ભીંતને લીધે જ આ પાડોશી જેવું હોય છે,
એક સમજૂતીસભર ખામોશી જેવું હોય છે.
મુકુલ ચોક્સી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for April, 2026

(જવાનું છે એ સડક અલગ છે) – જિગર જોષી

કદમ ઉપાડ્યાં જુદી દિશામાં, જવાનું છે એ સડક અલગ છે,
કરી પ્રતીક્ષા જુદી જ પળની, જે હાથ લાગી છે ક્ષણ અલગ છે.

પ્રથમ કે બીજી કે ત્રીજી નજરે એ આંખો અમને ઠરેલ લાગી,
રહી રહીને સમજમાં આવ્યું કે એની આખી તરસ અલગ છે.

ભળી ગયાં છે જો દૂધ-સાકર પછી તો ક્યાંથી અલગ થવાનાં?
તમે એ રીતે કર્યું છે મિશ્રણ, નહીં તો જીવન—મરણ અલગ છે.

અમે તો પહેલાં કહ્યું હતું કે આ વાત માન્યામાં નહીં જ આવે,
ખભેખભો મેળવીને ચાલે, અહીંનાં મૃગજળ-હરણ અલગ છે.

‘જિગર’ એ સંબંધ હો કે દરિયો, અનુભવો તો છે એક સરખા,
શરૂ શરૂના પ્રવાહ જુદા, પછી પછીનાં વમળ અલગ છે.

– જિગર જોષી

આજે જ એક ગઝલ;સંગ્રહની રઈશ મનીઆરે લખેલી પ્રસ્તાવનામાં આ વાંચ્યું: ‘કહેવાયછે કે ગઝલ કાફિયાનુસારી પ્રકાર છે, પણ મારો મત છે કે કાફિયા કરતાંવધુ રદીફ ગઝલનુંભાવવિશ્વ નક્કીકરવામાં મોટો ભાગ ભજવે છે. સુંદર રફીફની પસંદગી સારી ગઝલ લખાવાની શક્યતા વધારી દે છે.’ સત્યવચન! લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે જ આપણે રદીફે ગઝલમાં રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ (https://layastaro.com/?p=24476) કર્યું હોવાની વાત કરી હતી. આ ગઝલ વિશે પણ એવું કહી શકાય. એક તો મજાના લગા લગાગાના આવર્તનવાળો દ્વિખંડી છંદ અને ગઝલના મિજાજને ઉપસાવી આપવામાં પ્રમુખ ભાગ ભજવતી ‘અલગ છે’ રદીફ –સાચે જ ગઝલ અલગ તરી આવે છે!અહીં કાફિયા તો મુક્ત અને અકારાંત છે, પણ નાની તોય મજાની રદીફની મદદથી આ ગઝલ સરસમાંથી ઉત્તમની યાત્રા સફળતાપૂર્વક ખેડી શકી છે એનો આનંદ છે.

ગઝલના પાંચેય શેર ઉમદા થયા છે. ખરેખર જે તરફ આગળ વધવું જોઈએ, એનાથી વિપરીત દિશામાં જ ગતિ કરનાર આ દુનિયામાં ઓછા નથી. ઘણા માણસ ઉપરથી ઠરેલ લાગે… પહેલી નજરે જ નહીં,વારંવારના અવલોકન પછી પણ! પાછળથી રહી રહીને આપણને સમજાય કે હકીકતમાં આપણે જ એને વાંચવામાં ખોટા સાબિત થયાં છીએ- એ ભાઈની તો લાલસા જ અલગ હતી! જીવન-મરણવાળો શેર એની ગૂંથણીના કારણે વધુ પ્રભાવક થયો છે. મૃગજળ એટલે હોઈએ એથી ઘણે દૂર પાણી હોવાનો થતો આભાસ. હરણ કહો તો હરણ અને મનુષ્ય કહો તો મનુષ્ય- જેમ જેમ એની નજીક જવાની કોશિશ કરીએ, એમ એમ મૃગજળ દૂરને દૂર થતું જાય. બે સાથે ન થઈ શકે. કવિ કહે છે કે અમે તો પહેલાં જ કહ્યું હતું કે અમારી વાત તમારા માન્યામાં આવશે નહીં. આ દુનિયામાં મૃગજળ અને મૃગ ખભેખભા મેળવીને ચાલે છે. છેલ્લો શેર પણ નખશિખ આસ્વાદ્ય થયો છે.

Comments (1)

હળવેથી પગલું મેલ – નિરંજન ભગત

પદમણી, હળવેથી પગલું મેલ,
આજ તારું હૈયું છલકે કે હેલ?

