પિતાની ઝૂંપડી મધ્યે – ચંપકલાલ વ્યાસ
પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે ?
– ચંપકલાલ વ્યાસ
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
કાવ્યપ્રકાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
પિતાની ઝૂંપડી મધ્યે પાંચ પુત્રો વસી શકે,
પુત્રોના પાંચ મહેલમાં પિતા એક સમાય કે ?
– ચંપકલાલ વ્યાસ
મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે.
અરધી રાતે દરશન માટે આંખ ઝરૂખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે
તુલસીની આ માળા પહેરી, મીરાં સદાની સુખી રે
શ્યામ શ્યામનો સૂરજ આભે, મીરાં સૂરજમુખી રે
કાળી રાતનો કંબલ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે : જગની માયા જૂઠી રે.
-સુરેશ દલાલ
સુરેશ દલાલે લખેલા શ્રેષ્ઠ ગીતોમાં અગ્રિમ ક્રમે મૂકી શકાય એવા મીરાં જેવા જ સરળ અને સહજ આ ગીતને બસ, મમળાવી મમળાવીને વાંચીએ… માણીએ…
![]()
(વિવેક કાણેએ લયસ્તરો માટે ખાસ સ્વહસ્તે લખી આપેલ અપ્રગટ ગઝલ)
કશુંક સામ્ય તો છે, સાચેસાચ કઠપૂતળી,
તને હું જોઉં, અને જોઉં કાચ કઠપૂતળી.
આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી,
નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી.
હલનચલન ને આ ચૈતન્ય ખેલ પૂરતું છે
જીવંત હોવાના ભ્રમમાં ન રાચ કઠપૂતળી.
સમાન હક, ને વિચારોની મુક્તતા ને બધું,
જે મારી પાસે નથી, એ ન યાચ કઠપૂતળી.
‘સહજ’ નચાવે તને કો’ક ગુપ્ત દોરીથી
ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી.
-વિવેક કાણે ‘સહજ’
પૂણે ખાતે સુઝલોન એનર્જી લિ.માં AGM તરીકે કાર્યરત્ વિવેક અનિલ કાણે ‘સહજ’ સાથે તમે વાત કરો તો એમનું તખલ્લુસ સાર્થક હોવાની પ્રતીતિ બે જ મિનિટમાં થઈ જાય. સહજતાથી એવી મુલાયમ ઢબે શબ્દો એમની અંદરથી સરે કે લપસ્યા વિના છૂટકો જ ન રહે. ટેલિફોન પર એમની ગઝલો સાંભળવાનો મોકો મળ્યો એ ક્ષણો ચિરસ્મરણીય બની રહેવાની. BE Mech અને MBA (Finance) જેટલું ઉચ્ચ શિક્ષણ મેળવનાર, પૂણેમાં જ જન્મેલ આ મહારાષ્ટ્રિયન કવિ ગુજરાતી અને ઉર્દૂ ગઝલક્ષેત્રે ખૂબ મોખરાનું નામ ધરાવે છે. ગુજરાતી કવિતાઓનું મરાઠીમાં ભાષાંતર (‘અનુભૂતિ’) કરવા ઉપરાંત મરાઠી સાહિત્યનો ગુજરાતી અનુવાદ કરીને એ બે ભાષાઓ વચ્ચેની સરહદ ઓગાળે છે.
‘લયસ્તરો’ માટે આ ગઝલ સ્વહસ્તે લખી મોકલવા બદલ અમે એમના ઋણી છીએ. આજ ગઝલની વિચારધારા સાથે સંલગ્ન એક બીજી ગઝલ પણ આ સાથે જ મૂકાય એવી એમની ઈચ્છા હતી, પણ મને થયું કે ઈંતેજારની મજા જ કંઈ ઓર છે…બીજી ગઝલ આવતા અઠવાડિયે…
જિગર પર જુલ્મ કે રહેમત ઘટે જે તે કરી જોજો,
તમારા મ્હેલના મહેમાનની સામું જરી જોજો.
મુસાફર કંઈ બિચારા આપના રાહે સૂના ભટકે,
પીડા ગુમરાહની, ઊંચે રહી આંખો ભરી જોજો.
ઊછળતા સાગરે મેં છે ઝુકાવ્યું આપની ઓથે,
શરણમાં જે પડે તેને ડુબાવીને તરી જોજો.
વિના વાંકે છરી મારી વહાવ્યું ખૂન નાહકનું,
અરીસા પર નજર ફેંકી તમારી એ છરી જોજો.
કટોરા ઝેરનાં પીતાં જીવું છું એ વફાદારી :
કસોટી જો ગમે કરવી, બીજું પ્યાલું ધરી જોજો.
અમોલી જિંદગાની કાં અદાવતમાં ગુમાવો છો ?
કદર કો’દી ઘટે કરવી, મહોબત આદરી જોજો.
વરસતા શ્યામ વાદળમાં મળ્યા’તા મેઘલી રાતે,
વચન ત્યાં વસ્લનું આપ્યું, હવે, દિલબર ! ફરી જોજો.
-કપિલરાય ઠક્કર ‘મજનૂ’
‘બીજું પ્યાલું ધરી જોજો’ની આ ખુમારી ક્યાં મળે છે આ જમાનામાં? વીતેલા યુગના કવિશ્રી કપિલરાય ઠક્કર પરંપરાના ગઝલકાર હતા. એમની ગઝલો ઈશ્કે-મિજાજી (પ્રણયરંગ) અને ઈશ્કે-હકીકી (ભક્તિરંગ)થી છલકાતી જોવા મળે છે. જે જમાનામાં ગઝલને અસ્પૃશ્ય ગણવામાં આવતી હતી એ જમાનામાં મજનૂ જેવા શાયરોએ આજે આપણી ભાષાનો પર્યાય બની ગયેલી કાવ્યરચનાને પ્રાણવાયુ પૂરો પાડ્યો હતો. (જન્મ: ૦૩/૦૪/૧૮૯૨, મૃત્યુ: ૧૯/૦૨/૧૯૫૯; મરણોત્તર કાવ્યસંગ્રહ: ‘સ્વપ્નમંદિર’)
પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.
આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.
ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
ગઈકાલે ચિનુ મોદીની એક રચના આપણે માણી. જોગાનુજોગ આજે હું પણ એમની જ એક રચના લઈને આવ્યો છું. એમની ખૂબ જાણીતી તસ્બી પ્રકારની આ ગઝલ-રચના આજે કોઈપણ વધારાની પૂર્વભૂમિકા વિના જ માણીએ….
સરસ વાત કરવાનો મોકો મળ્યો,
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો.
મને ક્યાં ખબર: હું છું વહેતો પવન,
બધા ઘેર ફરવાનો મોકો મળ્યો.
હતાં ઝાંઝવા એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો.
થયું: હાશ સારું કે છે તો ખરો,
ખુદા છે તો ડરવાનો મોકો મળ્યો.
ગઝલને થયું: છે આ ‘ઈર્શાદ’ તો
ઠરીઠામ ઠરવાનો મોકો મળ્યો.
– ચિનુ મોદી ‘ઈર્શાદ’
સરસ અને સંવેદનશીલ. સીધી દિલને અડકતી ગઝલ.
તેઓ એક પીંજરું લાવશે
અદૃશ્ય
પણ તેને છોડીને પછીથી
ઊડી નહીં શકાય.
તેઓ વચન આપશે આકાશનું
તેઓ ઉલ્લેખ કરશે તેની
અસીમ ભૂરાશનો
પણ તેઓ લાવશે પીંજરું.
પછી તેઓ હળવેથી સમજાવશે
કે આકાશમાં જતાં પહેલાં
પીંજરાનો અભ્યાસ જરૂરી છે.
પછી તેઓ કહેશે કે આકાશમાં ખૂબ જોખમ છે
કે ક્યાંય નથી આકાશ
કે આકાશ પણ અંતે તો પીંજરું છે.
પછી તેઓ પીંજરામાં
તમને છોડીને
આકાશમાં
અદૃશ્ય થઈ જશે.
– અશોક વાજપેયી
(અનુ. કિશોર શાહ)
તમને દુનિયાદારીની રીત સમજાવનાર બધા અંદરથી દુનિયાદાર હોય છે ખાસ જાણવું. એમની કહેલી વાતોનું તો ये हकीकत ही हकीकत में फसाना ही न हो જેવું હોય છે. કોઈક વાર સ્વપ્ન જેમની સાથે મળીને જોઈએ એમનું ધ્યાન અંદરખાને બીજે જ હોય એવું પણ હોય છે. દરેક માણસે પોતાના આકાશ (અને પીંજરા) ની શોધ પોતે જ કરવાની હોય છે.
અચાનક ક્યાંકથી ઘણી બધી ચકલીઓ આવી,
વાડ પરથી બેસીને ઝૂલવામાં મગ્ન થઈ ગઈ
તારની તીક્ષ્ણ, વળદાર ગાંઠો
તેમણે કેટલી સહજતાથી ટાળી હતી !
અને તારને પણ ચકલીઓનો ભાર લાગતો નહોતો;
તારા-મારા સંવાદનું તે ચિત્ર હતું !
