January 13, 2017 at 12:30 AM by વિવેક · Filed under અનિલ ચાવડા, ગીત
અડાબીડ ભીડી બેઠા છો શબ્દોના એ કમાડ ખોલો,
બોલો, કંઈક તો બોલો…
એવું તો શું પૂછી લીધું, કશું કહો તો ખબર પડે ને?
છીપ હોઠનું ખોલી નાખો, મોતી અમને તો જ જડે ને?
મૌન મગફળી જેમ હોય છે, જરાક એને ફોલો,
બોલો, કંઈક તો બોલો…
કાન અમારા થયા છે ફળિયું, તમે ઊગો થઈ ચંપો;
નહીંતર જે કંઈ ઊગશે એનું પડશે નામ અજંપો.
હોય, પરંતુ વાતચીતમાં આટલો મોટો ઝોલો?
બોલો, કંઈક તો બોલો…
જનોઈવઢ કૈ ઘાવ ઝીંકતી ચુપ્પીની તલવાર,
નહીં હવે ઊંચકાય તમારા નહીં બોલ્યાનો ભાર
ફૂંક વિના તો સ્વયં વાંસળી પણ છે વાંસ એક પોલો,
બોલો, કંઈક તો બોલો…
– અનિલ ચાવડા
સંબંધોમાં મૌન સૌથી ઘાતક શસ્ત્ર પૂરવાર થાય છે. વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે… મગફળી જેવું મૌન થોડું ફોલીએ તો ભીતરથી સિંગદાણા હાથ આવે, હોઠની છીપ ન ખુલે ત્યાં લગ સમાધાનનું મોતી કંઈ હાથ લાગે? બીજા અંતરામાં કાનના ફળિયું થવાનું અને મૂક પ્રેયસીના શબ્દોનું ચંપો થઈ કોળવાનું કલ્પન સર્વશ્રેષ્ઠ છે. વાંસળી જેવી વાંસલી પણ બે હોઠ ફૂંક ન મારે તો પોલા વાંસથી વિશેષ શું છે? રિસાઈ ગયેલા પ્રિયજનો માટેનું રાષ્ટ્રગીત થઈ શકે એવું ઉત્તમ ગીતકાવ્ય…
વર્ષોથી ચારે તરફ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે ગુજરાતી ભાષા મરવા પડી છે. નવી પેઢી ગુજરાતીને ભૂલી જઈ રહી છે અને આગળ જતા ગુજરાતી ભાષા લુપ્ત થઈ જશે એવું છાસવારે સાંભળવા મળે છે. આ બધા શોકાતુર લોકોને માટે ખાસ આ બે વિડિયો છે. નવી પેઢી મા ગુજરાતીને કેવી અદા અને કેવા દબદબા સાથે સલામ કરી રહી છે એ જોઈને એમના દિલને ટાઢક થશે કે ગુજરાતીનું ભાવિ સુરક્ષિત જ નહીં પણ ઉન્નત છે. ગનીચાચાના શબ્દોને ઊછીના લઈને કહું તો જેને ‘રંક નારની ચૂદડી’ ગણતા હતા તે ગુજરાતી ભાષા અહી ‘રાજરાણીના ચીર સમ’ શોભી રહી છે.
આવા ગીતો બને છે ત્યાં સુધી ગુજરાતી ભાષાના ભવિષ્યની ચિંતા કરવાની છોડીને બીજું કંઈ કામનું કામ કરવું એવી મારી સલાહ છે 🙂
આ ગીત ગુજરાતી ફીલ્મ ‘મિશન મમ્મી’માંથી છે. મા ગુજરાતીનો મહિમા બુલંદ અવાજે ગાતા આ ગીતમાં પાંચ-સાત નહી પણ પુરા સત્તાવીસ ગાયકોએ પોતાનો સુર આપ્યો છે. ગીતના શબ્દો કવિ તુષાર શુક્લના છે અને સંગીત છે નિશીથ મહેતાનું.
બીજો વિડીયો અવિનાશ વ્યાસના અમર ગીત ‘કોણ હલાવે લીંબડી’નું cover version છે. એમાં સ્વર છે કીર્તિ સાગઠિયા અને નીસા સાગઠિયાનો. જેટલા પ્રેમ અને જતનથી આ વિડિયો બનાવ્યો એ જોઇને મૂળ ગીત પ્રત્યેનો કલાકારોનો પ્રેમ અને આદર દેખાઈ આવે છે.
દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ મિરાત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
– અનિલ ચાવડા
અનિલ ચાવડાની આ કવિતા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અભ્યાસક્રમમાં ધોરણ ૯માં સમાવિષ્ટ કરવામાં આવી છે. કદાચ પ્રવર્તમાન પેઢીના કવિઓમાં ‘અનિલ ચાવડા’ પાઠ્યપુસ્તકમાં સ્થાન પામનાર પ્રથમ નામ હશે… ચાલો, છોકરાઓનો પણ ઉદ્ધાર થશે… સમજણો થયો ત્યારથી મને એક વસ્તુ કદી સમજાઈ નથી કે શા માટે બાળકોના માથે ચલણમાંથી નીકળી ગયેલ “એક્સપાઇરી ડેટ”વાળી ભાષામાં લખાયેલી કવિતાઓ જ નાખવામાં આવે છે. આપણી ભાષાના સાંસ્કૃતિક વારસા સમી રચનાઓની સાથોસાથ કન્ટેમ્પરરી પોએટ્રી પણ અભ્યાસક્રમમાં હોવી જ ઘટે. અનિલની રચનાને પાઠ્યપુસ્તકમાં મળેલું સ્થાન આ દિશા તરફનું પહેલું પગલું ગણી શકાય. એ ન્યાયે પાઠ્યપુસ્તકમંડળને અભિનંદન.
પણ સાથેસાથે પાઠ્યપુસ્તક મંડળે જે અક્ષમ્ય ક્ષતિઓ આચરી છે એની પણ સખેદ નોંધ લેવી જરૂરી છે કેમકે એક તરફ આપણે ‘ગુજરાતી મરી રહી છે’ના રોદણાં રડી રહ્યાં છીએ અને બીજી તરફ બાળકોને ભાષા શીખવવામાં જ આવી જઘન્ય લાપરવાહી ?
‘લેખનનું કામ કરી રહ્યાં છે’ – પુલ્લિંગ સર્વનામ સાથે અનુસ્વાર?
‘તેમના ચિંતન, નિંબધોનાં પુસ્તકો છે’ – નિંબધો? કે નિબંધો?
