ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,
ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.
જીવી શક્યો અઢેલીને જીવનના દર્દને,
ઓકાત શી છે પીઠની? તકિયો બની ગઝલ.
વિવેક મનહર ટેલર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
June 16, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉદયન ઠક્કર
ગુમાઈ છે ગુમાઈ છે ગુમાઈ છે,
કોન્વેન્ટ સ્કૂલનાં કંપાઉન્ડમાંથી,
સંચાલકો અને માતા-પિતાની,
બેદરકારીને કારણે,
પલક મીંચવા-ઉઘાડવા વચ્ચેની કોઈ ક્ષણે…..
ગુજરાતી
વાંચતી–લખતી એક આખી પેઢી.
ઓળખવા માટે નિશાની : કાનુડાએ
કોની મટકી ફોડી ? -એમ પૂછો તો કહેશે,
જેક એન્ડ જિલની…..
ગોતીને પાછી લાવનારને માટે,
ઇનામ…
એકેય નથી.
કારણ કે એ હંમેશને માટે ગુમાઈ ચૂકી છે.
– ઉદયન ઠક્કર
વાતમાં દમ છે. હવે આ દિવસો દૂર નથી. સારી ગુજરાતી મીડીયમની સ્કૂલ microscope લઈને શોધવી પડે એવી હાલત છે. મને જો કે આ વાતનો અંગત રીતે હરખ-શોક કશો નથી. હું તો આને ઉત્ક્રાંતિનો નિયમ માનું છું….. જો કે ઘણાં લોકો આ વાતે ખૂબ વ્યથિત પણ હોય છે.
Permalink
June 15, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, પ્રિયકાંત મણિયાર
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં
રંગ ગુલાબી વાટી…
અણજાણ અકેલી વહી રહી હું
મુકી મારગ ધોરી
કહીં થકી તે એક જડી ગઈ
હું જ રહેલી કોરી
પાલવ સાથે ભાત પડી ગઈ
ઘટને માથે ઘાટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
શ્રાવણના સોનેરી વાદળ
વરસ્યા ફાગણ માસે
આજ નીસરી બહાર બાવરી
એ જ ભૂલ થઇ ભાસે
સળવળ સળવળ થાય ઉરે જ્યમ
પહેલી પેહરી હો કાંટી
છેલછબીલે છાંટી મુજને
છેલછબીલે છાંટી…
તરબોળ ભીંજાણી, થથરી રહું,
હું કેમ કરીને છટકું?
માધવને ત્યાં મનવી લેવા,
કરીને લોચન લટકું
જવા કરું ત્યાં એની નજરની
અંતર પડતી આંટી…
છેલછબીલે છાંટી
– પ્રિયકાંત મણિયાર
નખશિખ માધુર્ય……
Permalink
June 14, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મુકુલ ચૉકસી
જો કે સમુદ્રમાં અને આ રણમાં ફર્ક છે
માણસ એ બેઉ ચીજનો સંયુક્ત તર્ક છે
છો ને એ હોઠ નામની સંસ્થાને માન્ય છે
અક્ષર તો આંગળીનો અમસ્તો જ તર્ક છે
કેવો સરસ આ રાહ ન જોવાનો ડોળ છે
આંખો મીંચેલી છે… અને કાનો સતર્ક છે
– મુકુલ ચોક્સી
માત્ર ત્રણ જ શેરની ગઝલ. એમાં પણ બે કાફિયા તો એકના એક. ને તો પણ ગઝલની ફ્લેવર એવી કે એકવાર માણો તો કાયમ માટે જીભે સ્વાદ રહી જાય. પહેલા શેરમાં કરાયેલી માણસની વ્યાખ્યા અને આખરી શેરનો ઇંતેજાર તો અદભુત છે !!!
Permalink
June 13, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, સંજુ વાળા
કૈં તો દ્યો વરતારો
વાત વાતમાં વળ ચડાવ્યે કેમ આવશે આરો ?
તમે નરી મસ્તીમાં અમને ક્યાંય પડે ના ચેન,
એવાં તે ક્યાં કારણ જેનાં ઘમ્મર ચડતાં ઘેન,
જેવું અમેય ધારી બેઠા, એવું તમેય ધારો !
કૈં તો દ્યો વરતારો
હરીફરીને એક જ રટણા સરખી રોજ વિમાસણ,
એક નામની આંટી વાળી પાડ્યું જીભે આંટણ.
કાં સહુ હા-માં હા કહી દો, કાં સામે પડકારો !
કૈં તો દ્યો વરતારો
કોઈ પાતળી એંધાણી કે ચીંધો નક્કર ખૂબી,
નહીંતર ભોળી આંખો જાશે ભવાટવિમાં ડૂબી.
છેવટ, અમથી હૈયાધારણ દઈને તો પસવારો !
કૈં તો દ્યો વરતારો
– સંજુ વાળા
તડ ને ફડ… બસ, કવિને આ જ અભિપ્રેત છે. કોઈ સીધો ઇશારો જ ન કરો ને દરેક વાતે વળ જ ચડાવતા રહો તો આરો કેમનો આવે? ડર એ છે કે પ્રિયપાત્ર નાનો-મોટો, કોઈ પણ પ્રકારનો વરતારો ન આપે તો સંસારની સમસ્યાઓમાં કઈ ઘડીએ ડૂબી જવાય એ નક્કી નથી…
Permalink
June 12, 2014 at 12:30 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
તારી યાદોનાં હરણ લૈ જાઉં
પીઠ પર નાખીને રણ લૈ જાઉં
ખૂબ લાંબો છે મરણનો રસ્તો
જિંદગીભરનાં સ્મરણ લૈ જાઉં
હોઠ પર પ્યાસના સહરા સળગે
બંધ આંખોમાં ઝરણ લૈ જાઉં
એ તો સાક્ષાત્ સમય છે પોતે
મારી એકાંતની ક્ષણ લૈ જાઉં
જ્યારે જાઉં છું ઊઠીને આદિલ
શ્વાસમાં વાતાવરણ લૈ જાઉં
– આદિલ મન્સૂરી
આખી ગઝલ મજબૂત પણ હું તો પહેલા શેરનો જ આશિક બની ગયો… યાદોના હરણ જાણે કે આખું રણ… અસીમ…. અનંત… ધગધગતું… બળઝળતું… સૂક્કુંભઠ્ઠ… આભાસથી ભરપૂર… અને આ બધું પોતાની જ પીઠ પર વેંઢારવાનું… વાહ કવિ!
Permalink
June 9, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under માધવ રામાનુજ
સરજન કેવું કર્યું !….
અહીંથી અનંત સુધી કણકણમાં-
લીલાવિશ્વ ભર્યું….
બ્રહ્માંડોના બ્રહ્માંડોમાં રેલાવ્યું અજવાળું,
અજવાળાની આરપાર પ્રસર્યું અંકાશ રૂપાળું-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી અવતર્યું !
સરજન કેવું કર્યું !
એક એક આ પિંડે મૂકી એ જ બ્રહ્મની છાયા,
મનમાં મૂક્યું એ જ અકળ વિસ્મય ને એની માયા-
પાર ન પામ્યું કોઈ આ બધું કેમ કરી ઉતર્યું !
સરજન કેવું કર્યું !
અહીંથી અનંત સુધી કણકણમાં
લીલાવિશ્વ ભર્યું !
– માધવ રામાનુજ
આ કવિની પ્રત્યેક રચનામાં એક માધુર્યસભર સૂફીનાદ હોય છે…….
Permalink
June 8, 2014 at 1:16 AM by તીર્થેશ · Filed under આબિદ ભટ્ટ, ગઝલ
રણ મળે ત્યાં ઝરણ કરી દઈએ,
એમ ઊજળું મરણ કરી દઈએ !
હોય ત્રીજું ના આપણી વચ્ચે,
રોજ એવું સ્મરણ કરી દઈએ.
જાણવું શક્ય છે તમસને પણ,
રાતભર જાગરણ કરી દઈએ.
દશ્યમાં આવને બતાવી દે,
તે મુજબ અનુકરણ કરી દઈએ.
બંધ હો મન પ્રદેશની સરહદ,
ના, અમે અતિક્રમણ કરી દઈએ.
જિંદગી ગોઠવાય ના સમુચિત,
તો રમણ ને ભમણ કરી દઈએ !
