્તિ અને ખુદને ખુદામાં ફના કરી લેવાની વાત. દ્વૈતભાવ અહીં મટી જાય છે. મન્સૂરની આ પ્રવૃત્તિને ઈસ્લામવિરોધી ગણી એમને અત્યંત ક્રૂરતાપૂર્ણ ત્રાસ અપાયો. અંતે બગદાદના ખલીફા મક્તદિરે એમને શૂળી ઉપર ચડાવી દીધા અને ઈસ્લામના ધારા વિરુદ્ધ એમના શબને દફનના સ્થાને અગ્નિદાહ અપાવ્યો. ભજનસાદૃશ ગઝલના આ આખરી શેરમાં અરબી-ફારસી શબ્દોના સંસ્પર્શ, સૂફી વિચારધારા અને ‘અનલહક’ની ઉપસ્થિતિના કારણે અલગ જ ‘ફ્લેવર’ રચાઈ છે. કવિએ ‘આનન’ અર્થાત્ મુખ શબ્દમાં લુપ્તસપ્તમીનો પ્રયોગ કરીને ‘આનક’ અર્થાત્ ‘મુખમાં’ એવો શબ્દ નિપજાવ્યો છે જે સાર્થક અને સક્ષમ કવિકર્મની સાહેદી પુરાવે છે.

શબોરોઝ યાને કે રાત-દિવસ એની મહેંક અનવરત રેલાતી રહે છે. ઈશ્વર કહો કે અલ્લાહ કહો, ભક્ત કહો કે બંદો કહો; મનુષ્ય સદૈવ સર્જનહારનો સાક્ષાત્કાર ઝંખતો આવ્યો છે. અને ખુદાના બંદાને આ સાક્ષાત્કાર પળેપળ થતો રહે તો જીવનમાં બીજું કંઈ બાકી રહે ખરું?! દિનરાત એ પરમ તત્ત્વની સુગંધ અવિરત અનુભવાતી રહે એવો અજબ હાલ આત્માનો જ્યારે થાય ત્યારે મુખમાં સતત ‘હું જ બ્રહ્મ છું’ની રટણા આપોઆપ રહે અને દિવ્યસમાધિ અને અનિર્વચનીય ઐક્યભાવની અવસ્થા જન્મે.

Comments (9)

આ અમે નીકળ્યા- – રાજેન્દ્ર શુક્લ

સાંજ ઢળતાં જ રોશન થતા, મ્હેકતા,
હાથ ગજરા, ગળે હાર ઝુલાવતાં;
ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં !

ઓશિકે એક ઘડિયાળ અટકી પડે,
વેળ તો વેળની જેમ વીત્યા કરે,
વાયરા દખણના તો ગમે તે ક્ષણે,
કેસરી કેસરી દ્વાર ખખડાવતા !

ચાર ખૂણા હજી સાચવીને ઊભા
ધૂંધળા ધૂંધળા કોક અણસારને,
ઘોર એકાંતનું છાપરું ને છજાં
જો ઊડે આભમાં પાંખ ફફડાવતાં !

સૌ અભાવો સુરાહી બને જ્યાં કને
જે મળે તે બધાં તરબતર નીતરે,
કોઈને કોઈની કૈં ખબર ના રહે-
કોણ છલકી જતાં, કોણ છલકાવતાં !

ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા,
સાત આકાશ ખૂલી જતા સામટું,
જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં
ચૌદ બ્રહ્માંડનો ભેદ ભૂલાવતાં !

– રાજેન્દ્ર શુક્લ

કવિનો આજને દિ 1942માં જનમ, 79 પૂરા…સર્જનયાત્રા અવિરત…

એમની લાક્ષણિક શૈલીની ગુહ્યવાદની એક ગઝલ….

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ અમે નીકળ્યા ખેસ ફરકાવતાં….. -આ ચરણ ઉપર વારંવાર અટકી જવાય છે.

Comments (4)

તો કહું !- રાજેન્દ્ર શુક્લ

લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું !

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું !

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઈ થોડું ખળભળાવે તો કહું !

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું !

કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !

-રાજેન્દ્ર શુક્લ

માસ્ટરકલાસ…..

Comments (2)

સત્-ચિત્-નંદા ગઝલ…..– રાજેન્દ્ર શુક્લ

સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

લખચોરાશી લખત લખત ચખ વેધત રે લખ સકલ,
અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન દર દર ઊડે,
અષ્ટ પાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

સાંસ ઉસાંસ ચલાવત છૂવત ઝિલમિલ સાતોં ગગન,
વિહંસ વિહંસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
સૂર મિલાવી ગાઓ, પ્રિયજન ! સત્-ચિત્-નંદા ગઝલ.

– રાજેન્દ્ર શુક્લ

ભાષા તેમજ નાદની અનોખી જુગલબંધી !!!!

સાંભળો આ ગઝલ ટહુકો.કોમ પર. ક્ષેમુ દિવેટીઆનું સંગીત અને સ્વર છે શ્યામલ-સૌમિલનો.

Comments (7)

જુદી જ તાસીર….– રાજેન્દ્ર શુક્લ

જુદી જ તાસીર અસર અલગ છે, જુદી ભોમકા અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે, જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબ્દની અહીં અનોખી, અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે, જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ, અમે અકારણ જુદાં ગણાયાં,
અમારે મન તો ન કોઈ જુદું, શું કરિયેં પામ્યાં અવાજ જુદો.

મલક બધોયે ફરીફરી ને અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા, નથી દરદ થી ઈલાજ જુદો.

ગઝલ આખરી ગવાઈ રહી આ, અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ, રહ્યો ન બંદાનવાજ જુદો!

– રાજેન્દ્ર શુક્લ

The thought and The Thinker are not separate – J Krishnamurti

Comments (1)

ગેબ નગારાં નોબત વાગે – રાજેન્દ્ર શુક્લ

ગેબ નગારાં નોબત વાગે,
આગે આગે ગોરખ જાગે!

એક જ પળ આ જાય ઉખળતી,
ગૂંચ ગઠી જે ધાગે ધાગે!

ગિલ્લી ગઈ ગડબડ સોંસરવી,
અબ કયું ગબડે ઠાગે ઠાગે!

જળ ભેળે જળ ભળ્યો ભેદ સબ,
કિસ બિધ ઉઠે,કિસ બિધ તાગે!

અપની ધૂણી, અપના ધૂંવા,
ના કિછુ પીછે,ના કિછુ આગે!

– રાજેન્દ્ર શુક્લ

અનંત સાગરમાં એક અનંત બિંદુ….. [ જિબ્રાન ]

Comments (2)

પલાખું – રાજેન્દ્ર શુક્લ

પૂછ્યું એણે એક એવું પલાખું,
ભાખું તોયે વેણ હું શુંય ભાખું!

માણ્યું તેમાં મોણ તે શીદ નાખું,
દેખ્યું પેખ્યું જેમનું તેમ દાખું!

સ્વપ્ને જોઉં, તે વળી સ્હેજ ચાખું,
ભૂલી જાઉં, યાદ હું કૈં ન રાખું!

ગ્રીવા ધોળી તે પરે રમ્ય લાખું,
જોતી કેવું મર્મીલું ને મલાખું!

આવો, આવો, ના કદી દ્વાર વાખું,
ખુલ્લું રાખું સર્વદા ગેહ આખું!

– રાજેન્દ્ર શુક્લ

રા.શુ.ની કવિતા ગુજરાતી ગઝલમાં એક અલગ જ ચીલો ચાતરે છે. અન્ય કવિઓને ભારે થઈ પડે અને માંડ હાથ લાગે એવા કાફિયાઓનો ઢગલો લઈને આખેઆખી મત્લાગઝલ લખવી એમને સાવ સહજ છે. ભૂલાતી જતી ગુજરાતીના કેટલાક શબ્દોના અર્થ જાણી લીધા બાદ આ કવિતા અને ભાવકની વચ્ચે આવવું યોગ્ય જણાતું નથી.

