હું ઉદાસીના કૂવે ડૂબ્યો છું મિત્ર,
નાખ તારી હાજરીનું દોરડું.
ભાવિન ગોપાણી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કાવ્યપ્રકાર

કાવ્યપ્રકાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ (અનુ. વિવેક મનહર ટેલર)

તે રહેતી હતી વણકચડાયેલા રસ્તાઓ વચ્ચે
હિમાલયના ઝરણાંઓની પાસે.
એક નોકરાણી જેને વખાણનારું ત્યાં કોઈ નહોતું
અને ચાહનારું તો જવલ્લે જ.

શેવાળિયા પથ્થર તળેનું એક જાંબુડી ફૂલ
આંખોથી અડધું ઓઝલ !
– તારા જેવું શુભ્ર, જ્યારે એક જ
ચમકતો હોય આકાશમાં.
એ ગુમનામ જ જીવી, અને બહુ ઓછાં જાણી શક્યાં
કે લ્યુસી ક્યારે હયાત ન રહી;
પણ એ એની કબરમાં છે, અને, આહ
મને પડેલો ફરક !

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’… લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આપણી કલ્પનાનો વિષય છે. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ માત્ર પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ ખૂબ વિશદ ચર્ચા જગાવી છે.

એક લગભગ ગુમનામ નોકરાણી જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે ? શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ તળે આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય !

આ કવિતા વિશે વિષદ ચર્ચા આપ અહીં માણી શકો છો.

*

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.
She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

Comments (11)

ગઝલ – મિલિન્દ ગઢવી

રે લોલ સૂરજ થઈ જવાના કોડમાં હાંફી ગયા
રે લોલ દીવાઓ બિચારા હોડમાં હાંફી ગયા

આજેય સૂના કાંગરે પડઘાય કેસરિયો સમય
રે લોલ તારી યાદના ચિત્તોડમાં હાંફી ગયા

ક્યાં એકપણ રસ્તો હવે લઈ જાય મારી ભીતરે
રે લોલ મારા શ્વાસ પણ ઘરફોડમાં હાંફી ગયા

છેવટ મળી બે ગજ ધરા સૌ ઝંખના દફનાવવા
રે લોલ આથમવા સુધીની દોડમાં હાંફી ગયા*

તું આવ ત્યારે અર્થનું આકાશ લેતી આવજે
રે લોલ શબ્દો કાગળોની સોડમાં હાંફી ગયા

ઊગ્યાં કરે છે જંગલોના જંગલો છાતી મહીં
રે લોલ જ્યાં એકવાર લીલાં છોડમાં હાંફી ગયા

– મિલિન્દ ગઢવી

માનવીની અતૃપ્ત એષણાઓમાંથી જનમતી પીડાની ગઝલ… રે લોલનો ઊઠાવ લઈ જે રીતે એ આગળ વધે છે અને બધા શેરમાં જે રીતે સળંગસૂત્રતા નજરે ચડે છે એ પરથી આને ગીત-ગઝલ પણ ગણી શકાય. આમ તો બધા જ શેર ઉત્તમ છે પણ મને ઘરફોડ જેવા અનૂઠા કાફિયાને કવિ જે રીતે કવિતાની કક્ષાએ લઈ ગયા એ આ ગઝલની ઉપલબ્ધિ લાગે છે. શ્વાસની એકધારી આવ-જા અંદર કશુંક શોધવાની મથામણ ન હોય જાણે ! અને ભીતરનો ખજાનો પામવા જાણે એ ચોરની જેમ ઘરફોડી ન કરતા હોય !

(* લિયૉ તોલ્સ્ટૉયની વાર્તા ‘How much land does a man need?’ પરથી)

Comments (8)

ગઝલ – બાપુભાઈ ગઢવી

કંઈ સ્થિરતાની લાગણી અસ્થિરતાનો વ્હેમ
પૂરપાટ નદી વચ્ચે તરાપામાં હેમખેમ

તારા સ્મરણની સીમમાં પાણી-શો ખળખળું
દૃષ્ટિનું નામ ધોરિયા આંખોનું નામ ડેમ

કરચોની જેમ વાગતી રૂંવે રૂંવે ક્ષણો
જાણે ફૂટી ગયો હો સમય કાચઘરની જેમ

જ્યાં-ત્યાં બધે હવાઓ મને વીંઝતી રહે
ચકરાય શ્વાસશ્વાસ કો’ ગોફણમાં હોય એમ

દિવસો તો ગણી કાઢીએ એક્કેક કરીને
આ પ્હોરપ્હોર ભાંગતી રાતોનું કરવું કેમ ?

– બાપુભાઈ ગઢવી

ફેસબુક પરથી આ ગઝલ જડી આવી. કવિમિત્ર મિલિન્દ ગઢવીએ આ ગઝલ રજૂ કરતી વખતે સાથે જે પ્રતિભાવ મૂક્યો હતો એ જ અહીં મૂકવાની લાલચ રોકી નથી શકતો: “હૃદયની આરપાર નીકળી જાય એવી વાતોમાં મને પહેલેથી જ ઓછો રસ પડ્યો છે. હૃદયમાં રોકાય જાય એવું મને ગમે. અને આ ગઝલ વર્ષોથી હૃદયમાં રોકાયેલી છે.” (ગ.મિ.)

Comments (13)

અને – હેમેન શાહ

ધોમધખતા ઉનાળામાં ઊભેલાં વૃક્ષો
એકાએક
બંદગી માટે ઊઠેલા હાથ બની જાય છે.
આકાશ કોઈની ઉદાસ આંખ તો નથી ને ?
તડકો ભીંસે છે.. ચોમેરથી.

ત્યાં ટપ… ટપ…
આદિવાસી સ્ત્રીની પીઠ જેવો પથ્થર
હમણાં જ ભીનો થયો.
નદીનો વિષાદ ધોવાતો જાય છે
ધીમે ધીમે.

એક તાજું ફુટેલું તરણું
માથું ઊંચકે છે,
અને
નમી પડે છે આખું ચોમાસું.

– હેમેન શાહ

વર્ણનમાં કવિની બારીકી જુઓ. કવિ છેલ્લી ચાર લીટી ચોમાસું-વર્ષા-નવજીવન બધાને એક સાથે સાંકળી લે છે.

Comments (8)

ગઝલ – કૈલાસ પંડિત

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

મેંદી ભરેલા હાથમાં એવી ભીનાશ ક્યાં
તરસ્યા થયેલા હોઠને ભીના કરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત પણ
ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?

– કૈલાસ પંડિત

A timeless classic…..

Comments (13)

નડતર – જવાહર બક્ષી

જો   ચાલવા   ચાહીશ   તો   રસ્તો  થઈ  જશે,
પગલાં   જો   હું  ભરીશ  તો  નડતર હટી જશે.
નિષ્ફળ જશે આ રણ, મને તરસાવવામાં પણ,
રેતીની  પ્યાસ  આખરૅ  મૃગજળને  પી  જશે.

– જવાહર બક્ષી

Comments (5)

ગીત – મુકેશ જોષી

આપણે ઇચ્છા વિનાનાં વાદળાં
એક હડસેલો અને જાવું પડે જ્યાં પાધરા …. આપણે

ના દિશા વસવાટની કોઈ સ્થિતિ નક્કી નથી
જન્મ કે આ મોતની કોઈ તિથી નક્કી નથી
– ને વરાળોના લીધેલા શ્વાસ કેવા આકરા …
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

ક્યાંક અટકાવે પહાડો, ઝાડ કોઈ રાનમાં
ને દઝાડી જાય પેલી વીજ પોલા કાનમાં
આંખમાં દરિયો,છતાં નામ ખાલી વાદળાં
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

સૂર્યની ચાબૂક હરદમ સનસની વીંઝાય લો
આ વરસવાનું નથી, બસ આંખ છે ભીંજાય લો
એક આંધીની રમત વચ્ચે થતી જે જાતરા
આપણે ઇચ્છા વિનાનાં વાદળાં

-મુકેશ જોષી

Comments (6)

ગઝલ – પ્રમોદ અહિરે

એમાં સમાવું કેટલું ? – અનુભવની ખાણ છે;
કંઈ લઈ જવાશે ? – શબ્દનું નાજુક વહાણ છે.

એક દેહ, ચક્ર  સાત  અને  તત્ત્વ  પાંચ છે  –
એક્કેય  સાથે   તારે   કશી  ઓળખાણ  છે ?

પાંચેય  તત્ત્વ  લઈ  જશે, જે  એમનું છે  તે,
બાકી  બચી  જશે  જે, તે  મારી  પિછાણ છે.

‘હું’  ‘હું’  નહીં રહીશ, પછી  ‘હું’  રહીશ  ક્યાં ?
સમજો તો છે મજા ને ન સમજો તો તાણ છે.

પરપોટો જોતાં જોઈ મેં આખી મનુષ્યજાત –
ફૂટીને  જળ  થશે, છતાં  જળથી અજાણ છે.

અક્ષરથી ન પ્રગટ થયું ‘અક્ષર’ સ્વરૂપ અહીં,
અક્ષ્રરમાં   છેક   ઊંડે   લપાયું   લખાણ   છે.