યાદનું વૃક્ષ ફાલતું અંદર,
છમ્મલીલું પરણ કરી દઈએ.
સાદ કર આપણા, પરાયાને,
બાદ વર્ગીકરણ કરી દઈએ !
– આબિદ ભટ્ટ
‘readgujrati.com’ ના સંચાલક શ્રી મૃગેશભાઈને શોકાંજલિ સમાન આ ગઝલ તેઓની વેબસાઈટ ઉપરથી સાભાર…..
પ્રથમ શેર…………………
Permalink
June 6, 2014 at 12:30 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત, સાહિત્ય સમાચાર

*
ઓનલાઇન ગુજરાતી સાહિત્યના એકલહથ્થુ ભેખધારી અને પાયાના ખેલાડીઓમાં મોખરાના એક ગણી શકાય એવા મૃગેશ શાહ હવે આપણી વચ્ચે નથી….
મગજમાં લોહીની નસ ગંઠાઈ જવાના (Superior Sagittal and Cavernous Sinus Thrombosis) કારણે માત્ર પાંત્રીસ વર્ષની કુમળી વયે મૃગેશ પર વડોદરા ખાતે ગઈ ૨૦મીએ ન્યુરોસર્જરી કરવામાં આવી. સર્જરી બાદ મૃગેશની તબિયત કથળી. કોમામાંથી બહાર જ આવી ન શક્યા અને ગઈકાલે બપોરે ૦૫/૦૬/૨૦૧૪ના રોજ બપોરે ૧૨.૧૫ કલાકે એમનું દેહાવસાન થયું…
ઓનલાઇન ગુજરાતી ગદ્ય તથા પદ્યના સહુથી વિશાળ ખજાના- રીડગુજરાતી.કોમનો આમ અકાળે અંત આવશે એવું કોણે ધાર્યું હોય ?
મિત્ર મૃગેશને ટીમ લયસ્તરો તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ…
*
મિત્ર મૃગેશના માનમાં લયસ્તરો.કોમ શનિવારે એક દિવસ માટે રજા પાળશે…
*

Permalink
June 5, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, શોભિત દેસાઈ
મરકતાં હોય તો લાગે પરીનાં ફૂલો છે
અરે ! શિશુઓ છે ? કે જિંદગીનાં ફૂલો છે
એ ઓળખાય ભલે નભમાં કોઈ પણ નામે
જે ટમટમે છે તરલ, ચાંદનીનાં ફૂલો છે
હો ખુલ્લી કે પછી અધખુલ્લી કે બિડાયેલી,
તમારી આંખો છે કે મયકશીનાં ફૂલો છે ?!
ઇમાનદારી-પ્રામાણિકતા-માણસાઈ-વફા
છબી બન્યાં છે હવે, ગઈ સદીનાં ફૂલો છે !
કરી પસાર પૂરી રાત મહેકની સાથે
ગયું આ કોણ પરોઢે ? કે ભીનાં ફૂલો છે !
ઝિલાતા હોય છે ત્યારે નથી જ જીરવાતા
ગઝલના શેર તો પયગમ્બરીનાં ફૂલો છે
– શોભિત દેસાઈ
કહતે હૈં કિ શોભિત કા હૈ અંદાઝ-એ-બયાઁ ઓર….
Permalink
June 2, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, હરીન્દ્ર દવે
મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !
તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.
ટીંપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.
સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.
કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?
હરીન્દ્ર દવે
સિદ્ધહસ્ત કવિની ખૂબી જ એમાં છે કે તે એક તીરથી સાત તાડના વૃક્ષો વીંધે… આ કાવ્ય ક્યાંથી ઉઘડે છે તે જુઓ- અર્થપૂર્ણ એક સંબંધ કવિ પ્રાર્થે છે. થાકેલી આંખો અંજાતી તો નથી પરંતુ કદાચ છેતરાઈ પણ જાય….. સતર્કતા થોડી ઢીલી મૂકાઈ પણ જાય….. ઈશ્વરે જે અફાટ માયા પાથરી છે તેમાં કવિને રસ નથી – એ તો ‘ટીપેથી પાય તો ધરાઉં’ એમ કહે છે…..અંતે કવિ આ સમગ્ર લીલામાં રહેલા એક સાતત્યને પિછાણે છે અને એક અનુત્તર પ્રશ્ન સાથે વિરમે છે….
Permalink
June 1, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
પગ નથી ધરતી ઉપરને આભ માથા પર નથી,
બેઉમાંથી કોઈનો પણ કબજો મારા પર નથી.
પગ પસારું છું હંમેશા હું મારી ચાદર મુજબ,
બોજ કંઈ મારી હયાતીનો આ દુનિયા પર નથી.
મર્દ છું, અશ્રુ વગર પણ રડતાં ફાવે છે મને,
જોઈ લો એકે ઉઝરડો મારા ચ્હેરા પર નથી.
આત્માને પણ સતત ઝળહળતો રાખું છું સદા,
રોશની માટે બધો આધાર દીવા પર નથી.
કેટલી એકલતા મારી ચોતરફ વ્યાપી ગઈ,
એક પણ ચકલીનો માળો મારા ફોટા પર નથી.
સો ટકા, ઘર બદલીને બીજે કશે ચાલ્યા ગયા,
ફૂલવાળો એમના ફળિયાના નાકા પર નથી.
મારી મંઝિલ તો હંમેશા હોય મારા પગ તળે,
હું ખલીલ અત્યારે અંતરિયાળ રસ્તા પર નથી.
– ખલીલ ધનતેજવી
સાંગોપાંગ મજબૂત ગઝલ……..માત્ર ખુમારી નથી પણ દર્શન સાથેની ખુમારી છે…….
Permalink
May 31, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદ્રકાન્ત ટોપીવાળા
મારી સામે એક વરુ છે
એક ઘેટું છે
બંને બાજુબાજુમાં ઊભેલાં છે.
ખબર નથી
એમાં ઘેટું એ ખરેખર ઘેટું છે
કે
વરુ એ ખરેખર વરુ છે.
ખબર નથી
વરુએ કદાચ ઘેટાનો સ્વાંગ ધર્યો હોય
કે ઘેટાએ કદાચ વરુનો સ્વાંગ ધર્યો હોય
ખબર નથી
હું એમની સામે છું
કે
તેઓ મારી સામે છે.
ખબર નથી
મારા સ્વાંગની એમને ખરેખર ખબર પડી ગઈ હશે ?
– ચંદ્રકાન્ત ટોપીવાળા
સામો માણસ બહુરૂપિયો જ હશે એવી સામાન્ય માન્યતા લઈને આપણે જીવતા હોઈએ છીએ એ વાત કવિતાના પૂર્વાર્ધમાં વ્યક્ત થઈ છે. ત્યાં સુધી કવિતા કંઈક નવા પ્રકારની વાત કરતી હોય એવું જ લાગે છે. પણ સૉનેટની જેમ ખરી ચોટ અને કવિતા છે છેલ્લી બે પંક્તિઓમાં… શું માત્ર સામા માણસો જ બહુરૂપિયા હોય છે કે પછી….?!
Permalink
May 30, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, નલીની માડગાંવકર, વિશ્વ-કવિતા, સમીર રાય ચૌધરી
શું કોઈ પ્રેમ કરી શકે છે
આ નિર્મળ ઝરણાને કિનારે
એકાકી દેવદાર વૃક્ષ જેવો !
શિયાળુ તડકાને સમગ્ર દેહ પર ચોળવા માગે છે
તેથી ઢગલેઢગલા પાંદડાં ખેરવી શકે ?
હું તો છું ડરપોક શાલવૃક્ષ અને અશ્વત્થવૃક્ષની ડાળી
પાંદડે પાંદડે મારું શરીર ઢંકાયેલું;
કોણ જાણે, કોને ખબર, આખું વરસ શું કામ
આમ પાંદડાં ખરે !
– સમીર રાય ચૌધરી
(અનુ. નલિની માંડગાવકર)
ચંદ પંક્તિઓમાં પ્રણયની કેવી બળકટ ઉત્કટ વાત ! સ્વચ્છ ઝરણાના કિનારે એકલું ઊભેલું દેવદારનું વૃક્ષ શિયાળામાં બધા પાંદડાં ખેરવીને સાવ નગ્ન થઈને એક-એક ડાળ પર તડકા સાથે સંવનન કરવાની હિંમત રાખે છે પણ આવી હિંમત કવિ કરી શકતા નથી.