પલાખું – આંકના ઘડિયાનો/પાડાનો પ્રશ્ન
ભાખવું – ભવિષ્યકથન કરવું
પેખ્યું – જોવું, દેખવું
દાખવું – દેખાડવું (દાખું – વગડાવવું)
ગ્રીવા – ડોકી
લાખું – શરીર ઉપરનું લાખના રંગનું નાનું મોટું ચકદા જેવું ચિહ્ન કે ડાઘ
મલાખું – બાડું
વાખું – બંધ કરવું ગેહ – ઘર

Comments (2)

એક ચોમાસે – રાજેન્દ્ર શુક્લ

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું,
ઉડતાં ઓલ્યાં પંખેરું ને જાણ થઈ
તે ગીત જોડ્યાં ને વન ગજાવ્યું.

વચમાં વ્હેતલ નદી નીરની નમણાઈમાં
નેણ ઝબોળ્યાં,
હૈયે ઊઠ્યાં લ્હેરિયાં એને આભ હિલોળ્યાં,
દૂરને ઓલે ડુંગર ડુંગર નીલમ કોળ્યાં,
જેમ ધરાના સાત જનમનું
હોય કોળામણ સામટું આવ્યું.

કેટલી વેળા,
કેટલી વેળા આભને ભરી આભ ઘેરાયું,
કેટલી વેળા ધોરીએ ધોરીએ ક્યારીએ ક્યારીએ
નીર રેલાયું.
કેટલી વેળા કાળને કાંઠે ઈ જ ખેતર
કેટલું લણ્યું કેટલું વાવ્યું !
ઈ દંનની ઘડી, આજનો દા’ડો,
કોઈ ચોમાસું આંખમાં ના’વ્યું.

સામા ગામનું સાવ છેવાડું ખોરડું
એવું એક ચોમાસે આંખમાં આવ્યું.

– રાજેન્દ્ર શુક્લ

ઘણા વરસો પહેલા આ કાવ્ય કવિના કંઠે સાંભળેલું. અચાનક જડી આવ્યું. ઘણાબધા સ્મરણો જોડાયેલા છે કવિના એક ચોમાસા સાથે….

Comments (2)

અવાજ જુદો! – રાજેન્દ્ર શુક્લ

જુદી જ તાસિર, અસર અલગ છે,
જુદી ભોમકા, અવાજ જુદો;
પ્રવાહ જુદો, જુદું વહન છે,
જુદી ગઝલ ને મિજાજ જુદો!

રસમ શબદની અહીં અનોખી,
અકળ મૌનનો રિવાજ જુદો;
જુદી જ મ્હેફિલ, શમા જુદી છે,
જુદી સમજ ને સમાજ જુદો!

જૂની પુરાણી અસલની ઓળખ,
અમે અકારણ જુદા ગણાયા,
અમારે મન તો ન કોઈ જુદું,
શું કરિયેં પામ્યા અવાજ જુદો!

મલક બધોયે ફરીફરીને
અહીં અચાનક મળ્યો વિસામો,
અમે અમારી સમીપ ઊભા,
નથી દરદથી ઈલાજ જુદો!

ગઝલ આખરી ગવાઈ રહી આ,
અહો ખમોશી છવાઈ રહી આ;
હું બંદગી યે કરું કિંહા લગ,
રહ્યો ન બંદાનવાજ જુદો!

– રાજેન્દ્ર શુક્લ

તમામ શેર સંકળાયેલા છે, પ્રથમ બે શેરમાં એક પશ્ચાદભૂ બને છે અને પછી મુદ્દો આવે છે – એકરૂપતા…..ભક્ત,ભક્તિ અને ભગવાન અલગ નથી એ realisation ઊભરે છે….

Comments

…….દડી ઉછાળી- રાજેન્દ્ર શુક્લ

ઈચ્છાની આપમેળે એણે દડી ઉછાળી,
બહુ એકલો હતો એ ને પાડવી’તી તાળી.

મૂળ શબ્દ ઊપન્યો કે તણખો કીઘો અફાળી,
કંઈયે હતું નહીં ત્યાં દીધું બધું ઉજાળી.

કૂંપળ થઈને કોળ્યો, ઝૂલ્યો થઈને ડાળી,
ફલછોડ થઇને આખર મઘમઘ થયો છે માળી.

કરતા અકરતા બંને છે, ને નથી કશું યે,
વીંટળાઈ ખુદ રહ્યો છે, છે ખુદ રહ્યો વીંટાળી.

અંદર ભરાઈ સઘળે મલકે છે મીઠું મીઠું,
કેવો ગતકડું એનું ખુશ થાય છે નિહાળી !

-રાજેન્દ્ર શુક્લ

મત્લાથી જ ચમત્કૃતિ સર્જાઈ જાય છે – માણસ એકલો છે અને તાળી પાડવા બે હાથ ખાલી જોઈએ – એટલે હાથમાં જે ઈચ્છાની દડી હતી તેને ઉછાળવી પડી…..નીચે આવતા ક્ષણાર્ધ માંડ થશે-પાછી ઝીલવી રહી, તેટલામાં તાળી પાડી દેવી પડે……સાર એ છે કે desires ને ગમે તેટલી ત્યાગવાનો પ્રયત્ન કરો, એ પાછી માથે પટકાવાની જ છે….તો ઉપાય શો કરવો ?- કવિ એ આપણા પર છોડે છે.

Comments (1)

આકંઠ શ્વસી જઇએ……– રાજેન્દ્ર શુકલ

સામાંય ધસી જઇએ, આઘાંય ખસી જઇએ,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇએ.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇએ.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇએ.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇએ.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંધોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇએ.

– રાજેન્દ્ર શુકલ

બીજો શેર શિરમોર લાગ્યો….બંધન અનુભવીશું તો જ મુક્તિની કિંમત સમજાશે. ‘ health, wealth and sleep are best appreciated when interrupted ‘

Comments (1)

હું મળીશ જ – રાજેન્દ્ર શુક્લ

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

-રાજેન્દ્ર શુક્લ

અંગત રીતે મને આ પ્રકારની રચના આકર્ષતી નથી. પણ આ રચનામાં એક નખશીખ સચ્ચાઈ છલકે છે. કવિ ખરેખર ગિરનારમાં ઓતપ્રોત છે…..એકરૂપ છે…..

Comments (3)

ન ઈચ્છે – રાજેન્દ્ર શુકલ

એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
ના આથમે કદી બહુ ઝળહળ થવા ન ઈચ્છે.

ઊંબર આ એક તડકો આવીને થિર થયો, લ્યો-
કાયા જરાય એની લંબાવવા ન ઈચ્છે.

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઈચ્છે.

ત્યાંનું ય તે નિમંત્રણ, ત્યાં યે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની કયાંયે જવા ન ઈચ્છે.

અભરે ભરાય એવી એકેક ક્ષણ મળી છે,
કોઇ વિશેષ એને છલકાવવા ન ઈચ્છે.

– રાજેન્દ્ર શુકલ

Comments (1)

થયો ! – રાજેન્દ્ર શુકલ

પૂર્ણમાંથી અંશ ,અલગારી થયો
સ્વાદ કાજે શબ્દ સંસારી થયો.

“તું” થઈને શુદ્ધ શૃંગારી થયો
“હું” થઇ અવધૂત અલગારી થયો.

કંદરા એ, કાળ એ, ગોરંભ એ,
મૌન એ, ને એ જ ઉદગારી થયો.

મુક્ત સ્વેચ્છાએ જ બંધાયો સ્વ માં,
સ્થિર મટીને કેવો સંસારી થયો ?

તેજ, માટી, મૂર્તિ, મંદિર, આરતી,
એ જ પુષ્પો થઇને પૂજારી થયો !

– રાજેન્દ્ર શુકલ

ચોથો શેર લાજવાબ છે…..

Comments (1)

અપરંપાર બન – રાજેન્દ્ર શુક્લ

પૂર્ણ રૂપે વ્યક્ત થા, સાકાર બન;
એ રીતે અવ્યક્તનો અણસાર બન.

વૃક્ષ જેમ જ ઊભવાનું છે નિયત,
કોઈ કુમળી વેલનો આધાર બન.

પિંડ પાર્થિવ પણ પછી પુષ્પિત થશે,
તું અલૌકિક સુરભિનું આગાર બન.

ચિત્તને જો ક્યાં ય સંચરવું નથી-
સ્થિર રહીને સર્વનો સંચાર બન.

કૈં ન બનવું એ ય તે બંધન બને,
તો બધું બન, એ ય વારંવાર બન.

આદ્ય જેવું જો નથી તો અંત ક્યાં,
એના જેવું તું ય અપરંપાર બન.

