આમ એ ક્યાંય પણ નથી જડતો,
આમ total વસે છે મારામાં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for July, 2008

આકડે ય મધુ – ભાનુપ્રસાદ ત્રિવેદી

(વસંતતિલકા)

મેં આકડે ભ્રમર ગુંજરતો ય દીઠો,
ને ઊર્વિનો અમલ નેહ મળ્યો અદીઠો !

આ ભૂમિમાંથી પ્રગટે રૂપ ભિન્નભિન્ન,
ઝેરી ક્યહીંક, ક્યહિ અમૃત, તો ય છન્ન
એની સુધા વિલસતી સહુમાં પ્રસન્ન !

હું તાહરા પ્રણયપદ્મપરે ભમેલ
ત્યારે ન જાણ, પ્રિય હે ! તુજમાં વસેલ
આ પૃથ્વીના રસ ચિરંતનની; પરંતુ
તારું મળ્યું વિષ જ્યહીં અવહેલનાનું –
એ આકડે ય મધુ હું ભમરો લહંત !

-ભાનુપ્રસાદ ત્રિવેદી

કુમાર, જુન-૧૯૫૨ના અંકમાં પ્રગટ થયેલું આ કાવ્ય. શ્રી બચુભાઈ પોપટભાઈ રાવતના તંત્રીપદે પ્રગટ થતા કુમારના રંગ-રૂપ જ કંઈ ઓર હતા. એ જમાનામાં કુમારમાં કવિતા છપાય એટલે કવિને કવિ હોવાનું પ્રમાણપત્ર મળેલું ગણાતું. કુમારના એ અંકોમાં કવિતાની સાથે ટૂંકાણમાં કાવ્યાસ્વાદ પણ કરાવાતો (લયસ્તરોની જેમ જ સ્તો!). આ કવિતાની સાથે કુમારના ૫૬ વર્ષ જૂના અંકમાં કરાવાયેલો આસ્વાદ શબ્દશઃ કુમારમાંથી આજે સાભાર:

“વિરોધી ભાવોમાંથી રસનિષ્પત્તિ એ પણ કવિતામાં સૌંદર્ય લાવવાની એક રીત છે. આ કાવ્ય એનું ઉદાહરણ છે: અહીં કવિએ આકડામાં મધુનું દર્શન કરાવ્યું છે! આકડાનો તો ખ્યાલ જ નવો છે. એ કાવ્યમાં કવિના હૃદયસંક્ષોભનું કારણ તો ભલે નિષ્ફળ ગએલા પ્રેમમાં છે, (જેને પ્રણયપદ્મ માન્યું તે આકડો નીકળ્યો,) પણ પછી પ્રિયતમાની એ અવહેલનામાં પણ તે મધુરતા શોધી રહે છે. ઝેરી મનાતા આકડા જેવા પુષ્પમાં પણ પૃથ્વીના અમૃતરસનો અંશ હોવો જોઈએ, નહિતર ભમરો ત્યાં ગુંજે નહિ; તદનુસાર માનવતાની ભૂમિમાંથી પાકેલા માણસમાં યે થોડો પણ સુભગ અંશ હોવાનો જ. એટલે આકડે પણ ભ્રમરને જવું રહ્યું જ; તેમાંથી યે મધ તો મળવાનું જ”.

(ઊર્વિ=પૃથ્વી, છન્ન=ઢંકાયેલું, સુધા=અમૃત)

Comments (4)

પૂર – વિપિન પરીખ

હંમેશા સાથે ને સાથે જ વહેતા ને
એકમેકથી એક પળ પણ અળગા ન થતા
કાષ્ટના બે ટુકડા ક્યારેક
એકબીજાથી કેટલા દૂર નીકળી જાય છે ?
જાણે પહેલાં કોઈ પરિચય જ નહોતો !
પણ
નદીને કોઈ એક ક્ષણે
બધું યાદ આવી જાય છે ને
તેના બેઉ કાંઠા
આંસુથી ઉભરાઈ જાય છે.

– વિપિન પરીખ

Comments (6)

એકીકરણ થયું – મનહર મોદી

આંખો ખુલી તો આ જગત એવું ઝરણ થયું.
મન શાંત મારું ઠેકડા મારી હરણ થયું.

બુદ્ધિને એક બાજુએ બેસી જવા કહ્યું
દીવાનગીને આજ હવે શાણપણ થયું.

ઠોકર મળી ને કોઈ જ્યાં રસ્તે ઢળી પડ્યું,
મુજને ન જાણે તે ઘડી મારું સ્મરણ થયું.

પાંપણ બીડોને સોણલું આવે તો જાણજો,
છાયાની સાથ તેજનું એકીકરણ થયું.

ઊર્મિઓ એમાં પાય પખાડી રમી શકી,
અશ્રુનું એમ મારાં નયનમાં ઝરણ થયું.

– મનહર મોદી

મનહર મોદીની આ પ્રખ્યાત ગઝલ લાંબા વખતથી મનમાં હતી પણ આજે અચાનક હાથમાં આવી. ગયા વર્ષે ઊર્મિએ મનહર મોદીની એક ગઝલ મૂકેલી ત્યારે પ્રજ્ઞાબેને આ ગઝલ યાદ કરાવેલી તે આજે યાદ આવી ! ગઝલનો એક પછી એક શેર ચેતનાની ટશરની જેમ ખૂલે છે. એક રીતે જુઓ તો આ ગઝલમાં સ્થૂળથી સુક્ષ્મ ભાવના તરફની ગતિ જોઈ શકાય છે.

Comments (5)

(ઈરાદો) – લાભશંકર ઠાકર

ઢાંકી દઈએ છીએ ગમે તેટલું
તોય
એમ કંઈ મનનું પાત્ર ઢંકાતું નથી.
એમાં
જે
છે
તે
છલકાયા વગર રહેતું નથી.
તારો કોઈ ઈરાદો છે ?
હા, મનના પાત્રને ઊંઘું વાળી દેવાનો.

– લાભશંકર ઠાકર
(‘પરબ’માંથી)

નાની કવિતામાં કવિએ બહુ મોટી વાત કરી દીધી છે. મનના પાત્રને ઊંધું વાળીને ખાલી કરી દેવું એ તો ધ્યાનની ચરમસિમાની અવસ્થા છે. આ કવિતા વાંચતા જ આ પ્રખ્યાત ઝેન-કથા યાદ આવે છે. એ સાથે વાંચશો તો કવિતાનું ઊંડાણ વધુ માણી શકશો.