– રજની પરુળેકર
(અનુવાદ : જયા મહેતા)
તારની વાડ પર બેસીને ઝૂલતી ચકલી – એવા સામાન્ય ચિત્રમાંથી કવિ કેટલી સિફતથી એક અદભૂત વાત કહી દે છે એ તો છેલ્લી લીટીની ચોટ આવે ત્યારે જ સમજાય છે.
![]()
(રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અપ્રગટ ગઝલ)
જાણી ગયો છું આજ કશું જાણતો નથી
શું દર્દ ? શું ઈલાજ ? કશું જાણતો નથી.
સરકી ગયા છે પગ તળેથી જ્ઞાનના ઢૂવા
છું સ્થિર ભૂમિ પર આજ, કશું જાણતો નથી.
વ્યક્તિ, સમૂહની કશી રાખે નહીં તમા
વ્યક્તિ વિશે સમાજ કશું જાણતો નથી.
આંબી વિજયની રેખ ત્યાં છાલાં પડ્યાં પગે
માથા ઉપરનો તાજ કશું જાણતો નથી.
મધદરિયે મારી પાસે બચ્યા ફક્ત હાથપગ
ક્યારે તૂટ્યું જહાજ કશું જાણતો નથી.
મારી ભીતર છુપાયેલી કથનીઓ બાબતે
મારો પ્રગટ અવાજ કશું જાણતો નથી.
મારા અવાજનું હું તો કેવળ નિમિત્ત છું
છેડ્યું છે કોણે સાજ કશું જાણતો નથી.
મારા વિશે મને ન હો મારાથી રાવ કંઈ
બીજું શું છે સ્વરાજ કશું જાણતો નથી.
-રઈશ મનીઆર
કશું જાણતો નથી કહીને ઘણી બધી વાત અહીં કહેવાઈ રહી છે. ગઝલના મત્લામાં રઈશભાઈનો તબીબી વ્યવસાય કવિતાની કળામાં ઓગળતો દેખાય છે. જ્યારે કોઈ અગમ્ય બિમારી સામે તબીબ પોતાના હાથ હેઠા પડતા અનુભવે છે ત્યારે કોઈ ગેબી તાકાત સામે આ લાચારી જરૂર અનુભવાય છે. આખી ગઝલ અદભુત છે પણ હું રહી-રહીને ગઝલના આખરી શે’ર સામે પાછો ફરું છું. સ્વરાજ તમે કોને કહેશો? લાલા લજપતરાય, ભગતસિંહ અને ગાંધીએ જેના બી વાવ્યા હતા એ સ્વરાજની ભાવના આઝાદીના સાંઠ વર્ષ બાદ જુઓ તો, ક્યાં આવી પહોંચી છે ! દેશની આઝાદીથી લઈને અદના આદમી સુધી સમાન હક જેવા વિશાળ ફલક પર રચાયેલી સ્વરાજની વ્યાખ્યાઓ આજે કેટલી સીમિત બનીને રહી ગઈ છે એ વાત અહીં આબાદ દર્શાવાઈ છે. આજે મનુષ્યની આઝાદીના સીમાડાઓ એટલા બધા સંકુચિત થઈ ગયા છે કે મનુષ્યને પોતાને પોતાની જાત વિશે પોતાની જાત તરફથી કોઈ ફરિયાદ ન રહે એ પણ ખરું સ્વરાજ ગણાય… કદાચ આપણે ટૂંકા પાયા પર આટલું કરી શકીએ તોય ગાંધી-ઈચ્છ્યું સ્વરાજ પ્રાપ્ત થઈ શકે, ખરું ને? (દરેક જણ પોતાનું આંગણું સાફ કરે તો આખું વિશ્વ સાફ થઈ જાય!)
અને હા ! આ ગઝલ રઈશ મનીઆરે સ્વહસ્તે લયસ્તરો માટે ખાસ લખી આપી છે. કહેવાની જરૂર ખરી કે આ પણ એક સાવ નવી જ, તરોતાજા અને અત્યાર સુધી ક્યાંય પ્રગટ ન થયેલી ગઝલ છે!
વારી વારી જાઉં રે
મારા નાથનાં નેણાં ઉપર વારી-ઘોળી જાઉં રે;
વારી વારી જાઉં રે મારા નાથનાં નેણાં ઉપર
ઘેર ગંગા ને ગોમતી મારે, શીદ રેવાજી જાવું રે ?
અડસઠ તીરથ મારા ઘરને આંગણે,
નત તરવેણી ના’વું રે. – વારી0
શીદને કરું એકાદશી, શીદ ત્રીજે ટંક ખાઉં રે ?
નાથ મારાનાં નેણાં નીરખી,
હું તો પ્રેમનાં ભોજન પાઉં રે. – વારી0
શામળા-કારણે સેજ બિછવું, પ્રેમથી પાવન થાઉં રે;
નાચું નાચું મારા નાથની આગળ,
વ્રજ થકી બોલાવું રે. – વારી0
દાસી જીવણ સંત ભીમને ચરણે, હેતે હરિગુણ ગાઉં રે;
સતગુરુને ચરણે જાતાં
પ્રેમે પાવન થાઉં રે. – વારી0
-જીવણદાસ (દાસી જીવણ)
ઈસવીસનની અઢારમી સદીના ઉત્તરાર્ધ (આશરે 1755)ના આ કવિ ભક્તિરસમાં એટલા તરબોળ હતા કે નામ જીવણદાસ હોવા છતાં દાસી જીવણ તરીકે ઓળખાતા. રવિભાણ સંપ્રદાયના આ કવિને પ્રભુવિરહનાં આરતભર્યાં પદ-ભજન ખાસ હસ્તગત હતા. સંતપરંપરાના કવિએ યૌગિક રહસ્યાનુભૂતિ, ગુરુમહિમા તથા પ્રેમલક્ષણાભક્તિને તળપદા વાણીવળોટો, રૂપકો અને હિંદીની છાંટ સાથે સુંદર વાચા આપી છે.
ગુજરાતી ગઝલના આકાશમાં નાના-મોટા સેંકડો તારલાઓ રોજ ઊગતા રહે છે અને સમયની ગર્તમાં ક્યાં અને ક્યારે ખોવાઈ જાય છે એ ખબર પણ પડતી નથી. પણ કેટલાક તારાઓ અધિકારપૂર્વક આ આકાશમાં પ્રવેશે છે, પોતાનો પ્રકાશ પાથરે છે અને ધ્રુવતારકની પેઠે પોતાનું નિશ્ચિત અને અવિચળ સ્થાન જમાવવામાં સફળ રહે છે. ગુજરાતી ગઝલનું મક્કા ગણાતા સુરતમાં આવો જ એક તારો, નામે ગૌરાંગ ઠાકર પોતાના હિસ્સાનો સૂરજ શોધવા નીકળે છે. માત્ર એકાવન ગઝલોના એમના ગઝલ-સંગ્રહની ગલીઓમાં ફરીએ ત્યારે સહેજે ખાતરી થઈ જાય કે આ તારો ખરી જનાર નથી. એમની ગઝલમાં એક અનોખી કુમાશ અને તાજગી વર્તાય છે. સરળ રદીફ અને સહજ કાફિયાઓના ખભે બેસીને એમની ગઝલો વાંચતાની સાથે દિલમાં ઘર કરી જાય એવી છે. છંદો પરની પકડ પણ ધ્યાનાર્હ બની રહે છે. ભાષાની સાદગી અને શે’રનું આંતર્સૌંદર્ય એ આ કવિની પોતીકી ઓળખ બની રહે છે. એમના પહેલા સંગ્રહ, ‘મારા હિસ્સાનો સૂરજ’માંથી ચુનેલા થોડા પ્રકાશ-કિરણોમાં ચાલો, આજે થોડું ન્હાઈ લઈએ….
કોયલ કમાડે આવીને ટહુક્યા કરે છે રોજ,
અફસોસ ના રહ્યો કે આ નાનું મકાન છે.
આભને પણ છે વિચારોના દુઃખો,
ક્યાં રહે પળવાર પણ વાદળ વગર?
આવી ઝરૂખે જ્યાં તમે બસ ‘આવજો’ કહ્યું,
આગળ ચરણ ગયાં નહીં, પાછા વળી ગયાં.
સપના સુધી તો આવશો એ ધારણા હતી,
પણ આપ તો ખરા છો કે પાંપણમાં રહી ગયાં.
હું સાંકડી ગલીમાં રસ્તા કરી જવાનો,
માણસ સુધી જવાનો, આગળ નથી જવાનો.
હું છું જ કૈંક એવો, તું છોડ આ પ્રયત્નો,
તું ભૂલવા મથે ને, હું સાંભરી જવાનો.
હોવાપણું ઓ ઈશ્વર, તારું વિવાદમાં છે,
મારી તરફ હું તેથી, પાછો વળી જવાનો.
હું તો માણસ છું, મને છે વળગણો,
રોજ મનને અવગણીને શું કરું?
કોઈ મારા ઘર વિશે જાણે નહીં,
એટલી ભીંતો ચણીને શું કરું ?
હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.