-રાજેન્દ્ર શુક્લ

” કૈં ન બનવું એ ય તે બંધન બને ” – બહુ જ મહત્વની વાત !!!!

Comments (5)

અમથો ટહેલું! – રાજેન્દ્ર શુક્લ

નોખું, ન્યારું, સાવ નવેલું,
પરથમ ને વળી પ્હેલું વ્હેલું!

કેમ કરીને પાછું ઠેલું,
હોય બધું તારું દીધેલું!

આ તારી સંગે જે ખેલું,
મેં તો બહુ સ્હેલું માનેલું!

આગળિયે અડકીર્યું ડ્હેલું,
એક વખત એ પણ ખખડેલું!

ભવ ભવથી આ છે ઊચકેલું,
મેલું તોયે ક્યાં જઈ મેલું!

અધખૂલી બારી બોલાવે,
બાકી આખું જગ ભીડેલું!

લે મારી પૂરી પરકમ્મા,
તારી સન્મુખ મને અઢેલું!

તું તારી મરજીનો માલિક,
તેં ક્યાં અમને કાંઈ પૂછેલું!

એક સંચર્યું સીધી વાટે,
એક સતત આડું ફાટેલું!

પ્હેલાં તો પાણા ઊપડાવ્યા,
પછી હાથ પકડાવ્યું લેલું!

મીઠાંને મધમીઠું કહિયેં
કડવાને કહિયેં કારેલું!

તું જાતે ગોતે તો મળશે,
છેવાડે ઊભું જો છેલ્લું!

ખડખડપાંચમ અધવચ અટ્ક્યું,
એક જ પડખે ઝૂકી ગયેલું!

બોલ્યા કે સમજો બંધાયાં,
અડધું ડાહ્યું, અડધું ઘેલું!

પૂછો તોયે હું નહીં બોલું,
ટ્હેલ નથી કંઈ, અમથો ટ્હેલું!

– રાજેન્દ્ર શુક્લ

ઋષિકવિ શ્રી રાજેન્દ્ર શુક્લની કલમે ટૂંકી બહેરની લાં…બી ગઝલ… બધા જ શેર સહજ અને મનનીય…

Comments (4)

પિંડને પાંખ દીધી – રાજેન્દ્ર શુક્લ

પિંડને પાંખ દીધી અને પાંખને વેગ દઇ વેગથી ગગનગામી કરી,
એ પછી ગગન પણ લઈ લીધું તેં અને ગત બધી જૂગતે પરમગામી કરી !

કેદૂના જે હતા તે કઢાપા ગયા, આખરે આંખ ઊઘડી ગઈ એવું કે –
છો ભરણ આકરા, આકરી બળતરા, દૃષ્ટિ ચોખ્ખી અને દૂરગામી કરી !

કાળના આ પ્રવાહે વહ્યાં તો વહ્યાં, પણ કશે ક્યાંક સચવાઈ એવું રહ્યાં,
સરકતા સરકતા શ્વાસ સંકેલીને, એક ક્ષણ જકડીને જામોકામી કરી ! [જામોકામી = અમર ]

કોઇ કે’તુ ભલે, કંઈ અધુરું ન’તુ , આ બધું તો પ્રથમથી જ પુરું હતું,
ખોદી ખોદી અને તેં જ ખાડા કર્યા, ખોડ પણ તેં કરી, તેં જ ખામી કરી !

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા, નીકળ્યા તો ખરા ખેસ ફરકાવતા,
પણ પછી શું થયું કંઈ ખબર ના રહી, કઈ ક્ષણે ખેસની રામનામી કરી !

– રાજેન્દ્ર શુક્લ

ખૂબ બારીક ગૂંથણી છે…..નિમિત્ત કોઈ ભિન્ન છે અને નિયંતા કોઈ ભિન્ન…..મદારી કોઈ ભિન્ન છે, તેની બિન દ્વારા છેડાતાં સૂર પર ડોલતો નાગ ન તો નૃત્ય કરે છે ન તો સંગીત માણે છે…..એ તો ડરે છે અને સ્વરક્ષા કાજે હલતો હોય છે, અને આ સમગ્ર દ્રશ્યને માણતો બાળક કંઇક જુદું જ સાંજે છે. ઘણાબધા પડળો ઊખડશે ત્યારે મૂળતત્વની ઝાંખી સુધ્ધાં થશે.

Comments (4)

યાદગાર મુક્તકો : ૧૧ : રાજેન્દ્ર શુક્લ, કૈલાસ પંડિત, ભરત વિંઝુડા

હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !

– રાજેન્દ્ર શુક્લ

પુષ્પનું ખીલવું એ જ ધરતીનું સ્મિત છે… કળીમાંથી ખુશબૂ થઈ રેલાવાની પુષ્પની યાત્રા અને ધરતીની પ્રસન્નતા તો સૃષ્ટિમાં ચોકોર આપણી આસપાસ વેરાયેલી છે, જો આપણી પાસે જોવાની નજર હોય તો. ન જોઈ શકો અન્યથા સૃષ્ટિનું સમગ્ર સૌંદર્ય શૂન્ય છે.

 

કોણ ભલાને પૂછે છે ? અહીં કોણ બૂરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નીચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહીંતર અહીં કોણ ખુદાને પૂછે છે ?

– કૈલાસ પંડિત

સરળ ભાષા અને ચોટદાર અભિવ્યક્તિના કારણે કૈલાસ પંડિતની રચનાઓ તરત જીભે ચડી જતી હોય છે. મનહર ઉધાસે કદાચ આ જ કારણોસર એમની રચનાઓને મહત્તમ અવાજ આપ્યો હશે.

એના ભીતરમાં આગ લાગી છે,
એટલે ઘરમાં આગ લાગી છે !
એને ઠારી શકાય એમ નથી,
છેક બિસ્તરમાં આગ લાગી છે !

-ભરત વિંઝુડા

કોઈ પણ પૂર્વધારણા બાંધ્યા વિના ભરત વિંઝુડા સીધા જ આપણને સંબંધોની સમસ્યાના છેક મૂળ સુધી લઈ જાય છે. સામાન્યરીતે મુક્તક કે ગઝલ રચનામાં મુઠ્ઠી બંધ રાખીને કવિ વાત કરતો હોય છે અને શેર કે મુક્તક પતે ત્યારે બંધ મુઠ્ઠી ખુલતી હોય છે પણ ભરતભાઈ અલગ ચીલો ચાતરે છે. એ ખુલ્લી મુઠ્ઠી લઈને જ સામે આવે છે અને એટલે જ આ મુક્તકમાં આવતી આગ આપણી ભીતર ક્યાંક દઝાડી જાય છે…

Comments (5)

કોતરી ગયાં ! – રાજેન્દ્ર શુક્લ

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં !

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં !

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં !

તારા ગયાં પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં !

જોઈ અટૂલી મ્હેંક સમય પૂછતો ફરે –
‘ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!’

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહું સરી ગયાં !

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતા જે તમે કોતરી ગયાં !

– રાજેન્દ્ર શુક્લ

Comments (2)

આ બધું તો થાય છે ! – રાજેન્દ્ર શુક્લ

આ અહીં પહોંચ્યાં પછી આટલું સમજાય છે,
કોઇ કંઇ કરતું નથી, આ બધું તો થાય છે!

હાથ હોવાથી જ કંઇ ક્યાં કશું પકડાય છે?
શ્વાસ જેવા શ્વાસ પણ વાય છે તો વાય છે!

આંખ મીંચીને હવે જોઉં તો દેખાય છે,
ક્યાંક કંઇ ખૂલી રહ્યું, કયાંક કંઇ બિડાય છે!

જે ઝળકતું હોય છે તારકોનાં મૌનમાં,
એ જ તો સૌરભ બની આંગણે વિખરાય છે!

શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!