Comments (9)

તું અને હું – મરીઝ

એક તારી કલ્પના જે જિગર બાળતી રહી,
એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.

એક હું કે શોષતી રહી મારી કલા મને,
એક તું કે સૌ કલા તને શણગારતી રહી.

એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે,
એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી.

એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,
એક તું કે તારી આંખ બધું બોલતી રહી.

એક તુ કે તારી આંખને જોતું રહ્યું જગત,
એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.

એક તું કે તારા હાથમાં દુનિયાની આબરૂ,
એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.

એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ’ને,
એક મારી વેદના જે દવા શોધતી રહી.

– મરીઝ

એક મરીઝ જ પોતાની જાત પર વ્યંગ કરી શકે કે ‘એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું’ !

Comments (7)

ગઝલ – નયન દેસાઈ

Mahesh Davadkar - painting
(…             …ચિત્રાંકન : મહેશ દાવડકર, સુરત…          …)

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે –
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ

સુરતના નયન દેસાઈ લાંબા સમયના વિરામ પછી “દરિયાનો આકાર માછલી” નામે ઍબ્સ્ટ્રેક્ટ ગઝલોનો સુંદર સંગ્રહ લઈને આવ્યા છે. આ સંગ્રહની મુખ્ય વિશેષતા એ છે કે સુરતના જ કવિ, શિક્ષક અને ચિત્રકાર શ્રી મહેશ દાવડકરે દોરેલા ઍબ્સ્ટ્રેક્ટ ચિત્રો ઉપરથી આ ગઝલો રચવામાં આવી છે અને આ પ્રકારનો આપને ત્યાં કદાચ આ સૌપ્રથમ પ્રયોગ છે. 72 ચિત્રો અને એના ઉપરથી 72 ગઝલો. એક છાપભૂલના ત્રણ શેરના અપવાદને બાદ કરતાં બાકીની બધી જ ગઝલો ચીવટાઈપૂર્વક ચાર જ શેરની છે. અને મોટાભાગની ગઝલોમાં એક જ છંદનો પ્રયોગ પણ થયો છે. એક નયનભાઈનો જ શેર આ ગઝલ સાથે બોનસમાં મમળાવીએ:

રેખા છે, લય વળાંક છે, રંગો છે તે છતાં –
જોનારા ચિત્ર જોઈને રડમસ બની ગયા.

Comments (8)

ગઝલ – અનિલ ચાવડા

જો  કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં  નથી,
ને  સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ વધારે કૈં  નથી.

ઊંઘવું  કે  જાગવું   કે  બોલવું   કે   ચાલવું  કે  દોડવું  કે   હાંફવું;
આ બધામાં  એકદમ કારણ વગરનાં કારણો  છીએ  વધારે કૈં નથી.

તું પ્રવાહિતાની  જ્યારે વાત છેડે ને તરત હસવું જ આવી જાય છે,
મૂળમાં તો  હિમશીલાની જેમ થીજેલી  ક્ષણો  છીએ વધારે કૈં નથી.

શી ખબર ક્યારે અને કઈ રીતથી ઢોળાઈ જાશું એ વિશે કે’વાય નૈં,
આપણે લોહી  ભરેલાં  ચામડીનાં  વાસણો  છીએ  વધારે  કૈં  નથી.

-અનિલ ચાવડા

ગઝલમાં રૂઢિગત થયેલા છંદના આવર્તનોથી આગળ વધીને કામ કરવું જેમ અનિલની એક ખાસિયત છે એમ એની બીજી ખૂબી અરૂઢ કલ્પનોના બખૂબી પ્રયોજનની છે. ક્યારે અને કઈ રીતે ઢોળાઈ જાય એની અજ્ઞાનતા પ્રગટ કર્યા પછી જ્યારે એ આપણી જાતને લોહી ભરેલા ચામડીના વાસણ તરીકે સંબોધે છે ત્યારે મુશાયરાની વાહ-વાહી લૂંટી લેવાની સો ટકાની ખાતરી એને પણ હોવાની જ. પણ અનિલના શેરની ખૂબી એ શીઘ્ર પ્રત્યાયનક્ષમતા પર ઊભીને અટકી જતી નથી. આનો આ જ શેર ફેર ઊભા રહીને વાંચો એટલે બે લીટી વચ્ચેના અવકાશમાં અર્થનું જે આકાશ ઊઘડતું દેખાશે એ પણ એટલું જ રંગસભર હોવાનું.

Comments (18)

કોઈ – સુધીર પટેલ

નથી રસ્તા સરળ કોઈ,
કરે દિશાય છળ કોઈ !

સલામત ક્યાં છે જળ કોઈ ?
ટીપે ટીપે વમળ કોઈ !

જડે ક્યાં એનું તળ કોઈ ?
મળે માણસ અકળ કોઈ.

નજર એ કેમ આવે પણ ?
નજર આગળ પડળ કોઈ !

ઝીલો એકાદ પણ ‘સુધીર’,
ગઝલની ખાસ પળ કોઈ.

-સુધીર પટેલ

ટૂંકી બહેરની આ ગઝલ ‘સરળ’ કાફિયાથી શરૂ થાય છે અને એવી જ સરળ છતાં છેતરામણી રીતે ગહન છે. સીધા રસ્તા કદી સીધા હોતા નથી. જ્યાં ઊભીને એમ થાય કે હાશ ! પત્યું ત્યાં જ નવી મુસીબતની શરૂઆત થતી હોય છે. રસ્તો સરળ મળે ત્યારે દિશાઓ છેતરવા ઊભી જ હોય છે. સીધું સાદું દેખાતું પાણીય સરળ-સહજ હોય એવું જરૂરી નથી. આ જીવનજળ છે, એના ટીપે-ટીપે વમળ ભર્યા હોઈ શકે.

(એમનો ત્રીજો ગઝલ સંગ્રહ ‘ઉકેલીને સ્વયંના સળ‘ લયસ્તરોને ભેટ આપવા બદલ શ્રી સુધીર પટેલનો આભાર. આ પહેલો કાવ્યસંગ્રહ કદાચ ગુજરાતી ભાષામાં હશે જેમાં કવિએ ઋણસ્વીકાર કરતી વખતે વિવિધ ગુજરાતી વેબ-સાઈટ્સ અને એમના સંચાલકોના નામ લખીને આભાર માન્યો છે !)

Comments (3)

છોડી દે – નીતિન વડગામા

એક બે ત્રણ ચાર છોડી દે,
ઊગતો અધંકાર છોડી દે.

તો જ નમણી નિરાંત નિરખશે,
તું તને બારોબાર છોડી દે.