‘મિરાંત‘ – કે મિરાત ? હદ તો ત્યાં થઈ છે કે ખોટો શબ્દ છાપ્યો છે એટલું જ નહીં, એનો શબ્દાર્થ આપીને એને કોઇન પણ કરી દીધો…
November 7, 2016 at 8:57 AM by તીર્થેશ · Filed under ગીત, મકરન્દ દવે
ક્યાંક પૃથ્વીને ઊગતી ભાળું તો
ભાઈ,મારા ઘરની દીવાલ સહુ તૂટે.
ઊંડે ધરબેલ મારો પાયો આકાશમાં
ને પથ્થર તો પરપોટા, ફીણ,
તેજ કેરા દરિયામાં તરતી નિહાળું
મારા અંતરની અંધારી ખીણ;
ક્યાંય આઘે આઘેથી મને ભાળું તો
ભાઈ,મારા પડછાયા પંડના છૂટે.
અધખૂલી આંખમાં ઊગે સવાર
વળી,નિંદરનું ઘેન મને ઘેરે,
ઝંખેલા રૂપને ઝીલું ઝીલું ને કોઈ
રૂપને વિરૂપમાં વિખેરે;
ક્યાંક એવો ઉજાશ લઈ આંજું કે
ભાઈ,મારાં સૂતાં કમળદળ ફૂટે.
– મકરંદ દવે
આ કાવ્ય વિષે કવિએ કહ્યું છે કે નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પરથી પૃથ્વી કેવી લાગી તેનું આ વર્ણન છે. મને આ વાતની ખબર નો’તી. મને તો કાવ્ય ગમ્યું અને એવો અર્થ સમજાયો કે જાત ને જરા છેટેથી સાક્ષીભાવે નિહાળતા ઘણા રહસ્યો સમજાય છે……
October 31, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, તુષાર શુક્લ
હું અને તું નામના કાંઠાને તોડી જળ વહ્યાં સંગાથમાં, તે આપણે;
શ્વાસશ્વાસે એકબીજામાં થઈ સૌરભ રહ્યાં સંગાથમાં, તે આપણે.
આપણા હર શ્વાસમાં છે વ્હાલ ને વિશ્વાસ, વ્હાલમ;
ને જીવનનું નામ દીધું હેતનો મધુમાસ, વ્હાલમ.
આંખને ઉંબર અતિથિ, અશ્રુ ને સપનાં, સખીરી;
રસસભર જીવનને ખાતર બેઉ છે ખપનાં, સખીરી.
આંખથી ક્યારેક ઝરમર ને કદી ઝલમલ સહ્યાં સંગાથમાં, તે આપણે … હું અને તું
રંગ ને પીછી તણા સંવાદમાં પણ બેઉ, સજની;
સુર ગુંથ્યા શબ્દના અનુવાદમાં પણ બેઉ, સજની.
છે મને ન યાદ કોઈ પ્રેમમાં ફરિયાદ, સજના;
જિંદગી લાગે મને પ્રિતી તણો પ્રસાદ, સજના.
જિંદગીના બેઉ રંગો ને ઉમંગોને ચહ્યા સંગાથમાં, તે આપણે … હું અને તું
– તુષાર શુક્લ
આવો…..નવા વર્ષના પ્રભાતે આપણે સૌ આવી કૈંક મનોકામના સાથે નવા વર્ષને વધાવીએ…..
October 14, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગીત, તેજસ દવે
મૂઓ તડકો વરસે ને મારું ફળિયું રિસાય,
. કહે છાંયડાઓ કોણ લૂંટી જાય ?
ભર ચોમાસે લીંબોળી પાક્કી થઈ જાય
. ઓલા લીંબડાના ભાગ ફૂટી જાય.
. મૂઓ તડકો વરસે ને…
નદીઓનાં ભીનાંછમ સપનાંઓ ભરવાને
. તૂટેલાં માટલાંઓ સાંધ્યાં,
કાળઝાળ ઉનાળો આંખોમાં વરસે તે
. પાણિયારા પાંપણ પર બાંધ્યાં;
સાત સાત દરિયાના હાથ લગી આવેલું
. ચોમાસું કોણ લૂંટી જાય ?
. મૂઓ તડકો વરસે ને…
ઝાડ તળે ઊગેલા છાંયડાઓ સ્હેજ હજી
. ધરતીના છેડા લગ પૂગે,
ને ત્યાં જ વળી તડકો કોઈ પંખીની જેમ
. પેલા છાંયડાને આવીને ચૂગે.
સૂકા થઈ બેઠેલા કૂવાની ધાર પરે
. સૂરજને કોણ ઘૂંટી જાય ?
. મૂઓ તડકો વરસે ને…
– તેજસ દવે
આવું-આવું કરતું ચોમાસુ લગાતાર હાથતાળી દઈ રહ્યું હોય, સૂર્ય ચોમેર દેકારો દઈ રહ્યો હોય, દુકાળના ડાકલાં સંભળાવા માંડે એવા કોઈ તરસ્યા સમયનું ચિત્ર કવિ કેટલું સ-રસ રીતે દોરી આપે છે !
પાણી વરસશેના ભીનાં સપનાંઓથી ભરેલી પણ હકીકતે ખાલી નદી કને માટલાં તૂટેલા લઈ જાવ કે આખાં, શો ફરક પડે છે? ઘરનાં પાણિયારાં ખાલી છે, ખાલી પાંપણના પાણિયારા જ આંસુથી છલકાય છે. પાન વગરના સૂકા ઝાડ નીચે થોડો પડછાયો ઊગે ન ઊગે ને તડકાપંખી એને જાણે કે ચણી જાય છે…
September 29, 2016 at 2:09 AM by વિવેક · Filed under ગીત, વેણીભાઈ પુરોહિત
હજી આ કોકરવરણો તડકો છે
સાંજ તો પડવા દો
હજી આ સૂર્ય બુઝાતો ભડકો છે
દિવસને ઢળવા દો…
હજી ક્યાં પંખી આવ્યા તરુવર પર ?
અને કયાં દીપક પણ પ્રગટ્યા ઘર ઘર ?
હજી ના મનડું બેઠું મહુવર પર
દેવ મંદિરે નોબત સંગે
ઝાલર મધુર વગડવા દો…
સાંજ તો પડવા દો
દિવસને ઢળવા દો.
હજી ક્યાં દુનિયાદારી થાકી છે ?
હવાની રૂખ બદલવી બાકી છે
હજી આ કિરણોમાં કરડાકી છે !
ગમતીલી ગોરજને ઊંચે
અંગેઅંગ મરડવા દો !