– રાજેન્દ્ર શુક્લ

Comments (9)

તું આવીને અડ! – રાજેન્દ્ર શુક્લ

અડાબીડ ઊગ્યા આડેધડ
કોઈ કહે કેસરની ક્યારી, કોઈ કહે કે ખડ,
અમને તો કંઈ ખબર પડે નંઈ
તું આવીને અડ…

લ્હેરે લ્હેરે અમે લ્હેરિયેં
મૂળ ને માટી ગરથ,
ચારે બાજુ આભ વેરિયેં,
ઉકલે ત્યારે અરથ,
તું જો ઝાકળ હોય તો અમથું પાંદ ઉપરથી દડ…

અમે આવડ્યું એવું ઊભા,
અડધા પડધા તડકે,
ઝીલેલું યે ઝલાય છે કયાં
અડધું પડધું અડકે,
તું જો વીજળી હોય તો આવી આખેઆખું પડ…

– રાજેન્દ્ર શુક્લ

કવિવર રા.શુ.નું એક અદભુત ગીત… જેમ જેમ ગણગણીએ તેમ તેમ વધુ ઉકલે…

(સૌજન્ય: ટહુકો.કોમ)

Comments (1)

તું કોણ છે? – રાજેન્દ્ર શુકલ

નિત તરંગિત થાઉં ને તું માં શમું તું કોણ છે?
સર્વ ક્ષણને જન્મ હું તુજને ગમું, તું કોણ છે?

પૂર્ણ રૂપે હું પ્રગટ થાઉં, પ્રકાશું પૂર્ણ થઇ,
તવ ક્ષિતિજ પર પૂર્ણ રૂપે આથમું, તું કોણ છે?

કોક વેળા અન્ય રૂપે અન્ય ગ્રહમાં તું શ્વસે,
હું મને તારા સ્મરણમાં નિર્ગમું, તું કોણ છે?

અનવરત આનંદિની ઓ તટ રહિત મંદાકિની,
રમ્યલીલા તું રમે તે હું રમું, તું કોણ છે?

કોણ છે તું વિશ્વરૂપા, તું અકળપથ ચારિણી,
તારી ઇચ્છાથી સતત ભમતો ભમું, તું કોણ છે?

– રાજેન્દ્ર શુકલ

आश्चर्यवत्पश्यति कश्चिदेन-
माश्चर्यवद्वदति तथैव चान्यः ।
आश्चर्यवच्चैनमन्यः श्रृणोति
श्रुत्वाप्येनं वेद न चैव कश्चित्‌ ॥

કોઈ સિદ્ધ પુરુષ જ આ આત્માને આશ્ચર્યની નજરે જુએ છે અને તે જ પ્રકારે અન્ય કોઈ સિદ્ધ જ આત્મતત્વનું આશ્ચર્યની દ્રષ્ટિએ વર્ણન કરે છે, તેમજ કોઈ અધિકારી પુરુષ જ તેને આશ્ચર્ય તરીકે સાંભળે છે અને કોઈ કોઈ તો સાંભળીને પણ આત્મતત્વને નથી જાણી શકતા.

Comments (2)

સપનાં – રાજેન્દ્ર શુક્લ

મ્હેંકનો મૃદુ ભાર, ભીની સ્હેજ ઝૂકી ડાળ, સપનાં,
નિષ્પલક પળની પરી, તે જોઈ રહેતો કાળ, સપનાં.

એક લટને, લ્હેરખીને લ્હેરવું નખરાળ, સપનાં.
ને પલકનું પાંખડી સમ ઝૂકવું શરમાળ, સપનાં.

લાલ, પીળી, કેસરી, નીલી, ગુલાબી ઝાળ, સપનાં,
હું, તમે, ઉપવન, વસંતોનું રૂપાળું આળ સપનાં.

હા, હજુ થાક્યાં ચરણને કોક વેળા સાંભરે છે,
આભને ઓળંગતી એ સ્વર્ણમૃગની ફાળ સપનાં.

જિંદગીને લક્ષ્ય જેવું તો કશું આમે હતું ના,
મદછકેલાં ત્યાં મળ્યાં એ, સાવ અંતરિયાળ સપનાં!

– રાજેન્દ્ર શુક્લ

આખી સુંદરતા શબ્દોના અદભૂત પ્રયોગની છે……

Comments (4)

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી – રાજેન્દ્ર શુક્લ

Vivek Tailor Holi

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !

ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !

ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !

ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !

સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !

– રાજેન્દ્ર શુક્લ

ધૂળેટી પર્વ નિમિત્તે લયસ્તરો તરફથી સહુ વાચકમિત્રોને રંગસભર શુભકામનાઓ…

Comments (3)

હોઈયેં જ્યાં – રાજેન્દ્ર શુક્લ

એક ને એક જ સ્થળે મળિયેં અમે,
હોઇયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે,
પિંડ ક્યાં પેટાવવા પળિયેં અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

હેત દેખીને ભલે હળિયેં અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે,
પાંચ ભેળા સાવ શેં ભળિયેં અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

ઊભરાવું હોય તો શમવું પડે,
ઊગિયેં જો તો જ આથમવું પડે,
મેરું ચળતાયે નહીં ચળિયેં અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

કૈંક સમજ્યા ત્યારથી બેઠા છિયેં,
હાથમાં હુક્કો લઇ આ ઢોલિયે,
ક્યાંથી મળિયેં કો’કને ફળિયેં અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

શબ્દના દીવા બળે છે ડેલિયે,
આવતલ આવી મળે છે ડેલિયે,
સ્વપ્ન જેવું શીદ સળવળિયેં અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

– રાજેન્દ્ર શુક્લ

Comments (4)

The Experience of Nothingness – રાજેન્દ્ર શુક્લ

હોવાનો આ ખયાલે છે મૂળમાંથી ખોટો,
હોઈ તો તે શકે કે જેનો ન હોય જોટો .

આરંભ જો કહો તો આરંભ સાવ એમ જ
કંઈ નહીં- ના બીજમાંથી કંઈ નહીં- નો ફૂટે કોટો .

જોનારું કો રહે ના, જોવાનું છંઈ રહે ના,
જોવુંય એક અમથો અડધો ચણેલ ઓટો .

પકડી શકે જો કોઈ, પકડી શકે એ પોતે,
આકાશ પણ નથી એ કે એ નથી લિસોટો .

શબ્દોની ગડમથલ આ, આ મૌનની મથામણ,
જાતેજ ગૂંચવાઈ વાળી દીધો આ ગોટો .

-રાજેન્દ્ર શુક્લ

આ ગઝલમાં ‘nothingness’ જેવા અતિગૂઢ વિષય ઉપર વાત કરવા જતાં જાણે કવિ પોતાના જ રચેલા જાળામાં જાણે કે ભેરવાઈ ગયા છે એવો મારો અંગત અભિપ્રાય છે. આ ગઝલ પ્રસ્તુત કરવાનો ઉદ્દેશ એ કે આવા વિષય ઉપર સિદ્ધહસ્ત કલમ પણ ભૂલી પડી જાય એવું બની શકે. દર્શનની અદભૂત સ્પષ્ટતા હોય તો જ – કદાચ – આ વિષયે ગઝલ સહજતાથી બહાર નીકળે, અન્યથા………

Comments (8)

શ્વાસમાં – રાજેન્દ્ર શુક્લ

તમને ખબર નથી કે અમારા પ્રવાસમાં,
થીજી રહ્યું છે મૌન હવે શ્વાસ શ્વાસમાં !

ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા,
ઊકલે કદાચ તારા નયનના ઉજાસમાં !

મારા હરેક સ્વપ્નની સૂની કિનાર પર,
ડોકાઇ કોણ જાય છે કાળા લિબાસમાં !

પામી ગયો છું અર્થ હવે ઇન્તેઝારનો,
જંગલ ઊગી ગયાં છે હવે આસપાસમાં !

ખાલી ક્ષણોના જામથી છલકાય શૂન્યતા,
વધઘટ કશી ન થાય સુરાલયની પ્યાસમાં !

-રાજેન્દ્ર શુક્લ

Comments (4)

એક ઊખાણું! – રાજેન્દ્ર શુક્લ

ના તું જાણે, ના હું જાણું,
બે ય મળીને એક ઊખાણું!

હું તારામાં ગયું ઓગળી,
તું મુજમાં આવી સંતાણું!

અવલોક્યું તો અલગ રહ્યું ના,
આંખોમાં આખ્ખું અંજાણું!

શ્વાસ સરીખા શ્વાસનું સાટું,
હરખી ઊઠ્યા હાટ, હટાણું!

કેવાં વસ્તર, કેવા વાઘા,
જેવો અવસર, જેવું ટાણું!

રંગ ચડ્યા ને રંગ ઊતર્યા,
રંગ વગર આખર રંગાણું!

અમે જ અમને ફટવી મૂક્યા,
ઉપરથી તમણું ઉપરાણું!