– પ્રમોદ અહિરે

કવિની શબ્દયાત્રા સતત એના જીવનનું પ્રતિબિંબ ઝીલતી હોય છે. પ્રમોદ અહિરે ગઝલ વિશ્વમાં આવ્યા ત્યારે ‘પ્રિયે ! તું અહીંથી જવાની’ જેવા પ્રેમાસિક્ત નામાભિધાનવાળો સંગ્રહ લઈ આવ્યો… જીવનના એક નાજુક વળાંક પરથી કવિનો કાફલો જ્યારે દિશા બદલે છે ત્યારે આ જ યુવાકવિની વાતોમાં જીવનની ઉત્તમ ફિલસૂફી કેવી અનાયાસ આવી જાય છે !

કવિ જ્યારે પડખું બદલે ત્યારે આવી ઉત્તમ ગઝલો આપણને ભેટ મળે છે…

 

 

Comments (7)

નથી માગવી – જિજ્ઞા ત્રિવેદી

નથી માંગવી શ્વાસની આજ ભિક્ષા,
કરીશું અમે જિંદગીની પ્રતીક્ષા.

સમય સાથ આપે ન આપે ભલે ને,
દુઆ સાથ અમને મળી આજ દીક્ષા.

સમયના બહાને વફાની અમારી,
ભલે દોસ્તો પણ કરી લે પરીક્ષા !

બધાં દોષ દુર્ગુણ નજરમાં સમાવી,
અમે જાતની પણ કરી છે સમીક્ષા !

ગઝલના નશામાં કહી આ ગઝલ તો,
અમોને કરી આકરી કેમ શિક્ષા ?

– જિજ્ઞા ત્રિવેદી

Comments (7)

જલસા પડત – મધુસૂદન પટેલ ‘મધુ’

રંગ જેવું હોત સુંદર પોત તો જલસા પડત,
સહેજ એમાં મહેંક જેવું હોત તો જલસા પડત.

તું મળી એ વાતનો આનંદ દિલમાં છે જ છે,
તેં જો કીધું હોત કે ‘તું ગોત’ તો જલસા પડત.

જન્મ, જીવન, ઘર, ગૃહસ્થી એ બધાંની જાણ છે,
હાથ લાગ્યો હોત મારો સ્રોત તો જલસા પડત.

દોસ્તોને અલવિદા ના કહી શક્યો તારા લીધે,
જાણ કીધી હોત ને ઓ મોત, તો જલસા પડત.

થાક લાગ્યો, ઊંઘ આવી, તો ‘મધુ’ ઊંઘી ગયો,
આ સહજતા છેકથી જો હોત તો જલસા પડત.

– મધુસૂદન પટેલ ‘મધુ’

જલસા પડત જેવી રમતિયાળ રદીફને કવિએ કેવી બખૂબી નિભાવી છે. આખી ગઝલમાંથી એક પણ શેર નબળો ગણીને બાજુએ મૂકી શકાય એવો નથી… વાહ કવિ! જલસા પડી ગયા…

Comments (14)

કોણ પુશ્તુ બોલે ? – ઉદયન ઠક્કર

બંસુરીનો     નાદ-મંજુલ     મૂકીને
શ્રેષ્ઠ બનવા, સ્થાન અનુકૂલ મૂકીને,
હરકોઈને   જાવું    પડતું   હોય   છે
આખરે    પોતાનું    ગોકુલ  મૂકીને.

બસ, ગઝલ બે કાંઠ છલકાતી રહી,
માણસો  ચાલ્યા  ગયા, પુલ મૂકીને.

જોખમી  સ્વપ્નો  તળે  ભીંજાઈ જો,
છત્રીનું   રોજિંદુ   વર્તુલ    મૂકીને !

આટલા   ટહુકા?  ને તે પણ શ્હેરમાં?
કોણ   ‘પુશ્તુ’   બોલે  કાબુલ મૂકીને?

ચકલીઓનું   વૃંદ   ચાલ્યું  સાંજના,
ચાંચમાં   તડકાના   તાંદુલ  મૂકીને.

– ઉદયન ઠક્કર

ગઝલ એક છે પણ કથાઓની વણઝાર છે.

પહેલા બે શેર(કે એક મુક્તક)માં કવિ જન્મભૂમિ મૂકીને કર્મભૂમિમાં જવાની કપરી જરૂરતને વણી લે છે. (અમારા જેવાઓ વળી એમાં ભારત છોડીને આવવાના દુ:ખનો દિલાસો પણ શોધી લે છે.)

નદી છલકાઈ જાય, પૂરની નોબત આવે તો પુલને અસલામત ગણીને બંધ કરી દેવામાં આવે છે. જે નદી માટે સત્ય છે એ ગઝલ માટે પણ સત્ય છે ? સીમા ઓળંગી જાય તો ગઝલ પણ શું એટલી જ જોખમી થઈ જાય?  

જોખમી સ્વપ્નોમાં તરબતર થાય તો માણસ કદાચ ઊઘડી પણ જાય. પ્રાર્થના કરો કે એ છત્રી ઘરે જ ભૂલી જાય !

ગઝલનો સૌથી કોમળ પ્રયોગ હોય તો એ છે – ચાંચમાં તડકાના તાંદુલ. તાંદુલ શબ્દ આવે એટલે સુદામા અને એમની નાનકડી પોટલી યાદ આવ્યા વિના રહે ? આખા દિવસના વિરહ પછી બચ્ચાઓને મળવા પાછી જતી ચકલીઓ માટે આનાથી વધારે પ્રસન્ન-ચિત્ર દોરવું અશક્ય છે.

ને છેલ્લે વાત ગઝલના ટાઈટલ-શેરની. કાબુલીવાલાની અમરકથાની વાત છે. નાનકડી છોકરીની મીઠી વાતો કાબુલીવાલાને માતૃભાષા (અને પોતાની દીકરી) ય ભૂલાવી દેવા સક્ષમ હોય છે. (જો આ વાર્તા વાંચે ઘણો સમય થઈ ગયો હોય -અને રડવાની તૈયારી હોય- તો કાબુલીવાલા વાંચવા અહીં ક્લીક કરો.)

Comments (9)

નીકળ્યો’તો – મુકુલ ચોકસી

લોક એવું માનતા’તા કે એ મરવા નીકળ્યો’તો,
એક માણસ શૂન્યતા સાકાર કરવા નીકળ્યો’તો.

કારમી પ્રત્યેક વસ્તુ ચીસ કંઈ હોતી નથી,
હસતાં હસતાં તું શું એ પુરવાર કરવા નીકળ્યો’તો ?

વ્રુક્ષ હોવાનું મને ગૌરવ મળે એ હેતુસર શું ?
પાંદડાની જેમ મારો હાથ, ખરવા નીકળ્યો’તો ?

સ્હેજ સાયંકાળ વત્તા સ્હેજ પ્રાત:કાળ લઈને,
રાત બન્ને છેડેથી હું ટૂંકી કરવા નીકળ્યો’તો.

-મુકુલ ચોકસી

Comments (8)

શેર – રૂમી

अज मौतो हयात चंद पुरसी मन ?
खुर्शीद अज रौजनी दर अफतादो बेरफ्त ।

મોત અને હયાતી વિષે મને શું પૂછો છો ?
સૂર્ય[નો તડકો] એક બારીમાંથી આવ્યો અને નીકળી ગયો !

-રૂમી

બે લીટીમાં એક ઉપનિષદ છે !!!

Comments (5)

સુખદ સ્વપ્ન – સ્વામી વિવેકાનંદ

(ખંડ હરિગીત)

જો કાંઈ પણ મંગલ- અમંગલ થાય,
ને હર્ષ પણ થૈ બેવડો
જો મુખપરે છવરાય,
અથવા શોકનો ઊછળે સમંદર
એક એ તો સ્વપ્ન – એ એ એક જાણે નાટ્ય !
હા, નાટ્ય ! – મહીં પ્રત્યેકને કરવો રહે જ્યાં પાઠ,
ને પ્રત્યેકના છે વેશ,
જેવી ભૂમિકા નિજની પ્રમાણે
હાસ્ય હો કે હો રુદન !
હોય તડકી-છાંયની આવાગમન !
ઓ સ્વપ્ન ! રે, સુખાળવા ઓ સ્વપ્ન !
દૂર કે સામીપ્યમાં પ્રસરાવી દે
તારું ધૂસર એ દૃશ્ય પટ,
તીવ્ર ધ્વનિઓને ધીમા કર,
રૂક્ષ ભાસે તેહને કર કોમળા,
તારા મહીં શું ના દીસે કોઈ ઇલમ ?
તવ સ્પર્શથી પથરાય
લીલીકુંજ તો વેરાનમાં,
ભેંકાર સૌ ગર્જન-મધુરતમ ગાનમાં !
આવી પડેલું મોત પણ
શી મિષ્ટતમ મુક્તિ બને !

– સ્વામી વિવેકાનંદ
(અનુવાદ – ? ભાનુપ્રસાદ પંડ્યા)

આજે બારમી જાન્યુઆરી સ્વામીજીની જન્મજયંતી એટલે સાર્ધ શતાબ્દિનો મંગલ દિન છે. સ્વામીજી આજે પણ એટલાજ contemporary છે. આ કવિતા એમણે ૧૭મી ઓગસ્ટ, ૧૯૦૦ના રોજ પેરીસમાં લખી સિસ્ટર ક્રિસ્ટાઇનને મોકલાવ્યું હતું.