Permalink
May 29, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, ચંદુ મહેસાનવી
દરેક સ્ત્રી
પોતાને દર્પણમાં સંતાડી રાખવા માંગે છે
દર્પણમાં
સાવ એકલી બેઠેલી સીતાના હાથ
કોઈ રાવણ ખેંચી શકતો નથી,
દર્પણમાં
લાચાર પાંડવો સામે ઊભેલી દ્રૌપદીની સાડી
કોઈ કૌરવ ખેંચી શકતો નથી,
દર્પણમાં
મોડી રાત્રે ઘરમાં આવેલાં પતિનાં
પગરખાંનો અવાજ
ખૂણામાં જાગતી સલમાની આંખોને
ધ્રુજાવી શકતો નથી,
માછલી તો પાણીમાં સુરક્ષિત છે એમ,
દરેક સ્ત્રી હજી પણ સુરક્ષિત છે,
પરંતુ માત્ર દર્પણમાં.
– ચંદુ મહેસાનવી
રૂંવાડા ઊભા કરી દે એવી સ્ત્રીચેતનાની એક કવિતા એક પુરુષ પાસેથી…
Permalink
May 26, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, હરીન્દ્ર દવે
અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથી
કે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,
હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,
વહે વાસંતી વાયરો ને શાતા નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,
હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,
ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,
આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી.
– હરીન્દ્ર દવે
નખશિખ નઝાકતથી ઓપતું મધુરું ઊર્મિકાવ્ય……એકદમ લાક્ષણિક હરીન્દ્ર દવે……
Permalink
May 25, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, બેફામ
દુનિયામાં પુણ્યકર્મનો અવળો હિસાબ છે,
સારા બનીને જીવવું એ પણ અજાબ છે…
બીજું શું આફતાબ અને માહતાબ છે,
કેવળ કોઇ રૂપાળા વદનના નકાબ છે…
ઓ નિંદકો, તમારી સમજફેર છે જરા,
હું નહિ પરંતુ મારું મુકદ્દર ખરાબ છે…
કાંટા ખૂંચે છે એનું કશું દુઃખ નથી મને,
સંતોષ છે કે હાથમાં સાચું ગુલાબ છે…
દિવાનગીનો કેફ નહીં ઊતરી શકે,
એકવારની નથી એ સદાની શરાબ છે…
ખૂદ એ જ એક સવાલ બનીને રહી ગયાં,
મારી તમામ જીંદગીનો જે જવાબ છે…
બસ એટલું કે એના ઉપર હક નથી મને,
મારો નહી તો સૌથી સરસ ઇન્તેખાબ છે…
રસ કોઇનેય ક્યાં છે નિખાલસ મનુષ્યમાં,
મારું જીવન નહીં તો ઉઘાડી કિતાબ છે…
કિન્તુ મરણની ઊંઘમાં જોઇ નહીં શકો,
બેફામ જીન્દગી હવે સાચે જ ખ્વાબ છે…
-બરકત વિરાણી ‘બેફામ’
Permalink
May 24, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગિરિન ઝવેરી, ગીત
હૈયે થાતું ગીત તારાં જ ગાઉં
તૃષાઘેર્યાં નૈને ભવભવ હતો હું ભટકતો,
અને ભગ્નાશાની કજલ રજની ડારતી હતી.
તું આવી તે ટાણે,
અને તારે ગાણે
ઉછાળ્યા આ હૈયે ઉદધિ મુદના, તેજ પ્રકટ્યાં;
નાચે હૈયું, ગીત ગાઉં મદીલાં !
કો જાણે શું ગીત કેવાં મદીલાં !
પરંતુ એ શીળા રસસમુદરે લીન થઉં ત્યાં
સુમન ડગલે તું વિલિન થૈ,
પગથી પર બે બે પગલી રહૈ,
ઋતુરાણી જાણે કુસુમ અદકાં બે ભૂલી ગઈ –
અભાગી માટે, હા, રુદનધન આજે મૂકી ગઈ !
આંસુ લો’યાં ગીત તારાં જ ગાઉં !
– ગિરિન ઝવેરી
(જ: ૧૬-૦૩-૧૯૨૩ ~ મૃ: ૧૩-૦૧-૧૯૫૧)
માત્ર અઠ્ઠાવીસ વર્ષની કુમળી વયે આ વિશ્વ ત્યાગી જનાર રૂપેણ કાંઠાના ઉમતા ગામના ગિરિન ઝવેરી બર્માના મોલમીન ખાતે મોટા થયા. બીજા વિશ્વયુદ્ધ પૂર્વે એ વતનભેગા થયા. અમદાવાદમાં બી.એ. થયા ને પછી એમ.એ.માં મુંબઈ યુનિવર્સિટિમાં પ્રથમ ક્રમે ઉત્તીણ થયા. સૂરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં બી.એ.ના પ્રાધ્યાપક થઈ એવી ચાહના મેળવી કે એમનો વર્ગ બંક કરવાની વાત તો અલગ, બીજા વર્ગના વિદ્યાર્થીઓએ પણ એમને સાંભળવા વર્ગમાં ઘુસી જતા. ૨૮ની નાની વયે ઝેરી મેલેરિયા (સેરિબ્રલ મેલેરિયા)ના કારણે આપણે એક પ્રતિભાશાળી કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી તથા ઊંડા અભ્યાસી ગુમાવ્યા… કલાપી (૨૬), નર્મદ (૩૩), મણિલાલ દેસાઈ (૨૭), રાવજી (૨૮)ની પંગતમાં જઈ બેઠા..
ગિરિન ઝવેરીની આ રચના ટાગોરની યાદ ન અપાવે તો નવાઈ.
Permalink
May 23, 2014 at 3:08 AM by વિવેક · Filed under પ્રકીર્ણ, બ્લોગજગત
રીડગુજરાતી. કોમ… મૃગેશ શાહ…
જે મિત્રો ઓનલાઇન ગુજરાતી સાહિત્યજગતમાં વિહાર કરવાનો થોડો પણ શોખ ધરાવે છે એ લોકો આ બે નામથી ભાગ્યે જ અજાણ હોવાના. ગુજરાતી સાહિત્યની કદાચ સહુથી વિશાળ વેબસાઇટ રીડગુજરાતી. કોમના સંચાલક મૃગેશ શાહ ઘણા વરસોથી એકલા હાથે ગુજરાતી ગદ્ય અને પદ્યનો અમૂલ્ય ખજાનો આપણને વિના મૂલ્યે અનવરત પીરસી રહ્યા છે.
કમનસીબે માત્ર પાંત્રીસ વર્ષની નાની વયે મૃગેશ બ્રેઇન હેમરેજનો શિકાર થઈ લકવાગ્રસ્ત અને કોમાગ્રસ્ત થયા છે. ગણતરીના દિવસો પહેલાં જ વડોદરાની મેટ્રો હૉસ્પિટલ ખાતે એમના પર ન્યુરોસર્જરી કરવામાં આવી અને હેમરેજ દૂર કરવામાં આવ્યું પણ દુર્ભાગ્યે એ હજી કોમામાં છે.
ગુજરાતી સાહિત્યની સેવાનો ભેખ લેનાર આ યુવામિત્રને આજે આપણા સહુ તરફથી દુઆ અને વિશેષ તો આર્થિક સહાયની ખાસ જરૂર છે… લયસ્તરોના તમામ વાચકમિત્રોને નમ્ર અપીલ છે કે મદદનો હાથ લંબાવે…
બેંક ખાતાની માહિતી આ મુજબ છે.