પડછાયાની પૂજામાં રમમાણ રહે તું જીવનભર,
તારું તારી વચ્ચે હોવું ક્યાંક તને સમજાઈ જશે તો ?
તું રહે ખારો એ તારો પ્રશ્ન છે,
કેટલી નદીઓ તને મળતી હતી.
અહીં સીધા રસ્તા મળી જાય તો પણ,
કદી આપણી ચાલ લાવે વળાંકો.
ક્યાં અપેક્ષા હોય છે આભારની?
વૃક્ષ પર વરસાદની તક્તી નથી.
આ ઝાકળ સમું મળવું લંબાય માટે,
આ ઊગતા સૂરજને હું મોડો કરી દઉં.
કોઈ કારણ વગર મળે ત્યારે,
જાત મારી અમીર લાગે છે.
મારો પડછાયો પણ સૂરજ લઈ જાય,
ક્યાં હું અકબંધ ઘેર આવું છું.
તું આવ હે ગઝલ તને આજે ઉતારી લઉં,
કાલે કદાચ દર્દની ઓછી અસર મળે.
વધુ આગળ વાંચો…
રોનક છે એટલે કે બધે તારું સ્થાન છે
નહિતર આ ચૌદે લોક તો સૂનાં મકાન છે
દીવાનગીએ હદ કરી તારા ગયા પછી
પૂછું છું હર મકાન પર, કોનું મકાન છે.
દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ, આ ખાલી મકાન છે.
થાશે તકાદો એટલે ખાલી કરી જશું,
કીધો છે જેમાં વાસ, પરાયું મકાન છે.
બાળે તો બાળવા દો, કોઈ બોલશો નહીં,
નુકશાનમાં છે એ જ કે એનું મકાન છે.
કોને ખબર ઓ દિલ, કે એ ક્યારે ધસી પડે,
દુનિયાથી દૂર ચાલ કે જૂનું મકાન છે.
એને ફનાનું પૂર ડુબાડી નહીં શકે,
જીવન ‘અમર’નું એટલું ઊંચું મકાન છે.
– ‘અમર’ પાલનપુરી
આ ગઝલ પ્રિયતમાને સંબોધીને લખી છે અને એમાં વિષય પણ પરંપરાગત – પ્રણય-વિચ્છેદ-વિયોગ – નો જ છે. છતાંય ગઝલ એકદમ તાજી લાગે છે. ‘મકાન’ શબ્દને કવિ કેટલા બધા જુદા જુદા અર્થમાં વાપર્યો છે એ પણ જોવા જેવું છે.
(ફના=વિનાશ)
નિરુદ્દેશે
સંસારે મુજ મુગ્ધ ભ્રમણ
પાંશુમલિન વેશે.
કયારેક મને આલિંગે છે
કુસુમ કેરી ગંધ;
કયારેક મને સાદ કરે છે
કોકિલ મધુરકંઠ,
નેણ તો ઘેલાં થાય નિહાળી
નિખિલના સૌ રંગ,
મન મારું લઈ જાય ત્યાં જાવું
પ્રેમને સન્નિવેશે.
પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ
ત્યાં જ રચું મુજ કેડી,
તેજછાયા તણે લોક, પ્રસન્ન
વીણા પર પૂરવી છેડી,
એક આનંદના સાગરને જલ
જાય સરી મુજ બેડી,
હું જ રહું વિલસી સંગે
હું જ રહું અવશેષે.
– રાજેન્દ્ર શાહ
કવિ રાજેન્દ્ર શાહનું આ અવિસ્મરણિય ગીત એમના યુગના ગીતોમાં શિરમોર છે. જગતના સૌંદર્યને કોઈ બંધન વિના માણી લેવાની ઈચ્છાને કવિએ આ ગીતમાં મૂર્તિમંત કરી છે. આ ગીત સાથે નિરંજન ભગતનું ગીત ફરવા આવ્યો છું અને ઉમાશંકરનું ભોમિયા વિના તરત જ યાદ આવે.
(પાંશુ=ધૂળ, કુસુમ=ફૂલ, નિખિલ=સમગ્ર સૃષ્ટિ, સન્નિવેશ=છૂપો વેશ, બેડી=હોડી)
મૌન છળતું હોય છે,
ક્યાં ઉઘડતું હોય છે.
ફૂલસમ એકાંતમાં,
કોઇ રડતું હોય છે.
આ ધબકની શી વ્યથા?
શેં ધબકતું હોય છે?
એક ચાહક દિલમહીં,
નામ રટતું હોય છે.
કોણ છે? આ યાદમાં,
કેમ ભમતું હોય છે ?
કંટકો આગળ કદી,
ફૂલ નમતું હોય છે?
– કવિતા મૌર્ય
શબ્દનો અર્થ ન ઉઘડવાની ફરીયાદ તો ઘણી વાર કવિતામાં આવે છે. પણ અહીં તો મૌન ઉઘડતું ન હોવાની વાત છે. દિલ શા માટે હંમેશ ધડકતું હોય છે એ સવાલ કોઈ કવિને પૂછો તો શું ઉત્તર મળે ? – એ તો પ્રિયજનનું નામ રટતું હોય છે ! ને છેલ્લો શેર તો ગઝલનો સરતાજ શેર છે. કાંટા અને ફૂલનો સંબંધ અસંખ્ય વાર કવિતાઓમાં ખેડાયો છે. છતાં ય કવિ અહીં એક નવી વાત કરવામાં સફળ થયા છે. લયસ્તરોને આ ગઝલ મોકલવા માટે આભાર.
![]()
(મુકુલ ચોક્સીએ સ્વહસ્તે લયસ્તરો માટે લખી આપેલી અક્ષુણ્ણ ગઝલ)
પ્રલંબ જીવી જવાથી ગઝલ લખાતી નથી,
ને મોત વહેલું થવાથી ગઝલ લખાતી નથી.
નહીં તો સંતો ગઝલકાર થઈ ગયા હોતે,
ફકત પ્રભુની કૃપાથી ગઝલ લખાતી નથી.
મરીઝ જેવા સરળ પારદર્શી બનવું પડે,
ફકત શરાબ પીવાથી ગઝલ લખાતી નથી.
ગઝલ લખાય તો ક્યારેક અમથી અમથી લખાય,
અને નહીં તો કશાથી ગઝલ લખાતી નથી.
-મુકુલ ચોક્સી.
ગઝલોના લખાવા વિશે મુકુલ ચોક્સી કહે છે, “ગઝલોનું એવું છે કે લખાતી હોય ત્યારે ‘લખાતી હોવાની’ વાત મહત્ત્વની છે. તેના સંગ્રહની વાત અલ્પ મહત્ત્વની હોય છે. પણ ‘ન લખાતી’ હોય ત્યારે સંઘરવાની વાત મહત્ત્વની બને છે.” દરેક કવિના જીવનમાં નિષ્ક્રિયતાનો તબક્કો જરૂર આવે છે. આવા જ એક નિષ્ક્રિયતાના દૌરમાંથી પસાર થતી વખતે સમયના ખૂબ લાં…બા પટ ઉપર લખાયેલી ચાર જ શે’રની આ ટૂંકી ગઝલ ઘણું બધું કહી જાય છે. અરે હા! આ ગઝલ મુકુલભાઈએ પોતાના હાથે ખાસ લયસ્તરો માટે લખી મોકલાવી છે અને લયસ્તરો સિવાય ક્યાંય કોઈ પુસ્તકમાં કે સામયિકોમાં આજદિન સુધી આપે આ ગઝલ કદી વાંચી નહીં હોય એની પણ અમારી ગેરંટી…
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અક્સ્માતથી સર્જાય છે ઈશ્વર.
હેઠો મૂકાશે હાથને ભેગા થશે પછી જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય છે ઈશ્વર.
જો દૂર પેલી વસ્તીમાં ભૂખ્યા છે ભૂલકાં,
લાગે છે તને દૂરનાં ચશ્માં ય છે ઈશ્વર.
કે’ છે તું પેલા મંદિરે છે હાજરાહજૂર,
તું પણ શું ચકાચોંધથી અંજાય છે ઈશ્વર ?
થોડા જગતના આંસુઓ, થોડા મરીઝના શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?
એનામાં હું ય માનતો થઈ જાઉં છું ત્યારે,
મારામાં જ્યારે માનતો થઈ જાય છે ઈશ્વર.
-સૌમ્ય જોશી
ઈશ્વર ઉપર લખાયેલી ઢગલાબંધ કવિતાઓમાં આ ગઝલ એનું અલગ જ પોત લઈને મોખરે પહોંચતી હોય એવું નથી લાગતું? ભગવાનની આવી સુંદર ધોલાઈ કદી જોઈ છે ખરી? છ એ છ શે’ર એવા નિપજ્યા છે કે ભગવાન જો ક્યાંય હોય અને આ ગઝલ વાંચી બેસે તો અચૂક હાર્ટ-એટેક આવી જાય…
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:
મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.
ન ધરા સુધી,ન ગગન સુધી,નહીં ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી.
હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી.
છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;
ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી.
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હૃદયથી જાઓ નયન સુધી.
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી.
જો હૃદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી.