કિયા ડુંગરની આડે ત્યાં દૂરથી
. પહેલા પરોઢને પ્હોર,
ગમતીલા ગરવા નરવા તે સૂરથી
. સુણ્યો મધુરવો મોર?
આજ તારા પગલામાં પ્રગટી ઢેલ!

તારી તે પાનીને જોઈ જોઈને
. પોયણી શી શરમાય,
દિલની દાઝેલીની રોઈ રોઈને
. કાયા તે શી કરમાય!
આજ તારી રખે રોળાય રંગરેલ!

સૂના સરવરિયે પાણીડે જાતાં
. પ્રગટ્યા શું ભવના ભોર?
આછેરા વાયરા અંગ અંગ વાતાં
. સપનોના સરક્યા દેાર?
આજ એમાં નીરખી નાવલિયાની વ્હેલ?

– નિરંજન ભગત

શાળામાં ભણતો હતો ત્યારે આ ગીત ક્યાંક વાંચવામાં આવ્યું હતું. વાંચવામાં તો શું આવ્યું હોય, કારણ વાંચી શકાય એવું તો આ ગીત છે જ નહીં. ફરજિયાત ગણગણવું જ પડે એવું લયાત્મક છે આ ગીત. પણ એ દિવસથી ગીત તો અડધું પડધું યાદ રહી ગયું, કવિનું નામ વિસ્મૃતિની ગર્તામાં ધકેલાઈ ગયું. કંઈ કેટકેટલા વરસોથી આ ગીત લયસ્તરો પર મૂકવાની નેમ હતી, પણ કવિનું નામ જડે ત્યારે ને! શક્ય બને એટલા પ્રયાસો કરી હાથ હેઠા મૂકી દીધા હોવાની કોઈક પળે અચાનક બૃહદ છંદોલયમાંથી આ રચના ‘હાઉક’ કરતીક સામે આવી ચડી… આ આનંદને આપ સહુ સાથે સહિયારું નહીં એ તો કેમ બને? લ્યો તારે, વાંચો, સોરી, ગણગણો, સોરી, ગાવ આ ગીત…

ચાર અક્ષરના એક જ શબ્દમાં નાયિકાના રૂપનું સાંગોપાંગ વર્ણન કરી કવિએ ગીતને ઉપાડ આપ્યો છે… પદમણી કહી દો પછી બીજું શું કહેવાનું બાકી રહે? કામશાસ્ત્રમાં સ્ત્રીઓના ચાર પ્રકાર વર્ણવ્યા છે. એમાં સૌથી શ્રેષ્ઠ અને ગુણવતી તે પદમણી-પદ્મિની. આગળનું ગીત જાતે જ માણીએ?

Comments (4)

(અંબર) – વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

રોજ પ્રભાતે લૂંટ્યું અંબર,
રાતે પાછું ગૂંથ્યું અંબર.

ખેદ નથી કે પાંખ કપાણી,
પીડા છે કે છૂટ્યું અંબર.

એ જોવા વરસી છે વર્ષા,
ક્યાંથી ક્યાંથી ફૂટ્યું અંબર?

કોણે કીધું અભિમાની છે?
જો ક્ષિતિજ પર ઝૂક્યું અંબર.

નાની અમથી વિપદા ટાણે,
લોકો કહેશે, તૂટ્યું અંબર.

ક્યાંય નથી દેખાતું વાદળ,
કોણે આજે લૂછ્યું અંબર?

– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

એક જમાનો હતો જ્યારે કોઈ એક ઘટકત્ત્વને રદીફ બનાવી ગઝલ લખવાનો ચાલ હતો. પીંછું, દરિયો, અંધારું, ઘર જેવી રદીફ નક્કી કરી કવિ સ્વયંને એક ભાવવિશ્વમાં બાંધી દેતો અને પછી એ ભાવવિશ્વની નાનાવિધ રંગછટાઓ નાણવા મથતો. આજે એ ફેશન સહેજ મોળી પડી છે, પણ એ પ્રકારની ગઝલો તો લખાતી જ રહે છે. પ્રસ્તુત ગઝલમાં કવિએ ‘અંબર’ –આકાશને કેન્દ્રમાં રાખી ગઝલનું વર્તુળ રચ્યું છે. મત્લા સહેજ વિચારણા માંગી લે છે પણ એ સિવાય નાની બહેરમાંય બધા શેર સંતર્પક થયા છે.

Comments (10)

(મને એમ‌ થાય છે) – કિરણ જોગીદાસ ‘રોશન’

સાંભળ ને, એક વાત! મને એમ‌ થાય છે-
તારા વિના શું થાત, મને એમ થાય છે.

તારા મિલનની ચાહમાં કેમેય વીતી નહીં,
લાંબી હતી શું રાત? મને એમ થાય છે!