Name : DHANANJAY THAKORLAL SHAH
Bank : CENTRAL BANK OF INDIA, KARELIBAUG BRANCH BARODA – 390018
A/C No : 00000001324943292
IFSC : CBINO280486
જે મિત્રો આર્થિક સહાય કરે એ મિત્રોને વિનંતી કે અહીં કોમેન્ટ બોક્સમાં પણ આપનું નામ લખી જરૂરથી જણાવજો કે આપે દુઆ સાથે મદદનો પણ હાથ લંબવ્યો છે, જેથી અન્ય મિત્રોને પણ પ્રોત્સાહન મળે…
*
વહાલા મૃગેશ ! જલ્દી કર… અમે સહુ તારી અને રીડગુજરાતી. કોમની રાહ જોઈ રહ્યાં છીએ…
*

Permalink
May 22, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિલીપ શ્રીમાળી
ખૂબ ઊંચે છે એ જળ ને જળનું તળિયું
ક્યાંથી દેખાડું તને વાદળનું તળિયું ?
ચિત્રમાં દોરી નદી ખળખળ વહેતી
ભીનું ભીનું થઈ ગયું કાગળનું તળિયું.
રણને આખુંય ઊથલપાથલ કર્યું પણ
ક્યાંય દેખાયું નહીં મૃગજળનું તળિયું.
ખુશબૂ લપસી ગઈ ફૂલોના શ્વાસ પરથી
લીલ બાઝેલું હતું ઝાકળનું તળિયું !
– દિલીપ શ્રીમાળી
ચાર જ શેરની આ ગઝલ આમ તો તળિયાની વાત કરે છે પણ એનું પોત પકડવા જાવ તો અતાગ લાગે એવી ઊંડી !
એક બીજું આશ્ચર્ય લયસ્તરો પર કવિનું નામ ઉમેરવા ગયો ત્યારે થયું. એક, બે, ત્રણ નહીં, લયસ્તરો પર એક ડઝન ‘દિલીપ’ મળી આવ્યા… !
Permalink
May 20, 2014 at 7:58 PM by ધવલ · Filed under ઊર્મિકાવ્ય, દેવિકા ધ્રુવ

શતદલ પંખ ખીલત પંકજ પર,
હસત નયન જ્યમ શ્યામ વદન પર.
શત શત બુંદ સરક દલ વાદળ,
ભીંજત બદન નર નાર નવલ પર.
ઘનન ઘનન ગરજત નભમંડળ,
કરત ક્યાંક કલરવ ખગ તરુવર.
છલ છલ છલકત જલ સરવર પર,
નાચત મંગલ મયૂર મનોહર.
સર સર સૂર સજત દિલ મોહક,
ભૂલત ભાન વનરાવન ગોપક.
પલપલ શબદ લખત મનભાવન,
ઝરત પ્રીત મન કરત પાવન.
લીલ રંગ ધરા ધરત અંગ પર,
સોહત સુંદર સદ્યસ્નાત સમ.
મસ્ત મસ્ત બરસત અવિરત ઝર,
ઝુલત ઝુમત શતદલ મધુવન પર.
– દેવિકા ધ્રુવ
ખુલ્લા આકાશમાં અનાયાસ વિહરતા પંખી જેટલી સહજતાથી આ ગીતનો લય મનને મોહી લે છે. મોટેથી બે વાર વાંચતા તો મને સુન્દરમના ગીતોની ( 1, 2 ) યાદ આવી ગઈ. ગીતનો સશક્ત લય તમને પણ ‘ભીંજવી’ નાખશે એની પૂરેપૂરી ગેરેન્ટી છે. મોટેથી, લય સાથે વાંચતા જાવ:, ‘સદ્યસ્નાત’ જેવો ભારે શબ્દ પણ જીભ પરથી માખણની જેમ સરકી જશે ત્યારે લયની તાકાત અને ભાષાની ઋજુતા પર મોહી પડ્યા વગર રહેવાશે નહીં.
Permalink
May 19, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શૂન્ય પાલનપુરી
અમો પ્રેમીઓના જીવનમાં વસી છે આ સૌંદર્ય સૃષ્ટિની જાહોજલાલી
ધરા છે અમારા હ્રદય કેરો પાલવ, ગગન છે અમારા નયન કેરી પ્યાલી
અમે તો કવિ, કાળને નાથનારા, અમારા તો આઠે પ્રહર છે ખુશાલી
આ બળબળતું હૈયું, આ ઝગમગતા નૈનો, ગમે ત્યારે હોળી, ગમે ત્યાં દિવાળી
મને ગર્વ છે કે અમારી ગરીબી અમીરાતની અલ્પતાઓથી પર છે
સિકંદરના મરહુમ કિસ્મતના સૌગંદ, રહ્યા છે જીવનમાં સદા હાથ ખાલી
તને એકમાંથી બહુની તમન્ના, બહુ થી મને એક જોવાની ઇચ્છા
કરે છે તું પ્યાલામાં ખાલી સુરાહી, કરું છું હું પ્યાલા સુરાહીમાં ખાલી
-શૂન્ય પાલનપુરી
આ ગઝલ પ્રસ્તુત કરવાનો હેતુ એનો છેલ્લો શેર છે…….
Permalink
May 18, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ખલીલ ધનતેજવી, ગઝલ
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.
કહો તો માછલીની આંખમાં ડૂબકી દઇ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.
તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.
તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે
તમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.
– ખલીલ ધનતેજવી
વાતમાં ખુમારી છે પરંતુ………..
Permalink
May 17, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, એડવિન મૂર, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
હા, તારો જ, મારી પ્રિયે ! છે સાચો માનવ ચહેરો,
મેં મારા મનથી અત્યાર સુધી રાહ જોયા કરી,
ખોટું જોતો રહ્યો અને હતો સત્યની તલાશમાં,
ત્યારે જ તું જડી એમ જેમ કોઈ પથિકને જડી જાય એક સ્થળ
સ્વાગત ભર્યું, ખોટાં ખીણ-પર્વતો અને વાંકળિયાળ રસ્તાઓમાં.
પણ તું, હું શું કહું તને ?
વગડામાંનો ફુવારો ?
ઉષર દેશમાં પાણીનો કૂવો?
અથવા કંઈ પણ જે પ્રામાણિક અને સારું છે, એક આંખ
જે વિશ્વ સમસ્તને પ્રકાશિત કરે છે.
આપવાના ઔદાર્યથી સરળ તારું વિશાળ હૃદય, બક્ષે છે આદિ કાર્ય.
સૌપ્રથમ સારી દુનિયા, વસંત, પ્રફુલ્લિત બીજ,
સગડી, અવિચળ ભૂમિ, ભટકતો દરિયો,
બધી રીતે સુંદર કે વિરલ નહીં
પણ તારી જેમ જ, જેમ એ હોવા જોઈએ એમ જ.
– એડવિન મૂર
(અનુ. વિવેક મનહર ટેલર)
જરા ધીરે રહીને ઊઘડતું મજાનું કાવ્ય. “જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને” (મ.ખંડેરિયા) જેવી વાત… પોતાના પ્યારનો ચહેરો જ સાચો ચહેરો છે એની ખાતરી કવિને કેવી સરસ રીતે થાય છે અને આપણને પણ કરાવવામાં આવે છે ! કશું જ સમગ્રતયા સુંદર કે વિરલ હોતું નથી. જે છે એ જેમ હોવું જોઈએ એમ જ હોય એમાં જ એનું સાચું સૌંદર્ય છે.
*
The confirmation
Yes, yours, my love, is the right human face,
I in my mind had waited for this long.
Seeing the false and searching the true,
Then I found you as a traveler finds a place
Of welcome suddenly amid the wrong
Valleys and rocks and twisting roads.
But you, what shall I call you?
A fountain in a waste.
A well of water in a country dry.
Or anything that’s honest and good, an eye
That makes the whole world bright.
Your open heart simple with giving, give the primal deed.
The first good world, the blossom, the blowing seed.
The hearth, the steadfast land, the wandering sea,
Not beautiful or rare in every part
But like yourself, as they were meant to be.
– Edwin Muir
Permalink
May 16, 2014 at 12:30 AM by વિવેક · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
વાતેવાતે શેનું મોડું થાય છે ?
ઘાસ, તુર્ત જ, દૂધ થોડું થાય છે ?
મેઘની પાછળ ને પાછળ કુંજડી
ને મને પણ દોડું-દોડું થાય છે.
થાય સીધાં કામ આ વરસાદમાં ?
જો, કિરણ પણ જળમાં ખોડું થાય છે
શેરને તું શ્લોક માફક બોલ મા !
રેડિયમ કંઈ સૂર્ય થોડું થાય છે ?