– ગની દહીંવાલા
ગનીચાચાની આ શિરમોર ગઝલ લયસ્તરો પર છે જ નહીં એવું જ્યારે શોધતા જણાયું ત્યારે આશ્ચર્યાઘાત અનુભવ્યો. લગભગ દોઢેક વર્ષ પહેલાં એસ.વી.ના બ્લૉગ પર આ ગઝલ મેં જ ટાઈપ કરીને મોકલી હતી ત્યારે હજી લયસ્તરોના કાફલામાં જોડાવાનું થયું નહોતું. એટલે આજે ત્યાંથી આ ગઝલ અહીં આયાત કરી રહ્યો છું. ગનીચાચાની આ ગઝલ એ રીતે તો અનન્ય છે જ કે આપણી ભાષામાં જવલ્લે જ ખેડાતા છંદ -લલગાલગા-ના આવર્તનો અહીં વપરાયા છે, પણ એ રીતે પણ અભૂતપૂર્વ છે કે આ ગઝલના સાત શે’ર એક જ અનુભૂતિના સાત સ્તરના ઈંદ્રધનુ સમા થયા છે. ગમે એટલીવાર વાંચો, આ ગઝલ વાંચતા જીવ ધરાય જ નહીં એની અમારી ગેરંટી…
હું એનું નામ શું આપું ? તું એનું નામ જાણે છે
ગગનમાં એકલે હાથે કરેલું કામ જાણે છે
એ નાહક સીધે રસ્તે ચાલવાને હઠ લઈ બેઠો
થયું શું આખરે એનુ એ આખું ગામ જાણે છે !
– ઉદયન ઠક્કર
કુંતલ
બાદલ
કીકી
કોયલ
આંસુ
હલચલ
જીવન
જંગલ
સંશય
સોમલ
શાયર
પાગલ
સારસ
‘ઘાયલ’
– ‘ઘાયલ’
જયારે ગુજરાતી ગઝલ પરંપરાગત માળખામાં જકડાયેલી હતી ત્યારે ‘ઘાયલે’ આવા પ્રયોગો કરેલા. કદાચ આજદિન સુધી લખાયેલી સૌથી ટૂંકી બહેરની ગઝલ છે. (જાણકારો શું કહો છો ?)
બીજા દૃષ્ટિકોણથી જોઈએ તો આ ગઝલ ફ્રોઈડના વર્ડ એસોશીએશન ના પ્રયોગોની યાદ અપાવે છે. વર્ડ એસોશીએશન ટેસ્ટ માં દર્દીને એક શબ્દ કહેવામાં આવે છે (દા.ત. પાણી) અને એના પરથી તરત જ મનમાં જે શબ્દ આવે, જરાય વિચાર કર્યા વિના, એ દર્દીએ કહેવાનો હોય છે. (દા.ત. પાણી સાંભળીને કોઈ કહેશે તરસ, તો કોઈ કહેશે દરિયો, તો વળી કોઈ કહેશે પ્યાલો) અને એના પરથી દર્દીના મનમાં ઊંડે દબાઈ ગયેલી યાદોને બહાર કાઢી શકાય છે. અહીં ગઝલના દરેક શેરમાં બે શબ્દ મૂકીને શાયર આવી જ રમત રમતા હોય એવું નથી લાગતું ?!
(કુંતલ=વાળની લટ, સોમલ=ઝેર)
પૂર્વધારણા : દરેક સાંજ એકાંતનું સંગીત હોય છે
પ્રત્યેક સાંજ લોહીમાં બાંધે છે રાફડો
લાચાર સૂર્ય પણ નભે ડૂબે છે બાપડો
ઉદાહરણ : જેવી રીતે આ દૃશ્ય સૌ આંખોમાં આથમે
ચશ્માના કાચ પર પડે ઝીણી ઝીણી તડો
પક્ષ: ડૂબે છે તારી યાદનો સારું છે આ સમય
નહીંતર તો લાંઘવી પડે એ ઊંચી ભેખડો
સાધ્ય: પડછાયો થઈ ગયા પછી માળા તરફ જવું
એવું શીખ્યો છે આટલી ઉમ્મરમાં કાગડો
સાબિતી: ચારે તરફથી આમ બસ કોરાવું કાળજે
મારી ગઝલ છે સાંજની જણસનો દાબડો
– નયન દેસાઈ
નવા પ્રયોગો કરવામાં નયનભાઈ કદી પાછળ પડ્યા નથી. એમની એબસ્ટ્રેક્ટ ગઝલો તો અદભૂત અર્થછાયાઓ રચી આપે છે. ( જુઓ મુકામ પોસ્ટ માણસ કે માણસ ઉર્ફે ) અહીં એમણે ગણિતમાં આવતા પ્રમેયનું માળખું ઉઠાવીને એમાં ગઝલની રચના કરી છે. આવી રચના જોઈને ઉદયન ઠક્કરનું એક પ્રશ્નપત્ર યાદ ન આવે એવું તો બની જ કેવી રીતે શકે !
ખાંડ ?
સાડાચાર રૂપિયે કિલો.
ઘઉં ?
ત્રણ રૂપિયે કિલો.
તેલ ?
સાડાઆઠ રૂપિયે કિલો.
બધી ચીજોના ભાવ વધતા જ રહે ત્યારે
હું ભગવાનને
એક જ વિનંતિ કરું છું:
પ્રભુ !
મારો જીગરી દોસ્ત
વરસને વચલે દહાડે
પોતાના નાનકાને મુંબઈ બતાવવા આવે,
ત્યારે
મને એવું કદી ન થાઓ
કે :
‘એ હવે ક્યારે જશે ?’
– ગુણવંત શાહ
![]()
(કિરણ ચૌહાણના સ્વહસ્તે ‘લયસ્તરો’ માટે લખેલી એક અક્ષુણ્ણ ગઝલ…)
રહે છે રોજ અધ્ધર શ્વાસ ને જંજાળની સાથે,
બધા પરણી ગયા છે જાણે કે ઘડિયાળની સાથે.
બધાની ખૂબ જૂની આળ ને પંપાળની સાથે,
સતત ઊંચે જવાનું હોય છે આ ઢાળની સાથે.
મળે, ભેટી પડે, બોલાવે મીઠી ગાળની સાથે,
તમારી જેમ નહિ, પૂરું કરે કોઈ આળની સાથે.
સજા આપી તરસ ને ભૂખથી મરવાની અમને… છટ્,
અમે વરસો સુધી કુસ્તી કરી દુષ્કાળની સાથે.
તમે ઘરડાઘરોને દાનમાં મા-બાપ દઈ દીધાં,
હવે પાયો ત્યજીને ક્યાં જશો આ માળની સાથે !
– કિરણસિંહ ચૌહાણ
ગયા અઠવાડિયે કિરણ ચૌહાણની એક તાજી અને અપ્રકાશિત ગઝલ એમના સ્વહસ્તે લખેલી માણી. એ જ શૃંખલામાં આગળ વધીએ અને આજે એમની એવી જ બીજી તરોતાજા અને અપ્રગટ ગઝલ, જે એમણે ખાસ ‘લયસ્તરો’ માટે સ્વહસ્તે લખી આપી છે એ માણીએ. વિશ્વ જેમ-જેમ નાનું થતું જાય છે એમ-એમ જીવન ઝડપી થતું જાય છે. મનુષ્ય જેટલી વધુ પ્રગતિ કરે છે, સમય એટલો જ ઓછો બચે છે એની પાસે. કવિને તો એવી શંકા પડે છે કે બધા ઘડિયાળ સાથે જ પરણી ગયા છે કે શું? આખી ગઝલ સ્વયંસિદ્ધ છે પણ આખરી શે’ર ખાસ દાદ માંગી લે એવો થયો છે. (કિરણભાઈના તળપદા લહેકામાં આ ગઝલ સાંભળીએ ત્યારે ‘વાહ…વાહ’નો પનો ટૂંકો પડતો લાગે).
નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ;
સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.
વાર્તા મેં સાંભળી છે, ચરણરેણુની અપાર;
અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.
આજીવિકા માહારી એહ છે, જુઓ મન વિવેક;
સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ-પાષાણ એક.
આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર;
બે મળીને શું જમે ? શી કરું તાં પેર ?
હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ-રેણે સ્ત્રી થાય;
તે માટે ગંગાજલ લેઈને પખાલો હરિ-પાય.
હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણ-શર્ણ;
નાવિકે ગંગાજલ લેઈને, પખાલ્યા તાં ચર્ણ.
-ભાલણ.
