નકી પંડિતાઈનું મડદું હશે અહીં,
નહીં તો દલીલોની બદબો ન આવે.
મકરંદ દવે
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
Archive for ગઝલ
ગઝલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
April 6, 2011 at 11:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, જવાહર બક્ષી
ભલે હમણાં તો હું થાકેલી પાંપણમાં ઢળી જઈશ,
કોઈ દી તો પરોઢી સ્વપ્નની જેમ જ ફળી જઈશ.
નહીં જીવવું પડે ભ્રમના ચહેરાઓની આડશમાં,
હરણનાં શિંગડાંઓ તોડીને હું નીકળી જઈશ.
સમયનો બાદશાહ ! ક્યારેક બિનવારસી મરી જાશે,
સવારે ખૂલશે દરવાજા, ને હું પહેલો મળી જઈશ.
પછી અંધારિયો ગઢ કાંગરા સાથે તૂટી પડશે,
કોઈ વેળા હું સૂરજનાં ટકોરા સાંભળી જઈશ.
– જવાહર બક્ષી
માત્ર ચાર શેરોમાં કદાચ ચાર વેદો જેટલો સંદેશ કવિએ ઠાંસી ઠાંસીને ભર્યો છે. પરોઢી સ્વપ્નની જેમ ફળવાની આશા લઈને થાકેલી પાંપણમાં ઢળવું એ ખરી જાગૃતિ. બીજો શેર ખૂબ જ ગહન છે… હરીન્દ્રભાઈ દવેનાં શબ્દોમાં કહું તો; “ભ્રમની સૃષ્ટિમાં જીવવું – એટલે જ થાકની સૃષ્ટિમાં જીવવું. આપણે ભ્રમનાં ચહેરાઓ વચ્ચે જીવીને થાકી જતાં હોઈએ છીએ. જીવવાનો થાક ક્યારેય કોઈને લાગ્યો નથી, પણ જીવવાના અભિનયનો થાક લાગે છે. અને આપણે થોડી જ ક્ષણોમાં જીવીએ છીએ, બાકીને ક્ષણોમાં અભિનય જ કરીએ છીએ. આ ભ્રમના ચહેરાઓની વચ્ચેથી નીકળવા માટે હરણનાં શિંગડાઓ તોડવા પડે છે. હરણનો સંબંધ મૃગજળ જોડે છે તો સુવર્ણમૃગ જોડે પણ છે અને આ છલનાની સૃષ્ટિ શિંગડા જેવી નક્કર લાગે તો પણ એ શિંગડા વચ્ચેનાં પોલાણ જેવી પોકળ છે.” અહીં તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? કહેતાં કવિ આપણને કહી દે છે કે એ સૌથી પહેલા મળશે, જો સમયથી પર રહીને એમને મળી શકાય તો. સૂરજનાં ટકોરા સાંભળવાની વાત એટલે કે તમસો મા જયોતિર્ગમય…
Permalink
April 3, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રમેશ પારેખ
ઊભાં રહીને ક્ષિતિજોનાં ચરણ થાકી જશે ત્યારે ?
વિહગ થઈ ઘૂમતું વાતાવરણ થાકી જશે ત્યારે ?
કિનારાની તરસ, સુક્કી નીરવતામાં વહ્યા કરશે
પરંતુ શું થશે જળનું, ઝરણ થાકી જશે ત્યારે ?
તમારા સ્પર્શની લીલાશમાં ખોવાયાં-ખોવાયાં
હરણ થઈને ફર્યાં કરતા સ્મરણ થાકી જશે ત્યારે ?
ઊંટો પડછાયે-પડછાયે મૂકી નીકળી ગયા,પાછળ
દિશા વચ્ચે ઘૂમરીઓ ખાતું રણ થાકી જશે ત્યારે ?
મને આપ્યા કરે બળતાં સતત જંગલ ઉદાસીનાં
પરંતુ હાંફતું પગનું સરણ થાકી જશે ત્યારે ?
હવે શ્રદ્ધા નથી રહી કોઈ સંભવમાં મને કોઈ
તમે જે નામ લો તે નામ પણ થાકી જશે ત્યારે ?
– રમેશ પારેખ
આમ તો મારી પાસે આમાંના એકપણ પ્રશ્નનો જવાબ નથી,પરંતુ છેલ્લો પ્રશ્ન રાતોની ઊંઘ હરામ કરી દે તેવો છે…..
Permalink
April 2, 2011 at 12:41 AM by વિવેક · Filed under આદિલ મન્સૂરી, ગઝલ
નક્ષત્રો, ગ્રહો, ચાંદ, સિતારાઓ ફરે છે
દરવેશની તસ્બીહના મણકાઓ ફરે છે
હોડી તો અચળ સ્થિર ઊભી પાણીની વચ્ચે
નદીઓ ને સમુદ્રો ને કિનારાઓ ફરે છે
ચાખડીઓયે છોડી ગયા દશરથા કુંવર તો
દસ માથાં લઈ લંકાના રાજાઓ ફરે છે
યાત્રીના પગો માર્ગમાં ખોડાઈ ગયા ને
ચોમેર હવે એકલા રસ્તાઓ ફરે છે
હા, સ્પર્શ તો ફૂલોથીયે કોમળ હતો આદિલ
રગરગમાં પછી કેમ આ કાંટાઓ ફરે છે
– આદિલ મન્સૂરી
ત્યાગી શકે એ જ રાજા, બાકી દસ માથાંનો ગર્વ કદી રાજ કરી ન શકે…
Permalink
April 1, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હરજીવન દાફડા
કોઈને આમ સમજાયો, કોઈને તેમ સમજાયો,
અઢી અક્ષર હતા તોયે ન પૂરો પ્રેમ સમજાયો.
જીવનનો દાખલો કોનો હશે સાચો, ખબર ક્યાં છે ?
ગણી નાખ્યો હતો સૌએ સ્વયંને જેમ સમજાયો.
સદીઓથી ખીલા ફરતે હજી ચક્કર લગાવો છો,
ભલા માણસ ગતિનો અર્થ તમને એમ સમજાયો ?
તમે આનંદને જોતા રહ્યા અવસાદની આંખે,
અમંગળ પત્ર વાંચ્યો મેં તો કુશળક્ષેમ સમજાયો.
યુગોની યાતનામાંથી નીકળતાં વાર ના લાગી,
એ ખડકી ખોલવાનો ભેદ અમને કેમ સમજાયો !
-હરજીવન દાફડા
હરજીવન દાફડાની આ ગઝલ અસ્મિતા પર્વ, મહુવા ખાતેના કવિસંમેલનના જીવંત પ્રસારણ સ્વરૂપે ટી.વી. પર સાંભળી હતી ત્યારે ખીલા ફરતા ચક્કર લગાવવાની વાતવાળો શેર કાગળ પર ટાંકવા મજબૂર થઈ ગયો હતો. ગઝલના પહેલા ત્રણ શેર પહેલી નજરે જ ગમી જાય એવા મજાના થયા છે પણ આખરી બે શેરમાં કવિ એના સાચા સ્વરૂપે પ્રગટ થાય છે. કુશળક્ષેમવાળો શેર વાંચતા જ ‘युधिष्ठिर को कोई दुर्जन नहीं मिला और दुर्योधन को कोई सज्जन नहीं मिला’વાળો પાઠ યાદ આવી જાય છે. અને આખરી શેર જેટલો ધીમેથી ખુલે છે એટલો જ વધુ અર્થગહન બન્યો છે. આંખની આગળ એષણાના પડળ બાઝી ગયા હોય કે સંબંધના ‘અમે’ને ‘હું’ની બંધ ખડકી નડતી હોય યા મુક્તિનો માર્ગ મોહ-માયાએ ગોપિત કરી દીધો હોય ત્યારે જીવનમાં યાતના સિવાય શું બચે છે? અને આ બંધ બારીઓ એકવાર ખોલી નાંખો તો પછી….?
Permalink
March 30, 2011 at 11:45 AM by વિવેક · Filed under ગઝલ, સ્નેહી પરમાર
સારું નરસું એવું શું ગજવે ભરવાનું ?
ફરવા આવ્યા છો અહીંયા તો બસ ફરવાનું !
તોય હવા ને હોવા વચ્ચે ભેદ ન સમજ્યો
કામ કરે છે કાયમ જે ફુગ્ગા ભરવાનું !
પિંજરને ટિંગાડી રાખો તોયે રહેશે
પંખી તો પંથી છે, ચીલો ચાતરવાનું.
દોરી છૂટે, દોરી ખૂટે ત્યાં લગ સાથી !
ઊંચે ઊડવાનું ને ઊંડે ફરફરવાનું.
એક જ પળ માટે સામેની બારી ખૂલે
એના માટે આખ્ખો દા’ડો તપ કરવાનું ?
– ‘સ્નેહી’ પરમાર
આ ગઝલ વાંચો અને એના પ્રેમમાં ન પડાય એવું બની શક્શે? કેટલાકે ડંકાની ચોટ પર તો કેટલાકે પોતાની જાતથીય છાનુંમાનું પણ તપ તો જરૂર કર્યું હશે…
Permalink
March 28, 2011 at 8:48 PM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
ભભૂતિ શું ભરપૂર ભેટી લઉં છું,
સકળને સમૂળું સમેટી લઉં છું.
ન તો ઊંઘવું આ, ન તો જાગવું આ,
અહર્નિશ ઉજાગર ઉંઘેટી લઉં છું.
હું રેલાઉં, ફેલાઉં, વરસી પડું પણ-
બીજી ક્ષણ મને હું ઉશેટી લઉં છું.
ભલો ભાવ ભગવો, ભલો મેઘધનુષી!
લિપટતું જે આવે લપેટી લઉં છું.
શબદ ક્ષીરસાગર, શબદ શેષશય્યા,
શબદસૃષ્ટિ અંતે હું લેટી લઉં છું.
– રાજેન્દ્ર શુક્લ
(‘ઘિર આયી ગિરનારી છાયા’)
એક એવી અવસ્થા આવે છે કે જ્યાં બધું છોડી દેવું અને સર્વસ્વને ભેટી લેવું એક જ બની જાય છે. ત્યાં શાંત થઈ જવું કે છલકી જવું એક જ બની જાય છે. અને જાગૃતિ ને નિદ્રા છાના પગલે ભેગા થઈ જાય છે.
જે ભાવ કુદરતી રીતે સ્ફૂરે – એ ભગવો હોય કે રંગીન – એ જ ખરો ભાવ છે. એને ભારે ભાવથી ભેટી જ લેવું !
છેલ્લો શેર તો ભારે મઝાનો થયો છે. શબ્દ જ ક્ષીરસાગર છે, શબ્દ જ સૃષ્ટિ છે અને એના અંતે આધાર પણ તો શબ્દની શેષશય્યાનો જ છે ! આ બધા પ્રતિકોથી, માણસને છેક ઈશ્વર-સમાન અવસ્થા સુધી લઈ જવાનું શબ્દનું સામર્થ્ય કવિ અહીં છતું કરે છે.
Permalink
March 27, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
ભિન્ન ભાષા, ને અલગ લિપિ મળી,
પણ યુગેયુગ એ જ ગમગીની મળી.