જીવનની તડકી-છાંયડી એ એક સ્વપ્ન કે નાટક માત્ર છે એમ કહી સ્વામીજી દરેકને પોતપોતાનો ‘રોલ’ ભજવી લેવા આહ્વાન કરે છે. અને જિંદગી નામના સ્વપ્ન પાસે જ એની રૂક્ષતા, ભેંકારતાનો ઇલાજ પણ માંગે છે. ઇશ્વરપ્રેમનો સ્પર્શ આ સ્વપ્નને મળે તો વેરાન પણ લીલુંછમ બને અને મૃત્યુ પણ મીઠી મુક્તિનો માર્ગ બને.

સ્વામીજીની એક બીજી મજાની રચના – વહેલાં ખીલેલાં વાયોલેટ ફૂલને – પણ આપ લયસ્તરો પર માણી શકો છો.

Comments (7)

ગઝલ – હરીશ ઠક્કર

સાવ સ્વાભાવિક, સહજ હોતી હશે,
શ્વાસના લયમાં તરજ હોતી હશે.

હોય તો હમણાં જ તત્ક્ષણ હોય એ,
અંતવેળાએ સમજ હોતી હશે ?

હું નથી પહોંચ્યો હજી મારા સુધી,
મારે તે કરવાની હજ હોતી હશે ?

સ્હેજ ભીની થાય તો ઊગે કશુંક
આંખને જળની ગરજ હોતી હશે.

સાવ સાદી ને સરળ તો વાત છે-
બીજથી જુદી ઉપજ હોતી હશે ?

– હરીશ ઠક્કર

ચુસ્ત કાફિયા સાથેની ચુસ્ત ગઝલ.. એકદમ પ્રવાહી ગઝલ…  પણ મને તો કવિશક્તિના સાચા દર્શન મત્લાના શેરમાં થયા. શ્વાસથી વધુ સાહજિક અને સ્વાભાવિક ઘટના આપણા જીવનમાં બીજી કઈ હોઈ શકે ? આ બાબતને કવિએ સહજ અને તરજ જેવા કાફિયાઓમાં કેવી અદભુત રીતે વણી લીધી છે !

 

Comments (13)

સાંભળ્યું ? – પરાજિત ડાભી, તમન્ના આઝમી

મેં તને જે પણ કહ્યું, તેં સાંભળ્યું ?
બાગને તેં રણ કહ્યું, મેં સાંભળ્યું.

પ્રેમનું કારણ કહ્યું, તેં સાંભળ્યું ?
છીછરું તારણ કહ્યું, મેં સાંભળ્યું.

આંખને દર્પણ કહ્યું, તેં સાંભળ્યું ?
આંસુઓનું ધણ કહ્યું, મેં સાંભળ્યું.

ઘાવ તારા ગણ કહ્યું, તેં સાંભળ્યું ?
ને ફરીથી ખણ કહ્યું, મેં સાંભળ્યું.

છે કશું સગપણ? કહ્યું, તેં સાંભળ્યું ?
ના, નથી ગળપણ કહ્યું, મેં સાંભળ્યું.

– પરાજિત ડાભી, તમન્ના આઝમી

બધી જ રીતે અનૂઠી ગઝલ. આમ ગણો તો મત્લા ગઝલ અને આમ ગણો તો રદીફ ખરેખર કઈ એ વિશે પ્રશ્ન જાગે. આને યુગ્મ (ડ્યુએટ) ગઝલ ગણી શકાય અને કવિ પણ પહેલી નજરે બે લાગે.

જો કે મારી જાણકારી મુજબ તમન્ના આઝમી એ પરાજિત ડાભીની ડામી ન શકાયેલ અપરાજિત ઇચ્છાઓનું જ બીજું નામ છે… 😉

Comments (18)

ઘર-બંદર – લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

અમારા સંબંધ માટે લોકોને કૌતુક છે.
લોકોનું કહેવું છે-તેઓ માને છે-કે સંબંધ સુંવાળો હશે.
હું પણ માનું છું સુંવાળો છે,
જોકે જાણવું મુશ્કેલ છે,ક્યારેય મેં એ રીતે
વિચાર્યું નથી.

કેન્ડલલાઈટમાં ડીનર
અને ફક્કડ શરાબથી
કામ ચાલે છે
પણ,
નાંગરવા વિશે, ને
મારાં મૂળિયાં ઊખડી ન જવા પામે એ વિશે
બેફિકર થવા
મારે ક્યારેક ક્યારેક
મથામણ તો કરવી જ પડે છે.

-લિન શિલ્ડર – અનુ. જગદીશ જોષી

બહુ જ સૂક્ષ્મ ઈશારો છે…. ધ્યાનપૂર્વક બે-ત્રણ વાર વાંચતા તે સમજાય છે…. નાયિકા સ્વ ને છોડવા નથી માંગતી…. પણ તે તેનું conscious decision છે. આ નિર્ણયને વળગી રહેતા તે પ્રેમની મસ્તી માણી નથી શકતી. સ્વ ને છોડવાની કોશિશ કરવી પડે છે,સહજ રીતે તે છૂટતું નથી ….અર્થાત સંબંધ હજુ તે ઊંડાણ સુધી પહોચ્યા નથી . હજુ તે કેન્ડલ લાઈટ ડીનર અને ફક્કડ શરાબના સ્તર ઉપર જ છે.

Comments (4)

ચાલ, ફરીએ ! – નિરંજન ભગત

ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હૃદયનુ વ્હાલ ધરીએ !

બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !

એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !

-નિરંજન ભગત

કાવ્યની સુંદરતા તેની સરળતામાં છે. જેમ જેમ કવિનું કદ વધતું જાય તેમ તેમ તેની વાણીમાં લાઘવ અને સરળતા આવતી જાય…..

Comments (9)

ઠીક છે – આબિદ ભટ્ટ

કાલની જો કળ વળે તો ઠીક છે,
આજ સહેવા બળ મળે તો ઠીક છે.

ક્ષણ સુખદ, ભૂલી પડે, એને હણે,
એ સ્મરણની પળ ટળે તો ઠીક છે.

છે સમય અસ્તિત્વના સંઘર્ષનો,
કૈંક રસ્તો નીકળે તો ઠીક છે.

લોક જીવે સાવ બ્હેરા કાન લઈ,
ચીસ જો તું સાંભળે તો ઠીક છે.

રિક્તતા લઈ ઘેર જાવાનું ફરી,
સાંજ વ્હેલી ના ઢળે તો ઠીક છે.

‘હું’પણાના લાખ આંટા વાળેલા,
દોરડીના વળ બળે તો ઠીક છે !

– આબિદ ભટ્ટ

આજના ગઝલના અતિરેકના દોરમાં આવી સાદ્યંત સુંદર અને સંતર્પક ગઝલ મળે એ મોતી ઉપલબ્ધિ ગણાય. બીજા નંબરનો શેર થોડો ગૂંચવાડાભર્યો લાગ્યો પણ એ સિવાય એક-એક શેર પાણીદાર. ‘સિંદરી બળે પણ વળ ના મૂકે’ની કહેવતનો આધાર લઈ દોરડી નહીં પણ એના વળને બાળવાની વાતને જાત નહીં પણ ‘હું’પણા સાથે સાંકળે છે ત્યારે એક ઉત્તમ શેર આપણને મળે છે…

Comments (10)

વાંચે છે – અનિલ ચાવડા

શબ્દે શબ્દે તેજ ખરે છે, કવિ કવિતા વાંચે છે,
ઇશ્વર પોતે કાન ધરે છે, કવિ કવિતા વાંચે છે.

રતુંબડા ટહુકાઓ પ્હેરી આવી બેઠાં પંખીઓ સૌ,
ટહુકાઓ ઇર્ષાદ કરે છે, કવિ કવિતા વાંચે છે.

એકેક પાંદડે જાણે કે હરિયાળીની મ્હેંદી મૂકી,
ડાળે ડાળે સ્મિત ઝરે છે, કવિ કવિતા વાંચે છે.

આગ, પવન, જળ, આભ, ધરા આ પાંચે જાણે,
આવ્યા થઈ મહેમાન ઘરે છે, કવિ કવિતા વાંચે છે.

ભીતરથી ભીંજાવાની એ ટપાલ સહુને વ્હેંચે છે,
શ્વાસે શ્વાસે ભેજ ભરે છે, કવિ કવિતા વાંચે છે.

– અનિલ ચાવડા

કવિતા વિશે તો ઘણા કવિઓ કવિતા કરી ગયા, કરતા રહેશે પણ કવિ કવિતા વાંચતો હોય એ ધન્ય ઘડીએ ખુદ ઇશ્વર કાન લગાવી ઊભો રહે અને પંચત્ત્વ આતિથ્ય સ્વીકારતા હોય એવી કલ્પના તો અનિલ જેવો નસ નસમાં મૌલિકતા લઈ જન્મેલો કવિ જ કરી શકે. વાંચીએ, ગણગણાવીએ અને ભીતરથી ભીંજાઈએ…

Comments (19)

નથી રહ્યો – અનંત રાઠોડ

નથી રહ્યો હું વાડનો, મકાનનો નથી રહ્યો,
હું સાંકળે તો છું જ પણ કમાડનો નથી રહ્યો.