આપમેળે જ આવી મળશે એ,
અહર્નિશ એના વિચાર છોડી દે.

સુખની ચાવી તનેય સાંપડશે,
એક અમથો નકાર છોડી દે.

છેડછાડ ઝાઝી તું રહેવા દે,
સ્હેજ છેડીને તાર છોડી દે.

પ્રાણ પ્રગટી જશે સ્વયં એમાં,
શબ્દની સારવાર છોડી દે.

– નીતિન વડગામા

સહજની સ્તુતિ કરતી, સરળ, સ્વયંસ્પષ્ટ ગઝલ.

Comments (9)

માઈલોના માઈલો મારી અંદર – ઉમાશંકર જોશી

umashankar joshi
(કવિના હસ્તાક્ષ્રર એમની પ્રિય પંક્તિ સાથે, પરિષદટાણે, સૂરત)

માઇલોના માઇલો મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ.
પેલા દૂર ડુંગર સરી જાય અંદર, -ડૂબી જાય
મજ્જારસમાં, સરિતાઓ નસોમાં શોણિતના
વહેણમાં વહેવા માંડે, સરોવરો
પહોળી આંખોની પાછળ આખાં ને આખાં
ડબક ડબક્યાં કરે. લહેરાતાં
ખેતરોનો કંપ અંગેઅંગે ફરકી રહે.
જાણે હથેલીમાં રમે પેલાં ઘરો,
ઝૂંપડીઓ, – આંગણાં ઓકળી-લીંપેલાં,
છાપરે ચઢતો વેલો… ત્યાં પાસે કન્યાના ઝભલા પર
વેલબુટ્ટો થઇ બેઢેલું પતંગિયું…
સ્મૃતિને તાંતણે એટલુંક ટીંગાઇ રહે.
માઇલોના માઇલો મારી આરપાર પસાર થયાં કરે.

વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, -ચાલ્યાં આવે.
હરણ્ય મારી ભીતર કૂદી. પૂંઠે વ્યાધ, લાંબોક વીંછુડો…
અવકાશ બધો પીધાં કરું, તરસ્યો હું. ઝંઝાના તાંડવ,
ઘુર્રાતાં વાદળ, વીંઝાતી વિદ્યુત, ઉનાળુ લૂ,
વસંતલ પરિમલ – અંદર રહ્યું કોઇ એ બધુંય ગટગટાવે.
અનંતની કરુણાનો અશ્રુકણ ? – કોઇ ખરતો તારો;
ધરતીની દ્યુતિ-અભીપ્સા ? – કોઇક ઝબૂકતો આગિયો; –
સ્મૃતિના સંપુટમાં આટલીક આશા સચવાઇ રહે.
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થયાં કરે.

– ઉમાશંકર જોશી

કવિનું જગત તો આમેય સ્મૃતિવરણું જ હોય. એનાથી ય આગળ જઈને કવિ તો એ સ્મૃતિઓ કેવી રીતે પોતાના શરીરના એક એક કણમાં વસી ગઈ છે એ વર્ણવે છે. અને એ સ્મરણના સહારે કવિ આખા વિશ્વ સાથે એકાત્મ અનુભવિ રહે છે. ‘હું’ અને ‘અ-હું’ એકબીજાની અંદર કદી છૂટા ન પાડી શકાય એમ ભળી જાય, ઝબકી જાય, છલકી જાય અને અનંત એકરાગિતા સર્જી જાય એ સ્થિતીની વાત કવિ પોતાની આગવી અદાથી કરે છે. વિશ્વોના વિશ્વો મારી આરપાર પસાર થયા કરે…. એ કલ્પના જ એટલી બળુકી છે કે સ્મૃતિપટને રણકાવી જાય છે !

આજે ઉમાશંકર જોશીનો સત્તાણુંમો જન્મદિવસ છે. એ અવસરે એમની આ યાદગાર રચના.

(શોણિત=લોહી, ઓકળી=લીંપણની એક જાતની ભાત, ક્વાસાર=quasar, આકાશગંગાની નાભિ, દ્યુતિ=તેજ, અભીપ્સા=ઈચ્છા)

Comments (2)

વર્ષાકાવ્ય: ૭ :એવું કાંઈ નહીં ! – ભગવતીકુમાર શર્મા

હવે  પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !
હવે માટીની  ગંધ અને  ભીનો  સંબંધ  અને મઘમઘતો સાદ,
.                                                  એવું કાંઈ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી  અને તે ય  બારમાસી,  હવે જળમાં ગણો
.                                                  તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ  અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

કાળું  ભમ્મર  આકાશ  મને  ઘેઘૂર  બોલાશ  સંભળાવે  નહીં;
મોર  આઘે  મોભારે  ક્યાંક  ટહુકે  તે  મારે  ઘેર  આવે  નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા  લઇને આવે ઉન્માદ,
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

કોઈ  ઝૂકી  ઝરુખે  સાવ  કજળેલા  મુખે   વાટ   જોતું  નથી;
કોઈ  ભીની  હવાથી   શ્વાસ  ઘૂંટીને   સાનભાન  ખોતું  નથી.
કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ
.                                                  એવું કાંઈ નહીં !
હવે પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
.                                                  એવું કાંઈ નહીં !