રોકતાં રોકી તો લીધી આ ગઝલ,
ફેફસાંમાં વાવાઝોડું થાય છે
– ઉદયન ઠક્કર
સાયન્ટિફિક ગઝલ એમ કહીને સંબોધવાનું મન થાય એવી ગઝલ… પહેલા શેરમાં બાયોલોજી… બીજામાં ઝૂલોજી… ત્રીજા-ચોથામાં ફિઝિક્સ… છેલ્લા શેરમાં વિજ્ઞાનની કોઈ શાખા ભલે નથી, પણ ફેફસાં તો આવી જ ગયા…
જો કે આવું કશું ન વિચારો તો પણ આ ગઝલ સાવ અનૂઠી ફ્લૅવરવાળી અને વારંવાર વાગોળવાનું (બાયોલોજી!) મન થાય એવી છે !
Permalink
May 15, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
આ ધરા એક ગ્રંથ આલિશાન છે,
તમને લખવા-વાંચવાનું જ્ઞાન છે ?
ઈસવીસન પૂર્વેથી ચાલી આવતો,
કોનો મારા શીશ પર અહેસાન છે ?
કાષ્ઠની તલવાર જેવો દેહ છે,
ને જગત તો એક રણમેદાન છે.
છોકરો બગડી ગયો’તો સાવ જે,
એનું તો જાહેરમાં સન્માન છે.
જ્યાં વિચારોને પૂરી રાખી શકો,
એવું કોઈ ખાસ આંદામાન છે ?
– હેમેન શાહ
સન્માનવાળા શેરને બાદ કરીએ તો આખેઆખી ગઝલ અફલાતૂન. બધા જ શેર બે ઘડી વિચાર માંગી લે એવા અને સ્મરણમાં લાંબો સમય ઘુમરાયા કરે એવા. પણ આંદામાનની સેલ્યુલર જેલ અને કાળા પાણીની યાદ અપાવતો આખરી શેર તો શિરમોર છે…
Permalink
May 12, 2014 at 2:55 AM by તીર્થેશ · Filed under અછાંદસ, ઉમાશંકર જોશી, રવીન્દ્રનાથ ઠાકુર
અલ્પ લઈને રહું છું,
તેથી જ
મારું જે જાય છે
તે ચાલ્યું જાય છે,- ક્ભણર પણ
જો ખોવાઈ જાય તો
તો તેને માટે પ્રાણ ‘હાય હાય’ કરી ઉઠે છે.
નદીતટની પેઠે સતત
વૃથા જ
પ્રવાહને જકડી રાખવા ચાહું છું.
એક પછી એક
લહરીઓ હૈયા પર આઘાત કરીને
ક્યાંય ચાલી જાય છે.
જે જાય છે અને જે કંઈ રહે છે
તે બધું તમને સોંપી દઉં,
તો પછી ઘટવાનું નથી,
બધું જ તારા મહામહિમામાં જાગતું રહેશે .
તારામાં કેટલાય ચંદ્ર-સૂરજ રહેલા છે,
કદી અણુ-પરમાણુ પણ ખોવાતું નથી !!
મારું તુચ્છ ખોવાયેલું ધન તે શું તારા ચરણે નહીં રહે ??
-રવીન્દ્રનાથ ઠાકુર અનુ- ઉમાશંકર જોશી
ગુરુદેવના દરેક કાવ્યની એક ખાસિયત હોય છે જે મોટેભાગે કાવ્યને બે થી ત્રણ વાર વાંચતા બરાબર સમજાય છે – ઈશ્વરભક્તિના તેઓના તમામ કાવ્ય ભલે પહેલી નજરે સરખા જેવા જ લાગે, પરંતુ દરેકમાં એક સૂક્ષ્મ ભાવવિશ્વ આકાર લે છે. જેમ કે આ કાવ્યમાં તેઓએ પોતાની વિહવળતાનું કારણ પ્રસ્થાપિત કર્યા બાદ જાણે સ્વોક્તિ કરતા હોય તેમ ઇશાવાસ્ય ઉપનિષદના પ્રથમ શ્લોક-
ॐ ईशावास्यं इदं सर्वं यत् किञ्च जगत्यां जगत।
तेन त्यक्तेन भुञ्जिथाः मा गृधः कस्य स्विद् धनम् ।।
-ને સ્મરીને જાતનું સમાધાન કરે છે.
Permalink
May 11, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રાજેશ રેડ્ડી
अक्स आईने में आकर भी न आया हुआ है
सबने अपने में कहीं खुद को छुपाया हुआ है
जिंदगी तो कभी आई ही नहीं पर हमने
कब से जीने का ये इल्ज़ाम उठाया हुआ है
दिल के जलने की खबर दुनिया को लगने हि न दी
राख के नीचे धुँआ हमने दबाया हुआ है
कब ख़ज़ाना ये लुटाया है किसी ने ह्म पर
अपनी आँखों का हर इक मोती कमाया हुआ है
थरथराती ही रहेगी मेरी लौ बुज़ने तक
वो दिया हूँ जो हवाओं का सताया हुआ है
नाशनासाई का क्या ज़िक्र शनासाओं की [ नाशनासाई = अपरिचय , शनासा = परिचित ]
अब तो बेगाना यहाँ अपना हि साया हुआ है
खूब वाक़िफ़ है हकीक़त से तेरी सोहरत की
हमने भी थोड़ा-बहुत नाम कमाया हुआ है
रोज़ ही ताज़ा सुखन होता है नाज़िल हम पर [ नाज़िल = अवतार ]
रोज़ ही ताज़ा सितम वक़्त न ढाया हुआ है
– राजेश रेड्डी
આજે નાવીન્યને ખાતર એક હિન્દી ગઝલ…. આમ તો સરળ ગઝલ છે. છેલ્લેથી બીજો શેર જરા નબળો લાગ્યો,બાકી બધા ગમ્યા.
Permalink
May 10, 2014 at 2:10 AM by વિવેક · Filed under આદિત્ય જામનગરી, ગઝલ
એની સાથે ન ખેલ, ચીસો છે,
મૌન ઘરડી થયેલ ચીસો છે.
ગાલ પરની ભીનાશને વાંચો,
પાંપણોએ લખેલ ચીસો છે.
વૃક્ષ પરથી ખરેલ પર્ણો સૌ,
મૂળમાંથી ઊઠેલ ચીસો છે.
માણસો પ્રાર્થના કહે જેને,
એ પ્રભુને ધરેલ ચીસો છે.
સર્વ નિઃશ્વાસ થઈ ગયેલા શ્વાસ,
છાતીમાંથી છૂટેલ ચીસો છે.
– આદિત્ય જામનગરી
આદિત્ય આમ તો મારો મિત્ર છે. પણ એની રચનાઓનો વિગતે કદી પરિચય થયો જ નહોતો. આજે આ ગઝલ વાંચી અને હું આજીવન એનો ‘ફૅન’ બની ગયો… નાની બહેરના પાંચ જ શેરમાં કેવી અદભુત કમાલ !
મૌન એટલે ઘરડી થઈ ગયેલી ચીસો, ગાલ પરના આંસુની ભીનાશ એ પાંપણોના ચિત્કાર – આ કવિ કેવો જાદુ કરે છે !
Permalink
May 9, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હર્ષવી પટેલ
જાણે કે ખુદ ‘મરીઝ’,’અખા’,’કાન્ત’ હોય છે,
થોડાક ‘પેનપકડુ’ અજબ ભ્રાંત હોય છે.
હૈયું ચહે છે શાંતિ ને હુલ્લડ મગજ કરે,
ભીતર બધાંને બે’ક અલગ પ્રાંત હોય છે.
એક જ જગા ઉપર ન ઘડીભર ટકી શકે,
પૂર્વજ ઘણામાં એટલો ઉત્ક્રાંત હોય છે.
કૈં કેટલાને માટે સમય તો સમય નહીં,
સરકારે ફાળવેલ કશીક ગ્રાન્ટ હોય છે.
ધરતી હલી ય જાય, જો બોલે કશુંક એ;
એવા વિચારથી તો અમુક શાંત હોય છે.