સાંજ તો પડવા દો :
દિવસને ઢળવા દો :
હજી આ ધરતી લગરીક ઊની છે,
ગગનની મખમલ તારક સૂની છે,
સાંજ તો શોખીન ને સમજુની છે:
કનક કિરણને નભવાદળમાં
અદભૂત રંગ રગડવા દો
સાંજ તો પડવા દો.
દિવસને ઢળવા દો.
– વેણીભાઈ પુરોહિત
બપોર આથમ્યા પછી પણ સાંજ પડતા પેહલાના સમયની વાત… સૂર્યનો તાપ જરા આછો થયો છે પણ સાંજજે હજી રંગોળી પૂરવી શરૂ કરી નથી. પંખીઓ હજી ઘરે પરત નથી ફર્યાં. દીવા સળગવાને વાર છે. હજી દુનિયા એની રોજનીશીથી થાકી નથી. ધરતીનો ગરમાટો ખુલ્લા પગને હજી અડે એવો છે. આકાશમાં તારાઓ ઊગી આવવાને હજી વાર છે. મંદિરમાં ઝાલર-આરતી શરૂ થાય, ઘેર પરત ફરતી ગાયોના ટોળાંની મસ્તીથી આભે ચડેલી ગોરજ આળસ મરડી મસ્તી કરે, સૂર્યકિરણો પશ્ચિમના આકાશને રંગોથી રગડોળી દે એ પછી વાત… જો કે કઈ વાત કરવાની છે એ આખી વાત અધ્યાહાર રાખીને કવિએ એક અદભુત ચિત્ર દોરી આપ્યું છે…
September 15, 2016 at 1:35 AM by વિવેક · Filed under ગીત, વંચિત કુકમાવાલા
ખુલ્લી છાતીમાં ઝીલ્યા લાખ લાખ દરિયા
છતાં આછેરી ના હું ભીંજાણી;
ઊના ઉજાગરા ને રાતાં તોફાન
મારા આયખાનું હીર ગયાં તાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…
મીંઢળિયા હાથ રોજ સપને આવીને
મારી છંછેડે સૂતેલી લાગણી !
અધરાતે ઊઠીને પગની પાનીએ હવે
મહેંદી મૂકવાની કરે માગણી !
રૂમઝૂમતાં-રૂમઝૂમતાં શેરી વચ્ચેથી
મારે ભરવાં’તાં કોઈનાં પાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…
સોડાની બોટલની ગોલીની જેમ
અમે ભીના થવાનો અર્થ જાણીએ;
દૂર ક્યાંક વાગતી શરણાયું સાંભળીને
સાવ રે અજાણ્યું સુખ માણીએ !
આખું આ શહેર મારા ટેરવાથી નાચે
મેં ટેરવાની ભાષા ન જાણી…
હું તો અંધારા ઓરડે ખોવાણી…
– વંચિત કુકમાવાલા
ગીત વેશ્યાના સ્વપ્નનું પણ કુમાશ કેવી ! લખોટીને દબાવવાથી ખુલતી સોડાબોટલમાં ગોળી આખી ભીની ભલે થાય પણ એ ભીનાશ એની કાચની કાયાને સ્પર્શી શકતી નથી કે નથી અંદર ઊતરી શકતી. કોઈના લગ્નની શરણાઈમાં પોતાના ન થયેલા લગ્નનું અજાણ્યું સુખ માણવાની વાત વેશ્યામાં રહેલી સ્ત્રીને સુપેરે ઉજાગર કરે છે. જેના સ્પર્શ પર આખું શહેર નાચે છે એ વેશ્યાના જીવનમાં પ્રેમ કે સ્પર્શ ક્યાં હોવાનો?
લીંબોળી વાગીને આખુંયે અંગ કાંઈ એવું દુખે કાંઈ દુખે,
લીંબોળી મારીને મરકી જનારનું નામ નથી લેવાતું મુખે.
હું તો બારણાં બીડેલા રાખું તો ઉઘડી જતી કેમ બારી..
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..
હવે આંખોથી ટપકે ઉજાગરાં ને નીંદર તો શમણાની વાટે,
છાતીના ધબકારા લૂંટી ગયું કોઈ નાનકડી લીંબોળી સાથે.
હું તો આખાયે ગામને જીતી ને લીંબોળી સામે ગઈ હારી.
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..
લીંબોળીમાં તો બાઈ કેટલાય લીંબડા ને લીંબડાને કેટલીય ડાળી,
ડાળી પર કોયલ ને કોયલના ટહુકા ને ટહુકામાં પ્રિત ના ધરાણી
અરર બાઈ રે કેવી નવાઈ, હું તો ટહુકે હણાઈ પરભારી.
બાઈ રે.. મને આજ કો’કે લીંબોળી મારી..
શું હશે આ ? સાચું કે માત્ર આભાસ ? ચર્મચક્ષુ બંધ થતાં જ અજવાળું ખીલી ઊઠે છે. આરા-ઓવારા વિનાના અંધારામાં તળિયેથી ઉજાસ પ્રગટે છે, જેનું મૂળ પાછું અકળ છે. આંખ ખુલ્લી હોય ત્યારે જે આપણને છોડી ગયું હોય એ બધું સાંજ પડતાં પાછા ફરતાં પંખી પેઠે આપણા ચેતસ્ તરફ પરત ફરે છે.
અભણ ઊડે અહીં પ્લેનમાં, પંડિત કાપે ઘાસ,
સફળ-વિફળ કૈં છે નહિ, જીવતર છે જ્યાં ભાસ,
ચિત્રગુપ્તને ચોપડે માત્ર થશે એ પાસ,
જે થૈ મસ્ત જીવે જગે, પામે વૈકુંઠવાસ;
July 30, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગીત, વિમલ અગ્રાવત
પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી, ભારી!
ખારવણ ખારી ખારી.
ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;
ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!
માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.
ખારવણ ખારી ખારી.
હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;
ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક જ તે તસતસતી ગાળે;
ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.
ખારવણ ખારી ખારી.
-વિમલ અગ્રાવત
વિમલ અગ્રાવત કોઈ મહેફિલમાં હાજર હોય અને શ્રોતાગણ ‘ખારવણ’ની ડિમાન્ડ ન કરે એવું બને જ નહીં એટલી લોકપ્રિય આ રચના થઈ છે.