-ભગવતીકુમાર શર્મા

વરસાદની ઋતુ આમ તો કેટલી વહાલી લાગતી હોય છે ! પહેલા વરસાદનો રોમાંચ જ કંઈ ઓર હોય છે. ભીની માટીની ગંધ અને એવો જ ભીનો ભીનો મઘમઘતો સંબંધ, આભ, મોભ કે અગાસી – ચારેકોર બધું જ તરબોળ, વરસાદ પછીનો ઊજળો ઊઘાડ, કાળાં ઘનઘોર આકાશનો બોલાશ, મોરના ટહુકારા, વીજળીના ઝબકારા, ખેડૂઓના હલકારે છલકાઈ જતી સીમ અને ઝૂકેલા ઝરુખે ઝૂકીને પ્રતીક્ષા કરતું પ્રિયજન – વરસાદ આપણા અને સૃષ્ટિના રોમેરોમે કેવો સમ-વાદ સર્જે છે ! પણ આજ વર્ષાની ઋતુમાં પ્રિયજનનો સાથ ન હોય તો? ચોમાસાનું આકાશ મિલનના મેહને બદલે વેદનાર્દ્ર વ્રેહ વરસાવે તો? ભગવતીકુમાર શર્માના આ ગીતમાં પ્રિયજનની અનુપસ્થિતિમાં વરસાદ એના બધા જ સંદર્ભો કઈ રીતે ખોઈ બેસે છે એ આંખે ભીનાશ આણે એ રીતે વરસી આવ્યું છે. વરસાદ તો ચોમાસું છે એટલે પડે જ છે પણ હવે એનો અર્થ રહ્યો નથી. શહેર ભલે ભીનું થતું હોય, કવિને મન તો આભેય કોરું અને મોભેય કોરો. નળિયાં પણ કોરાં અને અગાસી પણ કોરી. પણ મને જે સુક્કાશ અહીં પીડી ગઈ એ અગાસી સાથે બારમાસીના પ્રાસની છે. ઈચ્છો કે ન ઈચ્છો ચોમાસું તો આઠ મહિના પછી પાછું આવવાનું જ. પણ પ્રેયસીના પાછાં ફરવાની કોઈ જ આશા ન હોય ત્યારે જ કોઈ વિરહાસિક્ત હૈયું આવી અને આટલી કોરાશ અનુભવી શકે છે. સાવ કોરી અગાસી અને તે ય બારમાસી – જાણે હવે બારેમાસ અહીં કોઈ ચોમાસું આવનાર જ નથી….પાણીના નામે જે કંઈ ગણો એ બીજું કંઈ નહીં, માત્ર આંસુ…

Comments (9)

વર્ષાકાવ્ય: ૬ :વરસાદમાં – આદિલ મન્સૂરી

કેટલી   માદકતા  સંતાઈ   હતી   વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી  વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ  કેટલી   ભીંતો   ચણી  વરસાદમાં !

કેટલો  ફિક્કો  અને  નિસ્તેજ  છે  બીમાર ચાંદ
કેટલી  ઝાંખી  પડી  ગઈ  ચાંદની  વરસાદમાં !

કોઈ  આવે  છે  ન  કોઈ  જાય છે સંધ્યા થતાં
કેટલી  સૂની  પડી  ગઈ  છે  ગલી વરસાદમાં !

એક તું છે કે તને  કંઇ  પણ નથી થાતી અસર,
ભેટવા  દરિયાને  ઊછળે  છે  નદી વરસાદમાં.

લાખ  બચવાના  કર્યા  એણે  પ્રયત્નો  તે છતાં
છેવટે  ‘આદિલ’ હવા  પલળી  ગઇ વરસાદમાં.

– આદિલ મન્સૂરી

માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં – આપણને સહુને આપણા ભૌતિક્તાવાદી હોવાનો અહેસાસ કરાવી ભીતર, ઠે…ઠ ભીતર કારી ચોટ પહોંચાડે એવો આ શેર ! શહેરીકરણ, દોડધામની જિંદગી અને મકાનો-ગાડીઓથી છલોછલ વૈભવી જીવનને વેંઢારવાની અને નિભાવવાની જવાબદારીઓથી આપણે સહુ આજે એવા ભીંજાઈ ગયાં છીએ અને ભીંજાયેલા જ રહીએ છીએ કે વરસાદનું ભીંજાવું તો જાણે આપણા જીવનકોશમાંથી જ નીકળી ગયું છે… પણ આપણે સૌ ભૂલી બેઠાં છીએ કે લાખ કોશિશ કેમ ન કરીએ, છેવટે તો હવા જેવી હવા પણ પલળીને જ રહે છે ને !

Comments (14)

વર્ષાકાવ્ય: ૫ :વરસાદમાં – ઉદયન ઠક્કર

ભીંજાવામાં   નડતર   જેવું   લાગે   છે :
શરીર  સુદ્ધાં,  બખ્તર  જેવું   લાગે   છે.

મને   કાનમાં   કહ્યું   પુરાણી   છત્રીએ,
”ઊઘડી જઈએ : અવસર જેવું લાગે છે…”

મોસમની  હિલચાલ  જ  છે આશાવાદી :
સોળ   અચાનક   સત્તર  જેવું  લાગે છે.

ખુલ્લા   ડિલે   વૃદ્ધ  મકાનો  ઊભાં  છે,
અક્કેકું   ટીપું   શર   જેવું   લાગે   છે !

– ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કરની આ ગઝલ વરસાદી ગઝલોમાં શ્રેષ્ઠતમ ગણી શકાય. ચાર શેર અને ચારેય અદભુત. વરસાદમાં ભીંજાવાની ઈચ્છા જે તીવ્રતાથી આ ગઝલના પહેલા શેરમાં અનાયાસ ઊઘડી આવી છે એ न भूतो, न भविष्यति છે. કવિને વરસાદમાં ભીંજાવું તો છે પણ ઠેઠ અંદર સુધી. ભીંજાવાની શક્યતાનો વ્યાપ કવિ રોમ-રોમથી વધારી અંતરાત્મા સુધી લંબાવે છે એમાં આ શેરની ચમત્કૃતિ છે. રેઈનકોટ, છત્રી ભીંજાવાની આડે આવે એ તો સમજી શકાય પણ ખુદનું શરીર જ જો વ્યવધાન ભાસે તો? આકંઠ ચાહનાની આ ચરમસીમા છે, પછી ભલે તે વરસાદ માટે હોય, પ્રિયતમ માટે હોય કે ઈશ્વર માટે હોય.

વરસાદ ગમે તે સ્વરૂપે આવે એ ગંભીરતા, પાકટતા લાવે છે. ઊઘાડી નિર્વસન ધરતીને એ લીલું પાનેતર પહેરાવી અલ્લડ અવાવરૂ કન્યામાંથી ગૃહિણી બનાવે છે તો ફિક્કા પડતા જતા નદીના પોતને એ ફેર ગાઢું કરી આપે છે. વરસાદની ઋતુ આ રીતે ભારે આશાવાદી લાગે છે. ગઈકાલ સુધીની ઉચ્છંખૃલ ષોડશી આજે સત્તરમા વાને ઊભેલી ઠરેલ યુવતી ભાસે છે એ વરસાદનો જ જાદુ છે ને !

(શર=તીર)

Comments (11)

વર્ષાકાવ્ય : ૪ : વ્હાલપની વાત – ઉમાશંકર જોશી

                  વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની. 
                  એવી  વ્હાલપની  વાત રંગભીની.

                          આકાશે વીજ ઘૂમે, 
                          હૈયામાં પ્રીત ઝૂમે,
                  છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની. 
                  વર્ષાની રૂમઝૂમતી  રાત  રંગભીની.