– હર્ષવી પટેલ
તદ્દન અલગ જ મિજાજની ગઝલ પણ વાંચતાવેંત મનમાં ઘર કરી જાય એવી. એક-એક શેર ખરા સોના જેવા. ‘કાન્ત’ અને ‘ભ્રાન્ત’ જેવા કાફિયાવાળો મત્લાનો શેર અને વાનરોને ચાક્ષુષ કરી આપતો ‘ઉત્ક્રાંત’ કાફિયાવાળો શેર તો ચિરસ્મરણીય થયા છે.
Permalink
May 8, 2014 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગીત
ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…
પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો ને મારો વૈભવ હતો કોઈ કુબેર સરીખો,
કંઈક થયું ઓછું ભીતર ને થતો ગયો હું ધીરે ધીરે ખખડેલાં ખંડેર સરીખો.
પછી હૃદયમાં કરોળિયાના જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં જાળાં બાઝ્યાં વાત જવા દે…
રોજ વિચારું ભીતરનો આ જ્વાળામુખી સઘળે સઘળો સાવ ઓલવી નાખું,
પળ બે પળ તો એમ થાય કે આંસુ અંદર ડૂબાડીને સૂરજ સુદ્ધાં લાવ ઓલવી નાખું
કશું થયું નૈં અંદર અંદર એવા લાજ્યા એવા લાજ્યા એવા લાજ્યા વાત જવા દે…
ધખધખતું સપનું જોવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે…
– અનિલ ચાવડા
ક્યારેક સપનાં મોંઘા પણ પડી જાય…
Permalink
May 5, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under કિસન સોસા, ગઝલ
ધૂપથી નીકળ્યો, અને હું ધૂપમાં ઊતરી ગયો,
તો ય મુજ પડછાયો કેવા છાંયડા ચીતરી ગયો !
પૂર્વાજન્માશ્રમ મહીં હોઈશ હું ગુલમહોર તે,
આ ભવે પણ જો, સહજ ભાવે, સૂરજ ઝીલી ગયો.
એ નદી સૈકા પછી થઈ શહેર વચ્ચેથી પસાર
ને રૂપાંતર પામતો હું પથ્થરે અટકી ગયો.
અંધકારે રહીને પણ આપી છે મુજ ઓળખ અલગ,
ફૂલ બેલાનું થઈ પધરાવમાં મ્હેકી ગયો.
એ પ્રતિમા પર ઝીણેરો પડદો ઝલમલતો હતો ,
કોઈને હાથે અચાનક આજ લો , સરકી ગયો.
રાતને ત્રીજે પ્રહર જાગી ઊઠી છે આ ગઝલ,
શું કરું, તું સાંભરી ને હું મને સ્ફૂરી ગયો.
– કિસન સોસા
ચોથો શેર બહુ ન ગમ્યો, બાકી બધાં જ સુંદર છે.
Permalink
May 4, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ઊર્મિકાવ્ય, મૂકેશ જોષી
તું ભરતી ને હું ઓટ ,
મને ગમે ભીતર વળવું, તું બહાર મૂકે છે દોટ.
આલિંગનનો લઈ હરખ તું ઠેઠ કિનારે જાય,
મારી બૂમે લહેરો પાછી ઘરમાં આવી જાય.
તું ઊછળે તો લાગે જાણે ઊર્મિનો વરઘોડો,
મારે કારણ ઉદાસીઓને મળે આશરો થોડો .
જળના ઘરમાં રહીએ ક્યાં છે ઝળઝળિયાંની ખોટ….
તું ભરતી ને હું ઓટ.
શ્વેત ચાંદની નર્તન કરતી કેવળ તારી રાગે,
મારે કારણ દરિયા જેવો દરિયો માંદો લાગે.
તારી પાસે જોશ,જવાની,જલસા,જાદુમંતર,
મારી પાસે જોવા જેવું કેવળ મારું અંતર.
મારે કાયમ મંદી તારા ભાયગમાં છે ચોટ,
તું ભરતી ને હું ઓટ.
-મૂકેશ જોષી
નખશિખ ઊર્મિકાવ્ય…. ઓટના આટલાં ઓવારણાં ભાગ્યે જ લેવાયા હશે…..
Permalink
May 3, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા, વૉલ્ટર લેન્ડર
હું કોઈ સાથે લડતો નથી, કેમકે કોઈ મારા ઝઘડાને લાયક નથી,
મેં કુદરતને ચાહી છે, અને કુદરત પછી, કળાને:
જીવનના આતશ કને મેં બંને હાથ તાપ્યા છે,
એ હોલાઈ રહ્યો છે, અને હું તૈયાર છું જવા માટે.
– વૉલ્ટર લેન્ડર
(અનુ. વિવેક મનહર ટેલર)
*
મૃત્યુની તૈયારીનું નાનું પણ કેવું મજાનું ચિત્ર ! કવિ કોઈ વિવાદમાં કદી પડતાં નથી કેમકે કવિ કોઈને એ લાયક ગણતા નથી. કવિને તો રસ હતો માત્ર પ્રકૃતિ અને એ પછી કળામાં. કહી શકાય કે કવિ જિંદગી ભરપૂર જીવ્યા છે. અને કવિ પોતે પણ એ જ કહે છે કે જિંદગીના અગ્નિ પાસે એમણે અસ્તિત્વને ખૂબ મજેથી તાપી લીધું છે. કોઈ ઝઘડો નથી. કોઈ અસંતોષ નથી હવે. જિંદગીના ઓલવાતા જતા અગ્નિ સામે કોઈ ફરિયાદ પણ નથી. કવિ તૈયાર છે…
સાવ ચાર પંક્તિનું કાવ્ય… પણ હળવેથી વાંચતા ભીતરથી એક ચીસ નીકળી જાય એવું…
*
I strove with none, for none was worth my strife.
Nature I loved and, next to Nature, Art:
I warm’d both hands before the fire of life;
It sinks, and I am ready to depart.
– Walter Savage Landor
Permalink
May 2, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
આ સમયને ઝેર પાઈને મર્યાં
શ્વાસ જેવા શ્વાસ ખાઈને મર્યાં
બહાર જીવ્યા હસતું મુખ રાખી અમે
ને ભીતરથી હીજરાઈને મર્યાં
એના બાહુપાશમાંથી ના છૂટ્યા
પ્રેમમાં કેવા ફસાઈને મર્યાં
ક્યાંક વાદળમાંથી વરસે છે ફરી
જળ જે અહીંયાથી સુકાઈને મર્યાં
કોઈ ખાલી પેટે જીવતું હોય છે
ને અમે તો બહુ ધરાઈને મર્યાં
ઝાંઝવા પાછળ તમે દોડ્યા કર્યા
ને અમે એમાં તણાઈને મર્યાં
– ભરત વિંઝુડા
આમ તો આ ગઝલ વાત કરે છે મરવાની પણ છે વાંચતા જ જીવી જવાનું મન થાય એવી…
સૂર્યના તાપથી બાષ્પીભૂત થઈ વાદળમાં ઘનીભૂત થઈ ક્યાંક બીજી જ જગ્યા પર જઈ વરસી પડતા જળનું કલ્પન એવું તો ગમી ગયું કે હું આગળ જ વધી શકતો નથી….
Permalink
May 1, 2014 at 12:30 AM by વિવેક · Filed under અછાંદસ, સંદીપ ભાટિયા
મારા ઘરથી
તારા ઘર સુધીના
રસ્તા કરતાં
તારા ઘરથી
મારા ઘર સુધીનો
રસ્તો
કેમ
વધુ લાંબો હોય છે
હંમેશા ?
– સંદીપ ભાટિયા
સુન્દરમ્ દોઢ લીટીમાં પ્રેમનો ઉપનિષદ લખી ગયા… સંદીપ ભાટિયા એક લીટીમાં એક અધ્યાય લઈને આવ્યા છે… અછાંદસની ચાલ મુજબ નવ પંક્તિમાં વહેંચાઈ ગયેલું આ કાવ્ય હકીકતમાં તો એક વાક્ય જ છે માત્ર…
સંજોગોવશાત્ આજે કવિમિત્રનો જન્મદિવસ પણ છે… કવિશ્રીને વર્ષગાંઠની અઢળક મબલખ વધાઈ….
Permalink
April 28, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, સૌમ્ય જોશી
આંખ બીડી હાથ બે ભેગા કરી;
એક ઈચ્છા આવવાને કરગરી.