મહાભારતની મત્સ્યગંધા ઘ્રાણેન્દ્રિયને ઉત્તેજતી, પણ આ ગીતની નાયિકા ખારવણ સીધી સ્વાદેન્દ્રિય પર જ હલ્લો કરે છે. ભલે ને માથા પરની ટોકરીમાં બૂમલાંનો ભાર કેમ ન હોય, ખારવણના પગ જમીનને અડતા નથી. ખારવણ જાણે કે દરિયાનો જ એક હિસ્સો છે પણ ખરાબાની જમીન જેવા છીછરા ખારવાને બટકા-કટકામાં તે શાનો કંઈ રસ હોય? ભલે મોતીના બદલે માછલી કેમ ન મળે, ખારવણની આંખોમાં દરિયા ભરીને સપનાં ઉછરી રહ્યાં છે ને સપનાંની આડે આવતા દારૂના કેફને ગાળ ભાંડીને ઉતારી નાંખવાની એનામાં તાકાત છે. કાશ ! ખારવો આ ખારી ખારી ખારવણના જિંદગીના નશાને જોઈ-ચાખી-માણી શક્યો હોત!
ડો. ફિરદૌસ દેખૈયાના સ્વરાંકન, સ્વર તથા સંગીતમાં આ ગીત આપ અહીં માણી શક્શો.
બાંસિયું = ટોપલો, તગારુ.
ફૂગ્ગી = દારૂની કોથળી
ભાઠોડું = ખરાબાની જમીન; છીછરૂં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન; છીછરા પાણીવાળી જગ્યા.
શીનો = શાનો, શેનો
રામજી ! આ તો તારી વાડી, ખીલ્યાં તારાં ઝાડ
બોરના કરું ઢગલા જાણી ફૂલના મ્હેકે પ્હાડ.
પ્હાડની પડખે રામજી ! તમે નદી થઈને વહો
લયનો દીવો તરતો તરતો કોઈ કિનારો લહો !
– જગદીશ જોષી
એક તરફ શબરીને શબ્દાંકિત કરીને કવિ સહજતાથી માનવસંબંધોની વાત કરે છે અને સાથોસાથ જ માનવસંબંધોના ચિત્રણ વડે શબરીની પ્રતીક્ષાને પણ ઉજાગર કરે છે. નાનાવિધ સંબંધો તાણાવાણાની જેમ આપણા જીવતરના વસ્ત્રમાં વણાયેલા છે. પણ આ સંબંધોને આપણે ઉપરછલ્લા મૂલવવાના કે માણવા-જાણવાના નથી. શબરી એક-એક બોર ચાખતી હતી… એ દરેક બોરની સાથે એની અપાર રામભક્તિ અને અસીમ પ્રતીક્ષા સંકળાયેલ હતી. આપણે આપણા સંબંધોને આ પ્રમાણે મૂલવશું તો જ દરેક સંબંધમાં છૂપાયેલ ઈશ્વરનો સાક્ષાત્કાર શક્ય છે.
પાણી પાસે કરાવતો રહે પરપોટાની વેઠ
તો જ તારી કીર્તિ જાશે સ્વર્ગલોકની ઠેઠ
પ્રોફેશનલ ના બની શક્યો તો કિસ્મત ગબડી જાશે
ઇમોશનલ ના રહી શકયો તો જીવ જ ફાડી ખાશે
June 13, 2016 at 2:13 AM by તીર્થેશ · Filed under ગીત, સંજુ વાળા
આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત
બે બત્તા બે નો જો સરવાળો પાંચ
પાંચ સાચા કે સાચું ગણિત
એવું કોઇ પૂછે તો થઇ જાતા
આપણામાં બેઠેલા ઇશ્વર ભયભીત
કોઇ સાવ ઘગઘગતો લાવા કહેવાય
તો કોઇ નર્યા હોય શકે સંત
જાહેર પોતાનો પડછાયો પાડવાની
ફરમાવી સખ્ખત મનાઈ
એટલે તો સૂરજને છત્રીમાં છાવરીને
વિહરવા ને નીકળે છે સાંઈ
છત્રી તો એવું આકાશ જેના આ સળમાંથી
યાતનાઓ ખૂલે અનંત
આપણી આ વારતાને આદી ના અંત
સંકેલો તેમથી કે આમથી ઉકેલો
પણ લંબાતા એકએક તંત
-સંજુ વાળા
અસ્તિત્વની વાત છે. મર્યાદિત ઇન્દ્રિયજ્ઞાન દ્વારા ઇન્દ્રિયાતીતને સમજવાની મથામણ કરતા પામર જીવની વાત છે….છત્રી સૂર્યના પ્રખર તાપથી કદાચ બચાવે છે પરંતુ તે સત્ય [ સૂર્ય ] અને વ્યક્તિ વચ્ચે એક આડશ ઊભી કરી દે છે જેમાંથી પારાવાર યાતના જન્મે છે. ઈશ્વરની એક માનવસર્જિત પરિકલ્પના સાથે જયારે વ્યવહારિક જીવનના અવલોકનોનો તાળો ન મળે ત્યારે તે પરિકલ્પના ભયભીત થઇ ઉઠે છે અને પારાવાર મૂંઝવણો-દ્વંદ્વો ઉદ્ભવે છે.
અતિથિ દેવો ભવના આપણા સંસ્કાર વારસાને ગોપીઓ કેવી ચતુરાઈપૂર્વક પ્રયોજે છે તે જુઓ. કૃષ્ણનો સંદેશો લઈને મથુરા આવેલ ઉદ્ધવને અતિથિ ખાલી હાથે પાછો ન જઈ શકે એ સંસ્કાર આગળ કરીને ગોપીઓ પોતાને સહુને સાથે લઈ જવાની સોગઠી ફેંકે છે એ વાત રજૂ કરીને કવિ કેવું મજાનું ગીત આપણને આપે છે !
તરશું કેવી રીતે, ઉદ્ધવ ?
ડૂબી ગયાં છે દરિયા વચ્ચે સહુનાં સઘળાં વ્હાણ !
ગોકુળની છે બધી ગોપીઓ હજુ સુધી અણજાણ !
શ્યામ ગયા, તે શ્યામ ગયા ? કે ગયા અમારા પ્રાણ ?
– વીરુ પુરોહિત
ગુજરાતી ગીતોની ફૂલછાબમાં વીરુ પુરોહિત ઉદ્ધવ ગીતોના સાવ નોખી તરેહના પુષ્પો લઈને આવ્યા છે. એમાંનું વધુ એક પુષ્પ આજે આપ સહુ માટે. ‘ઘાયલ કી ગત ઘાયલ જાણે’ની મીરાંબાઈની વ્યથા ગોપીઓની વિરહવેદના સાથે એકરસ થઈ ગઈ છે જાણે. ગીતના લયને વખાણવો કે સરળ શબ્દોમાં રજૂ થતા ઊંડાણને કે બખૂબી ઉપસી આવતા વિપ્રલંભ-શૃંગારને એ કહેવું દોહ્યલું છે.