                           બાજે  અજસ્ત્રધાર
                           વીણા  સહસ્ત્રતાર
                   સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની. 
                   વર્ષાની   રૂમઝૂમતી  રાત  રંગભીની.

                            ઓ રે વિજોગ વાત! 
                            રંગ   રોળાઈ   રાત,
                    નેહભીંજી  ચૂંદડી  ચૂવે  રંગભીની. 
                    વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.

-ઉમાશંકર જોશી

વર્ષાની એક રાત… સ્મુતિપટ પર દૃશ્યોની લંગાર લગાડી દે એવી રૂમઝૂમતી રાત ! ગીતની એક પછી એક કડી એક પછી એક પાંદડીની જેમ ખૂલે છે અને વ્હાલપની વાતથી છેક રોળાઈ રાત સુધી લઈ જાય છે.

Comments (4)

વર્ષાકાવ્ય : ૩ : આજ અષાઢ આયો – નિરંજન ભગત

                રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂર દખ્ખણ મીટ માંડીને
                     મોરલે નાખી ટહેલ,
વાદળી સાગરસેજ છાંડીને 
                     વરસી હેતની હેલ;
એમાં મન ભરીને મતવાલો મોર ન્હાયો !

                      મેઘવીણાને કોમલ તારે 
                                           મેલ્યાં વીજલ નૂર,
                      મેહુલાએ ત્યાં જલની ધારે 
                                           રેલ્યા મલ્હારસૂર; 
                      એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં વનમાં અષાઢ મ્હાલ્યો,
                      સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો 
                      મને ન લાગ્યો રંગ;
એ તો સૌને ભાયો ને શીતલ છાંય શો છાયો !

                      આપણે રે પ્રિય, સામસામે તીર,
                                           ક્યારે ય નહીં મિલાપ;
                      ગાશે જીવનજમુનાનાં નીર 
                                           વિરહનો જ વિલાપ ? 
                      રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

                બિરહમાં બાઢ લાયો !
                રે આજ અષાઢ આયો !

-નિરંજન ભગત

કુદરત વ્યસ્ત અને માનવ હૈયું ત્રસ્ત. વર્ષાનો (કે વર્ષાગીતોનો!) આ જ નિયમ છે !

Comments (5)

વર્ષાકાવ્ય: ૨ : ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સવારની ભીનીભીની છાબમાં
ટહુકાનાં ખીલ્યાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી બપોરની ભીનીભીની છાબમાં
તડકાનાં ખીલ્યાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી સાંજની ભીનીભીની છાબમાં
સળવળતાં કોનાં ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

શ્રાવણી રાતની ભીનીભીની છાબમાં
સપનાંનાં ઊઘડે ગુલાબ
                            ગુલાબ મારાં કોણ લેશે ?

કોઈ મને ક્યારે કહેશે -  
                            ગુલાબ મારાં કોણ લેશે ?

– મહેશ દવે

આ ‘ભીનુંભીનું’ વર્ષા કાવ્ય વરસાદનું નામ પણ લીધા વગર લખેલું છે. શ્રાવણનો ભીનો દિવસ એક મીઠી ફાંસની માફક ચારે પ્રહર પ્રિયજનની યાદ અપાવે છે – સવારે, બપોરે, સાંજે અને રાત્રે. ગીતની ભાષા અને યોજના એટલી સરળ છે કે જોડકણાં જેવું લાગે. પણ કવિએ શબ્દોનો એવો તો તાતો પ્રયોગ કર્યો છે કે પ્રેમભીના  હૈયાની રેશમી તરસ અદલ ઉભરી આવે છે. આ ગીત સાથે જ સાહ્યબો મારો ગુલાબનો છોડ છે પણ વાંચો તો ઓર નશો ચડવાની ગેરેંટી છે !

Comments (5)

વર્ષાકાવ્ય: ૧ :અષાઢ – પ્રદ્યુમ્ન તન્ના

આયો અષાઢ !
સઘન ગગન ઘન ગરજ સુણીને થર થર કંપ્યા પ્હાડ!

        કાજળ ધેરાં વાદળ છાઈ દિશા ચૂવે અંધાર,
        ઝબકે સબકે લબકે વીજ કરી નાગણ શા ફુત્કાર,
વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ!

        ઉઘલ ઉઘલ દળવાદળ પલપલ વરસે મુશળધાર,
        પ્રકૃતિ રૂઠી ઊઠી આજે ધરે પ્રલયસિંગાર
રંગરંગીલી ઓઢણી છોડી ઓઢે જળ-ઓછાડ!

         આભ ચીરીને ઊતરે જાણે વૈતરણીનાં વાર,
         આકુલ જનગણ કંઠે ઊડતો ધેરો એક પુકાર,
પ્રલયંકર હે શંકર ! એને ઝીલો જટાની આડ.

– પ્રદ્યુમ્ન તન્ના

વર્ષાનો પૂરેપૂરો ‘પાવર’ એક ગીતમાં પકડવો લગભગ અશક્ય બાબત છે – આ ગીત ન વાંચો ત્યાં સુધી 🙂 લયના એક અદભૂત સંમિશ્રણથી કવિ વરસાદના જોમ અને જુસ્સાને જીવંત કરી દે છે. શબ્દ અને અર્થની પરવા કર્યા વિના ગીત મોટા અવાજે બે વાર વાંચી જુઓ… એ જ એની ખરી મઝા છે !

(સમીરણ=પવન, ઓછાડ=ઓછાયો, ઉઘલ=છલકતું, આકુલ=ગભરાયેલુ)

Comments (7)

ચાલ, વરસાદની મોસમ છે… (વર્ષાકાવ્ય મહોત્સવ)