ભીંત ખાલીપાની બહુ લીસી હતી,
શબ્દની, સારું થયું,ખીંટી મળી.
વિશ્વ આખું પોતીકું ગણનારને,
વેદના જયારે મળી,નિજી મળી.
સાંપડ્યું છે કોઈને તૈયાર ચિત્ર,
આપણું કિસ્મત કે બસ પીંછી મળી.
એક નદી રણમાં ઝઝૂમી જ્યાં સતત,
અંતે થોડી રેત ત્યાં ભીની મળી.
જિંદગી લાંબી ઘણી જીવ્યા તમે,
કેટલી ક્ષણ સાવ પોતીકી મળી ?
– રઈશ મનીઆર
Permalink
March 25, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, હેમેન શાહ
પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.
પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.
ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.
સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.
કિમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકસાનમાં.
સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં.
મોંઘીને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.
– હેમેન શાહ
સામનમાં એકમાત્ર સાચો કક્કો જ હોય તો જીવન આપમેળે શું મોંઘેરું ને રંગીન નથી બની રહેતું?
Permalink
March 24, 2011 at 10:00 PM by ઊર્મિ · Filed under આશા પુરોહિત, ગઝલ
તું ગઈ, ને એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.
ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.
કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.
એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને એટલે સંવાદ પણ ગયો.
હું તને શોધ્યા કરું ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.
– આશા પુરોહિત
કોઈનાં જવાથી એની સાથે સાથે બીજું શું શું ચાલ્યું જાય છે- એ વિષાદી ભાવને મત્લાથી લઈને મક્તા સુધી દરેક શેર વધુ ને વધુ ઘેરો બનાવે છે… કયા શેરને બેસ્ટ ગણવો એ સવાલનો જવાબ આપવોય અઘરો થઈ પડે એવી મજાની ગઝલ.
Permalink
March 17, 2011 at 8:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, હર્ષ બ્રહ્મભટ્ટ
હું ચરણ માંડું અને રસ્તો બને,
એક ટીપું શક્ય છે દરિયો બને.
ઘાસ પરથી ઓસ છો ઊડી જતું,
એક પળ પાકે અને મોતી બને.
ચોતરફ ઘનઘોર છો અંધાર છે,
વીજળી ઝબકે અને નકશો બને.
એક વાદળ આભમાં દેખ્યા પછી,
ધરતી ઊંચી થાય ‘ને પ્હાડો બને.
પાણીમાં મેં ડૂબકી મારી અને-
શક્ય છે કે જળ ખુદ હોડી બને !
-હર્ષ બ્રહ્મભટ્ટ
વાદળને આભમાં જોવા ઊંચી થતી ધરતીને લીધે પહાડો રચાવાની કેવી મનહર કલ્પના !
Permalink
March 16, 2011 at 1:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, વિવેક મનહર ટેલર
થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.
એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.
પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.
ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
– વિવેક મનહર ટેલર
(૨૬-૦૫-૨૦૧૦)
નેટના રસ્તે થઈને આજે સાચેસાચ ઘર ઘરમાં પહોંચેલા આપણા દિલોજાન દોસ્ત વિવેકને લયસ્તરો અને આપણા સૌ તરફથી જન્મદિવસની અઢળક અઢળક શુભેચ્છાઓ…
Permalink
March 14, 2011 at 10:26 PM by ધવલ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
સદ્ધર બનાવીએ અતિ ધરખમ બનાવીએ,
નત મસ્તકોને ઊંચકી અણનમ બનાવીએ.
ખુશ્બોની યાને મહેકની મોસમ બનાવીએ,
આલમથી ભિન્ન આપણી આલમ બનવીએ.
આ પ્રેમનીય હોવી ઘટે ઇષ્ટ યોજના,
અભ્યાસ જેમ પ્રેમનો પણ ક્ર્મ બનાવીએ.
જેની જગતમાં ઉપમા કશે પણ મળે નહીં,
જીવન ગતિને એવી અનુપમ બનાવીએ.
આપસમાં મેળ હોય તો વમળોની શી વિસાત!
‘મનમેળ’ને જ નાવનો માલમ બનાવીએ.
એ રામભક્ત હો કે હો બંદો રહીમનો,
હમદર્દ હોય એમને હમદમ બનાવીએ.
‘ઘાયલ’- જે ઘાવ શત્રુનાયે રૂઝવી શકે,
એક એવો લેપ યાને કે મરહમ બનાવીએ.
– અમૃત ઘાયલ
જીંદગીને સરળ કરી નાખે એવી સલાહ, ‘ઘાયલ’ના શબ્દોમાં.
Permalink
March 13, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, શ્યામ સાધુ
ક્યાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે !
દોસ્ત,મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહીંયાં તરસ,ત્યાં વાદળી ઊંચે ચડી છે !
પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય ! બોલો કે આ કેવી ઘડી છે !
આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે !
ઓ નગરજન, હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે ?
– શ્યામ સાધુ
પહેલો શેર વાંચતાં જ એક તીવ્ર જીજ્ઞાસા થઇ- આટલા બળકટ મત્લા પછી શાયર આખી ગઝલમાં આ સ્તર કઈ રીતે જાળવશે ? પરંતુ શાયર માહિર છે- બીજા શેરમાં નીચે મૃગજળ તો આકાશમાં વાદળ કે જે વરસતું નથી અને મૃગજળના જ આકાશી રૂપ સમાન છે,તે બે વચ્ચે શાયર તલસતો રહે છે,તેનું બખૂબી વર્ણન છે.એકપણ શેર એવો નથી થયો જે કાબિલેદાદ ન હોય.
Permalink
March 8, 2011 at 11:42 PM by ધવલ · Filed under ઉદયન ઠક્કર, ગઝલ
નાગરી નાતને પાન-સોપારી ને એલચીનાં બીડાં ચાવવા દે
હાં રે નરસિંહના પદ તણી ઠેસથી ઝૂલતા ઝૂલણે ઝુલવા દે.
આપણે તો ભલો એક કેદાર ને આપણો તો ભલો એકતારો
જૂજવા સૂરમાં, અવનવા તાલમાં, વિશ્વ બાજી રહ્યું, બાજવા દે.
આંખ મીંચીને ક્હેતા તો મેં કહી દીધું, સૃષ્ટિ સોહામણું સોણલું છે
પાછલા પ્હોરના પોપચાં સૂર્યના ટાંકણે-ટાંકણે ખૂલવા દે.
વાદળી વાયરામાં વહેતી જતી, વેલી પણ વૃક્ષને વીંટળાતી
ચાંચમાં ચાંચ પારેવડાં પ્રોવતાં, મોસમોનું કહ્યું માનવા દે.
– ઉદયન ઠક્કર
ઊર્મિ-ઉડ્ડયનથી નરસિંહના સૂરને અડકી લેતી ગઝલ.
Permalink
March 5, 2011 at 12:52 AM by વિવેક · Filed under ગઝલ, નેહા પુરોહિત
એક ઘર ગુમાવતું ઝળહળપણું,
દ્વારને વળગણ હશે સાંકળ તણું.
હું વરસતી ગઈ, બધાએ લઈ લીધું,
ભેજના સંદર્ભમાં ઝાકળપણું.
ના ગમ્યા ઉત્તુંગ હિમશિખરો કે જ્યાં
જળનું ખોવાઈ જતું ખળખળપણું.
કોઈ અમથું અમથું તડપાવે નહીં,
તેંય રાખ્યું હોય છે વળગણ ઘણું.
ચાહું કાયમ રાખવી મારી કને,
દીકરી, નડતું તને થાપણપણું.
– નેહા પુરોહિત
નેહા પુરોહિતે SMS વડે આ બે કાફિયાની ગઝલ મોકલાવી… વાંચતા જ ગમી ગઈ… પણ આ જ આધારના કાફિયા અને આ જ છંદ જાળવીને બે કાફિયાની એક ગઝલ મેં પણ લખી નાંખી. પ્રસ્તુત ગઝલની સાથે-સાથે એ ગઝલ પર પણ નજર નાંખવી ચૂકશો નહીં…
Permalink
March 4, 2011 at 7:40 AM by વિવેક · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ?
બહુ તો છત, દીવાલો કે પછી બારી અલગ કરશો.
જગતમાં ક્યાં બધુંયે તોડવું આસાન છે મિત્રો,
તમે શું ડાંગ મારીને અહીં પાણી અલગ કરશો ?
બધુંયે સ્થૂળ ને સ્થાવર હતું તે તો જુદું કીધું,
સ્મરણને કઈ રીતે મારા–તમારાથી અલગ કરશો ?
તમે શું એ જ જીવો છો, તમે જે જીવવા ધાર્યું,
હવે તમને તમારાથી શું સરખાવી અલગ કરશો ?
તમે ડૂબી જતાં સૂરજને અટકાવી નથી શકતાં,
સતત અજવાશની ઇચ્છા તમે ક્યાંથી અલગ કરશો ?
– ગૌરાંગ ઠાકર
ગૌરાંગ ઠાકરની આ રચના વિવેચકના શબ્દોની મહોતાજ નથી… બધા જ શેર સંઘેડાઉતાર અને કવિતાની શીઘ્ર પ્રત્યાયનક્ષમતાની કસોટી પર ખરા ઉતરે એવા…
Permalink
March 3, 2011 at 8:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, રિષભ મહેતા
એક બાળકનેય જે સમજાય એવું બોલજે,
આ ગઝલ છે : જેવું મનમાં થાય એવું બોલજે.
મર્મ આપોઆપ ખૂલી જાય એવું બોલજે,
બોલ જે તારો પડે; ઝિલાય એવું બોલજે.
આભના સૂનકારમાં પડઘાય એવું બોલજે,
મુક્તકંઠે પંખીઓ જે ગાય એવું બોલજે.
કોઈ પથ્થરની સૂરત મલકાય એવું બોલજે,
ને હરિનાં લોચનો ભીંજાય એવું બોલજે.
કોઈએ જોયો નથી પણ સૌને તારા શબ્દમાં-
પોતપોતાનો પ્રભુ દેખાય એવું બોલજે.
આગ છે વાતાવરણમાં, વાતમાં, જઝબાતમાં,
તો જરા આબોહવા બદલાય એવું બોલજે.
ખૂબ મોટો બોજ લઈને લોક જીવે છે અહીં,
એમના હૈયાથી જ ઊંચકાય એવું બોલજે.
સાંભળે છે જે તને બોલી શકે છે તે સ્વયં,
માન સૌના મૌનનું સચવાય એવું બોલજે.
‘કંઈ હવે બોલું નહીં’ : નક્કી કરે એવું ભલે-
મૌન પણ તારું સહજ સમજાય એવું બોલજે !
ખૂબ નાજુક; ખૂબ નમણી; ખૂબ કોમળ છે ગઝલ;
અંગ એનું સ્હેજ ના મરડાય એવું બોલજે.
– રિષભ મહેતા
આપણે કેવું બોલવું જોઈએ- એ વિશે વિચારતા કરી મૂકે એવી મજાની બોલકી ગઝલ… એમની મને ગમતી ઘણી ગઝલોમાંની જ એક.