May 22, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, સંજુ વાળા
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
તરંગ લિસોટે પડી છાપ તો
ઘટના પળ બે પળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
પરપોટાનું પોત : પવનનાં પગલાં
તરતાં નર્યા સપાટી ઉપર જી.. રે
સ્પર્શે ઊગે – સ્પર્શે ડૂબે
નહીં રે તળને લેણદેણ કે જાણ લગીરે
પરગટ પારાવાર – ને નીંભર
ટેવ પડી ટળવળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
સુસવાટાનો નાદ સાંભળી, ખળખળતું
એકાન્ત ટકોરા મારે લીલા
જળરાશિનું નામ હવેથી પ્રગટ રહીને
કહેવાશે અટકળિયા ચીલા
ભાવગત આ અક્ષરિયત – ને
છળમય ભાષા તળની
સખીરી, કેમ ઉકેલું લિપિ જળની
[નીંભર – મૂંઝાઈ ગયેલું, મૂઢ ]
– સંજુ વાળા
ઊંડી વાત છે. કવિની શબ્દગૂંથણી તો અદભૂત છે જ, પરંતુ પ્રત્યેક શબ્દ કાવ્યને આગળ ધપાવે છે અને અનિવાર્ય છે. ખૂબ ટૂંકમાં કહું તો નિત્ય-અનિત્યના ભેદની વાત છે. realisation ની તક અત્યંત અલ્પજીવી – વીજળીના ઝબકારા જેવી હોય છે. જળ પર પડતી ભાતની તળને કશી તમા નથી. જળ ઉપર થતી તમામ પ્રવૃત્તિ અનિત્ય છે. અક્ષરજ્ઞાન કામનું નથી, ગેબી સંકેત છળમય છે અને તેને ઉકેલવાનું ગજું નથી…..કશું સમજાતું નથી….
May 17, 2016 at 8:03 AM by તીર્થેશ · Filed under ગીત, ધ્રુવ ભટ્ટ
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ;
એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું
લાગ્યા કરે છે મને રોજ,
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખજાનો હેમખેમ છે….
આંખોમાં પાણી તો આવે ને જાય
નથી ભીતર ભીનાશ થતી ઓછી;
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ
નથી પરવા સમંદરને હોતી,
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે….
– ધ્રુવ ભટ્ટ
ફકીર પોતાની ફાકામસ્તીને મસ્ત મસ્ત રૂપકો આપીને ચીતરે છે….જે કંઈ ખજાનો છે તે ભીતરના વિશ્વમાં છે અને કવિની મસ્તી તેની જ છે. છેલ્લા ચરણમાં કાવ્ય સૂફી-ઉચ્ચતાને પૂગી જાય છે…..
ગુજરાતી કવિતાના કર્ણફૂલ સમું આ લગ્નગીતના ઢાળમાં મૃત્યુને પોંખતું અમર ગીત આગળ લયસ્તરો પર મૂક્યું હતું અને ભાવકમિત્રોને એનો આસ્વાદ કરાવવાનું કામ આપ્યું હતુંઅને લગભગ ત્રણ ડઝન વાચકોએ આ ગીતનો પોતપોતાની રીતે આસ્વાદ કરાવ્યો હતો.
આજે આ અમર કવિતાના બે અંગ્રેજી અનુવાદ આપ સહુ માટે રજૂ કરીએ છીએ:
Swan song
Vermilion suns have set in my eyes…
adorn my nuptial wagon brother, adjust the flame
O breaths on feet are restive, attired in lights !
Vermilion suns have set in my eyes…
Green stallions drowned in yellowed leaves
sank gay kingdoms, sank gay deeds
O I heard such neighing scent !
Vermilion suns have set in my eyes…
A shadow restrains me in the courtyard
holds me half by words, half by anklets
O I am wounded by a live tenderness !
Vermilion suns have set in my eyes…
– Ravji Patel
(Translated by Pradip Khandwala)
*
The Song of Illusive Death
Vermilion suns have set in my eyes
Deck my litter, brother, trim the wick
Oh, the breaths await draped in brilliance
Vermilion suns have set in my eyes
Verdant stallions have drowned in ochre leaves
Vast dominions drowned, drowned joyous deeds
Oh, I have heard the neighing scent
Vermilion suns have set in my eyes
By a shadow I am halted in the square
Held partly by an utterance, partly by anklet
A living tenderness nudges me
Vermilion suns have set in my eyes.
May 9, 2016 at 12:30 AM by તીર્થેશ · Filed under ઉમાશંકર જોશી, ગીત
ટહેલતાં સાબરને કિનારે
વિજ્ઞાનશાસ્ત્રી, કવિ, -બે જઈ ચડ્યા
ધોબી કને, જે કપડાં પછાડતાં
મહાજનો કોણ ન એ લહી શક્યો.
કહે કવિ, ‘આ કપડાં ધુએ છે
ત્યાંથી ઊડંતા જળબિંદુશીકરે,
હૈયું કૂદે, ઇન્દ્રધનુષ ન્યાળી.
જન્મ્યો હતે જો શતવર્ષ પૂર્વે
તો પામતે હું પદ વર્ડ્ઝવર્થનું.’
વિજ્ઞાની ક્હે, ‘ન્યૂટનની પહેલાં
પાક્યો ન ધોબી પણ કોઈ એવો,
જે વાત સાદી સમજી શક્યો આ
કે તેજ પાણીકણ આરપાર
જતાં, જુદું થાય જ સાત રંગમાં?!’
વદે કવિ, ‘ધોબીજનોય આ ને?’
રામા! -કહીને પછી બૂમ પાડી,
પૂછ્યું, ‘અલ્યા! કામઠું જે તણાય
છાંટા ઊડે તે મહી રંગ સાતનું,
તે ઉમંગે નીરખે કદી કે?’
ધોબી બિચારો થઈ મૂઢ, ફાંફા
મારે, નિહાળી જન આ મહાનને
વાતે વળેલા નિજ ક્ષુદ્ર સંગમાં.
વિજ્ઞાની બોલે, ‘તુજ પીઠ સૂર્યની
બાજુ ધરી ધો કપડાં, અને જો
છાંટા મહીં અદ્ભુત સાત રંગને.’
‘માબાપ! એવા કરું જો હું ચાળા,
ઘરે બિચારાં મરી જાય છોકરાં!’
કહે કવિ, ‘સુન્દરતા પિછાનવા
ઘડીક તો રંગલીલા નિહાળી લે!’
‘એ જોઉં તો આ ઢગ ધોઉં ક્યારે?’