વરસાદની મોસમ શિયાળાની ઋતુની જેમ બિલ્લી પગલે આવતી નથી. એ તો આવે છે રાજા-મહારાજાની જેમ ઢોલ-ત્રાંસા-પડઘમ-નગારાં લઈને. આકાશમાં નવોઢાના ગાલે શરમના લાલ શેરડા ફૂટે એમ વાદળ ગાઢા થાય, કૂણાં તૃણ ઉદગ્રીવ બને, ચાતકના ગાન ને મોરલિયાની તાન અસ્તિત્વના આસવને ભીંજવવા જાણે કે હોડ બકે, જમીનમાં ક્યાંય ઊંડે જઈ સૂતેલા દેડકા યુગો પછી જાગૃતિનો ઓડકાર ખાઈ કાનને તર કરી દે, વૃક્ષો ભીનાં નવલાં પાનેતર સજીને આ આખી જાનમાં જોડાય અને વરસાદના ટીપાં એના નવકાર સૂર સાથે ટપ્પ-ટપ્પ કરતાં પંચેન્દ્રિયને સંવેધે છે ત્યારે ધરતી હંમેશની જેમ ચૂપ જ રહે છે પણ એના મૌનની ભાષા આપણું નાક સાંભળે છે. માટીની ભીની ગંધ એ વરસાદ સાથે ધરતીના અનંગવેગપ્રચૂર સંવનનની દ્યોતક છે. બેજુબાન માટીની જે અવર વાણી છે એ તો વળી અજોડ છે. પગ નીચે કોઈ કૂંપળના મ્હોરવાનો સળવળાટીયો સાદ કદી અનુભવ્યો છે? અને સૂરજ જે વાદળની પછવાડે સંતાઈને આખી ઘટનાને વધુ આસ્વાદ્ય બનાવે છે એ વરસાદ પછી પ્રકટ થઈ આકાશમાં સાત રંગની કવિતા બનાવે છે…રાતના કાળા છાબડામાં ઝબુકી જતી દામિની એ ચોમાસાની વળી એક અલગ અને અલભ્ય અનુભૂતિ સ્તો.

…લયસ્તરો પર આપણે એક આખ્ખા અઠવાડિયા સુધી તરબતર થવાનું કાલથી આદરીએ એ પહેલાં કેટલાક વહી ગયેલા છાંટાઓમાં પુનઃ નાહી ન લઈએ? એક પછી એક કવિતા પર ક્લિક કરતા જાઓ અને માણતા જાઓ આ મોસમે-બહારને મનભરીને – તનભરીને….

ઝીણા ઝરમર વરસે મેહ – ન્હાનાલાલ

એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું- મણિલાલ હ. પટેલ

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે- ભગવતીકુમાર શર્મા

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે – રમેશ પારેખ

આંખોમા બેઠેલા ચાતક કહે છે મારું ચોમાસું ક્યાંક આસપાસ છે – તુષાર શુક્લ

ચાલ, વરસાદની મોસમ છે – હરીન્દ્ર દવ

ડૂબવાનું હોય જાણે કે જગત – રવીન્દ્ર પારેખ

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં – સંદીપ ભાટિયા

ક્યાંય ના ધિક્કાર છે વરસાદમાં – સુધીર પટેલ

અહીં મેં પ્રથમ મેઘને વ્યથા સંભળાવી લીધી -ઉદયન ઠક્કર

આખા ડિલે ઊઠી આવ્યા જળના ઝળહળ સોળ – કરસનદાસ લુહાર

મેં તો તુલસીનું પાંદડું બીયરમાં નાખીને પીધું – અનિલ જોશી

પાણીના ટીપે ઘાસમાં જઈએ – શોભિત દેસાઈ

મને થવું તરબોળ હવે તો ભીની ભીની રાતો લઈને, આવ સજનવા – દિલીપ રાવળ

તાપી નથી, આ દ્રૌપદીની સાડી છે – વિવેક મનહર ટેલર

જલ ભીંજેલી જોબનવંતી લથબથ ધરતી – લાભશંકર ઠાકર

Comments (8)

સવાર કરવામાં – અશોક ચાવડા ‘બેદિલ’

હતું જે એય ગયું ફેરફાર કરવામાં;
દીવો બુઝાઈ ગયો અંધકાર કરવામાં.

હવે જગાડ ન સૂતો છું હું હકીકતમાં,
જરાક વાર કરી તેં સવાર કરવામાં.

નદીની જેમ અગર ચાલશો થશે રસ્તા,
ખડક ઊભા જ રહ્યા છે વિચાર કરવામાં.

અરે ઓ પારધી ટહુકા ન ધ્યાનથી સાંભળ,
ધ્રૂજે છે હાથ હજી જો શિકાર કરવામાં.

ફરક પડે ન અરીસાને શી રીતે ‘બેદિલ’,
તૂટી ગયો છું હું ટુકડા હજાર કરવામાં.

-અશોક ચાવડા ‘બેદિલ’

અશોક ચાવડાની એક મજેદાર ગઝલ. ગઝલનો પહેલો જ શેર કોઈ છીપ ઉઘાડીએ અને મોતી નીકળે એવી સફળ નજાકતથી કેવો મસ્ત ખૂલે છે ! બીજો શેર પણ એ રીતે હાંસિલે-ગઝલ શેર થયો છે. કઈ સવારના અનુલક્ષમાં કવિ હકીકતનું અનુસંધાન આપે છે?

Comments (7)

આપણું સન્ધાન – અમિત વ્યાસ

તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે;
આપણું સન્ધાન ચપટી ધૂળ છે !

હોય માનવતા જો તારું ગોત્ર તો;
આ જગત આખ્ખુંય તારું કુળ છે !

કોઈ પણ ઓળખ ન એની થઈ શકી;
સર્વ વ્યાપક છે અને સંકુલ છે !

અન્ય માટે છે એ કેવળ વસ્ત્ર પણ;
તું પહેરે એટલે પટકુળ છે !

ધીમે-ધીમે એ સ્વયં વિકસી જશે;
એટલાં ઊંડાં તો એનાં મૂળ છે !

સ્થાનનો મહિમા જ અંતે સાંપડ્યો;
કૈં નથી ને તોય ત્યાં ગોકુળ છે !

– અમિત વ્યાસ

Comments (16)

મુક્તક – દિલીપ રાવલ

રાહ  જોજે  યાદ  થઈને  આવશું,
સ્વપ્નમાં  સંવાદ  થઈને આવશું !
તું ગઝલ થઈને રજૂ થા તો ખરી,
મહેફિલોમાં  દાદ  થઈને આવશું !

– દિલીપ રાવલ

Comments (7)

ફકીર – પ્રીતમ લખલાણી

Scanned Document

ફકીર

વહેલી પરોઢે
ફૂટપાથ પર
તસબીના મણકા ફેરવવામાં
તલ્લીન થઈ ગયેલા ફકીરના કાનમાં
ઈશ્વરે આવી ધીમેથી કહ્યું,
‘હે ફરિશ્તા
તું
મારા માટે દુવા કર
કે આવતા જન્મે
હું
આ ધરા પર
ફકીર થઈને જન્મુ !’

– પ્રીતમ લખલાણી

ફકીરી એક એવી દોલત છે કે જે ખુદાને પણ સુલભ નથી. અનાસક્તિમાં એટલુ સુખ સમાયેલુ છે કે જેને ઈશ્વર પણ અંદરખાને ઝંખતો હોય તો નવાઈ નહીં !