– રાજેન્દ્ર શુક્લ

સાથે રહેવામાં – મ્હાલવામાં – છલકવામાં – વિલસવામાં જે રંગત છે એનું કોઈ ‘લોજિક’ નથી. એ તો છે કારણ કે એ છે. એમાં રંગ વગર રંગાવાનું છે, શ્વાસથી શ્વાસમાં ભળી જવાનું છે, છાસવારે બદલાતા જવાનું છે, એક બીજામાં સંતાય જવાનું છે, અને હદ ઉપરાંત ફટવાય જવાનું છે. બહારથી જુઓ તો લાગે કે આ ઉખાણું છે પણ એની અંદર ઉતરો તો આવા સંન્નિવાસથી વધારે સહજ, સરળ બીજું કશું નથી.

Comments (10)

ગઝલ – રાજેન્દ્ર શુક્લ

સાવ અમારી જાત અલગ છે, કરવી છે તે વાત અલગ છે ;
સૂતેલાંનાં સ્વપ્ન અલગ ને જાગે તેની રાત અલગ છે !

નખશિખ કવચ ધરી શું કરીએ, આડી ઢાલ ધરી શું કરીએ ;
અદીઠ રહીને મર્મ ભેદતા અંદરના આઘાત અલગ છે !

આખેઆખું ઝંઝેડી આ ઝંઝાવાતો ઘોર સૂસવતા,
એય ભલે જાણી લેતા કે તરણાની તાકાત અલગ છે !

ભરી સભામાં એક એમની વાત અનોખી કાં લાગે આ,
શબ્દો એના એ જ પરંતુ પોત અલગ છે, ભાત અલગ છે !

શ્વાસે શ્વાસે સુગંધ જેવું હોવાને ઓગાળી નાખે,
એક ઘડી અળગું નવ લાગે, સાજનની સૌગાત અલગ છે !

– રાજેન્દ્ર શુક્લ

ઘા બહારના હોય તો ઢાલ કે કવચ કદાચ કામમાં પણ આવે પણ નજરે ન ચડે એવા અંદરના આઘાતથી તો શી રીતે બચી શકાય?

આજે કવિશ્રીનો જન્મદિવસ પણ છે એની આ ગઝલ પોસ્ટ કર્યા બદ ફેસબુક વડે જાણ થઈ. લયસ્તરો તરફથી કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

Comments (9)

હું – રાજેન્દ્ર શુક્લ

રંગો ભળે એક મહીં અનેક
તે યે થતા લુપ્ત નહીં જ છેક
અસ્તિત્વને રૂપ અપાર વાય
અન્યાન્યની ઝાંય, બધે ઝીલાય !

પથભેદ થાય,મતિભેદ થાય,
સાથે વહ્યાંને ગતિભેદ થાય,
સાથે રહ્યાંની ઋતુ પૂરી થાય
છૂટાં છતાં ના પડી યે શકાય !

છો શ્વાસમાં શ્વાસ કદી સમાય,
હું દ્વૈતને કેમ દઉં વિદાય !
એકત્વનો ભાસ ભળે રચાય.
હું ભિન્નનો ભિન્ન રહું સદાય !

હું વાક્યમાં શબ્દ થઈ રહું છું,
ને શબ્દને વર્ણરૂપે વહું છું !

– રાજેન્દ્ર શુક્લ

પરસ્પરાવલંબન જેમ એક નક્કર તથ્ય છે , તે જ રીતે individuality પણ નક્કર સત્ય છે. અસ્તિત્વ એક,અનન્ય અને એકલું-alone – છે. શબ્દો,લાગણીઓ,અનુભવો ને અતિક્રમતા આપણી નિર્વિવાદ વ્યક્તિગતતા સામે આવે છે. ત્રીજો ફકરો સમગ્ર કાવ્યના હાર્દ સમાન છે. અદ્વૈતની વાત આકર્ષક છે પણ આસન નથી. અનુભૂતિના એ સ્તર પર પહોચવું કે જ્યાં અદ્વૈત સહજભાવ થઈ જાય તે યાત્રા આસન નથી. અને ત્યાં સુધી દ્વૈત આપણને છોડવાનું નથી.

Comments (7)

રહુગણ પ્રતિ ભરતની ઉક્તિ – રાજેન્દ્ર શુક્લ

કૈં નથી તો હું ક્યહીંથી ?
હું નથી તો છું ક્યહીંથી ?

આ બધું છે ને બધે છે,
એ વિના તો તું ક્યહીંથી ?

એ જ પંથી, પંથ પણ એ,
જાય ક્યાં, જાવું ક્યહીંથી ?

એક કેવળ અદ્વિતીયમ,
કોણ પૂછે, શું, ક્યહીંથી ?

ઓગળું આકાર વિણ આ,
ભિન્ન થઇ ભાસું ક્યહીંથી ?

– રાજેન્દ્ર શુક્લ

ઘણા વખતે તદ્દન નવા સંદર્ભમાં લખાયેલી ગઝલ માણવા મળી… રહુગણ – સિંધુ દેશના એક રાજાનું નામ. તેણે ભરત મુનિને પાલખી ઊંચકવાની ફરજ પાડી હતી. એક વખત તે મેનામાં બેસી કપિલાશ્રમ તરફ ઇક્ષુમતીને તીરે જતો હતો ત્યાં રસ્તામાં તેનો ભોઇ થાકી ગયો એટલે સેવકોએ રસ્તામાં પડેલા જડભરતને પકડી લાવી તેની પાસે મેનો ઉપાડાવ્યો. જડભરત મંદ ગતિએ ચાલતો હોવાથી મેનાની ગતિ મંદ પડી અને ઠેલા આવવા લાગ્યા. તેથી રાજાએ તેની મશ્કરી કરી અને ગુસ્સે થયો. આ ઉપરથી જડભરતે તેને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. તેથી રાજા નીચે ઊતરીને તેને પગે લાગ્યો.

પ્રત્યેક શેર ફિલસૂફીના એક-એક શાશ્વત પ્રશ્નને વાચા આપે છે- પહેલો શેર Descartes નું પ્રખ્યાત વિધાન -‘ I THINK , THEREFORE I AM ‘ -યાદ કરાવી દે છે. આ જ રીતે પ્રત્યેક શેર ગહન છે.

Comments (6)

ન ઇચ્છે ! – રાજેન્દ્ર શુક્લ

એવોય કો’ક સૂરજ કે ઊગવા ન ઇચ્છે,
ના આથમે કદી, બહુ ઝળહળ થવા ન ઇચ્છે !

ઉંબર આ એક તડકો આવીને થિર થયો લો,
છાયા જરાય એની લંબાવવા ન ઇચ્છે !

ઝીલી શકો કશું તો સદભાગ્ય એ અચિંત્યું,
વ્હેતો પવન કશુંયે આલાપવા ન ઇચ્છે !

ત્યાંનુંય તે નિમંત્રણ, ત્યાંયે અકળ પ્રતીક્ષા,
ભરપૂરતા અહીંની ક્યાંયે જવા ન ઇચ્છે !

અભરે ભરાઈ એવી એકેક ક્ષણ મળી છે,
કોઈ વિશેષ એને છલકાવવા ન ઇચ્છે !

– રાજેન્દ્ર શુક્લ

સરળ લગતી ગઝલમાં અતળ ઊંડાણ ભર્યું છે…પ્રત્યેક શેર ચિંત્ય છે…

Comments (11)

આખરી વેળાનું – રાજેન્દ્ર શુક્લ

આખરી વેળાનું આ આખર પ્રસારું,
તારી ઇચ્છા છે તો લે આ કર પ્રસારું !

તું ન હો વાકેફ એવું તો નથી કંઈ,
તે છતાં તારી કને ભીતર પ્રસારું !

તું કહે તો લે સકળ સંકોચ છોડું,
તું કહે તે રીતે સચરાચર પ્રસારું !

તું તો આપે પણ બધું હું ક્યાં સમાવું ?
જર્જરિત ઝોળી સમો અક્ષર પ્રસારું !

તું કદી આવે તો આસન શું બિછાવું !
ઝાંખી ઝાંખી આંખનો આદર પ્રસારું !

હા, અપેક્ષા વિણ અહીં આવી ચડ્યો છું
એ ન હું કે દર-બ-દર ચાદર પ્રસારું !

એક વીતી ક્ષણ ફરી આપી શકે તું
હું ફરીથી એનો એ અવસર પ્રસારું !