દીવો ઉઠાવી અંધકાર શોધવા ગયો હતો,
બસ આજ લ્હાયમાં હવે ઉજાશનો નથી રહ્યો.

તરસ મને ગળે લગાવી અંતમાં રડી પડી,
ખબર મળી જ્યાં તટ ઉપર, તળાવનો નથી રહ્યો.

દશે દિશાઓમાં હવે તલાશવો પડે મને,
હું કોઈ એક પંથ કે વળાંકનો નથી રહ્યો.

ચણ્યો હતો તેં કેટલા વિભાગમાં મને ‘પ્રણય’
અસર છે એની કે કોઈ પ્રકારનો નથી રહ્યો.

– અનંત રાઠોડ

આમ તો આખી ગઝલ સરસ પણ છેલ્લી બે શેર અનંત પ્રભાવ છોડી જાય એવા…

Comments (9)

– ભૂલ -જગદીશ જોષી

પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ :
પ્રેમથી કઠ્ઠણ થઈ ગયું છે જીવન જાણે ભૂલ !

અરસપરસની વાત : રાત તો દીવાલ પરનો રંગ,
દીવાલ પાછળ ઝૂરી રહે છે જીવ બનીને તંગ
કુરુક્ષેત્ર પર વાવી દીધું આખુંયે ગોકુળ :
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

હોઠે ભમતાં ગીતની પાછળ અવળાસવળા સૂર,
આગળ પાછળ પાગલ પગલાં : પ્રાણ વહે છે દૂર;
સરવર, તારા તળિયે જોને ધૂળ,ધૂળ ને ધૂળ !
પાણી-કઠ્ઠણ દરિયો ને આ સુવાસ-કઠ્ઠણ ફૂલ.

-જગદીશ જોષી

પહેલી પંક્તિ જ સોંસરવી ઉતરી ગઈ….. એક અકથ્ય વેદનાનું કાવ્ય છે……વ્યક્તિ સ્વ-ભાવ ગુમાવી બેઠી છે કે પ્રકૃતિ ? જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ…..

Comments (7)

હિન્દી કાવ્ય – [ ઓશો ]

जब तक यह शीशे का घर है
तब तक ही पत्थर का डर है

हर आँगन जलता जंगल है
दरवाजे सांपो का पहरा
ज़रती रोशनियों में अब भी
लगता कहीं अँधेरा ठहरा

जब तक यह बालू घर है
तब तक ही लहरों का डर है

हर खूँटी पर टंगा हुआ है
जख्म भरे मौसम का चेहरा
शोर सडक पर थम हुआ है
गलियों में सन्नाटा गहरा

जब तक यह काजल का घर है
तब तक ही दर्पण का डर है

हर क्षण धरती टूट रही है
जर्रा-जर्रा पिघल रहा है
चाँद-सूर्य को कोई अजगर
धीरे-धीरे निगल रहा है

जब तक यह बारूदी घर है
तब तक चिनगारी का डर है

[ આ કાવ્યના કવિ વિષે કોઈ માહિતી નથી . જો કોઈ ભાવકને હોય તો પ્રકાશ પાડવા વિનંતી . કાવ્ય ઓશો રજનીશના પુસ્તક “અથાતો ભક્તિ જીજ્ઞાસા” માંથી લીધું છે .]

સમગ્ર તકલીફ identification [ મોહ ] ની છે . કાવ્યનો મૂળ સૂર identification થી આપણને સાવચેત કરવાનો છે….

Comments (9)

ક્યારે સવાર થાશે? – કુલદીપ કારિયા

અટકાવ તું ભલેને તો પણ ધરાર થાશે
આંખોની જેલ તોડી આંસુ ફરાર થાશે

અહિયાં તો દિવસે પણ અંધારપટ છવાયું
કોઇ કહો, ખરેખર ક્યારે સવાર થાશે?

સમજાવ એમને તું, છેટા રહે નહીતર
તારા વિચાર મારા હાથેથી ઠાર થાશે

વૃક્ષોની જેમ જીવન જીવવાનું છે અડીખમ
વરસાદ, ટાઢ, તડકો સઘળું પસાર થાશે

કેવી જમીન છે આ? વાવો તો કંઈ ઊગે નૈ
વાવો નહિ તો ઊગશે, ઊગી અપાર થાશે

– કુલદીપ કારિયા

મજાની અર્થગંભીર ગઝલ…

Comments (9)

નથી – કિરીટ ગોસ્વામી

કોઈ વાતે માનવાનું તો નથી,
મન બીજાને ચાહવાનું તો નથી !

તોય લઉં છું રાહ જોવાની મજા :
કોઈ ઘરમાં આવવાનું તો નથી !

હું જ મારી આગમાં આખર બળીશ;
કોઈ તારું દાઝવાનું તો નથી !

સાવ કાચું લાગણીનું ફળ ખરે;
એ સમજથી પાકવાનું તો નથી !

ભાગ્ય મારું, બંધ પરબીડિયું ‘કિરીટ’,
કોઈ આવી વાંચવાનું તો નથી !

– કિરીટ ગોસ્વામી

સાંગોપાંગ આસ્વાદ્ય ગઝલ…

Comments (9)

સાગરતટે… – વાડીલાલ ડગલી

નીચે હલેસાંનો ખળભળાટ,
ઊંચે બે પાંખોનો ફફડાટ.
બેય તરે,
બેય કરે,
નીલ મૌનનો મલપતો ઝંકાર
પવનના ઢાળ પરે
બેય સરે
ક્ષિતિજના ક્ષુધાતુર અંતરપટે.

– વાડીલાલ ડગલી

શ્રી સુરેશ દલાલના શબ્દોમાં આ કાવ્ય:

આ કાવ્ય કવિની પ્રતિભાનો પરિચય એટલી હદે આપે છે કે આ કાવ્યના સંદર્ભમાં જ કવિ વાડીભાઈને પૂરેપૂરા પામી શકીએ.

હલેસાં અને પંખીને અડખેપડખે મૂકીને કવિએ પોતાની દૃષ્ટિના વ્યાપમાં ધરતી અને આકાશને સમાવી દીધાં છે. પંખી આકાશ-સમુદ્રની હોડી છે તો હોડી એ સમુદ્રનું પંખી છે. હલેસાં અને પાંખોના ખળખળાટ અને ફફડાટની વચ્ચે કવિને તો સંભળાય છે કેવળ મૌનનો ઝંકાર. પણ આ મૌનને પણ એનો રંગ છે. અને એટલે જ કવિ કહે છે: “નીલ મૌનનો મલપતો ઝંકાર”. અમૂર્ત પવનને કવિએ મૂર્ત કર્યો છે “પવનના ઢાળ પરે” કહીને.

Comments (4)

ગઝલ – ફૈઝ અહમદ ફૈઝ અનુ.- હરીન્દ્ર દવે

બંને જગતને તારી મહોબતમાં હારીને,
ક્યાં જઈ રહ્યો કોઈ વિરહ રાત્રિ ગુજારીને.

વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.

તક આ ગુનાહની અને ચાર જ દિવસ મળી,
જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
તુજથી યે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.

એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ,
નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ.

– ફૈઝ અહમદ ફૈઝ અનુ.- હરીન્દ્ર દવે

दोनों जहान तेरी मोहब्बत मे हार के
वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

वीराँ है मयकदः[1] ख़ुमो-सागर[2] उदास हैं
तुम क्या गये कि रूठ गए दिन बहार के

इक फ़ुर्सते-गुनाह मिली, वो भी चार दिन
देखें हैं हमने हौसले परवरदिगार[3] के

दुनिया ने तेरी याद से बेगानः कर दिया
तुम से भी दिलफ़रेब[4] हैं ग़म रोज़गार के

भूले से मुस्कुरा तो दिये थे वो आज ’फ़ैज़’
मत पूछ वलवले दिले-नाकर्दःकार[5] के

शब्दार्थ:

↑ शराबघर
↑ सुराही और जाम
↑ ईश्वर, ख़ुदा
↑ दिल को धोखा देने वाले
↑ अनुभवहीन हृदय

Comments (7)

ગઝલ – હેમંત ધોરડા

એકધારો ધીમે ધીમે રૂમમાં પંખો ફરે,
બલ્બનો અજવાસ મૂંગો ભીંતથી ખરતો રહે.

ધૂંધળાતા ધૂમ્રસેરોમાં વિખેરાતા શબદ,
એક કાગળ કોરો કાળા મેજ પર કોરો રહે.

લાકડાની બારી,બારીનો જરા તૂટેલો કાચ,
એક ટુકડો ઝાંખા તડકાનો સ્મરણ જેવો પડે.

પરદા છેડા પરથી ફાટેલા જરા હલતા નથી,
એક અટકેલો સમય પણ ના હલે કે ના ચાલે.

છતથી ગળતાં પાણીનાં ધાબા પડે દીવાલોમાં,
અણકથી એક વાત પણ ગૂંગળાય ગૂંગળાય કરે.

-હેમંત ધોરડા

એક ઓરડામાં આખું ભાવવિશ્વ ખડું કરતી અનોખા અંદાઝની એક સશક્ત ગઝલ….