ઈ.સ.ની 15 સદીના ઉત્તરાર્ધમાં પાટણના વતની ભાલણ ઘણીરીતે આપણા સાહિત્યમાં ધ્રુવસ્થાન ધરાવે છે. એ આપણી ભાષાના પ્રથમ અનુવાદક છે. બાણભટ્ટની ‘કાદંબરી’નો એમણે સંસ્કૃત ગદ્યમાંથી સરળ અને રસાળ પદ્યમાં ગુજરાતી અનુવાદ કર્યો છે. ભાલણ ‘આખ્યાનનો પિતા’ પણ કહેવાય છે. પૌરાણિક કથાઓમાંથી કથા-વસ્તુ લઈને એણે સૌપ્રથમવાર આખ્યાનો રચ્યા છે. આખ્યાનને કડવાબદ્ધ રૂપે રજૂ કરનાર પણ એ પ્રથમ કવિ. એમનું ‘નળાખ્યાન’ ખૂબ પ્રસિદ્ધ છે. એમના પદોમાં કૃષ્ણભક્તિ અને વિશેષતઃ રામભક્તિનો રંગ ખાસ જોવા મળે છે. રામ અને કૃષ્ણની બાળલીલાઓમાં એમણે વાત્સલ્યભાવનું અદભૂત નિરૂપણ કર્યું છે. અહીં આ પદમાં રામે શીલામાંથી અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો એ વાત ટાંકીને ભગવાનના ચરણ પખાળવાનો મોકો આડકતરી રીતે માંગી લેતા નાવિકની વાત ખૂબ સરળ અને સહજ ભાષામાં કવિએ કરી છે.
બધું જલ્દી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એના ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે.
પ્રસંગો પર પ્રસંગો એ રીતે બનતા ગયા છે દોસ્ત,
કે હરદમ થાય માણસજાત પર વિશ્વાસ રહેવા દે.
વધારે હોય પૈસો યાર, તો માણસને ઊભા કર,
તું ઈશ્વરનાં નવાં મંદિર નવાં આવાસ રહેવા દે.
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે.
જરા તું દોસ્તોની ખાનદાનીનો મલાજો કર,
બધાની હાજરીમાં એમનો ઉપહાસ રહેવા દે.
તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે,
તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
પરમ તૃપ્તિ, પરમ સંતોષ, તારા કામની વસ્તુ,
હું શાયર છું, તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે.
-હિતેન આનંદપરા
હિતેન આનંદપરા ગઝલોની ગલીઓમાં ખૂબ ઝડપથી ઊભરી આવેલું નામ છે. એમની ગઝલો વાંચીએ તો ઘણીવાર રાજેશ રેડ્ડી કે નિદા ફાજલીને વાંચતા હોય એવું લાગે. બાળકો, ભગવાન, દોસ્તી – આ હાથવગા કલ્પનો એમની ગઝલોમાં સહજતાપૂર્વક પણ નવા આયામ સહિત ઉતરી આવે છે. ઘણીવાર વાતચીતની ભાષા એ રીતે કવિતામાં ગૂંથાઈ જાય છે કે આખો શે’ર વાંચ્યા પછી એક આંચકો અનુભવાય- શે’રમાં આ વાત પણ સંભવી શકે ખરી? પણ પછી એ જ શે’રને સહેજ અટકીને, એક શ્વાસ છોડીને ફરીથી વાંચીએ ત્યારે કવિની પીઠ થાબડવાનું મન થઈ આવે-વાહ દોસ્ત! આવો દાદુ શે’ર !! ઉદાહરણના તોર પર જુઓ આ શે’ર- તને પૂછ્યું છે તારું નામ, ખાલી નામ બોલી દે, તું તારા સાત કુળનો વૈભવી ઇતિહાસ રહેવા દે.
પ્રીત તો બે જ પ્રકારે વરતે;
પ્રિયસંમુખ એ ભજે સમાધિ
અથવા થનગન નરતે.
પ્રીત તો બે જ પ્રકારે બોલે;
ગહન મૌનથી થાય મુખર વા
છલકે ગીત કલ્લોલે.
– ઉશનસ્
પ્રીતને કાંઈ પણ સામાન્ય ન હોય. પ્રીત વિષે જે કાંઈ પણ હોય, છલકતું જ હોય ! ભલે એ સમાધિ જેવી લગની હોય કે અંગેઅંગ નાચી ઊઠે એવો ઉત્સાહ હોય. પ્રેમ મૌનથી પ્રગટ થાય કે પછી ગીતથી પણ એ બન્નેમાં અસિમ ઉત્કટતા હોવાની જ. પ્રેમની રીતને કવિએ સરસ રીતે આલેખી છે.
જલમની ભોમકા,
જનની નિજ,
નીંદ પાછલા પહોરની,
ગોષ્ઠી મિત્રોની,
ને મનનું માનીતું જે જન –
છે છોડવી કેટલી દોહ્યલી
વસ્તુ એ પંચ !
– હરિવલ્લભ ભાયાણી
હે ખુલ્લી જગાઓ,
તમે મને સતાવો નહીં
હું ફેક્ટરી નાખવાનો વિચાર કરું છું.
ઓ હરિયાળા જંગલો,
મને લલચાવો નહીં
મારે તમારા લાકડાનું કામ છે.
હે આકાશના વાદળો,
મને આકર્ષો નહીં.
મારે ધુમાડો છોડવો છે.
હે સુરીલાં વહેણો,
મને મોહિત કરો નહીં
મારે તમને બંધમાં બાંધવા છે.
હે લીલાછમ ડુંગરો,
મને લોભાવો નહીં
મારે તમને વીંધી નાખવા છે.
હે કુદરતના પ્રેમીઓ
મને ચળાવો નહીં
હું પ્રગતિ કરવા પ્રતિબદ્ધ છું.
– હિમાંશુ વ્હોરા
માણસે પ્રગતિની મોટી કિંમત ચૂકવી છે અને હજુ વધારે ચૂકવશે. પ્રગતિ તો માણસો મૂળ ગુણ છે. પ્રગતિની ઈચ્છાને છોડી શકવા તો લાંબે ગાળે આપણે કોઈ સમર્થ છીએ જ નહીં. એ સંજોગોમાં આપણે એવી રીતે પ્રગતિ કરતા શીખવાનું છે જેથી આપણે આપણી જાતને અને આપણી આજુબાજુના જીવજગતને ઓછામાં ઓછું નડીએ. અને એ કામ અશક્ય નથી જ. જુઓ એક અને બે.
રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.
– વિપિન પરીખ
ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
ચોક્કસ ઘટના જેવો છું હું,
તું આવે છે વ્હેલી મોડી.
બારી એવાં દૃશ્ય બતાવે,
ભીંતો કરતી જીભાજોડી.
ટુકડા શોધું અજવાળાનાં,
કોણે મારી સવાર તોડી ?
એક જનમની વાત નથી આ,
કાયમની છે માથાફોડી.
– ભાવેશ ભટ્ટ ‘મન’
ભાવેશ ભટ્ટનો આમ કોઈ પ્રત્યક્ષ પરિચય નથી પણ એની કવિતાઓમાં હંમેશા થોડી તાજગી અનુભવાતી હોવાથી જ્યારે પણ કોઈ સામયિકમાં એમની કવિતા નજરે ચડે ત્યારે એ વાંચી લેવાની ફરજ પડે છે. આ ગઝલ પણ ટૂંકી બહેરની છતાં મજાની છે. સાવ વાતચીતની ભાષામાં ફરતાં-ફરતાં ક્યારે કવિતાની અડફેટમાં આવી ચડાય એ પણ ખબર ન પડે એવી સાહજિક્તા અહીં આકર્ષે છે. (જો કે આખરી શેરમાં કાયમની માથાફોડી કઈ છે એ સ્પષ્ટ થતું લાગતું નથી એ થોડું ખટકે પણ છે).
‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?
તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.
અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.
સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?
અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’
– કિરણસિંહ ચૌહાણ
કેટલાક માણસો કાંદા જેવા હોય છે. તમે એમને જેટલી વાર મળો, એક નવું જ પડ ઉખડેલું જોવા મળે. તો કેટલાંક માણસો પારદર્શક કાચ સમા, ગમે ત્યારે મળો, આરપાર દેખી શકાય. માણસ તરીકે અને કવિ તરીકે પણ કિરણ ચૌહાણ પારદર્શક કાચ છે. અને એની પ્રતીતિ તમે એને મળો એટલે થોડીવારમાં થાય. પત્ની સ્મિતા, નાનકડા મસ્તીખોર પુત્ર પલ્લવ અને કિરણથી બનતા સુખી ત્રિકોણમાં પગ મૂક્યા પછી સમય કમળપત્ર પરના પાણીની જેમ સરકી જતો લાગે. કિરણભાઈના ઘરે બેસીને એમના સ્વમુખે એમની કવિતાઓના અસ્ખલિત ઝરણાંમાં તરબોળ થવાની મજા જ ઓર છે. લયસ્તરો માટે એકદમ તાજી જ લખાયેલી આ અક્ષુણ્ણ ગઝલ સ્વહસ્તે લખી આપવા બદલ ખૂબ આભાર, કિરણભાઈ! (ચોમાસું અને પૂરનો ભય સુરતને હજી આ વર્ષે પણ કેવો સતાવે છે એની ખાતરી આ ગઝલમાં અનાયાસ આવી ગયેલા પાણી અને પૂરના બે શે’ર પરથી થાય છે).
આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ?
એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે !
આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં,
દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે !
જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય છે,
ક્યાંક નીચે નોંધમાં મૃત્યુ મુકાતું હોય છે.
થાય છે મારું પ્રવાહીમાં રૂપાંતર એટલે,
નહિ તો ક્યાં વરસાદ સાથે વહી શકાતું હોય છે ?
ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી,
એ પછી તો માત્ર આડેધડ દઝાતું હોય છે.
-હેમેન શાહ
હેમેન શાહ વ્યવસાયે મુંબઈગરા તબીબ છે પણ કવિતાના દર્દનો વધુ અક્સીર ઈલાજ કરી શકે છે. શબ્દો એમની પાસે રુગ્ણની જેમ આવે છે અને અર્થનું આરોગ્ય પામીને પાછા ફરે છે. ત્રિપદી એમની ખાસિયત તો ગઝલ પ્રાણવાયુ છે. હેમેન શાહ પોતાની ગઝલ વિશે કહે છે, “સાહેબ, ગઝલની વાત જ કંઈ ઓર છે. શે’રના બે મિસરા જાણે ચકમકના પથ્થર છે અને ગઝલનું તત્ત્વ છે એ બેના ઘસાવાથી થતો તણખો. જે બે હાથોએ ચકમકના પથ્થર પકડ્યા છે એ અદૃશ્ય છે. એ અદૃશ્ય હાથ શે’રના અધ્યાહાર અને અભિપ્રેત અર્થો છે અને તણખો પેદા કરવાનું એ જ પરિબળ છે. રજૂઆતની ઢબ જ્યારે ઉચિત મળે છે ત્યારે ગઝલને વિષયની મર્યાદા બહુ નડતી નથી. પરંતુ ઘણીવાર સરળ વાત પણ ગાંડીવની માફક હાથમાંથી સરી જાય છે.” પ્રસ્તુત ગઝલના પાંચ શે’ર પાંચ તણખાઓથી એવા તણખા-મંડળનું સર્જન કરે છે કે ભાવકના મનમાં લાંબો સમય ટકી રહે એવો પ્રકાશ પથરાઈ જાય છે.
કાવ્યસંગ્રહ: ‘ક, ખ, કે ગ…’, ‘લાખ ટુકડા કાચના’, ‘-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ’ (પ્રતિનિધિ કવિતા). જન્મ: 09-04-1957
ચાડિયાની આંખ તળે ચકલીનો રાતવાસો,
સીમનું રખોપું કરે રેઢિયાળ ઊંઘ.
અંધકાર ખેડી રહ્યું તમરાંનું તીણું હળ,
કુણાંકુણાં ચાસમાં ઓરાય મીઠી ઊંઘ.
ગાતડીની ગાંઠ વાળી, શિયાળની લાળી ભેળી
રાતરાણી તણી ગંધ લણી રહી ઊંઘ.
ચાકડે ચડીને કૈંક સોણલાં ઉતાર્યા કરે,
નિંભાડામાં ધીરે ધીરે ઠરી જાય ઊંઘ.
ઘોડિયામાં ઘર આખું ઢબૂરીને મેડે ચડી,
………….. મૂંગીમૂંગી શરમાય ઊંઘ.
– માધવ રામાનુજ
માધવ રામાનુજની ગઝલ માટે એક શબ્દમાં કહેવું હોય તો કહી શકો ‘નાજુક’. આ ગઝલમાં પણ કવિએ મઝાના નાજુક કલ્પનોની લાહણી કરી છે.
કવિ ગઝલનો ઉપાડ સીમનું રખોપું કરતી રેઢિયાળ ઊંઘથી કરે છે. અને બીજા શેરમાં તમરાં જાણે હળની જેમ રાતને ખેડે છે અને એ ચાસમાં ઊંઘ ઓરાય છે એવી વાત કરી છે. મનના ચાક્ડે એક પછી એક સપના ઊતર્યા કરે અને પછી ધીમે ધીમે ઠરી જાય એ ઊંઘ – કેવું મઝાનું કલ્પન ! સૌથી સુંદર શેર તો છેલ્લો શેર છે. નાના છોકરાને ઘોડિયામાં સુવાડીને મા, પતિની બાજુમાં મેડે સુવા પડે છે ત્યારે – કદાચ આખા દિવસમાં પહેલી વાર મળેલા – એકાંતમાં એ ઊંઘવાનો ડોળ કરતી મૂંગીમૂંગી શરમાય છે !
શબ્દને તોડ્યો છે મેં ફોડ્યો છે;
તોડીફોડી યથેચ્છ જોડ્યો છે.
મારી રીતે મેં બાંધ્યો છે એને,
મારી રીતે મેં એને છોડ્યો છે.
સીધેસીધો નથી જો ખોડાયો,
ઉંધે માથે મેં એને ખોડ્યો છે.
શ્વાસે શ્વાસે મેં રૂંધ્યો છે એને,
રૂંવે રૂંવે મેં એને તોડ્યો છે.
શબ્દને મેં કદી ચૂમ્યો છે કદી,
જોરથી લાફો ગાલે ચોડ્યો છે.
મેં નથી માત્ર એના ગુણ ગાયા,
ધૂમ જાહેરમાં વખોડ્યો છે.
પીઠ પર એના સોળ છે ‘ઘાયલ’
શબ્દને મેં સખત સબોડ્યો છે.
– ઘાયલ
ગુજરાતીમાં આવી ગઝલ લખવાની તેવડ રાખનાર એક જ કવિ થયો છે અને એ છે ઘાયલ. બીજા કવિઓ શબ્દને પંપાળવાની વાત કરતા હોય છે જ્યારે ઘાયલ ? એ તો શબ્દને ગુલામની જેમ રાખવાની અને યથેચ્છ વાપરવાની વાત કરે છે ! ઘાયલસાહેબની રચનાઓમાં એમની ખુમારી ચારે બાજુ દેખાય છે. એમનું આ મુક્તક જુઓ તો ખ્યાલ આવશે કે ઘાયલની ખુમારી શું ચીજ છે ! લે ! અને શાનદાર જીવ્યો છું પણ સાથે જોવાનું ચૂકશો નહીં.
આડવાતમાં, ગઝલને તદ્દન જુદા અર્થમાં જુઓ તો ઘાયલસાહેબ ઉંઝાજોડણીની છાલ કાઢતા હોય એવું નથી લાગતું ?! આ અર્થ મનમાં રાખીને ગઝલ ફરી વાંચી જુઓ 🙂 🙂 🙂
આવી ન બર મુરાદ તો શ્રદ્ધા ઊઠી ગઈ,
પાયા ડગી ગયા તો ઈમારત પડી ગઈ;
માનવ રડ્યો તો માપસર આંસુ સરી પડ્યાં,
પથ્થર રડ્યો તો સિંધુ ને ગંગા વહી ગઈ !
– જલન માતરી
હરદ્વાર ગોસ્વામી ગુજરાતી ગઝલના આકાશમાં ઝડપભેર આગળ વધતું નામ છે. એમની ગઝલોની ગલીઓમાં ફરતાં-ફરતાં કેટલાક શેર જે મારા મનને હળવેથી પસવારી ગયા, એ અહીં રજૂ કરું છું. ભાષાની સરળતા અને બાનીની સહજતા આ બધા જ શેરોમાં ઊડીને આંખે વળગે છે. સાદગી જો એમની ગઝલોનું પહેલું ઘરેણું હોય તો અટકીને વાંચતા જે ઊંડાણ અનુભવાય છે એ બીજું છે-
ઠેસ મારી, વિચાર ચાલે છે,
હિંચકો ના લગાર ચાલે છે.
ઓશિકું આકાશનું હું પણ કરત,
આભની કિંમત જરા ઊંચી પડી.
એક લીલી લાગણીને પામવા,
એક માણસ કેટલો ઘરડો પડે.
લોકના હોઠે હજી ચાલ્યા કરે છે ક્યારની,
ચાર હોઠે વિસ્તરેલી વારતા પૂરી થઈ.
તારો ઇશ્વર તારા જેવો,
મારા જેવો મારો ઇશ્વર.
છબી કોઈ ખેંચો, તરત આ ક્ષણે,
આ એકાદ વરસે હસાયું હશે.
હોય ઈશ્વર, તો તને વંદન કરી,
દોસ્ત, તારા નામ ઉપર ચોકડી.
આપણું હોવું છુપાવો શી રીતે ?
છે અરીસો એ તો સામો બોલશે.
એક માણસ કેવી રીતે જીવશે ?
એક પડછાયાએ તાક્યું તીર છે.
પરમ કૃપાળુ પરમાત્માનો પ્રશ્ન પૂછો છો !
ઉત્તર છે એક જ તસતસતો, એની માને …
અંધારું છે એથી ના દેખાઉં પરંતુ,
દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.
કોઈ કૂંપળ કોળી ઊઠશે,
પથ્થરને પણ પાણી પાજે.
હું ગઝલનો શેર છું સાહેબજી,
તું મને અખબાર માફક વાંચ મા.
-હરદ્વાર ગોસ્વામી
જીવન જો કરશે કોઈ સવાલો તો શું થશે ?
ગમશે નહીં જો કોઈ જવાબો તો શું થશે ?
રસ્તો કરી અલગ ભલે ચાલી ગયા તમે,
યાદ આવશે જો મારો સહારો તો શું થશે ?
માંગી સફર મળે અને મનગમતો સાથ હો,
આંખોમાં ઘેલછા જો સજાવો તો શું થશે ?