આપ્યું હૃદય તને તો કફોડી દશા થઈ,
લૂંટાઈ ગઈ મિરાત? મને એમ થાય છે.

સઘળું ગુમાવ્યું તોય ખુમારી છે પ્રેમની,
આ જીત છે કે મ્હાત? મને એમ થાય છે.

તારાપણાની સાહ્યબી મશહૂર રાખતી,
મારી તે શું વિસાત, મને એમ થાય છે.

એક બીજમાંથી વૃક્ષ બનાવી કૃપા કરી,
તારા વિના ઉગાત? મને મને એમ થાય છે.

તારા વિના શું સૂર કે શું તાલ કે શું રાગ!!
તારા વિના શું ગાત, મને એમ થાય છે.

– કિરણ જોગીદાસ ‘રોશન’

ગુજરાતી ગઝલ લખાવી શરૂ થઈ એને લગભગ દોઢસો વર્ષ થયાં. આજ પર્યત એટલી બધી ગઝલો લખાઈ છે કે કદાચ હવે એવું કંઈ બચ્યું જ નથી જે આગળની ગઝલોમાં કહેવાઈ ગયું ન હોય પણ તોય ગઝલો લખાવાનું બંધ કે ઓછું થતું નથી. ઊલટું દિનબદિન ગઝલોનો ફાલ વધુ ને વધુ માત્રામાં ઉતરી રહ્યો છે. કેમ? તો કે અભિવ્યક્તિનું નાવીન્ય… એકનો એક સૂર્યાસ્ત આખી જિંદગી જોઈને જે રીતે આપણે ધરાતાં નથી, એ જ રીતે ગઝલો આજેય આપણને નિરાશ કરતી નથી. આ ગઝલ જુઓ… સરળ ભાષામાં વાંચતાવેંત સમજાઈ જાય એવા સહજસાધ્ય શેર… અને તોય ગઝલ એકદમ ઓવન-ફ્રેશ લાગે છે. રદીફ ગઝલોનું અગત્યનું અંગ છે. પ્રસ્તુત ગઝલમાં તો રદીફે રીતસરના પ્રાણ ફૂંકવાનું કામ કર્યું છે… પહેલા પાંચ શેર તગઝ્ઝુલના છે અને આખરી બે તસવ્વુફના… પણ ગઝલ તો આખેઆખી નિરવદ્યપણે મજાની થઈ છે.

Comments (24)

કવિતા – ભરત ત્રિવેદી

જ્યારે પણ હું
ટેબલ પાસે ખુરશી
ખેંચી લાવીને બેસું છું
તે પણ
અચૂક પાસે આવી
બેસી જાય છે.
હું કવિતા લખવી શરૂ કરું
કે તરત જ
તે પણ તેની રમત
શરૂ કરી દે છે.
હું. લખવા મથું
આકાશ વિશે તો
તે લખાવે છે
લીલાંછમ ખેતરો વિશે!
હું આંખો તાણીને
નજર માડું
ક્ષિતિજની પેલી પાર
ત્યારે તે
સામે અરીસો ધરી દે છે!

અજાણી ટ્રેઇનના મુસાફર જેવો
હું
પરેશાન હોઉં ત્યારેય
તે ખુશ થતી હોય છે.
હું કવિતા લખવા બેસું
ત્યારે
કવિતા મને લખતી હોય છે.

– ભરત ત્રિવેદી

હાથમાં કલમ લઈ કાગળ પર કવિતા લખવા બેસનાર કવિને ખબર હોતી નથી કે આગલો શબ્દ કયો હશે, અને આખરી શબ્દ કયો હશે. કવિને મન એમ કે એ કાગળ પર કવિતા લખી રહ્યો છે, પણ વાસ્તવમાં તો ત્યારે કવિતા જ કવિને હળવા હાથે ટાંચતી, ઘડતી હોય છે, પરિણામે કવિતા લખાયા બાદનો કવિ કવિતા લખ્યા પૂર્વેના કવિ કરતાં અલગ જ હોવાનો. કવિતાનો વિશદ આસ્વાદ માણવા ઇચ્છતા મિત્રો અહીં ક્લિક કરે

Comments (10)

મજા છે દૂર રહેવામાં! – પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’

કહું છું પ્રેમીઓ ભોળા, મજા છે દૂર રહેવામાં,
સમીપે સંતાપો જાજા, મજા છે દૂર રહેવામાં!

ઊગે આકાશે ભાનુ કમળનું મુખડુ મલકે,
રવિને સ્પર્શવા કરતાં મજા છે દૂર રહેવામાં!

બજે જયાં બિન મીઠું ત્યાં ન હરણી આવજે પાસે,
વિંધાવુ બાણથી પડશે, મજા છે દૂર રહેવામાં!