Comments (12)

ખસેડીને – હરીશ ધોબી

નડ્યાં’તા કંટકો જ્યાં ખૂબ એડીને
ફરી પાછી મેં પકડી એ જ કેડીને

બધીયે શાંત ઇચ્છાઓ કરી દીધી
સદા માટે મેં પાણી ઠંડુ રેડીને

નથી સંભાવના વરસાદની કોઈ
અને ખેતર મેં મૂકી દીધું ખેડીને

મથે છે કોણ જાણે સિદ્ધ શું કરવા
સતત એ રાગ એનો એ જ છેડીને

અચાનક આમ એ પ્હોંચી ગયા આગળ
મને આખ્ખોય બાજુ પર ખસેડીને

– હરીશ ધોબી

કાલોલ, પંચમહાલના કવિની એક શાનદાર ગઝલ આજે અમારા હસ્તક્ષેપ વિના માણીએ….

Comments (4)

ગીત – અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની

– અશરફ ડબાવાલા

એના નામની કંઠી બાંધી લઈએ પછી નથી જરૂર રહેતી મોજડીની કે નથી જરૂર રહેતી મોજની… ચરણ કે ચાલ બધું અર્થહીન બની રહે છે. જીવન આખું એના જ જોરે ચાલે છે…

Comments (5)

શોધી શકું તો – અબુ બક અલ-તુર્તુશી (અનુ. સોનેરુ)

ચંદરવા લક્ષ જ્યોતિ તણા આભે રચાતા
ને વ્યોમની વાટ પર હું મીટ માંડું.
તારલો તવ ચિત્તે વસ્યો હશે જે, બસ, તેને શોધી શકું તો.

મુસાફર આ ખલ્કના ને એ મુલ્કના રુકે જે મારે મુકામે,
ખોજતો હું એકાદને જેહના શ્વાસે પીધી સુગંધ તારી,
મુજ પરિમલ મહીં ગંધ એ જરીક સીંચી શકું તો.

વાયરા સૂસવે દિશાઓ વીંધતા,
ને વદન પર લહેરખી એક ઝીલવા હું મથું,
એ લહરપટ પર શબ્દ તારો વાંચી શકું તો.

પથપથે ભમંતો-ઘૂમંતો હું નિરુદ્દેશે,
કો ગાનમાં ગુંજશે નામ તારું એ જ આશે;
ચોતરફ ચહેરા બધા નીરખી લઉં,
તવ નૂરને લોચન મહીં અલ્પ આંજી શકું તો.

– અબુ બક્ર અલ-તુર્તુશી (અનુસર્જન: સોનેરુ)

*

અગિયારમી-બારમી સદીમાં થઈ ગયેલા અબુ બક્રને આપણે વિશ્વ-પ્રવાસી તરીકે પણ ઓળખીએ છીએ. અહીં એની એક બીજી ઓળખાણ આપણી સમક્ષ ખુલે છે. સમય કોઈ પણ હોય, પાત્ર કોઈ પણ હોય, સંસ્કૃતિ કોઈ પણ હોય, પ્રેમ હંમેશા જિંદગીની તીવ્રતમ અનુભૂતિ અને ઉચ્ચતમ ઉપલબ્ધિ જ બની રહ્યો છે.  વાત પ્રિયતમાની હોય કે અલ્લાહની ઇબાદતની હોય, પ્રેમની તરસ એની એ જ રહે છે… કબીર-મીરા-નરસિંહની સમર્પણભાવના અહીં વર્તાય છે…

*

Absence

Every night I scan
the heavens with my eyes
seeking the star
that you are contemplating.

I question travellers
from the four corners of the earth
hoping to meet one
who has breathed your fragrance.

When the wind blows
I make sure it blows in my face
the breeze might bring me
new of you.

I wander over roads
without aim, without purpose.
Perhaps a song
will sound your name.

Secretly I study
every face I see
hoping against hope
to glimpse a trace of your beauty.

-Abu Bakr Al-Turtushi
Eng trans.: Cola Franzen

Comments (4)

દૈવી કીમિયાગર – શ્રી અરવિંદ – અનુ-હરીન્દ્ર દવે

આ જગતની ઘટનાઓનો પ્રશાંત આત્માથી સામનો કરું છું;
એ સૌમાં સંભળાય છે તારા પદધ્વનિ : તારાં અદ્રશ્ય ચરણો
મારી સન્મુખ ગતિ કરે છે નિયતિના માર્ગો પર . જીવનનું આખું
પ્રચંડ પ્રમેય એ તું સંપૂર્ણ.

મારા મનની નીરવતામાં કોઈ જોખમ વિક્ષેપ નહિ કરી શકે;
મારાં કાર્યો તારાં છે; હું તારાં કાર્યો કરું છું,પસાર થઈ જાઉં છું;
નિષ્ફળતા તારા અમર્ત્ય બાહુ પર આશ્રય લે છે
વિજય એટલે ધન્યતાના દર્પણમાં પ્રતિબિંબિત થતો તારો માર્ગ.

માનવ-પ્રારબ્ધ સાથેના આ કઠોર સંઘર્ષમાં
મારા અંતરમાંનું તારું સ્મિત સર્જે છે મારી સઘળી શક્તિ;
સમય-સર્પની મંદ સરકતી ગતિની ખેવના વિના
તારી મારામાંની શક્તિ રચે છે એનું ભગીરથ આલય.

કોઈ તાકાત મારા આત્માને હણી ન શકે: એ તારામાં જીવે છે.
તારું અસ્તિત્વ એ મારી અમરતા.

-શ્રી અરવિંદ – અનુ.-હરીન્દ્ર દવે

વીસમી સદી અત્યંત સદભાગી હતી કે જેણે આ ઋષિધ્વનિ સાંભળ્યો….. પ્રત્યેક પંક્તિ ઉપનિષદની યાદ અપાવે છે …. ‘વિજય એટલે ધન્યતાના દર્પણમાં પ્રતિબિંબિત થતો તારો માર્ગ….’ – અદભૂત !! મહર્ષિ અરવિંદને વાંચવા માટે પૂરતો સમય કાઢવો પડે અને એક ઉત્તમ કક્ષાની dictionary સાથે રાખવી પડે . તેઓ ગ્રીક અને લેટિન ભાષાના પ્રખર વિદ્વાન હતા કે જે ભાષાના જાણકારો વિશ્વમાં આંગળીના વેઢે ગણી શકાય ! વળી સંસ્કૃત અને અંગ્રેજીના professor, એટલે ભાષાઓ તો તેઓની પ્રેમિકાઓ હતી …. ઘણીવાર તો તેઓનું એક વાક્ય એક-એક પાના જેટલું લાંબુ હોય ! પરંતુ ધીરજપૂર્વક વાંચતા એક અનેરું-અનન્ય ઊંડાણ માણવા મળે… તેઓએ મહાત્મા ગાંધી અને અહિંસાના ગાંધીજીના ખ્યાલ ઉપર લખેલો લેખ એક ઉત્તમ constructive criticism નો નમૂનો છે.

Comments (4)

ગઝલ – નેહા પુરોહિત

આંસુઓનો આ તે કેવો સાથ છે
જાતનો સંદર્ભ ખારોપાટ છે.

વેલ જેવું હું વળગતી ગઈ અને
વૃક્ષ બોલ્યું, મારી ચાહત આભ છે.

પગલે પગલે કાળજી લેજે હવે
ચોતરફ અંગાર ફરતે રાખ છે.

મેં જ મારી જાતનો દીવો કર્યો
આવ…અહીંયાં ક્યાં કોઈ અંધાર છે !!!!

નેહા પુરોહિત
(૬/૧૨/૧૨)

ચાર જ શેરની ગઝલ પણ ચારે દિશાઓ ઉજાગર કરતી ગઝલ..  વેલ અને વૃક્ષની વાત તો શિરમોર લાગી…

Comments (18)

મારું સરનામું – અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)

આજે મેં મારા ઘરનો નંબર
અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
પ્રત્યેક રસ્તા પરના
પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.

આ શાપ છે અને વરદાન પણ,
જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
એ જ મારું ઘર સમજજે.

– અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)

માણસ જન્મે એ ઘડીથી જ એના ચહેરા પર મહોરાં ચોંટવા શરૂ થઈ જાય છે. જિંદગીની મુસાફરીમાં એક પછી એક એટલા બધા મહોરાંઓ આપણા ચહેરા પર ચોંટી જતા હોય છે કે આપણે આપણી જાત સુધીનો રસ્તો પણ ભૂલી જતા હોઈએ છીએ. બધા જ મહોરાંઓ ઉતરડીને ફેંકી દઈએ, બધા જ સરનામાંઓનો નાશ કરી નાઅંખીએ એ ઘડી આત્મસાક્ષાત્કારની ઘડી છે… એ ઘડીએ આપણને આપણા ગ્લોબલ હોવાની જાણ થાય છે.

Comments (8)

યાત્રા – યોગેશ જોષી

મન થયું,
નિરુદ્દેશે
લાવ,
ફરી આવું થોડું –
પહાડો – નદીઓ – સૂર્ય – ચંદ્ર – તારા
ગ્રહો – ઉપગ્રહો – નક્ષત્રો સુધી…

મારાં ટેરવાં
ફરતાં રહ્યાં
તારી હથેળીમાં…

– યોગેશ જોષી

સાચી યાત્રા એ લોક-પરલોકભ્રમણ નથી, સાચી યાત્રા છે પ્રેમ. સ્પર્શ. સહેવાસ.