તું તો જગત બનાવી નિરાકાર થઈ ગયો,
ઈશ્વર અમે બનાવ્યા હજારો તો શું થશે ?
મોજાંની રીત છે, તમે લખશો એ ભૂંસશે,
તો યે કિનારે ઘર જો બનાવો તો શું થશે ?
દોડ્યા કર્યું તમે તો ખુશી દોડતી રહી,
લેશો કદી જો ક્યાંક વિસામો તો શું થશે ?
છંદોમાં, કાફિયામાં, રદીફમાં કહું છું જે,
સંકેત જો સમજશે જમાનો તો શું થશે ?
અડધી સફર થઈ નથી, લાગી રહ્યો છે ડર,
ગમશે નહીં જો સામો કિનારો તો શું થશે ?
-હિમાંશુ ભટ્ટ
હિમાંશુ ભટ્ટનું નામ હવે ગુજનેટ-જગત માટે અજાણ્યું નથી. એમની સુંદર સ્વરચિત રચનાઓ આપ એમના પોતાના બ્લૉગ- એક વાર્તાલાપ – પર માણી શકો છો. એમની ગઝલમાં ઈશ્વરના નિરાકાર હોવાની ફરિયાદો સતત સાંભળવા મળે છે. ઊર્મિની અભિવ્યક્તિની તાજગી એ એમની લાક્ષણિક્તા છે. છંદ, કાફિયા અને રદીફના સહારા લઈને કવિ હંમેશા પોતાની વાત કરતો હોય છે, પણ જમાનો એ સમજતો-સાંભળતો નથી. જે દિવસે કવિતાની બે પંક્તિઓની વચ્ચે લખાયેલી કવિની આત્મકથા જમાનો વાંચી શક્શે એ દિવસે કયામત મચી જશે, એ વાત અહીં કેવી મસૃણતાથી એમણે કરી છે!
હું તો ધરાનું હાસ છું,
હું પુષ્પનો પ્રવાસ છું,
નથી તો ક્યાંય પણ નથી
જુઓ તો આસપાસ છું !
– રાજેન્દ્ર શુક્લ
થઈ અજાણી શહેરમાં આવ્યા પછીથી મા,
આઠ આનાની ચબરખીમાં જ મળતી મા.
હાથને ચૂમી ભર્યાનો થઈ ગયો અનુભવ,
સાવ કોરી પાટીમાં જ્યાં સ્હેજ ઘૂંટી મા.
શ્વાસ મારા એમ કૈં અમથા વધ્યા છે ક્યાં ?
રોજ ખરચાતી રહી છે થોડી થોડી મા.
આ વખત વરસો પછી હું જઈ રહ્યો છું ગામ,
આ વખત થાકી જવાનો હું ય શોધી મા.
આજ હું ‘બેદિલ’ રડ્યો ત્યારે થઈ છે જાણ,
ખૂબ ભીંજાતી હતી મારામાં કોરી મા.
-અશોક ચાવડા ‘બેદિલ’
મા વિશે ઘણા લેખકો અને કવિ લખી ચૂક્યા છે અને એવું ઉત્તમ અને એટલું બધું લખી ચૂક્યા છે કે લાગે, હવે મા વિશે વધુ લખવું કદાચ અશક્ય જ છે. પણ મા આજે પણ એક એવી અનુભૂતિ છે આ સંસારની, જેને જેટલા આયામમાં નિહાળો, ઓછા જ પડે. પ્રસ્તુત ગઝલમાં પણ શહેરમાં આવીને (કે અમેરિકા આવીને !) માને ભૂલી જતા હજારો ભારતીય સંતાનોની વાત છે. આઠ આનાના અંતર્દેશીય પત્ર વડે હાથમાંથી પારાની જેમ સરકી ગયેલા પુત્રને પકડવા હવાતિયા મારતી માની વાત જ્યારે પોતાના વધેલા શ્વાસ-વધેલી આવરદા- પાછળ ખરચાઈ ગયેલ માના રોજ-બ-રોજના ત્યાગના અહેસાસ સુધી પહોંચે છે ત્યારે થાય, મા વિશે ગમે તે લખો, ઓછું જ પડવાનું. ઈશ્વર વિશે લખવાનો કદાચ અંત આવી પણ જાય, પરંતુ મા વિશેના લખાણ માટે તો नेति… नेति… જ કહેવું પડે…
એકલતાઓ એમ વરસતી જાણે કે ચોમાસું
સાંજ પડે જેમ દીવા પ્રગટે એમ પ્રગટતાં આંસુ …
દૂર દેશની માયા ચીંધી લઈ લીધો મેવાડ
વર્ષો ઊંચાં વૃક્ષો આપી છીનવી લીધા પ્હાડ
મારામાંથી મને મૂકીને કોણ વળે છે પાછું … સાંજ પડે જેમ…
કલરવ પીંછાં સીમ ગામડાં યાદ મને છલકાવે
જીવવાની અફવાઓ પંખી શહેરોમાં ફેલાવે
છાતી વચ્ચે ઊમટી પડતું ઇડરિયા ચોમાસું… સાંજ પડે જેમ…
પીળાં પાંદડાં એમ ખરે છે ખરતું જાણે વ્હાલ
સાદ પાડતું કોણ મને એ ? પ્રગટે કેવા ખ્યાલ ?
તિમિરની કેડી પકડીને દૂર કેટલે જાશું ?… સાંજ પડે જેમ…
– મણિલાલ હ. પટેલ
દરિયાને તુચ્છ કહેવા તળિયા સુધી જવું છે
અથવા કોઈ સુખીના નળિયા સુધી જવું છે
સંસારના ભ્રમણની શી છે જરૂર મારે
હું તો પ્રવાસી ઘરનો, ફળિયા સુધી જવું છે
પહોંચીને થડની ટોચે પસ્તાયો છું હું અનહદ
વીતેલ યુગને મળવા મૂળિયાં સુધી જવું છે
એ જન્મટીપનો કેદી પોતે નવલકથા છે
એના હૃદયના બારીક સળિયા સુધી જવું છે
ત્યાં ચેન છે ? મજા છે ? ઉષ્મા છે ? જાણવાને
તારા અકળ નયનના તળિયા સુધી જવું છે
– એસ. એસ. રાહી
પ્રિયાની આંખમાં સદીઓથી કવિઓ ડૂબકી લગાવતા આવ્યા છે. પણ એની પાછળનું સાચું કારણ શું છે શોધવાની રાહીસાહેબની આ રીત સાવ અનોખી છે. (મૂળ નામ : શફક્કત સૈફુદ્દીન વર્ધાવાળા, જન્મ: 28-12-1952, કાવ્યસંગ્રહ: ‘પરવાઝ’, ‘ઘટના’, ‘થાક’).
આ વિચારો ક્યાં મને લઈ જઈ રહ્યા છે પાલખીમાં એ જ મારે જોવું છે
કોણ છે મારા નયનમાં. શ્વાસમાં ને ચામડીમાં એ જ મારે જોવું છે
કોઈ પંખીનું મજાનું ગીત, પીંછું, પાંખનો ફફડાટ અથવા કાંઈ પણ
વૃક્ષમાં છે કે નહીં ? છે તો પછી કઈ ડાળખીમાં એ જ મારે જોવું છે
આવ, મારા આંસુની ઓ તીવ્રતા તું આવ, તારી રાહમાં છું ક્યારનો
કેટલું વ્હેરી શકે છે તું મને આ શારડીમાં એ જ મારે જોવું છે
હું કશું બોલી શકું નૈ, સાંભળી પણ ના શકું, સ્હેજે વિચારી ના શકું
કોણ આ રીતે મને બાંધી ગયું છે લાગણીમાં એ જ મારે જોવું છે
કોઈ બાળક જેમ પાછો જીદ લઈ બેઠો સમય, એક જ રટણ બોલ્યા કરે
‘કૃષ્ણ જમના સોંસરા જે નીકળ્યા’તા છાબડીમાં એ જ મારે જોવું છે.’
-અનિલ ચાવડા
છંદના પ્રચલિત આવર્તનો કરતાં એક કે બે આવર્તન વધુ વાપરીને ગઝલને થોડી લાંબા બહેરની કરીને ધ્યાનાકર્ષક બનાવવું એ પણ એક ખૂબી છે. “ગાલગાગા”ના સામાન્યત: વપરાતા ચાર આવર્તનોમાં બે બીજા ઉમેરી અનિલ ચાવડાએ આ ગઝલને ગેયતાનો અલગ જ થડકો બક્ષ્યો છે. આવી જ અને આ જ છંદમાં એક વધારાનું આવર્તન ઉમેરેલી એમની એક ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો. લાંબી બહેરની આવી ગઝલો લખવાની ‘માસ્ટરી’ જવાહર બક્ષીની કલમમાં પણ જોવા મળે છે. અત્રે પ્રસ્તુત ગઝલ વિશે જો કે એક વાત જરૂર કહીશ, કે બહેર લાંબી કરવાના આયાસ આખી ગઝલમાં એવી રીતે ઓગળી ગયા છે કે આખી કૃતિ ખૂબ જ આસ્વાદ્ય બની રહી છે અને એ જ છે કવિની સાર્થક્તા…
એવા અનેક ચંદ્ર
આવી ગયા
ચાંદની આપી ગયા
પણ ચાંદની આપવા માટે
તેમણે માગ્યું હતું મૂલ્ય
મારા આકાશનું.