બહાર નીકળીને પ્રવાહી થા હવે,
ઘટ્ટ ઘન આંસુની તીણી કાંકરી.
ખ્વાબમાં પણ રિક્તતાઓ છે હવે
ઓ હકીકત કઈ રીતે તું સંચરી.
ચોતરફ રખડ્યો ને ક્યાંય ના મળી,
એક પણ છાંટા વગરની એક છરી.
આઠદસ મહોરાંઓ પહેર્યાં કેમ તેં ?
એ ભલા માણસ તું માણસ છે કે હરિ ?
– સૌમ્ય જોશી
Permalink
April 27, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under રમેશ પારેખ, હાઈકુ
પાનખરે આ
પતંગિયું બેપગું….
વસંતો વેરે
અંધકારની
ત્રેવડ નહીં કે એ
દીવો બુઝાવે….
તડકો વંડી
વહેરે છે ને છાંયો
પડખે ઊંઘે….
‘વિરહી’ શ્વાસો
મૂકે ત્યાં થઈ જાતો
વાયુ ભડથું !
ખિસકોલીના
રુંવાં ઉપર રમે
સુંવાળો સૂર્ય….!
હું જ છબિમાં
હું જ છબિની બહાર
કયો હું સાચો ?
જીવતર છે
બાક્સ ખોખું, શ્વાસો
દિવાસળીઓ
મનીઓર્ડર
લૈને વૃદ્ધાએ લીધાં
રોકડાં આંસુ….
-રમેશ પારેખ
Permalink
April 26, 2014 at 1:50 AM by વિવેક · Filed under ગઝલ, ભરત ત્રિવેદી
અરે હાલ મારા તો એવા થયા છે
પરાયા પૂછે છે કે છે કે ગયા છે?
હતી સાયબી કંઈ અમારી નવાબી
હવે યાદના થોડા સિક્કા બચ્યા છે
વમળમાં હતી જોકે કશ્તિ છતાંયે
ડૂબી કે તરી કંઈયે વાવડ મળ્યા છે?
સમય તુંયે કેવો રહ્યો ભાગેડુ કે,
અહીં કોઈને તારાં પગલાં જ્ડ્યાં છે?
ઈલાજો હશે ઝાંઝવાં પી જવાના
અમે શબ્દને એટલે તો પૂજ્યા છે
ધરા જેમ કાયમ જે અહીંયાં તપ્યા છે
ગગનને નીચે એ ઊતારી શક્યા છે
– ભરત ત્રિવેદી
એક મજાની ગઝલ… બધા જ શેર મનનીય…
Permalink
April 25, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભાવેશ ભટ્ટ
અચાનક વહેણમાં બદલાવ આવે;
નદીમાં જો અમારી નાવ આવે.
અમુક ચહેરા વિષે એવું બને છે,
અરીસાનો કોઈ પ્રસ્તાવ આવે.
કોઈ પણ પંખી જો માળો ન બાંધે,
તો ક્યાંથી વૃક્ષનો ઉઠાવ આવે !
નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત,
નહીંતર બાંકડાને તાવ આવે.
ભર્યું આકાશ આંખોમાં ખીચોખીચ,
અને સપનામાં કાયમ વાવ આવે.
– ભાવેશ ભટ્ટ
Permalink
April 24, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મિલિન્દ ગઢવી
પડદો હટાવી દઉં તો નહીં ઓળખી શકો
નાટક બતાવી દઉં તો નહીં ઓળખી શકો
પરછાઈને લીધે જ પરિચય છે આપણો
સૂરજ છૂપાવી દઉં તો નહીં ઓળખી શકો
રહેવા દો કૈંક ભેદ હવે દરમિયાનમાં
ધુમ્મસ બૂઝાવી દઉં તો નહીં ઓળખી શકો
ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને
ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો
ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં
એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો
– મિલિન્દ ગઢવી
Permalink
April 21, 2014 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, રમેશ પારેખ
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?
પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?
ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!
પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું
તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !
– રમેશ પારેખ
નખશિખ ઉત્તમ કવિતા…… ક્લાસિક……
Permalink
April 20, 2014 at 2:12 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે
મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે
પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે
બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે
ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે
– રઈશ મનીઆર
સરળ અને સચોટ વાણી…….
Permalink
April 19, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મેહુલ પટેલ 'ઈશ'
એક બાળક માટે શું છે આ જગત
ટોર્ચ ચાલુ-બંધ કરવાની રમત !
શ્વાસ ખેંચીને કરો કોશિશ જરા,
સાફ વંચાશે હવા પરનું લખત
ફોટો જોતા યાદ આવી જાય છે,
કેમેરામાં કેદ એક જૂનો વખત !
ઢીલ કરવાની નહિ એમાં કદી,
શેર સ્ફુરે એટલે લખવો તરત !
હું કહું, ‘ઈશ’ છે છતાં તું ના કહે ?
ચાલ એક-એક ચાની થઇ જાએ શરત
– મેહુલ પટેલ ‘ઈશ’
મત્લાથી શરૂ થઈ એક પછી એક બધા જ શેર પાણીદાર આંખ-કાન સામે આવતાં હોય એવી સુખદ ક્ષણે મક્તાનો શેર મારા જેવા જૂનવાણી માણસને વિચારતો કરી મૂકે દે છે. ઈશ્વરના અસ્તિત્વના સનાતન પ્રશ્નને એક-એક ચાની શરતથી મૂલવવાની વાત એક કલ્પન તરીકે ગમે એટલી સમસામયિક (contemporary) કેમ ન હોય, શેરને સપાટીથી નીચે આવવા દેતી નથી.
Permalink
April 18, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરીશ ઠક્કર ડૉ.
લાગણી છલકાય જેની વાતમાં,
એક-બે જણ હોય એવા, લાખમાં.
બંધ ઘરમાં ના જવું એ સૂચના,
જાવ તો આવે કશું ના હાથમાં.
છે વિરોધાભાસથી ભરપૂર, પણ
શબ્દકોશ આખો તમારી આંખમાં.
ચીસ પાડીને પછી કહેવી પડી,
વાત કરવાની હતી, જે કાનમાં.
હૈયું ખોલે ને શરત એવી કરે –
તું પ્રવેશી ના શકે આ દ્વારમાં.
– હરીશ ઠક્કર
આખેઆખી મનનીય ગઝલ… શબ્દકોશવાળું કલ્પન કેવું મજાનું ! અને ચીસ પાડીને વાત કરવી પડવાની વાત તો આપણા સહુના જીવનની કહાણી જ નથી?
Permalink
April 17, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લલિત ત્રિવેદી
ધરું છું જ્યોંકી ત્યોં વેરાન પેશાની, ઇનાયત હો !
ઇનાયત હો… ન કોઈ નામ-નિશાની, ઇનાયત હો !
કરી છે તૃણ સમી ઝૂલવાની નાદાની, ઇનાયત હો !
કરી તો જો ખુદા એની નિગહબાની, ઇનાયત હો !
તો આપી દે જગા કાગળમાં ખૂણાની, ઇનાયત હો !
તને કહેવાની હું શોધું છું આસાની, ઇનાયત હો !
ખુદા ! ઝીણી નજર કરજે… એ બેઠો છે અલગ દર પર
કરી છે એણે રણઝણવાની મનમાની, ઇનાયત હો !
પગથિયાં ચડતાં ચડતાં એક જણ ગુમ થૈ ગયો, માલિક !
નથી કુરબાની, બસ ! હરકત છે ઇન્સાની, ઇનાયત હો !