ચકોરી દૂરથી નાચે, ન ઊડી ચંદ્રને ભેટે,
કલંકો વેઠવા કરતાં મજા છે દૂર રહેવામાં!

મધુરા વાયુ લહેરાતા, મધુકર મોહ ના કરજે;
કુસુમના કેદખાનાથી, મજા છે દૂર રહેવામાં,

પતંગો ના કદી સમજે અગર સમજે તો કહી દેવું,
દીપકમાં દાઝવા કરતાં મજા છે દૂર રહેવામાં!

તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા,
પ્રભુએ પણ પીછાણ્યું કે મજા છે દૂર રહેવામાં!

– પરમાનંદ મણિશંકર ભટ્ટ ‘ત્રાપજકર’
(જન્મ: ૨૪-૦૨-૧૯૦૨, નિધન: ૧૦-૧૦-૧૯૯૨) વિશેષ પરિચય: ગુજરાતી વિશ્વકોશ

ગુજરાતી ગઝલ આજે જે શિખરે પહોંચી છે, એ કવિ ત્રાપજકર જેવા શબ્દસાધકોના પુરુષાર્થ વિના કદાચ જ પહોંચી શકી હોત. સાકી-સનમ-સુરા ને બુલબુલની ઉર્દૂ-ફારસી જાળમાં ફસાઈ રહેલ ગઝલને ત્રાપજકર જેવા કવિઓએ ગુજરાતી બનાવી. પ્રસ્તુત ગઝલમાં વિવેચકોને કાફિયાદોષ પણ દેખાશે અને ક્યાંક શેરિયત પણ ઓછી અનુભવાશે, પણ આ એ ખાતર છે, જેના કારણે ગઝલનો છોડ ફાલીને વટવૃક્ષ થયો… ગઝલની રદીફ ભલે એમ કેમ ન કહેતી હોય કે દૂર રહેવામાં મજા છે, અમે તો એમ જ કહીશું કે આ ગઝલની નજીક રહેવામાં જ ખરી મજા છે… આપ શું કહો છો?

Comments (10)

એવા રે મારગ અમે સંચર્યા – તનસુખ ભટ્ટ ‘યાત્રી’

ધોળિયું ધજાયું જ્યાં ફરફરે, ગરવા ગિરિવરની ટૂંક,
વાયુ રે ઢાળે વનના વીંઝણા, જાવું છે ત્યાં અચૂક
એવા રે મારગ અમે સંચર્યા…

ઊંચે રે મઢીથી ઊંચે મોલથી ઊંચા ત્રોવરથી અપાર
ઊંચે રે ઊભી ડુંગર દેરડી, વાદળગઢની મોઝાર
એવા રે માર્ગ અમે સંચર્યા…

ડાબે રે ઊંડી વનની ખીણ છે, જમણે ડુંગરની ભીંત;
કેડી રે વંકાણી વેલી સમી, કપરાં કરવાં ચિત્ત,
એવા રે માર્ગ અમે સંચર્યા…

પળમાં પડે ને પળમાં ઊપડે, વાદળ પડદા વિશાળ
પળમાં લોપાતી રે દેરડી, મળતી લેશ ન ભાળ
એવા રે માર્ગ અમે સંચર્યા.

ખમા રે વાયુ ખમા વાદળાં, ખમા ડુંગરના સ્વામ,
તમ્મારે દરશને ઝંખના, પૂરણ કરજો કામ.
એવા રે મારગ અમે સંચર્યા

– તનસુખ ભટ્ટ ‘યાત્રી’
(૨૧ માર્ચ, ૧૯૧૧ થી ૦૫ ફેબ્રુઆરી ૨૦૦૪)

આત્માથી પરમાત્મા સુધીનો પ્રવાસ ભારતીય આધ્યાત્મ પરંપરાના કેન્દ્રસ્થાને છે. ગરવા ગિરિવરની ટોચે ફરફરતી ધોળી ધજા સાધકનું લક્ષ્ય છે. ધોળૉ રંગ પવિત્રતા-આધ્યાત્મનું પ્રતીક છે. ઝૂંપડીથી ઊંચા મહેલ ને મહેલથી ઊંચા વૃક્ષો ને વૃક્ષોથી ઊંચે ડુંગર પરની વાદળોથી ઘેરાયેલી દેરી સુધીની મુસાફરીમાં એક તરફ વિષય-વાસના-પતનની ખીણ છે તો બીજી તરફ અહંકારના ડુંગરની ભીંત. વચ્ચેની કેડી સીધી નથી, મુસીબતોથી ભરી પડી છે. કાળજું કઠણ કર્યા વિના આ માર્ગે આગળ નહીં વધાય. અજ્ઞાન-ભ્રમણાના વાદળો વચ્ચે જ્ઞાનની દેરી કદી દેખાય છે, કદી ઓઝલ થઈ જાય છે. વન, વાયુ, વાદળ ને ડુંગરના સ્વામી ઈશ્વર –તમામની ક્ષમા માંગી સાધક દર્શનની ઝંખના વ્યક્ત કરે છે. ક્ષમા એ અહમ-વિગલનની નિશાની છે…