Permalink
February 28, 2011 at 11:31 PM by ધવલ · Filed under ગઝલ, જયેશ ભટ્ટ
સેજ પાથર હે સખી ! આજે કમળની
દ્વૈત-પળમાં આથડું છું હું અકળની.
એક ચાતકની તરસ લઈને ઊડું છું
લાવ સરવાણી ફરીથી તળ અતળની.
શબ્દમાં વિસ્તાર મારો છે નિરંતર
તું ઋચા થઈ આવ સાથે મૌન પળની.
કે મને જકડી રહી છે આ ત્વચા પણ
ગાંઠ છોડી નાખ તું આ પાંચ વળની.
– જયેશ ભટ્ટ
સર્વથા મુલાયમ ગઝલ. છેલ્લા બે શેર ખાસ સરસ. મૌન પળની ઋચા – કલ્પના જ રોચક છે. છેલ્લા શેરમાં પંચ-તત્વોની ગઠરીના રૂપકનો ઉપયોગ અલગ રીતે કર્યો છે.
Permalink
February 26, 2011 at 8:41 AM by તીર્થેશ · Filed under ગઝલ, રઈશ મનીયાર
કોણે કહ્યું કે લક્ષ્ય ઉપર હોવી જોઈએ
ડગ માંડવું હો ત્યાં જ નજર હોવી જોઈએ
જે જોઈએ છે તમને મળે એ જ આખરે
શું જોઈએ છે, એની ખબર હોવી જોઈએ
પરપોટા જેવી હસ્તી છતાં હઠ સહુની એ
હોવા કે ફૂટવાની અસર હોવી જોઈએ
બાળકમાં રોપી જાય છે સ્વપ્નો વિફળ પિતા
અતૃપ્ત ઝંખનાઓ અમર હોવી જોઈએ
હંગામી છે નિવાસ છતાં ઘર વિશાળ ખપે
કહેશે કોઈ, કે મોટી કબર હોવી જોઈએ ?
સામે છે મોત તો ય સતત ચાલતી રહે
આ જિંદગી ય ખૂબ નીડર હોવી જોઈએ
ભરવા મથ્યો ઘણી રીતે ખાલીપો,તો થયું
બસ,જિંદગી તો પ્રેમસભર હોવી જોઈએ
– રઈશ મનીઆર
સીધી ને સરળ હૃદયસ્પર્શી ગઝલ….’પરપોટા જેવી….’-શેર સૌથી ચોટદાર લાગ્યો. અંગત રીતે મને ચોથો શેર બહુ મજબૂત ન લાગ્યો. એ સિવાય તમામ શેર ધ્યાનાકર્ષક છે.
Permalink
February 19, 2011 at 8:00 AM by વિવેક · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
જીવનના જળને ડ્હોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
ચરણ મૃગજળમાં બોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
બરાબર પગલું દાબી પાનખર પાછળ ઊભી રહી’તી
કૂંપળની જેમ કોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
નમી જાશે જ દુનિયાદારીનું પલ્લું, ખબર નો’તી
અમારો શબ્દ તોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
હવે ક્યાં લાભ ને શુભ કે હવે ક્યાં કંકુના થાપા
દીવાલો ઘરની ધોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
ફફડશે મૌન વડવાગોળ જેવું કોરા કાગળનું
હવે ખડિયાને ઢોળીને અમે ચુપ થઈ ગયાં છીએ
-મનોજ ખંડેરિયા
કવિનું તો મૌન પણ બોલે… સાંભળનાર પાસે કાન હોવા ઘટે !
Permalink
February 18, 2011 at 2:10 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
આ મોજ ચલી જે દરિયાની તે મારગની મુહતાજ નથી,
એ કેમ ઊછળશે કાંઠા પર એનો કોઈ અંદાજ નથી.
ઓ દોસ્ત,વહેતા જીવનની આ કોણ સિતાર સુણાવે છે ?
બેઠો છે ક્યાં એ બજવૈયો ? કૈં સૂર નથી,કૈં સાજ નથી.
હા,બે’ક ઘડી એ નયનોમાં જોઈ છે એવી એક છબી,
ઝબકારે એક જ જાણી છે, જ્યાં કાલ નથી કે આજ નથી.
હરરોજ હજારો ગફલતમાં હું ભૂલી જાઉં તને પ્રીતમ !
ને એમ છતાં એવું શું છે જે પ્રીતમ,તારે કાજ નથી ?
આ નૂરવિહોણી દુનિયામાં મેં એક જ નૂર સદા દીઠું,
એક પંખી ટહૂકી ઊઠયું તો લાગ્યું કે તું નારાજ નથી.
આ રંગકટોરી ફૂલોની પરદા ખોલી પોકાર કરે,
ઓ દેખ નમાઝી, નેન ભરી, જ્યાં લગની છે ત્યાં લાજ નથી.
– મકરન્દ દવે
પહેલો શેર જે.કૃષ્ણમૂર્તિના વિખ્યાત વિધાનની યાદ દેવડાવી દે છે- TRUTH IS A PATHLESS LAND. પાંચમો શેર અનુભૂતિના એક નવા જ શિખરને સર કરે છે. છેલ્લા શેરનું વિધાન-‘….જ્યાં લગની છે ત્યાં લાજ નથી.’-એક શકવર્તી વિધાન છે જે મકરંદ દવે જેવા સૂફી જ કરી શકે….અહીં કતિલ શિફાઈનું પદ યાદ આવે છે-‘મોહે આયી ન જગ સે લાજ,મૈં ઈતના જોર સે નાચી આજ,કે ઘૂંઘરૂ તૂટ ગયે….
Permalink
February 11, 2011 at 1:57 AM by તીર્થેશ · Filed under ગઝલ, મકરન્દ દવે
ચમત્કારોની દુનિયામાં ભરું છું હર કદમ, સાકી !
નિહાળું છું છલકતા જામમાં જનમોજનમ, સાકી !
હજારો વાર તારા મયકદાથી છૂટવા ચાહું
છતાં તારા ભણી લઇ જાય છે મારાં કરમ, સાકી !
નિરાલી હર અદા,હર ચાલ,હર કાનાફૂસી તારી,
તને પહેચાનું પણ રહી જાય છે પાછો ભરમ, સાકી !
કહી દઉં સાફ દુનિયાને બધી વાતો,બધા ભેદો,
કરે છે આંખથી તું ત્યાં મના કેવી મભમ, સાકી !
નથી જેણે હજુ તારાં નયનની ચોટ પણ ઝીલી,
મને સમજાવવા બેઠા અહીં તારાં નિયમ, સાકી !
સિતમ તારો ગણે જે બે ઘડી બેસી નથી શકતા,
સબરને તો નથી કાં ક્યાંય દેખાતો સિતમ, સાકી !
ખુશી તારી નિહાળી તેજ પ્યાલી તરબતર પીધી,
નથી મેં જામ તોડ્યો કે નથી તોડી રસમ, સાકી !
હવે તો જિંદગીની રોશની પર રોશની જોઉં,
મને સમજાય છે સમજાય છે તારો મરમ,સાકી !
ભરી મેહફિલ મહીં એકાદ મુફલિસને ન ભાળીને,
દબાવી હાથ દિલ પર ખાય છે કોના કસમ,સાકી !
– મકરન્દ દવે
આગવી જ ઊંચાઈને સ્પર્શતી સૂફી ગઝલ ! આ રચના મકરંદ દવેની જ હોઈ શકે ! બીજો શેર મર્મભેદી છે. એમાં કવિએ ખૂબીથી એક ગૂઢ અર્થ છૂપાવ્યો છે – કવિ મયકદાથી શા માટે છૂટવા માંગે છે ? જો કવિ માત્ર મયકદામાં જ સાકીની હાજરી અનુભવી શકશે, અન્યત્ર નહિ, તો નશો અધૂરો કહેવાય. પરંતુ સાકીએ કર્મની-ઋણાનુબંધની- જાળ એવી આબાદ નાખી છે કે કવિના કર્મો જ કવિને છોડતા નથી. સાકી કવિને અળગો પણ નથી થવા દેતો અને એકાકાર પણ નથી થવા દેતો. આ કઠિન પરીક્ષામાંથી કવિ પાર ઉતરશે ત્યારે તે સાકી સાથે એકાકાર થઇ શકશે. અન્ય તમામ શેર પણ છેતરામણા છે-લાગે છે તેટલા સરળ નથી.
Permalink
February 10, 2011 at 9:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, ભરત ભટ્ટ 'તરલ'
સાવ અધવચ્ચેથી ચીરે છે મને,
મારો પડછાયો જ પીડે છે મને.
બેસવા જાઉં ને બટકી જાઉં છું,
તર્ક કેવી ડાળ ચીંધે છે મને.
હું શિખાતો જાઉં છું અનપઢ વડે,
કોઈ અનપઢ જેમ શિખે છે મને.
સોય ભોંકાતી રહી મારી ભીતર,
વસ્ત્ર માફક કોઈ સીવે છે મને.
હું તો કેવળ વૃક્ષ છું, સંયોગવશ,
લાગણીના ફૂલ ખીલે છે મને.
– ભરત ભટ્ટ ‘તરલ’
માંહ્યલાની અલગ અલગ છબીઓ સમાન બધા જ શેરો આમ તો મસ્ત થયા છે… પરંતુ બીજો અને ચોથો શેર જરા વધુ અંતરંગી લાગ્યા.
Permalink
February 6, 2011 at 3:30 AM by તીર્થેશ · Filed under અમૃત ઘાયલ, ગઝલ
વાત ગોળગોળ છે,
પ્રાણ ઓળઘોળ છે.
હૈયું છે હચુડચુ,
દૃષ્ટિ ડામાડોળ છે.
ભીંજવે છે કોણ આ ?
છાંટ છે ન છોળ છે !
કૈં નથી,અમસ્તી આજ,
આંખ લાલચોળ છે.
હાથ લાવ,શેકીએ,
હાથ ટાઢાબોળ છે.
શ્વાસ છે તો છે સિતમ,
પીઠ છે તો સોળ છે.
કલરવોનું શું થયું?
કેમ કાગારોળ છે !
માંહ્યલાનું કર જતન,
ખોળિયું તો ખોળ છે.
મોક્ષમાં યે શાંતિ ક્યાં ?
વ્યર્થ શોધખોળ છે.
– અમૃત ઘાયલ
નાનીશી છીપમાં છૂપ્યાં પાણીદાર મોતીઓ !
ઘાયલ અને શેખાદમ-લાઘવના મહારથીઓ !
Permalink
January 31, 2011 at 11:12 PM by ધવલ · Filed under ગઝલ, જવાહર બક્ષી
જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ
પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ
મૃગજળ ભલેને ભ્રમ છે, એ જળનું જ દ્રશ્ય છે
છું સ્થિર સત્યમાં છતાં છળમાં વહી જઈશ
કોરા ગગનની પ્યાસ છું, ઝાકળની જાત છું
પળભર પલાળી હોઠ અકળમાં વહી જઈશ
ઘેરી વળ્યો છું હું જ હવે હર તરફ તને
તારી તરફ ન ખેંચ, વમળમાં વહી જઈશ
પળભર મળ્યાં છે મેઘધનુ રંગ-રૂપનાં
કાજળ ન આંજ હમણાં આ પળમાં વહી જઈશ
– જવાહર બક્ષી
આજની ગઝલની સમજૂતી તદ્દન સરળ ભાષામાં 😉
વહેવું = વિસ્તરવું = આગળ વધવું (= મૃત્યુ!)