ઓગળી અતિ આવરું છું આ પ્રસરવું,
શૂન્ય લગ જો એક ક્ષણનું ઘર પ્રસારું !

-રાજેન્દ્ર શુક્લ

એક મજાની ગઝલ… જેટલી વધુ મમળાવો એટલી જ વધુ મીઠી લાગશે…

Comments (6)

પરિપ્રશ્ન – રાજેન્દ્ર શુકલ

કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે ?
મારું સ્વરૂપ શું છે, મારો સ્વભાવ શું છે ?

ઋતુઓના રંગ શું છે, ફૂલોની ગંધ શું છે ?
લગની,લગાવ,લહરો- આ હાવભાવ શું છે ?

લયને ખબર નથી કૈં, આકાર પણ અવાચક,
શું છે રમત પવનની, ડાળીનો દાવ શું છે ?

પર્વતને ઊંચકું પણ પાંપણ ન ઊંચકાતી,
આ ઘેન જેવું શું છે, આ કારી ઘાવ શું છે ?

પાણીની વચ્ચે પ્રજળે, કજળે કળીકળીમાં,
એનો ઈલાજ શું છે, આનો બચાવ શું છે ?

ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,
હમણાં હથેળી માંહે આ ધૂપછાંવ શું છે ?

ફંગોળી જોઉં શબ્દો ને મૌનને ફગાવું-
નીરખી શકું જો શું છે હોવું, અભાવ શું છે ?

હર શ્વાસ જ્યાં જઈને ઉચ્છવાસને મળે છે,
સ્થળ જેવું યે નથી તો ઝળહળ પડાવ શું છે ?

-રાજેન્દ્ર શુકલ

સરળ લાગતી આ ગઝલના શેર ભારે અર્થગંભીર છે. માત્ર બે શેરની વાત કરું છું-

પહેલા શેરમાં સમયની વાત છે. અનાદિ એવં અનંત એવા સમયની સાપેક્ષે કવિ પોતાના અસ્તિત્વને મૂલવે છે. હું એક સાક્ષી છું જે સમયની આવન-જાવન જોઈ રહ્યો છું કે પછી સમય સાક્ષી છે અને……?!

‘ચિંતા નથી કશી પણ નમણા નજૂમી, કહી દે,……’ – નજૂમી એટલે જ્યોતિષ-ભવિષ્યવેત્તા. પ્રિયતમા માટે ‘નમણા નજૂમી’ વિશેષણ પ્રયોજી કવિએ કમાલ કરી છે ! પોતાનું ભવિષ્ય જેના હાથમાં છે એવી નમણી નાયિકાને કવિ કહે છે- ભવિષ્યની મને કશી ચિંતા નથી, પણ વર્તમાનમાં હું જે તડકો-છાંયડો અનુભવી રહ્યો છું તે શું છે ?! ……શું નાજુક ઈશારો છે !
છેલ્લેથી બીજો શેર પણ અત્યંત ઉમદા છે.

Comments (15)

પ્રારબ્ધ મીમાંસા – રાજેન્દ્ર શુક્લ

પંડ પરમાણે ઘાટ ને ઘડતર,
ઝાઝેરું રહી જાતું પડતર.

ભાર ભરાતો કંઈ ભવભવનો,
ક્યાંથી ઊતરે ભારે ચડતર ?

ઈ જ અનાડી આવે આડું,
ઈ પોતે પોતાનું નડતર !

ક્યાંક જડે મરમી કારીગર,
તો ઊઘડે આ જાડાં જડતર :

લાધે તો લાધે ઘટ ભીતર,
અધિક અધિકું વાધે વડતર !

– રાજેન્દ્ર શુક્લ

રા.શુ.ની કલા-કારીગરી આજના તમામ ગઝલકારોથી સાવ જ નોખી તરી આવે છે. એમની ગઝલોમાં ભગવો રંગ નજરે ચડે છે પણ આ ભગવો ભાગવાનો નહીં, ભોગવવાનો, માણવાનો, જાણવાનો ભગવો છે. આપણી ભીતર જે છે આપણને જે કાંઈ મળે છે એ આપણી ભીતરની લાયકાતના આધારે જ મળે છે. એથી વધુ કાંઈ પણ મેળવવા ગયા તો એ પડતર જ રહેવાનું. અને જનમ-જનમનો ભાર જે આપણે માથે લઈને ફરીએ છીએ એ ભાર જ હકીકતમાં આપણા ઉર્ધ્વગમનને આડે આવે છે.

Comments (7)

નિષ્ક્રમણ – રાજેન્દ્ર શુક્લ

rajendra
(ફોટો:જગન મહેતા)

આ વખત તો વેશમાંથી નીકળી ગયો છું હું,
શબ્દના પ્રદેશમાંથી નીકળી ગયો છું હું.

માત્ર મૌન છે સરળ, ન શબ્દની અલંકૃતિ,
એ બધા ય એશમાંથી નીકળી ગયો છું હું.

સાન ભાન ઓગળી જે લેશ કૈં રહ્યું હતું,
લો, હવે એ લેશમાંથી નીકળી ગયો છું હું.

દૃષ્ટિ નિષ્પલક અને હો આંખ આ નિરંજના,
અંજનોની મેશમાંથી નીકળી ગયો છું હું.

વાદ્ય આ વિરાટતાલ વાજતું, ભલે બજે,
એ ઠમક, એ ઠેશમાંથી નીકળી ગયો છું હું.

– રાજેન્દ્ર શુક્લ

કવિશ્રીને જન્મદિવસની શુભકામનાઓ !

Comments (8)

શબદસૃષ્ટિ અંતે – રાજેન્દ્ર શુક્લ

ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
સકળને સમૂળું સમેટી લઉં છું.

ન તો ઊંઘવું આ, ન તો જાગવું આ,
અહર્નિશ ઉજાગર ઉંઘેટી લઉં છું.

હું રેલાઉં, ફેલાઉં, વરસી પડું પણ-
બીજી ક્ષણ મને હું ઉશેટી લઉં છું.

ભલો ભાવ ભગવો, ભલો મેઘધનુષી!
લિપટતું જે આવે લપેટી લઉં છું.

શબદ ક્ષીરસાગર, શબદ શેષશય્યા,
શબદસૃષ્ટિ અંતે હું લેટી લઉં છું.

– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)

એક એવી અવસ્થા આવે છે કે જ્યાં બધું છોડી દેવું અને સર્વસ્વને ભેટી લેવું એક જ બની જાય છે. ત્યાં શાંત થઈ જવું કે છલકી જવું એક જ બની જાય છે. અને જાગૃતિ ને નિદ્રા છાના પગલે ભેગા થઈ જાય છે.

જે ભાવ કુદરતી રીતે સ્ફૂરે – એ ભગવો હોય કે રંગીન – એ જ ખરો ભાવ છે. એને ભારે ભાવથી ભેટી જ લેવું !

છેલ્લો શેર તો ભારે મઝાનો થયો છે. શબ્દ જ ક્ષીરસાગર છે, શબ્દ જ સૃષ્ટિ છે અને એના અંતે આધાર પણ તો શબ્દની શેષશય્યાનો જ છે ! આ બધા પ્રતિકોથી, માણસને છેક ઈશ્વર-સમાન અવસ્થા સુધી લઈ જવાનું શબ્દનું સામર્થ્ય કવિ અહીં છતું કરે છે.

Comments (12)

ઐસા ત્રાટક – રાજેન્દ્ર શુકલ

દેખૂંગા ઓર દોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
સાંસ સૂરંગા ફોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

દેખન લાગા અબ અંધા, મૈંને બાંધા મૈં બંધા,
છૂટૂંગા તબ છોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

જનમજનમ કો જાન ગયા, કારાગૃહ પહેચાન ગયા,
કાહે કો મુખ મોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

બિખરબિખર મિટ જાઉંગા, ફિરતફિરત ફિર આઉંગા,
નિશાન ડંકા ખોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઉંગા પલમેં અપલક,
ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

– રાજેન્દ્ર શુક્લ

દરવાજો ખોલવાની ગઝલથી આગળ આ દરવાજો તોડવાની ગઝલ માણો. કવિશ્રીના શબ્દોની તાકાત અને મીઠાશ બન્ને માણવા જેવા છે.