મંડ્યો પછી એ કપડાં પછાડવા
ઘાલી ઊંધું, ને બચવા જ છાંટથી
વિજ્ઞાનશાસ્ત્રી ખસી મર્મમાં હસ્યા,
‘જો બાપડો ન્યૂટન વ્યર્થ જીવ્યો;
થૈ શોધ કે ના, – સરખું જ આને!’
જોકે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
હું તો આ રે આંગણનું સાવ પાળેલું પંખી,
. ને પૈણાનાં દાણ ચણું મીઠાં
ને બોલ પાછલે પરભાતે મેં ટહૌકાઓ
. રીતસર હારબંધ ઊડતા દીઠા!
કેમ પાંખ્યું ફફડે છે? મેં તો માન્યું કે સ્હેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
મને અધવચ્ચે અધવચ્ચે ઊભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે
– ઉદયન ઠક્કર
મજા આવી ગઈ !! ગુજરાતી કવિઓ અમુક વિષયો પ્રમાણમાં ઓછા ખેડે છે, જેમકે લગ્નેતર સંબંધ. તેમાંય વળી સ્ત્રીપાત્ર-કેન્દ્રી લગ્નેતર સંબંધ ઉપર ગુજરાતી કાવ્ય મેં પહેલીવાર જ વાંચ્યું ! નાયિકાને પતિ વ્હાલો નથી એવું નથી, પરતું એક અન્ય ચહેરો પણ ચિત્તાકાશમાંથી કેમે હટતો નથી. તે સ્વગત બબડે છે – મને અધવચ્ચે ઉભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે. બંધન ગમતું નથી, મર્યાદા સમજાય છે પણ સહેવાતી નથી.
ઉન્નતભ્રૂ [ highbrow ] લોકોનું નાકનું ટેરવું ચડી જાય એવી બિન્ધાસ્ત રજૂઆત જવલ્લે જ જોવા મળે છે. મહદઅંશે લોકો હૃદયના નિખાલસ ભાવને નિરપેક્ષ રીતે observe કરવાને બદલે દંભના કવચમાં વધુ સલામતી અનુભવે છે. પ્રેમ કદી કોઈ બંધનમાં બંધાતો નથી તેમજ કોઈને બંધનમાં બાંધતો નથી એવી વાતો પાંચ માણસ વચ્ચે કરીને પોતાની છબી ચમકાવવી એ એક વાત છે અને જયારે પત્ની ખરેખર………………
સ્નેહનું પાણી શૂરનું પાણી,
પોતના પ્રચંડ પૂરનું પાણી,
હસતું રમતું રણમાં દીઠું,
સત અને સિન્દૂરનું પાણી,
વાહ રે ‘ઘાયલ’ કચ્છનું પાણી !
– અમૃત ‘ઘાયલ’
કચ્છ એટલે મૂળે તો રણપ્રદેશ. પાણીની અછતનો પ્રદેશ. પણ જે ભૂમિમાં પાણી ઓછું છે ત્યાંના આદમી પાણીદાર છે. અજાણ્યાને પણ પોતીકો ગણતા કચ્છી માંડુની અસલી તાસીર કવિએ કલમના લસરકે દોરી આપી છે. આ ગીતની અડખે-પડખે આપને આ ગીત “કચ્છડો તો બારેમાસ” માણવું પણ ગમશે.
અત્યારે દેશ આખો સહિષ્ણુતા-અસહિષ્ણુતાની ચર્ચાના ચકડોળે ચડ્યો છે અને ચારેકોર કાગડાઓએ ક્રાઉં ક્રાઉં મચાવ્યું છે એવામાં એકાદી કીડી ખોંખારો ખાવાની હિંમત કરે એની સમાંતરે સંત-પંડિતને juxtapose કરીને કવિતાને કવિએ અનોખી ધાર કાઢી આપી છે.
કવિતાનો મજાનો અંગ્રેજી અનુવાદ પણ અહીં પ્રસ્તુત છે:
*
An ant cleared its throat
An ant cleared its throat in a neem tree swarming with raucous crows
you do not, do you, object to this?
Abandoned have bees their hives – and the saint remains oblivious?
The ant descending from the neem tree – in a drop of gum drowns?
Now, go and stick with gum the falling leaves again to the branches.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?
Neem fruit hanging from mango branches and mangoes dangling from neem’s?
A pot of water thrown on a thirsty ant – and deaf the pundit’s eye still is?
The jungle’s shrouded in the ant’s shadow – go now, tie up the sun’s beams.
An ant cleared its throat in a neem tree swarming with raucous crows –
you do not, do you, object to this?
– English Translation by Pradip N Khandwalla
(અંગ્રેજી ભાષાંતર સૌજન્ય: પોએટ્રીઇન્ડિયા)
ગુજરાતી કવિ વ્રજભાષામાં ગીત લખે અને એ પણ આવું મધમીઠું ?! એલચીવાળું મીઠું પાન જેમ ધીમે ધીમે મમળાવીએ એમ વધુ સ્વાદ આપે એમ જ આ ગીત હળવી હલકથી વારંવાર ગાવાથી વધુ ને વધુ સ્વર્ગાનંદ આપશે એની ગેરંટી…
February 29, 2016 at 3:10 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
કોઈના અણસારે તમે દૂર જઈ બેઠાં
હવે પાસે આવો તો મારી આણ છે :
તમને તો ઠીક, જાણે છબછબિયાં વહેણમાં,
પણ ઊંડા વમળાય તે આ પ્રાણ છે.
કોઈના હલેસાંથી વ્હેણ ના કપાય,નહીં
માપ્યાં મપાય વેણ પ્યારનાં :
દરિયાને નાથવાની લાયમાં ને લાયમાં,
કાંઠા તણાઈ ગયા ક્યારના
સઢના લીરા થી હવે બાંધી છો નાવ,એની
વાયરાને થોડી તો જાણ છે !
લીલીછમ વાડીમાં ગોફણનાં ઘાવ હવે
ઠાલા, હોંકારા હવે ઠાલા,
પંખી તો ટાઢકથી ચૂગે છે, આમ તેમ
ઊડે છે ચાડીયા નમાલા :
વેલાને તાણો તો સમજીને તાણજો, કે
આસપાસ થડનીયે તાણ છે !
– જગદીશ જોષી
તદ્દન મૌલિક કલ્પનો એક અલગ જ ભાત પડે છે. આખું કાવ્ય એકવાર વાંચતા ખુલતું નથી. વક્રોક્તિઓ ભારોભાર છે. સંબંધમાં ક્યાંક એક સૂક્ષ્મ ગાંઠ પડી છે અને અત્યંત સંવેદનશીલ પ્રેમી એનાથી અનભિજ્ઞ નથી. એ ફરિયાદ નથી કરતો, માત્ર જાણે કે એક હળવી, કોમળ ચેતવણી આપે છે, મૃદુ ઉપાલંભ આપે છે…. કાવ્યસર્જનને એક નવું શિખર સાંપડે છે.