બરફ = ઠંડો = વહેવાને માટે નાલાયક (= જીવન!)
મૃગજળ = જળ + છળ
અસ્થિર સત્ય = છળ
હું + તું + વિંટળાવું = વમળ
ઝાકળ = પલળેલું અકળ
અકળ = સુકવેલું ઝાકળ
મેઘધનુ = કુદરતી શોભા = જરૂરી
કાજળ = કૃત્રિમ શોભા = બિનજરૂરી
ગઝલ + મનમર્કટ = ગુંચવાયેલું ગણિત 🙂
Permalink
January 27, 2011 at 8:01 PM by ઊર્મિ · Filed under ગઝલ, જિગર જોષી 'પ્રેમ'
હવે આગળ કશે રસ્તો નથી, એ પણ હકીકત છે,
હું પાછો ક્યાંયથી વળતો નથી, એ પણ હકીકત છે.
સતત ફરિયાદ, ઈર્ષાઓ, સખત પીડા ને સીમાઓ,
છતાં આ જિંદગી ધક્કો નથી, એ પણ હકીકત છે.
બધી ડાળે બહારો છે, બગીચાઓય મહેંકે છે,
અને ત્યાં નામનો ટહુકો નથી, એ પણ હકીકત છે.
સમય જ્યારે મળે ત્યારે તને સંભારતો રહુ છું,
સમય ક્યારેય પણ હોતો નથી, એ પણ હકીકત છે.
ભલે એમાંય છે તોફાન, ભરતી, ઓટ, મોજા, ‘પ્રેમ’,
છતાં આ આંખ એ દરિયો નથી, એ પણ હકીકત છે.
– જિગર જોષી ‘પ્રેમ’
આપણા સુખનાં બાગ-બગીચાઓ ફુલો અને ખુશબોથી હર્યા-ભર્યા હોવા છતાંયે ક્યારેક જિંદગી જીવવા જેવી ન પણ લાગે, પણ તોય જિંદગીનો આ ફેરો માત્ર ધક્કો નથી જ- એવી પ્રતિતી માટે તો પ્રેમનાં ટહુકાની માત્ર થોડી ક્ષણો પણ પૂરતી હોય શકે…
Permalink
January 19, 2011 at 11:00 PM by ઊર્મિ · Filed under ગઝલ, ગૌરાંગ ઠાકર
જીવનને ભરી બાથ અમે ભયથી વધારે,
જીવાઈ ગયું દોસ્ત પછી વયથી વધારે.
પીડાને વળી પ્રશ્નથી જો હાર મળી તો,
શ્રદ્ધાને વધારી અમે સંશયથી વધારે.
ભીતરને ઉમેરો પછી સૌંદર્ય મળી જાય,
ગઝલોમાં જરૂરી છે કશું લયથી વધારે.
જ્યાં આપ મળો માર્ગમાં તો એમ મને થાય,
હું ઓળખું છું આપને પરિચયથી વધારે.
કોઈને અહીં સાંભળી તું રાખ હૃદયમાં,
ક્યારેક દિલાસા બને આશ્રયથી વધારે.
જીવનનું આ નાટક હવે ભજવાતું નથી રોજ,
માંગે છે અહીં જિંદગી અભિનયથી વધારે.
– ગૌરાંગ ઠાકર
એકબીજાથી ચડિયાતા એકેક શેર… એમાંય સંશય કરતા શ્રદ્ધા વધારવાની વાત વધુ જચી ગઈ.
Permalink
January 14, 2011 at 11:45 AM by વિવેક · Filed under કુલદીપ કારિયા 'સારસ', ગઝલ
ફૂલોનો પ્રેમ એ આખા જગતને આપવા ચાલી,
હવાનો હાથ ઝાલીને મહેક સૌની થવા ચાલી.
મને પૂછો કે વૃક્ષો પર હતાં એ પાંદડાં ક્યાં છે ?
સમય પીળો હતો ત્યારે જ તોફાની હવા ચાલી.
હતી એને ખબર કે આખરે ખારાશ મળવાની,
નદી પર્વતથી ઊતરી તોય સાગર પામવા ચાલી.
હતા નહિ રાગ ને વૈરાગ્ય મારા પ્રાણમાં ક્યારેય,
છતાં શેનું હતું આ દર્દ ને શેની દવા ચાલી ?
સમય આવી ગયો ચાલો હવે આકાશ પહેરી લો,
ક્ષણો કાતર બનીને જિંદગીને કાપવા ચાલી.
– કુલદીપ કારિયા
એક મહેકનુમા ગઝલ… પરંપરાની ખુશબૂ આધુનિક્તાની હવાની પાલખી પર બેસીને આપણી રુહને તરબતર કરે છે…
Permalink
January 14, 2011 at 12:07 AM by ઊર્મિ · Filed under ગઝલ, રિષભ મહેતા
હું કોઈ અન્જાન હાથોએ ચગાવેલો પતંગ,
છું હવાના આશરે છુટ્ટો મુકાયેલો પતંગ !
ડોર કાચી છે કે પાકી, જાણ એની કંઈ નથી,
જીંદગી બેધ્યાન શ્વાસોએ ઉડાવેલો પતંગ !
આભ ખુલ્લું ને અનુકૂળ હો પવન તો શું થયું ?
ઉડવા પહેલાં જ ભીતરથી ઘવાયેલો પતંગ !
મારશે ગુલાંટ ક્યારે ? સ્થિર ક્યારે એ થશે !
આપણાથી હોય ક્યારે ઓળખાયેલો પતંગ !
એકલો ચગતો રહે તો એનો કંઈ મહિમા નથી,
ને બધા વચ્ચે રહે તો છે ફસાયેલો પતંગ !
કોણ ચગાવે, કોણ કાપે, કોણ લૂંટે શી ખબર ?
આપણા જેવો જ છે અધ્ધર, જુઓ, પેલો પતંગ !
ના ચઢે, કે ઉતરે પોતાની મરજીથી કદી,
ને છતાં લાગે કહો કયારેય થાકેલો પતંગ ?
એક તો કાગળની કાયા, આગ-વાયુ ચોતરફ,
તે છતાં પણ નીકળ્યો, ચગવા જ જન્મેલો પતંગ !
આપણી આ જાતમાં આખર વસે છે વાલિયો,
ખુબ પ્યારો હોય છે સૌને લૂંટાયેલો પતંગ …
એક માણસ જો કપાયે, ટીસ પણ ઉઠતી નથી !
ને કેવી હો-હા થાય છે દેખી કપાયેલો પતંગ !!
હાથમાં રહી જાય છે જે ડોર, એ છે જીંદગી !
સૂચવે છે એ જ સૌને હર કપાયેલો પતંગ…
-રિષભ મહેતા
(સૌજન્યઃ સરનામું પ્રેમનું…)
આજે આ ગઝલનાં એકેક શેર લયસ્તરોનાં ફલક પર ચગેલા એકેક પતંગ હોય એવું નથી લાગતું ? 🙂
લયસ્તરોનાં વાચકમિત્રોને લયસ્તરો તરફથી મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ…
Permalink
January 11, 2011 at 12:23 AM by ધવલ · Filed under ગઝલ, રાજેન્દ્ર શુક્લ
દેખૂંગા ઓર દોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
સાંસ સૂરંગા ફોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
દેખન લાગા અબ અંધા, મૈંને બાંધા મૈં બંધા,
છૂટૂંગા તબ છોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
જનમજનમ કો જાન ગયા, કારાગૃહ પહેચાન ગયા,
કાહે કો મુખ મોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
બિખરબિખર મિટ જાઉંગા, ફિરતફિરત ફિર આઉંગા,
નિશાન ડંકા ખોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઉંગા પલમેં અપલક,
ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!
– રાજેન્દ્ર શુક્લ
દરવાજો ખોલવાની ગઝલથી આગળ આ દરવાજો તોડવાની ગઝલ માણો. કવિશ્રીના શબ્દોની તાકાત અને મીઠાશ બન્ને માણવા જેવા છે.
Permalink
January 9, 2011 at 2:30 AM by તીર્થેશ · Filed under ગઝલ, ભગવતીકુમાર શર્મા
છે સમુદ્ર સાવ નિકટ છતાંયે પૂર્વવત એ સભર નથી,
હજી સૂર્ય ઊગે ને આથમે અને પહેલાં જેવો પ્રખર નથી.
અભિશપ્ત છું સિસિફસ સમો,ચઢું-ઊતરું છું હું પર્વતો,
હું કશેય પહોંચી નહીં શકું,બધું વ્યર્થ છે,આ સફર નથી.
અહીં કાળમીંઢ સદીઓ છે અને કાળખંડના ચોસલાં,
હું સમયનો ત્રસ્ત શિકાર છું,અહી પળ નથી અને પ્રહર નથી.
ગયો સાથ છૂટી દિશાઓનો,નહીં સ્પર્શ શેષ કશાયનો,
હું સ્વયંને પૂછ્યા કરું સતત,મને અંશ માત્ર ખબર નથી.
ગયો ક્યાં અનાહત નાદ એ ? મને ઝંખતો હતો સાદ એ ?
હું વિરાટ વિશ્વમાં એકલો, કોઈ ભાવભીનો યે સ્વર નથી.
આ નગર,ગલી અને ધૂળ આ,આ નદીનાં નીર ભર્યાં ભર્યાં,
તે સિવાય પૃથ્વીમાં ક્યાંય પણ મારું ઘર નથી, મારું ઘર નથી.
હું વહાવી દઉં છું લખી લખી મારા અક્ષરો,મારી સંપદા
જે પ્રવાહ તે વહ્યો જાય છે,અહીં બીજું કૈં જ અમર નથી.
– ભગવતીકુમાર શર્મા
એક સળંગ સૂર ધરાવતી આ ગઝલ નો બીજો શેર સદાય યાદ રહી જાય તેવો છે. [ સિસિફસ એ ગ્રીક પુરતાનકથા અનુસાર એક શાપિત રાજા હતો જેને શ્રાપ હતો કે તેણે એક મસમોટી ગોળાકાર શિલાને એક સીધા ઢોળાવવાળા પર્વત ઉપર ચડાવવાની હતી,પરંતુ તે જેવો તેની ટોચની નજીક પહોંચતો કે તે શિલા પછી ગબડીને તળેટીમાં ચાલી જતી…-તેણે અનંત સુધી એક અંતહીન,અર્થહીન પ્રવૃત્તિ કરતા રહેવાનું હતું…] એક નિરાશાના સૂર સાથે જે એક આત્મખોજનો,આત્મનિરીક્ષણનો સૂર છે તે આ ગઝલની ખૂબી છે.