Comments (10)

કથા મુક્તક – મુકુલ ચોકસી

એની વાંચી છે ડાયરી આખી,
પુત્રથી વાત ગુપ્ત એ રાખી,
એક બાસઠ વરસના ડોસાએ
આંખ ભીની કરી લૂછી નાખી.

– મુકુલ ચોકસી

ચાર લીટીના ચમત્કારો રજૂ કરવાની વાત અનાયાસ જ ગોઠવાઈ ગઈ. ઝેન મુકતક અને કાવ્યો છેલ્લે મૂકેલા એટલે આ મુક્તક તરત યાદ આવ્યું. મુક્તક જેવા ચાર લીટીના નાનકડા પ્રકારમાં આખી કથા કેટલી સહજતાથી અને વળી તીણી અસર સાથે આવી છે. અંગ્રેજીમાં તો આવો – અત્યંત નાની વાર્તાનો પ્રકાર પ્રચલિત છે – જેને flash fiction કહે છે. અર્નેસ્ટ હેમિંગ્વેએ માત્ર છ જ શબ્દોમાં એક વાર્તા લખેલી જે આનું ઉત્તમ ઉદાહરણ છે – “For sale: baby shoes, never worn.”

Comments (10)

કાવ્યો – નિરંજન ભગત

સૌંદર્યની સાપણ ક્યાંથી ડસે,
વ્યાપી જતું ઝેર તરત નસેનસે;
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.

– નિરંજન ભગત

કાવ્યના જન્મની મિમાંસા ચાર લીટીમાં ! આમ તો ઉમાશંકરે પણ કહ્યું જ છે – સૌંદર્યો પી, ઉરઝરણ પછી ગાશે આપમેળે !

Comments (6)

દીકરીનાં તેરમા વર્ષે…! – એષા દાદાવાલા

Esha - Dikri na terma varshe 1 Esha - Dikri na terma varshe 2
( …ખાસ ‘લયસ્તરો’ માટે એષા દાદાવાલાના હસ્તાક્ષરમાં એક અપ્રગટ અછાંદસ કાવ્ય… )

*

એ દિવસે-
એણે મમ્મીનો દુપટ્ટો લીધો
અને એની સાડી પહેરી.
કપાળ પર મમ્મી કરે છે બરાબર એવો જ
મોટ્ટો લાલ ચટક ચાંદલો કર્યો.
-બરાબર નાની મમ્મી જ જોઈ લો.

પછી એણે બધી ઢીંગલીઓ ભેગી કરી
અને એનાં એ આખાં વિશ્વને
કપબૉર્ડમાં લૉક કરી દીધું.
હવે એની આમતેમ અટવાઈને પડેલી
ઢીંગલીઓ માટે
મમ્મીએ એને ખિજવાવું નહિ પડે.
કારણ-
હવે એને ઢીંગલીઓ કરતાં
સપનાંઓ સાથે રમવામાં વધારે મજા પડે છે…!
અને ફર્શ પર આમતેમ અટવાઈને પડેલાં સપનાં
મમ્મીને દેખાય થોડાં ?

જોકે-
લોહી જોઈને ચીસ પાડી ઊઠેલી,
તેર વર્ષની નાની અમથી ટબુકડીને
મમ્મીએ બાથમાં લીધી ત્યારે-
એનામાંની સ્ત્રીએ એ દિવસે ઉત્સવ ઉજવેલો
અને એનામાંની મમ્મી
એની અંદર જ ઢબુરાઈ ગયેલી ક્યાંક…!

પણ
હવે મમ્મીએ દીકરીને શીખવી દીધું છે-
આપણી આંખ સામે ખુલ્લી પડેલી દુનિયામાં
આપણાં જેવા જ સારાં માણસો પણ છે જ…
અને મમ્મીએ
સારાં માણસો ઓળખી શકે
એવી પોતાની આંખો દીકરીને પહેરાવી પણ દીધી છે…!

અને એટલે જ-
હવે મમ્મી બહુ ખુશ છે
દીકરીને જન્મ આપ્યાના તેર વર્ષ પછી
એને એક નવી બહેનપણી મળી છે ને, એટલે…!

-એષા દાદાવાલા

એષાના અછાંદસ આજની ગુજરાતી કવિતામાં એક નવી જ ભાત પાડે છે. એના અછાંદસની ખાસ વિશેષતા એ છે કે એ આપણા રોજબરોજની જિંદગીમાંથી જ ઉંચકાયેલા છે અને ક્યાંય કવિત્વનો ભારેખમ બોજ ભાવકના માથે નાંખતા દેખાતા નથી. સરળ લોકબોલીની ભાષામાં સમજવામાં સહજ પણ પચાવવામાં અઘરા આ કાવ્યો એની ચોટના કારણે અને ભાવપ્રધાનતાના કારણે ઘણીવાર આંખના ખૂણા ભીનાં કરવામાં સફળ બને છે. એષાની કવિતામાંથી પસાર થવું એટલે એક ઘટના સોંસરવા નીકળવું અને ખાતરીપૂર્વક લોહીલુહાણ થવું….

એષાના પ્રથમ પ્રકાશ્ય કાવ્ય સંગ્રહ ‘વર્તારો’ માટે એને અગાઉથી જ શુભેચ્છાઓ…

Comments (21)

પસ્તાય છે…! – ભરત ભટ્ટ ‘પવન’

સૂર્ય   થઈને   એ   હવે   પસ્તાય  છે,
રાત  એના  ભાગ્યમાં   ક્યાં  થાય  છે !

ચાંદનું    કિસ્મત    જરા    જુદું   હશે,
ધોળે   દા’ડે   એ    કદી   દેખાય   છે.

એક   પણ   શ્રોતા   નથી  માટે   હવે,
ભીંત    સામે    વારતા    મંડાય   છે.

સ્વર્ગ પણ છે જોવાલાયક સ્થળ  છતાં,
જીવતેજીવ   કોઈ   ત્યાં  ક્યાં જાય છે ?

તાપણું    તો    છે   બહાનું    નામનું,
આમ   બાકી   ત્યાં   ઘણું   રંધાય  છે.