Comments (13)

ગોરખ આયા ! – રાજેન્દ્ર શુક્લ

આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા,
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા !

ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા,
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા !

જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા,
નજર સધી, અરૂ બિખરી માયા, ગોરખ આયા !

નાભિકંવરકી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઈ, ભૈરવસૂર ગાયા, ગોરખ આયા !

એક ઘરીમેં રૂક્યો સાંસ કે અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા !

ગગન ઘટામેં એક કરાકો, બિજરી હુલસી,
ઘિર આયી ગિરનારી છાયા, ગોરખ આયા !

લગી લેહ, લેલીન હુએ અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા !

– રાજેન્દ્ર શુક્લ

બે દિવસ પર મૂકેલી કવિશ્રીની ચેત મછંદર ગઝલની સાથેની આ યુગ્મ-ગઝલ આજે મૂકવાની લાલચ છોડી શકતો નથી. ‘ગોરખ આયા’ એટલે ચેતનાનો ચમકરો થવાની ઘટના. ચેતનાની ક્ષણનું આવું સબળ વર્ણન કવિશ્રીના ઘૂંટાયેલા અંતરનાદની સાહેદી પૂરે છે.

ગોરખ-મછંદરની કથા વાંચવાની ઈચ્છા થાય તો એ અહીં મૂકી છે. ( દિનકર જોશીના પુસ્તક ગ્લિમ્પસીસ ઓફ ઈન્ડિયન હિસ્ટરીમાંથી)

(અલખ=પરમેશ્વર, અરૂ=અને, કરાકો=કડાકો, લેહ=લગની, ખલકત=આદત, સૃષ્ટિ)

Comments (7)

ચેત મછંદર ! – રાજેન્દ્ર શુક્લ

ના કોઈ બારું, ના કોઇ બંદર, ચેત મછંદર,
આપે તરવો આપ-સમંદર, ચેત મછંદર !

નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર,
ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર !

કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા,
સુપના લગ લાગે અતિ સુંદર, ચેત મછંદર !

સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર !

સાંસ અરૂ ઉસાંસ ચલાકર દેખો આગે,
અહાલેક ! આયા જોગંદર, ચેત મછંદર !

દેખ દિખાવા સબ ઢરતા હે ધૂરકી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મછંદર !

ચડો ચાખડી, પવનપાવડી, જયગિરનારી,
ક્યા હે મેરુ ક્યા હે મંદર, ચેત મછંદર !

– રાજેન્દ્ર શુક્લ

સ્થૂળને ઓળંગી જવાની સલાહ કવિ પોતાની લાક્ષણિક શૈલીમાં આપે એની મઝા જ કંઈ ઓર છે. જીવનની મરિચિકાઓની ચેતવણી આપીને  કવિ ‘આપ-સમંદર’ને તરવાનો સીધો રસ્તો બતાવે છે.

(ધૂણો=અગ્નિકુંડ, અપારા=અપાર, સૂન=શૂન્ય, કંદર=ગુફા, અરૂ=અને, ઉસાંસ=ઉચ્છવાસ, અહાલેક= ઈશ્વરના નામનો પોકાર, ધૂરકી ઢેરી=ધૂળની ઢગલી, ઘાસની ઢગલી, પવનપાવડી= આકાશમાં ઊડી શકાય એવી જાદુઈ પાવડી, પવન જેવી ઉતાવળી દોડ )

Comments (17)

ગઝલ કહું છું – રાજેન્દ્ર શુક્લા

ગૂંથાઈ ગાણે ગઝલ કહું છું,
તરજ તરાણે ગઝલ કહું છું !

છલક છલાણે ગઝલ કહું છું,
ઝલક ઝલાણે ગઝલ કહું છું !

કદી છલોછલ છલી ઊઠું તો,
નદી નવાણે ગઝલ કહું છું !

ઘણી ય રાતો મૂંગો રહું છું,
કદીક વ્હાણે ગઝલ કહું છું !

બધું ય જાણી અને એ બેઠા,
હું તો અજાણે ગઝલ કહું છું !

ઉપર ઉપરથી ભલે ઉવેખે,
ભીતરથી માણે, ગઝલ કહું છું !

હું તો હું રહું છું, એ એનાં એ છે,
ભલે ને નાણે, ગઝલ કહું છું !

તમે કહ્યું કે કહો, તો કહું છું !
હું ક્યાં પરાણે ગઝલ કહું છું !

ગઝલ કહેવી નથી સરળ કૈં,
ચડી સરાણે ગઝલ કહું છું !

– રાજેન્દ્ર શુક્લા

આજ છંદ, આજ રદીફ અને આજ જમીનના કાફિયા ઉપર આજ કવિની એક ગઝલ પરમદિવસે આપણે માણી… આજે એજ ચારેય પાસાં સાથેની બીજી ગઝલ. કવિની આગવી શૈલીમાં બધા શેર અનાયાસ ઊઘડતા જાય છે…

Comments (9)

ગઝલ કહું છું – રાજેન્દ્ર શુક્લ

બધાંય જાણે, ગઝલ કહું છું,
ગજા પ્રમાણે ગઝલ કહું છું!

કથા બધાંની પછી કહીશું,
હું તો અટાણે ગઝલ કહું છું!

નથી ખબર તો મનેય એની,
અલખ ઉખાણે ગઝલ કહું છું!

ભર્યા બજારે ન કૈજ લાધ્યું,
વગર હટાણે ગઝલ કહું છું!

સમય પ્રમાણે રહું છું સાવધ,
હું ક્યાં કટાણે ગઝલ કહું છું!

મૂડીના નામે બચું છે જે કૈં,
મૂકી અડાણે ગઝલ કહું છું!

ગુનો અમારો કબૂલ અમને,
લે જાવ થાણે ગઝલ કહું છું!

ભૂખ્યા દૂખ્યાના નથી ભડાકા,
ભરેલ ભાણે ગઝલ કહું છું!

ન કોઈ જાણે, ન હું ય જાણું,
કયા ગુંઠાણે ગઝલ કહું છું!

– રાજેન્દ્ર શુક્લ

સમર્થ કવિ કેટલા અલગ સ્તરેથી ગઝલ કહે છે એ તો જુઓ ! અને હા, વાચતાં જ દુશ્યંતકુમારનો શેર યાદ આવી ગયો

मैं जिसे ओढ़ता—बिछाता हूँ,
वो ग़ज़ल आपको सुनाता हूँ.

(હટાણું=બજાર, અડાણું=ગીરો મૂકેલું, ગુંઠાણું =ગુણસ્થાનક- આંતરિક વિકાસની ભૂમિકા (જૈન પરિભાષા))

Comments (11)

વૃક્ષ – રાજેન્દ્ર શુક્લ

[audio:http://dhavalshah.com/audio/Sonet-Vrux-RajendraShukla.mp3]

(કવિના પોતાના અવાજમાં કાવ્યપઠન)

વર્ષો વિતે વૃક્ષ થતું જ વૃદ્ધ;
શાખા-પ્રશાખા અતિશે પ્રવૃદ્ધ,
ફૂલે ફળે ને લચતું રસાળ;
છાયાય કંઈ વિસ્તરતી વિશાળ!

તાપે તપે ને તપ એનું તેજ;
ચોપાસ જાણે ઘટતો જ ભેજ,
પાસેનું સર્વે રસહીન થાય;
તો મૂળ ઊંડા અતિદૂર જાય!

છાયા તળે જીવ બધાં અજાણ,
કોને કયહીંથી કંઈ હોય જાણ?
માળે બધાં પંખી કરે કલોલ,
એ એકલું એમજ કંઈ અબોલ!

જોયાં કરે વાટ, કરાલ કાળ-
ઉન્મૂલ ક્યારે કરશે કૃપાળ!

– રાજેન્દ્ર શુક્લ

વૃદ્ધ વૃક્ષ એના બધા અશ્રિતોની કાળજી કપરા કાળમાં પણ જતનથી કરે છે. પણ એનો જીવ તો પરમતત્વને મળવાની ઇચ્છામાંરહેલો  છે. કવિના પોતાના અવાજમાં કાવ્યની સાંભળવાની ઓર જ મઝા છે. કવિની વેબસાઈટ પર કવિની વધુ રચનાઓ આપ માણી શકો છો.

Comments (22)

ગઝલ – રાજેન્દ્ર શુક્લ

તું વહે વંશીને સૂર આ જ્યારથી,
આળખું હું તને ગઝલ-આકારથી.