(ટૂંક=શિખર; મઢી=મઢૂલી, ઝૂંપડી; મોલ=મહેલ; ત્રોવર=તરુવર, મોટું ઝાડ; દેરડી=નાની દેરી; મોઝાર=મધ્યે, વચ્ચે; સ્વામ=સ્વામી)

Comments (7)

(સ્વીકારનામાં) – ડૉ. માર્ગી દોશી

ગમા-અણગમાના મૂક્યા સૌ ઉધામા,
ભણાવી દીધાં મનને સ્વીકારનામાં.

હશે ક્યાંક મારામાં ઓછાપણું પણ,
હવે કોશિશો માંગી રહી છે વિસામા.

નવી રીત શોધી છે હળવા થવાની,
લખી દઉં છું કોઈને કાગળ નનામા!

હતાં બે‘ક સ્વપ્નો ને ગમતા પ્રસંગો,
મૂકીને ગયા તેઓ પણ રાજીનામાં.

સફળ પ્રેમને એ નજરથી જુએ સૌ,
કર્યાં હોય જાણે ગજબ કારનામા.

વિચારું તને ને ઉપાડું કલમને,
પછી રોકવાના પ્રયાસો નકામા.

એ બે જણને પોતાના ના હોય પ્રશ્નો
ત્રીજાની જ વાતે ચડે સામસામા.

ભલેને છૂપાવે ગુના એ જગતથી,
અરીસા ઉપર રહી જવાનાં ચકામાં.

– ડૉ. માર્ગી દોશી

વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. એક તો હમરદીફ-હમકાફિયા ગઝલ છે અને બીજું, બહેર પણ લાંબી નહીં, મધ્યમ છે. એટલે ઓછી જગ્યામાં કાફિયા નિભાવીને શેરિયત સર્જવામાં કવિકસોટી તો થવાની જ. સદનસીબે કવયિત્રી આમાં સાંગોપાંગ પાર ઉતર્યાં છે અને આપણને એક અચ્છી ગઝલ મળી. કોઈ શેરને અલગથી સમજાવવાની આવશ્યક્તા નથી, પણ દરેક શેર ફરી ફરીને વાંચીએ તો મજા પણ ફરી ફરીને વધતી જશે એ નક્કી.

Comments (25)

કમિટીનો નિર્ણય – એન્ડ્રિયા કોહેન (અનુ.: વિવેક મનહર ટેલર)

હું મારી માને કહું છું
મને નોબલ પારિતોષિક મળ્યું છે.

ફરીથી? એ પૂછે છે. આ વેળા
કયા ક્ષેત્રમાં?

આ એક નાનકડી રમત છે
જે અમે રમીએ છીએ: હું ડોળ કરું છું

કે હું કોઈક ખાસ છું, એ
ડોળ કરે છે કે એ મરી નથી

– એન્ડ્રિયા કોહેન
(ગુજ. અનુવાદ: વિવેક મનહર ટેલર)

ગાગરમાં સાગર જેવી રચના. ઓછામાં ઓછા શબ્દોમાં પૂરેપૂરી અભિવ્યક્તિ કરી શકે એ ખરી કવિતા. કથક એની માને કહે છે કે એને નોબલ પારિતોષિક મળ્યો છે. સાહિત્યજગતનું સૌથી મોટું બહુમાન મળ્યું હોવાની વાતથી જ મા-દીકરી વચ્ચેના સંવાદની કાલ્પનિકતા પ્રસ્થાપિત થઈ જાય છે. તમને કદાચ એવો સવાલ કરવાનું મન થાય કે જેને ખરેખર નોબલ પારિતોષિક મળ્યું હોય એ કવિએ જ આ કવિતા લખી હોય એવું ન બને? બની શકે… પણ કવિતાનો બીજો-ત્રીજો ભાગ તો જુઓ… સમજાયું ને?