– ભરત ભટ્ટ ‘પવન’

વડોદરાના કવિ ભરત ભટ્ટ ‘પવન’ની આ ગઝલ વાંચતાવેંત ગમી જાય એવી છે. સાવ સીધા સાદા કલ્પનોને જે માવજતથી એમણે નવાજ્યા છે એ જ વાત કાબિલે-દાદ છે. પહેલાં શેરમાં આમ તો સહજપણે વાત સૂર્ય અને એના પ્રકાશની છે. સૂર્યના નસીબમાં રાતનો અંધકાર અને આરામ ક્યાં? પણ થોડું વિચારીએ તો આ જ વાત અવતારી પુરુષોને પણ સ્પર્શતી જણાય. ભીંતવાળા શેરમાં ક્યાંક મનુષ્યની આપકથનની લાલસા ઉજાગર થતી જણાય છે. ‘મારે કંઈક કહેવું છે’ની મથરાવટી લઈ ફરતા માણસો કંઈ નહીં તો ભીંતને ય વાત સંભળાવવા બેસી જશે. ભીંત કદાચ એવા મનુષ્યોનું પ્રતીક છે જે વાત સાંભળવાની લાયકાત અથવા સમજણ ધરાવતા નથી પણ વાત કહેનારને આજે શ્રોતાની લાયકાત કે સમજણશક્તિની ચકાસણીની ખેવના જ ક્યાં રહી છે? સ્વર્ગવાળૉ શે’ર કદાચ વધુ પડતો હલકો-ફુલકો થયો છે તો આખરી શે’ર વળી એટલો જ ધીર ગંભીર પણ થયો છે.

‘લયસ્તરો’ને એમનો પ્રથમ ગઝલસંગ્રહ ‘હથેળીમાં’ ભેટ આપવા બદલ શ્રી ભરતભાઈ ભટ્ટનો ખૂબ ખૂબ આભાર.

Comments (9)

ભક્તિ શૂરવીરની સાચી – ભોજો

ભક્તિ  શૂરવીરની સાચી રે, લીધા  પછી  નહીં  મેલે પાછી. (ટેક)

મન   તણો   જેણે   મોરચો   કરીને;  વઢિયા  વિશ્વાસી  રે;
કામ-ક્રોધ-મદ-લોભ   તણે   જેણે   ગળે   દીધી   ફાંસી  રે.
.                                                          ભક્તિ0

શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા, મામલો ગઢ માચી  રે;
કાયર  હતા  તે  કંપવા લાગ્યા, એ તો નિશ્ચે ગયા નાસી  રે.
.                                                          ભક્તિ0

સાચા  હતા  તે  સન્મુખ  ચડ્યા  ને,  હરિસંગે  રહ્યા   રાચી;
પાંચ  પચીસથી  પરા  થયા,  એક   બ્રહ્મ  રહ્યા   ભાસી  રે.
.                                                         ભક્તિ0

કર્મના  પાસલા  કાપી  નાખ્યા, ભાઈ ઓળખ્યા અવિનાશી,
અષ્ટ  સિદ્ધિને  ઈચ્છી  નહીં,  ભાઈ,  મુક્તિ  તેની  દાસી રે.
.                                                         ભક્તિ0

તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્યાં, અહોનિશ રહ્યા ઉદાસી;
ભોજો  ભગત  કહે  ભડ  થયા,  એ  તો  વૈકુંઠના   વાસી  રે.
.                                                           ભક્તિ0

-ભોજો

જ્ઞાનમાર્ગ અને ભક્તિમાર્ગ એમ હિંદુ ધર્મની બે અલગ વિચારધારાઓમાં ભક્તિમાર્ગને વરેલા ભોજા ભગત એને શૂરવીરોનો માર્ગ લેખાવી એ માર્ગે ચડ્યા પછી પાછી પાની ન કરવાની આહલેક આપે છે. ભક્તિ તો એક યુદ્ધ છે જેમાં કામક્રોધાદિ શત્રુઓનો સંહાર કરવાનો છે. ભક્તિયુદ્ધનું વીરરસપૂર્ણ શબ્દચિત્ર આલેખી કવિ કહે છે કે જે સાચા હતા તે જ સામા રહી હરિસંગે રાચી રહ્યા, બાકી કાયરો તો ગઢ ત્યજી ભાગી જ છૂટે છે. પંચ મહાભૂતોના બનેલા આ માટીના શરીરથી પર થઈ જે બ્રહ્મને પામે છે, કર્મના બંધન તોડી નાંખી અવિનાશને ઓળખે છે, કોઈ પ્રકારની સિદ્ધિઓની કામના કરતા નથી  એમના માટે મુક્તિ પણ દાસી સમાન સહજ સાધ્ય બની રહે છે. જે સાંસારિક બંધનોને તુચ્છ ગણી અનાસક્ત બની રહે છે તેજ ભડવીર વૈકુંઠ પામે છે.
‘શબ્દના ગોળા’, ‘પાંચ  પચીસથી  પરા  થયા’,  ‘કર્મના  પાસલા  કાપી  નાખ્યા’ – જેવા શબ્દપ્રયોગમાં ભોજા ભગતની કાવ્યશક્તિ ઊડીને આંખે વળગે છે.

Comments (3)

ઝેન મુક્તક – અનુ. કિશોર શાહ

તળિયા વિનાની વાંસની છાબડીમાં
હું શ્વેત ચંદ્ર મૂકું છું;
અ-મનના પાત્રમાં
હું વિમળ લહેરખી સંચિત કરું છું.

અનુ. કિશોર શાહ

કિશોર શાહે ઓશોના અંગ્રેજી પુસ્તક Signatures on Waterનો ગુજરાતી અનુવાદ ‘જળ પર હસ્તાક્ષર’ નામે કરેલો છે. આ પુસ્તક મૂળ જાપાનીઝ ભાષામાં લખાયેલ ઝેન કાવ્યવારસાને ગુજરાતીમાં માણવાની અનોખી તક છે. ઝેનમાં અનુભૂતિ પ્રધાન છે. એક અંત:સ્ફૂરણાથી આખુ જીવન બદલાઈ શકે છે એ ઝેનની મૂળમાન્યતા છે. સહજને માણવાની, માનવાની અને ઊજવવાની ઝેનમાર્ગમાં પરંપરા છે. ઝેન કવિ-ગુરુઓએ આ નાના નાના સ્ફટિકવત કાવ્યોમાં જગતને નવી દ્રષ્ટિથી જોવાનો કીમિયો છૂપાવેલો છે. જે કાંઈ સમજવા જેવુ છે તે આપણી અંદર જ છે અને દરેક કાવ્ય ખરેખર તો અ-મનમાં પ્રગટેલુ વલય માત્ર છે.

Comments (4)

ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન

બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!

પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!

મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.

સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે! 🙂 )

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
શૂન્ય પાલનપૂરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપૂરી

*

…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!

Comments (23)