Comments (7)

મૌનનો પડઘો : ૦૮ : ઝેન હાઇકુ – યૌસુનારી ફાટ્સોનાબી

japanese-woodcut-2

 

સાચું ! સૌ લખે
એક જ મૃત્યુકાવ્ય,
હુ છું અનેક.

– યૌસુનારી ફાટ્સોનાબી
(અનુ. વિવેક મનહર ટેલર)

 

મોટાભાગના ઝેન-માસ્ટર એક જ મૃત્યુકાવ્ય લખી ગયા છે. પણ ફાટ્સોનાબીએ હજારથી વધુ મૃત્યુકાવ્ય લખ્યા છે. એ સ્થૂળ સંદર્ભ બાજુએ મૂકીને આ હાઇકુ જોવા જેવું છે. આ ખરેખર કવિતાની વાત છે કે જિંદગીની? કવિ કદાચ કહે છે કે બધા એક જ જિંદગી જીવીને મરી જાય છે પણ હું એક માણસ નથી, હું અનેક માણસ છું. હું એક માસ્ટર નથી, હું અનેક માસ્ટર છું માટે હું એક નહીં, અનેક જિંદગી જીવી શક્યો છું.

Comments (4)

મૌનનો પડઘો : ૦૭ : બારીમાં ચાંદ – રિઓકાન

T-322

 

તક્ષક, લીધું
સઘળું પણ ભૂલ્યો
બારીમાં ચાંદ

– રિઓકાન

 

આ હાઈકુની પાછળ એક કથા છે:

એક રાત્રે રિઓકાનની મઢુલીમાં ચોર ઘૂસી આવ્યો. રિઓકાન ઊંધમાંથી ઉઠ્યા ત્યારે બિચારો મઢુલીમાંથી કશું ન મળવાને કારણે નાસીપાસ થઈને જવાની તૈયારીમાં હતો. રિઓકાને એને રોક્યો, ‘તું આટલે દૂરથી મારે ધરે આવ્યો છે. તને ખાલી હાથ ન જવા દેવાય. એમ કર, મારા કપડા મારા તરફથી ભેટ તરીકે લઈ જા.’ ચોર બાપડાની તો આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. એણે કપડા લીધા અને જલદીથી ભાગી છૂટ્યો. રિયોકાન નગ્ન શરીરે ખૂણે બેઠા બેઠા બારીમાંનો પૂર્ણ-ચંદ્ર જોતા ગણગણ્યા, ‘કાશ, હું એ બિચારાને આ ખૂબસૂરત ચાંદ આપી શકત.’

ઝેન એ સઘળું(everything) અને કશુંય નહીં(nothing) બન્નેને એક જ સરખા આનંદ સાથે માણવાની કળા છે.

Comments (5)

મૌનનો પડઘો : ૦૬: કુદરતી સર્જનશક્તિ – લાઓઝી

NM-CJ044Sb

ખીણનો આત્મા કદી ખૂટતો નથી.
આને કહે છે “તળહીન સ્ત્રી”.
તળહીન સ્ત્રીનો દરવાજો:
આને કહે છે “બ્રહ્માંડનું ઉદગમસ્થાન”.
રેશમી ! જાણે કે એનું અસ્તિત્વ છે.
એને વાપરવામાં, આરામથી.

– લાઓઝી

આ તે કવિતા કે કોયડો ?

ધ્યાનથી પસાર થઈએ તો પુરુષવાદી સમાજ વિરુદ્ધનો સૂર અહીં સંભળાય છે. કંફ્યુસિયસ, એરિસ્ટોટલ જેવાઓએ પુરુષને જ સૃષ્ટિનો આધાર ગણ્યો હતો એવા સમયે ઇસુના ત્રણસો વર્ષ પૂર્વે સ્ત્રીની કુદરતી સર્જનશક્તિને સલામ કરતી આવી કવિતા મળી આવે એ મોટી વાત છે. ખીણની ફળદ્રુપતા જે કદી ખૂટતી નથી અને જેની સમૃદ્ધિનું કોઈ તળિયું હાથ આવતું નથી એનો આકાર સ્ત્રીયોનિ જેવો છે જેને કવિ બ્રહ્માંડનાઅ ઉદગમસ્થાન સાથે સરખાવે છે. પણ કવિ ‘હેન્ડલ વીથ કેર’ જેવી ચેતવણી આપે છે. સ્ત્રીનું જાણે કે એનું અસ્તિત્વ જ ન હોય એવી રેશમી મુલાયમતાથી અને આરામથી ઉપયોગ અને ઉપભોગ કરો તો એનો આત્મા અખૂટ છે… એ આપતી જ રહેશે… આપતી જ રહેશે…

Comments (11)

મૌનનો પડઘો : ૦૫: મૂલ્યોનો ઉથલો – લાઓઝી

144597_full_1024x662

આકાશ તળે, પાણીથી વધુ કોમળ અને વધુ ઇચ્છાનુવર્તી બીજું કશું નથી.
અને તોય જ્યારે એ નક્કર, સખત પદાર્થો પર આક્રમણ કરે છે,
એમાનું કોઈ એની સામે જીતી શકતું નથી.
કારણ તેઓ પાસે એને ખસેડી શકે એવું કશું નથી.
એ જે સાનુકૂળતા તાકાત સામે જીતી જાય છે;
એ જે કોમળતા સખ્તાઇ સામે જીતી જાય છે,
એ વાત સામાજીક વિશ્વમાં કોઈ પણ સમજી શકવામાં નિષ્ફળ રહે છે.
કોઈ પણ એનો મહાવરો કરી શકતું નથી.
માટે જ સાધુઓએ કહ્યું છે,
સ્થિતિની અપૂર્ણતાનો સ્વીકાર કરો.
સાચું પ્રવચન એ વિરુદ્ધોને પલટાવવા જેવું છે.

-લાઓઝી
(અનુ. વિવેક મનહર ટેલર)

ઝેન વિચારધારા આપણી રુઢિગત વિચારધારાથી સાવ અલગ છતાં નકરી સચ્ચાઈભરી છે. કોઈ પણ સખત પદાર્થ સામે પાણી વિરોધ કર્યા વિના ઝૂકી જાય છે પરિણામે એ જીતી જાય છે. પાણીને જે રંગમાં મેળવો, એ રંગે રંગાઈ જાય છે, જે પાત્રમાં ભરો એનો આકાર લઈ લે છે. પાણી વિરોધ નથી, સમર્પણ છે માટે એ અજેય છે. આ કોમન સેન્સ છે પણ લોકો સમજી શકતા નથી. જીવનમાં જે અપૂર્ણતા છે એનો સ્વીકાર કરી લેવો એ પોતે અપૂર્ણતાથી મુક્તિ મેળવવા બરાબર છે. આપણી જિંદગી પૂર્ણતાની પ્રાપ્તિ પાછળ દોડવામાં પૂરી થઈ જાય છે. સ્થિતિનો યથાતથ સ્વીકાર એ જ ખરી પૂર્ણતા છે. આપણા પ્રવચનો, ધર્મ, ઉપદેશ એ વિરોધી વસ્તુઓને સાચું સાબિત કરવા જેવા છે.

નિરપેક્ષ સંપૂર્ણ તાટસ્થ્ય એ ઝેન વિચારધારાનો પ્રાણ છે, જો સમજી શકાય તો !

Comments (4)

મૌનનો પડઘો : ૦૪: ઓળખ – ફોયાન

422713565_86dc47287b

આ એના જેવું છે કે તમારી આંખ
જે બધું જ જોઈ શકે છે
પણ પોતાને જોઈ શકતી નથી.
આવું જ છે તમારું મન પણ.
એનો પ્રકાશ બધું જ ભેદી વળે છે
અને બધાંને ગળી જાય છે,
પણ તો એ પોતાને જ કેમ ઓળખી શકતું નથી?

– ફોયાન
(અનુ.વિવેક મનહર ટેલર)

ઝેન વિચારધારા એટલે પોતાની જાતથી અલગ થવાની કળા. બધા જ ધર્મમાં આ કરો અને આ ન કરોનો બોધ પ્રવર્તે છે જ્યારે ઝેન વિચારધારા એટલે કશું પણ ન કરવાની વિશુદ્ધ નિર્લેપતા. જ્યારે તમે બધું છોડી દો છો ત્યારે જ પ્રકાશ પ્રાપ્ત થાય છે. તમારી આંખ જે બધું જ જોઈ શકે છે પણ પોતાને જોઈ શકતી નથી.  મનનું પણ એવું જ અને એવું જ તમારી જાતનું. તમે તમારાથી અલગ થાવ તો જ તમે તમારી સચી જાતને જોઈ-ઓળખી શક્શો.  આ detachment from self એ જ ઝેન વિચારધારા છે…

Comments (7)

મૌનનો પડઘો : ૦૩ : અસ્તિત્વ છે ઘર આપણું – હોફુકુ સૈકાત્સુ

lake-landscape-rachel

મને ન કહો કે રસ્તો કેટલો મુશ્કેલ છે !
પક્ષીનો પથ, વાંકોચૂકો દૂર સુધી
તમારી સામે જ છે.

તાપી નદીનું પાણી
તમે સમુદ્રને પરત કરો
હું પર્વતને.