મા-દીકરી વચ્ચે આ પ્રકારની રમતો રમવું સાહજિક હશે એ બાબત સ્પષ્ટ થાય છે અને એના પરથી મા-દીકરી વચ્ચેનો હૂંફાળો સંબંધ પણ પ્રતિપાદિત થાય છે. કાવ્યાંતે માતા આ દુનિયામાં હયાત જ ન હોવાની સંભાવના સ્ફુટ થાય છે ત્યારે હળવી રમતના સૂરમાં આરંભાયેલ સંવાદ વિષાદયુક્ત એકોક્તિ બની રહે છે. કમિટિનો નિર્ણય શીર્ષક પણ કવિતા પૂરી થઈ ગયા બાદ જ સમજાય છે. દીકરીને મન એની મા જ એકમેવ કમિટિ હતી. માનો અભિપ્રાય જ એને મન તો નોબલ પારિતોષિક બરાબર હતો… દુન્યવી સફળતા ગમે એટલી મોટી કેમ ન હોય, મા-બાપના ચાલ્યા જવાથી સર્જાતા ખાલીપાને એ સભર કરી શકતી નથી…

Comments (12)

સુખની કવિતા – પ્રાણજીવન મહેતા

નસીબનું પાનું ખોલનાર ચકલી સુખી છે;
મિત્ર; એના મૌનનો વિષાદ નથી પરખાતો.

આભાસને અરીસામાં જોઈ આનંદ માણનાર સુખી છે;
મિત્ર; એને સ્પર્શી પારખી શક્વાની શક્યતા નથી હોતી.

દેવાલયમાં બેઠેલો માણસ સુખી છે;
મિત્ર; ઘંટારવ અને નિજનો અવાજ
એને ભિન્ન નથી જણાતા કદીય.

સુખી થવાની કલ્પના કરતો માણસ
અત્યંત સુખી છે;

મિત્ર; એની કલ્પનામાં દુઃખને
ક્યાંય સ્થાન નથી હોતું…

– પ્રાણજીવન મહેતા

કહેવું હોય એ સીધેસીધું કહી દે તો એ કવિતા કેમ કહેવાય? કવિએ કવિતાને શીર્ષક તો ‘સુખની કવિતા’ આપ્યું છે. પણ શું સાચે જ આ સુખની કવિતા છે? જ્યોતિષના ઘરે નસીબનાં પાનાં ખોલી આપવાનું કામ કરતી ચકલી પોતાના વિષાદને પારખી શકતી ન હોવાથી સુખી છે એમ કવિ કહે છે. ચકલી તો પ્રતીક છે. હકીકતમાં આ એ લોકોની વાત છે, જેઓ અજ્ઞાનમાં જ જીવી જાય છે. ભાગ્ય વિશે વિચારવાને સમર્થ નથી. લોકો વાસ્તવિક્તાનો સામનો કરી શકતા નથી. આભાસી સુખને જ સાચું ગણીને તેઓ જીવન વિતાવે છે. ભગવાનના આશરે જીવન જીવી જતા લોકો બાહ્ય રણકારમાં જ એટલા રત રહે છે કે ભીતરનો અવાજ સાંભળવાનો અવકાશ જ રહેતો નથી. અને જે નિતાંત કલ્પનામાંજ રાચવામાં માને છે એ માણસ તો સૌથી સુખી છે. ટૂંકમાં સુખની અનુભૂતિ કેવળ અજ્ઞાન, આભાસ અને કલ્પનામાં જ સંભવ છે. વાસ્તવિક જીવનમાં સુખ યાને ઝાંઝવાનું જળ…

Comments (10)

પિતાશ્રીની પુણ્યતિથિએ – ભરત ત્રિવેદી

હજી એ દા’ડાની
સતત વરસે યાદ વસમી
ધરી પાટી હાથે
શબદ શિખવ્યા કૈંક મુજને
અને
વીત્યાં વર્ષો
જીવનપથ આરૂઢ બનતાં
તમે છોડી ચાલ્યા..
કદી મોડી રાત્રે
કવનવશ આવેગ ઉર લઈ
લખું જ્યાં શબ્દો
ત્યાં
મુજ તરફ કો દૃષ્ટિ ઠરતી?
વીતેલાં વર્ષોની
સહજ ઊઘડી જવનિકા
તમારી યાદે
હૃદય ઊભર્યે
અશ્રુ સરતું