– લલિત ત્રિવેદી
મહેરબાની ચાહવાની વાત છે… કોની મહેરબાની? પાંચમાંથી ત્રણ શેરમાં ખુદા અને માલિક શબ્દ વપરાયો છે એ સૂચવે છે કે ગઝલકાર સૃષ્ટિના સર્જનહાર પાસે કૃપા માંગી રહ્યો છે. પણ માંગવામાં અહીં આરતની સાથોસાથ ખુદ્દારી પણ છે. ઉજ્જડ તકદીર એના હાથમાં સોંપીને, કોઈ પણ નામ-શોહરતની ચાહના પડતી મૂકીને કવિ માત્ર એની કૃપા અને બસ, કૃપા જ ચહે છે…
ખુદાને પડકાર કોણ આપી શકે ? નાદાન જ સ્તો ! પવનમાં ઘાસ હળવે હળવે ડોલતું હોય એને અટકાવવાની રખેવાળી અલ્લાહ પણ ક્યાંથી કરી શકવાનો? આખો કાગળ ભરેલો હોય એમાં સનમ કવિને ક્યાં શોધવા બેસશે? એટલે જ કવિ ખૂકો માંગે છે જેથી આસાનીથી સનમની નજરમાં ચડી શકાય…
(પેશાની = કપાળ; ઇનાયત = કૃપા; નિગહબાની = રખેવાળી; દર = ઘર)
Permalink
April 14, 2014 at 4:20 AM by તીર્થેશ · Filed under ગઝલ, ગની દહીંવાળા
હ્રદય ! થાકી ગયું આ પંથની આબોહવાથી શું ?
સમયને આ દિશામાં ધૂળ ખાતો રાખવાથી શું ?
ભરીને આંખમાં પાણી સૂરજને દેખવાથી શું ?
કે એ છલનાનો સર્જક કમ હશે કંઈ ઝાંઝવાથી શું ?
પડ્યા તો છો પડ્યા, અહીં ધ્રૂજતી ધીરજના પડછાયા,
લથડતી ચાલ, ઠાલું પાત્ર, સંયમ રાખવાથી શું ?
ફલક પર જિંદગીના ભૂલથી ભટક્યા, ચલો મંજુર
ગ્રહો નબળા કહી, નભને ઉતારી પાડવાથી શું ?
‘ગની’ ગીતોની, ટહુકાની તરહ બદલાય ઉદ્યાને,
પુરાણી ડાળના પંખી બનીને બેસવાથી શું ?
-ગની દહીંવાલા
Permalink
April 13, 2014 at 1:03 AM by તીર્થેશ · Filed under ગઝલ, સંજુ વાળા
સોળવલ્લી ચૂપકીદીની અમસ્તી આણ મૂકી
હોઠ ઉપર આસમાની રંગની રસલ્હાણ મૂકી
અબઘડી એ નિસર્યા આવાગમનની જાણ મૂકી
ખૂશ્બૂઓ રમણે ચડી હો એવું કચ્ચરઘાણ મૂકી
છો હીરા-માણેકનું હો, કિન્તુ યે બાજાર હૈ ના ?
મૂલ્ય અંકાતા અહીં સૌ સામે પલ્લે પહાણ મૂકી
કૈં યુગોથી આ તુસાદી અશ્વ હણહણતા નથી, ને-
કૈં યુગોથી વિનવું છું નિત નવા જોગાણ મૂકી
તેં તગઝ્ઝુલમાં જરા પરફ્યુમની મસ્તી ઉડાડી
તો તરન્નુમમાં અમે લોબાન જેવી ઘ્રાણ મૂકી
એવું તે શું વૃક્ષના આ છાંયડાઓ પાથરે છે ?
કેમ ખેંચે છે મને બેસી જવા પરિત્રાણ મૂકી ?
જલપરીઓની કથા જેવાં હતાં જે ભાવવિશ્વો-
એમાં ઉમેરણ કર્યું લ્યો ! વ્યાપ ‘ને ઊંડાણ મૂકી
ચંદ્રનું સત ઓગળ્યું, જળ ચાંદી ચાંદી થઈ ઊઠ્યાં, તો-
મેં ય મરજીવાઓ પાછળ જંપલાવ્યું વહાણ મૂકી
[ જોગાણ – ઘોડા, બળદ વગેરેને ખાવા આપવાનું અનાજ; ચંદી. ]
-સંજુ વાળા
નાવીન્યપૂર્ણ ગઝલ……
Permalink
April 12, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગીત, રામનારાયણ વિ. પાઠક
ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો કે પાંદડું પરદેશી !
એ તો બેઠું મારા ચંપાની ડાળે કે પાંદડું પરદેશી !
એનાં ફૂલડાં ખરી પડ્યાં અકાળે ! કે પાંદડું પરદેશી !
મેં તો હારમહીં ગૂંથાવ્યું, કે પાંદડું પરદેશી !
એણે ફૂલ એક એક કરમાવ્યું કે પાંદડું પરદેશી !
એને નદીને નીર પધરાવ્યું કે પાંદડું પરદેશી !
એ તો દરિયેથી પાછું આવ્યું કે પાંદડું પરદેશી !
મેં તો ખોદી જમીનમાં દાટ્યું કે પાંદડું પરદેશી !
ત્યાં તો ફણગો થઈને ફાટ્યું ! કે પાંદડું પરદેશી !
મારી સખીએ બતાવ્યું સ્હેલું, કે પાંદડું પરદેશી !
એક ફૂંક ભેળું ઉડાડી મેલ્યું કે પાંદડું પરદેશી !
– રામનારાયણ વિ. પાઠક ‘શેષ’
પહેલાં તો લાગ્યું કે કોઈ માવતરના જીવનો બળાપો છે કે કોઈ પરદેશી આવીવે એમની ચંપા જેવી છોકરીને મોહી ગયો ને છોકરીનું જીવતર બરબાદ કરી ગયો. માવતર દીકરીના સંસારને સહારો-સધિયારો આપવા જમાઈને જાત-જાતની મદદ કરે છે પણ પરદેશી પાંદડું જેનું નામ ! પણ તોય સખીનો કીમિયો ને ફૂંક મારી ઉડાડી મેલવાનો રામબાણ ઇલાજ ઝીગ-સૉ પઝલમાં ક્યાંય ઠેકાણે બેઠો નહીં…
પછી કવિએ પોતે આપેલ ટિપ્પણમાં વાંચ્યું કે મનુષ્યમાં રહેલી પાપવૃત્તિ એ પરદેશી પાંદડું છે ત્યારે અચાનક ગડ ખૂલી ગઈ… દુર્દમ્ય પાપવૃત્તિ જીવનનો ચોકોરથી વિનાશ જ કરશે… માંહ્યલાને દોસ્ત બનાવીને એને ઉડાડી મૂકીએ એ જ એનો કાયમી ઇલાજ છે..
લોકગીતની ચાલમાં ચાલતું આ મજાનું ગીત આપણને તો ગમી ગયું… આપને ?
Permalink
April 11, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમંત પૂણેકર
દુઃખીને, ન્યાલને સમજી શકું છું,
સમયની ચાલને સમજી શકું છું.
અમારા પ્રશ્નના ઉત્તરમાં આંસુ ?
તમારી ઢાલને સમજી શકું છું.
અધર અડવા જતા સામા મળેલા,
ગુલાબી ગાલને સમજી શકું છું.
ફૂટી નીકળ્યો છે પાંપણમાં અનાયાસ,
નકામા ફાલને સમજી શકું છું.
બધે હોવા છતાં ક્યાંયે ન હોવું,
હવાના હાલને સમજી શકું છું.
-હેમંત પુણેકર
વાહ કવિ!!! વાહ, વાહ ને વાહ જ….
Permalink
April 10, 2014 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ચંદ્રેશ મકવાણા 'નારાજ'
અઘરું છે ખૂબ જીવવું અન્યોથી ડરતાં ડરતાં
સમજી શીખી રહ્યો છું અન્યોને માફ કરતાં
ફંફોસવા પડે છે અઢળક અજાણ ખૂણા
તકલીફ તો પડે ને પરપિંડમાં ઉતરતાં
ઊડવાની બાધા લૈને બેઠું પતંગિયું તો
જોવા છે એને વટથી ફૂલોને હરતાં ફરતાં
મારા વિના બિચારા આ સૂર્યનું થશે શું
બસ એટલું કહેલું તડકાએ મરતા મરતા
ફેંકી દીધું ને અંતે દરિયે દગો કરીને !
બોલ્યું રડીને મોજું પથ્થરને બાથ ભરતા
આ પાનખર ભલે ને તૂટીને થાય ત્રણ પણ
એનાથી મૂળસોતા વૃક્ષો નથી જ ખરતાં
– ચંદ્રેશ મકવાણા
મજાની ગઝલ… તૂટીને ત્રણ થવાની અભિવ્યક્તિ મને ન સમજાઈ… કોઈ મદદ કરશે ?
Permalink
Page 56 of 118« First«...555657...»Last »