[ ગઝલની ઊંડી સમજ ધરાવતા ભાવકોને એક નમ્ર વિનંતી- મારી સમજમાં વધારો થાય તે હેતુથી આ વિનંતી કરું છું, કવિ વિષે કોઇપણ comment કરવાની મારી કોઈ જ લાયકાત નથી- છઠ્ઠો શેર મને કઠ્યા કરે છે, બહુ જામતો હોય તેમ નથી લાગતું. કદાચ તે શેર વગર ગઝલ વધુ સબળ થતે તેમ લાગે છે. આપ પ્રકાશ પાડો તો આભારી થઈશ. ]
Permalink
January 7, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, નીલેશ પટેલ
તમામ ઝંખના કાગળ ઉપર ઉતારી છે,
ગઝલને વાંચો ન વાંચો સમજ તમારી છે.
કહી દો આંસુને મોટી છલાંગ ના મારે,
બિચારી આંખની નાની સૂની જ ક્યારી છે.
જબાન પર હતા સહુના વિરોધના વાદળ,
પરંતુ લખતા રહ્યા એ જ તો ખુમારી છે.
તું તારા ઘરથી બે’ક ડગલાં ચાલજે આગળ,
પછી જે આવશે બસ એ ગલી અમારી છે.
કદાચ મારી ગઝલમાં બહુ કચાશ હશે,
ઘણાની નબળી ગઝલને અમે મઠારી છે.
મુશાયરો હવે તો ચંદ્ર પર ભલે કરીએ,
તમામની અમે દરખાસ્તને વિચારી છે.
ભલે અમીર હશે કે ગરીબ માણસ પણ,
બધાના ઘરમાં જરૂરજોગી તો પથારી છે.
– નીલેશ પટેલ
સાયણના આ કવિ ભલે કહેતા હોય કે એમની ગઝલમાં બહુ કચાશ હોવાની ગુંજાઈશ છે પણ મને તો આખી ગઝલમાં એમની ખુમારીના જ દર્શન થાય છે… નર્મદનગરની નજીકના નિવાસી હોવાની અસર હશે ?!
Permalink
January 6, 2011 at 3:00 PM by ઊર્મિ · Filed under આકાશ ઠક્કર, ગઝલ
ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે,
ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે.
સૂના પડ્યાં છે ટેરવે વસતાં નગર,
લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે.
ભગવી ધજાને ફરફરાવે એ રીતે,
જાણે પવન પણ લઇ રહ્યો સંન્યાસ છે.
ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે,
બન્ને તરફ સરખો વિરોધાભાસ છે.
પાંખો મળી પણ જાત માણસની મળી,
‘આકાશ’માં પણ ધરતીનો સહવાસ છે.
– આકાશ ઠક્કર
આખી ગઝલમાં ટેરવાવાળી વાત ખૂબ જ સ્પર્શી ગઈ. ટેરવે વસતાં નગરનું સૂના પડવું જ ટેરવાનાં સ્પર્શને મૃત:પાય કરી જતું હશે… કે પછી એનાથી ઊલટું પણ થતું હોય…?
Permalink
January 4, 2011 at 11:32 PM by ધવલ · Filed under ગઝલ, મનોજ ખંડેરિયા
કૈં ઝળહળ ઝળહળ જેવું છે, દરવાજો ખોલ
આ મરવું ઝાકળ જેવું છે દરવાજો ખોલ
બ્હાર પવન સૂસવાતો એમાં ઊડી જશે
આ જીવતર કાગળ જેવું છે, દરવાજો ખોલ
આ ખુલ્લા આકાશ તળે બે શ્વાસ ભરી લે
ઘર સમજણનું છળ જેવું છે, દરવાજો ખોલ
તેજ હશે કે ઝરમર? સૌરભ? કોણ હશે આ?
કૈં નમણી અટકળ જેવું છે, દરવાજો ખોલ
શબ્દો સાંકળ ખખડાવે છે કૈં વર્ષોથી
લે કામ જરા પળ જેવું છે, દરવાજો ખોલ
– મનોજ ખંડેરિયા
રવિવારે બારણું બંધ કરવાની વાત કરતું ગીત આવ્યું એટલેદરવાજો ખોલવાનું કહેતી આ ગઝલ યાદ આવી ગઈ. (હવે ખરેખર બારણું ખોલવું કે પછી બંધ રાખવું એ પાછા મને ન પૂછતા ! 🙂
અંતરમનના દરવાજાને ખોલવાનું આવાહન કરતી ગઝલ બહુ ઊંડી વાત લઈને આવે છે. મરણના ઝાકળસમ પાતળા પોતને ઓળંગીને ઝળઝળ તેજ તરફ બોલાવતો પહેલો શેર આપણા શ્રેષ્ઠ શેરમાંથી એક છે. પહેલા જ શેરથી જે વાતાવરણ બંધાય છે એને કવિ છેલ્લે સુધી જાળવીને બતાવે છે. જીવનની ભંગૂરતા, સમજણનું છીછરાપણું, અગમ્યના કૌતુહલનો રોમાંચ – બધુ એક પછી એક આવે છે. છેલ્લો શબ્દમહિમાનો શેર ગઝલને ચરમસિમા પર લઈ જાય છે.
Permalink
January 1, 2011 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, વિવેક કાણે 'સહજ'

અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી
અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી
ગઝલના પાકને રેતી જ રાસ આવે છે
મરુભૂમિ અમે એથી ગરાસમાં લીધી
ભરે કોઈ જે રીતે શ્વાસ અંતવેળાના
તમે શ્વસેલી હવા એમ શ્વાસમાં લીધી
પ્રથમ ગુનો તો ‘સહજ’ છૂટછાટ લીધી એ
અને ઉપરથી એ હોશોહવાસમાં લીધી
– વિવેક કાણે ‘સહજ’
વડોદરા ‘ગઝલસભા’ દ્વારા ‘મરીઝ યુવા પ્રતિભા ગઝલકાર’નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે એ બદલ કવિશ્રીને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !!
કવિશ્રીને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘કઠપૂતળી’ બદલ ‘લયસ્તરો’ તરફથી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…
Permalink
December 31, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, ભરત વિંઝુડા
જુદી જુદી કંઈક બાબતમાં મળ્યાં
લોક એની એ જ હાલતમાં મળ્યાં
માણસોનાં ટોળાં ને ટોળાં અહીં
એક માણસની જરૂરતમાં મળ્યાં
જેમ તમને એમ અગણિત અન્યને
મિત્ર મળવાની જ આદતમાં મળ્યાં
એ જ ખુદ આવીને મળવાના કદી
એવી આશા આપતા ખતમાં મળ્યાં
મારા પહેલાં જે થયા જન્નતનશીન
એ મને આજે ન જન્નતમાં મળ્યાં
– ભરત વિંઝુડા
નદી પર્વત ફાડીને નીકળે ત્યારનું અને સાગરને ભેટે છે ત્યારનાં એનાં રૂપ કેવાં નોખાં હોય છે…! કવિતાનું પણ કંઈક આવું જ હોય છે. ક્યારેક એક કૃતિ જન્મે છે ત્યારે એનું સ્વરૂપ કંઈ ઓર હોય છે અને સમયના ખડકોની વચ્ચે વહેતાં વહેતાં કે કાવ્યસંગ્રહ સુધી પહોંચતાં પહોંચતાં એનો સમૂળગો કાયાકલ્પ થઈ ગયો હોય એવુંય બને. ભરત વિંઝુડાની આ ગઝલ એવી જ એક રચના છે. લયસ્તરો પર થોડા દિવસો પૂર્વે ધવલે એમની પ્રસ્તુત ગઝલનું જૂનું -મૂળભૂત વર્ઝન મૂક્યું હતું. કવિના ધ્યાનમાં એ આવી ગયું એટલે એમણે મત્લાના શેર તરફ મારું ધ્યાન દોર્યું. એ ગઝલ ધવલે અમૃત ઘાયલ સંપાદિત ‘છીપનો ચહેરો ગઝલ’માંથી લીધી હતી જેમાં મત્લામાં ‘અળગી અળગી’ જેવો શબ્દ વપરાયો હતો. એ જમાનામાં અમૃત ઘાયલ જેવા દિગ્ગજ કવિએ ભરત વિંઝુડાએ પ્રયોજેલા ‘જુદા જુદા’ની જગ્યાએ શબ્દની ફેરબદલ કરી હતી અને કવિએ મૌન સેવ્યું હતું. કવિએ મને અળગી અળગીના સ્થાને જુદી જુદી કરવાનું કહ્યું ત્યાં તો મારું ધ્યાન ‘પ્રેમપત્રોની વાત પૂરી થઈ’ સંગ્રહના 49મા પાને બિરાજમાન આખી ગઝલ પર પડ્યું. અહો ! અહીં તો મત્લા ઉપરાંતના એક શેરને બાદ કરતાં આખી ગઝલ જ અલગ છે… કવિએ કહ્યું, “વાત સાચી છે. ગઝલ આખી જ બદલાઈ ગઈ પણ આજે મને લાગે છે કે જૂની ગઝલના શેર વધુ સશક્ત હતા… એને કેમ કરીને મેં પડતાં મૂક્યા એ મનેય સમજાતું નથી પણ ગઝલસંગ્રહની બીજી આવૃત્તિમાં આ જૂના શેર જરૂરથી સમાવી લઈશ…”
આ ગઝલની લગોલગ જૂની ગઝલ માણવાનું ન ચૂકાય..
Permalink
December 30, 2010 at 11:00 AM by ઊર્મિ · Filed under ગઝલ, દિલીપ ઘાસવાલા
જત જણાવવાનું સખી, જો પ્રેમનાં પુષ્પો ઝરે,
સ્પર્શ તારો પ્રેમની વેલી બનીને પાંગરે.
વ્યોમ ગંગાનાં કિનારે સાંભળું સૂરાવલી,
મેળવીને સામવેદી સ્વર ઋચાઓ ઉતરે.
શ્વાસનાં સૂત્રે પરોવી દો ગઝલનાં શે’રને.
પ્રેમ ચંદરવો બની સુંદર ગઝલને આવરે.
મઘમઘે કૈંક ઊર્મિઓનાં શબ્દરૂપી આ ફૂલો,
લાગણી સૌ મસ્ત ઐરાવતસમી ક્રિડા કરે.
ત્યાગ તારાં શસ્ત્ર, જીતની ખેવના ના રાખ તું,
હારની પીડા ખમી લે- તે જ ઊંચે સંચરે.
-દિલીપ ઘાસવાલા
દિલીપભાઈની આ સ-રસ ગઝલમાં મક્તાનો શેર શિરમોર થયો છે… કવિશ્રીનાં સ્વરમાં આ ગઝલનું પઠન અહીં સાંભળી શકો છો.