February 20, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગીત, નેહા પુરોહિત
ભીતરનાં અંધાર વચાળે હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું.
માટીમાંથી કુંભ બને ને ધાતુમાંથી લોટી,
કાયા ઘડવા કિયો પદારથ લીધો હરિવર ગોતી ?
રણકારે પરખાય ઘડૂલો.. લોટી ..માણસ માળું,
મથીમથીને થાકી તો પણ હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું .
અંધારે આ દેહ ઘડ્યો, અજવાળે આપ્યા શ્વાસ,
પછી ય રોજેરોજ દીધાં છે અંધારું અજવાસ !
દોષ તમારો નથી જ, ઘરને મેં જ લગાવ્યું તાળું,
કહો પ્રભુજી શું કરવું , જ્યાં હું જ મને ના ભાળું,
મને ઓઢાડો અજવાળું .
ક્ષણનો સાક્ષાત્કાર કરું તો ક્ષણમાં ઊતરે મ્હોરું,
આતમને રંગાવા આપો મેઘધનુષી ફોરું,
આજકાલ તો ઝીણી ચાદર અંગઅંગ વીંટાળું,
સ્પર્શ તમારો માણું, છો ને હું જ મને ના ભાળું .
મને ઓઢાડો અજવાળું .
– નેહા પુરોહિત
નકલી આધ્યાત્મિક કવિતાઓનો આપણે ત્યાં આજકાલ લીલો દુકાળ પડ્યો છે એવામાં નકરી ‘પોઝિટિવિટિ’ વાળી આવી મજાની સો ટચની રચના હાથ જડે તો દિવસ સુધરી જાય. સંસારની સહુથી મોટી સમસ્યા મનુષ્ય એક-બીજાને ઓળખી નથી શકતો એ નથી પણ કદાચ મનુષ્ય પોતાની જાતની અંદર ઊતરીને આત્મનિરીક્ષણ કરી શકતો નથી એ છે. ઘડો-લોટી વગરેને તો કદાચ રણકારથી પારખી શકાય પણ માળું આ માણસજાતને કેમ કરીને પારખવી? કોઈ અજવાળું ઓઢાડે તો કદાચ ભીતર જોઈ શકાય.
February 11, 2016 at 12:30 AM by વિવેક · Filed under ગીત, જીતેન્દ્ર જોશી
અમથી અમથી તું ટીચે છે એના ઉપર ચાંચ
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
રોજ રોજ તું ભૂલી પડતી આ ખોટા સરનામે,
બિંબ જોઈને ઝૂર્યા કરતી તું દર્પણની સામે.
કોઈ નથી એ બીજું મ્હોરું, ખાલી છે આ કાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ડાળ ઉપરથી ચીંચીં કરતી, ઘૂમરાતી તું ઘેલી,
વ્યાકુળ થઈને ખખડાવે છે બંધ કરેલી ડેલી,
કોઈ નથી ખોવાયું તારું, ના કર અમથી જાંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ફરફર ફરફર ફરક્યાં કરતી તારી કોમલ પાંખો,
કોઈ નર્તકી જેમ નાચતી તારી બન્ને આંખો,
કોઈ નથી જોનારું અંદર, તારો સુંદર નાચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
ઝૂરી ઝૂરી થાકી ગ્યા છે, કૈંક અહીં છેવટમાં,
લોહી નીગળતી ચાંચ રહે છે, અંતે અહીં ફોગટમાં,
પથ્થર છે આ, નહીં આવે કંઈ, એને ઊની આંચ.
આવ તને સમજાવું, ચકલી, આ દર્પણનું સાચ.
February 1, 2016 at 2:46 AM by તીર્થેશ · Filed under ગીત, જગદીશ જોષી
યાતનાનાં બારણાંને કીધાં મેં બંધ
અને ઉઘાડી એક એક બારી
જાગીને જોઉં છું તો વહેલા પ્રભાતે
કેવી કિરણોની ઝારે ફૂલ-ઝારી !
આંગણાની બ્હાર એક ઊભું છે ઝાડ
એની ડાળ ઉપર પાંદડાંનાં પંખી
ઝાડના આ લીલા તળાવણા તળિયે તો
ભૂરું આકાશ ગયું જંપી !
વ્હૈ જાતી લ્હેરખીએ બાંધ્યો હિંડોળો
એને તારલાથી દીધો શણગારી.
ક્યાંકથી અદીઠો એક પ્રગટ્યો છે પહાડ
એની પછવાડે જોઉં એક દેરી
તુલસીના ક્યારાની જેમ મારા મનને હું
રાત-દિવસ રહું છું ઉછેરી :
રાધાનાં ઝાંઝરને વાંસરીના સૂર રોજ
જોયા કરે છે ધારી-ધારી.
– જગદીશ જોષી
જગદીશભાઈની આ typical શૈલી છે. તેઓ અર્થગંભીર વાતને પ્રકૃતિના સુંદર આલેખન સાથે વણી લે છે. ઘણીવાર આખા કાવ્યમાંથી એક સૂર ન નીકળતો હોય એવું લાગે પરંતુ એ જ તેઓની શૈલી છે. ઘણીવાર આખું કાવ્ય સ્વગતોક્તિ જેવું હોય !
પ્રસ્તુત કાવ્યમાં એક મીઠા ઝૂરાપાને પ્રકૃતિનો શણગાર રચીને મઢાયો છે.
અમેરિકાથી સ્નેહીમિત્ર દેવિકા ધ્રુવ આ રચના મોકલવાની સાથે કહે છે, “સુરેશ દલાલ સંપાદિત ‘કાવ્યકોડિયાં’( માર્ચ,૧૯૮૧ )માંથી લા.ઠા. નું એક ‘સ્તવન’ કાવ્ય ‘લયસ્તરો’ માટે મોકલું છું. સાચા સારસ્વતની એક આરઝુ ‘શબ્દ વિના હું દીન’માં સુપેરે સંભળાય છે તો ‘મુખનું મહોરું હઠાવી મોહન’માં નિરાકારના ગહન અર્થના કંઈ કેટલાય દીવાઓ પ્રગટાવી દીધા છે! પ્રાચીન ગુજરાતી ગીત શૈલીમાં ગૂંથાયેલ આ કાવ્યના પદોમાં શબ્દ-સંગીત અને નાદ સૌન્દર્ય પણ છલોછલ ઉભરાયું છે..”