પણ તારો ચંદ્ર
એટલો આત્મમગ્ન
અને નિ:સ્વાર્થ
કે તેણે મારું
આકાશ તો ઠીક
પણ મારો અંધકાર પણ
માંગ્યો નહીં.
– કુસુમાગ્રજ (અનુ. જયા મહેતા)
બાપુ
બાપુએ જોયું
આદર્શ ભારતનું સ્વપ્ન
ભારતે બાપુને જ
આદર્શ સપનું બનાવી દીધા !
ફૂલો
સુગંધનુંયે વજન
ન ઊંચકી શક્તાં ફૂલો
સુગંધને પ્રસારી દે છે હવામાં.
મા
ધરતી પણ મા છે ને !
એ લાકડી ઉગામે તોયે
શેરડી રૂપે !
– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
ભુજમાં રહેતા આ કવિ લઘુકાવ્યો ઉપર મજાની હથોટી ધરાવે છે. આ ત્રણ લઘુકાવ્યમાં કયું ચડિયાતું છે એ નક્કી કરવું દોહ્યલું બની રહે તેમ છે. (જન્મ: 14-05-1951, કાવ્યસંગ્રહ: ‘ઑગન’.)
રોજ ઊઠી કેમ કરવો સામનો?
ચાલ, તોડી નાંખીએ આ આયનો!
ડર નથી વધઘટ થતી પરછાંઈનો,
અર્થ સમજાઈ ગયો ધૂપ-છાંવનો
દોડવું જીવન, અટકવું મોત છે,
ના સમય ફુરસદ અને આરામનો.
જિંદગીથી પર ઘડીભર જીવીએ,
પ્રશ્ન તો કેવળ રહે એક જામનો.
લોકમાં જેના વિશે શંકા હતી,
‘સૌમ્ય‘ માણસ નીકળ્યો એ કામનો.
– ગણપત પટેલ “સૌમ્ય”
નાની-નાની પંક્તિઓમાં અને સરળ મજાના શબ્દોમાં મસમોટી વાત કહી જાય એ કવિતા. સૌમ્ય ઉપનામ ધરાવતા આ કવિની શબ્દાવલિઓ પણ એવી જ સૌમ્ય છે અને તરત હૃદયના ઊંડાણ સુધી ટકોરા મારી આવે એવી મજાની છે. આ માણસ સાચે નીકળ્યો કામનો !
ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ
મોતની તાકાત શી મારી શકે?
જિંદગી તારો ઈશારો જોઈએ
જેટલે ઊંચે જવું હો માનવી
તેટલા ઉન્નત વિચારો જોઈએ
– શૂન્ય પાલનપુરી
ઘણી ઝડપથી ઘેરે પાછા વળવાનું છે,
ડૂબી જતો આ સૂરજ કહે છે : હવે અલ્પ ઝળહળવાનું છે.
જલદી ડાંફો ભરીભરીને રસ્તો ટૂંકો કરીએ,
પવન લહરમાં તરતાંતરતાં એમ જ પાછા ફરીએ,
પછી સમયનો ટેકો લઈને સુખશય્યામાં ઢળવાનું છે.
રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર,
અંધારું પણ પર્વ ઊજવશે સઘળાં ગાત્રો ભીતર,
પછી ઊંઘમાં એ રજવાડી સ્વરૂપ પાછું મળવાનું છે.
– રમેશ પારેખ
પરમ સખા મૃત્યુની અહીં વાત છે. ર.પા.ના શબ્દોનો જાદૂ અહીં જુઓ. મૃત્યુની ઘડીની વાત કેવી અદભુત રીતે કરી છે – રાત્રિ મૂકશે હાથ હળુકથી થાકેલા લોહી પર ! આગળ રજૂ કરેલી આ જ વિષય પરની કવિતાઓ પણ સાથે જોશો… મૃત્યુ ન કહો – હરીન્દ્ર દવે, મરતા માણસની ગઝલ – ઉદયન ઠક્કર અને શોભિત દેસાઈનું મુક્તક.
દૃશ્ય જેવાં દૃશ્યને ફોડી શકે તો ચાલ તું!
દૂર સન્નાટા સુધી દોડી શકે તો ચાલ તું!
કોઈ બાળક જેમ આળોટે અકારણ ધૂળમાં,
શ્વાસ તારા એમ રગદોળી શકે તો ચાલ તું!
વસ્ત્ર પાદર પર ઉતારી નાખવા તો ઠીક છે,
ઘર, ગલી ને ગામ તરછોડી શકે તો ચાલ તું!
મૌન ક્યાં છે મૌન, તિરાડો પડે છે હોઠ પર,
છેક અંદર ચીસને તોડી શકે તો ચાલ તું!
અંત ‘વંચિત’ અંત સામે આ ઊભો છે, લે હવે,
જીવવાની ઘેલછા છોડી શકે તો ચાલ તું!
-વંચિત કુકમાવાલા
ભુજના કુકમા ગામમાં જન્મેલા વંચિત કુકમાવાલાની આ ગઝલ કવિની સાથે ચાલી નીકળવાના પડકારના કારણે વધુ આસ્વાદ્ય બની રહી છે. બાળકના અકારણ ધૂળમાં આળોટવાની વાત અને વસ્ત્રને પાદર પર છોડી નીકળવાની વાત વધુ ગમી ગઈ. (જન્મ: 12-04-1955, કાવ્યસંગ્રહ: “એક આંખમાં સન્નાટો”)
ટાઈપસૌજન્ય: સાગરિકા પટેલ, વેરાવળ
તારા ગયાના કેટલા મીનિંગ થઈ શકે ?
ઝળહળતો હોય સૂર્ય ને ઇવનિંગ થઈ શકે.
ત્રાટકતી હોય વેદનાની વીજળી સદા,
કાગળમાં શબ્દ તારથી અર્થિંગ થઈ શકે.
સ્કૂટરની બેકસીટથી ડોકાઈ જાય તે,
ખાલીપો ફ્રંટ-ગ્લાસથી ફીલિંગ થઈ શકે.
એનાલિસિસ ફૂલનું કરતું રહ્યા પછી,
ક્યાંથી લીલેરી મ્હેંકનો સ્પેલિંગ થઈ શકે?
ઑગાળી તારી યાદનો આઈસ હાથમાં,
હોવાના હંસથી પછી સ્વિમિંગ થઈ શકે.
-ગિરીશ મકવાણા
ગુજલીશ ગઝલોનું પણ એક પોતીકું વિશ્વ છે. અદમ ટંકારવીએ ‘કોઈન’ કરેલા આ પ્રકાર પર ઘણા કવિઓએ હાથ અજમાવી જોયો છે. ગિરીશ મકવાણાની આ ગઝલ વાંચતાની સાથે ગમી જાય એવી ફાઈન છે. ખાલીપો પાછળની સીટ પરથી ફ્રંટ-મિરરમાં ડોકાવાની વાત વાંચતાની સાથે ગમી જાય એવી છે.
ગઈકાલે,
મારી
ખૂબ મહેનતથી લખેલી
બધી
છંદોબદ્ધ
પ્રેમ-કવિતાઓ,
અઘરા શબ્દોની
ચિતા સળગાવીને
સતી થઈ ગઈ છે.
બીજું કાંઈ થયું
નથી,
મને પ્રેમ થયો છે.
– અખિલ શાહ
પ્રેમ કરવો અને પ્રેમ-કવિતાઓ લખવી એ અલગ બાબત છે. પ્રેમના પહેલા પગરવે પ્રેમ-કવિતા પરનો પ્રેમ ભાગી છૂટે એમ પણ બને ! પ્રેમની અનુભૂતિના પગલે અઘરા શબ્દો અને ક્લિષ્ટ છંદોમાં રાચતી કવિતા ખરી પડે એ વાત મને તો તદ્દન સાચી જ લાગે છે, તમને શું લાગે છે ? વળી, અઘરા શબ્દો અને ક્લિષ્ટ છંદો ખરી પડે પછી જે બાકી રહે એ જ શું ખરેખર કવિતા નથી ?
દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર નહીં આવે.
છે મસ્તીખોર, કિંતુ દિલનો છે પથ્થર, નહીં આવે;
સરિતાને કદી ઘરઆંગણે સાગર નહીં આવે.
ચમનને આંખમાં લઇને નીકળશો જો ચમનમાંથી,
નહીં આવે નજરમાં જંગલો, પાધર નહીં આવે.
અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં,
તને જોઇ ધ્રુજારી આવશે, આદર નહીં આવે.
દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં,
ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે.
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે.
આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહીંતર,
લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે.
કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર,
’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે.
– ‘જલન’ માતરી
મૂળ નામ અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન – ખુમારી અને ખુદ્દારીથી ભરેલી ગઝલોના સર્જક, મુશાયરોમાં હુકમના પત્તા જેવા. આ ગઝલ શ્રી. મનહર ઉધાસે તેમના મધુર સૂરમાં ગાયેલી છે.