– ભરત ત્રિવેદી

ભવાટવિમાં આપણને પાછળ છોડી ચાલ્યા જનાર સ્વજનોની યાદ તો કાયમ આવતી જ હોય, પણ જે રીતે સ્વાતંત્ર્ય દિને નાગરિકોનો દેશપ્રેમનો જુસ્સો જ અલગ હોય એ રીતે પુણ્યતિથિએ એમની સાથે વીતાવેલું આખું જીવન આપણે રિવાઇન્ડ કરતાં હોઈએ છીએ. કથક મૃત પિતાની પુણ્યતિથિએ એમને સંભારી રહ્યા છે. પિતાજીએ જે શબ્દો આપ્યા એ જ શબ્દો કથક મોડી રાત્રે કાવ્યાવેશમાં આવી કાગળ પર માંડે છે ત્યારે એને પિતાજીની નજર પોતા તરફ જ મંડાયેલ હોવાનો ભાસ થાય છે. વિગત વર્ષોનો પડદો ખૂલી જતાં હૃદય લાગણીથી ઉભરાઈ ઊઠે છે અને એ ઉભરો આંસુ બનીને આંખેથી છલકાય છે… કાવ્યારંભે વસમી યાદ સાથે અક્ષરજ્ઞાનનો સંદર્ભ એક જ વાક્યમાં વણી લેવાયો છે એ સહેજ કઠે છે.

આપણી આંખોને કવિતા આવો નાની-મોટી પંક્તિઓનો દેહ ધારીને આવે એટલે એને અછાંદસ ગણી લેવાને ટેવાઈ ગઈ છે. પણ આ રચના વિશુદ્ધ શિખરિણી છંદમાં છે, અછાંદસ નથી. કવિએ શિખરિણીની પંક્તિઓના ખંડ કરીને એને અછાંદસનો આકાર આપ્યો છે. આને મુક્ત પદ્ય પણ ગણી શકાય.

Comments (8)

સળંગ સેરડો પાયો – ભાણસાહેબ

સતગુરુ મળિયા સહેજમાં, જેણે સતનો શબદ સુનાયો,
ચોરાસીનો રાહ ચુકાવી, અખંડ ધામ ઓળખાયો.

પંથ હતા સો થિયા પરિપૂરણ, નવધા નામ મિટાયો,
દશમ દશા આવી દિલ ભીતર, એક મેં અનેક સમાયો. સતગુરુ૦

અનેક હતા સો અખંડ સમાયો, નહિ આયો, નહિ જાયો,
જિક્કર કરતાં ગઈ જામની, સોહં સાહેબ પાયો… સતગુરુ૦

જપ તપ તીરથ જોગ ન ધરતાં, સળંગ સેરડો પાયો,
ખટ દરશનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર જ આયો… સતગુરુ૦

અનંત ક્રોડમાં આગે ઊભા, સમસ્યા યે સાધ કહાયો,
નહિ ‘ભાણા’ હરિ ભીતર ભેદા, જ્યોતિ મેં જ્યોતિ મિલાયો. સતગુરુ૦

– ભાણસાહેબ

ભારતીય આધ્યાત્મ પરંપરામાં ગુરુ-શિષ્ય પ્રણાલિકા કેન્દ્રસ્થાને રહી છે. આમ તો સતગુરુ સહેજમાં મળવા દોહ્યલું, પણ નિષ્ઠા સાચી હોય તો મળેય ખરા ને કાનમાં સતનો શબ્દ – બ્રહ્મજ્ઞાન ફૂંકેય ખરા. ગુરુ સાચા હોય તો શિષ્યને ચોર્યાસી લાખ ફેરામાંથી મુક્તિ અપાવી અખંડ ધામ- મોક્ષ સુધી પહોંચાડે. બધી શોધ પરિપૂર્ણ થઈ. નવધા ભક્તિના ભેદ પણ પાર થઈ ગયા. દસમી દિશા – ચેતનાની ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ જ્યાં એકમાં અનેક અને અનેકમાં એક –અદ્વૈતાવસ્થા અનુભવાય છે. તમામ રૂપ એક અખંડ પરમાત્મામાં વિલીન થઈ જાય છે. पुनरपि जननं पुनरपि मरणं – જીવન-મરણની આવજા અહીં સમાપ્ત થાય છે, કારણ આત્મા અમર અવિનાશી છે. ધ્યાન ધરતાં અજ્ઞાનની કાળી રાતનો અંત આવ્યો અને “સો-અહમ્” (તે હું જ છું) ચેતનાનો આત્મસાક્ષાત્કાર થાય છે. ગુરુ મળે પછી જપ-જાપ-તીર્થાટન કરવાની શી આવશ્યકતા? ગુરુ તો સીધો રસ્તો જ બતલાવે. ષટદર્શન (ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા, વેદાંત) ની બાહરી ખોજ પણ અંતે તો આંતરિક અનુભૂતિમાં જ સમાપ્ત થાય છે. અનંત કરોડ સાધકોમાં એસાધક અલગ અને આગળ છે જેના માથે સદગુરુના આશિષ છે, કારણ સદગુરુ જ આત્મા અને પરમાત્માના એકત્વ-અદ્વૈત સુધી પહોંચાડે છે.