કાગળને તળિયે તે વાવેલી મ્હેક, વેંત ઉપર તે મેઘધનુષ પાથર્યા
શબ્દોની વચ્ચેના ચાંદરણે આવી ને શમણાંને અધવચ્ચે આંતર્યા
જેટલા અક્ષર તે કાગળમાં નહીં લખિયા, એટલાં મેં લીધા જનમ…
December 18, 2015 at 12:30 AM by વિવેક · Filed under ગીત, તેજસ દવે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે
તૂટે જો શ્વાસ કદી સંધાતા હોય નહીં
તોય એમાં જીવને પરોવે
જીતવાની જીદમાં એ ગૂંથે છે જિંદગી
ને ગાંઠ પડી જાય તો એ રોવે
ભીતરમાં જોયું તો સમજાયું માણસની અંદર
કોઈ માણસ બીજોય છે
કેટલીયે જિંદગીને અંદર પરોવીને જીવતો
આ માણસ તો સોય છે
તોડીને પાંપણના બંધ એ તો ધસમસતા
આવે છે આંખોની બહાર
સપનાંના ફુગ્ગા તો વેચવા છે સૌને પણ
માણસ પોતે છે અણીદાર
પત્થરના ચહેરા પર લીલીછમ કુંપળને
ઊગવાની આશાઓ તોય છે
ચોરસ એક કાચના ટુકડામાં કેટલાય
ચહેરાઓ જોવાના હોય છે
– તેજસ દવે
કેવું મજાનું ગીત ! ચોકલેટની જેમ ધીમે ધીમે ચગળો અને ઊંડી મજા માણો…
સંસારના સેંકડો ઘાથી ઘવાયા પછી જાગતા વૈરાગ્યનું ગીત. બધું છોડીને ચાલી નીકળીએ તો પણ સુનકારા અને મુંઝારા પીછો નથી છોડતા ને પરિણામે પરમધામપ્રાપ્તિ થતી નથી. ચોર્યાસી લાખના ચકરાવામાંથી નીકળીને દૂર ઊડી શકાય એ ઘડીએ જ તેજ પ્રવેશ શક્ય છે.
વાત જરાય નવી નથી પણ અંદાજ-એ-બયાં મેદાન મારી જાય છે. બે અંતરાની સાંકડી ગલીમાં વૈરાગ્યની વાતની ગતિ સ્પર્શી જાય એવી થઈ છે. અને ધામ અને રામના ત્રણ અંતરામાં કે-બે શબ્દોની ફેરબદલથી કવિ ઊંચું નિશાન તાકી શક્યા છે. વાહ !
चाह नहीं, मैं सुरबाला के
गहनों में गूँथा जाऊँ,
चाह नहीं प्रेमी-माला में बिंध
प्यारी को ललचाऊँ,
चाह नहीं सम्राटों के शव पर
हे हरि डाला जाऊँ,
चाह नहीं देवों के सिर पर
चढूँ भाग्य पर इठलाऊँ,
मुझे तोड़ लेना बनमाली,
उस पथ पर देना तुम फेंक!
मातृ-भूमि पर शीश- चढ़ाने,
जिस पथ पर जावें वीर अनेक!
– माखनलाल चतुर्वेदी
લયસ્તરોની हिन्दी मधुशालाનું આ આજે આખરી પુષ્પ. હિન્દી કવિતાઓની વાત આવે અને આ અમર કાવ્ય ચૂકી જવાય એ કેમ ચાલે ? સાવ ટચુકડું ગીત પણ એનો ઊંડો ભાવ યુગયુગાંતર સુધી પુષ્પિત રહેવા સર્જાયો છે.
एक लहर उठ—उठकर फिर—फिर
ललक—ललक तट तक जाती है
किंतु उदासीना युग—युग से
भाव—भरी तट की छाती है,
भाव—भरी यह चाहे तट भी
कभी बढे, तो अनुचित क्या है?
मेरी तो हर साँस मुखर है, प्रिय, तेरे सब मौन संदेशे
बंद कपाटों पर जा—जा कर
जो फिर—फिर सांकल खटकाए,
और न उत्तर पाए,उसकी
लाज—व्यथा को कौन बताए,
पर अपमान पिए पग फिर भी
उस ड़योढी पर जाकर ठहरें,
क्या तुझमें ऐसा जो तुझसे मेरे तन—मन—प्राण बंधे से
मेरी तो हर साँस मुखर है, प्रिय,तेरे सब मौन संदेशे
जाहिर और अजाहिर दोनों
विधि मैंने तुझको आराधा
रात चढाए आंसू, दिन में
राग रिझाने को स्वर साधा
मेरे उर में चुभती प्रतिध्वनि
आ मेरी ही तीर सरीखी
पीर बनी थी गीत कभी,अब गीत हृदय के पीर बने से
मेरी तो हर साँस मुखर है, प्रिय, तेरे सब मौन संदेशे
-हरिवंशराय बच्चन
મૂર્તિપૂજાનું રહસ્ય એ છે કે ભક્ત અજ્ઞાન નથી કે તે એક પથ્થરને પોકારી રહ્યો છે, પણ એ જાણે છે કે એના નાદથી જયારે પથ્થર પીગળશે ત્યારે જ એ પથ્થરને અતિક્રમીને પદાર્થ સુધી પહોંચશે – તત્વ સુધી પહોચશે. શરૂઆત અત્યંત કઠિન છે. શ્રદ્ધા ટકાવી રાખવી અતિકઠિન છે. પણ એ નિશ્ચિત છે કે સામે પરથી પ્રતિધ્વનિ આવશે જ. જો તાર્કિક રીતે વિચારીએ તો જે કોઇપણ માર્ગે દ્વંદ્વોમાંથી મુક્તિ મળે તે માર્ગ સાચું સાંખ્ય.
કવિ કહે છે કે હું વાચાળ અને તું મૌન ! મને તારી ભાષા સમજાતી નથી. મારા તમામ પ્રયત્નો વિફળ થતા લાગે. તારી અનુકંપા તો લહેર બનીને મારા સુધી આવે જ છે, કાંઠાસમાન મારી છાતી જ ઉદાસીનતાથી ભરેલી છે…… ઘણીવાર મારું અપમાન થતું અનુભવાયું, પણ મારી તારા પ્રત્યેની પ્રીતમાં લગીરે ઓટ ન આવી….મેં તારા વ્યક્ત અને અવ્યક્ત બંને સ્વરૂપને આરાધ્યા છે….. બસ, હવે આંખો આગળથી પડદો ખસવાની વાર છે…….