આવ સામે હવે તું મને ભેટવા,
ડગ ન એકે ભરું હું હવે દ્વારથી.

પોત પાંખું થતાં જ્યોત ઝળહળ થઈ,
પાર પણ પરવર્યું પારના પારથી.

લક્ષવિણ લક્ષવિધ મોજ આ ઊછળે,
ધાર જુદી ક્યહાં આદ્ય આધારથી.

લૂમઝૂમે લચી લીધ ઝૂલી નર્યું,
ડાળ ખરતી અહો, ડાળના ભારથી !

-રાજેન્દ્ર શુક્લ

કવિ ગઝલ સાથે આદિથી અનાદિ સુધીનો તાર કેવો સહજતાથી આલેખે છે. સૃષ્ટિના સર્જનહારની સાથે પોતાના સર્જનની વાત હળવેથી સાંકળીને કવિ હળવેથી ગઝલ ઊઘાડી આપે છે. તું જે ઘડીથી વાંસળીના સૂર બનીને વહી રહ્યો છે એ જ ઘડીથી હું તને ગઝલ સ્વરૂપે અલેખી રહ્યો છું!

ગાલગાના ચાર આવર્તનોના કારણે સરસ મૌશિકી જન્માવતી આ ગઝલ ધીમેધીમે મમળાવીએ… ખાસ કરીને મને દીવો હોલવાવાનો થાય ત્યારે વધુ ઝબકારા મારેની વાતવાળો શેર વધુ સ્પર્શી ગયો જાણે કે અંત પોતે આ અંતનો આરો જોઈ કંઈક સમજી જતો હોય એમ ઘડીભર ચાલી નીકળતો ન હોય…

(વંશી=બંસી, વાંસળી; આળખવું=આલેખવું, અડવું; પાર=અંત, સીમા, ઊંડો મર્મ, કાંઠો; પરવરવું=ચાલી નીકળવું)

Comments (12)

આપણી યાદગાર ગઝલો : ૧૬ : હજો હાથ કરતાલ – રાજેન્દ્ર શુક્લ

હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક;
તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

લઈ નાંવ થારો સમયરો હળાહળ,
ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
તિલક કોઈ આવીને કરશે અચાનક.

અમે જાળવ્યું છે ઝીણેરાં જતનથી,
મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ,
રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

નયનથી નીતરતી મહાભાબ મધુરા,
બહો ધૌત ધારા બહો ગૌડ ગાનક.

શબોરોઝ એની મહકનો મુસલસલ,
અજબ હાલ હો ને અનલહક હો આનક !

-રાજેન્દ્ર શુક્લ (જન્મ: ૧૧ ઓક્ટોબર ૧૯૪૨)

સ્વર: સ્વ.પરેશ ભટ્ટ

[audio:http://tahuko.com/gaagar/layastaro/Rajendra Shukla-hajo haath kartal.mp3]

આ ગઝલ અગાઉ લયસ્તરો પર મૂકી હતી ત્યારે લખ્યું હતું, રાજેન્દ્ર શુક્લ એ ગુજરાતી કવિતાના લલાટ પરનું જાજવલ્યમાન તિલક છે. આધુનિક ગઝલની કરોડરજ્જુને સ્થિરતા બક્ષનાર શિલ્પીઓના નામ લેવા હોય ત્યારે બાપુનું નામ મોખરે સ્વયંભૂ જ આવી જાય. કવિના પોતાના શબ્દોના આધારે ૧૯૭૮માં લખાયેલી આ ગઝલના સાત શેર માણીએ:

1. સંદર્ભ-નરસિંહ મહેતા: હાથમાં કરતાલ, ચિત્તમાં ભક્તિનો આવેશ અને ગિરનારની તળેટી નજીક રહેઠાણ હોય એવી અભીપ્સાનો ઉદગાર.

2. સંદર્ભ-મીરાંબાઈ: અનન્ય શ્રદ્ધાના પરિણામે વિષનું અમૃતમાં પરિવર્તન-ની અનુશ્રુતિનો સંદર્ભ. સમયના હળાહળનું, બાહ્ય જગતની પ્રતિકૂળતાઓનું સશ્રદ્ધ નામસ્મરણના પ્રતાપે પરમ અનુકૂળતામાં પરિણત થવાની અનુભૂતિનું કથન. ખાસ રાજસ્થાની ભાષાનો સંસ્પર્શ.

3. સંદર્ભ-તુલસીદાસ: શબ્દના અનન્યાશ્રય દ્વારા આરાધ્યના સ્વત: પ્રાકટ્યની તથા પરમ સાર્થક્યના અવશ્યંભાવિ અનુભવની દ્રઢ શ્રદ્ધાનું કથન. ‘ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રધુવીર’.

4. સંદર્ભ-કબીર સાહેબ: વ્યવહારના સ્વીકાર છતાં વ્યવહારથી ન ખરડાવાની અસંગ નિર્લેપતા. જે કૈં છે, પ્રાપ્ત થયું છે તેને તેમનું તેમ જ યથાવત્ પરત કરવાની તત્પરતાનો સંકલ્પ. ‘દાસ કબીર જતન કરી ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’.

5. સંદર્ભ-ગુરુ નાનક: પ્રાસાનુરોધની અનિવાર્યતાને કારણે ‘નાનક’ એ વિશેષ નામનો અભિધામૂલક પ્રયોગ.  અનાસક્ત સ્વરહિત સાક્ષીભાવ તથા સર્વાત્મભાવની ચિત્તસ્થિતિનું પ્રરૂપણ. ‘રામકી ચિડિયા, રામકા ખેત, ખા લો ચિડિયા ભરભર પેટ’. પંજાબી ઉચ્ચાર લઢણોનો વિનિયોગ.

6. સંદર્ભ-ચૈતન્ય મહાપ્રભુ: અખંડ ગાન-નામસંકીર્તનની મધુરોપાસના દ્વારા આરાધ્ય સાથેની એકાત્મતા, મધુરાદ્વૈતના મહાભાવની અનુભૂતિની ઝંખના. સંદર્ભ: મહાપ્રભુ ચૈતન્યદેવ. નયનથી નીતરતી આદ્રતામાં દેહભાવનું વિગલન. બંગાળી ભાષાનો ઈષત સ્પર્શ.

7. સંદર્ભ-હઝરત મન્સૂર અલ હિજાજ: અંતર્મનમાંથી સાવ અણધાર્યો જ ઊપસી આવેલો આ અંતિમ શેર સમગ્ર કૃતિમાં પ્રસૃત અન્યથા ભજનસાદૃશ સામગ્રીને જાણે કે ગઝલના સ્વરૂપનો પુટ આપે છે, અરબી-ફારસી શબ્દો, સૂફી સાધનાધારાની પરિભાષા તથા હઝરત મન્સૂર અલ હિજાજની પ્રસિદ્ધ ઉક્તિ ‘અનલ હક’- અહં બ્રહ્માસ્મિ દ્વારા. રાત-દિવસ  પરમ તત્વનો અવિરત ગાઢ સંસ્પર્શ અને અનિર્વચનીય સમાધિના દિવ્યભાવની અવસ્થા. ‘આનક’- આનન – મુખ શબ્દ પરથી સિદ્ધ કરેલો શબ્દ. લુપ્તસપ્તમીનો પ્રયોગ, ‘આનક’ મુખમાં. અનલહક અહીં બ્રહ્માસ્મિનું જ રટણ રહો એવી અભીપ્સા.

(રાજેન્દ્ર શુક્લના 22/08/2007 પત્રના આધારે)

(ચાનક= આવેશ, જાગૃતિ; થાનક =સ્થાનક; નાંવ = નામ; સમયરો = સમયનું; અમિયેલ = અમૃત સીંચેલું; પાનક =પીણું, પેય; ચન = ચણ; હથ્થ = હાથ; ધૌત=ધોયેલું, (૨) સ્વચ્છ; ગૌડ = એ નામનો એક શાસ્ત્રીય રાગ; ગાનક = ગાન; શબોરોજ = રાત-દિન; મુસલસલ= લગાતાર, નિરંતર, ક્રમબદ્ધ; અનલહક = ‘હું બ્રહ્મ-પરમાત્મા છું’ એ અર્થ આપતો શબ્દ; આનક = આનન, મુખ)

Comments (18)