– હોફુકુ સૈકાત્સુ
(અનુ. વિવેક મનહર ટેલર)

ઝેન કવિતા એટલે એક જીવંત શબ્દ-ચિત્ર. ઝેન કવિતામાં શબ્દ તો ઓછાં હોય છે પણ શબ્દોની વચ્ચેનો અવકાશ વધુ હોય છે. આ અવકાશ વાંચવાની કળા એટલે જ ઝેન. ઝેન કાવ્ય વાચક સમક્ષ એક દૃશ્ય યથાતથ મૂકે છે અને  વાચકે એ દૃશ્યમાં ઊતરીને એનો જાદુ અનુભવવાનો હોય છે.

આ કવિતા આપણા મૂળ ઘરની કવિતા છે. આપણી સ્વયંસ્ફૂર્તતા આપણને જ્યાં લઈ જાય એ જ આપણું ઘર. પક્ષી કદી પોતાનો રસ્તો ભૂલતું નથી. નદીનું પાણી કોઈ સમુદ્ર સુધી લઈ જાય છે, કવિ પર્વત સુધી. નદીનું ઘર કોઈને સમુદ્ર લાગે તો કોઈને પર્વત. નદીનું પાણી સમુદ્રમાર્ગેથી બાષ્પીભૂત થઈ વાદળમાં ભળી અંતે પર્વત પર જ પહોંચે છે એ વાસ્તવિક્તા વિચારીએ ત્યારે આ કવિતાનો મર્મ પકડાય.

અંતે તો આપણું હોવું એ જ છે આપણું સાચું ઘર.

Comments (5)

મૌનનો પડઘો : ૦૨ : કવિતા – રિઓકાન

ryokan bowl tsukioka

કોણ કહે છે કે મારી કવિતા કવિતા છે?
એ કવિતા છે જ નહીં.

જ્યારે તમને સમજાય કે મારી કવિતા કવિતા નથી
ત્યારે આપણે કવિતા વિશે વાત કરીશું.

– રિઓકાન

આગળ જતા પહેલા બે વાર કવિતા વાંચી જાવ. પહેલી નજરે શબ્દોની રમત લાગે એવી કવિતા છે. પણ એના અનેક અર્થ નીકળી શકે એમ છે.

એક અર્થ: કવિતા કવિ માટે અહમ(ego)નું સાધન હોય છે. કવિને કવિતા જેટલું પણ અહમનું સાધન ખપતું નથી. એ અહમને ટાળવા પોતાની કવિતાને કવિ અ-કવિતા જાહેર કરે છે. હવે જો તમે પણ એ કવિતાને અ-કવિતા માનો તો પછી કવિ માટે અહમનું કારણ જ રહેતું નથી. એમના પરથી ‘કવિ’ના ‘લેબલ’ ને દૂર કરો તો પછી, કશા બંધન વિના, કવિ તમારી સાથે કવિતા વિશે નિરાંતે ગપ્પા મારવા તૈયાર છે.

બીજો અર્થ: કવિતા પોતે કશું છે જ નહીં. એ તો ચેતના સુધી પહોંચવાનું સાધન માત્ર છે. એટલું બન્ને પક્ષ સ્વીકારે નહીં ત્યાં સુધી કવિને આગળ વાત કરવામાં કોઈ રસ નથી.

ત્રીજો અર્થ: કોઈ પણ ચીજને સમજવી હોય તો પહેલા સમજવું પડે કે એ ચીજ- કે બીજું કશુંય- ખરેખર તો અસ્તિત્વ ધરાવતું જ નથી. આટલું ન સમજો ત્યાં સુધી તમારી સાથે વાત કરવી પણ નકામી છે.

હવે તમે પૂછશો કે ભાઈ, આ બધા અર્થમાંથી કયો અર્થ સાચો છે ? ખરી વાત તો એ છે કે કયો અર્થ ખરો છે એ આ કવિતાનો મુદ્દો છે જ નહીં. આ કવિતા એ તમને આટલો વિચાર કરવા માટે ઉશ્કેર્યા એ જ એનો ખરો મુદ્દો છે 🙂 

Comments (5)

મૌનનો પડઘો : ૦૧: ચંદ્ર અને આંગળી – રિઓકાન

167547_full_1024x655

તમે ઊભા ઊભા ચંદ્ર તરફ આંગળી કરો છો,
પણ ચંદ્રના પ્રકાશ વગર આંગળી તો આંધળી છે.

એક ચંદ્ર, ને એક બેખબર આંગળી-
આ બે અલગ છે કે એક જ છે ?

આ સવાલ જ શિખાઉને અજ્ઞાનના
ગાઢ ધુમ્મસમાંથી રસ્તો ચીંધવા પૂરતો છે.

ઊંડા ઉતરો. રહસ્યો તમને સાદ કરે છે.
ન તો ચંદ્ર છે, ન આંગળી છે – ન તો કશું છે.

– રિઓકાન

રિઓકાન જાપાનના અલગારી કવિ હતા. લગભગ આખું જીવન એમને પર્વત પર મઢુલીમાં એકલા રહી પસાર કરેલું.

ઝેન વિચારધારામાં કવિતા ચેતના સુધી પહોંચવાનો એક માર્ગ ગણાય છે. કવિતા દ્વારા ગુરુઓ ઝેન વિચારને -શબ્દના બંધનમાં બને તેટલો ઓછો બાંધીને- વ્યક્ત કરવાની કોશિશ કરે છે.

અહીં ચંદ્ર જેને સમજવા માંગો છો એ ચીજનું પ્રતિક છે. અને આંગળી સમજવાની કોશિશ કરતા મનનું પ્રતિક છે. પહેલી જ પંક્તિમાં કવિ કહે છે કે તમે આંગળીનો ઉપયોગ કરો છો પણ એ આંગળી તો ચંદ્રના પ્રકાશ વગર આંધળી છે. એટલે કે જે ચંદ્ર(ના પ્રકાશ) વગર આંગળી નકામી છે તો પછી એનો ઉપયોગ ચંદ્રને સમજવા કઈ રીતે કરી શકાય ? Circular logicની સીમાને બે જ લીટીમાં અદભૂત રીતે વ્યક્ત કરી છે.

બીજી પંક્તિમાં કવિ પૂછે છે કે ચંદ્ર અને આંગળી અલગ છે કે એક જ છે? દર્શક અને દ્રશ્ય વચ્ચેની સીમા કેટલી પાતળી અને કેટલી આભાસી છે એ આપણે પહેલા સમજવાની જરૂર છે. આ સવાલ માત્ર અજ્ઞાનીને સાચો રસ્તો ચીંધવા પૂરતો છે.

પણ કવિ અહીં અટકતા નથી. એ એનાથી એક આપણને ડગલું આગળ  લઈ જાય છે. એ આહવાન કરે છે કે હજુ ઊંડા ઉતરો. જ્યારે તમે ખરી સમજણના તીરે પહોંચશો ત્યારે ન તો ચંદ્ર રહેશે, ન તો આંગળી રહેશે કે ન તો બીજું કંઈ. ચેતનાની ક્ષણે (જેને ઝેન ભાષામાં સટોરી કહે છે) કશું ય બચતું નથી. માણસનો ego નાશ પામે પછી હું અને વિશ્વ વચ્ચે કોઈ ફરક રહેતો નથી. બધુ હોવા અને કશું ન હોવા વચ્ચેનો ફરક રહેતો નથી.

Comments (7)

ભીતરનો સૂર – મકરંદ દવે

ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
દુનિયાનો સૂર જાય દૂર.

એકાંતે બાજતું જે આતમનું બીન,
એનો કોઈની સંગાથ તાર બાંધે !
લાખ લાખ વાર એ તો તૂટી પડે ને
તું તો તૂટે તૂટે ને ફરી સાંધે !
ઊંડો અંધાર તને મૌનમાં ડૂબાડે ને
અંદર તો નાદનાં નૂર.

બીજાની સાથ તને સંવાદે ગૂંથતો
બંધુ, એ તાર નથી બીજે,
હૈયે હજાર રમે તારો ઝંકાર,
એક પોતાનો રામ જો રીઝે;
મનમાં બેઠેલ તારા માનવીનું એકલું
સાંભળને, મીઠું : ‘ મંજૂર !’

સામે જુએ તો હશે વમળો વિષાદનાં,
સામે તો શંકાની ખાઈ,
અંતરનો સૂર તારો સેતુ બનીને વણે
સામેથી નેહની સગાઈ ;
આંકડા ભીડીને અહીં આવે આનંદમાં
સૂરના સંબંધ ભરપૂર.
ભીતરનો સૂર તારો સ્હેજે મળે તો ભલે
દુનિયાનો સૂર જાય દૂર.

-મકરંદ દવે

સાંઈકવિની એક લાક્ષણિક રચના…. થોડું ધીમે ધીમે બે થી ત્રણ વાર વાંચીને મમળાવવા જેવી રચના…..

Comments (7)

હરિગીત – રવીન્દ્ર પારેખ

બંધ આંખમાં આંસુ
લાંબો કાળ રહે ના જેમ,
હરિ, તમે તો પાક્યું મોતી
છીપમાં રહેશો કેમ ?