ભાણસાહેબ (જ. ૧૩ ફેબ્રુઆરી ૧૬૯૮, વારાહી, જિ. પાટણ, ગુજરાત; અ. ૧૭૫૫, કમીજડા, જિ. અમરેલી, સૌરાષ્ટ્ર) : રામ-કબીર સંપ્રદાયના કવિ અને રવિ-ભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. લોહાણા પરિવારમાં જન્મ. પરમ રામભક્ત અને પ્રસિદ્ધ મહાયોગી જાદવદાસના શિષ્ય આંબા છઠ્ઠા ઉર્ફે ષષ્ટમદાસને તેમણે ગુરુપદે સ્થાપ્યા. કબીર સંપ્રદાયની પરંપરા અનુસાર તેઓ ‘ભાણસાહેબ’ નામે ઓળખાયા. એમણે સ્થાપેલી ગાદી બાજવા સ્ટેશન પાસે શેડકી ગામે આવેલી છે. સતનામના ઉપાસક ભાણસાહેબ કબીરનો અવતાર ગણાતા. તેમના કવિપુત્ર ખીમદાસ સહિત ૪૦ શિષ્યોની ‘ભાણફોજ’ સાથે તેમણે અધ્યાત્મબોધ કર્યો. કવિતા દ્વારા વેદાન્તી તત્વજ્ઞાનનો પ્રચાર કર્યો. તેમણે કમીજડામાં જીવતાં સમાધિ લીધી હતી. (સ્ત્રોત: ગુજરાતી વિશ્વકોશ)

(નવધા=નવધા ભક્તિ (શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મ નિવેદન); જિક્કર= જિક્ર, ધ્યાન; જામની=યામિની, રાત્રિ; સળંગ=સીધો; સેરડો=માર્ગ; ક્રોડ=કરોડ)

Comments (5)

ઢોલાજી વીંઝણો લ્યો – લોકગીત

ઢોલાજી હાલ્યા ચાકરી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે મુને હારે તેડતા જાવ
ઢોલાજી વીંઝણો લ્યો

લવિંગ સરીખી ઢોલા તીખડી રે
ઢોલાજી વીંઝણો લ્યો
તારે મુખડામાં રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો

તલવાર સરીખી ઢોલા ઊજળી રે
ઢોલાજી વીંઝણો લ્યો
તારી કેડે ઝૂલતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો

રૂમાલ સરીખી ઢોલા રેશમી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે તારા હાથમાં રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો

સૂડી સરીખી ઢોલા વાંકડી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે તારા ગુંજામાં રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો

પાન સરીખી ઢોલા પાતળી રે
ઢોલાજી વીંઝણો લ્યો
કે તારા હોઠે રમતી આવું રાજ
ઢોલાજી વીંઝણો લ્યો

લોકગીત

પ્રશિષ્ટ ગીત અને લોકગીત વચ્ચેનો એક અગત્યનો ફરક હૃદયોર્મિની પ્રામાણિક અને સરળ-સહજ અભિવ્યક્તિનો છે. લોકગીતના રચયિતાને કીર્તિ કે કલદાર કમાવાની સ્પૃહા હોતી નથી. એણે કવિતા સિદ્ધ કરીને સમાજમાં પોતાનું અલાયદું સ્થાન બનાવવાની ખેવના નથી હોતી. એની એકમેવ નેમ તો જનસામાન્યના હૃદયમાં જાગતા સ્પંદનોને જનસામાન્ય હળવી હલકથી અને ઉલટથી ગાઈ-બજાવી શકે એ રીતે રજૂ કરવાની હોય. સમાજનો નીચલામાં નીચલા સ્તરનો અને સાવ ભણતર વગરનો માણસ પણ આ ગીતો યાદ રાખી શકે એ હેતુસર મોટાભાગના લોકગીતોમાં રચયિતા પુનરોક્તિનો સહારો લેતા હોય છે. ઢોલાજી ચાકરીએ જવા નીકળે છે. એ જમાનામાં જુવાન રજવાડાને ત્યાં નોકરીએ જતા,પણ આ નોકરી એટલે આજની જેમ સવારે નવથી પાંચની નહીં, દિવસોના દિવસોને અઠવાડિયાઓના અઠવાડિયાઓની. પુરુષ તો કામે લાગી જાય,પણ નવોઢા સાસરિયામાં એકલી એકલી હિજરાતી રહે. મનનો માણીગર એકલો ચાકરીએ ન જાય અને પોતાને પણ સાથે લઈ જાય એ માટે પત્ની સ્વયંને વારાફરતી વીંઝણો, લવિંગ, તલવાર વગેરે સાથે સરખાવીને જે રીતે અછો અછો વાનાં કરે છે એની મજા લઈએ…

 

 

Comments (9)