Permalink
December 24, 2010 at 6:57 AM by વિવેક · Filed under ગઝલ, યામિની વ્યાસ
દોડતી ને દોડતી પૂરપાટ ચાલી જાય છે
કોણ જાણે ક્યાં સુધી આ વાટ ચાલી જાય છે
ઘેલછા કેવી હશે દરિયાને મળવાની જુઓ
આ નદી સૂના મૂકીને ઘાટ ચાલી જાય છે
જિંદગીની આ રમત કેવી કે રમતા માણસો
અધવચાટે મેલીને ચોપાટ ચાલી જાય છે
લાગણીની તીવ્રતાને કોઈ ના રોકી શકે
કોઈ સેના જાણે કે રણવાટ ચાલી જાય છે
બે ઘડી વરસાદનાં ધરતી ઉપર ફોરાં પડયાં
એટલામાં કેટલો તલસાટ ચાલી જાય છે
-યામિની ગૌરાંગ વ્યાસ
રસ્તો હોય, આપણી સફર હોય, ઘેલછા હોય કે મહત્ત્વાકાંક્ષા – કશાયનો ક્યાંય અંત નથી. તૃષ્ણા રસ્તાની જેમ જ પૂરપાટ દોડતી રહે છે, બસ ! અને મૃત્યુ જિંદગી સાથે જ જોડાયેલી કેવી અનિવાર્ય ઘટના છે કે ભલભલા પોતાની રમત અડધી મૂકીને ચાલ્યા જાય છે ! બધા શેર સારા છે પણ મને સૌથી વધુ ગમી ગયો આખરી શેર… વાત કયી ધરતીની છે ? આખા ઉનાળાભેર ધખેલી ધરતીનો તલસાટ વરસાદના બે-ચાર ફોરાં વરસતાં જ ગાયબ થઈ જાય છે… કોઈ સ્નેહપિપાસુ હૈયાની આ વાત નથી ?
Permalink
December 23, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, મીનાક્ષી ચંદારાણા
ઝાંઝવાના તેજ હિલ્લોળાય રે, ચાલો હવે!
સરવરો લોચન તણાં લોપાય રે, ચાલો હવે!
સાવ સોનલ સાંકળી શાં દીસતાં આ બંધનો,
દોર કાચા ફેર સાબિત થાય રે, ચાલો હવે!
રૂપરંગોની હવામાં દોહ્યલા તલસાટ છે,
કુંભ આ અમ્રતનો અવરથ જાય રે, ચાલો હવે!
આ કલમ કાગળની વચ્ચે, ઝૂલતું કલરવ સમું,
વણઝિલાયું રહી જતાં હિજરાય રે, ચાલો હવે!
શ્વાસના આવાગમનના છળ વચાળે હર કદમ,
દૂર ઝળહળ જ્યોત શું વરતાય રે, ચાલો હવે!
– મીનાક્ષી ચંદારાણા
ગરબીના ઢાળમાં ગઝલ… પણ બધા જ શેર અટકીને વાંચવા પડે તેવા…
Permalink
December 22, 2010 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, દિવ્યા મોદી, હસ્તપ્રત

(કવયિત્રીના હસ્તાક્ષરોમાં એક ઓર ગઝલ લયસ્તરો માટે)
*
અજંપો આ મોસમનો ઘૂંટાય ભીતર,
ને વાદળ ઉદાસીનાં ઘેરાય ભીતર…
આ આંખોમાં આવીને ચોમાસુ બેઠું,
ને અશ્રુની ધારાથી ભીંજાય ભીતર…
કમાડોનાં તોરણ તો સૂકાં થયાં પણ
પ્રતીક્ષા તો અકબંધ સચવાય ભીતર…
અહીં તું તને હર ક્ષણે ના મળે તો,
કશું ચૂભતું કેમ વર્તાય ભીતર…?
ખુલાસા, પુરાવાથી આગળ વધી જો,
કે ઉત્સવ આ મનખાનો ઉજવાય ભીતર…
– દિવ્યા મોદી
હવે આ ગઝલના કયા શેરને ગમાડીએ અને કયાને નહીં? પ્રેમ અરુઢતાથી વ્યાખ્યાયિત કરતો ચોથો શેર જો કે મને વધુ ગમી ગયો…
Permalink
December 21, 2010 at 8:19 AM by ધવલ · Filed under આસિફ મીરાં, ગઝલ
પ્રત્યેક ક્ષણની વારતા મનમાં ફર્યા કરે
ને ફેફસાંમાં શ્વાસના ફુગ્ગા તર્યા કરે
ઘટનાને સાવ સત્ય તમે માનશો નહીં
ઈચ્છાના શ્વેત દેડકા દરિયા ઝર્યા કરે
આભાસી ભીંત ચીતરું છું ઝાકળની આંખમાં
શબ્દો ગઝલના પ્રાસ બની વિસ્તર્યા કરે
ભૂલી ગયો છું પીળા સમયની દિશાને હું
તારા અભાવની અહીં સંધ્યા ખર્યા કરે.
– આસિફ મીરાં
પીળા પડી ગયેલા સમયની આ ગઝલમાં અભાવ અને ઉદાસીને કવિએ બારીકાઈથી કંડાર્યા છે.
Permalink
December 16, 2010 at 12:45 AM by વિવેક · Filed under અંગત અંગત, ગઝલ, હેમંત પૂણેકર
મરાઠી માનુસ હોવા છતાં ગુજરાતી ગઝલમાં પોતાનો ‘માર્ક’ છોડી શકનાર કેટલાક કવિઓમાં હેમંત પુણેકર પણ મોખરાનું સ્થાન ધરાવે છે. એમના સો ટચના સોના જેવા ‘હેમકાવ્યો‘થી આપણે સહુ પરિચિત છીએ. આજે એમની જ એક ગઝલ હારોહાર એમના કવિજીવનના વળાંકોથી પરિચિત થઈએ…
*
ગયાં સૌ સપન એ વિસારે ગયાં
નિશાના નિશાનો સવારે ગયાં
મળી છાંય દિલનેય ટાઢક મળી
બપોરે સજનના ઇશારે ગયા
સમી સાંજ ને યાદ ખંજર સમી
અમે તો તમારા વિચારે ગયા
પડી રાત રાહો નિરાંતે પડી
પ્રવાસી બધાયે ઉતારે ગયા
ભર્યા શ્વાસને લો તમે સાંભર્યા
દિવસ રાત એના સહારે ગયા
– હેમંત પુણેકર
કૉલેજકાળ (૧૯૯૬-૨૦૦૦) માં ક્યારેક અછાંદસ કવિતા લખતો. પછી ઉચ્ચશિક્ષણ અને વ્યવસાયને કારણે કવિતા સાથે સંપર્ક તૂટી ગયો. ૨૦૦૬માં વિવેકભાઈની સાઈટ “શબ્દો છે શ્વાસ મારા” જોયા પછી બ્લૉગજગતનો પરિચય થયો અને મારી જૂની રચનાઓ પોસ્ટ કરવાના ઇરાદાથી મેં મારો બ્લૉગ હેમકાવ્યો બનાવ્યો.
ગુજરાતી બ્લૉગજગતને કારણે ઘણા વર્ષો પછી હું ગુજરાતી કવિતાના સંપર્કમાં આવ્યો. લયસ્તરો અને ટહુકો જેવી સાઈટ્સ પર અનેક નામી અનામી કવિઓની કવિતાઓ વાંચવા મળી. સારી કાવ્યકૃતિઓ સાથે સંપર્ક વધ્યો અને મારી સુષુપ્ત સર્જનશીલતા ફરીથી સળવળી. ફરી કવિતા લખવાનું ચાલુ કર્યું ત્યારે ગઝલસદૃશ રચનાઓ લખતો – ફક્ત રદિફ-કાફિયા સંભાળતો – પણ છંદ વિશે બહુ જાણકારી નહોતી. મોહમ્મ્દ અલી ભૈડુ “વફા” સાહેબના બ્લૉગ પરથી છંદો વિશે જાણકારી વાંચીને ફક્ત ગમ્મત ખાતર આ રચના લખી. ત્યારબાદ છંદબદ્ધ ગઝલો લખવાનો સિલસિલો ચાલુ થયો જે આજેય ચાલે છે અને એવું લાગે છે કે હવે આજીવન ચાલુ જ રહેશે.
Permalink
December 15, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગઝલ, ચિનુ મોદી
લયસ્તરોના નિયમિત વાચક દીપક પરમારની કવિતા માટેની લગન અને કાવ્યમાર્ગની સફર વિશે બે’ક વાતો:
*
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
ગુજરાતી કાવ્યો સાથે મારો લગાવ શાળાના દિવસોથી શરૂ થયો, આ લગાવ પાછળ પણ એક સરસ વાત જોડાયેલી છે. મને યાદ નથી કે ‘પર્વતને નામે પથ્થર’ ( ચીનુ મોદી) ગઝલ કયા ધોરણના પાઠ્યપુસ્તકમાં આવી હતી પણ જે દિવસે મેં આ ગઝલ પહેલી વાર વાંચી, બસ વાંચતો જ રહ્યો અને ત્યાર પછી જ્યારે પણ નવા ધોરણમાં પ્રવેશ કરતો ત્યારે સૌ પ્રથમ ગુજરાતીની ચોપડી લઈ બધા જ કાવ્યો અને ગઝલ પહેલાં દિવસે જ વાંચી જતો.