હરિ, તમારે લીધે છીએ
તે વાત નવી ના કંઈ,
છતાં અમારા વગર તમારું
કંઈ પણ ઉપજે નંઈ,
હરિ, અમે ના હશું તો
ક્યાંથી તમેય કુશળક્ષેમ…..

હરિ, તમે ના ઈચ્છો તો
એક પાન ન ફરકે ક્યાંય,
અમે ફરકશું તો જ તમારો
અર્થ હશે કંઈ ત્યાંય !
જનમ-મરણ કબજે રાખીને
દીધો જીવનનો વ્હેમ…..

-રવીન્દ્ર પારેખ

સુરતના વરિષ્ઠ અને પ્રતિભાસંપન્ન કવિશ્રી રવીન્દ્ર પારેખ પોતાના અતિનમ્ર અને અંતર્મુખ સ્વભાવને લીધે સર્વદા પોતાના કોઇપણ જાતના marketing થી જોજનો દૂર રહ્યા છે.પરંતુ રવિ છાબડે કદી ન ઢંકાય, ત્યાં આ તો રવીન્દ્ર !!!
પ્રવાહી શૈલીમાં રચાયેલા પ્રસ્તુત હરિગીતમાં એક અતિમહત્વની વાત છુપાયેલી છે – ઈશ્વર આપણી પોતાની રચના છે !

Comments (9)

જીર્ણ તરણી – મનોજ ખંડેરિયા

નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે
કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે.

ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં
અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે.

અહીંથી ત્યાં લગી છે પહોંચવાનું કેટલું દુષ્કર
વિરહ છે વસમી વૈતરણી, જીવન પણ જીર્ણ તરણી છે.

મળે છે સ્વચ્છ તડકો-ચાંદની-ઝાકળ ને વર્ષાજળ
ગગન આખુંય જાણે એક ગળણી નીલ-વરણી છે.

જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું,
કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.

હટે ક્યાં આંખથી આકાશ શૈશવની અગાસીનું
હજી પણ લોહીમાં એ ધ્રુવ, સપ્તર્ષિ ને હરણી છે.

કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું ?
ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.

– મનોજ ખંડેરિયા

કેટલીક ગઝલો વાંચીએ એટલે ગઝલ, ગઝલકાર અને ગઝલના કથાવસ્તુ- ત્રણેયના પ્રેમમાં પડી જવાય છે. મ.ખ.ની આ ગઝલ કંઈક એવી જ જાદુઈ અસર મારા પર કરી ગઈ. હું તો ફૂલ-ખરણી શબ્દ પર જ ઓળઘોળ થઈ ગયો. દિવાળીની દિવસો ગયા એટલે ફૂલઝડી તો યાદ હોય જ પણ કલમને ફૂલ-ખરણી સાથે સરખાવીને કવિએ કમાલ કરી દીધી છે. ક્ષણ જેવી વીતી જાય છે કે ગાયબ થઈ જાય છે અને આવનારી ક્ષણો પણ અનંત છે. જીવનની નિસરણી જીવનપર્યંત કદી પૂરી થતી નથી… બધા જે શેર આસ્વાદ્ય પણ મારા જેવા વિજ્ઞાનના વિદ્યાર્થીને તો બધું ગાળીને સાફ સ્વરૂપે આપણને આપતી આકાશની ભૂરા રંગની ગળણી વધુ ગમી ગઈ.

Comments (8)

ઊગેલી પાંખને – સંજુ વાળા

સાવ સામે આવી ઊભાં હો અને…
શક્ય છે હું ઓળખું ના આપને !

સાંભરણ, સંબંધના ઊંડાણને
તાગતાં અડકી જવાતું આભને !

કેટલા પાછળ લિસોટા પાડવા ?
એની ક્યાં કંઈ પણ ખબર છે સાપને !

ખૂલ્લું છે આકાશ, પણ મન બંધ છે –
કેમ ફફડાવું ઊગેલી પાંખને ?

પ્હોંચવું, પામી જવું, તરછોડવું
એ જ ઘટનાક્રમ મળ્યો તમને- મને !

જે કહું એ જ પાછું સાંભળું
સાંભળ્યું જે, એ જ કહેવાનું બને !

છાંયે બેસે એની છાયા ઓગળે
તડકે ચાલે એ ગુમાવે ઝાડને !

– સંજુ વાળા

સંજુ વાળા એ આજની ગુજરાતી કવિતાનો અલાયદો અવાજ છે. એમની રચનાઓ રુઢગતિથી નથી ચાલતી. એ ન ખેડાયેલી કેડી પર પોતીકા ચીલા ચાતરે છે એના કારણે ક્યારેક એ દુઃસાધ્ય પણ અનુભવાય છે. પણ એમની આ ગઝલ જુઓ. એક-એક શેર ખૂબ હળવેથી ખોલી જુઓ અને જુઓ કે તમારી આંખ
સાનંદાશ્ચર્યથી પહોળી થઈ જાય છે કે નહીં ! કેટલાક શેર તરત પ્રત્યાયિત થાય છે તો કેટલાક ambiguous જણાય છે.

Comments (19)

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ? – ચિનુ મોદી

સ્વપ્ન ક્યાં મોટા ગજાનું જોઈએ ?
જીવવા માટે બહાનું જોઈએ.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

એક પરપોટો ઘણો સુંદર હતો,
પણ હવાને ચાલવાનું જોઈએ.

સીમમાંથી ઘર તરફ પાછા જતાં,
આ ખભે પંખી મજાનું જોઈએ.

વાટ વચ્ચે લૂંટશે અધવચ તને,
જીવ, તારે ચોરખાનું જોઈએ.

આંસુ જ્યાં થીજી ગયેલાં હોય છે,
સાંભરણ એવી જગાનું જોઈએ.

તું કહે ત્યાં આવશે ‘ઈર્શાદ’ પણ,
એક ઢેફું આ ધરાનું જોઈએ.

– ચિનુ મોદી

ચિનુ મોદીની એક ચિરસ્મરણીય ગઝલ…

 

Comments (12)

હોટેલનો આ રૂમ ખાલી કરતાં… – પ્રબોધ ર. જોશી

c472e4c8da162035ac1ebddf6a263df6

હોટેલનો આ રૂમ –
જલદી ખાલી કરી શકતો નથી
ફરી ફરી અથડાય છે ચીજો બધી
… કશુંક ક્યારેક આડુંઅવળું રહી ગયું
તો વળી કોઇકે કર્યું ઠીક –
અને આ વૃક્ષ લીલુંછમ સતત ડોક્યા કરે…
મોડી સાંજે પડદો પાડું
તો આવીને ગોઠવાઈ જાય રૂમમાં ચૂપચાપ
ને આ એકાંત મારું પ્યારું હવે બાવરું !
બધાં સાથે મળી આપે છે વિદાય.
આંખમાં ઝળઝળિયાં
ક્ષણ બે ક્ષણ એ દશ્યને મનમાં રહું મઢી
ને ચાલી નીકળું પુનઃ પ્રવાસે-
ભૂલી રહું એ રૂમ ને એ વૃક્ષ ને કૈં કેટલુંય !
કૈં કેટલા આ – લખચોરાસી – રૂમની છે
વિસ્મૃતિ!

– પ્રબોધ ર. જોશી (૧૯૫૩-૨૦૧૨)
(‘પાછો ઉઘાડ નીકળ્યો આ’)
સાભાર: વર્ડનેટ, મુંબઈ સમાચાર

કવિ પ્રબોધ ર.જોશીનું ૧૮મી નવેમ્બરે ૫૯ વર્ષની ઉંમરે અવસાન થયું છે. આપણા વેઢે ગણાય એટલા સત્વશીલ સામાયિકોમાંથી એક ઉદ્દેશના એ તંત્રી હતા. પાછો ઉઘાડ નીકળ્યો આ સિવાય એમનો બીજો સંગ્રહ છે મારે કોઈ નામ આપવું બાકી છે.

હોટેલનો રૂમ અહીં જીંદગીનું પ્રતિક છે અને કવિતા ખરેખર મૃત્યુ વિશે છે. વૃક્ષ જીવનમાં જે બધું વહાલું-પ્યારું લાગે છે એનુ પ્રતિક છે. આ રીતે વાંચો તો કવિતા વાગે એવી ધારદાર છે. હોટેલના રૂમ કે વૃક્ષ – બધાનું એક જ ગંતવ્ય છે – વિસ્મૃ તિ.

Comments (9)

ગઝલ- હરીન્દ્ર દવે

બંનેમાં વેદના છે; હું તારી નિકટ કે દૂર,
જુદા છે સાજ, એકનો એક જ વહે છે સૂર.

તારી કૃપાનું કેવું સનાતન ધસે છે પૂર,
ઓઝલ લગાર આંખથી,કહી દઉં છું તને ક્રૂર.

વચ્ચે છે ભારે મૌનનો સાગર છતાં, પ્રભુ,
લાગે છે કે લગારે ગયો છું હૃદયથી દૂર ?

વનરાજીમાં તો કૃષ્ણ નથી, માત્ર કાષ્ઠ છે,
નક્કી કદંબવનથી અમે સાંભળ્યો’તો સૂર.

કોઈને કંઈ દીધું કે લીધું ? કંઈયે યાદ ના,
લૈ કોરી પાટી આવી ગયો, આપની હજૂર.

-હરીન્દ્ર દવે

Comments (5)