આમ તો વ્યવસાયે હું સૉફટવેર એન્જીનીઅર છું એટલે આખો દિવસ મારે કમ્પ્યૂટર જોડે માથાકૂટ કરવાની હોય. એક દિવસ અચાનક હુ “લયસ્તરો” વેબ સાઇટ ઉપર જઈ ચડ્યો અને પછી તો તે રોજની દિનચર્યા થઈ ગઈ. બસ આમ જ એક દિવસ એક કવિતાના અભિપ્રાય રૂપે મેં મારી એક કવિતા મૂકી. થોડા દિવસો પછી મને સુરેશભાઈ જાની તરફથી મેલ આવ્યો કે મારી કવિતા એ એમના બ્લોગ ઉપર મૂકવા ઇચ્છે છે. મારે મન તો આ ભાવતુ હતુ અને વૈદ્યે કહ્યું જેવો ઘાટ હતો. બસ, પહેલી વાર મને વિશ્વાસ થયો કે આ નવા નિશાળિયાનુ લખાણ પણ બ્લોગ ઉપર મૂકી શકાય. અને, થોડા સમય પછી મેં મારો પોતાનો બ્લોગ શરુ કરવાની હિંમત કરી અને શરૂ થઈ એક નવી જ સફર… ચિનુ મોદીની એ કવિતા, લયસ્તરો અને…
– દીપક પરમાર
Permalink
December 14, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગઝલ, રઈશ મનીયાર
અમારી માંગણીને માન આપીને રઈશભાઈ લયસ્તરોની આ યાત્રામાં જોડાયા એ અમારે મન મોટો પુરસ્કાર છે…
*
દરેક વાતે વિચારવાનું ત્યજી દઈને નિહાળતો જા
સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઈને નિહાળતો જા
સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં
ન તોલ એને, મઠારવાનું ત્યજી દઈને નિહાળતો જા
પસાર થાતી ઘડી ઘડીમાં જુદી જુદી જે છબી ચમકતી
તમામ ઊંડે ઉતારવાનું ત્યજી દઈને નિહાળતો જા
આ આંસુ કરતાં છે પૃથ્વી મોટી, હૃદય છે એક જ, હજાર દુઃખ છે
દુઃખે દુઃખે આંસુ સારવાનું ત્યજી દઈને નિહાળતો જા
ઉઘડતું આથમતું રૂપ શાશ્વત ને એક પલકારો તારું જીવન
તું એની લટને નિખારવાનું ત્યજી દઈને નિહાળતો જા
તું આજીવન માત્ર જોતો રહેશે છતાંય તું અંશમાત્ર જોશે
સમગ્ર અંગે તું ધારવાનું ત્યજી દઈને નિહાળતો જા
– રઈશ મનીઆર
હું શરૂઆતમાં, અગિયારેક વરસની ઉંમરે, કવિતા પ્રત્યે માત્ર ચમત્કૃતિ સાધવાની એની શક્તિથી આકર્ષાયેલો. ત્યારે કોઇ ઊંડાણભરી નિસ્બત નહોતી એવું અત્યારે લાગે છે. પાઠ્યપુસ્તકની કૃતિઓ તો બોલાતી ભાષાથી જોજનો દૂર લાગતી એટલે રસ નામપૂરતો જ. કવિતાનો પહેલો પ્રભાવ, કવ્વાલીઓના કાર્યક્રમમાં જે રીતે ગઝલના કાફિયા પર શ્રોતાઓ ઉછળી પડતા એ જોઇને પડ્યો. રદીફ, કાફિયા અને છંદનું ઘેલું ત્યારથી લાગ્યું. મારી કવિતાનું બાહ્ય કલેવર તો ત્યારથી ઘડાવા માંડ્યું હતું પરંતુ મારી કે બીજા કોઇ કવિની કોઇ કવિતા મારા જીવનમાં પરિવર્તન લાવે એ હદે સ્પર્શી નહોતી. ખરેખર તો કવિતા આંતરિક પરિવર્તન લાવી શકે એવો મને ખ્યાલ જ નહોતો. આંતરિક પરિવર્તનની જરૂર છે એવો ખ્યાલ પણ જીવાતા જીવન અને લખાતી કવિતાની જુગલબંદીથી મોડેમોડે આવ્યો. 27 થી 37 વરસની ઉંમર વચ્ચે જે મથામણ અનુભવી, એને કવિતામાં વ્યક્ત કરી. પરંતુ કવિતાનો પોતાનો “હીલિંગ પાવર” મને મારી ‘નિહાળતો જા’ ગઝલમાં પ્રથમવાર અનુભવાયો. કદાચ કોઇને લાગે (ઘણીવાર મને પણ લાગે છે) કે આ કવિતામાં નવી કોઇ વાત નથી. સાક્ષીભાવની વાત તો પૂર્વકાળમાં અને અન્યત્ર બહુ થઇ છે. પરંતુ એથી મારે માટે આ કવિતાનું મહત્વ ઘટી જતું નથી. આ કવિતા માટે હું ખાતરી પૂર્વક કહી શકું કે એ મારી પડખે વારંવાર ઊભી રહી છે. સ્વત્વનું એકાંત જ્યારે મૂંઝવી નાખે, ગૂંગળાવી નાખે ત્યારે આ કવિતા તરત જ મને સમગ્રતાના ખોળામાં નિશ્ચિંતપણે વિહરતો કરી દેવાની તાકાત ધરાવે છે.
કવિ રઈશ મનીઆરની આ રચના માનવ રઈશ મનીઆરને કેટકેટલા લાભ કરાવે છે! એના જીવનમાં કુતૂહલ વિરમે છે, બાળસહજ પ્રશ્નો વિરમે છે, વિચારબાહુલ્ય અને વિકલ્પોની નિરર્થકતા સમજાય છે, ગમા અણગમાની તીવ્રતા ઓછી થાય છે, ‘હું કરું’ ‘હું કરું’ની કર્તૃત્વભાવના ઘટે છે, દરેક વસ્તુનો પ્રતિભાવ આપવા કે સેવવાની મજબૂરીમાંથી છૂટકારો મળે છે.
આજની તારીખે આ કવિતાના ભાવ પર મારું સંપૂર્ણ અવલંબન નથી. જીવન શાંતિપૂર્વક અને રસપૂર્વક જીવવા માટેના અન્ય આધારો કવિતામાંથી અને કવિતાઈતર જગતમાંથી શોધી કાઢ્યા છે. પણ નિ:શકપણે આ કવિતા મારે માટે માનસિક સમાધાન, સ્વીકાર અને સંતુલનની દિશાનું પ્રથમ મક્કમ પગલું બની રહી છે.
મારી કવિતાઓ સામાન્યરીતે મને લાંબો સમય સુધી ગમતી નથી. લખ્યાને સાત વર્ષ થયા, તો ય આજે પણ આ ‘લગાલગાગા’ના ચાર આવર્તનો પર ડોલવાનું મને હજુ ગમે છે.
Permalink
December 13, 2010 at 12:30 AM by વિવેક · Filed under અંગત અંગત, ગઝલ, મનોજ ખંડેરિયા
ક્યારેક કોઈ કવિતા મનુષ્યની અંદરના કવિને જાગૃત કરે છે તો ક્યારેક કોઈ વેબસાઇટ પણ.. લયસ્તરો અને ફેસબુકના કારણે કવિતાની કેડી પર પગલાં પાડવાની શરૂઆત કરનાર નરેશ ડૉડીયા શું કહે છે એ આજે જોઈએ:
*
લાલાશ આખા ઘરની હવામાં ભરી જઇશ
ગુલમ્હોર મારી લાગણીનો પાથરી જઇશ.
ઊડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહક પતંગિયાંને હું ખરી જઇશ.
આખું ય વન મહેકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઇશ.
હું તો છું પીછું કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને, કાલે ખરી જઇશ.
મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઇશ.
– મનોજ ખંડેરિયા
લગભગ દોઢ વર્ષ થયાં હું ફેસબૂકમાં જોડાયો. ત્યાર બાદ ગઝલોની અવનવી વેબસાઇટ સાથે મિલાપ થતો રહ્યો.. ફેસબુકમાં ગુજરાતનાં નામી કવિઓ સાથે જોડાતો ગયો. આમ તો સાહિત્ય સાથે અમારે બાપેમાર્યા વેર કહેવાય કારણ કે અમારો લોંખડનો વેપાર અને અભ્યાસ પણ બહુ ન કહી શકાય… ફેસબુકમાં બધાને લખતાં જોઈ માંહ્યનો સાહિત્યરસિક જીવ સળવળી ઉઠયો અને પછી વિવેકભાઈના કારણે લયસ્તરોનો મેળાપ થયો… પછી તો ‘મોસાળે જમણવાર અને મા પીરસે’ જેવો ઘાટ થયો…. લયસ્તરોમાં નામી કવિઓની રચના વાંચી વાંચીને ધીરે ધીરે લખતા શીખ્યો. જિંદગીમાં કદી રદીફ, કાફિયા, છંદ, આછાંદસ, મક્તા, મત્લા- એવાશબ્દો સાંભળ્યા ન્હોતા. ખરેખર મારી લેખિનીને લયમાં લાવવા માટે લયસ્તરોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.
લયસ્તરોને છ વર્ષ પુરા થયા એનાં માટે હાર્દિક શૂભેચ્છાઓ, દિલ સે…!! અમારી આવનારી સાત પેઢી પણ લયસ્તરો સાથે સકળાયેલી રહેશે એવી આશા સાથે જય જય ગુર્જરી….. જય જય ગુજરાતી…
આ સાથે મારી મનગમતી અને મારા મનગમતા કવિ શ્રી મનોજભાઇની ખંડેરિયાની રચના મોક્લુ છું, જેં વાંચીને મનોજભાઇને શબ્દદેહે મારી આસપાસ ભાળુ છું.
– નરેશ કે. ડૉડીયા
Permalink
December 8, 2010 at 12:50 AM by ઊર્મિ · Filed under અંગત અંગત, ગઝલ, નયન દેસાઈ, મુક્તક, રિષભ મહેતા
કવિતા સાથે મને ક્યારે પ્રેમ થયેલો એનો મને ખ્યાલ નથી. બસ નાનપણથી જ વાંચવાનું ગમતું. ગમતી ગુજરાતી કવિતાઓ અને શાયરી એક નોટબુકમાં ક્યારે ઉતારવા માંડેલી, એનોય ખાસ ખ્યાલ નથી. શાળાનાં દિવસોથી જ ઉમાશંકર જોશીનું ‘ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા’ ગીત, તો કલાપીનાં ‘આપની યાદી’ અને ‘રે પંખીની’ જેવા ઘણા ગીતો આત્મસાત થઈ ગયેલા. એ સમયકાળ દરમ્યાન એક વેકેશનમાં મારા એક માસાજીએ એમનાં એક મિત્રનું ઓડિયો-કેસેટ આલ્બમ લાવી આપેલું… ‘ધબકાર’ ! રિષભઅંકલની એ કેસેટ સાંભળી સાંભળીને અમેરિકા આવતા સુધીમાં તો મેં સાવ ઘસી નાંખેલી. ત્યારે અણજાણ્યે જ ગુજરાતી ગઝલ અને સુગમ સંગીત પ્રત્યે પ્રેમ થઈ ગયેલો. એ આલ્બમની બધી રચનાઓ સાવ કંઠસ્થ થઈ ગયેલી અને ઘણી રચનાઓ તો અર્થ સમજ્યા વિના જ હૃદયસ્થ થઈ ગયેલી, જેમ કે શરૂઆતનું જ આ મુક્તક-
તું નથી આ શબ્દનાં આકારમાં,
તું નથી આ સૂરનાં શણગારમાં,
ક્યાં નજાકત તારી ને ક્યાં આ જગત ?
સાચવું તેથી તને ધબકારમાં…
અને બીજી ઘણી રચનાઓ પણ, જેવી કે- આશાનું ઈંતઝારનું સપનાનું શું થશે?… ફેંક્યો પત્થર, માણસ પત્થર… રમતા રમતા લડી પડે ભૈ માણસ છે… ચાલને દુલ્હા-દુલ્હન રમીએ… શિલ્પી ઘડી રહ્યા છે શું પત્થર નવાં નવાં… જે આંખો મને દેખી જ્યારે નમી’તી, એ આંખો મને ત્યારે સૌથી ગમી’તી… હું મજામાં છું એ મારો વ્હેમ છે…વિ. પરંતુ મોટા ભાગની એ રચનાઓ ગઝલો જ હતી એનું જ્ઞાન મને હજી ત્યારે ન્હોતું. અને પછી તો 1990થી ઘણા વર્ષો સુધી દેશ, દોસ્તો અને સ્વથી સાવ જ દૂર થઈ ગયેલી. વ્હાલું વતન અને વ્હાલા મિત્રોને છોડ્યા બાદ વતનપ્રેમનું કોઈ પણ ગીત આંખોને અચૂક ભીની કરી જતું. મિત્રોનાં પત્રોની તો કાગડોળે રાહ જોવાતી અને જ્યારે કોઈ પત્ર આવતો ત્યારે ‘ચિઠ્ઠી આઈ હૈ આઈ હૈ’ ગીતનો બેશુમાર નશો ચડતો અને એ પત્ર કંઈ કેટલીયે વાર વંચાતો. કોકવાર જ્યારે કોઈ મિત્રનો પત્ર ઘણા વખત સુધી ન આવવાની નિરાશા સાંપડતી અને હું પત્ર લખવા બેસતી ત્યારે ‘ધબકાર’ની આ ગઝલ મને ખાસમખાસ અચૂક યાદ આવતી…
સ્વર-સંગીત: રિષભ મહેતા
[audio:http://tahuko.com/gaagar/hu-majama-chhu.mp3]
હું મજામાં છું- એ મારો વ્હેમ છે,
ખાસ લખવાનું કે તમને કેમ છે?
કોઈ ચિઠ્ઠી કે ચબરખી પણ નથી,
શું મને ભૂલી જવાની નેમ છે?
કૈંક ઉમંગોની છબી ફૂટી ગઈ,
ખાલી ખાલી જિંદગીની ફ્રેમ છે.
એ જ બીજી કાંઈ નવાજૂની નથી,
આપણા ઉપર પ્રભુની રહેમ છે.
– નયન દેસાઈ
સાત વર્ષ પછી દેશની પ્રથમ મુલાકાત વખતે એક સહેલીએ પાછા વળતી વખતે રેલ્વે સ્ટેશન ઉપર મને મનહર ઉધાસનાં ‘આગમન’ આલ્બમની કેસેટ આપેલી. ત્યાર પછી લગભગ રોજ કારમાં એકવાર તો એ કેસેટ વાગતી જ. લગભગ ઘસાવા માંડી હતી એટલી હદે. પરંતુ ત્યારે જ એક દિવસ મારી એ કાર ચોરાઈ ગયેલી, ત્યારે કાર ગયા કરતાં એ કેસેટ ગયાનું દુ:ખ મને વધારે થયેલું; કારણ કે કારનો તો ઈંસ્યોરંસ હતો પરંતુ એ કેસેટનો ન્હોતો. ‘એ મેરે પ્યારે વતન’ ગીત વતન છોડ્યા બાદ અસ્તિત્વનો એક અભિન્ન હિસ્સો બની ગયેલું. જીવનનાં સોળ વરસ સુધી અસ્તિત્વનાં સંઘર્ષનો પર્યાય બની ગયેલા એ વર્ષો પછી એ ગીતનું સ્થાન છેલ્લા ચાર-પાંચ વર્ષોમાં આદિલજીની ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ અને ‘વતનની ધૂળનાં એકેક કણને સાચવજો’ જેવી ગઝલોએ ક્યારે લઈ લીધું હતું એનો મને પોતાને પણ ખ્યાલ સુદ્ધાં ન રહ્યો. દેશ અને દોસ્તોથી દૂર થવાની પીડા તો હતી જ, પરંતુ એક હકીકત એ પણ હતી કે સમયનાં વહેણમાં દૂર થઈ ગયેલા દેશ અને દોસ્તો હૃદયની જરા વધુ નજીક આવી ગયેલા. દેશમાં અને સ્વદેશ બની ગયેલા આ પરદેશમાં ગુજરાતી કવિતાએ મને ખૂબ જ હૂંફ આપી છે, પંપાળી છે, મનાવી છે, સાચવી છે. અને એની પ્રતીતિ મને છેલ્લા પાંચેક વર્ષો દરમ્યાન જ થઈ છે. કવિતાનું ઋણ અને કવિતા લખવાનું પ્રેરકબળ બની રહેલા મિત્રોનું ઋણ આ જીવનમાં તો હવે ઉતરી રહ્યું…
Permalink
December 7, 2010 at 2:00 AM by તીર્થેશ · Filed under અંગત અંગત, ગઝલ, ગની દહીંવાળા
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા
ભાવકોની ક્ષમા માંગતા આ રચના મૂકું છું-અતિ જાણીતી રચના છે,પરંતુ મારે માટે ‘ટર્નિંગ પોઈન્ટ’ સમાન રચના આ જ છે. કાવ્યપ્રકાર માટે પ્રથમ આકર્ષણ થયું હતું. ચોથા ધોરણમાં-૧૦ વર્ષની ઉંમરે, ૧૯૮૦માં – કલાપીની ‘રે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો….’ -રચનાએ મને હલાવી દીધો હતો. ‘ રે રે શ્રદ્ધા ગત થઇ પછી કોઈ કાળે ન આવે, લાગ્યા ઘા ને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે…’ – આ પંક્તિઓની સચોટતા આજેપણ ઉરને હચમચાવી મૂકે છે.
આશરે ૧૫ વર્ષની ઉંમરે મિત્રોની મહેફિલમાં ગનીચાચાની આ રચના પહેલીવાર સાંભળી. ધગધગતી છૂરી માખણમાં જેમ ઉતરે તેમ આ રચના કાળજામાં ઉતરી ગઈ. અનેકવાર આ ગઝલ વાંચી. પહેલાં સ્થૂળ અર્થમાં જ સમજ પડી. ધવલે તેનો સૂક્ષ્મ અર્થ સમજાવેલો- ‘ નિજ શત્રુઓ…’ એટલે બાહ્ય નહિ, પરંતુ આંતરિક રિપુઓ ! એ કાળ જુવાળોનો કાળ હતો, ઝંઝાવાતોનો કાળ હતો. તે સમયે આ ગઝલે એક મિત્રની જેમ, એક સખાની જેમ, એક સુહૃદની જેમ બરડો પંપાળ્યો હતો.
આજે પણ જયારે આ ગઝલ સામે આવે છે ત્યારે નખશિખ ભીના થઈ જવાય છે- એ ભીનાશ એ આંસુઓની છે કે જે વહી ન શક્યાં. પ્રત્યેક શેર ઉપર હું પાનાંનાં પાનાંઓ ભરી શકું એમ છું, પરંતુ તેની જરૂર નથી. આ ગઝલે મને અંતર્મુખતા આપી હતી, પ્રેમની ચરિતાર્થતા એટલે શું તે સમજાવ્યું હતું, એક નવી જ દૃષ્ટિ ખોલી આપી હતી. ત્યારબાદ ઘણી લાંબી મજલ કપાઈ ગઈ….સમયનું ચક્ર ફરતું ગયું…..ચંદ ક્ષુલ્લક ભૌતિક સફળતાઓએ પોતાની ક્ષણભંગુરતા અને નિરર્થકતાની પ્રતીતિ કરાવી. સાચી સફળતા એક-મેકના મન સુધી પહોચવામાં જ છે તે મોડું મોડું સમજાયું. અને કવિએ મત્લામાં જે ક્ષણના આવવાની દ્રઢ શ્રદ્ધા પ્રકટ કરી છે, તે ક્ષણના ઇન્તઝારમાં આજેપણ સદીઓ સમી ભાસતી ક્ષણો કપાતી નથી. કોઈના શ્વાસ બંધ તો થયા, પવન અગન સુધી ન ગયો; પરંતુ હૃદયની આગ બુઝાઈ નહિ. બસ, હવે એક-મેકના મન સુધી પહોંચવાની યાત્રા સફળ થાય તો ધન્ય થઈ જવાય….અદભુત આદર્શો વ્યાખ્યાયિત કરતી આ ગઝલ આજે પણ મારા માટે ચિરયૌવના છે…..
Permalink
November 30, 2010 at 5:26 PM by ધવલ · Filed under ગઝલ, દિલીપ વ્યાસ
તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં
ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં !
કદીય શબ્દની ધૂણી નથી ઠરવા દીધી,
હંમેશ એટલો જગવ્યો છે અલખ મારામાં
જરીય ભય નથી બંધનનો હવે માયાથી,
થયેલ હોઉં છું પોતે જ, ગરક મારામાં.
સળગતો પ્રશ્ન છતાં બેફિકર છું, કારણ કે –
ભલે હું ઊંઘતો, જાગે છે ગઝલ મારામાં !
પુણ્ય ને પાપ તો ભાસે છે રમતના સાથી,
કરું છું જ્યારે હું શૈશવનું સ્મરણ મારામાં !
– દિલીપ વ્યાસ
આજે એક શબ્દના ફકીરની અલગારી ગઝલ માણો !
Permalink
November 27, 2010 at 12:30 AM by વિવેક · Filed under કાયમ હજારી, ગઝલ
ખુદા જાણે તમે કેવી જગા પર જઈને સંતાયા
તમોને શોધવામાં ખુદ અમે પોતે જ ખોવાયા !
તમે પાછા કદી વળશો એ આશામાં જ વર્ષોથી
ઊભો છું ત્યાં જ જ્યાંથી આપણા રસ્તાઓ બદલાયા.
સમજદારીએ શંકાઓ ઊભી એવી કરી દીધી
હતાં જે હાથમાં પ્યાલા ન પીવાયા, ન ઢોળાયા !
જિગરના ખૂનમાં બોળી મશાલો મેં જલાવી છે,
અમસ્તાં કંઈ નથી આ રાહમાં અજવાળાં પથરાયાં.
કરી જોયા ઘણા રસ્તા જવાના દૂર તારાથી
બધા રસ્તાઓ કિંતુ તારા દ્વારે જઈને રોકાયા !
તમે આવ્યાં હતાં હસતાં, ગયાં ત્યારે હસતાં’તાં,
ભરમ એ હાસ્યના અમને, હજી સુધી ન સમજાયા !
હજુ મારે છે ઈશુને, મહાવીરને સતાવે છે,
યુગો વીતી ગયા કિન્તુ આ ઇંસાનો ન બદલાયા !
ગજું લેનારનું જોયા પછી કિંમત ઘટાડી’તી,
અમસ્તા કંઈ નથી ‘કાયમ’ અમે સસ્તામાં વેચાયા.
– ‘કાયમ’ હઝારી
પરંપરાના રંગે રંગાયેલી આ ગઝલમાં મોટા ભાગના શેર અર્થગંભીર થયા છે અને આજે પણ પ્રાણવાન લાગે છે… પણ મને તો ‘ગજું’ શબ્દની ભાવકની ક્ષમતા મુજબ નાનાવિધ અર્થછટાઓ ઉપસાવતો અને તખલ્લુસને બખૂબી નિભાવતો મક્તાનો શેર ખૂબ ગમી ગયો…
Permalink
November 17, 2010 at 11:16 PM by ઊર્મિ · Filed under ગઝલ, ભરત વિંઝુડા
આજ આવ્યા અને કાલ ચાલ્યા જશે
એ કરીને જરા વ્હાલ ચાલ્યા જશે
એ જ પ્રશ્નો હશે કંઈ જુદા રૂપમાં
એમ ને એમ સો સાલ ચાલ્યાં જશે
તે છતાં પણ લખું તે કવિતા હશે
તું જશે એમ લય તાલ ચાલ્યા જશે
ફૂટશે તો પછી ત્યાં નવાં અંકુરો
સીમમાંથી ફરી ફાલ ચાલ્યા જશે
ઊંઘમાં સાવ ઝડપાઈ જાશું અમે
કોઈ ચાલી અને ચાલ ચાલ્યા જશે
-ભરત વિંઝુડા
ખબર નહીં કેમ પણ મને આ ગઝલ વાંચીને તરત બે ખૂબ જ પ્રખ્યાત રચનાઓ યાદ આવી ગઈ. એક તો “જોબનીયું આજે આવ્યું ને કાલે જાશે” અને બીજી, બેફામસાહેબની એક પ્રખ્યાત રચના “એકલાં જ આવ્યા મનવા, એકલાં જવાના સાથી વિના, સંગી વિના, એકલાં જવાના”…
Permalink
Page 34 of 50« First«...333435...»Last »